Opinion Magazine
Number of visits: 9569943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સપનાંનો સોદાગર

સુરેશ બી. જાની|Opinion - Opinion|17 May 2022

હા! ડો. ચેન્ના રાજુ સપનાંનો સોદાગર છે. જાતે તો સપનાં જુએ જ છે, પણ વહેંચે પણ છે. બન્ગલુરૂથી દિલ્હી જતી ફ્લાઈટમાં ચેન્ના સપનામાં ખોવાઈ ગયો છે. એ સપનાં શી રીતે શરૂ થયાં – તેની વારંવાર આવતી યાદ તેને અત્યારે પણ એટલી જ તાજી છે. એનાં સપનાંઓની શરૂઆત બન્ગલુરૂની નજીક આવેલા અરેહલ્લી ગામની નિશાળમાં મજૂરીનું કામ કરતાં થઈ હતી – ઉઘાડી આંખનાં સપનાં.

૧૯૭૦

એ માત્ર આઠ જ વર્ષનો હતો. નાનકડો ચેન્ના એના અત્યંત ગરીબ માબાપનું છેલ્લું અને બારમું સંતાન હતો. નિશાળના મેદાનમાં તે નીંદણ કામ કરી રહ્યો હતો. નીંદતાં નીંદતાં આકાશમાં ધીમી ગતિથી સરકી રહેલાં વાદળો વચ્ચે એને સપનું દેખાયું. એ મોટો થશે અને આ વાદળો વચ્ચેથી હમણાં જ પસાર થઈ ગયેલા વિમાન જેવા જ વિમાનમાં બેઠો હશે.

પણ અરે! નિશાળમાં જવાનો સમય થઈ ગયો હતો. હાથ ધોતાંકને એ તો દોડ્યો. અલબત્ત તેને ભણવાનું તો ગમતું જ હતું, પણ વધારે આકર્ષણ હતું – બાર વાગે ગરમ ગરમ ભાત અને સંભાર. ઘેર તો આવું સોડમદાર ભોજન ક્યાં મળવાનું હતું? એના વ્હાલા બાપુએ એટલે જ તો તેને નિશાળમાં ભરતી કરાવ્યો હતો ને? મોટાં અગિયાર ભાઈ બહેનોને આ સવાદ ક્યાં મળતા હતા? આખા દિવસની કમરતોડ મજૂરી પછી, એમાંના કોઈને તેની સાથે રમવા પણ ક્યાં સમય હતો? અહીં નિશાળમાં તો દોસ્તારો હારે કેવી મજા? નીંદણ કામમાંથી મળતી નાનકડી આવક પણ કેટલી કિમતી હતી? એમાંથી જ તો તેના અંગ્રેજી ટ્યુશનનો ખર્ચ નીકળતો હતો ને?

પણ … સંભારના સબડકા મારતાં મારતાં પણ એને ઉઘાડી આંખના સપનામાં તો ઓલ્યું વિમાન જ દેખાતું હતું.

આમ ને આમ છ વર્ષ નીકળી ગયા. દસમા ધોરણમાં હતો ત્યારે ચેન્નાની નિશાળમાં જાહેરાત થઈ કે, ‘ચૌદ માઈલ દૂર આવેલા વ્હાઈટ ફિલ્ડમાં સત્ય સાંઈબાબાના આશ્રમે  સ્થાપેલી ‘સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યુટ’માં ભારતના રાષ્ટ્ર પ્રમુખ બી.ડી. જટ્ટી નવી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવા આવવાના છે. ચેન્નાને આટલા મોટા મહાનુભાવને જોવા મન થઈ ગયું. પણ એટલે દૂર જવા માટેની બસ ટિકિટનાં ફદિયાં તો એની પાસે થોડાં જ હોય ?  ચેન્નાભાઈ તો બીજા એક દોસ્તની સાથે તેની સાઈકલ પર ડબલ સવારી ઉપડયા. થાકીને લોથ થઈ ત્યાં પહોંચ્યા, ત્યારે જટ્ટી સાહેબ તો વિદાય થઈ ગયા હતા.

પણ વિદ્યાર્થીઓને રહેવા માટે, સફેદ બાસ્તા જેવી ચાદર પાથરેલા પલંગ, ચકચકાટ ટેબલ-ખુરશી અને પંખા સાથેની આવી સગવડ હોય, તેનો તેના કોઈ સપનામાં સમાવેશ થયો ન હતો! તેના સપનાંનું વિમાન તો ખાલી ઊડતું પક્ષી જ હતું. એમાં મુસાફરને બેસવા માટે કેવી સીટ હોય તેનો અંદાજ઼ ઝૂંપડાવાસીને થોડો જ હોય? બન્ને મિત્રો અહોભાવથી આ સપન મહેલને અચંબાથી જોઈ રહ્યા.

એટલામાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી. રાઘવાચાર ત્યાં આવી પહોંચ્યા. બન્ને લઘર વઘર ગામડિયા કિશોરોને એમણે મમતાથી આવવાનું કારણ પુછ્યું. જ્યારે તેમને ખબર પડી કે, જટ્ટી સાહેબના દર્શન કરવા આ અબુધ કિશોરો આટલી બધી જહેમત ઊઠાવીને આવ્યા છે, ત્યારે એમની આંખમાં આંસું આવી ગયા. તેમણે બન્નેને આખી કોલેજ બતાવવાની વ્યવસ્થા કરી આપી.

કોલેજ જોયા બાદ પાછા વળતાં બન્ને મિત્રો રાઘવાચાર સાહેબનો આભાર માનવા એમની ઓફિસમાં ગયા. ત્યાં સાહેબે બન્નેને કોફી અને નાસ્તો કરાવ્યા. સાથે કહ્યું કે, દર રવિવારે સત્ય સાંઈબાબા આશ્રમમાં ગરીબ બાળકોની બે બેચ માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમણે કોઈક વાર સમય કાઢીને ત્યાં આવવા આમંત્રણ આપ્યું. ઘેર પહોંચતાં રસ્તામાં ચેન્નાએ સંકલ્પ કર્યો, ”દર રવિવારે સવારે વહેલો ઊઠીને હું આશ્રમમાં જઈશ અને આ કાર્યક્રમમાં  સેવા આપીશ.”

એ ધોમધખતા વૈશાખી બપોરમાં, ચેન્ના એકલાની જ નહીં પણ, અરેહલ્લીનાં બાળકોની જિંદગી પણ બદલાઈ ગઈ.

બે વર્ષ માટે દર રવિવારે ૨૮ કિલોમિટરની  પદયાત્રા અને આશ્રમમાં સેવા એ ચેન્નાનો નિયમિત ક્રમ બની ગયો. ચેન્ના બારમા ધોરણમાં ઝળહળતી સફળતા સાથે ઉત્તીર્ણ થઈ ગયો. હવે તે અંગ્રેજી કડકડાટ બોલી શકતો હતો. ગણિતમાં તો સોમાંથી સો માર્ક લાવ્યો હતો. રાઘવાચાર સાહેબે ચેન્નાને કોલેજમાં દાખલ કરી દીધો.

પણ કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે? એક કારખાનામાં ફીટર તરીકે તેને નોકરી મળી ગઈ. ચેન્નાએ હરખથી નિમણૂંકનો એ કાગળ એના  જીગરી દોસ્તો પ્રવીણ અને નવીન રાજાને બતાવ્યો. બન્નેએ વાંચ્યા વિના જ એ કાગળ ફાડી નાંખ્યો અને કહ્યું, ‘તારા કોલેજ ખર્ચની વ્યવસ્થા કરવાની જવાબદારી અમારી.’

બેન્કમાંથી લોન અને હંગામી કારકૂન તરીકે એક ખાનગી પેઢીમાં નોકરી મળી ગઈ. ચેન્ના સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યૂટમાં વિજ્ઞાનના અભ્યાસક્રમમાં જોડાઈ ગયો. રાઘવાચાર સાહેબની કૃપા અને તેણે બે વર્ષ કરેલી નિસ્વાર્થ સેવાના પ્રતાપે હોસ્ટેલમાં બહુ જ ઓછા દરથી રહેવાની સગવડ થઈ ગઈ હતી.

આવું જ સતત ઊડાણ અને ચેન્ના રાજુ ચાર વર્ષે ગોલ્ડ મેડલ સાથે વિજ્ઞાનનો સ્નાતક બની ગયો. આમ જ બીજી છલાંગ અને તે અન્ના યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે અનુસ્નાતક પણ બની ગયો. ચેન્નાની ફ્લાઈટ આટલેથી અટકે તેવી થોડી જ હતી? આવી જ એક ઓર છલાંગ અને આ સ્વપ્નદૃષ્ટાએ આઈ.આઈ.ટી. ચેન્નાઈમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી લીધી. હવે તે ડો. ચેન્ના રાજુ બની ગયો.  આઠ વર્ષની ઉમરથી વિમાનમાં બેસવાના જે સ્વપ્નાં તે જોતો હતો; તે વિમાનોની એરોડાયનેમિક ડિઝાઈનનો હવે તે નિષ્ણાત બની ગયો હતો.

૧૯૯૭

અને જુઓ તો ખરા – ચેન્નાને ક્યાં નોકરી મળી ? વિમાનમાં બેસવાનાં સપનાં જોતાં જોતાં એનાથી  હજારો ગણા ઊંચા કારકિર્દીના શિખર પર – દેશની વિમાનોની ડિઝાઈન અંગે સંશોધન કરતી સંસ્થા  National Aerospace Laboratories, Bangaloreમાં વૈજ્ઞાનિક તરીકે !

૨૦૦૦ની સાલમાં તેને કામ અંગે જર્મની પણ મોકલવામાં આવ્યો. આખું વિશ્વ ચેન્ના માટે ખુલ્લું થઈ ગયું. તે ધારત તો વિકસિત દેશોમાં તેના જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓને બહુ સહેલાઈથી મળી શકતી, વિકાસની તકો ઝડપી શક્યો હોત. પણ ચેન્નાનાં સપનાંએ હવે નવો આકાર ધારણ કરી લીધો હતો. પોતાનાં મૂળને ચેન્ના આટલી ઊંચાઈએ પહોંચ્યા છતાં ભુલ્યો ન હતો. અરેહલ્લીનાં ગરીબ બાળકોની સેવાનો સાદ તેનાં સપનાંઓમાં પડઘાતો રહ્યો, પડઘાતો જ રહ્યો.  ચેન્નાએ બીજો સંકલ્પ જર્મનીમાં કર્યો.

 એ ગરીબ બાળકોનો વિકાસ અને ઉત્થાન એ જ મારો ધર્મ અને એ જ મારા જીવનની ફલશ્રુતિ.

દેશ પાછા ફરીને, અરેહલ્લીમાં નવા અને નાનકડા પણ વ્યવસ્થિત મકાનની સામે આવેલા આંબલીના ઝાડ નીચે, તેણે પોતાના ફાજલ સમયમાં, આજુબાજુનાં ગરીબ બાળકોને તાલીમ અને પ્રેરણા આપવાનું શરૂ કર્યું. તેની જેમ જ ડો.ની પદવી પામેલા હમ્મેશના સાથીઓ પ્રવીણ અને નવીને આ યજ્ઞકાર્યમાં પણ સાથ આપવો ચાલુ રાખ્યો. દોઢ જ વર્ષ અને ગામની ફાજલ જમીનમાં લાકડાંની વળીઓ, નાળિયેરનાં પાનનાં છાપરાં અને છાણના લીંપણની ફર્શ વાળી,  એક નાનકડી શાળા શરૂ થઈ ગઈ. તેનું  નામ તેણે માતાના નામ પરથી ‘અંજના વિદ્યા કેન્દ્ર’ રાખ્યું. હવે તો આ શાળામાં ૮૦-૯૦ બાળકો ભણવા લાગ્યાં. આ માટે પોતાની બચતમાંથી ચેન્નાએ ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.

અગરબત્તીની સુવાસ ફેલાતાં કાંઈ વાર લાગે છે? મદદનો પ્રવાહ અસ્ખલિત વહેતો થઈ ગયો. વધારે ને વધારે બાળકો એમાં જોડાવા માટે આતૂર હતાં.

૨૦૦૧

ચેન્ના અને તેના મિત્રોએ સાથે મળી ‘બ્રાહ્મી શિક્ષણ અને સાંસ્કૃતિક ટ્રસ્ટની (Brahmi Educational and Cultural Trust) સ્થાપના કરી. બંગલુરૂથી ૪૦ કિલોમિટર દૂર ગ્રામ્ય વિસ્તારમાં દેશપાન્ડે ગુટ્ટાહલ્લી ગામમાં દોઢ એકરના વિસ્તારમાં ‘અંજના વિદ્યાકેન્દ્ર’ કામ કરતું થઈ ગયું. બાજુની અઢી એકર જમીનમાં બાળકોના ભોજન અને દૂધની વ્યવસ્થા. આ માટે ઘણા બધા મિત્રો અને ખાસ તો તેની નોકરીની સંસ્થા ‘National Aeronautical Laboratory ( CSIR) તરફથી પણ સારી એવી રકમ અને પ્રોત્સાહન મળી શક્યાં.

શરૂઆતમાં પાંચ ધોરણ સુધી જ શિક્ષણ આપવાની સગવડ હતી, પણ હવે દસમા ધોરણ સુધી શિક્ષણ આપવામાં આવે છે – કોઈ પણ જાતની ફી લીધા વિના. આજુબાજુનાં ૧૨ ગામડાંઓનાં બાળકો આ શાળાનો લાભ લે છે. ઘણાં માબાપ પણ વિના મૂલ્યે એમની સેવાઓ આપે છે. બાળકે મહિનામાં એક દિવસ શાળામાં સેવા આપવાની હોય છે. આમ શિક્ષણ સાથે સ્વાશ્રય અને સેવાના પાઠ પણ બાળક શીખતું રહે છે. અભ્યાસક્રમની સાથે યોગ, કસરત અને ધ્યાનની પણ તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શાળામાંથી ચાર બેચના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર પડ્યાં છે.

‘સપનાંના સોદાગર’ ચેન્નાની જેમ, એના જેવા બનવાનાં સપનાં હવે અંજના વિદ્યાકેન્દ્રનાં બાળકો સેવવા લાગ્યાં છે.

એક વીડિયો :  https://www.youtube.com/watch?v=ERm0Uwc6Sg8

સાભાર – ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’, ‘હિન્દુ’, ‘બેટર ઇન્ડિયા’.

સંદર્ભ –

http://epaper.timesofindia.com/Repository/ml.asp?Ref=VE9JQkcvMjAwOC8wOS8wNyNBcjAwNzAw&Mode=HTML&Locale=english-skin-custom

http://www.thebetterindia.com/25776/channa-raju-bengaluru-brahmi-anjana-vidya-kendra/

http://www.thehindu.com/news/national/karnataka/a-days-labour-is-one-months-fee-in-anjana-vidya-kendra/article5059418.ece

સ્કૂલનો બ્લોગ : https://anjanavidyakendra.wordpress.com/team-anjana/

બ્રાહ્મી ફાઉન્ડેશનની વેબ સાઈટ : http://brahmi.org/index.htm

e.mail : surpad2017@gmail.com

Loading

ચાર ભારતીયો ફોટોગ્રાફરને પુલિત્ઝર સન્માન : ક્લિકથી બયાન થતી કોરોનાકાળની વ્યથા …

કિરણ કાપુરે|Opinion - Opinion|17 May 2022

દેશવાસીઓ ગૌરવ લઈ શકે તેવું પુલિત્ઝર સન્માન આ વખતે ભારતના ચાર ફોટોગ્રાફરોને મળ્યું છે. પુલિત્ઝર પ્રતિષ્ઠિત સન્માન છે અને ફોટોજર્નાલિઝમ ક્ષેત્રે આ સન્માન મૂઠી ઊંચેરું છે. તેમાં એક નામ ગુજરાતના અમિત દવેનું પણ છે. અન્ય ત્રણ ફોટોગ્રાફરોમાં દાનિશ સિદ્દીકી, અદનાન આબિદી અને સન્ના અર્શાદ મટ્ટૂ છે. વિશ્વભરમાં થતી ન્યૂઝ ફોટોગ્રાફીની સ્પર્ધામાં ભારતીય ફોટોગ્રાફરોની પસંદગી થાય તે આનંદની વાત છે. આ ચારે ય ફોટોગ્રાફરોને ફિચર કેટેગરીમાં સન્માન મળ્યું છે. તેમણે કોવિડ મહામારી દરમિયાન દેશમાં સર્જાયેલી કટોકટીને તસવીરમાં કેદ કરી છે અને તે તસવીરો આજે પણ મહામારીનો ખોફ દર્શાવે છે.

પુલિત્ઝર સન્માન પત્રકારત્વ ક્ષેત્ર ઉપરાંત સંગીત અને જુદીજુદી લેખન કેટેગરીમાં પણ આપવામાં આવે છે. છેલ્લાં સો વર્ષથી આ સન્માન વિશ્વભરની પ્રતિભાને સન્માને છે અને તે પણ કોઈ વિવાદ વિના. પુલિત્ઝર સન્માનને લઈને એક સદી જેટલા સમયમાં વિવાદોની સંખ્યા નજીવી રહી છે. આજે પણ આ સન્માનની શાખ અકબંધ છે. જે ભારતીય ફોટોગ્રાફરોને આ એવોર્ડ માટે પસંદગી થઈ છે તે તમામ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ માટે કાર્યરત છે. તેમાંથી દાનિશ સિદ્દીકી આજે હયાત નથી. અફઘાનિસ્તાનમાં જુલાઈ, 2021માં ફોટોગ્રાફી કરતી વખતે જ તેમનું અવસાન થયું. અફઘાન સુરક્ષા બળ અને તાલિબાનો વચ્ચે આમને સામને ગોળીબાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યારે દાનિશને એકથી વધુ ગોળીઓ વાગી અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. વિદાય લેતાં પહેલાં 38 વર્ષીય દાનિશ સિદ્દીકી વિશ્વભરમાં નોંધ લેવાય તેવી ફોટોગ્રાફી કરી છે.

કોવિડ દરમિયાન આ ચારે ય ફોટોગ્રાફરોએ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ અર્થે ઉમદા કામ કર્યું અને તેમની 14 ફોટોની સિરીઝની સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. આ ફોટોગ્રાફમાંથી એક છે નવી દિલ્હીની પ્રણવ મિશ્રા નામના યુવકની સ્મશાનમાં લેવાયેલી તસવીર. 19 વર્ષીય પ્રણવની માતા મમતા મિશ્રાનું કોવિડના કારણે અવસાન થયું છે. તેમાં પ્રણવ તેની માતાને અગ્નિદાહ આપતી વેળાએ ઘૂંટણીયે પડીને રડી રહ્યો છે. આ તસવીર કોવિડ દરમિયાન સ્વજનો ગુમાવવાની વ્યથાને બયાન કરે છે અને સાથે સાથે ભારતમાં કોવિડની સ્થિતિને પણ. પ્રણવ જ્યાં પોતાની માતાને અગ્નિદાહ આપવા આવ્યો છે તેની આસપાસ પણ અનેક અગ્નિદાહ અપાયાનું ચિત્ર દેખા દે છે. આ તસવીર દાનિશે લીધી છે.

આ સિરીઝની બીજી એક તસવીર નવી દિલ્હીની છે. તે પણ સ્મશાનની તસવીર છે. અદનાન આબિદીએ આ તસવીર લીધી છે. અદનાન મૂળ દિલ્હીના છે, પણ તેમણે રોઇટર્સ વતી નેપાળ ભૂકંપ, ભારતીય વિમાનનું કંદહાર અપહરણ, 2004ની સુનામી અને કાશ્મીર ભૂકંપમાં નોંધનીય કામ કર્યું છે. અદનાને કોરાના દરમિયાન પણ આપણી આસપાસ પ્રસરેલા ડર અને મજબૂરીને પોતાના તસવીરમાં કેદ કરી છે. દિલ્હીના સ્મશાનની આ તસવીરમાં કોવિડથી મૃત્યુ પામેલી એક વ્યક્તિનો અગ્નિસંસ્કાર અર્થે મૃતદેહ છે. આ મૃતદેહની આસપાસ કોઈ નજર આવી રહ્યું નથી. બસ, તેની પાછળ સ્મશાનમાં પ્રગટી રહેલી ચિતાઓ દેખાય છે. આબિદના આ ફોટો જોઈને આપણે અનુભવેલી કોરોનાની કરુણાંતિકા સ્મૃતિમાં દસ્તક દે છે.

કોરોના દરમિયાન દેશભરમાં મૃતદેહનો જે રીતે અગ્નિસંસ્કાર થઈ રહ્યો હતો અને સામે મૃત્યુના આંકડા આવી રહ્યા હતા તેને લઈને ખૂબ વિવાદ થયો. સ્મશાનોની આગ ઠરતી નહોતી અને સંખ્યામાં તે પ્રમાણ દેખાતું નહોતું. આ વિવાદોનો જવાબ દાનિશ સિદ્દીકીને નવી દિલ્હીમાં ખેંચેલી એક તસવીર બયાન કરે છે. દિલ્હીના રહેણાંક વિસ્તારની વચ્ચે સ્મશાન છે અને તેમાં એક સાથે અનેક મૃતદેહને અગ્નિદાહ અપાયો છે. આ તસવીર દાનિશે એરિઅલ વ્યૂથી લીધી છે એટલે કેટલી મોટી સંખ્યામાં મૃતદેહ છે તેનો અંદાજ આવી શકે. સરકારના આંકડાઓની પોલ આ રીતે એક તસવીરથી જ ખૂલી જાય છે. જો કે હવે તો ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને’ પણ કહ્યું છે કે ભારતે કોરોના દરમિયાન દાખવેલો મૃત્યુઆંક વાસ્તવિકતાથી ઘણો ઓછો છે.

આ સિરીઝમાં ઘણાં ખરાં ફોટોગ્રાફ નવી દિલ્હીના છે. એક બીજો ફોટો અદનાન આબિદનો છે તેમાં બે સ્વયંસેવકો કોરોનાગ્રસ્ત મૃત્યુ પામનારને અગ્નિદાહ આપ્યા પછી તેમના અસ્થિ એકઠા કરી રહ્યા છે. અહીંયા પણ ફોટોગ્રાફર એ નિર્દેશ કરી રહ્યા છે કે રોજના કેટલાં બધાં અગ્નિદાહ અપાતાં હશે જ્યારે ત્યાં અસ્થિઓને એકઠી કરવા અર્થે સ્વયંસેવકોની જરૂર પડી! દાનિશનો એક ફોટો આ રીતે કોરોનાથી થયેલાં મૃત્યુના અસ્થિઓને ખાનામાં મૂકવામાં આવી હતી તેનો છે. આ અસ્થિઓની પાછળ નંબર દેખાય છે અને લોકડાઉનના કારણે તે અસ્થિઓને નદીઓમાં વહાવાની પ્રક્રિયા બાકી રહી ગઈ છે. પરિવારજનો અસ્થિ લેવા ન આવ્યા હોવાથી તેને આ રીતે સ્મશાનમાં સુરક્ષિત રાખવામાં આવી છે. હિંદુ ધર્મમાં અસ્થિઓને નદીમાં વહાવવાની પ્રથા મહત્ત્વની છે, તે માટે સગાંવહાલાંઓ દિવસો આપે છે, પણ લોકડાઉન દરમિયાન આ અસ્થિઓ મહિનાઓ સુધી આમ જ રહી.

આ સિરીઝનો એક ફોટો નાગા સાધુઓનો છે. આ ફોટો દાનિશ સાદિકીએ એપ્રિલ, 2021માં હરિદ્વારમાં યોજાયેલાં કુંભમેળામાં લીધો છે. એક સાધુએ તેમાં માસ્ક પહેર્યું છે પણ તેમની વચ્ચે કોઈ સોશિયલ ડિસ્ટસિંગ નથી. આ બધા સાધુઓ મળીને ગંગામાં શાહી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફોટો લેવામાં આવ્યો ત્યારે દેશભરમાં કોવિડની લહેર પિક પર હતી. લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હતા અને મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો હતો. પરંતુ હરિદ્વારમાં કોઈ ઝાઝા નિયમ વિના ટોળાં એકઠાં થયાં હતાં. આ ટોળાંમાં નાગા સાધુઓ મોખરે હતા.

દેશના ગામડાંમાં કોવિડથી શું સ્થિતિ નિર્માણ પામી હતી તેનું બયાન અદનાન આબિદીની ઉત્તર પ્રદેશની એક તસવીર કરે છે. ઉત્તર પ્રદેશના પરસોઅલ ગામની આ તસવીર છે, જ્યાં એક વ્યક્તિ કોવિડગ્રસ્ત તેની પત્નીની સાથે છે. પત્નીની સારવાર ગામમાં જ ખાટલો પાથરીને થઈ રહી છે અને તે સારવારમાં તેમને બોટલ દ્વારા લિક્વિડ સાથે દવા આપવામાં આવી રહી છે. કોવિડનો ઇલાજ કેટલાંક ઠેકાણે કેવી રીતે થતો હતો તે માટે આ તસવીર નમૂનારૂપે મૂકી શકાય.

પુલિત્ઝર સન્માનમાં અદનાન આબિદી અને સિદ્દીકી સાથે કાશ્મીરની એક મહિલા ફોટોગ્રાફર સન્ના ઇરશાદ મટ્ટૂનું નામ પણ છે. સન્નાની એક તસવીર રસીકરણ કાર્યક્રમની છે. આ કાર્યક્રમ કાશ્મીરની ઘાટીઓમાં કેવી રીતે થયો તે બયાન કરે છે, જેમાં પાછળ દુર્ગમ પહાડીઓ વચ્ચે પણ હેલ્થકેર વર્કર્સ રસીકરણ કરી છે. આ રીતે કોવિડમાં તાવનાં લક્ષણો તપાસવા અર્થે ‘ગનકલ્ચર’ વિકસ્યું હતું. જ્યાં જઈએ ત્યાં તમારાં કપાળ કે હાથ પર ગન મૂકી દેવામાં આવે. અમદાવાદની થોડે અંતરે આવેલા કવેઠા ગામમાં આવી રીતે જ હેલ્થકેર વર્કરે એક બહેનના કપાળે ગન મૂકી છે અને તે તસવીર અમિત દવેએ લીધી છે. આ તસવીરની ખૂબી તેની પાછળનું દૃશ્ય છે અને તેનાથી ઉપસતો કોરોનાકાળનો માહોલ છે. આ તસવીર કોવિડ મહામારીની લાક્ષણિકતાને ઝડપથી રૂબરૂ કરાવે છે. આ તસીવરે અમિત દવેને પુલિત્ઝરના સન્માન મેળવનારાંઓની ટીમમાં જગ્યા અપાવી.

કોરોનાનો કાળને હજુ ઝાઝો સમય નથી વીત્યો તેમ છતાં તે જાણે ભૂલાઈ ગયો છે. પરંતુ રોઇટર્સની આ ટીમે લીધેલી તસવીરો હજુ પણ ભયાવહ સમયને આપણી સમક્ષ લાવી મૂકી દે છે. સિદ્દીકીની એક તસવીર ગાઝિયાબાદની છે. ગાઝિયાબાદમાં ગુરુદ્વારાની પાર્કિંગની એ તસવીર છે અને તેમાં મનોજકુમાર નામના એક ભાઈ તેમની માતાને કારમાં સૂવડાવીને તેમને રૂમાલથી હવા નાંખી રહ્યા છે. મનોજકુમારના માતાનો ઓક્સિજન ઘટી રહ્યો છે અને ગુરુદ્વારા તરફથી તેમના માટે કારમાં જ ઑક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કરુણ દૃશ્ય દેશના શહેરેશહેરે જોવા મળ્યા હતા. અનેક લોકોએ તેમાં વિદાય લીધી અને હવે તે પૂરો સમય પણ જાણે ભૂલાઈ ગયો.

2020માં પણ ત્રણ ભારતીય ફોટોગ્રાફરોને પુલિત્ઝર સન્માન મળ્યું હતું. એસોશિયેટેટ પ્રેસના દાર યાસિન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદે કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ ત્યાંના કોમ્યુનિકેશન બ્લેકઆઉટને તસવીરમાં ઉતારી હતી. કેમેરાની એક ક્લિક જે-તે સમયની પૂરી પરિસ્થિતિ આપણી સમક્ષ લાવી મૂકી છે. આજે મોબાઈલથી તસવીર લેવી સામાન્ય થઈ ચૂક્યું છે તેમ છતાં હજુ પણ વ્યવસાયી ધોરણે થતી ન્યૂઝ ફોટોગ્રાફીનો યુગ આથમ્યો નથી.

e.mail : kirankapure@gmail.com

Loading

ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં આનંદ પટવર્ધનને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત …

કિરણ કાપુરે|Opinion - Opinion|17 May 2022

ફિલ્મોમાં એક પ્રવાહ ડોક્યુમેન્ટરી ફિલ્મોનો છે. આ ફિલ્મોનો અલગથી ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થાય છે અને જુદી-જુદી કેટેગરીમાં તેમાં એવોર્ડ્સ આપવામાં આવે છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં ‘હોટ ડોક્સ કેનેડીઅન ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલ’ ખાસ્સો જાણીતો છે અને નોર્થ અમેરિકાનો તે સૌથી મોટો ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ છે. આ વર્ષે હોટ ડોક્સ ફેસ્ટિવલમાં આપણા દેશના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં મોખરાનું નામ ધરાવતાં આનંદ પટવર્ધનને સન્માનવામાં આવશે. તેઓને ‘આઉટસ્ટેડિંગ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત થશે. આ ઉપરાંત આ ફેસ્ટિવલમાં તેમની ચાર ફિલ્મોનું સ્ક્રિનિંગ પણ થશે.

આનંદ પટવર્ધનની ડોક્યુમેન્ટરી ફિલ્મની યાદી લાંબી છે પણ તેમાંથી કેટલીક પસંદીદા ફિલ્મોનું નામ લેવું હોય તો તેમાં ‘બોમ્બે : હમારા શહેર’, ‘રામ કે નામ’, ‘ફાધર, સન એન્ડ હોલીવોર’, ‘અ નર્મદા ડાયરી’, ‘વૉર એન્ડ પીસ’ અને ‘જય ભીમ કોમરેડ’ જેવી ફિલ્મો છે. તેમણે પોતાના કામનાં જોરે આંતરરાષ્ટ્રિય-રાષ્ટ્રિય સ્તરે ખૂબ નામના મેળવી છે અને એવોર્ડ્સ પણ એટલાં જ મેળવ્યા છે. આનંદ અત્યારે સિત્તેર વટાવી ચૂક્યા છે પણ હજુ ય તેમના તરફથી ફિલ્મો મળી રહી છે. છેલ્લે 2018માં તેમની ‘રીજન : વિવેક’ ફિલ્મે ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી. આનંદ પટવર્ધનની આ કાર્યસફર વિશે હાલમાં ‘સ્ક્રોલ’ ન્યૂઝ પોર્ટલ દ્વારા વિસ્તૃત મુલાકાત થઈ છે. તેમના પાંચ દાયકાના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ વિશે તેમણે ઘણી રસપ્રદ વાતો કરી છે.

આનંદની ફિલ્મો આંખ ઉઘાડનારી રહી છે અને એટલે જ તેઓનો પ્રયાસ એ રહ્યો છે કે વધુ ને વધુ દર્શકો તેમની ફિલ્મ જુએ. આ સંદર્ભે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમારા દૃષ્ટિકોણથી દર્શકો સહમત ન હોય તેમ છતાં તમે પબ્લિક સ્ક્રિનિંગ યોજો છો અને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરો છો. આ વિશે આનંદ કહે છે : “મારા ફિલ્મનિર્માણનો આરંભ આપણાં દેશમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે તે દર્શાવવાનો, તેને દસ્તાવેજિત અને મૂલ્યાંકન કરવાનો છે. એટલે હું ઇચ્છું છું કે મારી ફિલ્મ વધુ દર્શકો જુએ ન કે માત્ર તે ફિલ્મ ફેસ્ટિવલ સુધી સિમિત રહે. જો તેમ ન થતું હોય તો ફિલ્મ નિર્માણ કરવાનો કોઈ અર્થ નથી. આ પૂરી પ્રક્રિયામાં ફિલ્મ દર્શાવવી અને દર્શકો સાથે તેની ચર્ચા કરવી અગત્યનો હિસ્સો છે. દરેક વખતે સ્ક્રિનિંગ કરવાનો એક વિશેષ ઉત્સાહ હોય છે. જુદાં જુદાં વર્ગોમાં ફિલ્મ દર્શાવવી તે તદ્દન વેગળો અનુભવ કરાવે છે. મને સંવાદ ગમે છે અને અમે સ્ક્રિનિંગ વખતે જ ચર્ચા કરીએ છીએ.”

આ પછી આનંદ તેમના ફિલ્મ સ્ક્રિનિંગ દરમિયાન થતાં હુમલા વિશે વાત કરે છે. આ માટે તેઓ જમણેરી વિચારધારા ધરાવનારાં અસમાજિક તત્ત્વોને જવાબદાર ઠેરવે છે. પરંતુ ઘણી વખત એવું ય બન્યું છે જે આનંદની ફિલ્મનો વિરોધ કરતાં હોય અને તેમની ફિલ્મ જોઈ હોય પછી તેઓ આનંદના દૃષ્ટિકોણથી સહમતી દર્શાવી હોય. આ અનુભવ ખુદ આનંદ ટાંકતાં કહે છે, “એકથી વધુ કારસેવક જેઓ બાબરી ધ્વંસમાં સામેલ રહ્યા હોય તેઓએ ‘રામ કે નામ’ ફિલ્મ જોઈને મારો સંપર્ક કર્યો છે અને તેમણે સ્વીકાર્યું છે કે દેશના હિત સંદર્ભે અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.” જો કે આ અનુભવોને આનંદ ઉત્સાહથી નથી ટાંકતા બલકે તેમનો ઉદ્દેશ જણાવતાં કહે છે : “આવું સામાન્ય રીતે થતું નથી. લોકો એક ફિલ્મ સ્ક્રિનિંગથી પોતાના વિચાર બદલતાં પણ નથી. અને મારી ફિલ્મનો એ ઉદ્દેશ પણ નથી કે લોકો આ રીતે પોતાના વિચાર બદલે. અમારો પ્રયાસ સંવાદ શરૂ કરવાનો છે. ઘણી વાર આ સંવાદ અપશબ્દો સુધી પણ પહોંચે છે. જો કે તેમ છતાં ય જો વાતાવરણમાં હળવાશ હોય તો તેમાંથી સારું પરિણામ નિપજી શકે.”

આનંદ પટવર્ધનની ફિલ્મોના વિષય મહદંશે દેશમાં બનતી મસમોટી ઘટનાઓ રહી છે. જેમ તેમણે 1974ના અરસામાં બિહાર આંદોલનને વિષય બનાવીને ‘ક્રાંતિ કે તરંગે’ બનાવી હતી. એ રીતે કટોકટી દરમિયાનની તેમની ફિલ્મ ‘ઝમીર કે બંદી’ હતી. મુંબઈ જેવાં મોટા શહેરોમાં ચાલી-છાપરાંમાં રહેતાં લોકોને અસ્તિત્વ ટકાવવાના કેવાં પ્રશ્નો હોય છે તેને લઈને તેમણે ‘બોમ્બે : હમારા શહેર’ નિર્માણ કરી. બાબરી ધ્વંસ પર તેમની ફિલ્મ ‘રામ કે નામ’ છે. એ જ રીતે નર્મદા આંદોલન આધારિત પણ તેમની ‘અ નર્મદા ડાયરી’ નામની ફિલ્મ છે.

આમ આનંદની ફિલ્મી સફર જોઈએ તો દેશની અતિ મહત્ત્વના અને સંવેદનશીલ વિષયો પર તેમણે ફિલ્મ નિર્માણ કરી છે. આ વિષયોની પસંદગી કરવા બદલ તેમની છબિ ‘એક્ટિવિસ્ટ’ તરીકેની ઘડાઈ છે. અને એટલે તેઓ પોતે તેમનાં વલણને કેવી રીતે જુએ છે તે વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું : “જે જોવું છું તેની જ પ્રતિક્રિયા હું આપું છું. હું સ્વકેન્દ્રિય ફિલ્મમેકર નથી. કોઈ પણ બાબત થિએરોટીકલી વિચારતો નથી અને પહેલાં હું તેને પ્રેક્ટિસમાં લાવું છું. હું સીધું કામ કરવામાં માનું છું અને થિયરી કહો કે અન્ય લેબલ તે પછી તેના પર લાગે છે. જે પ્રકારની ફિલ્મ મેં બનાવી છે તે સ્ક્રીપ્ટ પર આધારિત નથી. જે કોઈ ઘટના બને તે પહેલાં તે બનશે કે કેમ તે વિશે હું જાણતો નથી.” આ પૂરી પ્રક્રિયાને તેઓ ‘serendipity’થી વર્ણવે છે. આનો અર્થ છે કે કોઈ આકસ્મિક ઘટનાને અપ્રત્યક્ષ રીતે શોધવી. આવું તમે ક્યારે કરી શકો તે પણ આનંદ કહે છે : “તમને આ પ્રકારનું કન્ટેન્ટ ત્યારે જ મળે જ્યારે તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હો. જ્યારે ઘટના બનતી હોય ત્યારે ત્યાં હાજર હોવું તે તેની ચાવી છે.”

તેમની એક્ટિવિસ્ટ તરીકેની જે છબિ ઘડાઈ છે તે વિશે તેમનું કહેવું છે કે, “છેલ્લાં પચાસ વર્ષની કારકિર્દીમાં તેમને વેગવેગળા લેબલ લગાવવામાં આવ્યા છે. અગાઉ જ્યારે મારા રાજકીય વિચારથી લોકો સહમત નહોતા ત્યારે મારા માટે ‘પ્રોપાગેન્ડા’ આધારિત ફિલ્મમેકર એવું લેબલ લાગ્યું. જો કે હું તો હંમેશાં મારી રજૂ કરેલી વાત સંદર્ભે મહત્ત્વના આધાર મૂકતો આવ્યો છું.” પછી તેમની ફિલ્મોને ‘Agitprop’પણ કહેવામાં આવી. આ શબ્દ સોવિયત રશિયાના કાળમાં પોપ્યુલર મીડિયા માટે ઉપયોગમાં લેવામાં આવતો, જેમાં કોમ્યુનિઝમનો સંદેશ ફિલ્મ કે અન્ય મીડિયા દ્વારા પ્રસાર કરવાનો હેતુ હોય.

હાલના સમયમાં તેમની ફિલ્મોને નિબંધપ્રકારની ફિલ્મ તરીકે જોવાય છે. જે ખરેખર યોગ્ય છે. તે કેમ યોગ્ય છે તે વિશે આનંદ કહે છે : “હું એક વકીલ જેવો છું જે કોર્ટમાં પુરાવા સાથે મારી દલીલ મૂકું છું. અને મારી દલીલને હું વધુ વિસ્તૃત રીતે મૂકું છું. આનો ન્યાય મારા દર્શકો તોળે છે. તેઓ જ જણાવે છે કે મેં મારા પક્ષને યોગ્ય રીતે મૂક્યો છે કે નહીં.”

આનંદ પટવર્ધને કરેલું ગંજાવર કાર્ય દેશના ઇતિહાસ અને સામાજિક પૃષ્ઠભૂમિને સમજવા અર્થે ખૂબ ઉપયોગી છે અને તેમણે આ બધું ડોક્યુમેન્ટરી સ્વરૂપે મૂક્યું છતાં તે રસપ્રદ છે. લાંબા પટાનું આ કાર્ય આનંદ કરી શક્યા તેની પાછળ તેમની શૈક્ષણિક યાત્રાની પણ ભૂમિકા છે. તેઓ પહેલાં તો એ સ્પષ્ટતા કરે છે કે તેઓ ફિલ્મમેકર બનવા અર્થે ભણ્યા નથી. તેમણે મુંબઈમાં એલ્ફિસ્ટન કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ મેળવ્યું તે પછી અમેરિકાની બ્રૅન્ડીસ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અમેરિકામાં જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે વિયેતનામ યુદ્ધનો વિરોધ જોરશોરથી થઈ રહ્યો હતો. તેમણે યુનિવર્સિટી પાસેથી કેમેરા મેળવ્યો અને તે ઘટનાઓ કેદ કરી. આ રીતે તેઓ ફિલ્મમેકિંગમાં સંકળાયા. ભારત પાછા આવીને તેમણે બિહાર આંદોલન અને કટોકટી પર ફિલ્મ નિર્માણ કરી. તે પછી 1979માં તેઓ ફરી વાર માસ્ટર્સ ઇન કોમ્યુનિકેશનની ડિગ્રી માટે કેનેડા ગયા. આ રીતે તેમની શિક્ષણની સફર રહી.

તેઓ આ કામ કરી શક્યા તેનું એક કારણ આપતાં આનંદ કહે છે : “હું નસીબદાર છું. હું એક સમૃદ્ધ પરિવારમાંથી આવું છું. મારે મારા અસ્તિત્વ ટકાવવા અર્થે પૈસા કમાવવાના નહોતા. મારા પરિવાર અને મિત્રોએ મને હંમેશાં મદદ કરી છે. જો કે તે પછીથી ફિલ્મનો ખર્ચ તેનાં વેચાણ અને લેક્ચર સ્ક્રિનિંગ ટુર્સથી નીકળતો ગયો.” અંતે તેઓ મુલાકાતમાં કહે છે : “હું છેલ્લાં 51 વર્ષથી ફિલ્મ નિર્માણ કરું છું, પરંતુ મારી ફિલ્મનો હિસ્સો ઘણો નાનો છે. ફિલ્મનિર્માણની દરેક પ્રક્રિયાને હું માણતો હોવા છતાં હું કંઈ આ ફરિયાદના સૂરમાં નથી કહેતો. બલકે તે સત્ય છે.”

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,4861,4871,4881,489...1,5001,5101,520...

Search by

Opinion

  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved