Opinion Magazine
Number of visits: 9674376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પદ્મ પુરસ્કારોનો અસ્વીકાર યોગ્ય ખરો?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 January 2022

દર વર્ષે પ્રજાસત્તાક પર્વે પદ્મ પુરસ્કારોની જાહેરાત સરકાર દ્વારા થતી હોય છે ને યોગ્ય વ્યક્તિ સુધી સરકારનું સન્માન પહોંચે એવો આશય તેમાં હોય છે. સરકાર દ્વારા યોગ્ય વ્યક્તિની કદર થાય અને તેને યોગ્ય રીતે પોંખવામાં આવે એ ઉપક્રમની સરાહના જ કરવાની રહે. વર્ષમાં એક વાર પદ્મ પુરસ્કારો જાહેર થાય છે એમાં જાણી જોઈને તો કોઈ નબળી વ્યક્તિનું સન્માન કરવાની ગણતરી ન જ હોય, પણ સરકાર સુધી નબળી વ્યક્તિ પણ પહોંચતી હોય એ સાવ અશક્ય તો નથી. ભલામણ યોગ્ય વ્યક્તિની ન પણ થાય ને એવે વખતે અયોગ્ય વ્યક્તિ પણ પુરસ્કાર સુધી પહોંચે એમ બને, પણ હેતુ તો યોગ્યની કદર કરવાનો જ છે તે વાત ભૂલવા જેવી નથી. એવું પણ બનવા સંભવ છે કે યોગ્ય વ્યક્તિની કદર યોગ્ય સમયે ન થાય ને જ્યારે થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય, તે છતાં મોડું તો મોડું સન્માન યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તો તેનો ઉદાર હૃદયે સ્વીકાર કરીને વ્યક્તિ પોતાની ગરિમાનું પ્રમાણ તો આપી જ શકે.

પદ્મ પુરસ્કારોની સ્થાપના 1954માં કરવામાં આવી ને એની ઘોષણા દર વર્ષે ગણતંત્ર દિવસે કરવામાં આવે છે. આ પુરસ્કાર કળા, સાહિત્ય, શિક્ષણ, ચિકિત્સા, રમતગમત, સમાજસેવા, ઉદ્યોગ, વ્યાપાર … જેવાં તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ સેવા બદલ આપવામાં આવે છે. આ પુરસ્કાર જાતિ કે લિંગભેદ વગર કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો સિવાય, સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કાર માટે પાત્ર ગણાતા નથી એટલું સારું છે, નહિતર એ સાધારણ લોકો સુધી ખાસ પહોંચ્યા ન હોત ! આ ભલામણો કોઈ પણ નાગરિકથી માંડીને કેન્દ્ર, રાજ્ય પૂર્વ વિજેતાઓમાંથી કોઈ પણ કરી શકે છે ને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જે ઉત્કૃષ્ટ છે તેની સેવાઓ સુધી આ પુરસ્કાર માનભેર પહોંચે.

આ વર્ષે કુલ ચાર વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન જાહેર કરવામાં આવ્યું, તો 17 વ્યક્તિને પદ્મભૂષણ સન્માનો તથા 107ને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યા. ગયાં વર્ષે જેમનું હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું તે CDS બિપિન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન જાહેર થયું તે બધી રીતે યોગ્ય જ હતું. આ ઉપરાંત ભા.જ.પ.ના પૂર્વ નેતા કલ્યાણસિંહ, ગીતા પ્રેસ, ગોરખપુરના પ્રમુખ રાધેશ્યામ ખેમકાને પણ મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન જાહેર થયું. આ ઉપરાંત કાઁગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, માઈક્રોસોફ્ટના સી.ઇ.ઓ. સત્ય નડેલા, એસ.આઇ.આઇ.ના એમ.ડી. સાયરસ પુનાવાલા, સ્વામી સચ્ચિદાનંદ …ને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે, તો સવજી ધોળકિયા, સોનુ નિગમ, ખલીલ ધનતેજવી જેવા 107ને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

એકંદરે પદ્મ પુરસ્કારો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચતા હોય છે, છતાં ક્યારેક તે વિવાદ પણ નોતરતા હોય છે. અગાઉ પણ પદ્મ પુરસ્કારો જે તે વ્યક્તિએ નકાર્યાના દાખલાઓ મળી રહે એમ છે, એ જ રીતે આ વખતે પણ પુરસ્કારો નકારવાનું 26જાન્યુઆરીથી જ શરૂ થઈ ગયું છે. કમનસીબે ત્રણ વ્યક્તિઓએ પદ્મ પુરસ્કારો સ્વીકારવાનો ઇન્‌કાર કરી દીધો છે ને એ ત્રણે બંગાળીઓ છે. વૃદ્ધ સામ્યવાદી નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલ પદ્મભૂષણ પુરસ્કાર સ્વીકારવાનો ઇન્‌કાર કર્યો છે. તેમને આવાં પુરસ્કારની જાણ નથી ને કોઈએ તે અંગે જણાવ્યું નથી એમ કહીને ભટ્ટાચાર્યે જણાવ્યું કે મને પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હોય તો હું તે સ્વીકારવાનો ઇન્‌કાર કરું છું. પૂર્વ સી.એમ.નાં પત્ની મીરાં ભટ્ટાચાર્યે પતિના નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યું છે કે બુદ્ધદેવ શારીરિક રીતે અશક્ત હોય તો પણ નિર્ણયો લેવામાં તે હજી પણ સ્વસ્થ અને મક્કમ છે. સી.પી.એમ. આમ પણ આવાં પુરસ્કારોને નકારતી આવી છે ને અમારું કામ સામાન્ય લોકો માટે છે, એવોર્ડ માટે નથી. સી.પી.એમ.ની કેન્દ્રીય સમિતિના એક સભ્યે પણ કહ્યું કે સામ્યવાદીઓ એવોર્ડ માટે કામ કરતાં નથી. આમ તો બુદ્ધદેવે બંગાળની જનતાને ભા.જ.પ.ના કહેવાતાં જોખમ સામે ચેતવી હોય ત્યારે એ જ સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર અપાય તો પાર્ટીની જ નીતિ રીતિ પ્રમાણે તે ન સ્વીકારાય એમાં જ પાર્ટીનું ગૌરવ જળવાય. ભા.જ.પ.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પણ કહ્યું કે દેશે તો બુદ્ધદેવને સન્માનિત કરવાનું નક્કી કર્યું, હવે એ સન્માન સ્વીકારવું કે નકારવું એ તેમણે નક્કી કરવાનું છે.

જાણીતા બંગાળી ગાયિકા સંધ્યા મુખરજીએ પણ પદ્મશ્રી નકાર્યો છે. સંધ્યા મુખરજી પાસે સન્માન અંગે સંમતિ માંગવામાં આવી તો તેમણે નકાર સંદર્ભે પ્રશ્નો ઊભા કર્યા હતા. જેમ કે, કોઈ આ રીતે પદ્મશ્રી આપે છે? શું તેમને મારે વિષે કોઈ જાણકારી નથી? 90 વર્ષે મારે પદ્મશ્રી લેવો હશે? હવે કલાકારની કોઈ ઇજ્જત જ નથી રહી. સંધ્યાની વાતોમાં તથ્ય છે. છેક 1971માં ‘જયજયંતી’ અને ‘નિશિપદ્મ’ માટે શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર સરકારે જ આપ્યો હોય તેને 50થી વધુ વર્ષે પદ્મ પુરસ્કાર આપવાનું યાદ આવે એ વિચિત્ર જ છે ને ! 2011માં રાજ્ય સરકારે ‘બંગવિભૂષણ સન્માન’થી સંધ્યા મુખર્જીનું સન્માન કર્યું હોય ત્યાં 2022માં પદ્મશ્રીનું સન્માન મોડું અને ઓછું છે. દેખીતું છે કે તે સન્માન નકારતાં કહે કે મને પદ્મશ્રીની જરૂર નથી, શ્રોતા જ મારે માટે બધું છે.

પદ્મશ્રી સન્માન નકારનાર ત્રીજા કલાકાર પંડિત અનિંદ્ય ચેટરજી પણ બંગાળી છે. 67 વર્ષનાં આ તબલાવાદકે સ્થાનિક ટી.વી. ચેનલને મુલાકાત આપતા કહ્યું કે હવે આ ઉંમરે પદ્મશ્રી મળવો એ સન્માનજનક નથી. ખરેખર તો આ પુરસ્કાર મને દસ વર્ષ વહેલો મળવો જોઈતો હતો.

આમ પણ ભા.જ.પ.નું શાસન જે રાજ્યોમાં નથી એ રાજ્યોને કોઈકને કોઈક રીતે અન્યાય થયાનું લાગ્યા કરતું હોય છે. આ વખતે પ્રજાસત્તાક દિને કેરળ, તમિલનાડુ અને બંગાળની ઝાંકીનો કેન્દ્ર દ્વારા સ્વીકાર કરવામાં ન આવ્યો, એ વાતે આ રાજ્યોએ અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. મોદી અને મમતા વચ્ચે આમ પણ કશ્મકશ ચાલ્યા જ કરે છે. 2021માં પણ બંગાળની ઝાંકીનો ગણતંત્ર પરેડમાં સ્વીકાર થયો ન હતો, આ વખતની ઝાંકી સુભાષચંદ્ર બોઝના 125માં વર્ષ નિમિત્તે હતી, પણ તેનો સ્વીકાર કરવામાં ન આવ્યો. તમિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને અને બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મામલે વડા પ્રધાનને પત્ર લખીને અસંતોષ જાહેર કર્યો, પણ એનું કશું ઉપજ્યું નહીં. વડા પ્રધાનને તેમનાં નિર્ણય પર પુનર્વિચાર કરવાનું પણ કહેવાયું, પણ પરિણામ આવ્યું ન હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ખુલાસો પણ કર્યો, પણ મમતાએ વિરોધ એમ કહીને ચાલુ રાખ્યો કે આ નિર્ણયથી રાજ્યના લોકોને દુ:ખ થશે. ઝાંકી રદ્દ કરવાનું કોઈ કારણ પણ જણાવાયું નથી. સુભાષચંદ્ર બોઝનાં પુત્રી અનિતાએ પણ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે મને નથી ખબર કે ઝાંકીને શા માટે સામેલ કરાઇ નથી. તેની પાછળ કોઈ કારણ હોઈ શકે છે. આપણે એ કલ્પના ન કરી શકીએ કે આ વર્ષે જ્યારે મારા પિતા 125 વર્ષનાં થઈ રહ્યા છે, ત્યારે તેમની ઝાંકી સામેલ નથી કરવામાં આવી રહી.

તમિલનાડુએ પણ ઝાંકીને મંજૂરી ન મળતાં પત્ર લખ્યો છે કે લોકોની ભાવનાઓને આઘાત લાગશે. તેમની દેશભક્તિને ઠેસ પહોંચશે. ડી.એમ.કે. પાર્ટીના પ્રવક્તા અન્નાદુરાઈ સરવનેએ સ્પષ્ટ કહ્યું કે અમને શંકા છે કે કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના મહાન લોકો અને અહીંના સાંસ્કૃતિક પ્રતીકોને આગળ વધવા દેવા માંગતી નથી. કેરળને પણ તેની ઝાંકી રજૂ ન કરવા દેવાઈ. ફાઇનલ રાઉન્ડમાં ખુદ જયૂરીએ શ્રીનારાયણ ગુરુની પ્રતિમાવાળી ડિઝાઇન સાથે ઝાંકી તૈયાર કરવાનું કહ્યું, પરંતુ બાદમાં ખબર પડી કે અંતિમ નિર્ણય માત્ર જયૂરીનો નથી હોતો.

બને કે બંગાળના પદ્મ પુરસ્કાર વિજેતાઓને બંગાળની કેન્દ્ર દ્વારા થતી ઉપેક્ષાએ પુરસ્કાર નકારવાનું કારણ પૂરું પાડ્યું હોય.

જો કે પદ્મ પુરસ્કારે રાજનીતિને પણ ગરમાવી છે. કાઁગ્રેસી નેતા ને જમ્મુ–કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની વાતે વરિષ્ઠ કાઁગ્રેસી નેતા ને પૂર્વ કાનૂન મંત્રી કપિલ સિબ્બલે અભિનંદન આપતા કહ્યું કે એ વિડંબના છે કે દેશ યોગદાનને માન્યતા આપી રહ્યો છે ને બીજી તરફ કાઁગ્રેસને એમની સેવાઓની જરૂર નથી જણાતી. કાઁગ્રેસી નેતા જયરામ રમેશે બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પદ્મ ભૂષણને નકારવાની વાતને આગળ કરતાં ગુલામ નબીને સંભળાવ્યું પણ ખરું, ’તેઓ ગુલામ નહીં, આઝાદ બનવા માંગે છે.’

પદ્મ પુરસ્કારો પાછળ પણ ઘણી રમતો ચાલે છે ને તેનું રીતસરનું લોબિંગ પણ થતું હોય છે, પણ દરવખતે બધા જ પુરસ્કારો ખોટી વ્યક્તિઓને જ અપાય છે એવું નથી. કોઈ એમ નહીં કહે કે બિપિન રાવતને પદ્મવિભૂષણ યોગ્ય પસંદગી નથી. છતાં પુરસ્કાર સ્વીકારવો કે નકારવો એ જે તે વ્યક્તિની પોતાની પસંદગીની વાત છે. બંગાળના પદ્મ વિજેતાઓએ પુરસ્કાર નકારવાના પોતીકાં કારણો પણ આપ્યાં છે ને તે સાવ ખોટાં પણ નથી લાગતાં. એટલું છે કે આ પુરસ્કારને લીધે દેશ તેમના પરિચયમાં મુકાય છે ને તેમના તરફ અહોભાવથી જુએ છે. કોઈ પુરસ્કાર સ્વીકારે કે ન સ્વીકારે, પેલો અહોભાવ તો અકબંધ જ રહે છે.

છેલ્લે, સૌ પદ્મ પુરસ્કાર વિજેતાઓને હૃદયપૂર્વકનાં અભિનંદનો, વંદનો !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જાન્યુઆરી 2022

Loading

12-12-1911ના દિવસે થયું હતું દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન

સોનલ પરીખ|Opinion - Opinion|28 January 2022

દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.

દિલ્હી એક અજબ શહેર છે. આ શહેર જેમની નસોમાં ધબકતું અને વહેતું રહ્યું એ પ્રસિદ્ધ લેખક-પત્રકાર, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નામની નવલકથા અને શીખ ધર્મ પર સંશોધનાત્મક પુસ્તક લખનાર ખુશવંતસિંહ દિલ્હીને ઓવરસાઈઝ્ડ વિલેજ તરીકે ઓળખાવતા. એમણે ‘દિલ્હી’ નામની નવલકથા પણ લખી છે. એમાં તેઓ લખે છે, ‘આ દિલ્હી છે. જિંદગીએ બહુ તકલીફ આપી છે, ઘણુંબધું છીનવી લીધું છે એવું લાગે ત્યારે નિગમઘાટ જઈ સળગતા મૃતદેહોનું દૃશ્ય જોવું, સ્વજનોનો વિલાપ સાંભળવો અને પછી ઘેર આવી થોડા પેગ વ્હિસ્કી પીવી. ઈન દિલ્હી, ડેથ એન્ડ ડ્રીન્ક મેક લાઈફ વર્થ લિવિંગ …’  

ભારતની ઉત્તરપશ્ચિમે યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીથી માનવ વસવાટ ધરાવતું આવ્યું છે. સલ્તનતના ઉદય પછી દિલ્હી રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું. અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મોગલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી દિલ્હી મોગલ સલ્તનતની રાજધાની રહ્યું.

18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં કલકત્તા રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, નવી દિલ્હી, નામે નવું શહેર બાંધવામાં આવ્યું. 1947માં જ્યારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું.

પૃથ્વીરાજ ચૌહાણ પછી સલ્તનત યુગ અને મુઘલ યુગ બંનેના શાસકોએ દિલ્હીને રાજધાની તરીકે માન્યતા આપી, પરંતુ મોગલ યુગના અંત પછી ભારતનું ત્યારનું વિશાળ બંગાળ જે તેના ફળદ્રુપ પ્રદેશ જાહોજલાલી માટે જાણીતું હતું અને કાચા માલ માટે અંગ્રેજો માટે ખૂબ જ ઉપયોગી હતું તેથી અંગ્રેજોએ કોલકત્તાને દેશની રજધાની બનાવી પોતાની કચેરીઓ અને કોઠીઓ સ્થાપી અને અત્યારના બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને આવરી લેતા પ્રદેશમાં ભરપૂર શોષણ કર્યું.

દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત 12 ડિમ્બર 1911ના રોજ થઈ હતી. આજે તો દિલ્હી સ્વતંત્ર ભારતની રાજધાની તરીકે વિકસ્યું છે. અહીંના અનેક સ્મારકો જોવા માટે અનેક વિદેશી મહેમાન આવે છે. લાલ કિલ્લાથી લઈને સંસદભવન સુધીના દિલ્હીની દરેક સ્થળ સાથે કોઈને કોઈ ઇતિહાસ જોડાયેલો છે.

દિલ્હીનો શિલાન્યાસ કિંગ જ્યોર્જ પંચમ અને ક્વિન મેરીએ કર્યો હતો. રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે દિલ્હી પંજાબ પ્રાંતનો એક તાલુકો હતું. ત્યાર બાદ જમીન-સંપાદનનો આદેશ થયો. કેટલા ય ગામની જમીન લેવામાં આવી અને રાજધાની બનાવવા માટે પંજાબના ઉપરાજ્યપાલે દિલ્હી અને વલ્લભગઢના જિલ્લાઓના 128 ગામની જમીન મેળવી. મેરઠ જિલ્લામાં 65 ગામને પણ દિલ્હીમાં ભેળવી દેવામાં આવ્યા. આ તમામ ગામ યમુના નદીની પેલે પાર હતા. ત્યાર બાદ શાહદરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો.

બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયંસ અને હર્બટ બેકરે દિલ્હીનું મોટા ભાગનું બાંધકામ કર્યું છે. પ્લાન પણ આ બંને અંગ્રેજોએ બનાવ્યો હતો. આ બન્નેએ એ પણ સલાહ આપી કે રાજધાનીમાં કોઈ પણ ઈમારત 45 ફૂટથી ઊંચી ન હોવી જોઈએ. ચારેય તરફ વૃક્ષો હોવાં જોઈએ જેથી ઉપરથી દિલ્હી હરિયાળું શહેર લાગે. પણ આજે સ્થિતિ વિપરીત છે.

દિલ્હી નગર યોજના નામની એક સમિતિ બનાવવામાં આવી હતી. જે દિલ્હીને વિકસાવવાનું કામ કરતી. જેમા લુટિયંસ પણ હતા. તેણે ઉત્તર વિસ્તારને સાંકડો, ગીચ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહીને આ જગ્યા નકારી દીધો. પછી દક્ષિણ વિસ્તારમાં યમુના નદીના કિનારે નવી જગ્યાની સલાહ આપવામાં આવી. વાઈસરોયને એ પણ પંસદ ન પડી. અંતે માચલા ગામ પાસેની જ્યાં રાયસન નામની ટેકરી હતી ત્યાં બાંધકામ શરૂ કરાયું. આજે રાયસન હિલને દિલ્હી મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે

દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન ભલે 1911માં થયું હતું પણ તેનું ઉદ્દઘાટન પ્રથમ વિશ્વયુદ્ધ પછી 13 ફેબ્રુઆરી 1931ના રોજ કરવામાં આવ્યું હતું. લૉર્ડ ઈરવીનના શાસનમાં દિલ્હીનો એક રાજધાની તરીકે વિકાસ થયો. હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દુઆથી આબાદ થયેલી આ ધરતીને તેમના શિષ્ય અમિર ખુસરોએ કવ્વાલી, સૂફી સંગીત, શાસ્ત્રીય સંગીતની ભેટ આપી. વિશ્વના સૌથી મોટા ગણતંત્ર એવા ભારતના પાટનગર સાથે ફકત ઇતિહાસ નહીં, પુરાણ પણ જોડાયેલું છે. મહાભારતના સમયથી દિલ્હીનો દબદબો હતો. ઇ.સ. પૂર્વે ૩,૫૦૦માં રાજા દહિલુએ સ્થાપેલું દિલ્હી મહાભારતકાળમાં હસ્તિનાપુર તરીકે ઓળખાતું.

સરદાર ખુશવંત સિંહે ‘દિલ્હી’ નવલકથાની શરૂઆતમાં જ લખ્યું છે, ‘વિદેશી વેશ્યાઓ સાથે સમય વેડફીને હું ફરી આવી ગયો છું દિલ્હી, મારી પ્રિયતમા ભાગમતી પાસે.’ આ ભાગમતી, ખરેખર તો એક હિજડો છે પણ તેનામાં કોઈપણ પુરુષને રીઝવવાની ભારોભાર કાબેલિયત અને ઊર્જા છે. લેખક આગળ કહે છે, ‘દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.’ કેટલું સચોટ વર્ણન! આ નવલકથા લખતાં ખુશવંત સિંહને 25 વર્ષ લાગ્યાં હતાં.

એમાં દિલ્હીનો ઇતિહાસ છે, પણ એ ઐતિહાસિક નવલકથા નથી, તેમ એમાં ઇતિહાસની શુષ્ક વિગતપ્રચુરતા પણ નથી. એ તો છે નવલકથા. ખુશવંતસિંહની આગવી, કલપનાશક્તિ અને કટાક્ષ-રમૂજભરેલી શૈલીમાં લખાયેલી નવલકથા. નાયક પત્રકાર છે અને ઇંગ્લૅન્ડથી આવ્યો છે. દિલ્હીની સડકો પર ફરતાં, ક્યારેક કોઈ વિદેશી મહિલાના ગાઈડ બનતાં એ સમયયાત્રીની જેમ ઘટનાઓ અને પાત્રોને મુખોમુખ થાય છે. પાત્રો પોતાની કહાણી કહેતાં આવે છે અને વાચક સામે ઇતિહાસનાં પૃષ્ઠો ખૂલતાં જાય છે. અમીર ખુસરો, નાદિરશાહ અને તૈમુર લંગ, ઔરંગઝેબ, મીર તકી મીર અને બહાદુરશાહ ઝફર. મોગલ વંશનો ઉદય અને અસ્ત, અંગ્રેજો, વિભાજન અને સ્વતંત્રતા.

ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોને જીવતા બાળી મૂકવાનાં દૃશ્યો સાથે નવલકથાનો અંત આવે છે. આખી નવલકથામાં લેખકનો દિલ્હી માટેનો અસીમ પ્રેમ અને એવી જ ઘેરી હતાશા બન્ને સતત દેખાય છે. તેઓ દિલ્હીને ‘સત્તાલોલુપોના હાથે બરબાદ થતા રહેલા શહેર’ તરીકે ઓળખાવે છે. નવલકથાના કેન્દ્રમાં ખરેખર તો દિલ્હી જ છે, જેની સાથે નાયકની લવ-હેટ રિલેશનશીપ છે. ભાગમતીમાં દિલ્હીની ભૂખ, પાગલપણું અને અનેક વિરોધાભાસ છે. ભાગમતી પુરુષ પણ છે અને સ્ત્રી પણ, અને બેમાંથી એકે નથી. એ હિંદુ પણ છે અને મુસ્લિમ પણ, અને નાયક સાથેના સંબંધ પછી થોડી શીખ પણ. એને કોઈ અપનાવતું નથી પણ એનો લાભ બધા જ લે છે.

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંનું, વિશ્વના સૌથી વધારે ક્રાઈમ-રેટ ધરાવતા શહેરોમાંનું એક દિલ્હી 2028માં વસતીની દૃષ્ટિએ દુનિયાનું પહેલા નંબરનું શહેર બની જશે. અત્યારે દિલ્હીની વસતી લગભગ ત્રણ કરોડ છે અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ટોકિયો છે અને ત્રીજા નંબરે શાંઘાઈ.

અંતમાં યાદ કરીએ ખુશવંતસિંહના ‘દિલ્હી’ નવલકથાના શબ્દો. એમણે કહ્યું છે, ‘આપણે રહસ્યમય પૌર્વાત્યો છીએ. પુરાવા કે તર્ક સાથે આપણને ઓછી લેવાદેવા છે. આપણે એક શ્રદ્ધા ઊભી કરીને તેના પર જીવી જઈએ છીએ.’ આ વિધાનનો અર્થ અને ચોટ લાગે છે તે કરતા વધારે ઊંડાં છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ડિસેમ્બર 2021

Loading

મારી સાહિત્ય સફરની એક ઝાંખી

જનકભાઈ બી. શાહ|Opinion - Opinion|28 January 2022

મારી સમગ્ર શિક્ષણ યાત્રામાં કયાંક વિશ્વના સાહિત્યકારોની સાહિત્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય બન્યો તો ક્યાંક શિક્ષક તરીકે તે શ્રેષ્ઠ કૃતિઓનો આસ્વાદ કરાવવો અનિવાર્ય બન્યો ત્યારે કેટલીક વાર્તાઓએ મારી સંવેદનાના તાર ઝણઝણાવી મુક્યા. મને તે વખતે ખબર ન હતી કે હું આવી હ્રદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરીશ. પરંતુ અનાયાસે  અવકાશ મળતાં આ વિશ્વ સાહિત્યની હૃદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર થઇ ગયું. તેમાં 'બુદ્ધિપ્રકાશ', 'વિશ્વમાનવ', 'સમર્પણ', 'નવનીત સમર્પણ', 'નવચેતન', 'કોડિયું', 'સ્ત્રીજીવન', 'ગુજરાત સમાચાર', 'ગુજરાત મિત્ર', 'જનક્લ્યાણ', અને 'ધર્મસંદેશ' જેવાં સામાયિકો અને સમાચારપત્રોએ મારી અનુવાદિત અને રૂપાંતરિત કૃતિઓને પ્રગટ કરી મને પ્રોત્સાહિત કર્યો.

આમ વિશ્વના સાહિત્યકારોની વાર્તાઓના ખજાનામાં ડોકિયું થઇ ગયું. તેના પરિપાક સ્વરૂપે ગુજરાત સાહિત્ય અકાદમીના અનુદાનથી 'ડોકિયું' વાર્તા સંગ્રહ મેં પ્રકાશિત કર્યો. આ વાર્તાઓના અનુવાદ કાર્ય માટે મારા ગુરુજનોએ કોલેજકાળથી મને પ્રોત્સાહિત કર્યો છે. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતાં કરતાં વર્ષો સુધી અમને અંગ્રેજી સાહિત્યનું રસપાન કરાવ્યું હતું અને સમગ્ર ગુજરાત જેમની સ્ત્રી-કલ્યાણ પ્રવૃત્તિઓથી વાકેફ છે, તેવાં આદરણીય સાહિત્યવિદ્ સ્વ. ડો. ઇલાબહેન પાઠકે તેમના વિદ્યાર્થી એવા આ નાનકડા શિક્ષકને બિરદાવી, 'ડોકિયું' માટે પ્રવેશક લખી આપ્યું તેને હું મારા અહોભાગ્ય સમજું છું. સોનામાં સુગંધ ભળે તેમ મારા સદ્ભાગ્યે, જેમને તેમની ગુજરાતી નવલકથા 'અખેપાતર' માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ નવાજેલ છે, તેવાં આદરણીય સાહિત્યકાર ડો. બિન્દુબહેન ભટ્ટ દ્વારા મારા વાર્તાસંગ્રહ 'ડોકિયું'નું વિમોચન થયું હતું. ત્યાર પછી નવસર્જન દ્વારા તેની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઇ હતી.

મારા વાર્તાસંગ્રહ 'ડોકિયું'માં ચીની વિકલાંગ બાળક ચેંગ ફુંગ-સીની આત્મકથાનો સમાવેશ કર્યો છે. અહીંયા તેની વાત કદાચ અસ્થાને નહિ લેખાય. ૧૯૭૯માં Reader's Digestમાં પ્રકાશિત થયેલ આ આત્મકથાનેા અનુવાદ કરતી વખતે વિકલાંગ એવા ચેંગ ફુંગ-સીના જીવનના અનેક ઉત્કૃષ્ટ પ્રયાસો જોઇને મારી વિકલાંગતાની લધુતાગ્રંથિ કયાં ય ઓગળી ગઇ હતી અને આજે હું જે કાંઇ બની શક્યો છું, તેનો યશ આ ‘A Leaky Boat in a Stormy Sea’ના અનુવાદનને આભારી છે. આ મૂળ પુસ્તકની ખૂબ તપાસ કરી પણ હજી સુધી મળ્યું નથી. આ પુસ્તકનો અનુવાદ કરવાની તીવ્ર ઝંખના છે.

મુ. ઇલાબહેનના શબ્દોમાં 'ડોકિયું' વિષે જણાવું તો "માનવીય જીવનનાં અનેક પાસાંઓ આ નવલિકાઓમાં રજૂ થયાં છે. આ કૃતિઓમાં વિવિધ પ્રસંગાલેખનોમાંથી નીતરતી ઊર્મિઓનાં, તેમાંથી ઊઠતી ઉદાત્ત ભાવનાઓના, બોલકી બનતી કે સુચવાતી જીવનમૂલ્યોની રજૂઆતના વમળોમાં વાચક પોતાનાં મનોગતોને અને વિચારણાઓને સુસ્પષ્ટ રીતે સમજતો અને માણતો થાય તેવી રસલહાણ અહીં પ્રસ્તુત થઈ છે. આ કલાકૃતિઓમાં રજૂ થયેલી, કલ્પનાના રંગે રંગાયેલી માનવીય પરિસ્થિતિની વાસ્તવિકતા વાચકને વિશ્વના કલાકારોએ પ્રમાણેલાં મૂલ્યોનો ખ્યાલ આપીને પોતાની દુનિયાને નવાં કુતૂહલભર્યા ચિત્તથી જોતો કરી મૂકશે."

સ્વ. ઇલાબહેનના શબ્દોમાં દોસ્તોએવસ્કીની 'ભૂરી' વાર્તાની ભૂરીની વાત કહું તો – તેના પાત્રોના મનોવ્યાપારમાં જ અનુવાદકને રસ હોય તેની પ્રતીતિ કરાવે તેવી વાર્તાઓમાં દોસ્તોયેવસ્કીની 'ભૂરી' ધ્યાન ખેંચે છે. અનૌરસ બાળક તરીકે અન્યની અવહેલના પામતો ઉછરેલો અલિયો પાલક માતાપિતાની પુત્રી અનીશાને પોતાનું સર્વસ્વ સમજે છે. કમનસીબે અલિયાને શીતળા નીકળે છે, તે એક આંખ ગુમાવે છે અને ચાઠાંથી તેનો ચહેરો વરવો બને છે. પોતાનું વરવાપણું તો તે સ્વીકારી શકે છે પણ અનીશાને ખુશ કરવાના પ્રયત્નો છોડી શકતો નથી. અનીશાને ગમી ગયેલી બકરી, ભૂરી, તેને ભેટ આપવા તે લઈ આવે છે. અલિયો પોતાના પ્રેમને જાહેર નથી કરતો કેમ કે તેણે પોતાના વરવાપણાને લીધે લાધેલું એકાકીપણું સ્વીકારી લીધું છે. અનીશાને ભૂરીની પરવા નથી, અલિયાને છે. અનીશા લગ્ન કરીને જાય છે ત્યારે ભૂરીને તેની પાસે છોડતી જાય છે. ભૂરીના પ્રેમમાં અલિયો ખુશ છે પણ તે ખુશી પર અનીશા આઘાત કરે છે. તે ભૂરીને માગવા આવે છે. અલિયા માટે ભૂરી અનીશાની સ્મૃતિરૂપે હતી, તે જાય તો તેનું સર્વસ્વ ઝૂંટવાઈ જાય તેવી તેની લાગણી છે. તે અનીશાને ભૂરી શા માટે લઈ જવી છે તેમ પૂછે છે ત્યારે અનીશાનો ખંધાઈભર્યો પ્રત્યુત્તર કે તેના પતિ માટે માગી છે તે અલિયાને ઊંડો આઘાત પહોંચાડે છે. પોતાના હાથમાં હતી તે કુહાડી અલિયો અનીશાના માથા પર ઝીંકી દે છે. ડૂસકાં ભરતાં આ વાત કહેતાં અલિયો ભૂરીનું શું થયું હશે તે વિશે ચિંતા વ્યક્ત કરતો રહે છે. દેખાવે કુરૂપ થયેલા અલિયાનું પ્રેમભર્યું હૃદય અનેક અવહેલનાઓ સહી ચૂક્યું હતું. છેલ્લો આઘાત તેનાથી સહન ન થયો અને તે પ્રત્યાઘાત કરી બેઠો તેવી તેની મનોવેદના સુસ્પષ્ટ રીતે ભાવકના ચિત્ત પર અંકિત થાય છે. 'ભૂરી'નું મુખ્ય પાત્ર પોતે જ પોતાની વીતક કથા કહે છે. 'ભૂરી'માં લેખકે જેલના અન્ય સાથીને એક સાંભળનાર તરીકે કલ્પ્યો છે.

દોસ્તોએવસ્કીની વાત કરું તો ……

સ્નાતક અને અનુસ્નાત કક્ષાએ મારે વિશ્વના અનેક સાહિત્યકારોની કૃતિઓનો અભ્યાસ કરવાનું આવ્યું, ત્યારે દોસ્તોવ્સ્કીની નવલકથા Crime and Punishmentનો અભ્યાસ કરવાનું બન્યું હતું, તેથી તેના પ્રત્યે વધારે લગાવ હતો. અનુકૂળ સમયે તેનો અનુવાદ કરતો રહ્યો પણ મોટા ભાગની કથા અનુવાદિત કરી પછી ખબર પડી  કે કોઇએ તેનો અનુવાદ કરેલો છે, અને તે કામ અધુરું રહ્યું. છેવટે ભવિષ્યમાં  Crime and Punishment ઉપર પીએચ.ડી. કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી. ગાઇડે ફક્ત એક જ નવલકથાને બદલે તેના સમગ્ર સાહિત્યને પસંદ કરવાની સલાહ આપતા છેવટે નિવૃત્તિના ચારેક વર્ષ પહેલાં તે કાર્ય આરંભ્યું અને હું ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી લઇ શક્યો. મારી થિસીસનો વિષય હતો. An Analytical Study of the Concept of 'Sin 'and 'Crime' in Dostoyevsky's Major Works. આમ દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યનો અભ્યાસ કરી એપ્રિલ-ર૦૦૪માં થિસીસ સબમીટ કરીને ભાવનગર યુનિવર્સિટીમાંથી ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી મેળવવા હું સદ્દભાગી બન્યો. આ અનુસંધાને દોસ્તોએવ્સ્કીની કથાને ન્યાય આપવા જ્યારે તક મળી ત્યારે તે લીધી. 'ભૂરી'નું રૂપાંતરિત અવતરણ તે સમયના અનુસંધાને છે.

દોસ્તોએવ્સ્કીની ૧૩ વર્ષની ઉંમરે તેની માતા મૃત્યુ પામી હતી. ૧૮ વર્ષની ઉંમરે પિતા ચાલ્યા ગયા હતા. બચપણમાં પોતે એક આંખ પણ ગુમાવી હતી. પરિવાર ન હોવાથી તેમના માટે કોઇ પ્રેરણાસ્રોત ન હતું. જિંદગી આખી દુ:ખમાં જ વિતાવી હતી.

દોસ્તોવ્સ્કીની ૧૮૪૯માં ભૂગર્ભ સલૂનમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મિત્રો સહિત તે ફ્રેન્ચ યુટોપિયન સમાજવાદની ચર્ચા કરતા હતા અને પ્રતિબંધિત કૃતિઓ વાંચતા હતા. આ ગુના બદલ મિત્રો સાથે ક્રાંતિકારી તરીકે ઓળખાતા, તેમને પ્રથમ મોતની સજા કરવામાં આવી હતી અને છેલ્લી ઘડીએ તેની મોતની સજા માફ કરી ચાર વર્ષની સાઇબિરયાની સખત કેદની સજા કરવામાં આવી હતી. આ કારણે ત્યાં તેનામાં માનવ વર્તન માટેની વૈજ્ઞાનિક સમજણનો આંધળો વિશ્વાસ પાંગર્યો હતો. તે માનતા હતા કે માનવીય વર્તન હંમેશાં તર્કસંગત જ હોય છે. તે માનતા હતા કે ગરીબી નાબૂદ થાય તો ગુનાઓનું અસ્તિત્વ અટકી જાય.

દોસ્તોવ્સ્કીએ ખૂનીઓની સાથે ચાર વર્ષ વિતાવ્યા હતા. તેમની સાથે ટેબલ અને શૌચાલયો શેર કર્યા હતા. તેમની સાથે ઇંટો ખેંચી હતી. એક જ વાસણમાંથી પાણી પીધું હતું પણ માનવ સ્વભાવમાં થતા ફેરફારોને તેણે નજરે નિહાળ્યા હતા, ભલે તે ગુનાના સરળ દૃષ્ટિકોણ પ્રત્યે વફાદાર રહી શક્યા ન હતા. આ સમય દરમ્યાન તેમને ખ્યાલ આવ્યો હતો કે માનવ મનનો તાગ મેળવવો મુશ્કેલ છે. તેઓની વિચારસરણી બિન તાર્કીક હોવાના લીધી ઘણીવાર પોતાનું અહિત થાય તેવાં કાર્ય કરે છે. આ બરાબર નથી પણ સ્વતંત્ર  મનનું તે એક લક્ષણ પણ છે.

દોસ્તોએવ્સ્કી પાપી પણ છે અને સંત પણ છે. તે એક એવો રાજકીય ગુનેગાર હતો જેને હંમેશાં પોતાના કાર્ય માટે પસ્તાવો થતો. આ વાત તેણે તેને પાત્રો દ્વારા પ્રતિબિંબિત કરી છે. તે તેના પાત્રો દ્વારા બતાવવા ઇચ્છતો કે આપણી સૌથી ખરાબ વૃત્તિ જે ડર છે તેના તરફ ઉત્સાહથી નહીં પણ ડરથી માનવી પ્રેરિત થાય. દોસ્તોએવ્સ્કીએ પોતાના સાહિત્યમાં હંમેશાં Dark aspects of Human Natureને ઉજાગર કર્યા છે.

ગાંડપણ, ખૂન અને આત્મહત્યા અને અપમાન, આત્મવિનાશ, જુલમી વર્ચસ્વ અને ખૂની ક્રોધાવેશની લાગણીઓના અન્વેષણમાં મનની પેથોલોજીકલ સ્થિતિઓના વિશ્લેષણમાં દોસ્તોએવ્સ્કીએ મહાન મનોવિજ્ઞાની તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સાહિત્યનો ઇતિહાસ, સાહિત્યિક આધુનિકતાવાદ, અને મનોવિજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને સાહિત્યિક વિવેચનની વિવિધ શાખાઓ તેમના વિચારોથી મોટા ભાગે પ્રભાવિત છે.

હું માનું છું કે Literature is the reflection of life. આ પરિપ્રેક્ષ્યમાં દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યને તેમ જ 'ડોકિયુ'માં સમાવેલી તેમની 'ભૂરી'ની કથાને જોવી જોઇએ. કથાનું મુખ્ય પાત્ર અલિયો છે. તે જ્યાં તેની કથા કહે છે તે વાતાવરણ જેલનું છે. આ પ્રકારનું વર્ણન વાંચતા એમ લાગે જ કે લખનારને જેલનો અનુભવ હોવો જોઇએ અથવા તો તેવા વાતાવરણને તેણે નજીકથી અનુભવ્યું હોવું જોઇએ. કથાના વિષયવસ્તુમાં જે રીતે અલિયાના મનને પ્રતિબિંબિત કર્યું છે તે માનવમનની વિવિધ લાગણીઓ અને તેની સામેના થતા પ્રત્યાઘાતને જાણે કે વાસ્તવિક ઓપ આપ્યો હોય, તેવું નથી લાગતું ? અલિયો ખૂબ જ લાગણીશીલ માનવી છે. પ્રેમ તેની હાડોહાડમાં વ્યાપેલો છે. પણ તેને પ્રેમની સામે હંમેશાં અવહેલના મળે છે, તે અમુક હદ સુધી સહન કરી લે છે પણ તે અવહેલના પરાકષ્ટાએ પહોંચે છે અને તેના ભૂરી પ્રત્યેના અસીમ પ્રેમ સામે કુઠરાઘાત થાય છે ત્યારે તેની હિંસક વૃત્તિ કાબૂમાં નથી રહેતી અને તે અનિશાનું ખૂન કરે છે. માનવીના જીવનમાં આવી ઘટના બને છે ત્યારે આપણે માનવીને હિંસક વૃત્તિનો હોવાનો મૂલવીએ છીએ. હિંસા માટેના હદ વટાવેલા કારણને બાદ કરીએ તો આપણે અલિયાના ખૂન કરવા માટેની ઘટના ઘટી તે પહેલાનાં જીવનમાં તેની અવહેલના તેણે ખમી ખાધી છે. ક્યારે ય તે હિંસક નથી બન્યો. માનવીના વર્તનને મનોવૈજ્ઞાનિક રીતે અલિયાના પાત્રનું અને કથાનું સર્જન કરી સાબિત કર્યું છે કે માનવીય વર્તન હંમેશાં તર્કસંગત જ હોય છે.

આ કથાનો અનુવાદ ૪૨ વર્ષ પહેલાં કરેલો હોવાથી મૂળ વાર્તા મળતી નથી. વાર્તા ગુજરાતીમાં રૂપાંતરિત કરી હોવાથી તે વાર્તા ક્યાંથી મેં લીધી હશે તે પણ યાદ નથી. પાત્રોના નામ ગુજરાતી કર્યા કારણ કે રશિયન નામો વાંચીને કથાનું હાર્દ મેળવવા કરતાં ગુજરાતી નામો ભૂરી, અલિયો, અનિશા રાખ્યા હશે. પ્રયત્ન કરું છું મૂળ કથા મેળવવાનો. આપ વાચકોને એક વિનંતી છે કે કોઇને અંગ્રેજીમાં આ વાર્તા અને તેનું ટાઇટલ મળે તો મેળવી મને મોકલી આપશો, તો હું આપનો ઋણી રહીશ. આપ મારા બ્લોગની મુલાકાત લેશો તો મારી સમગ્ર સાહિત્ય કૃતિઓનો આસ્વાદ માણી  શકશો.

બ્લોગ છે : https://www.parodh.com –

©©©©©©©©©©©©©©

e.mail : janakbhai_1949@yahoo.com

Loading

...102030...1,6561,6571,6581,659...1,6701,6801,690...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved