Opinion Magazine
Number of visits: 9571016
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભીતર

રવીન્દ્ર પારેખ|Poetry|11 October 2021

અટકી ગયો દેહ
હવા બહાર તો હતી
પણ હવે શ્વાસ બનતી …
રક્ત બનેલું એટલું જ રહ્યું
નવું બનતું અટકી ગયું
આંસુ 
હૈયેથી આંખ સુધી આવતાં
વચ્ચે જ થંભી ગયું હતું
એમાં ખારાશ ભળતાં ભળતાં રહી ગઈ હતી
જળ ગળામાં જ અટકી પડ્યું હતું
અન્ન રહી ગયું હતું ઉદરમાં
એનું રક્ત બનવા લાગ્યું હતું
પણ પછી ન અન્ન કહેવાય કે ન રક્ત એવું કૈંક …
પછી હું પોતે ફરી વળ્યો મારામાં
ખૂણે ખૂણો જોઈ વળ્યો
આંસુ 
આંખ તરફ ઊંચે ચડતું હતું
એમાં ખારાશ ભળતી હતી 
પણ ક્યાંથી તે …
બહુ કોશિશ કરી પણ
હર્ષ બનાવનારું બિંદુ ક્યાંયથીય હાથ ના લાગ્યું
અન્ન 
રક્ત બનતું હતું
પણ ક્યાંથી અન્ન રહેતું ન હતું 
ને ક્યાંથી રક્ત બનતું હતું એ …
જીવંત રાખનારું કૈક તો હતું
પણ એ શું હતું?
રક્ત?
તે તો મૃતમાં પણ હતું
હવા?
તે પણ મૃતની બહાર તો હતી જ !
પ્રશ્ન એ હતો કે
એને શ્વાસ કોણ બનાવતું હતું તે …

000

e.mail : ravindra21111946@gmail.com

‘એતદ્દ -231‘માં પ્રગટ કાવ્ય; જુલાઈ – સપ્ટેમ્બર 2021; પૃ. 18

Loading

વિવેચન વિશે મારાં મન્તવ્યો (2)

સુમન શાહ|Opinion - Literature|11 October 2021

ચાર વિવેચનાત્મક વિધાનો : ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ :

પહેલાં એ જણાવું કે વિવેચન ‘પ્રત્યક્ષ’ અને ‘સિદ્ધાન્ત’ એવી બે પાંખો ધરાવે છે. વિવેચનનો દેહ એવો દ્વિદળ છે. બક્ષીની ‘આકાર’ નવલ વિશેનો વિવેચનલેખ પ્રત્યક્ષ વિવેચન કહેવાય – ઍપ્લાઈડ ક્રિટિસિઝમ. પરન્તુ ‘નવલકથામાં પાત્રાલેખન’ કે ‘ટૂંકીવાર્તામાં અન્ત’ કે ‘કાવ્યનાં પ્રયોજન’ કે ‘કલ્પન અને પ્રતીક’ કે ‘નાટકમાં કાર્યવેગ’ કે ‘નાટકમાં સ્થળ-કાળની એકતા’ વગેરે લેખો સિદ્ધાન્ત વિવેચન કહેવાય – થિયરેટિકલ ક્રિટિસિઝમ.

દાંતનો કોઈ ડૉક્ટર દવાખાનું ખોલીને બેઠો હોય, ડિગ્રી-સર્ટિફિકેટો લટકાવ્યાં હોય, પણ માંખો મારતો હોય, તો એ ડૉક્ટર ખરો પણ નામનો જ ! કૉલેજમાં થિયરી બહુ ભણ્યો હોય, પણ દર્દીઓની ખરેખરી સારવાર શરૂ કરે ત્યારે જ એને ડૉક્ટર કહેવાય છે. ત્યારે એ પોતાના ભણતરની પ્રૅક્ટિસ કરતો હોય છે. દર્દી સાજો થઈ જાય કે ન થાય પણ ત્યારે એના ડૉક્ટરી સિદ્ધાન્તોના જ્ઞાનની કસોટી થતી હોય છે. એવા જ કોઈ કારણે ઘણા વિવેચકો સિદ્ધાન્તમાં જ સ્થિર થવાનું અને ત્યાં જ રહેવાનું પસંદ કરતા હોય છે.

પ્રત્યક્ષ વિવેચનને ‘પ્રૅક્ટિકલ ક્રિટિસિઝમ’ કહેવાય છે. એ શબ્દપ્રયોગ આપ્યો હતો આઇ.એ. રીચાર્ડ્ઝે, એ જ નામના પુસ્તકમાં, છેક ૧૯૨૯માં. 

મહિમા બન્નેનો છે, જરૂરત બેયની છે. બન્ને એકબીજાંનાં પૂરક છે.

પણ આપણને કૃતિઓ અને કર્તાઓ વિશે, કહો કે, સમગ્ર સર્જન-લેખન વિશે, તોલમોલ કરીને સાહિત્યપદાર્થનું અને સરવાળે ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિનું મૂલ્ય આંકી આપનારા પ્રૅક્ટિસિન્ગ ક્રિટિક્સની જરૂર વધારે હોય છે. આપણે ઇચ્છતા હોઇએ છીએ કે તેઓ સદા આપણને પ્રત્યક્ષ થાય.

એટલે, હમણાં તો હું પ્રત્યક્ષ વિવેચનની વાત જ ચાલુ રાખીશ.

આ અગાઉના લેખમાં કહ્યું હતું કે વિવેચન-લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એ ચાર વાનાં હકીકતે વિવેચનાત્મક વિધાનો છે – ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ : વર્ણનપરક, અર્થઘટનપરક, સમજૂતીપરક અને મૂલ્યાંકનપરક.

વિવેચનની પ્રત્યક્ષ-પાંખે, નાના અવલોકનલેખથી માંડીને મોટા સમીક્ષાલેખ સુધીનાં કોઇપણ વિવેચનલેખનમાં આ ચારેય વિધાનો આછાપાતળા કે એકદમના સ્પષ્ટ સ્વરૂપમાં જોવા મળશે.

વાત એમ છે કે આ ચારેય વિધાનો વિવેચનનાં અનિવાર્ય તત્ત્વો કે પરિમાણ કે પાસાં છે.

એ વિધાનોથી થાય છે શું? એથી લખાણ વિવેચન બને છે. એથી વિવેચનનું ’કૉન્ફિગરેશન’ થાય છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. એટલે કે, એક એવું સમાયોજન રચાય છે, એક એવું સંયોજન, કે જેમાં કૃતિનું વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન યથાસ્થાને ગોઠવાઈ ગયાં જાય છે. અટકું, શાસ્ત્રીયતામાં ન ધપી જઉં. એક વ્યવહારુ દૃષ્ટાન્ત રજૂ કરું :

ધારો કે, આપણે પિત્તળનું એક ફ્લાવરવાઝ લાવ્યા છીએ. બે વર્ષ પર મારા મિત્રને મેં એવું જ એક ભેટ આપેલું. ધારો કે, એ ફ્લાવરવાઝ વિશે હું આવું બધું કહું છું : એકાદ ફૂટ ઊંચું છે. હલકું નથી, વજનદાર છે. એમાં પાણી રેડી શકાય છે પણ એનું પિત્તળ ઊંચી ક્વૉલિટીનું છે, પ્રોસેસ્ડ્ છે, કદી કટાશે નહીં. એનું ગળું એવું માપસરનું છે કે ઘણાં બધાં ફૂલોની ડાળખીઓને એ બરાબર પકડી રાખશે.

વાઝ : Ebay

Pic courtesy : Faire

નમણું અને રૂપાળું દેખાય છે. માત્ર વાઝ નથી લાગતું, આકર્ષક કલાકૃતિ લાગે છે. મનને ગમે છે, પ્રસન્ન થવાય છે. એમાં મશીન અને માણસની સર્જકતાનો સુમેળ સધાયો છે. મૉંઘું છે પણ ભેટ તરીકે આપીએ તો વ્યક્તિ ખુશ થઈ જાય. આકર્ષક ટિપોઇ પર સજાવી રાખે. એની પૉલિશ એટલી સરસ છે કે સોનાનું લાગે છે. ઉત્પાદકોએ લખ્યું જ છે : ગોલ્ડ ફિનિશ. એમ પણ લખ્યું છે : સાથે અમે ફૂલો નથી આપતા, તેની નૉંધ લેવી. એ નૉંધ રમૂજ પમાડે છે, પણ જરાક ધંધા-બાજુની લાગે છે, ન મૂકી હોત સારું થાત.

આ મેં વાઝ વિશે કહ્યું લગભગ તેવું જ પ્રત્યક્ષ વિવેચનમાં સાહિત્યકૃતિ વિશે કહેવાતું હોય છે. ને ત્યારે એમાં ચારેય વિવેચનાત્મક વિધાનો સંભવ્યાં હોય છે. સ્વયંભૂ લાગે. વિવેચકથી જાણ્યે-અજાણ્યે પણ થઈ ગયાં હોય. જો કે સારો વિવેચક એ વિશે હમેશાં સભાન અને સતર્ક રહેતો હોય છે.

એ દરેક વિધાન વિશે, હવે પછી …

સૂચના :

1. આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રોએ નૉંધ લેવી.

2. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે. 

= = =

(October 11, 2021: USA)

Loading

હિન્દુત્વવાદીઓની એકતાનો અસ્વીકાર કરનારા બધા જ નાસ્તિક છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 October 2021

હિન્દુત્વવાદીઓ બસ આટલું જ ઇચ્છે છે, તમે હિંદુ પરિવારમાં જન્મ્યા છો એટલે હિંદુ છો એટલું સ્વીકારો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી હોવાપણાને નકારતો નથી એમ તમારે હિંદુ હોવાપણાને નકારવાનું નથી. તમે આસ્તિક છો કે નાસ્તિક, શૈવ છો કે વૈષ્ણવ, કબીરપંથી છો કે નાનકપંથી, સનાતની હિંદુ છો કે બૌદ્ધ કે જૈન જેવા શ્રમણધર્મી એની સાથે અમને કોઈ લેવાદેવા નથી. તમે ઉપર કહ્યા એવા કોઈ પણ પ્રકારના હિંદુ પરિવારમાં જન્મ્યા છો અને માટે હિંદુ છો અને આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે એટલે હિન્દુસ્તાન હિંદુઓનો દેશ છે. ઉપરથી જો તમે આટલું નિષ્ઠાપૂર્વક સ્વીકારી લેશો તો હિન્દુસ્તાન હજુ વધુ મોટા પ્રમાણમાં હિંદુઓનો દેશ બનશે. દરેક રીતે હિંદુઓનો દેશ બનશે. સંખ્યાથી બનશે, વિધર્મીઓ સામે રાજકીય સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે આર્થિક સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે સાંસ્કૃતિક સરસાઈ મેળવીને હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકાશે. એમ દરેક રીતે ફાયદો જ ફાયદો છે. બસ, તમે હિંદુ હોવાની કોમી ઓળખ સ્વીકારી લો, તમારી અંગત શ્રદ્ધા સાથે બાંધછોડ કર્યા વિના!

હિન્દુત્વવાદીઓને ખરેખર એમ લાગે છે કે તેઓ સાવ સ્વાભાવિક અને હિંદુઓ માટે અત્યંત જરૂરી માગણી કરી રહ્યા છે. આમાં ખોટું શું છે? હિંદુ તેની દરેક પ્રકારની સાંપ્રદાયિક ઓળખ ફગાવીને અને જોઈએ તો રાખીને હિંદુ ઓળખ અપનાવે તો એમાં આટલો ગોકીરો શા માટે? આ તો એકતાની દિશામાં પહેલું કદમ થયું. નિર્બળ અને સબળ વચ્ચે ક્યારે ય સાચી એકતા ન સધાય. માનવીય એકતાની વાત કરનારા ગાંધીજી જેવા આ સનાતન સત્ય સમજતા નથી, એટલો જ તેમની સાથે અમારો મતભેદ છે. સાચી એકતા સ્થાપવી હોય તો નિર્બળે સબળ થવું જોઈએ અને તેને માટે એકતા જરૂરી છે. આખરે ગાંધીજી પણ તો અંગ્રેજો સામે સંગઠિત થવાની વાત કરી રહ્યા છે. તેઓ મોટો ઠેકડો મારવાની વાત કરી રહ્યા છે જે અવ્યવહારુ છે, જ્યારે અમે એક પછી એક પગલું માંડવાની વાત કરી રહ્યા છે. એક વાર બહુમતી પ્રજા પોતાનાં સપનાંનાં ભારતને વાચા અને આકાર આપે એ પછી બીજી પ્રજાને કહી શકાય કે જુઓ, પરિવારના બહુમતી સભ્યોએ જીવનની આ રીતિ અપનાવી છે જેનાં મૂળ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસમાં છે અને તમારે થોડી બાંધછોડ કરીને તેને સ્વીકારવી જોઈએ.

આખી વાત બહુ નિર્દોષ લાગે છે, નહીં? દેશની બહુમતી પ્રજા એક ઓળખ અપનાવીને અને એક થઈને તેનાં સપનાંનાં ભારતને વાચા આપે અને આકાર આપવાનો પ્રયત્ન કરે તેમાં ખોટું શું છે? આટલો બધો વિરોધ શા માટે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને ખરેખર પ્રામાણિકતાપૂર્વક આવું લાગે છે. હું એવા અનેક હિન્દુત્વવાદીઓને ઓળખું છું જે કહે છે કે અમારી અને તમારી વચ્ચે કોઈ મતભેદ જ ન હોવો જોઈએ. પહેલાં હિંદુઓ એક થાય અને પછી દેશની દરેક પ્રજા એક થાય.

સવાલ એ છે કે શા માટે હિન્દુત્વવાદીઓ જેને સાવ સામાન્ય, નિર્દોષ અને અનિવાર્ય સમજે છે તેને ઘણાં હિંદુઓ સ્વીકારવા તૈયાર નથી? શું તેઓ હિન્દુત્વવાદીઓ કરતાં ઓછા બુદ્ધિશાળી છે? શું તેઓ દેશને ઓછો પ્રેમ કરે છે? શું તેઓ બીકણ છે? આઝાદીની લડતમાં તો માત્ર એવા જ હિંદુઓએ ભાગ લીધો હતો જેઓ હિંદુએકતાની જગ્યાએ રાષ્ટ્રીયએકતાને મહત્ત્વ આપતા હતા અને તેમણે દરેક પ્રકારના ત્યાગ કર્યા હતા. કેટલાકે તો જાનનું બલિદાન આપ્યું હતું. બીજી બાજુએ હિન્દુત્વવાદીઓ આઝાદીની લડતથી દૂર રહ્યા હતા. શું તેઓ હિંદુ ધર્મ કરતાં પરાયા ધર્મને વધારે પ્રેમ કરે છે? શું તેઓ હિંદુ વિરોધી છે? હિન્દુત્વવાદીઓની હિંદુ એકતાની વાતનો અસ્વીકાર કરનારા બધા જ નાસ્તિક છે? એવા અનેક હિંદુઓ મળી આવશે જે ધર્મનિષ્ઠ છે અને છતાં ય હિન્દુત્વવાદીઓની આ વાત સ્વીકારવા તૈયાર નથી. શા માટે? એવું શું છે જેને હિન્દુત્વવાદીઓની દૃષ્ટિએ લાપશીની જેમ ગળે ઊતરી જવી જોઈએ એવી વાત પણ સ્વીકારવા તૈયાર નથી. હિન્દુત્વવાદીઓએ અને આજકાલ જે લોકો એકાએક દેશપ્રેમી હિંદુ બની ગયા છે તેમણે આનો ઉત્તર શોધવો જોઈએ.

મારી વાચકોને સલાહ છે કે તમે ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, સમાજવિજ્ઞાનનાં બીજાં ક્ષેત્રો, વિદેશવ્યવહાર, ટોચના સંરક્ષણ, વિજ્ઞાનનાં ક્ષેત્રો, એન્જીનિયરીંગનાં ક્ષેત્રો, આયુર્વિજ્ઞાન, વિવિધ ભારતીય ભાષાઓના સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ, સંગીત, ચિત્રકલા, નૃત્ય, નાટક જેવા વિવિધ કલા પ્રકારો, મેનજમેન્ટ, આંદોલનકારીઓ, કાનૂન અને બંધારણવિદો, વગેરે વિષયોની એક યાદી બનાવો. આવા સો વિષયોની યાદી સહેજે બની શકશે. એ પછી એ ક્ષેત્રોમાં કે વિષયોમાં ટોચના દસ-દસ લોકોની યાદી બનાવો. કુલ એક હજાર એવા લોકો મળી આવશે જેમણે જે તે વિષયોમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એ દ્વારા તેમણે સમાજને અને દેશને પ્રતિષ્ઠા અપાવી છે. એમાં એકલા હિંદુઓને પસંદ કરવાની જરૂર નથી. હિંદુઓને પહેલાં પસંદ કરો, પણ એ સાથે બીજા ધર્મીઓને પણ પસંદ કરો. એકલા ભારતીયોને પણ પસંદ કરવાની જરૂર નથી, વિદેશોમાં આ ક્ષેત્રોમાં યોગદાન આપનારાઓને પણ પસંદ કરો. આવા એક હજાર શું તેનાથી ઘણાં વધારે બત્રીસ લક્ષણા મેધાવીઓ દુનિયાભરમાંથી મળી આવશે.

જેમણે તેમના અનોખા યોગદાન દ્વારા સમાજને ઉપર ઉઠાવ્યો છે એવા હજારેક લોકોની યાદી (જે બનાવવી જરા ય મુશ્કેલ નથી) બનાવ્યા પછી તેમના વિશેની માહિતી એકઠી કરો અને તપાસી જુઓ કે તેમાંના કેટલા લોકો ધાર્મિક કોમી ઓળખ અને કોમી એકતાને મહત્ત્વ આપતા હતા કે આપે છે. હું ખાતરીપૂર્વક કહું છું કે ધાર્મિક કોમી ઓળખ અને કોમી એકતાને મહત્ત્વ આપનારા હજારમાંથી દસ માંડ મળશે. તમે પોતે ખાતરી કરી જુઓ. માત્ર હિંદુઓ અને ભારત નહીં, જગતના દરેક ધર્મ અને દરેક દેશમાં આ જ હકીકત નજરે પડશે. જેઓ તેજસ્વી છે, મેધાવી છે, મૌલિકતા ધરાવે છે, પુરુષાર્થી છે, જેમણે દુનિયાને નવી દિશા આપી છે અને નવી રીતે વિચારતા શીખવાડ્યું છે, અલગ કેડી કંડારી આપી છે એવા લોકોએ હિંદુ સહિતની કોઈ કોમી ઓળખ સ્વીકારી નહોતી કે સ્વીકારતા નથી.

શા માટે? વિચારવું જોઈએ!

બીજી બાજુએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તેનાં અસ્તિત્વનાં સો વરસ થવાં આવ્યાં છે. ૨૦૨૫માં સંઘને સો વરસ થશે. સો વરસ એટલે ત્રણ પેઢી. સંઘના નેતાઓને પૂછવું જોઈએ કે ત્રણ ત્રણ પેઢીને તમે તમારા વિચારોનું સિંચન કરીને તૈયાર કરી છે તો હવે બતાવો કે ઉપરનાં ક્ષેત્રોમાં જેમણે અનોખું યોગદાન આપ્યું છે અને દુનિયા જેમનું ઋણ સ્વીકારતી હોય એવા કેટલા લોકો તમે આપ્યા છે? હું ખાતરીપૂર્વક કહું છું કે દસ નામ પણ નહીં મળે.

જે મૌલિક અને મેધાવી છે એ સંઘની કે એનાં જેવી અન્ય ધર્મીઓની વિચારધારા સ્વીકારતા નથી અને જે સંઘની કે એનાં જેવી અન્ય ધર્મીઓની વિચારધારા સ્વીકારે છે એ મૌલિક અને મેધાવી નીવડતા નથી.

શા માટે? આ પ્રશ્નનો જવાબ શોધવો પડશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7261,7271,7281,729...1,7401,7501,760...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved