Opinion Magazine
Number of visits: 9663713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|10 September 2025

‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઇચ્છતા હોય, તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’

15 ઓગસ્ટ, 1947એ કોલકાતામાં ઉપવાસ પર બેઠેલા ગાંધીજી અને સુહરાવર્દી

કોલકાતા જવાનું એકથી વધુ વખત બન્યું હશે. શાલેય દિવસોના કંઈક ઉપાસ્યવત પરમહંસદેવ અને વિવેકાનંદના સ્મરણવશ દક્ષિણેશ્વર ને બેલૂર મઠ જવાનું ચહીને બન્યું છે. એટલું જ ચહીને સુપ્રતિષ્ઠ કાલી મંદિર, કેમ કે ત્યાં પશુબલિ આજે પણ જારી છે, નહીં જવાનુંયે બન્યું છે. રવિ ઠાકુરના પરંપરીણ ઘરથી કોલકાતા વટી શાંતિનિકેતની યાત્રાનોયે લહાવ લીધેલ છે, તો ભવાનીપુર વિસ્તારમાં રહ્યો ને એલ્જિન રોડ પર નેતાજીના સ્થાનકે નહીં પહોંચી શક્યાનો એક વસવસો પણ છે.

પ્રકાશ ન. શાહ

પણ 2002માં મહેન્દ્ર મેઘાણી થકી સંકલિત ‘આંસુ લૂછવા જાઉં છું’ વાંચવા-સાંભળ‌વાનું બન્યું ત્યારથી ચિત્તમાં એક ફરિયાદ રહી છે કે હૈદરી મંઝિલે હૃદયકુસુમ ધરવાનું રહી ગયું છે.

‘આંસુ લૂછવા જાઉં છું’ એ મૂળે તો આપણા સમયના મહાભારતો ………. એવા ‘લાસ્ટ ફેઝ’(પ્યારેલાલ)ના ગુજરાતી અનુવાદ ‘પૂર્ણાહુતિ’(મણિભાઈ દેસાઈ)ના 2100 જેટલાં પાનાંમાંથી ગાંધીજીના જીવનના આખરી પંદર મહિનાનું બયાન છે, જ્યારે કોમી દાવાનળ ઠારવા બંગાળ, બિહાર, પંજાબમાં ગાંધીજીએ એકલવીરની જેમ આત્મબળથી ઝૂઝી વીરમૃત્યુ વહોર્યું હતું.

નોઆખલીના આતંક વચાળે અભયપૂર્વક વિચરતા ગાંધીએ ચૌમુહાની પ્રાર્થાનસભામાં કહ્યું હતું કે અહીં જે બન્યું તે ઈસ્લામના નામ પર કલંકરૂપ છે. વળી ઉમેર્યું હતું કે ‘પૂર્વ બંગાળમાં મુસલમાનો એટલી મોટી બહુમતીમાં છે કે તેમણે અહીંની હિંદુઓની નાનકડી લઘુમતીના રખેવાળ બનવું ઘટે અને તેમણે હિંદુ સ્ત્રીઓને કહેવું જોઈએ કે અમે અહીં છીએ ત્યાં સુધી તમારા પર બૂરી નજર કરવાની કોઈની પણ હામ નથી.’

જુલાઈ 1946ના ‘ડાઈરેક્ટ એક્શન’ વેળાથી હિંદુઓ પરના મુસ્લિમ આતંકના વડા જવાબદાર હસન સુહરાવર્દી અને બીજા લીગ નેતાઓ આઘાપાછા હશે ત્યારે લીગના જ એક પ્રધાન શમસુદ્દીન અહમદે ‘રાજધર્મ’ની રીતે રોકડી વાત કરી હતી : ‘પાકિસ્તાન વિ. હિન્દુસ્તાન એ સવાલનું નિરાકરણ મુસલમાનો બહુમતીમાં હોય ત્યાં હિંદુઓની અને હિંદુઓ બહુમતીમાં હોય ત્યાં મુસલમાનોની કતલ કરવાથી થવાનું નથી. કોઈ પણ સરકાર નિષ્ક્રિયપણે બાજુએ ઊભી રહીને બહુમતીને લઘુમતી પર જુલમ ગુજારવા કે તેનું નિકંદન કાઢવા દઈ શકે નહીં …’

પણ વાત તો આપણે કોલકાતાની કરતા’તા. સ્વરાજના પહેલા દસ-પંદર દિવસ તો જાણે કોઈ કોમી તનાવ હતો જ નહીં એમ દેખીતા આનંદઓચ્છવ જેવા વીત્યા ન વીત્યા, અને …

આ દિવસોમાં ગાંધીજી કોલકાતાના બેલિયાઘાટા વિસ્તારમાં જે મકાનમાં રોકાયા હતા તેનું નામ ‘હૈદરી મંઝિલ’ હતું. સાવ અવાવરું ઘર. ઢગલે ઢગલા ધૂળ ને કચરો. ચારે બાજુથી લગભગ ખુલ્લા જેવું. બારી-બારણાં હુલ્લડ વખતનાં તૂટેલાં. એક જ સંડાસ. વરસાદને કારણે ઘરમાં કાદવ-કીચડ. જવું’તું ફરી નોઆખલી, પણ પૂર્વમેયર મુહમ્મદ ઉસમાને ત્યાં શાંતિની જવાબદારી લીધી ત્યારે ગાંધીજીએ સુહરાવર્દીને કહ્યું કે મારી સાથે આવીને ફકીરની પેઠે શહેરમાં શાંતિ-સ્થાપન સારુ રહો એ શરતે રોકાઈ જાઉં …

હૈદરી મંઝિલ

હિંદુ મહાસભાના જ બીજા નેતા નિર્મલચંદ્ર ચેટરજી (એન.સી. ચેટરજી) ગાંધીજીને મળવા આવ્યા ત્યારે એમણે લગભગ કબૂલાતની રીતે કહ્યું કે હિંદુઓ તેમનાં મગજ ગુમાવી બેઠાં છે. પંદરમી ઓગસ્ટ આસપાસના દિવસોની શાંતિ તાત્પૂરતી બલકે ઉપરછલ્લી હતી. બીજી બાજુ પંજાબના સમાચારો ભારે માઠા હતા. જાહેર જીવનના લાંબા અનુભવને જોરે ગાંધીજીને લાગ્યું કે કોલકાતામાં શાંતિ-સ્થાપન એ પંજાબમાં શાંતિ તરફે ઉપયોગી થઈ પડશે.

‘હું પંજાબ શું મોં લઈને જઈ શકું?’ ઉપવાસ પર ઊતરતાં એમણે નિવેદનમાં કહ્યું : ‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઇચ્છતા હોય તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’

રહેઠાણ આગળ મૂકવામાં આવેલી પોલીસને એમણે પરત મોકલી હતી, પણ એને પાછી બોલાવવી પડી, કેમ કે બંગાળના અશાંતિની એક જવાબદાર સુહરાવર્દીને રક્ષણ સારુ એની જરૂર હતી. ડાઈરેક્ટ એક્શનથી નોઆખલીના સુહરાવર્દી કરતાં જો કે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1947ના કોલકાતા દિવસોના સુહરાવર્દી જુદા હતા, અને જૂની ભૂલોથી પશ્ચાતાપ સાથે બહાર આ‌વી રહ્યા હતા.

ત્રીજે દિવસે માહોલ જાણે કે કંઈક બદલાવા લાગ્યો હતો. એક હિંદુ-મુસ્લિમ સંયુક્ત સરઘસ બેલિયાઘાટા પહોંચ્યું ને ઉપવાસ છોડવા વિનંતી કરી. ચોથે દિવસે તો જાણે ચમત્કાર થયો. એક પછી એક નામીચા ગુંડા આ‌વતા ગયા. હથિયારો જમા કરાવતા ગયા. બીજી પાસ, અઠ્ઠોતેરના બુઝુર્ગની તબિયત ઉત્તરોત્તર કથળી રહી હતી. સૂતા, વળી બેઠા થતા, માળા ફેરવતા હતા. બંગાળના ગવર્નર રાજાજી, કાઁગ્રેસ પ્રમુખ કૃપાલાની, મુખ્ય મંત્રી પ્રફુલ્લ ઘોષ, એન. સી. ચેટરજી, સુહરાવર્દી, શરદચંદ્ર બોઝ (નેતાજીના ભાઈ) સરદાર નિરંજનસિંહે કલાકેકના પરામર્શપૂર્વક પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કર્યા.

એક સ્વયંસેવક ટુકડીએ એ પ્રાર્થના ગાઈ જે રવીન્દ્રનાથે પંદરેક વરસ પર યરવડા જેલમાં ગાંધીજીને પારણા કરાવતા ગાઈ હતી : 

જીવન જવ સુકાઈ જાય 

કરુણા વર્ષન્તા આવો;

માધુરી માત્ર છુપાઈ જાય 

ગીત–સુધા ઝરન્તા આવો.

સાતમી સપ્ટેમ્બરે રાતે એ પંજાબ માટે રવાના થયા અને એક પછી એક સાથીએ વિદાય આપી, ત્યારે છેલ્લા હતા સુહરાવર્દી … એમના અશ્રુએ અભિષિક્ત એ વિદાય!

ગમે તેમ પણ, આ લખનારને લમણે તો ‘હૈદરી મંઝિલ’નાં દર્શન બાકી તે બાકી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 સપ્ટેમ્બર 2025

Loading

મત પૂછ મૈં કૌન હૂં …

સોનલ પરીખ|Opinion - Opinion|9 September 2025

મહેતાબ તેરા ચહેરા એક ખ્વાબ મેં દેખા થા
એ હુસ્ન-એ-જહાં બતલા તૂ કૌન મૈં કૌન હૂં
ખ્વાબોં મેં મિલે અક્સર એક રાહ ચલે મિલકર
ફિર ભી હૈ યહી બહેતર મત પૂછ મૈં કૌન હૂં ….

હુસ્ન-ઓ-ઈશ્ક હૈ તેરે જહાં દિલ કી ધડકનેં તેરી જુબાં
આજ ઝિંદગી તુજ સે જવાં
આગાઝ હૈ કયા મેરા, અંજામ હૈ કયા મેરા
હૈ મેરા મુકદ્દર કયા, બતલા કે મૈં કૌન હૂં ….

ક્યોં ઘિરી ઘટા તૂહી બતા, ક્યોં હંસી ફિઝા તૂ હી બતા
ફૂલ ક્યોં ખીલ તૂ હી બતા
કિસ રાહ પે ચલના હૈ કિસ રાહ પે રૂકના હૈ
કિસ કામ કો કરના હૈ બતલા કે મૈં કૌન હૂં ….

ઝિંદગી કો તૂ ગીત બના દિલ કી રાહ પર ઝુમ કે ગા
ઇસ જહાં કો તૂ પ્યાર સીખા
મહેતાબ તેરા ચહેરા એક ખ્વાબ મેં દેખા થા
એ હુસ્ન-એ-જહાં બતલા તૂ કૌન મૈં કૌન હૂં ….

પિયાનોનો આવાજ સાંભળીને ગોપાલને ખ્યાલ આવી ગયો કે પ્રીતિ આવી છે. તે પોતાની સુહાગશય્યામાંથી ઊભો થઈ ઝડપથી દાદર ઊતરીને નીચે આવે છે. પ્રીતિ ભરી આંખે કહે છે, ‘આજે જાઉં છું, તને છેલ્લી વાર મળવા આવી છું.’ ‘આજે જ? જવાની આટલી ઉતાવળ શા માટે?’ ‘કેટલાક સવાલોના જવાબ હોય છે, પણ આપી નથી શકાતા, ગોપાલ. જો હું તને પૂછું કે તેં લગ્નની આટલી ઉતાવળ શા માટે કરી, તો?’ ગોપાલ ચૂપ થઈ જાય છે. પ્રીતિ કહે છે, ‘છોડ એ બધું, મને વચન આપ કે તું સંગીત નહીં છોડે. સંગીત તારું જીવન છે. બીજું ગમે તે છોડ, સંગીત ન છોડતો.’ અને એ ચાલી જાય છે. એક સ્વપ્ન પૂરું થયું હોય એમ.

ઋષિકેશ મુખર્જી

આ દૃશ્ય સાથે ફિલ્મનો એક કલાક પૂરો થાય છે, ત્યાર પછી શું થયું એ જાણવા માટે તમારે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આશિક’ જોવી પડે. ઓગસ્ટના અંતે ઋષિદાની પુણ્યતિથિ ગઈ અને સપ્ટેમ્બરના અંતે એમનો જન્મદિન આવશે. એ નિમિત્તે આપણે ‘આશિક’નું એક મસ્તમીઠું છતાં દર્દથી સરાબોર ગીત ‘મહેતાબ તેર ચહેરા’ માણીએ.

ચારેક દાયકા લાંબી અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં ઋષિદાએ બેતાળીસ જેટલી ફિલ્મો બનાવી. તેમની સફળ ફિલ્મોની સૂચિમાં ‘આશિક’નું નામ દેખાય નહીં. એમણે મળેલા સત્તરેક અવોર્ડની યાદીમાં પણ ‘આશિક’ મળે નહીં. પ્રેક્ષકોએ તેને ખાસ ભાવ આપ્યો ન હતો. ઘણાં વર્ષ સુધી એ યુટ્યૂબ પર પણ મુકાઇ ન હતી. આમ છતાં ‘આશિક’ એ ઋષિદાની જ નહીં, રાજ કપૂર-પદ્મિનીની જ નહીં, ફિલ્મોના સુવર્ણયુગની પણ શ્રેષ્ઠ ફિલ્મોમાં મુકાય તેવી હતી. પ્રેમ, કલા અન જિંદગીનાં સમીકરણો જે રીતે એમાં મુકાયાં છે એ રીતે ભાગ્યે જ કોઈ ફિલ્મમાં મુકાયાં હશે. કદાચ એ સૂક્ષ્મ અર્થ, એ ઉચ્ચ પ્રકારનું સંવેદન પ્રેક્ષકો ઝીલી ન શક્યા હોય એમ બને.

એ ફિલ્મમાં રાજ કપૂરનું એ રૂપ હતું જે રાજ કપૂરને પોતાને પણ અતિશય પસંદ હતું. એક ભલો, આખી દુનિયાને ચાહતો, ઝરણાં અને પંખીમાં જ નહીં, પવન અને મૌનમાં પણ સંગીત શોધી લેતો પોતાની મસ્તીમાં મસ્ત માણસ – પાછો આશિક એટલે કે પ્રેમી પણ ખરો. આશિક શબ્દમાં ઉમળકો છે, બેપરવાઈ છે અને દિલોજાન ચાહતના, જરા પાગલપણાના, જરા બેપરવાઈના, જરા જરા નશાના સુંદર રંગો પણ છે.

પણ આવા માણસનું દુનિયાને શું કામ? ‘આશિક’નો ગોપાલ (રાજ કપૂર) જમીનદારનો પુત્ર હોવા છતાં નકામો જ નહીં, ચક્રમ પણ ગણાય છે. ભાવિ પત્ની રેણુકા (નંદા) તેને લગભગ પૂજે છે, પણ તેનામાં રહેલા કલાકારને સમજી શકી નથી. એ કલાકારને સમજી છે રેણુકાની દૂરની બહેન પ્રીતિ (પદ્મિની). પ્રીતિ મશહૂર સ્ટેજ કલાકાર છે. ગોપાલ અને પ્રીતિને એકબીજા માટે અપરંપાર આકર્ષણ થાય છે. પણ આ આકર્ષણની અભિવ્યક્તિ થઈ શકે એમ નથી. આત્માની આ ઓળખનું કોઈ નામ નથી. જીવનમાં કોઈ સ્થાને તેને ગોઠવી શકાય તેમ નથી. અકળાયેલો ગોપાલ એથી જ પોતાની માને કહી બેસે છે, ‘લગ્નની શરણાઈઓ વહેલી વગડાવી દો, જેથી તેના અવાજમાં મારા દિલમાં ઊઠતો સૂર દબાઈ જાય.’

પણ પ્રેમનો, કલાનો એ સૂર એમ દબાય એવો નથી. ગોપાલ-પ્રીતિ સંઘર્ષ કરે છે, તરફડે છે અને જિંદગીના અર્ક સમા સત્યને મુખોમુખ થાય છે કે પ્રેમ જગતનું સૌથી ઉમદા સંવેદન છે અને કલા તેની સૌથી ઉમદા અભિવ્યક્તિ. સંગીતનો સર્વોચ્ચ ઍવોર્ડ મળવા સુધી પ્રીતિ ગોપાલને જાળવે છે, તરાશે છે અને પછી ‘જો મને ચાહતો હો તો પાછો જા.’ એવી ચિઠ્ઠી લખી એના જીવનમાંથી ચાલી જાય છે.

ગામ પાછો ગયેલો ગોપાલ શું જુએ છે? બરબાદ ઘર, અંધ માં, વિયોગિની પત્ની, પરિશ્રમરત ભાઈ અને નિર્દોષ પુત્રી. બધાં જ કહે છે કે એમનાં દુ:ખોનું કારણ ગોપાલ છે, પણ બધાં જ એને તો પણ ખૂબ ચાહતા રહ્યાં છે, તેની પ્રતીક્ષા કરતાં રહ્યાં છે. ગોપાલને, પ્રેક્ષકોને પણ સમજાય છે કે કલા અને પ્રેમ ઘણાં ઊંચાં છે, પણ જિંદગી આ બંનેથી ઊંચી છે. ‘કૈસે ગમ ઔર કૈસી ખુશિયાં કૈસે હૈ યે મેલે, પ્યાર મેં જિસ દમ આંસુ નિકલે વો આંસુ અલબેલે, આંસુ પીતે પીતે જીના અરમાં ગલે લગાયે રે’ આ પંક્તિ મૂકીને કયા રસ્તે ને કેવી રીતે જવું એ ફિલ્મસર્જકે બતાવી દીધું છે, છતાં જાણે પસંદગી પ્રેક્ષકો માટે ખુલ્લી રાખી છે.

ઋષિકેશ મુખર્જી કારકિર્દીની શરૂઆત કેમેરામેન તરીકે કરી. બિમલ રૉય પાસે એડિટિંગ અને દિગ્દર્શન શીખ્યા અને શહેરી મધ્યમવર્ગની સમસ્યાઓને વણી લેતી સુંદર, સ્વચ્છ, પ્રસન્ન ફિલ્મો આપી વ્યાવસાયિક ફિલ્મો વચ્ચે પોતાનો એક શાંત ચીલો કંડાર્યો. 1957ની ‘મુસાફિર’ એમની પહેલી ફિલ્મ. એક ઘરમાં વારાફરતી રહેવા આવતાં ત્રણ કુટુંબો નિમિત્તે ફિલ્મમાં જન્મ, લગ્ન અને મૃત્યુની વાત થઈ છે. સુચિત્રા સેન, દિલિપકુમાર, કિશોરકુમાર, ઉષાકિરણ અને નિરૂપ્ય રૉય જેવા કલાકારો છતાં ફિલ્મ ચાલી નહીં, પણ 1959માં તેમણે બનાવેલી ‘અનાડી’એ પાંચ ફિલ્મફેર જીત્યા. પછીની ‘અનુરાધા’ ઉત્તમ, પણ ફ્લોપ. ‘આશિક’ ત્યાર પછીની. એ જ વર્ષે ‘અસલી નકલી’ પણ આવી. પછીના બે દાયકામાં આવી ‘અનુપમા’, ‘આશીર્વાદ’, ‘સત્યકામ’, ‘ગુડ્ડી’, ‘આનંદ’, ‘બાવર્ચી’, ‘અભિમાન’, ‘નમકહરામ’, ‘મિલી’, ‘ચુપકે ચુપકે’, ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘બેમિસાલ’. ‘ચુપકે ચુપકે’માં ધર્મેન્દ્રને રમૂજી પાત્ર આપ્યું, ‘આનંદ’માં અમિતાભને બ્રેક આપ્યો અને ‘ગુડ્ડી’માં જયા ભાદુરીને.

‘આશિક’નાં આઠમાંથી બે ગીત ‘તુમ આજ મેરે સંગ હંસ લો’ અને ‘લો આઈ મિલન કી રાત’ હસરત જયપુરીનાં છે, બાકીનાં ‘તુમ જો હમારે મીત ન હોતે’, ‘ઓ શમા’, ‘મૈં આશિક હૂં’, ‘યે તો કહો, ‘ઝનન ઝનઝનાકે અપની પાયલ’ અને ‘મહેતાબ તેરા ચહેરા’ શૈલેન્દ્રનાં છે. ‘મહેતાબ તેરા ચહેરા’ ગીતમાં પ્રશ્નો છે, જેના જવાબો છે પણ, નથી પણ. જે નાજુક લાગણીઓ સહજ સર્જાઇ છે તેને વ્યક્ત કરવા શૈલેન્દ્રએ બેમિસાલ શબ્દો અને શૈલી યોજ્યાં છે. જિંદગીમાં પ્રેમની, કલાની, સર્જનની એવી પળો સર્જાય છે જ્યારે પોતાને પોતાની ઓળખ કરાવનારને, જિંદગીનો ખરો સ્પર્શ આપનારને પૂછવાનું મન થાય, ‘તૂ કૌન, મૈં કૌન હૂં?’ અને તેનો જવાબ આ જ હોઈ શકે, ‘મત પૂછ મૈં કૌન હૂં’ ત્યાર પછીના મૌનમાં બધા સવાલ-જવાબ ઓગળી જાય, કશુંક શરૂ ન થઈને પણ શરૂ થાય અને કશુંક પૂરું થઈને પણ પૂરું ન થાય એવું બને : પ્રેમનું, જિંદગીનું, સર્જનાત્મક ઊર્જાનું કઈં કહેવાય નહીં.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 29 ઑગસ્ટ 2025

Loading

અરવિંદભાઈ, આવી અંચાઈ ન ચાલે !

રમજાન હસણિયા|Opinion - Opinion|8 September 2025

યુવાનને શરમાવે એવો ઉત્સાહથી થનગનતો એક મોજીલો માણસ આમ અચાનક જીવનલીલા સંકેલી ચાલતો થાય એ માની નથી શકાતું.

અરવિંદભાઈ ગડા

ફેસબૂકના માધ્યમથી કેટલાંક સરસ લોકોની સાથે મૈત્રી બંધાઈ ને પછી પાંગરી છે એમાંના એક અરવિંદભાઈ ગડા. મૂળ આધોઈના એટલે વાગડમાં થતી નાની નાની પ્રવૃત્તિઓની નોંધ લે ને એમાં રસ લઈ ટેકો કરે. રાપર કોલેજના ખૂણે બેસી જે થોડું થોડું મથ્યા કરીએ એની તેઓ નોંધ લે. પ્રિયને પત્ર નામની એક સરસ પ્રવૃત્તિ શરૂ કરેલી ને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એ માટે પત્ર લખી મોકલવાની ટહેલ મિત્રોને કરેલી, ત્યારે સૌથી પહેલા અરવિંદભાઈએ પત્ર લખી મોકલેલો. પછી તો નીલપર આપણા ઘરે પણ આવી ગયા. મિત્રોને પણ લાવ્યા. મુંબઈ મારું વ્યાખ્યાન હોય તો મિત્રમંડળ સાથે આવી જાય. એક વખત તો એમના ઘરે બધાને ભેગા કરી મેળાવડો જમાવેલો. બહુ મજા કરેલી. રાપર કોલેજના વિદ્યાર્થીઓ સાથેના અનુબંધની વાતોમાં બધાને બહુ જ રસ પડેલો. ઘરે થયેલી વાતોથી પેટ ન ભરાયું હોય તેમ છેક બોરીવલી સુધી અમને મુકવા આવેલા. મુંબઈમાં કોઈ આટલો સમય આપે એની વાતો કરીએ તો કોઈ માને નહિ, પણ અરવિંદભાઈની તો આ જ રીત. 

એમના આખા વર્તુળને સાહિત્યની દુનિયા સાથે જોડવામાં એમનો સિંહફાળો. એમનું ભાવક હૃદય મને ખેંચનારું સૌથી મોટું પરિબળ. ‘કુંવરબાઈનું મામેરું’ની વાત સાંભળતાં ભીંજાતું એમનું હૈયું એમની આંખોમાં વર્તાઈ આવે. ભણવામાં નબળા વિદ્યાર્થીઓને પ્રેમ કરીએ તો એ રાજી થાય ને એમ કહે કે કોઈકે તો નાપાસ બાળકોની નિશાળ ચલાવવી પડશે ને ! મારા એક વિદ્યાર્થી માટે અંગત મિત્રોને ટહેલ મુકેલી એમાં એક હાકલે એમણે 50,000 જેટલી મોટી રકમ મોકલી આપેલી, ને પોતાનું નામ પણ આપવાની ના પાડેલી. આપણી સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘને પણ સમયાંતરે વગર કહ્યે મદદ મોકલે. મારાં વ્યાખ્યાન સાંભળી વખાણ કરવાવાળા તો ઘણા મળે પણ આ એવા સ્વજન કે મારી ભૂલો સુધારે ને જાત માટે હું ક્યારેક નબળું વિધાન કરું તો મને એમ કરતાં પણ અટકાવે એવા કલ્યાણમિત્ર. 

 પોતે સરસ વાંચે, વિચારે, લખે અને બોલે પણ સરસ. હમણાં જીવનગોષ્ઠિમાં તેઓ વાત કરવા રાજી થયેલા ને યુવાશિબિરમાં પણ આવવાના હતા. તબિયતના કારણે શિબિરમાં ન જોડાઈ શક્યા પણ શરીફાબહેન વિજળીવાળાનો લાભ ભચાઉની દીકરીઓને મળે એ માટે એમણે બહેનનું ત્યાં વ્યાખ્યાન ગોઠવ્યું. પોતે ખાસ મુંબઈથી બે દિવસ માટે કચ્છ આવ્યા. એ અમારી છેલ્લી મુલાકાત બની રહેશે એવી તો કલ્પના જ ક્યાં હોય ? શરીફાબહેનને લેવા પોતે નીલપર આવ્યા, બધા સાથે મજાની વાતો કરી. બહેન સાથે મને અને મુસ્કાનને પણ લઈ ગયા. આખે રસ્તે મજાની વાતો થઈ. અમે ભચાઉ ઉતરી બસમાં જતા રહીશું એમ કહ્યું, પણ માને તો અરવિંદભાઈ શાના ? અમને ભચાઉમાં રોક્યા, સાથે જમાડ્યા ને ખાસ અંજાર મુકવાની વ્યવસ્થા ગોઠવી આપી. આખા રસ્તે એમના ગાડી ચાલક ભાઈ રમજાનભાઈ એમના ગુણગાન કરતા રહ્યા. નાના મોટા સૌના હૈયે વસેલા અરવિંદભાઈ હૈયામાં કાયમની જગ્યા મેળવીને ખુદ સરકી ગયા. 

પર્યુષણ પર્વમાં ઘરે આવવાનું એમણે કહેલું. બોરીવલી હોવા છતાં મારાથી જવાયું નહિ. ૧૭મી ઓગસ્ટની વરસાદી સાંજની એ મુલાકાત છેલ્લી બની રહી. આજની વરસાદી બપોરે દિલીપભાઈએ એમના આવા ગળે ન ઉતરે એવા સમાચાર આપ્યા. 

અરવિંદભાઈ, તમે તો બધાને પોતપોતાને સ્થાને પહોંચાડી ઘરે જનારા માણસ, આમ અધવચ્ચે છોડી જનાર તમે ન હો .. સાવ આમ હાથતાળી દઈને થતું રહેવાનું ? હજી કેટલા ય મેળાવડા કરવાના બાકી રહ્યા ! તમારા આધોઈ ગામમાં જે દેરાસર તમે બંધાવ્યું છે એના પ્રાંગણમાં તમને ગમતાં ભગવાનનાં સ્તવન ગાવાનાં બાકી છે ને બીજું પણ ઘણું ઘણું !  જીવન રમતને અધવચ્ચે છોડી તમે આમ જતા રહો તો આ અંચાઈની ફરિયાદ અમારે કોની પાસે કરવી ?

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...147148149150...160170180...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved