Opinion Magazine
Number of visits: 9570819
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [4]

સુમન શાહ|Opinion - Opinion|10 December 2021

મારા FB મિત્રોમાં વિદ્યાર્થીમિત્રો ઘણા છે. એમાં એક-બે મિત્રમંડળી પણ છે. એ લોકો અવારનવાર મને, સર, આ વિશે લખો ને અમારે એ જાણવું જરૂરી છે, એમ કહેતાં હોય છે. છેલ્લા કેટલાક વખતથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વિશેની વિનન્તી ચાલ્યા કરી છે. એ તો ગહન વિષય છે. પણ 'મારી વિદ્યાયાત્રા'માં મારાં લેખનની વાત કરતી વખતે મેં એના જે થોડા નિર્દેશ કર્યા છે તે અહીં મૂકું છું :

'હું લખતો થયો, લખું છું, લખતો રહીશ' પ્રકરણનો એક અંશ અહીં રજૂ કરું છું :

હું સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ભણ્યો છું, ભણાવ્યું ય છે. અધ્યયન-અધ્યાપનના એ અનુભવોથી પણ લેખનને વિશેની મારી દૃષ્ટિ વિકસી છે.

‘નાટ્યશાસ્ત્ર’-માં ભરત મુનિએ આપેલું ‘રસસૂત્ર’ હું કાયમ ભણાવતો. સૂત્ર એમ છે કે – વિભાવ અનુભાવ અને સંચારીભાવના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. મને સમજાયેલું કે હું વાર્તા લખું એમાં મારે આ ભાવોનો સંયોગ કરવો રહે, મારો વાચક એ સંયોગને સમજે, એ પણ પોતાની સર્જકતાથી સંયોગ કરે, તો રસની નિષ્પત્તિ થાય. અને મારી વાર્તા સ-ફળ થઈ કહેવાય. એને રસાનુભવ થાય અને આનન્દ મળે. ટૂંકમાં, મારે ભાવોને એવી રીતે સંયોજવાના જેથી વાચક એમાં જોડાય, પૂરો સક્રિય થાય, અને મારો એ સર્જનવ્યાપાર રસરૂપને વરે.

ભાવોનું એ રીતે રસમાં રૂપાન્તર થાય એ ખરું, મારી અને મારા વાચકની સર્જકતા અનુસાર એ સિદ્ધ પણ થાય, પરન્તુ એ બધું થવાનું તો ભાષાની ભૂમિકાએથી, ઉચિત શબ્દોની અર્થવત્તાથી થવાનું. કેમ કે છેવટે તો કોઈ પણ રચના એક ભાષિક હસ્તી હોય છે. મને એવો સાર પકડાયેલો કે મારી વાર્તામાં સર્વેસર્વા ને કોઈપણ પરિણામ બાબતે નિર્ણાયક બનનારી કોઈ વસ્તુ હશે, તો તે છે ભાષા !

ક્રમે ક્રમે મને પ્રશ્ન એ થયેલો કે લેખન વિશે શીખવા મળે એવા ભાષાવિષયક ઠેકાણાં કયાં – એવાં કે જ્યાંથી મને એવા સંકેતો મળે જેથી હું કંઈ ને કંઈ શીખી શકું. અને મેં સારવેલું કે એ સંકેતો રસ અને ધ્વનિ સમ્પ્રદાયમાંથી મળવાની શક્યતા નહિવત્ છે. એટલા માટે કે એમાં રસાનન્દને લક્ષમાં લેવાય છે કેમ કે સામાન્યત: એ બન્ને સમ્પ્રદાયો અનુભવલક્ષી છે. એટલે પછી એમાંથી મુક્ત થઈને મારી લેખનપરક સૂઝબૂઝ, રીતિ અલંકાર અને વક્રોક્તિ સમ્પ્રદાયો વિશે ઠરી કેમ કે એ ત્રણેય સમ્પ્રદાયો અનુભવને નહીં પણ અનુભવને પ્રગટાવનારી ભાષાને લક્ષમાં લે છે.

સાહિત્યનું માધ્યમ ભાષા છે – મીડિયમ, તેમ ભાષા એનું ઉપાદાન પણ છે – મટિરિયલ. મેં વિચાર્યું કે લેખક તરીકે મારે મારી સર્વ શક્તિઓને એ બે હકીકતો વિશે જોડવાની જરૂર છે. એમ કરવું મારા માટે આવશ્યક છે એટલું જ અનિવાર્ય છે.

Short note about Kalidas in sanskrit language.

Pic Courtesy : Brainly.com

સંસ્કૃત કાવ્યશાસ્ત્રના કેન્દ્રમાં રસ છે પણ રસની પ્રકૃતિ સૂચવનારું તત્ત્વ ધ્વનિ પણ એમાં છે. રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો કાવ્યવિચારની પરમ સીમા દર્શાવે છે એ ખરું, એ પણ ખરું કે બન્ને ખૂબ જ ધ્યાનાર્હ છે. પરન્તુ જુઓ કે – રીતિને કાવ્યનો આત્મા કહેનારા વામન આદિ કાવ્યશાસ્ત્રીઓ – અલંકારને કાવ્યનું સર્વસ્વ ગણનારા ભામહ આદિ આલંકારિકો અને રસસિદ્ધ કાવ્યનું જીવિત – પ્રાણ – તો વક્રોક્તિ છે એમ કહેનારા કુન્તક આદિ કાવ્યાચાર્યો પણ એટલા જ ધ્યાનાર્હ છે. મારી દૃષ્ટિ તો એમ કહે છે કે એ ત્રણ સમ્પ્રદાયોના ઉમેરણથી જ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સુસમ્પન્ન થયું છે.

જુઓ, રસ અનુભવ છે પણ રીતિ એ અનુભવને જન્માવનારો એક અતિ આવશ્યક વ્યાપાર છે. આચાર્ય વામન રીતિને કાવ્યનો આત્મા કહે છે પણ તરત જણાવે છે કે ‘વિશિષ્ટા પદરચના રીતિ’ અને ઉમેરે છે કે ‘વિશેષો ગુણાત્મા’.

રસ અનુભવ છે પણ એ અનુભવને જન્માવનારું એક અતિ મહત્ત્વનું તત્ત્વ તો અલંકાર છે. સાહિત્યકૃતિ કર્ણમંજુલ હોય છે. એ મંજુલતા જન્મે છે, શબ્દાલંકારોથી. સાહિત્યકૃતિ અર્થસમ્પન્ન હોય છે. એ સમ્પન્નતા જન્મે છે અર્થાલંકારોથી.

અને જુઓ, કોઈ પણ અલંકારની પ્રકૃતિ સૂચવનારું તત્ત્વ વક્રોક્તિ છે. જ્યારે માણસ વક્ર અને તેથી સુન્દર લાગે એવું બોલતો હોય છે, ત્યારે રસપ્રદ લાગે છે, વધારામાં એ કવિ પણ ભાસે છે. કાવ્યના સમગ્ર વ્યાપારને કુન્તક વક્ર ગણે છે.

રીતિ અલંકાર અને વક્રોક્તિ ભાષાના ગુણો છે. માધુર્ય વગેરે ગુણોના અનુલક્ષમાં પ્રાસાદિક કે કઠોરતા વગેરે ગુણોના અનુલક્ષમાં નારીકેલપાક આદિ રીતિઓનો વિચાર થયો છે. ભામહે ‘કાવ્યાલંકાર’-માં ૩૯ અલંકાર વર્ણવ્યા છે. દણ્ડિએ ‘કાવ્યાદર્શ’-માં ૩૫ અલંકારોની નિરૂપણા કરી છે. અલંકારવિષયક સંસ્કૃત ગ્રન્થોમાં બધા મળીને ૧૪૦-થી વધુ અલંકાર દર્શાવાયા છે. કુન્તકે ‘વક્રોક્તિજીવિતમ્’-માં વક્રોક્તિના ૬ પ્રમુખ પ્રકાર વર્ણવ્યા છે. શબ્દાલંકારોના મૂળમાં પદ-પૂર્વાર્ધ આદિ વક્રોક્તિઓ છે, તો અર્થાલંકારોના મૂળમાં વાક્યવિન્યાસ વક્રોક્તિ છે. કુન્તક તો પરિચ્છેદ અને સમગ્ર રચનાવિષયક પ્રબન્ધ-વક્રતાની પણ વાત કરે છે.

આ બધા ભાષિક ગુણો ખરેખર તો ભાષિક રૂપો છે – linguistic forms. ઉપર આંકડા આપીને દર્શાવ્યું એમ એ રૂપોની શક્યતાઓ અપાર છે. લેખકની સર્જકતાને ભાષા મૉકળું મૅદાન અર્પે છે. એ મૅદાન જીવન જેટલું વિશાળ છે.

મેં પશ્ચિમનો સાહિત્યવિચાર પણ જાણ્યો છે. ‘ન્યૂ ક્રટિસિઝમ’ ભણાવ્યું છે. એ વિશે લખ્યું છે. એ વિદ્યાવ્યાસંગથી પણ લેખનને વિશેની મારી દૃષ્ટિ વિકસી છે. એક આધુનિકતાવાદી વિચારક તરીકે હું ભરત-કથિત વિભાવાદિને સામગ્રી – કન્ટેન્ટ – અને સંયોગને સર્જનાત્મક રૂપ – ફૉર્મ – ગણું છું, creative form. પણ કહું કે એ એક નથી, અનેક છે, અન્તહીન છે. જો કે એને પણ ધારણ તો કરે છે, મૅટાફર મૅટોનમિ ઇમેજ સિમ્બલ વગેરે ભાષિક રૂપો ! એ બધાં, રીતિ અલંકાર અને વક્રોક્તિનાં ભાઈભાંડું જ છે.

હું સમજવા લાગેલો કે ભાષિક રૂપોને મારે સર્જનાત્મક રૂપો સાથે સંયોજવાં જોઈશે, ને તો જ હું ભાષા અને કલા વચ્ચે મનોરમ્ય સાયુજ્ય રચી શકીશ.

કાવ્યશાસ્ત્રનું અપર નામ અલંકારશાસ્ત્ર છે. અતિશયોક્તિ એક અલંકાર તો છે જ પણ તાત્ત્વિક રીતે જોતાં અલંકારમાત્ર અતિશયોક્તિ છે. એથી પણ આગળ વધીને એમ કહેવાય કે સાહિત્યકલા પોતે પણ અલંકાર જ છે અને એક અર્થમાં અતિ પણ છે.

ઍરિસ્ટોટલે કહેલું એમ સાહિત્ય કશુંક અતિ છે. એમાં સારાં જનોને વધારે સારાં અને નરસાંને વધારે નરસાં બતાવાય છે. જીવનમાં માથાભારે માણસ મળી આવે છે પણ દસ માથાંવાળો – દશાનન – નથી મળતો, સાહિત્યમાં મળે છે. બળિયો મળી આવે છે પણ વીસ ભુજાવાળો નથી મળતો, સાહિત્યમાં મળે છે. હાથી હોય છે પણ ૭ સૂંઢવાળો તો સાહિત્યમાં જ હોય છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પાસેથી મને બીજું પણ ઘણું શીખવા મળ્યું છે. તે કાળે કવિપદવાંછુ માટે પિંગળ અને ‘અમરકોશ’-નું અધ્યયન અનિવાર્ય હતું. જુઓ ને, આપણા નર્મદને પિંગળ શીખવું જરૂરી લાગેલું. જાણીતું છે કે એણે ગોરધન કડિયાને પટાવીને એના પટારામાંથી ‘છન્દરત્નાવલિ’ મેળવી લીધેલું. રામનારાયણ પાઠક-વિરચિત ‘બૃહદ પિંગળ’ મેં બરાબર જોયેલું. કદાચ એટલે જ હું છન્દથી ભાગી ગયો હોઈશ ! કાવ્યપાઠ અને કાવ્યગાનની તાલીમ મેળવવી પણ ત્યારે એક અનિવાર્યતા હતી. સમુચિત પાઠ વખતે દરેક વર્ણનું કદ-માપ સચવાય છે અને ગાન વખતે દરેકનું સ્વ રૂપ, એટલે કે નાદ, ધ્વનિ સચવાય છે.

મને આજે પણ કાવ્યપાઠ કરવો ગમે છે બલકે એથી હું મારી વાર્તાઓનું પણ કલાત્મક પઠન કરતાં શીખ્યો છું. ‘અમરકોશ’ મેં વાંચ્યો નથી પણ જાણ્યું છે કે પર્યાયો અને અર્થચ્છાયાઓની એમાં સદૃષ્ટાન્ત ચર્ચાઓ છે.

આચાર્ય મમ્મટે યશ ધન વગેરે ૬ 'કાવ્યપ્રયોજનો' ગણાવ્યાં છે. મારે નક્કી કરવાનું હતું કે સાહિત્ય લખીને હું કયું પ્રયોજન પાર પાડવા માગું છે. સાહિત્યકાર તરીકેનો યશ તો કોને નથી જોઈતો? પણ લખીને હું પૈસાદાર થવા માગું છું તો આ મલકમાં થવાશે કે કેમ એનો, મને થયું, મારે તોલ બાંધવો જોઈશે. કહી દઉં કે મેં ધનના કે વ્યવહારજ્ઞાનના કે શિવેતરક્ષયના પ્રયોજનથી કદી નથી લખ્યું. આનન્દનું પ્રયોજન રાખ્યું છે ને મારું લેખન કાન્તાની રીતેભાતે મારા વાચકને ઉપદેશ આપે તેનો મને વાંધો નથી હોતો. પણ હું જાતે કાન્તા બનું ને મારી વાર્તામાં ઉપદેશને વણી લઉં એવી ચતુરાઈ મેં કદી કરી નથી.

'કાવ્યહેતુ'-ની વાત કરતાં આ કાવ્યાચાર્યોએ ‘પ્રતિભા’, ‘વ્યુત્પત્તિ’ અને ‘અભ્યાસ’ એમ ત્રણ કાવ્યહેતુ ગણાવ્યા છે. અહીં ‘હેતુ’ એટલે કે કારણસમવાય, કાવ્યસર્જનનાં પરિબળો. પ્રતિભા ઈશ્વરે આપી હોય, તો હોય. પણ ન આપી હોય તો એમાં આપણો કશો વાંક નથી હોતો. રવીન્દ્રનાથ ૭ વર્ષની વયે પયાર છન્દમાં કશુંક રચી શકે, પણ હું કંઈ એવો ‘પ્રોડિજી’ એટલે કે, અજબગજબ, થોડો છું? નથી. મારાથી કે બીજા સાહિત્યકારોથી સમ્પ્રાપ્ત જીવનમાં જે કંઈ લખાય એનો જ મહિમા છે.

પ્રતિભાનો આંધળો મહિમા ગાનારા કોઈ કોઈ કાવ્યશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું છે કે પ્રતિભા વિનાનાએ લખ્યું હશે તો એ ઉપહસનીય થશે. ઉપહસનીય એટલે હસી કાઢવા જેવું. હાસ્યાસ્પદ. આપણે ત્યાં આજકાલ આપણી આસપાસ એ પ્રકારનું હસી લેવાને ઘણી ઘણી તકો છે પણ આપણે નથી હસતા. શાણા થઈને લિટરરી કલ્ચરનો મલાજો પાળીએ છીએ : ચલાવી લેવાનું. બધા સરખા ન હોય. આપણા આ કવિ કેટલા પ્રતિભાશાળી છે, એમને માણો.

મને પ્રતિભાશાળીમાં ગણાઈ ગયેલાનાં લેખનો જરૂર ગમે પણ હું એના બાહ્ય ઠાઠમાઠથી અંજાઈ ન જઉં. કેમ કે પ્રતિભા એની આપ-સરજત નથી હોતી ને તેથી મારાથી એનો બારોબારિયો મહિમા નથી થતો. દાઢી-વાળ વધારવાથી ને સુષ્ઠુ સુષ્ઠુ વાણીનો વિલાસ કરવાથી કોઈ પ્રતિભાશાળી દેખાતો થાય એથી હું સાવધ રહું છું. રવીન્દ્રનાથ રવીન્દ્રનાથમાં કે બૉર્હેસ બૉર્હેસમાં ફર્ક હોય છે.

‘અભ્યાસ’ એટલે રોજે રોજનો મ્હાવરો, રિયાઝ. અંગ્રેજી શબ્દ છે, પ્રૅક્ટિસ. સર્જકે પોતાની વર્કશોપમાં અહર્નિશ પરોવાયેલા રહેવું તે. હરિપ્રસાદ ચૉરસિયા ભલે કશી તાકીદ ન હોય, રોજ સવારે બાંસુરીવાદન કરે તે. વાન ગોઘ ભલે કશું કારણ ન હોય, મન પડે ત્યારે ત્યારે ચીતરવા માંડે તે. પણ આપણા સરેરાશ સાહિત્યકારને એ નથી ફાવતું. એને થાય છે, હથોટી આવી ગઈ છે પછી એવી ખટપટ શું કામ કરવી. એટલે એ તો, બધા લખતા હોય એમાં સીધો જ જોડાઈ જાય છે.

૬૦-૫૫ વર્ષ પર આધુનિકતાએ આપણે ત્યાં પોતાનાં સત બતાવવા માંડેલાં એ અરસામાં આપણા સાહિત્યકારોને એની કેવી તો લ્હૅ લાગેલી ! કવિ કે કવયિત્રી અછાન્દસ જ લખે. નાટ્યકાર નાટક ઍબ્સર્ડનું જ ગોઠવે. વાર્તાકાર વાર્તામાં ઘટનાનો લોપ કરે જ કરે. નિબન્ધકાર નિબન્ધમાં અતીતરાગી કલ્પનોની ભરતી કરે પછી જ ટાઢો પડે. દરેકને બા, બાપુ ને દાદા સાંભરે જ સાંભરે ! દરેકે નાનપણમાં રામાયણ-મહાભારતની કથાઓ સાંભળી જ હોય ! હિહિ કરતો ક્હૅ – મારી ‘પોસ્ટઑફિસ’ સાલી ખુલ્લી રહી ગયેલી ! એને થાય, હાલ ટાઇવાળા જ્ઞાનીઓ જેનાં વખાણ કરતાં થાકતા નથી એ અનુ-આધુનિકતામાં હું ય ઝંપલાવું. અનુ-આધુનિક ગણાઈશ, વટ પડશે !

આજે પણ ચાલુ ગાડીએ ચડી સાહિત્યજંગ જીત્યાની વ્હિસલો વગાડવાની પ્રવૃત્તિ ફાલી છે. એટલા માટે કે કડક ટીકા નામનું લાલ ફાનસ બતાવનારા મોવડી વિવેચકો જૂના વેઇટિન્ગરૂમમાં નિદ્રાધીન છે …

પણ મને 'અભ્યાસ' નામક કાવ્યહેતુમાં રસ પડેલો છે. અભ્યાસ એટલે કલાની નિર્હેતુક સાધના. સાધના વડે સાહિત્યકાર પોતાની કલાને જીવન્ત રાખે છે અને એ રીતે પોતાના જીવનને અર્થવતું કરે છે. મને ક્યારે મનમાં બેસી ગયું, યાદ નથી, કે મારે પણ રોજે રોજ લખવાનો અભ્યાસ કરવો જોઈશે. મારી જીવનશૈલીમાં એની એક રિવાજ રૂપે સ્થાપના થવી જોઈશે. એ દિવસથી આ ઘડી લગી મેં એ રિવાજ પાળ્યો છે. આટલાં વરસે આશ્ચર્ય પણ થાય છે કે રોજ સવારે હું એ કરતો રહ્યો છું તે શી રીતે ચાલ્યું છે …

પણ ‘વ્યુત્પત્તિ’-ને શરૂઆતમાં હું એક સામાન્ય જાણકારી સમજતો’તો. એમ કે સાહિત્યકારને પુષ્પોની, પંખીઓની, ઋતુઓની ખબરો હોવી જોઈએ. પણ પછી વ્યુત્પત્તિ-વિચારને મેં મારી રીતે ઘટાવ્યો છે : વ્યુત્પત્તિ એટલે વિદ્વત્તા – અંગ્રેજી શબ્દ છે, erudition : સર્જકે જાણવું રહે કે દેશ દુનિયા સમાજ કેમ ચાલે છે; પ્રકૃતિ શું છે, મનુષ્યપ્રકૃતિ શું છે, સંસ્કૃતિ શું છે, મનુષ્યપુરુષાર્થ શો છે, માનવનિયતિ શું છે – વગેરે વગેરેનું જ્ઞાનભાન, સૂઝબૂઝ, તે વ્યુત્પત્તિ.

સાહિત્યકાર વ્યક્તિની વ્યુત્પત્તિ તે એના જીવનના તમામ સંદર્ભોને વિશેની જાગૃતિ, સાવધાની, તકેદારી, કહો કે, સમ્પ્રજ્ઞતા. મને સમજાયું હતું કે મારી એ સમ્પ્રજ્ઞતા લોકલને વિશે તેમ જ યુનિવર્સલને વિશે હોવી જોઈશે. હું ગુજરાત અને ભારતને જાણીને બેસી રહું તે નહીં ચાલે.

મારે મને આવડતી ભાષા ઉપરાન્તના અન્ય ભાષાના વિશ્વભરમાંથી ઉપલબ્ધ સાહિત્યને સમજવું જોઈશે. વાંચી-લખીને હું જેમ મારા અંગત સમયનો ધબકાર અનુભવું છું તેમ મારે જાગતિક સમયને – ટાઇમસ્પિરિટને – પણ અનુભવવો જોઈશે.

સમગ્રપણે એમ કહેવાય કે જિવાતા દેશકાળ અંગે કલાકાર જીવને હોય એવી ભારોભારની નિસબત તે વ્યુત્પત્તિ.

આ નિસબત કશા ચૉક્કસ કારણ સાથે જોડાય છે ત્યારે ‘પ્રતિબદ્ધતા’ બની જાય છે. અને ત્યાંથી વાત એક જુદો જ વળાંક પકડે છે…

(December 10, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

‘સર્વાઇવલ ઑફ ધ સિટી’ : મહામારીના અનુભવ પછીનું શહેરીજીવન અંગેનું પુસ્તક!

કિરણ કાપુરે|Opinion - Opinion|9 December 2021

હાવર્ડ યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક્સ’ના એડવર્ડ ગ્લેસર અને ડેવિડ કટલરે ‘સર્વાઇવલ ઑફ ધ સિટી’ નામક પુસ્તક લખ્યું છે. પોસ્ટ-પેન્ડેમિક પછી આ બંને લેખકોએ અનેક બાબતો નોંધી છે જે શહેરોનાં ભવિષ્ય માટે અગત્યની છે. શહેરો પર તોળાતી ભવિષ્યની મહામારીનું જોખમ અટકાવવું હશે તો પૂરા વિશ્વનાં સ્વસ્થતાના માપદંડ એક રાખવા પડશે – એમ આ બંને લેખકોનું માનવું છે. સૌને સ્વસ્થતા પ્રદાન થવી જોઈએ. આ ઉપરાંત જવાબદાર – યોગ્ય સરકાર સાથે તેઓ જાગ્રત નાગરિકોની સહભાગિતાની પણ જરૂર જૂએ છે અને જાગ્રત નાગરિકોને પણ કેટલીક જવાબદારી સાથે સત્તા આપવાનું સૂચન કરે છે. સૌથી અગત્યનું કે નવેસરથી શીખવા માટેની તૈયારી રાખવાનું પણ તેઓ સૌને જણાવે છે.

આ પુસ્તક સંદર્ભે હાલમાં ‘હાવર્ડ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ’માં માસ્ટર ઇન પબ્લિક પોલિસીમાં અભ્યાસ કરતાં આરન પટેલે પુસ્તકના લેખક એડવર્ડ ગ્લેસરની મુલાકાત લીધી છે. આ મુલાકાત ‘સ્ક્રોલ.કોમ’ પર મુકાઈ છે. મુલાકાતમાં આરન પટેલ ‘સર્વાઇવલ ઑફ ધ સિટી’ પુસ્તક વિશે ગ્લેસરને પૂછે છે કે, શહેરોની ગીચતા જ ચેપી રોગને આમંત્રે છે અને તે શહેરોનું સર્વવ્યાપી લક્ષણ છે; તો ભૂતકાળમાં શહેરોએ ગીચતાના દાવાનળથી બચવા શું કર્યું છે અને ભવિષ્યમાં શું કરવું જોઈએ? આ પ્રશ્નના સંદર્ભમાં એડવર્ડ ગ્લેસર કહે છે : “પુસ્તકમાં આ વિશે મેં ઓગણીસમી સદીનો આધાર લીધો છે. અઢારમી સદી સુધીમાં સરકાર લોકોને મૃત્યુનાં બારણે લાવીને મૂકવા અર્થે અગત્યનો ભાગ ભજવતી હતી. આ ગાળા દરમિયાન જ વિશ્વના કેટલાક ભાગોમાં લોકોનો જીવ સુરક્ષિત થવો જોઈએ તેવાં પ્રયાસો થયા. આ સુરક્ષિતતા માટે અગત્યનું રોકાણ પીવાલાયક પાણી, નહેરો અને ગટરનિર્માણ ક્ષેત્રે થયું. આ રોકાણ સરળ કે સસ્તુ નહોતું. આ માટે ઘણી જગ્યાએ સરકાર પર લોકોનું દબાણ થયું અને તે રીતે શહેરોનું ચિત્ર બદલાયું. જેમ કે, અમેરિકાના ડો. સ્ટિફન સ્મિથ, જેઓએ ન્યૂયોર્ક શહેરમાં ગરીબ લત્તાઓને સ્વચ્છ કરવા માટે સરકાર પર દબાણ કર્યું. તેમણે જ ન્યૂયોર્ક શહેરમાં મેટ્રોપોલિટીન બોર્ડ ઓફ હેલ્થ બનાવડાવ્યું અને તેની અધ્યક્ષતા કરી, જેથી શહેરી લોકોનું સરેરાશ સ્વાસ્થ સુધરે.”

એડવર્ડ ગ્લેસર જે શહેરી વ્યવસ્થા ઊભી થઈ છે તેને લઈને પાણી વિશેની વાત ટાંકે છે. તેઓ કહે છે કે, “મેં સ્વચ્છ પાણીને લઈને ઝામ્બિયામાં કામ કર્યું છે અને ત્યાં પાણી માટે ગરીબ વર્ગ પાસે નાણાં માંગવામાં આવતાં. આ સમસ્યા સર્વવ્યાપી છે. સમૃદ્ધ એજન્સી જેની પાસે પાણી છે તે ગરીબ-વંચિત વર્ગ પાસે નાણાં માંગે છે. આ સ્થિતિ નિર્માય છે ત્યારે જે વર્ગને પૈસા આપીને સગવડ પોસાતી નથી ત્યારે તે ઉપલબ્ધ ગુણવત્તા વિનાનાં વિકલ્પને અપનાવે છે.” એડવર્ડ ન્યૂયોર્ક શહેરની ઘટના ટાંકીને જણાવે છે કે, “ન્યૂયોર્કમાં ગરીબ વર્ગ પાસે પાણીના પૈસા માંગવામાં આવ્યા ત્યારે તેઓએ પીવા માટે નજીકના કૂવા અને ટાંકીનો ઉપયોગ કર્યો અને એ રીતે કોલેરોનો ભોગ બનતાં રહ્યા. આ માટે એડવર્ડ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરે છે. એ રીતે ભારતનો દાખલો આપીને એડવર્ડ જણાવે છે કે, “બ્રિટિશ કાળ દરમિયાન અસમાનતાનો અંધારપટ હિંદુસ્તાનમાં પણ હતો. જેમ તે વખતે કોલેરાથી ન્યૂયોર્ક, લંડન અને પેરીસમાં લાખો લોકોના જાન કોલેરાએ લીધા તે જ કોલેરા ગંગાના પટ પર પ્રસર્યો અને પછીથી હિંદુસ્તાન ભરમાં લાખો લોકો તેનાથી માર્યા ગયા. ઓગણીસમી સદીના અંત સુધીમાં એ રીતે હિંદુસ્તાનમાં પ્લેગ આવ્યો અને લાખો લોકો તેના ભોગ બન્યા. 1918-19માં બ્રિટિશ સામ્રાજ્ય અર્થે જે હિંદુસ્તાની સૈનિકો ફ્રાન્સમાં લડતા હતા અને તેઓ જ્યારે દેશમાં પાછા ફર્યા ત્યારે ઇન્ફ્લૂએન્ઝા લઈને આવ્યા. ત્યારે પણ લાખો લોકો મર્યા. મહામારી દરમિયાન ભારતમાં મૃત્યુ આંક સૌથી વધુ જોવા મળે છે. આનું અગત્યનું કારણ કે ભારતમાં સ્વચ્છતા અર્થે જે માળખાગત સુવિધા નિર્માણ પામવી જોઈએ તે ન થઈ. અંગ્રેજો જે વિસ્તારમાં રહ્યા ત્યાં તેની વ્યવસ્થા થઈ, પરંતુ જ્યાં તેઓ ન રહ્યાં ત્યાં લોકોને સગવડ મળી રહે તેને લઈને માળખાગત સુવિધામાં રોકાણ ન થયું.”

એડવર્ડ તે પછી ભારતમાં અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે તે વિશે પોતાનો મત જણાવે છે. તેઓ કહે છે કે, “ભારતમાં અત્યારે જે માસ અર્બનાઇઝેશન થઈ રહ્યું છે તે ભવિષ્યમાં વધુ બહેતર બનાવવાની સંભાવના છે. અને તે વિશે સૌથી પહેલું પગથિયું બ્રિટિશ ટાઉન પ્લાનિંગના અયોગ્ય કાયદાઓને રદ્દબાતલ કરવાનું છે. આમ કરવાનું કારણ એ જ કે જે બાબત લંડન માટે યોગ્ય હોય તે મુંબઈ શહેરને નયે લાગુ પડે. બીજી અગત્યની બાબત એ છે કે શહેરનું આયોજન એ રીતે થવું જોઈએ જેથી ઓફિસ અને રહેણાંક વિસ્તાર એકમેકથી જોડાયેલા હોય. લાખો લોકો માટે શહેર રહેવાલાયક બનાવવું હશે તો તે એ રીતે નિર્માણ થવું જોઈએ કે લોકો ડ્રાઈવ કરે તે કરતાં ચાલતાં જ પોતાના કાર્યસ્થળે પહોંચે. મહામારી દરમિયાન ચાલવા કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સફર વધુ જોખમી બની હતી.

શહેરીવ્યવસ્થા વિશે એડવર્ડ એક પ્રશ્નમાં વધુ ઊંડાણમાં સમજાવતાં કહે છે કે, “ભારત જેવા વિકાસશીલ દેશોમાં જ્યારે હાઉસિંગ વિશે વિચારવાનું આવે ત્યારે તેમાં પશ્ચિમના સમૃદ્ધ દેશોની ટેકનોલોજી સાથે ગરીબ દેશોના ટેક્નોલોજીનો પણ ઉપયોગ થવો જોઈએ. હાઉસિંગમાં આ રીતે સમૃદ્ધ-ગરીબ દેશોની ટેક્નોલોજીનો ઉપયોગ એક સાથે થઈ શકે. પરંતુ જો ગટર કે પાણીની વ્યવસ્થા ગોઠવવી હોય તો તેમાં અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તે સગવડ સૌને કેવી રીતે મળે તેનું પ્રાધાન્ય હોવું જોઈએ. એ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ જો બસનો વિકલ્પ હોય તો પછી મોંઘી ટ્રેઇન નિર્માણ ન કરવી. બસ રેપિડ ટ્રાન્સિસ્ટ સિસ્ટમ સસ્તી છે, ફ્લેક્સિબલ છે, જ્યારે તેના પ્રમાણમાં રેલ ખૂબ મોંઘી ટ્રાન્સપોર્ટેશન છે. એ રીતે જે ચાલીછાપરાંના વિસ્તાર કેવી રીતે વધુ સ્વસ્થ, વધુ કાર્યક્ષમ અને પગપાળા ચાલનારાંઓ વધુ સગડવદાયક બને તે જોવાનું છે.

શહેરના પર્યાવરણને લઈને પણ એડવર્ડ કેટલાક ઉપાયો આપ્યા છે. ભારતમાં આ મુદ્દો ખૂબ પ્રસ્તુત છે. દિલ્હીની સ્થિતિ આજે આપણે જોઈએ છીએ, જ્યાં પ્રદૂષણના કારણે અંશત લોકડાઉન કરવાની સ્થિતિ આવી છે. આ માટે પણ તેઓ પૂરતા ગ્રીન સ્પેસની હિમાયત કરે છે. એડવર્ડના નિરીક્ષણ મુજબ ભારતના શહેરોમાં ગ્રીન સ્પેસની ખૂબ કમી છે. તે કહે છે કે ભારતમાં પાર્ક કે ગ્રીન સ્પેસમાં રહેવા માટે લોકો વધુ નાણાં ચૂકવે છે. પરંતુ શહેરોમાં એ હંમેશાં કાળજી રાખવાની હોય છે કે આવી ઓપન સ્પેસ ઉકરડો ન બની જાય. એડવર્ડ એ માટે પોતાનો જ દાખલો ટાંકે છે. તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેઓ ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્કની નજીક રહેતા હતા. 1972 સુધી સેન્ટ્રલ પાર્ક જવું તે તેમના માટે આકર્ષણ હતું પણ 1980 આવતાં સુધીમાં તો તે એક જોખમી જગ્યા બની ગઈ.

આ ઉપરાંત પણ એડવર્ડ અને ડેવિડ કટલરે પુસ્તકમાં શહેરીજીવન સુધારવા માટે અનેક ઉપયોગી સૂચનો કર્યા છે. તેમાં સૌથી અગત્યનું છે તે હેલ્થ સિસ્ટમ. કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનના સિલિન્ડર માટે જે રીતે લોકોએ રઝળપાટ કરવી પડી તે ચિત્ર આંખ સામેથી હટતું નથી. સરકારે આ બાબતે યોગ્ય સમયે પગલાં લીધાં હોત તો તે રઝળપાટ ન થઈ હોત અને લોકોના જીવ બચાવી શકાત.

e.mail : kirankapure@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == [3]

સુમન શાહ|Opinion - Opinion|9 December 2021

ચાલો અમેરિકા … કેટલાક બનાવો (3)

રાઇટર-ઇન-રેસિડેન્સ એટલે યુનિવર્સિટીમાં નિવાસીલેખક. જાણકાર વ્યક્તિને યુનિવર્સિટી પોતાને ત્યાં બોલાવે અને તેનો વિદ્યાકીય લાભ અંકે કરે તે. બોલાવતાં પહેલાં યુનિવર્સિટીએ જેમ મારી પાસે મારો ‘કરિક્યુલમ વીટે’ મંગાવેલો તેમ બીજા પાંચ-છ ગુજરાતી સાહિત્યકારો પાસે ય મંગાવેલો. એમાંથી મારી પસંદગી થઈ એથી મને અનહદ આનન્દ થયેલો.

ભારતમાં સાહિત્યકાર વ્યક્તિનું ગૌરવ કરવાનો જાણીતો તરીકો એ છે કે એને ઇનામ-અકરામ આપવાં, ચન્દ્રકો આપવા, ઍવૉર્ડ્ઝ આપવા. પરન્તુ દેશના દરેક ક્ષેત્રમાં છે એમ એ બધી નવાજેશોમાં પણ નાનુંમોટું રાજકારણ જરૂર છે.

એટલે મને નિવાસીલેખક રૂપે અને એવા સાવ ચોખ્ખા સન્માનથી સારું લાગ્યું હતું. વિદેશી યુનિવર્સિટી વડે થયેલી મારી એ પસંદગી, માત્ર ગુણવત્તાને ધોરણે હતી એટલે હું એને ખાસ્સું મૂલ્ય આપી શકેલો. મને કે મારા નામને જોયા વિના, માત્ર મારાં પેપર્સ જોઇને, એટલે કે માત્ર મારા કામને જોઇને થયેલી એ પસંદગી સાચે જ ચોખ્ખી વસ્તુ હતી.

મને કોઈ કોઈએ પૂછેલું – તમારે ત્યાં જઈને શું કરવાનું? આમ તો કંઈ નહીં ! સમજો, વરસોથી કરતા આવ્યા છીએ એ ! સાહિત્યકલા વિશે વ્યાખ્યાનો વાર્તાલાપો ગોષ્ઠીઓ ને ચર્ચાઓ. પણ એ બધું મારે ગુજરાતી તેમ જ ભારતીય સાહિત્યો અંગે કરવાનું હતું. ખાસ તો એ બધું મારે અમેરિકન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય શ્રોતાજનો સમક્ષ કરવાનું હતું. એટલે કે, એવી વ્યક્તિઓ આગળ કે જેમને ભારતીય સાહિત્ય વિશે ઠીકઠીક ખબર હતી અને ગુજરાતી સાહિત્ય વિશે સાવ જ નજીવી ખબર હતી.

મારી કારકિર્દીમાં બે બાબત ખાસ મારા ધ્યાનમાં આવી છે :

એક તો એ કે લગભગ હમેશાં મેં એવા ઑડિયન્સને સમ્બોધ્યું છે જેને તે-તે વ્યાખ્યાનવસ્તુની આછીપાતળી જ જાણ હોય. ઘણીવાર તો એમણે વિષયનું માત્રનામ સાંભળ્યું હોય.

બીજું, મારી ૫૬થી વધુ વર્ષની કારકિર્દીમાં મને અનેક વાર અઘરા વિષયો સોંપાયા છે. દરેક વાર મેં શિંગડાંભીડ વેઠી છે – ડાયલેમા. વાતને સરળતાથી રજૂ કરવાનું વિચારું તો જમણી બાજુનું શિંગડું વાગે – કહે કે, વિષયને અન્યાય કરી બેસીશ. અને જરાક પણ અઘરું કહેવાની લાલચ થાય તો ડાબી બાજુનું શિંગડું વાગે – કહે કે, સભા બોર થઇ જશે. એટલે મારે જમણું કે ડાબું એકેય શિંગડું ન વાગે એવા વચલા રસ્તા લેવા પડે છે.

ફિલાડેલ્ફીઆને કદાચ લાડમાં ‘ફિલા’ કહે છે અને યુનિવર્સિટી ઑફ પેન્ન્સીલ્વેનિયાને ‘પૅન્ન’ કહે છે. અનેક અમેરિકન યુનિવર્સિટીઓમાં ‘ડિપાર્ટમૅન્ટ ઑફ સાઉથ એશિયા સ્ટડીઝ’ હોય છે. એને ટૂંકમાં ‘ઍસેઍસ’ કહે છે. પૅન્નમાં પણ એ છે. હું એ ડિપાર્ટમૅન્ટમાં જ ગયેલો. એમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા સહિતના લગભગ બધા દક્ષિણ એશિયાઇ દેશોનાં ભાષા-સાહિત્યો અને સંસ્કૃતિ-સભ્યતાઓનાં અધ્યયન અને અધ્યાપન થતાં હોય છે. અમેરિકામાં વસતા ઘણા ગુજરાતી / ભારતીયો આ વાતથી ભાગ્યે જ વાકેફ હોય છે.

સામાન્ય સમજ એવી છે કે યુરપ-અમેરિકા વિજ્ઞાન-ટૅક્નોલૉજી ભણવા માટે છે. એમ પણ માન્યતા છે કે અમેરિકા તો ઇજનેરો ને દાક્તરો માટે જ છે. પણ આ સમજ અધૂરી છે. અનેક અમેરિકન યુનિવર્સિટીઓ ભાષા-સાહિત્યનું શિક્ષણ આપે છે. એમને ત્યાં ઍસેઍસ હોય છે. એમને ત્યાં તુલનાત્મક સાહિત્ય-અધ્યયન માટેનાં ‘ડિપાર્ટમૅન્ટ ઑફ કમ્પેરેટિવ સ્ટડીઝ’ પણ હોય છે. ટૂંકમાં, લગભગ બધી જ માનવવિદ્યાઓ અમેરિકન યુનિવર્સિટીઓમાં શીખવાય છે, સુન્દર રીતે શીખવાય છે.

પરન્તુ ભારતવાસીને પરદેશ જવાનું થાય એટલે જાણે સાત કોઠાનું યુદ્ધ લડવાનું થાય :

પાસપોર્ટ ન હોય તો કઢાવવાનો; અવધિ પૂરી થઇ ગઇ હોય તો રીન્યૂ કરાવવાનો.

સ્પૉન્સર-લેટર સહિતનાં વિઝાપેપર્સ તૈયાર કરવાનાં, એ પણ મોટું કામ.

પછી વિઝાને માટેના ઇન્ટર્વ્યૂની નિર્ણાયક તાવણીમાંથી પસાર થવાનું – વિઝા મળે ખરા, ન પણ મળે.

ઍરટિકિટો ખરીદો, પોતાને અનુકૂળ તારીખોની ખરીદો. એ વરસોમાં તો એ ટિકિટોને રી-કન્ફર્મ્ડ કરાવવી પડતી.

ત્યારબાદ, ભેટસોગાદો અને કપડાં ખરીદવાનાં. બૅગ ભરવાની પણ સામાનને વત્તોઓછો કરીને વજનની સ્ટાન્ડર્ડ લિમિટ મુજબનો કરવાનો.

બૅગેજીસમાં કે હાથ પરની ઍટેચીમાં ભરાય એથી પણ વધારે ભરવાના કામને પણ હું તકલીફવાળું કામ જ ગણું છું.

આપણે ગુજરાતીઓ એકબીજાને બરાબર ઓળખીએ છીએ એટલે કહું કે ઠાંસી ઠાંસીને ભરવું એટલે શું તે તો કોઇ આપણી પાસેથી જ શીખે !

સીધોસાદો ભલોભોળો ગુજરાતી અમેરિકા જાય ત્યારે તે વખતના નિયમ પ્રમાણે ૩૨-૩૨ કિલોગ્રામની બે બૅગેજીસ અને યુરપ જાય ત્યારે ૨૦ કિલોગ્રામની એક એવી ભરે કે ઍરપોર્ટવાળાનો કાંટો દરેકમાં ૪-૫ કિલો તો વધારે જ બતાવે.

Pic Courtesy : alamy

એટલે, બધું એકદમનું માપનું કરવા બૅગેજીસના પટારા ખોલીને કુટુમ્બ આખું ભૉંયે બેસીને ઘાંઘાની જેમ વસ્તુઓની કાઢ-ઘાલમાં જે મંડ્યું હોય, બીજા પૅસેન્જરો અવાક જોતા રહી જાય.

મારી ઍકમ્પનિન્ગ પાર્ટનર તરીકે પત્ની રશ્મીતાને આવકારતાં અમેરિકન યુનિવર્સિટીને કશો વાંધો પડેલો નહીં, પણ અમદાવાદની VFS ઑફિસની ગુજરાતી બહેને ટૅક્નિકલ પ્રશ્ન કરેલો. કહે કે – રશ્મીતા તમારાં પત્ની છે એ વાતનું પ્રુફ શું? છે કાંઇ?

મને ૬૩ની વયે પ્હૉંચેલાને એ સાંભળીને અચરજ ન્હૉતું થયું કેમ કે હું જાણતો હતો કે એ બેન એમના નિયમની વાત કરી રહી છે. પણ એને બોલતાં ન્હૉતું આવડ્યું.

ઘડીભર મને સૂઝ્યું નહીં કે શું કહેવું. જરા વાર પછી મેં પૂછ્યું – પ્રૂફમાં શું જોઇએ તમારે? તો કહે – મૅરેજસર્ટિ લાવો, મૅરેજના ફોટા પણ ચાલશે. એટલે પછી અમે દાદા-દાદીની કોટિએ પ્હૉંચેલાં પતિ-પત્નીએ ઘરમાંથી મૅરેજ-સર્ટિફિકેટ અને ફોટા શોધી કાઢ્યાં ને બીજે દિવસે રજૂ કર્યાં.

૩૭ વર્ષ પહેલાંનાં એ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા જોતાં અમને નવેસર સમજાયું કે અમે કાયદેસરનાં પતિ-પત્ની જ છીએ અને એકમેકને કમ્પની આપવાની અમારી લાયકાત પણ કાયદેસરની જ છે.

એ ઑફિસરબેનને મનોમન તો થયું જ હશે કે આ જોડું સાચું જોડું જ છે. પણ નિયમ એટલે નિયમ : તમારી પત્ની ન હોય એવી અન્ય કોઇ મનગમતી સ્ત્રીને તમે અમેરિકા લઇ જાઓ તો …?…

= = =

(December 9, 2021 : Amedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6721,6731,6741,675...1,6801,6901,700...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved