Opinion Magazine
Number of visits: 9570946
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહનદાસ કરમચંદ ગાંધી અને ભાવનગરની શામળદાસ કૉલેજ

ગંભીરસિંહ ગોહિલ|Opinion - Opinion|30 September 2021

સંપૂર્ણ આધાર-પુરાવા અને તર્ક-વિગતપૂર્ણ રીતે લખાયેલા, આ લેખના છેલ્લા ફકરે આપણે વાંચીશું, “મોહનદાસ માટે શામળદાસ કૉલેજનો ટૂંકા ગાળાનો અભ્યાસ તેમના જીવનની એક નવી જ દિશા ચીંધનારો બની રહ્યો. જો મોહનદાસ શામળદાસ કૉલેજના અભ્યાસમાં સફળ રહ્યા હોત અને [પછી] કોઈ નોકરીમાં જોડાઈ ગયા હોત, તો તેમની કારકિર્દી એટલે સુધી જ મર્યાદિત થઈ ગઈ હોત. માટે મોહનદાસનો શામળદાસ કૉલેજનો અભ્યાસકાળ તેમના જીવનમાં આગવું અને પરિવર્તનકારી મૂલ્ય ધરાવે છે.”

“હા, વાત તો બરોબર છે. પણ આમાં વિશેષ શું છે? ગાંધી-જીવન અને કવન વિશે થોડુંઘણું જાણતી કોઈ પણ વ્યક્તિ; આ બાબત શું, એમના જીવનની બીજી કેટલીક બાબતોમાં પણ કેટલાક 'જો’ 'તો’ મૂકીને, અને એનાથી પણ આગળ વધીને તેમના જીવનમાં કઈ કઈ બાબતો 'આગવું અને પરિવર્તનકારી મૂલ્ય’ ધરાવે છે, એ કહી જ શકે ને?!”

“ચોક્કસ કહી શકે, આપણા દેશમાં તો કહી જ શકે … પણ પ્રસ્તુત લેખ(અને આ લેખ જે પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તે પુસ્તક ‘મહાત્મા – સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો’)ના લેખકની આ અભિવ્યક્તિ મૂકવા ખાતર મૂકવામાં આવતા ‘જો’-‘તો’થી કેટલી ઉપર છે, અને એનું મહત્ત્વ કેવું હટકે છે તે તો આ લેખ વાંચ્યા પછી જ સમજાય એમ છે. ખાસ કરીને ત્યારે, જ્યારે મોહનદાસ ગાંધી ભાવનગરની જે શામળદાસ કૉલેજમાં ભણ્યા હતા એ મકાન કયું તે અંગે સુજ્ઞજનોમાં દ્વિધા પ્રવર્તતી હોય અથવા કૉલેજના અન્ય કોઈ મકાનને મોહનદાસ ભણ્યા હતા એ મકાન તરીકે ગણવા-ગણાવવામાં આવતું હોય …. તો એમાં 'સુધારાનું દર્શન’ કરાવવું આવશ્યક બની રહે છે.”

“અચ્છા! તો ગાંધીજી ભણ્યા હતા એ મકાન અંગે 'ખરો સુધારો શું?’ ”

“આ તમે ઠીક પૂછ્યું. એ ‘સુધારો’ જ, ઐતિહાસિક એવા સાહિત્યિક અને સાંયોગિક આધાર-પુરાવા સાથે સૂચવે છે, શામળદાસ કૉલેજમાં (પણ અલગ મકાનમાં) આચાર્ય રહી ચૂકેલા સાહિત્ય-સંશોધક ડૉ. ગંભીરસિંહ ગોહિલ ….”

— સંપાદક, ‘મહાત્મા – સ્વરાજની સફર અને સૌરાષ્ટૃનાં સાથીદારો’

•••

ઈ.સ. ૧૮૮૮નું એ વર્ષ હતું. તે વખતે સૌરાષ્ટ્રમાં ટ્રેન-વ્યવહાર હજી શરૂ થઈ રહ્યો હતો. ભાવનગર અને ગોંડલ રાજ્યે જેતપુર સુધીની રેલવેલાઇન નાખી દીધી હતી. ધોતિયું, લાંબો કોટ અને પાઘડી સાથેનો એક અઢારેક વર્ષનો યુવાન માથે પોટલું દબાવીને જેતપુરના રેલવેસ્ટેશને દોડતો હતો. તેની ભાવનગર જવા માટેની ટ્રેન ઊપડી રહી હતી. રાજકોટથી જેતપુર સુધી આવવા માટે યુવાને અબ્બુબકર જમાલની ભાડેની ઊંટગાડીમાં આવવું પડ્યું હતું. ટ્રેનમાં જેતપુરથી નીકળી સવારે ભાવનગર પહોંચતા તેને રામજી મંદિરની ઓરડીમાં જશોનાથ મંદિરના પૂજારીની ઓળખાણથી ઊતરવાની સગવડ મળી હતી. સવારે જશોનાથ મંદિર સામેના ગંગાજળિયા તળાવના કિનારે ચાલીને આગળ જતાં આલ્ફ્રેડ હાઈસ્કૂલની બાજુની દીવાલની સામેના મકાનના થોડા ખંડોમાં બેસતી કૉલેજમાં પ્રવેશ મળી ગયો. અને એ યુવાનના આ કૉલેજમાં ભણવાને કારણે પછીનાં વર્ષોમાં તે કૉલેજ વિશ્વભરમાં જાણીતી થઈ. તે યુવાન એટલે મોહનદાસ કરમચંદ ગાંધી અને કૉલેજ એટલે ભાવનગરની શામળદાસ કૉલેજ. આ કૉલેજ તેના પ્રારંભકાળથી અત્યાર સુધી અલગ અલગ કુલ ત્રણ મકાનોમાં ચાલી, એટલે ભવિષ્યમાં ‘મહાત્મા’ તરીકે વિશ્વભરમાં ઓળખાનારા યુવાન મોહનદાસ ભણ્યા એ શામળદાસ કૉલેજનું અસલ મકાન કયું, તે અંગે મતમતાંતર પ્રવર્તે છે, આ પ્રકરણમાં આધારો સાથે તે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરાયો છે.

કૉલેજના સ્થાપનાકાળથી તેની વાત કરતાં આ મુદ્દે વધુ સ્પષ્ટતાથી આગળ વધાશે. ભાવનગરમાં સૌરાષ્ટ્ર વિસ્તારની પહેલી એવી શામળદાસ કૉલેજ શરૂ થતાં મુંબઈ યુનિવર્સિટીએ તેના ખર્ચ માટેની ખાતરી માગી હતી. મહારાજા તખ્તસિંહજીએ પોતાના રાજ્યની પૂરેપૂરી મહેસૂલી આવક તેની ખાતરી તરીકે ધરી દેતાં કૉલેજ શરૂ કરવાની માન્યતા મળી હતી. દીવાન શામળદાસ પરમાનંદદાસ મહેતાના સ્મરણમાં મહારાજાએ આ કૉલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. માટે તેનું નામ શામળદાસ કૉલેજ રાખવામાં આવ્યું હતું. કૉલેજને યોગ્ય પ્રિન્સિપાલની શોધ માટે ઇંગ્લંડમાં તપાસ કરવા ભાવનગર રાજ્યના પૂર્વ અધિકારી અને તે સમયે બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય મહેરવાનજી મંચેરજી ભાવનગરીને આ કામ સોંપાયું હતું. તેમણે જાહેરાત આપતાં ૧૩૦ અરજીઓ આવતાં તે માટે રચાયેલી ખાસ પસંદગી સમિતિએ પૂર્વની વિદ્યાઓના નિષ્ણાત આર.એચ. ગનિયનની આ માટે પસંદગી કરી હતી. દરમિયાનમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રો. ઊનવાળાએ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જ કૉલેજના વર્ગો શરૂ કરી દીધા હતા. પ્રો. ગનિયને ફેબ્રુઆરી ૧૮૮૮માં ભાવનગર આવીને આચાર્ય તરીકેની કામગીરી સંભાળી.

શામળદાસ કૉલેજ, ભાવનગર

આલ્ફ્રેડ હાઈસ્કૂલ

દીવાન શામળદાસ પરમાનંદદાસ મહેતાના સ્મરણમાં મહારાજા તખ્તસિંહજીએ કૉલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો. ૧૮૮પમાં શામળદાસ કૉલેજની સ્થાપના પછી પ્રારંભના કેટલાક મહિના કૉલેજ આ મકાનમાં ચાલી હતી.

ગાંધીજી ભણ્યા હતા એ મકાન

હાલની માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલના મકાનનો જૂનો ભાગ જે ૧૮૮રમાં બંધાયું. ત્યારે તેનું નામ ‘બાર્ટન લાઈબ્રેરી એન્ડ મ્યુઝિયમ’ હતું. ૧૮૯ર સુધી શામળદાસ કૉલેજ અહીં બેસતી. જ્યાં ૧૮૮૮માં એક સત્ર દરમિયાન મોહનદાસે અભ્યાસ કર્યો.

તે સમયે કૉલેજનાં સત્રો જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર સુધીનાં હતાં. આથી મોહનદાસનો અભ્યાસ ૧૮૮૮ના જાન્યુઆરીની પહેલી તારીખ આસપાસ શરૂ થયેલો. એક ઉલ્લેખ પ્રમાણે શામળદાસ કૉલેજના નવા મકાનનું ઉદ્‌ઘાટન મુંબઈ પ્રાંતના ગવર્નર લૉર્ડ રેના હસ્તે ૧૮૮૬ની ૧૭ ડિસેમ્બરે થયું હતું, પરંતુ પ્રમાણો દર્શાવે છે કે તે ઉદ્‌ઘાટન કૉલેજના નવા મકાનનું નહીં, નવા મકાનના મુખ્ય હૉલનું માત્ર હતું. શામળદાસ કૉલેજના આરંભકાળની રૂપરેખા આપતાં ૧૯૬૭માં પ્રો. કે.સી. શાહે લખ્યું છે તેમ, જ્યાં સુધી કૉલેજનું નવું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી કૉલેજના વર્ગો બાર્ટન લાઇબ્રેરીમાં ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની શરૂઆત ૧૮૮રમાં થઈ હતી. આ સ્થળે મોહનદાસ ૧૮૮૮માં ભણેલા એવી તકતી પણ મુકવામાં આવી છે, પણ તેમાં કૉલેજ શરૂ થવાનું વર્ષ ૧૮૭૪ લખ્યું છે, જે ગંભીર ભૂલ છે, તે ૧૮૮પ જોઈએ.

કૉલેજ સંબંધે મળેલાં અન્ય આધારભૂત પ્રમાણો અનુસાર મુંબઈ યુનિવર્સિટીના ૧૯૨૯-૩૦ના કૅલેન્ડર(વાર્ષિક અહેવાલ)માં પૃષ્ઠ ૪૮ ઉપર એ હકીકત નોંધાઈ છે કે હાલના આયુર્વેદ કૉલેજવાળા મકાનનો ઉપયોગ ઈ.સ. ૧૮૯૩માં આરંભાયો હતો. તેમાં સ્પષ્ટ લખ્યું છે : The lecture hall was declared open by his excellency the Right Honourable Lord Reay, on the 17th December, 1886. The College classes were opend in January, 1885, and the new building was occupied in 1893. આ વિગતનો ક્રમિક ફલિતાર્થ એ છે કે ભાવનગરમાં ઈ.સ. ૧૮૮રમાં બાર્ટન લાઇબ્રેરી અને મ્યુઝિયમની સ્થાપના થઈ. ૧૮૮પમાં શામળદાસ કૉલેજની સ્થાપના થઈ. પ્રારંભના કેટલાક મહિના કૉલેજ આલ્ફ્રેડ હાઈસ્કૂલના વર્ગોમાં ચાલી. એ પછી ઇ.સ. ૧૮૯ર સુધી બાર્ટન લાઇબ્રેરીના એટલે કે હાલના માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલવાળા મકાનના જૂના ભાગમાં કૉલેજ ચાલી. મોહનદાસે ૧૮૮૮માં જાન્યુઆરીમાં ત્યાં પ્રવેશ મેળવ્યો અને એક સત્ર એટલે કે જૂન સુધી ભણ્યા. હાલનું આયુર્વેદ કૉલેજવાળું જાણીતું મકાન, ભાવનગર રાજ્યના બાહોશ બાંધકામ અધિકારી આર. પ્રોક્ટર સિમ્સે ખંતપૂર્વક તૈયાર કર્યું હતું તે મકાનમાં તો છેક ૧૮૯૩થી શામળદાસ કૉલેજ શરૂ થઈ.

બીજો પણ એક મહત્ત્વનો પુરાવો મળે છે. સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી જનાર્દન વીરભદ્ર પાઠકજી ‘સરદાર’ પાસેથી. ભાવનગરનાં સંસ્મરણો વર્ણવતાં તેઓ લખે છે કે ગાંધીજીના સહાધ્યાયી હતા. જો કે તેમને અને મોહનદાસને તે વખતે પરિચય થયેલો નહોતો. મોહનદાસ ૧૮૮૮માં દાખલ થયા ત્યારે પાઠકજી ૧૮૮૭માં દાખલ થઈ આગળના વર્ગમાં ભણતા હતા. સરદાર જનાર્દન પાઠકજીએ સ્પષ્ટ લખ્યું છે કે કૉલેજની શરૂઆત થોડાં વરસથી થઈ હતી અને તેનું કાર્ય બાર્ટન લાઇબ્રેરીવાળા મકાનમાં ચાલતું હતું. મોહનદાસ સહિત તેઓ ત્યાં જ ભણ્યા હતા. કૉલેજના તે સ્થળથી કેટલેક અંતરે આવેલાં સ્થળો મોતીબાગ પૅલેસ, ગંગાજળિયા તળાવ, ગંગાજળિયો કૂવો, જશોનાથ મહાદેવનું મંદિર, રૂવાપરી દરવાજો, ભાદેવાણીની શેરી, નાગરપોળ વગેરેનું તેમણે વર્ણન કરેલું છે.

ભાવનગરના જાણીતા શાયર અને લેખક કપિલ ઠક્કરે ‘ભાવનગર સમાચાર’માં પોતાની લેખમાળા ‘પાછળ નઝર’ના ૧ર મે, ૧૯પ૧ના અંકમાં લખેલ છે કે તેમના પિતાશ્રી પરમાણંદ ઠક્કર ગાંધીજીના સહાધ્યાયી હતા. શામળદાસ કૉલેજ દ્વારા ૧૮૮૮ના એપ્રિલમાં સ્કોલરશિપ માટેની પરીક્ષા લેવાયેલી તેના પરિણામપત્રકમાં મોહનદાસનું નામ ૧રમા ક્રમે અને પરમાણંદ વિઠ્ઠલ ઠક્કરનું ર૪મા ક્રમે વાંચી શકાય છે એટલે કપિલ ઠક્કરની વાતની ખાતરી થઈ શકે છે. તેઓ પણ ગાંધીજીના સહાધ્યાયીઓના નામ સરદાર પાઠકજીએ આપેલાં નામને લગભગ મળતાં જ આપે છે. કપિલભાઈ પોતે પણ શામળદાસ કૉલેજમાં ૧૯૧૦થી આરંભીને અભ્યાસ કરતા હતા. ૧૯૧૭માં એમ.એ. થયેલા અને થોડો સમય તે જ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા. તેઓ પણ લખે છે કે ગાંધીજી અને તેમના પિતાશ્રી હાલના માજીરાજ કન્યા હાઈસ્કૂલવાળા મકાનમાં જ ભણ્યા હતા. આમ, ભાવનગરમાં ગાંધીજીના અભ્યાસનું સ્થળ શામળદાસ કૉલેજનું નવું મકાન નહીં, પણ માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલવાળું મકાન હતું એ વિગત વધુ આધારભૂત જણાય છે.

કૉલેજના શિક્ષકગણમાં પ્રો. જમશેદજી ઊનવાલા (ભૌતિકવિજ્ઞાન), પ્રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (સંસ્કૃત), પ્રા. બરજોરજી એન્ટી (ઇતિહાસ), અને પ્રા. શેખ મહમ્મદ ઇસ્ફહાની (ફારસી) મુખ્ય હતા. મોહનદાસ ૧૮૮૮ના જાન્યુઆરીમાં કૉલેજના વિદ્યાર્થી તરીકે પ્રવેશ્યા ત્યારે તેમનાથી આગળ કૉલેજના ૧૮૮પમાં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ ચોથા વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેમાંથી ૧૮૮૮ના અંતે લેવાયેલી મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં સૌપ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવનારા કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી (ઇતિહાસકાર અને અનુવાદક, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ-૧૯૩૧) હતા. તે ઉપરાંત તેમની સાથે ભણેલા વિદ્યાર્થીઓમાં જાણીતા કવિ અને વિવેચક બ.ક.ઠા. (બળવંતરાય કલ્યાણરાય ઠાકોર), જહાંગીર ગંભીર, વરજદાસ બારૈયા, હરિહરશંકર દવે, કે. ખુશરો એન્ટી, નાનચંદ દોશી, પરીખ ભોગીલાલ બાબુલાલ, ઈશ્વરરાય બાબુભાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એ વખતે કૉલેજમાં અભ્યાસ કરનારાઓમાં પછીથી ગોંડલ રાજ્યના દીવાન થયા એ પ્રાણશંકર ભવાનીશંકર જોશી, ભાવનગર રાજ્યના ચિફ જસ્ટિસ થયા તે મણિલાલ હરિલાલ મહેતા, શાંતિલાલ કે. મહેતા, મણિલાલ એચ. મહેતા, વિઠ્ઠલદાસ જી. ત્રિવેદી, ત્રંબકલાલ સી. ભટ્ટ, સાકરલાલ આર. દેસાઈ, ડૉક્ટર પેસ્તનજી બી., મોહનલાલ જે. મારૂ, મોતીલાલ પી. મહેતા, ભોગીલાલ બી. પરીખ, મણિલાલ સી. મહેતા, ગુલાબશંકર કે. વૈદ્ય, મોતીચંદ સી. શાહ, બળવંતરાય એચ. બૂચ, ડૉક્ટર નટવરલાલ બી., નટવરલાલ કે. ગામી, ફૂલચંદ બી. મહેતા, દિનશા એમ. મુનશી વગેરે મોહનદાસના સહાધ્યાયીઓ હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીનો ભાવનગરની શામળદાસ કૉલેજમાં થયેલો થોડા મહિનાનો અભ્યાસ તેમના જીવનનો દિશા પરિવર્તનકારી તબક્કો હતો. ૧૮૮૮ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પહેલા સત્ર પૂરતા જ તેઓ ત્યાં ભણ્યા હતા. રહેવા માટે તેમને હોસ્ટેલની રૂમ તરીકે જશોનાથ મંદિરના સામેના દરવાજા પાસેની ઓરડી મળી હતી. વૅકેશન શરૂ થતાં તેઓ રાજકોટ આવી ગયેલા. તેમનો આ સમય દરિમયાન થયેલો અભ્યાસ વખાણવા જેવો નહોતો રહ્યો. સત્ર મધ્યે લેવાયેલી સ્કોલરશિપ માટેની પરીક્ષાઓમાં તેઓએ ત્રણ વિષયમાં પરીક્ષા આપી ન હતી અને ચાર વિષયમાં લગભગ નાપાસ થયેલા. આત્મકથામાં તેમણે શામળદાસ કૉલેજ માટે લખ્યું છે : ‘‘ત્યાં મને કાંઈ આવડે નહીં, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોનાં વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહોતો. મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા.’’ તે સમયના પ્રાધ્યાપકોમાંથી સંસ્કૃતના પ્રાધ્યાપક અને સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી પ્રત્યે તેમને ઘણું માન હતું. ‘‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’’ તે કાવ્યરચના તેમને ખૂબ ગમતી. વૅકેશનમાં તેઓ રાજકોટ પહોંચ્યા ત્યારે પોતાના અભ્યાસના પરિણામે તેઓ અકળાયેલા અને મૂંઝાયેલા હતા. કૉલેજના આગળ અભ્યાસ અંગે તેમના મનમાં કોઈ સ્પષ્ટતા નહોતી.

આ દિવસોમાં મોહનદાસના પિતા કરમચંદના મિત્ર અને કુટુંબના સલાહકાર વ્યવહારકુશળ માવજી દવે સૌને મળવા માટે આવ્યા. તેમને કુટુંબના કુશળ સમાચાર પૂછવા સાથે મોહનદાસના અભ્યાસ વિશે જાણકારી માગી. વાતચીતમાં માવજી દવેએ કહ્યું કે, કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી ‘પચાસ સાઠ રૂપિયાની નોકરી મળશે, દીવાનપદ નહીં મળે.’

કુટુંબના સભ્યોએ માવજી દવેની સલાહ માનભેર સાંભળી. તેમણે મોહનદાસને બારિસ્ટર બનવા વિલાયત ભણવા મોકલવાની સલાહ આપી. મોહનદાસ તો તેમાં સહમત થઈ ગયા કેમ કે તેમને બીજો કોઈ રસ્તો સૂઝતો નહોતો. કરમચંદ ગાંધીના અવસાન પછી કુટુંબની આર્થિક સ્થિતિ સારી રહી ન હતી. છતાં મોટા ભાઈ લક્ષ્મીદાસે પૂરા પ્રયત્નો કરીને મોહનદાસને બારિસ્ટર થવા માટે વિલાયત મોકલવાનો નિર્ણય કર્યો. ઘણા પ્રયત્નોના અંતે જોઈતી રકમ એકત્ર કરીને તેમણે મોહનદાસ સાથે મુંબઈ જઈને તે જ વર્ષે એટલે કે ૧૮૮૮ના સપ્ટેમ્બર મહિનામાં મોહનદાસને આગબોટ દ્વારા લંડન જવા વિદાય આપી.

આમ, મોહનદાસ માટે શામળદાસ કૉલેજનો ટૂંકા ગાળાનો અભ્યાસ તેમના જીવનની એક નવી જ દિશા ચીંધનારો બની રહ્યો. જો મોહનદાસ શામળદાસ કૉલેજના અભ્યાસમાં સફળ રહ્યા હોત અને કોઈ નોકરીમાં જોડાઈ ગયા હોત, તો તેમની કારકિર્દી એટલે સુધી જ મર્યાદિત થઈ ગઈ હોત. માટે મોહનદાસનો શામળદાસ કૉલેજનો અભ્યાસકાળ તેમના જીવનમાં આગવું અને પરિવર્તનકારી મૂલ્ય ધરાવે છે.              

રાજકોટ

મહાત્મા – સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો : લેખક – ગંભીરસિંહ ગોહિલ, સંપાદક –  કેતન રુપેરા : પ્રકાશક : 3S Publication : પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૧૯; પેપરબૅક, સાઇઝ : ૫.૫” x ૮.૫”; પૃષ્ઠ : ૮ ૧૭૬; કિં. ૨૨૦/-

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 04-06

Loading

મનહરલાલ ચોકસી એટલે મનહર અંતરજ્યોત

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 September 2021

આ લખું છું તે 28 સપ્ટેમ્બર, મહાન ગાયિકા લતા મંગેશકરની જન્મ તારીખ છે. એ તારીખ સંદર્ભે મનહરલાલ ચોક્સી કહેતા કે ચોક્કસ સમય, તારીખનું કાળગણનાની રીતે મહત્ત્વ છે. એક દિવસ વહેલો જન્મ થયો હોત તો હું પણ લતા મંગેશકર જેવો મહાન ગાયક થયો હોત, પણ 29 સપ્ટેમ્બર, 1929ને રોજ જન્મ્યો એટલે ગાયક ન થયો. મનહરભાઈએ હજારોની સંખ્યામાં કુંડળીઓ અને કાર્ડ જોયાં હશે ને ભવિષ્યકથન કર્યું હશે, પણ મને એમાં રસ ઓછો જ પડ્યો છે. એવા કેટલા દાખલાઓ છે જેમાં કોઈને કહ્યું હોય કે તમારે ત્યાં આ તારીખે, આ રાશિનો દીકરો આવશે. એ સાચું પડતું. હું ગમ્મત કરતો. માબાપને પોતાને સંતાનની ખબર નથી એના જન્મની તારીખ ને રાશિ તમે કેવી રીતે નક્કી કરો છો? આ તો એવું લાગે છે કે એ જન્મમાં તમારી કોઈ ભૂમિકા છે. મનહરભાઈ ને બીજા મિત્રો હસતા. એમણે જ્યોતિષનું પાટિયું ઘર પર માર્યું હોત તો લાખો રૂપિયા કમાયા હોત, પણ ન તો પૈસા બનાવ્યા કે ન તો લોકોને બનાવ્યા.

હું બહુ ગંભીર દેખાઉં છું, પણ મિત્રો જાણે છે કે હું ખાસું હસાવી શકું છું. મારી આ જાત ભગવતીભાઈ જાણે. એમણે કહ્યું કે તું સુરતી કવિ-લેખકો વિષે હળવો લેખ કર. મને પણ થયું કે એ કરવા જેવું છે. મેં મનહરભાઈ પર હળવો લેખ લખ્યો ને ભગવતીભાઈને ઘરે મિત્રો સમક્ષ વાંચ્યો. લેખમાં જ્યોતિષ, ગઝલને લગતી વાતો ઉપરાંત એમની બેન્કની નોકરી અંગે પણ લખ્યું. મનહરભાઈ સ્વભાવે બહુ નરમ. બેંકમાં અધિકારી હતા, પણ તેમની હાથ નીચેના પણ તેમને રડાવી જતાં. તે એ હદે કે એમનું માથું ચડતું ને ક્રોસિન એ વરિયાળીની જેમ લેતા ને ઊલટી થતી ત્યારે એમને ને ઘરનાંને શાંતિ થતી. આ બધી વાતો મેં હળવાશથી લખી, પણ લેખ પૂરો થતાં મનહરભાઇએ કહ્યું કે બીજું બધું બરાબર છે, પણ બેંકનું લખાણ કાઢી નાખજો, મારે સાંભળવાનું થશે. બોલતા બોલતા એ અને મનુભાભી રડી પડ્યાં. મેં કહ્યું કે મને તમારા કરતાં લેખ કૈં વધારે નથી. તમને રડાવવા આ લખ્યું નથી. એ લેખ મેં રદ્દ કર્યો ને એ સાથે જ સુરતી લેખકો પરની મારી હળવી કલમ અને કોલમ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.

મનહરભાઈની હું બહુ ગમ્મત કરતો. એમની સાથે લગ્નમાં જમવા જવામાં જોખમ. વિવેકી એટલા કે ખાવું હોય તો પણ પીરસનારને સામેથી ના પાડતા. પીરસનાર ઉતાવળમાં હોય એટલે આગળ નીકળી જતો ને બાજુમાં બેસવાને કારણે હું પણ એમની જેમ ખાલી પેટે જ હાથ ધોતો. આ માણસ જેટલો નિર્દોષ તો મેં કોઈ ભગવાન પણ જાણ્યો નથી. એટલે જ હું એમને 25માં તીર્થંકર કહેતો ને મને લાગતું નહીં કે હું અતિશયોક્તિ કરી રહ્યો છું. ખાવાની કંજૂસાઈ એ પોતાને માટે કરતા, પણ એમને ત્યાં કોઈ જાય તો રસોડા સુધી જવાની ને નાસ્તા ખોળવાની અબાધિત સગવડો હતી. મનુભાભી અન્નપૂર્ણાનો અવતાર હતાં. સાલમુબારક કરવાનો સમય ન હોય તો પણ એમને ત્યાં દળ અને ઈદડા ખાવાનો સમય હું કાઢી લેતો. દર રવિવારે ‘રવિમિલન’માં અમે મધુવન સોસાયટી, ટિમલિયાવાડ, સવારે મળતાં. ભગવતીભાઈ, નયન, બકુલેશ, હું ને બીજા ઘણા આવતાં. કૈં વાંચ્યું, લખ્યું હોય તેની ચર્ચા થતી. એમાં મનહરભાઈ એકલા હોય તો ઉર્દૂ, ગુજરાતી ગઝલોની વાત થતી. શેરનો મર્મ પકડવાની જે શક્તિ મનહરભાઈમાં હતી, એવી બહુ ઓછામાં મેં જોઈ છે. એ ઉત્તમ આસ્વાદક હતા. મરીઝને જેટલો એમણે મારી સમક્ષ ખોલ્યો છે એટલો બીજા કોઈ પાસેથી હું પામ્યો નથી. બીજાના શેરની કલાત્મકતા જેટલી નાજુકાઈથી એ ખોલી આપતા એટલી ઉદારતા એ પોતાની ગઝલ માટે ન દાખવતા. કવિ સંમેલનમાં રજૂઆતમાં, હું બહુ સંકોચ શરૂઆતમાં અનુભવતો, એ સંકોચ એમનામાં છેવટ સુધી રહ્યો. એ સંકોચમાં થતું એવું કે બીજા બોલકા કવિઓ ચીંથરા જેવા શેરની વાહવાહી લૂંટતા ને એમના જેવાના સારા શેરો તરફ ભાવકોનું બહુ ધ્યાન જતું નહીં. 

અમે એમને ઉસ્તાદ કહેતા, પણ એમણે અમને કશું સીધું શીખવ્યું નથી. બીજાની ઉત્તમ વાતો એમણે વાતવાતમાં કરી છે ને એ દ્વારા એમની પાસેથી ઘણું પામવાનું થયું છે. વર્ષો સુધી એમણે ‘ગુજરાતમિત્ર’માં ‘શાયરીની શમા’ નામે કૉલમ ચલાવી જેમાં અનેક ગુજરાતી, ઉર્દૂ શાયરીઓનો આસ્વાદ એમણે મન મૂકીને કરાવ્યો છે. એમને ત્યાં, ભગવતીભાઈને કે નયનને ત્યાં એટલી બધી ફિલબદી કરી છે કે એ બધી સચવાઈ નથી, નહીં તો એનો જ દળદાર ગઝલ સંગ્રહ થઈ શક્યો હોત. ઘણીવાર નયને પંક્તિઓ કાઢી હોય ને અમે એ પંક્તિઓ પર પંદરેક મિનિટમાં ગઝલો લખતા. આમ તો આ રિયાઝ કરવાની કોઈને જરૂર ન હતી, ઉસ્તાદને તો ન જ હતી. એમણે એટલી બધી ગઝલો ને મુક્તકોથી ડાયરીઓ ભરી હતી કે એ.બી.સી.ડી.થી ઝેડ સુધીની ડાયરીઓ, હું લખતો થયો એ પહેલાંથી હતી એટલે વર્ષો પછી પણ મારી ગઝલોની સંખ્યા ન હતી એટલી એમની ડાયરીની સંખ્યા હતી. આમ છતાં ‘અક્ષર’ કે ‘વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા’, એવા થોડા ગઝલ કે મુક્તક સંગ્રહોને બાદ કરતાં તેમના વધુ સંગ્રહો થયા નથી તે નોંધવું ઘટે. એ પછી પણ વિવેકી એટલા કે કહેતા કે ગઝલની ગાડી ઉધના પહોંચી ગઈ છે ને હું સુરત પર જ છું. હું ગમ્મત કરતાં કહેતો કે અમે ઉધના પર જ છીએ, પણ એ મુંબઈથી આવતી ગાડીમાં ! જ્યોતિષમાં કે ગઝલમાં એ કદી નકારાત્મક રહ્યા નથી. હું સ્પષ્ટ કહેવામાં માનું અથવા ચૂપ રહું. એ નબળાની પણ વાહ વાહ કરે. હું કહેતો કે એને બોલવા તો દો, પણ એ ન વખાણે તો મનહરલાલ નહીં ! ઘરમાં પણ એ શાંત જ જણાયા છે, પણ ભગવતીભાઈએ મુકુલ માટે ક્યાંક લખ્યાનું યાદ છે કે એ હાથ ઉપાડી શકતા હતા.

‘રવિમિલન’ને ઉપક્રમે અમે એક અનિયતકાલિક શરૂ કરેલું, તર્જની નામે. એનું બીજા અંકનું છાપકામ એક શાયરને સોંપેલું. એ બીજો ને છેલ્લો અંક હતો, પણ પેલા મિત્ર મહિનાઓ થવા છતાં એ અંક છાપતા ન હતા. વાયદાઓથી અમે તંગ આવી ગયા હતા એટલે એક દિવસ એ શાયરને ત્યાં હું, મનહરભાઈ અને કવિમિત્ર ડો. દિલીપ મોદી પહોંચ્યા, સલાબતપરા. ત્યાંથી અમે ત્રણે ચાલતા ચાલતા પહોંચ્યા, ટેકસટાઇલ માર્કેટ. ત્યારે ત્યાં માર્કેટ જેવુ કૈં ન હતું. એક તૂટેલી પાળી પર અમે બેઠા ને મેં શાયરને અંક ક્યારે આપવાના છો એવું ખખડાવીને પૂછ્યું ત્યાં મનહરભાઈએ એકાએક એવો તોલ ગુમાવ્યો કે આવડતી હતી એ બધી જ ગાળ એમણે બેફામપણે દીધી. દિલીપ મોદી તો કદી મિજાજ ન ગુમાવે, પણ એમણે પણ સંભળાવવામાં કૈં બાકી ન રાખ્યું. પેલા મિત્ર તો મનહરલાલને બહુ માને, પણ એ દિવસે એ મનહરલાલને માની ગયા. પરિણામ એ આવ્યું કે અંક અઠવાડિયામાં હાથમાં હતો.

દસમામાં હતો ત્યારે ‘ગુજરાતમિત્ર’ની પૂર્તિમાં ધારાવાહી રૂપે આવતી નવલકથા ‘ઝળહળ અંતરજ્યોત’ હું વાંચતો. ત્યારે નવલકથાનું કૈં ભાન નહીં, પણ વાંચવાનું ગમતું. આવતે હપ્તે શું આવશે એવું કુતૂહલ રહેતું. એ નવલકથાએ શહેરમાં પ્રણયકથાની હવા ઊભી કરેલી. પછી તો એના લેખક મનહરલાલ ચોક્સીને વર્ષો પછી મળવાનું પણ થયું ને એવું થયું કે એમનો શ્વાસ 4 મે, 2005ને રોજ ખૂટ્યો, પણ સાથ ન છૂટ્યો. નવલકથામાં જૈન સમાજનું ને તેનાં રીતરિવાજોનું નિરૂપણ આ અગાઉ થયું ન હતું ને એ પછી પણ થયું હોય એવું મારા ધ્યાનમાં તો નથી. કથાપ્રવાહમાં એ રીતરિવાજો સહજ રીતે વણાઈ ગયાનું ત્યારે લાગેલું. નવલકથાઓ તો મનહરભાઇએ ચાર લખેલી ને વાર્તાસંગ્રહ પણ ‘ગંગાસ્નાન’ કરીને પ્રગટ થયો છે, પણ એમનું મુખ્ય સર્જન ગઝલમાં રહ્યું. ‘મુનવ્વર’ના ઉપનામથી એ ઉર્દૂ શાયરી પણ કરતા.

મનહરભાઈ એ કશાની આશા ન કરી, તો સાહિત્ય, સમાજે પણ એમની બહુ ચિંતા ન કરી. એ પોતાને વેચતા ન હતા કે પોતાનો ભાવ ઉપજાવતા ન હતા એટલે એમની ઉપેક્ષા થઈ. સર્જક સામે ચાલીને પોતાને ન વેચે એટલે તે નકામો છે એવી માન્યતાથી સમાજ અને સાહિત્ય પીડાય છે. એને કારણે મહત્ત્વનો સર્જક ડાબે હાથે મુકાઇ જાય એવું બન્યું છે. એવું મનહરલાલ ચોક્સી સાથે પણ બન્યું છે. એમને નામે ચંદ્રક અપાય છે, પણ એમને કોઈ ચંદ્રક અપાયો નથી એ ભૂલવા જેવું નથી. 

છેલ્લે થોડા શેર ને મુક્તક મૂકું છું તે જોતાં સરળ લાગતા આ શાયરની પણ ઉપેક્ષા થઈ છે એ વાતને સમર્થન આપવાનું કોઈ કારણ રહે. પોતાને વિષે કોઈ અહોભાવ નથી એટલે એ કહે છે :

ચાર અક્ષર યાદ રાખી લો તમે, 
નામ મનહર કૈં બહુ મોટું નથી.

કોઈ શાયરે પત્નીના નામ સાથે લગ્નની તારીખ ગઝલમાં લખી નથી. 

આઠ મે ઓગણીસસો એકાવનને દિ’,
સાત ફેરા હું મનુ સાથે ફર્યો. 

મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે આખેઆખી ગઝલ સુરતી બોલીમાં લખી છે. એ પણ અગાઉ કદાચ ન થયેલો પ્રયોગ છે. એમાં સાહસ કરવા છતાં, આદતવશ ફરી ગોઠવાઈ જવાનું બને છે તેની માર્મિક વાત એક શેરમાં આમ કહેવાઈ છે.

લો, જુઓ આવી ગિયો છું બારણે, 
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં. 

પ્રેમી, પ્રેમિકાને જોઈ રહ્યો છે એવું પ્રેમિકાને લાગે છે, પણ વાત જુદી જ છે : 

તને એમ છે કે તને જોઉં છું, 
હકીક્તમાં હું તો મને જોઉં છું.

બીજો એક માર્મિક શેર એ રહસ્ય ખોલે છે કે જે નજીક હોય તે નિકટ હોય જ એ જરૂરી નથી : 

સતત તો સાથમાં રહેવાનો કોઈ પડછાયો, 
નજીક હોવું નિકટતા ગણી શકાય નહીં. 

મનહરભાઈની સરળતા છેતરામણી પણ છે. શ્વાસ વધે છે તેમ તેમ મૃત્યુનો વિસ્તાર થાય છે ને એ જિંદગીની છાયામાં વિકસીને કેવું ઉઘાડું પડે છે તેનો આ શેર જુઓ : 

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં. 

મનહરભાઈના શેરોનો આસ્વાદ કરાવવાનો હેતુ નથી. એમના શેર એટલા સરળ છે કે તે ન સમજાવીએ તો વધારે સમજાય. પ્રેમીને તો પ્રેમિકા મળે તે જ ઉત્સવ. એ ન હોય તો ઉત્સવ પણ મૃત્યુનો જ પર્યાયને ! એમના જ આ મુક્તકથી મારી વાત પૂરી કરું : 

લાગણીનું એક ખીલ્યું છે કમળ,
એ જ તો મહેફિલ તણો આધાર છે,
ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

પણ, તમે ન હો એ વાતને તહેવાર કેમ માનીએ, તે તો કહો મનહરભાઈ?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

આંસુ : સ્ત્રીનાં અને પુરુષના –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 September 2021

એમ કહેવાતું આવ્યું છે કે સ્ત્રી હસતી સારી નથી લાગતી ને પુરુષ રડતો સારો નથી લાગતો. આમાં સત્ય ઓછું છે. સમજીને હસતું કોઈ પણ સારું લાગે ને બેફામ રડતું કોઈ પણ સારું ન લાગે એવું વ્યવહારમાં ઘણે ઠેકાણે જોવા મળે છે. પુરુષ રડતો સારો ન લાગે એટલે તેણે કદી રડવું જ નહીં, એ વાત બરાબર નથી. રડ્યા ન કરવું, તે બરાબર, પણ રડવું જ નહીં તે બરાબર નથી. પુરુષ દ્રઢ મનોબળ ધરાવે છે, એવું કહેવાય છે, એટલે તેને નાનેથી જ મજબૂત બનાવવાના ભાગ રૂપે રડવાની છૂટ અપાતી નથી. છોકરો રડતો હોય તો એને – એ શું છોકરીની જેમ રડ્યા કરે છે? – જેવું કહીને કે ‘બાયલો’ કહીને ટોકવામાં આવે છે. એનો અર્થ એવો પણ ખરો કે રડવાનો અધિકાર તો છોકરીનો જ છે. કોણ જાણે કેમ પણ આપણે એટલી બધી ગ્રંથિઓનો શિકાર છીએ કે જિંદગીમાં સહજતા જાણે રહી જ ન હોય એવું લાગે. આમ જ થાય ને આમ તો થાય જ નહીં, એ પ્રકારના એટલાં વિધિનિષેધો આપણી જિંદગીમાં ઘૂસાડી દેવાયાં છે કે મુક્ત મને વર્તવાની તકો જ જાણે રહી નથી. ન ખૂલીને હસી શકાય કે ન રડીને હળવા થઈ શકાય એ સ્થિતિ છે. આ બધું આપણે જ ઊભું કર્યું છે ને આપણે જ એને પરંપરાને નામે પાળતાં પણ આવ્યાં છીએ.

સાચી વાત તો એ છે કે હસવું, રડવું એ નૈસર્ગિક ક્રિયાઓ છે. તે સ્ત્રીને કે પુરુષને, બંનેને લાગુ પડે છે. એવું જરા ય નથી કે રડવું સ્ત્રીને ખાતે જમા છે ને હસવું પુરુષને ખાતે જ લખાયેલું છે. સ્ત્રી હસે કે પુરુષ રડે તો આભ તૂટી પડતું નથી. એ બંનેનો અધિકાર છે, પણ રડવાનું સ્ત્રીને અને હસવાનું પુરુષને જ સોંપાયું હોય તેમ સ્ત્રી હસે તો ને પુરુષ રડે તો એ, એકાએક સમાજ સ્વીકૃત બનતું નથી. સ્ત્રી રડ્યા જ કરે  એ સારું નથી, એ જ રીતે પુરુષ હસ્યા જ કરે એ પણ ઠીક નથી. ઘણીવાર તો પુરુષ મોકળે મને રડી શકતો નથી એટલે અનેક રોગોનો અને સમસ્યાઓનો શિકાર બને છે. પીડા મનમાં ઘૂંટાતી રહે અને રડવાની નાનમ લાગે તો એ સ્થિતિ મન પર અમુક પ્રકારનું દબાણ ઊભું કરે છે અને કોઈ સેફ્ટી વાલ્વ ન હોય તો કૂકર ફાટે એમાં નવાઈ નથી. ઘણા પુરુષો ન રડી શકવાને કારણે મૃત્યુ જેવી પીડાનો અનુભવ કરતા હોય છે. સારો રસ્તો એ છે કે કોઈક રીતે વેન્ટિલેટ થવું. જો રડવાથી રાહત મળતી હોય તો રડી લેવામાં કૈં જ ખોટું નથી. પુરુષથી રડાય જ નહીં, એવું ક્યાં ય લખેલું નથી ને લખેલું હોય તો પણ રડી લેવાથી કૈં બહુ મોટું નુકસાન થતું નથી. 

ખરેખર તો હાસ્ય, રુદન એ અભિવ્યક્તિનું માધ્યમ છે. એ દ્વારા કોઈનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન પણ થતો હોય છે. ક્યારેક તો રુદન દ્વારા પોતાની વાત મનાવવાનો પ્રયત્ન પણ સ્ત્રી કરતી હોય છે. એવું મનાય છે કે સ્ત્રી, રડીને કામ કઢાવતી હોય છે, એ રીતે રુદન શસ્ત્ર પણ છે. સ્ત્રી વાતે વાતે રડી પડતી હોય છે. એની આંખોમાં ચકલી વગરનો નળ હોય છે જે કાયમ વહેતો જ રહે છે એવું પણ કહેવાય છે. એને રડવાની ટેવ પડી ગઈ હોય છે, પણ આ વાત બધી સ્ત્રીઓને લાગુ ન પાડી શકાય. જો કે, આજની સ્ત્રી રડવામાં નહીં, પણ રડાવવામાં માને છે. તેનાં આંસુ તો મગરનાં આંસુ છે, એવું પણ કહેવાય છે, પણ આવું બધી સ્ત્રીઓ માટે કહી શકાય નહીં. એક સમયે સ્ત્રી સ્મશાને જતી ન હતી ને હવે તે અગ્નિસંસ્કાર કરતી પણ થઈ છે. કોઈ મરતું તો સ્ત્રી ખૂણે ભરાઈને રડી લેતી. એ સ્થિતિ હવે રહી નથી. તે પુરુષ જેટલી જ તાકાતથી પરિસ્થિતિનો સામનો કરતી થઈ છે. ઓફિસોમાં પણ મહિલા અધિકારીઓ કડક રીતે પુરુષો જોડે કામ પાડતી થઈ છે ને એ રોતલ છે એ વાતને ખોટી પુરવાર કરતી અને ખડખડાટ હસતી પણ થઈ છે. આ બધું અપવાદોમાં હોઈ શકે, પણ તે છે ને એ પરિવર્તન સાર્વત્રિક બને એ દિશામાં તેની ગતિ છે.

એથી ઊલટું પુરુષો ઢીલા અને રોતલ હોય એ સાવ અશક્ય નથી. નાનપણથી જ છોકરાને મજબૂત અને મક્કમ કરવામાં કુટુંબોએ તેનું સહજ રુદન છીનવી લીધું છે. એને કારણે તેનામાં આક્રમકતા અને આક્રોશનું પ્રમાણ વધ્યું છે. આ કદાચ રુદનને વિકલ્પે થયેલો વિકાસ છે. જો રોતલ હોવું અસંતુલન હોય તો ક્રોધી હોવું પણ અસંતુલનનો જ પ્રકાર છે. એટલે જે કામ સ્ત્રી રડીને કરી કે કરાવી શકે છે એ જ કામ પુરુષ આક્રોશથી પણ કરી, કરાવી લે તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ. ખરેખર તો સ્ત્રી કે પુરુષ, બંને મનુષ્ય જાતિનું જ પ્રતિનિધિત્વ કરે છે એટલે સંતુલન કે અસંતુલન બંનેમાં હોઈ શકે, તે કોઈ એકમાં જ હોય એ સ્થિતિ અપવાદ હોઈ શકે, પણ કુદરતી નથી. આંસુ જો નબળાઈ હોય તો આક્રોશ પણ નબળાઈ જ છે, પણ વિચિત્ર વાત એ છે કે આંસુ જો સ્ત્રી પાડતી હોય તો તે નબળાઈમાં ખપે છે ને આક્રોશ જો પુરુષ દર્શાવતો હોય તો એ શક્તિમાં ખપે છે. આ બધું અગાઉની માન્યતાઓનું જ પરિણામ છે. સાચી વાત એ છે કે આંસુ સ્ત્રીને જ આવે ને ક્રોધ પુરુષને જ આવે એવો જાતિભેદ, આંસુ કે ક્રોધ ન જ કરે. એ તો કોઈને પણ આવે. એ કોઈ એક જાતિમાં પ્રગટે તો તે જૂની માન્યતાઓનું પરિણામ છે એમ જ માનવાનું રહે. સ્ત્રીઓ ઘરમાં ને બહાર ક્રોધ નથી જ કરતી કે પુરુષ ઘરમાં કે બહાર રડતો જ નથી એવું નથી, કારણ આ એવી લાગણીઓ છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં મૂળભૂત રીતે પડેલી છે. તેનું પ્રમાણ વત્તુઓછું હોઈ શકે છે, પણ તે કોઈમાં હોય જ નહીં કે કોઈ એકમાં જ હોય એવું હોતું નથી.  

હસવું, રડવું, ગુસ્સે થવું આ બધી બાબતો એ સ્ત્રી કે પુરુષને ધ્યાનમાં રાખીને કુદરતે નક્કી કરી નથી. તે બધી વ્યક્તિઓમાં હોય છે ને તે સમાજ, રીતરિવાજ, નોકરી ધંધાને નિમિત્તે કે અન્ય કારણોસર બદલાય છે કે વધે ઘટે છે. લાગણી સારી બાબત છે, પણ લાગણીનો અતિરેક ઇચ્છનીય નથી. લાગણીને પોષી શકાય, તેના અતિરેકને નહીં. સતત રડવું કે હસવું એ ગુણ નથી, એ જ રીતે સતત ગુસ્સો કરવો પણ ગુણ નથી. તેને પ્રોત્સાહિત ન કરી શકાય. કોઈ બહુ સરસ રીતે હસે તો પણ તેને ક્યાંક તો પૂર્ણવિરામ આવે જ છે. જેમ કોઈ સતત રડી શકતું નથી, એમ જ કોઈ સતત હસી પણ શકતું નથી. કુદરતે જ એવી વ્યવસ્થા કરી છે કે હાસ્ય, રુદન કે ક્રોધ અમુક સમય પછી આપોઆપ જ વિરામ પામે છે. જો આ લાગણીઓ લાંબી ચાલે તો એમાં લાભ કરતાં હાનિની શક્યતાઓ વધુ હોય છે.

એવું બને કે કોઈમાં લાગણીનો અતિરેક હોય તો તેને કાબૂ કરી શકાય. વ્યક્તિ પોતે જ કોઇની ટકોર કે સલાહથી એમાં સુધારો કરી શકે. સારાસારનો વિવેક હોય તે વ્યક્તિ એને વધુ સંયત અને સ્પષ્ટ રૂપ આપી શકે. એ પછી પણ લાગણીઓ કાબૂ ન થાય તો તેનો તબીબી ઉપાય પણ થઈ શકે. એટલું છે કે દરેક વસ્તુ અમુક માપ કે પ્રમાણમાં જ શોભે છે. રુદન હો કે સ્મિત, આક્રોશ હો કે ઉત્તેજના, બધું માપમાં સહ્ય છે, બાકી, અતિ સર્વત્ર વર્જયેત – એમને એમ નથી કહેવાયું.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7371,7381,7391,740...1,7501,7601,770...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved