Opinion Magazine
Number of visits: 9674376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીને શ્રદ્ધાંજલિ

આચાર્ય વિનોબા|Gandhiana|30 January 2022

અત્યારે આ સમયે દિલ્હીમાં યમુના નદીને કિનારે એક મહાન પુરુષના દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે જ્યારે તેઓ પ્રાર્થનામાં જવા નીકળ્યા ત્યાં જ કોઈક નવયુવાન દ્વારા તેમના પર ગોળી ચલાવવામાં આવી અને વીસ મિનિટમાં જ તેમના દેહનું જીવન સમાપ્ત થયું. સરદાર વલ્લભભાઈ તેમની સાથે લંબાણપૂર્વકની વાત કરીને પાછા જતા હતા ત્યાં રસ્તામાં જ એમને ખબર મળતાં તેઓ પાછા ફર્યા. બિરલા હાઉસ પહોંચીને એમણે જે દૃશ્ય જોયું તેનું વર્ણન તેમણે કર્યું, તેમાં એક વાત ખૂબ મહત્ત્વની હતી. તે એ કે ગાંધીજીના ચહેરા પર દયાભાવ તથા માફીનો ભાવ, એટલે કે અપરાધીને માટે ક્ષમાવૃત્તિ દેખાતી હતી. વલ્લભભાઈએ કહ્યું કે આપણને આ સમયે ગમે તેટલું દુ:ખ થયું હોય, ગુસ્સો નહીં આવવા દેવો જોઈએ. અને જો આવે તો પણ તેને રોકવો જોઈએ. ગાંધીજીએ જે વસ્તુ આપણને શીખવી તેનો અમલ એમના જીવતા તો આપણે ન કરી શક્યા, પરંતુ હવે એમના મૃત્યુ પછી તો તેનો અમલ કરીએ !

આવી જ ઘટના પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં બની હતી. ભગવાન શ્રીકૃષ્ણ જેમણે ગાંધીજીની જેમ લોકોની નિરંતર સેવા કરી હતી, થાકીને જંગલમાં આરામ કરી રહ્યા હતા. અને એક શિકારીનું બાણ તેમના પગમાં વાગ્યું. તેને લાગ્યું કે તેણે કોઈ હરણનો શિકાર કર્યો પણ જોયું તો સાક્ષાત્‌ ભગવાન. શ્રીકૃષ્ણનું થોડા જ સમયમાં મૃત્યુ થયું. પરંતુ મૃત્યુ પહેલાં તેમણે પોતાના હાથે મોટું પાપ થયું છે એમ વિચારી રહેલા વ્યાધને કહ્યું, ‘ હે વ્યાધ ! તું ડરીશ નહીં, મૃત્યુને માટે કોઈક નિમિત્ત જોઈએ છે, તે તું બન્યો છે.’ એમ કહીને ભગવાને તેને આશીર્વાદ આપ્યા.

આમ, આવી જ ઘટના પાંચ હજાર વર્ષ પછી ફરી બની છે. ઉપર ઉપરથી જોવાથી લાગશે કે વ્યાધે તો અજ્ઞાનતામાં તીર માર્યું હતું. અહીં જ્યારે આ નવજુવાને સમજી વિચારીને ગાંધીજીને બરાબર ઓળખીને પિસ્તોલ ચલાવી હતી. આ જ કામ માટે તે દિલ્હી ગયો હતો. ગાંધીજી પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે જ બરાબર તે એમની પાસે પહોંચ્યો અને ખૂબ નજીક જઈને એણે ગોળીઓ છોડી દીધી હતી.

ઉપરથી એવું દેખાશે કે તે ગાંધીજીને ઓળખતો હતો. પરંતુ, ખરેખર એવું ન હતું. જેમ વ્યાધ અજ્ઞાની હતો તેવી જ રીતે આ યુવાન પણ અજ્ઞાની હતો. તેની એવી ભાવના હતી કે ગાંધીજી હિંદુ ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે તેથી તેમના પર ગોળીઓ છોડી. પરંતુ દુનિયામાં આજે હિંદુ ધર્મનું નામ કોઈએ ઉજ્જવળ રાખ્યું હોય તો તે ગાંધીજીએ જ રાખ્યું છે. પરમ દિવસે (29 જાન્યુઆરી 1948) તેમણે પોતે જ કહ્યું હતું કે, ‘હિંદુ ધર્મના રક્ષણ કરવા માટે કોઈ મનુષ્યને પસંદ કરવાની જરૂર જો ભગવાનને લાગશે તો આ કામ માટે તે મને જ પસંદ કરશે.’

આવો આત્મવિશ્વાસ તેમનામાં હતો. એમને જે સત્ય લાગતું તે તેઓ ચોખ્ખે ચોખ્ખું કહી દેતા. મોટા મોટા લોકો પોતાના રક્ષણ માટે ‘બોડી ગાર્ડ’ રાખે છે. ગાંધીજીએ તેવું ક્યારે ય ન કર્યું. દેહને તેઓ મહત્ત્વ આપતા નહીં. નિર્ભયતા એમનું વ્રત હતું. જ્યાં સેના પણ જવાની હિંમત ન કરે ત્યાં તેઓ એકલા પહોંચી જવા તૈયાર રહેતા.

જે સત્ય છે, લોકોના હિતનું છે, તે જ કહેવું જોઈએ; પછી ભલે કોઈને ગમે કે ન ગમે. એવું તેઓ માનતા. તેઓ કહેતા, ‘મૃત્યુથી ડરવાનું કોઈ કારણ જ નથી. કારણ કે આપણે બધા ઈશ્વરના હાથમાં છીએ. આપણી પાસેથી એને જ્યાં સુધી કામ કરાવવું હશે ત્યાં સુધી તે કરાવશે અને જે ક્ષણે તે આપણને ઉપાડી લેવા માંગશે તે જ ક્ષણે તે આપણને ઉપાડી લેશે. તેથી જે સાચું લાગે તે કહેવું એ આપણો ધર્મ છે. આ વખતે જો હું એકલો પણ પડી જાઉં અને આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાય તો પણ મને જે સત્ય દેખાય છે તે જ મારે બોલવું જોઈએ.’

આવી નિર્ભિક્તાપૂર્ણ વૃત્તિના હતા બાપુ. અને એમનું મૃત્યુ પણ કેવી અવસ્થામાં થયું !! તેઓ પ્રાર્થના કરવાની તૈયારીમાં હતા. એટલે કે તે સમયે ભગવાન સિવાય બીજો કોઈ વિચાર એમના મનમાં ન હતો. તેમનું સંપૂર્ણ જીવન જ આપણે સેવામય તેમ જ પરોપકારમય જોયું છે. તેમ છતાં પ્રાર્થનાનો સમય તેમ જ પ્રાર્થનાની ભાવના (વિચાર) વિશેષરૂપે પવિત્ર ગણવાં જોઈએ.

તેઓ રાજકારણથી લઈને અનેક મહત્ત્વનાં કામોમાં વ્યસ્ત રહેતા હતા. પરંતુ તેઓ પ્રાર્થનાનો સમય કદી પણ નથી ચૂક્યા. આવી પ્રાર્થનાના સમયે જ દેહથી મુક્ત થવા માટે માનો કે ભગવાને માણસ મોકલ્યો. પોતાનું કામ કરતાં કરતાં મૃત્યુ થયું એ બાબતનો તેમના હૃદયનો આનંદ અને નિમિત્ત માત્ર બનેલ ગુનેગાર પ્રત્યે દયાભાવ એવા બંને ભાવો એમના ચહેરા પર મૃત્યુ સમયે સરદારશ્રીને દેખાયા હતા.

ગાંધીજીએ છેલ્લા ઉપવાસ છોડ્યા ત્યારે દેશમાં શાંતિ રાખવાનું વચન કાઁગ્રેસ, મુસ્લિમ, સિખ, હિંદુ મહાસભા, રાષ્ટૃીય સ્વયંસેવક દળ વગેરે સૌએ મળીને આપ્યું હતું. અમે પ્રેમથી સાથે રહીશું એવું વચન તેમણે સૌએ આપ્યું અને તેમ થોડો વખત ચાલ્યું પણ ખરું. પરંતુ એક દિવસ પ્રાર્થનાસભામાં ગાંધીજી ઉપર બોંબ ફેંકવામાં આવ્યો. પરંતુ તેમને કશું થયું નહીં. તે દિવસે ગાંધીજીએ કહ્યું, ‘હું દેશ અને ધર્મની સેવા ઈશ્વરની પ્રેરણાથી કરું છું. જે દિવસે હું જતો રહું એવી તેની મરજી હશે તે દિવસે એ મને બોલાવી લેશે. તેથી મૃત્યુની બાબતમાં મને આથી વિશેષ કશું લાગતું નથી.’ બીજો પ્રયોગ ગઈકાલે થયો. ભગવાને ગાંધીજીને મુક્ત કર્યા.

આપણે બધા જ આ દેહ છોડીને જવાના છીએ તેથી મૃત્યુની બાબતમાં જરા પણ દુ:ખ માનવાનું કારણ નથી. માતાની, પોતાનાં જેટલાં બાળકો હોય તેમની બાબતમાં જે વૃત્તિ હોય છે તેવી દુનિયાના બધા લોકો વિશે ગાંધીજીની વૃત્તિ હતી. હિંદુ, હરિજન, મુસલમાન, ખ્રિસ્તી અને જે કાર્યકર્તાઓ સાથે તેઓ લડ્યા તે અંગ્રેજો, એ બધા જ પ્રત્યે તેમના દિલમાં પ્રેમ હતો. સજ્જનોને જેવી રીતે પ્રેમ કરો છો તેવો જ પ્રેમ દુર્જનો પર પણ કરો, શત્રુને પ્રેમથી જીતી લો. આવો મંત્ર એમણે આપ્યો. સત્યાગ્રહની શીખ પણ એમણે જ આપણને આપી ને ! પોતે મુશ્કેલીઓ વેઠીને સામેવાળાને જરા પણ જોખમ ન પહોંચે તેવું વર્તન કરવાની શીખ તેમણે આપણને આપી. આવી વ્યક્તિ જ્યારે દેહ છોડીને જાય છે ત્યારે એ રડવાનો પ્રસંગ નથી હોતો. આપણી મા જ્યારે આપણને છોડીને જાય ત્યારે જેવું લાગે છે તેવું જ ગાંધીજીના મૃત્યુથી લાગશે જરૂર. પરંતુ આપણે ઉદાસ નથી થવાનું.

ગાંધીજી કહેતા કે જ્યારે તેને બોલાવવો હશે ત્યારે તે મને બોલાવી લેશે − તેને માટે તૈયાર રહેવું જોઈએ, તેવું જ તેમનું મૃત્યુ થયું. આ એક ઉત્તમ અંત થયો એવું આપણે જાણવું જોઈએ. અને કામે લાગી જવું જોઈએ (ગાંધીજીએ એવું જ ઇચ્છ્યું હોત). તેઓ આપણે માટે ઘણાં કામો મૂકી ગયા છે અને તેમને પૂરાં કરવામાં આપણે લાગી જવું જોઈએ.

અસંખ્ય જાતિ અને જમાત મળીને આપણે અહીં રહીએ છીએ. ચાળીસ કરોડ(તે વખતે, આજે તો 138 કરોડ)નો આપણો દેશ એ આપણું મોટું ભાગ્ય છે. પરંતુ એકબીજાને પ્રેમ કરીને જીવીશું તો જ તે રહેશે (સદ્દભાગ્ય, દેશ …). આટલો મોટો દેશ હોવાનું ભાગ્ય ક્વચિત જ મળે છે.

આપણા દેશમાં અનેક ધર્મ છે, અનેક પંથ છે. હું તો, તેને આપણો વૈભવ સમજું છું. પરંતુ આપણે બધા પ્રેમથી સાથે રહીશું તો જ આ વૈભવ સિદ્ધ થશે. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જીવીએ એ જ વાત ગાંધીજીએ પોતાના અંતિમ ઉપવાસથી આપણને શીખવી છે. બાળકો એકબીજા સાથે પ્રેમથી રહે તેને માટે જેવી રીતે માતા ક્યારેક ભોજન છોડી દે છે તેવો જ આ ઉપવાસ હતો. બધા માનવ એકસમાન છે, આ વાત તેમણે આપણને શીખવી. હરિજન-સેવા, ખાદી-સેવા, ગ્રામ-સેવા, ભંગી કામ કરનારા સાથીઓની સેવા જેવાં અનેક સેવાકાર્યો તેઓ આપણે માટે મૂકી ગયા છે.

આ સમયે આનાથી વિશેષ કશું કહેવા નથી ઇચ્છતો. બધાના દિલ એક વિશેષ ભાવનાથી ભરેલા છે. પરંતુ મારે એ કહેવું છે કે માત્ર શોક મનાવતા બેસી રહેવાનું નથી. આપણી સામે જે કામ પડ્યું છે તે કરવા મંડી પડીએ. આ જે હું તમને કહી રહ્યો છું તેવું જ તમે મને પણ કહો. આવી જ રીતે એકબીજાને બોધ આપતા આપતા આપણે સહુ ગાંધીજીનાં ચીંધેલાં કામો કરવામાં લાગી જઈએ. ગીતા અને કુરાન બંનેમાં કહેવામાં આવ્યું છે કે ભક્ત તેમ જ સજ્જન એકબીજાને બોધ આપે છે અને એકબીજાને પ્રેમ કરે છે. તેવું આપણે કરીએ. આજ સુધી બાળકોની જેમ આપણે ક્યારેક ઝગડો પણ કરતા હતા. ત્યારે તેઓ આપણને સંભાળી લેતા હતા.

એક સહુને સંભાળનાર હવે કોઈ રહ્યું નથી. તેથી જ એકબીજાને શીખ આપતા આપતા અને એકબીજાને પ્રેમ કરતા કરતા આપણે બધા મળીને ગાંધીજીની શીખામણ પર ચાલીએ.

[પરંધામ પવનારમાં 31 જાન્યુઆરી 1948ની સાંજે સાડાચાર વાગ્યે પ્રાર્થનાસભામાં આપેલ પ્રવચન − ‘गांधीजी को श्रद्धांजलि’ પુસ્તકમાંથી અનુવાદિત]

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જાન્યુઆરી 2022; પૃ. 06-07

Loading

વારસા પર દીકરીનો હકઃ પ્રગતિશીલ કાયદાઓ માત્ર કાગળ પર ન રહી જાય તેની જવાબદારી સમાજે નિભાવવી રહી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 January 2022

ભારતમાં હિંસા, ક્રૂરતા અને શોષણના ખદબદતા માહોલ વચ્ચે મહિલાઓએ સમાનતા અને ન્યાય માટે પણ લડતા રહેવું પડે છે

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક બહુ જ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો. આ ચુકાદા અનુસાર પિતાની મિલકતમાં દીકરીનો પણ દીકરા જેટલો જ અધિકાર રહેશે. આ કાયદા અનુસાર અમુક જૂની વિચારધારાઓ અને નિયમોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધાં. મદ્રાસ હાઇકોર્ટના એક ચુકાદા વિરુદ્ધ એક અપીલ દાખલ કરાયેલી હતી જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપ્યો કે વસિયત વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની સ્વ-ઉપાર્જીત તથા અન્ય સંપત્તિ પર દીકરીનો અધિકાર રહેશે.  આ ચુકાદા સાથે મિલકતના વારસામાં દીકરીને અગ્રતા મળશે. આ કાયદાની આંટીઘૂંટી વખત આવ્યે સમજી શકાશે પણ સપાટી પરથી સમજીએ તો દીકરીઓને જે સમાજમાં પારકી ગણાય છે તે હવે પોતાનો હક માંગી શકશે અને તેમાં કાયદો તેમની પડખે રહશે.

ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે આપણી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓને તેમનો અધિકાર આપવાને મામલે સમાજમાં સારો એવો ખચકાટ છે. કુટુંબના પુરુષ સભ્યોએ કોઇને પૂછ્યા-ગાછ્યા વગર મિલકત પર પોતાનો અબાધિત અધિકાર ‘ગ્રાન્ટેડ’ ગણી લે છે. તેમને કોઇ કહે કે ન કહે તેઓ માને છે કે વારસામાં મળેલી સંપત્તિની ચોકીદારી કરવાની જવાબદારી તેઓ ઉપાડી જ લેતા હોય છે. મિલકતને આપણા દેશમાં ધનનો પ્રાથમિક સ્રોત માનવામાં આવે છે અને તે સાહજિક રીતે જ પુરુષ વારસદારોને જાય એવું માની લેવાયેલું છે. આ કારણે સ્ત્રીઓ જેમને લગ્ન પછી કોઇ સમસ્યા હોય, આર્થિક રીતે સદ્ધર થવું હોય પણ એ માટે જે મૂળભૂત આર્થિક ટેકો જોઇએ એ ન હોય અથવા તો પછી પોતાના શિક્ષણ કે નાનકડા વ્યવસાય માટે પણ નાણાંની જરૂર હોય તો તે ક્યાંથી મેળવવા કે કોની પાસેથી માગવા તેની કોઇ સ્પષ્ટતા નથી હોતી. તાજેતરમાં જ બહાર પડેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – 5 અનુસાર 43 ટકા સ્ત્રીઓએ કબૂલ્યું હતું કે તેઓ કોઇ જમીન કે મિલકતના કાં તો સહિયારા અથવા તો એકાકી માલિક છે. આપણા સમાજમાં જે સ્થિતિ છે તે જોતા આ આંકડો સાંભળીને સારું લાગે પણ આ આખી બાબતની ‘સબ-ટેક્સ્ટ’ જોવી પડે કારણ કે મિલકત સ્ત્રીને નામે હોય એટલે તે એ મિલકતનો ધારે ત્યારે ઉપયોગ કરી શકે અથવા તો તેના ઉપયોગ પર તેનો પૂરેપૂરો કાબૂ હોય તેવું કેટલી હદે છે તેનો સરવે થાય તો આ આંકડો જુદો હોઇ શકે છે. અન્ય એક રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પરિવારો પાસે પોતાની જમીનો છે ત્યાં માંડ 16 ટકા સ્ત્રીઓ પાસે જ જમીનની માલિકી હતી. વળી ખેતીની જમીન પરની માલિકીને મામલે વ્યક્તિગત કાયદા અને રાજ્યના કાયદામાં વિરોધાભાસી વાત છે અને માટે જ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ કે દિલ્હી જેવા વિસ્તારોમાં વારસાને મામલે જે જોગવાઈઓ છે તે ઘણી પછાત છે. હિંદુ સક્સેશન એક્ટ 1956 દ્વારા સ્ત્રીઓને જે અધિકારો અપાયા હતા તેને બદલવાની માથાકૂટ હરિયાણામાં થઇ ચુકી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં 2016થી પરણેલી દીકરીઓને પ્રાથમિક રીતે વારસદારમાં ગણવામાં જ નથી આવતી. આ જ બાબત એની સાબિતી છે કે આપણે ત્યાં પિતૃસત્તાક સમાજને પ્રગતિશીલ કાયદાઓ પચતા નથી. શહેરોમાં જે બાબતો સપાટી પર નથી ગણાતી તેવી દહેજની વાતને પણ મિલકતને મામલે પરિવારો ગણતરીમાં લેતા ખચકાતા નથી. પુરુષ સભ્યો એવી દલીલ કરી જ શકે છે કે દહેજ મળ્યો હોય તો દીકરીએ પિતાની મિલકત પર કોઇ હક ન જતાવવો જોઇએ. 

વળી સુપ્રીમ કોર્ટે હમણાં જે ચુકાદો આપ્યો છે તે આ હિંદુ સક્સેશન એક્ટના 1956 હેઠળ જે મહિલાઓને પિતૃક સંપત્તિમાં ભાગ નથી મળ્યો તેમને પણ દાવો માંડવાની છૂટ આપે છે. આ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે જૂના પારંપરિક હિંદુ કાયદા અને આ પહેલાં અપાયેલા ન્યાયિક ચુકાદાઓના ઉદાહરણ ટાંકીને સિદ્ધ કર્યું કે હિંદુ સક્સેશન એક્ટ પહેલાં પણ પત્નીઓ અને દીકરીઓને પિતા/પુરુષની સ્વ-ઉપાર્જિત મિલકત પર દીકરાઓને હોય એટલા જ હક હતા. સુપ્રીમ કોર્ટે યાજ્ઞવલક્ય સ્મૃતિ જે એક ધર્મશાસ્ત્ર પરંપરાનો ગ્રંથ છે, તેનો ઉલ્લેખ કર્યો જેમાં વારસાની મિલકત પર મહિલાઓના હકનો ઉલ્લેખ છે. આ ગ્રંથમાં બે કાયદા એવા હતા જે અગત્યના હતા એક હતો વિજ્ઞાનેશ્વરનો મિતાક્ષરા અ જીમૂતવાહનનો દાયભાગ – દાયભાગનો કાયદો બંગાળ અને આસામમાં ચાલતો, જ્યારે દેશના બાકીના રાજ્યોમાં મિતાક્ષરાનો કાયદો લાગુ થતો. આ કાયદાઓમાં પુત્ર-પુત્રીને વારસો આપવાને મામલે અસમાનતા તો હતી જ પણ સમયાંતરે તેમાં ફેરફાર કરાયા હતા. આ ફેરફાર અનુસાર વસિયત લખ્યા વિના ગુજરી ગયેલ પિતાના વારસોમાં દીકરાઓ ઉપરાંત દીકરી, માતા, વિધવા પત્ની વગેરેને ગણતરી થઇ. જો કે હજી આ કાયદામા અમુક ક્ષતિ હતી, જેમાં 2005માં ફેરફાર કરાયા અને મહિલાઓને પૈતૃક સંપત્તિમાં વ્યાપક અધિકારો મળ્યા અને 2020ની સાલમાં દીકરીઓના અધિકારોને વધુ વિસ્તારિત કરાયા. તાજેતરના ચુકાદાએ આ અધિકારોની સૂક્ષ્મ બાબતોને વધુ સ્પષ્ટ કરી જેથી પિતાની સંપત્તિ પર હકની વાત આવે ત્યારે દીકરીઓને હાંસિયામાં ન ધકેલી દેવાય.

આ અગત્યની બાબત છે પણ આપણા દેશમાં જ્યાં જૂનવાણી માનસિકતાનાં મૂળિયાં બહુ ઊંડાં છે ત્યાં આ ફેરફારો સમાજને કેટલા પચે છે તે વખત આવ્યે જ ખબર પડશે. કમનસીબે ભારતમાં હિંસા, ક્રૂરતા અને શોષણના ખદબદતા માહોલ વચ્ચે મહિલાઓએ સમાનતા અને ન્યાય માટે પણ લડતા રહેવું પડે છે. વળી, જેમ ઉપર ચર્ચા કરી તેમ ખેતીની જમીન ધરાવતા રાજ્યો સુપ્રીમ કોર્ટના આ કાયદાને વધાવી લેશે તે જરૂરી નથી, કારણ કે રાજ્યના ન્યાયતંત્રમાં અલગ જોગવાઇઓ હોય છે. કાયદો પ્રગતિશીલ બને તેનાથી સમાજ પ્રગતિશીલ બની જશે એવું માનવાની કોઇ જરૂર નથી.

બાય ધી વેઃ

આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં વાસ્તવિકતા કાયદા અને ડેટાને આધારે નથી બનતી પણ માણસ અને માણસાઇના અનુભવને આધારે ઘડાય છે. વારંવાર એવી ઘટનાઓ સામે આવે છે જ્યાં સાબિત થાય છે બંધારણ કે કાયદામાં જે હોય એ પણ મહિલાઓ સાથે સમાન વહેવાર નથી જ થતો. દસ્તાવેજ પર પ્રગતિશીલ શબ્દો છાપેલા હોવાથી સમાજ નથી બદલાઇ જતો. જે દેશમાં મહિલાઓને સૈન્યની પરીક્ષા આપવા માટે પણ કાયદાની જરૂર પડે જ્યાં મંત્રીઓ મહિલાઓ વિશે મનફાવે એવી ટિપ્પણી કરે, જ્યાં રાજકારણીની દીકરી પોતાના મનગમતા યુવકને પરણે તો પિતાના ગુંડાઓથી બચવા તેણે પિતાને જાહેર અપીલ કરવી પડે, જ્યાં હજી લગ્ન સંબંધમાં થતા બળાત્કારને મામલે કોર્ટમાં પાયા વગરના વિધાનો થઇ શકે ત્યાં આપણે પ્રગતિશીલ કાયદાઓથી ફુલાઇ ન જવું. જે કાયદાઓ કાગળ પર છે તેને સમાજમાં પૂરેપૂરી રીતે સ્વીકારાય તે માટે હજી લાંબી મજલ કાપવાની છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  30 જાન્યુઆરી 2022

Loading

ઝીણા, રતનબાઈ અને દિના : આ પાત્રો ભારતના ઇતિહાસનાં પણ છે …

સોનલ પરીખ|Opinion - Opinion|30 January 2022

દીકરી દિનાએ પસંદ કરેલો યુવાન મુસ્લિમ ન હતો એ જાણી ઝીણા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દિનાએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને 17 વર્ષની દિના નેવિલ વાડિયાને પરણી ગઈ …

‘ખુદા કે લિયે’ નામની પાકિસ્તાની ફિલ્મમાં, બ્રિટનમાં રહેતા મુસ્લિમ પિતા-પુત્રીની વાત છે. વિધુર થયા પછી એક અંગ્રેજ સ્ત્રીને પરણેલો પિતા, છૂટાછેડા પછી બધી રીતે પાયમાલ થઈ એક અંગ્રેજ સ્ત્રી સાથે લગ્ન વગર રહે છે. પણ દીકરી એક અંગ્રેજ યુવકના પ્રેમમાં છે એ જાણી એ ખળભળી ઊઠે છે અને દીકરીને પાકિસ્તાન લઈ આવી, છેતરીને એક મુસ્લિમ યુવાન સાથે પરણાવી દે છે. વાર્તા તો હજી લાંબી છે અને રસપૂર્ણ પણ, પણ અહીં મારે ધ્યાન એ તરફ દોરવું છે કે માણસ કેવાં બેવડાં ધોરણો સાથે જીવે છે – પોતા માટે એક નિયમ, અન્ય માટે બીજા નિયમ – એ ‘અન્ય’ પોતાનાં સંતાન હોય તો પણ ! આ ફિલ્મ હતી, પણ આવું વાસ્તવમાં પણ બને. આ પાકિસ્તાનની વાત હતી, પણ આવું ભારતમાં પણ બને – ગમે ત્યાં બને, કારણ કે બેવડાં ધોરણ કોઈ એક જગ્યાએ હોતા નથી. વેબડાં ધોરણ એ તો આખી દુનિયાના લોકોમાં ફેલાયેલી માનસિકતા છે.

1938ની સાલમાં, બીજા વિશ્વયુદ્ધના આગલા વર્ષે આપણા દેશમાં એક મોટા મુસ્લિમ નેતાની દીકરી, પિતા પાસે પોતાના મિત્રને પરણવાની પરવાનગી લેવા આવી. પિતા વિધુર હતા. એમની સદ્દગત પત્ની પારસી હતી. એટલે દીકરી જન્મથી અડધી પારસી હતી અને નાનાનાની પાસે ઊછરતી એટલે સંસ્કારે પણ પારસી ખરી. એણે પસંદ કરેલો યુવાન ભણેલો અને સફળ બિઝનેસમેન હતો, પણ એ પારસી હતો એ જાણી પિતા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દીકરીએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને સત્તર વર્ષની એ છોકરી તેના પારસી પ્રેમી નેવિલ વાડિયા સાથે પરણી ગઈ. પિતાએ એનો બહિષ્કાર કર્યો.

આ પિતા-પુત્રી એટલે મહમ્મદ અલી ઝીણા અને એની દીકરી દિના. ઝીણાના રાજકીય જીવન વિશે આપણે બધા જાણીએ જ છીએ, આજે એમના પારિવારિક જીવન વિશે થોડી વાત કરીશું, કારણ કે 25 ડિસેમ્બરે ઝીણાનો જન્મદિન હતો, કારણ કે ઝીણા, એમની પારસી પત્ની રતનબાઈ ઉર્ફ રુટી અને એમની પુત્રી દિના આ ત્રણે પાત્રો ભારતીય ઇતિહાસનાં પણ છે.

કાઠિયાવાડના મોટી પાનેલી ગામના ખોજા દંપતી ઝીણા પૂંજા અને મીઠીબાઈને ત્યાં 1876માં જન્મેલા મહમ્મદ અલી સાત બાળકોમાં સૌથી મોટા હતા. મુંબઈ અને લંડનમાં ભણ્યા અને 19મા વર્ષે બેરિસ્ટર થયા. ભારત પાછા આવ્યા બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા પણ ગાંધીજી સાથે મતભેદ થતાં કૉંગ્રેસ છોડી અને 1913થી મુસ્લિમ લીગનું નેતૃત્વ સંભાળ્યું. 1920થી તેમની કટ્ટરતા વધતી ગઈ, 1937 પછી એમણે ભારતથી અલગ સ્વતંત્ર મુસ્લિમ દેશની માગણી કરવા માંડી. 1947માં વિભાજન થયું. ઝીણા સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ અને વડા બન્યા. 1948 સપ્ટેમ્બરમાં એમનું મૃત્યુ થયું.

ઇંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ તેમનો પરિચય મુંબઈમાં પહેલી ટેક્સટાઈલ મિલ શરૂ કરનાર દિનશા પેટિટ સાથે થયો. દિનશા પેટિટ તેમના ક્લાયન્ટ અને મિત્ર બન્ને હતા. રતનબાઈ ઉર્ફ રુટી આ દિનશા પેટિટની દીકરી. ઝીણા લંડનમાં ભણ્યા હતા, દેખાવડા હતા અને મુંબઈમાં વકીલાત કરતા હતા. મુગ્ધ રુટિ એમના તરફ આકર્ષાતી ગઈ. રુટિ ખૂબ દેખાવડી અને પશ્ચિમી ઢબે ટ્રેઈન્ડ આયાઓ પાસે ઉછરેલી આધુનિક કન્યા હતી. ઝીણા પણ આકર્ષાયા. ત્યારે ઝીણા ૪૦ વર્ષના હતા અને રુટિ 16 વર્ષની.

બે વર્ષ પ્રણય પાંગરતો રહ્યો. દિનશા પેટિટે પુત્રીના 18મા જન્મદિનની પાર્ટી તાજ હૉટેલમાં રાખી. મહેમાનો સમક્ષ રુટિએ નાટ્યાત્મક ઢબે જાહેર કર્યું કે તે ઝીણા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી ચૂકી છે. દિનશા સ્તબ્ધ થઈ ગયા. મહેમાનો પણ આઘાત પામ્યા. સમગ્ર પારસી સમાજ ચોંકી ગયો. 1918માં બન્નેએ લગ્ન કરી લીધા. રુટિએ મુસ્લિમ ધર્મ અપનાવી મરિયમ નામ ધારણ કર્યું. લગ્ન વખતે ઝીણા ૪૨ અને રતનબાઈ ૧૮ વર્ષના હતાં.

લગ્નના એક વર્ષ બાદ ૧૫ ઓગસ્ટ ૧૯૧૯ને દિવસે દિનાનો જન્મ થયો. ત્યાં સુધીમાં ઝીણા અને રુટિ એકબીજાથી ત્રાસી ગયા હતા. રુટિ મિત્રો અને મજલિસોમાં વ્યસ્ત રહેતી અને ઝીણા વકીલાત અને રાજકીય કારકિર્દીમાં. દીકરી માટે ટ્રેઈન્ડ મોંઘી આયાઓ રોકી પતિપત્ની પોતપોતાની જિંદગી જીવવા લાગ્યાં. ઝઘડા થઈ જતા તો રુટિ તાજમાં રહેવા ચાલી જતી. તાજના એના સ્યુટનું બિલ ઝીણા ભરી દેતા.

દીકરી પ્રત્યે માબાપની ઉપેક્ષા એટલી બધી હતી કે વર્ષો સુધી એનું નામ પણ પડ્યું નહોતું. થોડા વખત પછી રુટિ બીમાર રહેવા લાગી. ઝીણાના ખાસ મિત્ર કાનજી દ્વારકાદાસે માંદગી દરમિયાન અને છેક સુધી રુટિની સંભાળ રાખી હતી. કાનજી દ્વારકાદાસ 1914થી હોમરૂલ લીગમાં સક્રિય હતા. કાનજી દ્વારકાદાસ ગાંધીજીને 1917માં મળ્યા હતા અને ચંપારણના સત્યાગ્રહ પછી ગાંધીજીને લગભગ રોજ મળતા, પણ ક્યારે ય ગાંધીજીની જાદુઈ અસરમાં ન આવ્યા અને કદી પણ કૉંગ્રેસમાં જોડાવાનું ઉચિત ન માન્યું. તેઓ મજૂરોના કલ્યાણ માટે સતત સક્રિય રહ્યા હતા.

માત્ર 29 વર્ષની વયે રુટિનું મૃત્યુ થયું. દીકરી એના નાની દિનબાઈ પાસે ઉછરવા લાગી અને ‘દિના’ કહેવાઈ. દિનાએ તેના પિતાને ખૂબ જ નજીકથી જીદ્દી, મહત્ત્વાકાંક્ષી અને કટ્ટર માન્યતાના આગ્રહી તરીકે જોયા હતા. એમની વચ્ચેના સંબંધો તંગ જ રહ્યા. ઝીણાના સ્વભાવમાં હઠ અને અહંકારનો અતિરેક હતો તેનું કારણ ભગ્ન લગ્ન અને એકલવાયાપણું હોઈ શકે. અલગ પાકિસ્તાનની ધૂન સવાર થયા પછી ઝીણા મુસ્લિમ રિવાજોમાં માનવા લાગ્યા જો કે ઘણાખરા ચુસ્ત મુસ્લિમો એમને મુસલમાન માનતા નહીં. 

1938માં દિનાનાં લગ્ન થયાં. પાકિસ્તાન બન્યું ત્યારે દિનાએ પિતા સાથે પાકિસ્તાન જવાની ના પાડી ભારતમાં જ રહેવું પસંદ કર્યું હતું. પણ તેણે પિતાને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો. ઝીણાએ તેનો જવાબ આપ્યો નહીં. 1948માં ઝીણાની તબિયત ખૂબ ખરાબ થઈ ત્યારે તેણે દિનાએ પાકિસ્તાન જવાની તૈયારી કરી. ઝીણાએ મરણપથારીએથી પણ દિનાના વિઝા રીજેક્ટ કરવાની સૂચના આપી દીધી. તેમની દફનવિધિમાં દિના પાકિસ્તાન ગયાં હતાં. તે પછી છેક ૨૦૦૪માં દિના સપરિવાર પાકિસ્તાન ગયા હતાં અને ઝીણાની કબર પર ફૂલો મૂકી પ્રાર્થના કરી હતી. દિનાના પુત્રો નેસ અને જહાંગીર વાડિયા બૉમ્બે ડાઇંગના ચૅરમેન અને બહુમતિ માલિકો છે. મુંબઈમાં એમની મોટી મિલકતો છે. વાડિયા ગ્રુપ તીખી કૉર્પોરેટ લડાઈઓ માટે જાણીતું છે. દિના 2017માં 98 વર્ષની ઉંમરે ન્યૂ યૉર્કમાં મૃત્યુ પામ્યાં.

ઝીણાના નિધન બાદ જીવનપર્યંત દિના મુંબઈમાં મલબાર હિલ્સ વિસ્તારમાં આવેલ એમનો બંગલો પોતાની માલિકીનો થાય તે માટે કોર્ટમાં કેસ લડતા રહ્યાં હતાં. આ બંગલો 'ઝીણા હાઉસ' તરીકે ઓળખાય છે. આ બંગલો ૧૯૩૬માં બ્રિટનના જાણીતા સ્થપતિ ક્લોડ બેટલે દ્વારા ડિઝાઈન થયેલો અને ૨.૫ એકરમાં જમીન પર તે જમાનામાં બે લાખ(આજના લગભગ બસો કરોડ)ના ખર્ચે બન્યો હતો.  ઇંગ્લેન્ડના સંગેમરમર અને અખરોટના લાકડાનો ઉપયોગ થયો હતો. આ જ બંગલામાં ગાંધીજી, નહેરુ અને ઝીણા વચ્ચે આઝાદીના સંગ્રામની રણનીતિથી માંડી આગળ જતા અલગ પાકિસ્તાનના ખ્યાલ અંગે બેઠકો થઈ હતી. ભારત છોડતી વખતે ઝીણાએ કહ્યું હતું, ‘આ બંગલો યુરોપીય દૂતાવાસને સોંપી દેજો, ભારતીયો એને લાયક નથી.’

ઝીણા જાહેરમાં બે વખત રડ્યા છે. પહેલી વાર રુટિનું મૃત્યુ થયું ત્યારે અને બીજી વખત પાકિસ્તાન જતા અગાઉ છેલ્લી વખત રુટિની કબર પર ગયા ત્યારે. શીલા રેડ્ડીએ ‘મિ. એન્ડ મિસિસ ઝીણા’માં ઝીણા અને રુટિના દાંપત્યને ‘રોમાન્સની નાની પણ પ્રબળ કહાણી’ તરીકે વર્ણવ્યું છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6541,6551,6561,657...1,6601,6701,680...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved