Opinion Magazine
Number of visits: 9569865
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ્મીરી પંડિતોનું પુનઃસ્થાપન એટલે, “એક રુકા હુઆ ફેંસલા”

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 April 2022

કાશ્મીરી પંડિતોના પુનઃસ્થાપનનો મુદ્દો અઘરો છે. તેમાં માત્ર મિલકતોની રક્ષા કે રોજગારીની વાત નથી પણ પાકિસ્તાન સાથે પણ માથા ફોડવાનાં છે, ખીણ પ્રદેશમાં સતત વૈમનસ્યની આગને હવા આપનારા અલગાવવાદીઓને પણ ઓળખી કાઢવાના છે

‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ રિલીઝ થઇ અને ‘પેન્ડોરાઝ બૉક્સ’ ખૂલી ગયું. હિંદુવાદીઓ અને રાષ્ટ્રવાદીઓને ઠેકડા મારવા માટે જૂના મુદ્દા પર નવો તાલ મળ્યો. હિંદુ ધર્મ અને રાષ્ટ્ર પ્રેમ બન્ને આ પેલા ‘વાદ’થી અલગ છે તે સમજવું – ન સમજી શકાય એમ હોય તો શાંત રહેવું. નેવુંના દાયકાના પૂર્વાર્ધમાં કાશ્મીર ઘાટી પર આતંકવાદે પોતાની પકડ એવી મજબૂત કરી કે કારમા સંજોગો ખડા થયા અને કાશ્મીરી પંડિતોએ હિજરત કરવી પડી. પરંતુ આતંકવાદનું પરિણામ માત્ર કાશ્મીરી પંડિતોની હિજરત નહોતી, ઘણાં ય મુસલમાન રહેવાસીઓનાં પણ જીવ ગયાં અને તેમણે પણ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું.  કમનસીબે આટલાં વર્ષે પણ આ લાવા થોભ્યો નથી, તેની ઝાળ લબલબ થયાં જ કરે છે અને આતંકવાદ આજે પણ કાશ્મીર ઘાટીમાં ફેલાયેલો છે, સૈન્યની હાજરી હોવા છતાં પણ સંજોગો સલામત નથી.

‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને કારણે એટલો બધો ઘોંઘાટ વધ્યો કે જાણે ધ્રુવીકરણની ગતિ બમણી થઇ ગઇ. બધાં ‘વાદી’ઓને આંતક ફેલાવીને ‘સામા વાળા’ને ખલાસ જ કરી નાખવા જોઇએનું ઝનૂન ચઢ્યું. જો કે વાત આ આંધળા ઝનૂનની નથી, જે ફિલ્મ જોયા પછી પાનને ગલ્લે બે સિગરેટ્સ અને ચાર પાનની પિચકારીઓમાં દેખાયું.

કાશ્મીરી પંડિતોને પુનઃસ્થાપન કરવાની ચર્ચા છેડાઇ. વિસ્થાપિત કાશ્મીરીઓનાં પુનઃવસન માટે કામગીરી ચાલુ છે, તેમ કેન્દ્ર સરકારે જાહેરાત કરી. કાશ્મીર ઘાટીમાં પંડિતોના પરિવારો માટે ૧,૫૦૦ ફ્લેટ્સ બન્યા છે અને કૂલ ૬,૦૦૦ બનવાના છે.  એમ નથી કે પહેલીવાર કાશ્મીરી પંડિતો માટે સરકારે કંઇ કર્યું છે, આ પહેલાં કાઁગ્રેસની સરકારે પણ તેમનાં પુનઃસ્થાપન માટે કવાયત કરી છે. દરેક કાશ્મીરી પંડિતની વિતક જુદી છે પણ તેનો સ્થાયી ભાવ પીડા છે. સરકાર તેમની પીડા નથી સમજી શકતી તેવી ફરિયાદ આ વિસ્થાપિતો અનેકવાર કરી ચૂક્યાં છે. ભા.જ.પ. અને કાઁગ્રેસની સરકારે કાશ્મીરી પંડિતોના પુનઃસ્થાપિત કરવા માટે સતત કોઇને કોઇ પ્રયાસ કર્યા છે. ૨૦૦૮માં મનમોહન સિંહની સરકારની યોજના લાગુ કરાઇ, ભા.જ.પા.એ પણ યોજના ચાલુ રાખી. પણ ૨૦૧૭ પછી યોજનાઓનો લાભ લેનારાની સંખ્યા ઘટી. ઘર મળી જવાથી પુનઃર્વસન નથી થઇ જતું. નોકરી, સલામતી અને વૈમન્સય વગરની સ્થિર તથા શાંત સામાજિક રાજકીય જિંદગી પણ જરૂરી છે. ૩૭૦ની કલમ હટાવાશે તો કાશ્મીરી પંડિતોની જિંદગી સરળ થઇ જશે એવું કહેવાતું હતું, ભા.જ.પ. સરકારે આ કર્યું પણ શું ખરેખર ૩૭૦ની કલમ અડચણરૂપ હતી? ૩૭૦ અને ૩૫Aની કલમ હટાવવાથી આખા દેશમાં ઉત્સાહનો હોબાળો થયો. કાશ્મીરી પંડિતોની જિદંગી રાતોરાત બદલાઇ જશેના રાગડા તણાયા. કશું બદલાયું? ના. રાકેશ પંડિતા અને એમ.એલ. બિન્દ્રુ જેવા રહેવાસીઓની હત્યા થઇ. ૨૦૨૧માં કાશ્મીરી પંડિતની મિલકતોને લગતા પ્રશ્નોને સ્વીકારનારું એક પોર્ટલ લૉન્ચ થયું. લેફ્ટનન-ગવર્નરે લૉન્ચ કરેલા આ પોર્ટલ પર કાશ્મીરી પંડિતોએ પોતાની મિલકતો પચાવી લેવાઇ છે, બારોબાર વેચી દેવાઇ છેની ફરિયાદો કરી. ૯૭ની સાલમાં જે એન્ડ કે સરકારે જમ્મુ એન્ડ કાશ્મીર માઇગ્રન્ટ ઇમુવેબલ પ્રોપર્ટી એક્ટ પસાર કર્યો જેના કારણે સ્થળાંતરિત પંડિતોની સ્થાવર મિલકતોની રક્ષા થઇ શકે. ગયા વર્ષે માર્ચમાં સરકારે લેખિત ફરિયાદોની માંગ દૂર કરી અને નવા પોર્ટલ પર કામગીરી ઝડપી થાય તેવો પ્રયત્ન શરૂ કરાયો. મૂળ માલિકો પાસે મિલક્તોનું પુનઃસ્થાપન એવી પૂર્વ શરત છે જે કાશ્મીરી પંડિતોએ ઘાટીમાં પાછા ફરવા માટે પૂરી કરવી અનિવાર્ય છે. ૩૦ વર્ષ બહુ લાંબો સમય છે અને અવિશ્વાસની ખાઇ ગહેરી જ થઇ છે. કોમવાદ અને આકરી નીતિઓ અવરોધો જ બને છે, ઉકેલ નહીં.

‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોનારા બધા જ કાશ્મીરી પંડિતો તેમાં જે દર્શાવાયું છે તેની સાથે પૂરી રીતે સંમત નથી કારણ કે સત્ય ૩૬૦ ડિગ્રીમાં ન બતાડાય ત્યારે તે અધૂરું જ હોય. બી.બી.સી.ના એક અહેવાલ અનુસાર કાશ્મીરી પંડિતોને લાગે છે કે ફિલ્મમાં હિજરત કોના કારણે થઇ તેની સ્પષ્ટતા નથી, જે પંડિત પરિવારો કાશ્મીર છોડીને ગયા નહીં (૮૦૮ પરિવારો) તેમની જિંદગી શું છે તેની વાત નથી કરાઇ. હાલની સરકારે કાશ્મીરી મુસલમાનોને એમ માનવાના પૂરતાં કારણો આપ્યાં છે કે આખી કોમની છાપ ખરડાય તેનું જ અભિયાન ચાલી રહ્યું છે, જે ખરેખર તો એ ષડયંત્રનો હિસ્સો પણ નહોતું જે સરહદ પરથી કાશ્મીરી પંડિતોના વિરોધમાં રચાયું હતું. કાશ્મીરી પંડિતો અને કાશ્મીરી મુસલમાનો વચ્ચે સ્થિતિ તંગ છે અને ખરેખર હિજરત શા માટે થઇ તેનાં કારણો શોધાવા પર ભાર મુકાશે તો આ બન્ને કોમ વચ્ચે શાંતિ સ્થપાઇ શકશે. પણ સત્તાધીશોને રાજકીય મુદ્દો હાથવગો રહે, તેમાં વધારે રસ હોય તે સ્વાભાવિક છે.

ધિક્કાર ભૂલીને એકબીજાએ વેઠેલી વેદનાને સમજી શકાય તે સ્તરે કાશ્મીર વેલીના નાગરિકોએ જવું પડશે. તો જ સરકારોને પણ સ્પષ્ટ સવાલ કરી શકાશે. ૯૦ના દાયકાથી અનેકવાર કાયદાકીય મદદ પણ માગવામાં આવી છે, જેથી અલગાવવાદી નેતાઓની કાવતરાખોરી બહાર આવે જેના કારણે કાશ્મીરી પંડિતોનાં મોત થયાં, હિજરત થઇ પણ એ દિશામાં નક્કર કામગીરી નથી થઇ. ૩ દાયકાથી એકજૂટ થયેલું નેતૃત્વ પણ કાશ્મીર ઘાટીમાં ખડું નથી થયું જેના કારણે એક મજબૂત અવાજ પોતાની માંગને સ્પષ્ટ રીતે રજૂ કરી શકે જે કમનસીબી છે.

કાશ્મીરી પંડિતોનાં પુનઃસ્થાપનનો મુદ્દો અઘરો છે. તેમાં માત્ર મિલકતોની રક્ષા કે રોજગારીની વાત નથી પણ પાકિસ્તાન સાથે પણ માથાં ફોડવાનાં છે, ખીણ પ્રદેશમાં સતત વૈમનસ્યની આગને હવા આપનારા અલગાવવાદીઓને પણ ઓળખી કાઢવાના છે, વળી આ મુદ્દાને કોટે વળગાડી પોતાની રાજ રમત કરનારા રાજકારણીઓના ખેલ પણ સમજવાનો છે. મકાનો બાંધવાથી વતન નથી મળી જતું, આ પેચીદો મુદ્દો છે અને સ્વાર્થને નેવે મૂકીને આ દિશામાં કામ થશે તો જ કોઇ હકારાત્મક પરિણામ મળી શકશે.

બાય ધી વેઃ

કાઁગ્રેસ અને ભા.જ.પા. – બન્ને સરકારોએ આ કરુણ ઘટનાને કોઇ ક્લોઝર આપવાની કે કોઇ અંત આપવાની પહેલ કરી હોય તેવું નથી લાગતું, આ મુદ્દો સળગતો રહે છે અને તેની પર રાજનીતિ ખેલાતી રહે છે. ઇસ્લામોફોબિયા, હેટ પોલિટીક્સ આ બધું આપણા દેશની ફિતરત બને તેની ભીતિ અકળાવી દે તેવી છે. જે દેખાય છે તે પણ ગમે તેવું તો નથી જ. કાશ્મીરી પંડિતોની વાપસી, પુનઃસ્થાપન અને સમાધાન જરૂરી છે, પણ આ મુદ્દાઓને તો ફિલ્મમાં પણ મહત્ત્વ નથી અપાયું. વળી એક મીડિયા હાઉસે જ્યારે આર.ટી.આઇ. કરી કે ખરેખર કેટલા કાશ્મીરી પંડિતોનું પુનઃસ્થાપન કરાયું, ત્યારે તેના જવાબમાં ઊંડી વેરાન ખીણમાં હોય એવો સન્નાટો જ મળ્યો હતો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  03 ઍપ્રિલ 2022

Loading

અનોખા નયામાર્ગી સમાજમિત્ર ઇન્દુભાઈ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|3 April 2022

નવી સદીની મોટી સમસ્યાએ છે કે વૈશ્વિકીકરણના જમાનામાં પાછળ રહી ગયેલા વંચિતોનું કોઈ સાંભળતું નથી. તેમના રોજ-બ-રોજના પ્રશ્નો, તેમનાં જીવનની સમસ્યાઓ, તેમના વાજબી પ્રશ્નો અને ઉકેલો, વકરતી જતી હિંસા બાબતે તેમનો અવાજ, તંત્રો સુધી પહોંચતો નથી. ક્યારેક તો મીડિયા સુધી પણ પહોંચતો નથી. વાત સર્વસમાવેશકતાની થાય છે. પરંતુ હજુ કેટલોક વર્ગ જે પાછળ રહી ગયો છે તે દૂરને દૂર હડસેલાતો જાય છે.

ઇન્દુકુમાર જાની (૧૯૪૩•૨૦૨૧) એવી વ્યક્તિઓમાંના એક છે, જેમને મન પાછળ રહી ગયેલાઓનો પ્રશ્ન સૌથી મોટો છે. તેમને મન ગરીબો, આદિવાસીઓ, દલિતો, વંચિતો, લઘુમતીઓ, મહિલાઓ આ બધા જ પેલા પાછળ રહી ગયેલા વર્ગના માનવંતા સભ્યો છે, તેઓ ભારતના નાગરિકો છે અને તેમના પ્રશ્નો ઉકેલવા એ આપણી બંધારણીય અને સામાજિક ફરજ પણ છે. આ અંગે કેટલું થયું તેનો જવાબ માંગવાનો તેમનો અધિકાર પણ છે. આવા ઇન્દુભાઈ ગુજરાતમાં જાણીતા થયા, પાક્ષિક ‘નયામાર્ગ’ના તંત્રી તરીકે. આ સામયિક ‘વંચિતલક્ષી વિકાસ પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહીન સમાજરચના’ માટે પ્રતિબદ્ધ હતું. ‘નયામાર્ગ’ સાથે ‘ગુજરાત ખેતવિકાસ પરિષદ’ અને ઝીણાભાઈ દરજીનું નામ જોડાયેલું હતું. ‘વેડછીનો વડલો’ તરીકે જાણીતા જુગતરામ દવેના શિષ્ય એવા ઝીણાભાઈનું સ્વપ્ન હતું કે અમે એક દિવસ ગરીબોનું સ્વરાજ લાવશું. ઇન્દુભાઈ આ અમૂલ્ય વારસાને ગૌરવપૂર્ણ રીતે, પૂરી નિષ્ઠાથી લગાવપૂર્વક વળગી રહ્યા. આપણા ચિંતક ગુણવંત શાહે તેથી જ તેમને ‘ગરીબમિત્ર’ તરીકે ઓળખાવ્યા.

ઇન્દુભાઈનો જન્મ આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીના કારણે અતિ જાણીતું એવાં ટંકારા(મોરબી)માં તા. ૧૭મી ડિસેમ્બર, ૧૯૪૩ના રોજ થયો. પિતાનું નામ અમૃતલાલ જાની અને માતા સવિતાબહેન, છ ભાઈ અને બે બહેનોનું અત્યંત બહોળું એવું કુટુંબ. પિતા અમૃત જાની (૧૯૧૨•૧૯૯૭) જૂની દેશી રંગભૂમિના જાણીતા અભિનેતા. વીસમી સદીના બીજા દાયકામાં રંગમંચ પર હજી મહિલાઓનું આગમન નહોતું થયું ત્યારે અમૃત જાની સ્ત્રી ભૂમિકા કરતા. દાદા જટાશંકર જાની અને અમૃતભાઈના મોટાભાઈ મોહનલાલ જાની પણ નાટકોમાં અભિનય કરતા. ૧૯૨૭માં અમૃત જાનીએ ‘ભારત ગૌરવ’ નાટકમાં છાયાદેવીની સ્ત્રી ભૂમિકા ભજવેલી. આ માટે તેમણે ગોઠણ સુધી વાળ વધાર્યા હતા, દિવસે ઊંચી કેપ પહેરતા હતા. તે પછી તેઓ પુરુષ ભૂમિકા પણ ભજવતા થયા.

અમૃત જાની અલ્પ શિક્ષિત હતા. પણ વાચનશોખ પુષ્કળ હતો, સાહિત્ય પ્રેમી હતા, તેથી તેમના સમયના સાહિત્યકારો–પત્રકારો સાથે એમને નિકટનો નાતો હતો. તેઓ ‘નટવર્ય’ તરીકે પંકાયા,  નટસમ્રાટ જશવંત ઠાકરની પ્રેરણાથી ‘અભિનયપંથે’ નામની આત્મકથા પણ લખેલી. પુત્રનું નામ ઇન્દુકુમાર પણ, કવિ ન્હાનાલાલનું સાહિત્ય વાંચવાને કારણે પાડેલું.

ઇન્દુકુમારનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયું. નાટકને કારણે કાયમી ઉજાગરા, અનિયમિત જિંદગી અને તેની તબિયત પર માઠી અસર અને તબીબી સલાહ … બધાને કારણે આ કુટુંબે ૧૯૫૬માં મુંબઈ છોડ્યું. રાજકોટ આવ્યા. પિતા તો સૌરાષ્ટ્ર સંગીત નાટક ઍકેડમીમાં જોડાયા,  કેટલાંક વર્ષ રાજકોટ આકાશવાણીમાં કામ કર્યું. ઇન્દુભાઈનું માધ્યમિક શિક્ષણ રાજકોટ ખાતે થયું. પિતા કહેતા કે મારા દીકરાઓ કોરા ચેક છે! એ જે હોય તે પણ ઇન્દુભાઈને પિતાએ મૅટ્રિક પાસ થતાં કૉલેજમાં મોકલવાને બદલે નોકરીમાં દાખલ કરી દીધા.

ઢેબરભાઈએ અને તેમની સરકારે તે સમયે જમીન સુધારાના પ્રગતિશીલ કાયદાઓ કરેલા, ‘ખેડે તેની જમીન’ મુજબ ગણોતિયાઓને જમીન માલિક બનાવવાનો કાયદો કરેલો. આ નવા ખેડૂતોને સહાયરૂપ થવા ખેતી બૅંકની સ્થાપના થયેલી. કોઈ પરીક્ષા નહિ, કોઈ ઇન્ટરવ્યૂ નહિ, માત્ર ભલામણથી ઇન્દુભાઈને ખેતી બૅંકમાં નોકરી મળી ગઈ. સોળ વર્ષ આ નોકરી કરી તે દરમિયાન ગ્રેજ્યુએટ થયા. બૅંકનાં સાથી કર્મચારી રંજનબહેન જંગબારી સાથે પ્રેમલગ્ન કર્યાં. ખેતી બૅંકમાં વ્હાઈટ કૉલર કર્મચારીઓ માટે કોઈ યુનિયન ન હતું ત્યાં મૅનેજમેન્ટ સામે પડવાનું જોખમ વહોરીને યુનિયન સ્થાપ્યું.

યુનિયનની સ્થાપના માટે ખાનગી રાહે વ્યૂહરચનાઓ કરી. ત્રણ હજાર કિલોમીટર જેટલો પ્રવાસ મિત્રોને લઈને પોતાના સ્કૂટર પર ફરીને રાજ્યભરની શાખાઓના કર્મચારીઓને સંગઠિત કર્યા. યુનિયન સ્થાપીને જુદે-જુદે તબક્કે જનરલ સેક્રેટરી અને પ્રમુખપદની જવાબદારી નિભાવી. યુનિયન વતી ચાર્ટર ઑફ ડિમાન્ડ રજૂ કરી. ઇન્ડેક્ષ મુજબનું મોંઘવારી ભથ્થું સમયસર મળતું ન હતું એ માંગણી મુખ્ય હતી. મનમાં ખ્યાલ એવો કે આ સહકારી બૅંકના કર્મચારીઓનું ભયંકર શોષણ થાય છે. અમદાવાદની આશ્રમ રોડ પરની પોતાની બૅંકના દરવાજે મરણાંત ઉપવાસ પર બેઠા. પાંચમા દિવસે તબિયત લથડી, બધાના જીવ ઊંચા થવા લાગ્યા. આજનાં યુનિયનો જેવી પાછલે બારણે ખાવા પીવાની રીતરસમ અપનાવી લેવા તેઓ સંમત ન થયા.

ઝીણાભાઈ દરજી બૅંકના ઉપપ્રમુખ હતા. પ્રમુખ કરતાં ઝીણાભાઈનો જ વક્કર વધુ. તેમને કારણે જ સમાધાન થયેલું. આમ તેઓ ઝીણાભાઈ દરજીના વિશેષ અને અંગત પરિચયમાં આવતા ગયા.

ઝીણાભાઈ દરજી ત્યારે ખેતવિકાસ પરિષદનું માળખું ઊભું કરીને તેને રજિસ્ટર કરવાની ફિરાકમાં હતા. ઇન્દુભાઈ એ માટેની દોડાદોડમાં સામેલ થયા. એક દિવસ ઝીણાભાઈએ કહ્યું કે તમે માનો છો કે બૅંકના કર્મચારીઓનું બહુ શોષણ થાય છે, બરાબર ? તમે મારી સાથે અમારા આદિવાસી વિસ્તારમાં ફરવા આવો. ‘જાનીભાઈ’ એમની સાથે વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને નિઝરના ઊંડાણનાં ગામોમાં ફર્યા. શૈક્ષણિક, સહકારી અને બીજી વિકાસ પ્રવૃત્તિઓ નજીકથી જોઈ. લંગોટીવાળા આદિવાસીઓને જોયા. આ કોટવાળિયાઓની ભારે ગરીબી પણ જોઈ. એક સંમેલનમાં આદિવાસીઓ સાથે સહભોજનમાં સામેલ થયા. એક આદિવાસીભાઈ જમ્યા પછી એક પત્રાળીમાં ઘેર રહેલાં માટે ભજિયાં લઈ જતા હતા! ઇન્દુભાઈની ઊંઘ હરામ થઈ ગઈ. ઝીણાભાઈ પાસે એમણે માગણી મૂકી કે મને એમાં સભ્ય બનાવો તો પરિષદના રજિસ્ટ્રેશનનું કામ કરું. આ પ્રવૃત્તિને કારણે તેઓ રતુભાઈ અદાણી, માધવસિંહ સોલંકી, સનત મહેતા, નરસિંહ મકવાણા વગેરે અગ્રણીઓના પરિચયમાં આવ્યા.

હવે, ઇન્દુભાઈનું મગજ ભમવા લાગ્યું. બૅંકની નોકરી છોડવાના વિચારો શરૂ થયા. આદિવાસીઓ માટે કામ કરવા મન તલપાપડ હતું. પત્નીની સંમતિથી નોકરી છોડવાનો વિચાર કર્યો. ઘણી બધી ચર્ચા પછી જીવનસાથીએ ધરપત આપી કે ‘મારો પગાર તો આવે જ છે. તમે નોકરી છોડી દો. તમને ગમે છે તેવી પ્રવૃત્તિ કરો. 'આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા પછી આ દંપતી ભાડાના ઘરમાં રહેતું હતું. ભાડૂત પ્રત્યે અમદાવાદીઓની નફરતથી બંને કંટાળ્યાં હતાં. મકાન માટે બૅંક લોન મળતી હતી. તે લઈને સત્વરે ગુલબાઈ ટેકરે મકાન ઊભું કરી દીધું હતું. ઇન્દુભાઈને હતું કે સ્કૂટરનું પેટ્રોલ, પરચૂરણ ખર્ચ જોગું મળી રહે એટલે બસ ! ઝીણાભાઈ પરિષદ પ્રમુખ થયા અને ઇન્દુભાઈને મંત્રી તરીકેની જવાબદારી સોંપી. જીવનનો આ મહત્ત્વનો વળાંક જેમાં ઇન્દુભાઈ બૅંક કર્મચારી મટીને ગરીબ કલ્યાણની જાહેર પ્રવૃત્તિ તરફ વળી ગયા. બહુ ટૂંકો સમય વડી અદાલતમાં સિનિયર વકીલ હરુભાઈ મહેતા સાથે જોડાઈને વકીલાત શરૂ કરી. કૉમર્સ ગ્રેજ્યુએટ થયા પછી કાયદાની ડિગ્રી તો તેમણે મેળવેલી જ હતી. લાગ્યું એવું કે પરિષદનાં કામો માટે સમય બચતો નથી તેથી વકીલાત પણ છોડી દીધી.

હવે ઝીણાભાઈ સાથે પૂરા જોશથી કામમાં લાગી ગયા. અસંગઠિત જનસમૂહો વચ્ચે કામ શરૂ કર્યું. પરિષદ દ્વારા શિક્ષણ સંસ્થાઓ શરૂ થઈ. કચ્છ, ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, સુરત અને વલસાડ જિલ્લામાં પ્રવૃત્તિ કેન્દ્રો શરૂ થયાં. એ દિવસોમાં નાના સીમાંત ખેડૂતો માટે દેવાં નાબૂદીનો કાયદો આવ્યો હતો. તેનાં હજારો ફોર્મ ભરાવ્યાં. ગુજરાતની કાઁગ્રેસ સરકારમાં ઝીણાભાઈ વીસ સૂત્રી કાર્યક્રમ અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ થયા ત્યારે પરિષદના ઉપક્રમે ચાલી રહેલાં વંચિત લક્ષીકામોમાં ઉછાળો આવ્યો. અંત્યોદય કેન્દ્રો ચલાવ્યાં, સરકારની કેટલીક સમિતિઓમાં અપવાદ રૂપે રહ્યા, પરંતુ કોઈ પણ રાજકીય પક્ષમાં કદી જોડાયા નહીં.

‘નયા માર્ગ’ પહેલાં વ્યારામાં કાઁગ્રેસ પત્રિકા તરીકે ચાલતું હતું. પછી સનત મહેતા તેને વડોદરા લઈ આવ્યા. સનતભાઈ મંત્રી મંડળમાં જોડાયા પછી ‘નયામાર્ગ’ તેમણે ઇન્દુભાઈને સોંપ્યું. તેના બે તંત્રીઓ બન્યા : અરુણા મહેતા અને ઇન્દુકુમાર જાની. તારીખ હતી ૨૬-૧-૧૯૮૧. ઇન્દુભાઈને કામ કરવાની અહીં તક પણ મળી અને યશ પણ મળ્યો. અત્યાચારો, હિજરતો અને બીજા અનેક મુદ્દે તેઓ રાજ્યભરમાં ઘૂમવા લાગ્યા. પ્રવાસ અહેવાલો ‘નયામાર્ગ’નાં પાને ચમકવા લાગ્યા. ભૂમિહીન ખેતમજૂરો, આદિવાસી શેરડી કામદારો, સિલિકોસિસનો ભોગ બનતા અકીક કામદારો, મીઠાના અગરિયાઓ,  જંગલ જમીનની લડતો લડતા આદિવાસીઓ, ટીમનાં પાન કે ગુંદર વીણતી બહેનો, પીવાનું પાણી મેળવવાં વલખાં મારતી બહેનો, બાળમજૂરો, સફાઈ કામદારો, અનેક અત્યાચારોનો ભોગ બનતા દલિતો, કાળી મજૂરી પછી ય કાયદાકીય લઘુત્તમ વેતન ન પામતા શ્રમજીવીઓ વગેરે વગેરેની સમસ્યાઓ ઉપર મહત્ત્વનું સંતોષકારક કામ તેઓ કરી શક્યા. ગુજરાતનાં સંખ્યાબંધ સ્વૈચ્છિક સંગઠનોની પ્રવૃત્તિઓના પરિચયમાં આવી તેને ઉજાગર કરવા લાગ્યા. સમાજ પરિવર્તનની દિશામાં કાર્યરત સંસ્થાઓ સાથે જોડાતા રહ્યા. માનવ અધિકારના જતન, સંવર્ધન માટે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં પણ નિમિત્ત બન્યા.

આ તબક્કે નોંધવું જોઈએ કે ઝીણાભાઈ દરજીના કારણે ઇન્દુભાઈના જીવનમાં મોટો વળાંક આવ્યો. પણ તે સાથે તેમનું વૈચારિક ઘડતર ભાનુભાઈ અધ્વર્યુ, જૉસેફ મૅકવાન અને લડતોના સાથી મધુસૂદન મિસ્ત્રી સાથે થયું. એડ્‌વોકસીના પ્રોગ્રામમાં અમેરિકા પણ ગયા, ‘લોકસત્તા – જનસત્તા’ અને ‘સમકાલીન’માં કૉલમ લેખનનો અવસર સાંપડ્યો. તેમાંથી ૧૯૯૪માં રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો એવૉર્ડ પણ મેળવ્યો. મોરારિબાપુના હસ્તે ૨૦૧૫માં સદ્ભાવના સન્માન પણ મળ્યું. રેશનાલિસ્ટ પ્રવૃત્તિઓને કારણે સાવલિયા રિસર્ચ સેન્ટરનો કીર્તિ સુવર્ણ ચંદ્રક અને રમણ-ભ્રમણ ચંદ્રક પણ તેમને અર્પણ થયા.

૧૯૮૧-૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોથી ગુજરાત ખળભળી ઉઠ્યું ત્યારે અનામત સમર્થન સમિતિ અને સામાજિક વિષમતા નિર્મૂલન સમિતિ ઊભી કરીને અનામત પદ્ધતિની ચોખ્ખી તરફદારી કરીને તે અંગેનું સાહિત્ય, પત્રિકાઓ, સંમેલનો અને સંઘર્ષોમાં સક્રિય બન્યા. પોતે એટલા તો સંવેદનશીલ હતા કે કાયમ માટે ઊંઘની ગોળીઓ લેવી પડતી અને બી.પી. પણ ઊંચું જ રહેતું. એ ઉપરાંત પણ અનેક બીમારીઓનો તેઓ ભોગ બનતા રહ્યા. ૧૮-૪-૨૦૨૧ના રોજ કોરોના વાઇરસથી તેમનું અવસાન થયું. ઇન્દુભાઈ અને રંજનબહેને બાળક દત્તક લીધેલું. તે પુત્ર અનુજના ઉછેરમાં જીવનના અંત સુધી લાગેલા રહ્યા. માતા-પિતા અને નાના ભાઈઓને પોતાની સાથે રાખીને સંયુક્ત કુટુંબનું સરસ ઉદાહરણ પૂરું પાડતા રહ્યા.

સામયિક ‘નયામાર્ગ’ સરળ ઊંઝા જોડણીમાં છપાતું હતું. શરૂઆતની કાઁગ્રેસ પત્રિકાની છાપથી તદ્દન જુદી ગરીબોના અવાજની વ્યાપક ઓળખ ઊભી કરવામાં નિમિત્ત બન્યા. શોષિતોનો-પીડિતોનો અવાજ ‘નયામાર્ગ’માં સતત પડઘાતો રહ્યો. દલિતોના સાહિત્ય સર્જનને નયામાર્ગે અને પ્રકાશનને પરિષદે મોટી હૂંફ આપી. મોટા બંધથી આદિવાસી વિસ્તારમાં પાણીની સ્થિતિમાં કોઈ જ ફરક પડતો નથી. બંધ તરફી અભિયાન અંત્યોદયના સિદ્ધાંત વિરુદ્ધ જઈ રહ્યું છે તે વાત બંધને સમર્થન આપતા સર્વોદયવાદી કાર્યકરોને યાદ કરાવી, સવાલો કર્યા અને મુખ્ય મંત્રી ચીમનભાઈના ‘નયા ગુજરાત’ના નારાને પણ પડકાર્યો. પોતાની સાંપ્રત કૉલમ દ્વારા કોમવાદી પરિબળો અને તેમના દ્વારા થતા બંધારણીય મૂલ્યના હ્રાસનો સતત પર્દાફાશ કરતા રહ્યા. વિવિધ લડતો અંગે માહિતીપ્રદ અને પ્રેરક પુસ્તિકાઓ લખીને પ્રગટ કરતા રહ્યા. એમની પ્રતિબદ્ધતાને કદી પાતળી પડવા ન દીધી. લખાણોમાં અને વિચારોમાં તેજતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિ સંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ ઘણાને કંઈક જુદી જ વ્યક્તિ લાગેલા.

‘નયામાર્ગ’ સાથેની એમની ઓળખ અભિન્ન બની રહી. લગભગ ૪૦ વર્ષની સફરને અંતે માર્ચ-૨૦૨૦માં તેમણે ‘નયામાર્ગ’ને આટોપી લેવાનો અફર નિર્ણય કર્યો તે પૂર્વે બે-એકવાર ‘નયામાર્ગ’ ઝીણાભાઈ દરજી અને રજનીકુમાર પંડ્યા જેવાના સઘન પ્રયાસોને કારણે મરતાં-મરતાં માંડ બચેલું. જૉસેફ મૅકવાન, યશવંત મહેતા જેવા મિત્રો ઉપરાંત ચંદુ મહેરિયાનો તેમને ઘણો સહકાર સાંપડતો રહ્યો ને નયામાર્ગે સંખ્યાબંધ ઉત્તમ વિશેષાંકોની એક નોખી પરંપરા જ ઊભી કરી દીધી, કટોકટીના સમયે ‘નવનીત સમર્પણ’ જેવા મુંબઈના સામયિકે ‘નયામાર્ગ’ને સહાય માટેની અપીલ વિના મૂલ્યે છાપેલી. ‘નયામાર્ગ’ આટોપાતાં ઇન્દુભાઈના પ્રદાન અંગેની મુલાકાત છાપતાં પણ તેના તંત્રી દીપક દોશીએ આનંદ અનુભવેલો. આવા ઇન્દુભાઈ જેવા કર્મશીલ થતાં થાય એમ ઘણાને લાગે છે. એ ભાવના જ એમને ઉચિત એવી અંજલિ છે.

(‘સામાજિક ન્યાયના મશાલચી : ઈન્દુકુમાર જાની’ પુસ્તકમાંથી)  

E-mail : dankesh.oza@reddiffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 13, 14 તેમ જ 12

Loading

શબ્દોના સાધક

બીજલ જગડ|Poetry|3 April 2022

શૂન્ય શિખરે બ્રહ્મા સુભદ્રા કૃષ્ણા બળરામ.
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

પરમ તૃપ્તિ પર હજી પોહચવાને મ્હારે વાર છે,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

શૂન્ય મારું મન ખુદને મળતો રહ્યો કારણ વગર,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

આ છંદ અને અછાંદસનાં પંથે પડઘાય છે શબ્દો,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

એક મૌનનો દરિયો છલોછલ શબ્દ તરતા થયા,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

સિયાહીની વેદના ખપતી નથી છેવટે મળે વેદાંત,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

મૌનના શિખર આંબ્યા અમે ગરુડ પર બેસી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

સમય જાગે શ્વાસ પર ગઝલ સ્થાપી બેઠો છું
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

ઊંચે જઈ ઊભું આકાશ વાંસળીના સૂર સાંભળી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

બ્રહ્મ બ્રહ્માંડ એક જ ઘડીયે ન થાય અળગાજી,
શબ્દના સાધક અમે મનમાં બૈઠા રાધે શ્યામ રે.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,5391,5401,5411,542...1,5501,5601,570...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved