Opinion Magazine
Number of visits: 9663713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મુદ્દો : હારજીત નહીં પણ વિચારધારા  

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 August 2025

શાસકીય – રાજકીય ઊહાપોહ

સત્તાપક્ષે બહુ વરવી રીતે સલવા જૂડેમવાળા ચુકાદાનો મુદ્દો ઉછાળ્યો છે : વસ્તુત: એ એક બંધારણબાહ્ય રચના હતી અને જે કટોકટી સામે તે પોતે લડયાનું કહે છે, તે કટોકટીનું જ એક અનુસંધાન એમાં હતું.

પ્રકાશ ન. શાહ

ઉપરાષ્ટ્રપતિપદનું ચૂંટણીપરિણામ અલબત્ત નવમી સપ્ટેમ્બરે આવશે, પણ ભા.જ.પ. અને સાથીઓ તેમ જ ‘ઇન્ડિયા’ બેઉની વાસ્તવિક મતસંખ્યા જોતાં ભા.જ.પ. ઉમેદવાર રાધાક્રિષ્ણનનું ચૂંટાઈ આવવું સ્વાભાવિક છે – સિવાય કે સાંસદો સ્વતંત્રપણે મતદાનનો માર્ગ લે, અને કંઈક જુદું જ બની આવે. ‘ઇન્ડિયા’ ઉમેદાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મતદારમાત્રને સીધી અપીલ કરવાની કોશિશ એ જ આશાએ કરી રહ્યા હશે. પણ અણધાર્યું પરિણામ સામાન્યપણે અશક્ય માનીને જ ચાલવું જોઈએ. 

તેમ છતાં, આ ચૂંટણીમાં રસ કેમ જાગ્રત થયો છે? કદાચ, (પૂર્વ) ઉપરાષ્ટ્રપતિ ધનખડનું અચાનક રાજીનામું આપવું એમાં કંઈક કારણ રૂપ ચોક્કસ જ હોઈ શકે. પણ આ ટિપ્પણી લખાઈ રહી છે એ ગાળામાં સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના વફાદાર કાર્યકર કહી શકાય તેવા ઉમેદવાર રાધાક્રિષ્ણન અને પૂર્વ ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડીની સામસામી ઉમેદવારીએ કંઈક નવતર ચર્ચા જગવી છે. એક પક્ષીય કાર્યકર અને બીજી ન્યાયિક પરંપરામાં ઉછરેલી બિનપક્ષીય પ્રતિભા, આ બે વચ્ચેનો ભેદ અલબત્ત તરત સામે આવે છે. ઉપરાંત રાજકીય બલાબલની ચર્ચાથી નિરપેક્ષપણે બેઉ ઉમેદવારીએ જે, ચુસ્ત અર્થમાં વિચારધારાકીય નહીં તો પણ પ્રજાકીય વલણોવાળી શાસકીય-રાજકીય ઊહાપોહ જગવ્યો છે તે ય નોંધપાત્ર છે. 

જસ્ટિસ રેડ્ડીની કોઈ રાજકીય પક્ષીય પૃષ્ઠભૂ નથી. એ બંધારણમાં ખોડાયેલા છે. 2024ની લોકસભાની ચૂંટણીના વારાથી રાહુલ ગાંધી ‘બંધારણ’ને લોકશાહી સ્વરાજમાં અપેક્ષિત ધારાધોરણ સંદર્ભે આગળ કરી રહ્યા છે, અને તે લોક માનસને ઠીક ઠીક પકડાવા લાગેલો મુદ્દો છે. જોવાનું એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દો લઈ લોકમોઝાર ઘૂમી રહ્યા છે. મતાધિકારનો જે મુદ્દો એમણે ઉછાળ્યો છે તેનું સમર્થન એ બેશક બંધારણ સાથે સાંકળે છે. 

આ સાથે, આશ્ચર્યકારક રીતે જસ્ટિસ રેડ્ડી બંધારણની ફરતે એક ગતિશીલ વિચારધારાના વધૈયા લેખે ઉપસી રહ્યા છે. ‘ઇન્ડિયા’ સાંસદોને સંબોધતાં એમણે લોહિયાને ભરીબંદૂક સંભાર્યા હતા કે જ્યારે સડકો સૂની પડી જાય છે ત્યારે સંસદ ભટકી જાય છે. (જબ, સડકેં ખામોશ હો જાતી હૈં, સંસદ આવારા હોય જાતી હૈ.) ‘પાવડો’ એટલે કે રચનાત્મક કાર્ય, ‘જેલ ભરો’ એટલે કે અન્યાય પ્રતિકાર અને મતદાન – આ ત્રણ વાનાં દેશના સમાજવાદી આંદોલને એના તારુણ્યમાં દેશજનતા સમક્ષ મૂક્યા હતા. દેશનું સમાજવાદી આંદોલન નેવું વરસે પહોંચ્યું છે ત્યારે જીવંત લોકશાહી સારું રુધિરાભિસરણ અને ચયાપચય પ્રક્રિયા સુનિશ્ચિત કરી આપતો આ ત્રિસૂત્રી નુસખો સ્વીકારાતો થાય તો એથી રૂડું શું. 

સત્તાપક્ષે જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારીના મુદ્દે જે મુદ્દો ઉછાળવાની મરોડમાસ્તરીનો રાહ લીધો છે તે મુદ્દો રેડ્ડીને નક્સવાદના સમર્થક ને સંરક્ષક તરીકે ચીતરવાનો છે. આ મરોડમાસ્તરી વાસ્તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક સંનિષ્ઠ ન્યાયમૂર્તિની કારકિર્દી ને કામગીરી પર એમ કહીને કૂચડો ફેરવવા જેવું કર્યું છે કે જસ્ટિસ રેડ્ડીએ અમુક ચુકાદો ન આપ્યો હોત તો 2020 સુધીમાં નક્સવાદ ખતમ થઈ ગયો હોત. 

વાત સાચી કે જસ્ટિસ રેડ્ડીએ 2011માં ચુકાદો આપ્યો હતો કે સલવા જુડૂમ ગેરકાયદે છે. એને કોઈ બંધારણીય સમર્થન નથી. આ સલવા જુડૂમ એ છત્તીસગઢ ભા.જ.પ. મુખ્ય મંત્રી રમણસિંહે અશિક્ષિત આદિવાસી યુવાનોને શસ્ત્રસજ્જ કરી કથિત નક્સલ તત્ત્વોનો નાશ કરવા માટે ઊભી કરેલી જોગવાઈ હતી. એકબાજુ, જળ, જમીન, જંગલના અધિકારોથી આમ આદમી વંચિત થતો જાય તો બીજી બાજુએથી સરકાર પોતે કરવાની કામગીરી બાબતે આદિવાસી યુવાનોની સશસ્ત્ર ટુકડી મારફતે ધરાર આઉટસોર્સિંગ કરે, એ તો એક અનવસ્થા હતી જ. તે સાથે, નક્સલવાદને નાથવાને નામે સ્થાનિક વસ્તીને માટે રંજાડભરી પરિસ્થિતિ પણ એ હતી. જસ્ટિસ રેડ્ડી અને અન્ય ન્યાયમૂર્તિએ સલવા જુડૂમ જેવી ગેરબંધારણીય વ્યવસ્થાને બહાલ રાખતા નીચલી અદાલતના ચુકાદા સુપ્રીમ સ્તરે અમાન્ય કરાવ્યા હતા. 2011થી આ ચુકાદો પડકારાતો રહ્યો છે, અને હજુ હમણાં મેં 2025માં પણ સુપ્રીમ કોર્ટે તે સતત વળતી સરકારી રજૂઆત છતાં બહાલ રાખેલ છે. છત્તીસગઢની રમણસિંહ સરકારનો રેકર્ડ તો આદિવાસી ભૂખમરા સામે નોંધપાત્ર કામગીરી કરનાર વિનાયક સેન સરખી વિશ્વપ્રતિષ્ઠ પ્રતિભાને પણ નક્સલતરફી લેબલ સાથે ગોંધી રાખવાની છે … કેટલે વરસે નીચલી અદાલતોની ચુડમાંથી સુપ્રીમ સ્તરે પહોંચી એમને જામીન મળી શક્યા હતા તે ઇતિહાસદર્જ છે. 

સત્તાપક્ષ જ્યારે સલવા જુડૂમ ચુકાદાને ઉછાળી રહ્યો છે અને એને નક્સલવાદ વકરાવવાનો યશ આપવા મથી રહેલ છે, ત્યારે કોઈકે તો એને પૂછવું રહે છે કે 2007થી 2025 લગી સતત સર્વોચ્ચ અદાલતે સલવા જુડૂમ ગેરબંધારણીય અને પ્રજાદ્રોહી હોવાનું જે વલણ લીધું છે એ જોતાં તમે સર્વોચ્ચ અદાલતે પણ નક્સલવાદીની સંરક્ષક-સંવર્ધક કહેશો?

ચૂંટણીપરિણામથી નિરપેક્ષપણે પણ જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારીએ જે મૂળભૂત મંથનસામગ્રી સંપડાવી છે તે અવશ્ય સ્વાગતાર્હ છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 ઑગસ્ટ 2025

Loading

ટોપી ફેરવનારને કઈ રીતે પહોંચવું?

રમેશ સવાણી|Opinion - Opinion|28 August 2025

રમેશ સવાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2025ના રોજ, વિદેશી કારમાં બેસી રોડ શો કર્યા બાદ, અમદાવાદના નિકોલમાં જાહેર સભામાં કહ્યુ હતું : “60થી 65 વર્ષ દેશ પર શાસન કરનારી કાઁગ્રેસ પાર્ટી ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો. પરંતુ આજે ભારતે આત્મ નિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો છે. આપણા ખેડૂતો અને માછીમારો, પશુપાલકો અને ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આત્મનિર્ભરતાના રસ્તા પર આગળ વધી રહ્યો છે.” લોકોએ ‘ડબલ’ તાળીઓ પાડી હતી.

પરંતુ પાંચ દિવસ અગાઉ, 20 ઓગસ્ટ  2025ના રોજ મોદીજીએ સ્વદેશી / વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની હત્યા કરી હતી ! કઈ રીતે? 

મોદીજીએ કપાસની આયાત પરની જકાત જે 11 ટકા હતી તે 30મી સપ્ટેમ્બર 2025 સુધી તત્કાલ અમલમાં આવે તે રીતે સ્થગિત કરી દીધી છે. એનો અર્થ એ છે કે 30 સપ્ટેમ્બર સુધી જે પણ કપાસની આયાત ભારતમાં થશે તે કપાસ પર કેન્દ્ર સરકાર કોઈ વેરો ઉઘરાવશે નહિ. 

આની શું અસર થશે?

[1] કપાસની આયાત વધી જાય. તેમાં પણ અમેરિકન કપાસની આયાત વધુ વધે એમ પણ બને. 

[2] ભારતના કપાસની કિંમત બજારમાં ઘટી જાય કારણ કે બજારમાં કપાસનો પુરવઠો વધી જાય. 

[3] જિનિંગ અને પ્રેસિંગ મિલો ભારતના કપાસને બદલે વિદેશી કપાસ ખરીદે તો પણ ભારતના કપાસની કિંમત ઘટી જાય.

[4] કપાસની કિંમત બજારમાં ઘટી જાય તો ભારતના કપાસ ઉગાડનારા ખેડૂતોને ભારે મોટો ફટકો પડે.  

મોદીજીએ 15 ઓગસ્ટ 2025ના રોજ લાલ કિલ્લા પરથી ઉદ્દઘોષ કર્યો હતો કે “હું અમેરિકા સાથેના વેપારના કરારમાં ભારતના ખેડૂતોનું અહિત થવા નહીં થવા દઉં. ભલે મારે વ્યક્તિગત સહન કરવું પડે !” પાંચ જ દિવસમાં મોદીજીએ ટોપી ફેરવી ! ભારતના કપાસ પેદા કરનારા ખેડૂતોને નુકસાન થાય તેવું પગલું ભર્યું. મોદીજીને જે વ્યક્તિગત નુકસાન થવાનું હતું તે હવે નહિ થાય ! તેમને વ્યક્તિગત રીતે શું નુકસાન થવાનું હતું તે તો તેઓ જ જાણે! અમેરિકા સાથે હજુ વ્યાપાર સમજૂતી માટે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે જ આવું પગલું ભરવામાં આવ્યું છે તે આશ્ચર્યજનક છે. આયાત પરની જકાત સ્થગિત કરી દેવામાં આવી છે તે માત્ર અમેરિકાના કપાસ માટે જ નથી પણ અન્ય તમામ દેશોમાંથી થતી કપાસની આયાત પર હવે કોઈ વેરો ઉઘરાવવામાં નહિ આવે. એટલે કે અન્ય દેશોમાંથી થતી કપાસની આયાત પણ વધી શકે છે.

ભારત કપાસની જે આયાત કરે છે તેમાં બીજા ક્રમે અમેરિકા છે. ભારતમાં અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઈજીપ્તથી કપાસની આયાત થાય છે. 2023-24માં ભારતે 58 કરોડ ડોલરના કપાસની આયાત કરી હતી અને તે 2024-25માં 120 કરોડ ડોલરની થઈ હતી. આમ, 11 ટકા આયાત જકાત લાદવામાં આવતી હતી તેમ છતાં આયાત લગભગ બમણી થઈ ગઈ હતી. તો હવે આયાત પર જકાત છે જ નહિ તો કપાસની આયાત વધશે જ. એટલે આપણે કપાસની જરૂરિયાતની બાબતમાં આત્મનિર્ભર નથી તે વાત ચોક્કસ છે. 

ભારતે કપાસ પરની આયાત જકાત શૂન્ય કરી નાખી તેથી ફાયદો કોને થશે તે સમજવાની જરૂર છે. આયાત જકાત ઘટાડવા માટેની માગણી વસ્ત્રોની નિકાસ કરનારી કંપનીઓ કરતી હતી. તેનું કારણ એ હતું કે ભારતનાં વસ્ત્રોની નિકાસ પર અમેરિકામાં અત્યારે 60 ટકા જેટલી જકાત નાખી દેવામાં આવી છે કે જે એક મહિના પહેલાં 0 થી 5 ટકા હતી અને કેટલાંક કાપડવસ્ત્ર ક્ષેત્રોમાં તે 9.0થી 13.0 ટકા જ હતી. આને પરિણામે વસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ જો કપાસ સસ્તો આવે તો જ તેઓ નિકાસ કરી શકે એવી દલીલ કરી અને તેથી મોદીજીએ કપાસ પરની આયાત જકાત શૂન્ય કરી નાખી. એટલે આમાં કપાસ ઉગાડનારા ખેડૂતોની તો ચિંતા કરવામાં આવી જ નથી. સસ્તી આયાતથી કપાસના ભાવ બજારમાં ઘટી જશે તો ખેડૂતોનું કેટલું અહિત થશે તેની ચિંતા કેન્દ્ર સરકારે કરી નથી. જે ફાયદો થશે વસ્ત્રો પેદા કરનારા અને નિકાસ કરનાર મોટી કંપનીઓને થશે. 

નિકાસકારો એમ કહેતા હતા કે અમેરિકામાં જકાત વધી ગઈ એટલે અમેરિકન કંપનીઓએ તેમની આયાતના ઓર્ડર રદ્દ કરી નાખ્યા છે. એનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં ભારતનાં વસ્ત્રો પરની આયાત જકાત 60 ટકા જેટલી થઈ છે, પણ બાંગ્લાદેશ અને વિયેતનામના કપાસ પરની જકાત 20 ટકા જ છે અને ચીન પર તે 30 ટકા જ છે. આમ, ભારત વસ્ત્રોની નિકાસમાં આ ત્રણ દેશોની હરીફાઈમાં ટકી શકતું નથી. એટલે વસ્ત્રોની નિકાસ કરનાર કંપનીઓએ એવી દલીલ કરી કે જો તેમને કપાસ સસ્તો મળે તો 60 ટકા જેટલી જકાત હોય તો પણ ભારતનાં વસ્ત્રોની નિકાસ અમેરિકામાં થઈ શકશે. એટલે ભારત સરકારે કપાસ પરની આયાત જકાત સાવ જ કાઢી નાખી. જો કે, તેનાથી ભારતનાં વસ્ત્રોની નિકાસ અમેરિકામાં કેટલી વધે છે તે તો જોવાનું જ રહ્યું. કારણ કે બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીન પણ કંઈ મોઢું વકાસીને આ જોઈ તો રહે જ નહિ. તેઓ પણ તેમની વસ્ત્રોની નિકાસ વધારવા સબસિડી તેમની કંપનીઓને આપે એમ પણ બને.  

ભારતે અમેરિકાથી 2022માં 49 કરોડ ડોલર, 2023માં 22 કરોડ ડોલર અને 2024માં 21 કરોડ ડોલરની કપાસની આયાત કરી હતી. ભારત અમેરિકાથી જે ખેતપેદાશોની આયાત કરે છે તે આ વર્ષો દરમ્યાન અનુક્રમે 235 કરોડ ડોલર, 204 કરોડ ડોલર અને 238 કરોડ ડોલર હતી. એટલે કે ખેતપેદાશોની અમેરિકાથી થતી કુલ આયાતમાં કપાસની આયાતનો ફાળો લગભગ 10મા ભાગનો જ છે. પણ આયાત જકાત ઘટાડવામાં આવી છે તેનાથી હવે અમેરિકાથી થતી કપાસની આયાત વધી શકે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ધમકીઓ આપવામાં આવેલી તેની અસર ભારતમાં થઈ રહી છે. ટ્રમ્પ દ્વારા ભારત ખેતપેદાશોની આયાત પરની જકાત ઘટાડે એવી માગણી કરવામાં આવેલી અને તેની શરૂઆત મોદીજીએ કપાસની આયાત પરની જકાત દૂર કરીને કરી છે.

અમેરિકા તેના ખેડૂતોને ભારે સબસિડી આપે છે. તેમાં પણ કપાસ પેદા કરનારા ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ભારે ચર્ચાનો વિષય રહી છે. 2022માં અમેરિકન સરકાર 44 કરોડ ડોલરની સબસિડી તેના કપાસ પકવતા ખેડૂતોને આપતી હતી કે જે 2021માં 85 કરોડ ડોલર હતી. જો કે, 2000માં એ સબસિડી 250 કરોડ ડોલર જેટલી હતી. આમ, અમેરિકાએ કપાસ પેદા કરતા ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી છે ખરી પણ તે હજુ ભારતની તુલનાએ તો બહુ જ છે. 2024નો આંકડો એમ કહે છે કે અમેરિકન સરકારે ત્યાંના કપાસ પેદા કરનારા ખેડૂતોને 100 કરોડ ડોલરની સબસિડી આપી હતી. અમેરિકામાં માત્ર 16,100 ખેતરોમાં કપાસ પાકે છે અને તેમને આ સબસિડી આપવામાં આવી છે. એટલે કે એક ખેતર દીઠ 62,112 ડોલરની સબસિડી મળી. આ રકમ ભારતના રૂપિયામાં અત્યારે રૂ. 54 લાખ થાય ! 

ભારત સરકાર અને રાજ્ય સરકારો રોકડ રકમ સહિત જે સબસિડી ખેડૂતોને આપે છે તે ખેડૂતદીઠ રૂ. 40,000થી વધુ નથી. તેમાં વીજળી, પાણી, ખાતર અને મશિનરી વગેરે બધાંમાં આપવામાં આવતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સબસિડીનો સમાવેશ થઈ જાય છે. અમેરિકામાં કપાસ પેદા કરનારા ખેડૂતોના ખેતરનું સરેરાશ કદ 73થી 187 એકર છે. જ્યારે ભારતમાં 92 ટકા ખેડૂતો પાસે 5 એકરથી ઓછી જમીન છે. હવે અમેરિકાના ખેડૂત સાથે ભારતના ખેડૂતને હરીફાઈ કરવાનું કહેવામાં આવે છે ! સાચી હરીફાઈ થાય ખરી? આમ, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ પણ માંદો થાય, એવો ઘાટ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકાના કપાસ પરની જે આયાત જકાત દૂર કરી નાખી છે તે આઘાતજનક છે. કપાસના ખેડૂતોની ‘ડબલ’ આત્મહત્યા ન થાય તેની ચિંતા મોદીજીને નહીં થતી હોય?

મોદીજીની એક ખાસિયત એ છે કે તેમની કથની અલગ છે અને કરણી અલગ છે. બોલે કંઈ અને કરે કંઈ ! નિકોલની સભામાં સ્વદેશી / વોકલ ફોર લોકલ / આત્મનિર્ભર ભારતની વાત રાત્રે ભૂલી ગયા અને બીજે દિવસે પહોંચ્યા જાપાની કંપની સુઝુકીના હાંસલપુર પ્લાન્ટમાં BEV-બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ`ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવવા ! મોદીજીએ કહ્યું હતું : “રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે !”આને કહેવાય કાછડી ખેંચી પાઘડી બાંધવાનું કામ ! 1947 પહેલાં ભારતીયો પરસેવો જ પાડતાં હતા ! ટોપી ફેરવનારને કઈ રીતે પહોંચવું? 

[સૌજન્ય : હેમંતકુમાર શાહ]
27 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાનૂન : ગીતો વગરની પહેલી ફિલ્મ, જેણે મૃત્યુદંડ સામે સવાલ કર્યો હતો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 August 2025

રાજ ગોસ્વામી

સિનેમાના ઇતિહાસમાં, 1950નો અને 1960ની શરૂઆતનો દાયકો ફિલ્મી સંગીતનો સુવર્ણયુગ કહેવાય છે. તે વખતે ફિલ્મોમાં ગીતોનું રાજ હતું. એક ફિલ્મમાં આઠ-આઠ ગીતો હોવાં સામાન્ય વાત હતી. એક ફિલ્મ ‘બૈજુ બાવરા’માં 17 ગીતો હતાં. ‘જોગન’ ફિલ્મમાં 15 હતાં. 

તે વખતે એક તરફ કે.એલ. સાયગલ, ખુર્શીદ, સુરૈયા, નુરજહાં જેવા ‘સિંગિંગ સ્ટાર’ પણ હતાં, જે ખુદ ગાતાં હતાં અને ખુદ અભિનય પણ કરતાં હતાં, તો બીજી તરફ શંકર-જયકિશન, મદન મોહન અને ઓ.પી. નૈયર જેવા સંગીતકારો હતા જે એક પછી એક મધુર ગીતો પેદા કરતાં હતા. 

તે વખતે ફિલ્મો સંગીતની આસપાસ બનતી હતી, કારણ કે દર્શકો ગીતોનાં કારણે થિયેટરમાં ખેંચાતા હતા. જે વખતે કોઈ નિર્માતા-નિર્દેશક ગીત-સંગીત વગર ફિલ્મનો વિચાર પણ કરી શકતા નહોતા, ત્યારે બલદેવ રાજ ચોપરા ઉર્ફે બી.આર. ચોપરાએ ગીત વગરની પહેલી હિન્દી ફિલ્મ ‘કાનૂન’ બનાવીને પરંપરાને તોડી. એટલું જ નહીં, તેમણે એ પણ સાબિત કર્યું કે વાર્તામાં જો દમ હોય તો ગીતો વગર પણ ફિલ્મ હિટ જઈ શકે છે.

બી.આર. ચોપરા સાહસિક અને પ્રયોગશીલ ફિલ્મ સર્જક હતા. તેમણે ‘અફસાના,’ ‘નયા દૌર,’ ‘ધૂલકા ફૂલ,’ ‘ગુમરાહ’ અને ‘હમરાઝ’ જેવી નવા વિષયોવાળી ઘણી ફિલ્મો બનાવી હતી. ‘કાનૂન’ તેમની નવમી ફિલ્મ હતી. આ ફિલ્મ આવી તે વખતે મુઘલે-આઝમ, કોહિનૂર, ગંગા-જમુના, જંગલી, જબ પ્યાર કિસી સે હોતા હૈ, હમ દોનો જેવી ફિલ્મોનાં ગીતો ધૂમ મચાવી રહ્યાં હતાં.

વાત તો એવી પણ છે કે ચોપરા સાહેબ જર્મન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં એક વિદેશી મહેમાને એવી ટિપ્પણી કરી હતી કે ભારતની ફિલ્મોમાં ગીતો સિવાય કશું હોતું નથી. એટલે ચોપરા સાહેબને તેમાં એક પ્રકારની ચેલેન્જ દેખાઈ હતી. 

માત્ર એટલું કારણ પણ નહીં જ હોય. તેમને ‘કાનૂન’ની પટકથામાં પણ એટલો જ ભરોસો હશે. ફિલ્મ સસ્પેન્સ-થ્રિલર હતી, એટલે તેમાં ગીતોની આમ પણ જરૂર નહોતી. નામ પરથી સ્પષ્ટ છે તેમ ફિલ્મનો વિષય કાનૂન હતો.

આ ફિલ્મમાં એક પણ ગીત નહોતું એ તો નવાઈની વાત હતી જ, તેમાં તેમણે પહેલીવાર મૃત્યુદંડની જોગવાઈના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યો હતો. ફિલ્મ એક સવાલ પર શરૂ થતી હતી – એક માણસને એક અપરાધ માટે બે વાર સજા થઇ શકે? (વર્ષો પછી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અંધા કાનૂન’માં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો). તે પછી ફિલ્મ સંયોગિક પુરાવાઓની સચ્ચાઈ પર દલીલો પેશ કરે  છે અને અંતે મૃત્યુદંડ સામે પ્રશ્નાર્થ કરે છે.

ફિલ્મમાં, ગણપત નામના માણસનું ખૂન થઇ જાય છે. તેના હત્યારા કાલિદાસ(જીવણ)ની, જે દસ વર્ષની સજા ભોગવીને હમણાં જ જેલમાંથી બહાર આવ્યો છે, આ હત્યા બદલ ધરપકડ થાય છે. તેને જજ બદરી પ્રસાદ(અશોક કુમાર)ની અદાલત સમક્ષ પેશ કરવામાં આવે છે. તે જજ સામે અપરાધ કબૂલ કરે છે, પણ દલીલ કરે છે કે અદાલત તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. કેમ? કારણ કે તેણે આ જ માણસની હત્યા બદલ સજા ભોગવી લીધી છે.

કાલિદાસ તે પછી અદાલત સમક્ષ તેની વાર્તા કહે છે. દસ વર્ષ અગાઉ, ગણપતની હત્યા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે તેણે તેની નિર્દોષતા બૂમો પાડીને જાહેર કરી હતી, પણ કોઈએ તેને સાંભળ્યો નહોતો. તેણે જેલના સળિયા પાછળ દસ વર્ષ ગુમાવ્યાં એટલું જ નહીં, તેની પત્ની (લીલા ચિટનીસ) અકાળે વૃદ્ધ થઇ ગઈ. શું કાનૂન આ નુકશાની ભરપાઈ કરશે? અને જો ના, તો તેણે તેનો આ સમય કેમ છીનવી લીધો? કાલિદાસ કઠેડામાંથી આદૃસ્વરે તેની આપવીતી કહે છે અને જજની સામે જ ફસડાઈ પડીને મૃત્યુ પામે છે.

આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બને છે. બે જજ ઝા (દિવાન શરાર) અને સાવરકર (ઈફ્તેખાર) આ કેસની ચર્ચા કરે છે. ક્યારે ય મૃત્યદંડની સજા ન સંભળાવનારા જજ પ્રસાદ બંને સહયોગીઓ સાથે આ બાબત દલીલો કરે છે. બદરી પ્રસાદ કહે છે કે કાનૂન જો માણસને જીવતો ન કરી શકે, તો તેને તેનો જીવ લેવાનો હક નથી. ઝા કહે છે કે મૃત્યુદંડના ડર વગર અપરાધ પર લગામ કસવી અઘરી છે.

તેમની વચ્ચેનો વાદ-વિવાદ ઝાની એક વિચિત્ર શરત પર આવીને અટકે છે – ઝા કહે છે કે બદરી પ્રસાદ ખૂન કરીને જો કાનૂનના હાથથી બચી જાય તો તે તેમનો આખો પગાર હારી જશે.

ફિલ્મ અહીંથી વળાંક લે છે. બદરી પ્રસાદની એક દીકરી છે, મીના (નંદા) . તેના વિવાહ એક યુવાન વકીલ કૈલાશ (રાજેન્દ્ર કુમાર) સાથે થયેલા છે. બદરી પ્રસાદનો દીકરો વિજય (મહેમૂદ) ધનીરામ (ઓમ પ્રકાશ) નામના શ્રોફ પાસેથી મોટી ઉધારી લે છે અને પછી કૈલાશને વિનવણી કરે છે કે તે તેને દેવામાંથી ઉગારે.

કૈલાશ ધનીરામને મળવા જાય છે અને તેના આઘાત વચ્ચે તે જજ બદરી પ્રસાદને ધનીરામનું ખૂન કરતા જોઈ જાય છે. જજ ત્યાંથી જતા રહે છે અને એ ખૂન માટે એક મામુલી ચોર(નાના પલસીકર)ને પકડવામાં આવે છે. કૈલાશ હવે આ નિર્દોષ માણસને બચાવવા માટે કમર કસે છે. એની સામે નૈતિક સંકટ છે; સસરાનો પક્ષ લેવો કે કાનૂનનો?

ચોપરા સાહેબે બી.આર. ફિલ્મ્સની પરંપરા હતી તે પ્રમાણે સામાજિક મુદ્દા પર ફિલ્મ બનાવી હતી અને તેમાં તેમને ગીતો અડચણરૂપ લાગ્યાં હતાં, પરંતુ તેમણે તેમના વિતરકોને આ ફિલ્મ પહેલાં બતાવી હતી. વિતરકોને ફિલ્મનો જકડી રાખતો કોર્ટરૂમ ડ્રામા પસંદ આવ્યો હતો અને તેમણે ચોપરા સાહેબને કહ્યું હતું કે ફિલ્મમાં કોઈ ગીત ઉમેરતા નહીં. જો કે અંદરથી ચિંતિત ચોપરા સાહેબે છેલ્લી ઘડીએ દર્શકોને ‘રાહત’ આપવા માટે એક બેલે ડાન્સનો ઉમેરો કર્યો હતો. 

એવું જ અમિતાભ બચ્ચનની ‘ડોન’ ફિલ્મમાં પણ થયું હતું. એમાં બીજા ભાગમાં કોઈ ગીત નહોતું. નિર્દેશક ચંદ્રા બારોટે તેમના ગુરુ મનોજ કુમારને ફિલ્મ બતાવી, તો ‘ભારત કુમારે’ કહ્યું હતું કે ઇન્ટરવલ પછીની ફિલ્મમાં ‘લૂ બ્રેક’ નથી! તે વખતે ગીતો એટલા માટે મુકવામાં આવતાં હતાં કારણ કે દર્શકો બાથરૂમમાં જઈને સિગારેટ પી શકે!

મનોજ કુમારના આ સૂચન પછી ‘ડોન’માં ‘ખઈ કે પાન બનારસ વાલા …’ ઉમેરવામાં આવ્યું હતું. એ ગીત લૂ બ્રેક ના બન્યું. ઊલટાનું, દર્શકો એ ગીત જોવા માટે જ થિયેટરમાં આવતા હતા અને આમ ‘ડોન’ની સફળતામાં પાન-ગીતે મોટી ભૂમિકા ભજવી હતી.

‘કાનૂન’માં ગીત નહીં મૂકીને ચોપરા સાહેબે પણ જુગાર જ ખેલ્યો હતો, અને તે તેમાં સફળ રહ્યા હતા. ‘કાનૂન’ ફિલ્મે ઇતિહાસ રચ્યો. એ પછી બી.આર. ફિલ્મ્સે રાજેશ ખન્ના અને નંદાને લઈને વધુ એક ગીત વગરની ફિલ્મ ‘ઇત્તેફાક’ બનાવી હતી. તે ઉપરાંત, ઘણા ફિલ્મ સર્જકોને ‘કાનૂન’ની સફળતા જોઇને કોર્ટરૂમ ડ્રામા આધારિત ફિલ્મો બનાવવાની પ્રેરણા મળી હતી.

બી.આર. ચોપરા એવા મુઠ્ઠીભર સર્જકોમાંથી એક હતા જેમણે હિન્દી સિનેમાના મૂંગા દૌરને પણ જોયો હતો અને બ્લેક એન્ડ વ્હાઈટમાંથી રંગીન બની તે પણ જોયું હતું. તેઓ અલગ રીતની ફિલ્મો બનાવતા હતા અને એટલે જ તેમને દિગ્ગજ કહેવામાં આવે છે.

(પ્રગટ ‘સુપરહિટ’નામક લેખકની સાપ્તાહિક કોલમ’, “સંદેશ”; 27 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...161162163164...170180190...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved