Opinion Magazine
Number of visits: 9571165
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આશ્રમના વૈશ્વિક કક્ષાના નવીનીકરણમાં વિરોધ

માર્ટિન મૅકવાન|Opinion - Opinion|15 September 2021

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી,

માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,

માનનીય ટ્રસ્ટીઓ,

શ્રી સાબરમતી આશ્રમના સંલગ્ન છ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,

એક દલિત કર્મશીલ પાસે ગાંધીઆશ્રમના નવીનીકરણનો વિરોધ અપેક્ષિત નથી. દલિતોનાં મન અને હૃદય, પૂના-કરાર દરમિયાન, ડૉ. આંબેડકરનાં વર્ષોના સંઘર્ષ પર, અહિંસક સાધનો દ્વારા ગાંધીએ પાણી ફેરવી વાળ્યું, તેની કડવાશના ઘા રુઝાયા નથી. ગાંધીના વર્ણવ્યવસ્થાના વિચારો રૂઢિવાદી હતા, તેની વિશેષ છણાવટ તો ડૉ. આંબેડકરે કોઈ પણ શબ્દ ચોર્યા વગર કરી છે, એટલે એમાં પડતો નથી. તો આશ્રમના વૈશ્વિક કક્ષાના નવીનીકરણમાં આ વિરોધમાં મારે જોડાવાનું કારણ? મારું નામ નોંધાવવાના મારા પક્ષે કારણો આ છેઃ

૧.  ગાંધી અને ડૉ. આંબેડકર વચ્ચે ભારે મતભેદ પ્રવર્તતા હોવા છતાં બંનેએ એકબીજાનું માન જાળવ્યું છે. પૂના-કરારની કડવાશ ભૂલી, ગાંધીજીને રૂઢિવાદી હિન્દુઓએ રાક્ષસ કહ્યા ત્યારે દુઃખી અને હતપ્રભ ગાંધીને દિલાસો આપવા તેમના કહેણને માન આપી કરારના ત્રીજા જ દિવસે જેલમાં મળવા જનાર ડૉ. આંબેડકર હતા.

૨.  સરદાર પટેલ અને કાઁગ્રેસના ભારે પ્રયત્નો હતા કે ડૉ. આંબેડકર બંધારણસભામાં ચૂંટાય જ નહીં. ડૉ. આંબેડકર, બંગાળના પ્રખર દલિતનેતા અને પાકિસ્તાનના પ્રથમ કાનૂની અને શ્રમમંત્રી જોગેન્દ્રનાથ મંડલના સહકારથી અને મુસ્લિમ લીગના ટેકાથી બંગાળમાંથી ચૂંટાયા. ભારત-પાકિસ્તાનના ભાગલા પડતાં ડૉ. આંબેડકરની બેઠક રદ્દ થઈ. તે સમયે ગાંધીના દબાણથી કાઁગ્રેસે મુંબઈની બેઠક ડૉ. આંબેડકર માટે ખાલી કરવી પડી અને આમ બાબાસાહેબ બીજી વાર બંધારણ-સભામાં ચૂંટાયા અને બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ બન્યા. ગાંધીએ સરદાર અને નેહરુને કહ્યું હતું કે ડૉ. આંબેડકરને બંધારણસભામાં આવતા રોકી એમનું તો તે કશું નહીં બગાડી શકે, પણ દેશનું ભારે નુકસાન ચોક્કસ કરશે.

૩. ગાંધીએ હજુ અમદાવાદમાં પગ માંડ્યો જ હતો અને સાબરમતી આશ્રમનું બાંધકામ સંપૂર્ણ થયું ન હતું, ત્યારે ૧૯૧૭માં ઠક્કરબાપાના પત્રના જવાબમાં ગાંધીએ પ્રથમ દલિતદંપતી દુધાભાઈ અને દાનીબહેન દાફડા અને તેમની નાની દીકરી લક્ષ્મીને આશ્રમવાસી તરીકે સ્વીકાર્યાં. પ્રત્યાઘાત ભારે પડ્યા. બાજુના ખેડૂતે પાણી આપવાની ના પાડી અને દૂધવાળાએ દૂધ આપવાનું બંધ કર્યું. દાન અટકી પડ્યું. ગાંધીનાં મોટા બહેને આશ્રમમાંથી ચાલતી પકડી અને ફરી આશ્રમમાં ક્યારે ય પગ ન મૂક્યો. મગનલાલ ચર્મકામ શીખવા મદ્રાસ જતા રહ્યા. કાકા કાલેલકર પણ ડગમગ્યા. દાનીબહેનના પગ રસોડામાં પ્રવેશતાંની સાથે જ કસ્તૂરબાએ ગાંધી આશ્રમ અને ગાંધીને છોડી પિયર જવાની ધમકી આપી. ગાંધી અડગ રહ્યા અને કસ્તૂરબાને પિયર જવા સામે વાંધો ન ઉઠાવ્યો. કસ્તૂરબા સમસમીને રહ્યાં. પણ હવે અનાજ-પાણી ખૂટી પડ્યાં. સાંજની પ્રાર્થનામાં ગાંધીએ જાહેર કર્યું કે તે આશ્રમ, સામેની સફાઈ-કામદારોની વસ્તીમાં લઈ જશે પણ દલિત દંપતીને આશ્રમમાં જ રાખશે. આ કપરા દિવસોની કોઈક સવારે એક શેઠે આશ્રમને મદદ કરવાનો ગાંધી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. ગાંધીએ તે સ્વીકાર્યો અને બીજે દિવસે એ શેઠ ગાંધીનાં ‘હાથમાં રૂ. ૧૩૦૦૦ની નોટો મૂકી ચાલતા થયાં.’

૪. થોડા દિવસ બાદ નાની લક્ષ્મીને ધૂળમાં રમતી જોઈ કસ્તૂરબાએ ઉપાડી લીધી અને છાતીએ ચાંપી. દુધાભાઈ અને દાનીબહેન મુંબઈ પાછાં ગયાં પણ ગાંધી કસ્તૂરબાના આગ્રહથી લક્ષ્મીને આશ્રમમાં મૂકતા ગયા. લક્ષ્મીને સાસરે ગાંધી-દંપતીએ જ વળાવી. આજ સમયે જ્યારે દુધાભાઈ અને દાનીબહેને ઝંઝાવાતનો સામનો કર્યો તે જ અરસામાં ડૉ. આંબેડકરને અપમાનિત થઈ ત્રણ ત્રણ વાર વડોદરા છોડવું પડ્યું. જો કે ગાંધી-આંબેડકરની પ્રથમ મુલાકાત આ ઘટનાનાં ૧૪ વર્ષ બાદ ૧૯૩૧માં જ મુંબઈના મણિ ભુવનમાં થઇ.

૫. ગાંધી સાથે કોઈ પણ પરિચય ન હોવા છતાં ડૉ. આંબેડકર ગાંધીના ‘સત્યાગ્રહ’ શબ્દથી આકર્ષાયા હતા અને એટલે જ ૧૯૨૭ના મહાડ-આંદોલનનું નામ ‘મહાડ સત્યાગ્રહ’ રખાયું અને સભાસ્થળે ગાંધીનો ફોટો પણ હતો. બંને વચ્ચે જીવનકાળ દરમિયાન આઠ જેટલી મુલાકાત થઈ હતી અને સંબંધમાં ભારે ઉતારચઢાવ આવ્યા. પુના કરાર સમયે ગાંધીના નિકટના સાથીઓએ ડૉ. આંબેડકર માટે જે શબ્દો વાપર્યા હતા, તે મહાદેવભાઈ દેસાઈની ડાયરીના વીસ ભાગમાંથી બીજા ભાગમાં જોઈ શકાય છે.

પણ મારા માટે ગાંધીનો આભડછેટ સામેનો સંઘર્ષ, પણ પોતાના જ આશ્રમમાં પ્રેરણાદાયક રહ્યો છે. ગાંધી કરતાં ય ઠક્કર બાપાનું દલિતો મધ્યે કામ અદકેરું અને ગાંધી ભારત આવ્યા તે પહેલાંનુ રહ્યું છે. પણ ડૉ. આંબેડકરે સ્વીકાર્યું તેમ ગાંધીએ આભડછેટના પ્રશ્નને ભારતના આઝાદીના આંદોલનમાં કેન્દ્રસ્થાને મૂક્યો જરૂર. ગાંધીના સમર્થનમાં આંગળીના વેઢે ગણાય તેટલા જ ગાંધીવાદીઓ હતા, આજની જેમ જ. પોતાના હાથે વણેલ ખાદીમાંથી ગાંધીએ દુધાભાઈ માટે ડગલો સિવડાવેલો. ભારતની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગરવી ગુજરાતમાં બે વસ્તુઓ સાથે ચાલી રહી છે. ૧૨૪૬ કરોડના ખર્ચવાળી વિવિધ નામોલ્લેખ હેઠળ સાબરમતી આશ્રમની વૈશ્વિક કક્ષાની આધુનિક સજાવટ અને ગરીબોની વણબદલાયેલી હાલત.

બેએક મહિના પહેલાં કોરોનાકાળના બીજા તબક્કાના અવરોહણ સમયે, ત્રીજી લહેર આવે, તો કોરોના બાળકોને ભરખી જશે, તેવી વૈજ્ઞાનિકોની દહેશતના જવાબમાં નવસર્જન અને જનવિકાસે સાથે મળી પાંચ હજાર જેટલાં કુપોષિત બાળકો માટે પોષણક્ષમ આહારની ગોઠવણ કરી. ગુજરાતમાં ૨૦૧૯માં જેટલાં કુપોષિત બાળકો હતાં, તેનાથી વધી ૨૦૨૦માં બમણાંથી વધુ બાળકો સરકારના ચોપડે નોંધાયાં છે. આ સરકારી આંકડા પણ કોરોનાના આંકડા જેટલા જ આધારભૂત છે. આણંદ જિલ્લો જ્યારે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં બીજા ક્રમે આવ્યો, ત્યારે વધુ પડતાં આંકડા બતાવી જિલ્લાને બદનામ કરવા બદલ કલેક્ટરે આરોગ્યસેવકોને તતડાવેલા તેવા અહેવાલ સરકારી કર્મચારીઓ પાસેથી જ સાંભળવા મળ્યા. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આ કર્મચારીઓએ કબૂલ કર્યું કે ઉપરથી હુકમ છે ઓછાં બાળકો નોંધવાનો.

એશિયા ખંડની સૌથી મોટી અને શ્વેતક્રાંતિની જનક અમૂલ ડેરી જ્યાં છે, તે જિલ્લામાં અને ગુજરાતમાં ચાર વાર મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો તેવા માધવસિંહભાઈ સોલંકીના પોતાના તાલુકામાં કુપોષિત બાળકોની મસમોટી સંખ્યા વિકાસ અને રાજકીય સત્તાની ગરીબો પર અસર સામે પ્રશ્નો ખડા કરે છે. આ પ્રશ્ન છેડવાનું કારણ એ છે કે સાબરમતી સંગ્રહાલય ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈએ તાજેતરમાં અમેરિકાના વિવાદાસ્પદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની વિવાદાસ્પદ 'નમસ્તે ટ્રમ્પ’ વાળી મીટિંગમાં પ્રમુખદંપતીને સાબરમતી આશ્રમ દ્વારા આપેલ ભેટ-સોગાદનો મહિમા પત્રકારોને સમજાવતા ગાંધીનું કથન યાદ કરાવેલું. 'જ્યારે ર્નિણય લેવાના તકાજામાં મનમાં સંશય ઊભો થાય, ત્યારે સૌથી છેવાડાના ગરીબને યાદ કરી આ ર્નિણયથી તેના પર શું અસર પડશે તે અંગે વિચારવું’. તમામ પક્ષના રાજકારણીઓ જન્મથી જ છેવાડાના લોકોનો વિચાર કરતા આવ્યા છે, એટલે તેમને તો કંઈ કહેવાપણું ન હોય, પણ વિચારવાનું અને નૈતિકતાનું ભાથું તો હંમેશાં નાગરિકોને માથે જ હોય છે.

કોરોનાકાળમાં જ્યારે કુપોષિત બાળકોને સૌથી વધુ પોષણની જરૂર હતી, ત્યારે જ ગુજરાત સરકારે ભોજનની દૈનિક વહેંચણી બંધ કરી. બદલામાં મહિનામાં એકાદ વાર સુખડી આપવાનો કાર્યક્રમ થયો. આ સુખડીના સ્થળ પરના અહેવાલો અનુસાર કુપોષિત બાળકોના અતિ નબળા દાંત વચ્ચે ભાંગે તેવી સુખડી ન હતી, એટલે ઘણા ભેજાબાજો બાળકોને સુખડી લેવા લઈ જાય અને બધાના ભાગની સુખડી ભેગી કરે. બદલામાં ગલ્લેથી બાળકોને ગોળી ખવડાવે અને સુખડી ગાય અને ભેંસના દાણમાં વપરાય, તેવો ચીલો પડ્યો છે.

અમૂલ ડેરી માત્ર ભારતદેશનાં નહીં પણ અન્ય દેશનાં બાળકો માટે યુનિસેફના અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માધ્યમથી તે દેશોનાં કુપોષિત બાળકો માટે બાળકો આહારનું ઉત્પાદન કરે છે. લગભગ ૧૫ જિલ્લાના નવસર્જન પાસે અહેવાલો છે કે જ્યાં ઉત્તમ કક્ષાનો અમૂલ દ્વારા બનતો આહાર ગાય અને ભેંસના પેટમાં જાય છે. આ આહારની શરત છે કે તેને ૩૦ ડિગ્રીથી નીચેના તાપમાનમાં સંગ્રહ કરવો, પણ આવી કોઈ વ્યવસ્થા આંગણવાડીમાં ન હોઈ બધો ખોરાક બાળકોને મળે, ત્યારે ખોરો થઈ જવાથી આંગણવાડીની બહાર ઊભેલા પશુપાલકો તેમનાં ઢોર માટે રૂપિયા દસના ભાવે તે ખોરાકનું પડીકું ખરીદી લે છે.

કોવિડની બીમારીથી ભારતમાં ગરીબોની સંખ્યા ૨૬.૫ કરોડથી વધી ૪૦ કરોડ થયાનું અનુમાન છે. દર વર્ષે દુનિયાના દેશોમાં ભૂખ્યા લોકોનું પ્રમાણ મપાય છે. ૨૦૨૦માં ભૂખ્યા લોકો ધરાવના ૧૦૭ દેશની શ્રેણીમાં ભારત ૯૪મા સ્થાને હતું. આપણા પડોશી દેશની સ્થિતિ આપણા કરતાં સારી જણાય છે. આ શ્રેણીમાં શ્રીલંકા ૬૪, નેપાળ ૭૩, બાંગ્લાદેશ ૭૫, મ્યાનમાર ર૭૮ અને પાકિસ્તાન ૮૮માં સ્થાને આવે છે.

પણ ગરીબીની આનાથી ગંભીર વાત એ છે કે ભારતમાં કેટલાં બાળકો ભૂખે મરી જાય છે?

તાજમહેલથી માત્ર સાત કિલોમીટર દૂરના ગલાવિધિચંદ ગામમાં એનાં મા-બાપ, ૪૦ વર્ષની શીલાદેવી અને ૪૫ વર્ષીય પપ્પુસિંઘ અને આઠ ભાઈબહેન સાથે રહેતી પાંચ વર્ષની સોનિયાકુમારી ૨૧ ઑગસ્ટ, ૨૦૨૦ના રોજ મરી ગઈ. સ્થળ પરના અહેવાલ અનુસાર તેના ઘરમાં છેલ્લા ચાર દિવસથી કોઈએ કશું જ ખાધું ન હતું. રાજ્ય સરકારે રાશનકાર્ડ ન હોય તો પણ કોરોનાકાળમાં લોકોને અનાજ વહેંચવું એવો નિયમ જારી કર્યો હોવા છતાં આ કુટુંબને રાહતનું અનાજ રાશનકાર્ડ ન હોવાથી ન આપવામાં આવ્યું. પપ્પુસિંહ ટી.બી.થી પીડાય છે અને કામ કરવા અસમર્થ છે. શીલા ઘરનો એક માત્ર આ આધારસ્તંભ છે અને તે કંઈ પણ કામ કરવા તત્પર હોય છે. વીજળીનું બિલ ૭,૦૦૦ રૂપિયા ચડી જવાથી છેલ્લા એક વર્ષથી ઘરમાં અજવાળું નથી અને પપ્પુ માટે દવાના પૈસા પણ નથી. આ ગામ દલિતોની બહુમતી વસ્તીવાળું છે. પાંચ હજાર કુટુંબની વસ્તીમાં ૨૦૦૦ હજાર કુટુંબ પાસે રાશનકાર્ડ નથી. સરકારી આંકડા પણ એની સાક્ષી પૂરે છે. જો કે એના આંકડા પ્રમાણે ગામમાં રહેતા ૩૬૯૮ પરિવારમાંથી માત્ર ૧૯૧૮ પરિવારને તેણે કાર્ડ વહેંચ્યાં છે. સરકારી કર્મચારીઓ પાસેથી રાશનકાર્ડ કઢાવવા આધારકાર્ડ કઢાવવું જરૂરી છે અને તે કાઢવાનો ભાવ રૂપિયા ૩૦૦ બોલાય છે. સ્થાનિક કર્મશીલની સંસ્થાના સર્વેક્ષણ મુજબ આ ગામમાં માત્ર ૧૯૧ પરિવાર પાસે આયુષ્યમાન ભારતકાર્ડ છે અને તેમાંના મોટા ભાગના ધારકો પૈસાપાત્ર અને કહેવાતા બિન-દલિત પરિવારો છે. સોનિયાના પરિવારનો ચાર દિવસ અગાઉનો ખોરાક 'પારલે જી’ બિસ્કિટ હતાં અને દરેક સભ્યના ભાગે એક બિસ્કિટ આવતું હતું. શાળામાં મધ્યાહ્નભોજન ચાલુ હતું, ત્યારે તો ઘરનાં બેચાર બાળકો ત્યાં જમતાં પણ ખરાં અને મા-બાપ માટે ખોરાક ઘરે લઈ પણ આવતાં હતાં.

આ પરિસ્થિતિ આજના ભારતની છે, જે ગરીબી ગાંધીએ બિહારના ગળીકામદારની જોઈ હતી તે જ. અને જે હિન્દુ બહુમતીની શોધમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીને ભારતના બંધારણનું અસ્તિત્વ સલામત ભાસે છે, તે બહુમતીનું આ સોનિયાનું પરિવાર છે. હવે ગાંધી નથી તો ગરીબોને તેમની હાલત પૂછવા કોણ જાય? સોનિયાના મરણ બાદ સ્થાનિક સંસદ-સભ્ય પોતાની ફોજ સાથે તે પરિવારનું રાશનકાર્ડ અને અનાજ લઈને આપવા ગયા, તે જાણવા છતાં કે ગામમાં આ એક જ મરવાના વાંકે જીવતો પરિવાર નથી. આવા પરિવારના દાખલા અન્ય રાજ્યોમાંથી પણ મળી રહેશે.

નવસર્જન પાસે પૈસા નથી, પણ ગમે તેમ દાન ઉઘરાવીને કોરોનાકાળમાં ૧૦૦૦ વિધવાના પરિવારને દર મહિને રાશન આપ્યું. પણ આ તો સમુદ્રમાં એક ટીપા બરાબર પણ નથી. વિધિની વક્રતા એ છે કે ગરીબ લોકોને પેટનો ખાડો પૂરવા થોડા અનાજ માત્રની જરૂર છે, પણ સરકારના કાર્યક્રમ ૧૦૦૦ કરોડથી નીચેના હોતા નથી અને ચૂંટણી નજીક આવે, ત્યારે આ આંકડા અત્યંત મોટા ગણી કે યાદ ન રાખી શકાય તેવા હોય છે.

ટ્રસ્ટનાં અધ્યક્ષ આદરણીય ઇલાબહેન ભટ્ટ છે, તેમના શ્રમશક્તિ અહેવાલનું મથાળું જ એ હતું : આપણે ગરીબ છીએ પણ આપણે ઘણાં બધાં છીએ. પણ ઇલાબહેન, સરકારને ગરીબોની બહુમતીની જરૂર નથી, એમને તો ગાંધીના મેનુબાર પણ અને ગોડસેના મેનુબાર પણ એક ચોક્કસ સંપ્રદાયની બહુમતીની જરૂર છે.

આશ્રમના નવીનીકરણમાં છ ટ્રસ્ટો સંકળાયેલાં છે. એમાંથી બે ટ્રસ્ટનાં નામ ‘સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ’ અને 'ગુજરાત હરિજન સેવક સંઘ’ એવાં છે. આપ બંને મહાનુભાવો ગુજરાતના માજી અને હાલના મુખ્ય મંત્રી છો. આપણી સરકારે 'હરિજન’ શબ્દને માન્ય ગણ્યો છે? જે ભૂમિમાં વિશ્વકક્ષાનો ગાંધીઆશ્રમ બનાવવાનાં સપનાં જોતાં ગુજરાતમાં જો તાકાત હોય અને ગાંધીની નિષ્ઠા પ્રત્યે ગુજરાતીઓને વફાદારી હોય તો પોતાની અટક 'હરિજન’ બદલીને બતાવે. ગાંધીનું ગાંડપણ એ હતું કે કાર્યક્રમની શરૂઆત પોતાથી જ કરતા, પછી એ બકરીના પ્રયોગ હોય કે આયુર્વેદિક દવાના. એમણે તો જાહેરમાં લખ્યું પણ ખરું કે તેમનો પુનર્જન્મ હોય, તો લોકોનાં મળમૂત્ર ફંફોસ્યા કરતી સ્ત્રીના પેટે અવતરવાની ઇચ્છા છે. તમારું મંત્રીમંડળ જે 'દલિત' શબ્દનો પણ કાંટો કાઢી નાંખવા માંગે છે, તે ગાંધીની વિચારધારાના અનુયાયી બની 'હરિજન’ અટક ગ્રહણ કરી બતાવવા તૈયાર છે? ગાંધી એના કામથી, એની વાતોથી અને એના કર્મથી વિશ્વકક્ષાનો હતો, એની ઇમારતોથી નહીં.

અગાઉ વહેલી સવારે હું ઘણીવાર ગાંધી આશ્રમ જતો અને હૃદયકુંજ પાસે બેસતો. જ્યાં પ્રાર્થનાસ્થળ છે, ત્યાં વપરાયેલા નિરોધની હાજરી અંગે મેં ત્યાંના ટ્રસ્ટીઓનું પણ ધ્યાન દોરેલું છે. સંસ્થાઓ તે માત્ર મકાનો અને ચમકીલા બાગબગીચા નથી. આમે ય ગાંધીનો ઓરડો વિવાદિત લોકો માટે જ પ્રવેશપાત્ર છે, સામાન્ય લોકોને તો તેમને જે ગાંધી વહાલો હતો, તેના ઓરડાના દર્શન જાળીમાંથી ડોકિયું કરીને જ કરવાના હોય છે. જે રીતે ચીન-જાપાનઅમેરિકાના મહારથીઓની મુલાકાત ટાણે આપણે સરકારી ખર્ચે દાંડીપૂલની સામેની ગરીબ વસ્તીને ગ્રીન નેટથી ઢાંકી દઈએ છીએ અને ક્યારેક દીવાલ ચણી લઈએ છીએ તેમ.

ગાંધી માટે પાઈ-પાઈની કિંમત હતી. નોઆખલીમાં ગાંધી ન આવે માટે તેમના રસ્તામાં શરાબની બૉટલો તોડીને પગદંડી પર નાંખવામાં આવેલી અને એમાંના ઘણા કાચ ગાંધીના પગમાં વાગેલા. પણ એનામાં ઝનૂન હતું દેશમાં કોમી સંવાદિતા ઊભી કરવાનું. રાત્રે આ જંગલના રસ્તે માત્ર મનુ અને આભાના સહારે જતા. ધૂળમાં લોકો વચ્ચે બેસતા અને લોકોને આઝાદીનું મહત્ત્વ સમજાવતા. એમની વાત સાંભળી ફાનસ પાસે જ લોકો પાઈપૈસો પોતાનો ફાળો નાંખતા. સભા બાદ મનુ-આભાનું કામ પૈસા ગણીને ભેગા કરવાનું અને એનો દૈનિક હિસાબ રાખવાનું. એક દિવસ મોડી રાત્રે રહેઠાણે પાછા આવી સૂતા પહેલાં ગાંધીએ બે કુમારિકાઓ પાસે દાનના પૈસાનો હિસાબ માંગ્યો અને પ્રશ્ન કર્યો કે તેઓ જે કહે છે, તેટલું જ દાન આવ્યું છે કે વધુ? છોકરીઓ રડમસ થઈ ગઈ. પોતા પર ચોરીનો આરોપ? ગાંધીએ સમજાવ્યું : ત્યાં અંધારું હતું અને ધૂળ હતી. શું ખાતરી કે એક પાઈ-પૈસો ધૂળમાં રહી નથી ગયો. ગાંધીએ બે છોકરીઓને ફાનસ લઈ એકલી જગલમાં મોકલી સાથે ધૂળ ચાળવાની ચારણી સાથે. ડરથી ફફડતી મનુ-આભા રાત્રે એકલી ગઈ અને ધૂળ ચાળીને થોડા પાઈ-પૈસા લઈ પણ આવી.

સજ્જનો, ૧૨૫૦ કરોડ રૂપિયાનો વહીવટ કરવો એ તો સરકારના ડાબા હાથનો ખેલ છે. જે ગરીબો ગાંધીનાં મન-હૃદયમાં વસતા હતા, તે ઘરની સ્ત્રીઓએ પોતાની જિંદગીભરની નાની બચત ઘરની ગોદડીમાં પોતાનાં બાળકોના ભવિષ્ય માટે દારૂડિયા પતિની કાતિલ નજરોથી દૂર સંતાડી રાખેલી અને તેને તમે 'ડીમૉનેટાઇઝેશન’ જેવા દેશની ગરીબી જેવા જ ભારે શબ્દના ખોફ વચ્ચે ધૂળધાણી કરી નાંખી એના હિસાબ આપી જાણો તો તમને સલામ. મારી મા પણ ગોદડીમાં જ પૈસા સંતાડતી હતી. એવી ચર્ચા છે કે રાજકીય પક્ષોએ પોતાના કરોડો રૂપિયાનો વહીવટ આ ખાનગી કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ કરી નાંખેલો.

ગાંધીનો આશ્રમમાં પ્રથમ સંઘર્ષ આભડછેટ સામે હતો. તે ઇતિહાસનું ચિત્રણ આશ્રમના નવીનીકરણનો જે નકશો તમે છાપાંઓમાં છાપવ્યો છે, તેમાં હું ભાળતો નથી. તમારી સરકાર તો નવસર્જનના આભડછેટના અભ્યાસથી ડરે છે. નવસર્જને જ્યારે ગુજરાતમાં પ્રથમ વાર ગુજરાતના ઇતિહાસમાં માથે મેલું ઉપાડવાના મુદ્દે વડી અદાલતમાં જાહેરહિતની અરજી ૧૯૯૭માં દાખલ કરી, ત્યારે પણ ગુજરાત સરકારે તો સોગંદનામું એવું કર્યું કે ગુજરાતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા અસ્તિત્વ ધરાવતી નથી, કારણ ગુજરાતે તે પ્રથાને ત્રણ-ત્રણ વાર પ્રતિબંધિત જાહેર કરી છે.

અમારી પાસે દોઢેક હજાર ગામના ફોટા છે કે સરકારે 'સ્વચ્છભારતમાં જે હજારો શૌચાલય બાંધ્યાં છે, તેની વાસ્તવિક સ્થળ પરની હાલત કેવી છે. પણ અમારી દરેક પ્રવૃત્તિ તમને ‘રાષ્ટ્રવિરોધી’ લાગે છે, જેમ ગાંધીની પ્રવૃત્તિ અંગ્રેજોને લાગતી હતી.

ગાંધીનો શૌચાલયના મુદ્દે સંઘર્ષ ભારે હતો. ૧૯૧૧માં મુંબઈમાં સફાઈ-કામદારોની હાલતનું ગાંધીએ કરેલું વર્ણન વાંચવા જેવું છે. ઠક્કરબાપાએ એ હાલત જોઈને જ સરકારી ઇજનેરની નોકરી છોડી આ કામમાં ઝંપલાવેલું. પરીક્ષિતલાલ મજુમદાર અને મામા ફડકેનાં નામ કેમ ભુલાય? મામા તો રત્નાગીરીની જેલમાં પોતાને સંડાસ-સફાઈનું કામ મળે તે માટે ઉપવાસ પર ઊતરેલા અને અંગ્રેજ સરકારમાં રમખાણ મચેલું કે જેનું જ્ઞાતિગત કામ નથી, તેને તે કામ આપવું કઈ રીતે? આ ઉપવાસના સમાચારથી મામાના ટેકામાં ગાંધી સહિત સેંકડો લોકો જેલમાં ઉપવાસ પર ઉતરેલાં.

૧૯૩૦માં ગાંધીની ગોધરાની મુલાકાતમાં ત્યાંની દલિત વસ્તીમાં અજીબ અનુભવ થયો. સમગ્ર ગોધરા શહેરનો આ સ્વચ્છ અને સુઘડ વિસ્તાર હતો, પણ દલિત-ફળિયામાં કોઈ મનેખ ન જણાય. બધાં ય ગાંધીને અને તેના કરતાં ય વિશેષ ગાંધીના ભક્તોને પોતાના પડછાયાની આભડછેટથી બચાવવાની ચિંતામાં હતા. ગાંધીના લાખ આગ્રહ છતાં ય કોઈ નીચે ન ઊતર્યું અને અંતે ગાંધીની વાત માની એક વૃદ્ધ નીચે ઊતરી સભામાં છેવાડે દૂર બેઠા. લોકોએ ગાંધીને કહ્યું પણ ખરું કે તમે જાવ પછી એમના ભક્તો એમની બૂરી હાલત કરશે.

ગાંધીએ અહીંયા દલિત બાળકો માટે શાળા શરૂ કરી પણ શિક્ષક ન મળે. મુસ્લિમ શિક્ષક મળ્યો, પણ બાળકોને એવા ફટકારે કે નજીક કોણ આવે અને છેલ્લે આ કામ મામા ફડકેએ ઉપાડ્યું. પણ બાળકો એમાં નાનાં ભાઈ-બહેનને ઘરે કેમ કરી મૂકી શકે? મામાએ કહ્યું કે એમને લઈને આવો. આ નાનાં ભૂલકાં પેશાબ અને ઝાડા પણ શાળામાં કરે. એની સફાઈ અત્યારે ગુજરાતના ગામમાં શિક્ષકો પોતાના માટે બાળકોને માવા-મસાલા લેવા મોકલે છે તેવા ન હોઈ, મામા પોતે કરતા હતા. કાઁગ્રેસના પ્રથમ અધિવેશનમાં મંચ પરથી ઊતરી સંડાસસફાઈ માટે ગાંધીએ ઝાડુ પકડેલું. આશ્રમમાં સંડાસ કેમ બનાવવાં, એમાં રાખ કેટલી નાંખવી અને એમાં ફળનાં વૃક્ષ કેવી રીતે રોપવાં તેની વિશાળ ચર્ચા એમનાં લખાણોમાં છે.

નવસર્જને આપની સરકારને ૨૦૧૭માં ‘આભડછેટ મુક્ત-ભારત’(કાઁગ્રેસમુક્ત-ભારત કે ભા.જ.પ.મુક્ત ભારત નહીં)ના નેજા હેઠળ એક લીટીનું આવેદન આપેલું કે ૧૫મી ઑગસ્ટના રોજ ધ્વજ ફરકાવ્યા બાદ ગુજરાતના માત્ર એક ગામને આભડછેટમુક્ત જાહેર કરો. પણ આપની સરકારને આમેજ કરેલ વિકાસમાં શ્રદ્ધા ન હતી અને તમે તે એક માત્ર ગામ કે જ્યાં આભડછેટ નથી, તેનું નામ ન આપી શકયા. નવીનીકરણ ગાંધી આશ્રમનું નહીં પણ પ્રજાની વર્ણવ્યવસ્થાથી ખદબદતી દૂષિત માનસિકતાનું કરવાનું છે, પણ તે માટે તમારા અને મારા અંતરમાં ગાંધી અને આંબેડકરનું સ્થાન હોવું જોઈએ.

આજે ગુજરાતની કેટલી શાળાઓમાં પાણીનાં માટલાં એક છે? ગુજરાતની કેટલી શાળાઓમાં મધ્યાહ્‌ન ભોજન દરમિયાન બાળકો એક હરોળમાં જમે છે? આઝાદી પછી ગુજરાત સરકારે 'અસ્પૃશ્યતાનિવારણ’નાં કેટલાં કામ કર્યાં? લાંબો ઇતિહાસ યાદ ન રહે તે સ્વાભાવિક છે. એ માત્ર આપની સરકારની કામગીરી જાહેરમાં જણાવો, તો પણ ઘણું. મુખ્ય મંત્રી તરીકે દલિત કે આદિવાસી અત્યાચારની જઘન્ય ઘટનાઓમાં લોકોને દિલાસો આપવા આપ કેટલાં ગામમાં ગયા છો? એકાદ દલિતના ઘરે પહેલાથી નક્કી કરી એના ત્યાં ભોજન લેવાના કાર્યક્રમનું આયોજન કાબિલેદાદ હોય છે. પણ દલિતને પોતાના ઘરે જમવા બોલાવવાનો કાર્યક્રમ હજુ કોઈએ ગોઠવ્યો નથી. આ આભડછેટની વરવી વાસ્તવિકતાઓનું કોઈ ચિત્રણ કે ઐતિહાસિક નિરૂપણ આશ્રમના નવીનીકરણમાં ખરું?

‘હરિજન સેવક સંઘ’ની શરૂઆત પૂના કરાર બાદ દલિતોનો રોષ ઠારવા માટે થઈ. ત્યારે ડૉ. આંબેડકરે ગાંધીને સણસણતો સવાલ પૂછેલો : આ ટ્રસ્ટમાં એક પણ દલિત ટ્રસ્ટી કેમ નહીં? ગાંધીનો જવાબ હતો કે અસ્પૃશ્યતા એ અમારા બિનદલિતોનું પાપ છે, એટલું એનું પ્રાયશ્ચિત્ત છે. સાચું. હરિજન સેવકસંઘની પ્રવૃત્તિઓ કઈ? આજે ગાંધી-આશ્રમમાં સેંકડો લોકો આવે છે, તે શૌચાલયની સફાઈ કોણ કરે છે?

આઝાદી માટે પ્રશિક્ષિત કાર્યકરોની ફોજ ઊભી કરવા ગાંધીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. એમાંના એક ટ્રસ્ટી આદરણીય નારણભાઈ રાઠવા હતા. એમની વૃદ્ધ ઉંમરે તેમની સાથે કામ કરવાનો મને અનુભવ છે. એ વિદ્યાપીઠમાં સભા માટે આવે, ત્યારે ખબર પડી કે એમના માટે ભોજન રસોઇયો રાંધવાના બદલે, બહારથી મંગાવતો હતો. આંખોમાં ઝળઝળિયાં સાથે નારણભાઇ એ મુદ્દે મૌન રહ્યા. પણ હું અસ્વસ્થ થઈ ગયો હતો. આ વિદ્યાપીઠમાં દલિત વિદ્યાર્થીઓ જ્ઞાતિગત ભેદભાવના મુદ્દે અગાઉ રમખાણે ચડ્યા છે? એની જાહેર ચર્ચાઓ થાય ખરી?

ગાંધીના ગયા બાદ આ સંસ્થાઓમાંથી ગાંધીનાં મૂલ્યો પણ ગયાં. જે રહ્યું તે જમીન અને એની સંપત્તિ અને ખાદી-ચરખો-ત્રણ વાંદરાનાં રમકડાં. સંપત્તિનું નવીનીકરણ થાય તેમાં કોઈને વાંધો લેવો અઘરો છે. પણ ગાંધીઆશ્રમમાં આંતરજ્ઞાતીય લગ્નો કે ભોજન-સમારંભો ગોઠવો તો ઘણું. આશ્રમમાં જ ગાંધીએ લક્ષ્મીનાં લગ્ન કરાવેલાં. વર્ધાના આશ્રમમાં, ભારતની બંધારણસભામાં ૧૫ સ્ત્રી-સભ્યોમાં એક માત્ર દલિતસ્ત્રી, દક્ષિયાનીવેલાયુધન, જે ભારતની પ્રથમ સ્નાતક અને તે પણ વિજ્ઞાનશાખામાં ઉત્તીર્ણ થનાર દલિત સ્ત્રી, તેનાં લગ્ન ગાંધી-કસ્તૂરબાએ કરાવેલાં. ગાંધીએ દક્ષિયાનીને છૂટ આપેલી કે વર્ધાના આશ્રમમાં તે માંસાહાર કરી શકે પણ તેમની વિનંતી હતી કે રાંધવાનું કામ એની પોતાની કુટિરમાં જ થવું જોઈએ. ગુજરાતમાં અને ભારતમાં જે કોમો શાકાહારી ગણાય છે, તેમાંના ૪૫ ટકા લોકો માંસાહારી છે. ગાંધી આશ્રમમાં કે ગાંધીવાદી સંસ્થાઓમાંના રસોડાના ભોજનમાંથી વૈચારિક આતંકવાદ દૂર કરવાનું શક્ય છે ?

જિંદગીનો મોટો ભાગ ગાંધીએ કારાવાસમાં વિતાવ્યો. પૂનાની જેલમાં જ કસ્તૂરબા મરણ પામ્યાં. ગાંધીએ પણ સારું મોત ન જોયું. હવે એનું અને એના નામે કરવાનું બાકી શું છે? ગાંધીઆશ્રમમાં નચિકેતભાઈ ધરણા પર બેઠા તો બે ટ્રસ્ટીએ એમને બેસવાની વ્યવસ્થા ગાંધીઆશ્રમની બહાર ફૂટપાથ પર કરી આપી અને પાથરણું પણ આપ્યું. ક્યા ગાંધીના વૈચારિક વારસાનો આપણને ગર્વ છે?

લખવું ઘણું છે પણ અહીં જ પૂરું કરું છું. ગાંધીના ભૌતિક વાતાવરણનું નવીનીકરણ ભલે થાય. એનાથી ઓછા લોકોના પેટમાં તેલ રેડાશે કે બળતરા થશે પણ ૧૨૫૦ કરોડની માતબર રકમથી ઘણા વધારે લોકોને ગલગલિયાં થશે. મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ આઝાદીકાળમાં લખેલુંઃ 'ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે’. લાગે છે તે ક્યારેક ગાંધીના ગુજરાતમાં સાચું પડશે?

૬ સપ્ટેમ્બર, ૨૦૨૧

માર્ટિન મેકવાન

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 05-08

Loading

No, Thank You

આશા બૂચ|Opinion - Opinion|15 September 2021

પ્રતિ,

ટ્રસ્ટીમંડળ,

ગાંધીસ્મારક સંગ્રહાલય

સાબરમતી આશ્રમ

અમદાવાદ

માનનીય શ્રી ઇલાબહેન ભટ્ટ, કાર્તિકેય સારાભાઈ, સુદર્શનભાઈ આયંગાર, નીતિનભાઈ શુક્લ, અશોક ચેટર્જી, અમૃતભાઈ મોદી તથા અતુલભાઈ પંડ્યા,

નમસ્કાર.

સાબરમતી આશ્રમનું રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ‘નવીનીકરણ’ કરવાની ભારતની કેન્દ્ર સરકારની અને ગુજરાતની રાજ્ય સરકારની યોજના વિષે જાણકારી મળી.

સૌ પ્રથમ શ્રી તુષારભાઈ ગાંધીના લેખ અને ત્યાર બાદ ૧ સપ્ટેમ્બર ’૨૧ના ‘નિરીક્ષક’ના અંકમાં પ્રગટ થયેલ આદરણીય શ્રી રાજમોહન ગાંધીના લેખ, તેજસ વૈદ્યના આપ સહુની બી.બી.સી. સાથેની મુલાકાત પર આધારિત લેખ તેમ જ થોમસ વેબર, ચાર્લ્સ ડી સિલ્વા તથા ડેનિસ ડાલ્ટનના લેખો દ્વારા વધુ માહિતી મળી. સહુનાં મંતવ્યો જાણ્યાં. 

આ વિષે મારા વિચારો નમ્રપણે જણાવવા માગું છું.

એક હકીકત સ્પષ્ટ છે કે સરકાર ભલે આશ્રમની સાદગી જાળવી રાખવાનું વચન આપે, પરંતુ તેની આસપાસ જે આધુનિક સગવડો ઊભી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, તે આશ્રમની પ્રતિમાને ઝાંખપ લગાડનારો છે. ભૌતિક સુખસગવડો પાછળ પાગલ થઈને દોડતી ભારતની અને અન્ય દેશોની પ્રજાને ફૂડકોર્ટમાં જઈને પીઝા અને બર્ગર આરોગવાનું આકર્ષણ વધુ રહેશે અને ગાંધીવિચારને સમજવાની જગ્યા તેમના પેટમાં કે દિમાગમાં નહીં રહે એ સંભવિતતા નિશ્ચિત છે.

ગાંધીજી કરતાં વધુ સારી વક્તૃત્વશક્તિ, શારીરિક મોહક પ્રતિભા અને વધુ માનપ્રદ ઉચ્ચ સ્થાન ધરાવતી હસ્તીઓ ૧૯મી-૨૦મી સદીમાં અસ્તિત્વમાં હતી. છતાં માત્ર ધોતી પહેરેલ, બહારથી તદ્દન સાધારણ દેખાતા ગાંધીજી ધીમા અને નરમ અવાજે બોલતા, તો કરોડો લોકો તેમને સાંભળતાં અને લાખો લોકો અનુસરતાં; તેનું કારણ તેઓ જે અમલમાં મૂકતા તે જ બોલતા એ છે. તો એમના વિશેની જાણકારી એમ્ફિથિયેટરના ઝગમગાટથી લોકોને વધુ સમજાશે કે હાલના સાદગીભર્યાં માહિતીપ્રસારનાં માધ્યમોથી?

યુ.કે.માં વડ્‌ર્ઝવર્થ અને જ્હૉન રસ્કિનનાં નિવાસસ્થાનો યથાવત્‌ રાખવામાં આવ્યાં છે. માર્ટિન લ્યુથર કિંગનાં સ્મારકો પણ સાદગીભર્યાં છે. જે લોકો અને નેતાઓ આપણા મહાપુરુષોનાં વિચારો અને કાર્યોને ઓળખતાં નથી તેઓ જ આવું છીછરું પગલું ભરે, વિચારે. શ્રીરામ અને શ્રીકૃષ્ણને આદર્શ માનવી ગણી, તેમના બોધને જીવનમાં ઉતારવાને બદલે પથ્થરની મૂર્તિમાં ચણી દીધા. સરદાર પટેલનું પણ બાવલું બનાવ્યું. હવે ગાંધી આશ્રમને સરકારી તિજોરી ભરવા માટેની કામધેનુ બનાવવાના પ્રયાસ ચાલે છે. આ કૃત્ય આપણી હયાતીમાં તો નહીં જ થવા દેવાય.

ઈ.સ. ૧૮૩૦માં થેમ્સ નદીના બે કિનારાને જોડતો લંડનબ્રિજ બાંધવામાં આવેલ. ઈ.સ. ૧૯૬૮માં McCullock નામના ધનપતિએ તે ખરીદી લીધો અને અમેરિકાના રેતાળ પ્રદેશ એરિઝોનામાં પ્રવાસીઓને આકર્ષવા માટે ત્યાં લઈ જઈને ફરી બાંધ્યો. જો ભારત સરકારને પણ ધન કમાવાનો અને વર્તમાન રાજકીય પક્ષ અને ખાસ કરીને વડા પ્રધાનને પોતાના નામે વર્લ્ડક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છોડી જવાનો મનસૂબો હોય, તો આ પ્રકલ્પ ગુજરાત કે ભારત કરતાં બીજા રાજ્ય કે દેશમાં વધુ નાણાં મેળવી આપે એ શક્ય છે.

ગુજરાતની પ્રજા સરદારનું બાવલું બનાવવા ખાતર અસંખ્ય લોકોનાં ઘર, જમીન અને આજીવિકાનાં સાધનો લૂંટાઈ જતાં રોકી ન શકી. હવે સાબરમતી આશ્રમનું વ્યાપારીકરણ થતું અટકાવવા માટે પ્રતિબદ્ધ થવું રહ્યું. NO, THANK YOU જ કહી દેવું રહ્યું.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આસપાસનાં ભવ્ય બગીચાઓ, તળાવ, રોપવે વગેરે પાછળ ખર્ચેલ રાશિ કિસાનોને ખેતસુધાર માટે, મહિલાશિક્ષણ અને રોજગારી વાસ્તે, જ્ઞાતિવાદ અને કોમવાદની નાબૂદી માટે તાલીમ પાછળ ખર્ચવા સરદાર પટેલે કહ્યું હોત. તેમ જ ગાંધીજી પણ કહેત કે આ ભૂમિને એક શાંતિસૈનિકો માટેનું તાલીમકેન્દ્ર અને સત્ય-અહિંસાના શાસ્ત્ર માટેનું અભ્યાસ તેમ જ સંશોધનકેન્દ્ર બનાવો, તો જ દુનિયાનું World Class d=Destination બનશે. ફિનિક્સ સેટલમેન્ટે આ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.

સરકાર ૫૫ એકર જેટલી જમીન કબજે કરવા માંગે છે, ત્યાં અત્યારે કોણ વસે છે, શો વ્યવસાય કરે છે અને તેમની ભાવિ યોજના શી છે, એ જાણીને હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપી, આ નવીનીકરણના પ્રસ્તાવનો વિરોધ કરવા તેમને ગાંઠે બાંધી શકાય. જ્યારે દુનિયાના બીજા દેશો વાહનો ઓછાં વાપરીને પર્યાવરણને બચાવવા પગલાં લે છે, ત્યારે ગાંધીના હૃદય સમા હૃદયકુંજને જોવા જવા માટે મોટા રસ્તાઓ અને કારપાર્ક બાંધવા છે? પછી તેની વચ્ચે આશ્રમ સુરક્ષિત રહ્યો તેમ શી રીતે માની શકાય? આવા કાર્યમાં આપણે શી રીતે સાથ આપી શકીએ?

આપ સહુ ટ્રસ્ટીઓ ભારતની અને વિદેશમાં વસતી ભારતીય પ્રજા કે જેને ગાંધી – વિચાર અને આચારનું મૂલ્ય સમજાય છે અને તેને જાળવવાની તરફેણમાં છે, તેમના વતી આ નવીનીકરણના પગલાંને ઊગતું જ રોકી દેવાની અસરકારક ચળવળ આરંભ કરશો તેવી શ્રદ્ધા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુજરાત અને ભારતની પ્રજાને લેખિત ખાતરી આપે કે વર્તમાનમાં કે ભવિષ્યમાં આ પ્રકારના ફેરફારો કરવામાં નહીં આવે. આ સ્થળ રાષ્ટ્રીય ધરોહર છે. આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે.

આવનારી પેઢી માટે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અતિ મહત્ત્વપૂર્ણ ઇતિહાસ, તેની પાછળની ભૂમિકા અને તેના હાર્દને પોતાની માટીમાં સંકોરીને ગરિમાપૂર્ણ સાદગીથી, શાનદાર છટાથી પલાંઠી વાળીને બેઠેલા સાબરમતી આશ્રમને દેણગીમાં આપી જવાની આપણી ફરજ છે. ગુજરાત કે કેન્દ્ર સરકાર તેમાં દખલ ન કરી શકે.

આપ સહુને વિગતવાર નિવેદન કરવાની અનધિકૃત ચેષ્ટા કરવા બદલ માફી ચાહું છું, પરંતુ મારી આ વ્યથા, આશંકા અને કંઈક કરી છૂટવાની લાગણીમાં ઘણાં લોકોના મંતવ્યોનો પડઘો છે. આપ સહુ આ હકીકતો જાણો છો, માત્ર અમારા વતી સરકારોને જણાવો તેવી વિનંતી.

આશા રાખું છું, થોડા જ સમયમાં સરકારે આ આખો પ્રકલ્પ પાછો ખેંચી લીધો છે, એવા શુભ સમાચાર મળશે.

આપની વિશ્વાસુ

આશા બૂચના વંદન

E-mail : 71abuch@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 09 તેમ જ 08

Loading

નિરંતર વિદ્યાર્થી રહે, એ જ સાચો શિક્ષક

સોનલ પરીખ|Opinion - Opinion|14 September 2021

એક મિત્ર વારંવાર કહેતા હોય છે, ‘શિક્ષકને વળી શું કામ હોય? છોકરાં ભણાવવાનાં ને પગારો ખાવાના.’ એક અધિકારી કહે છે, ‘ક્યાં ય ન ચાલે એ શિક્ષક બની જાય.’ 24 વર્ષની દર્શિતા માટે એક શિક્ષકનું માગું આવ્યું ત્યારે તેણે સ્વયંવરમાં દ્રૌપદીએ કહ્યું હશે એ ઢબે કહ્યું, ‘હું શિક્ષકને નહીં પરણું.’ શિક્ષણ જેવો ઉમદા પ્રક્રિયા અને શિક્ષક જેવા ઉમદા વ્યવસાયનું આવું અવમૂલ્યન થતું જોઈ જીવ બળે અને વિચાર પણ આવે કે આવું થવાનું કારણ શું? શિક્ષકદિન પર આપણે એ કારણમીમાંસામાં નથી પડવું – આપણે યાદ કરીએ માનવીના સ્વભાવ અને વિકાસ સાથે જોડાયેલી શિક્ષણપ્રક્રિયાને, શિક્ષણને અને શિક્ષકને.

શિક્ષણ એટલે વ્યક્તિમાં રહેલી શક્તિઓને ઉપસાવતી અને કેળવતી પ્રક્રિયા. તેના ત્રણ  પ્રકાર છે : (1) સહજ શિક્ષણ – ઈન્ફૉર્મલ એજ્યુકેશન (2) ઔપચારિક શિક્ષણ – ફૉર્મલ એજ્યુકેશન (3) અનૌપચારિક શિક્ષણ – નૉનફૉર્મલ એજ્યુકેશન.

શિક્ષણની જે પ્રક્રિયા બાળકના જન્મથી મૃત્યુપર્યંત અભાનપણે ચાલ્યા કરતી હોય છે તેને સહજ શિક્ષણ કહે છે. વ્યક્તિ જે કંઈ જુએ, સાંભળે, અનુભવે, વાંચે, બીજી વ્યક્તિઓના સંપર્કમાં આવે એની અસર તેના વ્યક્તિત્વ પર પડતી હોય છે. બાળક સાંભળીને ભાષા શીખી લેતું હોય છે એ હકીકત સહજ શિક્ષણનું એક ઉદાહરણ છે. ઔપચારિક શિક્ષણ શાળા-કૉલેજમાં નિયત અભ્યાસક્રમો અને સમયપત્રક મુજબ તેમ જ ચોક્કસ પદ્ધતિથી આપવામાં આવે છે. શિક્ષણના નામે જે ચર્ચા કરવામાં આવતી હોય છે તે શાળા-કૉલેજમાં અપાતા શિક્ષણની હોય છે. અને ચોક્કસ પ્રકારની કામગીરી માટે વ્યક્તિને જે તાલીમ-પ્રશિક્ષણ આપવામાં આવે છે તેને અનૌપચારિક કે નૉન-ફૉર્મલ શિક્ષણ કહે છે. ઔપચારિક શિક્ષણ વ્યક્તિની સામાન્ય શક્તિ વિકસાવે છે, જ્યારે અનૌપચારિક શિક્ષણથી વ્યક્તિની ચોક્કસ શક્તિનો વિકાસ થાય છે.

‘‘મારા જન્મદિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે તો હું ખૂબ ગૌરવ અનુભવું.’’ આવું કહેનાર ડૉ. સર્વપલ્લી રાધકૃષ્ણન એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ – બહુમુખી પ્રતિભા ધરાવનાર અને દેશ માટે બહુમૂલ્ય પ્રદાન કરનાર આજીવન શિક્ષક. શિક્ષક દિન નિમિત્તે એમની ઉક્તિઓને યાદ કરીએ :

• ઈશ્વર દરેક મનુષ્યમાં જીવે છે, સંવેદનો અનુભવે છે, પીડા વેઠે છે અને સમય જતાં પોતાનાં ગુણો, જ્ઞાન, સૌંદર્ય અને પ્રેમને દરેક મનુષ્યમાં સાકાર કરે છે

• ધર્મ વર્તન છે, માન્યતા નહીં

• સાચો શિક્ષક આપણને પોતાના વિશે વિચારતા કરે છે

• શિક્ષણ સંસ્કૃતિઓને સાંધતો સેતુ છે

• શિક્ષકો, દેશના સૌથી વધુ બુદ્ધિમાનો હોવા જોઈએ

• આવડી ગયું એમ લાગે, એ પછી શીખી શકાતું નથી

અગાઉ એમ મનાતું કે શિક્ષક એ જ્ઞાનનો અખૂટ અને એકમાત્ર ભંડાર છે અને શીખનાર એ જ્ઞાનની પ્રતીક્ષા કરતું ખાલી પાત્ર છે – એક તરફ સક્રિય દાતા તો બીજી તરફ નિષ્ક્રિય યાચક. આ માન્યતા સાચી નથી. વાસ્તવિક પણ નથી. આજના જ્ઞાનવિસ્ફોટના યુગમાં કોઈ પણ શિક્ષક પોતે સર્વ જ્ઞાનનો સ્વામી છે એવો દાવો કરી શકે એવી સ્થિતિ રહી નથી. આમ પણ સાચો શિક્ષક એ છે જે નિરંતર વિદ્યાની સાધના કરતો વિદ્યાર્થી હોય.

શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રયોગો અને સંશોધનો દ્વારા એ સિદ્ધ થયું છે કે વિદ્યાર્થી ભલે ગમે તે વયનો હોય – એનું ચેતન મન અને વિશેષ તો અચેતન મન, અખૂટ લાગણીઓ, વિચારો, કલ્પનાઓ, તર્કો, તરંગો વગેરેથી ઊભરાતું હોય છે. આથી જ દૃષ્ટિમંત શિક્ષક હંમેશાં પોતાના અદનામાં અદના વિદ્યાર્થીની ક્ષમતા માટે આદર અને વિશ્વાસ ધરાવતો જોવા મળશે. શિક્ષણના બધા તબક્કે આવા જ શિક્ષકોની તાતી જરૂર છે એ હવે સ્વીકારાયું છે.

શીખવાની પ્રક્રિયા મૂળભૂત રીતે વ્યક્તિની અંગત અને ઐચ્છિક પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ કરનાર શીખવાને લગતા અનેક નિર્ણયો લેતો હોય છે. એવા નિર્ણયો લેવાની એની સજ્જતા જેટલી ઓછી એટલા પ્રમાણમાં શીખવવામાં એને નડતા અવરોધોની સંખ્યા મોટી, અને શીખવા માટેની એની સ્વતંત્ર ઇચ્છાશક્તિ જેટલી ઉત્કટ એટલી એની શીખવાની પ્રક્રિયા ઝડપી. આપણે ઘોડાને પાણી પાસે લઈ જઈ શકીએ, પણ એને એ પાણી પીવાની ફરજ પાડી શકીએ નહિ. એ ઉક્તિ શીખનાર માણસને પણ લાગુ પડે છે. ફક્ત દબાણ, હુકમ, ધાકધમકી, શારીરિક શિક્ષાનો ભય કે ગુણની લાલચ શીખનારને અભિપ્રેરિત કરી શકતાં નથી.

વિદ્યાવિમુખ સામાજિક પર્યાવરણ એ શીખવાની પ્રક્રિયાનું બીજું વિઘ્ન છે. નિરક્ષરતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, ગરીબાઈ, કુરિવાજો, લિંગભેદ, પછાતપણું, પૂર્વગ્રહો વગેરેને કારણે કેટલાક સમુદાયોમાં વિદ્યાવિરોધી અભિગમ જોવા મળતો હોય છે. આવા પર્યાવરણમાં ઉછરેલા બાળકની માનસિક સજ્જતામાં ઘણી ઊણપો હોય છે. આવાં અસંખ્ય બાળકો કાં તો ભણવા જતાં નથી અને જો જાય તો થોડા વખતમાં મૂકી દે છે.

શાળાનું આધાર-માળખું આમાં ઉપકારક કે વિઘ્નરૂપ હોઈ શકે. શાળાનું મકાન, રમતનું મેદાન, ભૌતિક સગવડો, શાળાનું સમયપત્રક, શાળાની કામગીરીનાં ધારાધોરણો, અભ્યાસક્રમ, શિક્ષણ-પરીક્ષણની પદ્ધતિઓ, પાઠ્યપુસ્તકો અને અન્ય અધ્યયન સામગ્રી, શિક્ષક, આચાર્ય અને અધિકારી વર્ગના અભિગમો વગેરે અસંખ્ય સ્થૂળ-સૂક્ષ્મ બાબતોનો એમાં સમાવેશ થાય છે. આપણી શાળાઓમાં આ બાબતો સંદર્ભે જોવા મળતી અનેકવિધ અપૂર્ણતાઓ વિદ્યાર્થીના દિલમાં શાળા, શિક્ષક, શિક્ષણ અને સમગ્ર વ્યવસ્થા પ્રત્યે અણગમો, અરુચિ, અવિશ્વાસ અને શંકા જ નહીં, પણ શત્રુતાની ઉગ્ર લાગણી જન્માવે છે એ સંશોધનોથી સાબિત થયેલી હકીકત છે.

જે સમાજમાં કાયદાનું શાસન નબળું હોય, જ્યાં ઘડાતી નીતિઓના પાયામાં નક્કર વિચાર ન હોય, જે વ્યવસ્થાને બેદરકારી, પ્રમાદ, લાગવગ, લાંચરુશવત અને અનૈતિક રીતિનીતિનો મહાવ્યાધિ લાગુ પડેલો હોય અને જ્યાં ગુણવત્તા, ઉત્તમતા અને નિરપેક્ષતાનો તત્કાલ અંગત કે પક્ષીય ટૂંકા લાભની વેદી પર ભોગ લેવાતો હોય, ત્યાં શિક્ષણ રુંધાય છે.

શિક્ષણ એટલે માત્ર વાચન, લેખન અને ગણન નહીં, શિક્ષણ એટલે માત્ર વિવિધ વિષયોનું જ્ઞાન નહીં, શિક્ષણ એટલે હાથપગ અને જ્ઞાનેન્દ્રિયોના સંયોજન દ્વારા કશુંક ઉત્પાદક કામ કરવાનો હુન્નર. શિક્ષણમાં ખેતી, સુથારીકામ, લુહારીકામ, દરજીકામ વગેરેથી માંડી આધુનિક ટેક્નૉલૉજીના ઉપયોગ વડે થતાં વિવિધ કામોની આવડતો અને એ ઉપરાંત અનુકૂલન, પરિવર્તનશીલતા, કલ્પના, પુનર્ઘડતર, આત્મસાક્ષાત્કાર, પર્યાવરણ-જાગૃતિ, નીતિમત્તા જેવી માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે.

શિક્ષણે વ્યક્તિમાં પૂરતી આજીવિકા રળવાની ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. શિક્ષણે વ્યક્તિને, પોતાના દેશ અને કાળના સંદર્ભે જ્ઞાન પામવાની આવડતો અને કૌશલ્યો વિકસાવવામાં સહાય કરવી જોઈએ, શિક્ષણ એવું હોય કે જે વ્યક્તિને સર્વક્ષેત્રે મહત્તમ ઉત્પાદક અને સંવેદનશીલ વ્યક્તિ તેમ જ જવાબદાર અને સક્રિય નાગરિક બનાવે. શિક્ષણ દ્વારા વ્યક્તિનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. વિદ્યાર્થીનું શરીર, જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ, લાગણીઓ, વલણો, આત્મા, અભિગમો, આગ્રહો, શ્રદ્ધાઓ અને કૌશલ્યો એ બધાં શિક્ષણ દ્વારા પર્યાપ્ત રીતે વિકાસ પામે તેની શિક્ષકે દરકાર રાખવી જોઈએ. ઉપરાંત સમાજમાં દરેક સંજોગોમાં અન્યોની સાથે શાંતિ, સુમેળ, સહયોગ, સમજદારી, સંવાદ અને સક્રિયતાપૂર્વક આનંદથી જીવી શકાય તેવાં કૌશલ્યો અને અભિગમો વિદ્યાર્થીમાં વિકસાવે તેવી પણ શિક્ષક પાસે અપેક્ષા છે.

દેશ-દેશની શિક્ષણવ્યવસ્થાઓ પોતપોતાની રીતે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખે છે. વિશ્વગ્રામ બની ચૂકેલા આજના વિશ્વને ગ્લૉબલ માઈન્ડસેટ અને ગ્લૉબલ વર્ક-કલ્ચરને અનુરૂપ માનસિકતા અને કૌશલ્યો ધરાવતા નાગરિકોની જરૂર છે. એકવીસમી સદીના શિક્ષક સમક્ષ આવો વિશ્વસમાજ રચવાનું નવું જ ધ્યેય આવીને ઊભું છે. આજના સમયનો આ તકાજો છે, પડકાર છે અને તક પણ છે.

ભારતીય શિક્ષણના ઇતિહાસમાં મેકૉલે બદનામ પાત્ર છે. પણ અંગ્રેજી શિક્ષણને કારણે જ ભારતીયોમાં રાજકીય જાગૃતિ આવી તેને માટે ભારત મેકૉલેનું ઋણી રહેશે. 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીયોમાં થયેલો રાષ્ટ્રીય ચેતનાનો પ્રાદુર્ભાવ, લાહોરમાં ઍંગ્લો-વૈદિક કૉલેજનો, હરદ્વારમાં સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા ગુરુકુળનો અને બનારસમાં સેન્ટ્રલ હિન્દુ કૉલેજનો આરંભ, ભારતીય વિશ્વવિદ્યાલય પંચ, કલકત્તા યુનિવર્સિટી પંચ, ગાંધીજીનું રાષ્ટ્રીય શિક્ષણ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ સંમેલન, એમાં પસાર થયેલા બુનિયાદી શિક્ષણના આધાર સમા ચાર ઠરાવો, ડૉ. ઝાકિર હુસેનના અધ્યક્ષપદે નીમાયેલી સમિતિ, વર્ધા શિક્ષણયોજના – આ બધો તો સ્વતંત્રતા પહેલાનો જ ઇતિહાસ છે. આ અને સ્વતંત્રતા પછીનો દીર્ઘ શિક્ષણ-ઇતિહાસ કેટલા શિક્ષકો જાણતા હશે? આજે શિક્ષણક્ષેત્ર અખતરાખોરી અને લૂંટ માટે બદનામ છે, પણ તેના ભવ્ય અને પ્રેરણાદાયક ઇતિહાસની જાણકારી શિક્ષકમાં જ નહીં, વિદ્યાર્થીમાં અને સમગ્ર સમાજમાં અનોખી અસ્મિતા પ્રગટાવવા સક્ષમ છે. આવું કંઈક થઈ શકે તો શિક્ષક દિનની ઊજવણીને નવું પરિમાણ મળે ખરું.

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 સપ્ટેમ્બર 2021 

Loading

...102030...1,7541,7551,7561,757...1,7601,7701,780...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved