Opinion Magazine
Number of visits: 9456357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૉટ્સ યોર જાતિ?  – જાતિ આધારિત વસ્તી ગણતરીના રાજકારણના લાભાર્થીઓ ખરેખર કોણ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 May 2025

જાતિ આધારિત વસ્તી ગણતરીથી અનામત, કોટા, પ્રતિનિધિત્વ, પુનઃવર્ગીકરણની માંગનો પ્રવાહ ધસમસતો વધી જ શકે છે. મંડલ કમિશન વખતે સળગેલી આગના શમેલા અંગારા ફરી લબકે અને અરાજકતા ફેલાય એવું પણ શક્ય છે.

ચિરંતના ભટ્ટ

એક સફળ પુસ્તક પરથી એક સફળ સિરિયલ બની અને પછી એ જ પુસ્તક પરથી એક ઓછી સફળ ફિલ્મ બની. વૉટ્સ યોર રાશી? આ ફિલ્મને અને તેના નામને આમ તો આજના લેખ સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી, પણ છતાં પણ મને લાગ્યું કે આ ઉલ્લેખ જરૂરી છે. આપણે ત્યાં, આપણા દેશમાં કોઈની પણ સાથે પરિચય કેળવાય એની પહેલી સાત મિનિટમાં આ સવાલ થતો જ હોય છે – વૉટ્સ યોર જાતિ? તમારી અટક શું? તમે કેવા? તમે ક્યાંના? વગેરે. દક્ષિણ ભારતમાં તો ક્યાંક ક્યાંક એવી ય પ્રથા છે કે માણસનું નામ જાહેરમાં બોલાય એની સાથે એનું ગોત્ર પણ બોલવામાં આવે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ છે એમાં સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશેની જાહેરાત કરી છે. લાંબા સમયથી આ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરીની ચર્ચાઓ તો ચાલી રહી હતી પણ અંતે અમલીકરણની જાહેરાત કરાઇ. હવે જ્યારે વસ્તી ગણતરી કરનારા તમારે ઘરે આવશે ત્યારે તમને પૂછશે, “વોટ્સ યોર જાતિ”? આપણને સ્વતંત્રતા મળી પછી પહેલીવાર આ રીતે વસ્તી ગણતરી થશે. 

આપણા દેશમાં કેટલી જાતિઓ છે અને કઈ જાતિના કેટલા લોકો છેનો ડેટા સૌથી છેલ્લે 1931ની વસ્તી ગણતરીમાં બહાર પડ્યો હતો. ત્યારે આપણે ત્યાં લગભગ 4,147 જાતિઓ હોવાનું નોંધાયું હતું. મૂળ તો વસ્તી ગણતરીની શરૂઆત કરનારા હતા અંગ્રેજો – 1871-72 દરમિયાન ભારતીય સમાજ અને સમાજ વ્યવસ્થાને સમજવાના આશયથી વસ્તી ગણતરી દરમિયાન જાતિ આધારિત ગણતરી કરવાનું અંગ્રેજોએ શરૂ કર્યું હતું. જવાહરલાલ નહેરુની સરકારે 1951ની વસ્તી ગણતરી દરમિયાન જાતિ આધારિત ગણતરી બાકાત કરી કારણ કે લોકોને એ સંદેશો આપવો સ્પષ્ટ હતો કે ભારત એક અખંડિત રાષ્ટ્ર છે અને અહીં જાતિ આધારિત વિભાજન નથી. 2011 સુધી તો આ પ્રમાણે જ ગણતરી થતી. માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરી થતી, જાતિઓની નહીં. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુ.પી.એ.-2 સરકારે સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી શરૂ કરી, જેમાં જાતિ શું છે તેનો ખુલાસો સ્વૈચ્છિક રખાયો હતો. જો કે જે ડેટા ભેગો થયો તેમાં ક્ષતિઓ હોવાથી તે જાહેર જ ન કરાયો. 

ભારત ક્યારે ય જાતિહીન દેશ હતો ખરો? લેખક અમિષ ત્રિપાઠી સાથે ઘણાં વર્ષો પહેલાં વાત થઈ હતી ત્યારે તેણે તો એમ કહેલું કે લોકો જે કામ કરતા તેનાથી જ ઓળખાતા. પ્રાચીન ભારતમાં સામાજમાં વ્યક્તિની ઓળખ તેના વ્યવસાય અને ગુણોને આધારે થતી. તેમણે કહેલું કે જાતિનું તંત્ર સંકુચિત નહોતું. રામાયણ રચનારા મહર્ષિ વાલ્મીકિ કે મહાભારત અને વેદના રચયિતા મહર્ષિ વ્યાસ જન્મે બ્રાહ્મણ ન હોવા છતાં તેમના કર્મોને કારણે તેઓ સંત કે મહર્ષિની ઉપમા પામ્યા હતા. ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વૈદિક યુગની ચાર વર્ણ આધારિત વ્યવસ્થા લોકોના ગુણને અને કર્મને આધારે નક્કી થઈ હતી, જન્મને આધારે નહીં. વૈદિક યુગએ 1500-500 ઈ.સ. પૂર્વેનો સમય હતો તો એ પહેલાં અસ્તિત્વમાં આવેલી હડપ્પન સંસ્કૃતિમાં (3300 – 1300 ઈ.સ. પૂર્વે)  જાતિ નહોતી પણ વર્ગ હતા. ઉત્ખનનને આધારે એ જાણવા મળ્યું જ છે કે એ સમયે ધનિકોના અને મજૂર વર્ગના રહેઠાણો જુદાં હતાં. મનુસ્મૃતિ (200 ઈ.સ. પૂર્વે)માં જાતિ અને વંશવેલાનો ઉલ્લેખ છે જે વર્ણ અને વ્યવસાયને આધારે સમાજનું વર્ગીકરણ કરે છે. જેમ કે તેલ કાઢનારા, તેલીઓને વૈશ્ય જાતિના ગણાતા. મનુસ્મૃતિમાં અસ્પૃશ્યોનો ઉલ્લેખ પણ છે. આ સમય પછી જાતિઓનું તંત્ર વિકસતું રહ્યું, કડક નિયમો અને સજાઓની આસપાસ જાતિ વ્યવસ્થા વિકસતી રહી. 

આજે આપણે ઘણાં આગળ વધી ગયા છીએ (સારા-નરસા બધી જ રીતે) છતાં ય સમાનતાને મામલે આપણે ઘણાં પાછળ છીએ. આપણે ત્યાં હિંદુ મુસલમાનની લડાઈ કરતાં આ જાતિવાદનું ઝેર વધારે જોખમી છે. બંધારણમાં ખાતરી અપાતી હોવા છતાં આજે પણ વ્યક્તિ કઈ જાતિની છે તે શિક્ષણથી માંડીને રાજકારણ અને રોજગાર સુધીના દરેક પાસાં પણ અસર કરનારી બાબત બને છે. વળી અંગત સંબંધોમાં તો જાતિની શતરંજ બહુ મોટો ખેલ છે. ઓનર કિલિંગથી આપણે અજાણ્યા નથી. વળી કોઈ પ્રગતિશીલ પરિવાર જાતિના બાધ રાખ્યા વિના બીજા પરિવાર સાથે જોડાય તો નાકનું ટિચકું ચઢાવીને વાતો કરનારા આપણે ત્યાં ઢગલો મળી રહે છે. સોશ્યલ મીડિયાના જમાનામાં દલિતે પોતાના લગ્નમાં ઘોડી પર સવાર કરી એટલે એને માર મરાયો જેવા અનેક કિસ્સા ‘વાઇરલ વીડિયો’ને નામે આપણા સુધી પહોંચતા જ હોય છે.

જાતિ આધારિત વસ્તી ગણતરી માત્ર અમલદારશાહીની કવાયત નથી. ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં જાતિ તંત્ર આટલી હદે જટિલ અને વિસ્તરેલું છે. યુ.એસ. અને બ્રાઝિલમાં લોકો ગણાય છે ખરા, અને ક્યારેક તેમની જાતિ અને વંશીયતાને આધારે તેમનું વર્ગીકરણ કરાય છે પણ ફ્રાંસ અને જર્મની જેવા વિકસીત દેશોમાં નાગરિકોનો આંકડો જ અગત્યનો હોય છે. આપણા દેશના વર્તમાન રાજકારણ તરફ પાછા ફરીએ તો ભા.જ.પા.એ લાંબો સમય સુધી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો અને પછી અચાનક જ તેમનો અભિગમ બદલાયો. આ ફેરફાર ભારતીય રાજકારણનો એક નાટ્યાત્મક વળાંક છે જ્યાં જાતિનું ગણિત દરેક રાજકીય પક્ષના એજન્ડા માટે જરૂરી છે. થોડાં વર્ષો પહેલાં તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષો પર આક્ષેપ મૂક્યો હતો કે તેઓ જાતિ આધારિત ગણતરી કરી દેશમાં વિભાજન કરવા માગે છે. છતાં ય બિહાર, કર્ણાટક અને તેલાંગણાએ જાતિના સરવેનો રાજ્ય આધારિત ડેટા જાહેર કર્યો હતો. આ સરવેમાં જાણવા મળ્યું હતું કે OBC વસ્તીનો મોટો ભાગ છે અને પછી અનામત વધારવા પગલાં લેવાની માંગણીઓ શરૂ થઈ. વોટ બૅંક માટે આ માહિતી બહુ કામની થઈ પડે તે સ્વાભાવિક છે.

આ તરફ કાઁગ્રેસે 2024ની ચૂંટણીમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને તેમની મુખ્ય માંગ બનાવી હતી. ભા.જ.પા.એ વલણ બદલ્યું કારણ કે આ તેમના રાજકારણ માટે જરૂરી છે. ભા.જ.પા.એ 2024માં ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં વેઠવું પડ્યું. ઉત્તર પ્રદેશમાં જાતિવાદ મજબૂત છે. 2025માં બિહારની ચૂંટણી માથે ઊભી છે તો 2027માં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે ત્યારે ભા.જ.પા.ને સમજાય છે કે OBCનો મુદ્દો તેમને માટે અગત્યનો છે. જાતિ ગણતરીનો મુદ્દો હાથમાં લઈને ભા.જ.પા. વિરોધ પક્ષના સામાજિક ન્યાયના એજન્ડાને ઠાલો બનાવવાના પ્રયત્નમાં છે અને પોતે મંડલ કમિશનની બીજી સિઝનના કર્તા હર્તા હોવાની ધજા પણ હાથમાં પકડવા માગે છે. ઉચ્ચ વર્ગીય હિંદુત્વની ચોપાટમાં માહેર પક્ષ માટે આ ખાસું વિરોધાભાસી પગલું છે પણ અંગ્રેજીમાં જાણીતું વાક્ય છે, “Everything is fair in love and war” – રાજકારણ કોઈ યુદ્ધથી કમ નથી એ હકીકત છે.

આગામી વસ્તી ગણતરીનો હેતુ છે કે જે આંકડા 1931 પછી નથી નોંધાયા તે નોંધવા અને સામાજિક-આર્થિક સ્થિતનું સ્પષ્ટ ચિત્ર મેળવવું. આ રીતની વસ્તી ગણતરીને ટેકો આપનારાને મતે અસરકારક નીતિઓ ઘડવા અને તમામને સમાન સવલતો-સંસાધન વગેરે મળે તે માટે આ આંકડા જરૂરી છે. ટૂંકમાં જાતિનાં સમીકરણો ભારતના રાજકીય પરિદ્રશ્યમાં કેન્દ્ર સ્થાને છે તો સ્પષ્ટ જ છે. વિરોધીઓનું કહેવું છે કે ફરી એકવાર દેશમાં જાતિની ઓળખ આધારિત વિભાજનની રેખાઓ ઉપસી આવશે. પચાસ ટકા અનામતની ચર્ચા પણ ફરી કેન્દ્ર સ્થાને આવી શકે છે તો OBCના પેટા-વર્ગીકરણની વાત જે જસ્ટિસ રોહિણી કમિશનની ભલામણ હતી તેની પર પણ ફરી વિચારણા થઇ શકે છે. 

જો કે ભા.જ.પા.નું આ પગલું જોખમ વિનાનું છે એમ કહેવું યોગ્ય નથી. જાતિ આધારિત વસ્તી ગણતરીથી અનામત, કોટા, પ્રતિનિધિત્વ, પુનઃવર્ગીકરણની માંગનો પ્રવાહ ધસમસતો વધી જ શકે છે. મંડલ કમિશન વખતે સળગેલી આગના શમેલા અંગારા ફરી લબકે અને અરાજકતા ફેલાય એવું પણ શક્ય છે. દરેક જૂથને હવે આંકડા (ડેટા) આધારિત રાજકીય વાટાઘાટ કરવાની તાકાત હાથવગી કરવા હવાતિયાં મારશે. એક સમયે જે જવાહરલાલ નહેરુ માટે જાતિ હીન દેશનું સપનું હતું અને ભા.જ.પા. માટે જે હિંદુ રાષ્ટ્રનું સપનું હતું તે બન્નેમાંથી હવે કંઇ નવું જ પેદા થઇ રહ્યું છે. જાતિ આધારિત સમાજ અને રાજકારણને વધારે મોકાની જગ્યા મળી રહી છે.  ભા.જ.પા. પોતે આ જાતિ આધારિત ગણતરીની જાહેરાત કરીને ક્યાં સુધી ખુશ રહી શકે છે તે જોવાનું કારણ કે ગણતરી પછીનું રાજકારણ સંવેદનશીલ હશે. આ રાજકારણનો એક એવો જુગાર છે જેમાં શાસક પક્ષની પકડ મજબૂત બને છે કે પછી દાવ ઊંધો પડે છે તે તો વખત આવ્યે તેઓ સંજોગોને સંભાળવા કેવા પગલાં લે છે તે પછી જ ખબર પડશે.

બાય ધી વેઃ 

ભા.જ.પા.એ જેનો લાંબો વખત સુધી વિરોધ કર્યો તે જ હવે અનુસરવાની તૈયાર બતાડી છે. 

તેમાં રાજ્યોનું દબાણ ઓછું પણ રાષ્ટ્રીય રાજકીય વ્યૂહરચના વધુ મોટું કારણ છે. વિરોધ પક્ષોનું OBC-દલિત અને મુસ્લિમ ગઠબંધન કોઈ રીતે રોકવું હોય તો ભા.જ.પા. પાસે આ એક મોટું હથિયાર છે. સૂત્રોના મતે આ નિર્ણય પહેલાં સંઘ પરિવારનો અભિપ્રાય પણ ગણતરીમાં લેવામાં આવ્યો છે. હિંદુ મતદારોની એકતા જળવાય એ ભા.જ.પા.ની જીત માટે અનિવાર્ય છે. આ પગલું ભરી ભા.જ.પા. પોતાની ઓળખ સામાજિક ન્યાય માટે કટિબદ્ધ પક્ષ તરીકે કરી શકશે અને કાઁગ્રેસને માથે તેમણે કંઇ ન કર્યું હોવાનો ઓળિયો ઘોળિયો નાખી શકાશે. ભા.જ.પા.એ જે રીતે વલણ બદલ્યું છે તે સાબિત કરે છે કે ચૂંટણીના ગણિતની માંગ હોય ત્યારે આદર્શોને ફેરવાઈ જતા વાર નથી લાગતી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 મે 2025

Loading

વાહિયાત વાતોથી આતંકવાદ ડામી શકાય નહીં !

રમેશ સવાણી|Opinion - Opinion|4 May 2025

27 એપ્રિલ 2025ના રોજ, ‘સંવાદસભા’માં, ‘માણસાઈનો દુ:શ્મન આતંકવાદ’ વિષય પર ચર્ચા થઈ, તેનાં મુખ્ય મુદ્દાઓ :

બિપિન શ્રોફ : “કાશ્મીર એવું રાજ્ય હતું જ્યાં રાજા હિન્દુ હતા અને બહુમતી લોકો મુસ્લિમ હતા. 1936 થી 1947 સુધી કાશ્મીરમાં ધર્મ આધારિત ન હોય તેવું રાજ્ય સ્થાપવા ‘નેશનલ કોન્ફરન્સે’ રાજાશાહી સામે ચળવળ ચલાવી હતી. આઝાદી વેળાએ પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે રાજા હરિસિંહે ન છૂટકે પોતાના રાજ્યને ભારત સાથે છોડ્યું. પ્રજામત લેવાનો હતો. તટસ્થ પ્રજામત લેવાય તે માટે 1948માં UNO સમક્ષ નેહરુએ વાત મૂકી. પણ પ્રજામત લેવાયો નહીં. 1965માં યુદ્ધ થયું, તાશ્કંદ કરાર ત્યાં. લાઈન ઓફ કંટ્રોલ નક્કી થઈ. 1971માં યુદ્ધ થયું. 1980માં / 1999માં કારગિલમાં યુદ્ધ થયું. અટલ બિહારી બાજપાયીએ સમઝોતા એક્સપ્રેસ બસ સેવા શરૂ કરી. 2014 પછી હિન્દુત્વના જોરના કારણે કાશ્મીરમાં વધુ આતંકવાદી ઘટનાઓ બની. કાશ્મીરને કેન્દ્ર શાસિત બનાવ્યું. 9 લાખનું લશ્કર કાશ્મીરમાં છે, છતાં આતંકી હુમલા થાય છે. પુલવામાં / પહેલગામમાં સુરક્ષા ન હતી … આતંકવાદ ત્યારે થાય જ્યારે સતત અન્યાય થાય. આ સ્થિતિમાં આતંકવાદીઓને સફળતા મળે છે. આતંકવાદી માનસિકતાને ટેકો કોણ આપે છે? પોષણ કોણ આપે છે? સ્થાનિક વિદ્રોહીઓ આપે છે. પર્વતોમાં પશુ ચારતા કાશ્મીરીઓ આપણા લશ્કરને માહિતી આપતા હતા તેનો વિશ્વાસ આપણે ગુમાવ્યો. દેશના વડા પ્રધાન કપડાંથી માણસોને ઓળખવાની વાત કરે તે ઉચિત છે? પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં બંધ પાળવામાં આવ્યો, દેશભરમાં મુસ્લિમોએ હુમલાને વખોડી નાંખ્યો તે સારી બાબત છે. લશ્કરના આધારે ક્યાં સુધી કાશ્મીરને સાચવી શકીશું? સરકાર કહે છે આતંકીઓની કમર તોડી નાખી છે પણ સત્ય જુદું છે : 2014માં 28 / 2015માં / 2016માં 14 / 2017માં 54 / 2018માં 86 / 2019માં 42 / 2020માં 33 / 2021માં 36 / 2022માં 30 / 2023માં 12 / 2024માં 31 / 2025માં 28 નાગરિકોની આતંકીઓએ હત્યા કરી છે. આતંકવાદને નાથવા માટે સ્થાનિક લોકોમાં આત્મવિશ્વાસ પ્રગટાવવો પડે, ભાગીદારી મેળવવી પડે. આત્મવિશ્વાસ ત્યારે જ પ્રગટે જ્યારે લોકોને લાગે કે ભારત મારો દેશ છે. ધૃણા / નફરત / ધિક્કાર એ આતંકવાદને પોષણ આપનાર પરિબળ છે.”

ભૂપેન્દ્રસિંહ રાઓલ : “આતંકવાદ સદીઓથી ચાલે છે. રાજાઓ / બાદશાહો પણ આતંકવાદ કરતા હતા. ઓટોમન સામ્રાજ્યે સ્યુસાઇડલ બોમ્બર જેવા આતંકીઓ તૈયાર કર્યા હતા. આપણે ત્યાં નક્સલવાદ છે, ખાલિસ્તાની આતંકવાદ હતો. પાકિસ્તાન સમર્થિત કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયો છે. 1971નું યુદ્ધ પાકિસ્તાન હાર્યું ત્યારથી તેણે સીધી લડાઈ બંધ કરી દીધી, કેમ કે સીધી લડાઈ જીતી શકાય તેમ નથી એટલે તેણે પ્રોક્સી વોર શરૂ કરી, ખાલિસ્તાનીઓને સપોર્ટ કર્યો, કાશ્મીરમાં આતંકીઓને હથિયાર વગેરે પૂરા પાડે છે. ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાન મુજબ (1) માણસ સમૂહમાં રહેવા ઈન્વોલ્વ થયેલો છે. જેમ સમૂહ મોટો તેમ સર્વાઇવલના ચાન્સ વધી જાય. ધર્મ પણ એક સમૂહ છે. પોતાનો સમૂહ મોટો કરવા તે ભાવના હોય છે. કોઈપણ ભોગે સર્વાઈવ થવું. (2) તેને એક લીડર હોય. (3) માણસ સ્ટેટસ સીકિંગ એનિમલ છે. (4) સેક્સ્યુઅલ રીપ્રોડકશન. આતંકવાદ પણ આ ચાર મુદ્દાઓ આજુબાજુ ફરતો હોય છે. હરીફ જૂથોને દૂર કરવાથી સંસાધનોની એક્સેસ મળી જાય. આ માટે મોટા મોટા નરસંહાર થયા છે. હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યાં. રવાન્ડામાં 6 દિવસમાં 8 લાખ લોકોની હત્યા થઈ હતી. ઓટોમન સામ્રાજ્યે 15 લાખ લોકોની હત્યા કરી હતી. કમ્બોડિયામાં 20 લાખ લોકોની હત્યા થઈ હતી. 11 સપ્ટેમ્બર 2001ના રોજ, અમેરિકામાં 3,000થી વધુ લોકોને મારી નાખ્યા હતા. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન બાળકોને ભણાવવું પડે. ધર્મ વગરની ધરા જોઈએ. ધર્મ ન જોઈએ. આતંકવાદ માણસાઈનો દુ:શ્મન છે.”

રમેશ સવાણી : “નફરતનું ભવિષ્ય હંમેશાં ખરાબ જ હોય છે. આતંકવાદ મુખત્વે બે કારણોસર જોવા મળે છે. એક, ધર્મ આધારિત; જેમાં મૃત્યુ પછી હૂરો / પરીઓ મળે તેવી લાલચ હોય છે. ધર્મ આધારિત રાષ્ટ્રવાદ તેમાં આવી જાય. બીજું, વંચિતતાના કારણે, જેમ કે નક્સલવાદ. સમુદાયોને વિકાસમાં ભાગીદાર બનાવવા પડે. જો કે વંચિતતાનું મુખ્ય કારણ પણ ધર્મ જ હોય છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ સૂત્રને વ્યવહારમાં મૂકે તો આતંકવાદ ખાળી શકાય. કથની અને કરણી વચ્ચે મોટો તફાવત હોય ત્યારે અસંતોષ વધે છે, જે આતંકવાદને આમંત્રણ આપે છે. 2001માં અમેરિકામાં 9/11નો આતંકી હુમલા સમયે અમેરિકામાં કોઈ જગ્યાએ મુસ્લિમો સામે હુમલા થયા ન હતા, મુસ્લિમોના વિસા કેન્સલ કર્યા ન હતા; અમેરિકાએ ઓસામા બિન લાદેનને શોધીને મારી નાખ્યો. અમેરિકાએ મુસ્લિમોને ટાર્ગેટ ન કર્યા, આતંકવાદીને ટાર્ગેટ કર્યો હતો. શું આપણે આવું કરી શકીશું? સરકારની નિષ્ફળતા છૂપાવવા ગોદી મીડિયા લોકોની આંખમાં ધૂળ નાખે છે; ગોદી મીડિયા જ આતંકવાદી છે ! પાણી બંધ કરી દેવાથી ટોઈલેટ ગયા પછી સફાઈ પણ નહીં કરી શકે, એવી વાહિયાત વાતો કરીને જ સંતોષ માનવાનો છે?”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—287

દીપક મહેતા|Opinion - Opinion|3 May 2025

મા-દીકરી મોડી રાતે ઇન્દોરના રાજદરબારમાંથી નીકળ્યાં પછી શું થયું?  

બોમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો બીજો દિવસ

એડવોકેટ જનરલ કાંગા : યોર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ.

જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : You may proceed, Mr. Kanga.

એડવોકેટ જનરલ કાંગા : Thank you, your honor! 

પછી સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : તમે ઇન્દોર પહોચ્યાં તે પછીની વાત જણાવો. 

મુમતાઝ બેગમ : પહેલાં તો અમે માધ્યમ વર્ગના લોકો રહેતા હોય તેવા વિસ્તારમાં ઘર ભાડે લીધું. પછી ત્યાં નાચ-ગાનની મહેફીલો શરૂ કરી. શરૂઆતમાં તો દુકાનદારો, ગુમાસ્તાઓ, ચોકીદારો જેવા લોકો એ મહેફિલોમાં આવતા. પણ અમ્માનો કંઠ અને મારા રૂપ અને કંઠને કારણે થોડા વખતમાં અમારી નામના આખા શહેરમાં ફેલાતી ગઈ. મોટા મોટા શેઠિયાઓ અને અમલદારો પણ મહેફિલોમાં આવતા થયા. અમારી કમાણી પણ વધતી ચાલી. થોડા જ વખતમાં અમારી નામના લાલ બાગ સુધી પહોંચી.

એડવોકેટ જનરલ કાંગા : એક મિનિટ થોભો. તમે ઈન્દોરની વાત કરતાં હુતાં તેમાં આય મુંબઈનો લાલબાગ વચમાં કાંય આયો?

મુમતાઝ બેગમ : સાહેબ, હું મુંબઈના લાલબાગની વાત નથી કરતી. ઇન્દોરના મહારાજાના મહેલનું નામ છે લાલ બાગ.

ઇન્દોરનો લાલ બાગ પેલેસ

એડવોકેટ જનરલ કાંગા : અચ્છા, એટલે કે એ લાલ બાગમાં મિલ મજૂરો નહિ, પણ મહારાજા વસે છે!

મુમતાઝ બેગમ : રાજ દરબારના ઉસ્તાદ સાથે મહારાજાએ પહેલાં તો મસલત કરી. જ્યારે તેમને અમારી કલાની કાબેલિયત અંગે ખાતરી થઈ ત્યારે પોતાના બે દરબારીઓને નોતરું લઈને અમારી પાસે મોકલ્યા. 

બાવલા ખૂન કેસમાં બચાવ પક્ષના એક વકીલ મોહમ્મદ અલી ઝીણા

બચાવ પક્ષના વકીલ બેરિસ્ટર મહંમદ અલી જિન્નાહ : I object my honor! મહારાજા તુકોજીરાવ હિન્દુસ્તાનના એક ખૂબ જ માનવંત રાજવી છે અને અંગ્રેજ સરકારના ગાઢ મિત્ર અને ટેકેદાર છે. એટલે તેમનું નામ આ રીતે સંડોવવાની પરવાનગી આપવી જોઈએ નહિ. 

એડવોકેટ જનરલ કાંગા : બચાવ પક્ષના માનવંતા વકીલ બી એક બહુ જ જાણીતી હસ્તી છે એટલે એવનનું નામ લીધા વિના હું જનાવવા માગું ચ કે ઇન્દોરના રાજવીનું નામ જગજાહેર છે અને એવનનું નામ મેન્શન કરવાથી કોઈની બી બદનક્ષી કઈ રીતે થાય તે મને સમજાતું નથી. એટલે બચાવ પક્ષની આય માંગણી નામંજૂર કરવા આપ નામદારને અરજ ગુજારું છઉં.

જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : Objection over-ruled. You may proceed Mr. Kanga.

એડવોકેટ જનરલ કાંગા: Thank you, My Lordship. હા, તો મુમતાઝ બેગમ! ઇન્દોરના મહારાજા તુકોજીરાવ ત્રીજાના દરબારીઓએ તેમનો સું મેસેજ તમુને આપીયો?

મુમતાઝ બેગમ : કહ્યું કે મહારાજાસાહેબે તમને બંનેને દરબારમાં હાજર થવા ફરમાન મોકલ્યું છે. પછી એ દરબારીએ અમારા બંનેના ફોટા લીધા. અને પૂછ્યું કે તમે બંને ક્યારે હાજર થશો? હું જવાબ આપું તે પહેલાં તો અમ્મી જાન જ બોલ્યાં : મહારાજા સાહેબને કહેજો કે આ બે દાસીઓ આવતી કાલે તેમની ખીદમતમાં હાજર થશે. અને એ ઘડીથી અમે બંને સોનેરી સપનાં જોવા લાગ્યાં. 

એડવોકેટ જનરલ કાંગા : પછી બીજે દહારે ટુમે દરબારમાં ગયા?

મુમતાઝ બેગમ : જી સાહેબ. હું થોડાં વરસ નિશાળમાં ભણી છું. ત્યારે અમારી ચોપડીમાં કાન્ત નામના કવિની એક કવિતા આવતી. તેમાં એક લીટી હતી : ‘નહિ રાજાજીનો હુકમ પણ પાછો કદિ ફરે.’ મહારાજા સાહેબે અમારી સાથે વાત કરી, અમારા ખબરઅંતર પૂછ્યા. અમે ક્યાં રહીએ છીએ એ પૂછ્યું. અમ્માનો જવાબ સાંભળી એક મંત્રીને હુકમ કર્યો : આજે ને આજે આ બંને માટે ખારાવ ઘાટ(ઇન્દોરનો એક વૈભવી વિસ્તાર)માં બંગલો ભાડે મેળવો. આવતી કાલે બંને એ નવા ઘરમાં જશે. 

લાલ બાગ પેલેસનો ક્રાઉન હોલ જ્યાં નાચ–ગાન થતાં

એડવોકેટ જનરલ કાંગા : પછી તમે એ નવા ઘરમાં ગિયાં?

મુમતાઝ બેગમ : હા, જી. સાહેબ! શું વાત કરું! અમને તો એ બંગલો મહેલ જેવો જ લાગ્યો. બહાર મોટો બગીચો. જાતજાતનાં ફૂલ-ઝાડ. નાના તળાવમાં બતક તરે. બાજુમાં હિંચકા. તેનાથી થોડે દૂર બેસવાના બાંકડા અને સામે ટિપોય. બંગલામાં દાખલ થતાં મોટી લોબી. દીવાનખાનામાં મખમલ મઢેલા કોચ, સામે નકશી કામવાળી ટિપોય. તેના પર નોકરને બોલાવવા માટે રૂપાની ઘંટડી. બારી બારણાં પર જરિયાન પડદા. તેના પર લટકે એલચી-લવિંગ અને કાચની સળીઓ ગૂંથીને બનાવેલા ચક. 

એડવોકેટ જનરલ કાંગા : એ બંગલાનું ભાડું કોણ ભરતું?

મુમતાઝ બેગમ : અમ્મીજાન.

એડવોકેટ જનરલ કાંગા : એવનની પાસે એટલા પૈસા ક્યાંથી આવિયા?

મુમતાઝ બેગમ : નવા ઘરમાં રહેવા આવ્યા પછી બીજા જ દિવસથી અમે મા-દીકરીએ નાચગાનની મહેફીલો શરૂ કરી દીધી. હવે તો આખા ગામમાં ખબર ફરી વળેલા કે આ બે જણીઓ ઉપર રાજા સાહેબ મહેરબાન છે. એટલે અમ્માએ મહેફીલના ભાવ ચારગણા કરી નાખ્યા. પહેલાં અમે વરસમાં કમાતા એટલું એક મહિનામાં કમાયા. એક દરબારી, નામે શંકરરાવ બાપુજી ગાવડે, રોજ અમારે ત્યાં આવતો. બંગલાના એક-બે નોકરો પણ અમારા પડછાયાની જેમ રહેતા. થોડા વખત પછી એક દિવસ અમ્માજાને શંકરરાવને કહ્યું કે અમે મા-દીકરી હૈદરાબાદ જવાનાં છીએ. શંકરરાવે અમને રોકવાની ઘણી મહેનત કરી. પણ અમ્મીજાન એકની બે ન થઈ. કહે કે પાછા આવ્યાં પછી અમે બંને પગારદાર દરબારી ગાયિકા તરીકે મહારાજાસાહેબની ખિદમતમાં હાજર થાશું. 

એડવોકેટ જનરલ કાંગા : પછી તમે હૈદરાબાદ ગિયાં?

મુમતાઝ બેગમ : હા, જી. ૧૯૧૫ની શરૂઆતમાં અમે હૈદરાબાદ ગયાં. છ મહિના ત્યાં રહ્યા પછી પાછાં ઇન્દોર. અમ્માજાને શંકરરાવને જબાન આપેલી એટલે પગારદાર દરબારી ગાયક-નર્તકી તરીકે નોકરીએ રહ્યાં. અગાઉવાળા બંગલામાં જ રહેવા લાગ્યાં. અમ્માએ લાહોરથી પોતાની અમ્મીજાન કરીમબીબીને પણ ઇન્દોર બોલાવી લીધાં. 

એડવોકેટ જનરલ કાંગા : પછી? પછી સું થીયું? 

મુમતાઝ બેગમ : સાહેબ! એ વાત ન પૂછો તો સારું. 

એડવોકેટ જનરલ કાંગા : તમારે બધ્ધી વાત સાચેસાચી નામદાર જજ સાહેબને કહેવી જ પડશે. તમે સોગંદ લીધા છે. 

મહારાજ તુકોજી રાવ સામે નૃત્ય કરી રહેલી મુમતાઝ બેગમ ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર

મુમતાઝ બેગમ : ભલે સાહેબ, જેવો હુકુમ. એક દિવસ મોડી રાત સુધી મહેલમાં મહેફિલ જામી. દિલરૂબાના સૂરો રેલાયા. મારા પગની પૈજનિયાં બાજી ઊઠી. પખાવજના તાલે તાલે મારા પગ નાચવા લાગ્યા. પછી મારું આખું જિસ્મ નાચવા લાગ્યું. પછી મારી રૂહ થરકી ઊઠી. એક પછી એક નાચ-મુજરા થતા ગયા. મહારાજાએ પહેલાં સોનામહોર ભરેલી કોથળી મારા પર ઓવારી. અમ્મા પર રૂપાનાં ફૂલ વરસાવ્યાં. કોરી, કડકડતી નોટોથી ભરેલો ચાંદીનો થાળ ભેટ ધર્યો. સોનાની તાસકમાં મદિરા ભરેલા રૂપાના જામ અમને મા-દીકરીને મોકલ્યા. મહેફિલમાં પણ મદિરા સાથે સૂકા મેવા અને મીઠાઈના થાળ ફરતા હતા. છેવટે રાજાસાહેબે પોતે સિંહાસન પરથી ઊભા થઈને મારા ગળામાં હીરાનો હાર પહેરાવ્યો.

એડવોકેટ જનરલ કાંગા : પછી, પછી સું થિયું?

મુમતાઝ બેગમ : મોડી રાતે અમે રાજાસાહેબને કુરનીશ બજાવી ઇજાજત માગી અને અમે પગ ઉપાડ્યા. અમે થોડે દૂર ગયા હશું ત્યાં તો શંકરરાવ દોડતા આવ્યા. કહે, મહારાજાએ તમને બંનેને અત્તરઘડી તેમની ખિદમતમાં હાજર થવા ફરમાવ્યું છે. તેઓ તમને બંનેને ખાસ બક્ષિસ આપવા માગે છે. અમે મા-દીકરીએ એકબીજા સામું જોયું. મને માની આંખોમાં બીક દેખાઈ. તેણે કહ્યું કે મહારાજાસાહેબને કહેજો કે અમે કાલે સવારે હાજર થશું. અત્યારે ઘણું મોડું થઈ ગયું છે. પણ શંકરરાવ માન્યા નહિ. કહે કે રાજાસાહેબનું ફરમાન ન બજાવું તો મારી નોકરી જાય. અમે બંને ન છૂટકે શંકરરાવની પાછળ પાછળ ચાલવા લાગીઓ. રાજમહેલના ઘણા ભાગોથી અમે મા-દીકરી પરિચિત હતાં, કારણ મહેલમાં અવારનવાર આવવાનું થતું. પણ થોડી વાર પછી અમે જ્યાં પહોચ્યાં એ ભાગ અમારે માટે અજાણ્યો હતો. બંને બાજુ બંદૂકધારી સૈનિકો ખડે પગે ઊભા હતા. રસ્તો ધીમે ધીમે વધુ ને વધુ સાંકડો થતો જતો હતો. અમ્માના મોઢા પર ચિંતાનાં વાદળ મંડરાતાં હતાં. 

અહીં મુમતાઝ બેગમને ગળે ડૂમો બાઝ્યો. એણે જરા બીતાં બીતાં પૂછ્યું : સાહેબ! મને એક ગિલાસ પીવાનું પાણી મળશે? 

એડવોકેટ જનરલે નામદાર જજસાહેબ સામે જોયું. તેમણે હકારમાં માથું હલાવ્યું. એટલે કોર્ટનો ચપરાસી પિત્તળના ગ્લાસમાં પીવાનું પાણી લઈ આવ્યો. મુમતાઝ બેગમ એક ઘૂંટડે આખો ગ્લાસ પાણી પી ગઈ. સૂનમૂન ઊભી રહી.

એડવોકેટ જનરલ કાંગા : પછી? પછી સું થિયું?

મુમતાઝબેગમ : શંકરરાવે ચાલવાની ઝડપ જરા વધારી હતી. તેમની અને અમારી વચ્ચેનું અંતર વધ્યું હતું. અમે ચાલતાં હતાં ત્યાં જ સાંકડા રસ્તાની એક બાજુએ બે દરવાજા ફટાક દેતા ખૂલી ગયા. અમારી પાંપણ પણ ફરકે એ પહેલાં હથિયારબંધ પહેરેગીરોએ મને અને મારી અમ્મીને બાવડેથી પકડી. એક દરવાજામાં તેને ધક્કેલી અને બીજા દરવાજામાં મને. તરત જ બત્તીઓ બુઝાઈ ગઈ. અંધારું ઘોર. પણ કીચુડાટનો જે અવાજ કાને પડ્યો તે પરથી અમે જાણ્યું કે દરવાજા બંધ થઇ ગયા છે. ત્યાં જ થોડે દૂર મશાલનું અજવાળું દેખાયું. એક સૈનિક શંકરરાવને લેવા આવ્યો હતો. તેમણે એક વાર પાછું ફરીને જોયું. મશાલના અજવાળામાં પણ તેમનો ચહેરો કાળો ધબ થઈ ગયેલો દેખાતો હતો. 

બરાબર એ જ વખતે બોમ્બે હાઈ કોર્ટની ઘડિયાળમાં પાંચના ડંકા થયા. અને કોર્ટ બરખાસ્ત થઈ. પછી શું થયું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 03 મે 2025

Loading

...102030...162163164165...170180190...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved