Opinion Magazine
Number of visits: 9456144
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેહરુ-સરદારના વિભિન્ન આભિગમો અને પરસ્પર પૂરકતા

રમેશ ઓઝા|Opinion - Opinion|7 September 2025

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં, મેં કનૈયાલાલ મુનશીના લેખમાંથી એક નાનકડું અવતરણ ટાંક્યું હતું અને એમ કહ્યું હતું કે જો ગાંધીજીએ વિકસાવેલો સર્વસમાવેશી મધ્યમમાર્ગ અને નેહરુસરદારની પરસ્પર પૂરકતા જળવાઈ રહેશે તો ભારતનાં લોકતંત્ર પર કોઈ જોખમ નહીં આવે. એ કથન વાંચીને કેટલાક વાચકોના મનમાં પ્રશ્ન થયો હશે કે શું હતી નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા, એનું સ્વરૂપ કેવું હતું અને એ જળવાઈ કેમ નહીં? બીજો પ્રશ્ન ગાંધીજીએ વિકસાવેલો સર્વસમાવેશી મધ્યમમાર્ગ અર્થાત્ સુવર્ણ-મધ્ય (જેને મુનશી કેન્દ્ર Center તરીકે ઓળખાવે છે.) જળવાયો કે નથી જળવાયો અને જો નથી જળવાયો તો તેની સાથે ચેડાં કોણે કર્યા? મને એમ લાગે છે કે અહીં એ વિષે થોડી વાત થવી જોઈએ. 

અહીં સંક્ષેપમાં નેહરુ-સરદારના વિચાર અને અભિગમમાં જે ફરક હતો એ સમજી લઈએ. જવાહરલાલ નેહરુ ડાબેરી સમાજવાદી વિચારધારા પ્રત્યે પક્ષપાત ધરાવતા હતા અને સરદાર પટેલ જમણેરી મૂડીવાદ તરફ. નેહરુ સમાજિક સુધારાઓની બાબતે ઉતાવળા હતા (જો કે ડૉ. આંબેડકર, સમાજવાદીઓ અને બીજા લોકોને એમ લાગતું હતું કે નેહરુ જોઈએ એટલી તત્પરતા નથી ધરાવતા. આને કારણે તો ડૉ. આંબેડકરે નેહરુના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.) તો સરદાર ધીરે ધીરે આગળ વધવામાં માનતા હતા. નેહરુ પ્રખર સેક્યુલારિસ્ટ હતા તો સરદારને એમ લાગતું હતું કે ગૈરહિંદુ ધર્મઝનૂનીઓ સેક્યુલરિઝમનો દુરઉપયોગ ન કરે એના પર ચાંપતી નજર રાખવી જોઈએ અને કડક હાથે કામ લેવું જોઈએ. નેહરુ પ્રમાણમાં વધારે વૈશ્વિક હતા અને સરદાર પ્રમાણમાં વધારે ભારતીય હતા. મજબૂત કેન્દ્ર અને રાજ્યની વધારે પડતી તાકાત પ્રજાના અધિકારોનું અને સંઘભાવનાનું હનન કરે છે એટલે તે મર્યાદિત હોવું જોઈએ જ્યારે સરદાર તેમનાથી ઊલટું વિચારતા હતા. એમ પણ કહેવાય છે કે નેહરુ સપનાં જોનારાં સ્વપ્નીલ હતા અને સરદાર વ્યવહારુ. 

મુનશી એ લેખમાં લખે છે કે ગાંધીજીએ વિકસાવેલું સુવર્ણ-મધ્ય અને નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા જળવાઈ રહેશે તો ભારતનાં લોકતંત્ર પર કોઈ જોખમ નહીં આવે. જો એ નહીં જળવાય તો સામ્યવાદીઓ હાવી થઈ જશે અને એ સંજોગોમાં સામ્યવાદીઓને પરાસ્ત કરવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મદદરૂપ થઈ શકે છે. અને જો એ જળવાઈ રહેશે તો સામ્યવાદીઓને કોઈ સફળતા નહીં મળે અને એ સંજોગોમાં આર.એસ.એસ.ની કોઈ પ્રાસંગિકતા જ નહીં રહે અને તેણે પણ ટકી રહેવા માટે છેવટે મધ્યમમાર્ગ અપનાવવો પડશે. કદાચ એવું પણ બને કે ગાંધીજીનો મધ્યમમાર્ગ અને નેહરુ-સરદાર વચ્ચેની પરસ્પર પૂરકતા ન જળવાય તો આર.એસ.એસ.ને સફળતા મળે અને લોખંડી ફાસિસ્ટ રાજ્ય અસ્તિત્વમાં આવે, પણ એવી શક્યતા નહીંવત્ છે. મુનશીએ આ શબ્દો સાથે લેખ પૂરો કર્યો હતો. 

નેહરુ અને સરદાર વચ્ચેના અભિગમમાં જે અંતર ઉપર ગણાવ્યાં એ ઉપરાંત એક મોટું અંતર આ હતું. નેહરુને સામ્યવાદ કરતાં આર.એસ.એસ.ના ફાસીવાદનો ડર વધુ લાગતો હતો અને સરદારને આર.એસ.એસ.ના ફાસીવાદ કરતાં સામ્યવાદનો ડર વધુ લાગતો હતો. નેહરુને એમ લાગતું હતું કે ઇતિહાસમાં સતત પરાજિત હિંદુઓના દૂઝતા ઘાવનો અને તેમની અંદર વિકસેલી લઘુતાગ્રંથિનો ઉપયોગ કરીને હિન્દુત્વવાદીઓ પોતાની જગ્યા બનાવી શકે છે. તેઓ હિંદુ માનસમાં ખોટો ભય પેદા કરી રહ્યા છે અને એટલી જ ખોટી બહાદુરી અને મિથ્યાભિમાન. આ સિવાય હિંદુ સમાજ ઊંચનીચની શ્રેણીથી ગ્રસિત છે જેમાં આધુનિક મૂલ્ય વ્યવસ્થાને કારણે જેમણે સામાજિક વર્ચસ ગુમાવ્યું છે એ લોકો અને સામંતી વ્યવસ્થાની જગ્યાએ સમાનતા આધારિત નવી વ્યવસ્થામાં આર્થિક-રાજકીય વગ ગુમાવનારા રાજવીઓ અને જમીનદારો આધુનિકતાના દુ:શ્મનો છે અને તેઓ હિન્દુત્વવાદીઓને મદદ કરી શકે છે. 

બીજી બાજુ સરદારને અને તેમના અનુયાયીઓને એમ લાગતું હતું કે દેશ પર મોટો ભય સામ્યવાદનો છે. તેઓ સંગઠિત છે, તેમની પાસે કેડર છે, તેઓ સાધનશુદ્ધિમાં મનાતા નથી, હિંસા કરી શકે છે, તેમને રશિયા અને ચીનની મદદ મળી રહી છે, સામ્યવાદ આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે વગેરે વગેરે. મૂડીવાદી દેશોએ પણ અબજો રૂપિયા ખર્ચીને સામ્યવાદવિરોધી પ્રોપેગેન્ડા કરીને એક નેરેટિવ વિકસાવ્યું હતું અને હાઉ ઊભો કર્યો હતો. ઓછામાં પૂરું ૧૯૫૭ની ચૂંટણીમાં સામ્યવાદીઓએ કેરળમાં સરકાર બનાવી. એ પછી તો સરદારના અનુયાયીઓ અને જમણેરીઓ સામ્યવાદના ભયથી આતંકિત હતા. તેઓ વધારે ને વધારે આર.એસ.એસ. તરફી થવા લાગ્યા. તેમને એમ લાગતું હતું કે આ ધરતી પર સૌથી વધુ વિવધતા ધરાવતા દેશમાં કોઈ એક પ્રજાનું રાજ્ય શક્ય જ નથી. હિન્દુત્વવાદીઓ ઘેલા છે, પણ સામ્યવાદને ખાળવા માટે આપણા માટે કામના છે.

નેહરુ અને સરદારના અભિગમમાં જે અંતર હતું એ કોઈ આઝાદી પછી વિકસ્યું નહોતું. ગાંધીજીની હયાતીમાં જ હતું. ગાંધીજીની જે દિવસે હત્યા કરવામાં આવી એ જ દિવસે સરદાર ગાંધીજીને મળવા ગયા હતા અને મતભેદના કારણે સરકારમાંથી રાજીનામું આપવાની ગાંધીજી પાસે રજા માગી હતી. દેશમાં સુવર્ણ-મધ્ય વિકસાવનારા ગાંધીજીએ સરદારને સમજાવ્યા હતા કે તેમની વચ્ચેની પરસ્પર પૂરકતાની પણ દેશને જરૂર છે. સાંજે ગાંધીજીની હત્યા કરવામાં આવી. ગાંધીજીના મૃતદેહ પાસે લોર્ડ માઉન્ટબેટનની હાજરીમાં સરદારના ખોળામાં માથું મૂકીને નેહરુ રડ્યા હતા અને ક્યારે ય એકબીજાનો સાથ નહીં છોડવાનું બન્નેએ માઉન્ટબેટનને વચન આપ્યું હતું. આ ઘટના ૧૯૪૮ના જાન્યુઆરી મહિનાની છે અને ૧૯૫૦ના ડિસેમ્બરમાં સરદાર અવસાન પામ્યા. બે અભિગમો વચ્ચે પરસ્પર પૂરકતા વિકસાવવા માટે જોઈએ એટલો સમય ન મળ્યો. 

વિભિન્ન અભિગમો વચ્ચે પરસ્પર પૂરકતાનો ગાંધીજીનો પ્રયોગ એટલો જ મૌલિક હતો જેટલો સુવર્ણ-મધ્ય વિકસાવવાનો હતો. ગાંધીજી અનેક રીતે પોતાના યુગને અતિક્રમતો મહામાનવ છે એમાં આ એક મોટું કારણ છે. પોતાનું સત્ય એ જ અંતિમ સત્ય એમ માનીને માનસિક અને શારીરિક રીતે હિંસક બનવા સુધી જે માણસ ન જતો હોય એની વચ્ચે પરસ્પર પૂરકતા શક્ય છે. તેમણે એ બતાવી આપ્યું હતું અને જિંદગીના છેલ્લા દિવસે નેહરુ અને સરદારને એ બતાવી આપવાની સલાહ આપી હતી.

પણ સરદારના અનુયાયીઓ સરદાર નહોતા. મુનશીએ ૧૯૪૯માં લખેલા લેખમાં પરસ્પર પૂરકતાની જરૂર પર ભાર મૂક્યો છે, પરંતુ તેઓ પોતે જ એ નહોતા જાળવી શક્યા. સી. રાજગોપાલાચારી અને તેમના જેવા બીજા કાઁગ્રેસીઓ પણ એ નહોતા જાળવી શક્યા. આશ્ચર્યની વાત તો એ છે કે કાઁગ્રેસની અંદર રહેલા કાઁગ્રેસીઓ પણ એ નહોતા જાળવી શક્યા. તેઓ નેહરુનો હળવો સમાજવાદી અભિગમ નહોતા ખમી શકતા. જમીન સુધારા, જમીન ટોચમર્યાદા, અમર્યાદિત સંપત્તિના અધિકાર પર નિયંત્રણ તેમના માટે અસહ્ય હતાં. તેમને નેહરુની આધુનિકતા, આધુનિક મૂલ્યો અને જીવનદૃષ્ટિ માટેનો આગ્રહ સ્વીકાર્ય નહોતો. તેમને નેહરુની સહિષ્ણુતામાં નબળાઈ નજરે પડતી હતી. અલગ અલગ લોકોના અણગમાનું પ્રમાણ અલગ અલગ હતું. પણ અણગમો તો હતો જ. નેહરુના અનુયાયીઓની વાત કરીએ તો મોટાભાગના લોકોને સત્તામાં જ રસ હતો અને બાકીના લોકોનો જમણેરીઓ માટેનો અણગમો જમણેરીઓનો જેવો ડાબેરીઓ માટે હતો એવો જ હતો. પણ એમાં એવું કશું જ નહોતું કે રસ્તા ફંટાય. કામ અઘરું હતું, પણ અશક્ય નહોતું. ગાંધીજી કહીને ગયા હતા કે પોતાનું સત્ય એ જ અંતિમ સત્ય એમ માનીને હિંસક બનવા સુધી જે માણસ ન જતો હોય એની વચ્ચે પરસ્પર પૂરકતા શક્ય છે. નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા વિકસી હોત તો આજના માઠા દિવસો ન જોવા મળત. મુનશીએ ફાસિસ્ટ સ્ટેટનો ભય બતાવ્યો હતો એને સાચો ઠેરવવામાં એ લોકોએ જ ફાળો આપ્યો હતો. 

અંતે લેખ પૂરો કરતાં પહેલાં અહીં બે જણને યાદ કરવા જોઈએ. એક છે, ડૉ. અશોક મહેતા અને બીજા વિનોબા ભાવે. ૧૯૫૨ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદીઓનો કારમો પરાજય થયો એ પછી સમાજવાદીઓ હતાશ થયા હતા અને નેહરુ-કાઁગ્રેસની સામે આક્રમક વલણ અપનાવવાની વાતો થવા લાગી હતી. ડૉ. રામ મનોહર લોહિયા આક્રમકતાના પુરસ્કર્તા હતા. આની સામે ડૉ. અશોક મહેતાએ ‘Compulsion of backward economy and areas of cooperation નામની થિસીસ રજૂ કરી હતી. ભારત જેવા ગરીબ અને સમસ્યાગ્રસ્ત દેશમાં કાઁગ્રેસ અને સમાજવાદીઓએ પરસ્પર પૂરકતા વિકસાવવી જોઈએ. સંઘર્ષ અને આક્રમકતા અંતિમવાદી પરિબળોને તાકાત આપશે. ડૉ. લોહિયાએ તેમની વાત સ્વીકારી નહોતી અને સરદારના અનુયાયીઓની માફક તેમણે પણ સંઘને આંગળી ધરી. વિનોબા ભાવેએ કહ્યું હતું કે જે દેશે ઇતિહાસમાં આ પહેલાં આસેતુહિમાલય રાજકીય અખંડતા જોઈ જ નથી એ દેશે રાજકીય એકતા જાળવી રાખવી હોય તો સામાજિક એકતા વિકસાવવી જોઈએ. હજુ તો સ્વતંત્ર ભારત નામનું બાળક ઘોડિયામાં છે ત્યારે વિચારધારાઓની મલ્લીનાથી, આક્રમકતા અને અથડામણનો માર્ગ અપનાવવામાં જોખમ છે. વિનોબા ભાવેને પણ નેહરુની માફક સામ્યવાદ કરતા હિંદુ ફસીઝ્મનું જોખમ વધારે મોટું નજરે પડતું હતું.

કનૈયાલાલ મુનશી અને બીજાઓ ધારતા હતા કે નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા જાળવી રાખીને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અપ્રાસંગિક બનાવી દેશે અને સંઘે પ્રાસંગિક બનવા માટે મધ્યમ માર્ગ સ્વીકારવો પડશે. બન્યું એનાથી ઊલટું જેનો તેમણે ભય વ્યક્ત કર્યો હતો. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2025

Loading

કચ્છમાં ગાંધીનું પુનરાગમન !

સોનલ પરીખ|Gandhiana|7 September 2025

મુંબઈના કર્ણાક બંદરે વળાવવા આવેલા જનસમૂહને ગાંધીજીએ કહ્યું, ‘મારા આદર્શો અને મહત્ત્વાકાંક્ષાઓને કોઈ સીમા નથી. હું જેમ જેમ મૃત્યુ તરફ જઈ રહ્યો છું તેમ તેમ મારી મહત્ત્વાકાંક્ષા વધુ વિશાળ અને ઉચ્ચ થતી જાય છે. મારા દરેક કાર્યમાં હું સત્ય અને કર્તવ્યધર્મ પ્રત્યેના પ્રેમથી દોરવાઉં છું. કચ્છી ભાઈઓનો પ્રેમ મને ત્યાં જવા ખેંચી રહ્યો છે.’

કચ્છ જિલ્લો ગુજરાતનો જ નહીં, ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે. 45,674 ચોરસ કિલોમીટરના તેના કુલ વિસ્તારમાં 4,000 કિલોમીટરનું રણ છે અને 406 કિલોમીટરનો દરિયાકિનારો છે. કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ છે. ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશિષ્ટ છે એવાં કચ્છનાં અભયારણ્યો, ખનિજ સંપત્તિ, મીઠા ઉદ્યોગ, શિપિંગ, કઠિન જીવન અને ખડતલ-ખુમારીભરી પ્રજા ધ્યાન ખેંચનારાં છે. 

આ કચ્છની મુલાકાત મહાત્મા ગાંધી 1925માં 21 ઓક્ટોબરથી 4 નવેમ્બર એમ બે સપ્તાહ માટે લીધી હતી. સાથે સરદાર પટેલ, મહાદેવભાઇ પણ હતા. બિહારની થકવી દેનારી યાત્રા પછી તરત તેઓ મુંબઈના કર્ણાક બંદરેથી સ્ટીમરમાં કચ્છ આવેલા. ભુજ ઊતરી ત્રણ દિવસ ત્યાં રહ્યા. ત્યાંથી પાંચછ ગામ થઈ કોઠારા, ડુમરા, ગોધરા, માંડવી, મુંદ્રા, અંજાર આમ કુલ 15 ગામ ગયા. ઠેકઠેકાણે જાહેરસભા યોજાઈ, માનપત્રો અપાયાં, મહારાવ ખેંગારજી સાથે મુલાકાત થઈ, વૃક્ષારોપણ થયાં, અંત્યજ શાળાનો પાયો નખાયો, સંવાદો અને ભાષણો થયાં. આ બધી વિગત મહાદેવભાઈની ડાયરી ભાગ 8માં નોંધાયેલી છે. 4 નવેમ્બરે તેઓ તુણા બંદરેથી સ્ટીમરમાં જામનગર આવવા નીકળ્યા. 

શેઠ કાનજી જાદવજીએ મહાત્મા ગાંધીના કચ્છ પ્રવાસ માટે બોમ્બે સ્ટીમ નેવિગેશનની સ્ટીમર એસ.એસ. રૂપાવટી ભાડે રાખી હતી. મુંબઈના કર્ણાક બંદરે વળાવવા આવેલા જનસમૂહને ગાંધીજીએ કહ્યું, ‘હું મૃત્યુની નજીક જઈ રહ્યો છું પણ મારા આદર્શો અને મહત્ત્વાકાંક્ષાઓને કોઈ સીમા નથી. હકીકતે તો હું જેમ જેમ મૃત્યુ તરફ જઈ રહ્યો છું તેમ તેમ મારી મહત્ત્વાકાંક્ષા વધુ વિશાળ અને ઉચ્ચ થતી જાય છે … મારા દરેક કાર્યમાં હું સત્ય અને કર્તવ્યધર્મ પ્રત્યેના પ્રેમથી દોરવાઉં છું. કચ્છી ભાઈઓનો પ્રેમ મને ત્યાં જવા ખેંચી રહ્યો છે.’  કચ્છમાં તેમને સારા અને કડવા બંને પ્રકારના અનુભવો થયા. એક પ્રસંગે તેમણે કહેલું, ‘ચરણસ્પર્શથી હું અસ્પૃશ્ય રહેવા ઈચ્છું છું. મારા પ્રત્યે માન હોય તો મારામાં જે સારું હોય તેનું અનુકરણ કરજો.’ 

ગાંધીજીની કચ્છયાત્રાના આ શતાબ્દીવર્ષે ‘એ મહામાનવનું સ્મરણ કરીએ, આ નિમિત્તે થનારા કાર્યક્રમો દ્વારા બાળકો-યુવાનો સુધી પહોંચીએ અને આજના સંદર્ભમાં ગાંધી અને ગાંધીકાર્યોનો નાગરિકો સાથે વિમર્શ કરીએ’  આ ભાવ સાથે વરિષ્ઠ ગાંધીજન અને કર્મશીલ રમેશભાઈ સંઘવી અને એમના 11 સાથીઓની બનેલી શતાબ્દી ટીમની રાહબરી નીચે જુલાઈથી ડિસેમ્બર 2025 દરમિયાન શાળા-કોલેજોમાં સંમેલનો, ગાંધીગીતો, ગાંધીપ્રસંગો વગેરેની વિવિધ રીતે પ્રસ્તુતિ, વ્યાખ્યાનો, વૃક્ષારોપણ, યુવા શિબિરો, સાયકલયાત્રા, પ્રદર્શનો, દસ્તાવેજી ફિલ્મનિર્માણ, સંગીતયાત્રા વગેરે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર દ્વારા ‘કચ્છમાં ગાંધીજી’ નામના સુંદર પુસ્તકનું પ્રકાશન થયું છે. 19 ઑગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન પદયાત્રા યોજાશે. ભુજથી શરૂ થઈ, 22 ગામ આવરી લઇ આ પદયાત્રાનું સમાપન આદિપુર ગાંધીજીની સમાધિ પાસે થશે. 

કચ્છયાત્રા પહેલા ‘નવજીવન’ 23-8-1925 અંકમાં કચ્છયાત્રાની પોતાની અપેક્ષા વિષે ગાંધીજી લખે છે, ‘અખિલ ભારતીય દેશબંધુ રેંટિયા સ્મારકને સારું દ્રવ્ય એકઠું કરવાનું છે, તેમાં કચ્છ પાસેથી મોટી આશા રાખીશ. ખાદી વિનાનું બીજું કપડું પહેરેલું કોઈપણ મારી નજરે ન ચડે એ આશા રાખીશ. અંત્યજ પ્રત્યેનો તિરસ્કાર સર્વથા નીકળી જવાની આશા રાખીશ. હિન્દુ-મુસલમાન વચ્ચે સંપની આશા રાખીશ. હિન્દુઓમાં ઘેરઘેર રામનામ અભિયાનની આશા રાખીશ. રાજાપ્રજા વચ્ચે પ્રેમભાવની અને પ્રજાને સુખી જોવાની આશા રાખીશ. બહેનોને શુદ્ધ ખાદી પહેરેલી અને સીતામાતા જેવા હૃદયભાવવાળી જોવાની આશા રાખીશ.’ કચ્છ આવ્યા બાદ તેમણે સ્વચ્છતા, વૃક્ષારોપણ અને ગોસેવા પર પણ ઘણો બહાર મૂક્યો હતો. 

યાત્રાસમાપન પછી ‘નવજીવન’ 22-11-1925 અંકમાં ગાંધીજી લખે છે, ‘જે સવાલનો વિચાર કચ્છની મુસાફરી દરમ્યાન કરવો પડ્યો તેમાં વૃક્ષરોપણ અને વૃક્ષસંરક્ષણ પણ હતો. કચ્છને કોઈ નદીનો આશરો નથી. ઝાડપાન નથી. વરસાદ અનિયમિત અને બહુ ઓછો પડે છે. વારંવાર દુષ્કાળ પડે છે. પાણીની ખેંચ તો રહ્યા જ કરે છે. જો કચ્છમાં નિયમસર અને ખંતપૂર્વક વૃક્ષો રોપવામાં આવે તો કચ્છમાં વસાદ વધારી શકાય અને તેથી મુલક વધારે ફળદ્રુપ થાય. આ દૃષ્ટિએ જયકૃષ્ણ ઇન્દ્રજી મહાપ્રયાસ કરી રહ્યા છે.’

આ કાર્યક્રમોમાં ‘એમ.કે. ગાંધી હાજીર હો’ નામનું નાટક ભજવાયું જેણે અનેક રીતે ધ્યાન ખેંચ્યું. આ નાટકનો વિષય ગાંધીજી સાથે જોડાયેલા એવા વિવાદો છે, જેને ઉછાળવા એક આખી લોબી કામ કરી રહી છે. ઈન્ટરનેટ પર ખૂબ ખોટું મુકાય છે. લોકો પણ અપપ્રચારમાં આવી જાય છે. સત્ય શોધવાની મહેનત કરવાની ભાગ્યે જ કોઇની તૈયારી હોય છે. આવા વિષય પર નાટક લખવા ને ભજવવામાં હિંમત જોઈએ.  

ઉપક્રમ એવો છે કે એક વકીલ એક એક વિવાદ પર સવાલ પૂછે અને ગાંધીજી પોતે જ તેના જવાબ આપે. બ્રહ્મચર્યના પ્રયોગો, પાકિસ્તાને 55 કરોડ કેમ અપાવ્યા, ભાગલા કેમ પડવા દીધા, ભગતસિંહને ફાંસી કેમ થવા દીધી, સરદારને વડા પ્રધાન કેમ ન બનાવ્યા જેવા સવાલો છેડાયા અને તેના સંશોધિત અને શ્રદ્ધેય જવાબો વિષયની ગંભીરતા જાળવીને છતાં નિખાલસતાથી અપાયા. 

રમેશભાઈ સંઘવી

ગાંધી 150માં આ નાટકનો પહેલો પ્રયોગ થયો હતો. ત્યાર પછી તે ઘણી જગ્યાએ ભજવાયું છે. ગાંધી 150માં આ નાટકનો પહેલો પ્રયોગ થયો હતો. રફીક વડનગરી અને દીપક અંતાણી તેના દિગ્દર્શકો છે. લેખક અને ગાંધીની ભૂમિકા કરનાર પણ દીપક અંતાણી છે. ‘ગાંધી એન્ડ ગોડસે’ ફિલ્મમાં ગાંધી બનનાર દીપકભાઈએ ગાંધીની ભૂમિકા સૌથી વધારે વાર ભજવવા માટે લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

‘કચ્છમાં ગાંધીજી’ પુસ્તક ‘એક તિનકા ભી યહાં બના સકતા હૈ માર્ગ નૂતન, તીર પર કૈસે રુકું મૈં આજ લહરોં મેં નિમંત્રણ’ પંક્તિઓ સાથે ‘ગાંધી પંથે ચાલવા ઈચ્છનાર પથિકો’ને અર્પણ થયું છે. સંપાદક રમેશભાઈ સંઘવી પ્રસ્તાવનામાં લખે છે, ‘ગાંધીજીની કચ્છયાત્રા અનોખી હતી … સો વર્ષ પૂર્વેનું એ કચ્છ! રૂઢિચુસ્ત અને સંકુચિત માનસ, અમાનવીય હદે અસ્પૃશ્યતા, અધિકારી વર્ગની જોહુકમી-ભ્રષ્ટાચાર, પ્રજાને ભોગવવી પડતી ખૂબ હાલાકી, વારંવાર પડતા દુષ્કાળ – આ બધા વિષે ગાંધીજીએ પ્રેરણાદાયક વાતો કરી … એવું લાગે છે કે કચ્છની પ્રજા ગાંધીજીને સત્કારવા, અભિનંદવા તૈયાર હતી પણ તેમના વિચારોના અમલ માટે નહીં … કચ્છમાં તેઓ સમુદ્ર ખેડીને આવેલા અને કચ્છથી વિદાય પણ સમુદ્ર માર્ગે લીધી. બાપુનું જીવન પણ સમુદ્ર જેવું … કચ્છમાં જે પણ ઘટ્યું તે મહાત્માના સાગરપેટમાં સહજ સમાઈ રહ્યું … ગાંધીજી તેમ જ સાથીદારોની આ કચ્છયાત્રા ભાવિ વિકાસનાં દ્વાર ખોલી આપે છે.’  

પ્રસ્તાવનાના અંતમાં રમેશભાઈ સંઘવીએ કવિ દુષ્યંતકુમારની પંક્તિઓ મૂકી છે, ‘સિર્ફ હંગામા ખડા કરના  મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે’ શતાબ્દી સમિતિના કાર્યક્રમો પાછળ ધ્યેય એ છે કે વૃક્ષારોપણ, વૃક્ષઉછેર, વૃક્ષમંડળ, વરસાદી પાણી સંગ્રહ, ગોપાલન, સજીવ ખેતી, સૂર્યઊર્જા-પવનઊર્જાનો યોગ્ય ઉપયોગ, પર્યાવરણ સંરક્ષણ, યુવકમંડળો, સેવાલક્ષી-સંસ્કારલક્ષી કાર્યો, ગ્રામસેવા, સ્વચ્છતા, ખાદી, ગ્રામોદ્યોગ, ચિત્તશુદ્ધિ કાર્યક્રમો, કચ્છના વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજીની યાદમાં વાટિકા આ બધું ગામેગામ ગ્રામજનોની ભાગીદારીથી થાય અને સાતત્યપૂર્વક થતું રહે. ગાંધીવિચાર અને ગાંધીકાર્યોનો પ્રસાર ચાલુ રહે અને લોકોનું જીવન સાચી દિશામાં પ્રગતિ કરે. 

આ સંદર્ભે દુષ્યંતકુમારની જ પંક્તિઓ યાદ આવે છે, ‘કૌન કહતા હૈ આસમાન મેં સુરાખ હો નહીં સકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો, દર્દ-એ-દિલ વક્ત કો પૈગામ ભી પહૂંચાયેગા, યે જો શહતીર હૈ પલકોં પે ઊઠા લો યારોં’ શહતીર એટલે છતને આધાર આપતું લાકડું. એ બરાબર ન હોય તો છત તૂટી જાય. છે ને વિચારવા જેવી વાત? 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઑગસ્ટ  2025
છબિ સૌજન્ય : રમજાનભાઈ હસણિયા

Loading

ચલ મન મુંબઈ નગરી—305

દીપક મહેતા|Opinion - Opinion|6 September 2025

કમાન્ડર નાણાવટીના કેસમાં બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવ્યો, પણ …     

તારીખ : ૧૪ ઓગસ્ટ, ૧૮૬૨. સ્થળ : બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીનો હોલ. સમય : બપોરના ૪. ઘટના : બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના. 

ના, બોમ્બે, મદ્રાસ, અને કલકત્તા હાઈ કોર્ટ કોઈ કાયદા દ્વારા નથી સ્થપાઈ, પણ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાને પ્રતાપે સ્થપાઈ હતી. બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતા ઢંઢેરા પર રાણી વિક્ટોરિયાએ ૧૮૬૨ના જૂનની ૨૩મીને સોમવારે સહી-સિક્કા કર્યાં હતાં અને બીજા દિવસના સરકારી ગેઝેટમાં એ ઢંઢેરો પ્રગટ થયો હતો. આ હાઈ કોર્ટના પહેલવહેલા છ જજનાં નામ પણ આ જ ઢંઢેરામાં આમેજ કરવામાં આવ્યાં હતાં. હાલનું મકાન ૧૮૭૮ના નવેમ્બરમાં બંધાઈ રહ્યા પછી બોમ્બે હાઈ કોર્ટ એ મકાનમાં ખસેડાઈ હતી. 

બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતો બ્રિટનની રાણીનો ઢંઢેરો

જ્યૂરીનો બહુમતી નિર્ણય જજ મહેતાએ સ્વીકાર્યો નહિ, તે perverse હોવાનું જણાવ્યું અને કેસ ‘રેફરન્સ’ માટે બોમ્બે હાઈ કોર્ટને મોકલી આપ્યો. જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકની ડિવિઝન બેન્ચ આગળ ‘રેફરન્સ’ની સુનાવણી શરૂ થઈ. સાધારણ રીતે આવા ‘રેફરન્સ’ના કેસનો નિવેડો આવતાં બહુ દિવસ ન લાગે. કારણ જ્યુરી અને જજ, બેમાંથી કોણ સાચું એટલું જ નક્કી કરવાનું હોય. પણ આ કેસ બોમ્બે હાઈ કોર્ટમાં શરૂ થયો ત્યારે જ બંને પક્ષના વકીલોએ આગ્રહપૂર્વક જણાવ્યું કે આ કેસ અંગે કેટલીક બાબતોની વિગતવાર રજૂઆત કરવાનું અમને અનિવાર્ય જણાય છે. એટલે તેમની વિનંતી બંને ન્યાયાધીશોએ સ્વીકારી અને લાગતાવળગતા વકીલોને પોતપોતાની વાત રજૂ કરવાની મંજૂરી આપી. એટલે કેસની સુનાવણી લંબાઈ.

અગાઉ સેશન્સ કોર્ટમાં હાજર રહેલા લોકોએ અવારનવાર ધાંધલ-ધમાલ કરી હતી એ હકીકતને ધ્યાનમાં રાખીને પહેલેથી જ સુનાવણી વખતે માત્ર કેસ માટે જરૂરી હોય તેટલા જ લોકોને હાજર રહેવા દેવામાં આવ્યા. બંને પક્ષના વકીલોએ એક-એક સાક્ષીની જુબાની, રજૂ થયેલા પુરાવાઓ, વગેરેનું જે પીંજણ કર્યું તેમાં આપણને ઝાઝી ગતાગમ ન પડે. એટલે જઈએ સીધા જજમેન્ટના દિવસે બોમ્બે હાઈ કોર્ટમાં. હા, પોતાની વાત પૂરી કરતાં પહેલાં કમાન્ડર નાણાવટીના (બચાવ પક્ષના) વકીલ એ.એસ.આર. ચારીએ કમાન્ડરને બચાવવા છેલ્લો પાસો નાખ્યો હતો. બંને ન્યાયાધીશોને તેમણે કહ્યું : “અગર જો આપને એમ લાગે જ કે જ્યુરીના માનવંતા સભ્યોના નિર્ણયમાં ફેરબદલ કરવાની જરૂર છે, તો પણ હું આપનું એ હકીકત પ્રત્યે જરૂર ધ્યાન દોરીશ કે જ્યુરીના સભ્યો અને જસ્ટિસ મહેતા વચ્ચે બીજી બાબતો અંગે મતભેદ છે, છતાં એક બાબતમાં જ્યુરીના આઠ સભ્યો અને જજ મહેતા સહમત થાય છે. અને એ એક બાબત તે એ કે કમાન્ડર કાવસ નાણાવટી ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ હેઠળ ખૂનના ગુનેગાર ઠરતા નથી.” આમ કહેવા પાછળનો ચારીનો હેતુ એ હતો કે કમાન્ડર નાણાવટી ગુનેગાર ઠરે તો પણ તેમને ફાંસીની સજા ન થાય.

જો કે આ કેસમાં આજ સુધી બનતું આવ્યું છે તેમ કેટલુંક અણધાર્યું બને તે માટે હાજર રહેલા બધા તૈયાર હતા, અને આપણે પણ તૈયાર રહેવાનું. અદાલતનું કામકાજ શરૂ થયું ત્યારે જસ્ટિસ શેલતે જાહેર કર્યું કે મારા સાથી જસ્ટિસ નાયક અને હું અમારા ચુકાદા અલગ-અલગ જાહેર કરશું. અને એ સાથે જ બંને પક્ષકારોની, તેમના વકીલોની, કોર્ટમાં હાજર રહેલા થોડા લોકોની, અને આ ખબર ફરી વળતાં લોકોની આતુરતા આસમાને જઈ પહોંચી. કારણ, બે ચુકાદા અલગ અલગ રજૂ થાય એનો સીધો અર્થ એ કે બંને ન્યાયાધીશમાં મતભેદ છે. નહિતર સામાન્ય રીતે સિનિયર જજ બંનેનો સંયુક્ત ચુકાદો જાહેર કરે.

ઓનરેબલ જસ્ટિસ શેલત

જસ્ટિસ શેલતને પોતાનો ચુકાદો જાહેર કરતાં પૂરા ત્રણ દિવસ લાગ્યા. તેમણે કહ્યું : નીચલી અદાલતમાં રજૂ થયેલા પુરાવા જોતાં અને સાક્ષીઓની જુબાનીની દખલ લેતાં એટલું તો નક્કી થાય છે કે આરોપી કમાન્ડર નાણાવટીની જિંદગી, એની કારકિર્દી, ધૂળમાં મળી જાય એવું મરનાર પ્રેમ આહુજાનું વર્તન હતું. આવે વખતે કોઈ પણ માણસ હતાશ થઈ જાય, તેને પારાવાર ગુસ્સો આવે, તો તે સમજી શકાય તેમ છે. આમ કરવા બદલ મરનાર આહુજાને પાઠ ભણાવવાની અદમ્ય ઈચ્છા થાય તો તેમાં કશું અસ્વાભાવિક નથી. તેમની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો તેને પણ આવી અદમ્ય ઇચ્છા થઈ હોત.

પણ કોઈના પણ બૂરા કામનો બદલો બીજા બૂરા કામ વડે લેવામાં આવે તો તેને આપણા દેશનો કાયદો મંજૂરી આપતો નથી. ગમે તેવી અસહ્ય પરિસ્થિતિમાં પણ કાયદાની અવગણના કરી શકાય નહિ. બંને પક્ષ તરફથી અહીં જે રજૂઆત થઈ છે તેને સાંભળ્યા પછી મારો નિર્ણય એ છે કે આરોપી કમાન્ડર નાણાવટી ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ ગુનેગાર હોવાનું સાબિત થાય છે. અને એટલે હું તેમને માટે આજીવન કારાવાસની સજા જાહેર કરું છું. 

આ જાહેરાત પછી જસ્ટિસ નાયકે જાહેર કર્યું કે મારો ચુકાદો હું આવતી કાલે જાહેર કરીશ.

હવે? દેખીતું છે કે બંને જજમાં નિર્ણય અંગે એકમતિ નથી. એટલે ખટલો સુપ્રીમ કોર્ટમાં જશે? કે બંને જજે કોઈક વચલો રસ્તો વિચારી રાખ્યો હશે? જેમને અદાલતમાં હાજર રહેવાની છૂટ હતી તે બધા બીજે દિવસે રોજ કરતાં વહેલા આવીને બેસી ગયા હતા. ક્યારે અગિયાર વાગે, અને ક્યારે નામદાર ન્યાયાધીશો કોર્ટ રૂમની પાછળ આવેલા બારણામાંથી દાખલ થાય! બધાની નજર મંડાઈ હતી એ બારણા તરફ. પક્ષીનું પીછું ખરે તો તેનો અવાજ પણ સંભળાય એવી શાંતિ, કોર્ટમાં. બહાર પણ લોકોનાં ટોળાં મોટાં ને મોટાં થતાં જતાં હતાં. પણ કડક પોલીસ બંદોબસ્તને કારણે લોકો શાંત હતા. 

બરાબર અગિયાર વાગ્યે બન્ને જજસાહેબો કોર્ટ રૂમમાં દાખલ થયા અને જસ્ટિસ નાઈકે પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અસાધારણ ઉશ્કેરણીના સંજોગોમાં આરોપીથી આ કામ થઈ ગયું એવો બચાવ સ્વીકારી શકાય તેમ નથી. કારણ આવી દેખીતી ઉશ્કેરણી મરનાર પ્રેમ આહુજા દ્વારા થઈ હોવાનું બચાવ પક્ષ સાબિત કરી શક્યો નથી. ફરિયાદ પક્ષ અને સરકારી વકીલ તરફથી જે રજૂઆત થઈ હતી તેને આધારે સ્પષ્ટપણે એમ જણાય છે કે આરોપી કમાન્ડર નાણાવટીએ જે કાંઈ કર્યું તે સમજી બુઝીને, પૂરા હોશહવાસમાં રહીને, અગાઉથી કરેલા આયોજન પૂર્વક કર્યું હતું. મરનાર આહુજાના બેડ રૂમમાં ભરી રિવોલ્વર સાથે આરોપી કમાન્ડર નાણાવટી દાખલ થયા તે આહુજાને મારી નાખવાના ઈરાદા સાથે. તો બીજી બાજુ, બંને વચ્ચે ઝપાઝપી થઈ, અને તે દરમ્યાન અકસ્માત રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી ગઈ એવી બચાવ પક્ષની રજૂઆત પણ સ્વીકારી શકાય તેમ નથી. કારણ એક તો, જો ઝપાઝપી થઈ હોય તો મરનાર આહુજાએ કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે નહિ. બીજું, બનાવ પછી મરનાર આહુજાનાં ચશ્માં પૂરેપૂરી સાબુત હાલતમાં તેના બાથ રૂમની ફર્શ પરથી મળી આવ્યાં હતાં. જો ઝપાઝપી થઈ હોય તો આમ બનવું શક્ય નથી. જો ઝપાઝપી થઈ હોય તો આરોપીના શરીર પર ક્યાં ય ઉઝરડા પણ ન હોય, તેનાં કપડાં પર લોહીનો એકાદ ડાઘ પણ ન હોય, એમ બનવું સંભવિત નથી જણાતું. એટલે મરનાર આહુજાનું મોત એ એક અકસ્માત હતો એવો બચાવ સ્વીકારી શકાય તેમ નથી. ટ્રાયલ કોર્ટના જજ મહેતા અને જ્યુરીના બહુમતી સભ્યો વચ્ચે એક બાબતે સહમતી છે કે કમાન્ડર નાણાવટીએ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ ગુનો કર્યો નથી. પણ તેમની આવી સહમતી હાઈ કોર્ટ માટે બંધનકર્તા નથી. નીચલી અદાલતમાં થયેલી સમગ્ર કાર્યવાહીને નજરમાં રાખીને હાઈ કોર્ટે પોતાનો નિર્ણય લેવાનો અને જાહેર કરવાનો રહે છે. જજ નાઈકે નીચલી અદાલતના જજ મહેતાની કેટલીક ઊણપો કે ક્ષતિઓ બતાવી હતી. 

શુક્રવાર, ૧૧ માર્ચ, ૧૯૬૦: જસ્ટિસ શેલતે બંને જજનો સંયુક્ત ચુકાદો જાહેર કરતાં કહ્યું : જ્યુરીનો ચુકાદો ‘perverse’ હતો એવી જજ મહેતાની વાત સાથે હું સહમત થાઉં છું. કારણ આ ચુકાદો અદાલતમાં રજૂ થયેલ જુબાનીઓ અને પુરાવાઓથી વિરુદ્ધનો હતો. આરોપી નાણાવટીએ ખૂનનો ગુનો કર્યો નહોતો, પણ તેમણે ખૂન નહિ તેવા સદોષ મનુષ્યવધનો ગુનો કર્યો હતો એ વાત સાથે અમે સહમત થઈ શકતા નથી. આ અદાલત જેમ નીચલી અદાલતની જ્યુરીના નિર્ણય સાથે સહમત થવા બંધાયેલી નથી, તેમ એ અદાલતના જજના નિર્ણય સાથે સહમત થવા પણ બંધાયેલી નથી. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ આરોપી કમાંડર નાણાવટીને આ અદાલત દ્વારા ગુનેગાર ઠરાવવામાં આવે છે અને તે ગુના સબબ તેમને સખત મજૂરી સાથેની આજીવન (એટલે કે ૧૪ વરસ) કારાવાસની સજા ફરમાવવામાં આવે છે. 

આ ચુકાદો જાહેર થયો ત્યારે બોમ્બે હાઈ કોર્ટમાં જુદા જુદા પક્ષો તરફથી જે વકીલો હાજર હતા તેમાંનાં થોડાંક નામ: વાય.વી. ચંદ્રચૂડ, વી.એચ. ગુમાસ્તે, સી.એમ. ત્રિવેદી, રામ જેઠમલાની, એ.એસ.આર. ચારી, બેરિસ્ટર રજની પટેલ, એસ.આર. મોકાશી. છેલ્લે બોમ્બે હાઈ કોર્ટના જસ્ટીસ શેલતે જાહેર કર્યું : અમારા આ ચુકાદાના અનુસંધાનમાં આરોપી કમાન્ડર કાવસ નાણાવટીનો કબજો નેવલ પોલીસની કસ્ટડીમાંથી લઈને તેમને આર્થર રોડ ખાતેની પોલીસ કસ્ટડીમાં તાકીદે તબદીલ કરવાનો હું લાગતા વળગતા બોમ્બે પોલીસના અધિકારીઓને આદેશ આપું છું અને તે માટે જરૂરી વોરંટ જારી કરું છું. 

બોમ્બે હાઈ કોર્ટની સુનાવણી દરમ્યાન ક્યારે ય કમાન્ડર નાણાવટીને અદાલતમાં હાજર કરવામાં આવ્યા નહોતા. એટલે બોમ્બે હાઈ કોર્ટનો ફેંસલો જાહેર થયો ત્યારે તેઓ નેવલ પોલીસની કસ્ટડીમાં હતા. બોમ્બે હાઈ કોર્ટનો હુકમ થતાં તરત જ બોમ્બે પોલીસે નાણાવટીને તાબામાં લેવાની તૈયારી ચીલ ઝડપે કરી લીધી. બે કલાકમાં બોમ્બે પોલીસની ટીમ બોમ્બે હાઈ કોર્ટના વોરંટ સાથે આઈ.એન.એસ. કુન્જાલી(નેવલ પોલીસની જેલ)ને બારણે પહોંચી ગઈ. અને અદાલતનો હુકમ તથા વોરંટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી. ત્યારે તેના જવાબમાં નેવલ પોલીસના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીની સોંપણી કરવાને બદલે બોમ્બે પોલીસના હાથમાં એક કાગળ મૂક્યો. અને એ કાગળ વાંચ્યા પછી બોમ્બે પોલીસની ટીમ ખાલી હાથે અને વીલે મોઢે પાછી ફરી.

પણ કેમ? એ કાગળમાં એવું તે શું લખ્યું હતું? કોણે લખ્યું હતું?

જવાબ આવતે અઠવાડિયે. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 સપ્ટેમ્બર 2025

Loading

...10...15161718...304050...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved