Opinion Magazine
Number of visits: 9570247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—130

દીપક મહેતા|Opinion - Opinion|29 January 2022

અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ

રેડિયો માટે છ હજાર કરતાં વધુ કાર્યક્રમ લખ્યા અને ભજવ્યા

જ્યારે ગોવિંદજીના પાત્રને મારી નાખ્યા પછી સજીવન કરવું પડ્યું

‘અદુલી, ટું આંય સું કરે ચ!’ આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે જન્મ.

મોટા દિલના મોટા બાવા અદી મર્ઝબાન

દાયકાઓ પહેલાંની વાત છે. બોરીબંદર કહેતાં વી.ટી. નજીક એક્સેલસિયર થિયેટર. ૧૮૮૭માં નાટકો ભજવવા માટે શરૂ થયેલું. એ થિયેટરમાં અદી મર્ઝબાને એક હરીફાઈ યોજેલી. નિર્ણાયક તરીકે બોલાવેલા ચંદ્રવદન મહેતાને. અદીએ પોતે તેમાં કરુણ રસથી છલકાતું ‘માયની માયા’ નામનું નાટક રજૂ કર્યું અને પહેલું ઇનામ જીત્યા. થોડા દિવસ પછી અદી પહોંચ્યા ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશન પર. જઈને કહે કે મારે મળવું છે ચંદ્રવદન મહેતાને. એ વખતે સી.સી. સ્ટાફ મિટિંગમાં. પણ મળવા બહાર ગયા. અદીની સીધી વાત : ‘મારે રેડિયો પર પ્રોગ્રામ કરવો છે.’ ‘ઠીક અદીભાઈ. ‘ટાંકણીની અણી’ પર પંદર મિનિટનો સ્કેચ લખી લાવો. ભજવવાની ગોઠવણ થઈ જશે. બીજે દિવસે સવારે સી.સી. રેડિયો સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટેબલ પર પડેલું ‘ટાંકણીની અણી,’ બરાબર પંદર મિનિટ ચાલે એવું હાસ્ય ભરપૂર રેડિયો રૂપક. આ વાત ૧૯૪૦ની. ત્યારથી ૧૯૮૫ સુધીમાં અદીએ ઓલ ઇન્ડિયા રેડિયો માટે પુષ્કળ લખ્યું, ભજવ્યું. સરવાળો માંડો તો છ હજાર કરતાં વધુ પ્રોગ્રામ થાય!

‘લાઈવ પ્રોગ્રામ’ના જમાનામાં જે લખાયું-ભજવાયું તેમાંનું ઘણું ખરું હવામાં ઊડી ગયું. અદીના કાર્યક્રમો એમાં અપવાદ. તેમની બીજી ઓળખાણ તે ‘જામે જમશેદ’ અખબારના માલિક-તંત્રી. એટલે પોતાની એકેએક સ્ક્રિપ્ટ જેવી લખાય કે તરત જાય કમ્પોઝ કરવા. ભાગ લેનારા દરેક કલાકારના હાથમાં છાપેલી સ્ક્રિપ્ટ હોય. રેડિયો સાચવે કે ન સાચવે, અદીએ એકેએક સ્ક્રિપ્ટ સાચવી રાખી. તેઓ બેહસ્તનશીન થયા પછી એ ખજાનો એન.સી.પી.એ.ને સોંપાયો જ્યાં આજે પણ તે સુરક્ષિત છે.

જૂનું એક્સલસિયર થિયેટર

અદીનો બીજો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. અદીએ પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું.

પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતા પૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪માં કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું.

પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટી.વી.. અને પહેલા જ દિવસથી અદી ટી.વી.ના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટી.વી. પર પણ છવાઈ ગયો.

લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર હપ્તે આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સી.સી. અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું.

અદી અને સિલ્લા મર્ઝબાન

પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બી.બી.સી. રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સી.સી.એ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સી.સી. કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઈ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો.

અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા સીધા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. ૧૮૨૨માં પહેલવહેલું ગુજરાતી અખબાર શરૂ કરનાર ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે.

અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલના મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : ‘શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.’ પણ અદીબાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારે ય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રેડિયો અને રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું.

*

બે વર્ષા: નીચેવાળી અને ઉપરવાળી

ઓલ ઇન્ડિયા રેડિયો અંગેના લેખો માટે જે પ્રતિભાવો મળ્યા તેમાંથી બે : ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશનથી ચાલતાં માંડ પાંચ-સાત મિનિટ દૂર આવેલું એક મકાન, નામે ગુલબહાર. આજે પણ અડીખમ ઊભું છે. એક જમાનામાં તેમાં એક નહિ, બે વર્ષા રહે. અડોશીપડોશી તેમને ઉપરવાળી વર્ષા અને નીચેવાળી વર્ષા તરીકે ઓળખે. ‘ઉપરવાળી’ તે જાણીતાં પત્રકાર-લેખક લાભુબહેન મહેતા અને મોહનભાઈ મહેતા ‘સોપાન’ની દીકરી વર્ષા મહેતા (હવે દાસ). અને બીજી તે અગ્રણી લેખક ગુણવંતરાય આચાર્યની દીકરી વર્ષા આચાર્ય (હવે અડાલજા). બંને કોલેજ-કાળથી આ લખનારની મૈત્રિણીઓ. (બંને વર્ષાનો અહીં મૂકેલો ફોટો ‘નીચેવાળી’ વર્ષાના સૌજન્યથી.) દિલ્હીથી વર્ષા દાસ લખે છે : મેં child artist તરીકે 'લોહીની સગાઈ' નાટકમાં  ભાગ લીધેલો. વસુબહેન દિગ્દર્શક, દીનાબહેન ગાંધી મારી મા અને હું એમની મૂંગી દીકરી . મારે તો મોઢેથી જાતજાતના અવાજો જ કાઢવાના હતા. રેકોર્ડિંગ પૂરું કરીને પછી ડ્યૂટી રૂમમાં જવાનું ને ત્યાં બેઠેલાં એક પારસી કે ક્રિશ્ચિયન બહેને એક કાગળ પર મારી સહી લીધી ને મને પાંચ રૂપિયાની કડકડતી નોટ આપી. મારી આ પહેલી કમાણીથી હું તો રાજી રાજી. ઓલ ઇન્ડિયા રેડિયોનું મકાન ઘરની નજીક જ હતું . હું તો દોડતી, કૂદતી ઘરે આવી અને રુઆબભેર એ પાંચ રૂપિયા બાના હાથમાં મૂક્યા!  એ આખો પ્રસંગ મને આજે, ૭૯ વર્ષની ઉંમરે પણ યાદ છે. તમારો લેખ વાંચીને  યાદ તાજી થઈ! 

તો વર્ષા અડાલજા લખે છે : મારું ઘર રેડિયો સ્ટેશનની બાજુમાં એટલે પપ્પા પાસે લખાવવા ગિજુભાઈ જાતે જ આવે. હું રેડિયો પર એનાઉન્સર હતી ત્યારે મને ખૂબ આગ્રહ કરેલો એક્ઝામ આપવા માટે જેથી હાયર કાયમી પોસ્ટ મળે. પણ બદલી થવાના ડરથી મેં પરીક્ષા ન આપી. ભવનની એક નાટ્યસ્પર્ધામાં અમે સાથે જજ હતાં, અમારા ઇનામના નિર્ણયથી વિદ્યાર્થીઓ  ગિન્નાયા અને ટોળું તોફાને ચડ્યું ત્યારે આગ્રહપૂર્વક મને પાછલે બારણેથી ભગાડી અને ગિજુભાઈ ફેસ્ડ ધ મ્યુઝીક.

હવે આપણે પણ રેડિયોના પાછલે બારણેથી નીકળીએ અને જઈએ … ક્યાં? ધીરી બાપુડિયાં. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 જાન્યુઆરી 2022

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (23)

સુમન શાહ|Opinion - Opinion|29 January 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક -4 : આન્તરક્રિયાઓ :

સાર્ત્રના દર્શનમાં, ‘હું’ અને ‘વસ્તુ’ પછીનું બીજું મહત્ત્વનું કેન્દ્ર છે : તે એ કે ચેતના એકથી વધુ સત વચ્ચે સંભવતી આન્તરક્રિયાઓને, લૅણાદેણીને કે આદાનપ્રદાનને ધારણ કરે છે.

એક ‘હું’ જ્યારે બીજા ‘હું’-ના સમ્પર્કમાં મુકાય છે ત્યારે એમાં જવાબદાર વસ્તુઓ બે હોય છે – the gaze, એટલે કે, નજર અને the other, એટલે કે, અન્ય.

સાર્ત્ર અનુસાર, અન્યની નજર માણસને પરાયાપણાનો અનુભવ કરાવે છે. આપણને કોઈ નિહાળી રહ્યું છે એ વાત આપણી ચેતનાને નકારે છે, એટલું જ નહીં, એ વાતનું કારણ બને છે કે આપણા શરીરના બીજા ભાગોની પણ આપણે ચિન્તા કરીએ. વળી, આપણને નિહાળતા એ અન્યને આપણે આપણાથી ચડિયાતો ગણવાને મજબૂર બની જઈએ છીએ. એની નજરથી સરજાતા નિર્માનવીકરણને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણને વસ્તુપદાર્થ ગણી કાઢતી એ નજરને સહી લઈએ છીએ.

તે વખતે આપણે એનું શરણ સ્વીકારવાને તેમ જ એને પણ વસ્તુપદાર્થ ગણી લેવા માટે સભાન અને મુક્ત હોઇએ છીએ. આમ, સમ્બન્ધને ઉલટાવીએ છીએ, સમ્બન્ધની અદલબદલ કરી નાખીએ છીએ.

સાર્ત્રનું એમ કહેવું સાચું છે કે સમાજમાં આમ અવારનવાર બનતું હોય છે. એથી દમન જન્મે છે. બે એકદમનાં સાફ દૃષ્ટાન્તો : એક તો, જાતિદ્વેષને કારણે જન્મેલી ગુલામીપ્રથા અને બીજું, નારી તેમ જ નારીસમાજ પ્રત્યેની પૈતૃક સત્તાના વારસદાર પુરુષોની વર્તણૂકો.

મને થાય, અસ્તિત્વવાદીઓને જો હિન્દુ વર્ણવ્યવસ્થાની અને તેમાંથી પ્રગટેલી અસ્પૃશ્યતાવિષયક ઘાતક માનસિકતાની તેમ જ દલિત-પીડાની જાણ હોત તો એમણે એ દૃષ્ટાન્તોને પણ આમાં ઉમેરી લીધાં હોત …

Pic courtesy : WectorStock

સાર્ત્રની આ વાતને એક કાલ્પનિક પણ સંભાવ્ય દૃષ્ટાન્તથી સમજીએ. દૃષ્ટાન્ત એમની વાતને તન્તોતન્ત નથી અનુસરતું એની મને ફૉમ છે :

સાર્ત્ર કહે છે કે —

૧:

આપણને આપણી જાણ ત્યારે જ થાય છે જ્યારે અન્ય કોઈ આપણને જાણવા કે અનુભવવા કરે છે. આપણે વસ્તુમય થઈ જઈએ છીએ જ્યારે અન્ય કોઈ આપણને એ રીતે નિહાળે છે. ‘હું’ એક અન્ય ‘હું’ સાથે જોડાય, સમ્બન્ધ ઊભો થાય, ત્યારે જ આપણે મનુષ્યો આપણી જાત વિશે સભાન થઈએ છીએ.

દાખલા તરીકે, રમા એક બીજી રમા સાથે સૅક્સ્યુઅલ કનેક્શન અનુભવે ને જોડાય તો એમની વચ્ચે સંભવ છે કે હોમોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. પહેલી રમાને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું બીજી રમાને પણ થાય.

ધારો કે, એ પ્રકારે, રમા રામ સાથે જોડાય તો એમની વચ્ચે હીટરોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. રમાને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું રામને પણ થાય.

ધારો કે, એ પ્રકારે, રામ એક બીજા રામ સાથે જોડાય તો એમની વચ્ચે હોમોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. રામને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું બીજા રામને પણ થાય.

૨:

જ્યાંલગી અન્યની નજર – gaze – આપણા પર પડે નહીં, જ્યાં લગી એ નજરનો સામનો ન કરવો પડે, જ્યાં લગી આપણે અન્ય વડે watch ન થઈએ, ત્યાં લગી આપણને આપણી પોતાની હાજરી નથી અનુભવાતી.

(હું માત્ર હીટરોસૅક્સ્યુઅલ રીલેશનની જ ચર્ચા કરું.) : હવે રમા સામે જ રમા હાજર થઈ ગઈ છે કેમ કે રામની એના પર નજર મંડાઈ છે. એ ક્ષણથી રમા પોતાની જાતને જોતી-તપાસતી થઈ ગઈ છે. રમાને થયું છે કે હવે તો રામ એનો ચૉકી-પ્હેરો પણ કરે છે – પ્રેમનો માર્યો કે શંકાનો માર્યો.

૩:

અન્યની નજર બધું વસ્તુમય કરી મૂકે છે.

હવે રમા પોતાથી અલગ એવી રમાને જોવા લાગી છે, પોતાથી જુદી; જાણે પોતે કશી વસ્તુ છે – પ્રેમમૂર્તિ. એને થયું કે – રામ જો પોતાને સાહી લેશે, આલિંગશે, ચૂમશે, તો પોતે જાતને ધરી રહેશે ને એમ થવા દેશે.  

૪:

પરન્તુ, પરિણામે, આપણે આપણા અસ્તિત્વથી વંચિત થઈ જઈએ છીએ, એટલું જ નહીં, શીખવા માંડીએ છીએ કે આપણી આત્મ-ઓળખ કેવીક તો મિથ્યા છે.

રમા અને રામ બન્નને કોઈ સમયે તો એવું લાગે જ છે કે પોતે પોતાને ઓળખી શક્યાં નથી, પોતે છે પણ નથી, પ્રેમ-ફ્રેમ બધું મિથ્યા છે

૫:

સાર્ત્ર આ મુદ્દાને વિકસાવતાં એટલે લગી કહે છે કે એક સત તરીકે, એક ઍજન્સી કે એક કલ્પના તરીકે, ‘હું’ નક્કર પાયા વિનાનું બની જાય છે ને શૂન્યતા અનુભવે છે.

જેમ કે, આ દાખલામાં, રામને રમા સાથે જોડાયા પહેલાંનો રામ યાદ નથી આવતો બલકે તે પછીના પ્રેમી રામને પોતે સતત અનુભવે છે, પણ ડરે છે. કેમ કે, શું થશે-ની શૂન્યતા એને ઘેરી વળે છે. એને થાય છે, પોતે જો રમાને પોતાનામાં ભેળવી દે તો બધું બરાબર થાય. એવું એ ત્યારે જ કરી શકે જ્યારે એ રમાને ભલે સ્ત્રીસ્વરૂપા પણ એક વસ્તુ સમજે અને એમ ગણીને એને વાપરવા માંડે.

એવો જ ડર, એવી જ શૂન્યતા રમાને પણ થાય. રમા પણ રામને પુરુષસ્વરૂપ વસ્તુ ગણીને વાપરવા માંડે.

૬:

સાર્ત્ર કહે છે કે તેમ છતાં, ‘વસ્તુ’ કદી પણ કબજે તો થતું જ નથી.

કેમ કે રમા કે રામ વળી પાછાં પોતાનાં સ્વાતન્ત્ર્યને પાછાં મેળવે છે, જે એમણે એકબીજાં માટે જતાં કરેલાં. વસ્તુત્વમાંથી એ બન્ને પોતાનાં વ્યક્તિત્વમાં આવી જાય છે. આપણી આસપાસમાં આપણે કેટલીયે ઘટનાઓ જોઈએ છીએ જેમાં પ્રેમસમ્બન્ધે જોડાયેલાં કે અરે લગ્નાયેલાં પણ સમ્બન્ધને ફગાવી દે છે ને પોતામાં પાછાં ચાલી જાય છે. સ્વાતન્ત્ર્યની પુન:પ્રાપ્તિ, એક પાયાનું મનુષ્યલક્ષણ છે.

* *

સતને સાર્ત્ર અસ્તિત્વની સમ્પૂર્ણતા ગણે છે. તેથી ચેતના એમને જ્ઞાન અને અર્થહીનતાનો નિરર્થક જથ્થો ભાસે છે. એમનું દૃઢ મન્તવ્ય છે કે વિશ્વમાં ચેતના ‘હું’ દ્વારા દાખલ થઈ શકે છે અને એની સાથોસાથ, શૂન્યતા અને નકાર પણ દાખલ થાય છે. ચેતના એ છે જે વિશ્વને હોવા-રહેવા દે છે ! ચેતના નહીં હોય તો વસ્તુઓ નહીં હોય, વૃક્ષો નહીં હોય, નદીઓ નહીં હોય, અને ખડકો નહીં હોય. હશે માત્ર સત. ચેતના હમેશાં સ-હેતુક હોય છે. એટલે કે, ચેતના હમેશાં કશાકને વિશેની ચેતના હોય છે.

સાર્ત્રની ઑન્ટોલૉજી અનુસાર, શું નથી એને જાણ્યા પછી જ ચેતના જાણે છે કે પોતે ‘વસ્તુ’ નથી, અને એ રીતે જેને જાણે છે તે એક શૂન્યતા છે – સતનું ન હોવું. તેમ છતાં, સાર્ત્ર-દૃષ્ટિમાં ‘હું’ કશું નથી, એ ત્યારે જ હોય છે, જ્યારે એ સતના સમ્બન્ધમાં મુકાય છે. એ રીતે એ એક પ્રકારનું is છે, હોવું છે.

એમનું કહેવાનું એમ થાય છે કે ‘હું’ એક શૂન્યતા છે, અભાવ છે. એ ‘હું’ અન્યો વડે નિર્માનવીકરણ પામેલું છે, ને વળી, એના પોતાથી પણ છેતરાયેલું છે. પણ સાર્ત્ર સતત એમ પણ ઘૂંટે છે કે ‘હું’ મુક્ત છે, પારદર્શક છે, ચેતના છે; એટલે સુધી કહે છે કે વિશ્વને ‘હું’ ઘડે છે !

આમ, સાર્ત્રનો આ શાસ્ત્રાર્થ વિવાદાત્મક બની રહે છે અને સરવાળે ચર્ચાને નિરાશાભરી કરી મૂકે છે …

મનુષ્યજીવનની ઑન્ટોલૉજી અંગેનાં આવાં બે દેખીતાં અસમાધાનકારી વર્ણનોનો સાર્ત્ર કશો ગળે ઊતરે એવો ખુલાસો નથી આપતા, એ એક કોયડો છે. અલબત્ત, કશા ફિલસૂફીપરક ઉપસંહાર પર ન જવું એ એમનું અનેકશ: ઈરાદાપૂર્વકનું વર્તન છે, છતાં, એ બન્નેને જાળવી રાખવાં, એ એમની અંગત શૈલી રહી છે, એટલું જ નહીં, અસ્તિત્વવાદની પણ કહેણી – maxim – એ રહી છે કે એવો કોઈ સિદ્ધાન્ત નથી જે સાર્વત્રિક હોવાનો દાવો કરી શકે.

મારે આમાં કેટલીક વીગતો ઉમેરવી જોઈએ :

સામાન્યપણે ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સ એટલે કે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ પણ હ્યુસેર્લ, હાઈડેગર અને સાર્ત્ર એને એમ નથી ગણતા. સાર્ત્રને મન ઑન્ટોલૉજી વર્ણનાત્મક છે, વર્ગો રચી આપે છે; જ્યારે, અધ્યાત્મવિદ્યા મનુષ્યોનાં મૂળ વિશે, તેમનાં જીવનસાધ્ય વિશે, તેમ જ વિશ્વ સમગ્ર વિશે કેટલાંક નિરૂપણો પીરસે છે.

હ્યુસેર્લ અને હાઈડેગરની જેમ સાર્ત્ર પણ ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સથી જુદી ગણે છે. ‘ઑન્ટોલૉજી’ માટે ભલે હું ગુજરાતી પર્યાયવાચી સંજ્ઞા હાલ ને હાલ નથી રચી શકતો, પણ કહી તો શકું છું કે એ સતને વિશેનું – બીઈન્ગને વિશેનું – હોવાપણાને વિશેનું – અધ્યયન છે. બીઈન્ગ સાથે જોડાયેલાં બીકમિન્ગ, ઍક્ઝિસ્ટન્સ અને રીયાલિટીનું, એટલે કે, સત સાથે જોડાયેલાં થવાપણું, અસ્તિત્વ અને વાસ્તવિકતાનું એ અધ્યયન છે.

સાર્ત્રે ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફિનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’. મતલબ, એમને આવિષ્કારોનું અધ્યયન રચવું છે. ટૂંકમાં, સાર્ત્રની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.

(હવે પછી, the Other વિશે)

= = =

(January 29, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

પદ્મ પુરસ્કારોનો અસ્વીકાર યોગ્ય ખરો?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 January 2022

દર વર્ષે પ્રજાસત્તાક પર્વે પદ્મ પુરસ્કારોની જાહેરાત સરકાર દ્વારા થતી હોય છે ને યોગ્ય વ્યક્તિ સુધી સરકારનું સન્માન પહોંચે એવો આશય તેમાં હોય છે. સરકાર દ્વારા યોગ્ય વ્યક્તિની કદર થાય અને તેને યોગ્ય રીતે પોંખવામાં આવે એ ઉપક્રમની સરાહના જ કરવાની રહે. વર્ષમાં એક વાર પદ્મ પુરસ્કારો જાહેર થાય છે એમાં જાણી જોઈને તો કોઈ નબળી વ્યક્તિનું સન્માન કરવાની ગણતરી ન જ હોય, પણ સરકાર સુધી નબળી વ્યક્તિ પણ પહોંચતી હોય એ સાવ અશક્ય તો નથી. ભલામણ યોગ્ય વ્યક્તિની ન પણ થાય ને એવે વખતે અયોગ્ય વ્યક્તિ પણ પુરસ્કાર સુધી પહોંચે એમ બને, પણ હેતુ તો યોગ્યની કદર કરવાનો જ છે તે વાત ભૂલવા જેવી નથી. એવું પણ બનવા સંભવ છે કે યોગ્ય વ્યક્તિની કદર યોગ્ય સમયે ન થાય ને જ્યારે થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય, તે છતાં મોડું તો મોડું સન્માન યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તો તેનો ઉદાર હૃદયે સ્વીકાર કરીને વ્યક્તિ પોતાની ગરિમાનું પ્રમાણ તો આપી જ શકે.

પદ્મ પુરસ્કારોની સ્થાપના 1954માં કરવામાં આવી ને એની ઘોષણા દર વર્ષે ગણતંત્ર દિવસે કરવામાં આવે છે. આ પુરસ્કાર કળા, સાહિત્ય, શિક્ષણ, ચિકિત્સા, રમતગમત, સમાજસેવા, ઉદ્યોગ, વ્યાપાર … જેવાં તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ સેવા બદલ આપવામાં આવે છે. આ પુરસ્કાર જાતિ કે લિંગભેદ વગર કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો સિવાય, સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કાર માટે પાત્ર ગણાતા નથી એટલું સારું છે, નહિતર એ સાધારણ લોકો સુધી ખાસ પહોંચ્યા ન હોત ! આ ભલામણો કોઈ પણ નાગરિકથી માંડીને કેન્દ્ર, રાજ્ય પૂર્વ વિજેતાઓમાંથી કોઈ પણ કરી શકે છે ને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જે ઉત્કૃષ્ટ છે તેની સેવાઓ સુધી આ પુરસ્કાર માનભેર પહોંચે.

આ વર્ષે કુલ ચાર વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન જાહેર કરવામાં આવ્યું, તો 17 વ્યક્તિને પદ્મભૂષણ સન્માનો તથા 107ને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યા. ગયાં વર્ષે જેમનું હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું તે CDS બિપિન રાવતને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન જાહેર થયું તે બધી રીતે યોગ્ય જ હતું. આ ઉપરાંત ભા.જ.પ.ના પૂર્વ નેતા કલ્યાણસિંહ, ગીતા પ્રેસ, ગોરખપુરના પ્રમુખ રાધેશ્યામ ખેમકાને પણ મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન જાહેર થયું. આ ઉપરાંત કાઁગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, માઈક્રોસોફ્ટના સી.ઇ.ઓ. સત્ય નડેલા, એસ.આઇ.આઇ.ના એમ.ડી. સાયરસ પુનાવાલા, સ્વામી સચ્ચિદાનંદ …ને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે, તો સવજી ધોળકિયા, સોનુ નિગમ, ખલીલ ધનતેજવી જેવા 107ને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

એકંદરે પદ્મ પુરસ્કારો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચતા હોય છે, છતાં ક્યારેક તે વિવાદ પણ નોતરતા હોય છે. અગાઉ પણ પદ્મ પુરસ્કારો જે તે વ્યક્તિએ નકાર્યાના દાખલાઓ મળી રહે એમ છે, એ જ રીતે આ વખતે પણ પુરસ્કારો નકારવાનું 26જાન્યુઆરીથી જ શરૂ થઈ ગયું છે. કમનસીબે ત્રણ વ્યક્તિઓએ પદ્મ પુરસ્કારો સ્વીકારવાનો ઇન્‌કાર કરી દીધો છે ને એ ત્રણે બંગાળીઓ છે. વૃદ્ધ સામ્યવાદી નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલ પદ્મભૂષણ પુરસ્કાર સ્વીકારવાનો ઇન્‌કાર કર્યો છે. તેમને આવાં પુરસ્કારની જાણ નથી ને કોઈએ તે અંગે જણાવ્યું નથી એમ કહીને ભટ્ટાચાર્યે જણાવ્યું કે મને પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હોય તો હું તે સ્વીકારવાનો ઇન્‌કાર કરું છું. પૂર્વ સી.એમ.નાં પત્ની મીરાં ભટ્ટાચાર્યે પતિના નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યું છે કે બુદ્ધદેવ શારીરિક રીતે અશક્ત હોય તો પણ નિર્ણયો લેવામાં તે હજી પણ સ્વસ્થ અને મક્કમ છે. સી.પી.એમ. આમ પણ આવાં પુરસ્કારોને નકારતી આવી છે ને અમારું કામ સામાન્ય લોકો માટે છે, એવોર્ડ માટે નથી. સી.પી.એમ.ની કેન્દ્રીય સમિતિના એક સભ્યે પણ કહ્યું કે સામ્યવાદીઓ એવોર્ડ માટે કામ કરતાં નથી. આમ તો બુદ્ધદેવે બંગાળની જનતાને ભા.જ.પ.ના કહેવાતાં જોખમ સામે ચેતવી હોય ત્યારે એ જ સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર અપાય તો પાર્ટીની જ નીતિ રીતિ પ્રમાણે તે ન સ્વીકારાય એમાં જ પાર્ટીનું ગૌરવ જળવાય. ભા.જ.પ.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પણ કહ્યું કે દેશે તો બુદ્ધદેવને સન્માનિત કરવાનું નક્કી કર્યું, હવે એ સન્માન સ્વીકારવું કે નકારવું એ તેમણે નક્કી કરવાનું છે.

જાણીતા બંગાળી ગાયિકા સંધ્યા મુખરજીએ પણ પદ્મશ્રી નકાર્યો છે. સંધ્યા મુખરજી પાસે સન્માન અંગે સંમતિ માંગવામાં આવી તો તેમણે નકાર સંદર્ભે પ્રશ્નો ઊભા કર્યા હતા. જેમ કે, કોઈ આ રીતે પદ્મશ્રી આપે છે? શું તેમને મારે વિષે કોઈ જાણકારી નથી? 90 વર્ષે મારે પદ્મશ્રી લેવો હશે? હવે કલાકારની કોઈ ઇજ્જત જ નથી રહી. સંધ્યાની વાતોમાં તથ્ય છે. છેક 1971માં ‘જયજયંતી’ અને ‘નિશિપદ્મ’ માટે શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર સરકારે જ આપ્યો હોય તેને 50થી વધુ વર્ષે પદ્મ પુરસ્કાર આપવાનું યાદ આવે એ વિચિત્ર જ છે ને ! 2011માં રાજ્ય સરકારે ‘બંગવિભૂષણ સન્માન’થી સંધ્યા મુખર્જીનું સન્માન કર્યું હોય ત્યાં 2022માં પદ્મશ્રીનું સન્માન મોડું અને ઓછું છે. દેખીતું છે કે તે સન્માન નકારતાં કહે કે મને પદ્મશ્રીની જરૂર નથી, શ્રોતા જ મારે માટે બધું છે.

પદ્મશ્રી સન્માન નકારનાર ત્રીજા કલાકાર પંડિત અનિંદ્ય ચેટરજી પણ બંગાળી છે. 67 વર્ષનાં આ તબલાવાદકે સ્થાનિક ટી.વી. ચેનલને મુલાકાત આપતા કહ્યું કે હવે આ ઉંમરે પદ્મશ્રી મળવો એ સન્માનજનક નથી. ખરેખર તો આ પુરસ્કાર મને દસ વર્ષ વહેલો મળવો જોઈતો હતો.

આમ પણ ભા.જ.પ.નું શાસન જે રાજ્યોમાં નથી એ રાજ્યોને કોઈકને કોઈક રીતે અન્યાય થયાનું લાગ્યા કરતું હોય છે. આ વખતે પ્રજાસત્તાક દિને કેરળ, તમિલનાડુ અને બંગાળની ઝાંકીનો કેન્દ્ર દ્વારા સ્વીકાર કરવામાં ન આવ્યો, એ વાતે આ રાજ્યોએ અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. મોદી અને મમતા વચ્ચે આમ પણ કશ્મકશ ચાલ્યા જ કરે છે. 2021માં પણ બંગાળની ઝાંકીનો ગણતંત્ર પરેડમાં સ્વીકાર થયો ન હતો, આ વખતની ઝાંકી સુભાષચંદ્ર બોઝના 125માં વર્ષ નિમિત્તે હતી, પણ તેનો સ્વીકાર કરવામાં ન આવ્યો. તમિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને અને બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મામલે વડા પ્રધાનને પત્ર લખીને અસંતોષ જાહેર કર્યો, પણ એનું કશું ઉપજ્યું નહીં. વડા પ્રધાનને તેમનાં નિર્ણય પર પુનર્વિચાર કરવાનું પણ કહેવાયું, પણ પરિણામ આવ્યું ન હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ખુલાસો પણ કર્યો, પણ મમતાએ વિરોધ એમ કહીને ચાલુ રાખ્યો કે આ નિર્ણયથી રાજ્યના લોકોને દુ:ખ થશે. ઝાંકી રદ્દ કરવાનું કોઈ કારણ પણ જણાવાયું નથી. સુભાષચંદ્ર બોઝનાં પુત્રી અનિતાએ પણ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે મને નથી ખબર કે ઝાંકીને શા માટે સામેલ કરાઇ નથી. તેની પાછળ કોઈ કારણ હોઈ શકે છે. આપણે એ કલ્પના ન કરી શકીએ કે આ વર્ષે જ્યારે મારા પિતા 125 વર્ષનાં થઈ રહ્યા છે, ત્યારે તેમની ઝાંકી સામેલ નથી કરવામાં આવી રહી.

તમિલનાડુએ પણ ઝાંકીને મંજૂરી ન મળતાં પત્ર લખ્યો છે કે લોકોની ભાવનાઓને આઘાત લાગશે. તેમની દેશભક્તિને ઠેસ પહોંચશે. ડી.એમ.કે. પાર્ટીના પ્રવક્તા અન્નાદુરાઈ સરવનેએ સ્પષ્ટ કહ્યું કે અમને શંકા છે કે કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના મહાન લોકો અને અહીંના સાંસ્કૃતિક પ્રતીકોને આગળ વધવા દેવા માંગતી નથી. કેરળને પણ તેની ઝાંકી રજૂ ન કરવા દેવાઈ. ફાઇનલ રાઉન્ડમાં ખુદ જયૂરીએ શ્રીનારાયણ ગુરુની પ્રતિમાવાળી ડિઝાઇન સાથે ઝાંકી તૈયાર કરવાનું કહ્યું, પરંતુ બાદમાં ખબર પડી કે અંતિમ નિર્ણય માત્ર જયૂરીનો નથી હોતો.

બને કે બંગાળના પદ્મ પુરસ્કાર વિજેતાઓને બંગાળની કેન્દ્ર દ્વારા થતી ઉપેક્ષાએ પુરસ્કાર નકારવાનું કારણ પૂરું પાડ્યું હોય.

જો કે પદ્મ પુરસ્કારે રાજનીતિને પણ ગરમાવી છે. કાઁગ્રેસી નેતા ને જમ્મુ–કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની વાતે વરિષ્ઠ કાઁગ્રેસી નેતા ને પૂર્વ કાનૂન મંત્રી કપિલ સિબ્બલે અભિનંદન આપતા કહ્યું કે એ વિડંબના છે કે દેશ યોગદાનને માન્યતા આપી રહ્યો છે ને બીજી તરફ કાઁગ્રેસને એમની સેવાઓની જરૂર નથી જણાતી. કાઁગ્રેસી નેતા જયરામ રમેશે બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પદ્મ ભૂષણને નકારવાની વાતને આગળ કરતાં ગુલામ નબીને સંભળાવ્યું પણ ખરું, ’તેઓ ગુલામ નહીં, આઝાદ બનવા માંગે છે.’

પદ્મ પુરસ્કારો પાછળ પણ ઘણી રમતો ચાલે છે ને તેનું રીતસરનું લોબિંગ પણ થતું હોય છે, પણ દરવખતે બધા જ પુરસ્કારો ખોટી વ્યક્તિઓને જ અપાય છે એવું નથી. કોઈ એમ નહીં કહે કે બિપિન રાવતને પદ્મવિભૂષણ યોગ્ય પસંદગી નથી. છતાં પુરસ્કાર સ્વીકારવો કે નકારવો એ જે તે વ્યક્તિની પોતાની પસંદગીની વાત છે. બંગાળના પદ્મ વિજેતાઓએ પુરસ્કાર નકારવાના પોતીકાં કારણો પણ આપ્યાં છે ને તે સાવ ખોટાં પણ નથી લાગતાં. એટલું છે કે આ પુરસ્કારને લીધે દેશ તેમના પરિચયમાં મુકાય છે ને તેમના તરફ અહોભાવથી જુએ છે. કોઈ પુરસ્કાર સ્વીકારે કે ન સ્વીકારે, પેલો અહોભાવ તો અકબંધ જ રહે છે.

છેલ્લે, સૌ પદ્મ પુરસ્કાર વિજેતાઓને હૃદયપૂર્વકનાં અભિનંદનો, વંદનો !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6181,6191,6201,621...1,6301,6401,650...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved