Opinion Magazine
Number of visits: 9570112
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

12-12-1911ના દિવસે થયું હતું દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન

સોનલ પરીખ|Opinion - Opinion|28 January 2022

દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.

દિલ્હી એક અજબ શહેર છે. આ શહેર જેમની નસોમાં ધબકતું અને વહેતું રહ્યું એ પ્રસિદ્ધ લેખક-પત્રકાર, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નામની નવલકથા અને શીખ ધર્મ પર સંશોધનાત્મક પુસ્તક લખનાર ખુશવંતસિંહ દિલ્હીને ઓવરસાઈઝ્ડ વિલેજ તરીકે ઓળખાવતા. એમણે ‘દિલ્હી’ નામની નવલકથા પણ લખી છે. એમાં તેઓ લખે છે, ‘આ દિલ્હી છે. જિંદગીએ બહુ તકલીફ આપી છે, ઘણુંબધું છીનવી લીધું છે એવું લાગે ત્યારે નિગમઘાટ જઈ સળગતા મૃતદેહોનું દૃશ્ય જોવું, સ્વજનોનો વિલાપ સાંભળવો અને પછી ઘેર આવી થોડા પેગ વ્હિસ્કી પીવી. ઈન દિલ્હી, ડેથ એન્ડ ડ્રીન્ક મેક લાઈફ વર્થ લિવિંગ …’  

ભારતની ઉત્તરપશ્ચિમે યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીથી માનવ વસવાટ ધરાવતું આવ્યું છે. સલ્તનતના ઉદય પછી દિલ્હી રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું. અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મોગલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી દિલ્હી મોગલ સલ્તનતની રાજધાની રહ્યું.

18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં કલકત્તા રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, નવી દિલ્હી, નામે નવું શહેર બાંધવામાં આવ્યું. 1947માં જ્યારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું.

પૃથ્વીરાજ ચૌહાણ પછી સલ્તનત યુગ અને મુઘલ યુગ બંનેના શાસકોએ દિલ્હીને રાજધાની તરીકે માન્યતા આપી, પરંતુ મોગલ યુગના અંત પછી ભારતનું ત્યારનું વિશાળ બંગાળ જે તેના ફળદ્રુપ પ્રદેશ જાહોજલાલી માટે જાણીતું હતું અને કાચા માલ માટે અંગ્રેજો માટે ખૂબ જ ઉપયોગી હતું તેથી અંગ્રેજોએ કોલકત્તાને દેશની રજધાની બનાવી પોતાની કચેરીઓ અને કોઠીઓ સ્થાપી અને અત્યારના બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને આવરી લેતા પ્રદેશમાં ભરપૂર શોષણ કર્યું.

દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત 12 ડિમ્બર 1911ના રોજ થઈ હતી. આજે તો દિલ્હી સ્વતંત્ર ભારતની રાજધાની તરીકે વિકસ્યું છે. અહીંના અનેક સ્મારકો જોવા માટે અનેક વિદેશી મહેમાન આવે છે. લાલ કિલ્લાથી લઈને સંસદભવન સુધીના દિલ્હીની દરેક સ્થળ સાથે કોઈને કોઈ ઇતિહાસ જોડાયેલો છે.

દિલ્હીનો શિલાન્યાસ કિંગ જ્યોર્જ પંચમ અને ક્વિન મેરીએ કર્યો હતો. રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે દિલ્હી પંજાબ પ્રાંતનો એક તાલુકો હતું. ત્યાર બાદ જમીન-સંપાદનનો આદેશ થયો. કેટલા ય ગામની જમીન લેવામાં આવી અને રાજધાની બનાવવા માટે પંજાબના ઉપરાજ્યપાલે દિલ્હી અને વલ્લભગઢના જિલ્લાઓના 128 ગામની જમીન મેળવી. મેરઠ જિલ્લામાં 65 ગામને પણ દિલ્હીમાં ભેળવી દેવામાં આવ્યા. આ તમામ ગામ યમુના નદીની પેલે પાર હતા. ત્યાર બાદ શાહદરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો.

બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયંસ અને હર્બટ બેકરે દિલ્હીનું મોટા ભાગનું બાંધકામ કર્યું છે. પ્લાન પણ આ બંને અંગ્રેજોએ બનાવ્યો હતો. આ બન્નેએ એ પણ સલાહ આપી કે રાજધાનીમાં કોઈ પણ ઈમારત 45 ફૂટથી ઊંચી ન હોવી જોઈએ. ચારેય તરફ વૃક્ષો હોવાં જોઈએ જેથી ઉપરથી દિલ્હી હરિયાળું શહેર લાગે. પણ આજે સ્થિતિ વિપરીત છે.

દિલ્હી નગર યોજના નામની એક સમિતિ બનાવવામાં આવી હતી. જે દિલ્હીને વિકસાવવાનું કામ કરતી. જેમા લુટિયંસ પણ હતા. તેણે ઉત્તર વિસ્તારને સાંકડો, ગીચ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહીને આ જગ્યા નકારી દીધો. પછી દક્ષિણ વિસ્તારમાં યમુના નદીના કિનારે નવી જગ્યાની સલાહ આપવામાં આવી. વાઈસરોયને એ પણ પંસદ ન પડી. અંતે માચલા ગામ પાસેની જ્યાં રાયસન નામની ટેકરી હતી ત્યાં બાંધકામ શરૂ કરાયું. આજે રાયસન હિલને દિલ્હી મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે

દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન ભલે 1911માં થયું હતું પણ તેનું ઉદ્દઘાટન પ્રથમ વિશ્વયુદ્ધ પછી 13 ફેબ્રુઆરી 1931ના રોજ કરવામાં આવ્યું હતું. લૉર્ડ ઈરવીનના શાસનમાં દિલ્હીનો એક રાજધાની તરીકે વિકાસ થયો. હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દુઆથી આબાદ થયેલી આ ધરતીને તેમના શિષ્ય અમિર ખુસરોએ કવ્વાલી, સૂફી સંગીત, શાસ્ત્રીય સંગીતની ભેટ આપી. વિશ્વના સૌથી મોટા ગણતંત્ર એવા ભારતના પાટનગર સાથે ફકત ઇતિહાસ નહીં, પુરાણ પણ જોડાયેલું છે. મહાભારતના સમયથી દિલ્હીનો દબદબો હતો. ઇ.સ. પૂર્વે ૩,૫૦૦માં રાજા દહિલુએ સ્થાપેલું દિલ્હી મહાભારતકાળમાં હસ્તિનાપુર તરીકે ઓળખાતું.

સરદાર ખુશવંત સિંહે ‘દિલ્હી’ નવલકથાની શરૂઆતમાં જ લખ્યું છે, ‘વિદેશી વેશ્યાઓ સાથે સમય વેડફીને હું ફરી આવી ગયો છું દિલ્હી, મારી પ્રિયતમા ભાગમતી પાસે.’ આ ભાગમતી, ખરેખર તો એક હિજડો છે પણ તેનામાં કોઈપણ પુરુષને રીઝવવાની ભારોભાર કાબેલિયત અને ઊર્જા છે. લેખક આગળ કહે છે, ‘દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.’ કેટલું સચોટ વર્ણન! આ નવલકથા લખતાં ખુશવંત સિંહને 25 વર્ષ લાગ્યાં હતાં.

એમાં દિલ્હીનો ઇતિહાસ છે, પણ એ ઐતિહાસિક નવલકથા નથી, તેમ એમાં ઇતિહાસની શુષ્ક વિગતપ્રચુરતા પણ નથી. એ તો છે નવલકથા. ખુશવંતસિંહની આગવી, કલપનાશક્તિ અને કટાક્ષ-રમૂજભરેલી શૈલીમાં લખાયેલી નવલકથા. નાયક પત્રકાર છે અને ઇંગ્લૅન્ડથી આવ્યો છે. દિલ્હીની સડકો પર ફરતાં, ક્યારેક કોઈ વિદેશી મહિલાના ગાઈડ બનતાં એ સમયયાત્રીની જેમ ઘટનાઓ અને પાત્રોને મુખોમુખ થાય છે. પાત્રો પોતાની કહાણી કહેતાં આવે છે અને વાચક સામે ઇતિહાસનાં પૃષ્ઠો ખૂલતાં જાય છે. અમીર ખુસરો, નાદિરશાહ અને તૈમુર લંગ, ઔરંગઝેબ, મીર તકી મીર અને બહાદુરશાહ ઝફર. મોગલ વંશનો ઉદય અને અસ્ત, અંગ્રેજો, વિભાજન અને સ્વતંત્રતા.

ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોને જીવતા બાળી મૂકવાનાં દૃશ્યો સાથે નવલકથાનો અંત આવે છે. આખી નવલકથામાં લેખકનો દિલ્હી માટેનો અસીમ પ્રેમ અને એવી જ ઘેરી હતાશા બન્ને સતત દેખાય છે. તેઓ દિલ્હીને ‘સત્તાલોલુપોના હાથે બરબાદ થતા રહેલા શહેર’ તરીકે ઓળખાવે છે. નવલકથાના કેન્દ્રમાં ખરેખર તો દિલ્હી જ છે, જેની સાથે નાયકની લવ-હેટ રિલેશનશીપ છે. ભાગમતીમાં દિલ્હીની ભૂખ, પાગલપણું અને અનેક વિરોધાભાસ છે. ભાગમતી પુરુષ પણ છે અને સ્ત્રી પણ, અને બેમાંથી એકે નથી. એ હિંદુ પણ છે અને મુસ્લિમ પણ, અને નાયક સાથેના સંબંધ પછી થોડી શીખ પણ. એને કોઈ અપનાવતું નથી પણ એનો લાભ બધા જ લે છે.

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંનું, વિશ્વના સૌથી વધારે ક્રાઈમ-રેટ ધરાવતા શહેરોમાંનું એક દિલ્હી 2028માં વસતીની દૃષ્ટિએ દુનિયાનું પહેલા નંબરનું શહેર બની જશે. અત્યારે દિલ્હીની વસતી લગભગ ત્રણ કરોડ છે અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ટોકિયો છે અને ત્રીજા નંબરે શાંઘાઈ.

અંતમાં યાદ કરીએ ખુશવંતસિંહના ‘દિલ્હી’ નવલકથાના શબ્દો. એમણે કહ્યું છે, ‘આપણે રહસ્યમય પૌર્વાત્યો છીએ. પુરાવા કે તર્ક સાથે આપણને ઓછી લેવાદેવા છે. આપણે એક શ્રદ્ધા ઊભી કરીને તેના પર જીવી જઈએ છીએ.’ આ વિધાનનો અર્થ અને ચોટ લાગે છે તે કરતા વધારે ઊંડાં છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ડિસેમ્બર 2021

Loading

મારી સાહિત્ય સફરની એક ઝાંખી

જનકભાઈ બી. શાહ|Opinion - Opinion|28 January 2022

મારી સમગ્ર શિક્ષણ યાત્રામાં કયાંક વિશ્વના સાહિત્યકારોની સાહિત્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય બન્યો તો ક્યાંક શિક્ષક તરીકે તે શ્રેષ્ઠ કૃતિઓનો આસ્વાદ કરાવવો અનિવાર્ય બન્યો ત્યારે કેટલીક વાર્તાઓએ મારી સંવેદનાના તાર ઝણઝણાવી મુક્યા. મને તે વખતે ખબર ન હતી કે હું આવી હ્રદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરીશ. પરંતુ અનાયાસે  અવકાશ મળતાં આ વિશ્વ સાહિત્યની હૃદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર થઇ ગયું. તેમાં 'બુદ્ધિપ્રકાશ', 'વિશ્વમાનવ', 'સમર્પણ', 'નવનીત સમર્પણ', 'નવચેતન', 'કોડિયું', 'સ્ત્રીજીવન', 'ગુજરાત સમાચાર', 'ગુજરાત મિત્ર', 'જનક્લ્યાણ', અને 'ધર્મસંદેશ' જેવાં સામાયિકો અને સમાચારપત્રોએ મારી અનુવાદિત અને રૂપાંતરિત કૃતિઓને પ્રગટ કરી મને પ્રોત્સાહિત કર્યો.

આમ વિશ્વના સાહિત્યકારોની વાર્તાઓના ખજાનામાં ડોકિયું થઇ ગયું. તેના પરિપાક સ્વરૂપે ગુજરાત સાહિત્ય અકાદમીના અનુદાનથી 'ડોકિયું' વાર્તા સંગ્રહ મેં પ્રકાશિત કર્યો. આ વાર્તાઓના અનુવાદ કાર્ય માટે મારા ગુરુજનોએ કોલેજકાળથી મને પ્રોત્સાહિત કર્યો છે. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતાં કરતાં વર્ષો સુધી અમને અંગ્રેજી સાહિત્યનું રસપાન કરાવ્યું હતું અને સમગ્ર ગુજરાત જેમની સ્ત્રી-કલ્યાણ પ્રવૃત્તિઓથી વાકેફ છે, તેવાં આદરણીય સાહિત્યવિદ્ સ્વ. ડો. ઇલાબહેન પાઠકે તેમના વિદ્યાર્થી એવા આ નાનકડા શિક્ષકને બિરદાવી, 'ડોકિયું' માટે પ્રવેશક લખી આપ્યું તેને હું મારા અહોભાગ્ય સમજું છું. સોનામાં સુગંધ ભળે તેમ મારા સદ્ભાગ્યે, જેમને તેમની ગુજરાતી નવલકથા 'અખેપાતર' માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ નવાજેલ છે, તેવાં આદરણીય સાહિત્યકાર ડો. બિન્દુબહેન ભટ્ટ દ્વારા મારા વાર્તાસંગ્રહ 'ડોકિયું'નું વિમોચન થયું હતું. ત્યાર પછી નવસર્જન દ્વારા તેની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઇ હતી.

મારા વાર્તાસંગ્રહ 'ડોકિયું'માં ચીની વિકલાંગ બાળક ચેંગ ફુંગ-સીની આત્મકથાનો સમાવેશ કર્યો છે. અહીંયા તેની વાત કદાચ અસ્થાને નહિ લેખાય. ૧૯૭૯માં Reader's Digestમાં પ્રકાશિત થયેલ આ આત્મકથાનેા અનુવાદ કરતી વખતે વિકલાંગ એવા ચેંગ ફુંગ-સીના જીવનના અનેક ઉત્કૃષ્ટ પ્રયાસો જોઇને મારી વિકલાંગતાની લધુતાગ્રંથિ કયાં ય ઓગળી ગઇ હતી અને આજે હું જે કાંઇ બની શક્યો છું, તેનો યશ આ ‘A Leaky Boat in a Stormy Sea’ના અનુવાદનને આભારી છે. આ મૂળ પુસ્તકની ખૂબ તપાસ કરી પણ હજી સુધી મળ્યું નથી. આ પુસ્તકનો અનુવાદ કરવાની તીવ્ર ઝંખના છે.

મુ. ઇલાબહેનના શબ્દોમાં 'ડોકિયું' વિષે જણાવું તો "માનવીય જીવનનાં અનેક પાસાંઓ આ નવલિકાઓમાં રજૂ થયાં છે. આ કૃતિઓમાં વિવિધ પ્રસંગાલેખનોમાંથી નીતરતી ઊર્મિઓનાં, તેમાંથી ઊઠતી ઉદાત્ત ભાવનાઓના, બોલકી બનતી કે સુચવાતી જીવનમૂલ્યોની રજૂઆતના વમળોમાં વાચક પોતાનાં મનોગતોને અને વિચારણાઓને સુસ્પષ્ટ રીતે સમજતો અને માણતો થાય તેવી રસલહાણ અહીં પ્રસ્તુત થઈ છે. આ કલાકૃતિઓમાં રજૂ થયેલી, કલ્પનાના રંગે રંગાયેલી માનવીય પરિસ્થિતિની વાસ્તવિકતા વાચકને વિશ્વના કલાકારોએ પ્રમાણેલાં મૂલ્યોનો ખ્યાલ આપીને પોતાની દુનિયાને નવાં કુતૂહલભર્યા ચિત્તથી જોતો કરી મૂકશે."

સ્વ. ઇલાબહેનના શબ્દોમાં દોસ્તોએવસ્કીની 'ભૂરી' વાર્તાની ભૂરીની વાત કહું તો – તેના પાત્રોના મનોવ્યાપારમાં જ અનુવાદકને રસ હોય તેની પ્રતીતિ કરાવે તેવી વાર્તાઓમાં દોસ્તોયેવસ્કીની 'ભૂરી' ધ્યાન ખેંચે છે. અનૌરસ બાળક તરીકે અન્યની અવહેલના પામતો ઉછરેલો અલિયો પાલક માતાપિતાની પુત્રી અનીશાને પોતાનું સર્વસ્વ સમજે છે. કમનસીબે અલિયાને શીતળા નીકળે છે, તે એક આંખ ગુમાવે છે અને ચાઠાંથી તેનો ચહેરો વરવો બને છે. પોતાનું વરવાપણું તો તે સ્વીકારી શકે છે પણ અનીશાને ખુશ કરવાના પ્રયત્નો છોડી શકતો નથી. અનીશાને ગમી ગયેલી બકરી, ભૂરી, તેને ભેટ આપવા તે લઈ આવે છે. અલિયો પોતાના પ્રેમને જાહેર નથી કરતો કેમ કે તેણે પોતાના વરવાપણાને લીધે લાધેલું એકાકીપણું સ્વીકારી લીધું છે. અનીશાને ભૂરીની પરવા નથી, અલિયાને છે. અનીશા લગ્ન કરીને જાય છે ત્યારે ભૂરીને તેની પાસે છોડતી જાય છે. ભૂરીના પ્રેમમાં અલિયો ખુશ છે પણ તે ખુશી પર અનીશા આઘાત કરે છે. તે ભૂરીને માગવા આવે છે. અલિયા માટે ભૂરી અનીશાની સ્મૃતિરૂપે હતી, તે જાય તો તેનું સર્વસ્વ ઝૂંટવાઈ જાય તેવી તેની લાગણી છે. તે અનીશાને ભૂરી શા માટે લઈ જવી છે તેમ પૂછે છે ત્યારે અનીશાનો ખંધાઈભર્યો પ્રત્યુત્તર કે તેના પતિ માટે માગી છે તે અલિયાને ઊંડો આઘાત પહોંચાડે છે. પોતાના હાથમાં હતી તે કુહાડી અલિયો અનીશાના માથા પર ઝીંકી દે છે. ડૂસકાં ભરતાં આ વાત કહેતાં અલિયો ભૂરીનું શું થયું હશે તે વિશે ચિંતા વ્યક્ત કરતો રહે છે. દેખાવે કુરૂપ થયેલા અલિયાનું પ્રેમભર્યું હૃદય અનેક અવહેલનાઓ સહી ચૂક્યું હતું. છેલ્લો આઘાત તેનાથી સહન ન થયો અને તે પ્રત્યાઘાત કરી બેઠો તેવી તેની મનોવેદના સુસ્પષ્ટ રીતે ભાવકના ચિત્ત પર અંકિત થાય છે. 'ભૂરી'નું મુખ્ય પાત્ર પોતે જ પોતાની વીતક કથા કહે છે. 'ભૂરી'માં લેખકે જેલના અન્ય સાથીને એક સાંભળનાર તરીકે કલ્પ્યો છે.

દોસ્તોએવસ્કીની વાત કરું તો ……

સ્નાતક અને અનુસ્નાત કક્ષાએ મારે વિશ્વના અનેક સાહિત્યકારોની કૃતિઓનો અભ્યાસ કરવાનું આવ્યું, ત્યારે દોસ્તોવ્સ્કીની નવલકથા Crime and Punishmentનો અભ્યાસ કરવાનું બન્યું હતું, તેથી તેના પ્રત્યે વધારે લગાવ હતો. અનુકૂળ સમયે તેનો અનુવાદ કરતો રહ્યો પણ મોટા ભાગની કથા અનુવાદિત કરી પછી ખબર પડી  કે કોઇએ તેનો અનુવાદ કરેલો છે, અને તે કામ અધુરું રહ્યું. છેવટે ભવિષ્યમાં  Crime and Punishment ઉપર પીએચ.ડી. કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી. ગાઇડે ફક્ત એક જ નવલકથાને બદલે તેના સમગ્ર સાહિત્યને પસંદ કરવાની સલાહ આપતા છેવટે નિવૃત્તિના ચારેક વર્ષ પહેલાં તે કાર્ય આરંભ્યું અને હું ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી લઇ શક્યો. મારી થિસીસનો વિષય હતો. An Analytical Study of the Concept of 'Sin 'and 'Crime' in Dostoyevsky's Major Works. આમ દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યનો અભ્યાસ કરી એપ્રિલ-ર૦૦૪માં થિસીસ સબમીટ કરીને ભાવનગર યુનિવર્સિટીમાંથી ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી મેળવવા હું સદ્દભાગી બન્યો. આ અનુસંધાને દોસ્તોએવ્સ્કીની કથાને ન્યાય આપવા જ્યારે તક મળી ત્યારે તે લીધી. 'ભૂરી'નું રૂપાંતરિત અવતરણ તે સમયના અનુસંધાને છે.

દોસ્તોએવ્સ્કીની ૧૩ વર્ષની ઉંમરે તેની માતા મૃત્યુ પામી હતી. ૧૮ વર્ષની ઉંમરે પિતા ચાલ્યા ગયા હતા. બચપણમાં પોતે એક આંખ પણ ગુમાવી હતી. પરિવાર ન હોવાથી તેમના માટે કોઇ પ્રેરણાસ્રોત ન હતું. જિંદગી આખી દુ:ખમાં જ વિતાવી હતી.

દોસ્તોવ્સ્કીની ૧૮૪૯માં ભૂગર્ભ સલૂનમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મિત્રો સહિત તે ફ્રેન્ચ યુટોપિયન સમાજવાદની ચર્ચા કરતા હતા અને પ્રતિબંધિત કૃતિઓ વાંચતા હતા. આ ગુના બદલ મિત્રો સાથે ક્રાંતિકારી તરીકે ઓળખાતા, તેમને પ્રથમ મોતની સજા કરવામાં આવી હતી અને છેલ્લી ઘડીએ તેની મોતની સજા માફ કરી ચાર વર્ષની સાઇબિરયાની સખત કેદની સજા કરવામાં આવી હતી. આ કારણે ત્યાં તેનામાં માનવ વર્તન માટેની વૈજ્ઞાનિક સમજણનો આંધળો વિશ્વાસ પાંગર્યો હતો. તે માનતા હતા કે માનવીય વર્તન હંમેશાં તર્કસંગત જ હોય છે. તે માનતા હતા કે ગરીબી નાબૂદ થાય તો ગુનાઓનું અસ્તિત્વ અટકી જાય.

દોસ્તોવ્સ્કીએ ખૂનીઓની સાથે ચાર વર્ષ વિતાવ્યા હતા. તેમની સાથે ટેબલ અને શૌચાલયો શેર કર્યા હતા. તેમની સાથે ઇંટો ખેંચી હતી. એક જ વાસણમાંથી પાણી પીધું હતું પણ માનવ સ્વભાવમાં થતા ફેરફારોને તેણે નજરે નિહાળ્યા હતા, ભલે તે ગુનાના સરળ દૃષ્ટિકોણ પ્રત્યે વફાદાર રહી શક્યા ન હતા. આ સમય દરમ્યાન તેમને ખ્યાલ આવ્યો હતો કે માનવ મનનો તાગ મેળવવો મુશ્કેલ છે. તેઓની વિચારસરણી બિન તાર્કીક હોવાના લીધી ઘણીવાર પોતાનું અહિત થાય તેવાં કાર્ય કરે છે. આ બરાબર નથી પણ સ્વતંત્ર  મનનું તે એક લક્ષણ પણ છે.

દોસ્તોએવ્સ્કી પાપી પણ છે અને સંત પણ છે. તે એક એવો રાજકીય ગુનેગાર હતો જેને હંમેશાં પોતાના કાર્ય માટે પસ્તાવો થતો. આ વાત તેણે તેને પાત્રો દ્વારા પ્રતિબિંબિત કરી છે. તે તેના પાત્રો દ્વારા બતાવવા ઇચ્છતો કે આપણી સૌથી ખરાબ વૃત્તિ જે ડર છે તેના તરફ ઉત્સાહથી નહીં પણ ડરથી માનવી પ્રેરિત થાય. દોસ્તોએવ્સ્કીએ પોતાના સાહિત્યમાં હંમેશાં Dark aspects of Human Natureને ઉજાગર કર્યા છે.

ગાંડપણ, ખૂન અને આત્મહત્યા અને અપમાન, આત્મવિનાશ, જુલમી વર્ચસ્વ અને ખૂની ક્રોધાવેશની લાગણીઓના અન્વેષણમાં મનની પેથોલોજીકલ સ્થિતિઓના વિશ્લેષણમાં દોસ્તોએવ્સ્કીએ મહાન મનોવિજ્ઞાની તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સાહિત્યનો ઇતિહાસ, સાહિત્યિક આધુનિકતાવાદ, અને મનોવિજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને સાહિત્યિક વિવેચનની વિવિધ શાખાઓ તેમના વિચારોથી મોટા ભાગે પ્રભાવિત છે.

હું માનું છું કે Literature is the reflection of life. આ પરિપ્રેક્ષ્યમાં દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યને તેમ જ 'ડોકિયુ'માં સમાવેલી તેમની 'ભૂરી'ની કથાને જોવી જોઇએ. કથાનું મુખ્ય પાત્ર અલિયો છે. તે જ્યાં તેની કથા કહે છે તે વાતાવરણ જેલનું છે. આ પ્રકારનું વર્ણન વાંચતા એમ લાગે જ કે લખનારને જેલનો અનુભવ હોવો જોઇએ અથવા તો તેવા વાતાવરણને તેણે નજીકથી અનુભવ્યું હોવું જોઇએ. કથાના વિષયવસ્તુમાં જે રીતે અલિયાના મનને પ્રતિબિંબિત કર્યું છે તે માનવમનની વિવિધ લાગણીઓ અને તેની સામેના થતા પ્રત્યાઘાતને જાણે કે વાસ્તવિક ઓપ આપ્યો હોય, તેવું નથી લાગતું ? અલિયો ખૂબ જ લાગણીશીલ માનવી છે. પ્રેમ તેની હાડોહાડમાં વ્યાપેલો છે. પણ તેને પ્રેમની સામે હંમેશાં અવહેલના મળે છે, તે અમુક હદ સુધી સહન કરી લે છે પણ તે અવહેલના પરાકષ્ટાએ પહોંચે છે અને તેના ભૂરી પ્રત્યેના અસીમ પ્રેમ સામે કુઠરાઘાત થાય છે ત્યારે તેની હિંસક વૃત્તિ કાબૂમાં નથી રહેતી અને તે અનિશાનું ખૂન કરે છે. માનવીના જીવનમાં આવી ઘટના બને છે ત્યારે આપણે માનવીને હિંસક વૃત્તિનો હોવાનો મૂલવીએ છીએ. હિંસા માટેના હદ વટાવેલા કારણને બાદ કરીએ તો આપણે અલિયાના ખૂન કરવા માટેની ઘટના ઘટી તે પહેલાનાં જીવનમાં તેની અવહેલના તેણે ખમી ખાધી છે. ક્યારે ય તે હિંસક નથી બન્યો. માનવીના વર્તનને મનોવૈજ્ઞાનિક રીતે અલિયાના પાત્રનું અને કથાનું સર્જન કરી સાબિત કર્યું છે કે માનવીય વર્તન હંમેશાં તર્કસંગત જ હોય છે.

આ કથાનો અનુવાદ ૪૨ વર્ષ પહેલાં કરેલો હોવાથી મૂળ વાર્તા મળતી નથી. વાર્તા ગુજરાતીમાં રૂપાંતરિત કરી હોવાથી તે વાર્તા ક્યાંથી મેં લીધી હશે તે પણ યાદ નથી. પાત્રોના નામ ગુજરાતી કર્યા કારણ કે રશિયન નામો વાંચીને કથાનું હાર્દ મેળવવા કરતાં ગુજરાતી નામો ભૂરી, અલિયો, અનિશા રાખ્યા હશે. પ્રયત્ન કરું છું મૂળ કથા મેળવવાનો. આપ વાચકોને એક વિનંતી છે કે કોઇને અંગ્રેજીમાં આ વાર્તા અને તેનું ટાઇટલ મળે તો મેળવી મને મોકલી આપશો, તો હું આપનો ઋણી રહીશ. આપ મારા બ્લોગની મુલાકાત લેશો તો મારી સમગ્ર સાહિત્ય કૃતિઓનો આસ્વાદ માણી  શકશો.

બ્લોગ છે : https://www.parodh.com –

©©©©©©©©©©©©©©

e.mail : janakbhai_1949@yahoo.com

Loading

ભૂરી

મૂળ લેખકઃ દોસ્તોએવસ્કી [અનુવાદક : જનકભાઈ બી. શાહ]|Opinion - Short Stories|28 January 2022

જેલમાં આવ્યા પછી મારા માટે આ બીજી દિવાળી હતી. બેસતા વર્ષના દિવસે અમને કામમાંથી મુક્તિ આપવામાં આવતી. જો કે કામમાંથી મળતી મુક્તિ અમારા માટે એક પ્રકારની સજા જ હતી. નવરાશમાં વિચાર સિવાય બીજું સૂઝે શું ? ગત દિવસોની યાદ પૂરા જોશથી ઊભરાઈ આવે ત્યારે કેદીને મન એક બોજો થઈ પડે છે. જ્યારે કામમાં તો માનવીનું મન રોકાયેલું હોવાના કારણે તેને વિચારવાનો કોઈ જ સમય રહેતો નથી.

આજે બેસતું વર્ષ હતું. જેલ શાંત હતી. આજે પેલી બેડીઓના અવાજ, સાંકળોના ખણખણાટ કે કેદીઓની હાજરીની બૂમો કશું જ ન હતું. કેટલાક કેદીઓ આ શાંતિનો ભંગ થશે તો ? એ બીકે ખૂબ ધીમું ગણગણતા હતા. આજે તેઓ ગુનેગાર છે તેનું ભાન કરાવતી બેડીઓ હાથે કે પગે ન હતી.

કેદીઓને સામાન્ય રીતે શુભ પ્રસંગોએ નાગરિકો તરફથી ભેટ-સોગાદો મળતી. તે ભેટ મોકલનારાઓ ઇચ્છતા હશે કે કેદીઓ પણ પોતાની જેમ દિવાળીનો આનંદ માણે. આજના શુભ દિવસે એમને મિષ્ટાન્ન આપવામાં આવતું. ભોજન લીધા પછી એક મોટા ખંડમાં અમે સૌ પોતપોતાની રીતે આનંદ માણતા. કોઈ ગપાટા મારતા તો કોઈ ગીતો ગાતાં. સૌ પોતપોતાની મસ્તીમાં આજનો દિવસ ગાળતા.

હું મારી આજુબાજુ બેઠેલા કેદીઓની પ્રવૃત્તિ નીરખતો હતો. મારું ધ્યાન એકલા બેઠેલા અલિયા તરફ ગયું. તે બીજા બધાથી કાંઈક જુદો જ બેઠો હતો. તેના માટે જેલમાં આ પહેલી દિવાળી હતી. કેદીઓ તેને મૂરખલાલ કહીને જ બોલાવતા. તે હંમેશાં બીજા બધા કેદીઓથી જુદો જ તરી આવતો. મોટા ભાગે ચોકિયાતો સામે તે મૂંગો જ રહેતો. તેને જે કાંઈ કામ સોંપવામાં આવતું તે મૂંગે મોઢે કર્યા કરતો. કામ ભલે ગમે તેટલું ત્રાસદાયક હોય છતાં ય ક્યારે ય તેણે પોતાના કામની ફરિયાદ નહિ કરી હોય. તેની ઉંમર ત્રીસ વર્ષની હતી. દેખાવે તે ઠીંગણો હતો. તેના ચહેરા પર શીતળાનાં ચાંઠાં હતાં. તે એક આંખે જ દેખી શકતો હતો. તેણે ખૂન કર્યું હતું. આ કારણે તેને જન્મટીપની સજા થઈ હતી. પરંતુ તેણે ક્યારે ય પોતાની સજા વિષે કોઈ ટીકા કરી ન હતી કે તે વિષે કોઈએ તેને કાંઈ બોલતો સાંભળ્યો ન હતો. તેને જે કાંઈ સજા થઈ હતી તે તેણે સહર્ષ સ્વીકારી હોય તેમ લાગતું હતું. આ કારણે તે આવ્યો ત્યારથી જ તેનું નામ મૂરખલાલ પાડ્યું હતું. હુલામણાં નામો વધુ જલદી પ્રચલિત બને તેમ અલિયાના નામમાં અપવાદ ન હતો. સૌ કોઈ તેને મૂરખલાલના નામે જ બોલાવતા.

આજે મૂરખલાલ કાંઈક ઉદાસ લાગતા હતા. કોઈ દિવસ નહિ ને આજે તેણે નિઃસાસો નાખ્યો હતો. તેના નિઃસાસાએ મારા મનમાં કુતૂહલ જગાડ્યું હતું. એ નિઃસાસો મારા હૈયાને સ્પર્શી ગયો. હું તેની પાસે ગયો. તે શું વિચારતો હતો તે મેં પૂછ્યું. આથી તે વધુ ઉદાસ બન્યો હોય તેમ લાગ્યું.

'હરિયા, તું તે નહિ સમજી શકે. હું તો મારી ભૂરી વિષે વિચારતો હતો. કોઈ મારી ભૂરી વિષે સમાચાર લાવી આપશે તો હું ખૂબ રાજી થઈશ. તે ક્યાં હશે ? તેની કોણ દરકાર લેતું હશે ?'

હું બરાબર સમજ્યો ન હતો. આથી ભૂરી તેની કોઈ પ્રેમિકા હશે અને તેના વિષે તે કહેતો હશે એમ માનીને મેં પૂછ્યું, 'ભૂરી કોણ છે તે મને તું નહિ કહે?'

તેણે મારી તરફ આશ્ચર્યથી જોઈને કહ્યું, 'મેં હમણાં જ મારી ભૂરી બકરી વિષે કહ્યું. તેં ન સાંભળ્યું?'

હું હજી પણ કાંઈ સમજ્યો નહિ. મેં તેને વધુ પૂછ્યા વગર ભૂરી વિષે વાત કરવાનું કહ્યું, 'આજે બેસતું વર્ષ છે. જો તું આજે તેના વિષે કાંઈક કહીશ તો તારું દુઃખ હળવું થશે.'

તેણે ફરીથી નિઃસાસો નાખ્યો, 'તું તે વાત ક્યાંથી સમજી શકે ? પણ તું સાચો છે. તેના વિષે કહેવાથી કદાચ મારું દુઃખ હળવું થાય.'

તેટલું બોલતાં જ તેની એક આંખમાંથી તેના ગાલ પર એક આંસુનું બિંદુ ટપકતું મેં જોયું.

'હું તારા સિવાય બીજા કોને કહીશ ?' તેણે છેવટે કહેવાનું શરૂ કર્યું. 'આજ સુધી તેના વિષે મેં કોઈને કહ્યું નથી. ઘણી વખત ભરાયેલો ડૂમો ખાલી ન થાય તો મરવાનો વારો આવે. હરિયા, મારી ખરી મા કોણ છે તે મને ખબર જ નથી. અમારા ગામના કબ્રસ્તાન પાસે એક સૂંડલામાં હું પડ્યો હતો. કબ્રસ્તાનનો રખેવાળ કોઈ એક મૃત્યુ પામેલી સ્ત્રીની કબર માટે જગ્યા શોધવા આવ્યો ત્યારે મને તેના ઘરે લઈ ગયો. તે સાંજે તેમણે મારું નામ પાડ્યું અલિયો. ત્યારથી કોઈ જાણતું નથી કે મારાં માબાપ કોણ છે. લોકો માનતા કે કોઈ કુંવારી માએ આબરુ બચાવવા મને ત્યજી દીધો હશે. જેમ જેમ હું સમજણો થતો ગયો તેમ તેમ મારી સાથે રમતા છોકરાઓની હાંસી હું સમજવા લાગ્યો. તેઓ મારી તરફ હસતા. ઘણીવાર તો તેઓના તરફ મને તિરસ્કાર છૂટતો પરંતુ તે વખતે હું દુઃખી ન હતો. રખેવાળ અને તેની પત્ની ભલાં હતાં. તેની પત્ની મારી ખૂબ સંભાળ રાખતી. મને ખાવાનું આપતી. સારાં કપડાં પહેરાવતી અને મને બહુ ઓછું મારતી. હું દસ વર્ષનો થયો ત્યારે તેમને ત્યાં એક પુત્રી જન્મી. હું તે બાળકીને ખૂબ ચાહતો. તેમણે તેનું નામ અનીશા પાડ્યું. અનીશાની મા બહાર ગઈ હોય ત્યારે હું તેને મારા હાથમાં ઉછાળીને રમાડતો. તેના ચહેરા પર બણબણતી માખી ઉડાડતો અને ચાલતાં શીખતી ત્યારે તેને ટેકો આપતો. એક વખત તેણે એક કૂતરાને પજવ્યો. આથી ચિડાયેલો કૂતરો તેને કરડવા દોડ્યો. હું દોડતો કૂતરા વચ્ચે આવ્યો. તમે જુઓ, અનીશાને બદલે કૂતરાએ મારો હાથ ફાડી ખાધો.' આટલું કહીને ખમીસની બાંય ઊંચી કરીને રુઝાયેલો ઊંડો ઘા બાવડા પર મને દેખાડ્યો. 'દુનિયામાં અનીશા મારે મન સર્વસ્વ હતી. હું વીસ વર્ષનો થયો ત્યારે તે દશ વર્ષની થઈ હતી. હું તેને મારા ધૂંટણ પર બેસાડીને હંમેશાં કહેતો કે તું મોટી થઈશ ત્યારે હું તને પરણીશ. એક વખત કોઈ પડોશીએ આ વાત સાંભળી જતાં મારી પાલક માતાને આ વાત કહી. તે ગુસ્સે થઈ. મને ઠપકો આપ્યો કે અત્યારથી તું એને આવી વાત મનમાં ઠસાવીશ નહિ, અને તેને પરણવાની આશા પણ ન રાખતો. પણ મેં તો તેમ કહેવાનું ચાલુ જ રાખ્યું. હવે હું સંભાળ રાખતો કે કોઈ મારી વાતો સાંભળતું તો નથી ને ! હું માનતો હતો કે અનીશા મને ચાહે છે અને તેથી જ મારી દરકાર લે છે.'

'એક દિવસ વરસતા વરસાદમાં ખેતરમાં કામ કરતાં હું ભીંજાયો. ઘરે પહોંચતાં હું માંદો પડ્યો. ડૉક્ટરને બોલાવરાવ્યા. તેમણે કહ્યું કે મને તરત જ જિલ્લાની મોટી હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. ત્યાર પછી આજે છે તેવો ચહેરો લઈને હું હૉસ્પિટલમાંથી સાજો થઈ બહાર આવ્યો. મેં મારી જમણી આંખ શીતળામાં ગુમાવી હતી. મારા ચહેરા પર શીતળાનાં ચાંઠાં હતાં. હવે હું કોઈ છોકરીનો પ્રેમ પામવાલાયક દેખાવડો રહ્યો ન હતો. આ કડવું સત્ય સમજીને ઘરે આવ્યા પછી અનીશા આગળ તેને પરણવાની વાત ક્યારે ય કરી ન હતી. હું તેને ખુશ રાખવા અને ઉપયોગી થવા પ્રયત્ન કરતો. થોડા પૈસા બચાવીને હું તેના માટે દિવાળીની ભેટ તરીકે એક નાની બકરી લાવ્યો. આ બકરી અનીશાને એક વખત ગામમાંથી પસાર થતાં ખૂબ ગમી ગઈ હતી. તે આસમાની રંગની હતી. હું તેને ભૂરી કહીને બોલાવતો. હું તેની સંભાળ રાખતો. તેને ખવરાવતો. જેથી અનીશાને મન થાય ત્યારે ફક્ત તેની સાથે રમવાનું જ રહે.'

તે થોડી ક્ષણ અટક્યો. તેની એક આંખમાં આંસુ એકઠાં થયાં હતાં. તેણે મને પૂછ્યું, 'તને કંટાળો તો નથી આવતો ને ?'

'ના, ના. ચાલુ રાખ,' મે જવાબ આપ્યો. કારણ કે તે સમયે મને જ તેની વાતમાં ખૂબ રસ પડ્યો હતો.

વર્ષો પસાર થયાં. અનીશા પણ મોટી થઈ હતી. ગામના છોકરાઓ તેની આજુબાજુ ભમરાની જેમ ભમતા હતા. તે હવે પુખ્ત વયની થઈ હતી. વળી તેની ગણતરી સ્વરૂપવાન સ્ત્રી તરીકે થતી. હું તેને ગામના ઉતાર એવા ફારુક સાથે ફરતી ઘણીવાર જોતો. ફારુક અમીર બાપનો બેટો હતો. ફારુકને હું સારી રીતે ઓળખતો હતો. તેણે ઘણી છોકરીઓને કોઈ ને કાઈ યુક્તિથી ફસાવીને તેમની જિંદગી બરબાદ કરી હતી. આથી મેં અનીશાને ચેતવવા પ્રયત્ન કર્યો. પણ તેણે આ અંગે કાંઈ પણ સાંભળવાનો ઇન્કાર કર્યો. તે ગુસ્સે થઈ ગઈ. ફરી હું આવી વાત કરીશ તો સંબંધ કાપી નાખવાની તેણે ધમકી આપી. હું જોઈ શકતો હતો કે તે બદલાઈ ગઈ હતી. તેને મારી કે ભૂરીની કાંઈ જ પડી ન હતી. વળી ભૂરી હવે ઘરડી થઈ હતી. આથી પહેલાંની જેમ કૂદકાઓ મારી ખુશ કરી શકે તેમ ન હતી. અનીશામાં થયેલો ફેરફાર ભૂરી પણ પામી ગઈ હતી. હું તેને પંપાળીને આશ્વાસન આપતો. અમે બન્ને રડતાં. મને ખાતરી થઈ આવી કે હવે બાકીની જિંદગી અમારે એકબીજાના સહારે જ પસાર કરવાની હતી.

'હવે દુનિયામાં આમ એકલા રહેવું ત્રાસજનક લાગતું. એક દિવસ અનીશા મને કહેવા આવી કે તે થોડા જ સમયમાં ફારુક સાથે પરણવાની છે. ભૂરી ન હોત તો મેં આ સાંભળી નદીમાં પડી આપઘાત જ કર્યો હોત.

'સમય તેનું કામ કર્યે જતો હતો. ઉનાળો ગયો. પાક પણ લણાઈ ગયો. ફારુક અને અનીશા પરણી ગયાં. અનીશા મારી પાસે લગ્નના પહેરવેશમાં આવી. તે ઘર છોડી જઈ રહી હતી. તેણે ગળામાં કીમતી હીરાનો હાર પહેર્યો હતો. જતાં જતાં તે કહેતી ગઈ કે ભૂરીને તે મૂકી જાય છે. જાણે મારા પર મોટો ઉપકાર કરીને ન જતી હોય!'

'તેના ગયા પછી મારા માટે ભૂરી સિવાય દુનિયામાં કોઈ ન હતું. મારી એક આંખ અને ચાઠાંવાળો ચહેરો તેના માટે ગૌણ વસ્તુ હતી. ઘાસની ગમાણમાં અમે પડ્યાં રહેતાં. તે ઘણી વાર મારા ખભા પર તેનું માથું મૂકતી અને મારા ચહેરાને જીભથી ચાટતી. હું તે વખતે કલ્પના કરતો કે અનીશા મને ચુંબન કરે છે.'

'પણ આ સુખેય લાંબો સમય ન ટક્યું.' હવે તેનો અવાજ ધ્રૂજવા લાગ્યો. 'એક દિવસ અનીશા મારી પાસે અચાનક આવી. તે ભૂરીને લઈ જવા ઇચ્છતી હતી. નાનપણમાં તે જે રીતે તેની સાથે રમતી હતી તેમ તે રમવા ઇચ્છતી હતી. ફારુક સાથેનો તેનો સંસાર સુખમય ન હતો. તે હું જાણતો હતો. પણ ભૂરીને લઈ જવાનું કારણ તે છૂપાવતી હતી. તેના ગયા પછી મારી મૂડી કે જે કાંઈ કહો તે સર્વસ્વ મારે માટે ભૂરી જ હતી. મેં અનીશાને કરગરીને ભૂરીને ન લઈ જવાની વિનંતી કરી. ભૂરી હવે ઘણી ઘરડી થઈ હતી. પહેલાંની જેમ આનંદ આપવાલાયક તે રહી ન હતી. પણ તેણે તો કાંઈ સાંભળવાની ય દરકાર ન કરી. છેવટે આજીજી કરતાં મેં તેને કહ્યું, ભૂરી મારે મન દુનિયામાં તારી સ્મૃતિરૂપે જે કાંઈ બચ્યું છે તે છે. તેને લઈ જઈને શા માટે મારું સર્વસ્વ ઝૂંટવી લે છે ? ત્યારે તે ખંધુ હસીને બોલી, 'સાચું કહું તો ભૂરી તો મારા પતિને જોઈએ છે. તેમને આપવા માટે હું ભૂરીને લઈ જાઉં છું.'

'આ સાંભળી કોને ખબર મારા મન પર કોઈ ભૂત સવાર થઈ ગયું. તે સમયે મારા હાથમાં લાકડા કાપવાની કુહાડી હતી. મેં તેનાથી અનીશાને મારી નાખી.'

આટલું કહ્યા પછી માંડ માંડ રોકી રાખેલું ડૂસકું તેનાથી ખવાઈ ગયું.

ત્યાં 'મૂરખલાલ, મૂરખલાલ !' નામની બૂમ બીજા ઓરડામાંથી પડી. 'ક્યાં મર્યો, મૂરખલાલ ?' ફરી બીજા કોઈએ બૂમ પાડી.

'એ આવ્યો !' કહીને અલિયો આંસુ છુપાવતો અવાજ આવ્યો તે તરફ દોડ્યો. દોડતાં દોડતાં તે ગણગણતો હતો, 'મારી ભૂરી … … મારી ભૂરી … …'

[પ્રગટ : “સમર્પણ”, સપ્ટેમ્બર 1979]

e.mail : janakbhai_1949@yahoo.com

* * *

Loading

...102030...1,6191,6201,6211,622...1,6301,6401,650...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved