Opinion Magazine
Number of visits: 9570620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—123

દીપક મહેતા|Opinion - Opinion|11 December 2021

જ્યારે આપણા દેશમાં નહોતી બનતી પેન્સિલ કે પેન!

પોતાની ભૂલ પોતે જ સુધારવાનું શીખવતું ઈરેઝર

ઘણા વિદ્યાર્થીને નડતો ગણિત નામનો ત્રણ માથાંવાળો રાક્ષસ!

માનશો? આ લખનાર ૧૯૪૭થી ૧૯૫૭ સુધી મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલમાં ભણતો હતો, ત્યારે ફક્ત ઈમ્પોર્ટેડ પેન્સિલ જ વાપરતો. ના, ના. એ કોઈ શ્રીમંત કુટુંબનો નબીરો નહોતો. અને છતાં પરદેશી પેન્સિલ જ વાપરવી પડતી, કારણ એ વખતે આપણા દેશમાં એક અમથી પેન્સિલ જેવી પેન્સિલ પણ બનતી નહોતી! ફેબર એન્ડ ફેબર કંપનીની ૧૨ પેન્સિલનું બોક્સ ત્રણ રૂપિયામાં ખરીદાતું જે આખું વરસ ચાલતું. આજની પેન્સિલો જેવી એ છેલબટાઉ નહિ. બ્રિટિશ અતડાપણું ત્યાંની પેન્સિલમાં પણ દેખાય. ત્રણ-ચાર કલરની આવે, પણ એક બોક્સમાં બધી પેન્સિલ એક જ કલરની હોય. મિક્સ એન્ડ મેચ નહિ. કદાચ બ્રિટિશ શિસ્તને કારણે, કદાચ વેચાણ વધારવાનો નુસખો. બે રંગની પેન્સિલ જોઈતી હોય તો બે બોક્સ ખરીદવાં પડે. ડ્રોઈંગ માટેની રંગીન પેન્સિલો પણ આ જ કંપનીની. બાર કે ચોવીસનું બોક્સ. દરેક જુદા રંગની. હવે પેન્સિલ આવે એટલે એના પાળેલા ગલુડિયા જેવું રબર કહેતાં ઇરેઝર પણ સાથે હોય જ. એમાં જુદા જુદા રંગ, ઘાટ, પણ કામ એક જ: પોતાની ભૂલ પોતે જ સુધારવાનું શીખવવું! તો વળી કેટલીક પેન્સિલમાં એવી સગવડ કે એક છેડેથી લખો, બીજે છેડેથી ભૂંસો. કારણ પેન્સિલને બીજે છેડે હોય નાનકડું રબર.

પરદેશી પેન્સિલ

પેન્સિલને છરી કે ચપ્પુથી છોલવાના કામમાં કેટલાક જબરા ઉસ્તાદ. છોલેલો છેડો એટલો સુંવાળો હોય કે આંગળી લસરી પડે. અને પેન્સિલની અણી તો એવી કાઢે કે આંગળીમાં ભોંકાય તો લોહીનો ટશિયો ફૂટે! પણ મારા જેવા ઢ માટે તો પેન્સિલ છોલવાનો સંચો જ માઈબાપ! એક હાથમાં સંચો, બીજામાં પેન્સિલ. પેન્સિલનો છેડો સંચામાં ખોસીને પેન્સિલને ગોળ ગોળ ફેરવો એટલે અણી નીકળી જાય. પણ ધ્યાન તો રાખવું પડે. જરા વધારે ઘુમાવો પેન્સિલ, તો બટ્ કરતીક ને બટકી જાય અણી. રોજ બે-ચાર પેન્સિલ, રબર, સંચો, નાની છ ઇંચની ફૂટપટ્ટી, એટલું તો લઈ જવું પડે સ્કૂલમાં. એટલે આવે પેન્સિલ બોક્સ. સમ્રાટ પ્લાસ્ટિકનું સામ્રાજ્ય હજી સ્થપાયું નહોતું. એટલે પેન્સિલ બોક્સ પતરાનાં. સોનેરી, રૂપેરી, લાલ વગેરે રંગનાં. એક વાર બોક્સમાં મૂક્યાં, કે પેન્સિલ, એને ભૂંસનાર રબર, ધાર કાઢનાર સંચો, માપનાર રૂલર, બધાં ડાહ્યાંડમરાં થઈને સાથે રહે. પણ જેવાં બહાર કાઢો કે એકબીજાં સામે ઘુરકિયાં કરવા માંડે. બરાબર આજના રાજકારાણીઓની જેમ!

એ વખતે સ્કૂલમાં આજની જેમ દસ નહિ, પણ અગિયાર ધોરણ. પછી મેટ્રિકની પરીક્ષા, આજની એસ.એસ.સી. ‘પહેલી ટ્રાયલે’ મેટ્રિકમાં પાસ થવું એ મોટી સિદ્ધિ ગણાય! આજની જેમ ૯૯.૯૫ ટકા માર્ક ન આવતા. પચાસ ટકા પરિણામ આવે તો તો શિક્ષણ જગતમાં ધરતીકંપ થતો : ‘આટલી બધી ઢીલ મૂકાશે તો તો શિક્ષણનું ધોરણ ખાડે જશે!’ જો ભૂલે જોગે ફર્સ્ટ ક્લાસ આવ્યો તો તો વિદ્યાર્થી જ નહિ, એનું કુટુંબ, સગાંવહાલાં, અડોશીપડોશી સાતમા આસમાને ઊડવા લાગે. બાકી પાંચમી ટ્રાયલે પણ પાસ ન થઈ શકે એવાં વિરલા-વિરલી પણ હતાં એ જમાનામાં. મોટા ભાગનાને નડે ગણિત નામનો ત્રણ માથાંવાળો રાક્ષસ! એલ્જિબ્રા, જોમેટ્રી, અને એરિથમેટિક એ ત્રણ તેનાં માથાં. ૧૯૫૭ની પરીક્ષાથી બોર્ડને સદ્બુદ્ધિ સૂઝી, અને આ ત્રણે વિષય ફરજિયાતમાંથી મરજિયાત બનાવ્યા! નહિતર આ લખનાર નોન-મેટ્રિક જ રહ્યો હોત. શરત એટલી કે ગણિત વગર સાયન્સ કોલેજમાં એડમિશન ન મળે. એ વખતે આજના જેવી કોમર્સ કોલેજોની બોલબાલા નહિ. મુંબઈ શહેરમાં એક આંગળીને વેઢે ગણી શકાય એટલી કોમર્સ કોલેજ : સિડનહામ, પોદ્દાર, સિદ્ધાર્થ, બીજી એક-બે. ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં બી.કોમ.ની ડિગ્રી પહેલી વાર અપાઈ છેક ૧૯૧૭માં, અને એમ.કોમ.ની એ પછી દસ વરસે, ૧૯૨૭માં. એ વખતે ભણતર માટે એક જોડકણું ખાસ્સુ પ્રચલિત હતું :

મેટ્રિકમાં માંદા પડ્યા, બી.એ.માં બેહાલ,
એમ.એ. મરણપથારીએ, એ વિદ્યાના હાલ.

હવે, તમે હાઈસ્કૂલમાં આવો એટલે તમને મળે પેન વાપરવાનો અધિકાર. અને એ પેન પણ પાછી પરદેશી. કારણ આપણા દેશમાં પેન જેવી પેન પણ બનતી નહિ, તેમાં વાપરવાની શાહી સુધ્ધાં બનતી નહિ! છેક ૧૯૬૧માં ભારત સરકારે આમંત્રણ આપીને એક ખાસમખાસ જાણકારને અમેરિકાથી બોલાવ્યા. તેઓ હતા ફાઉન્ટન પેન બનાવવામાં નિષ્ણાત! ૧૯૫૮થી સરકારે પેનની આયાત પર પૂરેપૂરો પ્રતિબંધ મૂકી દીધો અને એટલે દેશમાં પેન બનવા તો લાગી. પણ એ માલ એવો હલકો, રદ્દી કે વાપરનારા રાતી શાહીએ રડે! એટલે પેનની ગુણવત્તા કેમ સુધારવી એ અંગે એ નિષ્ણાતે સલાહ આપવાની હતી. પછી ધીમે ધીમે પેનની ગુણવત્તા તો સુધરી, પણ વર્ષો સુધી તેમાં વપરાતી નિબ કહેતાં ટાંક તો પરદેશથી જ આયાત થતી રહી.

કલમ, ખડિયો અને બ્લોટિંગ પેપર

હવે જેમ પેન્સિલની પાછળ પાછળ રબર-સંચો-બોક્સ આવે જ, એમ પેનને પણ કેટલાક ગોઠિયા વગર ન ચાલે. તેમાં સૌથી પહેલી તો શાહીની બાટલી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે જે કહ્યું છે કે चातुर्वर्ण्यं मया सृष्टं એ હકીકતમાં શાહી માટે કહ્યું હતું એમ અમારું માનવું છે. મારા-તમારા જેવા કાળી કે ભૂરી શાહી વાપરે. શિક્ષકો-અધ્યાપકો વગેરે લાલ. બધાથી જૂદા પડવાનો આગ્રહ રાખનારા થોડા વાપરે લીલી શાહી. એમ શાહીના કુલ ચાર વર્ણ કહેતાં કલર. આ શાહી આવતી પરદેશથી.

પરદેશી શાહી

પેનમાં શાહી ભરવાની ત્રણ મુખ્ય રીત. પહેલી સાવ સીધી ને સાદી. ઉપરથી પેનનું મોઢું ખોલવાનું અને શાહી રેડવાની. હા, પણ એ માટે ‘ડ્રોપર’ જરૂરી. એકદમ પાતળા કાચની આવે એટલે સંભાળીને વાપરવી પડે. ખુલ્લો છેડો શાહીના ખડિયામાં બોળીને ઉપલા છેડા પરની રબરની કાળી ટોપી બે આંગળીથી દબાવવાની, અને પછી ધીમે ધીમે છોડી દેવાની. થોડી શાહી ડ્રોપરમાં આવે તે પેનના ખુલ્લા મોઢામાં મૂકી, રબરની ટોપી ફરી દબાવીને ભરવાની. આવું પાંચ-સાત વાર કરો એટલે પેન તૃપ્તિનો ઓડકાર ખાય. તમે પૂરતું ધ્યાન ન રાખો તો આંગળાં શાહીથી ખરડાઈ જાય. બીજી રીત પેનના પાછલા છેડા પરનો પંપ વાપરીને શાહી ભરવાની. શેફર્સ નામની કંપનીની પેનમાં આગવી રીત. પેનની લગભગ વચમાં ધાતુની નાનકડી પટ્ટી ચમકતી હોય. તેને ઉપર-નીચે કરો એટલે શાહી પેનમાં ભરાતી જાય. હવે, કોઈ પણ પ્રવાહીની જેમ શાહીને પણ રેલાવું-પ્રસરવું બહુ ગમે. એટલે સહેજ પણ તક મળે કે ઢળી પડે, આંગળાં પર, કાગળ પર, કપડાં પર. એનો સામનો કરવા જોઈએ આછા ગુલાબી રંગનો બ્લોટિંગ પેપર. એ રાખવા માટે પાછા જાતજાતના ‘હોલ્ડર’ આવે. તો વળી કેટલાક તો અડધા ટેબલ પર બ્લોટિંગ પેપર છવાઈ જાય એવું પૂંઠાનું સાધન વાપરે!

પહેલાં તો પેનની જેમ શાહી પણ પરદેશથી જ આવતી. ક્વિંક, પાયલટ, વોટરમેન, સ્ટીફ્ન્સ, અને સ્વાન, એ પાંચ મુખ્ય કંપનીની શાહી આયાત થાય. પણ ૧૯૫૭માં સરકારે તેના પર પણ પ્રતિબંધ મૂકી દીધો અને દેશમાં શાહી બનવા લાગી. પણ આવડું મોટું બજાર ગુમાવવું પાલવે નહિ, એટલે આ કંપનીઓ આપણા દેશમાં શાહી બનાવવા લાગી. બીજી ‘દેશી’ કંપનીઓએ પણ ઝંપલાવ્યું. છતાં વરસો સુધી, શાહી બનાવવામાં વપરાતો ખાસ પ્રકારનો રંગ તો બધી કંપની પરદેશથી જ મગાવતી!

પરદેશી બોલ પોઈન્ટ પેનની જાહેર ખબર

પહેલાંના જમાનામાં ઘણા રાજા વખતોવખત નવી રાણી લાવતા. નવી આવે એટલે જૂની રાણી ભૂલાતી જાય. બોલ પેન નામની નવી રાણી આવી અને જૂની રાણી ફાઉન્ટન પેનના માઠા દિવસો આવ્યા. આમ તો બોલ પેનનો ઇતિહાસ લાંબો છે પણ ખરા અર્થમાં આ નવી રાણીનું આગમન થયું તે તો ૧૯૩૮ના જૂન મહિનાની ૧૫મી તારીખે. એ દિવસે ‘બિરો’ નામની કંપનીએ ‘બોલ પોઈન્ટ ફાઉન્ટન પેન’ માટેનો બ્રિટિશ પેટન્ટ મેળવ્યો. પણ બોલ પેનનો ફેલાવો ખરેખર વધ્યો તે તો બીજી વર્લ્ડ વોર પછી. અમેરિકાની મિલ્ટન રેનોલ્ડઝ કમ્પનીએ બિરો કમ્પનીની બોલ પેનના નમૂના ભેગા કર્યા. પછી તેની ડિઝાઈનમાં એવી રીતે ફેરફાર કર્યા કે બિરોના પેટન્ટનો ભંગ ન થાય. અને ૧૯૪૫ના ઓક્ટોબરની ૨૯મીએ પોતાની બોલ પેન ન્યૂ યોર્કના બજારમાં મૂકી. ત્યારે એક બોલ પેનની કિંમત હતી સાડા બાર ડોલર! 

બોલ પેનની જનેતા જેવી બ્રિયો કંપનીએ છેક ૧૯૫૩માં આપણા દેશમાં બોલ પેન બનાવવાની દરખાસ્ત રજૂ કરેલી, પણ સરકારે નનૈયો ભણી દીધો. બોલ પેનમાં સૌથી વધુ મહત્ત્વની છે તેની ખાસ પ્રકારની શાહી. છેક ૧૯૬૨માં આ શાહી બનાવવાનો પરવાનો સરકારે રાજકોટની ધીરજલાલ મોહનલાલ જોશીની કંપનીને આપ્યો અને તે માટે કેલિફોર્નિયાની એક કંપનીની મદદ લેવાની મંજૂરી આપી. એટલે આ ગુજરાતી કંપનીએ બનાવી દેશની પહેલવહેલી બોલ પેન. ત્યારે પાર્લામેન્ટમાં સવાલ પૂછાયેલો કે શું પરદેશી કંપનીની મદદ લીધા વગર આ કામ થઈ શક્યું ન હોત? ત્યારે સરકારે જવાબ આપેલો કે ના, એમ કરવું શક્ય નહોતું! આજે તો જાતજાત ને ભાતભાતની બોલ પેનનો રાફડો ફાટ્યો છે. અને છતાં આજે પણ એવા મહાનુભાવો જોવા મળશે જે પદભ્રષ્ટ થયેલા રાજાના વફાદાર સેનાપતિની જેમ સ્થાનભ્રષ્ટ થયેલી ફાઉન્ટન પેનને જ વળગી રહ્યા છે. નરસિંહ મહેતાએ ગણાવેલા વૈષ્ણવજનનાં ઘણાં લક્ષણોમાંનું એક લક્ષણ તેમણે લેખણની બાબતમાં જીવનમાં ઉતાર્યું હોય છે: ‘પરસ્ત્રી જેને માત રે.’ ફાઉન્ટન પેન સિવાયની લેખણનું તેઓ મોઢું પણ જોતાં નથી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 11 ડિસેમ્બર 2021

Loading

‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ : ભારત-ચીન વિવાદને સ્પષ્ટતાથી સમજાવતું પુસ્તક

કિરણ કાપુરે|Opinion - Opinion|11 December 2021

ભારતનાં પૂર્વ ફોરેન સેક્રેટરી નિરૂપમા રાવનું ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકનો વિષય છે ભારત અને ચીન સંબંધોના આરંભનાં વર્ષો. દેશ આઝાદ થયો અને ચીન સાથે જે રીતે આપણા સંબંધો વિકસ્યા તેનો ઇતિહાસ અને વિશ્લેષણ નિરૂપમા રાવના પુસ્તકમાં છે. પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો વિશેની માન્યતાઓ જનમાનસમાં દૃઢ બની ચૂકી છે તેમાં કશો ય નવો દૃષ્ટિકોણ મૂકવો તે પડકારજનક છે. આ પડકારને ઝીલીને નિરૂપમા રાવે આ વિષય પર પુસ્તક લખવાનું સાહસ કર્યું છે. રાવ સિવિલ સર્વન્ટ્સના ઊંચા પદે બિરાજી ચૂક્યાં છે. 1973ની બેચના આઈ.એ.એસ. અધિકારી તરીકે તેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયાં અને આગળ જતાં 2009માં ઇન્ડિયન ફોરેન સેક્રેટરીના પદે આવ્યાં. નિવૃત્ત થવાના પૂર્વે તેઓ અમેરિકામાં ભારતના એમ્બેસેડર રહ્યાં હતાં. વિદેશી બાબોતને લઈને તેમની સમજણના કારણે તેઓ આ પદે રહ્યાં અને હવે તેઓ પ્રોફેશનલી રાઈટીંગ કરે છે. નિરૂપમાં રાવના ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ પુસ્તકના રિવ્યૂ હજુ તો આવી રહ્યાં છે, પણ તે રિવ્યૂમાં એક સૂચન સર્વત્ર થયું છે કે ભારત-ચીન વચ્ચેના સંબંધો સમજવા આ પુસ્તક ઉપયોગી છે.

ભારત-ચીન સંબંધો સામાન્ય રહ્યા નથી. સીમા વિવાદથી માંડી ને વેપારી સ્પર્ધાના બાબતે બંને દેશો વચ્ચે મતભેદ છે. એશિયાની આ બંને મહાસત્તાઓના સંબંધોનું ફલક વ્યાપક છે અને એટલે તે સંબંધોનું સંપૂર્ણ આકલન કરવું અશક્ય છે. તેમાં કોઈ એક કેન્દ્રવર્તી વિષય લઈને આકલન થાય તો તે સંબંધને સહેલાઈથી સમજી શકાય. નિરૂપમા રાવે આ પુસ્તકમાં બંને દેશો વચ્ચેનો કેન્દ્રવર્તી મુદ્દો તિબેટ લીધો છે.

આ પુસ્તક અંગે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અખબારે નિરૂપમા રાવનો ઇન્ટરવ્યૂ લીધો છે. નિરૂપમા રાવને અહીં પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે, ‘શું ચીન સાથેના સીમા વિવાદના કારણે તમે આ પુસ્તક લખવા પ્રેરાયાં છે?’ આ વિશે નિરૂપમા કહે છે કે, “2020માં લદાખમાં થયેલા સંઘર્ષના કારણે આ પુસ્તક પૂર્ણ કરવાનો મને ધક્કો મળ્યો. મારો ઉદ્દેશ છે બંને દેશો વચ્ચેના સૂક્ષ્મ ને જટીલ સંબંધોને વિશે એક પૂર્ણ ચિત્ર આપવું. ઉપરાંત મેં વાત પર પણ ધ્યાન આપ્યું છે કે ચીન વિશેના સંબંધ અંગે નેહરુ પર સમગ્ર દોષ ઠાલવી દેવામાં આવે છે. મેં એ તથ્યો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે કે નેહરુ ચીન સાથેના ભય અને વ્યવહાર કરવાના જોખમોથી અજાણ નહોતાં. જ્યારે ચીને તિબેટમાં પ્રવેશ કર્યો ત્યારે લ્હાસામાં આપણા અધિકારી સુમૂલ સિન્હાએ જે કહ્યું હતું તે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના શબ્દો હતા : ‘ચીન તિબેટમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે હિમાલયનું અસ્તિત્વ જોખમમાં છે.’”

આગળ નિરૂપમા રાવ કહે છે : “હું માનું છું કે નેહરુ પાયાના કેટલાક ભયથી વાકેફ હતા, અને તેઓ કયા પ્રકારના પડકાર આવી શકે તે વિશે પણ માહિતગાર હતા. પરંતુ તેઓ શાંત માહોલ સર્જાય તેમ ઇચ્છતા હતા. અને તેથી જ તેઓ ચીન સાથે મિત્રતા બનાવી રાખી અને સંવાદભર્યું વાતાવરણ રાખ્યું. તેમણે વિચાર્યું કે એશિયાના બે મોટા દેશો જો એક થઈને કામ કરશે તો વિશ્વ રાજનીતિમાં ભારતને લાભ થશે. અત્યારે એ સાબિત થઈ ચૂક્યું છે કે તેઓ તેમની ગણતરીમાં થાપ ખાધી છે. જો કે એ ભૂલવું ન જોઈએ કે તેમણે એવાં નિર્ણય લીધા હતા કે હિમાલયની નજીક આપણું વહીવટી માળખું ગોઠવાય. ઉપરાંત કનેક્ટિવિટી વધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામે તે પ્રયાસ પણ તેમણે કર્યાં હતા.”

નિરૂપમા રાવને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના પ્રતિનિધિ એમ પણ પૂછે છે કે આ પુસ્તક પર પર કામ કરતી વેળાએ સરદાર પટેલનો ચીન અંગેના દૃષ્ટિકોણ અને નેહરુના મત વિશે તમે ક્યાં ભેદ જુઓ છો? આ વિશે તેઓ કહે છે : “હું માનું છું કે કોમ્યુનિઝમ પટેલને નાપસંદ હતું અને તેઓ કોમ્યુનિસ્ટ ચીન પ્રત્યે અવિશ્વાસ રાખતા હતા. ચીન તિબેટમાં પ્રવેશ્યું ત્યારથી પટેલ ચીન તરફથી કશો ય લાભ ભારતને મળશે તેમ જોતા નહોતા. નેહરુ પણ આ વાત સમજી ચૂક્યા હતા. કમનસીબે, 1950માં પટેલ અવસાન પામ્યા અને ચીન વિશેની બૃહદ્દ નીતિ ઘડાઈ ત્યારે તેઓ ન હતા. એટલે એ આપણે જાણતા નથી કે તેઓ હોત તો ચીન વિશેની તેમની હાજરીમાં નીતિ કેવી હોત. સંશોધન દરમિયાન મેં જોયું છે કે 1949થી નેહરુ એ બાબતે ચિંતા કરવા લાગ્યા હતા કે ચીન તિબેટમાં પ્રવેશી રહ્યું છે અને તિબેટના પ્રવેશથી આપણી સુરક્ષા મામલે ચિત્ર બદલાતું ગયું.”

જવાહરલાલ નેહરુ દલાઈ લામા અને ચીનના પ્રથમ વડા પ્રધાન ઝો એનલાઈ સાથે 1956માં દિલ્હી ખાતે યુનેસ્કોની બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં

રાવ આગળ કહે છે : “નેહરુ દ્વારા ચીન વિશે નીતિ ઘડવામાં આવી ત્યારે સમય શીતયુદ્ધનો હતો અને નેહરુ કોઈ પણ પક્ષે ભારતને જોતરાવવું ન પડે તેમ ઇચ્છતા હતા. ભારત વિશ્વ રાજનીતિમાં ત્રીજી શક્તિ તરીકે સ્થાપિત થાય તેમ તેમની ઇચ્છા હતી. નેહરુને ખ્યાલ હતો કે ચીન સાથેનો સૌહાર્દપૂર્ણ વ્યવહારથી એશિયામાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખી શકાશે. આપણી સરહદની નીતિમાં ચીન માટે એક ઇંચ પણ છોડી દેવાની વાત નહોતી. જો કે ભૂલ ત્યાં થઈ જ્યારે ચીન તિબેટમાં પ્રવેશ્યું. આપણે ત્યારે તિબેટમાં રહેલાં આપણા તમામ અધિકારો છોડી દીધા અને પછી બંને દેશોની સહદર પરની એક સામાન્ય નીતિ પણ ન ઘડાઈ.”

આ પછી એક અગત્યનો પ્રશ્ન છે જે વિશે રાવે આપેલા ઉત્તરથી નેહરુની ચીન અંગેની સમજ જાણી શકાય. પ્રશ્ન છે કે, ચીનમાં ભારતના પ્રથમ રાજદૂત કે.એમ. પન્નીકરની ભૂમિકા શું રહી હતી? આ વિશે રાવનું રિસર્ચ કહે છે : “મારું માનવું છે કે નેહરુ અને પન્નીકરની સમજણ સારી હતી. તે વખતે વિદેશ વિભાગના કાર્યાલય પન્નીકરના ચીન પ્રત્યેના વલણથી નારાજ હતા, તેમ છતાં પન્નીકર પોતાના લખાણમાં જે-તે મુદ્દાને રજૂ કરતા, તેથી નેહરુને સંતોષ હતો. પન્નીકર નેહરુ સાથે સીધા જ સંદેશાની આપલે કરી શકે તે રીત સ્વીકાર્ય બનાવી શક્યા હતા. હું એમ માનું છું કે નેહરુ પન્નીકરનો મત સ્વીકાર્ય માનતા હશે અને એટલે જ્યારે તિબેટમાં ચીન આવ્યું ત્યારે પન્નીકરનું કહેવું હતું કે આ કિસ્સામાં ભારત ઝાઝું કરી શકે એમ નથી. તેથી આ સ્થિતિને ભારત દ્વારા સ્વીકારી લેવામાં આવી. મને એવું લાગે છે કે પછી પન્નીકરનું સૂચન માનીને નેહરુએ ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેટલાં પગલાં લેવાવાં જોઈએ તે લીધાં.”

વર્તમાન સમય અંગેના પ્રશ્નો પણ નિરૂપમાને પૂછવામાં આવ્યાં છે જેમાં હાલમાં ચાલી રહેલી બંને દેશોની વાર્તા સંબંધિત પ્રશ્ન છે. આ અંગે રાવનું કહેવું છે કે : “આ વાર્તા દરમિયાન મને એવું લાગતું નથી કે ચીનને જાણવામાં આપણે કોઈ પણ થાપ ખાધી હોય. આપણે સાત દાયકાથી તેમની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. આપણે ઘણું શીખ્યા છીએ અને હવે કેટલીક ઠોસ બાબતો પર પહોંચ્યા છીએ. હવે પ્રશ્નોને સ્પષ્ટ રીતે આપણે ઓળખીએ છીએ. મને નથી લાગતું કે હવે કોઈ એવી ભૂલ થાય. ચીન સાથે સરહદ પર આપણી જોખમી અને જટિલ સ્થિતિ છે. દુનિયામાં સૌથી લાંબા ગાળાથી જે વિવાદો સરહદ પર ચાલી આવ્યાં છે તેમાંની આ ભારત-ચીનની બોર્ડર છે. મારા મતે પૂર્વીય લદ્દાખની સરહદ પર ચીન હવે વધુ પડતું પ્રવૃત્ત અને આક્રમક છે એટલે હવે બોર્ડર પર એ રીતે ખૂબ ઝડપથી સ્થિતિ બદલાઈ છે. બંને દેશો વચ્ચેના સંબંધો તંગ થયા છે અને હવે સ્થિતિ શાંત રાખવા અર્થે કરાર કરવા સુધી વાત પહોંચી છે. જો કે ભારત અત્યારે ચીન સાથેના સંબંધો અંગે સાચા માર્ગે છે. આપણે ધીરજપૂર્વક સંવાદ કરી રહ્યાં છીએ. અને ક્યાંક ક્યાંક અપ્રવૃત્ત રહીને ને બળ ઘટાડીને પણ સ્થિતિ સામાન્ય કરવા અર્થે પ્રયાસ કરીએ છીએ.”

e.mail : kirankapure@gmail.com

Loading

રાષ્ટ્રીય સુરક્ષાના પર્યાય બિપિન રાવતની આખરી વિદાય નિમિત્તે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 December 2021

આઠમી ડિસેમ્બર, 2021ની બપોર કારમી નીવડી ! તમિલનાડુનાં કુન્નુરમાં વૃક્ષોને ટકરાઈને એક હેલિકોપ્ટર ભડકો થઈ ઊઠયું ને તેણે સ્પેરપાર્ટસની સાથે જ તેમાં સવાર 14 લશ્કરી અધિકારીઓને સોનેરી ભડકામાં લપેટી લીધા. એમાં કેટલાક તો એવા સળગ્યા કે અગ્નિસંસ્કારની ય જરૂર ન રહી. હેલિકોપ્ટર ક્રેશની નવાઈ નથી, એમાં ઘણા બચી પણ જાય છે તો ઘણાં ભડકો ય થઈ જાય છે, પણ કુન્નુરમાં જે MI 17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું તેણે તો દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી.ડી.એસ.) બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત બીજા 11 લશ્કરી અધિકારીઓનો ભોગ લીધો છે. ચોપરમાં 14 અધિકારીઓ સવાર હતા, તેમાં કેવળ ગ્રૂપ કેપ્ટન વરુણસિંહ ગંભીર હાલતમાં સૈન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ વર્ષે જ સ્વતંત્રતા દિવસે કેપ્ટનનું શૌર્ય ચક્રથી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. એ બચી જાય તો ખરેખર શું બન્યું એ જાણી શકાય. બિપિન રાવત લશ્કરી વડા તરીકે દેશને સમર્પિત જીવ હતા ને તેમણે છેલ્લે પણ વેલિંગ્ટન ખાતે ડિફેન્સ કોલેજમાં લેકચર આપવાનું સ્વીકાર્યું હતું, પણ ચોપર ક્રેશ થતાં કોલેજ તેમના વક્તવ્યથી કાયમને માટે વંચિત રહી ગઈ છે.

હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાએ તેર તેર લશ્કરી અધિકારીઓનો ભોગ લેતા આખો દેશ આઘાતથી વ્યગ્ર થયો છે. તેમાં પણ જનરલ રાવતના અણધાર્યા નિધને ત્રણેય લશ્કરી પાંખને તીવ્ર આંચકો આપ્યો છે. 63 વર્ષીય રાવતે દેશની સુરક્ષા માટે અનેક હોદ્દે રહીને અવિસ્મરણીય સેવાઓ જ કરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો તેઓ 2019-20માં થયા, પણ તે પહેલાં લશ્કરી વડા તરીકે તેમણે જુદા જુદા હોદ્દાઓ પરથી અભૂતપૂર્વ સુરક્ષા સેવાનાં ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. ઉરીની સર્જિકલ સ્ટ્રાઈક કે ચીની સરહદે લાંબી સુરક્ષા સેવાથી રાવત કાયમને માટે યાદ રહેશે. તેઓ ઊંચાઈ પર બર્ફીલા પહાડો વચ્ચે સુરક્ષા વ્યવસ્થાના નિષ્ણાત હતા. તેમનો ચીન અને પાકિસ્તાન પર ભારે પ્રભાવ હતો. પાકિસ્તાને તો શોક પણ વ્યક્ત કર્યો છે. ચીન પાસેથી તો એવી ઔપચારિક્તાની પણ આશા રાખી શકાય એમ નથી. 1962માં ચીન સાથેના યુદ્ધમાં મળેલી નિષ્ફળતા પછી ભારતીય સુરક્ષા બાબતે વિશ્વનો બહુ સારો મત ન હતો ને પાકિસ્તાન જેવું પણ કાશ્મીરનો કેટલોક ભાગ કબજે કરીને ફૂંફાડતું રહેતું હતું. એ સ્થિતિ રાવતના લશ્કરી વડા થતાં બદલાઈ. ચીન માટે હવે ભારતનો સામનો કરવાનું 1962 જેટલું સરળ નથી. તે ભલે ઘૂસણખોરી કરીને સરહદી ચિંતા ઊભી કરે કે યુદ્ધની તૈયારીઓનું નાટક કરે, પણ સીધું યુદ્ધ છેડતાં પહેલાં તેણે સો વાર વિચાર કરવો પડે એમ છે. એ જ સ્થિતિ પાકિસ્તાનની પણ છે. તેણે નકલી નોટોથી ભારતના અર્થતંત્રને હાનિ પહોંચાડવાની કોશિશ કરી જોઈ ને બીજી તરફ આંતકી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપીને ભારત પર આતંકી હુમલાઓ પણ કરાવ્યા છે, પણ સીધું યુદ્ધ કરવાની તેનામાં હિંમત નથી. ચીન અને પાકિસ્તાનને આમ નાહિંમત કરવાનું કામ ભારતના સુરક્ષાતંત્રને આભારી છે. ભારત આધુનિક શસ્ત્રો અને વ્યવસ્થાથી સુસજ્જ છે ને તેની જલ, થલ અને વાયુ સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કટિબદ્ધ છે. આ શક્ય બન્યું બિપિન રાવત અને એમના જેવા ત્રણેય પાંખના લશ્કરી વડાની લશ્કરી કુનેહ અને વ્યવસ્થા શક્તિને કારણે ! બિપિન રાવત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિમાયા પછી ત્રણે પાંખના વડાઓ સાથેના તેમના માનવીય વ્યવહારે ત્રણે પાંખ વચ્ચે સમન્વય અને સામંજસ્યની ભૂમિકા ઊભી થઈ. એને કારણે જે સામૂહિક સાહસ માટેની કટિબદ્ધતા જન્મી તેણે સમગ્ર લશ્કરી વ્યવસ્થા પર સારો એવો પ્રભાવ પાથર્યો. આ સમન્વયકારી સી.ડી.એસ. રાવત હવે આપણી વચ્ચે નથી. તેમની લશ્કરી માન-સન્માન સાથે દિલ્હીમાં અંતિમ વિધિ થશે તે સાથે એક લશ્કરી વડાની કાયમી ખોટ વર્તાશે. તેમનું સ્થાન પણ એવા જ કોઈ બાહોશ વડા લે એમ બને, પણ જે સ્થાન રાવતનું હતું તે ઘણી બધી રીતે ખાલી રહે એમ બને, કારણ મૃત્યુ ભવિષ્ય પર કાયમી ચોકડી મારે છે. રાવત હયાત હોત અને જે કરી શક્યા હોત તે હવે કદી થવાનું નથી. એ રીતે એમની ખોટ કાયમી છે.

Cartoon courtesy : Satish Acharya

રાવતના અને અન્ય અધિકારીઓના નિધનથી આખું રાષ્ટ્ર શોકગ્રસ્ત છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુરક્ષા મંત્રીથી માંડીને આખા ય દેશે આ દુર્ઘટનાથી તીવ્ર આઘાત અનુભવ્યો છે. તમામ રાજદ્વારી નેતાઓએ રાવતને અને અધિકારીઓને ભાવપૂર્ણ અંજલિઓ આપી છે. આ ઘા તો હવે સમય જ રૂઝવશે, પણ જે બન્યું તે માન્યામાં આવે એમ નથી. પ્લેનક્રેશ કે હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનાઓ દેશવિદેશમાં બનતી રહે છે. ગુજરાતનાં મુખ્ય મંત્રી બળવંતરાય મહેતા, ડૉ. હોમી ભાભા, પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધી, સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝ, આંધ્રના પૂર્વ મુખ્ય મંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી, સિનિયર કોંગ્રેસ લીડર માધવરાવ સિંધિયા, લોકસભા સ્પીકર અને તેલુગુ દેશમના વડા બાલયોગી, હરિયાણાના મંત્રી ઓ.પી. જિંદાલ, પંજાબના ગવર્નર સુરેન્દ્ર નાથ ને એવા તો ઘણા મહાનુભાવોનાં મૃત્યુ હવાઈ દુર્ઘટનામાં થયા છે. જો કે, સુભાષબાબુનું મૃત્યુ આજ સુધી વણઉકલ્યું જ રહ્યું છે, પણ બીજી હવાઈ દુર્ઘટનાઓ વિષે કોઈ શંકા નથી. હા, કુન્નુર હવાઈ દુર્ઘટના થોડું મનન-મંથન કરવા પ્રેરે છે. લશ્કરી વડા બિપિન રાવત અને તેમના અધિકારીઓનું આકસ્મિક મૃત્યુ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસના હુકમો અપાયા છે એટલે વધુ વિગતો અધિકૃત રીતે બહાર આવશે જ, પણ કુન્નુરમાં થયેલી હવાઈ દુર્ઘટના અનેક રીતે વિચારતા કરી મૂકે એવી છે. આમ તો રાવત પોતે આ અગાઉ ચોપર ક્રેશનો ભોગ બનેલા, પણ સદ્દભાગ્યે બચી ગયેલા. કમનસીબે 8મી ડિસેમ્બરે જે બન્યું તેમાં રાવત સહિત 13 જણાંનો ભોગ લેવાયો.

જે ચોપર વડા પ્રધાન વાપરે છે તે MI 17 બહુ જ સુરક્ષિત અને અત્યાધુનિક ગણાય છે. એ જ ચોપરનો રાવતને માટે પણ ઉપયોગ થયો એટલે જ્યાં સુધી હેલિકોપ્ટરનો સવાલ છે, કોઈ કચાશ એમાં ન જ હોય તે સમજી શકાય એવું છે. વારુ, સેનાના સર્વોચ્ચ વડા ને અધિકારીઓ જેમાં ઊડવાના હોય તેનું ઉત્તમ રીતે ચેકિંગ સ્વાભાવિક રીતે જ થયું હોય એમાં પણ શંકા નથી. આટલી તપાસ પછી પણ હેલિકોપ્ટર ક્રેશ થાય તો આશ્ચર્ય અને પીડા જ થાય. રક્ષા મંત્રીએ સંસદમાં જે માહિતી આપી છે તેમાં હેલિકોપ્ટરે 11.48 કલાકે ટેક ઓફ કર્યું ને 12.08 કલાકે સંપર્ક તૂટયો એવી વાત છે. આ સમય બપોરનો છે, પણ વાતાવરણ ઊજળું ન હતું તે પણ હકીકત છે. બ્લેક બોક્સ હાથ લાગ્યું છે એ રહસ્ય ઉકેલે એમ બને, પણ એટલું ચોક્કસ કે બધા પ્રયત્નો છતાં હવાઈ ઉડ્ડયન સલામત ન હતું. નીલગિરીનો પહાડી જંગલોનો વિસ્તાર, વાદળો નીચાં ને હળવો વરસાદી માહોલ, ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી ! આવામાં ચોપર ઊડતું હતું.

વિઝિબિલિટી ઓછી હોય તો પણ બપોરનો સમય હતો ને હેલિકોપ્ટરની એટલી ક્ષમતા તો હતી જ કે રાતના અંધકારનેય ભેદી શકે. જો આ સ્થિતિ હોય તો દિવસની ઓછી વિઝિબિલિટીથી હેલિકોપ્ટર ઝાડને અથડાય એ વાતમાં દમ નથી. જો કે, હેલિકોપ્ટર નીચાઇએ ઊડતું હતું એ સૂચવે છે કે વાતાવરણ હેલિકોપ્ટર ઉડાડવા માટે કોઈ રીતે યોગ્ય ન હતું. હવામાન વિભાગે ખરાબ હવામાનની આગાહી કરી જ હતી ને વાતાવરણ એવું જ ખરાબ હતું, છતાં હેલિકોપ્ટરે ટેક-ઓફ કર્યું. બિપિન રાવત જેવા લશ્કરી વડા જે પર્વતીય ઠંડાં હવામાનથી પૂરા માહિતગાર હોય, એ વાતાવરણ કળી ન શકે ને હેલિકોપ્ટર ઊડવા દે એ ગળે ઊતરે એમ નથી. તો, પ્રશ્ન એ થાય કે પાયલટે કોના કહેવાથી ઉડાન ભરી? કોઈ દબાણ વશ હેલિકોપ્ટર ઊડયું કે સહજ ક્રમે તે નથી સમજાતું? આ બધી શંકાઓને આધાર મળે એવી વાત નિવૃત્ત બ્રિગેડિયર સુધીર સાવંતે કરી છે, તેમણે હેલિકોપ્ટર ક્રેશ થવામાં એલ.ટી.ટી.ઈ. – આઈ.એસ.આઇ.ના સ્લીપર સેલની સંડોવણી જોઈ છે. 35 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવનાર સાવંતને બોમ્બ પ્લાન્ટ થયો હોવાની શંકા છે. સી.ડી.એસ.ના ચોપરને ટાર્ગેટ બનાવવું લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ(એલ.ટી.ટી.ઈ.)ની રણનીતિનો ભાગ હોઈ શકે એવું બ્રિગેડિયર સાવંતનું માનવું છે. એવી જ, ષડ્યંત્રની શંકા સિનિયર બી.જે.પી. લીડર ને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ કરી છે. તેમનું કહેવું છે કે તપાસ ન તો સેનાની વ્યક્તિને કે ન તો સરકારની કોઈ વ્યક્તિને સોંપાવી જોઈએ. આખી તપાસ સુપ્રીમ કોર્ટને સોંપાય તો જ સાચી વાત બહાર આવશે એવું સ્વામીને લાગે છે.

જનરલ રાવતને લઈને ઊડેલાં હેલિકોપ્ટરમાં ખરેખર શું બન્યું તેની આ ક્ષણે તો કશી પાકી ખબર નથી, તપાસમાં કૈં બહાર આવે કે ન આવે, પણ એટલું નક્કી છે કે જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત બીજી અગિયાર વ્યક્તિઓ કદી પણ પાછી ફરવાની નથી, ગમે તેવી ઉત્તમ તપાસ પણ આ લશ્કરી અધિકારીઓને પરત લાવી શકે એમ નથી. હકીકત એ છે કે મૃત્યુ, લેવામાં જ માને છે, પરત કરવાનું તેનાં લોહીમાં નથી ! ને દુ:ખદ છે તે આ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6711,6721,6731,674...1,6801,6901,700...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved