Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પતંગપ્રેમીનો પતંગ-અભ્યાસ

દીપક મહેતા|Opinion - Literature|14 January 2026

ગ્રંથયાત્રા – 22

ગુજરાત તેના પતંગપ્રેમ માટે જાણીતું છે. દર વર્ષે ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવે છે. દેશનું એકમાત્ર કાઈટ મ્યુઝિયમ પણ અમદાવાદમાં આવેલું છે. પણ ગુજરાતના આ પતંગપ્રેમના કૌટુંબિક, સામાજિક, આર્થિક, રાજકીય, ઐતિહાસિક, સાહિત્યિક પાસાંનો અભ્યાસ કરતાં પુસ્તક ગુજરાતીમાં કેટલાં લખાયાં? કદાચ એક પણ નહિ. આપણા અભ્યાસીઓને પરદેશના રીત રિવાજ અભ્યાસ કરવા જેવા લાગે છે, પણ આપણી આવી મહત્ત્વની સાંસ્કૃતિક વિરાસત અભ્યાસ કરવા જેવી લાગતી નથી. પણ અંગ્રેજીમાં આવું એક પુસ્તક ૨૦૧૦માં પ્રગટ થયું છે. તેનું નામ પતંગના દોર જેવું લાંબુ લચક છે : ‘અ ડીફરન્ટ ફ્રીડમ : કાઈટ ફ્લાઈંગ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા; કલ્ચર એન્ડ ટ્રેડીશન.’ લેખિકા છે નિકિતા દેસાઈ. યુનાઈટેડ કિંગડમના કેમ્બ્રિજ સ્કોલર્સ પબ્લિશિંગ નામના પ્રતિષ્ઠિત પ્રકાશકે તે પ્રગટ કર્યું છે. લેખિકાને પતંગનો પહેલો પરિચય થયો તે મુંબઈમાં ગાળેલાં બાળપણનાં વર્ષોમાં. તે વખતે હજી મુંબઈમાં ઉતરાણ ઉજવવાનો ઉત્સાહ હતો, આજની જેમ મરી પરવાર્યો નહોતો. ભૂરો પતંગ ને ભૂરો માંજો, બાળપણનો એનો અનુભવ લેખિકાની સ્મૃતિમાં જડાઈ ગયો. એક બાજુ મુંબઈમાં ઉતરાણનાં વળતાં પાણી થવા લાગ્યાં અને બીજી બાજુ લેખિકાએ મુંબઈ છોડી વડોદરામાં વસવાટ કર્યો. અને ઉતરાણની સાચી ઉજવણીનો તેમને અનુભવ થયો. જો કે તે પોતે મોટે ભાગે તો ફીરકી પકડવાનું કે બહુ બહુ તો બીજાએ ઉડાવેલા પતંગની ‘સહેલ’ લેવાનું જ કામ કરતાં. વખત જતાં લેખિકા ડિઝાઈનીંગનો અભ્યાસ કરતાં થયાં અને તે વખતે તેમને આપણી ‘પતંગ સંસ્કૃતિ’માં વધુ રસ પડ્યો. તેઓ કહે છે કે ‘પછી તો હું પતંગના પ્રેમમાં પડી.’ અધરાતે મધરાતે પતંગ બજારમાં ફરવા લાગ્યાં. વેપારીઓ અને ઉત્પાદકો સાથે વાતો કરવા લાગ્યાં. ઉતરાણની સામાજિક અને આર્થિક બાબતોનો અભ્યાસ કરવા લાગ્યાં. પછી રસ પડ્યો પતંગના ઇતિહાસના અભ્યાસમાં. અમદાવાદના ‘કાઈટ મ્યુઝિયમ’ના ભૂતપૂર્વ નિયામક ભાનુ શાહના માર્ગદર્શન અને સાથ મળ્યાં. ઇતિહાસ ઉપરાંત રાજકારણમાં અને સાહિત્યમાં પતંગે કેવો ભાગ ભજવ્યો છે તેનો પણ અભ્યાસ કર્યો. અને આ બધાનું પરિણામ તે આ પુસ્તક.

પુસ્તકને લેખિકાએ બાર પ્રકરણમાં વહેંચ્યું છે. આરંભમાં તેમણે પતંગનો ઇતિહાસ વિગતવાર આપ્યો છે. ત્યાર બાદ જુદા જુદા દેશોમાં અને જુદા જુદા સમયે રાજાથી માંડીને રંક સુધીનાને પતંગનું કેવુંક આકર્ષણ રહ્યું છે તેની વાત કરી છે. પતંગ ચગાવવા પાછળના જુદા જુદા – ધાર્મિક, રાજકીય, સામાજિક અને કેવળ મોજ ખાતર – હેતુઓનો તેમણે વિગતવાર પરિચય આપ્યો છે. પતંગના પેચ લડાવવાની શરૂઆત મોગલ જમાનામાં કઈ રીતે થઇ તે જણાવ્યું છે. ત્યાર પછીનાં બે પ્રકરણોમાં માંજા અને ફીરકી વિષેનો વિગતવાર અભ્યાસ રજૂ કર્યો છે. વહેલી સવારથી છેક રાત સુધી પતંગ ગુજરાતમાં કઈ રીતે ચગાવવામાં આવે છે તેનું માહિતીસભર અને રસપ્રદ ચિત્રણ આપ્યું છે. ભારત સિવાયના દેશોમાં પણ પતંગનો રંગ કઈ રીતે પ્રસર્યો તેની ચર્ચા કરી છે. પુસ્તકમાં પુષ્કળ ચિત્રો આપવામાં આવ્યાં છે અને અંતે ઉપયોગી સંદર્ભસૂચિ પણ આપી છે.

ઘણાને મતે આજથી લગભગ ૨,૮૦૦ વર્ષ પહેલાં ચીન દેશમાં પતંગ ચગાવવાની શરૂઆત થઇ. મલયેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ પતંગ ઉડાડવાની પ્રથા લગભગ એ જ સમયગાળામાં હતી. કેટલાકને મતે તે ચીનમાંથી અપનાવાઈ હતી, તો બીજા કેટલાક માને છે કે આ દેશોએ સ્વતંત્ર રીતે તે વિકસાવી હતી. શરૂઆતમાં ઝાડનાં પાંદડાંની પતંગ બનાવાતી. આજે પણ કેટલાક દેશોમાં પાંદડાંની પતંગો વપરાતી જોવા મળે છે. એક કથા પ્રમાણે એક ચીની ખેડૂતે માથા પર પહેરેલી હેટ ઊડી ન જાય તે માટે તેની સાથે દોરી બાંધી રાખી હતી. છતાં પવનના જોરદાર સુસવાટામાં તેની હેટ ઊડી, પણ દોરી સાથે બંધાઈ હોવાથી તેણે હેટ ગુમાવી નહિ. આ ઉપરથી તેને પતંગ બનાવવાનો વિચાર આવ્યો. ઇ.સ. પૂર્વે ૨૦૦માં હાન વંશના રાજાના લશ્કરને ગભરાવવા માટે રાતને વખતે ફટાકડા બાંધેલી પતંગ હ્યુ એન ત્સંગે ઉડાડી હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે. જાપાનના સાહિત્યમાં પણ પતંગના ઉલ્લેખો મળે છે. એ લોકો પતંગને ‘શીરોશી’ તરીકે ઓળખતા. ‘શી’ એટલે કાગળ, અને ‘રોશી’ એ ચીનના એક પક્ષીનું નામ હતું. જેની સાથે બંધાઈને માણસ પણ ઊડી શકે એવી મોટી પતંગો પણ જાપાનમાં વપરાતી અને તેનો ઉપયોગ ચોરી કરવા માટે પણ થતો! આપણા દેશમાં પણ ચીન-જાપાનથી આવેલા બૌદ્ધ સાધુઓ પોતાની સાથે પતંગ લાવ્યા હતા એમ મનાય છે. આપણા દેશમાંથી તેનો ફેલાવો અરબસ્તાન, ઉત્તર આફ્રિકા અને યુરપમાં થયો. કેટલાકને મતે ચંગીઝખાન પોતાની ચઢાઈઓ પછી પાછો ફર્યો ત્યારે પતંગો સાથે લેતો ગયેલો અને પછી તેનો ફેલાવો યુરપમાં થયો.

આપણા દેશમાં પણ પહેલાં તો માત્ર મોજ ખાતર પતંગ ઉડાવવાનો રિવાજ હતો. પણ મોગલ વંશના રાજાઓએ તેને પેચ લડાવવાનું સ્વરૂપ આપ્યું. અવધના ઉમરાવો બીજા મોજશોખની સાથોસાથ પતંગના પેચ લડાવવામાં પણ ઘણો સમય ગાળતા એવું નોંધાયું છે. શાહ આલમ પહેલા(૧૭૦૨-૧૭૧૨)ના અમલ દરમ્યાન દિલ્હીના ઉમરાવોને પણ પતંગના પેચ લડાવવાનો ચસ્કો લાગ્યો. દિલ્હી અને અવધની દેખાદેખીથી અમદાવાદના અને સુરતના મુસ્લિમ રાજવીઓ અને તેમના દરબારીઓમાં પતંગનો શોખ પ્રસર્યો.

ભારતીય સાહિત્યમાં પતંગનો ઉલ્લેખ સૌથી પ્રથમ મરાઠીના સંત કવિ નામદેવ(૧૨૭૦-૧૩૫૦)માં જોવા મળે છે. એક ચોક્કસ પ્રકારની પતંગ માટે વપરાતો ‘ગુડી’ શબ્દ તેમણે વાપર્યો છે :

એસેં મન રામનામેં વેધિંલા,

જૈસેં કનકતુલા ચિત રખિંલા.

આણીલે કાગદ સાજીલ ગુડી આકાશમંડલ છોડી

પાચજનાસો બાત બાતાઉવો ચિતસો દોરી રખિંલા.  

કવિ કહે છે કે પતંગ ઉડાડતી વખતે જેમ છોકરો સાથીઓ સાથે વાતો કરે છે, આજુબાજુ જુએ છે, પણ તેનું લક્ષ તો પતંગ પર જ હોય છે તેમ મારું ચિત્ત પણ રામ પર જ ચોંટ્યુ છે. વૈષ્ણવ કવિ નન્દદાસ(૧૫૩૩-૧૫૮૩)ની કૃતિમાં પણ કૃષ્ણ જમુનાને તીરે પતંગ ઉડાવે છે એવું વર્ણન જોવા મળે છે : ‘પતંગ ઉડાયવેકે પદ રાગ ઉડાનો.’ તો મરાઠી સંત કવિ એકનાથ(૧૫૩૩-૧૫૯૯)ની રચનામાં અને દેશોપંતના ‘ગ્રંથરાજ’માં વાવડી નામના એક ખાસ પ્રકારના પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. બહુ મોટા કદના, વાંસની બાર કમાનોવાળા આ પતંગને દસ-બાર જણા સાથે મળીને ઉડાડતા. તેવી જ રીતે મધ્યકાલીન મોગલ અને રાજપૂત શૈલીનાં ચિત્રોમાં પણ જુદા જુદા પ્રકારના પતંગ જોવા મળે છે. જો કે ઠેઠ રામાયણમાં પણ પતંગનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. તુલસીદાસ(૧૫૩૨-૧૬૨૩)ના રામચરિત માનસના બાળકાંડમાં ‘ચંગ’નામે ઓળખાતા પતંગનો ઉલ્લેખ જોવા મળે છે : ‘રામ એક દિન ચંગ ઉડાઈ, ઇન્દ્રલોક મેં પહુઁચી જાઈ.’

પતંગ અંગેની આવી તો ઘણી બધી રસપ્રદ વાતો આ પુસ્તકમાં જોવા મળે છે. કોઈ પતંગપ્રેમીને આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાનું સૂઝે એમ ઇચ્છીએ.

xxxxxxxxxxx

14 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com

Loading

અતિ ગરીબી મુક્ત કેરળ અને ભારતની બહુ આયામી ગરીબી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 January 2026

ચંદુ મહેરિયા

ભારતીય રાજ્યોમાં ઘણી બાબતોમાં મોખરે રહેતા કેરળની પાઘડીમાં એક ઓર પીંછું ઉમેરાયું છે. પહેલી નવેમ્બર ૧૯૫૬ના રોજ રચાયેલા કેરળે તેના ૬૯મા સ્થાપના દિવસે (પહેલી નવેમ્બર ૨૦૨૫) અતિ ગરીબીમાંથી મુક્તિ મેળવી છે. કેરળ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે જેણે અત્યાધિક ગરીબીમાં સબડતા લોકોને તેમાંથી છૂટકારો અપાવ્યો છે. દક્ષિણી રાજ્ય કેરળ અગાઉ દેશનું પહેલું સાક્ષર રાજ્ય બન્યું હતું. તેની આરોગ્ય સેવાઓ વિકસિત દેશોની હરોળની હોવાનો પરચો કોવિડ ૨૦૧૯ દરમિયાન દેશને મળ્યો હતો. સામાજિક અને માનવીય વિકાસમાં આ સામ્યવાદી શાસન તળેનું રાજ્ય ઉજળો હિસાબ આપી ચૂક્યું છે. આઝાદી પછી દેશમાં પહેલી સામ્યવાદી સરકાર કેરળમાં રચાઈ હતી. ગરીબો અને શ્રમિકો સામ્યવાદી પક્ષના પહેલી હરોળના સમર્થકો છે અને તેમનું કલ્યાણ સામ્યવાદી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે એટલે તેનું અતિ ગરીબી મુક્ત બનવું સહજ લાગવું જોઈએ. 

સતત અને સઘન પ્રયત્નોથી જ લોકકલ્યાણકારી રાજ્યનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા કેરળે આ સિદ્ધિ હાંસલ કરી છે. ગરીબોની ઓળખ માટેનાં અન્ય રાજ્યોના અભિગમ કરતાં કેરળે જુદો માર્ગ લીધો. તેણે ગરીબીની રેખા તળે જીવતા કેરળવાસીઓની ભાળ મેળવવા માટે રાજ્યના હજારો કુશળ કર્મચારીઓને લગાવ્યા. તેને કારણે ૬૪,૦૦૬ અત્યધિક ગરીબ પરિવારોની ઓળખ પ્રસ્થાપિત થઈ શકી. ૨૦૨૧થી રાજ્ય સરકારે અતિ ગરીબી નાબૂદી પ્રોજેકટ (EXTREME POVERTY ERADICATION PROJECT- EPEP) શરૂ કર્યો હતો. જેને પેટ પૂરતું ખાવા મળતું નથી, રહેવા ઘર નથી, માંદા પડે તો દવાખાને જવાના પૈસા નથી, બાળકોને ભણાવી શકાતાં નથી, કોઈ રોજી નથી અને અત્યંત નિમ્ન જીવનધોરણ જીવે છે, તેવા ચોસઠ હજાર કુટુંબોને તેમની જરૂરિયાતો પૂરી પાડવા રાજ્ય સરકાર કૃતનિશ્ચય બની. કારગર યોજના અને તેના બહેતર અમલીકરણ થકી અતિ ગરીબોને તેમાંથી મુક્ત કરી શકાયા છે. 

પાંચમી પંચવર્ષીય યોજના (૧૯૭૪-૭૯) અને ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન ગરીબી નાબૂદીને પ્રાધાન્ય મળ્યું હતું. ઇન્દિરાજીએ ગરીબી હઠાવોના નારાને ચૂંટણી સૂત્ર બનાવ્યું. લગભગ ત્યારથી ગરીબી દેશના શાસકોના રાજકીય એજન્ડાનો ભાગ બની છે. જો વ્યક્તિની આવક કે ખર્ચ નિર્ધારિત ન્યૂનતમ સ્તરથી નીચે હોય તો તે વ્યક્તિ ગરીબ ગણાય છે. વ્યક્તિના જીવન ધોરણ અને કલ્યાણને સીધી રીતે અસર કરનાર તથા એકબીજા સાથે સંબંધિત આહાર, આરોગ્ય, આવાસ અને શિક્ષણનો અભાવ બહુ આયામી ગરીબી છે. વિશ્વ બેન્કના વૈશ્વિક માનકો પ્રમાણે રોજના રૂ.૬૨ કરતાં ઓછામાં જીવન ગુજારો કરતી વ્યક્તિ ભારતમાં ગરીબીની રેખા હેઠળ જીવતી કહેવાય છે. 

ગરીબીનું માપન વ્યક્તિની આવક અને ખર્ચની ક્ષમતાના માપદંડે કરવામાં આવે છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) ચાર માપદંડો – અલ્પ પોષણ, બાળ મૃત્યુ દર, ઓછું વજન અને ઓછી ઊંચાઈ -ના આધારે નક્કી થાય છે. તેમાં દરેક દેશનો જી.એચ.આઈ. સ્કોર એકત્ર કરીને પછી તેના પરથી રેન્કિંગ કરવામાં આવે છે. માનવ વિકાસ આંક કે હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (HDI) લાંબુ અને આરોગ્યપ્રદ જીવન, જ્ઞાન સુધીની પહોંચ અને સારું જીવન ધોરણ –  માનવ વિકાસના ત્રણ મુખ્ય આયામોમાં ઉપલબ્ધિઓના સારાંશ પરથી આપવામાં આવે છે. મલ્ટી ડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI) કે બહુ આયામી ગરીબી આંકમાં  આરોગ્ય, શિક્ષણ અને જીવન સાથે જોડાયેલા દસ માપદંડોમાંથી ૧/૩ ના અભાવથી વ્યક્તિને ગરીબ ઠેરવવામાં આવે છે. ભારતમાં નીતિ આયોગે આ સંકેતકો પર આધારિત ગરીબી સૂચકાંક જારી કર્યો છે. 

નીતિ આયોગના નેશનલ મલ્ટી ડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (૨૦૨૩) પ્રમાણે દેશમાં બહુ આયામી ગરીબી સરેરાશ ૧૪.૯૬ ટકા છે. જ્યારે કેરળમાં તે માત્ર ૦.૫૫ ટકા જ છે. જે હવે ભૂતકાળ બની છે. ગુજરાતનો ગરીબી ઈન્ડેક્સ ૯.૦૩ છે. ગુજરાતના ગામડાઓમાં ૧૭.૧૫ અને શહેરોમાં ૩.૮૧ ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ જીવે છે. ગુજરાત કરતાં ગરીબીમાં પાછળ હોય તેવા રાજ્યો રાજસ્થાન, ઓડિશા, આસામ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર જ છે. 

ભારતમાં ગરીબી ઘટી રહી હોવાનો સરકારનો દાવો છે. ગરીબી માપવાની વિવિધ પદ્ધતિઓનું સાચું પરિણામ મેળવવા હાલના નીતિ આયોગની પૂર્વેના યોજના આયોગે ૨૦૦૯માં તેંડુલકર  સમિતિ અને ૨૦૧૨માં રંગરાજન સમિતિની રચના કરી હતી. તેંડુલકર સમિતિએ ઉપભોગ-વ્યયના આધારે ૨૦૦૪-૦૫ અને ૨૦૧૧-૧૨ દરમિયાન ૧૩.૭ કરોડ લોકો ગરીબીની બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું. રંગરાજન સમિતિએ ૨૦૦૯-૧૦ અને ૨૦૧૧-૧૨ વચ્ચે ૯.૨ કરોડ લોકો નિર્ધનતાથી મુક્ત થયાનું જણાવ્યું હતું. નીતિ આયોગે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ(યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ‌- UNDP)ના હવાલેથી કહ્યું છે કે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૯-૨૧ના ગાળામાં ભારતે ૧૩.૫ કરોડ લોકોને બહુ આયામી ગરીબીની બહાર કાઢ્યા છે. ભારતમાં ગરીબી ૨૪.૮૫ ટકાથી ઘટીને ૧૪.૯૬ ટકા જ થઈ ગઈ છે. વિશ્વ બેન્ક્નું અનુમાન છે કે ભારતે પાછલા દાયકામાં ૧૭.૧ કરોડ લોકોને ગરીબીથી આઝાદ કર્યા છે. વૈશ્વિક અનુમાન તો હવે ભારતમાંથી ૩૭.૮ કરોડ લોકો ગરીબી મુક્ત થતાં દેશમાં ૨.૩ ટકા જ ગરીબો હોવાનું છે. 

આપણે ગરીબી મુક્ત થઈ રહ્યા છીએ તેનું કારણ ભારત સરકારના ગરીબ કલ્યાણ કાર્યક્રમોની અસર છે તેમ કહેવાય છે. પોષણ, આવાસ, રાંધવાના સંસાધનો, સ્વચ્છતા જેવા કલ્યાણ કાર્યક્રમોની સીધી અસર ગરીબોને તેમની નિર્ધનતામાંથી મુક્ત કરીને નિમ્ન મધ્યમ વર્ગમાં લઈ ગઈ છે. આ હકીકત સ્વીકારીએ તો કેરળ અને દેશ માટે મોટો પડકાર હવે તેઓ ફરી ગરીબીની ગર્તામાં ધકેલાય નહીં તે જોવાનો છે. 

ભારતે વિકસિત દેશ હોવાનું લક્ષ્ય હાંસલ કરવા ગરીબી મુક્ત થવું અનિવાર્ય છે. પરંતુ છેક ઇન્દિરા ગાંધીના વારાથી દેશ ગરીબીમાં ઘટાડાની યોજનાઓ ઘડે છે નહીં કે તેની પૂર્ણ નાબૂદીની. ગરીબીનું ઉન્મૂલન જરૂરી છે નહીં કે તેનું શમન તે સરકારો અને નીતિ નિર્માતાઓને સમજાતું તો હશે પણ તે દિશાના પ્રયત્નો જણાતા નથી. ખેડૂતો, વિધવાઓ, મહિલાઓ, બેરોજગારો  કે બીજા વંચિતોના બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરાવવાથી તેમની ગરીબી કામચલાઉ તો ઘટે છે, પરંતુ તે ગરીબી નાબૂદીનો સાચો ઉપાય નથી. ગરીબી નાબૂદી માટે તો ગરીબોને ગરિમા સાથે યોગ્ય જીવન ધોરણ અપનાવી શકે તેવા રોજગારની ઉપલબ્ધિ કરાવવાનો છે. દુનિયામાં આપણે પાંચમા કે ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા  બનવાના હોઈએ તો અર્થવ્યવસ્થાના વિકાસ સાથે આવકના પુનર્વિતરણને પણ સમાન મહત્ત્વ મળવું જોઈશે. ઉત્પાદકતા વૃદ્ધિની સાથે કલ્યાણ કાર્યક્રમોમાં સુધારા કરવા પડે. એક વારનો ગરીબ પુન: ગરીબ ન બને તેવા સામાજિક સલામતી તંત્રની વ્યવસ્થા કરવી પડે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઝૂપડપટ્ટી

હિતેશ એસ. રાઠોડ|Opinion - Short Stories|13 January 2026

‌હિતેશ એસ. રાઠોડ

ZoopadPatti

ઝૂપડપટ્ટી

ગઈકાલે સરકારી ખાતાવાળા આવ્યા અને રોડની બાજુ પર ગેરકાયદે વસેલ ઝૂપડપટ્ટી જમીનદોસ્ત કરીને જતા રહ્યા. 

પત્ની અને પાંચ સંતાનો તેમ જ રહીસહી ઘરવખરી લઈ કરસને પાકી સડકથી થોડેક દૂર બીજી જગ્યાએ ફરી ઝૂપડૂં બાંધ્યું. 

સવારે કામે જતા પહેલા પાંચ સંતાનોમાંના વચલા દીકરાને સલાહ આપતા કરસન બોલ્યો : પવા, આજ નેહાળ જાજે પાસો. કાલની જેમ ઘેર ના રેતો. ભૂંડા તું તો ભણ હરખું!

તે હેં બાપુ ભણીને હું મળે? પવાએ સામે પ્રશ્ન કર્યો. 

લે હું મળે તે સરકારી ખાતામાં નોકરી મળે ને ઝાઝા રૂપિયાનો પગાર મળે, કરસને જવાબ વાળ્યો. 

ના બાપુ, તો હું નેહાળ નઈ જાઉં હવે. 

કાં, કરસને પૂછ્યું. 

બાપુ, પસી મારે ય ને તે આમ ગરીબ માણહનાં ઝૂપડા પાડી નાખવા પડે ને!!

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...10...15161718...304050...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved