Opinion Magazine
Number of visits: 9570892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અફીણ, અદાણી અને અફઘાનિસ્તાન ….

ભરત મહેતા|Opinion - Opinion|5 October 2021

ક્યાંક નવટાંક, નવટાંક હેરોઇન મળી આવે ત્યારે હાકલા, પડકાર કરતું મીડિયા, ડ્રગ દો મુઝે ડ્રગ એમ તાબોટા પાડતા અર્ણવભાઈ ગોસ્વામી સહુ કોઈ અદાણીના મુંદ્રા પોર્ટમાં ત્રણ ટન હેરોઇન મળી આવ્યું છે, ત્યારે મોં પર માસ્ક લગાવીને બેસી ગયાં છે. ભારત સરકાર, ગુજરાત સરકાર કે કોઈ છપ્પનની છાતીએ પણ એક નાનકડો ઉદ્દગાર સુધ્ધાં કાઢ્યો નથી કેમ કોઈ બોલતું નથી કે એક એક જવાબદારને છોડીશું નહીં. શું આ નાનીસૂની ઘટના છે? ૨૧,૦૦૦ હજ્જાર કરોડનું આ હેરોઇન ભારતમાં ફરી વળશે તો? પણ ભાઈબંધની સંડોવણી હોય ત્યાં મૌન રહેવાની ભા.જ.પ.ની સંસ્કૃતિ છે. આતંકવાદીઓનો મિત્ર અને છવ્વીસમી જાન્યુઆરી ટાણે જ ધડાકા કરવા કાશમીરથી રવાના થયેલો, પુલવામાનો ડી.એસ.પી. શેરે કાશ્મીરનો જેને ભા.જ.પે. પુરસ્કાર આપેલો એ દેવેન્દ્રસિંહ પકડાયો ત્યારે પણ આ રાષ્ટ્રવાદી પક્ષ મૌન થઈ ગયેલો. બાકી તો ભાઈબંધ ન હોત તો શહેરે શહેરે ઠાઠડી બાળી હોતા! ન ગદ્દાર કહેવાયો કે ન મુર્દાબાદ.

અફઘાનિસ્તાનમાં અફરાતફરી થઈ ત્યારે જ મને શંકા પડેલી કે એમનાં આ અફીણઉદ્યોગનો વારસદાર કોણ બનશે? પણ એ ભારતનો જ સપૂત હશે એવી કલ્પના ન હતી. એમ કહેવાય છે કે આ એક ખેપ પકડાઈ છે, બાકીની પાંચ તો પકકડાઈ પણ નથી. કુલ પંચોતેર હજાર કરોડનું અફીણ આવ્યું છે! અદાણીપોર્ટ પરથી પકડાયેલાં આ હેરોઇનનો બચાવ કરતાં ભક્તો મોદીભકતમાંથી અદાણીભક્ત પણ બની ગયાં. ઇન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ચોરીનો માલ પકડાય તો ગાંધી પરિવાર જવાબદાર ગણાય? અરે! ભાઈ ભારત સરકાર તો ગણાય ને? અદાણી પોર્ટ સંપૂર્ણપણે એની માલિકીનું છે. આ ખાલી અદાણીપોર્ટ એવું નામ માત્ર નથી. પર્યાવરણના નિયમો સરેઆમ ભંગ કરી દરિયાના ભાગ ઉપરાંત ૩,૫૦૦ એકર જમીન ૨૮/૯/૨૦૦૦ના રોજ કેવળ ૪ કરોડ, ૭૬ લાખમાં આપી છે. શું આ પાણીના ભાવે આપેલી જમીન ન ગણાય? આ ભ્રષ્ટાચાર વિશે ત્યારે રંજય ગુહાએ વિસ્તૃત લેખ કર્યો હતો. ઈ. ૨૦૧૨-૧૩ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ગુજરાતના મુંદ્રા પોર્ટને ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ બનાવવા માટે ગુજરાત મત્સ્યઉદ્યોગ તરફથી અધધધ કહી શકાય એવી છૂટછાટો આપવામાં આવી હતી. એ જ વર્ષે પાંચ સંસદસભ્યોની બનેલી સમિતિ જેના અધ્યક્ષપદે જાણીતા પર્યાવરણવિદ્દ સુનીતા નારાયણ હતા એમણે પર્યાવરણને થયેલી ગંભીર ક્ષતિઓનો અહેવાલ સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. એ અહેવાલના આધારે ભારતની સુપ્રીમ કોર્ટ ઈ. ૨૦૧૩માં, તાત્કાલિક અદાણી પોર્ટ બંધ કરી દેવા ભારત સરકારને આદેશ આપ્યો હતો. ૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેથી સુપ્રીમનો આદેશ અભરાઈ પર ચડી ગયો. સૈયા ભયે કોટવાળ પછી ડર શાનો? એટલું જ નહીં ઈ. ૨૦૧૮માં અદાણીનો પોર્ટવાળો ધંધો ફૂલેફાલે એ માટે ભારતના શિપિંગ કાયદાઓ પણ મોદી સરકારે બદલી નાંખ્યા!

અદાણીની મૂળ કુંડળી તપાસો તો માલૂમ પડશે કે દાણચોરીથી જ શ્રીગણેશ કરેલાં છે. તેથી અજબો રૂપિયાની કમાણીવાળી હેરોઇનમાં એ ન લલચાય એ જ જલદીથી ગળે ન ઉતરે. હેરોઇનકાંડની દાળમાં અદાણી જેવું કંઈક કાળું છે. બીજી તરફ અફઘાનિસ્તાનનું અર્થતંત્ર અલ્લાહ નહીં અફીણ ચલાવે છે. આખા યુરોપ-અમેરિકાને ડ્રગ્સ અફઘાનિસ્તાન પૂરાં પાડે છે. મોટા મોટા ડ્રગ્સલોર્ડ અફઘાનિસ્તાનમાં છે. એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હમીદ કરજાઈના ભાઈ અફઘાનિસ્તાનનાં મોટાં ડ્રગલોર્ડ છે. જેની ઓબામાને ય ખબર હતી છતાં આંખ આડા કાન થયા છે. ગયા મહિને કાબુલ પર કબજો મેળવ્યા પછી તાલિબાનના પહેલા સંવાદદાતા સંમેલનમાં પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે અફીણની ખેતી નિયંત્રિત કરવામાં આવશે અને વિકલ્પો માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગવામાં આવશે એ વાત જણાવી છે. તાલિબાન શાસનમાં અફીણની ખેતી સામે ફતવો જાહેર કરાયેલો તેથી આ વાત સાચી છે. તેમ છતાં ઇ. ૨૦૦૦માં ત્યાં અફીણનું ઉત્પાદન ૧૮૦ મેટ્રિક ટન હતું. જે અમેરિકન શાસન દરમ્યાન ઇ. ૨૦૧૭માં ૯,૯૦૦ મેટ્રિક ટન બન્યું. અફઘાનિસ્તાન અફીણનો અડ્ડો બની જાય એ માટે કોને વધુ રસ છે તે આ આંકડાઓ જ સ્વયં બોલે છે! દુનિયાને પૂરાં પડાતા અફીણમાં ૭૦થી ૯૦ ટકા અફઘાનિસ્તાનના અફીણનો હિસ્સો છે અફીણના અભ્યાસી ગ્રેટ એનપીટર્સે લખેલું કે અફીણ અફઘાનિસ્તાનની જીવાદોરી છે. અમેરિકન શાસન દરમ્યાન અફઘાનિસ્તાનમાં ૩૪ પ્રાંતમાંથી ૨૨ પ્રાંતમાં અફીણનું ઉત્પાદન થાય છે. આશરે ૨૫ લાખ અફઘાનોને નિયમિત અફીણની ટેવ છે.

તાલિબાનોની સામે આ વખતે આ મોટો પડકાર છે. અફઘાનિસ્તાનમાંથી અફીણ ખતમ કરવું પડશે. નહીંતર, અફીણ અફઘાનિસ્તાનને ખતમ કરી દેશે. મૂળ વાત એ છે કે અમેરિકાએ પોતાના શાસન દરમ્યાન અફીણ ઉત્પાદનની સમસ્યા તરફ ધ્યાન આપ્યું નથી. અમેરિકા સેનાના અધ્યક્ષ ટોમી ફેકસે કહેલું કે એ અમારું કામ નથી. અમે અહીં એમના માટે નથી આવ્યાં! બુશ શાસનમાં ઇરાકના નિષ્ણાત અમેરિકી ડોનાલ્ડ રમઝલ્ટે આ અંગે નીતિ બનાવવા માટે અમેરિકી સરકારને પત્ર લખેલો. ઇ. ૨૦૦૦માં મુલ્લા ઉમ્મરે જ્યારે અફીણ સામે ફતવો જાહેર કરેલો ત્યારે ૨૦૦૦-૨૦૦૧માં ૯૦% ઉત્પાદન ઘટી ગયું હતું. તાલિબાની ફતવા સામે અફીણ ઊગાડવાની હિમ્મત કોણ કરે? આ ફતવાના કારણે જ અમેરિકાના હુમલા વખતે પ્રજાએ તાલિબાનોને સાથ પણ નહતો આપ્યો. પણ પછી અમેરિકાએ બે દાયકા લગી ડ્રગ્સલોર્ડ્‌ને સાચવી લીધાં! પુનઃતાલિબાન આવવાથી શું થશે એ કહેવું અઘરું છે, પરંતુ અબજો-કરોડોના વ્યવસાયના વેપારીઓ ચિંતિત છે. નશીલાં દ્રવ્યોના ભાવ બે-ત્રણ ગણા વધી ગયાં છે. આખા યુરોપમાં, અમેરિકામાં હજ્જારો લોકો નશીલાં દ્રવ્યોની લતના કારણે પ્રતિવર્ષ મારે છે. પણ એની દાણચોરી, એમાંથી નફો રળવાનો મોકો ખોળતાં ઉદ્યોગપતિઓ અફઘાનિસ્તાનમાંથી અફીણ ઉઠાવી ઉઠાવીને ભાગ્યાં છે. જેમાંની એક ખેપ મુંદ્રા પકડાઈ છે. વહાણમાં રહેતાં સાત જણને પકડી ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તપાસ ઊંડી થવી જોઈએ. ભારતમાં વિવિધ સ્થળે હેરોઇનનો ઉપયોગ થઈ રહ્યો છે. ધર્મઝનૂનમાં જો અફીણનો નશો ભળે તો ભારતને બીજું અફઘાનિસ્તાન થતાં વાર નહીં લાગે : સરકારનું વલણ જાણે નવટાંક અફીણ પકડાયા જેવું છે તે અત્યારે તો આઘાતજનક ઘટના છે. ગંદા હૈ પર ધંધા હૈ કહીને જો અદાણી એમાં-સંડોવાયા હોય તો મોદી સરકારે ભાઈબંધી બાજુ પર મૂકી આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 07

Loading

અદાલતી ન્યાયમાં વિલંબ માટે જવાબદાર કોણ ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 October 2021

સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જાહેર પ્રવચનમાં ભારતની ન્યાય વ્યવસ્થાને જર્જર ગણાવી છે. ન્યાયની આશાએ અદાલતનો ઉંબરો ચઢનારો પસ્તાય છે, તેમ પણ તેમણે જણાવ્યું છે. કેસોના ભરાવા અને વિલંબિત ન્યાયથી પીડાતી ભારતીય અદાલતોમાં ન્યાયની પ્રતીક્ષા એટલી તો દીર્ઘ હોય છે કે તે અન્યાય બની રહે છે.

રંજન ગોગોઈના અવલોકનને સાચું ઠેરવતી ઘટના દિલ્હીની કડકડડૂમા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હમણાં બની છે. પાંચેક વરસથી કેસની સુનાવણીની આશાએ અદાલતના ચક્કર કાપતા અરજદારને વધુ એક લાંબી મુદ્દત મળતાં તેણે હંગામો મચાવ્યો. ‘તારીખ પે તારીખ’ નાખ્યાંના ફિલ્મી ડાયલૉગની બુમરાણ મચાવીને તેણે કોર્ટનાં કમ્પ્યૂટર, ફર્નિચર અને ન્યાયાસનને તોડી-ફોડી નાંખ્યાં. બીજા એક કિસ્સામાં ત્રેપન વરસથી જુદી-જુદી અદાલતો પાસે જમીનવિવાદના કેસમાં ન્યાય માંગતા ૧૦૮ વરસના વૃદ્ધનો કેસ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે તાજેતરમાં દાખલ કર્યો, ત્યારે તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.

સુપ્રીમ કોર્ટ, ૨૫ હાઈકોર્ટ અને આશરે ૧૯,૦૦૦ નીચલી અદાલતોમાં લગભગ ૪ કરોડ કેસો પડતર છે. ૨૫ હાઈકોર્ટમાં પડતર ૫૭.૫૧ લાખ કેસોમાંથી ૫૪ ટકા કેસો અલ્હાબાદ, બૉમ્બે, મદ્રાસ, ચંદીગઢ અને રાજસ્થાનની પાંચ હાઈકોર્ટ્‌સમાં છે. પાંચ ટ્રિબ્યૂનલ્સમાં ૩,૫૦,૦૦૦ કેસો ન્યાયની રાહ જોતા પડ્યા છે. પડતર કેસોમાં રોજ બ રોજ વધારો થતો જોવા મળે છે. કાયદા ક્ષેત્રે કામ કરતી ‘ન્યાયાશ્રય’ નામક સંસ્થાના ‘ધ કોવિડ ઇફેક્ટ ઇન ઇન્ડિયન જ્યુડિશિયરી’ અભ્યાસ મુજબ આઝાદી પછી પ્રથમ વખત કોરોના કાળમાં કોર્ટ કેસોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ પાંચેક ટકાનો વધારો કોરોનાના સમયગાળા દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં ૧૦.૩૫ ટકા, વડી અદાલતોમાં ૨૦.૪ ટકા અને જિલ્લા અદાલતોમાં ૧૮.૪ ટકા થયો છે.

વરસોથી અદાલતમાં લટકતા કેસોનો સમયગાળો આંચકો આપે તેવો છે. દર ચારમાંથી એક કેસ પાંચ વરસ પહેલાંનો હોય છે. એક હજાર કેસો પચાસ વરસ જૂના છે, બે કેસો તો ૧૯૫૧થી ન્યાય માંગતા ઊભા છે. બે લાખ કેસો ૨૫ વરસ જૂના છે. બે કરોડ ફોજદારી કેસોમાંથી એક કરોડ અને નેવું લાખ દીવાની કેસોમાંથી વીસ લાખમાં હજુ સમન્સ જ બજાવાયાં નથી. ગુજરાતની વડી અદાલત પાસેથી દલિત આગેવાન વાલજીભાઈ પટેલે માહિતી – અધિકાર કાયદા હેઠળ અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળની કેટલી અપીલો પેન્ડિંગ છે, તેની માહિતી માંગી હતી. વર્ષ ૨૦૦૦થી મે – ૨૦૨૦ સુધી નીચલી અદાલતોના સજાના ચુકાદા સામેની ૮૩૩ અપીલો હાઈકોર્ટમાં પડતર છે. પડતર કેસોમાં પાંચમા ક્રમના રાજ્ય ગુજરાતમાં ૨૧,૧૯,૭૨૮ કેસો પેન્ડિંગ છે.

વિલંબિત ન્યાયનું પ્રમુખ કારણ ન્યાયાલયોમાં ખાલી જગ્યાઓ છે. સંસદના હાલના વર્ષાસત્રમાં લોકસભા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે હાઈકોર્ટ જજીસની મંજૂર ૧૦૯૮ જગ્યાઓમાંથી ૪૫૬ ખાલી છે. કેટલીક વડી અદાલતોમાં તો ન્યાયાધીશોની પચાસ ટકા જગ્યાઓ ખાલી છે. હાઈકોર્ટોમાં સરેરાશ ૩૭ ટકા અને નીચલી અદાલતોમાં ૨૩ ટકા પદો ખાલી છે, પરંતુ શું આ જ એક માત્ર કારણ છે ? દેશની  હાઈકોટ્‌ર્સમાં પેન્ડિંગ કેસોને ખાલી જગ્યાઓ સાથે મૂલવીએ તો જણાય છે કે કોલકાતા હાઈકોર્ટમાં ૪૪ ટકા જગ્યાઓ ખાલી છે, પરંતુ પડતર કેસો ૨.૭ લાખ છે, જ્યારે મદ્રાસ હાઈકોર્ટમાં ૭ ટકા જ જગ્યાઓ ખાલી છે, પણ પેન્ડિંગ કેસો ૫.૮ લાખ છે. એટલે ન્યાયાધીશોની ગુણવત્તા અને ક્ષમતા પણ પેન્ડિંગ કેસોમાં ભાગ ભજવે છે. કદાચ આવાં જ કારણોસર મિઝોરમ-ત્રિપુરાની નીચલી અદાલતોમાં મહિને ૧૩, ગુજરાતમાં ૧૯ અને કર્ણાટકમાં ૧૧૩ કેસોનો નિકાલ થાય છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીની કોર્ટોમાં જજોની સંખ્યા વધુ હોવા છતાં પડતર કેસો વધુ છે. જ્યારે ઓછા ન્યાયાધીશો ધરાવતી આંધ્ર, તેલંગાણા, ઝારખંડ, મેઘાલય અને છત્તીસગઢની કોર્ટોમાં પડતર કેસો ઓછા છે.

અદાલતોના કામના વાર્ષિક દિવસો પણ ન્યાયમાં દેરીનું કારણ છે. કેન્દ્ર સરકારના કર્મીઓના કામના દિવસો ૨૪૪ છે. અદાલતોની રજિસ્ટ્રી પણ તે પ્રમાણે કામ કરે છે. પરંતુ માનનીય ન્યાયાધીશોના કામના દિવસો એટલા નથી. સુપ્રીમ કોર્ટના કામના દિવસો વરસે ૧૯૦ અને હાઈકોર્ટના ૨૩૨ છે. હજુ પણ આપણી અદાલતો અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતાં ઉનાળુ અને શિયાળુ વૅકેશનો ભોગવે છે. દુનિયામાં કાચા કામના કેદીઓ સરેરાશ ૨૭ ટકાની તુલનામાં ભારતમાં ૬૯ ટકા છે. જો દેશમાં નેધરલૅન્ડની વસ્તી જેટલા વિચારાધીન કેદીઓ હોય અને તેમના ન્યાયમાં વિલંબ થતો હોય, તો અદાલતોના કામના દિવસો અને કલાકો વધારવાની જરૂર છે.

જટિલ અને લાંબી ન્યાય અને પોલીસતપાસની પ્રક્રિયા પણ ઝડપી અને સમયસરના ન્યાયમાં બાધક છે. ૧૯૭૩ના કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર મુજબ પોલીસે ગુનાની તપાસ કરી નિર્ધારિત સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે, પરંતુ અદાલતોમાં સમયસર આરોપનામાં દાખલ થતાં નથી. કેમ કે આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થાની ફરજ નિભાવતા પોલીસના માથે જ ગુનાની તપાસની જવાબદારી છે. તેણે કામના બોજ હેઠળ આ બંને કામો કરવાનાં હોય છે. લૉ ઍન્ડ ઑર્ડરનું કામ તાકીદનું હોય છે એટલે તે ગુનાની તપાસ સમયસર કરી શકતા નથી.

એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડે અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનું સૂચન કર્યું હતું. કોર્ટમાં કેસોના ભરાવા માટે તારીખો માંગવાનું વકીલોનું વલણ ન્યાયમાં વિલંબ માટે કેટલા અંશે જવાબદાર છે, તે લોકો જાતે જ નક્કી કરી શકે, તે માટે તેમણે આ સૂચન કર્યું હતું. સુનાવણી-મોકૂફી રાખવા વકીલો ખુદની વ્યસ્તતાને અન્યો પર ઢોળી દઈ તારીખો માંગતા હોય છે. તેને કારણે પણ ન્યાયમાં વિલંબ થાય છે. એટલે વિલંબિત ન્યાયની જવાબદારી ન્યાયાધીશો, પોલીસ અને વકીલોની પણ છે.

મુક્ત અને સ્વતંત્ર ગણાતું ન્યાયતંત્ર નાણાકીય બાબતોમાં સરકારો પર આધારિત હોય છે. ભારતના જી.ડી.પી.ના ૦.૦૮થી ૦.૦૯ ટકા જ બજેટ ન્યાયતંત્ર માટે ખર્ચાય છે. માળખાકીય સુવિધાઓનો અભાવ, અપૂરતા અદાલતી ખંડો અને ખાલી જગ્યાઓ સરકારોના કારણે જ છે. અદાલતો સમક્ષ સૌથી મોટા ફરિયાદી તરીકે સરકારો જ જાય છે. પડતર કેસોમાં સિંહ ફાળો સરકારી કેસોનો છે. એકલા અમદાવાદ મહાનગરપાલિકા વિરુદ્ધના સ્થાનિકથી સર્વોચ્ચ અદાલત સુધીના ૧૦,૩૭૭ કેસો પડતર છે. કાયદા, નિયમો અને સરકારી ઠરાવોના ઘડતર સમયે તેની ન્યાયિક અસરો તપાસવામાં આવતી જ નથી, તેને કારણે પણ કેસોમાં વધારો થાય છે. 

બંધારણના અનુચ્છેદ ૨૨૪-એની જોગવાઈ મુજબ આઠ વરસથી પડતર કેસોના નિકાલ માટે નિવૃત્ત ન્યાયાધીશોની એડહોક જજ તરીકે નિમણૂકની ન્યાયમિત્ર યોજના ઝાઝી સફળ થઈ નથી. અદાલતના કામનો બોજ ઘટાડવા અને ન્યાયાલયની બહારના ન્યાય તથા સમાધાન માટે લોક અદાલતો અને ગ્રામ ન્યાયાલયોના પ્રયોગો કરવામાં આવે છે. ૨૦૨૦ની અંતિમ માહિતી મુજબ ગ્રામ ન્યાયાલય અધિનિયમ, ૨૦૦૮ હેઠળ દેશનાં ૧૨ રાજ્યોમાં ૩૯૫ ગ્રામ ન્યાયાલયોની જ રચના થઈ શકી છે અને તેમાંથી ૨૨૫ જ કાર્યરત છે. સંભવિત ખાલી જગ્યાઓની માહિતી પરથી તે ભરવા અંગે આગોતરું આયોજન કરવાથી પણ ન્યાયમાં વિલંબ અટકાવી શકાશે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા જજોની નિમણૂકો કરવા ભલામણ કર્યા બાદ સરકાર નિમણૂકમાં સરેરાશ સાતથી બાર મહિનાનો સમય લે છે અને ભલામણ કરેલ તમામની નિમણૂક કરતી નથી. આ સમયગાળો ઘટાડવાથી અને નિમણૂક-પદ્ધતિ બદલવાથી પણ ખાલી જગ્યાઓ ભરવામાં ઝડપ આવી શકે તેમ છે.

સામાન્ય અપરાધના ૪૫ લાખ પેન્ડિંગ ફોજદારી કેસો અને મહત્ત્વહીન દસ વરસ પૂર્વેની જાહેરહિતની અરજીઓનો નિકાલ ઝડપથી લાવી શકાય તેમ છે. દર દસ લાખની વસ્તીએ અમેરિકામાં ૧૦૭ અને કૅનેડામાં ૭૫ જજો છે, જ્યારે ભારતમાં ૨૦ છે. ઉત્તર પ્રદેશમાં પ્રતિ ન્યાયાધીશે ૩,૫૦૦ કેસોની સરેરાશ છે. એટલે જજોની સંખ્યા વધારવાની અને જજીસ દીઠ કેસોની સરેરાશ ઘટાડવાની આવશ્યકતા છે. નીચલી અદાલતોની માળખાકીય સગવડોમાં ખાસ તો ડિજિટલ નિરક્ષરતા દૂર કરી ડિજિટલ સેવાઓમાં વૃદ્ધિ કરવી પડશે. સમગ્ર દેશની ૧૫ ટકા, આન્ધ્રની ૬૯,  ઓડિશાની ૬૦ અને અસમની ૫૯ ટકા ડિસ્ટ્રિક્ટ  કોર્ટોમાં મહિલા ટૉઇલેટ ન હોય તેવી બદતર સ્થિતિમાં કોર્ટો કામ કરતી હોય તે સ્થિતિ તાકીદનો સુધારો માંગે છે.

રાજનીતિના અપરાધીકરણને કારણે રાજનેતાઓ સામેના કેસો વધી રહ્યા છે. માત્ર સાંસદો સામેના અપરાધિક કેસો ૨૦૦૦માં ૨૪ ટકા હતા, જે ૨૦૧૯માં ૪૩ ટકા થયા છે. રાજનેતાઓ સામેના પડતર અપરાધિક ૪,૪૪૨ કેસોમાંથી ૨૫,૫૬ સાંસદો અને ધારાસભ્યો સામેના છે. જો તેનો નિકાલ થઈ શકે, તો રાજકારણના અપરાધીકરણનું ચિત્ર સ્પષ્ટ થાય. અદાલતો બે પાળીમાં ચલાવવા વ્યવસ્થા વિચારવા સાથે, ખાસ અદાલતો નામ માત્રની હોય છે, તે સ્થિતિ બદલવાની જરૂર છે. કોઈ પણ અદાલતી કેસના અંતિમ નિર્ણયની સમયમર્યાદા નક્કી કરવાની અને સુનાવણીની વધુમાં વધુ કેટલી તારીખો હોઈ શકે, તે નક્કી કરવાની જરૂર છે. ટેક્‌નોલૉજીનો વ્યાપક ઉપયોગ કરવાથી અને આર્થિક તથા વ્યાપારી મામલાના કેસોમાં મધ્યસ્થી અને સમાધાનના પ્રયાસોનું સોગંદનામું અનિવાર્ય કરવાથી કેસોના નિકાલમાં ઝડપ આવી શકશે. ન્યાય મેળવતાં લોકોની પેઢીઓ નીકળી જાય છે. તેમને ન્યાયની દેવડીએ આવતા બંધ ન કરવા હોય, તો ન્યાયમાં વિલંબને અટકાવવો પડશે.

ન્યાયમાં વિલંબથી લોકોમાં હતાશા અને ક્રોધ જન્મી શકે છે. તેઓ ન્યાયની આશા ગુમાવીને કાયદો હાથમાં લે તેમ પણ બની શકે છે.ન્યાયના વિલંબની આર્થિક અસર બહુ મોટી હોય છે. ૨૦૧૬નું અનુમાન વાર્ષિક જી.ડી.પી.ના ૦.૫ ટકા જેટલી અસરનું છે. સરકારના ૫૦,૦૦૦ કરોડના પ્રોજેકટ વિલંબિત ન્યાયના કારણે ખોરંભે પડ્યા છે.

પૂર્વ વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાના ચુકાદા અનુક્રમે પાંચ અને નવ વરસે આવ્યા હતા. ૧૯૭૫માં થયેલી તત્કાલીન રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રની હત્યાનો ચુકાદો ચાળીસ વરસે આવ્યો હતો. જો હાઈ પ્રોફાઇલ કેસોની આ હાલત હોય, તો સામાન્ય માનવી તો સમયસર ન્યાયની આશા જ ક્યાંથી રાખે. નીતિ આયોગના મંતવ્ય અનુસાર ભારતનાં ન્યાયાલયોમાં આજે પડતર કેસોની સ્થિતિ અને તેના નિકાલની ગતિ જોતાં બધા અદાલતી કેસોનો નિકાલ આવતાં સાડા ત્રણસો વરસ લાગશે. આઝાદીના અમૃત પર્વના વરસે દેશજનતા બંધારણે બક્ષેલા સઘળા ન્યાયની નહીં તો કમ સે કમ સમયસરના અદાલતી ન્યાયની તો અપેક્ષા રાખે જ ને ?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 11-12

Loading

રાજશક્તિ સામે લાચાર લોકશક્તિ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|4 October 2021

દેશમાં અને દુનિયામાં લોકશાહીનું શું થવા બેઠું છે તે સમજ પડતી નથી! અફઘાનિસ્તાનનો કિસ્સો ચર્ચાને ચકડોળે છે. બધા થથરી ઊઠ્યા છે, પણ કોઈની પાસે એનો ઉકેલ હાથવગો તો નથી. એની દિશા પણ કોઈને દેખાતી નથી. લોકશાહીનું સત્ત્વ હણાયું હોય અને માત્ર સ્વરૂપ ટકી રહ્યું હોય એમ લાગ્યા કરે છે.

નાગરિકસમાજનું ઘડતર થયું હોય તેમ જણાતું નથી. ગુજરાતમાં, અમદાવાદમાં રાજપથ ક્લબ નજીકના ગ્રંથાગારમાં બજરંગદળના ડઝનેક સભ્યોએ ૨૯-૮ને શનિવારની રાત્રે સંસ્કૃતમાં લખાયેલા પ્રાચીન ગ્રંથ ‘કામસૂત્ર’ની નકલો બાળી અને આવાં ગંદાં પુસ્તકોનું વેચાણ થતું જોઈને હિન્દુઓની લાગણી ઘવાય છે, એવું નિવેદન કર્યુ. તેનાથી વ્યથિત થઈને જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ લેખક ગુરુચરણદાસે ૧૯-૯ને રવિવારના ‘ટાઇમ્સ’માં લેખ લખ્યો. હિન્દુ તત્ત્વજ્ઞાનમાં ધર્મ, અર્થ અને મોક્ષ ત્રણની સાથે કામને પણ સામેલ કરવાના શાણપણની વાત કરી. પશ્ચિમી જગત સમજે તે પૂર્વે હિન્દુશાસ્ત્રો ઇન્દ્રિયોના ઉત્સવને સમજ્યા છે. આ વારસો એમ કલંકિત કરવાની જરૂર નથી એ વાત એમણે કરી. ગુજરાતમાં આપણે એ નિમિત્તે કોઈ શાણપણની વાત પણ ન કરી શક્યા! પુસ્તક બાળવા માટે નથી, વાંચવા માટે છે, એવું ન સમજાવી શક્યા, જ્યાં ‘વાંચે ગુજરાત’નું અભિયાન થઈ ગયું હતું!

રાજ્યના મુખ્ય મંત્રીએ દેખીતા કોઈ કારણ વિના એકાએક રાજીનામું આપ્યું. એની સાથે એમનું આખું મંત્રીમંડળ પણ વિદાય થયું. ચોવીસ કલાકમાં હાઈ કમાન્ડે નવા મુખ્ય મંત્રી ગુજરાતની પ્રજાને આપ્યા. એમની સોગંદવિધિ સાથે પૂરા મંત્રીમંડળની સોગંદવિધિ ન થઈ શકી, કારણ ઊભી થયેલી સ્થિતિમાં રાજકીય અસંતોષને ખાળવા માટે  સમય જોઈતો હતો.

રાજકીય પક્ષોમાં લોકશાહી પ્રક્રિયા ચાલતી નથી, એ ખાનગી વાત ચૂંટણીપંચ અને ન્યાયતંત્ર પણ જાણે છે. ‘હાઈકમાન્ડ’ શબ્દ ઇન્દિરા ગાંધીના વખતમાં વપરાયેલો, તે હવે દેશને ‘મજબૂત સરકાર’ મળવાથી ફરીથી ચલણી બન્યો છે. સન્નિષ્ઠ કાર્યકરોનું કશું જ ન ઊપજે અને હાઈ કમાન્ડ શબ્દ શિલાલેખ પરનું લખાણ બની જાય એમ થઈ રહ્યું છે.

લોકશાહીનું પિયરઘર ઍથેન્સ મનાય છે. ઍથેન્સનો નાગરિક પોતાનું ઘર સંભાળવાને બહાને રાજ્ય તરફ બેપરવાહ રહેતો નહોતો. વિવિધ વ્યવસાયોમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પણ જાહેર કામો અંગેની આવશ્યક માહિતી તો હોય જ પ્રાચીન ગ્રીસની લોકશાહીમાં જે નાગરિક જાહેર પ્રશ્નમાં રસ લેતો નહીં તે નિરુપદ્રવી નહિ, પણ નકામો ગણાતો. આજે આપણે એવું કંઈ સમજતા નથી અને પોતાનામાં એકાંગી રીતે મગ્ન છીએ.

લોકશાહીની રીતે સમાજમાંથી ઊઠવા જોઈતા પ્રશ્નો એ હોઈ શકે કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પોતાનો નેતા નક્કી કરવાનો અધિકાર કેમ ન હોવો જોઈએ? હાઈ કમાન્ડ પોતાની મરજીમાં આવે ત્યારે અને તે રીતે સરકારને બદલી નાખે તો સરકાર બદલવાના લોકોના અધિકારનું શું? રાજકીય પક્ષને એક વાર બહુમતી મળી પછી પાંચ વરસ સુધી પોતાને મન ફાવે તેમ વર્તે અને પ્રજા લોકશાહીનું નાટક જોતી રહે એવું લોકશાહીમાં અભિપ્રેત છે? નવા મંત્રીમંડળનો અને તે નિમિત્તે સોગંદવિધિનો જે કંઈ ખર્ચ થાય છે, તે પ્રજાએ શા માટે વેઠવો જોઈએ? R.T.I.ના જમાનામાં એ ખર્ચનો આંકડે મેળવીને, એ રાજકીય પક્ષ પાસેથી વસૂલ કરીને, સરકારી તિજોરીમાં જમા લેવાની વ્યવસ્થા થઈ શકે ખરી ?

‘નો રીપિટ થિયરી’ એમ કહીને જૂના મંત્રીઓને સરકારી બંગલા ફાળવાયા. નવા મંત્રીઓને શુભમુહૂર્ત જોઈને કાર્યરત બનાવાયા. તેથી જાહેર વહીવટનું સાતત્ય જળવાયું કે કેમ એ તપાસવાની કોઈને ચિંતા નથી. નવા નિશાળિયા બિનઅનુભવી અને નાની ઉંમરના હોય, ત્યારે વહીવટી તંત્રના ઉચ્ચ શિક્ષણ પામેલા અધિકારીઓ આ અલ્પ શિક્ષિત મંત્રીઓ પ્રત્યે આદર કેમ અનુભવશે તેનો પણ વિચાર કરવો રહ્યો. વહાણનું સુકાન નવાસવાના હાથમાં સોંપીએ તો એ કઈ દિશામાં લઈ જાય અને કેવી દશામાં મુકાવું પડે એની ચિંતા ખરી કે નહિ.

આવા કોઈ પ્રશ્નો જાણે પૂછવાના જ બંધ થઈ ગયા છે. આઝાદ ભારતમાં પહેલી વાર આવો નવતર પ્રયોગ થયો છે, એમ કહીને હાઈકમાન્ડનાં ઓવારણાં લેવાય છે, પણ રાજ્ય અનવસ્થામાં મુકાશે તેનું શું? કોઈકે ‘કામરાજ યોજના’ને યાદ કરી છે. અમુક ઉંમરથી મોટાને માર્ગદર્શકમંડળમાં બઢતી આપવાનું દેશના રાજકીય પક્ષે ૨૦૧૪માં પણ નક્કી કરેલું. હવે લોકશાહીનો તો સિદ્ધાંત છે કે કાયદો ઘડનાર કાયદાથી પર ન હોઈ શકે. આવી યોજના ઘડનારનું શું થશે? એને પણ કાયદો લાગુ પડશે કે પેલા શાશ્વત નિયમનો આધાર લેવાશે, જેમાં કહેવાયું છે કે પ્રત્યેક નિયમને અપવાદ હોય છે. અપવાદ વિનાનો નિયમ સાંભળ્યો નથી.

આજે રાજકારણ અતિશય માત્રામાં વધી ગયું છે. પ્રજામાંનો એક પક્ષ બચાવમાં છે તો બીજો પક્ષ તમાશો જોવામાં વ્યસ્ત છે. લોકશાહી સરકારના હવાલે નથી, તો પ્રજાના હવાલે પણ નથી. આવા સમયને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે એવું છે.

લોકશાહીમાં લોકશક્તિનું નિર્માણ ન થાય, તો લોકોની પ્રતિકારશક્તિ નબળી પડે છે. નાગાલૅન્ડમાં વિરોધપક્ષ વિનાની સરકાર રચાઈ રહી છે. પંજાબમાં ગુજરાત જેવી જ રાજકીય દખલગીરી હાઈ કમાન્ડ દ્વારા થઈ રહી છે. ત્યાં પણ મંત્રીમંડળ અને મુખ્ય મંત્રી બદલાયા છે. મુખ્ય બે રાજકીય પક્ષો દેશની લોકશાહીને બચાવવામાં સક્ષમ પુરવાર થશે ખરા કે?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 09

Loading

...102030...1,7301,7311,7321,733...1,7401,7501,760...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved