Opinion Magazine
Number of visits: 9674040
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહેશ દવે : એ ગુજરાતી લેખક, જે સાંપ્રદાયિક દમન અને લોકોના અધિકારો માટે સતત સક્રિય રહેતા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 February 2022

સદ્દગત મહેશ દવે નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક અને સંપાદક હોવાની સાથે કર્મશીલતાનો પાસ ધરાવતા નાગરિક હતા. નાગરિક સમાજના ઉપક્રમોમાં તેમની સક્રિયતાની કેટલીક યાદો છે.

2 ફેબ્રુઆરી 2022માં 90 વર્ષની વયે તેમનું અવસાન થયું છે.

અમદાવાદમાં 1995થી પંદરેક વર્ષ દરમિયાન પ્રમાણમાં ઓછાં નિયંત્રણો હેઠળ વિરોધપ્રદર્શનો થઈ શકતાં હતાં. તેના અનેક કાર્યક્રમોમાં મહેશભાઈ જોડાતા.

અમદાવાદના મીઠાખળી વિસ્તારની મ્યુનિસિપલ શાળા ખાનગી સંચાલકના હાથમાં જતી બચાવવા માટે ત્યાંની નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરથી જે આંદોલન ચાલ્યું, એ સમયથી મહેશભાઈની સક્રિયતા આ લખનારે જોઈ છે.

શિક્ષણનાં ખાનગીકરણ અથવા સ્વનિર્ભર શિક્ષણવ્યવસ્થા સામે તેમણે વારંવાર લખ્યું હતું. 'શિક્ષણ બચાઓ સમિતિ' ગુજરાતમાં યોજેલાં સભા-સંમેલનોમાં એ વક્તવ્યો આપ્યાં હતાં.

વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટસના એક વિદ્યાર્થીએ કરેલા ચિત્ર નિમિત્તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના બચાવમાં કે પછીના વર્ષે કૉમન યુનિવર્સિટી ઍક્ટના વિરોધ માટેની સભાઓમાં તેમનો હંમેશાં ટેકો રહેતો.

એમની વધતી ઉંમરે પણ માનવ અધિકાર દિનના અને બીજા કેટલાં ય ધરણાં-દેખાવોમાં તેમ જ મીઠાખળીના બગીચામાં સેક્યુલર લોકશાહી આંદોલનના ઉપક્રમે યોજાતાં નવા વર્ષના સ્નેહમિલનમાં પણ મહેશભાઈ અચૂક હાજર રહેતા.

ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપ અને રમખાણો દરમિયાન રાહત-પુનર્વસન-ન્યાય માટે નાગરિક પહેલ મંચ અને નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરથી જે કામ થતાં તેમાં પણ મહેશભાઈનો સહયોગ રહેતો.

એક નાગરિક પક્ષ ઊભો કરીને ચૂંટણી લડવાનો વિચાર પણ તેમણે કેટલાક સમવિચારીઓ સામે મૂક્યો હતો.

આ લખનારની છાપ એ પણ છે કે તેઓ જે પ્રતિષ્ઠિત 'ઇમેજ' પ્રકાશનગૃહમાં મહત્ત્વની જવાબદારી સંભાળતા હતા તેમાંથી છૂટા પડવાનું કારણ પણ 'ઇમેજ'માં પ્રવેશી રહેલો ભારતીય જનતા પક્ષ, અને એમાં ય નરેન્દ્ર મોદી તરફી ઝુકાવ હતો.

ત્યાર બાદ તેમણે પોતાનું 'સ્વમાન પ્રકાશન' શરૂ કર્યું અને તેની ઑફિસ આશ્રમ રોડ પરના સેલ્સ ઇન્ડિયાની પાછળના વિસ્તારમાં રાખી હતી.

દેશમાં વધતાં જતાં દમન, સાંપ્રદાયિકતા, બેરોજગારી, આપખુદશાહી સામે તેઓ સતત વ્યથિત રહેતા. અલબત્ત, તેમની અભિવ્યક્તિ હંમેશાં તેમના કંઈક તીણા અવાજમાં અને સંયત રહેતી. એક વર્ષે ગુજરાત સ્થાપના દિનની સંધ્યાએ રાજ્ય સરકારે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ પર શકિતપ્રદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.

એને સમાંતરે કેટલાંક સંગઠનોએ ગૂજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમમાં યોજ્યો હતો. મહેશભાઈ એમાં વક્તવ્ય આપતી વખતે દેશની દુર્દશા અંગે અત્યંત લાગણીવશ થઈ ગયા હતા.

એ કાર્યક્રમમાં તેમણે શેક્સપિયરના યથાર્થ રીતે પ્રસ્તુત નાટક 'જ્યુલિયસ સિઝર'માંથી પોતે અનુવાદિત કરેલાં અંશોનું નિમેષ દેસાઈના નાટ્યવૃંદ થકી, ઐતિહાસિક વેશભૂષા સાથે મંચન કરાવ્યું હતું. ભજવણી માટેનો ખર્ચ મહેશભાઈએ ઉઠાવ્યો હતો.

આવું જ તેમણે સાને ગુરુજીના અમર પુસ્તક 'શ્યામચી આઈ'માંથી ચૂંટેલા પ્રસંગોની ભજવણી વખતે કર્યું હતું. મહેશભાઈએ ખુદના 'સ્વમાન પ્રકાશને' બહાર પાડેલા 'શ્યામચી આઈ'ના અરુણા જાડેજાએ કરેલા અનુવાદના પ્રકાશન સમારંભમાં આ મંચન થયું હતું.

પ્રગતિશીલ વિચારોના કાયમી સમર્થક એવા મહેશભાઈએ 1981 અને 1985 એમ બંને અનામત વિરોધી આંદોલનો વખતે અનામતનીતિનું કાયદાકીય દૃષ્ટિએ અને મનોસામાજિક પૃથક્કરણ કરી તેની તરફેણ કરતી ત્રણ પુસ્તિકાઓ લખી હતી એવી માહિતી જાણીતા સામાજિક વિશ્લેષક ચંદુ મહેરિયા આપે છે.

તેમણે લખેલી 'પરિચય પુસ્તિકા'માં રૅડિકલ રાજકારણી રામ મનોહર લોહિયા પરની પુસ્તિકાનો સમાવેશ થાય છે. તેમણે જુલાઈ 2010માં 'રાઇટ ટુ એજ્યુકેશન'ની વિગતવાર માહિતી આપતું પુસ્તક 'શિક્ષણમાં નવક્રાન્તિનો અવસર' સ્વમાન પ્રકાશનમાંથી બહાર પાડ્યું હતું.

આ પુસ્તકનાં મુખપૃષ્ઠ પરથી તેના મહત્ત્વનો અંદાજ આવતો હતો, કારણ કે પોતાના એક હોદ્દાનો ક્યારે ય ઉલ્લેખ નહીં કરનારા મહેશભાઈએ તેમાં લેખક તરીકે પોતાના નામ નીચે લખ્યું હતું : 'પૂર્વ-ન્યાયમૂર્તિ', ગુજરાત રાજ્ય શિક્ષણ ટ્રિબ્યુનલ'.

મહેશભાઈ ઊંઝા જોડણીના પણ સમર્થક હતા. તેમનું સમર્થન કેટલું સક્રિય અને મક્કમ હતું તેનો દાખલો તેમણે જયંત ગાડીતની ગાંધીજી પરની બૃહદ્ નવલ 'સત્ય'નું પ્રકાશન કર્યું તેની પરથી મળે છે.

આ નવલકથા અતુલ ડોડિયાનાં અલગઅલગ આવરણચિત્રો સાથેના ચાર ખંડોના કુલ 1,111 પાનાંમાં છપાયેલી છે. ગાડીતને પુસ્તક ઊંઝા જોડણીમાં જ છપાવવું હતું. પણ એ માટે સંભવત: પ્રકાશકો વૈચારિક/વ્યાપારિક ભૂમિકાએ તૈયાર ન હતા.

મહેશ દવેએ આર્થિક જોખમ લીધું, આગોતરી યોજના જાહેર કરીને 'સત્ય'ના ખંડો પ્રસિદ્ધ કર્યા. નોંધપાત્ર વાત એ છે કે અરૂઢ જોડણીમાં મોટું પુસ્તક બહાર પાડવાના વ્યાવસાયિક કે વૈચારિક સાહસના દાવા કે હિરોઇઝમ તો બાજુ પર, મહેશભાઈએ પ્રકાશક તરીકે નોંધ સુધ્ધાં લખી નથી.

દરેક ખંડના ઊઘડતા શીર્ષક પાનાના છેડે, વચ્ચેના ભાગમાં સ્વમાન પ્રકાશનનું નામ છે અને તેની નીચે એક વાક્ય છે : 'લેખકના સૈદ્ધાંતિક આગ્રહને કારણે સમગ્ર ગ્રંથના ચારે ભાગ એક દીર્ઘ ઈ અને એક હ્રસ્વ ઉવાળી ઊંઝા જોડણીમાં છાપ્યા છે.'

જો કે ગાડીતસાહેબનાં પત્ની મંજુલાબહેનના શબ્દો હૃદયસ્પર્શી છે : 'લેખકને અંતિમ દિવસોમાં પુસ્તકના પ્રકાશનની ચિંતા હતી. પરંતુ પ્રકાશનનો ભાર ઉપાડીને, લેખકને સાંત્વના આપીને મહેશભાઈ દવેએ મોટું કામ કર્યું છે. જેમને ભરોસે માનવી દેહ છોડે એ ભરોસો આપનારાના અમે ખૂબ આભારી છીએ.'

જ્યારે સ્વમાન માટે 'ઇમેજ' હંમેશ માટે છોડી દીધું

ઇમેજ કૅપ્શન, મહેશ દવેનું પુસ્તક

નખશીખ સદગૃહસ્થ (a thorough gentleman) મહેશભાઈ સાથેનાં વ્યક્તિગત સંભારણાં ભાવુક બનાવે છે. ડૉ. પ્રકાશ આમટેની 'પ્રકાશવાટા' નામની મરાઠી આત્મકથાનો અનુવાદ 'પ્રકાશની પગડંદીઓ'ની પહેલી આવૃત્તિ સ્વમાન પ્રકાશને ઊલટભેર પ્રસિદ્ધ કરી તેનું ઋણ મારી પર છે.

'ઇમેજ' પ્રકાશનના આંબાવાડી ખાતે આવેલા પુસ્તકભંડાર-વત્તા-કાર્યાલયમાં મહેશભાઈ બેસતા. ત્યાં પુસ્તકો, પ્રૂફો, હસ્તપ્રતો, છબિઓની વચ્ચે બેસીને ચા પીતાં પીતાં તેમની સાથે દુનિયાભરની વાતો થતી.

પ્રકાશ આમટેનું મરાઠી પુસ્તક વાંચીને પૂરું કર્યું અને તેના વિશે તરત બીજા જ દિવસે મહેશભાઈને મેં હરખભેર વાત કરતાં કરતાં કહ્યું કે 'મને એમ થાય છે કે આનો અનુવાદ કરી જ નાખું'.

મહેશભાઈ દેશ-દુનિયાની બાબતે એકંદરે મહિતગાર રહેનાર મહેશભાઈ આમટે પરિવારના કામથી પરિચિત હતા જ. એટલે તરત એમણે કહ્યું : 'આપો ત્યારે, આપણે છાપીએ.'

એ વખતે એમણે 'ઇમેજ'ના સમાંતરે હરીફાઈ તરીકે નહીં, પણ સહજભાવે સંપૂર્ણપણે પોતાના હોય તેવા અલાયદા પ્રકાશન તરીકે 'સ્વમાન' નવું શરૂ કર્યું હતું, અને એ બંને પ્રકાશનગૃહો સંભાળતા હોય તેવો ગાળો હતો. એમણે મારી સામે પસંદગી મૂકી.

એ વખતે મારા મહેશભાઈ સાથેના પરિચયને ત્રણ-ચાર વર્ષ થઈ ગયાં હતાં. તેમની પ્રગતિશીલ વિચારસરણી અને સહૃદયતા મને ગમી ગયાં હતાં. એટલે મેં 'ઇમેજ' નહીં પણ 'સ્વમાન' પસંદ કર્યું, ને તે પછી તો તેમણે 'ઇમેજ' હંમેશ માટે છોડી દીધું.

હવે વાતો અને અનુવાદ માટેની અમારી બેઠકો સ્વમાનની ઑફિસમાં થતી. મહેશભાઈએ પ્રકાશક તરીકે પોતાનો હાથ સહેજે ય ઉપર રાખ્યા વિના લાક્ષણિક ઉમદા વર્તન અને સ્વચ્છ વ્યવહાર સાથે પુસ્તક પ્રસિદ્ધ કર્યું.

'પ્રકાશની પગદંડીઓ' અનુવાદના પ્રકાશન સમારંભ માટે, મારા નિમંત્રણની માન આપીને, ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા આમટે આવ્યાં હતાં. તેમનું વિમાનભાડું આપવાની મહેશભાઈએ આગ્રહપૂર્વક તૈયારી બતાવી હતી.

ઊંચી હોટલમાં તેમના નિવાસની વ્યવસ્થા કરવા પણ તેઓ તત્પર હતા. પણ આમટે દંપતીએ અમારા ઘરે અને ગૂજરાત વિદ્યાપીઠના અતિથિગૃહમાં રહેવાનું પસંદ કર્યું. તેમને વિમાનઘર પર આવકારવા મહેશભાઈ મને તેમની મોટરમાં લઈને ગયા હતા એટલું જ નહીં પણ એમણે એમની મોટર ત્રણેક દિવસ માટે ચાલક સહિત આમટે દંપતી માટે આપી દીધી હતી.

'પ્રકાશની પગદંડીઓ' પહેલાંનાં વર્ષોમાં મારી પાસે મહેશભાઈએ 'ઇમેજ'ના 'મારું પ્રિય પુસ્તક', 'ધરતીનો છેડો ઘર', 'મૈત્રીનો સૂર્ય' જેવાં સંપાદનોમાં લેખો લખાવ્યા હતા. એમનાં સમજ અને લેખનકૌશલ હું જાણતો, એટલે એમને મારા લેખો ગમતાં એ બાબત મને શાબાશી સમી લાગતી.

વળી, મારા લેખોમાં કાપકૂપ કરવાની કોઈ ચેષ્ટા એ કરતાં નહીં. માત્ર વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિઓના પરિચય લેખોના સંચય 'બહુરત્ના વસુંધરા'માં દરેક લેખની શબ્દમર્યાદા નક્કી હતી.

મારે જોતીરાવ ફુલે અને લોકમાન્ય ટિળક વિશે લખવાનું હતું. મેં લગભગ દોઢ ગણા શબ્દોમાં લખ્યું. મને એમ કે ચાલશે. પણ મહેશભાઈએ બહુ પ્રેમથી એ ન ચલાવ્યું.

મારી પાસે બે વખત લખાવ્યું ને પછી થોડું પોતે ટૂંકાવ્યું. એ વખતે મારામાં લેખનશિસ્ત ઓછી હતી. કૉલમ લખવાનું શરૂ થયું ન હતું. જે વિચારપત્રોમાં લખતો તેમનું સ્વરૂપ, સંપાદકોની ઉદારતા અને કંઈક અંશે મારા લખાણની ગુણવત્તાને કારણે મારાં લાંબાં લખાણો છપાતાં.

શબ્દમર્યાદામાં લખવાનો કદાચ પહેલવહેલો પાઠ મહેશભાઈ પાસેથી 'બહુરત્ના' નિમિત્તે મળ્યો.

હું એ પાઠ ભણ્યો તેમાં મારી નમ્રતા કરતાં સંપાદક તરીકે મહેશભાઈની લેખક પાસે કામ લેવાની મિત્રતાભરી કુનેહનો હિસ્સો વધારે હતો.

મહેશભાઈએ મને તેમનાં કેટલાં ય પુસ્તકો બહુ ભાવપૂર્વક ભેટ આપ્યાં છે. તે પુસ્તકો વિશે હું લખું એવી કોઈ અપેક્ષા વ્યક્ત ન થઈ જાય તેની તકેદારી રાખવી એ કદાચ તેમના વાગ્મિતા વિનાના સ્વમાની સ્વભાવનો હિસ્સો હતો.

તેમણે મને આપેલું પહેલું ભેટ પુસ્તક એટલે વાર્તાસંગ્રહ 'કેન્દ્રબિંદુ' જેમાંની બધી વાર્તાઓ મને ઘણી તાજગીસભર લાગી હતી. ત્યાર બાદ તેમણે મને અનેક પુસ્તકો ભેટ આપ્યાં. તેમનાં નામ વાંચતાં મહેશભાઈના લેખનના વૈવિધ્યનો પણ નિર્દેશ મળશે.

એ પુસ્તકો છે : રવીન્દ્રનાથનું મૌલિક ગુજરાતી જીવનચરિત્ર 'કવિતાનો સૂર્ય', તેમના જ જીવનને લગતું 'રવીન્દ્ર-ઑકામ્પો પત્રાવલી', કાવ્યાનુવાદોના સંચયો 'અનુરણન' અને 'અનુધ્વની', વિશ્વવિખ્યાત ફ્રેંચ નવલકથા 'લે મિઝરાબ્લ'નો તેમણે 'ગુનેગાર' નામે કરેલો ઠીક ઓછો જાણીતો સંક્ષેપ, 'પાંદડે પાંદડે' સંવેદનકથા શ્રેણીનાં ત્રણ પુસ્તકો અને મુલ્લા નસરુદ્દીન તેમ જ પુસ્તકોનાં ગામ હે-ઑન-વાય પરની પરિચય પુસ્તિકાઓ.

મહેશભાઈ વિશ્વનો ઇતિહાસ ગુજરાતીમાં લખ્યો છે જેની સામગ્રી 'ગુર્જર' પ્રકાશન પાસે છે એવી માહિતી રમેશ તન્નાએ તેમના અવસાન પછી ટૂંકા ગાળામાં અને વિસ્તારથી લખેલા અંજલિલેખમાં મળી.

થોડાંક વર્ષો પૂર્વે 'મહાભારત'ની કથા પણ તેમણે પોતાની રીતે લખવાની શરૂઆત કરી હતી અને તેનાં કમ્પોઝ કરેલાં પચીસેક પાનાં મને વાંચવા માટે મોકલ્યાં હતાં.

શાબાશી આપનારા અને વસમી મનસ્થિતિમાં નજર સામે રહેનારા વડીલોથી કોવિડને કારણે અનિચ્છાએ દૂર રહેવાનું આવ્યું. તેમાંથી જે હંમેશ માટે દૂર ચાલ્યાં ગયાં તેમાંના એક તે મહેશભાઈ દવે.

09 ફેબ્રુઆરી 2022

સૌજન્ય : બીબીસી ગુજરાતી : https://www.bbc.com/gujarati/india-60303020

Loading

વિચરતા વિચારો – ૨૦૧૨ (પુનશ્ચ)

સુમન શાહ|Opinion - Opinion|13 February 2022

૨૦૧૨ના મે માસની ૪ તારીખે આ 'વિચરતા વિચારો' લેખશ્રેણી શરૂ કરેલી.

ત્યારે લખેલું કે –

મને એ નથી સમજાયું કે મારા વિચારો મને ચલાવે છે કે હું એમને. એટલે એમને મારાથી છુટ્ટા ભમતા રખડતા કે ચરતા વિચરતા ગણવા એમાં જ મારું કે એમનું ભલું છે  – આ પોતે જ એવો નથી?

એક આ વિચાર જુઓ :

કહે છે, માણસ જ એવું પ્રાણી છે જે વસ્ત્રોથી શરીર ઢાંકે છે.

જો કે વસ્ત્ર વગરનું કોઈ પક્ષી કે જાનવર ક્યારે ય મને નાગું નથી લાગ્યું. દાખલા તરીકે, કબૂતર કે ગાય – તમને ય નથી લાગ્યું !

માણસને નગ્નતાની શરમ છે. કોઈ આભડી જશે એવી બીક પણ ખરી.

માણસની કરુણતા તો એ છે કે શરીરના ઢાંકેલા ભાગો જ એને આભડવાને બોલાવે છે !

ને ત્યારે એને એકેય શરમ યાદ નથી આવતી !

ઇશ્વરની યોજનામાં ઍબ્સર્ડ છે પણ માણસે એમાં અદ્ભુત વધારો કરી દીધો છે, ખરું કે નહીં?

+ + +

એ પછી, રફતે રફતે કંઈ ને કંઈ લખતો હતો.

+ + +

જેમ કે, એક આ :

હું કદાચ ખોટો પડું, પણ મારું માનવું છે કે માણસજાત પાસેથી બીજાં પ્રાણીઓ, શું હિંસક કે અહિંસક, કશું શીખ્યાં નથી. જેમ કે, ઢોર. ભાંભર્યાં કરે, ગાંગર્યા કરે, આરડ્યા કરે. હરાયાંનાં હરાયાં.

એ અહિંસકોએ – ગાય ભેંશ બળદ આખલા ઊંટ બકરીઓ ઘેટાં, વગેરેએ – સભાઓમાં, પરિસંવાદોમાં, કે વ્યાખ્યાનમાળાઓમાં જઇ પગ વાળીને બેસવું ન જોઇએ?

જેમ કે, ચકલી-કબૂતર. કાબર-લૅલાં. આખો દા’ડો ચૅંચૅં ચૅંચૅં કર્યા કરે. અહીંથી તહીં ને તહીંથી અહીં કૂદતાં ને ભટકતાં. એમણે ગાયનશાળામાં જઇ સારેગમ ન શીખવું જોઇએ? કંઈ નહીં તો ‘ઇન્ડિયન આઇડોલ’ સામે કાન માંડીને બેસે કે નહીં?

ગાય-વાછરડાં ટ્રેનમાં બેસીને આવ-જા કરે તો કેટલું સારું લાગે !

કૂતરાં સ્કૂટરો પર, ચકલીઓ ઍરો-પ્લેનમાં, કબૂતરો હેલિ-કૉપ્ટરમાં મુસાફરીઓ કરે તો કેવાં રૂડાં લાગે !

હિંસકો પણ ધારે તો માણસ પાસેથી ઘણું શીખી શકે. ભક્ષ્ય પાછળ દોટો લગાવવાને બદલે વાઘ કે સિંહ પિસ્તોલ કે રાઇફલ રાખી શકે. શક્તિ કેટલી બધી બચે !

ચિત્તા ભાલા કે ખંજર વાપરી શકે, હડીઓ કાઢવાની જરૂર નહીં !

વરુ તીર-કામઠાં વાપરે તો શ્વાસોચ્છ્વાસ બચાવી શકે, હાંફે તો નહીં !

દીપડા મૉં ઍઠું કરવાને બદલે નાઇફ-ફૉર્ક વાપરી શકે.

શિયાળવાં પડાપડી કરવાને બદલે કડિયાળી ડાંગો અપનાવી શકે.

સદ્ભાગ્યે જો આ બધું બને તો હિંસક હોવા છતાં આ બધાં પાશવી ન લાગે, માનવીય લાગે …

બાકી, માણસોએ તો બીજાં પ્રાણીઓ પાસેથી ક્યારનું ઘણું-જ-ઘણું શીખી લીધું છે :

દાખલા તરીકે, કૂતરાની જેમ માણસને ભસતાં આવડે, પૂંછડી તો એવી પટપટાવી જાણે કે ન પૂછોની વાત.

ઉંદરની જેમ ફૂંક મારીને કરડતાં આવડે.

સમડીના જેવી ચિલ-ઝડપ? માણસને બરાબર આવડે.

બગલાની માફક લાગ જોઈને મોડે લગી બેસી રહેતાં પણ માણસને એટલું જ આવડે.

માણસ સાપની જેમ ફણા માંડે.

વીંછીની જેમ ડંખ મારે.

કીડીની જેમ ચટકે.

સાબદું હોય એને ઊધઇની જેમ છૂપું છૂંપું કરકોલીને ખોખરું કરી નાખે.

ગીધડાંની જેમ માણસ શિકારને પેખી પાડે ને એવી જ સિફતથી પંજાના નહોર વાપરીને ચીરી ચાખી આરોગવા મંડે.

માણસ દાંતિયાં કરે, એક ડાળેથી બીજી ડાળે કૂદકા લગાવે, એ કારણે કહેવું કે એ વાનરમાંથી ઊતરી આવ્યો છે; તો તે ચાવેલું ચાવવા બરોબર છે – ચર્વિતચર્વણા.

માણસ શિયાળ જેવો લુચ્ચો છે, કાગડા જેવો ફૂલણજી છે. એ પણ એમ છે – ચર્વિતચર્વણા.

એ તો વળી સ્વલ્પોક્તિ પણ છે. કેમ કે માણસની દિનચર્યા માત્ર કાગડાની જ પૂરી અને માત્ર પૂરી જ પડાવી લેવા જેવી મર્યાદિત થોડી છે? માણસ માત્ર ગાવાની વાતે જ ફૂલણજી થોડો છે?

માણસોમાં જેઓ રાજકારણમાં પડેલા છે, પડ્યા રહેનારા છે, એઓ જળઘોડાની રીતના છે.

માણસોમાં જેઓ અધ્યાપકો છે, બિલકુલ મયૂર જેવા છે, ને અધ્યાપિકાઓ જે છે, આબાદ કોયલ જેવી છે.

માણસોમાં જે વડેરાઓ છે, જેમાંના કેટલાક વડેરા, ચિમ્પાન્ઝી જેવા મેંઢા છે.

જેમાંના કેટલાક, હાથી જેવા ઠાવકા છે.

તો એમનામાં જે વડેરીઓ છે, જેમાંની કેટલીક વડેરીઓ મેના જેવી મધ-બોલી છે; જેમાંની કેટલીક, હોલા જેવી ઘૂ-ઘૂ-કારી છે …

વગેરે વગેરે … વગેરે વગેરે …

કેમ કે આ પ્રાણીય શિક્ષણ-યાદી ન ખૂટે એવી અખૂટ છે …

+ + +

એક આ પણ જુઓ :

કહે છે, ઘોડો હમેશાં, રાતદિવસ, ઊભો જ રહે છે. જો કે, મને એની એથી વિશેષ જાણ નથી.

Pictures courtesy : A  Horse : sutterstock : A Tree : Adobe

પણ હું ચોક્કસ જાણું છું કે વિશ્વનું કોઈ પણ વૃક્ષ અહર્નિશ ઊભું જ હોય છે.

ટૂંટિયે વળીને બપોરની વામકુક્ષી નથી લેતું.

સોડ તાણીને રાતની નિદ્રા નથી લેતું.

હા, પોતાની છાયામાં કોઈ પસીનાભીના મજૂરને વિસામો લેવા જરૂર બોલાવે છે.

વરસાદમાં ભીંજાઇ ગયેલી કોઈ ગૃહિણીને છતરી જરૂર ધરે છે.

ચોરને પોતાની બખોલમાં ચોરીનો માલ જરૂર સંતાડવા દે છે.

ઊભા રહેવું એ જ વૃક્ષનો સ્થાયી મનોભાવ છે.

પણ, વય વીત્યે — 

એનું લાકડું હોડી રૂપે સીધું વહે છે.

ગાડાનું પૈંડું બની ગોળ દોડે છે.

ભમરડો બની ચકરાતું ભમે છે.

ગિલ્લી બનીને ઊડે છે.

કોઈ ડોશીમાની લાકડી બનીને કાયમી ટેકો થઈ જાય છે.

સુખી પરિવારનો મોભ બની રૂઆબ છાંટે છે.

હરાયા ઢોરના ગળે હેડલો થઈ લટકે છે.

તો, કોઈની ચિતામાં બળીને રાખ થઈ જાય છે.

વય વીત્યે વહેતા રહેવું એ એનો બીજો સ્થાયી મનોભાવ છે …

માણસોને સ્થાયી મનોભાવ ખરા? કયા? કોઈ એક-બે એવા ખરા જેની આવી વાત થઈ શકે …? …

= = =

(February 13, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

‘વિદ્યાવિલાપને માર્ગે’

સુમન શાહ|Opinion - Opinion|12 February 2022

મારું એક પુસ્તક આવી રહ્યું છે – 'નિબન્ધપદ'. એમાંના કેટલાક અંશ અહીં પ્રકાશિત કરું છું.

વિચરતા વિચારો – ૨૦૧૩ (પુનશ્ચ) : 'વિદ્યાવિનાશને માર્ગે' તો બરાબર પણ આજકાલ

મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા 'વિદ્યાવિનાશને માર્ગે'-ના છેડે 'મહાભારત'-ને યાદ કર્યું છે અને લખ્યું  છે : મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે.

આ વાત એમણે ૨૦૦૩-થી પણ પહેલાં ઉચ્ચારી હતી. એ વાતને દસકો, હવે બે દસકા, વીતી ગયા છે અને એ દરમ્યાન વિદ્યાક્ષેત્ર એટલું બધું વણસી ચૂક્યું છે કે એ પુરુષાર્થને  કેટલો તો પ્રચણ્ડ કલ્પવો તેની સમજ નથી પડતી.

મારી લાગણી છે, મારું મન્તવ્ય છે, કે મારા સમાં દાઝીલાં આપણે સૌ સાહિત્યકારો અને અધ્યાપકો આજે 'વિદ્યાવિલાપને માર્ગે ' છીએ. વિદ્યાક્ષેત્રની પ્રવર્તમાન દુર્દશા વિશે વિલાપ કરી રહ્યાં છીએ :

ગઇ કાલે હર્ષદ ત્રિવેદી ફોન પર મળ્યા, અમે અરધો કલાક સંવાદ જે કર્યો; એ પહેલાં મારા ઘરે જયેશ ભોગાયતા અને અજય રાવલ મળ્યા, બે કલાક  દરમ્યાન વાતો જે થઇ; હસિત મહેતા આવેલા ને કલાક વાતો જે થઇ; તાજેતરમાં ફેસબૂક પર જયશ્રી જોષીએ લખ્યું અને એની વાતને અન્યોએ પ્રતિભાવ જે આપ્યા; મને ખૂબ ગમાડતા મિત્ર રમેશ મહેતાએ જૂનાગઢથી હમણાં એક પત્ર મોકલ્યો અને એમાં જે લખ્યું; વચમાં બાબુ સુથાર અને બે દિવસ પર મધુસૂદન કાપડિયાના અમેરિકાથી ફોન આવ્યા અને એમાં વાતો જે થઇ; નાગાલૅન્ડથી કિશોર જાદવ જોડે વાતો જે થાય છે; ગયા મહિને જયેન્દ્ર શેખડીવાળાના ઘરે વાતો જે થઇ, વડોદરાથી સંજય મકવાણા સાથે અને પાલીતાણાથી પાછા ફરતાં ચન્દ્રકાન્ત ટોપીવાલા સાથે કારમાં વાતો જે થઇ; એ પહેલાં પાલીતાણા જતાં ચિનુ મોદી, સતીશ વ્યાસ અને ઉષા ઉપાધ્યાય સાથે વાતો જે થઇ; ભાવનગર યુનિવર્સિટીમાં વિપુલ અને મહેન્દ્રસિંહ જોડે ભલે અછડતા જે ટહુકા થયા; પાલનપુરમાં દીપક રાવલ સાથે સંવાદ જે થયો; વચમાં રાધેશ્યામ શર્મા ઘરે આવ્યા ને વાતો જે થઇ; માય ડીયર જયુ, મનોહર ત્રિવેદી અને જગદીશ ગુર્જર જોડે તાજેતરમાં વાતો જે થઇ; વિનોદ જોશી જોડે અવારનાવર ફોન પર અરધો અરધો કલાકની સાઇઝનાં મન્તવ્યો જે પ્રગટે છે; વીનેશ અંતાણી, રાજેન્દ્ર પટેલ, યોગેશ જોષી, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નિસર્ગ આહીર, નરેશ શુક્લ, વિપુલ વ્યાસ, સાગર શાહ  અને અભિમન્યુ આચાર્ય જોડે જ્યારે ને ત્યારે મારે કરુણ સૂરે વાર્તાલાપો ને વાતો જે થાય છે –

'વાતો જે થઇ'-ના પુનરાવર્તન સાથેનો, મારા એ સઘળા ઉલ્લેખોમાં સંભરેલો સાર એ છે કે આપણે સૌ વિદ્યાવિલાપને માર્ગે છીએ.

Pic courtesy : Clipart

યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં જે ઝડપે ધોવાણ ચાલી રહ્યું છે એ વિશે આપણે ચિન્તિત છીએ. બધી વાતે સુખી પણ આ વાતે દુખી અને એકમેક સામે કશા પણ ઉકેલ વિનાની મજબૂરી અનુભવતા લાચાર જીવો છીએ.

(અહીં જે મિત્રોનાં નામો લખ્યાં છે તે ઉપરાન્તનાં અનેક મિત્રો પણ વિલાપથી જુદો ભાવ નથી ધરાવતાં એમ માનું છું. તેઓ કદાચ જાહેરમાં બોલતાં નથી પણ અંદરોઅંદર તો બોલે જ છે).

વિલાપના વિષયો છે :

સૅમિસ્ટર સિસ્ટમ.

અભ્યાસક્રમો.

અભ્યાસક્રમ-સંલગ્ન સાહિત્યના અધ્યયન-અધ્યાપનને માટેની ખરી સામગ્રીની અછત.

વૈકલ્પિક પ્રશ્નોના ઝુકાવવાળી પરીક્ષાપદ્ધતિ.

સાહિત્યના ઇતિહાસને વિશેનો અણગમો. એની સૂઝબૂઝ વગરનાં ફૅંકાફૅંક વિધાનોની બોલબાલા.

સંશોધન વિશે અચરજ કે – એ શી બલા છે? 

અસજ્જ પીઍચ.ડી.-પદવીધારીઓ. એ માટેના સ્કૅમ.

યુ.જી.સી.-આધારિત કાર્યક્રમોમાં નાણાંની ઉચાપત.

ગુણવત્તાની સરેઆમ મશ્કરી.

સાહિત્યના કાર્યક્રમોનો ફુગાવો, છતાં સર્વત્ર હાજરી પાંખી.

પરિસંવાદોમાં નિષ્ણાતોની ખોટ. એમાં સગવડવાદ.

વધતાં જતાં સામયિકો, ઑનલાઇન પણ, છતાં વધતો જતો અસંતોષ.

વાચનને વિશે વધતી જતી ઉદાસીનતા.

અઘરાં પણ અનિવાર્ય ગ્રન્થોનાં અવલોકનોની અછત.

જોડણી અને લિપિની એકવાક્યતાને વિશેની ઉદાસીનતા.

વિવેચન અને અવલોકનકામને ઊતરતાં ગણવાની દૂષિત માનસિકતા -તેની શી જરૂર છે નામનું બીમાર મનોવલણ.

સંસ્કૃત અને પશ્ચિમની સાહિત્યવિચારધારાઓ સાથે પૂરો થવા આવેલો વિચ્છેદ.

માતૃભાષાને વિશેનો લગાવ, પ્રશ્નાર્થ હેઠળ.

વગેરે વગેરે …

વિદ્યાવિલાપને માર્ગે-ની વાતમાં હું એક નામ વીસરી ગયેલો, મારા માટે અનિવાર્ય એવું નામ, અને તે પરેશ નાયકનું. હમણાં જ ફોન પર મળાયું. પરેશ હમેશાં મારા બળાપાનો મોટો સહભાગી રહ્યો છે -અને તે ય એની સીધી ધારદાર વાણી સાથે ! સૉરિ, પરેશ !

સુરેશભાઈ પૂછે છે એમ આપણે જ્ઞાનથી વિમુખ થઇ રહ્યાં છીએ કે જ્ઞાનપ્રસારણની અત્યાધુનિક જોગવાઇઓ છે છતાં આપણી કશી દાનત નથી રહી? નથી રહી તો કેમ નથી રહી?

હું આ સઘળાને વિશે સૌને ચર્ચા કરવા, ઉપાયો સૂચવવા, વિનન્તી કરું છું. કંઇ નહીં તો, સૌ પોતાની લાગણીઓને વાચા આપે. અનુભવી જનો કહે છે, દુ:ખ એકલા એકલા નહીં પણ સૌ સાથે બેસીને ખમીએ તો ઓછું થાય કે ન થાય, પણ ખમી ખાવાનું બળ તો જરૂર મળે છે…

= = =

(February 11, 2022)

Loading

...102030...1,6381,6391,6401,641...1,6501,6601,670...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved