Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ અને અતિશયોક્તિ શા માટે?

રમેશ સવાણી|Opinion - Opinion|14 May 2025

રમેશ સવાણી

22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો, 28 લોકો ભોગ બન્યા. 6-7 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયું અને 10 મે 2025ના રોજ સીઝફાયરની જાહેરાત થઈ. ઓપરેશન સિંદૂર’ના 4 દિવસ દરમિયાન ભારતના ગોદી મીડિયાએ સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ અને અતિશયોક્તિની ભરમાર કરી દીધી ! 

સંરક્ષણ મંત્રાલયે 1 મે 2025ના રોજ મીડિયાને ખોટા અને ભ્રામક સમાચારોથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. કારણ કે આવા કવરેજથી દુ:શ્મનને ફાયદો થઈ શકે છે અને સુરક્ષા કર્મચારીઓ માટે ખતરો ઊભો થઈ શકે છે. ભારતીય સેનાના પ્રવક્તા તરીકે કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું હતું કે “પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. કોઈ નિર્દોષ નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી.” પરંતુ આ સૌથી સંવેદનશીલ સમયે પણ, ભારતીય મીડિયા સરકારી સૂચનાઓનો ભંગ કર્યો. ગોદી મીડિયા ઘણી બધી અફવાઓ, ખોટી માહિતી અને ખોટા અને ભ્રામક સમાચાર પ્રસારિત કરતું રહ્યું. યુદ્ધનો ઉન્માદ ભડકાવવા માટે, તેમના એન્કર ટી.વી. પર વાંદરાઓની જેમ કૂદકા મારતા અને અપશબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા. તણાવ દરમિયાન, એક તરફ ભારતીય સેના તેના રક્ષણાત્મક પાસાઓ આગળ ધપાવી રહી હતી, જ્યારે બીજી તરફ એક ભારતીય ચેનલ દાવો કરી રહી હતી કે ‘પાંચ પાકિસ્તાની શહેરોનો નાશ કરવામાં આવ્યો છે !’ જ્યારે બીજી ચેનલ કહી રહી હતી કે ‘25 પાકિસ્તાની શહેરોનો નાશ કરવામાં આવ્યો છે !’ એક એન્કરે કૂદીને કહ્યું કે ‘પાકિસ્તાનના પાંચ શહેરો નકશામાંથી ભૂંસાઈ ગયા છે !’ કેટલાક કહી રહ્યા હતા કે ‘પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ કબજે કરવામાં આવી છે !’ તો કેટલાક કહી રહ્યા છે કે ‘કરાચી કબજે કરવામાં આવ્યું છે !’ યુક્રેન-રશિયા યુદ્ધના વીડિયો ભારત-પાકિસ્તાનના વીડિયો તરીકે ચલાવવામાં આવ્યા ! કોઈએ શાહબાઝ શરીફને બંકરમાં છુપાયેલા જોયા ! જ્યારે કોઈ કહી રહ્યું હતું કે તેમને ભાગતા જોવામાં આવ્યા છે. કોઈ ચેનલે લાહોર, ઈસ્લામાબાદ અને સિયાલકોટ પર INS વિક્રાંત દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા અને કરાચી બંદરના વિનાશના સમાચાર પ્રસારિત કર્યા. પછી કોઈએ બ્રેકિંગ ન્યૂઝ આપ્યા કે – ‘ભારતીય સેનાએ વહેલી સવારે પાકિસ્તાનનાં 6 શહેરો પર હુમલો કર્યો !’ કેટલી અતિશયોક્તિ ! આશ્ચર્યજનક વાત એ છે કે આ બધી ‘માહિતી’ ફક્ત ગોદી મીડિયા પાસે હતી, ભારતીય સેના કે સરકાર પાસે નહીં !

ગોદી મીડિયાની હરકતોના કારણે દુનિયા સમક્ષ ભારતની મજાક ઉડી. સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ અને અતિશયોક્તિ લોકોની ધારણાઓને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે અને સંભવિત રીતે મીડિયાના હેતુને, પત્રકારત્વનાં મૂલ્યોને વિકૃત કરી શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે સમાચાર માધ્યમો, ઘણીવાર સ્પર્ધા અથવા ધ્યાન આકર્ષિત કરવાની ઇચ્છાથી પ્રેરિત, સચોટ અને સંતુલિત રિપોર્ટિંગના બદલે સનસનાટી ફેલાવે; ભાવનાત્મક લાગણીઓને ઉશ્કેરે. મીડિયાએ તટસ્થ અને પક્ષપાતથી મુક્ત સમાચાર કવરેજ પૂરું પાડવું જોઈએ, જેનાથી લોકો પોતાનો અભિપ્રાય બાંધી શકે. લોકશાહીમાં, નિર્ણય લેવાની પ્રક્રિયા પર જાહેર અભિપ્રાયનો મજબૂત પ્રભાવ હોય છે. મીડિયાનું કામ સાચી માહિતી આપવાનું છે. અફવાઓનું ખંડન કરવાનું છે. ‘સૂત્રો’નો હવાલો આપીને જૂઠાણાં ફેલાવી શકાય નહીં.

ગોદી મીડિયાનાં કારણે લોકોમાં રોષ હતો. કેટલાંક જાગૃત લોકોએ સુરક્ષા બાબતે પ્રશ્નો ઊઠાવ્યા તો તેમની સામે ગુનાઓ દાખલ થયા. કેટલાંક ‘X’ એકાઉન્ટ બંધ થયાં. સ્વતંત્ર ચેનલો બ્લોક થઈ. સરકારની આલોચના માટે ગુજરાતમાં જ 14 લોકો સામે FIR દાખલ થઈ. એક તરફ, નાગરિક કંઈ કહે તો તેમની સામે FIR અને બીજી તરફ ગોદી મીડિયાને જૂઠાણાં ફેલાવવાની બિલકુલ છૂટ !

ગોદી મીડિયા દ્વારા દર્શાવવામાં આવેલી બેજવાબદારીની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. આ ભારતીય મીડિયાને બેજવાબદાર પ્રસારણ માટે દેશની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણી વખત ઠપકો સહન કરવો પડ્યો છે. ઘણી વખત આવા અનિયંત્રિત અને ઉશ્કેરણીજનક મીડિયા ચેનલોને માફી માંગવી પડી છે, ઘણી વખત આવા પાયાવિહોણા અને ખોટા સમાચારોને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે. હદ તો એ છે કે આવી કુખ્યાત ટી.વી. ચેનલોના રિપોર્ટરોને તેમના જૂઠાણા ફેલાવવાને કારણે ઘણી વખત લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. તેમને પોતે પણ તેમની પોતાની ચેનલ પર લાઈવ કાર્યક્રમોમાં આમંત્રિત મહેમાનો તરફથી ઘણું અપમાન સહન કરવું પડ્યું છે. ઘણા પ્રામાણિક પત્રકારોએ આવી ચેનલો છોડી દીધી છે અને પોતાની યુટ્યુબ ચેનલો ચલાવી રહ્યા છે, જે તેમની લોકપ્રિયતા અને વાસ્તવિક પત્રકારત્વનો પુરાવો આપે છે. અને આ બધાનું પરિણામ એ આવ્યું છે કે આવી બધી ‘ગોદી ચેનલો’ની ટી.આર.પી. ઘણી ઘટી ગઈ છે. પરંતુ આટલા બધા અપમાનનો સામનો કરવા છતાં, આવી ચેનલો અને તેમના પત્રકારોમાં કોઈ ફેરફાર થવાની વાત તો દૂર, તેમનાં ધોરણો વધુ નીચે જઈ રહ્યાં છે.

દેશની એકતાને પ્રોત્સાહન આપવાને બદલે મીડિયા હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાવી રહ્યું છે; તેનું ઉદાહરણ જમ્મુ અને કાશ્મીરના એક સમાચારના પ્રસારણમાં પણ જોવા મળ્યું. અહીં પૂંછમાં, 46 વર્ષીય કારી મોહમ્મદ ઇકબાલ, સ્થાનિક મદરેસા ઝિયા-ઉલ-ઉલૂમના શિક્ષક અને એક આદરણીય સ્થાનિક ધાર્મિક વ્યક્તિ, પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયા. તેઓ આતંકવાદ વિરોધી અને રાષ્ટ્રવાદી વ્યક્તિ હતા. પોલીસે પોતે તેમના વ્યક્તિત્વની પ્રશંસા કરી છે. પરંતુ આ ગોદી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું કે “ઇકબાલ એક આતંકવાદી હતો ! અને તેને ભારતીય સેનાએ મારી નાખ્યો !” જરા વિચારો, આવા ખોટા, પાયાવિહોણા અને ભ્રામક સમાચાર ફેલાવીને મીડિયા શું સંદેશ આપવા માંગે છે? આ સમાચાર કાશ્મીરના લોકો પર શું અસર કરી શકે છે? 

સમાચાર પ્રસારણમાં નાટ્યત્વ / અતિશયોક્તિના પરિણામો ધાતક છે : (1) વાસ્તવિકતાને વિકૃત કરે છે. ઓછી મહત્ત્વની ઘટનાને અયોગ્ય મહત્ત્વ આપવામાં આવે છે. (2) અતાર્કિક ભયની ધારણાઓ બને છે. સનસનાટીભર્યા સમાચાર ભય અને ચિંતાનું વાતાવરણ બનાવે છે, જેના કારણે લોકો વાસ્તવિક જોખમોનો ખોટો અંદાજ લગાવી શકે છે. (3) વિશ્વાસમાં ઘટાડો થાય છે. જ્યારે લોકોને લાગે છે કે સમાચાર માધ્યમો ચોકસાઈ અને નિષ્પક્ષતા કરતાં નાટક અને સનસનાટીને પ્રાથમિકતા આપી રહ્યા છે, ત્યારે તે મીડિયા પરનો વિશ્વાસ ગુમાવે છે. (4) નિષ્પક્ષતાનું ધોવાણ થાય છે. પત્રકારત્વનો ઉદ્દેશ્ય તથ્યોનું સંતુલિત અને નિષ્પક્ષ પ્રસ્તુતિ છે, જેનાથી દર્શકો / વાચકો પોતાના તારણો કાઢી શકે છે. નાટ્યત્વ અને અતિશયોક્તિ સમાચારમાં વ્યક્તિગત મંતવ્યો અથવા પૂર્વગ્રહો દાખલ કરીને આ ઉદેશ્યને નબળો  પાડે છે. 

આવા સંવેદનશીલ વાતાવરણમાં પણ, ગોદી ‘મીડિયા’ જૂઠાણા અને અફવાઓ ફેલાવીને ઉન્માદને વેગ આપે છે તેનું કારણ શું છે? 

  1. સ્પર્ધા. આર્થિક ઉદ્દેશ. સંવેદનાત્મકતા, અતિશયોક્તિ દ્વારા ધ્યાન આકર્ષિત કરવાનો ઇરાદાપૂર્વકનો હેતું. તે માટે પૂર્વગ્રહો, પસંદગીયુક્ત તથ્યો અથવા પક્ષપાતી ફ્રેમિંગનો ઉપયોગ કર્યો. 
  2. Dramatization / exaggeration – નાટ્યત્વ / અતિશયોક્તિ દ્વારા વડા પ્રધાનને ઐતિહાસિક નોન-બાયોલોજિકલ બનાવવાની ભાટાઈ. 
  3. સૈંયા ભયે કોતવાલ તો ડર કાહે કા?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તા પર ‘સુપ્રીમ’ અતિક્રમણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 May 2025

ચંદુ મહેરિયા

સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ જે.ડી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવન્‌ની પીઠનો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને તેમની સમક્ષ રજૂ થયેલાં વિધેયકને ત્રણ મહિનાની સમયસીમામાં મંજૂરી આપવા આદેશ આપતો ચુકાદો અક્ષરશ: ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. 

તમિલનાડુ વિધાનસભાએ જાન્યુઆરી ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૩ના સમયગાળામાં પસાર કરેલા દસ વિધેયકોને રાજ્યપાલ આર.એન. રવિ લાંબા સમયથી મંજૂરી આપતા નહોતાં. એટલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટની  દેવડીએ ધા નાંખી. બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ મળેલા ન્યાયિક સમીક્ષાના વિશેષાધિકાર કે અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને અદાલતે અસીમિત સમયથી રાજ્યપાલની મંજૂરીની રાહ જોતાં દસ બિલોને વિધાનસભાએ પસાર કરેલ તારીખથી જ મંજૂર કરવાનું અસામાન્ય પગલું ભર્યું છે. ૪૧૫ પાનાંના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વિધેયકો પાસ કરવામાં વિલંબના રાજ્યપાલના નિર્ણયને ગેરકાયદે અને મનસ્વી ગણાવ્યો હતો. રાજ્યપાલે આમ કરીને લોકોની ઈચ્છાને કચડી છે અને વિધાનસભાના કામમાં અડચણ ઊભી કરી છે એમ કહેવા સાથે અદાલતે બંધારણ નિર્માતાઓના  એ સ્વપ્નને યાદ કર્યું છે કે બંધારણ રાજ્યપાલને રાજકીય પાર્ટીના પ્રતિનિધિ બનવાની મંજૂરી આપતું નથી. 

બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે કેન્દ્ર કે રાજ્યના પ્રધાનમંડળની  સહાય અને સલાહ પ્રમાણે જ કામ કરવાનું રહેશે તેમ સ્પષ્ટ જણાવ્યું છે. પરંતુ વિપક્ષી રાજ્યોના રાજ્યપાલો તેમની બંધારણે ચીંધેલ જવાબદારી નિભાવવાને બદલે કેન્દ્રના સત્તા પક્ષના ખેતરપાળો તરીકે કામ કરે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, દિલ્હી, તેલગંણા, તમિલનાડુ અને કર્ણાટક જેવા વિપક્ષી રાજ્યોમાં વિપક્ષની અગ્ર ભૂમિકા રાજ્યપાલો ભજવતા જોવા મળે છે. એટલે આ બધા રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને રાજ્યપાલો વચ્ચે સતત ટકરામણો થાય છે. 

૨૦૨૩માં તમિલનાડુના રાજ્યપાલે તો વિધાનસભા સમક્ષ તેમનું અભિભાષણ વાંચવાનો જ ઈન્કાર કર્યો હતો. આ કૃત્ય તેમની બંધારણીય જવાબદારીની વિરુદ્ધનું હતું. વિપક્ષી રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલા વિધેયકોને રાજ્યપાલો રાજકીય કારણોસર દબાવી રાખતા હોઈ અનેક રાજ્યોએ ન્યાય માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ જવું પડ્યું છે. અગાઉ પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને તેઓ વિધેયકો મંજૂર નહીં કરીને આગ સાથે રમી રહ્યા હોવાનું  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

સુપ્રીમ કોર્ટના વર્તમાન ચુકાદાને વ્યાપક પ્રમાણમાં આલોચના અને આવકાર મળ્યાં છે. વિપક્ષોને આ ચુકાદો તેમની જીત લાગ્યો છે તો સત્તાપક્ષને તે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની સત્તા પર તરાપ કે અતિક્રમણ લાગ્યું છે. દેશના ટોચના બંધારણીય પદે વિરાજતા અને અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તૃણમૂલ કાઁગ્રેસની વિપક્ષી સરકારને પૂરતા પ્રમાણમાં રંજાડી ચૂકેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની આકરી આલોચના કરી છે. અનુચ્છેદ ૧૪૨ને તેમણે લોકતાંત્રિક સંસ્થાઓ પર અદાલતના પરમાણુ મિસાઈલ સાથે સરખાવીને કેટલાક જજીસ સુપર પાર્લામેન્ટ તરીકે વર્તતા હોવાનું પણ જણાવ્યું છે. ભા.જ.પ.ના અતિ મુખર લોકસભા સભ્ય નીશિકાંત દુબેએ અદાલતની ટીકા કરતાં ત્યાં સુધી કહી નાંખ્યું કે જો હવે સર્વોચ્ચ અદાલત જ કાયદા ઘડવાની હોય તો સંસદની જરૂર ક્યાં છે? તેમના જ પક્ષના રાજ્યસભા સભ્ય દિનેશ શર્માએ પણ તેમના વિચારોની અનુમોદના કરી છે. 

લોકતંત્રના ત્રણ આધારસ્તંભ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેનો આ સંઘર્ષ કંઈ નવો નથી કે પહેલ વારનો નથી. સર્વોચ્ચ અદાલતનો વર્તમાન ચુકાદો જેમને સંસદ અને ધારાસભાના કામમાં દખલ લાગે છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપરવટ જતો લાગે છે તેમણે એ સવાલનો જવાબ આપવો પડશે કે ચૂંટાયેલી ધારાસભાએ પસાર કરેલ વિધેયકોને રાજ્યના સર્વોચ્ચ બંધારણીય વડા અસીમિત સમય સુધી દબાવી રાખે અને ન્યાયતંત્ર તેને મંજૂર કરે તો તેનાથી લોકતંત્ર મજબૂત થાય છે કે નબળું પડે છે?

ત્રણ માસની સમયમર્યાદામાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમની સમક્ષના વિધેયકો મંજૂર કરવા તેવું અદાલતી ચુકાદામાં નક્કી કર્યું છે, તે હાલની સરકારના ગૃહ મંત્રાલયના નવ વરસ પૂર્વેના આદેશના આધારે છે. તેમાં સુપ્રીમે લોકતંત્રનું કયું અહિત કર્યું છે? ખરેખર તો વિધેયકોને રોકીને રાજ્યપાલોએ વિધાનગૃહોની સર્વોચ્ચતાને પડકારી છે. સુપ્રીમના ટીકાકારો અદાલતો સમક્ષના પડતર કેસોની સમયમર્યાદાનું શું ? એમ પૂછે છે. તેઓ એ હકીકત વિસરી જાય છે કે અદાલતમાં કેસોના ભરાવા માટે કોઈ રાજકીય કારણો કે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી. આ બે બાબતોને સરખાવી જ કેવી રીતે શકાય?

સર્વોચ્ચ અદાલત ક્યારેક ન્યાયિક સક્રિયતા દાખવે છે કે તેના અધિકાર ક્ષેત્રની બહાર જાય છે તેની ના નહીં. આ ચુકાદામાં પણ સર્વોચ્ચ અદાલતે બંધારણીય વડા સમક્ષના બિલોને ન્યાયિક દૃષ્ટિકોણથી ચકાસવા અનુચ્છેદ ૧૪૩ અનુસાર સુપ્રીમનો અભિપ્રાય મેળવવા જણાવ્યું છે. અહીં સવાલ ઊભો થાય કે શું આ શક્ય છે? સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા હેઠળ કાયદાની ચકાસણી કરવાની છે નહીં કે વિધેયકોની. જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેમની સમક્ષના વિધેયકો ન્યાયિક સમીક્ષાને પાત્ર ગણશે તો તેની મંજૂરીમાં વધુ વિલંબ થશે કે નહીં ?

જો ત્રણ માસની મર્યાદામાં બિલો પાસ ન થાય તો ન્યાયિક સમીક્ષા માટે રાજ્યોને કે કેન્દ્રને અદાલત પાસે આવવા જણાવ્યું છે તે પણ કેટલું યોગ્ય છે? વિલંબિત ન્યાયથી અને પડતર કેસોથી ઉભરાતી અદાલતો સમક્ષ વધુ કેસોનો ભરાવો નહીં થાય? અદાલતે ત્રણ મહિનાની સમયસીમા નક્કી કરી છે તે પર્યાપ્ત નથી? વળી તેના ભંગ માટે અદાલતમાં બોલાવવા કેટલું ઉચિત ગણાય? 

સુપ્રીમ કોર્ટ સુપર સંસદ તરીકે વર્તી હોવાની ટીકાના સંદર્ભે કોણ સુપ્રીમ છે? સંસદ કે સર્વોચ્ચ અદાલત? તે મુદ્દો પણ ચર્ચવાલાયક છે. કાયદા ઘડવાની એકમાત્ર સત્તા બંધારણે સંસદ અને ધારાસભાઓને આપી છે એટલે જે કાયદા ઘડે તે સુપ્રીમ એમ તર્ક કરી શકાય. પણ સંસદે ધડેલા કાયદાની સમીક્ષા કરી તે બંધારણને અનુરૂપ છે કે કેમ તે નક્કી કરી ગેરબંધારણીય કાયદાને રદ્દ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ હસ્તક છે એટલે કાયદા ઘડનાર કરતાં રદ્દ કરનાર વધુ ઉચ્ચ ગણાય એ રીતે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે એવી દલીલ થાય છે. પરંતુ આ સઘળી ચર્ચામાં એ હકીકત વિસારે પાડી દેવાય છે કે સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારીનું સર્જન બંધારણે કર્યું છે. એટલે ન તો સંસદ સર્વોચ્ચ છે કે ન તો ન્યાયતંત્ર. સર્વોચ્ચ તો છે આ દેશનું બંધારણ. 

વકફ સુધારા કાયદા પર સુપ્રીમના અણિયાળા સવાલો પછી સુપ્રીમ કોર્ટ પર સત્તાપક્ષે હુમલો કર્યો છે તેથી સ્વતંત્ર ન્યાયતંત્ર પર ડારો બેસાડી શકાય. અગાઉ સુપ્રીમે કોલેજિયમને બદલે ન્યાયિક નિમણૂક અંગેનો કાયદો અને ઈલેકટોરલ બોન્ડને ગેરકાયદે ઠરાવેલ છે. સુપ્રીમના સરકારવિરોધી ચુકાદાઓથી સરકારો વિચલિત થઈ જાય છે અને બંને વચ્ચે સંઘર્ષ થાય છે. 

સૌથી મહત્ત્વનો સવાલ તો એ છે કે તમિલનાડુના રાજ્યપાલે જે દસ વિધેયકો અટકાવ્યા હતા તે કોઈ લોકહિતના કાયદા માટેના નહોતા પણ મોટા ભાગના રાજ્ય યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂક માટેના હતા. એટલે આખરે બધો ખેલ લોકહિતનો નહીં, સત્તા કે વિપક્ષના ખુદના રાજકારણનો છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

કટોકટી : કેમ કોઈએ ઇંદિરાજી સામે અવાજ ન ઉઠાવ્યો? 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2025

ઇંદિરાજીને સંવાદ સારુ સમજાવી શકાયાં હોત અથવા એમના પક્ષમાં સ્વરાજનિર્માણનાં ધારાધોરણો માટે અવાજ ઉઠાવી એમને બાધ્ય કરી શકતા નેતાઓ અને કાર્યકરો હોત તો ચિત્ર જરૂર જુદું હોઈ શકત

જૂન 1975માં કટોકટીની જાહેરાત અને માર્ચ 1977માં જનતા-રાજ્યારોહણ :

પ્રકાશ ન. શાહ

પ્રજાસત્તાક ભારતના આ એક ઐતિહાસિક તબક્કાની ને નિર્ણાયક મોડની પચાસીએ ઊભા, હવેના મહિનાઓ યથાપ્રસંગ-યથાનિમિત્ત પાછળ નજર કરવાના એટલા જ આગળ જવાને સારુ સહવિચાર સામગ્રીના હોવાના છે.

આમ તો, કટોકટી સંભારીએ ત્યારે 1975ની 26મી જૂન સાંભરે. આ તારીખે એ દિવસોમાં અમને જરી પ્રચારાત્મક સગવડ પણ ઠીક પૂરી પાડી હતી. પિતાએ 26મી જાન્યુઆરી આપી, અને પુત્રીએ 26મી જૂન … એમ કહેતા જ પ્રજાસત્તાક અને કટોકટીરાજ વચ્ચેનો વિરોધ અજબ જેવી નાટ્યાત્મક રીતે સાંભળનાર સૌ સામે સર્વાંગ સ્ફુટ થઈ જતો અનુભવાતો.

પણ છવ્વીસમી જૂને નહીં અટકતાં, બે અઠવાડિયાં પાછળ એટલે કે બારમી જૂને જઈશું જરી?

બારમી જૂન એ ઐતિહાસિક તારીખ હતી જ્યારે એકસાથે બે નિર્ણાયક ચુકાદા આ‌વ્યા હતા : ગુજરાતે વિધાનસભાની ચૂંટણીમાં ઇંદિરા કાઁગ્રેસને પ્રમાણમાં મહાત આપી હતી – અને એ જ દિવસે અલાહાબાદ હાઈકોર્ટે ઇંદિરાજીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવતો રોકડો ચુકાદો પણ આપ્યો હતો.

ગાંધીનગરે, એમ તો, એક જુદો જ ચુકાદો 1975નાં પાંચ-છ વરસ પર પણ ક્યાં નહોતો આપ્યો? સિન્ડિકેટ-ઇન્ડિકેટની આખી દાસ્તાંમાં તો નથી જતો આ ક્ષણે, પણ ખપ પૂરતું એટલું જરૂર નોંધું કે શાસક કાઁગ્રેસથી જુદી પડેલ સંસ્થા/સંગઠન કાઁગ્રેસે ત્યારે ભરેલ ગાંધીનગર અધિવેશનને અસાધારણ ઓજપાઈ જતે છતે ગુજરાતમાં ફરીને 1975માં એનો ઉદય સાફ વરતાવા લાગ્યો હતો.

ગયે મહિને અમદાવાદમાં કાઁગ્રેસ અધિવેશન મળ્યું ત્યારે પૂર્વે ગુજરાતમાં મળેલાં અધિવેશનોની તપસીલ અમદાવાદ (1912), સુરત (1907), હરિપુરા (1938), ભાવનગર (1961) આગળ અટકી જતી હતી, પણ જરી છૂટ લઈને હું કાઁગ્રેસના ભાગલા સાથે મળેલા ગાંધીનગર અધિવેશનને પણ ઉમેરવા ઈચ્છું છું. વાત તો સાચી કે ઇંદિરાજી અને મોરારજી દેસાઈ સામસામી છાવણીમાં હતાં, પણ આજે સ્વરાજસંગ્રામ અને સ્વરાજકારણના એક લાંબા પટ પર શીર્ષ સત્તાસ્થાનેથી જે એક જુદા જ વિમર્શનો દોર જારી છે, એની સામે એકમેકની સામસામી સ્ખલન યાદી સાથે અને છતાં ત્યારે ગાંધીનગરમાં મળેલાઓ પણ હતા તો ગાંધીનેહરુપટેલની એકંદરમતીની ધારામાં જ.

2025નું કાઁગ્રેસ અધિવેશન આ સ્વરાજત્રિપુટી પૈકી પટેલના ડિસયુઝ અને મિસયુઝના ઠીક લાંબા દોર પછી દોષદુરસ્તીની જો કે જરી લાઉડ તરેહની ચેષ્ટા હતી. 1975માં સરદાર શતાબ્દીનો અવસર આવ્યો ત્યારે ગાંધીનગરમાં જનતા મોરચામાં બેઠેલા અમને ત્યારનું નવી દિલ્હી મોળું લાગતું … 2025નું અમદાવાદ અધિવેશન કેમ જાણે એક પથ-સંસ્કરણ (કોર્સ કરેક્શન) શું ન હોય!

મધ્યસત્ર ચૂંટણી અને બાંગ્લાદેશની રચના :

1971ની આ બે શકવર્તી ઘટના સાથે ઇંદિરા ગાંધીની પ્રતિમા ને પ્રતિભા એ રીતે ઊંચકાઈ હતી કે એ કોઈ ટૂંકનજરી સત્તાસંઘર્ષને બદલે દીર્ઘદર્શી સંવાદ ને નિર્માણની રાજનીતિ ખેલવાનું સાહસ નિ:શંક કરી શક્યાં હોત. 

1974માં બેસતે જયપ્રકાશ, એકદમ જ કેમ જાણે સન બયાલીસના વીરનાયક તરીકે બલકે રાષ્ટ્રના અંતરાત્મા તરીકે જાહેર જીવનમાં ઉભર્યા, પણ આજે બહુ ઓછા લોકોને એ વાતનાં ઓસાણ હશે કે ગુજરાતમાં નવનિર્માણ આંદોલનનું ભાવનાત્મક સમર્થન કર્યા પછી પટણા પાછા ફરતા પૂર્વે એમણે દિલ્હીમાં સાભિપ્રાય મુકામ કીધો હતો અને ઇંદિરાજી સાથે સંવાદમુદ્દા ચર્ચવા ઉપરાંત એક સહાયકારી ભૂમિકાની કોશિશ કરી હતી. એ જ ધોરણે એમણે વિપક્ષી નેતાઓ સાથે પણ વાત કરી હતી. 

વર્ષોથી ‘આફ્ટર નેહરુ હુ?’ના એક ઉત્તર તરીકે જેમનું નામ લેવાતું હતું તે જયપ્રકાશ સત્તાસંઘર્ષ કરતાં સંવાદની ભૂમિકાએ કામ લેવાને અગ્રતા આપતા હતા. ત્યારે જો કે ઇંદિરાજી જે સલાહકારોથી ગ્રસ્ત હશે એમણે જયપ્રકાશની રચનાત્મક સંવાદકોશિશને બદલે સંઘર્ષ અનિવાર્ય બની રહે એવી વ્યૂહકારીને અગ્રતા આપી એમ પાછળ નજર કરતા સમજાય છે.

કાઁગ્રેસમાં ત્યારે ઇંદિરા ગાંધીના ઉદ્દામ વલણોની સમર્થક છતાં એમની એકાધિકાર શૈલીની ટીકાકાર એવી યંગ ટર્ક મંડળી હાજરાહજૂર હતી. ચંદ્રશેખર, કૃષ્ણકાન્ત ને મોહન ધારિયા, રામ ધન આ સૌને લાગતું કે જયપ્રકાશ સાથે સંવાદ સાધી ઇંદિરાજીએ લોકઆંદોલન પાછળના મુદ્દા સુલઝાવવા જોઈએ. ચંદ્રશેખરે સંખ્યાબંધ સાંસદોને જયપ્રકાશ સાથે ચા પર આ જ ગણતરીએ નિમંત્ર્યા પણ હતા.

1975ના ફેબ્રુઆરી-માર્ચમાં ઇંદિરાજીના પ્રધાનમંડળના સાથી ધારિયાએ અમદાવદની મુલાકાત લીધી ત્યારે એમણે જાહેર વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ઇંદિરા ગાંધી ‘ધ લીડર’ છે જ. તેઓ જયપ્રકાશ સાથે સંવાદ સાધી લોકઆંદોલનની માંગને ન્યાય આપવાનું ગોઠવી શકે તો તે લોકશાહીના હિતમાં હશે. અમદાવાદ છોડતા ધારિયાએ એરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું કે હું જાણું છું કે સત્તા પક્ષમાં મારી જેમ વિચારનારો હિસ્સો ઠીક ઠીક છે, પણ તે મોં ખોલી શકતો નથી. ધારિયાના આ પ્રગટ ઉદ્દગારોને પગલે એમને મંત્રીમંડળમાંથી છૂટા કરવામાં આવ્યા. અલબત્ત, બારમી જૂનનાં જે બે પરિણામોની મેં શરૂઆતમાં જિકર કરી તે પછી વ્યક્તિગત સત્તા-સાચવણી સારુ કટોકટીનો ટૂંકનજરી રાહ ઇંદિરા ગાંધીને અનિવાર્ય લાગ્યો હશે. અને સિદ્ધાર્થ શંકર રે જેવાઓ તો મહિનાઓ પૂર્વે ‘કટોકટી’નો વ્યૂહ બનાવીને બેઠા જ હતા!

1975ના માર્ચ-એપ્રિલ-મે હજી વિશેષ તપાસમાવજત માગે છે. યથાપ્રસંગ એની વાત કરીશું. પણ ઉતાવળે એટલું તો કહેવું જ જોઈએ કે જો ઇંદિરાજીને સંવાદ સારુ સમજાવી શકાયાં હોત અથવા એમના પક્ષમાં સ્વરાજનિર્માણનાં ધારાધોરણો માટે અવાજ ઉઠાવી એમને બાધ્ય કરી શકતા નેતાઓ અને કાર્યકરો હોત તો ચિત્ર જરૂર જુદું હોઈ શકત.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 મે 2025

Loading

...102030...152153154155...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved