Opinion Magazine
Number of visits: 9571505
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોમવાદ અને માનવતાવાદનો સંબંધ અંધકાર અને પ્રકાશ જેવો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 January 2022

મેં તબલીગી જમાત વિશેના લેખમાં લખ્યું હતું કે તબલીગી જમાત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના એક જ સમયે અને એક જ સરખા સંજોગોમાં આગળ-પાછળ થઈ છે એ યોગાનુયોગ નથી. એ શું સંજોગો હતા એ સ્પષ્ટ કરવાનું એક વાચકે મને કહ્યું હતું. અહીં થોડી વાત એના વિશે કરીએ.

તબલીગી જમાતની સ્થાપના ૧૯૨૬માં થઈ હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના એક વરસ પહેલાં ૧૯૨૫માં થઈ હતી. બન્નેનો ઉદ્દેશ અનુક્રમે મુસલમાનોને પાક્કા મુસલમાન અને હિંદુઓને પાક્કા હિંદુ બનાવવાનો હતો. આમ તો આ પ્રક્રિયા ભારતીય મુસલમાનોમાં ઈ.સ. ૧૭૫૦ની આસપાસથી અને હિંદુઓમાં ઈ. સ. ૧૮૭૫ની આસપાસથી શરૂ થઈ ગઈ હતી, પરંતુ એવું શું હતું કે ઓગણીસમી સદીના ત્રીજા દાયકામાં હિંદુઓના અને મુસલમાનોના ખાસ પ્રકારના ઘાટ ઘડવા માટે સંગઠનની સ્થાપના કરવાની જરૂર પડી?

એ માટેનું તાત્કાલિક કારણ હતું મહાત્મા ગાંધી. ગાંધીજી હિંદુઓ અને મુસલમાનોને તેમની સંકુચિત કોમી ઓળખ બાજુએ મૂકીને ભારતીય તરીકેની અને એનાથી પણ આગળ જઇને માનવીય ઓળખ વિકસાવવાનું કહેતા હતા. તેઓ માત્ર ભૂતકાળમાં થઈ ગયેલા સંતોની જેમ ઉપદેશ નહોતા આપતા, તેમણે એ દિશામાં સફળ રાજકીય હસ્તક્ષેપ કર્યો હતો અને એક અનોખો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગમાં ભારતીય પ્રજાએ રસ દાખવ્યો હતો, તેમાં ભાગ લીધો હતો, ક્યારે ય જોઈ અને અનુભવી નહોતી એવી એકતાએ આકાર લીધો હતો અને સરવાળે ગાંધીજી ભારતનાં સર્વોચ્ચ નેતા તેમ જ પરમ આદરણીય મહાત્મા તરીકે સ્થાપિત થયા હતા. આ જોઇને ધાર્મિક કોમી ઓળખને માણસની એકમેવ અને સર્વોચ્ચ ઓળખ તરીકે જોનારાઓ અને તેનું રાજકારણ કરનારાઓ સામે અસ્તિત્વનું સંકટ પેદા થયું હતું.

ગાંધીજી કહેતા હતા કે સોળે કળાએ ખીલેલો સાચો માનવી જ સાચો હિંદુ હોવાનો દાવો કરી શકે. આ જ રીતે સોળે કળાએ ખીલેલો સાચો માનવી જ સાચો મુસલમાન હોવાનો દાવો કરી શકે. માણસ હોવાપણાની એરણે જ હિંદુને અને મુસલમાનને પારખી શકાય. હિંદુ હોવા માત્રથી કે મુસલમાન હોવા માત્રથી સાચો માનવી બની શકતો નથી. માનવ બનવાની ઉપાસના એ જ સાચી ધર્મોપાસના. સાચો માનવી એ છે જે પૂર્વગ્રહોથી મુક્ત હોય. સાચો માનવી એ છે જે નીર્વૈરભાવ રાખતો હોય. સાચો માનવી એ છે જે કરુણાથી છલકાતો હોય. સાચો માનવી એ છે જે ન્યાયભાવના ધરાવતો હોય. સાચો માનવી એ છે જે પોતાની સાથે બીજા દ્વારા જેવા વ્યવહારની અપેક્ષા રાખતો હોય તેવો વહેવાર પોતે બીજા સાથે કરતો હોય. સાચો માનવી ‘સ્વ’થી શરૂઆત કરતો હોય છે, ‘પર’થી નહીં. હિંદુ મા-બાપને ખોળે જન્મ લીધેલો હિંદુ ત્યાં સુધી હિંદુ કહેવાને લાયક નથી જ્યાં સુધી તે સાચો માનવી ન બને. માનવપણામાં હિંદુપણું નિહિત છે હિંદુપણામાં માનવપણું નિહિત નથી. આ જ વાત મુસલમાન માટે પણ લાગુ પડે અને બીજાઓ માટે પણ લાગુ પડે. ભારતીય હોવાપણા માટે પણ આ વાત લાગુ પડે. સાચો માનવી જ સાચો ભારતીય હોઈ શકે. ગાંધીજીનો રાષ્ટ્રવાદ પણ આ રીતે નરવો નિર્વિરોધી રાષ્ટ્રવાદ હતો. ગાંધીજીએ સત્યની વ્યાખ્યા પણ આ જ રીતે ઉલટાવી હતી. ઈશ્વર સત્ય છે એમ નહીં, પણ સત્ય એ જ ઈશ્વર છે.

જો માનવી હોવાપણામાં ભારતીય હોવાપણું આવી જાય, હિંદુ હોવાપણું આવી જાય, મુસલમાન હોવાપણું આવી જાય, દ્રવિડ હોવાપણું આવી જાય, ગુજરાતી હોવાપણું આવી જાય, પટેલ મરાઠા કે બ્રાહ્મણ હોવાપણું આવી જાય, પુરુષ હોવાપણું આવી જાય તો ઓળખોના સાંકડા સંકુચિત રાજકારણ માટે જગ્યા જ ન બચે. વળી આ મહાત્મા કેવળ ઉપદેશ નથી આપતો; લોકોને જોડે છે, દરેક પ્રજાને એક સરખાં વાત્સલ્ય સાથે બાથમાં લે છે, લોકોને આંદોલિત કરે છે અને સંસારમાં ક્યારે ય જોવાં નહોતું મળ્યું એ રીતે પ્રચંડ રાજકીય હસ્તક્ષેપ કરી શકે છે. પ્રજા તેમને સાંભળે છે અને તેમની સાથે ચાલે છે.

હિંદુઓમાં હિંદુ માનસ ઘડવા ઈચ્છનારાઓ સામે, મુસલમાનોમાં મુસ્લિમ માનસ ઘડવા ઈચ્છનારાઓ સામે અને બહુજન સમાજમાં બ્રાહ્મણવિરોધી માનસ ઘડવા ઈચ્છનારાઓ સામે પડકાર પેદા થયો હતો. આ મહાત્માનું કરવું શું? પહેલાં તો તેમણે પ્રજાનો મૂડ જોઇને ગાંધીજીને સાથ આપ્યો હતો, પણ પોતપોતાની શરતો સાથે. હિંદુ હોવા માટે ગર્વ ધરાવનારા હિંદુઓ કહેતા હતા કે મહાત્માજી તમારે મુસલમાનોને કહેવું જોઈએ કે આ દેશ સંખ્યાની દૃષ્ટિએ હિંદુઓનો છે એ વાત માન્ય રાખે અને ગાયની હત્યા ન કરે. મુસલમાન હોવા માટે ગર્વ ધરાવનારા મુસલમાનો કહેતા હતા કે મહાત્માજી તમારે હિંદુઓને કહેવું જોઈએ કે ઇસ્લામની શ્રેષ્ઠતા અને મુસલમાનની અલાયદી ઓળખનો હિંદુઓ સ્વીકાર કરે. બહુજન સમાજના હિતોનું રાજકારણ કરનારા નેતાઓ કહેતા હતા કે મહાત્માજી તમારે સવર્ણ હિંદુઓને કહેવું જોઈએ કે તેઓ તેમના પાપોનો સ્વીકાર કરે અન્યાયને માન્યતા આપનારાં ધર્મગ્રંથોની અથવા તેમાં કહેવામાં આવેલી કેટલીક બાબતોની નિંદા કરીને તેનો અસ્વીકાર કરે, એટલું જ નહીં એ દ્વારા તેમની પ્રામાણિકતા સિદ્ધ કરે. યુ કેન ડુ, મહાત્માજી, યુ કેન સર્ટનલી ડુ. તમને તો લોકો ભગવાનની જેમ પૂજે છે. લગભગ આવી ભાષામાં ગાંધીજી સમક્ષ શરતો રાખવામાં આવતી હતી.

ગાંધીજીને આવી શરતો માન્ય નહોતી, કારણ કે ગાંધીજીને કોઈ પ્રકારની સાંકડી ઓળખ જ કબૂલ નહોતી. હિંદુ હોય કે મુસ્લિમ હોય કે બ્રાહ્મણ હોય કે બીજા કોઈ પણ હોય; એ જ્યારે સાચો માનવી બને તો સંખ્યાના આધારે સરસાઈ સ્થાપવાનો, ડરવાનો કે ડરાવવાનો, જન્મના આધારે સર્વોપરિતા સ્થાપવાનો, શોષણ કે અન્યાય કરવાનો પ્રશ્ન જ ન રહે. શરતો ત્યાં હોય જ્યાં સામાજિક દ્વૈત હોય અને ગાંધીજી માનવીય અદ્વૈત સ્થાપવા માગતા હતા.

લોકોને જોડવામાં ગાંધીજીને અભૂતપૂર્વ સફળતા મળી રહી હતી અને ગાંધીજી કોઈ પણ પ્રકારની શરતો નહોતા સ્વીકારતા એ જોઇને કોમી ઓળખ ધરાવનારા હિંદુઓ સામે પ્રશ્ન થયો કે આ માણસ હિંદુનું હિંદુ તરીકે ઘડતર કરવાના દયાનંદ સરસ્વતીએ શરૂ થયેલા ચાર દાયકા જૂનાં અભિયાનમાં ફાચર મારી રહ્યો છે. કોમી મુસલમાનો સામે પ્રશ્ન થયો કે આ માણસ મુસલમાનનું મુસલમાન તરીકે ઘડતર કરવાનાં ૧૭૫૦ પછી શરૂ થયેલા અભિયાનમાં ફાચર મારી રહ્યો છે. પરિણામે એ લોકોએ ગાંધીજીના માર્ગમાં રોડા નાખવાનું શરૂ કર્યું. લાહોરથી ‘રંગીલા રસૂલ’ નામનું પેગંબરની બદનામી કરનારું પુસ્તક છપાયું અને વાયવ્ય સરહદ પ્રાંતમાં આવેલા કોહાટ નામનાં શહેરમાં કોમી રમખાણો થયાં. દિલ્હીમાં આર્યસમાજી નેતા સ્વામી શ્રદ્ધાનંદજીની હત્યા થઈ. કેરળમાં મોપલાઓએ હિંદુઓની હત્યાઓ કરીને કાળો કેર વરસાવ્યો. નાગપુરમાં કોમી હુલ્લડો થયાં. દેશમાં અન્યત્ર પણ રમખાણો થયાં.

આ બધી ઘટનાઓ ૧૯૨૧ અને એ પછીનાં વર્ષોમાં ઘટી હતી જ્યારે અસહકારનું આંદોલન અને ગાંધીજીની લોકપ્રિયતા તેનાં ચરમસીમાએ હતાં. એ મહાત્મા અમને નથી ખપતો જે હિંદુ કે મુસલમાનમાંથી માણસ ઘડે અને માણસાઈને ત્રાજવે હિંદુ અને મુસલમાનને તોળે. હિંદુ હિંદુ બની રહેવો જોઈએ અને મુસલમાન મુસલમાન બની રહેવો જોઈએ પછી ભલે માણસ તરીકે એ છેલ્લી પંક્તિનો હોય. બન્ને કોમના કોમવાદી નેતાઓએ પાક્કા હિંદુ અને પાક્કા મુસલમાનને ઘડવા છીણી અને હથોડીવાળી પ્રતિબદ્ધ જમાત ઊભી કરવાનું ઠરાવ્યું અને ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અને ૧૯૨૬માં તબલીગી જમાતની સ્થાપના થઈ. બન્ને સંગઠનની સ્થાપના પાછળનો હેતુ ગાંધીજીના માણસને ઘડવાના મિશનને નિષ્ફળ બનાવવાનો હતો. હવે તમને સમજાયું હશે કે હિન્દુત્વવાદીઓને ગાંધીજી કેમ પરવડતા નથી અને તેમને શું કામ ગાળો આપે છે! જો ભારતમાં મુસલમાનો બહુમતીમાં હોત તો કોમી મુસલમાનો પણ ગાંધીજીને ગાળો આપતા હોત. ભારતમાં મુસલમાનો લઘુમતીમાં છે એટલે ગાંધીજીનો તેમને ખપ છે, બાકી ગાંધીજીના વિચારો તેમને પણ પરવડે એવા નથી.

કોમવાદ અને માનવતાવાદનો સંબંધ અંધકાર અને પ્રકાશ જેવો છે. એ બન્ને ક્યારે ય સાથે ન રહી શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જાન્યુઆરી 2022

Loading

બુલી બાઇ એપ કેસઃ સોશ્યલ મીડિયા, ગુમરાહ યુવાનો અને પાંખી થઇ રહેલી લોકશાહીનો પુરાવો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 January 2022

જો કોઇ એમ માનતું હોય કે આ એપ બનાવનારા છોકરાંઓ હજી નાનાં છે, ગેરમાન્યતાઓમાં સપડાઇને આવી ભૂલ કરી તો તે ખોટું છે. તેમની સાથે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઇએ

ગયા અઠવાડિયે વાઇરસના નવા વેરિયન્ટના ખેલ ઉપરાંત એક બીજા સમચાર સતત ટ્રેન્ડમાં રહ્યા. બુલી બાઇ એપ કેસનું કોકડું ખુલતું ગયું અને સાઇબર ક્રાઇમ, ધિક્કાર, કાવતરાખોરી જેવી લાગણીઓથી ખદબદતા ચહેરાઓ બહાર આવતા ગયા.

વર્ષનો પહેલો દિવસ અમુક મુસલમાન યુવતીઓ માટે આઘાતજનક રહ્યો. સોશ્યલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ ફેલાયલા હતા અને તેમની ‘હરાજી’ થઇ રહી હતી. ભારતમાં મુસલમાન સ્ત્રીઓની હરાજીનો આ કિસ્સો ઉછળ્યો. વળી આ સ્ત્રીઓમાંથી કેટલીક પત્રકાર, નાગરિકો માટે અવાજ ઉઠાવનારી મહિલાઓ, વગેરે હતી. આ કિસ્સામાં સાઇબર ક્રાઇમ ઝડપનાર પોલીસકર્મીઓ ઝડપી કામ કર્યું અને ધરપકડ પણ થઇ અને ચોંકાવનારી વિગતો બહાર આવી. આ લખાઇ રહ્યું છે ત્યારે હજી આ મામલામાં કોઇને કોઇ અપડેટ આવી રહી છે.

કિસ્સાની વિગતો એમ છે કે ૧લી જાન્યુઆરીએ ગિટનો ઉપયોગ કરીને સોફ્ટવેર હોસ્ટ કરનારા અને એપ ડેવલપ કરનારા પ્લેટફોર્મ ગિટહબ પર બુલી બાઇ એપે દેખા દીધી. આ એપ પર લગભગ ૧૦૦ જેટલી મુસલમાન સ્ત્રીઓનાં પ્રોફાઇલ્સ હતાં. આ સ્ત્રીઓમાંથી કોઇ પત્રકાર હતું તો કોઇ સામાજિક પ્રવૃત્તિઓમાં એક્ટિવ હતું. આ પ્રોફાઇલ્સ પર તેમની તસવીરો સાથે અંગત વિગતો નાખી હતી અને તેમની કોઇપણ પ્રકારની મંજૂરી વગર આ કરાયું હતું. ૪થી જાન્યુઆરીએ મુંબઇ પોલીસે આ કિસ્સામાં ૨૧ વર્ષના એન્જિનિયરીંગ વિદ્યાર્થી વિશાલ કુમારની ધરપકડ કરી. એ જ દિવસે ૧૮ વર્ષની શ્વેતા સિંઘ પણ બુલી બાઇ એપ બનાવવાના ષડયંત્રનો ભાગ હોવાથી ઉત્તરાખંડથી ઝડપી લેવાઇ, અને બુધવારે ઉત્તરાખંડના જ એક બીજા વિદ્યાર્થી મયંક રાવતની ધરપકડ કરાઇ. ૧૮ વર્ષની શ્વેતા સિંઘ આ કિસ્સાની મુખ્ય આરોપી મનાય છે, તેણે તેના પિતા કોવિડમાં ખોયા છે અને માતા કેન્સરમાં. ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવીને શ્વેતા વાંધાજનક તસવીરો અને ટિપ્પણીઓ કરતી. શ્વેતાની તપાસ કરતાં એવું બહાર આવ્યું છે કે નેપાળમાં રહેતા તેના કોઇ મિત્રના કહ્યે તે આ એપ પર શું કરવું શું નહીં તે નક્કી કરતી હતી. શ્વેતાનું નામ વિશાલ કુમારની પૂછપરછમાં બહાર આવ્યું હતું, જ્યારે તેણે એમ કબુલ્યું કે તે કોઇ છોકરીના સંપર્કમાં હતો, જે એવા લોકોના સંપર્કમાં હતી જે જણાવતા હતા કે બુલી બાઇ એપ પર શું પોસ્ટ મુકવી અને કેવી ગતિવિધિ રાખવી. પૂછપરછમાં એ પણ બહાર આવ્યું કે શ્વેતા સિંઘ હિંદુવાદી છે (હિંદુ ધર્મમાં માનનારાઓ સાથે આ વાદ-વાળાં વર્ગની સરખાણી કરવાથી મોટી કોઇ મૂર્ખામી ન હોઇ શકે) અને ૨૦૨૧ના ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં જે હિંસા થઇ તેનાથી અને મતતા બેનર્જીની સરકાર ફરી ખડી થઇ, તેનાથી શ્વેતા વ્યથિત હતી અને પરિણામે તેણે વિશાલ સાથે સંપર્ક થતા આવું કંઇ કરવાનું વિચાર્યું. વિશાલ સાથેની ઓળખાણ પછી તેણે હિંદુ તરફી પોસ્ટ્સ પણ વધારી દીધી. બિનસાંપ્રદાયિક દેશમાં કોઇ ચોક્કસ ધર્મની મહિલાઓને ટાર્ગેટ કરીને આટલી બેહૂદી હરકત શરમજનક છે. વળી આ પાછું કંઇ પહેલીવાર નથી થયું.

સલી ડીલ્સનો કિસ્સો શું હતો?

એક્સપર્ટ્સના મતે સલી ડીલ્સ અને બુલી બાઇ વચ્ચે કોઇને કોઇ કડી ચોક્કસ જોડાયેલી છે. સલી ડીલ્સ જુલાઇ ૨૦૨૦માં સપાટી પર આવેલી એપ હતી. તેમાં પણ કેટલી મુસલમાન મહિલાઓની હરાજીની વાત કરાઇ હતી. સલી શબ્દ મુસલમાન સ્ત્રીઓ માટે વપરાતો અપમાનજનક શબ્દ છે. જાણતી મુસલમાન સ્ત્રીઓએ આ વાતે અવાજ ઉઠાવ્યો અને એપને એ પ્લેટફોર્મ પરથી હાટવી લેવાઇ હતી. જો કે બુલી બાઇ એપના વિવાદ સાથે આ મહિલાઓનું કહેવું હતું કે પહેલીવાર જ્યારે આ થયું ત્યારે પોલીસે કડક પગલાં લીધી હોત તો આ ફરી ન થયું હોત.

આ પ્રકારની એપ આપણા દેશના અમુક વર્ગમાં ખદબદતી વાહિયાત માનસિકતા, આપણા દેશના યુવાનોની વિચારસરણીને ઉઘાડી પાડે છે. આપણે એક દેશ તરીકે આટલા અસહિષ્ણુ તો હતા જ નહીં. આ મુસ્લિમ મહિલાઓ જેમના પ્રોફાઇલ આ એપ્સ પર મુકાયા હતાં, તેમાં મોટે ભાગે એવી મહિલાઓ હતી જે હાલની કેન્દ્ર સરકારની ટીકા કરે છે, તેઓ ડિબેટ્સના જાણીતા ચહેરાઓ છે. વળી આ એપ યુઝર્સ નામમાં શીખ નામો વાપરતા જેથી ખાલિસ્તાનીઓ તરફ નિર્દેશ જાય. મુંબઇ પોલીસે ગણતરીના દિવસોમાં ટ્વીટર હેન્ડલ પરથી આ યુવાનોને શોધી કાઢી તેમની ધરપકડ કરી પણ દિલ્લી પોલીસે સલી ડેથ કેસિઝને મામલે ગિટહબ સાથે સંપર્ક કર્યો અને હજી જવાબની રાહ જોવાઇ રહી છે.

વળી આ આખા ખેલમાં જોવું રહ્યું કે ટેક જાયન્ટ્સ જેના માધ્યમો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે વપરાય છે તેઓ ચૂપ રહે છે. ગિટહબની પેરન્ટ કંપની માઇક્રોસોફ્ટ છે. વળી જે ટ્વીટરનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ્સ પરથી ધિક્કાર ફેલાવતી પોસ્ટ થતી હતી, તેની પર પણ બુલી બાઇ વિશે પૂરતી ચર્ચા થઇ છે પણ તેમનો પણ કોઇ પ્રતિભાવ નથી. ભારતીય સત્તાધીશોએ બુલી બાઇ એપના મૂળ અંગે ટૅક જાયન્ટ્સનો કાંઠલો ઝાલ્યો છે, પણ હજી સુધી કોઇ જવાબ નથી મળ્યો.  ટૅક જાયન્ટ્સે વધુ સાબદા રહેવું જોઇએ અને તેમના પ્લેટફોર્મ્સનો ઉપયોગ ધિક્કાર પ્રસારાવવા માટે ન થાય તેની પૂરતી તકેદારી રાખવી જોઇએ.

બાય ધી વેઃ 

ભલભલી લોકશાહીના પાયા સોશ્યલ મીડિયાના દુરુપયોગથી હચમચી જઇ શકે છે. વળી ધ્રુવીકરણની રાજનીતિને આપણે પારખતા હોઇએ – ભલે કોઇ પણ પક્ષ તેનો ઉપયોગ કરતો હોય –  ત્યારે આપણા દેશમાં આવા ગુના થાય ત્યારે આપણે ચેતવું રહ્યું. આ દેશના યુવાનોની વૈચારિક શક્તિ ખોટા રવાડે ચડી રહી છે, તેનું ઉદાહરણ છે બુલીવાઇ અને સલી ડીલ્સ જેવી એપ્સ. જો કોઇ એમ માનતું હોય કે આ છોકરાંઓ હજી નાનાં છે, ગેરમાન્યતાઓમાં સપડાઇને આવી ભૂલ કરી તો તે ખોટું છે. તેમની સાથે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઇએ. સોશ્યલ મીડિયાનો આટલો બેહૂદો ઉપયોગ ડરાવવા, ધમકાવવા અને પૂરી જાણકારી સાથે કરાય છે – આ કરનારાઓને સજા ફટકારવામાં કોઇ ઢીલ ન મૂકવી જોઇએ. તેમણે આઇ.ટી. ક્રાઇમ, સ્ટૉકિંગ, ધાર્મિક લાગણી દુભાવવા જેવા એક કરતાં વધુ કાયદા ભંગ કર્યા છે. કાયદાનો ભંગ થયો હોય, ભંગ કરનારા સગીર ન હોય તો પછી તેમને સજા કરવામાં કોઇ ભેદભાવ ન રાખવા જોઇએ કારણ કે તો જ દૃષ્ટાંત બેસાડી શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  09 જાન્યુઆરી 2022

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|9 January 2022

: ૫ : સભા એટલે જ્ઞાનોત્સવ :

વર્ગખણ્ડની વાતે હમેશાં મને પેલું પ્રાચીન દૃશ્ય યાદ આવે : વૃક્ષની છાયામાં કર્તવ્યતુષ્ટ મૌની ગુરુ 'યુવાન' દીસે છે અને છિન્નસંશયી શિષ્યો ‘જ્ઞાનવૃદ્ધ' દીસે છે. બન્ને પક્ષ પ્રસન્ન છે. કેમ કે સર્વ સમાધાન મળી ગયાં છે. સ્તબ્ધતાભરી શાન્તતા છવાઈ છે. આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે.

આપણા વર્ગખણ્ડો આ આદર્શને વરે એવી મનીષા સેવું છું. બાકી તો બધું એવું એવું સાંભળવા મળે છે કે આપણે અમસ્તા જ સ્તબ્ધ થઈને શાન્ત પડી જઈએ !

દીવાલો વિનાની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિદ્યા-સમીપે હોય છે. સૌ સહભાગીતાનો ઉલ્લાસ માણતાં હોય છે. આ મોટા વિદ્વાન; આ નવસવા; વગેરે પ્રકારની જડતાગ્રસ્ત ઉચ્ચાવચતા નથી હોતી. સૌ, સંવાદથી રસિત અને પ્રફુલ્લિત હોય છે. સૌએ સ્વીકાર્યું હોય છે કે પૂછવું કર્તવ્ય છે અને પૂછવું અધિકાર પણ છે.

આનો વ્યવહારુ લાભ તો એ કે સૌને વિદ્યાકીય મૈત્રીનો મીઠો અનુભવ મળે છે. એટલે લગી કે વ્યાખ્યાતાને કોઈ વાર કોઈ વિદ્યાર્થી-શિબિરાર્થી જરીક તોછડાશથી પણ પૂછી પાડે; પણ ત્યારે વ્યાખ્યાતાને ખોટું નથી લાગતું; એના ચ્હૅરે સ્મિત હોય છે. કેમ કે એવા પ્રશ્નથી પણ એને તેમ જ સભાને જુદું વિચારવાની ફરજ પડે છે. લાગણી થાય છે કે શીખવાનું તો કોઈની પણ પાસેથી હમેશાં સંભવિત છે. જ્ઞાનજ્યોત કોઈ પણ વ્યક્તિ પ્રગટાવી શકે. જ્ઞાનપ્રકાશની આડે કશું પણ આવી શકે નહીં. 

ચીલાચાલુ માન્યતા એવી કે ગુરુ મહાન છે. એને કોઈ શીખવી શકે નહીં. શિષ્યે એની આંગળી પકડીને ચાલવું. સેવા કરવી. એનાં ઘરકામ કરવાં. હમેશાં એની જ ધજા ફરકાવવાની. ગુરુ જો આવો હોય, તો એ પણ મારી દૃષ્ટિએ એક દીવાલ છે. સાચા શિષ્યને હમેશાં અડે-નડે.

દુષ્પરિણામો આવે છે : શિષ્યનો વિકાસ અટકી પડે છે : ગુરુને પણ ‘શિષ્યાત્ પરાજય' નામની ગૌરવશાળી ઘટનાનો કદી અનુભવ નથી મળતો : કેટલાક શિષ્યો આંગળી છોડતા જ નથી : કેટલાક, ખભે ચડી બેસે છે : ગુરુના ટાંટિયા ખૅંચી પાડનારા પણ જડી આવે છે : તો, પોતાની પાલખી ઊંચકીને ફરે એવી વાસનાને જીવતા લાલચુ ગુરુઓ પણ ઘણા હોય છે : નિર્ણય એવો થાય છે કે, ચાલને યાર, કોઈ સાચાને -સદ્ને- શોધી કાઢીએ. ‘સદ્ગુરુ' શબ્દ અમસ્તો નથી શોધાયો.

મને આદિ શંકારાચાર્ય (788–820 CE) અને ‘કર્મકાણ્ડી’ મન્ડન મિશ્ર વચ્ચેનો વિવાદ યાદ આવે છે. શંકર યુવાન હતા. મન્ડન મિશ્રની અરધી જિન્દગી ‘મીમાંસા' પાછળ વપરાઇ ગયેલી. તે કહે, અનુભવ વગરના જુવાનિયા જોડે મારે શો વાદ કરવો ! છતાં, મોટાઇ બતાડવા ‘હા’ પાડી. ન્યાયાધીશ પસંદ કરવા કહ્યું. પ્રસ્તાવનો શંકર સ્વીકાર કરે છે.

મિશ્રની પત્ની ભારતી ન્યાયાધીશ રૂપે નિમાય છે. સભા એટલે કે જ્ઞાનોત્સવ શરૂ થાય છે. જ્ઞાનાતુર નગરજનો શીખવાના હેતુથી રોજ હાજર થઈ જતાં. વિવાદ છ મહિના ચાલેલો.

મન્ડન મિશ્રના તર્ક સુતીક્ષ્ણ પરન્તુ સંચિત જ્ઞાન કુણ્ઠિત હતું – આગળની ઊંચાઇએ પ્હૉંચી શકેલું નહીં. બ્રહ્માનુભૂતિને વરેલા શંકર આગળ, એની શી વિસાત ! સરવાળે, મન્ડન મિશ્ર હાર્યા.

પણ ભારતી વિદ્યાવાન ચતુરા નારી હતી. શંકરને કહે, વિવાદમાં સામાવાળાની પત્નીને પણ હરાવવી ઘટે છે. શંકરને ઝટ એણે પતિ-પત્નીના દામ્પત્ય વિશેના સાંસારિક સવાલો કર્યા. એને વિશ્વાસ કે બ્રહ્મચારી શંકર કશા જવાબો આપી શકશે જ નહીં. શંકરે કહેલું પણ ખરું – હું બ્રહ્મચારી, એ બધું શું જાણું ! શંકરને સમય અપાય છે.

અનુભવાર્થે શંકરે શું કર્યું એ વાર્તા ઘણી લાંબી છે. પણ પાછા ફર્યા ત્યારે એમની પાસે સ્ત્રી-પુરુષ સમ્બન્ધનું, દામ્પત્ય-જીવનનું, પરસ્પરનાં દાયિત્વ વગેરેનું જબરું જ્ઞાન હતું. પરિણામ એ આવેલું કે મન્ડન મિશ્ર અને ભારતી પ્રભાવિત થઈ ગયેલાં. ઝૂકીને બન્નેએ પરાભવનો સ્વીકાર કરેલો. વિવાદ સમાધાનકારી સંવાદ રૂપે સમ્પન્ન થયેલો.

વય-જ્યેષ્ઠ મન્ડન મિશ્ર યુવા શંકરાચાર્યના શિષ્ય બની ગયેલા ને છેવટે વેદાન્તી તરીકે પંકાયેલા – એમનું સ્વરૂપાન્તર થઈ ગયેલું.

પ્રસંગ ઘણું ઘણું સૂચવે છે :

૧ : સભા જ્ઞાનોત્સવ હોય; એમાં નગરજનો સમેતનાં સૌ જ્ઞાન સમીપે હોય. જ્ઞાનપિપાસુ સૌને સરખાં લેખવાં જોઈએ.

૨ :  મન્ડન મિશ્રની જેમ માનીએ કે જ્ઞાન મારી આગળ પૂર્ણ થઈ ગયું છે, તો એ મહા ભ્રમ છે. આપ-મતમાં પુરાયેલા ન રહેવાય.

૩ : ચર્ચાનો અધિકાર સૌને છે. એમાં સ્ત્રી-પુરુષ, બુધ-અબુધ કે ડાહ્યો-ડોબો જેવા ભેદ નથી. શંકારાચાર્ય જેવા મનીષીને એક સ્ત્રી પણ સાગ્રહ પૂછી શકે. એથી પણ શીખવા જ મળે.

૪ : શંકરાચાર્ય સમા પરમ જ્ઞાની પણ ચર્ચામાં આગળ ધપવાની ના પાડે છે. સ્વાનુભવ વિના નથી બોલતા. એને ‘જ્ઞાનાય વિવેક’ કહેવાય. મેં આપણે ત્યાં એવા અવલોકનકારો જોયા છે જેમની પાસે રચનાનો રસાનુભવ હોય નહીં પણ હાંક્યે રાખે. રચનાકારની ઘોર ટીકા કરે. વાસ્તવમાં એમણે આખું પુસ્તક વાંચ્યું જ ન હોય. એને પ્રજ્ઞાનો અપરાધ કહેવાય.

૫ : બન્ને પક્ષના વિદ્વાનોએ સંવાદસુખ-તરફી રહેવું જોઈએ. આપણે ત્યાં ઊધું છે – સામા મળ્યા હોય તો મૉઢાં ફેરવી લે છે ! જ્ઞાન, અહમ્-ની અથડાઅથડી માટેનું ઑજાર નથી.

૬ : આપણે વિરુદ્ધ મતવાદી હોઇએ પણ અન્યના મતનો વિચાર કરવા અને લાગે તો સ્વમત છોડવા તત્પર રહેવું જોઇએ.

ઍરિસ્ટોટલના ગુરુ પ્લેટો, પ્લેટોના સૉક્રેટિસ. પણ સૉક્રેટિસના? સૉક્રેટિસ જેવા સૉક્રેટિસે પણ પોતાના ત્રણ ત્રણ 'ગુરુ' હોવાનો નિર્દેશ કર્યો છે ! આનન્દાશ્ચર્યની વાત એ કે એ ત્રણે ત્રણ 'સન્નારીઓ' હતી. એકે શાણપણની કલા, બીજીએ વાક્-કલા અને ત્રીજીએ એમને પ્રેમ-કલા શીખવેલી. સન્નારી પાસેથી કલા શીખવાનું કોને ન ગમે?

વિવાદ જો તત્ત્વબોધ-તરફી ન હોય, તો એ પણ જ્ઞાનમાર્ગની દીવાલ બની રહે. રકઝક કે માથાકૂટ. એથી વૈમનસ્ય વધે.

વધારામાં કહું કે જ્ઞાન સર્વથા મુક્ત સ્વાયત્ત અને સ્વપ્રતિષ્ઠ છે. આપણે જ એને સ્વાર્થરંજિત પક્ષાપક્ષીથી અભડાવીએ છીએ. એ પર નામનો સજજ્ડ સિક્કો લગાવી દઇએ છીએ – જેમ કે, ‘ઍરિસ્ટોટલિયન’ પોએટિક્સ પર્ફૅક્ટ છે. વાદનો કડક બંદોબસ્ત બેસાડી દઈએ છીએ – ‘પ્રતીકવાદી’ હોય તો જ કવિ. સમ્પ્રદાય-ની સંકડાશમાં દોરી જઈએ છીએ – ’અલંકાર’ સમ્પ્રદાય – ‘રીતિ’ સમ્પ્રદાય. રાગદ્વેષથી કલુષિત કરી મૂકીએ છીએ -જેમ કે, ઉમાશંકર જોશી વર્સિસ સુરેશ જોષી.

ભૂલી જઇએ છીએ કે જ્ઞાન અપૌરુષેય છે. એને જ્ઞાનીઓના ટેકાની પણ જરૂર નથી રહેતી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા-માં ઠરેલા વેદાન્ત-જ્ઞાનને નામસરનામાંની કદી જરૂર પડી ખરી? જ્ઞાન ફલાણા વિવેચકે ઘડેલી-ગોઠવેલી પરિભાષા આગળ કે કોઈ મતીલા ચર્ચકના પક્ષાઘાતી મગજ આગળ પતી નથી જતું.

જો કે એવા સમયો પણ આવે છે જ્યારે સિદ્ધ-પ્રસિદ્ધ જ્ઞાન વિશે ફેરવિચાર કરવાની ફરજ પડે છે. કેમ કે જ્ઞાન અનન્ત છે. નિરન્તરની શોધયાત્રા. જાણીને નવાઇ થશે કે હવે એમ પણ કહેવાઇ રહ્યું છે કે સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ સર્વથા આઉટડેટેડ ફિલસૂફો છે ! એ ત્રિપુટીએ વિચારવાની જે ટેવો પાડી છે એ જરઠ-જડ થઈ ગઈ છે. સમય પાકી ગયો છે કે માણસજાત એ પ્રરૂઢિથી મુક્ત થઈ જુદી જ રીતે વિચારવા માંડે.

માણસને માણસ નહીં, જ્ઞાન દોરવે …

= = =

(January 9, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6381,6391,6401,641...1,6501,6601,670...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved