Opinion Magazine
Number of visits: 9570620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અવસર જોવાનો ‘ખેલ’

કિરણ કાપુરે|Opinion - Opinion|15 February 2022

સરકાર ગેમિંગ ક્ષેત્રમાં શક્યતા જોઈ રહી છે. એક સમયે ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝને કાયદેસર રાખવી કે નહીં તે વિશે ચર્ચા થતી. હવે ખુદ સરકાર આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું મન બનાવી ચૂકી છે. આ અર્થે નાણાં મંત્રીએ બજેટ સુધ્ધામાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, પોસ્ટ બજેટ સ્પીચમાં વડા પ્રધાને પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનો માટે ભરપૂર તકો છે તેમ કહ્યું. આગામી બે વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીઝમાં થોકબંધ રોકાણ થવાનું છે. આ અંદાજો સ્વાભાવિક છે કે ગત વર્ષોમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીના વધી રહેલાં વ્યાપથી લગાવવામાં આવ્યો છે. દસ વર્ષ અગાઉ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ સામાન્ય હતો, પરંતુ સ્માર્ટ ફોનની જે રીતે સંખ્યા વધવા માંડી તે રીતે ગેમિંગનો હિસ્સો માર્કેટમાં વધવા માંડ્યો. હવે તો તે ઓર વધશે કારણ કે કિશોર વયના જ નહીં, પણ બાળકોના હાથ સુધ્ધા હવે મોબાઈલ સુધી પહોંચી ચૂક્યા છે.

સમય પ્રમાણે બાળકોની વ્યસ્તતાનું એન્ગેજમેન્ટ પણ બદલાય છે. એક સમય હતો જ્યારે બાળકો આખો દિવસ શેરીમાં રમ્યા કરતાં. એક જગ્યામાં બાળકોને બેસાડી રાખવાનું સપને ય વિચારાતું નહીં. બાળક માટે મેદાની રમતો જ મનોરંજન હતી. તે પછી ટેલિવિઝન આવ્યાં અને તેમાં આવનારાં કાર્યક્રમોએ બાળકોની મેદાની રમતો છીનવાઈ તેવી ફરિયાદો થવા માંડી. જો કે આ ફરિયાદો છતાં ય ટેલિવિઝન બાળકોને સદંતર મેદાનથી અળગા ન કરી શકી. ટેલિવિઝનના આગમન ટાણે તેમાં કાર્યક્રમોની પણ મર્યાદા હતી. પરંતુ તે પછી શહેરમાં ઝડપથી બદલાયેલાં રહેણાંક ડિઝાઈનમાં બાળકોની ખુલ્લા જગ્યાની રમતો ઘટતી ગઈ. અને સ્માર્ટ ફોન આવ્યા બાદ તો જાણે બાળકોને ખીલે બાંધી દીધા હોય તેવી સ્થિતિ નિર્માવા માંડી. હવે તો બાળકોને ટાઇમપાસ કરવા માટે સ્માર્ટ ફોન સૌથી હાથવગું બની ગયું છે. અને તેમાં પણ ટેકનોલોજીના કારણે અવનવી ગેમ્સ બાળકોને કલાકો સુધી એન્ગેજ રાખી શકે છે.

ગેમિંગ જ્યાં સુધી ફાજલ સમયમાં અડધો-એક કલાકની વાત હોય ત્યાં સુધી તે સહ્ય છે અને તે રીતે અત્યાર સુધી ગેમિંગ જગ્યા હતી. પણ હવે જાણે બાળકોને તેમાં જ વ્યસ્ત કરી દેવાના હોય તેવો કારસો ઘડી કાઢવા સરકાર પણ બોલી રહી છે. વડા પ્રધાને સુધ્ધા તેમની સ્પીચમાં એમ કહ્યું છે કે, હવે બાળકોને આપણે ગેમ રમતા અટકાવી શકીએ એમ નથી. અને જો આમ ન કરી શકતાં હોય તો વિદેશી કરતાં આપણા જ યુવાનો કેમ ગેમ ન બનાવે.

સરકારનું આ ક્ષેત્ર પર ધ્યાન તેનાં વધી રહેલાં માર્કેટના આંકડાથી ગયું છે. 2014માં ડિજિટલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝનો વેપાર 2,000 કરોડ સુધી સીમિત હતો, જે હવે છ ગણો વધીને એટલે કે 12,000 કરોડ સુધી પહોંચ્યો છે. ગેમિંગ ક્ષેત્રને એનિમેશન, કોમિક્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટસ સાથે જ જોવામાં આવે છે, કારણ કે ટેક્નોલોજીની રીતે આ બધા ક્ષેત્ર એકબીજા સાથે સંલગ્ન છે. આ બધાં જ ક્ષેત્રનો એક વાર્ષિક અહેવાલ પ્રગટ થાય છે અને તે અહેવાલ મુજબ હાલમાં ગેમ ડેવલપિંગ કંપનીઓની સંખ્યા 250 મિલિયન છે, જે 2018 સુધી 20 મિલિયન હતી. આ રિપોર્ટ મુજબ હજુ સુધી દેશના મોટા શહેરોમાં જ ઓનલાઈન ગેમનું ચલણ છે. નાનાં શહેરો સુધી તેનું વળગણ પહોંચ્યું નથી. પણ આગામી સમયમાં ગામેગામ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ પહોંચે તે માટે તાડામાર તૈયારી થઈ રહી છે. જેમ કે સૌથી પહેલાં તો બધી જગ્યાએ સ્માર્ટ ફોન પહોંચી રહ્યા છે અને ઇન્ટરનેટની ફોર.જી. સ્પીડ સામાન્ય થઈ રહી છે. ગેમ માટે જરૂરી સંસાધનો છે તે હવે સર્વત્ર પહોંચી રહ્યાં છે અને એટલે તે માટે ગેમિંગ કંપનીઓએ બાંયો ચઢાવી છે. જેમ કે, ‘સુપરગેમિંગ’ કંપનીના સી.ઈ.ઓ. રોબી જોહ્ન મુજબ તેઓ હવે અવનવી ગેમ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમની ‘માસ્કગન’ નામની ગેમ ખાસ્સી પ્રચલિત છે અને અત્યાર સુધી તેની ડાઉનલોડિંગની સંખ્યા 60 મિલિયન સુધી પહોંચી છે. ગેમ ક્ષેત્રની તમામ કંપનીઓ અત્યારે સરકારે જે કહ્યું છે તે જ વાતનું પુનરાવર્તન કરી રહી છે. તેઓ બધી જ રોજગારી ખુલશે અને યુવાનોને તક મળશે તેમ કહીને ગેમનો વિસ્તાર કરવા માંગે છે. ખરેખર તો આ પૂરો ટ્રેન્ડ પશ્ચિમનો છે, જ્યાં બાળકો સામાન્ય રીતે શેરીઓમાં ટોળાંમાં રમતાં નથી. આપણે ત્યાં શેરી, સોસાયટી, પોળ કે ગામમાં બાળકો એક સાથે રમે તેવી પરંપરા છે. આ પરંપરાને હડસેલીને હવે તેમને એકલા ગેમ રમવા પર લઈ જવાની વાત કંપનીઓ કરી રહી છે.

બજેટમાં જેવી જાહેરાત થઈ તેના અનુસંધાને મુંબઈમાં અનેક ગેમિંગ કંપનીઓ માર્કેટમાં વધુ ઉત્સાહથી ઉતરવા માંગે છે. આમાં એક કંપની ‘લોસ્ટ ફેરી’ નામની છે. આ કંપનીના આર્ટ ડિરેક્ટર દિયા સેનગુપ્તા છે. તેમનું કહેવું છે કે આપણા દેશમાં વૈવિધ્ય ખૂબ છે, વાર્તાઓનો ખજાનો છે, કળા પ્રતિભા છે, પરંતુ ગેમિંગમાં પ્રવેશવા જે સ્ટાન્ડર્ડ પશ્ચિમના દેશોના છે, તે આપણી પાસે નથી. દિયાનું કહેવું છે તે માટે આપણે મહેનત કરવી પડશે. ગેમિંગ ક્ષેત્રમાં આવવા યુવાનો કેવી રીતે તલપાપડ થઈ રહ્યા છે તેના સરવે પણ કંપનીઓ રજૂ કરતી થઈ ગઈ છે. કંપનીઓને પણ ખબર છે કે ગેમિંગની સૌથી મોટી મર્યાદા બાળકોની આંખો, મસ્તિષ્કને થતું નુકસાન છે. ઉપરાંત બાળકમાં મેદાની રમતથી જે સાહસ ખીલે છે તે ડિજિટલ ગેમિંગ ક્યારે ય ન ખીલી શકે. તે માટે ગેમિંગ કંપનીઓ ક્યારે ય પણ ગેમ રમવાના લાભ તો દર્શાવી શકવાની નથી, તેથી તેઓ હવે રોજગારીનું ગાજર લટકાવીને ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માંગે છે.

ગેમિંગ કેટલું નુકસાન પહોંચાડી શકે તે થોડાં વખત પહેલાં સરકારે જ જાહેર કર્યું હતું. ‘મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન’ દ્વારા જાહેર થયેલી એડવાઈઝરીમાં એવું સ્પષ્ટ હતું કે ગેમિંગ ક્ષેત્ર કેટલું ઘાતક છે. ભા.જ.પ.ના જ સુશીલ કુમાર મોદીએ તે વિશે જે ગેમિંગ એડિક્શન અંગે અહેવાલ રજૂ કર્યો હતો, જે અહેવાલ પર સરકારને એક્શન લેવાનું રાજ્ય સભાના ચેરમેન વૈકૈંયા નાયડુએ જણાવ્યું હતું. તે અહેવાલમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે, ઓનલાઈન ગેમિંગ બાળકોને તેના વ્યસન તરફ દોરી જાય છે. અને તેઓને ન રોકવામાં આવે તો ‘ગેમિંગ ડિસોઓર્ડર’ સુધી વાત પહોંચી શકે છે. વાલીઓ અને શિક્ષકો માટે તેમાં વિશેષ સૂચન કરવામાં આવ્યું હતું. એક સૂચન તો એવું ય હતું કે આ પ્રકારનાં ગેમિંગના એપ માટેના પેમેન્ટની કોઈ અપર લિમિટ નિર્ધારીત થવી જોઈએ.

આ ઉપરાંત પણ તે અહેવાલમાં જે નોંધ હતી તે પ્રમાણે ઓનલાઈન ગેમિંગમાં બાળકોથી અંતર રાખવાનું મુનાસિબ માનવામાં આવ્યું હતું. એક અન્ય નોંધ મુજબ ગેમિંગથી બાળકોને શારીરિક અને માનસિક તાણ પડે છે. આમ થવાનું કારણ દરેક નવી ગેમ વધુને વધુ અઘરી અને ગૂંચવણ ભરેલી હોય છે. અને જો તેમાં કોઈ સ્વમર્યાદા નક્કી ન કરવામાં આવે તો તે વાત એડિક્શન સુધી પહોંચતાં વાર લાગતી નથી.

ભા.જ.પ.ના સુશીલકુમારે ગેમિંગનાં ઘાતક નુકસાન બતાવ્યાં તેનું એક કારણ તેમાં વધી રહેલું એન્ગેજમેન્ટ છે. કોવિડ આવ્યા બાદ ગેમિંગમાં એન્ગેજમેન્ટ 65 ટકા સુધી વધ્યું છે. 43 કરોડથી વધુ લોકો વર્ચ્યુઅલ ગેમિંગમાં પોતાનો સમય વ્યતિત કરે છે. ગેમિંગમાં આ બધું જ ઝડપભેર થઈ રહ્યું છે કારણ કે તે અંગેના કાયદામાં ટેક્નોલોજી પ્રમાણે બદલાયા નથી. બીજું કે ગેમિંગ બાબતે કાયદા ઘડવાનો અધિકાર રાજ્યોને છે. આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને તમિલનાડુ દ્વારા ગેમિંગ પર કેટલીક મર્યાદા મૂકી છે. તેમ છતાં બાળકોના ગેમમાં સટ્ટા સુધી પણ વાત પહોંચે છે. જેમ કે આપણે ત્યાં લુડો સૌથી પ્રચલિત ગેમ છે અને તે પણ આ પ્રકારના વિવાદમાં ઘેરાઈ ચૂકી છે. પબજી અને બ્લુવ્હેલ ચેલેન્જ જેવી ગેમ તો આત્મહત્યા અને હિંસા આચરવા સુધી લઈ જાય છે તેવું સાબિત થઈ ચૂક્યું છે અને હવે આ ગેમ પર પ્રતિબંધ પર લાદી દેવામાં આવ્યો છે.

જો કે હવે આ ક્ષેત્રનું નુકસાન સામે જોવાતું હોય અને તે નુકસાન બાળકોનું હોય તેમ છતાં જો સરકાર તેમાં રોજગારી અને તકો જોતી હોય તો હવે ધ્યાન લોકોએ જ રાખવાનું છે. નહીંતર નુકસાન સમાજને સરકારને પછી થવાનું છે પહેલાં તે નુકસાન પરિવારનું હશે.

e.mail : kirankapure@gmail.com

Loading

‘‘અમે ભારતના લોકો……’’ – મુખડા તો દેખો દર્પણ મેં!

સોનલ પરીખ|Opinion - Opinion|15 February 2022

બંધારણને દેશનું દર્પણ કહેવામાં આવે છે. આપણે દેશવાસીઓ આ દર્પણમાં કદી પોતાને જોઈએ છીએ? દર્પણ આપણને ઓળખ જ નહીં, પોતાને સંવારવાની તક પણ આપે છે.

‘ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.

હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.’

બંધારણ લાંબુ લાગતું હોય એવા નાગરિકોએ આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા યાદ રાખવી.

‘અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમ જ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમ જ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દૃઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર, 1949ના રોજ આ બંધારણસભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’

આ શબ્દો છે સ્વતંત્ર ભારતના બંધારણના આમુખના. 26 જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણનો અમલ શરૂ થયો અને ભારત પ્રજાસત્તક બન્યું. બંધારણને દેશનું દર્પણ કહેવામાં આવે છે. આપણે દેશવાસીઓ આ દર્પણમાં કદી પોતાને જોઈએ છીએ? દર્પણ આપણને ઓળખ જ નહીં, પોતાને સંવારવાની તક પણ આપે છે.

મહાત્મા ગાંધી કોમી આગને ઠારવા નોઆખલીમાં ફરતા હતા ત્યારે એમણે જોયું કે ત્યાંના નેવું ટકા મુસ્લિમો કુરાન પઢી શકતા હતા, પણ તેને સમજી શકતા નહોતા. એટલે મૌલવીઓ કહે તે જ સાચું એમ માનતા હતા. ગાંધીજીએ મૌલવીઓની નારાજગી વહોરીને પણ એમને કુરાનનો ખરો અર્થ સમજાવવા માંડ્યો. આપણે પણ આવા જ નથી? બંધારણ વાંચી તો શકીએ છીએ, પણ એના અર્થઘટન માટે રાજનેતાઓ અને અદાલતો પર આધાર રાખીએ છીએ અને એ પણ ત્યારે જ, જ્યારે કોઈ મોટી મુશ્કેલી આવી પડી હોય. બાકી તો આવું બધું કરવાનો ય આપણને કંટાળો આવે છે.

આ બેદરકારી, આ અજ્ઞાન આપણને ખૂબ ભારે પડ્યું છે, પડે છે અને પડતું રહેશે; પણ આપણને એનો ખ્યાલ નથી કે પછી એની પરવા નથી. આ બેદરકારીને લીધે આપણો દેશ અનેક વિવાદો અને ગેરસમજોથી ઘેરાયેલો રહ્યો છે. બંધારણ સર્વોચ્ચ કાયદો છે અને એના પ્રમાણે દેશ ચાલે છે તો દરેક નાગરિકની એ ફરજ છે, જવાબદારી છે કે બંધારણને સમજી લે અને છતી આંખે અંધ થવાનું બંધ કરે.

લોકશાહીના ત્રણ આધારસ્તંભો હોય છે : સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણે કઈ રીતે કામ કરશે, શું કામ કરશે, કોની કેવી રીતે ને કોના દ્વારા નિમણૂક થશે, વહીવટી તંત્રોની રચના કેવી રહેશે, જવાબદાર વ્યક્તિઓની કેવી લાયાકાત અને ફરજો રહેશે? નાગરિકોના અધિકાર અને ફરજો કયા હશે – આ અંગેના નિયમોનો સમૂહ એટલે બંધારણ. ભારતની કોઈપણ વહીવટી બાબતોમાં બંધારણનો શબ્દ આખરી હોય છે. પ્રેસને ચોથો આધારસ્તંભ ગણવામાં આવે છે.

જરા ઇતિહાસમાં જઈએ. 1600માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. પછીના સાડા ત્રણ સૈકા વિદેશી પ્રભાવ અને શાસનના હતા. લાંબાં આર્થિક શોષણ ને રાજકીય દમન પછી અને પશ્ચિમી શિક્ષણથી આવેલી બૌદ્ધિક જાગૃતિને કારણે બ્રિટિશ શાસનને પડકારવાની શરૂઆત થઈ અને ભારતે ધીમે ધીમે છતાં મજબૂત રીતે લોકશાહી તરફ કૂચકદમ શરૂ કરી.

શરૂઆત બ્રિટિશ શાસકો સમક્ષ અસંતોષની રજૂઆતથી થઈ. પછી મવાળ અને એ પછી જહાલ માર્ગે માગણીઓ થઈ જેમાં બંધારણનો વિચાર સામેલ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદના રાષ્ટ્રવાદીઓએ અને 1922માં ગાંધીજીએ વિચાર રજૂ કર્યો કે ભારતીયોએ તેમનું ભાવિ પોતે જ ઘડવું જોઈએ અને પ્રજાએ  પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત થતી ભારતની પ્રજાની ઈચ્છાઓમાંથી સ્વરાજ ઉદ્દભવવું જોઈએ.

1929ના લાહોર કૉંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ થયો. સાથે સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાની જરૂર પર ભાર મૂકાયો. 1934માં તો કૉંગ્રેસે સ્પષ્ટ રીતે જ બંધારણસભાની માંગણી કરી અને 1936ના લખનૌ અધિવેશનમાં તેણે જણાવ્યું કે બહારની સત્તાની દરમિયાનગીરીથી ઘડાયેલા કોઈ બંધારણનો કૉંગ્રેસ સ્વીકાર કરશે નહિ.

ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બંધારણ ઘડવું એ નક્કી હતું. જો કે તેના સ્વરૂપ અંગે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ગંભીર મતભેદો હતા. ડિસેમ્બર 1946માં બંધારણસભા મળી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેના અધ્યક્ષ નીમાયા. સૌથી અગત્યની એવી ડ્રાફ્ટિંગ કમિટી બની, જેના અધ્યક્ષ ડૉ. આંબેડકર હતા. આ કમિટીએ વિશ્વના 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો અને અમેરિકાના બિલ ઑફ રાઈટ્સમાંથી મૌલિક અધિકારની, બ્રિટનમાંથી સંસદીય લોકશાહીની, કેનેડા પાસેથી મજબૂત કેન્દ્રની, આયર્લૅન્ડ પાસેથી લોકોનું ભલું કરવાની જવાબદારી શાસનની, ફ્રાન્સ પાસેથી સમાનતા અને બંધુત્વની, ઑસ્ટ્રેલિયા પાસેથી રાજ્યો વચ્ચે વેપારની, રશિયા પાસેથી સામાજિક-રાજકીય-આર્થિક ન્યાયની, જર્મની પાસેથી કેન્દ્ર સરકારને મળતી ઈમર્જન્સી સત્તાઓની અને જાપાન પાસેથી ન્યાયતંત્ર બંધારણની કલમોનું અર્થઘટન કરી શકે, બદાલાવી શકે નહીં – આવી સંકલ્પનાઓ અપનાવી અને ભારતની પરંપરા અને વિવિધતાને પણ ધ્યાનમાં લઈ 315 આર્ટીકલ, 22 ભાગ અને 8 પરિશિષ્ટનો એક ડ્રાફ્ટ આપ્યો. જે પછી સભામાં ચર્ચા માટે મુકાયો.

બંધારણા સભામાં પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. એમાં જાતજાતની વિચારસરણીઓ ધરાવતાં જૂથો હતાં, પણ લગભગ બધાં જ સભ્યો તેજસ્વી, લોકશાહીવાદી અને ઉદારવાદી વિચારોથી પ્રભાવિત હતા અને છેવાડાના અદના આદમીની ચિંતા ધરાવતા હતા.

કલ્પના કરો કેવી ચર્ચાઓ કરી હશે આવા 389 સભ્યોએ? શમા બેદી અને અતુલ તિવારીની લખેલી અને રાજ્યસભા ટી.વી.એ બનાવેલી ‘સંવિધાન’ સિરિયલના 10 એપિસોડમાં આ આખો ઇતિહાસ અને પ્રક્રિયા ખૂબ રસપ્રદ અને પ્રમાણભૂત રીતે બતાવાયો છે. યુટ્યૂબ પર અવેલેબલ છે. આપણા ઉત્કર્ષ મઝુમદાર એમાં સરદાર પટેલની ભૂમિકામાં શોભ્યા હતા.

2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચર્ચા ચાલી અને બંધારણને આખરી ઓપ અપાયો. અન્ય દેશોની તુલનાએ ભારતનું બંધારણ ખૂબ મોટું અને વિસ્તૃત છે. વિશ્વનાં બંધારણોના ખ્યાતનામ અભ્યાસી સર આઇવર જેનિંગ્ઝ પણ આ વાતનું સમર્થન કરે છે.

પ્રેમબિહારી નારાયણ રાયજાદાએ સુંદર કર્સિવ ઈટાલિક્સમાં બંધારણની પ્રત લખી. એ માટે 432 જેટલી હૉલ્ડર નિબનો ઉપયોગ થયો. લખતા છ મહિના થયા હતા. આ પૃષ્ઠોને શાંતિનિકેતનના કલાકારોએ સુશોભિત કર્યાં હતાં. પછી તેની હિંદી નકલ કૅલિગ્રાફર વસંતકૃષ્ણ વૈદ્યે કરી. પૂનામાં હાથે બનાવેલા કાગળ એમાં વપરાયા છે. અંગ્રેજી પ્રતનું વજન 13 કિલો અને હિન્દી પ્રતનું વજન 14 કિલો છે. આ બન્ને પ્રતો નાઈટ્રોજન ભરેલી કાચની પેટીઓમાં મૂકવામાં આવી જેથી કાગળ બગડે નહીં.

આપણા બંધારણ અનુસાર નાગરિક કોઈપણ રાજ્યનો હોય, સમગ્ર ભારતનો નાગરિક ગણાય છે. નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે વિરોધ, ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને કેળવણી-વિષયક, મિલકતનો અને ન્યાયનો – આ મૂળભૂત અધિકારો અપાયા છે. નિમ્ન સ્તરના વર્ગો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એ માટે ભારતના બંધારણમાં પછાત અને વર્ગીકૃત જાતિઓ માટે વિશિષ્ટ જોગવાઈઓ છે. માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિનો ઉદ્દેશ સામેલ છે. ભારત બહુભાષી હોવાથી હિંદીને રાષ્ટ્રભાષાનું સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતે બ્રિટનના જેવી સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં પ્રજા દ્વારા ચૂંટાતા નીચલા ગૃહ લોકસભાને વ્યાપક સત્તાઓ મળેલી છે. તે કાયદાઓ ઘડે છે, અંદાજપત્ર મંજૂર કરે છે, સરકારની રચના કરે છે તેમ સરકારને પદભ્રષ્ટ પણ કરી શકે છે. આનો અર્થ એ કે આપણે જેમને ચૂંટીને મોકલીએ છીએ તે પ્રતિનિધિઓની, સરકાર પર સીધી અસર પડે છે. આપણે આ ધ્યાનમાં રાખીને મતદાન કરીએ છીએ?

જેના શબ્દોથી શરૂઆત કરી એ આમુખ બંધારણના ઉદ્દેશ્ય તથા લક્ષ્યને સ્પષ્ટ કરે છે. જ્યાં બંધારણની ભાષા સંદિગ્ધ લાગે ત્યાં આમુખની મદદ લેવામાં આવે છે.

અને શાળામાં રોજ બોલતા એ પ્રતિજ્ઞા તો યાદ હશે જ,

‘ભારત મારો દેશ છે, બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. હું મારાં માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.’

બંધારણ લાંબુ લાગતું હોય એવા નાગરિકોએ આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા યાદ રાખવી.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 જાન્યુઆરી 2022 

Loading

બજેટ અને વાસ્તવિકતા

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 February 2022

બજેટનો એક ઉદ્દેશ અર્થતંત્રમાં જો કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો એનો ઉકેલ શોધવાનો હોય છે. આ દૃષ્ટિએ એ જોઈએ તો આગામી વર્ષ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર વાસ્તવિક્તાથી વિમુખ રહીને તૈયાર કરવામાં આવ્યું છે. નોટબંધીથી શરૂ કરીને જેને અર્થતંત્રનું બિનસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા જેને અર્થતંત્રનું અનૌપચારિક ક્ષેત્ર કહેવામાં આવે છે તે સંકોચાતું જાય છે. અર્થતંત્રના આ વિભાગમાં લગભગ ૮૫ ટકા લોકોને રોજગારી મળે છે. આનો અર્થ એવો થાય કે લોકોને મળતી રોજગારી ઘટતી રહી છે. એમાં જી.એસ.ટી.ના અમલથી વધારો થયો છે. કોવિડની મહામારી દરમિયાન એક વધુ ફટકો લાગ્યો છે. આમ અર્થતંત્રના બિનસંગઠિત વિભાગમાં રોજગારી ઘટી રહી છે. અને પરિણામે લોકોની ગરીબીમાં વધારો થયો છે. આ ગરીબો અને બેકારોને એમનાં નસીબ ઉપર છોડવાાં આવ્યાં છે. બજેટમાં એના માટે કોઈ પગલાં સૂચવાયાં નથી.

અર્થતંત્રની બીજી સમસ્યા બેકારીની છે. જે યુવાનો અર્થતંત્રમાં રોજગારી શોધવા માટે આવે છે એમને રોજગારી પૂરી પાડી શકાતી નથી. એને પરિણામે અર્થતંત્રમાં છેલ્લાં ચાર કે પાંચ વર્ષોમાં બેકારીનું પ્રમાણ બેવડું થઈ ગયું છે અને બેકારી ઝડપથી વધી રહી છે. ત્યારે બજેટમાં આગામી પાંચ વર્ષોમાં કેટલાંક ક્ષેત્રોમાં રોજગારીમાં ૬૦ લાખનો વધારો થશે એ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. પણ દર વર્ષે જે ૯૦ લાખથી વધારે યુવાનો રોજગારી શોધવા માટે આવે છે એમના માટે રોજગારીનો કોઈ પ્રબંધ કરવામાં આવ્યો નથી. રોજગારીના અભાવમાં કેટલાક લોકો નિરાશ થઈને રોજગારી શોધવાનું જ માંડી વાળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં એ લોકો શ્રમના બજારમાંથી બહાર નીકળી જાય છે એને પરિણામે ભારતમાં શ્રમનો સામેલગીરીનો દર બીજા વિકાસશીલ દેશોની તુલનામાં ઓછો છે. આને પરિણામે આપણે આપણી શ્રમશક્તિનો ઉપયોગ કરીને ગરીબીમાંથી બહાર આવી શકતાં નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો માત્ર વાતો જ રહી છે.

અર્થતંત્રમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યું છે. એવા કેટલાક નિર્દેશો મળ્યા છે ભારતમાં સરકારની કરવેરાની આવકમાં બજેટમાં મૂકવામાં આવેલા અંદાજની તુલનામાં ઘણી વધારે આવક થઈ છે. પણ એના પરિણામે રાજકોષીય ખાધમાં જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નથી. વિશ્વમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યાંના નિર્દેશો સાંપડે છે. એને પરિણામે વ્યાજના દરમાં ઘટાડો કરીને મૂડી રોકાણને ઉત્તેજન આપી શકાશે નહીં. એ માટે રાજકોષીય ખાદ્યનું પ્રમાણ ઘટાડવું જ પડશે.

બધો મદાર બજેટમાં સરકાર દ્વારા પાયાની સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ મૂડી રોકાણમાં વધારો કરવામાં આવ્યો છે, એના ઉપર રાખવામાં આવ્યો છે. એ પાયાની સવલતોમાં આગલા વર્ષમાં કરવામાં આવેલા મૂડીરોકાણમાં ૫૦ ટકાનો વધારો સૂચવાયો છે. એની સાથે ‘મનરેગા’ જેવી કલ્યાણ યોજનાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એના પરિણામે વધનાર મૂડીરોકાણથી આવક અને રોજગારીમાં કેટલો વધારો થશે તે અનિશ્ચિત બાબત છે. પાયાની સવલતો જેવી કે રસ્તાઓ, બંદરો, વીજળી એ બધાં પાછળ થનાર મૂડીરોકાણ સમય જતાં ફળદાયી નીવડતું હોય છે. તેથી એ મૂડીરોકાણને પરિણામે તાત્કાલિક જે રોજગારી સર્જાય એની અસર અર્થતંત્ર પર પડે છે.

દરમિયાન, દેશનું શેરબજાર ઘણા સમયથી તેજીની અવસ્થામાં છે. પણ એ અર્થતંત્રની પારાશીશી નથી. એ માત્ર દેશનાં કોર્પોરેટ વિભાગની પારાશીશી છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રમાં એના સંદર્ભમાં જે રીકવરી ચાલી રહી છે. તેને અંગ્રેજી K આકાર જેવી વર્ણવી છે. એનો અર્થ એ કે કેટલાંક ક્ષેત્રોમાં તેજીની સ્થિતિ પ્રવર્તતે છે. પણ અન્ય ક્ષેત્રોમાં મંદીની સ્થિતિ પ્રવર્તે છે. દેશના અર્થતંત્રના અસંગઠિત વિભાગમાં હજી રીકવરી નથી આવી એનો આ નિર્દેશ છે.

ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે અસમાનતા ધરાવે છે. તે હકીકત તાજેતરમાં બહાર પાડેલા અસમાનતાના રિપોર્ટમાં પ્રગટ થઈ છે. ભારતનું અર્થતંત્ર તીવ્ર અસમાનતા ધરાવે છે. તેની સાથે એ એક ગરીબ અર્થતંત્ર છે એ પણ હકીકત નોંધવામાં આવી છે. આવા અર્થતંત્રમાં સમાનતાની દિશામાં કોઈ પગલાં ભરવામાં ના આવે એ ગરીબોની કમનીસીબી છે. ભારતનું અર્થતંત્ર આજે સમાજના ઉપલા વર્ગો માટે કામ કરી રહ્યું છે. આને સર્વસમાવેશી બનાવવા માટે અનેક ઉપાયો કરવા પડે એને બદલે વાતોથી સંતોષ માનવામાં આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 02

Loading

...102030...1,5961,5971,5981,599...1,6101,6201,630...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved