Opinion Magazine
Number of visits: 9459037
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

दिया जलाओ !

कुमार प्रशांत|Opinion - Opinion|5 February 2022

1943 का साल था और कुंदनलाल सहगल ने अपनी फिल्म ‘तानसेन’ में अपने मन-प्राणों का पूरा बल लगा कर गाया था : दिया जलाओ … जगमग जगमग दिया जलाओ ! अंधकार को तोलती और प्रकाश का आह्वान करती ऐसी हूक, ऐसी वेदना और ऐसी ललकार थी उनकी आवाज में कि हम विवश हो जाते थे कि मन के किसी कोने में, कहीं तो कोई दीप जले !! कला यही करती है. लेकिन राजनीति इसका उल्टा करती है.  नया साल आया नहीं कि राजनीति ने जलता दिया बुझा दिया.

अमर जवान ज्योति पिछले 70 से अधिक सालों तक उस इंडिया गेट पर जलती रही थी जिसे अब सेंट्रल विस्टा जैसा बेढब नाम दे कर धूल, धुआं और धंधे की गर्द में इस तरह ढक दिया गया है कि देश की राजधानी की उस पहचान का दम ही टूट गया है. वह पूरा परिसर आज शोक व सन्नाटे में डूबा है. कोई नई रचना पुराने इतिहास को इस तरह नेस्तनाबूद कर सकती है, इसकी कल्पना भी इस हादसे से पहले करना मुमकिन नहीं था. लेकिन उनके लिए यह मुमकिन है जो देश के इतिहास से नहीं, अपने इतिहास से निस्बत रखते हैं.

जो अमर जवान ज्योति रातोरात बुझा दी गई, वह तैयार भी रातोरात ही हुई थी- 1971 में भारत-पाक युद्ध की जीत के बाद ! लेकिन इसका इतिहास इससे भी पहले की कहानी बताता है. अंग्रेजों ने अपने सबसे बड़े व कमाऊ उपनिवेश की अपनी राजधानी को सत्ता व संपत्ति का भव्यतम प्रतीक बना कर खड़ा करने की सोची तो वास्तुकार एडविन लुटियंस को अपनी भव्यतम उड़ान को साकार करने का मौका मिला. उसने वह सब बनाया जो वह बनाना चाहता था. औपनिवेशिक शोषण में धन की कमी तो थी नहीं. हमारी सरकारी दिल्ली आज भी उनके स्थापत्य कला के तले दबी हुई है. 1914 से चलकर पहला विश्वयुद्ध 1919 में समाप्त हुआ तो अंग्रेज हुकूमत को अहसास हुआ कि साम्राज्य की नींव मजबूत रखने के लिए यह जरूरी है कि प्रजा यह देखे कि साहब बहादुर उसका कितना ख्याल रखते हैं. इस तरह महायुद्ध में मारे गए देशी फौजियों का एक युद्ध स्मारक बनाने का ख्याल आया और लुटियंस साहब ने1919 से शुरू कर 1931 में वह स्मारक तैयार किया जिसे हम इंडिया गेट कहते हैं- एक ऐसा गेट कि जिसकी एक तरफ खड़े हो कर आप अपने सामने अंग्रेजी हुकूमत का दंभ-दर्प और वैभव एक साथ देख सकते हैं. गुलामों को यह याद दिलाना कि गुलामी भी कितनी भव्य व सुनहरी हो सकती है, इसका मकसद था.

यह इतिहास इंडिया गेट पर ठहरा, पथराया ही रहता लेकिन इंदिरा गांधी ने 1973 में बड़ी खूबसूरती व तत्परता से इसे मिटा दिया और स्वतंत्र भारत के इतिहास में समाहित कर लिया. इंडिया गेट अमर जवान ज्योति में बदल गया. यह जिस तरह बना व खिला उसमें यह युद्ध स्मारक नहीं, बलिदान स्मारक बन गया. अंग्रेजों ने इसकी ऊपरी दीवार पर महायुद्ध में मारे गए कोई 3 हजार भारतीय फौजियों के नाम खुदवाए थे जो बताते हैं कि धर्म-जाति-भाषा-का भेद किए बिना सबने बलिदान दिया था. अमर जवान ज्योति ने इसे भूत-वर्तमान व भविष्य तीनों को जोड़ दिया. कल्पना यह रही कि पहले के भी और भविष्य के भी युद्धों में बलिदान होने वालों का यह प्रतीक स्मारक होगा जिसकी ज्योति सदा जलती रहेगी. वहां का पूरा वातावरण युद्धोन्माद नहीं, वीरता के लिए श्रद्धा जगाता था. उल्टी राइफल पर टंगा फौजी टोप, सामने जलती अमर जवान ज्योति और चौबीस घंटे पहरे पर खड़ा मौन, पाषाणवत् फौजी जवान – सब मिलकर सारे बलिदानों का ऐसा मुखर व शालीन प्रतीक बनाते थे कि उसके चारो ओर उत्सव मनाता भारत भी उसकी गरिमा संभाल कर चलता था. एक झटके में यह सारा कुछ मेट दिया गया. अमर जवान की ज्योति ही बुझा दी गई.

सवाल कई हैं जिनका जवाब कई स्तरों पर ढूंढा जाना चाहिए. युद्ध स्मारकों से पश्चिमी दुनिया पटी है, क्योंकि उनका सारा संसार बना ही युद्धों से है. उनके यहां युद्ध धार्मिक वीरता के भी, प्रतिद्वंद्वी के विनाश के भी, हथियारों का धंधा कर कमाई करने की भी युक्ति रहे हैं. दोनों विश्वयुद्धों में की गई अपनी अकूत कमाई के बल पर ही अमरीका ऐश्वर्य के शिखर पर विराजता रहा है. भय दिखा कर और भय बढ़ा कर आमने-सामने की स्थिति पैदा करना और फिर दोनों पक्षों को हथियार बेंचना पश्चिम की हर महाशक्ति का सम्माननीय धंधा रहा है. आज पश्चिम में छाई मंदी के पीछे एक कारण यह भी है कि पिछले दिनों में युद्ध तो कई हुए हैं, होते रहे हैं लेकिन महायुद्ध नहीं हो सके हैं. महायुद्ध नहीं तो महा कमाई नहीं. इसलिए उनके यहां युद्ध स्मारकों का एक मतलब युद्धों को जीवित रखना भी है.

हमारे यहां भी युद्ध हुए हैं लेकिन वे कमाई के साधन नहीं रहे हैं. हमारी वृत्ति कभी साम्राज्यवादी या औपनिवेशिक नहीं रही. हमारे युद्धों का उद्देश्य भी कुछ बड़ा और कुछ श्रेष्ठ रहा है – महाभारत भी न्याय के लिए हुआ तो अनेक युद्ध आती औपनिवेशिक गुलामी को रोकने के लिए हुए. इसलिए भारतीय परंपरा में युद्ध स्मारकों की नहीं, बलिदान या शहादत के प्रतीक स्मारकों की स्वाभाविक जगह बनती है. और यह भी कि प्रतीक परिपूर्णता दर्शाते हैं, संख्या नहीं. साम्राज्य के सारे प्रतीकों को आत्मसात करती हुई अमर जवान ज्योति उन सबका परिपूर्ण प्रतिनिधित्व करती थी जो सार्वभौम, स्वतंत्र देश का गौरव संजोते हैं तथा एक उद्दात मन तैयार करते हैं. बाहर जलती ज्योति जब भीतर उजाला करती हो तभी उसकी सार्थकता है. अमर जवान ज्योति एक ऐसा ही प्रतीक बन कर भारतीय मन में अवस्थित हो चुका था. जरूरत नहीं थी उसे बुझाने की. जरूरत थी ही तो नवनिर्मित युद्ध स्मारक में एक ज्योति और जलाई जा सकती थी. अंधकार जितना घना और अभेद्य होता है, समाज को उतने ही उजाले की जरूरत होती है. यह किसने कहा कि एक बुझा कर ही दूसरा जलाया जा सकता है ? लेकिन जब प्रतीकों, महापुरुषों और  इतिहासों को हड़पने की पागल दौड़ चल रही हो और कोई, किसी की शह पा कर कह रहा हो कि आजादी 1947 में नहीं, 2014 में मिली, तब तो दीप बुझेंगे ही, हर इतिहास हमसे ही शुरू होता है, यह निर्धारित किया ही जाएगा. यह अंधकार बाहरी ज्योति जलाने से दूर नहीं होगा.

क्या किसी को याद है कि राजधानी में ही एक ज्योति और भी जल रही है ? बापू की समाधि राजघाट पर जलती ज्योति क्या यह कह बुझाई जाएगी कि स्वतंत्रता के शहीदों का एक नया स्मारक हम बना रहे हैं जहां सबके नाम से एक ही ज्योति जलाई जाएगी ? तो बापू की हत्या तो स्वतंत्रता के बाद हुई थी. तो उस ज्योति का क्या करेंगे आप ? अब देखिए, अब छत्तीसगढ़ में अमर जवान ज्योति बनाई गई. अागे हो सकता है कि राज्यों में वैकल्पिक ज्योति जलाई जाए. जब आम सहमति बनाने की आप कोई कोशिश नहीं करते हैं तो आम प्रतिक्रिया ऐसी ही होती है. ऐसी ज्योतियां और अंधकार फैलाएंगी.

(05.02.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com  

Loading

ચલ મન મુંબઈ નગરી—131

દીપક મહેતા|Opinion - Opinion|5 February 2022

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું

‘આપણ હ્યાંના પાહિલાત કા?’ આજે પણ દૂરદર્શનની સહ્યાદ્રી ચેનલ પર આવી જાહેરાતો જોવા મળે છે. ખોવાયેલી વ્યક્તિનો ફોટો અને તેને વિશેની થોડી માહિતી પણ સાથે હોય. આજે વાત કરવી છે – ના, ખોવાયેલી, ગુમશુદા વ્યક્તિઓની નહિ, પણ કેટલાક વિસરાયેલા વ્યવસાયોની.

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું

આજથી ૭૫-૮૦ વરસ પહેલાં મુંબઈના મધ્યમ વર્ગની સવાર મોટે ભાગે પડતી દાતણ સાથે. હા, બાળકો માટે ઘણાં ઘરોમાં ટૂથપેસ્ટ આવી ગઈ હતી, પણ ટૂથબ્રશ નહિ. થોડી ટૂથપેસ્ટ એક આંગળીના ટેરવા પર લઈને તેને દાંત પર ઘસવાની. પણ મોટેરાં તો વાપરે દાતણ. શાક લેવા જાય ત્યારે ગૃહિણી સાથોસાથ દાતણ પણ લેતી આવે. આ દાતણ વેચનારી બાઈઓ મોટે ભાગે વાઘરી કોમની. બપોર પડ્યે દાતણનો મોટો ભારો માથે મૂકીને બજારમાં આવે. જૂની ચાદર કે સાડી પાથરી તેના પર ભારો મૂકીને ખોલે. જાડી-પાતળી, નાની-મોટી સોટીઓ અલગ કરી દરેકનો ભાવ ઠરાવે. લેવા આવનાર ઘરાક રોજના ઓળખીતા હોય તો ય ભાવ અને ‘ક્વોલિટી’ અંગે પહેલાં થોડી રકઝક થાય. ઘણાંખરાં બૈરાં ઉભડક બેસીને મોતી વીણતાં હોય તેમ દાતણ પસંદ કરે. પછી દાતણવાળી ધારદાર સૂડીથી દાતણના એકસરખી લંબાઈના ટુકડા કરી તેને કાચા દોરાથી બાંધી આપે. આખો સોદો બે-ચાર આનાનો હોય, પણ જાણે લાખ્ખો રૂપિયાનો હોય તેવી રીતે બંને પક્ષે પાર પડે.

દાતણ નહિ તો દંતમંજન

ઘરનાં જેટલાં જણ દાતણ વાપરતાં હોય તેટલા દાતણના કટકા કરીને રાત્રે સૂતાં પહેલાં વહુઆરુ તાંબાના કળશામાં પાણીમાં પલાળી દે. સવારે પહેલું કામ દાતણ કરવાનું. વહુઆરુએ તો સૌથી પહેલાં જ જાગવાનું હોય. ઘરનાં ગલઢેરાં માટે દાતણનો એક છેડો દસ્તાથી કે ચટણી વાટવાના પથ્થરથી ટીપીને નરમ કરીને મૂકે. એક પછી એક જેમ ઘરનાં માણસ ઊઠતાં જાય તેમ પહેલું કામ દાતણ કરવાનું, કોગળા કરવાનું. કોગળાનો બને એટલો મોટો અવાજ કરવાનો. દાંત સફાઈ થઈ જાય એટલે દાતણની બે ફાડ કરવાની અને એકનો ઉપયોગ ઓળિયા કે જીભિયા તરીકે કરવાનો. જો કે, આ દાતણનો રિવાજ મોટે ભાગે ગુજરાતી ઘરોમાં જ જોવા મળતો. આ લખનાર જિંદગીનાં પહેલાં ૩૨ વરસ ગિરગામમાં રહ્યો ત્યારે ત્યાં દાતણવાળી ભાગ્યે જ જોવા મળતી. મરાઠી ઘરોનો રિવાજ દંતમંજન વાપરવાનો. એ દંતમંજન ત્રણ રંગનાં : લાલ, કાળો, સફેદ, કાચની બાટલીમાં. દાતણને લગતું એક જોડકણું કાચું-પાકું યાદ છે :

રંગબેરંગી રંગ નથી, હું દાતણ છું,
લચકીલું કોઇ અંગ નથી, હું દાતણ છું.
આગળથી પકડો કે પાછળથી પકડો,
પકડવાના કોઇ ઢંગ નથી, હું દાતણ છું.  

* * *

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ.

આપણા મોટા ગજાના કવિ વિનોદ જોશીની આ પંક્તિમાં જે પીંજારો બેઠો છે, તે મુંબઈમાંથી તો લગભગ ઊઠી ગયો છે. એક જમાનામાં મોટા ભાગનાં મધ્યમ વર્ગનાં ઘરોમાં ત્રણ-ચાર વરસે પીંજારો બેસાડતા. ઘણાખરા મુસ્લિમ બિરાદરીના. પણ એ વાત કોઈને ખટકે નહિ. જેનાં કામ તે જે કરે. એ વખતે ગાદલાં, ઓશિકાં, રજાઈ, બધું કાપૂસ કહેતાં કોટનનું. વપરાઈ વપરાઈને દબાઈ જાય અને થોડી વાસ પણ આવે. એટલે નક્કી થાય ગાદલાં ‘ભરાવવાનું.’ ઘણી વાર કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી હોય તો વધારે ગાદલાં જોઈએ. ત્યારે પહેલાં તો બજારમાંથી ખાસ ગાદલાં માટેના જાડા કપડાનો તાકો લાવવામાં આવે. લાલ, કાળો, બ્રાઉન, ડાર્ક બ્લૂ એવા રંગની ડિઝાઈનવાળું મોટા પનાનું કાપડ. પીંજારો દર બે-ચાર વરસે આવતો હોવાથી ઓળખીતો. એ કાપડ લઈને દરજી પાસે ખોળ સિવડાવી લે. ખોળ ચારે બાજુથી સીવેલી હોય, ફક્ત એક જગ્યાએ મોઢું ખુલ્લું રાખ્યું હોય. પછી આવે પીંજવાનો દિવસ. મોટે ભાગે પુરુષ વર્ગ કામે જાય પછી આવવાનું કહ્યું હોય. બધાં જૂનાં ગાદલાં, ઓશિકાં, રજાઈ, વગેરેનો ઢગલો થાય. એ વખતે કોરોનાની તો કોઈએ કલ્પના પણ કરી નહોતી. પણ અ પીંજારો કામ શરૂ કરતાં પહેલાં નાક-મોઢા પર કપડાનો કટકો સજ્જડ બાંધી લે. જેથી રૂની રજકણ નાક-મોઢામાં જાય નહિ. પછી કાપૂસ પીંજવાનું શરૂ થાય. ઢેં ઢફ, ઢેં ઢફ, ઢેં ઢેં ઢેં ઢફ. બરફના ચોસલા જેવું બની ગયેલું રૂ ‘સ્નો બોલ’ જેવું બનતું જાય. એક વાર પીંજાઈ જાય પછી બીજી વાર પીંજે. હવે તો એ બની જાય બાળકૃષ્ણના હાથમાંના માખણના પીંડ જેવું. એક પછી એક ખોળમાં રૂ ભરાતું જાય. પૂરું ભરાઈ રહે એટલે ખોળનું ખુલ્લું મોઢું મજબૂત જાડા દોરાથી સીવીને બંધ. પછી એ નવા ભરાયેલા ગાદલાને પોલી લાકડીથી ઠમઠોરવામાં આવે. એટલે આખું ગાદલું પોચું પોચું પણ સમથળ. છોકરાઓને એના પર કૂદવાની મજા આવે, પણ વડીલો રોકે. ત્યારે પીંજારો કહે : ‘છો કૂદતા, મારું કામ મજબૂત કેટલું છે એની ખબર પડશે.’ દાંડી તૂટેલા કાચના કપમાં કડક મિઠ્ઠી ચા મળે તો રાજીપાના ટેભા મોઢા પર ખાસ્સા દેખાઈ આવે. છેક ૧૭મી સદીનું તાંજોર શૈલીનું પીંજારાનું ચિત્ર આજે જોવા મળે છે, એટલે આ ધંધો એટલો જૂનો તો ખરો.

૧૭મી સદીનું તાંજોર શૈલીનું પિંજારાનું ચિત્ર

પણ પછી રૂનાં ગાદલાં ગયાં અને ફોમનાં આવ્યાં. ગાદલાં, ઓશિકાં, રજાઈ બધું રેડીમેડ મળે. જાતજાતની ભાતનું કાપડ. ન વધુ પોચું થાય, ન વધુ કડક. આઠ-દસ વરસ તો આરામથી વપરાય. હવે પીંજારાની માથાકૂટ કોણ કરે? અને હવે એવો ટાઈમ પણ કોને છે? ત્રણ-ચાર જણનું નાનું કુટુંબ. ગૃહિણી પણ કાં નોકરી કરતી હોય, કાં કિટી પાર્ટીઓમાં જતી હોય. છતાં શોધવા જાવ તો હજી ક્યાંક પીંજારો મળી જાય ખરો. એ આવે નાનકડું ઇલેક્ટ્રિકથી ચાલતું પોર્ટેબલ કાર્ડીંગ મશીન લઈને. ઘરઘરાટી બોલાવીને આખા દિવસનું કામ એકાદ કલાકમાં કરી આપે. હવે પેલો ઢેં ઢફ ઢેં ઢફ, ઢેં ઢેં ઢેં ઢફ એવો અવાજ તો ભૂતકાળ જ બની ગયો.

* * *

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી:
ભલા રે ભાઈ, પોલકે તું ભપકો ભરજી.

હા, એ જમાનામાં કાં લગનગાળા પહેલાં, કાં દિવાળી પહેલાં પાંચ-સાત દિવસ માટે દરજી ઘરે બેસાડતા. એ વખતે આઠ-દસ જણનાં મોટાં કુટુંબ. રેડિમેડનું ચલણ ઓછું. એટલે બધાંનાં કપડાં સીવવાનાં હોય. પહેલાં તો કાપડ માર્કેટમાંથી કાપડના તાકા લવાય. સાથે ધોતી જોટા ને સાડલાની થપ્પી પણ ખરી. ભાયડાઓ, બૈરાંઓ અને બાળકોની જરૂરિયાતો પ્રમાણે. પછી સારો દિવસ જોઈને દરજી પગથી ચલાવવાનો સંચો લાવીને ઘરે મૂકે. ઘણાં ઘરોમાં એ મશીનને નાનકડો, બે પૈસાવાળો હાર ચડાવાય. ઘરની દરેક વ્યક્તિ માટે શું અને કેટલું શિવવાનું છે તેની યાદી દરજીને અપાય. કાપડના તાકા અપાય.

હરજી દરજી, હરજી દરજી, સાંભળ મારી અરજી

દર વરસે આવતો હોય એટલે માપ લેવાની જરૂર ન દરજીને જણાય, ન કપડાં સિવડાવનારને. છતાં ક્યારેક છોકરા કે પુરુષનું માપ લેવું પડે. પણ મા-બહેનોનું માપ તો લેવાય જ નહિ. ઘરમાં નવી વહુઆરુ આવી હોય તો ય તે હરતી-ફરતી હોય ત્યારે ત્રાંસી નજરે જોઈને દરજી માપનો અંદાજ બાંધી લે. બૈરાંઓનાં કપડાંમાં ખાસ્સો આંતરસીવો રાખે જ. જેથી ‘ટ્રાયલ’ પછી કશું નાનું-મોટું કરવું પડે તેમ હોય તો કરી શકાય. હજી કપડાંની ડિઝાઈન બુક તો આવી નહોતી. એટલે દબાતે અવાજે નવી વહુઆરુ કહે : ‘અણમોલ ઘડી’માં સુરૈયા પહેરે છે ને, એવું પોલકું સીવજો.’ પછી જ્યારે જ્યારે પહેરે ત્યારે ત્યારે પોતાને સુરૈયા માનીને પોરસાય. છોકરાં-છોકરીએ ફક્ત સ્કૂલમાં જ યુનિફોર્મ પહેરવાનો એવું નહિ. બીજાં કપડાં પણ એક જ તાકામાંથી છોકરા-છોકરી માટે સીવડાવ્યાં હોય એટલે ઘરમાં ય યુનિફોર્મ પહેર્યો હોય એવું લાગે. પછી તો કુટુંબો નાનાં ને નાનાં થતાં ગયાં. રેડીમેડ કપડાંનું પૂર આવ્યું. વ્યક્તિગત ચોઈસને મહત્ત્વ અપાતું ગયું. અને ઘરનો દરજી ધીમે ધીમે બહારનો બની ગયો.

* * *

દરજીની જેમ દર વરસે મસાલા કૂટવાવાળી બાઈઓ પણ આવતી. આજ જેટલી નહિ, તો ય બે-ચાર કંપનીના તૈયાર મસાલા તો એ વખતે પણ મળતા. પણ એક તો પૂરો ભરોસો નહિ, ને બીજું થોડા મોંઘા પડે. એટલે બજારમાં નવી સિઝનનો માલ આવે ત્યારે આખાં મરચાં, ધાણા, જીરું, હળદરના ગાંગડા, વગેરે જરૂર પ્રમાણે લાવવાનાં – આખું વરસ ચાલે તેટલાં. કૂટવાવાળી બાઈઓ મરાઠણ. ખડતલ. ગરમ મિજાજની. કોઈ જરા આડુઅવળું ભૂલમાં ય બોલે તો મણ મણની ચોપડાવે. કપાળની વચ્ચોવચ મોટો રૂપિયા જેવડો લાલ ચાંદલો. કછોટો વાળીને નવ વારી પહેરે – લાલ, ભૂરા, લીલા જેવા ભડક રંગોની. ઠરાવેલા દિવસે લાકડાનું મોટું ખાંડણિયું ને મૂસળ લઈને આવે. એક પછી એક મસાલો ખંડાતો જાય. બે બાઈઓ સામસામે ઊભી રહીને તાલબધ્ધ રીતે મૂસળના ઘાની જે ઝડી વરસાવે! મસાલા ભાંગીને ભુક્કો. પછી ખાંડેલા મસાલાને તેલથી મોળવીને કોડી કાચની સફેદ બરણીઓમાં ભરીને, ઢાંકણું સજ્જડ બંધ કરીને ઉપર ચોખ્ખા સફેદ કપડાનો કટકો બાંધી દેવાનો. અને બરણીઓ ગોઠવાઈ જાય રસોડાની લાકડાની અભરાઈઓ પર, હારબંધ.

હા, જી. આ બધું હવે તો હતું ન-હતું થઈ ગયું. પણ તેનો શોક શો કરવો? માલવપતિ મુંજ નાટકમાં માસ્ટર અશરફખાન પ્રભુલાલ દ્વિવેદીનું ગીત ગાતા તે ગણગણતા રહેવું :

એક સરખા દિવસ સુખના, કોઈના જાતા નથી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 ફેબ્રુઆરી 2022

Loading

ભરત દવે – બહુ આયામી વ્યક્તિત્વ

મુનિ દવે|Opinion - Opinion|4 February 2022

ભરત દવે – બહુ આયામી વ્યક્તિત્વ 

(16 ઓગષ્ટ 1948 – 15 મે 2021)

ભરત દવે એટલે ઉચ્ચ કોટીના નાટ્યવિદ્દ, ટી.વી. પ્રોડ્યુસર, અભિનેતા, દિગ્દર્શક, ચિંતક, લેખક, સંગીતજ્ઞ, ગાયક, ચિત્રકાર, વક્તા, નાટ્યશિક્ષક અને કલાના રસજ્ઞ. યુ ટ્યુબ પર રહેલાં તેમનાં પ્રવચનો સાંભળો તો ખ્યાલ આવે કે તેમનું વાંચન કેટલું વિશાળ હતું. સામ્પ્રત સમસ્યાઓ પ્રત્યે તે બહુ સંવેદનશીલ હતા અને તેના કારણે તેમના પ્રતિભાવો લખાણ અને પ્રવચનો દ્વારા બેધડક રજૂ કરતા રહેતા. ૧૫મી મેએ તેમણે જીવનના રંગમંચ પરથી એક્ઝીટ લીધી.

ભરતભાઈ નાનપણથી નાટકોના શોખીન. સ્કૂલમાં હતા ત્યારથી નાટકો કરવા માંડેલા. ત્યારથી લખવાનો અને ગાવાનો શોખ વિકસવા માંડેલો. કોલેજમાં ગયા ત્યારે મિત્રો સાથે મળીને જામનગરમાં ‘નાટ્યસંગમ’ નામની સંસ્થા કરેલી, જેના ઉપક્રમે શીવકુમાર જોશીનું એક નાટક પણ ભજવેલું.

બી.એ. થઈ ગયા પછી ઈચ્છા હતી કે નાટકમાં આગળ વધે. પણ પિતાજી ગાંધીવિચારના આગ્રહી અને આદર્શવાદી, એટલે એવું માને કે નાટકની દુનિયા લપસણી કહેવાય. તેમાં ચારિત્ર્યની જાળવણી આકરી પડે, એટલે રજા ન મળી. આ સાથે એવો વિચાર પણ ખરો કે તે વ્યવસ્થિત ભણી લ્યે પછી જે કરવું હોય તે કરે. અમદાવાદ આવી એમ.એ. કર્યું. ભણ્યા પછી જામનગર પાછા આવ્યા. થોડાક મહિના અધ્યાપક તરીકે નોકરી કરી. પણ તે દરમિયાન પિતાજીને ખબર પડી ગઈ કે હવે એ ઝાલ્યો ઝલાય તેમ નથી. એથી મુંબઈ જવાની છૂટ આપી. મુંબઈમાં દૂરના પિત્રાઈ ભાઈ વિષ્ણુકુમાર વ્યાસનું ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં મોટુ નામ. તેમણે પોતાને ઘરે બોલાવી લીધા. વિષ્ણુભાઈએ પિતાજીને આશ્વાસન આપ્યું કે ‘તમે ચિંતા ન કરો, ભરતનું હું ધ્યાન રાખીશ.’

મુંબઈમાં વિષ્ણુભાઈએ ત્યાંની નાટ્યપ્રવૃતિઓ અને નાટ્યકારોનો પરિચય કરાવ્યો. આર્થિક રીતે સધ્ધર કરવા દૂરદર્શન પર નોકરી અપાવી દીધી. તેને કારણે સંગીત, ફિલ્મ, નાટકનાં ક્ષેત્રના બહુ બધા અગ્રણી કલાકારોને નજીકથી જોયા, અનુભવ્યા, તેમના ગુણદોષો જોયા, અને તેમની કલાઓને માણી. એ પછી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો. દિલ્હીમાં નિવાસ દરમિયાન ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીતના વર્ગો ભર્યા. દિલ્હી રેડિયો સ્ટેશનના એપ્રૂવ્ડ આર્ટિસ્ટ બન્યા. સંસ્થાના વડા ઈબ્રાહિમ અલ્કાઝીએ તેને વધુ ચિત્રો કરવા પ્રેર્યા અને તે માટે સંસ્થા તરફથી ઓઇલ કલર લાવી આપ્યા. સંસ્થાની લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ કરીને ભારતનાં સહિત દુનિયાભરનાં નાટકો વાંચ્યાં. ત્રણ વર્ષે દિગ્દર્શનમાં વિશેષતા સાથે, શિક્ષિત નાટ્યકાર તરીકે, નાટકના બહોળા જ્ઞાન સાથે બહાર પડ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. અલ્કાઝીસાહેબની કાર્ય પદ્ધતિને, નાટક પ્રત્યેની નિષ્ઠાને બરાબર સમજી અને પચાવી.

સૌ પ્રથમ ‘દર્પણ’ના ઉપક્રમે ફ્રેંચ નાટ્યલેખક મોલિયેરના નાટકનું પોતે કરેલું ગુજરાતી રૂપાંતર ‘વાહ વાહ રે મૈં’ ભજવ્યું, અને પછી સ્વતંત્રપણે બ્રિટિશ નાટ્યલેખક ટોમ સ્ટોપાર્ડ લિખિત ‘આલ્બર્ટ્સ બ્રીજ’ ભજવ્યું. આ નાટકોએ અમદાવાદના બુદ્ધિજીવીઓ, લેખકો અને નાટકોના શોખીન યુવાનોમાં ભારે રોમાંચ પેદા કરેલો, કે આવાં પણ નાટકો હોય? આવી રીતે ભજવાય? ત્યાં સુધી અમદાવાદમાં જે નાટકો ભજવાતા તેમાં મજબૂત સ્ક્રિપ્ટ અને વેશભૂષા જ માત્ર મહત્ત્વનાં રહેતાં. હવે તેમાં સેટ ડિઝાઈન, પ્રકાશ આયોજન, દિગ્દર્શકની વિશિષ્ટ સૂઝ, કથાને અનુરૂપ વસ્ત્રપરિધાન પાર્શ્વસંગીત વગેરે ઉમેરાયા. તે બધાના યોગ્ય સંયોજન દ્વારા નાટકની જે અસર ઊભી થતી તે પ્રેક્ષકો માટે નવીન હતી.

પછી ભરતભાઈએ તેમના દિલ્હીના સ્નાતકો – રાજુ બારોટ અને દિલીપ શાહ અને અન્ય નાટ્યરસિક મિત્રો સાથે ‘સપ્તસિંધુ’ નામની સંસ્થા શરૂ કરી. તેના નેજા હેઠળ કેટલાંક ઉત્તમ નાટકો ભજવ્યાં. સૌ પ્રથમ તેમણે શ્રીકાંત શાહ લિખિત બે એકાંકીઓ, ‘એક ટીપું સૂરજનું’ અને ‘એકાંતની અડોઅડ’ ભજવ્યાં. પછી અમદાવાદમાં પહેલીવાર કોઈ એક લેખક(શ્રીકાંત શાહ)નાં સાત એકાંકીઓ (micro plays – ૧૦-૧૫ મીનિટનાં) એક સાથે ભજવ્યાં. જેમાં ભરતભાઈએ રાજુ બારોટ, નિમેષ દેસાઈ જેવા વિવિધ દિગ્દર્શકોને સામેલ કર્યા. પાલડીની એક શાળાના વિદ્યાર્થીઓ સાથે એક નાટક શાળાની અગાશીમાં ભજવ્યું. અને શ્રીકાંતભાઈનું જ એક ત્રિઅંકી નાટક ‘બાલ્કનીમાંથી દેખાતું આકાશ’ અમદાવાદ ઉપરાંત લખનઉમાં ભજવ્યું.

વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કેટલાંક નાટકો ભજવ્યાં. ત્યાં શ્રીકાંત શાહનાં બે એકાંકીઓ ભજવ્યાં અને ટાગોર લીખિત અને કરસનદાસ માણેક અનુવાદિત ‘મુક્તધારા’ની ત્રીસેક જેટલા કલાકારો સાથે સંગીતમય રજૂઆત કરી. જયશંકર સુંદરી હોલમાં રશિયન લેખક ગોગોલ લિખિત અને ભરતભાઈએ અનુવાદ કરેલુ ‘પોલંપોલ’ ભજવ્યું. એન.એસ.ડીની રેપર્ટરીના કલાકારો સાથે ‘ગિલોટીનકી ગોટી’ અને ‘મેના ગુર્જરી’ ભજવેલાં.

ભરતભાઈએ તેમનું અત્યંત મહત્ત્વાકાંક્ષી નાટક ચં.ચી. મહેતા દ્વારા પદ્યમાં લિખિત સંવાદો સાથેનું નાટક ‘મદીરા’ ભજવ્યું. એ માટે કલાકારોની ગ્રીક ટ્રેજેડી અને ગ્રીક થિયેટરની સમજ વધે તે માટે એક વ્યાખ્યાનમાળા યોજી જેમાં એન.એસ.ડીના સેટ ડીઝાઈનના નિવૃત્ત પ્રાધ્યાપક ગોવર્ધન પંચાલ, પ્રા. દિગીશ મહેતા, યશવંત કેળકર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, નિરંજન ભગત અને એસ.આર. ભટ્ટ જેવા વિદ્વાનોનો લાભ લીધો. જેમાં તેના સેટની ડીઝાઈન એન.એસ.ડી.ના ગોવર્ધન પંચાલે કરેલી. તેની વેશભૂષા માટે અમદાવાદના ડિઝાઇનર રાજન ચૌધરીએ તેના સંગ્રહમાંથી સસ્તા દરે જોઇતું કપડું આપ્યું. પછી ઘરે દરજી બેસાડી ગ્રીક સ્ટાઈલનાં કપડાં સિવડાવાયાં. ઘરે સુથાર આવ્યો અને સેટ બન્યો. મૂળ વિચાર હતો કે એ નાટક અમદાવાદના કોઈ જૂના ઐતિહાસિક રોજાની આગળ ભજવાય પણ તેના માટે પુરાતત્ત્વ ખાતાની મંજૂરી મેળવવી મુશ્કેલ હતી, આથી આખરે થિયેટરમાં ભજવાયું. આ નાટકમાં અદિતી ઠાકર, રાજુ બારોટ અને હેમંત નાણાવટીએ અદ્દભુત અભિનય કરેલો. તેમાં આચાર્યનો પાઠ કવિશ્રી પિનાકિનભાઈ ઠાકોરે ભજવેલો. ‘મદીરા’ મુંબઈ દૂરદર્શને રેકોર્ડ કર્યું.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં મોટા લીમડા નીચે અમેરિકન નાટ્યલેખક ઈરવીન શો લિખિત નાટક ‘બરી ધ ડેડ’ ભજવ્યું. તેમાં કોઈ બનાવેલો સેટ નહોતો પણ આસપાસની જગ્યા અને મકાનનો ઉપયોગ કરેલો, જેમાં જમીન પર, પરિષદની લોબીમાં, ઉપરના માળે ગેલેરીમાં વિવિધ સીન ભજવાય. પ્રેક્ષકોએ જ્યાં લાઈટ જાય ત્યાં ફરવાનું. એ નાટકમાં લીમડા નીચે ચાર કબરો ખોદેલી, મિલિટરીનો તંબુ બાંધેલો, મોટર સાયકલ અને જીપ લાવ્યાં. મેજર બનેલા એક્ટરે પાત્રને ન્યાય આપવા ટકો કરાવેલો. આ અનુભવ મોટાભાગના પ્રેક્ષકો માટે અદ્દભુત હતો. અભિજાત જોશીએ આ નાટકમાં પહેલી વાર કામ કર્યું. તેના કહેવા મુજબ તે થિયેટરની બારાખડી અને નાટકની સ્ક્રિપ્ટને ચુસ્ત કેવી રીતે બનાવાય તે ભરતભાઈ પાસેથી શીખ્યો. તે વખતે મળેલા શિક્ષણને કારણે તે ભવિષ્યમાં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી શક્યો. આવાં નાટકોમાં ખુરશી ભાડે લાવવાનો ખર્ચ તો ન પોસાય. પ્રેક્ષકોએ જમીન પર પાથરણા પર બેસીને નાટક જોવાનું.

પછી પરિષદના પ્રાંગણમાં સેટ બનાવી શ્રી પન્નાલાલ પટેલનું ‘માનવીની ભવાઈ’નું ભરતભાઈએ પોતે કરેલું નાટ્ય રૂપાંતર ભજવ્યું. તે પહેલા પન્નાલાલના મૂળ ગામ માંડલી બધા કલાકારોને સાથે લઈ જઈને ત્યાંનાં જૂનાં ઘરોનાં, લોકો જે પહેરવેશ પહેરતાં, જે વાસણો વાપરતાં તેનાં ફોટોગ્રાફ્સ લીધા અને સ્કેચીસ દોરેલા. તેના આધારે પંચાલદાદાના માર્ગદર્શન હેઠળ સેટ ડીઝાઈન થઈ, વેશભૂષા નક્કી થઈ. ત્યાં રેકોર્ડ કરેલાં લોકગીતો અને ભજનોને પાર્શ્વસંગીત તરીકે ઉપયોગમાં લીધું. તેમાં મુખ્યપાત્રો તરીકે રાજુ બારોટ, દીપ્તિ જોશી અને અન્નપૂર્ણા શુક્લ હતાં. એ નાટક જોઈને પન્નાલાલભાઈ અને ઉમાશંકરભાઈ બહુ પ્રસન્ન થયેલા. લેખકનું ગામ માંડલી જીવતું કરેલું. પછીથી જ્યારે પન્નાલાલભાઈને અકાદમી એવોર્ડ મળ્યો ત્યારે એ નાટક દિલ્હીમાં ભજવ્યું.

દર્શકનાં ત્રણ નાટકો, ‘અંતિમ અધ્યાય’ ‘સોદો’, અને ‘હેલન’ ભજવ્યાં, જે હિટલરના નાઝી શાસન વખતના પ્રસંગો પર આધારિત હતાં. અંતિમ અધ્યાયમાં અરવિંદ વૈદ્યએ હિટલરનો યાદગાર રોલ પૂરા કૌશલ્ય સાથે ભજવેલો. અરવિંદભાઈએ ભરતને અંજલિ આપતા કહ્યું છે કે "મારી ૫૫ વર્ષની રંગભૂમિની કારકિર્દીમાં, અવેતન કે વ્યાવસાયિક, મેં કોઈ દિવસ, ક્યારે ય નાટકમાં કામ માગ્યું નથી, મારાં ગુરુવર્ય શ્રી જશવંત ઠાકર, જેમણે મને ઘડ્યો, એમની પાસે પણ નહીં. માત્ર અને માત્ર ભરત એવો એક નાટ્યકર્મી છે …. હતો … જેની પાસે હું પ્રેમથી, હકથી કામ માંગતો .." ‘સોદો’માં ભરતના એન.એસ.ડી.ના સહાધ્યાયી અને મશહૂર એક્ટર અનંગ દેસાઈએ મુખ્ય રોલ કરેલો. જ્યારે ‘હેલન’માં અન્નપૂર્ણા શુક્લએ મુખ્ય પાત્ર ભજવેલું. આ ત્રણે નાટકો જબરદસ્ત સફળતા પામ્યાં. આ નાટકો દર્શકની ભૂમિ લોકભારતીમાં પણ ભજવાયાં.

તે ઉપરાંત ઓગસ્ટ સ્ટ્રિનબર્ગનું ‘ધ ફાધર’ થિયેટરમાં ભજવ્યું, જેનું ભાષાંતર પણ પોતે જ કરેલું.

ભરતભાઈએ વિવિધ નાટકો અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા, લોકભારતી સણોસરા, દિલ્હી, લખનઉ, મુંબઈ વગેરે શહેરોમાં ભજવ્યાં. તેવી જ રીતે ભરતભાઈએ અગાશીમાં, જયશંકર સુંદરી અને ટાગોર હોલ જેવાં થિયેટરોમાં, પરિષદના પ્રાંગણમાં, વિવિધ શહેરોમાં ખુલ્લી જગ્યાઓમાં, વિઝ્યુઅલ આર્ટ સેંટરના નાના હોલમાં અને જયશંકર સુંદરી હોલના મીની થિયેટર જેવી જગ્યાઓએ નાટકો ભજવ્યાં.

ભરતભાઈના મુખ્ય કલાકારો રાજુ બારોટ, અદિતિ ઠાકર (દેસાઈ), દીપ્તિ જોશી અને અન્નપૂર્ણા શુક્લ રહ્યાં, પણ તે સિવાય હેમંત નાણાવટી, વિનોદ નાઈક, દેવેંદ્ર દીક્ષિત, સુભાષ બ્રહ્મભટ્ટ, ફિરદોશ મેવાવાલા, હર્ષદ શુક્લ, હસમુખ ભાવસાર, અરવિંદ વૈદ્ય, અનંગ દેસાઈ, કિરણ જોશી, પ્રભાકર શુક્લ, સલીલ મહેતા, વંદના વૈદ્ય (પાઠક), ભાવિની જાની, રૂપા દીવેટિયા, અભિજાત જોશી, વગેરેએ પણ વિવિધ પાત્રો ભજવ્યાં. તે ઉપરાંત તેમણે પોતે ‘પોલંપોલ’, ‘અંતિમ અધ્યાય’, અને ‘ધ ફાધર’માં અભિનય કરેલો. અંતિમ અધ્યાયમાં શ્રી જશવંત ઠાકરના ઘેઘૂર અવાજનો ઉપયોગ કરેલો. દરેક નાટકોમાં પ્રકાશ આયોજન એન.એસ.ડી.ના સહાધ્યાયી દિલીપ શાહે સંભાળેલું.

ભરતભાઈએ આ પ્રવૃત્તિઓ દ્વારા પિતાજીને જે ડર હતો તે દૂર કર્યો. તેમણે દેશ-વિદેશના નામાંકિત નાટ્યકારોના શિષ્ટ અને દર્શકોને વિચારતા કરી મૂકે તેવાં નાટકો ભજવ્યાં. દર્શક કે ઉમાશંકરભાઈ પિતાજી પાસે આવે ત્યારે ભરતભાઈની કળાના વખાણ કરતા. 

ભરતભાઈ નાટકો સાથે કલાકારોનું શિક્ષણ પણ કરતા. પહેલા પંદર દિવસ નાટક વિષે અને તેના લેખક વિષે વાતો થાય. ભરતભાઈનો એવો આગ્રહ રહેતો કે કલાકારોએ લેખકનો પૂરો પરિચય, તેણે લખેલાં અન્ય નાટકો વગેરેથી પણ પરિચિત થવું પડે. તે માનતા કે પાત્ર ભજવવું એટલે પરકાયા પ્રવેશ કરવાનો છે. તે પાત્રના દેખાવની સાથે તેની ભાવનાઓ, ઈચ્છાઓ, લાગણીઓ, વળગણો વગેરેને શક્ય તેટલી સચ્ચાઈથી અપનાવીને પાત્રને આત્મસાત કરવાનું છે. તે વખતે કલાકારે પોતાનાં અંગત આદર્શો, પસંદગીઓ, મૂલ્યો ભૂલીને જે પાત્ર ભજવે છે તેને સમગ્રપણે અપનાવવાનું છે. તે દ્વારા નટ વાસ્તવિક જીવનમાં પણ અન્યોના દૃષ્ટિકોણને પણ મહત્ત્વ આપતા થશે. ત્યાર પછી એક મહિનો વાચિકમ્‌ ઉપર કામ થાય. ઉચ્ચારોની સ્પષ્ટતા, કેટલા ઊંચા અવાજે, કેવા ભાવ સાથે, ક્યાં અટકીને બોલવાનું છે તે સમજાવાય. પછી ત્રણેક મહિના રિહર્સલો ચાલે. તેમાં સમયપાલનનો ચુસ્ત આગ્રહ. સ્ત્રી કલાકારો સાથે સભ્યતા અને આભિજાત્ય દાખવવું ફરજિયાત. જ્યાં સુધી નાટક પૂરું પાકે નહીં ત્યાં સુધી સ્ટેજ પર ન જાય.

આ નાટકો કરવા પાછળ ક્યારે ય વ્યવાસાયી વૃત્તિ ના રહી. મોટે ભાગે ગાંઠના પૈસે નાટકો કર્યા. બહુ ઓછા નાટકોમાં કલાકારોને કોઈ ચૂકવણી થતી. જ્યારે બહારગામ જઈએ ત્યારે પૈસા મળે. તેમાં બધાને (મુખ્ય કલાકારથી માંડીને બેકસ્ટેજના) એકસરખું વેતન મળે. અમદાવાદમાં નાટક થાય ત્યારે ૧૦ રૂપિયા ટીકિટ હોય. ફ્રી પાસ તો ભાગ્યે જ કોઈને અપાય.

એક નાટક પૂરું થાય પછી ભરતભાઈને તેના ભાવાવરણમાંથી બહાર આવી બીજા નાટક વિષે વિચાર કરવામાં કેટલાંક મહિના થાય. અન્ય દિગ્દર્શકોની માફ્ક એક નાટક જેવું સ્ટેજ ઉપર જાય તેવું બીજા નાટકની તૈયારી શરૂ ન થાય. આથી તે કલાકારોને સતત વ્યસ્ત ન રાખી શકે. મોટા ભાગના કલાકારોને તો નાટક જલદી સ્ટેજ પર જાય, રોજ શો થાય તેમાં રસ હોય. પછી દૂરદર્શન આવ્યું. અને તે સાથે આવી ટી.વી. સિરિયલ્સ. એણે અભિનેતાઓને વ્યસ્ત કરી દીધા. એને કારણે ભરતભાઇ અકળાતા. એ નાટક કરવા તો માંગતા હતા પણ રિહર્સલ વિષે આગ્રહી અને તે પણ એમને સંતોષ ન થાય ત્યાં સુધી ચાલુ રહે. આ શિસ્ત અને સામે કલાકારોને ગમતી એપીસોડની ઝડપ અને આર્થિક મુદ્દો પણ ખરો. એટલે ગુજરાતની નવી રંગભૂમિની ગતિ ધીમી પડતી ગઈ. ભરતભાઈએ દર્શકની નવલકથા ‘સોક્રેટિસ’નું નાટ્ય રૂપાંતર કરેલું. નિમેષ દેસાઈને મુખ્ય પાત્ર તરીકે પસંદ કરીને તેનું વાચિકમ્‌ શરૂ કર્યું, પણ થોડા દિવસોમાં કલાકારોની અનિયમિતતા અને સમયની અશિસ્તથી અકળાઈને બંધ કરી દીધું. તેના કેટલાંક વર્ષો પછી રાજુ બારોટે તેને હાથમાં લીધું અને સફળતાપૂર્વક ભજવ્યું.

આ સાથે ભરતભાઈએ ઈસરો દ્વારા ચાલતા પીજ (DECU) ટી.વી.માં પ્રોડ્યુસર તરીકે નોકરીના ભાગરૂપે કેટલીક ઉત્તમ ટૂંકી ફિલ્મો, સિરિયલો અને ડોક્યુમેન્ટરીઓ બનાવી. તેની સિરિયલ 'ભલા ભૂસાના ભેદભરમ' બહુ લોકપ્રિય બની. તેવી જ રીતે શ્રીધરાણીની લખેલી વાર્તા પરથી 'પિયો ગોરી' નામની ટૂંકી ટી.વી. ફિલ્મ બનાવી. અમદાવાદમાં પહેલી કાપડ મીલ શરૂ કરનાર અને પહેલા સુધરાઈ પ્રમુખ રણછોડભાઈ વિષે ડોક્યુમેન્ટરી બનાવી. તેમણે કચ્છના ધરતીકંપનો ચિતાર આપતી, પાણી વિષે અને અન્ય વિષયો પર ડોક્યુમેન્ટરીઓ બનાવી. જેમાંથી એકાદ-બે ને રાષ્ટિય પારિતોષિક મળેલાં.

૧૯૯૦માં ભરતભાઈને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર એનાયત થયેલો.

નાદુરસ્ત તબિયતને કારણે ભરતભાઈનું સક્રિય જીવન બંધ થઈ ગયું. પણ તે દરમિયાન તેમણે ઘરમાં બહુ સમૃદ્ધ લાઈબ્રેરી ઊભી કરેલી. જેમાં નાટકો, નાટ્યકારોની આત્મકથાઓ, દાર્શનિકો, ગાંધી વિચાર, ઉત્તમ નવલકથાઓ, કાવ્ય સંગ્રહો વગેરે વિવિધ વિષયનાં પુસ્તકો વસાવેલાં. આથી તેમણે ખૂબ વાંચ્યું અને પચાવ્યું. તેના પરિપાક રૂપે છેલ્લા પાંચેક વર્ષોમાં નાટક સહિત વિવિધ વિષયો પર દર વર્ષે એક-બેના ધોરણે પુસ્તકો લખ્યાં અને પબ્લિશ કર્યાં. વાને કારણે આંગળાં કામ નહોતા કરતાં. એ સ્થિતિમાં તે કોમ્પ્યુટર પર લખતા શીખ્યા. એ પુસ્તકો અને લેખ-શ્રેણીને કારણે ભરતભાઈને વિશ્વકોશ દ્વારા ધીરુભાઈ ઠાકર સવ્યસાચી એવોર્ડ, કુમાર સામાયિક દ્વારા કુમાર ચંદ્રક અને સુરતની સંસ્થા દ્વારા નર્મદ એવોર્ડ મળ્યા.

આજે ભરતભાઈની દીકરી દેવકી નાટકો અને અને રેડ FMના RJ તરીકે રેડિયોમાં ભરતભાઈના એ જ આદર્શો અને સમજણ સાથે ઉત્તમ કામ કરી રહી છે અને અનેક એવોર્ડ મેળવી રહી છે.

ભરતભાઈના મનમાં બે ત્રણ પુસ્તકોનો ખ્યાલ રમતો હતો, ત્રણેક પુસ્તકો છપાઈને આવવામાં હતાં એવે વખતે કોરોના ભરતભાઈને લઈ ગયો. જેમ ઘણા લોકોએ કહ્યું છે તેમ, ભરતભાઈનું અકાળ અવસાન એ માત્ર તેમના કુટુંબને જ નહીં. પણ સમગ્ર નાટ્યજગતને પડેલી ખોટ છે. સ્વ. શ્રી ઈબ્રાહિમ અલ્કાઝીનાં પુત્રી અમલ અલ્લાનાએ આપેલી અંજલિ અનુસાર ભરતભાઈ ભારતીય નાટ્યજગતની બિરાદરીના મહત્ત્વના સ્તંભ હતા.

ભરતભાઈએ સવ્યસાચી એવોર્ડ સ્વીકારતી વખતે તેમના પ્રવચનના અંતમાં દુ:ખ વ્યક્ત કરતા કહેલું કે ‘નાટક જેવી મહાન કળાને આપણે ગુજરાતી કલાકારો અને પ્રેક્ષકોએ માત્ર રમૂજી ટૂચકાના પ્રોગ્રામમાં ફેરવી નાખી છે. આ બાબત અમારા કામને મર્યાદિત કરી દે છે. આ કારણે પ્રેક્ષકોનું નવી દિશામાં ઘડતર થયું જ નથી અને એટલે જ તેઓ આ સિવાયના થિયેટરની કલ્પના જ કરી શકતા નથી. બહારથી ભલે તેઓ શિક્ષિત-સુધરેલા દેખાય પણ અસલમાં they are culturally illiterate.’

e.mail : samanvay.sys@gmail.com

પ્રગટ : “નવનીત-સમર્પણ”, જુલાઈ 2021; પૃ. 47-54

Loading

...102030...1,5091,5101,5111,512...1,5201,5301,540...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved