Opinion Magazine
Number of visits: 9570247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યમાં સ્ત્રી અને સ્ત્રીનું સાહિત્ય : સ્ત્રી સશક્તિકરણ

રવીન્દ્ર પારેખ|Opinion - Literature|27 January 2022

હવે સાહિત્ય, સૂઝે તેમ લખાય છે. સોશિયલ મીડિયામાં જે લખાય છે તેમાં સાહિત્ય શોધવું પડે એવી સ્થિતિ છે. સાહિત્ય વિષે ન જાણવું એ સોશિયલ મીડિયામાં લાયકાત ગણાય છે. અપવાદો બાદ કરતાં મોટે ભાગે તો એ લાઇક્સ અને કોમેન્ટ્સ માટે જ લખાય છે. એમાં પણ વખાણ જ અપેક્ષિત છે. કોઈએ સાચું કહ્યું ને તે પોતાની વિરુદ્ધ જતું લાગે તો તેની જાહેરમાં ધોલાઈ થાય એમ બને. એનો બચાવ કરનારની આખી ટોળકી હોય છે. એ ગ્રૂપ લખનાર કરતાં બધી રીતે અભણ હોય છે અને જે લખે છે તે જાણકાર હોય એવું ખાસ બનતું નથી, એટલે આ આખો વ્યાયામ બે અભણ વચ્ચેનું જ કુરુક્ષેત્ર બની રહે છે. એમાં લખનાર જો સ્ત્રી હોય તો તેની અમીદૃષ્ટિ પોતાનાં પર પડે એ રીતે તેની ભૂરી ભૂરી પ્રશંસા કોમેન્ટ્સ કરનાર કરતો રહે છે. એવું કોઈ લેખક લખે તો મોટે ભાગે મહિલા વાચકો કૈં કહેવાઈ ન જાય એનો ભારે સંયમ રાખે છે. એ સંયમ પણ જ્ઞાનનું પરિણામ જ હોય એવું જરૂરી નથી. ટૂંકમાં, જાણકારી વગર એકબીજાની પીઠ થાબડવાનો ઉદ્યમ કેળવવો હોય તો સોશિયલ મીડિયા ઉપયોગી માધ્યમ બની રહે તેમ છે. એમાં અપવાદો છે જ, પણ તે અપવાદોમાં જ રહે એ રીતે એ તરફ દુર્લક્ષ સેવાય છે.

પણ, જેને ખરેખર સાહિત્ય કહીએ છીએ, એમાં પણ અત્યારે તો દુકાળનું જ વાતાવરણ છે. લખાય છે ઓછું ને વિવેચાય તો છે એનાથી ય ઓછું ! એમાં પણ લખનાર અને વિવેચક વચ્ચે જાતિગત આભડછેટ પણ ક્યારેક જોવા મળે છે. જે કૈં થોડું વિવેચાય છે તેમાં મૈત્રીસંબંધો સચવાય છે. એમાં ય જો લેખિકા સામે હોય તો આરતી ઉતારવાની જ બાકી રહે છે. બીજો દુકાળ છે તે વિવેચન કરવામાં નિષ્ક્રિય રહેતી લેખિકાઓનો છે. સ્ત્રી વિવેચકો બહુ જ ઓછી સંખ્યામાં છે અને તેમાં ય સ્પષ્ટ મત આપવાનું તો ઓછું જ બને છે. આ સ્થિતિમાં સાહિત્યમાં સ્ત્રીનું નિરૂપણ કેવુંક થાય છે તે તપાસવાનું સરળ નથી. એ જ રીતે લેખિકાઓ ગુજરાતી સાહિત્યમાં નથી જ એવું નથી, પણ તે જે લખે છે તે સ્ત્રીને કેટલે અંશે પ્રગટ કરે છે તે પ્રશ્ન જ છે.

સોશિયલ મીડિયામાં કોઈ ધણીધોરી જ નથી, એટલે ત્યાં કોઈ ધારાધોરણનો સવાલ આવતો નથી, પણ કહેવાતાં સાહિત્યિક સામયિકોનાં ઉત્તમ તંત્રી અને સંપાદકો હવે હયાત નથી, કેટલાંક સામયિકો તો બંધ પણ પડ્યાં ને જે ચાલુ છે ને જેમના હાથમાં કારભાર છે એ પણ બહુ જાણતા નથી. એ ગુડવિલ પર ટક્યા છે. એ ગીતને ગઝલ તરીકે અને ગઝલને ગાન તરીકે છાપે છે અને વાચકોના પત્રોમાં પ્રશંસા પણ મેળવે છે. કેટલાક ખરેખર જાણકાર છે, પણ જાણકારી કરતાં તેમનો અહમ્‌ વધારે મોટો છે, છતાં કબૂલવું જોઈએ કે આંગળીને વેઢે ગણાય એવાં સામયિકો ને તંત્રી/સંપાદકો છે જે સુસજ્જ છે ત્યાં સામે કોઈ પણ હોય, મહિમા કૃતિનો જ થાય છે ને એ જ મોટું આશ્વાસન છે.

અહીં કોઈનું નામ દઈને વાત કરવી નથી. તે એટલે કે બેનાં નામ દઇએ ને બેનાં ના દઇએ તો મનદુ:ખ થવાનાં જોખમો છે ને એ વહોરવાની ઈચ્છા નથી. વિગતે વાત કરવાનો ઉપક્રમ પણ અહીં નથી. ઉપરોક્ત વિષય સંદર્ભે વિહંગાવલોકનનો જ હેતુ છે. મધ્યકાલીન સાહિત્યમાં પણ કવયિત્રીઓ ઓછી, પણ છે ખરી. અર્વાચીન સાહિત્યમાં નવલકથા કે વાર્તાનો વિચાર કરીએ તો સ્ત્રી પાત્રોનું નિરૂપણ થયું છે ને એમાં પણ પ્રતાપી સ્ત્રી પાત્રો નિરૂપાયાં છે એની ના નથી, પણ એ તેજસ્વીપણું ખરેખર તો યોગ્ય પુરુષ મળે એ માટે કે એવા જ તેજસ્વી પુરુષનું શરણું મળે એ માટે હોય છે. સ્ત્રીને તેનું આગવું વ્યક્તિત્વ હોય ને તે પરાવલંબી ન બનવા માટે હોય એવું લેખનમાં ઓછું જ થયું છે. લેખકોએ નિરૂપેલાં સ્ત્રી પાત્રોમાં સ્ત્રીત્વનો મહિમા ઓછો અને તેનાં રૂપનો મહિમા વધુ થયો છે. સ્ત્રી છે તેવી નહીં, પણ પોતાને અપેક્ષિત છે તેવી લેખકો દ્વારા નિરૂપાઈ છે. સ્ત્રી, સમાજમાં જ અલ્પ શિક્ષિત અને અબૂધ રહી છે તો દેખીતું છે કે સાહિત્યમાં પણ તે તેવી જ પ્રગટ થાય. એમાં ક્યાંક તેને શિક્ષિત કરવાના પ્રયત્નો થયા હોય તો તેમાં પણ તેનામાં શું ખૂટે છે તે બતાવવાનો કે તેનાં પર ઉપકાર કરવાનો ભાવ કેન્દ્રમાં છે. હળવી કૃતિમાં પણ સ્ત્રીમાં શું ખૂટે છે તેનું ભાન કરાવીને જ લેખકોએ વાચકોનું મનોરંજન કર્યું હોય એવા ઘણાં ઉદાહરણો મળી રહે એમ છે.

આપણી મોટા ભાગની નવલકથાઓ ધારાવાહી સ્વરૂપે લખાઈ છે ને એ લખતી વખતે વાચકોની ઉત્કંઠા વધી પડે એ રીતે પ્રકરણો સમેટાતાં હોય છે. આ કુતૂહલ વધારવામાં પણ, સ્ત્રી પર કેવી રીતે તવાઈ આવે એનું ધ્યાન પણ રખાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લેખકોએ સાહિત્યમાં જે સ્ત્રી નિરૂપી છે તેમાં સ્ત્રી એ નથી જે તે છે. વારુ, તેનો ઉત્કર્ષ બતાવવા જે પ્રયત્નો લેખકો દ્વારા થયા છે તેમાં નરવી ને ગરવી સ્ત્રી, અપવાદોમાં જ છે. ઘણું ખરું તો તે વરવી વધુ આલેખાઈ છે. તેનું લક્ષ્ય મોટે ભાગે તો પુરુષની પ્રાપ્તિનું કે પુરુષને સમર્પિત થવાનું વધુ રહ્યું છે. આજે એમાં ફેર પડ્યો છે ને લેખકોએ સ્ત્રીને સ્વતંત્ર નિર્ણયો લેતી ને પુરુષ વગર પોતાનાં લક્ષ્યાંકો પાર પાડતી નિરૂપી છે. એમાં આત્યંતિક્તા હોય તો પણ હવે સાચુકલી સ્ત્રી પ્રગટ થતી થઈ છે તે સ્વીકારવું પડે.

સ્ત્રીનું સાહિત્ય એમ કહેવાય છે ત્યારે સ્ત્રીઓ વડે લખાયેલું સાહિત્ય અને તેમના દ્વારા સ્ત્રીઓની કેવી રીતે વાત થઈ છે તે અભિપ્રેત છે. એ પણ ખરું કે લેખિકાઓ વધી છે ને સ્ત્રીઓની જે લાક્ષણિકતાઓ અપ્રગટ રહી હતી, તે હવે પ્રગટ થવા લાગી છે. તેનું સ્થૂળ કે સૂક્ષ્મ રીતે સમાજમાં શોષણ થતું રહ્યું ને એને લેખિકાઓ દ્વારા સ્પષ્ટ અને સોંસરી અભિવ્યક્તિ કેવી રીતે મળી તે તપાસવાનું જરૂરી છે. સ્ત્રીઓ દ્વારા પ્રગટતા સૂક્ષ્મ ભાવો અને સંવેદનોને લેખિકાઓએ અને થોડા લેખકોએ પણ, પક્ષકાર બન્યા વગર અભિવ્યક્તિ આપી જ છે એની ના પાડી શકાશે નહીં. મોટે ભાગની લેખિકાઓ તો લેખકોની અપેક્ષિત નાયિકાઓનો જ પડઘો પાડે છે, છતાં કેટલીક લેખિકાઓ સ્ત્રીને જ્યાં સાચી રીતે આલેખવા મથી છે, ત્યાં તે કોઈ ચળવળનો ભાગ હોવાનું ન બન્યું હોય તો સુભગ પરિણામો આવ્યાં પણ છે. ક્યારેક કોઈ ચળવળનો ભાગ બનવાનું નાયિકાઓએ આવ્યું છે, ત્યાં કલાકૃતિ હાથ લાગવાને બદલે પ્રચાર હાથ લાગ્યો છે ને એટલે અંશે એ કૃતિને વેઠવાનું પણ આવ્યું છે. એટલું થયું છે કે એવા પ્રચારમાં લેખકો બહુ પડ્યા નથી, ત્યાં સ્ત્રી જુદી રીતે ગ્લોરિફાઈ થઈ છે. એટલે સાચી સ્ત્રી તો ત્યાં પણ પ્રગટ થઈ નથી ને લેખિકાઓ જ્યારે સ્ત્રીની પ્રતિમા રજૂ કરવા મથી છે ત્યાં તેની રજૂઆત તારસ્વરે થઈ છે. સ્ત્રીને નાયિકા બનાવવા જતાં નાયકો વામણા ચીતરવા પડ્યા છે. આ બધું ઇરાદાપૂર્વક ન થયું હોય, તો પણ નાયકને મહાનાયક કરવા જતાં જેમ નાયિકા સંકોચવી પડી છે, એવું મહાનાયિકા સર્જવા જતાં નાયકને સંકોચવા જેવું પણ થયું છે.

આજના લેખક, લેખિકાઓમાં બે પ્રકારની નાયિકાઓ જોવા મળે છે. એક ગામડાંની છે ને બીજી શહેરી જીવન આત્મસાત કરીને બેઠી છે. ગામડાંની નાયિકાઓ આજે પણ શોષણનો ભોગ બનતી બતાવાઈ છે. એમાં થોડો ફેર એ પડ્યો છે કે કૃતિને અંતે તે માથું ફેરવીને શોષણનો વિરોધ કરે છે ને પુરુષ અને સમાજને એ ભાન કરાવે છે કે શોષણ કોઈનું પણ, કોઈ પણ સમયે અક્ષમ્ય છે. ત્યાં દહેજ, અસ્પૃશ્યતા જેવા મુદ્દા કવિતા, વાર્તા કે નવલકથામાં પડઘાતા જોવા મળે છે. એમાં પણ લેખક અને લેખિકા દ્વારા થતું સ્ત્રીનું નિરૂપણ જાણ્યે અજાણ્યે કેટલોક ભેદ તો કરે જ છે.

શહેરી નાયિકાઓનાં નિરૂપણમાં એકંદરે ઠીક ઠીક જાગૃતિ આવી છે. લેખિકાઓ કે લેખકો સ્ત્રીઓની સમસ્યાઓનાં વિવિધ પાસાંઓને ધ્યાને લઈને તેને સાહિત્ય કૃતિઓમાં આલેખવામાં આવે છે એને કારણે  દહેજ, બળાત્કાર, મિલકતમાં હક, કેરિયરની સભાનતા જેવી ઘણી બાબતો સાહિત્યમાં સ્થાન પામતી થઈ છે. એમાં પણ ઉપરી અધિકારીઓ દ્વારા થતું શોષણ, તેની અનેક છાયાઓ સાથે કૃતિમાં સ્થાન પામતું રહ્યું છે, એ જુદી વાત છે કે તેમાં તાટસ્થ્ય ક્યારેક લેખક કે લેખિકા હોવાને કારણે જોખમાયું હોય. એ જે હોય તે, પણ ઘણાં લેખકો, લેખિકાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં પોતીકી વાત લઈને આવ્યાં છે ને એમણે એક અંધારા ખૂણાને ઉજાગર કર્યો છે. એ સંદર્ભે થોડી સંતોષની લાગણી પ્રગટ કરી શકાય એમ છે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (22)

સુમન શાહ|Opinion - Opinion|27 January 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક -૩ :  બૅડ ફેઇથ :

= = = અમથાલાલને ખબર હોય કે પોતે એક સામાન્ય અમદાવાદી છે પણ મજનૂના જમાનાનો હોય એમ અનેક સ્ત્રીઓ આગળ પોતાને મહા મોટા લવર તરીકે ઠઠાડે છે ને બધો વખત સૌ સામે જાતને એમ જ ખપાવતો ફરે છે = = =

‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-માં સાર્ત્રે મનુષ્ય-વ્યક્તિને મળેલી અપારની અબાધિત સ્વતન્ત્રતાનો ખૂબ જ પક્ષ લીધો છે – કહો કે, વકીલાત કરી છે.

એ સ્વતન્ત્રતાની કવાયતે કરીને માણસ પોતાના જીવનની ભૂમિકા ઘડે છે. એટલે, દાખલા તરીકે અમથાલાલ, બીજાંઓના આધાર વિના પોતાનું અસ્તિત્વ સરજી શકે છે. અમથાલાલની એવી આત્મસર્જકતાને ઈશ્વરની સર્જકતા સાથે સરખાવી શકાય; જો કે સાર્ત્ર ઈશ્વરમાં ન્હૉતા માનતા.

પરન્તુ સાર્ત્ર એ જ મુદ્દો વિકસાવે છે અને કહે છે કે માણસ સ્વતન્ત્ર છે તેથી પોતાની પસંદગીઓ પ્રમાણે વર્તી શકે છે. પોતાને પસંદ પડે એ સ્વીકારે, ન પણ સ્વીકારે, ‘હા’ પાડે, ‘ના’ પણ પાડે. એમ પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજવાની એની પાસે વિધ વિધની શક્યતાઓ હોય છે. માણસ નામે સ્વતન્ત્ર અમથાલાલ સકારાત્મક અને નકારાત્મક ઘણું ઘણું અને જાતભાતનું વિચારી શકે છે, બોલી શકે છે, કરી શકે છે.

પરન્તુ જો માણસને ગડ બેસે કે પોતાની અંદર શૂન્યતા છે, તો એ હાંફળોફાંફળો થઈ જાય છે ને ઍન્ગ્વીશ અનુભવે છે. ઍન્ગ્વીશ એટલે મનોયાતના; દેસીમાં કહું કે જીવને થતો, કઢાપો.

એવી પીડા વખતે, માણસથી અપારની પેલી સ્વતન્ત્રતા વેઠાતી નથી. સ્વતન્ત્ર છું એ હકીકત એનાથી સ્હૅવાતી નથી. અને ઍન્ગ્વિશથી છૂટવા માણસ બૅડ ફેઇથનો, આશરો કરી લે છે. જાતને છેતરવાનું અને છાવરવાનું શરૂ કરી દે છે. માણસમાત્ર, અમથાલાલ કે આપણામાંનો કોઈ પણ લાલ કે લાલી પોતાની જાતને અવારનવાર છેતરે છે.

કેટલા ય લોકો પોતાની જાતને ઠસાવતા હોય છે કે – પોતાનામાં નિર્ણયો લેવાની શક્તિ નથી. કોઈ પસંદગી પર પ્હૉંચીને તેને સાર્થક કરવાનું પોતામાં બળ નથી. એવાં સ્ત્રી કે પુરુષે પસંદગીને માટેનું સ્વાતન્ત્ર્ય ગુમાવ્યું હોય છે. આ બૅડ ફેઇથ છે, વંચના, આત્મવંચના. સાર્ત્ર એને mauvaise foi કહે છે.

આપણે જોઈએ છીએ કે પુરુષો પ્રેમમાં તો પડી જાય છે, પણ પછી બૅડ ફેઈથ આચરીને ‘હા’ કે ‘ના’ નથી કહેતા. વચ્ચેની દશામાં પડ્યા રહે છે. સમ્બન્ધનું ભવિષ્ય લટકતું થઈ જાય છે. અને ’હા’ કહે ત્યારે કે ‘ના’ કહે ત્યારે બહુ મૉડું થઈ ગયું હોય છે. સામી સ્ત્રી દારુણ પરિતાપનો ભોગ બની હોય છે. બૅડ ફેઇથને કારણે કેટલીયે છોકરીઓ લગ્ન પૂર્વેના જાતીય વ્યવહાર માટે કે અનિચ્છનીય ચેષ્ટાઓ માટે ‘ના’ પાડવાની હિમ્મત નથી કરી શકતી, અવઢવમાં રહે છે, અથવા જે થાય તે થવા દે છે …

બીજું એ કે આ બધાં જનો યોગ્ય પસંદગી તો નથી જ કરી શકતાં પરન્તુ એમને માટે બીજાંઓએ કરેલી પસંદગી અનુસાર ગોઠવાઈ જાય છે અને જેવું જિવાય એવું જીવવા માંડે છે. ભારતીય પરમ્પરાગત લગ્નોમાં, પહેલાં, માબાપ કે મામામાસી નક્કી કરે કે કયો મૂરતિયો વર થવાને અથવા કઈ કન્યા વધૂ થવાને લાયક છે. લાકડે માંકડું જોડાતું લાગે તો કહે કે વખત જતાં ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પણ સામસામાં વાસણ જ ન ધરાયાં હોય તો ઘી ક્યાં ઢળે? લગ્ન જેવી સાવ જ વ્યક્તિગત બાબતમાં પરિવારગત કે સમાજગત આ દખલગીરી એક અર્થમાં દમ્ભ છે, એક સુદૃઢ અને સમાજવ્યાપ્ત વંચના છે. 

વંચનાને વરેલાં જનો માટે સાર્ત્ર બે ઉદાહરણ આપે છે. એક છે, વેઇટરનું ઉદાહરણ; મારા શબ્દોમાં :

એક વેઇટર વેઇટરે કરવાનાં તમામ કામ ઉત્તમ રીતે કરતો હોય, આપણને પૂરી ખાતરી થાય કે સરસ. આમ તો, સારું કહેવાય. પણ સાર્ત્ર એ માણસને ‘પ્લે-ઍક્ટિન્ગ ઍટ અ વેઇટર’ કહે છે. એ એમને એક યન્ત્ર – ઑટોમેશન – લાગે છે, જેણે વેઇટર હોવાના સત્ત્વને બસ ટકાવી રાખ્યું છે. સાર્ત્ર એની એ વર્તણૂકને અતિશયિત ગણે છે. કહે છે કે એના જેવી વ્યક્તિઓ પસંદગીથી સરજાતા સંભવિત જોખમોને કે દાયિત્વોને કલ્પી શકતી નથી.

મને વિચાર આવે કે સાર્ત્રના આ વેઇટરને એમ તો થવું જોઈએ ને કે પોતે વકીલ થઈ શક્યો હોત ! એ જુદી વાત છે કે ડીગ્રી માટે મહેનત કરવી પડત એ મુદ્દે એ ડરી ગયો હોય. પણ એણે કદી વિચાર્યું નહીં કે એ પસંદગી એની કારકિર્દીમાં ખુલ્લી પડી હતી.

સાર્ત્ર સૂચવે છે કે કોઇ એક સમયે તો એને લાગવું જોઈએ ને કે પોતે હકીકતે વેઇટર નથી, બલકે એક એવો સભાન મનુષ્ય છે, જે પોતાને વેઇટર ગણીને છેતરી રહ્યો છે.

સાર્ત્રે આપેલું બીજું ઉદાહરણ, મારા શબ્દોમાં :

એક યુવતી ડેટ પર ગઈ હોય છે – ધ ફર્સ્ટ ડેટ પર. યુવક યુવતીના શરીરની પ્રશંસા કરે છે. યુવતી પ્રશંસા પાછળના જાતીય સંકેતને પામી જાય છે, પણ ગનેહને કરે છે. ઊલટું, જાણીસમજીને પોતાની જાતને પેલાએ કરેલી પ્રશંસા અનુસાર ઠીક ઠીક દોરવે છે – પેલો એનો હાથ પકડે છે તો નથી તરછોડતી કે નથી પેલાનો હાથ પોતે પકડતી. પોતાના હાથને અમસ્તો પેલાના હાથમાં ઢીલોઢાલો – લિમ્પી – પડી રહેવા દે છે. કેમ કે, પેલો આગળની છેડછાડ કરે તો શું કરવું એનો એને સમય મળી જાય. યુવતી સ્વીકાર અને અસ્વીકાર વચ્ચે પોતાની ઇચ્છાને સંતાડી રાખે છે.

Pic courtesy : Pixabay

વાત એમ છે કે પેલાની પ્રશંસાને એ પોતાના શરીર સાથે જોડતી નથી, પણ પોતાના હાથને એક વસ્તુ – ઑબ્જેક્ટ – રૂપે વાપરે છે. અને હાથ તો માધ્યમ – આખું શરીર જ વળી ! એમ કરીને પસંદગીને માટેના પોતાના સ્વાતન્ત્ર્યની અવગણના કરે છે, જાતને છેતરે છે.

આપણે જોઈએ છીએ કે અનેક પુરુષો સ્ત્રીઓને પટાવે ત્યારે જાતને પણ પટાવતા હોય છે. અમથાલાલને ખબર હોય કે પોતે એક સામાન્ય અમદાવાદી છે પણ મજનૂના જમાનાનો હોય એમ અનેક સ્ત્રીઓ આગળ પોતાને મહા મોટા લવર તરીકે ઠઠાડે છે ને બધો વખત સૌ સામે જાતને એમ જ ખપાવતો ફરે છે. કોઈ કોઈ સ્ત્રીઓ પણ પુરુષને લલચાવે, બનાવટ કરે, છેતરે, ત્યારે તેઓ પણ જાતને છેતરતી હોય છે. એવી સ્ત્રીએ કશા ડરને કારણે એક પ્રિયા, એક સન્મિત્ર, એક સન્નારી કે એક પત્ની થઈને જીવવાના વિકલ્પને છાવર્યો હોય છે.

સાર્ત્ર એમ દર્શાવે છે કે લોકો ભલે જાતને ઠસાવે કે પોતા પાસે પસંદગીનું સ્વાતન્ત્ર્ય નથી, પરન્તુ તેઓ જાતને એમ નહીં જ કહી શકે કે પોતે સભાન મનુષ્યો નથી. સભાન મનુષ્ય-નો અર્થ એ કે એને પોતાનાં ધંધાકીય કાર્યો સાથે કે વ્યવહારુ તાકીદો સાથે કે અરે, કશાં મૂલ્યો સાથે પણ ખાસ કશી લેવાદેવા હોતી નથી.

જુઓ, આત્મવંચનાનાં રૂપો બદલાતાં રહે છે. સાર્ત્ર એક રૂપ માટે રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનમાં વપરાતી ‘metastability’ સંજ્ઞા પ્રયોજે છે. ઉર્જાની એ એક વચગાળાની સ્થિતિ છે. દાખલા તરીકે, એક ઢોળાવ પર બૉલ અમુક જગ્યાએ હૉલોમાં – દરમાં – અટકી પડ્યો હોય, એને જો જરાક જ ધકેલવામાં આવે તો દરમાં ગોઠવાઈ જશે, પરન્તુ એને જો થોડા દબાણથી ધકેલવામાં આવે તો બૉલ ગગડીને ઢોળાવને તળિયે જતો રહેશે.

વાતને અટકતી કે લટકતી રાખનારાઓ એ જ કરતા હોય છે. જેમ કે, જૂઠ આચરવું કે બોલવું એક સ્વરૂપની આત્મવંચના છે. જૂઠડાને ખબર હોય છે કે સાચું શું છે, પણ પોતાની વાણી વડે સાચને દબાવી રાખે છે, લટકતું રાખે છે. જૂઠના આચરણ વખતે બે જણનું હોવું જરૂરી છે – એક તો જૂઠડો પોતે અને એને જોનારો કે સાંભળનારો એક બીજો. એક જૂઠ બોલે છે, બીજો સાંભળે છે.

સમજો, એ છે અણગમતા સાચને છુપાવવાનો કે સાચને ગમતીલા જૂઠ રૂપે ઠસાવવાનો રૂડો એવો પ્રયાસ !

સાર્ત્ર એટલે સુધી કહે છે કે જૂઠ આચરનાર અને એને ચલાવી લેનાર બન્ને, જોવા જઈએ તો, એક જ છે !

આમ, સ્ત્રી કે પુરુષ પસંદગીઓ માટેની પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજે નહીં અને બધું દમ્ભ, બનાવટ કે જૂઠાણાં આચરીને ચલાવે, તો દેખીતું છે કે સમ્બન્ધો લૂઝ થઈ જશે ને કો’ક દિવસે તૂટી જ જશે.

વાતને સાર એ છે કે જાતીય વ્યવહારોમાં – સૅકસ્યુઅલ રીલેશન્સમાં – કશું અદ્ધરતાલ ન રખાય – ‘હા’ તો ‘હા’, ‘ના’ તો ‘ના’ !

= = =

(January 27, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કમાલ ખાનની નજરે અયોધ્યા …

કિરણ કાપુરે|Opinion - Opinion|27 January 2022

કમાલ ખાનનું 14 જાન્યુઆરીના રોજ અવસાન થયું. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી એન.ડી.ટી.વી. માટે રીપોર્ટિંગ કરતા રહ્યા. કમાલની રીપોર્ટિંગનો વિષય, ભાષા, બોલવાની શૈલી તેમાં આવતાં સાહિત્યિક સંદર્ભથી કમાલનું રીપોર્ટિંગ ભર્યુંભર્યું રહેતું. કેટલાક વિષયને કમાલ ખાને એ રીતે સ્પર્શ્યા કે તે પત્રકારત્વની મિસાલ બની રહેશે, તેમાં એક અયોધ્યા છે. કમાલ ખાને અયોધ્યાનું સમયાંતરે રીપોર્ટિંગ કર્યું. અયોધ્યાની છેલ્લાં વર્ષોમાં જે છબિ છે તેનાથી અલગ અયોધ્યા કમાલ તેમના રીપોર્ટિંગમાં બતાવી શક્યા છે. કમાલદૃષ્ટિથી અયોધ્યા જો આપણે સૌ જોઈ શકીએ તો અયોધ્યા વિવાદનો પણ અંત આવી જાય.

2018માં 8 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થયેલો તેમનો રિપોર્ટ : ‘અયોધ્યા : મર્મ કોઈ નહીં જાના’. આ રિપોર્ટની શરૂઆત કમાલ ખાન ગોસ્વામી તુલસીદાસ લિખિત રામચરિતમાનસની એક ચૌપાઈ ટાંકીને કરે છે : ‘રામ રાજ બૈઠે ત્રૈલોકા, હરષિત ભએ ગએ સબ સોકા. બયરુ ન કર કાહૂ સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ’ આનો ભાવાર્થ પછી કમાલ કહે છે : “રામ અયોધ્યા કે રાજા બને તો તીનોં લોક ખુશ હો ગયા. દુશ્મની દોસ્તી મેં બદલ ગએ. ભેદભાવ મીટ ગયે.” રાજકીય નેતાઓએ અયોધ્યાની ઓળખ દ્વંદ કરવાના સ્થળ તરીકેની બનાવી દીધી છે, પણ કમાલ ખાન કહે છે કે, “અયોધ્યા કા મતલબ હૈ જિસકે સાથ યુદ્ધ ન કિયા જા સકે, લેકિન અયોધ્યા હંમેશાં યુદ્ધ મેં નજર આતી હૈ. અયોધ્યા કા નામ આતે હી જહન મેં એક તસવીર ઉભરતી હૈ. ઉન્માદ મેં ગુંબદો પર સવાર કારસેવક, લહરાતે ભગવે ઝંડે ઔર સડકો પર જય શ્રી રામ કે યુદ્ધઘોષ કરતા હૂજુમ. લેકિન અયોધ્યા ઐસી નહીં. યે અયોધ્યા કી કિસ એક દિન કી તસવીર હો સકતી હૈ. લેકિન અયોધ્યા કે સારે દિન ઐસે નહીં હોતે હૈ. હાલાંકી, અયોધ્યા વૈસી ભી નહીં હૈ જૈસા રામચરિતમાનસ કે ઉત્તરકાન્ડ મેં તુલસીદાસજી બતાતે હૈ. લેકિન ત્રેતા કે રામ કા કુછ અસર કલિયુગ મેં ભી અયોધ્યા પર હોતા હી હોગા. ભલે હીં અયોધ્યા કા મજબહી નફરતોં કા બહોત પ્રચાર હો, લેકિન સચ બાત તો યે હૈ કી અયોધ્યા કી દિલ મેં તમામ મઝહબો કે લિએ બેઇંતહા જગહ હૈ.”

કમાલના શબ્દોમાં ઉતરેલી આ અયોધ્યા એમ કંઈ સહજતાથી આવતી નથી. તે માટે તેમના જ સહયોગી પત્રકાર રવિશકુમાર લખે છે : “હવે કોઈ બીજો કમાલ ખાન નહીં થાય. કારણ કે જે પ્રક્રિયામાંથી તે પસાર થઈને કમાલ ખાન બને છે તેના પુનરાવર્તનની નૈતિક શક્તિ દેશે ગુમાવી દીધી છે. આ માટીમાં હવે એટલાં કમજોર લોકો છે કે તેમની કરોડરજ્જુમાં એવો દમ નથી કે તેઓ પોતાની સંસ્થામાં કમાલ ખાન પેદા કરી શકે. નહીંતર કમાલ ખાનની ભાષા પર દરેક ચેનલ જે રીતે પ્રશંસા કરવામાં આવતી તો તે ચેનલમાં કોઈ કમાલ ખાન જરૂર હોત.” કમાલ ખાન અને રવિશકુમાર જે રીતે હિંદીમાં લખે છે તેનો અનુવાદ કરવાથી તેની તીવ્રતા મારી જાય છે એટલે ઘણી વખત આવા લેખમાં તેમની ભાષા જસની તસ ગુજરાતી લિપિમાં લખવાનું વધુ યોગ્ય લાગે છે.

રવિશે કહ્યું તેમ એક પ્રક્રિયામાંથી પસાર થઈને કમાલ બને છે, અને આ પ્રક્રિયા તેમના અયોધ્યાના રિપોર્ટીંગમાં જોઈ શકાય છે. આગળ તેમના અયોધ્યાના રિપોર્ટના વીડિયોમાં એક એવું અયોધ્યા કમાલ દર્શાવી રહ્યા છે જ્યાં જનજીવન સામાન્ય છે, બજાર ધમધમી રહ્યાં છે, માર્ગ પર વાહનવ્યવહાર અન્ય શહેરોની જેમ છે, મંદિરોની ચહલપહલ સામાન્ય છે. અયોધ્યા વિશે ય કશું ય અસામાન્ય દાખવવાનો કમાલ પ્રયાસ નથી કર્યો. આવું અયોધ્યા દાખવીને ફરી કમાલ તેમની અદામાં કેમેરા સામે આવે છે. કેમેરામાં તેમની ફ્રેમમાં પાછળ રામની મોટી મૂર્તિ છે. કમાલ તેમના પીસ ટુ કેમેરા[પીટુસી]માં કહે છે : “ગોસ્વામી તુલસીદાસ ને રામરાજ કા ઝિક્ર કરતે હુએ લિખા હૈ, સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. રામ કે રાજ મૈં હરકોઈ એક દૂસરે સે પ્રેમ કરતા થા. હર કોઈ અપને – અપને ધર્મ કા પાલન કરતા થા. અયોધ્યા કે મુસલમાન મુન્નુમિંયા કે અંદર કલિયુગ મેં ભી ઉસકે બહોંત સે અંશ થે, જો યહા સુંદરભવન કે અંદર મંદિર કે મેનેજર થે ઔર મંદિર મૈં ભગવાન કે ભોજ, ઉનકે વસ્ત્ર ઔર આરતી કા પ્રબંધ કરતે થે.” તે પછી કમાલ ખાન મુન્નુમિંયા કેવી રીતે આ મંદિરના મેનેજર બન્યા તેની પૂરી કહાની બયાં કરે છે. મુન્નુમિયાં સ્ક્રીન પર નમાઝ પઢે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં કમાલ કહે છે : “અયોધ્યા કે મુસલમાન મુન્નુમિંયા સન 1949 મેં સુંદરભવન મંદિર કે મેનેજર બને. અપને મજહબ કો માનતે, પાંચ વક્ત નમાઝ પઢતે, લેકિન આઠ પહોર બુતોં [મૂર્તિપૂજકો] કી સોબત મેં રહતે. પેદા ઉસ મજહબ મેં હુએ જહાં બુતપરસ્તી મનાં થી, લેકિન ઉન્હેં રોજી બુતોં સે હી મિલતી. ઔર જાહિર હૈ કી યે રોઝી ભી તો ખુદાને હી દી થી. વો અપની ઇબાદતોં મેં ખુદા સે દુઆ માંગતે હૈ કી તું રોઝી દેનેવાલા હૈ તુ રોઝી કો કાયમ રખના.” મુન્નુમિંયાનું નામ સાબિર હુસૈન છે અને પછી તેઓ કેવી રીતે મંદિરના મેનેજરની જવાબદારી સંભાળે છે અને ભાગે આવતા કામ કેવી રીતે કરે છે તે પણ કહે છે કે, મંદિરમાં પૂજા થતી હોય અને પૂજારી સિવાય કોઈ ન હોય તો આરતી દરમિયાન મંદિરમાં ઘંટ વગાડવાનું કામ પણ તેઓ કરે છે. આ બાબતે કોઈ પણ કોમે તેમનો વિરોધ ન કર્યો. કેમેરામાં મુન્નુમિંયાનો ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં છે તે શૉટ ચાલે છે અને ફરી કમાલ તેમના અંદાજમાં કહે છે : “અયોધ્યા કા સૈયદબાડા મહોલ્લા. સોલવીંહ સદીમેં ઇરાન સે આયે મીર અબુ તાલીમ ને બસાયા થા. તાઉમ્ર ઇસ તંગ સી ગલી મેં રહે મુન્નુમિંયા. મુન્નુમિંયા કા ઘર છોટા થા, કદ છોટા ઔર આમદની ભી છોટી. લેકિન દિલ ઇતના બડા થા કી ઉસમેં અપને મઝહબ કે અલાવા દુસરો કે મઝહબ કે લિએ ભી બહુત જગા થી. ઇસિલિએ તમામ બડેં બડે લોગ ઉનકે આગે બૌને નજર આતે હૈ. બાબરી મસ્જિદ ગિરાયે જાને કે બાદ સાત સાલ તક મુન્નુમિંયા ઇસ મંદિર કે મેનેજર રહે. 1999 મેં મુન્નમિંયા કા ઇન્તકાલ હો ગયા. … મુન્નુમિંયા કા જનાજા ઊઠા તો ઉસમેં કઈ સાધુ ભી શરીક હુએ. 92 મેં દંગા હુઆ થા તબ સાધુઓ ને ઉન્હેં મંદિર મેં છુપા દિયા થા.”

કમાલ પાસે અયોધ્યાની આવી અનેક સ્ટોરી છે, જેમાં હિંદુ-મુસ્લિમોનો સમન્વય એ રીતે થતો દેખાય છે કે તેમને કોઈ અલગ કરવાનું કે જોવાનું વિચારી ન શકે. પણ આ સમન્વય તરફ જ્યારે રાજકીયદૃષ્ટિ પડે છે ત્યારે કમાલ ખાન જેવાંની દૃષ્ટિ મહદંશે લોકોની સામેથી ઓઝલ થઈ જાય છે અને ફરી અયોધ્યાનું એ ચિત્ર આવીને આપણી સામે ખડું થાય છે જેમાં માનવતા નજરે નથી ચઢતી, ચડસાચડસી છે, એકબીજા પ્રત્યે દ્વેષ છે, ઉશ્કેરાટ છે, વિરોધ છે. જો કે કમાલ ખાન આવાં માહોલને પોતાના કામથી થોડુંઘણું નિર્મૂલન કરી શક્યા હતા, તેથી જ તો જ્યારે તેમના અવસાન પર અંજલિ આપવાની આવી ત્યારે તેમાં કોઈ એવો ભેદ ન રહ્યો. બનારસમાં જ્યાં તેમણે રીપોર્ટિંગ કર્યું અને લોકોના મનમાં જગ્યા બનાવી ત્યાં તો ગંગા આરતીના સમયે તેમને દિપ પ્રગટાવીને અંજલિ આપવામાં આવી.

અને છેલ્લે ફરી અયોધ્યા વિશે કમાલ : “જિસ અયોધ્યા મેં સવાલો સાલ સે જમીન કે છોટે સે ટુકડે પે યે તય નહીં હો પા રહા હૈ કી વહાં કિસકે ખુદા કી ઇબાદત હો, ઉસકે બિલકુલ પડોસ મેં, હનુમાનગઢી જમીન કા હિસ્સા વહાં કે મહંતને અયોધ્યા કે મુસલમાન કો મસ્જિદ બનાને કે લિએ દે દિયા.” કમાલની આવી અદ્દભુત સ્ટોરીઝ યૂટ્યુબ પર ઉપલબ્ધ છે, જેઓને કમાલદૃષ્ટિનું અયોધ્યા જોવું હોય તેઓ તે જરૂર જુએ.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,6201,6211,6221,623...1,6301,6401,650...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved