Opinion Magazine
Number of visits: 9570385
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસતિ સમસ્યાનો અંત

રમેશ બી. શાહ|Opinion - Opinion|31 December 2021

એક સારા સમાચાર આવ્યા છે. ભારતની વસતિ સમસ્યા ઉકલવા પર છે. જેને અંગ્રેજીમાં ‘ટોટલ ફર્ટિલીટી રેટ’ કહેવામાં આવે છે તે ઘટીને ર.૦ જેટલો થયો છે. આ આંકડા પાંચમા નૅશનલ ફેમિલી હેલ્થ સર્વેમાંથી સાંપડ્યાં છે. ગુજરાતીમાં આપણે આ દરને કુલ પ્રજનન દર કહીશું. આ દર સ્ત્રીઓ દીઠ સરેરાશ બાળકોની સંખ્યા દર્શાવે છે, એટલે કે સ્ત્રીઓ દેશમાં સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તે દર્શાવે છે. આ દર દેશમાં ર.૧ થાય ત્યારે દેશની વસતિ સમય જતાં સ્થિર થાય છે. તેથી અંગ્રેજીમાં એને ‘રીપ્લેસમેન્ટ લેવલ’ કહે છે. ભારતમાં ર૦૧પ-૧૬માં આ પ્રજનન દર ર.ર હતો, જે ઘટીને ર.૦ થયો છે. શહેરી વિસ્તારોમાં એ દર ૧.૬ છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એ ર.૧ છે. એનો અર્થ એ છે કે દેશના ગ્રામીણ વિસ્તારો પણ વસતિવધારાના પ્રશ્નથી મુક્ત થયા છે.

દેશનાં બધાં રાજ્યોમાં આ પ્રજનન દર એક સરખો નથી. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં તે ૧.૬ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રમાં તે દર ૧.૭ છે. બીજી બાજુ બિહારમાં ૩.૦ અને ઉત્તર પ્રદેશમાં ર.૪ છે. ઝારખંડમાં તે ર.૩ છે. આના પરિણામે જે એક ધારણા હતી કે ર૦ર૪થી ર૦ર૮ના ગાળામાં ભારત સૌથી વધુ વસતિવાળો દેશ થશે, તેમાં હવે વિલંબ થશે. એકંદરે દક્ષિણનાં રાજ્યોમાં આ દિશામાં વધારે પ્રગતિ થઈ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને નાગાલૅન્ડમાં પ્રજનનદર ૧.૭ છે. આઠ રાજ્યોમાં તે ૧.૮ છે. એમાં કેરલ, તામિલનાડુ, તેલંગાણા અને ઓડિશાનો સમાવેશ થાય છે. પાંચ રાજ્યોમાં દર ૧.૯ છે. એમાં હરિયાણા, આસામ, ગુજરાત વગેરેનો સમાવેશ થાય છે.

ભારતે ૧૯પરથી કુટુંબનિયોજનની નીતિ અપનાવી હતી, જ્યાં સરકારી રાહે વસતિનીતિ અપનાવવામાં આવી હતી. આ વસતિનીતિ ૭૦ વર્ષે ફળદાયી નીવડી છે. જો કે, જે પ્રજનન દરમાં જે ઘટાડો થયો છે, તેનો સઘળો યશ સરકારની કુટુંબનિયોજનની યોજનાને આપી શકાશે નહીં. દેશમાં શિક્ષણનો પ્રસાર થયો છે, વસતિનું શહેરીકરણ થયું છે અને લોકોની આવકમાં વધારો થયો છે, તે પરિબળોએ પણ ભાગ ભજવ્યો છે. દુનિયાના આજના વિકસિત દેશોમાં આર્થિક વિકાસની સાથે વસતિવૃદ્ધિનો દર ઘટ્યો હતો, એની સાથે એ દેશોમાં શિક્ષણનો પ્રસાર થયો હતો. તેથી કુટુંબનિયોજનની નીતિ વગર પણ વસતિવૃદ્ધિનો દર ઘટ્યો હતો એટલે કે લોકોએ આપમેળે કુટુંબનિયોજન કર્યું હતું.

વિવિધ રાજ્યોમાં પ્રજનનદરમાં જે તફાવત છે, તેનો સૂચિતાર્થ સમજવા જેવો છે. જે રાજ્યોમાં પ્રજનનદર ર.૦ કરતાં ઓછો છે, ત્યાં સમય જતાં વસતિ ઘટશે અને યુવાન વસતિનું પ્રમાણ ઘટશે. બીજી બાજુ, વૃદ્ધોનું પ્રમાણ વધશે તેથી એ રાજ્યોમાં કામદારોની અછત સર્જાશે. જો કે, આ લાંબા ગાળાની વાત છે. જે પાંચ રાજ્યોમાં પ્રજનનદર ર.૧ કરતાં વધારે છે, ત્યાં વસતિવધારો લાંબો સમય ચાલુ રહેશે. ત્યાં પણ છેવટે પ્રજનનદર ઘટીને ર.૧ કે તેથી ઓછો થશે જ.

આ પરિણામ પ્રત્યેક દેશમાં આવ્યું છે. જ્યાં પ્રજનનદર ર.૦ કરતાં ઓછો થયો છે. એ દેશોમાં યુવાનોનું પ્રમાણ ઘટ્યું છે અને વૃદ્ધોનું પ્રમાણ વધ્યું છે. વૃદ્ધો ઉત્પાદક ન હોવાથી તેમને નિભાવવા યુવાન કામદારોની જરૂર પડે છે. જો કે, ટેકનોલોજીની પ્રગતિને લીધે કામદાર દીઠ ઉત્પાદકતા વધી હોવાથી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ટકાવી શકાય છે અને વૃદ્ધોને નિભાવવાનું સરળ પડે છે. પણ શરત એ છે કે કામદારોની ઉત્પાદકતા વધવી જોઈએ.

ઉપર આપણે એમ લખ્યું છે કે પ્રજનનદર ઘટવાનો યશ કેવળ કુટુંબનિયોજનની નીતિને આપી શકાય નહીં. પણ એક વાતની નોંધ લેવી જોઈએ. સંતતિનિયમનનાં સાધનોમાં ઘણો વધારો થયો છે. એટલે કે એનો ઉપયોગ કરનારાંની સંખ્યા વધી છે. ર૦૧પ-૧૬માં કુટુંબનિયોજનનાં સાધનોનો ઉપયોગ કરનારાં ૪૯.૮ ટકા હતાં. એ પ્રમાણ વધીને ર૦૧૯-ર૧માં પ૬.પ ટકા થયું છે. સ્ત્રીઓનું વંધ્યત્વીકરણ ર૦૧પ-૧૬માં ૩૬ ટકા હતું, જે વધીને ર૦૧૯-ર૧માં ૩૮ ટકા થયું છે. આમ, કુટુંબનિયોજનનો બોજો મુખ્યત્વે સ્ત્રીઓ ઉપર છે. કુટુંબનિયોજનની ગુણવત્તામાં પણ વધારો થયો છે, જે લોકોએ કુટુંબનિયોજનની માહિતી અધિકૃત સ્રોતોમાંથી મેળવી હતી, તેનું પ્રમાણ ૪૬ ટકાથી વધીને ૬ર ટકા થયું છે. આમ, કુટુંબનિયોજન એ આપણી જીવનશૈલીનો એક ભાગ બન્યું છે. આ એક મોટું સામાજિક પરિવર્તન છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 04

Loading

ભારતમાં માનવ અધિકારોની ઉપેક્ષા થાય છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 December 2021

માંડ અઠ્ઠાવીસ વરસની આવરદા ધરાવતું નવજવાન ‘નેશનલ હ્યુમન રાઈટસ કમિશન’, માનવ અધિકારોના જતનની બાબતમાં મરિયલ ભાસે છે.

જાહેર વૈશ્વિક મૂલ્ય ધરાવતાં માનવ અધિકારોનું ભારતમાં જતન થાય છે, કે તે ઉપેક્ષિત છે ? માનવ અધિકારોના ભંગથી પીડિત નાગરિક અને સરકાર વચ્ચે ઊભેલા, માનવ અધિકારોની સુરક્ષાની બંધારણીય પ્રતિબદ્ધતા સ્થાપવા રચાયેલા, ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ના અધ્યક્ષ જ સરકારના તરફદારની જેમ વર્તે તો માનવ અધિકારનું રક્ષણ કોણ કરશે તેની વિમાસણ થાય છે. તાજેતરમાં ‘નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન’ના ચેરપર્સન, સુપ્રીમકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અરુણકુમાર મિશ્રાએ, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની હાજરીમાં સરકારની ભાટાઈ કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય શક્તિઓના ઈશારે સરકાર પર માનવ અધિકારોના ભંગના જૂઠા આરોપો લગાવાતા હોવાનું જણાવી જમ્મુ-કશ્મીર અને નોર્થ ઈસ્ટમાં શાંતિના યુગની સ્થાપનાનું શ્રેય કેન્દ્રીય ગૃહ મંત્રીને આપ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘે પેરિસ સિદ્ધાન્તને અનુસરીને દુનિયાભરમાં માનવ અધિકારોના રક્ષણ માટે માનવ અધિકાર પંચોની રચના કરાવી હતી. તેને કારણે ૧૯૯૩માં જ ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના થઈ હતી. માનવ અધિકારોના જતનની બાબતમાં માંડ અઠ્ઠાવીસ વરસની આવરદા ધરાવતા નેશનલ હ્યુમન રાઈટસ કમિશનની ભૂમિકા ભર જુવાનીમાં મરિયલ ભાસે છે. શાયદ એટલે જ આ બંધારણીય નહીં પણ કાનૂની સંસ્થાને સર્વોચ્ચ અદાલતે ટૂથલૈસ ટાઈગર કહી છે.

ભારતીય નાગરિકના જીવનની સ્વતંત્રતા, સમાનતા અને સન્માન સાથે જોડાયેલા અધિકારોનું હનન થાય તો તેની તપાસ કરવાનું કામ માનવ અધિકાર પંચનું છે. સત્તાવાર કહેવાયું છે તેમ છેલ્લા અઠ્ઠાવીસ વરસોમાં તેણે માનવ અધિકાર ભંગના વીસ લાખ કેસોનું નિરાકરણ કર્યું છે; માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કલમ ૧૮ હેઠળ પંચને પીડિતને વળતર આપવાની તેને સત્તા મળી છે. અને તેણે રૂ. ૨૦૫ કરોડના વળતરની ભલામણો કરી છે. પરંતુ આયોગની ભલામણો સરકારને બાધ્ય નથી. આયોગને મળેલા સિવિલ કોર્ટના અધિકાર અને તેની સમક્ષની ન્યાયિક કાર્યવાહી દેખાડાની તેમ જ કાગળ પર જ રૂપાળી લાગે છે.

માનવ અધિકારના રક્ષણની કામગીરી જેના માથે છે તે પોલીસ સામે જ કાયમ સૌથી વધુ માનવ અધિકાર ભંગની ફરિયાદો થાય છે. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો’ના અહેવાલ મુજબ છેલ્લા દસ વરસોમાં પોલીસ વિરુદ્ધ વાર્ષિક ૪૭.૨ ટકાના દરે માનવ અધિકાર ભંગના અપરાધિક મામલા નોંધાય છે. ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન પોલીસ કસ્ટડીમાં દર વરસે સરેરાશ સો લોકોના મોત થાય છે. ‘જેલ નહીં બેલ’ના નિયમ અને જામીનના અધિકાર છતાં જેલોમાં ૩.૫ લાખ કાચા કામના કેદીઓ છે અને તે પૈકી ૭૦ ટકા વિચારાધીન કે સજા કરતાં વધુ સમયથી જેલમાં છે. માર્ચ ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોલીસ ગોળીબારની ૮,૪૭૨ ઘટનાઓ બની હતી. તેમાં ૧૪૬ લોકોના મોત અને ૩,૩૦૨ ઘાયલ થયા હતા.

પોલીસ આત્મરક્ષામાં ગુનેગારોને મારી નાંખવા મજબૂર બને છે તેમ જેના માટે કહેવાય છે તે પોલીસ એન્કાઉન્ટરની ઘટનાઓ માનવ અધિકારોનાં હનનનું વરવું રૂપ છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ મદન લોકુર તેને કોલ્ડ બ્લડેડ મર્ડર કહે છે. ‘સેન્ટર ફોર ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ એન્ડ રિસર્ચ’નો, માર્ચ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના એક વરસમાં પશ્ચિમ યુ.પીની પોલીસ મૂઠભેડના સત્તર બનાવોનો અભ્યાસ, આંખ ઉઘાડનારો છે. આ ૧૭ એન્કાઉન્ટરમાં ૧૮ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ૧૭ લઘુમતી સમુદાયના અને ૧ બહુમતી સમુદાયના હતા. પોલીસ જેને સ્વબચાવમાં મોત નિપજાવ્યાનું ગણાવે છે તે એટલે પણ ખોટું ઠરે તેમ છે કે આ ૧૭ મામલામાં ૨૮૦ પોલીસ અધિકારી-કર્મચારી સામેલ હતા. તેમાંથી માત્ર ૨૦ જ ઘાયલ થયા હતા અને તે પૈકી ૧૫ને તો સાવ મામૂલી ઈજાઓ થઈ હતી. આ ૧૭માંથી ૧૪ એન્કાઉન્ટરની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની તપાસ પૂર્ણ થઈ હતી અને તેને માત્ર એક જ મૂઠભેડ નકલી લાગી છે !

ભારત માનવ અધિકારના જતન, રક્ષણ, સંવર્ધનનો ઉજળો ઇતિહાસ ધરાવે છે. દક્ષિણ આફ્રિકાના રંગભેદ સામે લડવા તેણે જ દુનિયાને તૈયાર કરી હતી. હાલમાં તેણે જ અફઘાનિસ્તાનની વર્તમાન હાલત અંગે ચર્ચાની પહેલ કરી છે. ૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવ અધિકાર ઘોષણાઓ અને ૧૯૯૩માંના ‘ઈન્ટરનેશનલ બિલ ઓફ રાઈટસ’ના ઘડતરમાં ભારતનો સિંહફાળો છે. બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ, તિબેટના દલાઈ લામાની લડત, શ્રીલંકામાં તમિળોના અધિકારો માટે ભારત અગ્રેસર રહ્યું છે. એટલે તે ઘર આંગણે માનવ અધિકારની બાબતમાં પાછળ કેમ રહે છે તે સવાલ છે. રાજકીય હસ્તક્ષેપને લીધે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કમિશને ભારતના નેશનલ હ્યુમન રાઈટસ કમિશનના ગુણાંક ૨૦૧૬માં ઘટાડ્યા હતા. જો કે ૨૦૧૭માં પછી તે સુધર્યા હતા તે આશ્વસ્ત કરે છે. એ જ રીતે ભારતીય ફોજદારી ધારા હેઠળ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ગુનાઓ વધ્યા છે પણ ધરપકડો ઘટી છે. ભારતે માનવ અધિકારના રક્ષણ ક્ષેત્રે તેની આ સિદ્ધિ જાળવી રાખવાની છે.

નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનની દંતનહોરવિહીન ભૂમિકા છતાં તેણે કેટલુંક ઉત્તમ કામ કર્યું છે. જુદા જુદા વિષયોની આયોગની બાવીસ માર્ગદર્શિકાઓ માનવ અધિકારના સંરક્ષણ માટે મહત્ત્વની બની છે. પરંતુ તેની પાસે ઘણી વધારે અપેક્ષા રહે છે. આયોગ સમક્ષના દસ કામોમાંથી એક જ ન્યાયને લગતું છે પરંતુ તે જ મુખ્ય બની ગયું છે. આયોગના પ્રતિનિયુક્તિ પરના પોલીસ અધિકારીઓ માનવ અધિકાર ભંગના મામલાની તપાસમાં તેમના વ્યવસાયી લોકો પ્રત્યે નિષ્ઠા કે ઉદારતા રાખતા હોવાનું બને છે. આયોગ પણ માનવ અધિકાર ભંગની તપાસ સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓ પાસે જ કરાવે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચનામાં વિપક્ષનો અવાજ સંભળાતો નથી કેમ કે આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટેની સમિતિમાં સત્તાપક્ષના સભ્યોની બહુમતી છે. માનવ અધિકાર ભંગના કેસોમાં સરકાર કશી કાર્યવાહી ન કરે તો આયોગને સ્વતંત્ર તપાસનો અધિકાર કાયદા થકી મળ્યો છે, પણ તેનો કદી અમલ થતો નથી. જો આયોગની રચના, કામગીરી અને સત્તામાં સુધારા થાય તો માનવ અધિકારોનું વધુ સારી રીતે જતન થઈ શકે તેમ છે.

અદાલતોએ માનવ અધિકાર ભંગની બાબતમાં ઘણા પ્રગતિશીલ ચુકાદા આપ્યા છે. મૂળભૂત અધિકારો બંધારણથી મળ્યા છે પણ માનવ અધિકારો તો જન્મથી જ મળે છે. કાયદા સમક્ષની સમાનતા છતાં કાયદાનો અમલ અસમાન રીતે થાય છે તેમ માનવ અધિકારો સમાન હોવા છતાં નબળાઓના જ માનવ અધિકારોનું વધુ હનન થાય છે. એટલે પણ તેની જાળવણી અનિવાર્ય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બીજાની વીરતા પોતાના નામે ચડાવનાર સાવરકર ખુદ ભીરુ હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|30 December 2021

મદનલાલ ઢીંગરાનું પરાક્રમ તો વિનાયક દામોદર સાવરકરે આપેલી પ્રેરણાનું પરિણામ હતું એનો જશ સાવરકરને હિન્દુત્વવાદીઓએ છેક તેમના અવસાન પછી આપ્યો હતો અને એ પણ સાવરકરનો હવાલો આપીને. અંગ્રેજ-રાજમાં તો ઠીક, પણ આઝાદી પછી પણ સાવરકરે કે તેમના અનુયાયીઓએ જશ લેવાનો કે તેમને આપવાનો પ્રયાસ નહોતો કર્યો, કારણ કે ગાંધીજીના ખૂનમાં સાવરકર એક આરોપી હતા અને તેમને ડર હતો કે જેને તેઓ ‘પ્રેરણા’ કહે છે એને શાસકો ઉશ્કેરણી તરીકે ખપાવી શકે છે અને સાવરકર દ્વારા ગાંધીજીના ખૂનીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા અને ઢીંગરાની કરવામાં આવેલી ઉશ્કેરણી તેનું પ્રમાણ છે એમ કહીને સરકાર કે બીજું કોઈ અપીલમાં પણ જઈ શકે. માટે મહાન ‘વીરે’ અને ‘વીર’ના સમર્થકોએ આઝાદી પછી પણ ‘પ્રેરણા’નો દાવો નહોતો કર્યો કે નહોતો જશ લીધો. એ જશ પર દાવો સાવરકરના અવસાન પછી, જ્યારે પરિસ્થિતિ અનુકૂળ બની ગઈ ત્યારે કરવામાં આવ્યો હતો. ઢીંગરાએ કરેલા પરાક્રમનો શ્રેય વચ્ચેથી આંચકી જવો એ અનીતિ નથી? અને જો ઢીંગરાનું પરાક્રમ ખરેખર સાવરકરની પ્રેરણાનું પરિણામ હતું તો દાયકાઓ સુધી ચુપકીદી સેવવી એ બુઝદિલી નહોતી? પણ એ જ તો હિન્દુત્વ નીતિ છે. સાધનશુદ્ધિ અને પ્રામાણિકતાને સાવરકરે ‘સદ્ગુણવિકૃતિ’ (સહા સોનેરી પાન, પ્રકરણ ચોથું, જેનું શીર્ષક જ છે; સદ્ગુણવિકૃતિ) તરીકે ઓળખાવ્યાં છે.

પણ એક મુસીબત થઈ જેની કલ્પના ૧૯૦૯ની સાલમાં સાવરકરે નહોતી કરી. મદનલાલ ઢીંગરા સામે જ્યારે લંડનની અદાલતમાં ખટલો ચાલતો હતો ત્યારે ઢીંગરાએ અદાલતમાં નિવેદન કર્યું હતું કે, ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment…' માત્ર નખશીખ વીરોને શોભે એવું આ નિવેદન ઢીંગરાએ અદાલતમાં કર્યું હતું (જે એમ કહેવાય છે કે સાવરકરે લખી આપ્યું હતું.) જેનો સાવરકરે ભરપૂર પ્રચાર કર્યો હતો. હજુ તો અદાલત ઊઠે એ પહેલાં તેમણે ઢીંગરાનું નિવેદન અખબારો સુધી પહોંચાડી દીધું હતું. ત્યારે તેમણે બિચારાએ કલ્પના પણ નહોતી કરી કે બહુ જલદી મર્દાનગીની જે એરણ તેમણે પ્રચારિત કરી છે એ જ એરણ ઉપર તેમની પોતાની કસોટી થવાની છે. તેમને તો ત્યારે શ્યામજી કૃષ્ણવર્માની માફક એવો ભ્રમ હતો કે જ્યાં સુધી પ્રત્યક્ષ કાયદો હાથમાં લેવામાં ન આવે ત્યાં સુધી બીજા દરેક પ્રકારના સાહસ માટે બ્રિટિશ ભૂમિ ભારતની ભૂમિ કરતાં વધુ સલામત છે. જ્યારે ભ્રમ ભાંગ્યો ત્યારે ‘અંગ્રેજ યેથૂન તેથૂન સારખેચ!’ એવો એક લેખ ‘લંડનચી બાતમીપત્રે’ માટે તેમણે લેખ્યો હતો. (સમગ્ર સાવરકર વાંગ્મય ભાગ-૧, પૃષ્ઠ, ૨૬૩)

‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment….' શું મર્દાના નિવેદન છે! માનવું પડે! ખરો ‘વીર’ હોય એ જ આ કહી શકે. ‘હું દયાની ભીખ માગતો નથી. (દયા વળી તમે આપનારા કોણ, કારણ કે) હું તો તમારી મારા ઉપરની (અને ભારત ઉપરની) સત્તાને જ સ્વીકારતો નથી. મારી તો એટલી જ ઈચ્છા છે કે મને મૃત્યુદંડ આપવામાં આવે….'

મદનલાલ ઢીંગરાએ લંડનની અદાલતમાં આ નિવેદન ૨૦મી જુલાઈ ૧૯૦૯ના રોજ કર્યું હતું, જેને સાવરકરે ભારતમાં અને ઇંગ્લેન્ડમાં ખૂબ પ્રચારિત કર્યું હતું. ખૂબ એટલે એમના સ્વભાવ મુજબ બેશુમાર. નસીબનો ખેલ કહો કે સાવરકરની કમનસીબી કહો, બરાબર બે વરસે સાવરકરને કુલ પચાસ વરસની એકાંતવાસની સજા કાપવા માટે ચાર જુલાઈ ૧૯૧૧ના રોજ આંદામાન લાવવામાં આવ્યા અને મર્દાનગીની કસોટી થઈ!

હવે? હવે સાવરકર પાસે બે વિકલ્પ હતા. એક વિકલ્પ હતો મદનલાલ ઢીંગરાનો જે તેમણે પોતે જ તેને બતાવ્યો હતો અને જો બતાવ્યો નહોતો તો પ્રચારિત તો હરખેહરખે અને બેશુમારપણે કર્યો હતો : ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. …' અને બીજો રસ્તો હતો; દયાની ભીખ માગવાનો, માફી માગવાનો અને અંગ્રેજોની ભારત પરની સત્તાનો સ્વીકાર કરવાનો. સાવરકરે બીજો માર્ગ અપનાવ્યો. તેમણે તેમના શિષ્યને (ખરું જોતાં શિષ્યોને, કારણ કે એકલો ઢીંગરા નહીં, અનંત કાન્હેરે અને બીજા અનેક) જે શીખ આપી હતી તેનાથી બરાબર વિરુદ્ધ દિશાનો. સાવરકરના કોઈ ક્રાંતિકારી શિષ્યએ ગુરુની શિખામણની વિરુદ્ધ જઈને દયા માગીને કે માફી માગીને કે પછી અંગ્રેજોની સત્તાનો સ્વીકાર કરીને સવરકરની શિખામણ પાળવામાં ગુરુદ્રોહ નહોતો કર્યો, માત્ર સાવરકરે પોતાની જાત સાથે આત્મદ્રોહ કર્યો હતો. જો કે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. તેઓ સદ્ગુણને સદ્ગુણવિકૃતિ માનતા હતા.

આંદામાનમાં ગયા પછી એ જ વરસમાં તેમણે બ્રિટિશ સરકારની ભારત ઉપરની સત્તાનો સ્વીકાર કરીને દયાની અરજી કરી હતી. દુર્ભાગ્યે તેની વિગત (પાઠ-ટેક્સ્ટ) ઉપલબ્ધ નથી, પરંતુ પછીના પત્રમાં આગલા પત્રનો ઉલ્લેખ જોતાં આંદામાન ગયા પછી માત્ર બે જ મહિનામાં તેમણે માફી માગી હતી એમ સમજાય છે. ત્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. રાજનાથ સિંહ દાવો કરે છે એ સાચો હોય તો સાવરકરને આંદામાન લઈ જવાયા એ પછી શું માત્ર બે જ મહિનામાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી સાવરકરને સલાહ આપી દીધી કે ભાઈ, માફી લો? બીજું, ભારતીય રાજકારણમાં એ સમયે, ૧૯૧૧માં ગાંધીજી શું એવડી મોટી હસતી હતા કે સાવરકરને તેઓ સલાહ આપે અને સાવરકર સલાહ માગે કે સાંભળે? ત્રીજું, જે સાવરકર ગાંધીજીને ક્યારે ય ભારતના દિગ્ગજ નેતા માનતા જ નહોતા એ ગાંધીજીની સલાહ માગે અને સ્વીકારે?

પણ એ હંબક જવા દઈએ. હકીકત એ છે કે આંદામાનની જેલમાં પગ મુકતાની સાથે જ ‘વીરે’ દયાની પહેલી અરજી કરી નાખી. બીજી અરજી તેમણે ૧૯૧૩માં નવેમ્બરની ૧૪મી તારીખે કરી હતી જેમાં પહેલા પત્રનો ઉલ્લેખ છે. ૧૪મી નવેમ્બર ૧૯૧૩ના પત્રમાં સાવરકર પોતા માટે કેટલીક સુવિધાઓની માગણી કરે છે અને આંદામાનથી તળ ભારતની કોઈ જેલમાં બદલી કરવાની માગણી કરે છે. તેમની બદલી અંગ્રેજોને લાભદાયી નીવડવાની છે એમ પણ તેઓ કહે છે. એ કઈ રીતે? વાંચો :

“અંતમાં હું નામદાર સરકારને મેં ૧૯૧૧માં કરેલી દયાની અરજીની યાદ અપાવું છે. ભારતમાં અત્યારે જે રાજકીય સ્થિતિ છે અને સરકારે (ભારતીય રાજકીય પક્ષો અને નેતાઓ સાથે) જે સમજુતીનો માર્ગ અપનાવ્યો છે એ જોતાં સંસદીય માર્ગ (એટલે કે હિંસક કે અહિંસક, દરેક પ્રકારનાં લોકઆંદોલનરહિત માર્ગ અને જેમાં માત્ર સરકાર સાથે વાતચીત કરીને સમજુતી કરવામાં આવતી હોય) માટે ફરીવાર રસ્તો ખૂલ્યો છે. આ નવી સ્થિતિ જોતાં જે વ્યક્તિ ભારતનું ભલું ઈચ્છતી હોય અને જે વ્યક્તિના હ્રદયમાં માણસ (માણસાઈ) વસતો હોય (Humanity at Heart) એ વ્યક્તિ ક્યારે ય ૧૯૦૬-૦૭નો કાંટાળો માર્ગ (લોકમાન્ય તિલક અને જહાલોનો માર્ગ) ન અપનાવી શકે જે શાંતિ અને પ્રગતિમાં બાધક છે. માટે સરકાર જો મને જેલમાંથી છોડીને મારા ઉપર અનેકાનેક ઉપકાર કરે (manifold beneficence) તો હું સમજુતીના અને સંસદીય માર્ગ અખત્યાર કરવામાં બ્રિટિશ સરકારનો વફાદાર ભરોસાપાત્ર સમર્થક બનવા તૈયાર છું (the staunchest advocate of constitutional progress and loyalty to the English Government.), કારણ કે બ્રિટિશ-વફાદારીનો સરકારચિંધ્યો માર્ગ જ શાંતિ અને પ્રગતિનો એક માત્ર માર્ગ છે. … બીજું, મેં હવે સંસદીય માર્ગ અપનાવી લીધો છે એ જોઇને એક સમયે મને અનુસરનારા દેશ અને વિદેશના મારા માર્ગ ભૂલેલા અનુયાયીઓ મારો માર્ગ અપનાવશે અને સંસદીય માર્ગે વળશે. હું સરકાર ઈચ્છે એ રીતે સરકારની સેવા કરવા તૈયાર છું, કારણ કે મારું માર્ગપરિવર્તન ઈમાનદારીપૂર્વકનું છે જેની ખાતરી ભવિષ્યમાં મારાં વર્તન દ્વારા થશે. મને જેલમાં ગોંધી રાખવા કરતાં મને છોડવાથી સરકારને વધારે ફાયદો થાય એમ છે. આખરે કૃપા તો એ જ કરી શકે જે શક્તિશાળી હોય અને માટે માર્ગ ભૂલેલો પાપી સરકાર માઈ-બાપનો દરવાજો ન ખખડાવે તો બીજા કોનો ખખડાવે? (The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?)”

આ એ માણસ છે જેણે મદનલાલ ઢીંગરાના મરદનો દીકરો જ બોલી શકે એવા કથનનો બેશુમાર પ્રચાર કર્યો હતો. એ કથન હતું : ‘I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. …' આ એ માણસ છે જેણે મદનલાલ ઢીંગરાને રિવોલ્વર આપતા કહ્યું હતું કે, ‘આ વખતે જો નિષ્ફળ નીવડે તો મને મોઢું નહીં બતાવતો.’ અર્થાત આ એ માણસ છે જે મર્દાનગીમાં માને છે અને કાયરનું તો મોઢું જોવા પણ તૈયાર નથી.

આશ્ચર્ય થાય છે? તો આ એ માણસ છે જે ઢીંગરાની મર્દાનગી માટેના શ્રેયનો દાવો છ દાયકા પછી કરે છે. પોતાની હયાતીમાં પોતે ક્યાં ય લખતા નથી, પોતે ક્યાં ય બોલતા નથી; પણ કહીને જાય છે અને તેમનાં મૃત્યુ પછી આવો દાવો વહેતો કરવામાં આવે. આ એ માણસ છે જેણે લંડનની અદાલતમાં અને મુંબઈની અદાલતમાં જાંબાઝ ક્રાંતિકારીઓને રઝળતા મૂકીને હાથ ઊંચા કરી લીધા હતા. બેરિસ્ટર જયકરનો હવાલો આપીને મેં આનું પ્રમાણ આપ્યું છે. આ સિવાય ખટલાની સુનાવણી ઉપલબ્ધ છે.

હજુ પણ આશ્ચર્ય થાય છે? તો છેલ્લું વાક્ય ફરીવાર વાંચો. The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government? હિન્દુત્વવાદીઓ પાસે ભારતના કાયર નેતાઓની લાંબી યાદી છે. બહાદુર તો તેઓ જ માત્ર છે, જેમણે બહાદુરી જાળવી રાખવા માટે આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો. તેમને પૂછો કે ભારતના કયા કાયર નેતાએ આ શબ્દોમાં સરકાર સમક્ષ કાકલૂદી કરી છે? અહિંસામાં માનનારા કાયરોમાંથી એકાદ નામ બતાવે. સાવરકર પોતાને અંગ્રેજીમાં prodigal son તરીકે ઓળખાવે છે, જે બાયબલની એક કથા છે. prodigal sonનો અર્થ થાય છે કેડો ચુકેલા. માર્ગ ભૂલેલા. ભટકી પડેલા. ચાર પ્રકારના લોકો હોય છે. એક કેડીએ ચાલનારા. બીજા કેડી કંડારનારા. ત્રીજા કેડો ચાતરનારા અને ચોથા કેડો ચૂકી જનારા. સાવરકર પોતાને કેડો ચૂકી ગયેલા અને ખોટી દિશામાં ભટકી પડેલા તરીકે ઓળખાવે છે. બાયબલના ભટકી પડેલા દીકરાની અક્કલ ઠેકાણે આવે છે અને પાછો બાપને શરણે જાય છે. The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?

હજુ પણ આશ્ચર્ય થાય છે? તો ખમો, પિક્ચર અભી બાકી હૈ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6511,6521,6531,654...1,6601,6701,680...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved