Opinion Magazine
Number of visits: 9570817
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હૃદ્‌ગત હસમુખ શાહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 December 2021

ત્રીજી ડિસેમ્બરે એ ગયા વળતી સવારે કોઈ છાપાએ હસમુખભાઈને પૂર્વનોકરશાહ (એક્સ-બ્યુરોકેટ) તરીકે તો કોઈ છાપાએ એમને આઈ.પી.સી.એલ. કહેતાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડના પૂર્વઅધ્યક્ષ તરીકે ઓળખાવ્યા : હસમુખ શાહ જે તે પાયરીએ નહોતા એવું તો નહીં કહી શકીએ. માત્ર, એમને સફળ નોકરશાહો કે જાહેર સાહસના એવા જ યશસ્વી વહીવટકારોથી મૂલ્યાત્મકપણે જુદા તારવી આપતી બાબત એમની સંસ્કારપર્યેષણામાં હતી જે સમાજવિદ્યાઆએમાં – ખાસી કરીને ઇતિહાસમાં તો બીજી બાજુ પર્યાવરણવિજ્ઞાન જેવા એક કાળે મુકાબલે નવા લેખાયેલાં ક્ષેત્રોમાં સાધિકાર પ્રવેશી (અને પ્રવર્તી પણ) શકતી.

હું મને સદ્‌ભાગી સમજું છું કે દર્શક સાથેના સ્નેહસંબંધ અને કિંચિત્‌ કર્મબાંધવીને કારણે હસમુખ શાહ, બી.કે. પારેખ, અનિલ શાહ પ્રકારના રૂડા સંપર્કમાં મુકાવાનું બન્યું. (હસમુખભાઈના સંપર્કમાં તો ભારતીબહેન અને રમેશભાઈને કારણે એક વધુ તાંતણો પણ ખરો.)

હમણાં મેં સંસ્કારપર્યેષણાની જિકર કરી. આ સહૃદયતા એમને એક વહીવટકાર તરીકે કેવી રીતે ફળી એનું સરસ દૃષ્ટાંત એમણે આઈ.પી.સી.એલ.ની કામગીરી માટે ૨,૦૦૦ એકર જેટલી જમીન જે ધોરણે સંપાદન કરી એમાં જોવા મળે છે. વિપુલભાઈ (લંડન) અને હીરજીભાઈ (નાઈરોબી) એમણે દર્શકના વિદેશવાસી ચાહકો પાસેથી નિધિ એકત્ર કરી જે વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો એનું પ્રથમ વ્યાખ્યાન અમદાવાદમાં ઑક્ટોબર ૨૦૧૬માં ભીખુ પારેખે આપ્યું હતું. અમારા સૌની ઉત્કટ ઇચ્છા હતી કે ઓપિનિયન પ્રેરિત ને લોકભારતી સંચાલિત આ વ્યાખ્યાનમાળાના પહેલા મણકા સાથે અધ્યક્ષ તરીકે હસમુખ શાહ સંકળાય. આમ પણ દર્શક ઇતિહાસ નિધિ તો એમનું જ સર્જન હતું. સ્વાસ્થ્યવશ એ પહોંચી શક્યા નહીં. એમની પ્રસંગનોંધ જરૂર મળી હતી. પછી એકવાર કંઈક વાત નીકળતાં મેં કહ્યું કે વ્યાખ્યાનની સવારે જ સાહિત્યનું નોબેલ બૉબ ડિલનને મળેલું એટલે વિપુલભાઈના સૂચનથી અમે ડિલનની જ રચના સાથે આરંભ કરેલો. નર્મદ જેને કડખેદ કહે તે ડિલનના ઉલ્લેખે હસમુખભાઈ જરી ઉત્તેજિત થઈ ઊઠ્યા – કહે કે તમે વુડી ગથરી (Woody Guthrie)નું ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સાંભળ્યું છે? ડિલને ગથરીનો પ્રભાવ સ્વીકાર્યો છે એ જાણતા હશો. પછી એમણે જમીનસંપાદનની કથા ઉકેલી. જી.આઈ.ડી.સી.એ જે જમીનનો ભાવ એકરે પંદર હજાર રૂપિયાનો મૂક્યો હતો તે આઈ.પી.સી.એલે. છપ્પન હજારના ભાવે લીધી, કેમ કે ખેડૂત કે બીજા જમીનમાલિકોને ન્યાય મળવો જોઈએ. એમણે ‘બિઝનેસ સ્ટૅન્ડર્ડ’માં આ વિશે લેખ કર્યો હતો એની ઝેરોક્સ મોકલી આપી ત્યારે ખયાલ આવ્યો કે પોતાની પૂર્વે થયેલ જમીનસંપાદનના અસરગ્રસ્તો છતે વળતરે રસ્તા પર પણ હોઈ શકે છે એનુંયે કંઈક કરવું જોઈએ. એમના પુનર્વસન માટે આઈ.પી.સી.એલે. કરેલા પ્રયાસની તપસીલ એક સહૃદય વહીવટકારનું ચિત્ર ઉપસાવે છે. (યુ.કે.ની એક નોંધપાત્ર સંસ્થાએ આઈ.પી.સી.એલ.ની વિશ્વસ્તરે શ્રેષ્ઠરૂપે આંકણી કરેલી તે સાંભરે છે.)

‘દીઠું મેં’ અને ‘નિરુધેશે’માંથી પસાર થઈએ ત્યારે પણ સંસ્કારિતામંડિત વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય થતો રહે છે. રાજકીય ગલિયારીઓમાંના પ્રત્યક્ષ દર્શનનીયે ઝલક મળી રહે છે. જવાહરલાલ ગયા અને કુલદીપ નાયરે જે રીતે મોરારજીભાઈને બદલે શાસ્ત્રીજીનું નામ આગળ આણ્યું એ તો બિલકુલ અંતરંગ માહિતી છે. પરિચય કે સીધી વગ વગર વિદ્યાર્થીને ભણવામાં નિરપેક્ષ સહાયરૂપ થતા મોરારજી દેસાઈનું ચિત્ર પણ હૃદ્ય છે. મોરારજી અને ચરણસિંહ ગયા છે, ઈન્દિરાજી પાછાં વડા પ્રધાન થયાં છે. પૂર્વ વડા પ્રધાન મોરારજી એક અંતરાલ પછી દિલ્હી આવ્યા છે. એમનો ને હસમુખ શાહનો સંબંધ જાણતાં ઈંદિરાજી કહે છે કે તમે મારી સાથે દફતરમાં છો એથી સંકોચ ન કરશો અને એમને જરૂર મળવા જશો. આ પ્રસંગ ઇંદિરાજીને જુદી રીતે ઓળખાવનારો છે.

તાજેતરનાં વર્ષોમાં એમનું બહાર નીકળવાનું ઘટતું ગયું. એકવાર, ઇતિહાસ નિધિની બેઠક માટે વડોદરા જવાનું મારે પક્ષે શક્ય ન બન્યું એટલે રૂબરૂ મળવાની તક ન રહી. પ્રસંગોપાત ફોનથી વાત થઈ એ સિલકમાં ! પરિષદ પ્રમુખ પદે હું ચુંટાઈ આવ્યો ત્યારે એમણે અભિનંદનના ફોન સાથે કોઈક યોજના પરિષદ સંદર્ભે વિચારતા હોવાનો સંકેત આપ્યો હતો. વડોદરા મળીશું એમ વિચારેલું, પણ કોરાનાકાળમાં એ માટે અવકાશ જ ન મળ્યો.

પ્રસંગે ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સંભારી શકે અને ટાઈનામેન સ્ક્‌વેરમાંયે પ્રત્યક્ષદર્શી હોઈ શકે એવી શખ્સિયત અલબત્ત દેવદુર્લભ!

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 03

Loading

મારા વિવેચનની તળભૂમિ અને પ્રવાસભૂમિ

ધીરેન્દ્ર મહેતા|Opinion - Literature|17 December 2021

આ કાર્યક્રમ મારી દૃષ્ટિએ અનેક રીતે વિશિષ્ટ છે. પહેલી વાત એ કે આપણે માટે પ્રમાણમાં નવીન કહી શકાય એવું માધ્યમ યોજીને એણે એક માયાલોક ઊભો કર્યો છે. માયાલોક એ રીતે કે એમાં જે છે એ નથી અને નથી તે છે; એવી જ રીતે જે નજીક છે, તે દૂર છે અને દૂર છે, તે નજીક છે; એવો આ અજાયબ ખેલ છે. કલાના જગતમાં જેને ‘મેઈક બિલિવ’ કહે છે એવું કંઈક.

બીજું, જે શહેર સુરતથી આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન થઈ રહ્યું છે, એ સુરત શહેર સાથે મારે જે સંબંધ રહ્યો છે, તે મારી સ્મૃતિને આ ક્ષણે આકર્ષે છે. કેટકેટલા અને કેવાકેવા સારસ્વત વડીલો અને મિત્રોએ મને એની સાથે એક યા બીજી રીતે જોડી રાખ્યો છે : નંદશંકર અમારા કચ્છરાજ્યના દીવાન હતા. જ્યોતીન્દ્ર દવે માંડવી કૉલેજમાં આચાર્ય હતા ત્યારે અવારનવાર એમનું સાંનિધ્ય મને સાંપડ્યું હતું. મારા વિદ્યાગુરુ અને વિવેચન ક્ષેત્રે મારું ઘડતર કરનાર યશવન્ત શુક્લનું ઘડતર અહીં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની નિશ્રામાં થયું હતું. એ હકીકત ધ્યાનમાં લઉં છું કે તરત એ પ્રસંગ પણ યાદ આવે છે કે ‘મૈત્રી’ નિવાસના આંગણે ‘દ્રુમપર્ણ’ની ભેટ રૂપે હું એમના શુભાશિષ પામ્યો હતો. એ અવસરે ભગવતીકુમાર શર્મા મારી સાથે હતા, એનું મધુર સ્મરણ પણ થાય છે. ડૉ. રમેશ શુક્લ, હતા તો મારા અધ્યાપક, પરંતુ એ મુરબ્બી હંમેશાં મિત્રભાવને જ આગળ કરતા રહ્યા. એમનું વિદ્યાકાર્ય મોટે ભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં થયું. પરંતુ એમની ભોંય સુરતની જ રહી.

આ ચંદ્રક મને નર્મદ સાહિત્ય સભા આપે છે, એનો મહિમા પણ મારે મન ઓછો નથી. મિત્રો, મને મનમાં-મનમાં એમ થાય છે કે આ ચંદ્રક જાણે મને એ નર્મદ આપી રહ્યો છે, એ નર્મદ જે પોતાના ‘સરસ્વતીમંદિર’ના ‘અડ્ડા’માં, એણે યોજેલો આ શબ્દ આગળ ચલાવીને કહું તો, ‘તકરાર કરવા, વાદવિવાદ અને ચર્ચાવિચારણા’ કરવા સારસ્વત-યોદ્ધાઓને નોતરતો રહેતો હતો અને સુરતના જ નવલરામે આપણને આપેલા વિવેચન-ઓજારની ધાર કાઢતો હતો.

આવા આ ‘ક્યારેક્ટર’ નર્મદના નામની સાથે સાહિત્યના એક બીજા ગંભીર ઉપાસકનું નામ પણ આ ચંદ્રક પર અંકિત થયેલું છે એ છે મોહનલાલ પાર્વતીશંકર દવે. ગઈ સદીના આ પીઢ વિદ્વાને ઈ.સ. ૧૯૦પમાં સંસ્કૃત વિષયમાં એમ.એ. અને ૧૯૦૭માં એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરીને સુરત અને મુંબઈની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમની પાસેથી આપણને નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ અને જીવનચરિત્રનાં પુસ્તકો પ્રાપ્ત થયાં છે. મને જ્યારે એ વાતની જાણ થઈ કે આ ચંદ્રક એમની સ્મૃતિમાં અપાય છે, ત્યારે મારી સમક્ષ અચાનક અતીતનું એક પૃષ્ઠ ઊઘડી ગયું અને ઝબકાર થયો કે મોહનલાલ દવે ‘જીવનપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા, એમાં મારાં કાવ્યો પ્રગટ થયાં હતાં. અતીત સાથે વર્તમાનની ક્ષણ ક્યારે કેવી રીતે જોડાઈ જાય છે અને એ અનુભવ કેવો રોમહર્ષક હોય છે!

એક અન્ય કારણસર પણ આ પ્રસંગ મારે માટે અનોખો છે : સર્જનાત્મક સાહિત્યકૃતિઓ માટે અત્યાર સુધી મને નાનાંમોટાં અનેક પારિતોષિક પ્રાપ્ત થયેલાં છે, પરંતુ વિવેચન માટે મને આ પહેલી વાર પોંખવામાં આવી રહ્યો છે અને એ વિજયવાવટો શાસ્ત્રીજીએ ફરકાવ્યો છે, એનો ય સંતોષ હોય. હવે આ નિમિત્તને લઈને થોડી વાત કરું. જો કે, એ સ્પષ્ટતા કરી લઉં કે મારે માટે આ પ્રસંગ મુખ્યત્વે કેફિયતનો નહિ, પ્રતિભાવનો છે, એટલે એ ઢબે જ મેં મારી વાત માંડી છે, તે તમે સૌ જોઈ શક્યા હશો.

વિવેચન માટેના આ ચંદ્રક માટે મારી પસંદગી, અહીં કહેવાયું તેમ, ખાસ કરીને મારા વિવેચનગ્રંથ, ‘કથા, તું બહુરૂપિણી!’–ને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. પણ એ તો એક વ્યવસ્થા રૂપે, એમ હું સમજું છું, એટલે હું એ રીતે જ વાત કરું અને વિચારું કે મારે માટે વિવેચન એ શી ચીજ છે.

મારી સમજ પ્રમાણે વિવેચનની આખી પ્રક્રિયા એ સાહિત્યપદાર્થને પામવાની પ્રક્રિયા છે અને વિવેચન એ પ્રક્રિયા દરમિયાનના અનુભવની વાત કરે છે, આ અંગે કશો મતભેદ જોવામાં આવતો નથી, આપણે ત્યાં ‘પ્રતિભાવ’ સંજ્ઞા એ સંદર્ભમાં જ રૂઢ થયેલી છે. સાવ સાદી રીતે આ વાત સમજવી હોય તો કોઈ સામયિકને પોતાની રચના મોકલતી વખતે પણ તેનો રચયિતા સામયિકના તંત્રી-સંપાદકને જણાવતો હોય છે કે ‘પ્રતિભાવ આપશો.’

આપણા પ્રાચીન મીમાંસકો પણ કૃતિને પામવાની પ્રક્રિયા વર્ણવતી વખતે ‘પ્રતિભાવન’ની ચર્ચા કરે છે. મતલબ કે જેને આપણે વિવેચક કહીએ છીએ કે અસલમાં ભાવક છે. આ ભાવકનો એટલો તો મહિમા છે કે સર્જનની પરિણતિ ભાવકના ચિત્તમાં થાય છે, એવી આપણી પ્રતીતિ છે અને આપણે ‘કારયિત્રી પ્રતિભા’ની તોલે ‘ભાવયિત્રી પ્રતિભા’ને મૂકી છે. આ પ્રક્રિયાનું આપણને ભાન નથી હોતું, ત્યારે પણ એ પ્રવર્તમાન તો હોય જ છે. ક્યારથી? મારો અંગત અનુભવ એમ કહે છે કે માને કંઠે હાલરડાં સાંભળ્યાં, ત્યારથી, નહિતર અમુક હાલરડું સાંભળતી વખતે હું એને એમ કેમ કહેત કે આ નહિ પેલું હાલરડું મા. આ ભાવનવ્યાપાર જ તો.’ રુચિ, અરુચિ કે ભિન્ન રુચિ, જેમાં વિવેચને પછીથી પ્રેરેલા કેટલા ય ખ્યાલો, અભિપ્રાયો, વિવાદો, મતભેદોના છેવટના કે છૂટકાના ખુલાસા પડેલા છે. વિવેચકમાં અપેક્ષિત ‘સહૃદયતા’ એના રુચિવિશેષ પર આધારિત છે. કૃતિની સ્વરૂપભિન્નતા પ્રમાણે એને તપાસવાનાં ઓજાર જુદાં હોય, પરંતુ ચાલકબળ તો આ જ.

મારી વિવેચનપ્રવૃત્તિની ચાલનાને તપાસું છું, તો એમાં શિક્ષણે બળ પૂર્યું જણાય છે. કોઈ કવિની છંદની હથોટી જોઉં કે એનો પ્રભાવ પડે, કોઈની અલંકારયોજના ચમત્કૃત કરે, કોઈની પદાવલિ … ઔપચારિક શિક્ષણમાં પ્રસ્તુત ન હોય એવા મુદ્દા ચિત્તમાં ઉપસ્થિત થાય, છેક નાનપણમાં પણ … અને મન પસંદગી-નાપસંદગીમાં પડે. એમ કલાદૃષ્ટિ કેળવાતી ગઈ એ તો ખરું, પરંતુ એક જુદી વાત પણ બની. દૃષ્ટાન્તોની મદદથી હું એ રજૂ કરું ? નાનાલાલ અને મેઘાણી, મારા પિતાજીના પ્રિય કવિ. પિતાજી મોજમાં હોય, ત્યારે એમનાં કાવ્યો લલકારે. એ સાંભળું ત્યારે ‘કોઈનો લાડકવાયો’ ગમે, ‘વીરની વિદાય’ ન ગમે; ‘તલવારનો વારસદાર’ સાંભળું તો પ્રશ્નો થાય. આમ કેમ થતું હતું એનો કોઈ ઉત્તર એ વખતે મારી પાસે નહોતો કે નહોતું એવું કોઈ આસપાસમાં, જેની પાસેથી એનો ઉત્તર મને મળી શકે. આજે વિચારું છું, તો એમ લાગે છે કે મૂલ્યોની અજ્ઞાત સ્વીકૃતિ-અસ્વીકૃતિમાં એનો ઉત્તર પડેલો હોવો જોઈએ. એમ લાગે છે, એ સ્વાધ્યાય અને શિક્ષણનો પ્રતાપ. મારા સાહિત્યવિવેચન અભિગમમાં મૂલ્યદૃષ્ટિએ જગા કરી લીધી, એનાં મૂળ કદાચ ત્યાં સુધી ફેલાયેલાં હોવાં જોઈએ. વિવિધ વાદનો પરિચય થયા પછી અને આધુનિક સાહિત્યના સંપર્કમાં મુકાયા પછી પણ આ મૂળિયાં ઊખડ્યાં નહિ. પીએચ.ડી. માટેના મારા શોધનિબંધનો મુદ્દો ગુજરાતી નવલકથામાં નિરૂપાયેલા નિયમો અને સમકાલીન પરિબળોના સંબંધને લગતો હતો, અને એ પછી ય મેં ગુજરાતી નવલકથામાં જણાયેલા મૂલ્યસંદર્ભોની તપાસ કરતા સ્વાધ્યાયલેખોનો સંચય ‘નિસબત’ નામથી કર્યો-તે બધું જોતાં હું આમ કહેવા પ્રેરાઉં છું.

આપણી વિવેચનપરંપરા સમૃદ્ધ અને સમુજ્જવલ છે, તે ઝાઝે ભાગે તો તપોનિષ્ઠ અધ્યાપકોને લઈને. એમના વારસા રૂપે, અધ્યાપનકાર્ય કરતાં-કરતાં વિવેચન માટે આવશ્યક પરંપરાપરિચય, શાસ્ત્રજ્ઞાન અને શિસ્તજન્ય સજ્જતાની ગડ બેસતી ગઈ.

એક સંયોગની વાત પણ કરું. બી.એ. અને એમ.એ., બન્ને કક્ષાએ મારે નવલકથાસ્વરૂપનો વિશેષ અભ્યાસ કરવાનો આવ્યો હતો – વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓના નમૂના સાથે. પછી સહજક્રમે પીએચ.ડી. માટે એ જ સ્વરૂપની સોબતમાં મુકાવાનું થયું. દરમિયાન હું વાર્તા-નવલકથા-લઘુકથા લખતો થયો હતો. કથાવાચનલેખન વખતની મારી મનોદશા વિશે કહું તો કથા વાંચતી વખતે જરૂરી વ્યાવહારિક તાટસ્થ્ય જાળવીને પણ હું એમાં સંડોવાતો હોઉં છું. લેખકની ગતિ કઈ દિશા પકડે છે, કઈ દિશામાં વળે છે, ક્યાં અટકે છે અને ક્યાં પહોંચે છે, એ જોતો-જોતો હું ય કૃતિમાં ગતિ કરતો હોઉં છું અને એમ કરતાં-કરતાં ક્યારેક વિસ્મયનો, ક્યારેક વિક્ષોભનો અનુભવ કરું છું. એ અનુભવપ્રેરિત આ ઉદ્‌ગાર છે – ‘કથા, તું બહુરૂપિણી!’ બહુરૂપિણી તે ફક્ત બાહ્ય સ્વરૂપે-ભેદે કરીને જ નહિ, કથા આંતરિક રીતે પણ આપણી સમક્ષ કેવાં-કેવાં રૂપ પ્રગટ કરતી હોય છે, તેનો સંકેત મેં ગુજરાતી નવલકથાના આરંભકાળથી માંડીને અત્યાર સુધીની કૃતિઓને લઈને આ પુસ્તકમાં સમાવિષ્ટ અભ્યાસ-લેખોમાં કરેલો છે. મારા આ અનુભાવનની વાતને જ વિજયભાઈ અને તમે સૌ વિવેચન કહો છે.                                       

E-mail:dhirendramehta29@gmail.com

[નર્મદ સાહિત્ય સભા, સુરત તરફથી અપાયેલા ‘મોહનલાલ પાર્વતીશંકર દવે ચંદ્રક’(વિવેચન માટે)ના સ્વીકાર પ્રસંગે.]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 05 તેમ જ 03

Loading

દલિતોને અન્યાયની પરંપરા

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|16 December 2021

દીપા મોહનન નામની ૩૬ વર્ષીય દલિત મહિલા કોટ્ટાયમ (કેરાલા) ખાતે ઇન્ટરનૅશનલ ઍન્ડ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર નેનોસાયન્સ ઍન્ડ નેનોટેક્નોલૉજીમાં સંશોધન-છાત્રા હતી. આ સંસ્થામાં નંદકુમાર નામના એક અધ્યાપક સપ્ટેમ્બર ૨૦૧૧થી દીપાને સંશોધનમાં અવારનવાર અને સતત અવરોધો પેદા કરતા હતા. આ અધ્યાપક પાછળથી સંસ્થાના નિયામક તરીકે બઢતી પામ્યા હતા. દીપા મોહનનને સ્ટાઇપેન્ડ, લૅબોરેટરીમાં પ્રયોગ, વિજ્ઞાનસાધનોનો ઉપયોગ કે બેસવાની સુવિધા સુધ્ધાં ન હતી. માત્ર દલિત હોવાના નાતે તે આ જાતિગત ભેદભાવનો ભોગ બની હતી. દીપાની ફરિયાદ પરથી યુનિવર્સિટીએ તેના આક્ષેપોની તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિએ દીપાના નંદકુમાર સામેના આક્ષેપો સાચા માન્યા છે. સમિતિએ દીપાને સંશોધન માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડવા ભલામણ પણ કરી હતી, આમ છતાં દીપાની સ્થિતિમાં કાંઈ જ ફરક પડ્યો નહીં.

દીપાએ પોલીસ તેમ જ યુનિવર્સિટી સત્તાધીશોને કરેલ ફરિયાદ છતાં તેને થતી હેરાનગતિનો અંત આવ્યો નહીં. પોતાની ફરિયાદનો છ વર્ષ બાદ પણ નિકાલ ન થતાં, તેણે આખરે ૨૯ ઑક્ટોબરના રોજ નંદકુમારની સંસ્થામાંથી હકાલપટ્ટીની માંગણી સાથે અચોક્કસ મુદ્દતની ભૂખહડતાળ શરૂ કરી. તેનો એવો પણ આરોપ હતો કે તેના સંશોધન-માર્ગદર્શક ડૉ. રાધાક્રિષ્ણન તેમ જ યુનિવર્સિટી કુલપતિ સાબુ થોમસ, નંદકુમારને છાવરી રહ્યા હતા. કુલપતિનો બચાવ એવો હતો કે નંદકુમાર સારા શિક્ષણવિદ્દ હોવાથી તેમને બરતરફ કરી શકાય નહીં. દીપાએ તા. ૩૧ ઑક્ટોબરના રોજ ફેસબુક પર મૂકેલ પત્રમાં જણાવ્યું : ન્યાય માટેની આ લડતમાં હું પીછેહઠ કરીશ નહીં અને મારી આ લડત અત્યાર સુધીમાં જેમણે ગુમાવેલ છે, તેમના માટે છે. પોતાની નબળી તબિયતે પણ તેણે ભૂખહડતાળ ચાલુ રાખી અને ૧૧ દિવસ બાદ નંદકુમારની બરતરફી સાથે દીપા પોતાની ધ્યેયમાં વિજયી થઈ.

દીપાની આ જીત ઘણી મહત્ત્વની છે; કારણ કે બહુ ઓછા લોકો જાતિગત ભેદભાવ સામેની લડતમાં સફળ થયા છે. અગાઉ અનિલ મીના, બાલમુકુંદ ભારતી, સેંથિલ કુમાર, રોહિત વેમુલા, મુથુકિશ્નન અને પાયલ તડવીને જ્યારે ન્યાયની આશાનું કિરણ નજરે ન પડ્યું, ત્યારે તેમણે આત્મહત્યાથી પોતાનો જીવનનો અંત આણ્યો હતો. દીપાની આ સફળ લડત ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કરવા ઇચ્છતા દલિત વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરક છે. આ તમામ બનાવો સૂચવે છે કે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવનો હજુ અંત આવ્યો નથી. ઑગસ્ટ, ૨૦૨૧માં દિલ્હીની લક્ષ્મીબાઈ કૉલેજમાં રણજિત કૌર નામના અધ્યાપકે નીલમ નામની દલિત અધ્યાપક અને સંશોધનછાત્રાને જાહેરમાં લાફો માર્યો હતો. નીલમનો વાંક એટલો જ હતો કે તેણે કોઈ સભાની કાર્યવાહીમાં વાંચ્યા વિના સહી કરવાનો ઇન્કાર કર્યો હતો. આ બનાવ નજરે જોનાર આંશુ જારવર નામના અધ્યાપકે કહ્યું : “૧૩ માણસોની હાજરીમાં બનેલ બનાવથી અમે હેબતાઈ ગયા હતા કે એક અધ્યાપક પોતાના સાથી અધ્યાપકને લાફો કેવી રીતે મારી શકે.” દિલ્હીની દોલતરામ કૉલેજમાં માનસશાસ્ત્રના અધ્યાપક લે. રીતુ સિંહે કૉલેજ-આચાર્ય સવિતા રૉય પોતે દલિત હોવાના નાતે પૂર્વગ્રહ રાખતા હોવાનો આરોપ સપ્ટેમ્બર, ૨૦૨૦માં કર્યો છે. તેનો આરોપ છે કે તે દલિત અધિકાર માટે સક્રિય તેમ જ ભા.જ.પ.ની ટીકાકાર હોવાથી આચાર્યએ તેને બરતરફ કરેલ છે, અમેરિકાની જ્યૉર્જ યુનિવર્સિટીમાં પીએચ.ડી. થયેલ અને આઈ.આઈ.ટી., મદ્રાસના અધ્યાપક વિપિન વીટીલે પોતે દલિત હોવાના નાતે થતી હેરાનગતિના મુદ્દે રાજીનામું ધરી દીધું હતું.

ભારતસરકારે દિલ્હીની એઇમ્સમાં નીચી જાતિઓના વિદ્યાર્થીઓ તરફ થઈ રહેલ ભેદભાવના આરોપોની તપાસ માટે ૨૦૦૬માં થોરાટ સમિતિની નિમણૂક કરી હતી.

આ સમિતિની ભલામણના આધારે ચલાવાતા ઑનલાઇન વર્ગના આઈ.આઈ.ટી. ખડગપુરના એક અધ્યાપકે આ વિદ્યાર્થીઓને એપ્રિલ, ૨૦૨૦માં બ્લડી બસ્ટડ્‌ર્ઝ તરીકે સંબોધ્યા હતા.

વર્તમાન કાનૂન મુજબ, શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ માટે ૭.૫%, અનુસૂચિત જનજાતિ તેમ જ ઓ.બી.સી. માટે ૨૭% અનામત બેઠકોની જોગવાઈ છે. મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓમાં આ નિયમ જળવાતો નથી. માત્ર વિદ્યાર્થીઓની બાબતમાં નહીં, પણ શિક્ષકોની ભરતીમાં પણ આ નિયમનો ભંગ થાય છે. ૨૦૧૯માં પ્રકાશિત એક અહેવાલ જણાવે છે કે દેશની આઈ.આઈ.ટી. સંસ્થાઓમાં માત્ર ૩% શિક્ષકો અનામત બેઠકોમાં ભરતી કરાયેલ છે. બૅંગાલુરુની આઈ.આઈ.એમ.માં ૫૧૨ અધ્યાપકો પૈકી માત્ર બે અધ્યાપકો અનુસૂચિત જાતિના હતા. જ્યારે અનુસૂચિત જાતિનો કોઈ અધ્યાપક નિમાયેલ ન હતો. અધૂરામાં પૂરું, દેશભરની આઈ.આઈ.ટી. સંસ્થાઓના નિયામકોના જૂથે અનામત બેઠકોની જોગવાઈમાંથી મુક્તિ આપવા સરકાર સમક્ષ રજૂઆત કરેલ છે.

આપણી શિક્ષણ સંસ્થાઓમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં અધ્યાપકોની ૬,૨૨૯ જગ્યાઓ ખાલી હતી, તે પૈકી ૧૦૧૨ અનુસૂચિત જાતિ, ૫૯૨ અનુસૂચિત જનજાતિ અને ૧,૭૬૭ ઓ.બી.સી. જગ્યાઓ અનામત હતી. ઝારખંડમાં સીડો કાન્હુ પુરમુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સોના જહરિયા પિન્ઝ નામનાં આદિવાસી મહિલા છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું છે કે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં એસ.ટી.એસ.સી. સેલ હોતા જ નથી. આથી તેમને થતાં અન્યાયોનું નિવારણ થતું નથી. રોહિત વેમુલાની આત્મહત્યા બાદ એસ.સી.એસ.ટી. (અત્યાચાર નિવારણ) ધારામાં સુધારો કરાયો છે, પરંતુ તેમને થતા અત્યાચારો અટકવાનું નામ નથી લેતા. આવા અત્યાચારો બે પ્રકારના હોય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. દા.ત., તેમની સામે જાતિગત કટાક્ષો કરવા, તેમને ટૉઇલેટ સફાઈનાં કામો સોંપવાં, તેમને અલગ બેસાડવા વગેરે પ્રત્યક્ષ અત્યાચારોનાં ઉદાહરણો છે. પરોક્ષ ઉદાહરણોમાં તેમને સ્ટાઇપૅન્ડ સ્કૉલરશિપની ચુકવણી અટકાવવી, હૉસ્ટેલ પ્રવેશનો ઇન્કાર, તેમની શૈક્ષણિક ગુણવત્તાની અવગણના, વગેરે ગણાવી શકાય.

સર્વોચ્ચ અદાલતે ઑક્ટોબર ૨૦૨૧માં એક ચુકાદામાં કહ્યું છે કે અત્યાચારના મોટા ભાગના કેસોમાં નબળાં અન્વેષણના કારણે આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે. કાયદા હેઠળના નિયમ ૭(૨)માં બનાવના ૩૦ દિવસમાં અન્વેષણ પૂરું કરવાની જોગવાઈ છે. આ જોગવાઈનું ભાગ્યે જ પાલન થાય છે. કાયદાની કલમ ૧૪(૨)માં રોજરોજ કેસ ચલાવી ચાર્જશીટ રજૂ થયાની તારીખથી બે માસમાં કેસ પૂર્ણ કરવા જોગવાઈ કરાયેલ છે. ૨૦૧૮માં પ્રગટ થયેલ અહેવાલમાં જણાવ્યું છે કે કેસ પૂર્ણ થતાં સરેરાશ ૫ વર્ષનો સમય લાગે છે. મોટા ભાગના કેસોમાં આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે. આ ધારા હેઠળ કેસો ચલાવવા માટે મોટા ભાગનાં રાજ્યો ખાસ અદાલતો સ્થાપવામાં નિષ્ફળ ગયા છે. ૨૦૧૮માં પ્રગટ થયેલ અહેવાલ પ્રમાણે દેશના ૭૦૦ જિલ્લાઓમાંથી ૧૪ રાજ્યોના ૧૯૪ જિલ્લાઓમાં આવી ખાસ અદાલતો સ્થપાયેલ છે.

હજુ ગત માસે જ દેશની સર્વોચ્ચ અદાલતે પ્રિન્સ જયબીરસિંગ નામના દલિત યુવાનને મુંબઈ આઈ.આઈ.ટી.માં પ્રવેશ આપવા હુકમ કરેલ છે. તેણે સૌ પ્રથમ ખડગપુર આઈ.આઈ.ટી.માં પ્રવેશ માટે અરજી કરી હતી. તેના પિતા કૉન્સ્ટેબલ છે. ફી ભરવામાં એક દિવસ મોડું થતાં તેને પ્રવેશ આપવા ઇન્કાર કરાયો. મુંબઈ હાઈકોર્ટે તેની અરજી રદ્દ કરી દીધી હતી. આખરે સર્વોચ્ચ અદાલત તેની વહારે આવી છે. જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ બોપન્નાએ મુંબઈ આઈ.આઈ.ટી.ને અસંવેદનશીલ બનવા બદલ ઠપકો પણ આપ્યો છે.

(માહિતીસ્રોત : જનતાવીકલી, તા. ૨૬-૧૧-’૨૧)

૧૬, શ્યામવિહાર, એગોલા રોડ, પાલનપુર.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 06-07

Loading

...102030...1,6631,6641,6651,666...1,6701,6801,690...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved