Opinion Magazine
Number of visits: 9570900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિવેચન વિશે મારાં મન્તવ્યો

સુમન શાહ|Opinion - Literature|8 October 2021

વિવેચન કરવાનો અધિકાર કોનો? (1)

ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. મારા ઘરે ગુજરાતી સાહિત્યનાં એક અધ્યાપકબહેન આવેલાં. અલકમલકની વાતો ચાલેલી. મને એકાએક કહેવા લાગ્યાં : સુમનભાઈ, તમે નામાંકિત સાહિત્યકાર છો, મારાથી વિવેચક થવાય? મારે થવું છે, શું કરવું જોઈએ? મેં કહ્યું : હું પોતે હજી વિવેચન શીખી રહ્યો છું, તમને શું કહી શકું? : થોડું પણ કહો : મેં કહેલું કે મને જેટલું આવડે છે એને આધારે બે વાત કરું. પછી મેં એમને જે કંઈ કહ્યું હશે તે બધું અત્યારે યાદ નથી.

પણ અમારી વાતોનો સારરૂપ મુ્દ્દો એ હતો કે – વિવેચકપદવાંચ્છુએ શું કરવું જોઇએ.

વિવેચક શી રીતે થવાય. વિવેચન કોણ કરી શકે. ટૂંકમાં, વિવેચન કરવાનો અધિકાર કોનો?

એ બહેન વિવેચક ન થયાં, કાવ્યો કરે છે, વિભાગીય અધ્યક્ષ થયાં, હવે કદાચ નિવૃત્ત છે. હું નમ્રતાપૂર્વક કહું કે વ્યક્તિ અધ્યક્ષ હોય કે પ્રમુખ, મહેનતુ વિદ્યાર્થી હોય કે સાહિત્યનો કોઈ અઠંગ વાચક, સામયિકનો દુરારાધ્ય અથવા પરમ સરળ તન્ત્રી હોય કે સમ્પાદક, વિવેચન ન કરી શકે.

મારે વિવેચક થવું છે …. I want to be a critic …  

Pic courtesy : Reedsy

એ ત્રીસ વર્ષના મારા વિદ્યાવ્યાસંગને પ્રતાપે મારું મન્તવ્ય બંધાયું છે કે એ જ અધ્યક્ષ, એ જ પ્રમુખ, એ જ વિદ્યાર્થી, એ જ વાચક, એ જ તન્ત્રી કે સમ્પાદક વિવેચન જરૂર કરી શકે, કરી શકે અને કરી જ શકે – જો એની પાસે નીચે દર્શાવેલી ૧૧ વસ્તુઓ હોય :

૧ :

ધારો કે એ ચન્દ્રકાન્ત બક્ષીકૃત ‘આકાર’ નવલકથાનું વિવેચન કરવા ચાહે છે. સૌ પહેલાં એણે એ કૃતિનું શબ્દ શબ્દમાં વાચન કર્યું હોવું જોઈશે – જેને સઘન વાચન, નિકટવર્તી વાચન કે ક્લોઝ રીડિન્ગ કહેવાય છે. એવું વાચન ભાવનમાં પરિણમે અને કૃતિનો રસાનુભવ કે કલાનુભવ શક્ય બને. રસાનુભવ વિવેચનની પૂર્વશરત છે.

નવલકથા કેટલી મોટી છે, બધું ક્યારે વાંચી રહીશ, એવા મનોભાવથી ઉપર ઉપરથી જોઈ જાય કે ગગડાવી જાય, તે ન ચાલે.

‘આકાર’ વિશે બીજા વિવેચકે લખેલું વિવેચન વાંચીને પોતાનું ઠઠાડી કાઢે, તે પણ ન ચાલે.

૨ :

એની પાસે બક્ષીની અન્ય નવલકથાઓનો ઠીક ઠીક પરિચય હોવો જોઈશે. ‘અન્ય’-નો અર્થ એ કે ‘આકાર’ પૂર્વેની અને તે પછીની.

૩ :

એને નવલકથાના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિની પાકી સૈદ્ધાન્તિક જાણ હોવી જોઈશે. એ પણ ખરું કે એને લઘુનવલ કે મહાનવલના સિદ્ધાન્તોની પણ જાણ હોવી જોઈશે. એ સાહિત્યવિશ્વના ત્રણ મુખ્ય ઉપખણ્ડ અને તેમની વચ્ચેના ભેદ જાણતો હોવો જોઈશે – ડ્રામેટિક પોએટ્રી – નૅરેટિવ પોએટ્રી – લિરિકલ પોએટ્રી. ‘પોએટ્રી’-નો અહીં અર્થ લેવાનો છે, સાહિત્ય. 

૪ :

એની પાસે વિશ્વ-નવલકથાના ઇતિહાસની આછીપાતળી પણ ઐતિહાસિક રૂપરેખા હોય, તો સારું થશે.

પરન્તુ એની પાસે ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસનું અને ગુજરાતી નવલકથાના વિશિષ્ટ ઇતિહાસનું સાદ્યન્ત જ્ઞાન નહીં હોય, તે નહીં જ ચાલે. એને ખબર પડવી જોઈશે કે બક્ષી પૂર્વે ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે હતી, એટલું જ નહીં, એને એ પણ ખબર હોવી જોઈશે કે બક્ષી પછી ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે બદલાઈ હતી.

૫ :

કથાસાર આપી દેવો કે ઘટનાઓની અને પાત્રોની પરિસ્થતિઓની પોતાના શબ્દોમાં વાતો લખી નાખવી, તે વિવેચન નથી.

નવલકથા એક સર્જન કહેવાય. એમાં બધું સરસ રીતે ગૂંથાયું હોય. વિવેચન કરનારને એ આખી ગૂંથણી ઉકેલતાં આવડવું જોઈશે. ઉકેલાયું હોય એટલે મહત્ત્વના એકમો એના ધ્યાનમાં આવ્યા હોય. એ એકમો એકમેકને શી રીતે પ્રભાવિત કરે છે એ બધું એ સરસ રીતે કહી શકવો જોઈશે.

યાદ રાખો કે સર્જન સંશ્લેષણ છે, વિવેચન વિશ્લેષણ છે. યાદ એ પણ રાખો કે સર્જન કાળજીભર્યું સંશ્લેષણ છે, વિવેચન પણ કાળજીભર્યું વિશ્લેષણ છે.

વિવેચકે કૃતિ નામના પંખીનાં પીછાં જોવાનાં ને તપાસવાનાં જરૂર પણ યાદ એ રાખવાનું કે એણે એવી ફૅંદાફૅંદી નથી કરવાની કે પંખી બચારું મરી જાય !

૬ :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, રસમીમાંસા, પ્લેટો-ઍરિસ્ટોટલથી માંડીને ટી.ઍસ. એલિયટ અને ‘નવ્ય વિવેચન’ લગીની પશ્ચિમની સાહિત્યમીમાંસાનો – બન્ને પરમ્પરાઓનો – એ અભ્યાસુ હોવો જોઈશે. કેમ કે એ સમૃદ્ધ પરમ્પરાઓએ જ વિવેચનપદાર્થને વિધ વિધે ઓળખાવ્યો છે. વિવેચકપદવાંચ્છુની એ પ્રાથમિક શાળાઓ છે.

૭ :

એણે પોતાની ભાષાના નીવડેલા વિવેચકોને વાંચ્યા હોવા જોઈશે. એણે વિશ્વખ્યાત વિવેચકોને વાંચ્યા હોય તો ઉપકાર થશે.

૮ :

એની પાસે વિવેચનને માટેના શબ્દોનું ભંડોળ હોવું જોઈશે. એ ભંડોળ અથવા વૉકેબ્યુલરી સામાન્યપણે બે પ્રકારની છે : મૅટાફોરિકલ અને મૅથડોલૉજિકલ. નવલકથાની ચર્ચા કરતી વખતે ‘જન્મ’ ‘ઉછેર’ ‘વિકાસ’ ‘નાભિશ્વાસ’ ‘મરણ’ જેવા શબ્દો પ્રયોજીએ છીએ, તે મૅટાફોરિકલ. મૅથડોલૉજિકલ આપણે ત્યાં ખાસ વિકસી નથી, છતાં, આપણે કથાવસ્તુની સંરચના, તેનું સ્થાપત્ય, તેનું શિલ્પ એમ જાણ્યે-અજાણ્યે પ્રયોજીએ છીએ ખરા.

૯ :

એણે સાહિત્યવિવેચનની પરિભાષામાં લખવું જોઈશે. પારિભાષિક સંજ્ઞાઓ દૂધમાં સાકર ભળે એમ એના લેખનમાં ભળીને એકરસ થઈ ગઈ હોય તો ખૂબ આવકાર્ય ગણાશે. પણ પરિભાષા વિનાનું લેખન નિ:સામાન્ય હોય છે, એની એણે ફૉમ રહેવી જોઇશે.

૧૦ :

એના લેખનમાં ગુજરાતી ભાષાની જોડણી સચવાઈ હોય, વાક્યરચનાઓમાં પસંદગી-ધરી અને અન્વય-ધરીનું સામંજસ્ય હોય, વાક્યો વાક્યતન્ત્રનું માન રાખતાં હોય, શબ્દો શબ્દાર્થશાસ્ત્ર અનુસારના હોય, એ બધી અનિવાર્યતા છે. એ કોઈ ગુજરાતી જાણતો સામાન્ય નાગરિક નથી કે જેમતેમ લખી પાડે તે નભી જાય.

વિવેચકો પ્રત્યક્ષપણે સાહિત્યકલાના અને પરોક્ષપણે પોતાની માતૃભાષાના રખેવાળ હોય છે.

૧૧ :

એના એ મહત્ત્વાકાંક્ષી લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એથી એના લેખનને વિવેચનનનો માભો મળશે. એકલું વર્ણન કે એકલી સમજૂતી, વિવેચન નથી. માત્ર અર્થઘટન કે માત્ર મૂલ્યાંકન તો, શક્ય જ નથી. આ ચારેય વાનાં લેખનમાં ક્રમે ક્રમે દેખા દે છે. ક્યારેક એકાદ દીર્ઘ ફકરામાં ચારેય સમ્મિલિત પણ જોવા મળે છે.

આ ૧૧ વસ્તુઓ નવલકથા ઉપરાન્ત, પ્રકાર અનુસાર, કવિતા ટૂંકીવાર્તા નિબન્ધ નાટક વગેરે બધા જ સાહિત્યપ્રકારોને લાગુ પડે છે.

આ ૧૧ વસ્તુઓ પાયાની છે. વિવેચનની ઇમારત એ પર ઊભી હોય છે. છતાં, અપવાદ રૂપે કશાકમાં લગીર છૂટછાટ લેવાઇ હોય, તો ચાલી શકે છે. પણ એટલી મોટી છૂટ નહીં લઈ શકાય કે ઇમારત વિકસે એ પહેલાં જ ધબૂસ થઈ જાય.

તાત્પર્ય, વિવેચકપદવાંચ્છુએ આ ૧૧ વસ્તુઓના આગ્રહી બનવું. જાત જોડે રાખેલો એ આગ્રહ એના અધિકારને દૃઢથી સુદઢ કરશે.  

= = =

(October 8, 2021: USA)

સૂચના :

1. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે.

2. સૂચના : આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રો નૉંધ લેશે.

Loading

કલ્પના કરો, દુનિયા કઈ દિશામાં જઈ રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 October 2021

આમ તો બધા દેશપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે, તેમની રગેરગમાં એવું ગરમ લોહી વહે છે જે દેશ માટે ખપી જઈને વહાવી દેવા તૈયાર છે. વળી એ દરેકે એકએક દુશ્મન પાળી રાખ્યો છે જેનાથી ડરવા અને ડરાવવામાં આવે છે, ક્વચિત લલકારવામાં આવે છે. પ્રજા પણ મહાન પ્રાચીન વારસાને યાદ કરીને મરક મરક પોરસાય છે, એની વચ્ચે વળી ‘દુશ્મનનાં કુકર્મો’ની યાદ આવી જાય તો ક્રોધાયમાન થઈ જાય છે, તેનું અસ્તિત્વ મિટાવી દેવા માટે ભાવાવેશમાં આવી જાય છે, તો ક્વચિત ગ્લાનિગ્રસ્ત થઈને રડી પડે છે. એક વાત સારી છે કે તેમની તેમના દેવો ઉપર અખૂટ શ્રદ્ધા છે એટલે એને ભરોસે મીઠી નિંદર માણી શકે છે. એ શ્રદ્ધા ઘટે નહીં એ માટે મીડિયા (દરેક પ્રકારના) ક્યારેક દુશ્મનોનાં કુકર્મોની યાદ અપાવે છે તો ક્યારેક દેવતાઓની સ્તુતિ કરે છે. એ પણ બિચારા ચોવીસે કલાક સેવારત રહે છે.

આવું માત્ર ભારતમાં નથી બની રહ્યું, જગત આખામાં બની રહ્યું છે અને એની પાછળ તમે કલ્પના પણ ન કરી હોય એવા ખેલ ખેલાય છે. પણ કેટલાક લોકો છે જે પ્રજાને અને શાસકોને ‘ગમતાં સત્ય’ને નહીં પણ, સત્યને ઉજાગર કરે છે અને પ્રજાની આંખ ખોલવાનો પ્રયત્ન કરે છે. ઇન્ટરનેશનલ કૉન્સોર્શિયમ ઑફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલીસ્ટ્સ (આઈ.સી.આઈ.જે.) ૬૦૦ કરતાં વધુ પત્રકારોનું એક એવું જૂથ છે જે શાસકોની અને શાસકોને પોષતા ભાગીદારોની લીલા ઊઘાડી પાડે છે. એ જૂથમાં ભારતમાંથી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો સમાવેશ થાય છે. શાસકો તો બિચારા ગજવામાં છે, મુખ્ય ઓપરેટરો તો આ ભાગીદારો છે. તેઓ દુનિયાને લૂટવા માગે છે એટલે શાસકોને ખરીદે છે અને પ્રજાને બહેકાવે છે. મીડિયા પણ તેમની માલિકીના છે, જે હમણાં કહ્યું એમ પ્રજાને ઉશ્કેરવાનું અને મીઠી નિંદરમાં સુવડાવવાનું કામ કરે છે.

આ જૂથે ૨૦૧૬માં ‘પનામા પેપર્સ’ ખુલ્લા કર્યા હતા, જેનો જથ્થો ૨.૬ ટેરાબાઇટ્સ હતો. તેમણે ૨૦૧૭માં ‘પેરેડાઇઝ પેપર્સ’ ખુલ્લા કર્યા હતા, જેનો જથ્થો ૧.૪ ટેરાબાઇટ્સ હતો. સોમવારે તેમણે ‘પેન્ડોરા પેપર્સ’ ખુલ્લા કર્યા છે, જેનો જથ્થો ૨.૯૪ ટેરાબાઇટ્સ છે. સમજાય એવી ભાષામાં કહેવું હોય તો કોરા સત્ય સાથે નિસ્બત ધરાવનારા ૬૦૦ પત્રકારોએ પેન્ડોરા પેપર્સની કુલ એક કરોડ ૧૯ લાખ ફાઈલોની ચકાસણી કરી હતી. આના ઉપરથી સમજાશે કે દુનિયાના  મૂલ્યનિષ્ઠ ૬૦૦ પત્રકારોએ ત્રણ ખેપમાં ઓછામાં ઓછી અઢી કરોડ ફાઈલો શોધી કાઢી હતી જેમાં શાસકોને પોષનારા અને પ્રજાને સુવડાવનારાઓના ગોરખધંધાની વિગતો મળે છે. અઢી કરોડ ફાઈલો! કલ્પના કરો, દુનિયા કઈ દિશમાં જઈ રહી છે અને એમાં આપણે અદના નાગરિકો ક્યાં છીએ! આ તો હાથ લાગેલી ફાઈલો છે, જે હાથ નથી લાગી એ તો મહાસાગર હશે.

પેન્ડોરા પેપર્સ એમ કહે છે કે દુનિયાના ૯૦ દેશોના ૩૫ શાસકો (આજી અને માજી વડા પ્રધાન, પ્રમુખ કે સરમુખત્યાર), ૯૦ દેશોના ૩૦૦ કરતાં વધુ સરકારી સેવકો (આજી અને માજી પ્રધાનો, અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ, જજો અને શહેરોમાં સત્તા ધરાવતા મેયરો), સો કરતાં વધુ અબજોપતિઓ અને બીજા હજારેક લોકો પોતપોતાનાં દેશના કાયદાઓથી બચવા એવા કેટલાક દેશોમાં નાણું છુપાવે છે જ્યાં તેમને વ્યાજ ભલે નથી મળતું, પણ ગુપ્તતાનું કવચ મળે છે. જો પોતાના દેશમાં ઇન્કમટેક્ષ રીટર્ન ભરીને આવક બતાવે તો વેરો ચૂકવવો પડે. એ પૈસા ક્યાંથી આવ્યા અને કયે માર્ગે આવ્યા એ બતાવવું પડે. વેરા પેટે એક રૂપિયાની આવકમાંથી ૩૦થી ૪૦ પૈસા ઘસાઈ જાય અને ઉપરથી ખોટા માર્ગે પૈસા રળ્યા હોય તો ગુનો ગણાય એનાં કરતાં એવા દેશોમાં પૈસા છૂપાવવા સારા જ્યાં વ્યાજ પેટે આવક ભલે ન થાય, પણ વેરા પેટે નુકસાન ન થાય અને ગુનો કર્યો હોય તો ગુનેગાર ન ઠરે. આખરે દેશપ્રેમી ખરા ને!

સૌથી મોટું ઉદાહરણ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું છે. આ સાહેબ દેશપ્રેમી રાષ્ટ્રવાદી છે અને તેમણે પણ ઇસ્લામ અને મુસલમાનને દુશ્મન તરીકે પાળ્યા છે જેને યુરોપમાં ઇસ્લામોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૯માં વડા પ્રધાન બન્યા એ પહેલાં મુસલમાનો અને ઇસ્લામ વિષે ગમે તેમ બોલતા હતા, પણ હવે સાચવીને બોલે છે. વડા પ્રધાન બન્યા એનાં વરસ પહેલા ‘ડેઈલી ટેલિગ્રાફ’માં લખેલા લેખમાં તેમણે બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાના દેખાવની સરખામણી ટપાલપેટી અને બેન્ક લૂંટનારા(બેંક રોબર્સ)ઓ સાથે કરી હતી. તેઓ પણ અંગ્રેજ પ્રજાને ઇસ્લામ અને મુસલમાનોથી ડરાવીને સત્તામાં આવ્યા છે. હવે પેન્ડોરા પેપર્સમાં બહાર આવ્યું છે કે વડા પ્રધાન બનવા માટેના પ્રચારનો તેમણે જે ખર્ચો કર્યો હતો એમાં સૌથી મોટું યોગદાન મહમદ અમરસી નામના મુસલમાન કુબેરપતિનું હતું જેણે ઉઝબેકિસ્તાનના પ્રમુખની દીકરીને બાવીસ કરોડ ડોલર્સની લાંચ આપી હતી. તો પછી પેલો ઇસ્લામ અને મુસલમાનનો ભય કોના માટે છે? બુદ્ધિશાળી વાચકો જવાબ શોધી લેશે. 

૯૦ દેશોના દેશપ્રેમીઓએ કરેલા ગોરખધંધાની વિગતો અહીં આપવી શક્ય નથી એટલે આપણે આપણા પોતાના કાંચન જેવા પવિત્ર દેશપ્રેમીઓની વાત કરીએ. એ પણ બે-પાંચ લોકોની, કારણ કે પેન્ડોરા પેપર્સમાં ૩૦૦ કરતાં વધુ ભારતીયોનાં નામ છે. જે વાચકોને દેશમાં અને દુનિયામાં પ્રજાને કેફમાં કેવા ગોરખધંધા ચાલી રહ્યા છે એ જાણવું હોય એ વાચકોએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને એવા બીજા મીડિયાનો સંગાથ સેવવો જોઈએ. જેમને અર્ણવવાદ્ય સાંભળવાથી નશો ચડે છે એમના માટે એ અખબારો નથી.

અનિલ ધીરુભાઈ અંબાણીએ દેશની સરકારી બેંકોના ૮૦ હજાર કરોડ રૂપિયાનું આંધણ કરી નાખ્યું છે અને નાદારી જાહેર કરીને હાથ ઊંચા કરી નાખ્યા એ તો તમે જાણો છો. તમને એ પણ યાદ હશે કે તેમની સામે ત્રણ ચીની બેન્કોએ લંડનની કોર્ટમાં પૈસાવસૂલી માટે દાવો કર્યો હતો. એ મુકદમો અનિલભાઈ હારી ગયા હતા અને તેમને કુલ ૭૧ કરોડ ૬૦ લાખ ડોલર્સ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અનિલભાઈએ અદાલતને કહ્યું હતું કે તેઓ નાદાર છે અને સંપત્તિમાં તેમની પાસે ફૂટી કોડી નથી. લંડનની અદાલતે એ બહાનાને કાને ધર્યું નહોતું અને કાં પૈસા ચૂકવો અને કાં જેલમાં જાવ એવો આદેશ આપ્યો હતો. ધીરુભાઈ અંબાણીનો પુત્ર જેલમાં જાય એનાથી પરિવારનું ભૂંડું લાગે માટે મોટાભાઈ તરીકે મૂકેશ અંબાણીએ અનુજ વતી પૈસા ચૂકવી દીધા હતા.

હવે બહાર આવ્યું છે કે અનિલ અંબાણીનાં વિદેશની બેન્કોમાં એક અબજ ૩૦ કરોડ ડોલર્સ, એટલે કે ચીની બેંકોને જેટલા પૈસા ચૂકવવાના હતા તેનાથી લગભગ બમણા પૈસા છૂપાવેલા પડ્યા છે. આપણને ખબર નથી કે મોટાભાઈને પણ અનુજે છૂપાવેલા પૈસાની જાણ કરી હતી કે નહીં. આ દેશભક્ત ઉદ્યોગપતિને દેશભક્ત સરકારે, જરૂર પડી તો ખુદ સરકારને નુકસાન પહોંચાડીને પણ રાફેલનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.

બીજા દેશભક્તોમાં ડગલેને પગલે જેમનું નામ સર્વત્ર જોવા મળે છે એ અદાણી પરિવારના જ્યેષ્ઠ વિનોદ અદાણી છે. એમની દેશભક્તિ જોઇને સરકાર સર્વત્ર ન્યોચ્છાવર કરી રહી છે. ક્રિકેટર સચિન તેંડુલકર એમાં છે. એમની દેશભક્તિના શિરપાવ તરીકે આગલી સરકારે તેમને રાજ્ય સભાનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. બીજા એક નિવૃત્ત લશ્કરી અધિકારી લેફ્ટનન્ટ જનરલ રાકેશ કુમાર લૂંબા છે. લશ્કરી ખાતામાં જેટલો ભ્રષ્ટાચાર છે એટલો બીજા કોઈ ખાતામાં નથી, કારણ કે એમાં સંરક્ષણના નામે ગોપનીયતાનો લાભ મળે છે. ગાંધીપરિવારના એક સમયના મિત્ર કેપ્ટન સતીશ શર્મા છે, જેમનું હમણાં જ નિધન થયું છે. અને હા, ઇકબાલ મિર્ચીનો પણ એ મહાનુભાવોની યાદીમાં સમાવેશ થાય છે!

છેલ્લે, કોઈને કાંઈ થવાનું નથી. કોઈ જેલમાં જવાનું નથી, લખી રાખજો!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 ઑક્ટોબર 2021

Loading

એક ગુજરાતી લેખકે લીધી અમેરિકન પ્રમુખની મુલાકાત

દીપક મહેતા|Opinion - Opinion|7 October 2021

અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ ગુજરાતી લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં અમેરિકાનો પ્રમુખ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતી લેખકોનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને!

પણ એક ગુજરાતી લેખક તો એવો પાક્યો છે જેણે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધેલી. તમે પૂછશો : કોણે? ક્યારે? બીજા સવાલનો જવાબ પહેલાં : ૧૮૬૨ના ઓગસ્ટની ૧૯મી તારીખે સવારે દસ વાગ્યે. ના, ‘૧૮૬૨’ એ છાપભૂલ નથી હોં! એ લેખકના પોતાના જ શબ્દોમાં એ મુલાકાતની વાત સાંભળીએ : (અહીં અને હવે પછી બધે અવતરણ ચિહ્નોમાં જોડણી મૂળ પ્રમાણે.) ‘શીઉઅરડ પોતાની આફિસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઇ ગયેલો. આ મકાનના દરવાજા આગળ નહિ સિપાઈની ચોકી કે નહિ ઘરમાં ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઊભેલું હતું જે ઘર જોવા આવનારા લોકોને સટેટ રૂમ કે જાહાં પરેસીડેનટ લેવી ભરી લોકોની મુલાકાત લિએ છે તે જાગો દેખાડતો હતો. તે સિવાએ બીજા દેશની પઠે અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેશને ફોકતના ખરચમાં નથી નાખતા. પછી મી. શીઉઅરડે હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી. શીઉઅરડને સેજ વાત કરતા ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાણીએ છ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેથા તેવો જ પરેસીડેંટ ઊભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી. શીઉઅરડે હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે શેક હેનડ કરીને કુરસી આપી. અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાતચીત કીધી અને હમોને કહીંઉ કે આ દેશમાં નવાઈ જેવું જોવાને તો કાંઈ નથી. પછી હમોને પુછીઉં કે તમોએ તમારું વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહેઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહતા નથી હેવું કહી હમો એ જાગો પરથી ઊઠીઆ. આ વેલાએ પોતે બી ઊઠી હમોને શેકહેનડ કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ શકાઉં નહિ કે હું તારી સરવે વાતે ફતેહમંદી ચાહું છઉં. એટલું કહી હમોએ રૂખસદ લીધી.’

પ્રેસિડન્ટ લિંકન ૧૮૬૧માં લેવાયેલો ફોટોગ્રાફ

આ મુલાકાતની સાલ તમે નોંધી? સાલ હતી ૧૮૬૨. અને એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ હતા બીજું કોઈ નહિ, પણ અબ્રહામ લિંકન! આપણા આ લેખકે તેને વિષે એક જ વાક્ય લખ્યું છે : ‘એ પરેસીડેનટ લીનકન હારે ઊંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાસમાં ઘણો સાદો હતો.’ તમે પૂછશો : પ્રેસિડન્ટનું નામ તો કહ્યું, પણ તેની મુલાકાત લેનાર એ ગુજરાતી લેખકનું નામ શું? ‘અમેરિકાની મુસાફરી’ નામનું જે પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયેલું તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું જ નથી! પુસ્તકના ટાઈટલ પેજ પર માત્ર આટલું છાપ્યું છે : ‘એક પારશી ઘરહસથે સન ૧૮૬૨માં ઇંગલેંડથી અમેરિકાના ઈઉનાઈટેડસટેસ ખાતેની મુસાફરીમાં કીધેલી દરરોજની નોંધ.’

વ્હાઈટ હાઉસ, ૧૮૬૦માં

લેખકે ભલે પુસ્તક પર પોતાનું નામ ન છપાવ્યું હોય. આપણે તો તેનું નામ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ને? મુંબઈના અને ગુજરાતના પારસીઓ વિશેની માહિતી અંગે હીરાની ખાણોની ગરજ સારે એવાં પુસ્તકો તે ‘પારસી પ્રકાશ’નાં દફતરો. તેમાં જણાવ્યું છે કે ‘અમેરિકાની મુસાફરી’ પુસ્તક મુંબઈમાં ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે પ્રગટ થયું હતું અને તેના લેખક હતા શેઠ પીરોજશાહ પેશતનજી મેહરહોમજી. શેઠ ડોશાભાઈ ફરામજી કામાજી પણ એ મુસાફરીમાં તેમની સાથે જોડાયા હતા અને તે બન્નેએ પહેલી જુલાઈથી દસમી સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુસાફરી કરી હતી. એ વખતે ‘રાક્ષસી કદ’ની ગણાતી અને ખૂબ વખણાયેલી ‘ગ્રેટ ઇસ્ટર્ન’ નામની સ્ટિમરમાં તેમણે લીવરપુલથી આ મુસાફરી શરૂ કરી હતી. ૧૮૫૯માં બંધાયેલી આ સ્ટીમર પૂરાં ૪૦ વરસ સુધી દુનિયાની મોટામાં મોટી સ્ટીમર હતી. તેમાં ૪,૦૦૦ મુસાફરો આરામથી પ્રવાસ કરી શકતા. જો કે ૧૮૬૦ના જૂનની ૧૭મીએ તેણે પહેલો પ્રવાસ શરૂ કર્યો ત્યારે તેમાં ૩૫ મુસાફરો અને ૪૧૮ સ્ટાફના માણસો હતા! ઇન્ગ્લન્ડથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી રસ્તામાં ક્યાં ય કોલસો લેવા રોકાયા વિના તે કરી શકતી.

   

એસ.એસ. ગ્રેટ ઇસ્ટર્ન

અગિયારમી જુલાઈએ રાતે આઠ વાગે સ્ટીમર ન્યૂ યોર્ક પહોંચેલી. એ જમાનામાં પાસપોર્ટ કે વિઝાનો તો સવાલ જ નહોતો. પણ ઉતારુઓના સામાનની ચકાસણી થતી. પણ એ કામ કસ્ટમના અધિકારીઓ સ્ટીમર પર જઈને જ કરતા! મુસાફરીમાં લેખક એક ‘ચાકર’ને પણ સાથે લઈ ગયેલા જે તેમને માટે અલાયદી રસોઈ બનાવતો. એક હોટેલે આ અંગે શરૂઆતમાં વાંધો લીધો, પણ પછી ‘હમારી ખુશી પરમાણે કરવા દીધું.’ એટલું જ નહિ, જતી વખતે એ હોટેલવાળાએ પોતાની નોંધપોથીમાં લેખક પાસે ગુજરાતીમાં તેમનું નામ પણ લખાવ્યું! તો એક રેલવે સ્ટેશન પર તેમને એક પાદરીનો ભેટો થયો. આ પાદરીએ લેખક અને તેના ‘ચાકર’ સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. તેથી લેખક ‘તાજ્જુબ’ થઈ ગયા. જોવા જેવાં સ્થળોની મુલાકાત તો લીધેલી જ, પણ ખાસ પરવાનગી લઈને જેલ, સૈનિકોની છાવણી, સૈનિકો માટેની હોસ્પિટલ, તોપ બનાવવાનું કારખાનું, વગેરેની મુલાકાત પણ લીધેલી. લેખક વોશિન્ગ્ટન ડી.સી. ગયા ત્યારે હજી વોશિન્ગ્ટન મેમોરિયલનું બાંધકામ ચાલુ હતું, પણ તે જોવા ય ગયેલા. ફિલાડેલ્ફિયામાં મળેલો એક ભોમિયો પારસીઓના ધર્મગ્રંથોની ભાષા – ઝંદ અવસ્તા – જાણતો હતો અને સંસ્કૃત તો સારી રીતે લખી-બોલી શકતો હતો!

પુસ્તકના લેખક પીરોજશાહ બહુ મોટી હસ્તી નહિ. ડોસાભાઈની કંપનીમાં આસિસ્ટંટ તરીકે તેઓ કામ કરતા. ‘બોમ્બે ગેઝેટ’ નામના અખબારમાં જણાવ્યા પ્રમાણે ૧૮૫૮ના મે મહિનાની ૯મી તારીખે મેલ સ્ટીમર ‘ગેન્જીસ’ દ્વારા મુંબઈથી ઇન્ગ્લન્ડ જવા ચાર પારસીઓ નીકળ્યા : મંચેરજી હોરમજજી કામાજી, કાવસજી એદલજી ખંભાતા, અરદેશર કાવસજી મોદી, અને પીરોજશાહ. જો કે વખત જતાં ડોશાભાઈ અને પીરોજશાહ શેઠ અને નોકર કરતાં મિત્રો જેવા વધુ બન્યા. પીરોજશાહ જેવા નોકરિયાત માણસ માટે એ જમાનામાં અમેરિકાની મુસાફરી કરવાનું મુશ્કેલ. એટલે મુસાફરીનો ખર્ચ ડોશાભાઈએ જ ઉપાડ્યો હોય. આમ, અમેરિકાના પ્રવાસમાં મુખ્ય મુસાફર ડોશાભાઈ હતા, અને પીરોજશાહ હતા તેમના સાથી સફરી. પુસ્તકમાં અમેરિકાની મોંઘી હોટેલોમાં રહ્યાની વાત છે, અમેરિકાની વિસ્તૃત મુલાકાતની વાત છે, સરકારી, લશ્કરી, વૈદકીય, મોટી વેપારી સંસ્થાઓની મુલાકાતની વાત છે, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની મુલાકાતની વાત છે. આ બધું પીરોજશાહ જેવા એક નોકરિયાત માટે ગજા બહારની વાત ગણાય. એટલે ડોશાભાઈને કારણે જ એ બધું શક્ય બન્યું હોય. પણ પુસ્તક લખાયું છે એવી રીતે કે પીરોજશાહ મુખ્ય મુસાફર હોય, અને ડોશાભાઈ તેમની સાથે ગયા હોય એમ લાગે. ખરું જોતાં ડોશાભાઈની સાથે પીરોજશાહ ગયા હતા તેમ કહેવું વધારે વાજબી ગણાય.

પણ પીરોજશાહ અને ડોશાભાઈ વચ્ચેનો સંબંધ બહુ લાંબો નહિ ચાલ્યો હોય તેમ લાગે છે. કારણ ૧૮૬૩માં પીરોજશાહ મુંબઈ પાછા આવ્યા તે પછી ડોશાભાઈ સાથેના તેમના સંબંધ અંગે કશું જાણવા મળતું નથી. પણ ૧૮૭૨માં ધનજીભાઈ રતનાગર એન્ડ કંપનીમાં પીરોજશાહ એક ભાગીદાર બન્યા એમ જાણવા મળે છે. ૧૮૭૭ના માર્ચ મહિનાની ત્રીજી તારીખે પીરોજશાહે મુંબઈના દાદર વિસ્તારમાં ઈનેમલનાં વાસણો બનાવવાનું પોતાનું કારખાનું શરૂ કર્યું હતું, પીરોજશાહ પોટરી વર્કસ. તેમાં બીજા બે ભાગીદારો હતા ધનજીભાઈ ખરશેદજી રતનાગર અને બરજોરજી ખોદાદાદ ઈરાની. કચ્છના મહારાવના આમંત્રણથી પીરોજશાહ ૧૮૭૮માં માંડવી ગયા હતા અને ત્યાં પણ એનેમલનું કારખાનું શરૂ કરી આપ્યું હતું. ૧૯૦૪ના જૂન મહિનાની ૭મી તારીખે પીરોજશાહનું અવસાન થયું.

ડોશાભાઈ ફરાંમજી કામાજી ૬૯ વર્ષની ઉંમરે ૧૮૯૨ના જાન્યુઆરીની ૨૫મી તારીખે બેહસ્તનશીન થયા હતા. તેઓ મુંબઈના જાણીતા વેપારી તો હતા જ, પણ સાથોસાથ સુધારાની પ્રવૃત્તિના સબળ ટેકેદાર પણ હતા. સમાજ સુધારો, કેળવણી અને પારસી ધર્મને લગતી સંસ્થાઓને તેમણે વખતોવખત દાન આપ્યાં હતાં. ધીમે ધીમે તેમણે પોતાનો વેપાર કલકત્તા, કેન્ટોન, શાંઘાઈ સુધી વિસ્તાર્યો હતો. તે માટે તેમણે ચીન, યુરોપ અને અમેરિકાની મુસાફરી કરી હતી. ‘સ્ત્રીબોધ' માસિક શરૂ થયું ત્યારે પહેલાં બે વર્ષ તેમણે તેને દર વર્ષે ૧,૨૦૦ રૂપિયાની મદદ કરી હતી. તો દસ વર્ષ સુધી પોતાને ખર્ચે ‘રાસ્ત ગોફતાર’ સામયિક ચલાવી દસ હજાર રૂપિયાની ખોટ ખમી ખાધી હતી. જો કે ૧૮૬૫માં શેરબજાર ભાંગ્યું ત્યારે બીજા ઘણાની જેમ એવણ પણ મંદીમાં સપડાયા હતા.   

આજે હવે ગુજરાતીઓ માટે અમેરિકાનો પ્રવાસ એ નવાઈની વાત રહી નથી. લેખકોએ તેમ જ અન્યોએ પણ પોતાની મુસાફરીનું વર્ણન કરતાં અનેક પુસ્તકો લખ્યાં છે, અને હજી લખાતાં રહે છે. પણ ૧૮૬૨માં બે પારસી સજ્જન લગભગ આખું અમેરિકા ખુંદી વળેલા. પુસ્તકને અંતે તેઓ કહે છે કે અમેરિકાનો કિનારો છોડતી વખતે અમોને ઘણી દિલગીરી થઈ, કેમ કે આ દેશના લોકોએ અમારી સાથે ઘણી જ મિત્રાચારી તથા દિલદારી બતાવી હતી.*

* મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પોતાના સંગ્રહમાંનાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં એક સો દુર્લભ પુસ્તકો સ્કેન કરીને સી.ડી. પર ઇ.બુક રૂપે સુલભ કર્યાં છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરની ‘ગુજરાત સાહિત્ય અકાદમી’એ પણ આ પુસ્તક ફરી પ્રગટ કર્યું છે. તેનું સંપાદન અજયસિંહ ચવાણે કર્યું છે.

Flat no. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (East), Mumbai 400 051

e.mail : deepakbmehta@gmail.com       

પ્રગટ : “ગુર્જરી” ડાયજેસ્ટ, જુલાઈ 2021; પૃ. 44-46

Loading

...102030...1,7281,7291,7301,731...1,7401,7501,760...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved