Opinion Magazine
Number of visits: 9674376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ નકારી ન શકે એવું ટકોરાબંધ સત્ય

રમેશ ઓઝા|Opinion - Opinion|20 January 2022

વિનાયક દામોદર સાવરકરને ‘વીર’ તરીકે શા માટે ઓળખાવવામાં આવે છે એનો જો કોઈ હિન્દુત્વવાદી પ્રમાણ સાથે ખુલાસો કરશે, તો તે સત્ય ઉપર ઉપકાર કરશે. મારી પાસે મરાઠી સાહિત્યકાર આચાર્ય પ્રહલાદ કેશવ અત્રેની આત્મકથાનું પ્રમાણ છે જેમાં તેમણે કહ્યું છે કે સાવરકર મને (અત્રેને) ‘આચાર્ય અત્રે’ તરીકે ઓળખાવીને ખ્યાતિ આપે અને હું (અત્રે) સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ઓળખાવીને ખ્યાતિ આપું એવી અમારી વચ્ચે સમજૂતી થઈ હતી. આમ ‘વીર સાવરકર’ની સાવરકરે પોતે સ્થાપના કરાવી છે એનું પ્રમાણ ઉપલબ્ધ છે. પણ કઈ બહાદુરી માટે? આ લાખ રૂપિયાનો સવાલ તો અનુત્તરિત જ રહે છે. સમજૂતી હતી એટલે અત્રેએ આ સવાલ સાવરકરને પૂછ્યો નહોતો. કોઈક તો એવું બહાદુરીનું કૃત્ય હોવું જોઈએ જેનાં માટે ‘વીર’નાં બિરુદને ઉચિત ઠેરવી શકાય! કોઈ એક, માત્ર એક બહાદુરીનું કૃત્ય કોઈ હિન્દુત્વવાદી શોધી આપે.

બાકી ઉપસંહાર કરતાં એટલું જ કહેવાનું કે તેમનાં હિન્દુત્વવાદી ચરિત્રકારોનાં લખાણો, તેમનાં સમકાલીનોનાં લખાણો, સ્વતંત્ર વસ્તુનિષ્ઠ અભ્યાસીઓનાં લખાણો, મહત્ત્વનાં સરકારી દસ્તાવેજો અને સૌથી વધુ તો તેમનાં પોતાનાં લખાણો આમ કહે છે :

• ગાંધીજી જ્યારે હોંશેહોંશે ‘લોંગ લીવ ધ કિંગ’નું ગાન ગાતા હતા ત્યારે ૧૮ વરસની વયે સાવરકરે નાસિકમાં ધગધગતા ક્રાંતિકારીઓની ફોજ પેદા કરી હતી, જે આઝાદી માટે જાન ન્યોચ્છાવર કરવા આતુર હતા. દેશ માટે જીવ આપવાની યુવાનોની તત્પરતા જોઇને સમાજ-ડાહ્યાઓ સંયમ જાળવવાનો ઠાવકી સલાહ આપતા હતા અને આપ્તજનો બલિદાની યુવકોને બાથમાં લઈને રડતા હતા. પણ? પણ સાવરકર સાહેબ પોતે તો તેમણે પોતે તૈયાર કરેલા યુવકોને ભગવાન ભરોસે છોડીને પહેલાં પૂના અને પછી વિલાયત ભણવા જતા રહ્યા હતા. (હવાલો તેઓ પોતે. સાવરકર સમગ્ર વાંગ્મય.)

• વિલાયતમાં રહીને તેઓ યુવકોને ઉશ્કેરનારાં લખાણો લખતા હતા જેને કારણે મહારાષ્ટ્રમાં ઉશ્કેરાયેલા કેટલાક યુવકોનાં મોત થતાં હતાં અથવા કેટલાક પકડાઈ જતા હતા. આને કારણે મહારાષ્ટ્રમાં સાવરકર સામે મા-બાપોમાં અસંતોષ પેદા થયો હતો. (વાય.ડી. ફડકે. વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર.)

• મદનલાલ ઢીંગરાને પિસ્તોલ આપતા કહ્યું હતું કે ‘આ વખતે જો નિષ્ફળ નીવડે તો મને તારું મોઢું નહીં બતાવતો.’ સાવરકરે આવો દાવો કરીને ઢીંગરાની બહાદુરીનો શ્રેય પોતે લીધો હતો. પણ એ શ્રેય ક્યારે લીધો હતો? દેશને આઝાદી મળી એ પછી પણ નહીં, છેક તેમનાં મૃત્યુ પછી. સાવરકર તેમના ભક્ત ચરિત્રકારને કહીને ગયા હતા કે તેમનાં મૃત્યુ પછી આમ લખવામાં આવે. (ધનંજય કીર) જો શ્રેયનો આ દાવો સાચો હોય તો આટલા લાંબા સમય સુધી ચૂપ રહેવું એ બુઝદિલી કહેવાય અને જો ખોટો હોય તો ઢીંગરા સાથે અન્યાય કહેવાય.

• લંડનની અદાલતમાં સાવરકરે ઢીંગરા સામે અને બીજા ક્રાંતિકારીઓ સામે દાવ ઉલ્ટાવ્યો હતો. (સરકારી દસ્તાવેજો.)

• લંડનની જેમ જ મુંબઈની અદાલતમાં સાવરકરે અનંત ક્ન્હેરે અને બીજા ક્રાંતિકારીઓ સામે દાવ ઉલ્ટાવ્યો હતો. (સરકારી દસ્તાવેજો અને સાવરકરના સમકાલીન હિંદુવાદી નેતા બેરિસ્ટર જયકરની આત્મકથા.)

• પચાસ વરસની સજા થઈ અને આંદામાન મોકલવામાં આવ્યા એ પછી તેમણે માફી માગવાનું શરૂ કર્યું હતું. એક પત્રમાં તો તેમણે ‘The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?’ સરકારને દયાના સાગર સમાન માઈબાપ અને પોતાને માર્ગ ભૂલેલા સંતાન તરીકે ઓળખાવ્યા હતા. સરકારને સંવૈધાનિક માર્ગ અપનાવવામાં અને ક્રાંતિકારીઓને ક્રાંતિનો માર્ગ છોડવાવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. (સરકારી દસ્તાવેજો.)

• જેલમાં સાવરકર જેલરની મીઠી દૃષ્ટિ મેળવવાનો પ્રયાસ કરતા હતા એટલું જ નહીં, પોતાના હક માટે લડતા કેદીઓ સત્તાવાળાઓ સામે ન લડે એ માટે સમજાવતા હતા. જ્યારે તેમની સમજાવટ કામ નહોતી કરતી અને કેદીઓ આમરણાંત ઉપવાસ કે સામૂહિક પ્રતિકાર કરતા હતા ત્યારે સાવરકર કોઈને કોઈ બહાનું કાઢીને તેનાથી દૂર રહેતા હતા. (હવાલો તેઓ પોતે. સાવરકર સમગ્ર વાંગ્મય.)

• જેલમાંથી છૂટવાની છટપટાહટ એટલી બધી હતી કે તેઓ પોતાના નાના ભાઈને પત્રો લખીલખીને માર્ગદર્શન આપતા કે તેણે પોતાના ભાઈઓને છોડાવવા શું કરવું જોઈએ. કોને મળવું જોઈએ, કયા રાજકીય નેતા પાસે નિવેદન કરાવવું જોઈએ, કોની પાસે ભલામણપત્ર લખાવવો જોઈએ, અખબારોમાં કોની પાસે લખાણ લખાવવું જોઈએ, કાઁગ્રેસ અને હિંદુ મહાસભામાં કોની પાસે ઠરાવ રજૂ કરાવવા જોઈએ અને પ્રતિનિધિગૃહોમાં કોની પાસે પ્રશ્ન પુછાવવા જોઈએ. જબરદસ્ત લોબિંગ તેઓ જેલમાં રહીને કરાવતા હતા. (હવાલાઓ તેઓ પોતે. સાવરકર સમગ્ર વાંગ્મય.)

• ૧૯૭૫માં ભારત સરકારે (કાઁગ્રેસની સરકાર અને મુસ્લિમ શિક્ષણ પ્રધાન) ‘Penal Settlements in Andaman’ નામે એક દસ્તાવેજીકરણ કરાવ્યું હતું અને તેનું કામ રાષ્ટ્રવાદી ઇતિહાસકાર (ખરું પૂછો તો હિંદુવાદી ઇતિહાસકાર રમેશ ચન્દ્ર મઝુમદારને સોંપ્યું હતું. આર.સી. મઝુમદારે સાવરકરને ઉજળા પ્રકાશમાં મુકવાનો અથાક પ્રયત્ન કર્યો હતો, પણ એ પછી પણ તેઓ હારી ગયા હતા, કારણ કે દસ્તાવેજો સાવરકરની કાયરતા સાબિત કરતા હતા. આગલા મુદ્દામાં કહ્યું એમ સાવરકરે છૂટવા માટે સાર્વત્રિક અને એટલા બધા પ્રયાસ કર્યા હતા કે મઝુમદાર છૂપાવવા ઈચ્છે તો પણ છૂપાવી શકે તેમ નહોતા. બીજું, આંદામાનની જેલમાં એકલા સાવરકર કાળા પાણીની સજા નહોતા ભોગવતા. બીજા અનેક કેદીઓ હતા જેમણે સાવરકરની જેમ નહોતી માફી માગી કે નહોતું કોઈ લોબિંગ કર્યું. આમ ઇતિહાસકાર સમવિચારી અને સહાનુભૂતિ ધરાવનારો હોવા છતાં હકીકતો છૂપાવી નહોતો શક્યો, ઊલટું હકીકતો એક જગ્યાએ એકઠી થઈ ગઈ. ફાયદા કરતાં નુકસાન થયું. વધારે પડતી ચાલાકી અને વધારે પડતા પ્રયત્નોનું આ પરિણામ હતું. 

• છ વખત માફી માગ્યા પછી અને અંગ્રેજોની તેમ જ અંગ્રેજ જેલરની કૃપાદૃષ્ટિ પામવા અથાક પ્રયાસ કર્યા પછી ૧૯૨૧માં સાવરકરબંધુઓને આંદામાનથી ભારતની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ૧૯૨૪માં તેમને છોડવામાં આવ્યા હતા, પણ છૂટવા માટેની કેટલીક શરતો હતી. એક શરત એ હતી કે તેઓ રત્નાગિરીની બહાર ક્યાં ય નહીં જાય અને બીજી તેઓ બ્રિટિશ સરકારની વિરુદ્ધ કે બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ નહીં કરે. સાવરકરે શરતો સ્વીકારી લીધી હતી. (સરકારી દસ્તાવેજો.)

• ગજબ તો હવે આવે છે. ‘વીર’ સાવરકરે અર્થાત માર્ગ ભૂલેલા સંતાને દયાળુ માયબાપ જેવી સરકારને આ મુજબનું સર્ટિફિકેટ આપ્યું હતું : I hereby acknowledge that I had a fair trial and just sentence. I heartily abhor methods of violence resorted to in days gone by, and I feel myself duty bound to uphold Law and constitution to the best of my powers and am willing to make the Reforms a success insofar as I may be allowed to do so in future. દયાળુ માઈબાપ સરકારે મને કોઈ અન્યાય કર્યો નથી, મારી સામે ન્યાયની અદાલતમાં ન્યાયી ખટલો ચાલ્યો હતો અને મને જે સજા કરવામાં આવી એમાં કોઈ અન્યાય કરવામાં આવ્યો નહોતો. હું દિલથી હિંસાનો માર્ગ ત્યજું છું અને કાયદાના તેમ જ બંધારણીય માર્ગને અનુસરવાનાં દરેક શક્ય પ્રયાસ કરવાની ખાતરી આપું છું. જો મને ભવિષ્યમાં તક આપવામાં આવશે તો બંધારણીય સુધારાઓ કરવાના સરકારના પ્રયાસમાં મદદરૂપ થવા તૈયાર છું. (સરકારી દસ્તાવેજ.)

• મર્દાનગીની યશોગાથા અહીં પૂરી થતી નથી. ૧૯૨૫માં વાયવ્ય સરહદ પ્રાંતમાં કોહાટમાં કોમી હુલ્લડો થયાં. રત્નાગિરીમાં રહેતા સાવરકરે ‘મરાઠા’ નામના અખબારમાં મુસલમાનોની ટીકા કરતો એક લેખ લખ્યો. એ લેખ સામે સરકારે વાંધો લીધો અને ધમકી આપી કે જો આવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો પાછા જેલમાં મોકલવામાં આવશે. કહેવાની જરૂરત નથી કે સાવરકરે ઉપરાઉપર બે પત્રો લખીને ભલે ધમકાવતા પણ કૃપાળુ માઈબાપની માફી માગી લીધી અને આવું ફરી વાર નહીં કરવાની ખાતરી આપી. (સરકારી દસ્તાવેજ.)

• ખમો, મર્દાનગીની યશોગાથામાં એક કલગી હજુ બાકી છે. ૧૯૪૮માં ગાંધીજીની હત્યામાં સાવરકર એક આરોપી હતા. તેમણે બાવીસ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ મુંબઈના પોલીસ કમિશનરને આ મુજબ બાંયધરી આપી હતી : ‘હું ૬૫ વરસનો છું અને તબિયત સારી રહેતી નથી. ગયા વરસે ૧૫મી ઓગસ્ટે મારા અનુયાયીઓના અણગમા છતાં મેં મારાં ઘરની છત ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.’ અને પછી લખે છે : I wish to express my willingness to give an undertaking to the Government that I shall refrain from taking part in any communal or political activity for any period the Government may require in case I am released on that condition.” સરકાર જો મને ગાંધીજીના ખૂનના આરોપમાંથી છોડે તો હું તમામ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ છોડીને રાજકીય સન્યાસ લેવા તૈયાર છું. પત્રના આગળના ભાગમાં કોમી એકતાની, ભારતના નાગરિક તરીકેના સમાન દરજ્જાની અનિવાર્યતાની પણ વાત કરી છે. (સરકારી દસ્તાવેજ.)

જો ગાંધીજીની હત્યામાં તેમનો કોઈ હાથ નહોતો તો આવી બાંયધરી આપવાની જરૂર ક્યાં પડી? આ પ્રશ્નનો ઉત્તર કપૂર કમિશને આપી દીધો છે, જે અહીં ચર્ચાનો વિષય નથી.

હવે બોલો,

• વીરને શોભે કે વીરનું બિરુદ આપવું પડે એવું કયું કામ તેમણે કર્યું હતું? તેમની માફીઓ અને બાંયધરીઓની વાત જવા દો, ૧૯૦૦થી ૧૯૧૦ સુધીના જેલ પહેલાના એક દશકમાં અને ૧૯૩૭માં તેમને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા એ પછી આઝાદી મળી ત્યાં સુધીના એક દશકમાં તેમણે દેશને આઝાદી અપાવવા સ્વયં શું કર્યું? એક પ્રસંગ કે દાખલો બતાવો જેમાં તેમણે આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હોય કે આઝાદી માટેના અંદોલનનું નેતૃત્વ કર્યું હોય. એક નાનકડો પ્રસંગ પણ કોઈ હિન્દુત્વવાદી બતાવશે તો તેને ઘણાં તરીકે સ્વીકારી લેશું.

• ૧૯૧૦થી લઈને ૧૯૪૭ સુધી તેમણે રાજકીય પ્રશ્ને અંગ્રેજોની આકરી ટીકા કરી હોય અને ઉઘાડો વિરોધ કર્યો હોય એવું એક ઉદાહરણ બતાવો.

અહીં જે કહેવામાં આવ્યું છે એ કોઈ નકારી ન શકે એવું ટકોરાબંધ સત્ય છે. તો પછી ‘વીર સાવરકર’ શેનું પરિણામ છે? અત્રે કહે છે એમ સમજૂતીઓનું પરિણામ છે કે પછી કાંઈક બીજું છે. આનાં ખુલાસા સાથે આવતે અઠવાડિયે આ શ્રેણીનો ઉપસંહાર કરવામાં આવશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જાન્યુઆરી 2022

Loading

‘શુદ્રા’થી ‘જય ભીમ’ અને ‘ભવની ભવાઈ’: શોષણનાં બદલાતાં રૂપ

સોનલ પરીખ|Opinion - Opinion|20 January 2022

વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવાદ આપણા દેશની લાક્ષણિકતા છે. દેશ એનાથી બંધાયેલો છે ને એનાથી તૂટતો રહ્યો છે. શોષણ અને અન્યાયના આ સળગતા ખેલની જ્વાળાઓ પર સત્તાવાળાઓ પોતાની રોટલી શેકતા રહ્યા છે. આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને અનેક અસરકારક ફિલ્મો બની છે. એમાંની અમુક અહીં ચર્ચવામાં આવી છે …

થોડા વખત પહેલા કેરળમાં એક નીચી જ્ઞાતિનો છોકરો 200 રૂપિયાની કિંમતના ચોખા ચોરતાં પકડાયો. લોકોએ તેને ખૂબ માર્યો અને પોલિસને સોંપ્યો. પોલિસે પણ મારપીટ કરી. એ ભૂખ્યો હતો, માનસિક રીતે અસ્વસ્થ હતો એમાં આટલો માર. છોકરો મરી ગયો એટલે આખી વાત છાપામાં આવી, બાકી આવા કેટલા બનાવ આ દેશમાં બનતા હશે, તેનો કોઈ હિસાબ નથી. એક તારણ મુજબ રોજની ચાર દલિત સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે, એ જાણીને એક પત્રકારના મોંમાંથી નીકળી ગયું, ‘બસ?’ આ પ્રતિભાવના અનેક અર્થ છે અને એ દરેકના પડછાયા ઘેરા અને લાંબા છે.  

વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવાદ આપણા દેશની લાક્ષણિકતા છે. દેશ એનાથી બંધાયેલો છે ને એનાથી તૂટતો રહ્યો છે. શોષણ અને અન્યાયના આ સળગતા ખેલની જ્વાળાઓ પર સત્તાવાળાઓ પોતાની રોટલી શેકતા રહ્યા છે. આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને અનેક ફિલ્મો બની છે. તાજેતરમાં આવેલી ફિલ્મ ‘જય ભીમ’ આ જ વિષયવસ્તુ પર બની છે અને ખૂબ ચર્ચાઈ રહી છે ત્યારે વાત કરીએ થોડી ઉદાહરણરૂપ ફિલ્મોની.

‘જય ભીમ’ સત્યઘટના પરથી બની છે. નેવુંના દાયકામાં તમિલનાડુના એક નાના ગામનો આદિવાસી પોલિસના મારથી મૃત્યુ પામ્યો. આ અન્યાય બદલ યુવાન ધારાશાસ્ત્રી ચંદન પોલિસ વિરુદ્ધ લડ્યો હતો. આ ઘટના પરથી બનેલી ‘જય ભીમ’ અસરકારક રીતે એ બતાવે છે કે આપણા મહાન ભારતમાં માણસ કોઈ ખાસ જ્ઞાતિનો હોય અને ગરીબ હોય એટલે એને ગુનેગાર સમજવાનું ને સજા કરવાનું લાયસન્સ એના શેઠને અને પોલિસને આપોઆપ મળી જાય છે. એ લોહીલુહાણ, હલીચલી પણ ન શકે એવી સ્થિતિમાં હોય છતાં એ ‘ભાગી ગયો’ એમ પુરવાર કરી શકાય છે. ખૂબ જોખમ ઉઠાવીને એ માણસની સગર્ભા પત્નીને મદદ કરતો અને એ પોલિસના મારથી મરી ગયો હતો એમ સાબિત કરતો વકીલ સાચું જ કહે છે, ‘કૉર્ટનું મૌન સૌથી વધુ જોખમી છે.’

જ્ઞાતિવાદની ભયંકરતા 2012ની ફિલ્મ ‘શૂદ્રા’માં પણ અસરકારક રીતે બતાવાઈ હતી. દલિતોને વહેતી નદીમાંથી પાણી ન મળે. એમને ગળે કુલડી અને પાછળ સાવરણી બાંધીને ફરવું પડે, એના બાળકને ભગવાનનું નામ લેવા બદલ સજા થાય, એમની સ્ત્રીઓને જમીનદારની વાસનાનો શિકાર બનવું પડે – દલિતો સાથે ભૂતકાળમાં જે થતું તેનો દસ્તાવેજી નમૂનો જ જોઈ લો. અંતે દલિતો જાગે છે, વિદ્રોહ કરે છે, પણ એ કરુણાન્ત નીવડતો બતાવાયો છે. આખી ફિલ્મ ડિસ્ટર્બ થઈ જવાય તેવા અત્યાચારોથી ભરેલી છે. વિ.હિ.પ. અને બજરંગ દળે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાવ્યો હતો.

2019ની ફિલ્મ ‘આર્ટિકલ 15’માં યુરોપમાં રહેલા અને દિલ્હીમાં ભણેલા એક આઈ.પી.એસ. અફસરનું પોસ્ટિંગ ગ્રામીણ ભારતમાં થાય છે તેના થોડા જ દિવસમાં ત્રણ દલિત છોકરીઓ ગુમ થઈ જાય છે, બેની લાશ બીજા દિવસે ઝાડ પર લટકતી મળે છે, ત્રીજી ક્યાં છે કોઈને ખબર નથી. કેસ બંધ કરવાના ખૂબ દબાણ વચ્ચે અફસર પોતાની ફરજ બજાવતો રહે છે. આખરે સત્ય બહાર આવે છે. છોકરીઓનો ગુનો એ હતો કે એમણે ત્રણ રૂપિયાનો પગારવધારો માગ્યો હતો. ‘આ હિંમત? એ લોકોને એમની જગ્યાએ રાખવા જ પડે.’ માલિક કહે છે અને છોકરીઓને ઉપાડી જવાય છે. એમની સાથે શું થયું હશે એ કહેવાની જરૂર નથી. ભારતના બંધારણની પંદરમી કલમ કહે છે કે સૌ સમાન છે. … છે?

1959ની ‘સુજાતા’માં ઊંચનીચના ભેદભાવનું ગાંધીઅન સૉલ્યુશન હતું. ‘સુજાતા’, મૂળ તો સુબોધ ઘોષની બંગાળી વાર્તા. અનાથ અછૂત સુજાતા(નૂતન)ને એન્જિનિયર ઉપેન અને એની પત્ની(તરુણ બૉઝ, સુલોચના)એ એમની ઉછેરી છે. સમજણી થયા પછી સુજાતા અનુભવે છે કે આ ઘરમાં પોતે ‘દીકરી જેવી’ છે ખરી, પણ ‘દીકરી’ નથી. સંબંધોમાં રહેલું આ એક હાથનું અદૃશ્ય અંતર સુજાતાને સમજાયું હોવા છતાં એ એક બ્રાહ્મણ યુવક અધીર(સુનીલ દત્ત)ને ચાહી બેસે છે અને પછી … પછી સમીકરણો ઝડપથી બદલાય છે. અમુક જ્ઞાતિ કે વર્ણમાં જન્મ લેવાથી માણસ મોટો કે નાનો નથી થઈ જતો એ ગાંધીપ્રેરિત વિચાર ખૂબ સુંદર અને કલાત્મક રીતે ફિલ્મમાં વણી લેવાયો છે.

એક ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ આ સંદર્ભે ખાસ યાદ કરવા જેવી છે. 1980માં બનેલી આ ફિલ્મને અનેક ઍવૉર્ડ મળ્યા હતા અને ઓમ પુરી, સ્મિતા પાટિલ, નાસિરુદ્દીન શાહ, મોહન ગોખલે, સુહાસિની મૂળે અને દીના પાઠક જેવાં કલાકારોએ અભિનય કર્યો હતો. આઝાદીની લડત દરમિયાન ભૂગર્ભ રેડિયો ચલાવનાર ઉષાબહેન મહેતાના ભત્રીજા અને એમના પર ફિલ્મ બનાવવા માટે અત્યારે કરણ જોહર સાથે જેની સ્પર્ધા ચાલે છે, એ કેતન મહેતા ત્યારે એફ.ટી.આઈ.આઈ.માંથી તાજા સ્નાતક થયા હતા. એમની આ પહેલી ફિલ્મ હતી.

ચક્રસેન રાજા(નાસીરુદ્દીન શાહ)ના દરબારમાં એક દિવસ ખૂબ દુર્ગંધ આવે છે. ખબર પડે છે કે આજે ભંગીઓ લગ્ન હોવાથી સફાઈ કરવા નથી આવ્યા. રાજા એમને પકડી મંગાવી માર મરાવે છે. આ રાજાને બે રાણી છે. મોટી રાણીને પુત્ર અવતરે છે ત્યારે નાની રાણી જ્યોતિષીને લાંચ આપી ‘આ છોકરો તમારો જીવ લેશે’ એવું કહાવે છે, રાજા નવજાત બાળકનો વધ કરવાનો હુકમ આપે છે, સિપાઈ એને પેટીમાં તરતો મૂકી દે છે, અને એ ભંગી દંપતી માલો અને ધોળી(ઓમ પુરી, દીના પાઠક)ના હાથમાં આવે છે. બન્ને એને દીકરો ગણી ઉછેરે છે. રાજા પુત્રપ્રાપ્તિ માટે વાવ ચણાવવાનું શરૂ કરે છે. વાવ ચણાઈ રહે છે ત્યાં આ છોકરો જીવો યુવાન થઈ જાય છે. જીવો એ જ પેલો રાજકુમાર, એ જાણી ગયેલા જ્યોતિષી ગતકડું કરે છે, ‘વાવ બત્રીસલક્ષણાનો ભોગ માગે છે.’ અને ‘માલાનો દીકરો જીવો બત્રીસલક્ષણો છે.’ એનો ભોગ આપવાનું નક્કી થાય છે. રાજા, ગામમાંથી આભડછેટ દૂર કરવાની જીવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું વચન આપે છે.

ફિલ્મના અંત બે છે. એક તો વાર્તાનો હોય એવો સુખદ. જીવો બચી જાય છે, રાજા દીકરાને ભેટે છે, વાવમાં પાણી આવે છે ને ભંગીઓ કુલડીઓ અને ઝાડુ ફગાવીને નાચે છે ‘સુખનો સૂરજ ઊગ્યો’. એ ક્ષણે બ્રેકિંગ ધ ફૉર્થ વૉલ ટૅકનિકથી રંગલો સીધો પ્રેક્ષકો સાથે સંવાદ માંડે છે. જીવો કહે છે, ‘વાહ તમારો સુખનો સૂરજ, વાહ તમારું ગાણું, વાતોની તાંતોથી ગૂંથ્યું કરોળિયાનું જાળું … અંત કહું મારા મનનો, સાર અમારા જીવનનો … હવે માગીએ છોળ પ્રલયની કાળઝાળ વિકરાળ’ અને બીજા અંતનું દૃશ્ય ઊઘડે છે. જીવાનો શિરચ્છેદ થાય છે. માલો વાવમાં પડતું મૂકે છે, પાણીની છોળો ઊડતી આવે છે ને રાજા સહિત બધા તણાઈ જાય છે. આ દૃશ્યો સાથે આઝાદીની લડતનાં દૃશ્યોનું જક્સ્ટાપૉઝિશન રચાય છે. આ બધું જોઈ-સાંભળી રહેલી પૃથ્વી એ પણ જુએ છે કે રાજાઓ ગયા, ભેદો ગયા. ધુમાડા ફૂંકતી ચીમનીઓ સામે સૌની હાલત સરખી છે.

આ ફિલ્મ ધીરુબહેન પટેલના નાટક ‘ભવની ભવાઈ’ પરથી બની હતી અને ભવાઈના જનક અસાઈત ઠાકોરને અર્પણ થઈ હતી. એન.એફ.ડી.સી.એ આપેલા સાડાત્રણ લાખ રૂપિયામાંથી જ એ બની હતી. મોટા ભાગના કલાકારોએ વગર મહેનતાણે અભિનય કર્યો હતો.

અકબર ઈલાહાબાદીનો જુદા સંદર્ભે લખાયેલો આ શેર અહીં લાગુ પડે છે, ‘હમ આહ ભી ભરતે હૈં તો હો જાતે હૈં બદનામ, વો કત્લ ભી કરતે હૈં તો ચર્ચા નહીં હોતી …’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 નવેમ્બર 2021 

Loading

સાથી ન કારવાં હૈ, યે તેરા ઇમ્તિહાં હૈ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 January 2022

હોલિવૂડની ફિલ્મોના અશ્વેત હિરોમાં દંતકથા બની ગયેલા સિડની પૉટિયે[Sidney Poitier]નું ૭મી જાન્યુઆરીના રોજ, ૯૪ વર્ષની વયે, લોસઍન્જલ્સના બેવરલી હિલ્લસ ખાતે અવસાન થઇ ગયું. ૧૯૬૪માં, 'લિલીઝ ઓફ ધ ફિલ્ડ' નામની ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે ઓસ્કાર એવોર્ડ જીતનારો સિડની પહેલો અશ્વેત અભિનેતા હતો.

એક અભિનેતા તરીકે, નાગરિકતા અધિકાર અંદોલન દરમિયાન સિડનીએ એક આખી પેઢીને પ્રેરણા આપી હતી. ૫૦ અને ૬૦ના દાયકામાં જ્યારે અમેરિકમાં નસ્લભેદની લઈને તનાવની સ્થિતિ હતી, ત્યારે સિડનીએ કટ્ટરતા અને રૂઢિવાદને પડકારતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ૧૯૬૭માં આવેલી 'ગેસ હુઝ કમિંગ ટૂ ડિનર' અને 'ઇન ધ હીટ ઓફ ધ નાઈટ' મહત્ત્વની ફિલ્મો હતી.

એ જ વર્ષે, તેની ત્રીજી એક મહત્ત્વની ફિલ્મ, 'ટૂ સર, વિથ લવ' આવી હતી. એ ફિલ્મમાં, સામાજિક અને નસ્લીય મુદ્દાઓથી ખદબદતી લંડનની એક સ્કૂલમાં ભણતાં ઉદ્દંડ છોકરાઓને એક આદર્શવાદી શિક્ષક કેવી રીતે સીધા રસ્તે લાવે છે, તેની કહાની હતી. એ ફિલ્મમાં 'ટૂ સર, વિથ લવ' નામનું થીમ સોંગ ગાનારી સ્કોટિશ ગાયિકા લુલુ કહે છે કે, "સિડની મારા મિત્ર, મારા શિક્ષક અને મારા પ્રેરણામૂર્તિ હતા."

આપણે ત્યાં અને બહાર, શિક્ષકોના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બને છે. 'ટૂ સર, વિથ લવ' એવી એક અનોખી ફિલ્મ હતી, જેમાં સિડનીએ એક સંવેદનશીલ શિક્ષક તરીકે સ્કૂલના વિધાર્થીઓ અને અભિનેતા તરીકે દર્શકોનો આદર મેળવ્યો હતો.

એ ફિલ્મ પ્રેમમાં પડી જવાય તેવી હતી. આપણો વિનોદ ખન્ના પણ પડી ગયો હતો. તેની 'ઇમ્તિહાં' યાદ છે? જો ફિલ્મ યાદ ન હોય, તો કિશોર કુમારનું સદાબહાર ગીત 'રુક જાના નહીં, તું કહીં હાર કે' તો યાદ હશે જ. 'ઇમ્તિહાં'નું એ ગીત એટલું જ લોકપ્રિય થયું હતું, જેટલું 'ટૂ સર, વિથ લવ' થયું હતું. ૧૯૭૪માં આવેલી અને તમિલ ફિલ્મ 'નૂતૃક્કુ નૂરુ'ની રિમેક, 'ઇમ્તિહાં'નો મૂળ પ્રેરણાસ્રોત સિડની  પૉટિયેની 'ટૂ સર, વિથ લવ' હતી.

જેમ 'ટૂ સર, વિથ લવ' સિડની  પૉટિયેની કારકિર્દીમાં એક માઈલસ્ટોન ફિલ્મ ગણાય છે, તેવી રીતે વિનોદ ખન્નાની ફિલ્મી સફરમાં ત્રણ ફિલ્મો તેને એક અપવાદરૂપ અભિનેતાના રૂપમાં સ્થાપિત કરે છે; ૧૯૭૧માં આવેલી રાજ ખોસલાની 'મેરા ગાંવ મેરા દેશ,' ૧૯૭૩માં આવેલી ગુલઝારની 'અચાનક' અને ૧૯૭૪માં આવેલી મદન સિન્હાની ‘ઇમ્તિહાં'.

'દસ નંબરી,' 'રાજા જાની,' 'શરાફત,' 'રાત ઔર દિન' અને 'બંદિશ' જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરનાર મદન સિન્હાએ બે જ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું; નૂતન અને મોહનિસ બહેલની 'યેહ કૈસા કર્ઝ' અને વિનોદની ‘ઇમ્તિહાં'.

ઉપર વાત કરી તેમ, આપણે ત્યાં સ્કૂલ-કોલેજના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે, અને એમાં ય, વિધાર્થીઓનાં જીવનની સંવેદનશીલતા અને શિક્ષકના બોધપાઠ વચ્ચેના નાજુક સંબંધને ઉજાગર કરતી હોય તેવી ફિલ્મો તો એથી ય ઓછી છે. થોડાં નામો :

સત્યન બોઝ નિર્દેશિત, અભી ભટ્ટાચાર્ય અભિનિત ‘જાગૃતિ’ (“આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી”), રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ (“ઈચક દાન બીચક દાના”), શમ્મી કપૂરની ‘પ્રોફેસર’ (“આવાજ દે કે હમે બુલા લો”), ગુલઝાર-જીતેન્દ્રની ‘પરિચય’ (“મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ઠીકાના”), મહેશ ભટ્ટ-નસીરુદ્દીન શાહની ‘સર’ (“આજ હમને દિલ કા કિસ્સા તમામ કર દિયા”) અને આમિર ખાનની ‘તારે જમીં પર’ (“દેખો ઇન્હેં યે હૈ ઓંસ કી બુંદે”).

આ બધામાં, 'ટૂ સર, વિથ લવ'ની પ્રેરણાને ભૂલી જઈએ તો પણ, ‘ઇમ્તિહાં’ ઘણા બધા અર્થમાં કોલેજની વાસ્તવિકતાને મૌલિક રીતે પેશ કરવામાં સફળ રહી હતી. એ વર્ષે બોક્સ ઓફિસ પર તોતિંગ ફિલ્મોની સ્પર્ધા હતી. જેમ કે, મનોજ કુમારની ‘રોટી, કપડાં ઔર મકાન,’ રાજેશ ખન્નાની ‘પ્રેમ નગર,’ ‘આપ કી કસમ,’ અને ‘રોટી,’ અમિતાભની ‘મજબૂર,’ દેવ આનંદની ‘અમીર ગરીબ,’ શશી કપૂરની ‘ચોર મચાયે શોર’ અને ધર્મેન્દ્રની ‘દોસ્ત.’ એ બધા વચ્ચે ‘ઇમ્તિહાં’ પહેલા નંબરે ઇમ્તિહાં પાસ કરી હતી!

તેની વાર્તા કંઇક આવી હતી : પ્રમોદ શર્મા (વિનોદ ખન્ના) એક સમૃદ્ધ બિઝનેસમેન(મુરાદ)નો આદર્શવાદી દીકરો છે. સમાજ માટે કશું કરી છૂટવાની ભાવનાથી તે પિતાનો ધંધો સંભાળવાને બદલે આદર્શ મહાવિદ્યાલય નામની કોલેજમાં ઇતિહાસ ભણાવવાનું કામ સ્વીકારે છે. પ્રમોદનું કામ એટલે અઘરું છે કારણ કે ત્યાંના વિધાર્થીઓ તોફાની અને અસભ્ય છે. છોકરાઓનો નેતા રાકેશ (રણજીત) છે. ક્લાસમાં પહેલા જ દિવસે રાકેશ તોફાન કરે છે અને પ્રમોદ તેનું સખત અપમાન કરે છે.

પ્રમોદ છોકરાઓને સુધારવા પ્રયાસ કરે છે. એમાં, કોલેજના ચેરમેનની દીકરી રિટા (બિંદુ) પ્રોફેસર તરફ આકર્ષાય છે. બીજી બાજુ, પ્રમોદનો ભેટો કોલેજના પ્રિન્સિપાલની અપંગ દીકરી મધુ (તનુજા) સાથે થાય છે. મધુ એક પાયલોટના પ્રેમમાં હતી અને લગ્ન કરવાની હતી, પરંતુ વિમાન અકસ્માતમાં છોકરાનું મૃત્યુ થઇ ગયું હતું. એ આઘાતમાં મધુ ઘરની સીડીઓ પરથી ગબડી પડી હતી અને તેનો એક પગ કાયમ માટે તૂટી ગયો હોય છે.

પ્રમોદ મધુના જીવનમાં પ્રેરણા અને સકારાત્મકતા લાવે છે, એટલે મધુ તેના પ્રેમમાં પડે છે. રિટાને બંનેનો સંગાથ પસંદ નથી, એટલે તે ઈર્ષ્યામાં આવીને પ્રમોદ પર જાતીય સતામણીનો આરોપ મૂકે છે. રાકેશ એમાં રિટાને સાથ આપે છે. કોલેજના વિધાર્થીઓને અચ્છા ઇન્સાન બનાવવા આવેલા પ્રોફેસર પ્રમોદના ચારિત્ર્યની જ ઇમ્તિહાં શરૂ થાય છે. તેને હવે સર્વેની નજરમાં નિર્દોષ સાબિત થવાનું હોય છે. એમાં તે પાર ઉતરે છે અને ફિલ્મના અંતે, મધુ સાથે જીવન વિતવા માટે તે કોલેજ છોડીને ચાલ્યો જાય છે.

રિટા અને મધુ જ નહીં, દર્શકો પણ આ પ્રોફેસરના પ્રેમમાં પડી ગયા હતા. ઊંચો-પડછંદ વિનોદ ખન્ના કાળી ફ્રેમનાં ચશ્માં અને કોટ-ટાઈમાં સાચે જ આકર્ષક પ્રોફેસર લાગતો હતો. રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચન વચ્ચે વિનોદ ખન્ના સેન્ડવિચ થઇ ગયો એટલે, બાકી તેનામાં સ્ટારડમ અને એક્ટિંગ બંનેનું જબરદસ્ત મિશ્રણ હતું. એ સંસ્કારી પણ એટલો જ હતો. એટલે જ બોલીવુડની ઉંદર-દૌડથી ત્રાસીને મનની શાંતિ માટે રજનીશના આશ્રમમાં જતો રહ્યો હતો. તેની સહકલાકાર તનુજા એક જગ્યાએ કહે છે, “એ આલતુ-ફાલતું ન હતો. એની વાતોમાં કચરો ન હતો. માનસિક રીતે મળતો આવતો હોય તેવા સહકલાકાર સાથે સંવાદ કરવાની અલગ જ મજા છે.”

‘ઇમ્તિહાં’ની બીજી યાદગાર ચીજ તેનું ગીત “રુક જાના નહીં તું કહીં હાર કે’ હતું. લક્ષ્મીકાંત-પ્યારેલાલના કર્ણપ્રિય સંગીતમાં, એમ તો લતા મંગેશકરના કંઠે ગવાયેલું શૃંગારરસથી ભરપૂર ‘રોજ શામ આતી થી મગર ઐસી ન થી’ પણ બેહદ મધુર હતું, પણ કિશોર કુમારના અવાજમાં ગવાયેલું મોટિવેશનલ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. કિશોરનાં ઘણાં ગીતો બેહદ પ્રેરણાદાયી સાબિત થયાં છે. એમાં આ તો વિશેષ હતું, કારણ કે એમાં જીવનના વિવિધ સંઘર્ષોમાં થાક્યા-હાર્યા વગર આગળ વધતા રહેવાની વાત હતી.

ગીત એકદમ સાદું હતું, પણ શ્રોતાઓને તેમાં ખુદની જિંદગી નજર આવતી હતી, એટલે તે પેઢી દર પેઢી લોકપ્રિય રહ્યું છે. શાયર-ગીતકાર મજરૂહ સુલતાનપૂરી મોટા ભાગે સામાજિક નિસ્બતવાળાં ગીતો માટે જાણીતા છે, પણ ‘ઇમ્તિહાં’માં તેમણે જીવનની અત્યંત વ્યક્તિગત ફિલોસોફી પેશ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

ફિલ્મની શરૂઆત પ્રમોદ કોલેજ જોઈન કરવા માટે જતો હોય છે ત્યાંથી થતી હોય છે. તે અમીર બાપની ઈચ્છા વિરુદ્ધ, તેમની દોલતને ઠુકરાવીને, ૫૦૦ રૂપિયાની નોકરી કરવા નીકળ્યો હોય છે. પ્રમોદ કહે છે, “મેં કિસી ભી એસે પૈડ કી છાયા મેં નહીં રહે શકતા, જિસકી છાયા મુજે ધૂપ સે દૂર રખને સે બજાય ઉજાલો સે દૂર રખે.” બાપ તેને રોકવા માટે પ્રયાસ કરે છે, પણ પ્રમોદ ઘર છોડીને નીકળી જાય છે. તેની પીઠ પાછળ બાપ બોલે છે, ‘રુક જાઓ, પ્રમોદ … લૌટ આઓ, બેટે.”

એ ઓપનિંગ દ્રશ્યમાં વિનોદ ખન્ના મહાભારતના અર્જુન જેવો લાગે છે, જેની પીઠ પાછળ બાપનું આક્રંદ છે અને જેની નજર સામે આદર્શ મહાવિદ્યાલયનો રસ્તો છે. એમાં મજરૂહ સુલ્તાનપૂરી જાણે અર્જુનના કૃષ્ણ હોય તેમ લખે છે :

સાથી ન કારવાં હૈ
યે તેરા ઇમ્તિહાં હૈ
યૂં હી ચલા ચલ દિલ કે સહારે
કરતી હૈ મંજિલ તુજકો ઈશારે
દેખ કહીં કોઈ રોક નહીં લે તુજ કો પુકાર કે
ઓ રાહી, ઓ રાહી …

પ્રગટ : ‘બ્લોકબસ્ટર” નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 15 જાન્યુઆરી 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6641,6651,6661,667...1,6701,6801,690...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved