Opinion Magazine
Number of visits: 9570815
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

રવીન્દ્ર પારેખ|Poetry|6 November 2021

તું નથી તો નથી કશું જગમાં,
તું જો છે તો છે વિશ્વ રગરગમાં.
કે દીવો આમ તો છે અંધારું,
જે બધું છે તે માત્ર છે શગમાં.
ક્યાંકથી હોય તો દો અંધારું
ગુમ થઈ જાઉં છું હું ઝગમગમાં.
હોય સામે ને તો ય ના ભાળું,
એમ લાગે કે છું હું કળજગમાં.
જો ખબર હો ન ક્યાં ય પ્હોંચાશે,
તો પછી અર્થ શો રહે ડગમાં?
રોજ ઓછો કરે વધારી એ,
ફેર શું શ્વાસમાં અને ઠગમાં?
ના જીવનમાં કે છું મરણમાં હું,
હું હવે છું કદાચ લગભગમાં.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

નૂતન વર્ષે તો આનંદમાં રહીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 November 2021

સૌને નૂતન વર્ષનાં હૃદયપૂર્વકનાં અભિનંદનો અને હાર્દિક શુભેચ્છાઓ !

દીપાવલીનું પર્વ પ્રકાશનું પર્વ છે, આનંદોલ્લાસનું પર્વ છે. આમ તો આનંદની તકો આપણી પાસે ઓછી જ છે. તે એટલે કે આપણી સગવડોએ આપણને કામમાં નાખી દીધાં છે. આપણને નવરાશ જ નથી ને સાચું પૂછો તો ખાસ કામ પણ નથી. આપણી સગવડો વધી, એથી સુખ વધ્યું, પણ આનંદ વધે એવું દરેક બાબતમાં બન્યું નથી. એટલો પૈસો જરૂર વધ્યો કે સુગર ફેક્ટરી નાખી શકાય, એથી સુખ વધ્યું, પણ ડાયાબિટીસને કારણે ખાંડ ન ખાઈ શકાવાથી મીઠાશનો આનંદ ગયો. આપણે સગવડોથી સુખ વધાર્યું ને આનંદ ઘટાડયો એવું નથી લાગતું?

આપણે દિવાળીના દિવસોમાં કેટલી બધી શુભેચ્છાઓ એકબીજાને પાઠવી, નૂતન વર્ષનાં કેટલાં અભિનંદનો પાઠવીશું ય ખરા, ફોન પર ફોન થશે, ફોન પર ફોન આવશે, પણ એમાં સચ્ચાઈનો રણકો સંભળાય છે? સાચો ઉમળકો અનુભવવાય છે? આપણે સવારથી સજીધજીને નવો ચહેરો કરાવીને આમથી તેમ દોડીએ છીએ, એ ચહેરાની પાછળ જે સંતાયેલી વ્યથા છે, તે ચહેરાને તો ચમકતો રાખે છે, પણ પેલી ચમકને દંભમાં ફેરવી નાખે છે. આજની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે આપણે સાચાં નથી. ઢાંકવું, સંતાડવું એ આપણી ટેવ છે. નથી આપણે સચ્ચાઈ કોઈને બતાવી શકતા કે નથી કોઈ તે બતાવવા કે જોવા ય રાજી! આજે પ્રમાણિકતાથી જાત સામે કબૂલીએ કે આપણે નકલીને જ અસલી બનાવી દીધું છે ! એટલે જ આપણાં અભિનંદનો ને શુભેચ્છાઓમાં ઉમળકો નથી. જે છે તે દેખાડો છે. અભિનંદનો ને શુભેચ્છાઓના ઢગલા મેસેજોમાં આપણો પોતાનો શબ્દ છે? મોટે ભાગે તો આપણે આવેલો મેસેજ બીજાને ફોરવર્ડ કરીને ફરજ બજાવી લઇએ છીએ. એ આખું ઉધારનું તંત્ર છે. આપણને મોકલાયેલો મેસેજ પૂરો વંચાતો ય નથી ને બીજાને તે ફોરવર્ડ કરી દઇએ છીએ. આવું કરવાનું કોઈ કહેતું નથી, પણ આપણે કરીએ છીએ. આ એક ભીડ છે ને એમાં આપણે પાછળ ન રહી જઈએ એટલે ખેંચાઈએ છીએ, દોડીએ છીએ. કેટલુંક કરવું પડે એ સમજી શકાય, પણ બધું કરવું જ જોઈએ એવું ક્યાં ય લખેલું નથી. આમાં બધું જ ખોટું છે, એવું પણ નથી. કેટલુંક મનથી, હૃદયથી થતું પણ હશે ને ત્યારે એનું અજવાળું જુદું જ હશે. એવું નથી લાગતું કે હજારો દીવાઓ પછી પણ આપણે અંધારામાં જ હોઈએ છીએ? ને ક્યારેક એવું પણ બને છે કે અંધકારમાં જ હોઈએ અને દીવાની જરૂર જ ન લાગે !

એક સમય હતો જ્યારે વીજળી ન હતી ને દીવાના ઉજાસથી જ અંધકારને દૂર રાખવાનો પ્રયાસ થતો હતો. ટોડલે દીવો મૂકાતો હતો ને લીપેલી ઓકળીઓ એના ઉજાસમાં વર્તુળાતી જતી હોય એ જ આધાર હતો – રાતનો. એ પછી ફાનસો આવ્યાં. એમાં ધ્રૂજતું અજવાળું સચવાયું. એ કામ દીવા માટે હથેળીઓ કરતી. બે હથેળી વચ્ચે જ્યોત સચવાતી ને હથેળીને પાર પણ અજવાળું નીકળવા મથતું તો એ હથેળીઓ પણ રક્તના ઉજાસથી તગતગી ઊઠતી ! આજે કેટલી બધી ઇલેક્ટ્રિક રંગીન રોશનીઓથી ઘરો ઝગમગતાં હોય છે, ગગનને ભેદી શકાય એટલું અજવાળું આપણે ઉછાળી શકીએ એમ છીએ, છતાં દિવાળીના દિવસોમાં આપણે માટીનાં કોડિયાં પ્રગટાવીએ છીએ. કેમ? આટલી બધી ટ્યૂબલાઇટ્સ ઘરની બહાર ને અંદર ઝબૂકતી હોય પછી માટીનો મામૂલી દીવો કરવાની જરૂર કેમ પડે છે? હવે તો ઇલેક્ટ્રિક જ્યોત પણ મળે છે. સ્વિચ પાડો કે જ્યોત ધ્રૂજવા લાગે ! પણ આરતીના ઉજાસની તોલે એ આવે એમ છે? આમ તો આરતી કરવાની જ જરૂર કેટલી? પણ જેમને ઘીના પૂમડાંનું અજવાળું ગમે છે એ નકલી અજવાળાંથી રાજી નહીં થાય. હવે તો દિવેટ, પૂમડાં પણ તૈયાર મળે છે ! આરતીનું નકલી ઘી સસ્તું મળે છે ને એની આરતી આપણે લક્ષ્મી કે સરસ્વતી કે દુર્ગા પૂજામાં કરીએ છીએ. કોઈ દેવી કે કોઈ ભગવાન દીવો કે આરતી કરવાનું કહે છે? દીવો ન કરવાથી કોઈ ભગવાને કોઈને કદી શાપ આપ્યો નથી, પણ આપણે ડરીને કે ભક્તિભાવથી આ બધું કરીએ છીએ. હવે જ્યારે કરીએ જ છીએ તો વેઠ ઉતારવાની જરૂર ખરી? આપણે આ બધું યાંત્રિક રીતે, ફરજ સમજીને કરીએ છીએ. સાચું તો એ છે કે જે કરીએ તેમાં જીવ હોય ! તો જ તેનો આનંદ અનુભવાય, એવું ખરું? બાકી, તો આરતીનું અજવાળું જોવાનો આપણી પાસે બહુ સમય જ હોતો નથી.

આપણને શાંત, ધીમો, સ્નિગ્ધ પ્રકાશ જોવાનો બહુ ખ્યાલ જ નથી. કોઈ વાર સાવ અંધારામાં એકલાં બેસવા જેવું છે. એટલાં બધાં અજવાળાંમાં આપણે રહીએ છીએ કે અંધારું શોધવું પડે. એકાએક લાઇટ ન જાય તો આપણે અંધારું કરવા બહુ રાજી નથી હોતાં. કદાચ ડરીએ છીએ અંધકારથી, પણ જે સાચું સમજવા માંગે છે તે ઉજાસ જેટલું જ અંધકારને ય માને છે. સાવ એકલાં, અંધારામાં બેસવામાં આપણે, આપણી જ વધારે નજીક આવીએ છીએ. તે એટલે કે આપણે, એકાંતમાં જ આપણને યાદ આવીએ છીએ. આપણે બીજાને વિષે વિચારવામાં ઘણો સમય કાઢી નાખીએ છીએ, એમાં પોતાને વિષે વિચારવાનું બહુ બનતું નથી. એ એકલાં પડીએ ત્યારે જ બને છે. સામે અરીસો પણ ન હોય, ત્યારે આપણે, આપણને સમજાઈએ છીએ. એમાં જો અંધકારથી ઘેરાઈએ તો એ આપણને અજવાળે છે, આપણને માંજે છે. રાખથી વાસણ મંજાય એમ અંધકાર આપણને માંજે છે, ઊજળાં કરે છે ને આપણે, આપણા ઉજાસમાં દેખાવા લાગીએ છીએ. કદાચ એ આપણું સાચું સ્વરૂપ છે. અહીં અરીસો નથી ને આપણાં અજવાળામાં આપણે જ દીવો થઈને ઝળહળીએ છીએ. આત્મ દીપો ભવ – કે – તું જ તારા દિલનો દીવો થા – એમ જ નથી કહેવાયું. આટલાં અજવાળાં વચ્ચે જેમ દીવાનું તેજ છે, એમ જ આટલી ભીડ વચ્ચે પણ મનુષ્યને તેનું પોતીકું તેજ છે. તે તેણે પ્રમાણવાનું રહે. અંધકારમાં દીવો પ્રમાણે એમ જ મનુષ્ય, અંધકારમાં પોતાનું તેજ પ્રમાણી શકે છે.

આ તો એકલ મનુષ્યની વાત થઈ, પણ માણસ સામાજિક પ્રાણી છે એવું જે કહેવાયું છે, એ પણ એટલું જ સાચું છે. તહેવાર અને વહેવાર માણસને સમૂહમાં રાખે છે. એકબીજા સાથે જોડે છે. દીપોત્સવ પણ એક જ તહેવાર નથી, તે તહેવારોનો સમૂહ છે. અગિયારસથી શરૂ થતી દિવાળી, દેવદિવાળી સુધી ચાલે છે. આમ જુઓ તો દિવાળીમાં દેવીઓનો મહિમા વધારે છે. વાણીની દેવી સરસ્વતીનો ઉત્સવ વાક્‌ બારસ તરીકે ઉજવાય છે, તો, આદિવાસીઓમાં દુર્ગાના વાહન તરીકે વાઘનો મહિમા પણ થાય છે. ધનતેરસ કુબેરનો લક્ષ્મીનો ઓચ્છવ છે. જે આજે તો વાહન ખરીદી કે દાગીના ખરીદી પર આવીને અટક્યો છે. સંપત્તિનું પ્રદર્શન જ જાણે મુખ્ય વાત થઈ પડી છે. ભલે, એમ તો એમ ! કાળીચૌદસ કાલિનું, હનુમાન ભક્તિનું પર્વ છે. એ અઘોરીઓનું, મેલી વિદ્યાનું પર્વ પણ મનાય છે. સાધના તો દુરિતની ય કરવી જ પડે છે. એને પડકારાય છે, તો ય એ સાધના પણ ચાલે તો છે જ ! દિવાળી અયોધ્યા સાથે જોડાયેલી છે. રામ, લંકા વિજય પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે જાણે અધૂરો રહેલો રાજ્યાભિષેક પૂર્ણ થયો. અયોધ્યાવાસીઓએ, રામનો વનવાસ પૂર્ણ થતાં, આખી નગરીને અનેક દીપજ્યોતિનાં તેજમાં તરતી મૂકી. કેટલી બધી કથાઓ ને ઉપકથાઓ આપણા તહેવારો સાથે જોડાયેલી છે. એ માનીએ કે ન માનીએ, પણ કોઈક સ્તરે કોઈ તર્ક આપણને સ્પર્શે છે ને એ આપણા ચિત્તમાં ક્યાંક સચવાઈ રહે છે. નવું વર્ષ દર વર્ષે આવે છે ને આપણે એ જ, વર્ષો જૂની શુભેચ્છાઓ પાઠવીએ છીએ, ખબર છે કે આપણી ખરીખોટી શુભેચ્છાઓથી કૈં થવાનું નથી, તો ય ‘સાલ મુબારક’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ બોલાઈ જ જાય છે, એમાં સારું એ છે કે અજાણતાં ય કોઈનું અશુભ થાય એમ આપણે નથી ઇચ્છતાં. ભલે આ ટેવ વશ, રીતિ પ્રમાણે કહેવાતું હોય, તો પણ આપણને અશુભની ટેવ નથી પડી એ કેટલી મોટી વાત છે, નહીં તો ‘સાલ મુબારક’ની ટેવ જેવો ‘સર્વનાશ મુબારક’નો લવારો થયો હોત, પણ એવું થયું નથી તે હજી કશુંક શુભ તત્ત્વ બચ્યું છે તે વાતની સાક્ષી પૂરે છે.

કમ સે કમ દિવાળીના તહેવારોની એક વાત એ છે કે તે સૌને ભેગાં કરે છે. એક તરફ દીવો છે, તે એકલાં રહેવાનો ને પ્રગટવાનો મહિમા કરે છે તો બીજી તરફ રોજ રાત્રે ટમટમતાં તારાઓ આકાશ ઝગમગાવે, એમ કુટુંબની નાનીમોટી વ્યક્તિઓ ગમે ત્યાંથી દિવાળીએ ઘરે આવી રહે છે ને આખું ઘર કનકતારાની જેમ ઝગમગી ઊઠે છે. આકાશના તારલાઓની સ્પર્ધામાં હોય તેમ ધરતી અનેક દીવાઓથી ટમટમી ઊઠે છે ત્યારે ધરતીને પણ આકાશ થવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે ને દીપોત્સવના કેફમાં એ પણ કહેતી હશે, આકાશને – નૂતન વર્ષાભિનંદન ! ને આકાશ પણ આનંદથી થોડા તારલાઓ, જ્યાં દીવા ન થયા હોય ત્યાં અજવાળું કરવા મૂકી જતું હશે. દીવાઓની જેમ આપણી ઇચ્છાઓ, સપનાંઓ ઝગમગતાં, ઝળહળતાં રહે તેવી ફરી એક વાર સૌને શુભેચ્છાઓ –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 નવેમ્બર 2021

Loading

સાલ મુબારક

દીપક મહેતા|Opinion - Opinion|5 November 2021

આજથી વિક્રમ સંવતનું એક નવું વર્ષ, ૨૦૭૮નું વર્ષ, શરૂ થાય છે. પણ જેનું નામ આ સંવત સાથે જોડાયું છે તે વિક્રમ હતો કોણ? પૂરેપૂરી ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. પણ લોકકથાઓ, દંતકથાઓ અને લોક માનસમાં ઉજેણી નગરીનો રાજા વીર વિક્રમ આજ સુધી વસી ગયો છે. કદાચ એના નામ સાથે જોડાયેલો છે આ સંવત. આજે દુનિયાના ઘણા દેશોમાં – આપણા દેશમાં પણ – જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તે ઇસવી સન કરતાં ૫૬ કે ૫૭ વર્ષ પહેલાં આ સંવત શરૂ થયો છે એટલે વિક્રમ રાજા ઈ.સ. પૂર્વે સો એક વર્ષે થઇ ગયો હોવો જોઈએ. કેટલાકને મતે પોતે શકો સામે વિજય મેળવ્યો તેની યાદમાં વિક્રમે આ નવો સંવત શરૂ કર્યો હતો. એનું આખું નામ વિક્રમાદિત્ય. ‘વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર, સૂર્ય. પણ ‘વિક્રમાદિત્ય’ એ રાજાનું નામ હતું કે બિરુદ? કારણ બીજા પણ ઘણા રાજાઓએ આ ‘વિક્રમાદિત્ય’ને બિરુદ તરીકે અપનાવ્યું છે. અને ભાટચારણો તો પાંચ ગામના ઠાકોરને પણ ‘પરાક્રમી વીર વિક્રમ જેવો’ એમ કહીને પ્રશંસા કરતા. આજે જેમ આલિયા માલિયા ચળવળિયાને ‘ગાંધીવાદી’ની ટોપી પહેરાવી દેવાય છે તેમ એક જમાનામાં થોડી ઘણી પણ સત્તા જેની પાસે હોય તેને માથે ‘વિક્રમાદિત્ય’નો મુગટ પહેરાવી દેવાતો.

ખેર, કથાસરિતસાગરની વાત માનીએ તો પરમાર વંશના ઉજ્જૈનના રાજા મહેન્દ્રાદિત્યનો પુત્ર હતો વિક્રમાદિત્ય. એટલે બનવાજોગ છે કે આ વંશના બધા રાજાના નામની સાથે ‘આદિત્ય’ બિરુદ જોડાતું હોય. તો ભવિષ્ય પુરાણ કહે છે કે વિક્રમાદિત્ય તો ગાંધર્વસેનનો પુત્ર હતો. અને ગાંધર્વસેન તે ઇન્દ્રનો પુત્ર હતો. પાંચ વર્ષની ઉંમરે વિક્રમે બાર વર્ષનું આકરું તપ કર્યું હતું. તંત્રમંત્રના જાણકાર એક દુષ્ટનો ખાતમો બોલાવવામાં વૈતાળે તેને મદદ કરી હતી. રંભા અને ઉર્વશી એ બે અપ્સરાઓ વચ્ચેના ઝગડાનો નિવેડો વિક્રમ લાવી શક્યો હતો, તેથી તેના પર ખુશ થઈને ઇન્દ્રે તેને સિંહાસન આપ્યું અને તું તથા તારા વંશજો એક હજાર વર્ષ સુધી રાજ કરશો એવું વરદાન આપ્યું.

તો વળી, કેટલાક જૈન ગ્રંથો કહે છે કે વિક્રમાદિત્ય ઉજજૈનનો નહિ, પણ મહારાષ્ટ્રમાં આવેલા ‘પ્રતિષ્ઠાન’(આજનું પૈઠણ)નો રાજા હતો. તેણે ચડાઈ કરીને ઉજ્જૈન જીતી લીધું હતું અને પોતાના એ વિજયના માનમાં ‘વિક્રમ સંવત’ શરૂ કર્યો હતો. તો વેતાળપચ્ચીસી અને સિંહાસન બત્રીસીની અદ્ભુતરસિક વાર્તાઓ અનેક ભાષામાં પ્રચલિત થઈ છે અને તેમણે લોકો સામે વિક્રમ રૂપે એક સર્વશક્તિમાન, પ્રજાવત્સલ રાજાનો આદર્શ રજૂ કર્યો છે. કર્ણાટકની યક્ષગાન પરંપરામાં રાજા વિક્રમ અને નવ ગ્રહોમાંના એક શનિની કથા જોવા મળે છે. માણસના જીવનમાં શનિ ઉથલપાથલ સર્જી શકે છે એ એ વાત માનવા રાજા વિક્રમ તૈયાર નથી. પણ તેણે કરેલા શનિના અપમાનને પરિણામે વિક્રમના જીવનમાં આફતોની પરંપરા સર્જાય છે. જ્યારે તેને લાગે છે કે હવે તો મોત હાથવેંતમાં છે ત્યારે છેવટે તે શનિની પ્રાર્થના કરે છે અને શનિ પ્રસન્ન થઈ તેને વરદાન આપે છે.

ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર મહિનાથી વિક્રમ સંવત શરૂ થાય છે. જ્યારે ગુજરાતમાં કાર્તિક મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે. આ ઉપરાંત નેપાળમાં પણ વિક્રમ સંવત પ્રચલિત છે. ત્યાં વૈશાખ મહિનામાં તેની શરૂઆત થાય છે. ભારત સરકારે શક સંવતને સત્તાવાર કેલેન્ડર તરીકેની માન્યતા આપી છે. પણ લોકોમાં આ કેલેન્ડર ઝાઝું પ્રચલિત બન્યું નથી. સરકારી વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ઇસવી સનની સાથોસાથ થાય છે. પણ આપણા દેશના બંધારણના સત્તાવાર હિન્દી અનુવાદમાં એ બંધારણ દેશે અપનાવ્યું તેની તારીખ આ રીતે આપી છે : ‘૨૬ નવેમ્બર, ૧૯૪૯, માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, સંવત ૨૦૦૬.’ આ વર્ષગણના વિક્રમ સંવત પ્રમાણેની છે. આનું કારણ એ કે શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે તો ૧૯૫૭ના માર્ચની બાવીસમી તારીખે સ્વીકારવામાં આવ્યો. એટલે ઇસવી સનની સાથે ભારતીય પરંપરાના વર્ષ તરીકે ૧૯૪૯માં વિક્રમ સંવતનો ઉપયોગ થયો હતો. આવા વિક્રમ સંવતનું નવું વર્ષ આજે શરૂ થાય છે ત્યારે આપ સૌને સાલ મુબારક.

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...1,7011,7021,7031,704...1,7101,7201,730...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved