Opinion Magazine
Number of visits: 9673622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મકરંદભાઇ-કુંદનિકાબહેનનાં લગ્ન અને નંદિગ્રામ

રજનીકુમાર પંડ્યા|Opinion - Opinion|18 February 2022

1997માં નંદિગ્રામમાં મેં લીધેલા કુંદનિકાબહેનના રેકોર્ડેડ ઇંન્ટરવ્યુના આધારે, મકરંદ દવેની શતાબ્દી નિમિત્તે : રજનીકુમાર

લગ્ન કરવા વિષે કુંદનિકાબહેને કોઇ ચોક્કસ વિચાર નહોતો સેવ્યો, ત્યારે સાલ ૧૯૬૫ના એક દિવસે એકવાર કંઇક જાણીતા – કંઇક અજાણ્યા એવા અક્ષરોમાં એમના ઉપર એક પત્ર આવ્યો. પત્ર હતો તો વિનય-વિવેક ભર્યો પણ એ ડેસ્ટિનીનો કૉલ લેટર (વિધાતાનું વેણ) થઇ જશે એવી એમને ખબર નહોતી. પત્ર કવિ મકરંદ દવેનો હતો ! નવાઇ તો લાગી પણ નકારાત્મક ભાવ પેદા થાય તેવી કોઇ વાત એમાં નહોતી. એમનું નામ ખાસ્સું સાંભળેલું પણ હતું. વખાણ પણ સાંભળેલાં. ખાસ તો એમનાં ભાઇ સુરેન્દ્ર કાપડિયા અમદાવાદની એચ.કે. કૉલેજમાં લેક્ચરર હતા. એ વર્ષો સુધી અને વારંવાર મકરંદના કોઇ ને કોઇ નિમિત્તે વખાણ કર્યાં કરતા. ‘નવનીત’નાં તો કુન્દનિકાબહેન સંપાદિકા હતાં અને એમાં મકરંદભાઇનાં કાવ્યો પણ છપાતાં એટલે નામ પણ પરિચિત. અક્ષરો પણ જરા યાદ કરે તો લખનારની ઓળખ પડી જાય એવા પણ આમ એમનો પત્ર આવશે અને એમાં જોડાવા વિષે બહુ ધીમો સંકેત હશે એવી કલ્પના તો ક્યાંથી હોય ?  એટલે પહેલાં તો એમને થયું કે એમણે કોઈ બીજાને મોકલવાને બદલે ભૂલથી મને આ પત્ર મોકલી દીધો છે. પણ કોઇના પત્રનો જવાબ તો દેવો જ પડે. એટલે એ કાગળ જેમનો તેમ પાછો મોકલવાને બદલે માત્ર પોસ્ટકાર્ડથી જવાબ એ રીતે લખ્યો કે ભાઈશ્રી મકરંદભાઇ, તમારા કોઈ કાગળિયાં ભૂલથી અહીં આવી ગયાં લાગે છે. જો આપ જણાવો તો આપને પાછાં મોકલી આપું.

તરત એનો જવાબ તો ‘એવી જરૂર નથી, એ પત્ર તમારા માટે જ છે’ એવો આવી ગયો. અને પછી થોડો પત્રવ્યવહાર વધુ થયો. એમાં કુન્દનિકાબહેન પામી ગયાં  કે મકરંદભાઇને પક્ષે કંઇક એવી ગડભાંજ ચાલતી હતી. બિમાર બા ‘હવે તું લગ્ન કર’ એમ સીધું નહોતાં કહી શકતાં પણ ‘મારી આશા અધૂરી રહી જશે’ એમ તો રટ્યાં જ કરતાં હતાં. મકરંદભાઇ કાયમ જવાબ આપતા કે ‘ચિંતા ન કર, બા. મને યોગ્ય લાગશે ત્યારે લગ્ન કરીશ. કોઇ પાત્રને અને મને અમે એકબીજાને યોગ્ય છીએ એવું લાગશે ત્યારે હું એક દિવસ પણ મોડું નહીં કરું.’

કદાચ બાને સંતોષવાની એ માનસિકતાને કારણે જ આ પત્ર લખાયો હતો. પણ ત્રણ વર્ષ ચાલેલા એ પત્રવ્યવહારનો અંજામ છેલ્લે લગ્નમાં પરિણમ્યો.

અને સાલ ૧૯૬૮માં ૩૦મી એપ્રિલે પોતાનાથી પાંચ વર્ષ મોટા મકરંદભાઇ સાથે એ લગ્નથી જોડાયાં. એ દિવસ તે અખાત્રીજનો. મકરંદ રીતસરની જાન લઈને આવેલા હતા. પણ જાનમાં જાનૈયા બહુ ઓછાં હતાં. દીપકભાઈ વસાવા, બનેવી બાબુભાઈ વૈદ્ય, તેમનાં પત્ની દયાબહેન એટલે કે મકરંદભાઇનાં મોટાં બહેન. કુન્દનિકાબહેનને પક્ષે હતાં કાંતાબહેન, રતિભાઈ, નાનાભાઈ. મુંબઈમાં વિહાર તળાવને કિનારે માંડવો બાંધ્યા વગર જ સૂર્ય-ચંદ્રની સાક્ષીએ સાદો વિધિ થયો. (બા એ જોઇને પછી, સંતોષ પામીને ૧૯૭૫માં અવસાન પામ્યાં.)

મેં પૂછ્યું : ‘પણ આટલાં વર્ષ સુધી કેમ નહોતાં પરણ્યાં ?’

‘બસ,’ એ મરકીને બોલ્યાંઃ ‘મારે ન’તું પરણવું એટલે ન’તી પરણી.’

થોડી વાર અબોલ રહીને એ બોલ્યાં : ‘હું એક જ વાત કહીશ કે એ સાયુજ્ય પહેલાં મને ભગવાનની ઓળખ ન હતી.’

વાક્ય અધૂરું લાગે પણ એને પૂરું કરી આપનારા શબ્દો મારા મનમાં ઊગી ગયા.

‘તો એમણે તમને બદલી નાખ્યાં’ એવો જ અર્થ થયો. પણ એ કહો કે એવો તે કયો ધક્કો લાગ્યો? શું લાગ્યું એમને જોઈને ? કયાં કારણો મળ્યાં? વૈચારિક કે એથી વધુ ઊંચુ કે માત્ર બૌદ્ધિક? સાહિત્યિક ?

એમનો જવાબ : ‘સાહિત્ય શબ્દ એના માટે બહુ નાનો પડે. અવ્યક્તમાંથી આવતું કઈંક. આ અંતર શબ્દ અંતર જ પકડે છે. નકરાં બાહ્ય ઉપકરણોથી કાંઈ પ્રીતિ ઉત્પન્ન થતી નથી. મા ભગવતીનું એક પ્રખ્યાત વાક્ય છે. ‘દિલ કો ભા જાયે.’ જેની વ્યાખ્યા થતી નથી. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી. કારણ છે કેવળ પ્રીતિનું !

પછી કહે : ‘પણ એ આપણે જાણતાં નથી કે આપણને આટલા બધા માણસોમાંથી કેમ આ એક જ માણસ ગમ્યો અથવા કેમ આની તરફ જ ખેંચાયાં? બીજા બધાં ઉપરનાં કારણો પણ છે પણ એ કંઈ એટલાં બધાં નક્કર નથી.’

હવે સ્વાભાવિક જ સવાલ જાગે કે નંદિગ્રામની કલ્પના કોના મનમાં પહેલાં આવી?  કુન્દનિકાબહેનના મનમાં કે મકરંદભાઇના મનમાં ?

તેમનો જવાબ : ‘એમને જુદી રીતે કલ્પના આવી અને મને પણ જુદી રીતે આવી. એમના મનમાં કામ કરવાની બ્લુપ્રિન્ટ પડી હશે તે એવું બધું એમણે પોતાના મિત્રો સાથે ઘડી રાખેલું અને મેં પણ એમને મળી તે પહેલાં કંઇક એવું વિચારેલું. એમ તો  છેક ૧૯૬૦થી મારા મનમાં આ વિચાર રમતો હતો કે આવું કશુંક હોવું જોઈએ. એ પછી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ ‘કશુંક પણ’ બદલાતું રહ્યું. પણ એના મૂળમાં હતું બહુ નાનપણમાં કર્યું હોય તે વાચન. પણ જેનાથી આવા વિચારો આવ્યા હોય. એવું વાચન શું હતું તે અત્યારે તો મને યાદ આવતું નથી પણ આવું કંઈ અનોખું કરવું જ છે એવો વિચાર સૌ પ્રથમ આવ્યો સાલ ૧૯૮૦માં.’

એટલે કુન્દનિકાબહેને એ વિચારને વ્યક્ત કરતો સૌ પહેલાં એક લેખ લખ્યો ‘જન્મભૂમિ-પ્રવાસી’ની ‘પ્રવાસી’ પૂર્તિમાં. એ લખવાની પ્રેરણા મળી તેમને ‘અમેરિકન રિવ્યુ’માં આવેલા ઈરવિન વિલિયમ થોમસન નામના એક અમેરિકન સાહિત્યકાર, ના, માત્ર સાહિત્યકાર નહીં પણ ઇતિહાસકારનો, એક લેખ વાંચીને. તેમાં એ લેખકે ગ્લોબલ કલ્ચરની વાત કરેલી. ગ્લોબલ કલ્ચર એટલે વૈશ્વિક સંસ્કૃતિ, વૈશ્વિક ફીલિંગ ! મતલબ કે, આ મારું સૌરાષ્ટ્ર કે આ મારો દેશ જેવો વિચાર જ ન રહે મનમાં. પણ ‘આ મારો ગ્રહ એટલે કે પ્લેનેટ!’ એવા કલ્ચરનો વિકાસ થવો જોઈએ એવી એ લેખકે લેખમાં આવી વાત મુકેલી. કુન્દનિકાબહેનને એ પરિકલ્પના બહુ જ જચી ગઈ હતી. અને તેમના મનમાં ઘણા વખતથી જે ધુંધળા વિચારો કે ખયાલો રમતા હતા તેને આ વાંચીને નક્કર આકાર મળ્યો. એ લેખકે એક કોમ્યુન એટલે કે સરખી માન્યતાઓના એક દોરે બંધાયેલી સમૂહજીવન જીવતી એક વસાહતની કલ્પના કરેલી અને વાસ્તવમાં એવું કરેલું પણ ખરું અને બહુ સારા સારા લોકો એ કોમ્યુનના મેમ્બર્સ હતા. લિન્ડિશ ફાર્મ એટલે લૉન્ગ આઈલેન્ડ ન્યુયોર્ક પાસે એ લોકોનું કોમ્યુન હતું. એમાં એ લોકો આ વિચારોને અમલમાં મૂકવાનું કામ કરે છે. એણે તો પછી બીજા એક કોમ્યુનની વાત પણ  કરેલી, ફિન્ડફાર્મ જે સ્કોટલેન્ડમાં છે ત્યાં પણ આવા લોકો વસીને વનસ્પતિજગતમાં કાર્ય કરે છે. આવી બધી વસ્તુ કુન્દનિકાબહેન અને મકરંદભાઇના વિચારો સાથે એટલી મળતી આવતી હતી કે એમાંથી એમને એક નક્કર આકાર મળી ગયો અને એ તે નંદિગ્રામ.

પણ એનું સ્વરૂપ (કંસેપ્ટ) કેવું હોવું જોઇએ ? એના વિષે બે સમાંતર વિચાર મનમાં સમાંતરે જ ચાલી રહ્યા હતાઃ એક તો સાધના અને બીજી સેવા. એ બે એની પાંખો હોવી જોઇએ. એને પરંપરાગત ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. સાધના એટલે કે મન જે આધ્યાત્મક સ્થિતિમાં હોય તેનાથી આગળની દિશામાં વધવું તે અને સેવા એટલે આપણે એકલાં નહીં પણ આપણું અમર્યાદ કુટુંબ છે તેવી સમજણ કેળવવી. હું મારું જ કરી લઉં એવું નહીં પણ આપણી આસપાસ રહેતા લોકો પણ આપણો જ પરિવાર છે, એમ માની તે લોકોને પણ આપણાપણામાં આવરી લેવા. જેમ આપણે આપણાં ભાઈબહેનો માટે શક્ય હોય તેટલું કરી છૂટીએ છીએ એમ બીજા લોકોને પણ આપણામાંના જ ગણીને એમને માટે શક્ય હોય તેટલું કરી છૂટવું. આમાં સાધના આને સેવા બંનેનો ત્યાં સમન્વય થવો જોઈએ. એટલે સાદી ભાષામાં કહીએ તો પોતાનું કલ્યાણ અને બીજાનું પણ કલ્યાણ. ખરા કલ્યાણનો એ જ સાચો માર્ગ હોવો જોઈએ એવી એક કલ્પના અને તેને મૂર્તિમંત કરવાનું સ્વરૂપ એમને આમાં દેખાયું જે એમણે પોતાના લેખમાં વ્યક્ત કર્યો હતો.

કુન્દનિકાબહેનના લેખનો બહુ બધા લોકોએ પડઘો પાડ્યો. અનેક કાગળો આવ્યા. તેમના લેખનો કન્સેપ્ટ જ એવો હતો કે આવું કોઈ કોમ્યુન હોવું જોઈએ કે જ્યાં આવા મિત્રો હળીમળીને રહે અને આવા વિચારોને મૂર્તિમંત કરવાનું કામ સાથે મળીને કરે. એમાં સર્વ જીવ પ્રત્યે આદર હોય, પ્રકૃતિને ખોળે જીવન હોય અને એક સમગ્ર જીવનશૈલી જેમાં વિકસિત થતી હોય. એ જીવનશૈલી પ્રદૂષણમુક્ત હોય, એમાં શોષણને સ્થાન ન હોય. વ્યવસાય પણ પોતે જે કરતાં હોય એ કરે પણ તેમાં લોભ ન હોય એટલે કે બીજાના ભોગે પોતે વધારે મેળવી લેવું અથવા તો વધારે મેળવી લેવું એવી જીવનની દિશા ન હોય. નિર્વાહ માટે જેટલું જરૂરી હોય તેટલું કમાવું પણ એ કમાવા માટેના વ્યવસાયો એવા નિર્દોષ હોય કે જે સમાજને પોષક હોય. એટલે આખી એક અલગ જ જીવનશૈલી હોય કે જેમાં સાદગી હોય. આવાં ઊંચાં મૂલ્યો અને વિજ્ઞાનનો જ્યાં સમન્વય થયો હોય તેવી રીતે જીવન જીવવાની કોશિશ કરવી અથવા તો એ રીતે વિક્સાવવાની કોશિશ કરવી. જો એમ થાય તો એમાં આ બધી વસ્તુઓ આપોઆપ આવી જાય એટલે કે સેવા અને સાધના આવી જાય.

કુન્દનિકાબહેનનો આ લેખ હિન્દીમાં પણ પ્રકાશિત થયો. એના પ્રતિભાવમાં ભવાની પ્રસાદ મિશ્રજી કે જે હિન્દીના બહુ મોટા કવિ હતા એમનો પ્રતિભાવ સૌથી પહેલા આવ્યો. હા, એમના પુત્રે એમને વાંચી સંભળાવ્યો હતો. જે વાંચીને એમનો સુંદર પત્ર આવ્યો હતો. જો કે પછી તો એ મધ્ય પ્રદેશ જતા રહ્યા અને ત્યાં તેમનું અવસાન થયું.

ગુજરાતમાંથી પણ ઘણા સાહિત્યકારો અને લેખકોના પ્રતિભાવોના પત્રો આવ્યા હતા.

આવા સરસ પ્રતિભાવો આવ્યા એટલે પછી એમણે જમીનની શોધ આદરી.

રૂપિયા-પૈસા માટે તો જે સાવ નજીકના મિત્રો હતા તેમની મદદ લીધી. એમાંથી દસ પંદર જણે પાંચસો પાંચસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપી દીધાં એટલે જમીનની શોધે ગતિ પકડી. કાંતિભાઈ કાલાણી, પદ્માબહેન વિઠ્ઠલાણી, કવિ અનિલ જોશી, પછી કાંતાબહેન, મધુસૂદનભાઈ ઠક્કર, ભક્તજ્યોતિ કોઠારી, જગદીશભાઇ મહેતા અને મીનળબહેન મહેતા, બાબુભાઇ રાઠોડ, (કદાચ કોઇ નામ બોલતાં એ ચૂકી ગયાં હોય એમ પણ બને) એ બધાંએ પાંચસોથી પંદરસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપ્યા.

પછી જમીનની વધારે સઘન શોધ, પત્રવ્યવહાર, ટ્રસ્ટડીડનું રજિસ્ટ્રેશન અને એ બધું ચાલ્યું. જમીન માટે તો એ લોકો છેક પાલીતાણાના શેત્રુંજ્ય સુધી પણ જઈ આવ્યાં. પહેલાં તો એમના મનમાં એમ હતું કે આમ ગુજરાતમાં રહેવું પણ મુંબઈની નજીક રહેવું. અને અને મુંબઈમાં વધુ મિત્રવર્તુળ, સંપર્કો હતા. એ રીતે નજીકની જમીન શોધવાનું સહેલું પડ્યું. એટલે ઉંમરગામથી શરૂઆત કરી હતી જમીનની. એ માટે બધા મિત્રોથી માંડીને દલાલોને પૂછતાં પણ હતાં. જાહેરખબરો પણ આપી હતી. એ વખતે તો એમને છથી આઠ દસ એકર જમીનની જ જરૂર હતી. એમાં આ વર્તમાન નંદિગ્રામ જ્યાં ઊભું છે તે ખાલી જમીનની ખબર પડી. દમણગંગાની આ જમીન આમ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થળાંતરિત થયેલા લોકોને વસાવવા માટે ફાળવી હતી. પણ કંઇ ઉપયોગ થયો નહોતો અને ફાજલ જ પડી રહેલી. આમ તો એમાં થોડા સ્થળાંતરિત લોકોને વસાવ્યા હતા પણ સંજોગો એવા થયા કે પછી વસાવવાના રહ્યા નહીં. મકાન પણ પડી રહ્યું હતું. જમીન પહેલાં ૩૩ એકર હતી પણ ગામ લોકોને જવા-આવવાનો રસ્તો કરવાનો હતો એટલે પછી એમાંથી ૪ એકર પાછી આપી દેવાની થઇ. ત્રણ વર્ષના પત્રવ્યવહાર પછી એમને આ જમીન સડસઠ હજારના ભાવે મળી. એ વખતે જમીન ખૂબ જ ખરાબ હતી અને આટલાં વર્ષોની મહેનત પછી હજી પણ ઊગતું નહોતું. સૌથી પહેલો કબજો એમને ૧૯૮૪માં મળ્યો. ત્યાર પછી ચોમાસું બેઠું એટલે એમાં વાવેતર પણ શરૂ કર્યું. પણ તે પહેલાં કૂવાનાં પાણીની પણ વ્યવસ્થા કરી. શરૂઆતમાં વાંસના ૨,૦૦૦ વૃક્ષો વાવ્યાં. ત્યાં તો આજુબાજુનાં ગામડાંઓવાળાનો વિરોધ ઊભો થયો અને ચણભણ પણ શરૂ કરી કે આ લોકો મુંબઈથી અહીં શું કરવા આવ્યા છે? શો છૂપો સ્વાર્થ છે એમનો ? એ વિષે અનેક અનુમાનો લોકોમાં ચાલ્યાં. એટલે કશા દેખીતા કારણ વગર જ એક જાતના બેઝિક વિરોધના પ્રદર્શનરૂપે એ લોકોએ એવાં વાવેલાં ઝાડવાં ઉખાડી નાંખ્યા, થોરની વાડ કરી હતી એ તોડી નાંખી, રોપા લઈ ગયા, કુન્દનિકાબહેનની એક છાપરી હતી એ પણ તોડી નખાઇ. લાકડાં એકઠાં કર્યા હતા તે પણ ઉપાડી ગયા. આ બધા અનુભવે બધાંને એવો વિચાર આવ્યો ફેન્સિંગ કરાવી લેવી જોઈએ. પણ આટલી મોટી વિશાળ જગ્યા ફરતી ફેન્સિંગ કરવા માટે લગભગ પચાસ હજાર જેવી રકમ જોઈએ. એટલા બધા રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા તો થાય તેમ ન હતી અને અહીંયા તો ઊભું રહેવાય એમ પણ ન હતું. આ લોકો ઝાડ નીચે ઊભા રહેતાં હતાં. કંઈક ખાવું-પીવું હોય તો ઝાડ નીચે લઈ આવતાં અને ઝાડ નીચે બેસીને ખાતાં. અહીં તો કઈં જ ન હતું. મકાનમાં મોટાં મોટાં બાકોરાં અને મોટી મોટી તિરાડો હતી. બાવળનાં ઝુંડ હતાં.

પણ પછી થોડી વધુ રકમ એકઠી થઇ. ૧૯૮૪ના ઑક્ટોબરમાં કુન્દનિકાબહેન અને બીજાં સહવાસીઓએ મકાન બાંધવાની શરૂઆત કરી. પણ કામ કરનારા માણસો એટલા બધાં આળસુ અને કામચોર કે માત્ર એક રૂમ અને એક ઓસરી બાંધવામાં એ લોકોએ એક આખું વર્ષ કાઢી નાખ્યું. ને એમ છેવટ ઑક્ટોબર ૧૯૮૫માં આ મકાન તૈયાર કરાયું. એ દરમિયાન જૂનું મકાન તોડી પડાયું. એ પછી ૧૯૮૬-૮૭માં બીજાં મકાનો તૈયાર થયાં. જરા પગ મૂકી શકીએ તો સારું લાગે એવી વ્યવસ્થા તો છેક ૧૯૮૬માં થઈ. એ પહેલાં તો અહીયાં માત્ર પગારદાર માણસો જ કામ કરતાં હતાં. એ વર્ષની ઑક્ટોબરની ૬ તારીખે થોડા મિત્રો સાથે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો. એ પછી ૧૯૮૭માં તો કુન્દનિકાબહેન અને સહવાસીઓ જેવાં કે બાબુભાઇ રાઠોડ, જગદીશભાઇ અને મીનાક્ષીબહેન મહેતા, કાંતાબહેન મહેતા અને બીજાં બે-ત્રણ મિત્રો કાયમી ધોરણે અહીં રહેવા આવી ગયાં અથવા પ્રસંગોપાત રહેતાં થયાં પણ ખરી. મુશ્કેલી એમને વીજળીની પડી, જે એમને અહીં રહેવા આવ્યા પછી છેક છ-આઠ મહિને મળી. પાણી માટે પહેલા બોરિંગમાં તો પાણી આવ્યું જ નહીં, બીજું બોરિંગ કર્યું ત્યારે પાણી આવ્યું. પણ ત્યાં તો એ ગામવાળાઓએ ફરી વંટોળની જેમ સુસવાટાભેર ધસી આવીને સંસ્થાનાં તમામ વૃક્ષો ઉખેડી નાખ્યાં અને બીજી અનેક તોડફોડ પણ કરી. પણ કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને સાથીઓએ હાર ન માની, ફરી મકાનોમાં બાંધવાનું શરૂ કર્યું, પણ એમાં પણ એમને બહુ જ આપદા પડી. કોન્ટ્રાક્ટર કોઈ દિવસ પૂરું કામ કરે નહીં. ગમે તેવો હલકો સામાન અને સામગ્રી બાંધકામમાં વાપરે. મજૂરો પણ આવે જ નહીં. અહીંના કામ કરનારા લોકોની એક ખાસ ખાસિયત જોવામાં આવી કે વાયદા આપીને પાળે નહીં. દિવસો સુધી એમની રાહ જોવી પડે. કુન્દનિકાબહેન અને ક્યારેક તો મકરંદભાઇ તો થોડો સમય વલસાડમાં રહ્યા. મિત્રો મુંબઈથી ક્યારેક ટ્રેનમાં આવતાં ક્યારેક બસમાં પણ આવતાં. સ્થાનિક અવરજવર રીક્ષામાં કરતાં. રહેવામાં પણ બહુ અગવડ ભોગવવી પડતી, ક્યારેક એ બધા પાંચ-છ જણ અહીં એક જ ઓરડામાં રહેતા અને એક ગોડાઉન જેવું હતું એમાં જમવાનું બનાવતાં. એક છાપરી હતી એમાં બધાં સાથે બેસીને જમતાં. ક્યારેક ઉપર ખપેડામાંથી વીંછી નીચે પડે. સાપ તો પહેલાં ઓસરીમાં ખુરશી પડી હોય તો આવીને બેઠા જ હોય. ઘણીવાર પગથિયાં પર બેઠા હોય. જીવડાંનો પાર નહીં, મચ્છરનો પાર નહીં. ૧૯૮૭થી અહીં વસવાટ શરૂ કર્યો હતો. એ પહેલાં મુંબઇથી આવ-જા કરતાં હતાં. ૧૯૮૭માં એકધારું લગભગ છ સાત મહિના રહ્યાં હતાં. જો કે મકરંદભાઈ તો કાયમી નિવાસ કરવાને બદલે મુંબઇથી અથવા વલસાડથી આવ-જા કરતા રહેતા હતા. 

નંદિગ્રામ નામ કેમ રાખ્યું ? જવાબ બહુ રસપ્રદ છે. કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને કવિ અનિલ જોશી અમદાવાદના ઘરના કમ્પાઉન્ડમાં એકવાર બેઠાં હતાં અને વિચારતાં હતાં કે શું નામ પાડીશું આ સંસ્થાનું ? એકાએક ત્રણમાંથી કોઇ એકના મનમાં ‘નંદિગ્રામ’ નામ ઝબક્યું. પછી એના ઉપર સાગમટે વિચારવિમર્શ કરતાં ગયાં તેમ એ નામનાં ઘણા બધાં સૂચિતાર્થો મળતા ગયા. એક તો એ કે નંદિગ્રામ એ જગ્યા છે કે જ્યાં રહીને ભરતે રામના વનવાસ દરમિયાન રાજ કર્યું હતું. એટલે એવો અર્થ મનમાં ઊગ્યો કે જેમ ભરતે રામ વતી રાજ કર્યું. તો આ કામ આપણે આપણાં સ્વાર્થ માટે નહીં પણ બીજાં માટે આદર્યું છે. ભરતે રામની પાદુકા ગાદી પર મૂકીને રાજ-કાજ અને પ્રજાહિતનાં કામ કર્યાં જેથી એને સતત એવો અહેસાસ દૃઢ થાય કે એ કોઈના વતી રાજ કરે છે. બાકી તેણે નથી ગામડાંમાં રાજ કર્યું, નથી કર્યું શહેરમાં. એણે તો રાજકાજ ચલાવતા રહીને પણ નંદિગ્રામમાં સતત રામની જ રાહ જોઈ. એ રીતે આપણે પણ અહીં કામ કરતાં કરતાં ‘રામ’ની જ રાહ જોવાની છે. બીજું એક સબળ કારણ એ વિચારણા હતી કે રાજ્યશક્તિ કે સંઘશક્તિ એ ગામડામાં કેન્દ્રિત થવી જોઈએ, નહીં કે શહેરમાં. ગામડાની પ્રતીતિ તો આપણને નંદિગ્રામમાં જ થાય. જેને પોતાની જાતને આધ્યાત્મને માર્ગે વાળવી હોય તો તેના મનમાં કે વર્તનમાં કોઇ પણ પ્રકારના કામના ઊંચાનીચાપણાનો ભેદ ન હોવો જોઈએ, એ આ નંદિગ્રામમાં જ બની શકે. જો ગ્રામ સમાજ માટે કઈં કલ્યાણકારી કરવાની વૃત્તિ હોય, એના સમાજજીવનના તંદુરસ્ત પોષણ માટે માટે કઈંક કરી છૂટવાની ભાવના હોય, અને સામૂહિક જીવન જીવતાં જીવતાં બીજા માટે થોડુંઘણું જતું કરવાની ભાવના હોય તે જ નંદિગ્રામનો નિવાસી હોય. પરસ્પર પરત્વે સહિષ્ણુતાની વૃત્તિ હોય તો જ એક નંદિગ્રામ એક કોમ્યુન બની રહે, નહિં તો સામાન્ય ચીલાચાલુ સંસ્થા. અહીં ઈન્ડસ્ટ્રિયઅલ વાતાવરણ નથી. વિજ્ઞાન છે પણ એ આધ્યાત્મને માર્ગે આગળ વધે છે. પ્રકૃતિ સાથે એ દિશામાં હોલિસ્ટિક માર્ગે આગળ વધવાના પ્રયોગો નંદિગ્રામમાં થાય છે.

(લેખકના Zen Opus પ્રકાશનગૃહ દ્વારા પ્રકાશિત થનારા અને ૩૭ જેટલાં શબ્દસાધકોના જીવનચિત્રો અને સંસ્મરણોના પુસ્તક ‘શબ્દનાં સગાં’માંના એક પ્રલંબ લેખનો એક અંશ)

બી-૩, જી.એફ. ૧૧, આકાંક્ષા ફ્લેટ્‌સ, ઇસનપુર રોડ, અમદાવાદ – 380 050

e.mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 09 – 11

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (26)

સુમન શાહ|Opinion - Opinion|18 February 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક -7 : સૅક્સ્યુઅલ ડિફરન્સ :

(આ લેખાંકમાં બધું ગુજરાતીમાં મૂકતાં મને ઠીક ઠીક તકલીફ પડી છે. કેમ કે મેં જોયું કે ઉત્તરોત્તર દરેક પ્રકરણમાં પૉન્તિ વધુ ને વધુ તર્કપૂત પદ્ધતિએ અને નિજી શૈલીમાં વિષયને ન્યાય આપી રહ્યા છે. એટલે આ લેખાંક અઘરો પડવા સંભવ છે. જો કે પ્રયત્ન પછી વાત પકડવામાં મુશ્કેલી નહીં પડે, એમ માનું છું.)

સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય ફર્કનો પૉન્તિ ખાસ કહી શકાય એવો કોઈ સિદ્ધાન્ત નથી આપતા.

પૉન્તિ ઍમ્બોડીડ સ્પિરિટની – શરીરની – બે લાક્ષણિકતા દર્શાવે છે : સ્પાશિયાલિટી અને મોટિલિટી. સ્પેસ અથવા અવકાશ અથવા જગ્યા સાથે જોડાયેલી કોઈ પણ બાબત તે સ્પાશિયાલિટી. અને એ જગ્યા લગી હું જે ગતિએ જે રીતે પ્હૉંચી જઉં તે મોટિલિટી. જેમ કે, મારા ખૉળામાં લૅપટૉપ હોય ને હું મારો જમણો હાથ બેત્રણ ફીટ જેટલે દૂર પડેલા સૅલફોન તરફ લંબાવું ને કળે કળે (કેમ કે નહિતર લૅપટોપ ઊલળી જાય) લંબાવતો લંબાવતો ફોનને પકડી લઉં, ત્યારે મારી આસપાસના એ બેત્રણ ફીટના અવકાશને વાપરું છું ને ત્યારે મારો હાથ અમુક ગતિએ ને અમુક રીતેભાતે આગળ ધપ્યો હોય છે.

આ દૃષ્ટિદોર અનુસાર, પૉન્તિ જણાવે છે કે આ લાક્ષણિકતાઓથી સ્ત્રીશરીર પણ મુક્ત નથી. એમનું તાત્પર્ય એ છે કે આ પરત્વે સ્ત્રી-પુરુષ ભેદ નથી.

પૉન્તિના, આ ઉપરાન્ત, સ્વ અને અન્ય વિશેના વિચારો – એ સૅલ્ફ ઍન્ડ ઍન અધર વિશેના વિચારો – જાણવા પણ જરૂરી છે. એને તેઓ સૅલ્ફ-અધરનેસ અથવા ઇન્ટરનલ-આલ્ટરિટી જેવી ભાવવાચક સંજ્ઞાઓ સુધી લઈ ગયા છે.

સમજવાનું એ છે કે સ્વનો અન્ય સાથે મુકાબલો મંડાય છે, ઍન્કાઉન્ટર, ત્યારે એમાં અન્યની વિશિષ્ટતા ભળે છે. એ મુકાબલામાં, સ્વ પોતાને માટે તેમ જ અન્યને માટે હોય છે પણ એ પ્રકારે એ બન્ને એકમેકનાં પ્રતિબિમ્બ રૂપે હોય છે. એને જરૂરી ફૉર્મ્સ કહી શકાતાં નથી. બન્ને વચ્ચેની ઘટનાને પૉન્તિ પ્રતીકાત્મક ગણે છે.

એ પણ નૉધપાત્ર છે કે પૉન્તિ પુરુષોને અને સ્ત્રીઓને માનવજાતના ‘કુલ સંવિભાગ’ રૂપે જુએ છે, ‘ટોટલ પાર્ટ્સ’ રૂપે. એમાં પ્રત્યેકની સમગ્રતા વ્યક્ત થતી હોય છે, પણ તે સમગ્રતા મનુષ્યવ્યક્તિની હોય છે. એટલું જ નહીં, એ સમગ્રતા એ વ્યક્તિના પોતાના જ પક્ષમાં હોય છે. સરવાળે બને છે એવું કે એથી અન્ય લિન્ગનો – સૅક્સનો – સંદર્ભ રચાય છે, જેમ કે, પુરુષથી સ્ત્રીનો અને સ્ત્રીથી પુરુષનો. આ સમજવું મુશ્કેલ નથી. સ્ત્રી કે પુરુષ એકમેક સમક્ષ રજૂ જરૂર થાય છે, જોડાય છે, પણ મનુષ્ય હોવાની હકીકતને વીસરી શકતાં નથી. એટલે, નથી તો સ્વની કે નથી તો અન્યની વૈયક્તિકતા રહેતી. હકીકતે રહે છે, તે છે, આન્તરવૈયક્તિકતા.

પૉન્તિ સરસ કલ્પન રજૂ કરે છે. કહે છે કે અલગાવ અને સાયુજ્ય વચ્ચે, એક અદૃશ્ય મિજાગરો હોય છે – દેખાય નહીં એ જાતનો. મિજાગરાનું આ કલ્પન દ્વૈત રજૂ કરે છે : સ્વ અને અન્યનું દ્વૈત, નર અને નારીનું દ્વૈત. એ બન્નેના સમ્બન્ધમાં માત્ર જો કંઈ હોય તો તે છે, ‘વચ્ચે’ નામનું અથવા ‘between’ નામનું મિજાગરું. કહે છે, એથી મારું અને અન્યોનું જીવન એકબીજાંમાં ખૂલતું ને બંધ થતું ભેળવાતું રહે છે. કહો કે એ છે, આન્તરવૈયક્તિકતાનું અંદરનું માળખું. એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય ફર્કની – સૅક્સ્યુઅલ ડિફરન્સની – કશી સ્પષ્ટ અને સર્વસામાન્ય વ્યાખ્યા થઈ શકતી નથી.

વિદ્વાનો કહે છે કે પૉન્તિએ સરજેલું આ કલ્પન પ્લેટોના ‘સિમ્પોઝિયમ’ની (189C–193d) યાદ આપે છે. તદનુસાર, એમાં, મનુષ્યોને બન્ને રૂપોથી સમ્મિલિત ગણવામાં આવ્યાં છે, નર-નારી એક જ અખિલ સ્વરૂપમાં. પણ દેવ ઝિયસે એ સ્વરૂપને છેદી નાખ્યું અને તે દિવસથી બન્ને વિભક્ત રૂપો એકબીજાં માટે ઝૂરતાં થઈ ગયાં છે. ભારતીય પરમ્પરામાં અર્ધનારીશ્વરની વિભાવના છે જ. સ્ત્રી પુરુષને ઝંખે છે અને પુરુષ સ્ત્રીને …

માંસ – ફ્લેશ – અને ઇન્દ્રિયજ્ઞાનની કુદરતી સંસ્થાપના વિશેની પૉન્તિની વિભાવનાઓ પણ સમજવા જેવી છે. તેઓ એમ દર્શાવે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેના ફર્ક વિશે ઝાઝું કહી શકાતું નથી, સિવાય કે એક નર છે અને એક નારી. નર-નારી પ્રયોગ બાયનરી છે એ પણ ખરું.

પૉન્તિ એક આખી વિકાસ-પ્રક્રિયા વર્ણવે છે : કહે છે કે બન્ને શરીર (સમ્ભોગ દરમ્યાન) સક્રિય  હોય છે – સૅક્સ્ડ – ક્યારેક તો રી-સૅક્સ્ડ, ત્યારે જાતીય ફર્કની સમજ બદલાતી રહે છે ને ક્રમશ: ભૂંસાઇ જાય છે. પૉન્તિ કહે છે કે માંસ – ફ્લેશ – ‘પ્રૅગ્નન્સી ઑફ પૉસિબિલિટીઝ' છે, એટલે કે માંસમાંથી નર કે માદા રૂપો પ્રગટે છે, અને તે એકમેકથી ફંટાઇને જુદા પડવાને કારણે હોય છે. ત્યારે એ રૂપો એકમેકની સરહદોને ક્રમે ક્રમે ઓળંગી ગયાં હોય છે. પૉન્તિ સૂચવે છે કે બન્ને જાતિ ‘અન્ય હોવાની શક્યતા’ ધરાવતી હોય છે.

ટૂંકમાં, રૂપો તો સરજાયાં હોય છે પણ તે આમ ઇન્ટરલૉકિન્ગ હોય છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જાતીય ફર્ક આન્તરવૈયક્તિક છે એમ કહીએ છીએ ત્યારે એમ સ્વીકારવું જોઈશે કે એ ઉક્ત વિકાસ-પ્રક્રિયાને આભારી છે.

તેમ છતાં, સૅક્સ્યુઅલ ડિફરન્સ વિશેના પૉન્તિના વિચારો વિદ્વાનો માટે ચર્ચાસ્પદ રહ્યા છે.

= = =

(February 17, 2022: Ahmedabad)

Pictures courtesy : Toolstation. Pinterest.

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મારાં પડોશીઓ

રેખા સિંધલ|Diaspora - Features|17 February 2022

બર્ફીલાં વાવાઝોડાંને કારણે ઘરની બહાર નીકળી શકાય તેમ ન હતું. હવામાનમાં અણધાર્યા પલટાને કારણે બે દિવસથી અમે ઘરમાં પૂરાયા હતા અને બીજા બે દિવસ સુધી નીકળી શકાય તેમ લાગતું ન હતું. ઈલેક્ટ્રીક પાવર ચાલુ હોવાથી ઘરની અંદરની દુનિયા યથાવત હતી. ફક્ત દૂધ ખલાસ થઈ ગયું હતું. રસ્તા પર ગાડી ચલાવવાનું જોખમ લેવા કરતાં દૂધ અને ચા વગર ચલાવી લેવું ઠીક લાગ્યું.

બીજી સવારે લગભગ નવ વાગ્યે પડોશમાં રહેતી સમેંથાનો ટેક્ષ્ટ મેસેજ આવ્યો કે તારા ઘરના દરવાજા પાસે દૂધનું ગેલેન મૂક્યું છે તે અંદર લઈ લેજે. અમે આ ઘરમાં રહેવા આવ્યાને હજુ અગિયાર મહિના થયા હતા, અને સમેંથાની ઓળખાણ તો ફક્ત છ મહિનાની જ હતી. વાવાઝોડાંને કારણે એણે અમારી ખબર પૂછવા ફોન કર્યો, ત્યારે મેં અમસ્તુ જ જણાવ્યું હતું કે દૂધ ન હોવાથી ચા બની શકી નથી. દર શુક્રવારે સવારે રોડસાઈડ પર મૂકેલા ગારબેજ કેન અને રીસાઈકલ ભંગારના ખાલી કેન ગરાજમાં પાછા મૂકવામાં અમે થોડા મોડા પડીએ તો સમેંથાના પતિ જોનાથને અમારા ગરાજ પાસે મૂકી જ દીધા હોય. આ અને આવા બીજા પ્રસંગોમાં સીનિયર સિટીજનને મદદ કરવાની ભાવના મુખ્ય જણાય. શ્રીમંત છતાં નમ્ર એવા આ પડોશીની વર્તણૂકથી એક વિશ્વાસ બંધાયો છે જે અમને હૂંફ પૂરી પાડે છે. અમારા ઘરની જમણી તરફ રહેતાં જેરેમી અને ક્રિસ્ટીની વાત પણ નિરાળી છે. ૨૫ વર્ષના સુખી દાંપત્યનું ફળ આ દંપતીનાં સંસ્કારી બાળકોમાં જોવા મળે. તેના પૂર્વજોના મૂળ ઇંગ્લેંડમાં. જેરેમીના મુખ પર હંમેશાં પ્રસન્નતા છલકાતી હોય. એકવાર મારે ત્યાં કેબલ રીપેર કરનાર સમય કરતાં વહેલો આવી ગયો. બારણુ ખૂલ્લું હતું પણ મને ઉપરના માળેથી નીચે આવતા વાર થઈ. નીચે આવીને મેં જોયું તો જેરેમી પણ તેની સાથે ઊભો હતો. કહેવા લાગ્યો, ‘બારણું ખૂલ્લુ હતું છતાં જવાબ ન મળવાથી અમને તારી ચિંતા થઈ.’ એક વાર થોડા મહિના મારે એકલા રહેવાનું થયું તે જાણી મને કહે, ‘તને વાંધો ન હોય તો તારી દીકરીના ફોન નંબર મને આપી રાખ, ક્યારેક જરૂર પડ્યે કામ લાગે.’ એની આટલી અમથી નાની વાત મને આ નવી જગ્યાએ હું એકલી નથી એવી મોટી હૂંફ આપી ગઈ. મિશનરી માતા-પિતા સાથે જેરેમીએ બાળપણનાં કેટલાંક વર્ષો ચીનમાં ગાળ્યા હતા. વિવિધ દેશોની વિવિધ સંસ્કૃતિ એ અમારા બંનેનો રસનો વિષય એટલે ફળીમાં ઊભા ઊભા વાતોમાં ક્યારેક કલાક નીકળી જાય.

અમેરિકન કલ્ચરની આવી જ એક વાતના સંદર્ભમાં મને જાણવા મળ્યું કે અમેરિકાના એક ભૂતપૂર્વ પ્રમુખની પુત્રી હા ઈસ્કૂલના વર્ષો દરમ્યાન જેરેમીની સહાધ્યાયી હતી. તેણે જોયું કે પ્રધાન પુત્રી હોવાને કારણે તેને વિશેષ મહત્ત્વ ન અપાય જાય એવી ચીવટ રાખવામાં આવતી હતી, કારણ કે પ્રગતિમાં બાધક એવા આ પરિબળની અસર પોતાના સંતાન પર થાય તેવું પ્રમુખ પોતે પણ ન ઈચ્છે. જેરેમી અહીંની સ્ટેટ યુનિવર્સિટીમાં ધર્મનું શિક્ષણ આપવાની સાથે સાથે નજીકના એક ચર્ચમાં નિયમિત માનદ્દ સેવાઓ પણ આપે છે. તેની પત્ની ક્રિસ્ટી પણ સ્વભાવે મળતાવડી! એની વાતોમાં મુખ્યત્વે ગૃહિણીના વિષયો હોય. એક વાર તેના ઘરના ઓવનમાંથી છૂટેલી પાઈની સુંગધનાં વખાણ મારા મોઢે સાંભળીને તરત અમારા માટે તાજી બનેલી પાઈના બે મોટા પીસ આપી ગઈ. દાઢમાં રહી જાય એવી સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી પાઈ મેં પહેલીવાર ચાખી, એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય. હાઈ સ્કૂલમાં ભણતા તેમના પુત્રો જેસ અને રાયનને સ્વાવલંબી થવાના પ્રથમ પાઠની શરૂઆત પડોશીઓના યાર્ડમાં ઘાસ કાપવાથી કરી, જેમાં મારા ઘરનો પણ સમાવેશ થાય છે. દીકરાએ ઘાસ બરાબર કાપ્યું કે નહીં તે ચેક કરવા જેરેમી કાયમ છેલ્લે આંટો મારી જાય. એકવાર એક ઝાડ ફરતે થોડું રહી ગયેલું. જેરેમીએ ત્યાં ઊભા રહી જેસને બૂમ પાડી, તે સાંભળી મેં કહ્યુ કે વાંઘો નહી જવા દે, ચાલશે તો કહે, ‘ના, આ ન ચલાવી લેવાય કામની ગુણવત્તા જાળવવાની તેને આ તાલિમ છે.’  જેસ સ્કોલર હોવા છતાં પણ કારકિર્દી વિશેના તેના વિચારોમાં સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય, તે મુખ્ય અને સાથે પૈસા કઈ રીતે બને તે બીજા ક્રમે હતું. નાની મોટી સામાજિક મૂંઝવણમાંથી માર્ગ કાઢવામાં જેરેમીનો પ્રામાણિક અભિપ્રાય અમને કેટલીકવાર ઉપયોગી થતો. તેની પાસેથી અમને અહીંની આસપાસની દુનિયાની જરૂરી માહિતી અને એલર્ટ મળી રહેતાં.

અમારી સામેના ઘરમાં રહેતો પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતો આરબ યુવાન સૈફ આઈ.ટી. પ્રોફેશનલ છે. તેની નવ વર્ષની પુત્રી લીલિયન થોડા વખતથી મારી પાસે નિયમિત ગણિત શીખવા આવે છે. એક દિવસ સૈફે મને પૂછ્યું કે, ‘તું શિક્ષક છે તો મારી પત્નીને ઇંગ્લિશ શીખવીશ?’ મેં કહ્યું, ‘મને અરેબિક નથી આવડતું, અને તારી વાઈફને ઇંગ્લિશ તો કઈ ભાષામાં શીખવું?’ થોડી દલીલોને અંતે એણે મને વિચાર કરવા મજબૂર કરી દીધી. મેં વિચાર કરવાનો સમય માંગ્યો તો કહે, ‘મને ખાતરી છે કે તું એને શીખવી શકીશ.’ એણે મૂકેલા વિશ્વાસે મને જીતી લીધી. આ માટે ચર્ચમાં પણ વર્ગો ચાલે છે, તેની તેને ખબર હતી પણ તેમાં રોજ લેવા-મૂકવાનો પ્રશ્ન હતો. તેની પત્નીને કાર ચલાવતા શીખવાનું હજુ બાકી હતું. એક નવો પ્રયોગ આ વિશ્વાસને આધારે શરૂ થયો. તેની સ્વરૂપવાન પત્ની આ કારણે અઠવાડિયામાં બે વાર મારે ત્યાં આવે ત્યારે અમારી વચ્ચે ભાષાની મુશ્કેલીને કારણે સર્જાતી કોમેડી થકી, ખડખડાટ હાસ્યના અજવાળા પાથરતી જાય. એકબીજાંની ભાષા સમજવામાં ગુગલ મહારાજ અમને સહાય કરતા રહે.

આ નવા ઘરમાં ગૃહપ્રવેશ વખતે જે પડોશીએ અમને સૌ પહેલા આવકાર્યા હતાં, તે અમેરિકન દંપતી મેથ્યૂ અને કૈલા મોટા ભાગે તેનાં ત્રણ બાળકો, ઘર અને નોકરી વચ્ચે દોડાદોડી કરતાં જોવા મળે. ફૂરસદના અભાવે કે સ્વભાવને કારણે તેઓ બહુ કોઈ સાથે ભળતા નહીં, પણ સ્મિતની આપ-લે હંમેશની.

ઈજીપ્તથી માઈગ્રેટ થયેલ પડોશી નાદિયાની દીકરી મિલી મારા ત્રણ વર્ષના પૌત્ર જેવડી. અમને આંગણામાં જુવે એટલે તરત રમવા માટે દોડતી આવે. નાદિયાનું ઇંગ્લિશ ભાગ્યું-તૂટ્યું પણ કામ ચાલી જાય. હમણાં વેકેશનમાં બે મહિના ઈજીપ્ત જઈ આવ્યા પછી, ત્યાંના પડોશીઓના પ્રેમને યાદ કરી અહીંના પડોશીઓ સાથે વધારે સંબંધ કેળવવાનો પ્રયત્ન કરતી હોય તેમ તેની વાતો પરથી જણાય. નાદિયા ચાર સંતાનોની માતા છે, અને દર રવિવારે સવારે નિયમિત તેના પતિ અને બાળકો સાથે ચર્ચમાં જતી જોવા મળે.

અમારા ઘરની એક માઈલના વિસ્તારમાં ચાર ગુજરાતી કુંટુંબો પણ રહે છે. સવાર-સાંજ ચાલવા નીકળીએ, ત્યારે કોઈ ક્યારેક આંગણામાં દેખાય તો એમની સાથે ઘડીક દેશનાં સંસ્મરણો વાગોડી લઈએ. સ્મિત આપવામાં આપણે ગુજરાતીઓ થોડા કંજૂસ, એટલે પરિચય સુધી પહોંચતાં વર્ષ નીકળી ગયું. એમાંના એક બળદેવભાઈ ઘણા પ્રેમાળ. તેમના કહેવા પ્રમાણે યુવાનીમાં તેમણે વડા પ્રધાન નરેંદ્ર મોદી સાથે એક ઓફીસમાં કેટલોક સમય સાથે કામ કરેલ. મોદી કચરો વાળે અને પોતે પોતું કરે તે દિવસોની વાતો કરે. મોદીના દિવસો ત્યારે ગરીબીના હતા અને ખાલી દાળભાત ખાઈને દિવસ કાઢતા, તે તેમણે નજરે જોયું છે, તેવી બીજી પણ કેટલીક વાતો આદરપૂર્વક કરે. દેશ પ્રત્યેનો એમનો પ્રેમ એમની વાતોમાં છલકે અને દેશસેવાની ઈચ્છા સેવતા હોય તેમ લાગે. અહીં જવાબદારી ઓછી થાય તો વર્ષના છ મહિના ગુર્જરીને ખોળે જઈને રહેવાની ઈચ્છા મમળાવે! બીજા એક ગુજરાતી પરિવારની નાનકડી બે પુત્રીઓ નાવ્યા અને દ્રશ્યાને મારામાં એના દાદીમા દેખાય એટલે એમનું વ્હાલ મને શીતળ પવનની સુરખી જેવું ક્યારેક ક્યારેક મળ્યા કરે! એના ડેડી-મમ્મી જોબ અને સ્ટડીમાં ખૂબ વ્યસ્ત તેથી વાતો ઓછી કરે પણ ગુજરાતી સમભાવની હૂંફ આપે તેવાં.

આમ ઘરબહાર લટાર મારવા નીકળીએ ત્યારે શેરી અને પડોશ થકી આ પ્રદેશ પોતાનો લાગે.

અમેરિકા આવ્યા બાદ લગભગ એક દાયકો અમે ભાડાના ઘરમાં રહેતા હતાં અને તે સમયે પડોશમાં કોણ રહે છે તે જાણવાની વૃતિ અને ફૂરસદ બંનેનો અભાવ હતો. એટલે ગુડમોર્નીંગ, ગુડઈવનીંગથી આગળ વાત ભાગ્યે જ થતી. અલગ અલગ દેશના અલગ અલગ લોકોના પહેરવેશ અને ચહેરાના નાક નકશાથી પરદેશની અને એટલે પારકી ધરતી પર છીએ તે અહેસાસ શરૂઆતમાં કાયમ રહેતો, એમાં કેટલાંક ભારતીય પણ ખરા. સૌ melting potમાં છીએ તેમ લાગે. એક દાયકા પછી મેસેચ્યૂસેટસ રાજ્ય છોડી ટેનેસી આવીને સ્થિર થયાં પછી ૨૧ વર્ષમાં ત્રણ ઘર બદલ્યા. ઘર-પડોશની વાત કરીએ ત્યારે પહેલા ઘરને ૧૦૫ (ઘરનો નંબર) કહીએ. બીજાને ૫૦૨૨ અને હાલના ઘરને ૪૧૬નું લેબલ આપોઆપ લાગી જાય.

૧૦૫ની પડોશમાં કેથી અને રેમંડ રહેવા આવ્યાં ત્યારથી અમેરિકન સંસ્કૃતિ વિશેનો ભ્રમ તૂટવાની શરૂઆત થઈ. મેં ત્યાં નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો ત્યારે પ્રીમા નામની દક્ષિણ કોરિયાની પડોશણે ચોકલેટના બોકસ સાથે પડોશી તરીકે મીઠો આવકાર આપેલ, તે રીતે આ મૂર (અટક) દંપતીને મેં પણ ચોકલેટી મફીન સાથે આવકાંર્યા. અમારા બંનેના ઘરની પાછળના ભાગમાં ઘાસનું મોટું મેદાન હતું, ત્યાં ખુરશીઓ નાંખી અમે અવારનવાર સાથે બેસી વાતો કરતાં. શરૂઆતમાં દેશ દુનિયાની અને હવામાનની વાતો થતી પણ જેમ જેમ મિત્રતા વધતી ગઈ તેમ તેમ ઘર, શાળા અને બાળકોની વાતો પણ થવા લાગી. આ કારણે અમેરિકન સમાજ જ નહીં પણ કેળવણી વિશે અને વ્યવસાય વિશે પણ હું અલગ દૃષ્ટિકોણથી વિચારતી થઈ. બાળકોને આપત્તિઓથી દૂર રાખવા કરતાં આપત્તિઓમાંથી કેમ માર્ગ કાઢવો, તે શીખવતી પશ્ચિમી સંસ્કૃતિ આપણા કરતાં એમના બાળકોને આથી જ કદાચ વધુ છૂટ આપી શકે છે. પાણીના પ્રવાહમાં બાળક ભૂલથી તણાઈને ડૂબી ન જાય તે માટે પૂર્વની સંસ્કૃતિ તેને પાણીથી દૂર રાખવાનો વિચાર પહેલાં કરે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરતા શીખવવાનો વિચાર પહેલાં કરે.

એકવાર વાતો વાતોમાં મેં એને કહ્યુ કે ‘મારી દીકરીને યુનિવર્સિટી કેંપસ પર રેસીડેંસ આસિસ્ટંટની જોબ મળે તેમ છે. અભ્યાસમાં બરાબર ધ્યાન નહીં અપાય તેની ચિંતાથી શું કરવું તેનો હું નિર્ણય નથી લઈ શકતી.’ ચિંતાની આ વાત જ નથી તે તેણે મને બહુ ટૂંકમાં સમજાવી દીધુ. એ કહે, ‘ પહેલી વાત તો એ છે કે તું ચિંતા કરે છે એવી શક્યતા ઈંટરવ્યુ દરમ્યાન લાગશે તો યુનિવર્સિટી તેને જોબ ઓફર જ નહીં કરે, અને બીજી વાત, એ કે ભવિષ્યમાં તેણે ફૂલટાઈમ નોકરી સાથે પરિવારની ફૂલટાઈમ સંભાળ લેવાની જ છે તો ભલેને એને અત્યારથી ટ્રેનીંગ મળે. અને સૌથી મુખ્ય વાત તો એ છે કે આ નિર્ણય તારી દીકરીએ લેવાનો છે, તારે નહીં. ક્યાં સુધી તારા નિર્ણય તું એની પર લાદીશ? મારી દીકરીએ એ વાતનું સમર્થન કર્યું હતું કે સિલેક્શનની પ્રોસેસ ઘણી અઘરી છે. જો રેમંડે મારી સાથે વાત ન કરી હોત, તો દીકરી માટે ગૌરવ લેવાને બદલે કદાચ જોબ કરવાની ‘હા-ના’નો વિવાદ અમારી મા-દીકરી વચ્ચે સર્જાઈ જાત. એકાદ વર્ષ બાદ મેં ઘરે ગણિતના વર્ગો શરૂ કર્યા, ત્યારે તેની દીકરી મેડલીન મારી સૌ પ્રથમ વિદ્યાર્થિની હતી. કર્ણોપકર્ણ જાહેરાતની શરૂઆત આ પડોશીથી થઈ હતી.

અમારી બદલી બીજા શહેરમાં થઈ ત્યારે ત્યાંના પડોશીઓમાંની એક આલ્બર્ટ આઈનસ્ટાઈનના ભાઈની પૌત્રી છે, તે ખબર મને એની ઓળખાણ થયા પછી એક વર્ષે પડી હતી. એ પણ બીજા પડોશી પાસેથી. Ms. Dana Pitts એનું નામ. વિશ્વભરમાં પ્રખ્યાત એવા વૈજ્ઞાનિક સાથે લોહીનો સંબંધ છતાં ગૌરવ પ્રદર્શીત કરવાની પણ ટેવ નહીં. સરળ સ્વભાવની ડાના અને હું બંને HOA(HomeOwner Association)ની કમિટીનાં સભ્યો હોવાથી મળવાનું થયા કરે. શિસ્તનો જે દૃઢ આગ્રહ પૂર્વીય સંસ્કૃતિ પ્રમાણે મારા માબાપ રાખતાં હતાં તેવી જ દૃઢતા અને સિદ્ધાન્તો વચ્ચે તે પણ ઊછરી હતી. એકબીજાંના પિતાની વાતો સાંભળીને અમને બંનેને નવાઈ લાગી હતી, એટલી સમાનતા પાયાનાં મૂલ્યોમાં જોવા મળી હતી. જેટલો રસ અહીંના લોકોને પૂર્વીય સંસ્કૃતિ વિશે જાણવામાં છે તેટલો કદાચ આપણને પશ્ચિમી સંસ્કૃતિ વિષે જાણવામાં નથી. આપણી કુંટુંબ ભાવનાની અને સંસ્કૃતિની પશ્ચિમના દેશોમાં કદર થાય છે, પણ આપણે જાણે-અજાણે માટે ભાગે પશ્ચિમી સંસ્કૃતિની ટીકા અથવા તો અવગણના કરતા રહીએ છીએ. બે સંસ્કૃતિઓ ભિન્ન હોય એનો અર્થ એવો નથી કે એક ખરાબ અને બીજી સારી છે.

બીજા એક પડોશી જિમ મરફીએ ક્રિશ્ચિયન ધર્મના ફેલાવા માટે ઇંડિયા સહિત દેશ-વિદેશમાં ફરીને ઘણા વ્યાખ્યાન આપ્યા છે, અને કેટલાં ય લોકોએ એ સાંભળી ધર્મપરિવર્તન કર્યુ છે. એના કહેવા પ્રમાણે કારણ એ છે કે એમાં એના અનુભવની સચ્ચાઈનો રણકો છે. એના જીવનપરિવર્તનની વાત એકવાર અમે પિકનીક દરમ્યાન સાથે લંચ લેતા હતા ત્યારે એણે કરી. સોબતની અસરથી કિશોરાવસ્થામાં તે દારૂ, ડ્રગ અને છોકરીઓમાં ફસાઈ ગયેલ. ધાર્મિક પ્રકૃતિના એના ડેડીની બધી સમજાવટ નિષ્ફળ ગઈ તેથી તેઓ નારાજ હતા. દિવસે દિવસે વણસતી જતી પરિસ્થિતિ પર કાબૂ લેવાની નિષ્ફળતાએ જિમને આત્મહત્યા કરવા પ્રેર્યો. એક સાંજે ડેડીની પિસ્તોલને તેણે લમણા પર મૂકી ટ્રીગર દબાવી. અવાજ સાંભળી તેના ડેડી દોડી આવ્યા. પિસ્તોલમાંથી થોડા કલાકો પહેલાં જ એમણે ગોળીઓ કાઢી લીધી હતી તેથી જિમ બચી ગયો. ડેડીને જોઈ જિમ ધૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો. તે દિવસે તેના પિતાની સમજાવટ પછી તેને ખાતરી થઈ કે જીસસ તેને બચાવવા માંગે છે. લોર્ડ જીસસના દર્શન તેને એ રાતે થયા. પ્રકાશથી તેની આંખો અંજાઈ ગઈ તેમ તેનું કહેવું હતું. આ ચમત્કાર પછી તેનું હ્રદય પરિવર્તન થયું. એના ડેડીએ તો માફી આપી જ પણ જિમે કરેલા દુષ્કૃત્યોના પાપનો ભાર પણ જીસસને નામે એના મનમાંથી દૂર કરી નવજીવનની શરૂઆત કરાવવામાં સફળ રહ્યા. એ પછી એ કાયમ માટે ભક્તિ તરફ વળી ગયો. કદાચ દારૂના નશા હેઠળ જીસસના દર્શન તેનો ભ્રમ હોય તો પણ તેનું જીવનપરિવર્તન તો સત્ય ઘટના જ હતી. તેની પત્ની ગ્લેંડાએ હાસ્ય સાથે એની વાતમાં સૂર પૂરાવ્યો હતો કે, ‘છેલ્લાં પચાસ વર્ષથી તો જિમે દારૂને હાથ અડાડ્યો નથી એની હું સાક્ષી છું.’ લોર્ડ જીસસના કેટલાક વચનો અને ગીતામાં કહેલા ભગવાન કૃષ્ણના વચનો વચ્ચે કેટલું સામ્ય છે તે જિમ સાથે વાત કરીએ ત્યારે જાણી અંચબો જાગે. જિમનો પરિવાર બહોળો છે પણ અહીંની પ્રથા પ્રમાણે તે અલગ રહે છે. અમારા પરિચય પછી ત્રણ વર્ષે તેની હાર્ટસર્જેરી થઈ ત્યારે આસપાસનાં પડોશીઓ અને ચર્ચે મળીને તેને જે ટેકો આપ્યો તે જોઈ આપણને પણ એના માટે ભલે થોડું પણ કંઈક કરી છૂટવાની ભાવના જાગે.

અમારા ઘરની પાછળના ભાગમાં રહેતાં કેથી અને વોલ્ટર બંને સ્વભાવે ખૂબ નિખાલસ અને પ્રમાણિક. અમે રહેવા ગયાં પછી ટૂંક સમયમાં કેથી સાથે મારી મૈત્રી વિકસી હતી. મારી દીકરીના લગ્ન માટે હું ગુજરાત આવવાની તૈયારી કરતી હતી, ત્યારે કેથીએ મારી દીકરીના જન્મથી માંડીને લગ્ન સુધીના ફોટામાંથી વર્ષોના ક્રમ પ્રમાણે એક સુંદર આલ્બમ તૈયાર કરીને ભેટમાં આપ્યું જેની મને આશા કે અપેક્ષા ન હતી. એક વખત હું ગુજરાતમાં હતી, ત્યારે અમારા ઘર નજીક વાવાઝોડું આવ્યું તે વખતે બધુ સલામત છે તેવી કેથીની ઈમેલ મને વાવાઝોડાંના સમાચાર પહેલાં જ મળી ગઈ. તેને મેં ક્યારે ય મારા ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું ન હોવા છતાં પડોશી ધર્મને અનુસરીને વર્ષો બાદ હજુ ય મને ફોનથી મારા આ ભાડે આપેલ ઘર વિષે વાકેફ કરતી રહે છે.

જાણીતા ગાયક નીતિન મૂકેશની પિત્રાઈ બહેનની દીકરી સુરભી મારી પડોશમાં રહેવા આવી, તેનું એક કારણ એ કે તેનાં બાળકોને હું ગણિત ભણાવતી હતી. જે અરસામાં મેં મારું ઘર ખરીદ્યું તે અરસામાં તેઓ એપાર્ટમેંટમાં રહેતા હતાં અને મકાન શોધતાં હતાં. બાળકોને મારે ત્યાં લેવાં-મૂકવાં આવતી વખતે મારા ઘરની સામેનો ખાલી પ્લોટ જોયો અને તેમને ગમી ગયો. અમે બારીમાંથી વાત કરી શકીએ તે માટે તેણે ઘર બંધાવ્યું ત્યારે રસોડામાં એક વધારે બારી ખાસ નખાવી. તેના પતિ પ્રતીક અને બાળકો રિયા તથા અમૃત પણ અમારી સાથે એટલા ભળી ગયાં કે ‘પહેલાં સગાં પડોશી’ યથાર્થ લાગે. કયારેક એ દંપતી બહારગામ જાય તો બાળકો રાત્રે મારે ત્યાં સૂઈ રહે. આ બાળકોની મીઠી વાતોએ અમને સભર બનાવ્યાં છે. બાજુના બીજા એક નવા બંધાયેલા ઘરમાં મિશેલ તેની મા જ્યૂડી સાથે રહેવા આવી, ત્યારે શિયાળો હતો અને બરફની વર્ષા શરૂ થઈ ચૂકી હતી. ખાસ્સા ચાર મહિના તો બાજુમાં કોણ રહેવાં આવ્યું છે, તે પણ અમને ખબર નહોતી. ક્રિસ્ટમસના તહેવાર દરમ્યાન એમનું કાર્ડ અમારા મેઈલ બોક્ષમાં પોસ્ટ ઓફીસની સ્ટેમ્પ સાથે આવેલ જોઈ નવાઈ લાગી હતી. સાવ અડોઅડ રહેતાં પડોશી નવા વર્ષની શુભેચ્છાઓ માટે કાર્ડ પોસ્ટથી મોકલે, તે વિચાર જ અમારા માટે નવો હતો. જો કે અમેરિકાના ધારા-ધોરણ પ્રમાણે રસ્તા પરના તાળા વગરના કોઈના મેઈલ બોક્ષને ખોલવું એ ગુનો ગણાય, એટલે બીજી ટપાલો સાથે પોસ્ટ કરવાનું એમને ઉચિત લાગ્યું હશે. શિયાળો પૂરો થયા બાદ એમને વારંવાર મળવાનું થવા લાગ્યુ તેથી વધુ નજીક આવ્યાં. ત્યાંથી મૂવ થયા પછી પણ વારે તહેવારે ફોનથી શુભેચ્છાઓની આપ-લે થયા કરે.

‘Good Friends should not discuss politics or religion’ (સારા મિત્રોએ રાજકારણ કે ધર્મની ચર્ચા ટાળવી જોઈએ). ૮૨ વર્ષના આર્થર કે જેનું હુલામણુ નામ ‘આર્ટ’ હતું તેણે જ્યારે ચૂંટણી વિષેની મારી વાતના જવાબમાં આમ કહ્યું ત્યારે હું તેની દીકરી જેવડી હોવા છતાં એમણે મને મિત્ર કહી, તે મને ખૂબ ગમ્યું. નવી જગ્યાએ અમારી બાજુના અપાર્ટમેંટમાં રહેતા મિ. આર્થર સાથેનો પરિચય ટૂંક સમયમાં જ ખૂબ ગાઢ થયો. જેના ઘરના દરવાજો ગમે તે સમયે ખખડાવી શકાય તેવા એરફોર્સના આ રિટાયર્ડ મેજરની પત્ની વિવિયન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરની બહાર નીકળતી, પણ ખૂબ પ્રેમાળ. મારા દોહિત્ર સાથે હું અવારનવાર એમને ત્યાં જતી. અમારી મૈત્રી ગાઢ થયા પછી તેણે લખેલ જે પુસ્તક મને ભેટ આપ્યું, તે વાંચી પ્રમુખ ઓબામાએ ૨૦૧૬માં તેને પત્ર લખી ધન્યવાદ આપ્યા હતા. આ પુસ્તકમાં તેનો કરુણ ભૂતકાળ છે. જેકોબ આર્થરનો જન્મ અને ઊછેર અમેરિકામાં થયો હોવા છતાં, બાર વર્ષની ઉંમરે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેને નાઝી માનીને જર્મનીની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં સાત વર્ષ તેણે યાતનાઓ ભોગવી. જગતના દરેક નાગરિકે જાણવા જેવા આ કિસ્સામાં તેના પિતા જર્મની હોવાથી અમેરિકન સરકારે તેને જર્મની (નાઝી) ગણી હદપાર કર્યો અને અને જર્મની લોકોએ અમેરિકન ગણી તરછોડ્યો હતો. બાળપણના કરુણ અનુભવો છતાં જન્મભૂમિને તેણે દિલથી ચાહી છે. તેને જેલમાંથી છોડાવનાર અમેરિકન દંપતીની સાર-સંભાળને કારણે એક ઉત્તમ નાગરિક બની શકનાર મિસ્ટર આર્થર જેકબની બાલ્કનીમાં અમેરિકન ફ્લેગ ફરફરતો મેં દરરોજ જોયો છે. એમની ઉંમરને માન આપી કેટલી ય વાર મેં એમને ગ્રોસરી, દવા કે સૂપ સેંડવીચ લાવી દેવા માટે મારી મદદ સ્વીકારવા વિનંતિ કરી છે, પણ નમ્રતાપૂર્વક એમણે ઢળતી ઉંમરે પણ જાત મહેનતને જ પ્રાધાન્ય આપ્યું છે. મક્કમતાથી એટલું જ કહે કે, ‘ના હજી તો મારાથી થઈ શકે છે, જરૂર પડશે તો કહીશ’. અમે ફરી ટેનેસી આવ્યાં ત્યાં સુધી આ વૃદ્ધ દંપતીને મારી મદદની કદી જરૂર પડી ન હતી. ચાર સંતાનોના એમના બહોળા પરિવારમાં પૌત્રો-પ્રપૌત્રો સાથે ન રહેતાં હોવા છતાં એમના ચહેરાની લાલી બનીને વિસ્તર્યાં છે. એમના ફોટાઓ બતાવી સૌનો પરિચય કરાવી ખુશ થાય. એક પૌત્રની પત્ની ભારતીય છે તેનું તેમને ગૌરવ છે.       

અમેરિકાની પચરંગી પ્રજાની સ્વીકાર ભાવના પરદેશથી આવેલાઓને સંર્વાગી વિકાસની તક પૂરી પાડે છે. પિયર છોડીને આવેલ દીકરી જે રીતે નવા ઘરને પોતાનું કરી પ્રેમનો વિસ્તાર કરે છે, તે રીતે સ્થાળાંતરવાસીઓની આ દેશ પ્રત્યેની પ્રેમભાવનાનો વિસ્તાર પણ થતો રહેશે, એવો વિશ્વાસ પડોશીઓના સાથેના સ્નેહાળ સબંધો થકી કેળવાય છે.

મરફ્રીસબરો, ટેનેસી, યુ.એસ.એ.

e.mail : rekhasindhal@gmail.com

પ્રગટ : “ગુર્જરી ડાયજેસ્ટ”, જાન્યુઆરી 2022; પૃ. 19 – 23

Loading

...102030...1,6281,6291,6301,631...1,6401,6501,660...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved