Opinion Magazine
Number of visits: 9736196
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

સિદ્દીક ભરૂચી|Poetry|28 February 2026

અબોલાને    વધુ   સંમત કરે છે,
મહોબ્બત  કેટલી  હિંમત કરે છે!

નજીવી વાતમાં વાસણ ખખડ્યાં,
ને  ભીંતો   રાઈનો   પર્વત કરે છે.

પથારીમાંથી બેઠા થાવ, સજ્જન,
અઝાનો  આપનું  સ્વાગત કરે છે.

અમારા   કાળના  ગંભીર  શાયર,
હવે તો    ‘શેરમાં’   ગમ્મત કરે છે.

જીવે  તો  છાંયડા  આપે છે વૃક્ષો
સુકાતા   રાંધવા    રાહત  કરે છે.

‘અસત્યથી’   વધારે  ‘સત્ય’ સાથે,
ન જાણે   કેમ  સૌ  નફરત  કરે છે?

જૂના ફળિયા મને જંગલમાં મળ્યા,
નવી આશાના ગમ હિજરત કરે છે.

સમજદારો ઘણા ઓછાં છે ‘સિદ્દીક’,
હ્રદયના  ‘શબ્દો’ની    કિંમત કરે છે.

અમદાવાદ
e.mail : siddiq948212@gmail.com

Loading

સમરસ ગ્રામ પંચાયત, સમરસતા અને સમાનતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 February 2026

ચંદુ મહેરિયા

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું સેલરા ગામ. ૫૦૦ આહિરોની વસ્તીના આ ગામમાં ક્યારે ય સરપંચની ચૂંટણી થઈ નથી. ગામના ચોરે લોકો ભેગા થાય છે અને સર્વસંમતિથી સરપંચની પસંદગી કરે છે. હિન્દુ-મુસ્લિમની સમાન વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ આઝાદી પછી ક્યારે ય ગામના સરપંચની ચૂંટણી થઈ નથી. એક ટર્મ હિન્દુ અને બીજી ટર્મ માટે મુસ્લિમ સરપંચની પસંદગી ગામના ૪,૮૦૦ મતદારોના પ્રતિનિધિઓ મળીને કરે છે. બનાસકાંઠા જિલ્લાના સૂઈ ગામ તાલુકાના સોનેથ ગામે આ વખતે ગઈ ચૂંટણીના હારેલા ઉમેદવારોના નામની ચિઠ્ઠી ઉપાડીને વગર ચૂંટણીએ સરપંચની પસંદગી કરી છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચમનપર ગામમાં પણ આઝાદીથી આજ સુધી ક્યારે ય ગ્રામપંચાયતની ચૂંટણી થઈ નથી. સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલમાં આવી ત્યારથી ચમનપર સમરસ ગ્રામ પંચાયત છે. લોકતંત્રના પાયાના એકમ એવા ગામોની પંચાયતની ચૂંટણીના આ કેટલાક વિશિષ્ઠ ઉદાહરણો છે. 

૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના થઈ હતી. ૧લી એપ્રિલ ૧૯૬૩થી રાજ્યમાં ત્રિસ્તરીય (જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત) પંચાયતી રાજ અમલમાં આવ્યું છે. બંધારણના નિર્માતાઓએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષો અને તેના પ્રતીકો વિના લડાય અને ચૂંટણીનાં દૂષણોથી તે મુક્ત રહે તેની જોગવાઈ કરી છે. તેમ છતાં રાજકારણનાં દૂષણોથી ગામડાં પર રહી શક્યાં નથી. એટલે ક્યાંક ગ્રામજનોની આપસી સમજથી તો ક્યાંક સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાથી ચૂંટણીઓ થતી નથી.

બહુ વાજંબી રીતે સમરસ ગ્રામ પંચાયત યોજનાને નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી કાળની દેણ મનાય છે. પરંતુ ખરેખર તો આ યોજના પ્રથમ વાર ૧૯૯૨માં ચીમનભાઈ પટેલના મુખ્ય મંત્રી કાળમાં એક વરસ માટે જાહેર થઈ હતી. જો કે તેનો પદ્ધતિસર અને વ્યવસ્થિત અમલ ૨૦૦૧થી થયો છે. સેવાને બદલે મેવા મેળવવા કે પછી લોકજાગ્રતિમાં વૃદ્ધિને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ તીવ્ર હરીફાઈ થાય છે. પાંચથી પચીસ હજારની વસ્તીના ગામોમાં લોકો એકબીજાને અવારનવાર મળતા હોય છે. એટલે કોણે ચૂંટણીમાં શું ભાગ ભજવ્યો હતો તે બધા જાણે છે. પરિણામે વેરઝેર, અશાંતિ, કુસંપ, મતભેદ, મનભેદ, વૈમનસ્ય, કાવાદાવા, કલેશ, મારામારી, ધાકધમકી, અણદીઠ હિંસા અને દાદાગીરીની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ચૂંટણી ટાળીને,  વિના વિરોધ,  બિનહરીફ સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યોની પસંદગીથી ગ્રામ પંચાયતની રચના થાય તે માટે ૨૦૦૧થી સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલી છે. જો સરપંચ અને બધા સભ્યો મહિલા પસંદ થાય તો તે મહિલા સમરસ ગ્રામ પંચાયત બને છે. 

છેલ્લે જૂન ૨૦૨૫માં ૮,૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી. તેમાં ૫૬ મહિલા અને ૭૬૧ સામાન્ય સમરસ ગ્રામ પંચાયતો બની હતી. તે પૂર્વે ૨૦૨૧-૨૨માં ૧,૧૮૯ સામાન્ય અને ૧૧૬ મહિલા સમરસ પંચાયતો હતી. ૨૦૨૫માં ૭૬૧માંથી સૌથી વધુ ૧૦૩ સામાન્ય સમરસ પંચાયતો ભાવનગર જિલ્લામાં જ્યારે ૫૬ મહિલા સમરસ પંચાયતોમાંથી સૌથી વધુ ૯ મહેસાણા જિલ્લામાં રચાઈ હતી. ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીમાં સમગ્ર રાજ્યની સામાન્ય સમરસ પંચાયતોની કુલ સંખ્યા ૧૪,૭૨૧ થઈ હતી. અમલના અઢી દાયકે કુલ મહિલા સમરસ પંચાયતોનો આંકડો ૭૬૮એ પહોંચ્યો છે.

રાજ્ય સરકાર સમરસ પંચાયતોને ખાસ પુરસ્કાર રાશિ આપે છે. ૧૯૯૨માં માત્ર રૂ.૧,૦૦૦ રોકડ પુરસ્કાર હતો. ૨૦૦૧માં રૂ.૬૦,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦૦ હતો. જે હવે મહત્તમ રૂ. ૧૨ થી ૧૫ લાખ જેટલો છે. સમરસ પંચાયતની રચના એક કરતાં વધુ વખત થાય તો તે પ્રમાણે પુરસ્કાર રાશિમાં વધારો થાય છે. સરકારની પુરસ્કારની રકમ ગામના વિકાસ કામો માટે ખર્ચ કરવાની હોય છે. સરકારે નક્કી કરેલા વિકાસ કામોમાં જાહેર શૌચાલય, ચોખ્ખું પાણી, દૂષિત અને ગંદા પાણીનો નિકાલ, આરોગ્ય સેવા, આંતરિક એપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, પ્રાથમિક શાળાના ઓરડા, જળ સંચય યોજના અને પંચાયત ઘરનો સમાવેશ થાય છે. આ વિકાસ કામોમાંથી યોગ્ય કામ ગ્રામસભા નક્કી કરે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે પહેલી વાર સમરસ ગ્રામ પંચાયત બને તે ગામમાં એકથી આઠ ધોરણની શાળાની વ્યવસ્થા સરકાર કરે છે. કમ સે કમ આટલી સગવડ માટે પણ સરકારી પ્રાથમિક શાળાવિહોણા ગામોએ સમરસ પંચાયત રચવી જોઈએ. 

સમરસ પંચાયત યોજનાના સારા અને નરસા બંને પાસાં છે. જો તે ચૂંટણીના દૂષણો અટકાવે છે તો લોકશાહીમાં નાગરિકનો મહત્ત્વનો મતદાનનો અધિકાર છીનવે છે. જે સર્વસંમતિની વાત છે તે વાસ્તવિક છે કે દેખાડો તે વિચારણીય પ્રશ્ન છે. ગામના હિત ધરાવતા તત્ત્વો, સ્થાપિત હિતો કે પ્રભુત્વ ધરાવતા લોકો પંચાયત પર પોતાનું વર્ચસ કાયમ રહે તે માટે સમરસનો ખેલ કરતા હોવાની ટીકા થાય છે. વળી ગામમાં જ્ઞાતિ અને પૈસાનો ભેદ તો તરત દેખાય છે. એટલે રાજકીય નેતૃત્વમાં દેખાતી સમરસતા સામાજિક સમરસતા તો બનતી જ નથી. સરકારી ઠરાવ “વિકાસ કામો માટેનું હકારાત્મક વાતાવરણ ઊભું કરવા સમરસ પંચાયતની રચનાનો હેતુ” હોવાનું જણાવે છે. એટલે વિકાસ કામો માટે ચૂંટણી ટાળવામાં આવે તેવો અર્થ થાય? શું ચૂંટણીઓ વિકાસ માટે અવરોધક છે? જે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે તે પ્રોત્સાહન છે કે પ્રલોભન ? તેવો પણ સવાલ ઊઠે છે. વળી ત્રણ કે પાંચ લાખ રૂપિયાની રકમ વિકાસ કામો માટે બહુ જ ઓછી ગણી શકાય તેમ પણ અનુભવે જણાય છે. માત્ર રાજકીય નેતાઓ જ નહીં સરકારી અધિકારીઓ પણ સમરસ ગ્રામ પંચાયતો રચાય તે માટે એડીચોટીનું જોર લગાવે છે. પરંતુ સમરસ ગામોની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રક્રિયા અને ફલસ્વરૂપ લોકતંત્ર ખતમ થઈ જશે તેની કોઈને ચિંતા નથી. 

સમરસતા મૂળભૂત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર છે. સમરસતા સમાનતાનો ભાસ  ઊભો કરે છે. વાસ્તવમાં સમરસતા એટલે કથિત ઉચ્ચ કે પ્રભુત્વ ધરાવતા વર્ણોમાં અન્યનું સમાઈ જવું તે છે. જ્યારે સમાનતાનો ખ્યાલ જુદો છે. સમાનતામાં દરેક એક સરખા હોય છે અને કોઈએ બીજામાં સમાઈ જવાનું નથી.

૧૪ એપ્રિલ ૧૯૮૩ના રોજ ફૂલે-આંબેડકર ભૂમિ  મહારાષ્ટ્રમાં ‘સામાજિક સમરસતા મંચ’ની સ્થાપન થઈ હતી. એ પ્રસંગે સંઘ વિચારક દત્તોપંત ઠેંગડીએ બે પ્રવચનો આપ્યા હતા. આ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પુસ્તકાકારે પ્રગટ થયો છે. જાણો છો અનુવાદક કોણ હતા? તત્કાલીન સંઘ પ્રચારક અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી.  આ પ્રવચનોનો પ્રધાનસૂર એ હતો કે કેવળ સમરસતાના માર્ગે જ સમતા આવી શકે છે. પરંતુ તે સત્ય નથી. સમરસતાથી સમાનતા શક્ય બનતી નથી તે પચીસ વરસોથી ગુજરાતમાં અમલી સમરસ ગ્રામ પંચાયતોના અનુભવો પરથી કહી શકાય છે. એક રીતે તો સમરસ ગ્રામ પંચાયત યોજના સમરસતાના સંઘ વિચારનું ભારતીય જનતા પક્ષે અમલી કરેલું રાજકીય રૂપ છે.  

વાદ નહીં, વિવાદ નહીં કેવળ સંવાદ એ સમરસ પંચાયતનો મંત્ર છે, પરંતુ વર્ણ અને વર્ગમાં આડો અને ઊભો વહેંચાયેલો અને વહેરાયેલો ગુજરાતી અને ભારતીય ગ્રામ સમાજ આભડછેટથી માંડીને અનેક પ્રકારના ભેદભાવો, વાદ-વિવાદથી ખદબદે છે. તે અંગેનો કોઈ સંવાદ શક્ય  જ નથી. અભ્યાસો જણાવે છે કે જ્યારે ગામમાં મહિલા કે દલિત સરપંચનું પદ અનામત આવે છે ત્યારે જ લોકોને સમરસ પંચાયત કરવાનું સૂઝે છે. એ રીતે સક્ષમ મહિલાઓ અને દલિતોને  સરપંચ બનતા અટકાવી પોતાના કહ્યાગરા વ્યક્તિઓને આગળ કરાય છે. આખરે આપણું ધ્યેય સમરસ જ નહીં એકરસ એવા સમાન સમાજનું છે. પરંતુ સામાજિક સમાનતા વિનાની રાજકીય સમરસતા અર્થહીન છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

લગ્ન નોંધણીના નવા નિયમો તુક્કાથી વિશેષ કૈં નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 February 2026

રવીન્દ્ર પારેખ

સગીરનાં લગ્નને બાદ કરતાં, લગ્ન નોંધણીમાં માતાપિતાની સંમતિ અનિવાર્ય નથી. આમ પણ સગીરાનાં લગ્ન, માબાપની સંમતિ હોય એટલા માત્રથી કાયદેસર થઈ જતાં નથી. માબાપની સંમતિ હોય તો પણ બાળવિવાહ પ્રતિબંધક કાયદા હેઠળ, લગ્ન ગેરકાયદેસર અને દંડનીય અપરાધ જ છે, એટલે માતાપિતાની સંમતિ સગીરનાં લગ્નને કાનૂની બનાવી શકતી નથી તે હકીકત છે. કાયદાકીય રીતે લગ્ન માટે યુવાનની ઉંમર 21 અને યુવતીની 18 વર્ષ હોવી અનિવાર્ય છે. વચમાં તો યુવતીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય મંત્રી મંડળે, ડિસેમ્બર, 2021માં રજૂ કર્યો હતો. મતલબ કે 18ની યુવતી સરકાર ચૂંટી શકે, પણ પરણી ન શકે એવી સ્થિતિ હતી. જો કે, હવે યુવતીની લગ્ન માટેની કાનૂની ઉંમર 18 હોય તેમ લગ્નો થાય છે.   

ગુજરાતના ગૃહમંત્રીએ થોડા દિવસ પર મોર માર્યો હોય તેમ, એવી જાહેરાત કરી કે લગ્નમાં નોંધણી વખતે એટલે કે મેરેજ સર્ટિફિકેટ માટે વર-વહુએ માતાપિતાનું ડેકલેરેશન આપવાનું રહેશે. ટૂંકમાં, માબાપની સંમતિ અનિવાર્ય ગણાશે. પ્રેમલગ્નની સમસ્યાઓ સંદર્ભે આવો નિયમ એક તબક્કે વાજબી લાગે, પણ તે ઘણા પ્રશ્નો ઊભા કરે છે. લગ્ન નોંધણીના નવા નિયમો પ્રમાણે અરજી માટે બંને પક્ષકાર – વર-વધૂ અને બે સાક્ષીઓની સહીઓ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવી પડશે અને તેની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા અપાયેલા ઓળખના પુરાવા, જેવાં કે, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ઓળખપત્ર … વગેરે આપવાના રહેશે. હવે નવાં નિયમ પ્રમાણે મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરનાર યુગલના માતાપિતાને કામકાજના દસ દિવસમાં આસિસ્ટંટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. આ જાણકારી સરકારે નક્કી કરેલાં માધ્યમો દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે કે રૂબરૂ આપવામાં આવશે. આસિસ્ટંટ રજિસ્ટ્રાર અરજી મળ્યાં બાદ સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે ને નિયમોનું યોગ્ય રીતે પાલન થયું હશે, તો 30 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે. 

આટલું ઓછું હોય તેમ ગુજરાતના ગૃહમંત્રીએ બીજી પણ કેટલીક જાહેરાતો કરી છે, જેમ કે, લવ મેરેજમાં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે. લગ્ન કરનાર યુગલે માતાપિતાની સહમતિના પુરાવા આપવાના રહેશે. ગૃહમંત્રીના કહેવા મુજબ, ભાગીને પરણતી દીકરીની સલામતી માટે લગ્ન વખતે માબાપની સંમતિની ઊઠેલી માંગને લીધે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો પાછળનો છૂપો હેતુ એ છે કે લગ્ન સમાજમાં જ થાય ને સામાજિક માળખું સચવાઈ રહે. એમ પણ લાગે છે કે કેટલીક સામાજિક સંસ્થાઓની માંગને પોષવા, લગ્ન નોંધણી પ્રમાણપત્રમાં માતાપિતાની સંમતિ સરકારે અનિવાર્ય ગણી છે. લવ જેહાદના નામે જે ખેલ ચાલી રહ્યો છે ને ઓળખ છુપાવીને છોકરીઓને ફસાવવામાં આવી રહી છે તે અટકાવવા, માતાપિતાની સંમતિનો નિયમ લાવવામાં આવ્યો છે. એટલું સારું છે કે નવા નિયમો અંગે 30 દિવસમાં આવનારા વાંધા-સૂચનો બાદ, સરકાર માતાપિતાની સંમતિ અંગે ઘટતો નિર્ણય લેશે. જો કોઈ વાંધા મંજૂર ન થાય તો લગ્નમાં માબાપની સંમતિ અનિવાર્ય બનશે ને તે કાનૂની રૂપ પામશે. 

લગ્નમાં માબાપની સંમતિનો કાયદો લાવવાની વાત જૂની નથી ને શક્ય છે કે તેનો કાયદો પણ થઈ જાય. રાજ્ય સરકારે લગ્ન નોંધણીમાં કેટલાક સુધારા સૂચવ્યાં છે ને લગ્ન માટે માબાપની સંમતિની જોગવાઈ ઉમેરી છે. એ કાનૂની રૂપ પામે તો લગ્ન કરવાના અધિકાર પર બ્રેક લાગે એમ બને. એમ કરવાથી મુક્ત રીતે લગ્ન કરવાના બંધારણીય હક પર તરાપ પડે એવું, નહીં? ધારો કે માતાપિતા લગ્ન માટેની સંમતિ નથી આપતાં તો લગ્નની નોંધણી નહીં થાય એમ ખરું? 

એમ લાગે છે કે સરકારે કોઈ વાતે દોરવાઈને આ સુધારો કરવા ધાર્યું છે. અમુક જ્ઞાતિ-કોમની લાગણી છે એટલે, કે અમુક કોમ તેનો લાભ ન ઉઠાવે એટલે, માતાપિતાની સંમતિનો મુદ્દો ઉપસાવાયો છે, પણ આવા નિર્ણયો બાયસ્ડ માઈન્ડથી લેવાતા હોવાનો વહેમ પડે છે. ખાસ કરીને આવી કાનૂની બાબતો પૂરાં ગાંભીર્યથી ને પૂરતાં તાટસ્થ્યથી સરકારે જોવાની રહે, પણ એવું ઓછું જ બને છે. સરકાર પક્ષપાતી હોય એ અપેક્ષિત નથી. મોટે ભાગના વકીલો સરકારના સંમતિના મુદ્દે સહમત નથી ને તેમની પાસે તેનાં કારણો પણ છે. સરકાર વ્યક્તિના બંધારણીય અધિકારની ઉપરવટ જતી હોય એવું પણ લાગે છે. ઘણાનો મત છે કે માબાપની સંમતિના ઉમેરણથી લગ્નની નોધણીમાં કોઈ ફરક પડે એમ નથી. બંધારણમાં ઉંમર લાયક વિજાતીય વ્યક્તિઓને લગ્નનો અધિકાર આપ્યો હોય તો માબાપની સંમતિનો સુધારો નિરર્થક છે. એ સુધારો કરવો હોય તો બંધારણ બદલવું પડે, કારણ બંધારણની કલમ 21 તો કોઈ પણ ઉંમર લાયક વિજાતીય વ્યક્તિઓ ગમે ત્યારે ને ગમે ત્યાં લગ્ન કરવા મુક્ત છે તેવું કહે છે. તેને માબાપની સંમતિને મુદ્દે સંકુચિત કરી શકાય નહીં. એ સાથે જ માબાપને મુદ્દે પણ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. 

માબાપે છૂટાછેડા લીધા હોય ને કોઈ સંમતિ આપવા તૈયાર ન હોય, એ સ્થિતિમાં શું કરવું કે સંતાન અનાથ તરીકે બીજા ઘરોમાં ઊછર્યું હોય ત્યારે માબાપ નક્કી કરવાની પણ મુશ્કેલી રહે. કમ સે કમ કોઈ પણ કાનૂની મુદ્દો બંધારણીય અધિકારની ઉપરવટ જતો હોય તો તેને કાનૂની સ્વરૂપ ન અપાય એ જ ઇચ્છનીય છે. 

કોણ જાણે કેમ પણ જ્ઞાતિ કોમ વચ્ચેનું રાજકારણ કોઈ પરિણામ પર આવતું નથી એ દુ:ખદ છે. એક તબક્કે જાતિ, કોમ વિશેની માન્યતાઓ જુદી જ હતી. કોઈ પણ જાતિ, કોમ સાથે ભેદભાવ વગર રહેવાનું શીખવાતું, પણ હવે એ ભેદ સપાટી પરથી જ વકરતો આવે છે ને એને સરકાર નવા નિયમો વડે વધુ ગાઢ કરે તે કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. લવ જેહાદનું દૂષણ દૂર કરવા કાયદાથી સખત હાથે કામ લેવાને બદલે, કોઈની તરફેણ કરવા સંમતિનો નિયમ લાવવો, કાયદા પર સરકારનો જ ભરોસો નથી એ વાતનો પડઘો પાડે છે. 

આમ તો સંમતિનો મુદ્દો કાનૂની રૂપ ધારણ ન કરે તે ઇચ્છનીય છે, પણ ધારો કે તેવું સ્વરૂપ પકડે છે, તો તેનો ગેરલાભ લેનારાઓ પણ નીકળશે. ગુજરાતમાં સંમતિનો કાયદો થાય તો લગ્નોત્સુકો અન્ય રાજ્યમાં લગ્ન નોંધણી માટે જશે તો તેનો હાથ પકડવા ક્યાં જઈશું? એ સ્થિતિમાં અન્ય રાજ્ય તો કોઈ પગલાં નહીં ભરે, કારણ ત્યાં સંમતિનો કોઈ કાયદો નથી. તો, ગુજરાત પણ ક્યાં પગલાં ભરશે, જ્યાં લગ્ન ગુજરાત બહાર જ થયાં છે? એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે મૂળભૂત અધિકારોની ઉપરવટ જઈને કોઈ કાયદો થઈ ન શકે. આપણે ત્યાં દરેક ધર્મ અનુસાર લગ્ન નોંધણીના નિયમો છે. અલગ અલગ ધર્મની વ્યક્તિઓ લગ્ન કરવા માંગતી હોય, તો તેણે સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓને અનુસરવાનું રહે. એમાં ઓલરેડી 30 દિવસનો નોટિસ પિરિયડ છે જ. એ દરમિયાન વાંધા નોંધાવી જ શકાય. ધારો કે માતાપિતાને લગ્નનો વાંધો છે તો તેઓ પણ 30 દિવસમાં વાંધો ઉઠાવી જ શકે. આ પ્રોવિઝન હોય જ તો માબાપની સંમતિનો મુદ્દો અલગથી ઉપસાવવો જરૂરી નથી. 

એક તરફ હિંદુ આંતરજ્ઞાતીય લગ્નો માબાપની સંમતિથી થાય છે, સરકાર પણ તેને રોકડ પુરસ્કારથી નવાજે છે, ત્યાં માબાપની સંમતિનો કાયદો કરવાની વાત બંધારણની વિરુદ્ધ તો છે જ, વધારે સંકુચિત માનસિકતાનો પડઘો પાડે છે. વારુ, આ સુધારા ગુજરાત પૂરતા જ મર્યાદિત હોય, તો તેથી અન્ય રાજ્યો વચ્ચેની સંવાદિતા પણ ખોરવાશે. એ પછી પણ કોઈક રીતે લગ્નમાં માબાપની સંમતિનો કાયદો થાય જ છે, તો તેને ઉપલી અદાલતોમાં ન જ પડકારાય એવું નથી. 

ટૂંકમાં, વાત તુક્કાથી આગળ જતી નથી-

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ફેબ્રુઆરી 2026

Loading

...10...16171819...304050...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved