Opinion Magazine
Number of visits: 9570989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?

સોનલ પરીખ|Opinion - Opinion|12 October 2021

અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, ‘દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે, પણ બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેંચીને પણ અમે તને ભણાવીશું.’ એમના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.

— શબાના બાસિજ-રાસિખ

(સહસ્થાપક અને પ્રમુખ, સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન ફોર ગર્લ્સ)

બે મહિના પહેલા આર્કાન્સાસની કૉલેજમાં ભણતી નાહીદ ઇસ્સર, ડોક્ટરેટની તૈયારીમાં વ્યસ્ત હતી. અમેરિકાના સૈન્યની વાપસી અને તાલિબાનોની આગેકૂચના સમાચારો તેના શ્વાસને અદ્ધર કરતા હતા કારણ કે તેનું કુટુંબ અફઘાનિસ્તાનમાં હતું. પછી તો તાલિબાને આફઘાનિસ્તાન કબજે કર્યું ને તેની ઊંઘ વેરણ થઈ ગઈ. મોડી રાત્રે કે વહેલી સવારે ઘેરથી ફોન આવતા ત્યારે એક જ ચિંતા તેને ખાઈ જતી, બધા સલામત તો હશે ને? કોણ જીવતું હશે? કોણ ક્યાં ગુમ થઈ ગયું હશે? તેઓ એકબીજાને સધિયારો આપવાની કોશિશ કરતા. વીસ વર્ષ સુધી અફઘાન મહિલાઓ શાળામાં જતી. પુરુષોની જેમ ભણતી. કારકીર્દી બનાવતી. કલાકાર, કર્મશીલ કે અભિનેત્રી બની શકતી. હવે, નાહીદ અને તેના જેવી લાખો યુવતીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેઓ દેશ છોડવા કે પછી છુપાઈને અનિશ્ચિત ભવિષ્યની રાહ જોવા મજબૂર બની છે. 

2003માં અફઘાનિસ્તાનમાં એક ફિલ્મ બની હતી, ‘ઓસામા’. એમાં બારતેર વર્ષની એક છોકરીની વાત હતી. એ છોકરીના પિતા રશિયા સામેની લડાઈમાં માર્યા ગયા હતા. તાલિબાનો આવ્યા અને બુરખા વિના, પુરુષ વિના બહાર નીકળવાની બંધી થઈ. મા જ્યાં નર્સ હતી એ હૉસ્પિટલ પર તાલિબાનોએ તાળાં માર્યાં.  હવે ઘરમાં કોઈ કમાનાર રહ્યું નહીં. દાદી અને માએ છોકરીને સમજાવી અને તેના વાળ કાપી, છોકરાનાં કપડાં પહેરાવી એક ઓળખીતા દૂધના વેપારીને ત્યાં ‘ઓસામા’ નામથી કામે રાખી (ઓસામા એટલે સિંહ જેવો બહાદુર). થોડા દિવસમાં તાલિબાનો એ વિસ્તારના છોકરાઓને ધર્મ અને યુદ્ધની ‘ટ્રેનિંગ’ માટે ઉઠાવી ગયા. ઓસામાને પણ. મૌલવી પાસે તાલીમ લેતાં આખરે એક દિવસ પકડાયું કે ઓસામા છોકરો નહીં, પણ છોકરી છે. સજા રૂપે એને એ જ વૃદ્ધ મૌલવીને પરણવું પડ્યું. ફિલ્મના અંતે ભેદી કિલ્લા જેવા ઘરમાં આ નવી દુલ્હનને આવકારતા મૌલવી કહે છે, ‘જો, મારી દરમિયાનગીરીથી તું મરતી બચી. હવે હું તને આ તાળાં બતાવું છું. તું પસંદ કરીશ એ તાળું તારા કમરા પર મરાશે. આવી સ્વતંત્રતા મેં મારી કોઈ બીબીને નથી આપી!’ સ્વતંત્રતા શબ્દનો આવો અર્થ આપણને સ્તબ્ધ જ કરી મૂકે!

આ ભલે ફિલ્મની વાર્તા છે, પણ વાર્તાઓ અને ફિલ્મો જિંદગીમાંથી જ તો જન્મે છે. શબાના બાસિજ-રાસિખ નામની એક અફઘાન યુવતીને આપણામાંના અમુક જાણતા હશે. તેનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો. અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાં પહોંચ્યું તે પહેલાની વાત. તાલિબાનોનું જોર વધ્યું અને છોકરીઓનાં શિક્ષણ પર, પુરુષ વિના ને બુરખા વિના સ્ત્રીના બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે શબાના છ વર્ષની હતી.

સંજોગો મુશ્કેલ હતા, પણ તેના પિતાએ પછીનાં છ વર્ષ સુધી તાલિબાનોની ખફગીની પરવા કર્યા વિના શબાના અને એની બહેનોને છોકરાનાં કપડાં પહેરાવી શાળામાં મોકલવાનું ચાલુ રાખ્યું. તેના જેવી બીજી છોકરીઓ પણ હતી. છોકરાનાં કપડાં પહેરી એ બધી એક ગુપ્ત શાળામાં ભણવા જતી. વહેમાયેલા તાલિબાનો ધમકીઓ આપતા, હુમલા કરતા. છોકરીઓ ગભરાઈને કહેતી, ‘અમારે નથી ભણવું.’ પણ માતાપિતા ભણાવતાં. એક વાર તો શબાના અને તેના પિતાને બૉમ્બ-બ્લાસ્ટથી જરાક માટે બચી ગયા.

સદ્દભાગ્યે ‘યસ’ એક્સચેન્જ પ્રોગ્રામમાં શબાનાને અમેરિકા જઈ ભણવા મળ્યું અને તે વર્મોન્ટની મિડલબરી કૉલેજથી ગ્રેજ્યુએટ થઈ. કોલેજકાળ દરમિયાન તેણે ‘હેલા’ નામની, શિક્ષણ દ્વારા અફઘાન સ્ત્રીઓના સશક્તીકરણ માટે કામ કરતી એન.જી.ઓ. શરૂ કરી.

‘મારી મા નાની હતી ત્યારે સમય સારો હતો. મારા નાના તેને ભણાવી શક્યા. મા ભણેલી હતી એટલે એ અમને ભણાવી શકતી.’ શબાના કહે છે, ‘પણ અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે છે. બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેંચીને પણ, અમે તમને ભણાવીશું. મારા માતાપિતાના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.’

અમેરિકા જઈને એણે જે દુનિયા જોઈ તેનાથી તે સ્તબ્ધ બની ગઈ. અફઘાન છોકરીઓને પણ આવી તક મળવી જોઈએ – તેના મનમાં એક બીજ વવાયું અને અંકુરિત થતું ગયું. ગ્રેજ્યુએટ થઈને તે અફઘાનિસ્તાનમાં પાછી ફરી. સોલા – ‘સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન’ નામની છોકરીઓ માટેની પ્રાઈવેટ બૉર્ડિંગ સ્કૂલની તે સહસ્થાપક અને પ્રમુખ છે. 10થી 18 વર્ષની ઉંમર સુધીની અફઘાન છોકરીઓ અહીં રહેતી અને ભણતી.

સોલાની સ્થાપના 2008માં થઈ. તે વખતે તે હજી અમેરિકામાં ભણતી હતી. ત્યાં એણે યુ.એન.ના એક અહેવાલમાં, અફઘાનિસ્તાનમાં હાઈસ્કૂલ સુધી પહોંચતી સ્ત્રીઓ માત્ર છ ટકા છે એવું વાંચ્યું ત્યારે તેને આ અભાગી સ્ત્રીઓની પ્રતિનિધિ તરીકેની પોતાની જવાબદારીનો અહેસાસ થયો.

2008થી 2016 સુધીમાં અનેક અફ્ઘાન છોકરીઓ સ્કૉલરશીપ મેળવીને અમેરિકા આવીને ભણી. સોલાનું મિશન, અફઘાનિસ્તાનની ઉછરતી પેઢીને ‘ફ્યુચર ચેન્જ મેકર્સ’ તરીકે તૈયાર કરવાનું છે. સમસ્યાઓથી દૂર ભાગવાનું કે ડરવાનું છોડી સમસ્યાઓનો સામનો કરતાં શીખવવાનું છે.

શબાનાએ પોતાની કારકિર્દી અફઘાનિસ્તાનના પડકારો સામે લડવા માટે સમર્પિત કરી છે. તેના કામથી આખી દુનિયાનું ધ્યાન તેના પ્રત્યે ખેંચાયું. 2018માં તેને મલાલાઈ મેડલ મળ્યું. આ મેડલ અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ગણાય છે. તે કહે છે કે છોકરીઓને શિક્ષણ આપવાથી દુનિયા ઘણાખરા પડકારો સામે લડવા સજ્જ થઈ જશે. આરોગ્યથી માંડી પર્યાવરણ અને ગરીબી જેવી સમસ્યાનો ઉકેલ છોકરીઓને ભણતી કરવામાં છે. ‘સમસ્યા એ નથી કે 130 મિલિયન છોકરીઓ જે અત્યારે શાળામાં નથી જતી, સમસ્યા એ છે કે આપણે તેમને આપણા પડકારોના ઉકેલની શક્યતાઓ તરીકે જોઈ નથી શકતા.’

‘મારામાં બહાદુરીનો વારસો છે. એક અફઘાન મહિલાએ મને એના ઘરમાં રહી ભણવાની સગવડ આપી હતી, એ વખતે, જ્યારે એ અપરાધ ગણાતો હતો, તેણે એવી હિંમત કરી કેમે કે તે જાણતી હતી કે છોકરીઓ ભણશે તો જ અફઘાનિસ્તાનની પ્રગતિ થશે. હું અમેરિકા આવી ત્યારે 15 વર્ષની હતી. મુક્તપણે ભણી શકવું એટલે શું તેની ખબર અમેરિકન છોકરીઓને નહોતી, મને હતી. બે વર્ષ પછી હું કૉલેજમાં દાખલ થઈ ત્યાં સુધીમાં મારામાં જબરદસ્ત ફેરફાર થઈ ગયો હતો. જ્યારે મેં અફઘાનિસ્તાનમાં ભણતી છોકરીઓની ટકાવારી વિશે જાણ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ પડશે. અને અમે સોલા શરૂ કરી. અહીંથી ભણીને છોકરીઓ પોતપોતાના ગામમાં જાય છે ત્યારે પોતાના શિક્ષણ અને કૌશલ્યોને લઈને જાય છે.’

પણ અત્યારે શબાના રવાન્ડામાં છે. ત્યાં કેમ? ‘અમેરિકાએ પોતાનાં દળો પાછાં ખેંચ્યા એ અમારા માટે ખતરાની ઘંટી હતી. પછી ઝડપથી જે બનતું ગયું તે ભયાનક દુ:સ્વપ્નથી કમ ન હતું. અમે છોકરીઓને તેમને ઘેર મોકલી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે વિદ્યુત સપ્લાય બંધ કર્યો. મોબાઈલ અને લૅપટોપ ચાર્જ કેવી રીતે કરવા? અમે પરસ્પર સંપર્ક ગુમાવી બેઠા. હવે સ્ટડી એબ્રોડનો વિકલ્પ જ બચ્યો હતો. અમારા બધા દસ્તાવેજો બાળી નાખી મેં દેશ છોડ્યો. અહીં સોલા ચાલુ કર્યું છે, ત્રણસો જેટલી એડમિશન એપ્લીકેશન પણ આવી છે, પણ હું આઘાતમાંથી બહાર આવી નથી. દસ્તાવેજોને ચાંપેલી આગે મારા શરીરનું અણુએ અણુ બદલી નાખ્યું છે. અફઘાનિસ્તાન મૂળ કબીલાઓનો દેશ છે. એકતા અમે કદી જોઈ નથી. પણ મારી નજર યુવાન અફઘાનીઓ પર છે. આજે દેશના 70 ટકા લોકો 25 વર્ષના કે એનાથી નાના યુવાનો છે. એ લોકો અફઘાન પ્રજાના ભલા માટે જે લડત ઉપાડશે એમાં ઇંધણ થઈ હોમાવા મારા જેવા અનેક તૈયાર બેઠા છે. વધુ શું કહું?’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 ઑક્ટોબર 2021

Loading

ગોઠવણીમાં ગોટાળા

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 October 2021

આજે જરા ગમ્મ્ત કરીએ. વાત ઘરમાં ગોઠવાતી વસ્તુઓની છે. સ્ત્રી અને પુરુષ પરાણે, પરોણીએ કે પરોણાએ પરણે છે ને ઘર હોય તો પણ, ઘર માંડે છે. ઘણાંને, ઘર માંડે છે ને ઘણાંને, ઘર ભાંડે પણ છે. આમ તો વર-વહુ જ માંડ ગોઠવાતાં હોય ત્યાં ઘર ગોઠવવાનું તો અઘરું જ છે. પરણીને આવ્યાં પછી રોકડની વ્યવસ્થા એટલી અઘરી નથી, જેટલી ચીજ વસ્તુઓની છે. વસ્તુઓ ઓછી હોય તો પતિપત્નીએ જ ગોઠવાવાનું રહે છે, પણ રાચરચીલું વધારે હોય, વાસણો વધારે હોય, કપડાંલત્તાં વધારે હોય તો લત્તા, પત્તા, વત્તા માથું (હોય તો) દુખવી દે છે. આ દુખાવો એટલો ચેપી હોય છે કે તે બીજા સભ્યોને ય લાગે છે. 

ઘર ગોઠવાઈ જાય છે તો તે બહુ સુંદર લાગે છે, પણ નથી ગોઠવાતું તો પતિપત્ની વચ્ચે કચકચ, રકઝક, રમઝટ ચાલ્યા કરે છે. ઘર ગોઠવાઈ જાય ને પતિપત્નીની સંમતિથી, તેમની જાણમાં ગોઠવાય છે તો બહુ વાંધો નથી આવતો. જો કે, એ ગોઠવણી પહેલાં બંનેમાં ચડભડ, ભડભડ થઈ ચૂકી હોય એમ બને, પણ એકબીજાની જાણ બહાર ચીજવસ્તુઓ ગોઠવાય છે તો વસ્તુઓ ન જડવા બાબતે એકબીજાનો વાંક કઢાતો રહે છે. આમ તો રસોડામાં પતિ ખાવા પૂરતો જ ઘૂસતો હોય છે એટલે રસોડામાં શું છે, શું નહીં, એ એની ચિંતાનો વિષય નથી, હા, પત્ની પિયર ગઈ હોય ને ચા પણ પતિએ મૂકવાની હોય તો બને તે ચા જ છે એની કોઈ ખાતરી પતિ પોતે પણ આપી શકતો નથી. એમાં જો ખીચડી મૂકવાની હોય તો તે ન ચડી હોય એવા અસંખ્ય દાખલાઓ મળી રહેશે. એ સિવાય પત્નીએ રસોડામાં કે ફ્રિજમાં શું ને કેમ મૂક્યું છે એ પતિના રસનો વિષય લગભગ હોતો નથી, સિવાય કે તૈયાર કશું ખાવાપીવાનું સીધું હોજરીમાં નાખવાનું હોય. એમાં પણ નાની નાની ચીજ વસ્તુઓ નથી જડતી તો આંખો ચકળવકળ થતી રહે છે ને એકબીજાને સંભળાવાતું રહે છે. એમાં કોઈ એક શ્રોતા બની રહે તો બહુ વાંધો નથી આવતો, પણ બંને બોલકાં હોય તો ઢોલકાં આખા મહોલ્લામાં વાગે છે. એક જણ બોલે તો બીજો સાંભળે છે, પણ બંને બોલે તો આખો મહોલ્લો સાંભળતો હોય છે.

એમાં જો કોઈ એક વાસ્તુ જાણતું હોય તો વસ્તુનું આવી બને છે. બેડ કઈ દિશામાં રાખવો, દેવસ્થાન કઈ તરફ વધુ સારું કે રસોડું ક્યાં હોય જેવી બાબતમાં એટલી પંચાત થાય છે કે પંચાયત બેસાડવી પડે. વસ્તુમાં બંને માનતા હોય તો માનતા એક જગ્યાની મૂકવાની થાય ને એવું ના થયું હોય તો માનતા, માનતાં થાકી જવાતું હોય છે. બધું ગોઠવી શકાય તો પણ કોઈ વહેમ કે શંકા ઊભી જ રહે છે. વસ્તુ ગોઠવાયા પછી શરૂ થાય છે અવ્યવસ્થાઓ. પતિ અપવાદરૂપે જ વ્યવસ્થામાં માનતો હોય છે. બહારથી આવ્યાં પછી બૂટમોજાં ચોક્કસ જગ્યાએ કાઢે તો તે મૂર્ખ ન હોય એવું ભાગ્યે જ બને. એક પતિને ચોકસાઈની એવી ટેવ છે કે તે પત્ની બહારથી આવીને સેન્ડલ ગમે ત્યાં કાઢે છે તો બબડી ફફડીને રેકમાં મૂકી આવે છે. નહાઈને ટુવાલ બેડ પર ન નાખે તો પત્નીને પણ શંકા પડે છે કે ટુવાલ ઠેકાણે મૂકે છે તો નક્કી એનું ઠેકાણે નહીં જ હોય ! પતિ એઠું મૂકે કે થાળીમાં હાથ ધૂએ તો પત્નીને ગમતું હોતું નથી ને તે ટોકે જ છે ને પતિ ડાહ્યો હોય (જે ભાગ્યે જ હોય છે) તો થાળી સિંકમાં મૂકતો જ નથી, ધોઈ પણ નાખે છે.

ઘણાં ઘરોમાં પતિપત્ની, બંને ચોક્કસ હોય છે અથવા તો અચોક્કસ હોય છે, એ સ્થિતિમાં ફરિયાદો બહુ હોતી નથી, પણ કોઈ એક અચોક્કસ હોય છે તો જે ચોક્કસ હોય છે તેનું બી.પી. વધતું રહે છે. મોટે ભાગે બી.પી. પત્નીનું વધતું હોય છે, કારણ પતિ, થઈ શકે એટલી અવ્યવસ્થા કરવાનું નિમિત્ત બનતો જ રહે છે. બહારથી આવીને પતિ કપડાં ગમે તેમ નાખતો હોય છે. ખીંટીઓ ખાલી જ રહે છે ને સોફા, બેડ વગેરે કપડાંથી ભરાઈ રહે છે. એવું કોઈ કિસ્સામાં પત્ની પણ કરતી હોય છે. સાડી વાવટાની જેમ ફરકતી રહે છે ને પત્ની એમાંથી ક્યારની બહાર આવી ગઈ હોય છે.

ઘણી સ્ત્રીઓ રાંધીને, તો ઘણી ન રાંધીને, રસોડું ચોખ્ખું રાખતી હોય છે. ઘણી રાંધીને તો ઘણી ન રાંધીને ય રસોડું ગંદું રાખે છે. ઘણાંનાં ફ્રિજ ખાલી જ હોય છે, કારણ બધી વસ્તુઓ બહાર જ રખડતી હોય છે, તો ઘણાંનાં ફ્રિજ એટલાં ભરેલાં હોય છે કે અંદરથી દૂધની કોથળી કાઢો તો દહીં પણ બહાર આવવા પડાપડી કરે. એમાંની અઠવાડિયા જૂની રોટલી કૂતરાંને નાખવામાં આવે તો એ પણ ઉપવાસ કરવાનું શરૂ કરી દેતાં હોય છે, તો ડીપ ફ્રિજમાં ચાર દા’ડાની દાળઢોકળીને બરફનું વરખ ચડી ગયું હોય એવું પણ બને છે. એવું પણ બને છે કે દૂધ બહાર રહીને ફાટી ગયું હોય ને બ્રેડ, ફ્રિજમાં લાકડા જેવો જામી ગયો હોય. ઘણાં ઘરોમાં મિસમેનેજમેંટ જ મેનેજમેંટનું બીજું નામ છે. ઘણીવાર ઘરોમાં એટલો ખીચડો થતો હોય છે કે જોઈતી વસ્તુ સમય પર મળતી નથી. હોય છે બધું જ, પણ જ્યારે જે જોઈતું હોય ત્યારે તે મળતું નથી.

આમાં અવ્યવસ્થા જ હોય છે એવું પણ નથી, પણ ક્યાં, શું મૂકેલું તે યાદ આવતું નથી ને એને કારણે પણ જોઈતી વસ્તુ મળતી નથી. ઘણીવાર ચોક્કસ જગ્યાએ કોઈ વસ્તુ મૂકેલી હોવાની ખાતરી હોય ને એ વસ્તુ તે જગ્યાએ ન જડે તો અકળામણ વધી પડે છે. એમાં ખરેખર તો એવો ખ્યાલ રહી ગયો હોય છે કે અમુક જગ્યાએ વસ્તુ બરાબર મૂકેલી જ છે, પણ કોઈક વખતે મુકાયેલી વસ્તુનો ભ્રમ રહી જાય છે ને વસ્તુ નથી મળતી તો પ્રાણપ્રશ્ન સામે ઊભો થાય છે – મોબાઈલ અહીં જ મૂકેલો હતો, તો દસ મિનિટમાં જાય ક્યાં? પછી જ્યારે કોઈનો ફોન આવે ત્યારે ખબર પડે કે એ તો પહેરેલી કફનીમાં જ વાગે છે. ચશ્માં પહેરેલાં હોય ને પતિ શોધ્યા જ કરતો હોય એવું ક્યારે નથી બનતું? બને જ છે. એટલું સારું છે કે સામે દેખાતા પતિને, પત્ની પૂછતી નથી કે કાલના નોકરીએ ગયા છે, હજી મિસ્ટર આવ્યા નથી. તમે જોયા છે? એવું જ પતિ પણ પૂછે તો નવાઈ નહીં કે કાલે તારું પહેલું શ્રાદ્ધ છે, શું બનાવશે?

ઘણી વાર એમાં સંતાનો મોટી ભૂમિકા ભજવતાં હોય છે. સંતાનો એટલે જ અવ્યવસ્થા. વસ્તુને ઠેકાણે રહેવા દે તો એ બાળક નહીં ! મમ્મી-પપ્પાની ચીજવસ્તુઓ પર બાળકોની નજર રહેતી હોય છે. એમને થાય છે કે પપ્પાની પેન, તેની ટૂથપેસ્ટ, તેની બુક્સ, તેનું લેપટોપ … વગેરે જોવા મળે, વાપરવા મળે કે મમ્મીનું પર્સ, તેનું નેઇલ પૉલિશ, તેની બંગડી … જોવા, વાપરવા મળે ને એ વસ્તુ મમ્મી-પપ્પા બાળકોથી દૂર જ રાખતાં હોય તો બાળકોનું કુતૂહલ વધે છે ને લાગ મળતાં બાળકો બધું જ ફેંદી નાખતાં હોય છે ને મમ્મી-પપ્પા આવીને જુએ છે તો ઘર કબાડખાનું થઈ ચૂક્યું હોય છે. એ પછી મમ્મી-પપ્પાનું મગજ ફાટે ને બાળકોને ઝૂડી નંખાય તો નવાઈ ન લાગવી જોઈએ. પત્નીને એકબીજા સામે વાંધો હોય તો તેઓ બાળકોને કહેતાં નથી, પણ તેમને ઝૂડી નાખે છે. માબાપ માટે સંતાનો કાળ ઉતારવાનું ઉત્તમ નિમિત્ત છે. એમાં બાળકોને માર ખાવાનો વાંધો નથી હોતો, પણ એ ખબર નથી પડતી કે એમનો વાંક શું છે?

નાની નાની વસ્તુઓ નથી જડતી ત્યારે કાળજીથી ગોઠવેલાં ઘરનો કોઈ અર્થ પતિ-પત્નીને લાગતો નથી. ગોઠવવાની જરૂર જ એટલે છે કે બધું વ્યવસ્થિત રહે, જોઈએ ત્યારે વસ્તુ જડે. એ જ ન થતું હોય તો આખી વ્યવસ્થાનો કોઈ અર્થ લાગતો નથી. પણ, ગમે એટલી ઉત્તમ વ્યવસ્થા છેવટે તો અવ્યવસ્થામાં પરિણમતી જ હોય છે. લગ્ન પછી માંડવો છૂટે જ છે. ક્લાઇમેક્સ પછી ફિલ્મ પૂરી થતી જ હોય છે. શૂટેડ બૂટેડ પણ, છેવટે તો લુંગી બનિયનમાં આવતો જ હોય છે, એમ જ એક ઉત્તમ વ્યવસ્થા કે અવસ્થા પછી ફેરફાર આવે જ છે એટલે બધું સારું, સુઘડ, વ્યવસ્થિત હોય તો તે જોવાનું ગમે જ, પણ એનો ઉપયોગ થાય એટલે જ એ વ્યવસ્થા ઊભી થતી હોય છે. જો ઉપયોગ જ ન થાય તો બધું વ્યવસ્થિત જ રહે ને ! જો ઉપયોગ જ ન હોય તો એ વ્યવસ્થા કે વસ્તુની જરૂર જ શી છે? એટલે ઉપયોગ માટે વ્યવસ્થા છે, વ્યવસ્થા માટે ઉપયોગ નથી ને ઉપયોગ થાય તો વ્યવસ્થા બદલાય, બગડે એમ બનવાનું. જોવાનું એટલું જ રહે કે એવી અવ્યવસ્થા ન થવી જોઈએ જે મોટી હાનિને નોતરે. એટલું થાય તો પછી બહુ ચિંતાને કારણ નથી. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

પાકિસ્તાન છે ત્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 October 2021

પાકિસ્તાનમાં જેટલા પણ વડા પ્રધાન આવ્યા એ સૌમાં સૌથી નબળા વડા પ્રધાન ઇમરાનખાન છે. તે ભારત માટે તો ઝેર ઓકે જ છે, પણ પાકિસ્તાનનું પણ તેમણે ભલું કર્યું હોય તેવું જણાતું નથી. એક નાના છોકરાએ તેની કવિતામાં પાક. વડા પ્રધાનની એમ કહીને ધોલાઈ કરી છે કે પાકિસ્તાન સંભાળવાના ઠેકાણાં નથી ને તાલિબાનમાં માથું મારે છે. તાલિબાનને માન્યતા અપાવવા યુ.એન.માં પણ ઇમરાનખાને તાલિબાનની દલાલી કરતાં કહ્યું છે કે તેનાં વચનો પર ભરોસો કરો. તેઓ સુધરવા ને સુધારવા માંગે છે. દુનિયા જોઈ રહી છે કે તાલિબાનો જરા પણ સુધર્યા નથી, બલકે, વધારે ઝનૂનથી અનાચારનો પુરસ્કાર કરી રહ્યા છે. અફઘાન સ્ત્રીઓ મોતની પરવા કર્યા વગર શિક્ષણ અને મુક્તિની માંગ કરી રહી છે તેના પરથી સમજી શકાશે કે તાલિબાન કેવી રીતે પ્રજા સાથે વર્તે છે !

કોઈ વડા પ્રધાન આટલો જુઠ્ઠો જાહેરમાં જણાયો નથી. 9/11ના અમેરિકા પર થયેલ આતંકી હુમલા પછી પાકિસ્તાન આતંકવાદને પુરસ્કારતા રાષ્ટ્ર તરીકે ઉઘાડું પડી ગયું, પણ તેની આતંકવાદના ઉછેરની પ્રવૃત્તિમાં જરા પણ ઓટ આવી નથી. લાદેનને તે શહીદ ગણાવે છે ને તેને અમેરિકાએ તેના જ ઘરમાં ઘૂસીને ખતમ કર્યો તેનો સંકોચ નથી. તેને આશરો પાકિસ્તાને આપ્યો હતો તે જગજાહેર છે. માણસને પાકના હિન્દુઓની તો ચિંતા નથી જ, પણ મુસ્લિમોની હાલત, ભારતના મુસ્લિમો કરતાં બદતર છે તો ય તેમને ચિંતા ભારતના મુસ્લિમોની છે. આર.એસ.એસ. અને ભા.જ.પ. મુસ્લિમો પર જુલમ ગુજારે છે એવી વાહિયાત વાત કરીને મુસ્લિમોની સહાનુભૂતિ ઉઘરાવવાનો તેઓ સસ્તો પ્રયત્ન કરે છે, પણ મુસ્લિમો બરાબર જાણે છે કે પાકિસ્તાનમાં હિન્દુઓની છે તેવી બદતર હાલત ભારતમાં મુસ્લિમોની તો નથી જ નથી.

પાકિસ્તાન એ પણ જાણે છે કે સીધું યુદ્ધ તે કોઈ પણ દેશની સામે લડી શકે એમ નથી. એટલે તે આતંકવાદને ઉછેરે છે ને ચીનની ચમચાગીરી કરી ભારત સાથે છમકલું કર્યાં કરે છે. અમેરિકા પાક સાથે વાત કરવા પણ તૈયાર નથી. અમેરિકી પ્રમુખ નાના દેશોના વડાઓને મળે છે ને વાતો કરે છે, પણ પાક વડા પ્રધાન સાથે વાત કરવાનું તેમણે સ્વીકાર્યું નથી એ પરથી પણ પાકિસ્તાનની વિશ્વમાં કેવી શાખ છે તે સમજી શકાય તેવું છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનોએ ભારત પર અનેક હુમલાઓ કર્યા છે અને કોઈ વાત નથી હોતી ત્યારે પાકિસ્તાન, કાશ્મીરનો રાગ આલાપે છે. યુ.એન.માં પણ છેલ્લાં પ્રવચનમાં ઇમરાનખાને ભારત સાથે વાત કરવા પોતે તૈયાર છે એવું કહ્યું છે, પણ ભા..જપ. મુસ્લિમો પર જુલમ ગુજારે છે એવી વાહિયાત વાત પણ તેમણે સાથે જ દોહરાવી છે. એમને પૂછી શકાય કે ભારતના કેટલા મુસ્લિમોએ ફરિયાદ કરી કે તમારે દખલ કરવાની ફરજ પડે છે? ભારતે કેમ દેશ ચલાવવો તે પાકિસ્તાન શીખવશે જ્યાં પોતાનાં શીખવાનાં કોઈ ઠેકાણાં નથી? તેઓ ફરમાન છોડે છે કે કાશ્મીરમાં જે પગલાં લેવાયાં છે તે ભારતે પાછાં લેવાં પડશે. કેમ ભાઈ, ભારતનું પૂરું પાકિસ્તાન કરે છે? મોદી સરકારે બીજું કૈં ન કર્યું હોત ને 370 ને 35 એ નાબૂદ કરી હોત તો ય ઘણું હતું. ઇમરાનખાન સાહેબ, 370 હતી એટલે વર્ષો સુધી કાશ્મીરી પ્રજાનું હિત જોતાં હોય તેમ થોડાક મુઠ્ઠીભર લોકો સાથે રાખીને કાશ્મીરી પંડિતો અને શીખો પર જુલમ ગુજાર્યો ને તેમને ઘરથી બેઘર કરવાનો વેપલો કર્યો, પણ હવે કોઈનો ઇજારો ત્યાં ચાલવાનો નથી ને એટલું સમજી લો, સાહેબ, કે કાશ્મીર ભારતનું છે ને તમારા પૂર્વજો ને તમે પણ જાણો છો કે તે ભારતનું છે ને આતંકી છમકલાંઓથી તે તમારું થવાનું નથી. આમ પણ પી.ઓ.કે.ને નામે તમે હરામનું પચાવીને બેઠા છો, પણ તે પચવાનું નથી તે નક્કી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ભરી સભામાં તમને જુઠ્ઠા કહીને કાશ્મીર અને લદાખ પરનો ભારતનો એકાધિકાર સ્થાપિત કરતો જવાબ આપ્યો, ત્યારે વસ્ત્રો તો ઠીક, શરીર પર ચામડી પણ શોધવી પડે તેવી સ્થિતિ તમારી હતી તે કહેવાની જરૂર છે?

કદાચ યુ.એન.માં થયેલી ધોલાઈ પછી, પાકિસ્તાને જાત બતાવવા માંડી હોય તેમ શ્રીનગર અને ખીણમાં આતંકી છમકલાં ફરી શરૂ કર્યાં છે ને છેલ્લાં થોડા દિવસોમાં સાતેક હત્યાઓ કરી છે. 1990માં પણ જે પંડિતો કાશ્મીર છોડવા રાજી ન હતા તેઓ પણ ઉચાળા ભરવા માંડ્યા છે. ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ થોડાક યુવાનોને તૈયાર કરે છે ને આ લોકો હુમલો કરીને પોતાને કામે લાગી જાય છે જેથી કોઈ સંગઠન તરફ શંકા ન જાય. 9મી તારીખે શ્રીનગરના નાટીપોરા વિસ્તારમાં પોલીસો પર હુમલો થયો, એના જવાબમાં એક આતંકી ઠાર મરાયો ને તેનું કનેક્શન પ્રતિબંધિત લશ્કરે તોયબા સાથે નીકળ્યું. એક મહિલા આચાર્ય અને એક શિક્ષકને અન્ય મુસ્લિમ શિક્ષકોથી અલગ તારવીને બહાર લાવવામાં આવ્યા અને તેમને ગોળીએ દેવાયા. આ જ રીતે એક કેમિસ્ટ અને એક વેપારીની પણ હત્યા કરવામાં આવી. આ વખતે ટાર્ગેટ પંડિતો અને બિન મુસ્લિમો છે. આ રીતે ખોફ ફેલાવીને બિન મુસ્લિમોને કાશ્મીરથી ભગાડવાનો પાકનો ઇરાદો નાપાક છે. 370 ને 35 એ નાબૂદ કરવાનો હેતુ તો એ હતો કે કાશ્મીર બહારના લોકો પણ ત્યાં વસવાટ કરે અને રોજી રોટી કમાય, પણ કરુણતા એ છે કે બહારનાનો વસવાટ તો બાજુએ રહ્યો, જે ત્યાંના છે તેમની હકાલપટ્ટીનો કારસો રચાયો હોય એવું લાગે છે. આ વર્ષે કાશ્મીરમાં પચીસેક લોકોએ આતંકી હુમલાઓમાં જીવ ખોયો છે. આ અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ છે.

હાલની સ્થિતિ એવી છે કે પંડિતો અને શીખો દહેશતમાં જીવે છે, કેટલાક તો હિજરત કરી રહ્યા છે ને તેમણે ઓફિસો, સ્કૂલોમાં 10 દિવસની રજા મૂકીને નીકળી જવું પડ્યું છે. આતંકી હુમલાઓને કારણે સ્થાનિકો વચ્ચે શંકાનું વાતાવરણ ઊભું થયું છે. એમ લાગે છે કે આ હુમલાઓ અટકવાના નથી. થોડે થોડે વખતે આવા હુમલાઓ ચાલુ રહેવાના છે. એનો હેતુ કાશ્મીરમાં શાંતિ ન સ્થપાય તે જોવાનો છે. કાશ્મીર જરા કૈં થાળે પડે છે કે શાંતિ તોડવાના પ્રયત્નો શરૂ થઈ જાય છે. આ આજકાલનું નથી. એક તરફ ચીન છે, જે જેનું જે કૈં પણ છીનવી લેવાય, તે પૂરી નાલાયકીથી છીનવે છે. અત્યારે તાઇવાન પર કબજો જમાવવાની ફિકરમાં તે છે. તેને મહાસત્તા બનવાની લ્હાય લાગી છે ને તેણે તો વિશ્વયુદ્ધ થવાની આગાહીઓ પણ કરવા માંડી છે. એ કમનસીબી છે કે બબ્બે વિશ્વયુદ્ધો જોયાં પછી પણ કોઈ કૈં શીખ્યું નથી. મહામારીથી આટલાં લોકો મર્યાં તે ઓછાં લાગે છે કે હવે યુદ્ધથી મારવાં છે? આખું વિશ્વ આટલું બધું બેશરમ કઈ રીતે થઈ શકે તે નથી સમજાતું.

વળી ચીનનું સૈન્ય ઘૂસણખોરીમાં તો ગાંઠતું જ નથી. તાજેતરમાં જ ભારતે 200 ચીની સૈનિકોને મારી ભગાડ્યા છે. બીજી તરફ પાકિસ્તાન છે જે બે રીતે ભારતને હેરાન કરે છે. તે સરહદ પર લશ્કરી તાકાતનો પરચો આપે છે તો બીજી તરફ, કાશ્મીરમાં આતંકવાદીઓને ઘૂસાડીને નિર્દોષ લોકોનું લોહી રેડે છે ને દેખાવ એવો કરે છે કે તેનું લોહી ભારત પીએ છે. ચીન અને પાકિસ્તાને એ સમજી લેવાનું રહે કે તે હવે 1962નું ભારત નથી. તે સામેથી કોઈને છેડવામાં માનતું નથી, પણ કોઈ છેડે તો તેને છોડવામાં પણ માનતું નથી. કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવાં માંડ્યાં છે. કાશ્મીર ખીણમાંથી 500 શકમંદોની ને શ્રીનગરમાંથી 70 યુવકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ … જેવાં 16 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે ને ત્યાંના રહેવાસીઓ માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પણ દહેશત વધુ હુમલાઓની રહે જ છે.

એક વાત નક્કી છે કે પાકિસ્તાન તેની આતંકી ગતિવિધિથી કદી શરમાવાનું નથી. તે જાતે સમજી જાય અને આતંકી પ્રવૃત્તિઓને અટકાવે એવું તો સપનું પણ પડે એમ નથી. કોઈ યુદ્ધમાં ન મરે એટલા લોકો ભારતમાં આતંકી પ્રવૃત્તિઓનો ભોગ બન્યા છે. એ પણ કમાલ છે કે કાશ્મીર કે અન્યત્ર, આતંકવાદીઓ ભારતમાં ઘૂસી જવામાં ને ત્રાસ વર્તાવવામાં સફળ થાય છે, એવી સફળતા ભારતને મળી નથી. તે એટલે કે ભારત આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું નથી. એવું હોત તો ભારતે પણ પાકિસ્તાનની દશા બગાડી હોત, પણ ભારત એવું નહીં કરે. નહીં જ કરે. બહુ થાય તો તે સર્જિકલ સ્ટ્રાઈક કરશે, પણ નિર્દોષોનાં જીવ નહીં લે. તો, તેણે શું લખી આપ્યું છે કે પાકિસ્તાન ગમે ત્યારે આતંકીઓ દ્વારા જીવ લે તો તે ખૂણે પડીને જોયાં કરશે? ના. તે જોઈ નહીં રહે, પણ આ સંજોગોમાં ભારતે સીધું લડી લેવું જોઈએ એમ કહેવાનું થાય છે. એ ખરું કે એમાં તેણે ય ખુવારી વહોરવાનું થાય ને એ ઇચ્છવા જેવું નથી, પણ તે ચૂપ રહેશે તો પણ વેઠવામાંથી તેની મુક્તિ નથી ને એટલું નક્કી છે કે આનો અંતિમ ઉપાય તો યુદ્ધ જ જણાય છે. આજે નહીં ને વરસે, બે વરસે તેણે પાકિસ્તાનને નકશામાંથી ભૂંસ્યે જ છૂટકો છે. તે જેટલું મોડું કરશે એટલું તેનું નુકસાન વધશે. પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈકથી પણ નહીં શરમાય તે ય ખરું, કારણ તે ટાંકણીથી નહીં, તલવારથી જ શરમાય એમ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7251,7261,7271,728...1,7401,7501,760...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved