Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી પછીનું ભારત’ પુસ્તક અને અવસર : નમ્રતા, વિદ્વત્તા અને સભાનતા 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|19 May 2025

સંજય ભાવે

દિલીપ ગોહિલ અને ઉર્વીશ કોઠારીએ એકવીસમી સદીના પહેલા અઢી દાયકાનું શકવર્તી કામ પાર પાડ્યું છે. તેઓ આપણા ઘેરા સમયમાં સભાનતાની કક્ષાએ પ્રજ્ઞામાં પ્રકાશ ફેલાવનાર ગ્રંથ  India After Gandhiને ‘ગાંધી પછીનું ભારત’ નામના બે ખંડોમાં આપણી ગુજરાતી ભાષામાં લાવ્યા. 

ગ્રંથરત્ન જોવામાં ગઈ કાલે રાત્રે મારા મનમાં આનંદ સમાતો ન હતો. સર્વાંગે બહુ માવજતથી નિર્માણ પામેલા આ ગ્રંથની ઉપલબ્ધિઓ નિહાળતાં નિહાળતાં ઊંઘ ન આવે એવું બન્યું. જોતાં જોતાં આનંદથી, સંતોષથી ધરવ ન થાય એવું જે જૂજ પુસ્તકોમાં થાય એવું બન્યું. કેટલીક ખાસિયતો નોંધું છું.

જ્ઞાન નમ્રતા આણે. રામચંદ્ર ગુહાના, લહેજતથી લખાયેલા હજારેક અંગ્રેજી પાનાંને ગુજરાતીમાં  લાવનાર અનુવાદકોએ પુસ્તકના આકર્ષક મુખપૃષ્ઠ પર ક્યાં ય પોતાનાં નામ મૂક્યાં નથી.

ઉઘડતા પાને એક જગ્યાએ કર્તૃત્વના પ્રમાણમાં ઘણા નાના ફૉન્ટમાં એક વખત બંને નામ, અને અનુવાદકની નોંધને અંતે ઉર્વીશ કોઠારીનું નામ એક વાર, બસ. 

પુસ્તકમાં કે ઉપરણા (ફ્લૅપ) પર પણ પરિચયનો એક શબ્દ નહીં, ફોટા તો ભૂલી જ જાઓ. ગ્રંથના લાખો શબ્દો સાથે કામ પાડનારાઓએ પોતાના નામ માટે છ જ શબ્દો ફાળવ્યા છે. 

ગુજરાતી પુસ્તકો જ નહીં, ઇવન કાતર-ગુંદર પુસ્તિકાઓમાં પણ હાસ્યાસ્પદ સેલ્ફ-પ્રોજેક્શનના જમાનામાં આ નમ્રતા તરફ કદાચ આપણું ધ્યાન ન જાય. 

ઉર્વીશભાઈએ અનુવાદકની નોંધમાં જણાવ્યું છે કે એકત્રીસ પ્રકરણમાંથી છ પ્રકરણનો અને ઉપસંહારનો અનુવાદ એમણે પોતે કર્યો છે. ‘બાકીનાં પ્રકરણની જવાબદારી સિનિયર પત્રકાર અને મિત્ર દિલીપ ગોહિલે લીધી.’

એટલે કે, દિલીપભાઈએ અત્યારનાં લગભગ 700 જેટલાં પાનાં ગુજરાતીમાં ઊતાર્યાં છે. ઉમદા માણસ, અચ્છા પત્રકાર દિલીપભાઈ આ પુસ્તક જોવા માટે આપણી વચ્ચે ન હોવાનો ખટકો આ પૃષ્ઠરાશિ જોતાં ખાસ અનુભવાય છે. 

‘દિલીપભાઈએ કરેલો અનુવાદ ઉત્તમ હતો’, એવું પણ તલ:સ્પર્શી સંશોધક અને કડક સંપાદક ઉર્વીશભાઈએ નોંધ્યું છે. એમ થાય કે દિલીપભાઈને ઉર્વીશે કામના જથ્થા અને ગુણવત્તાનો આટલો મોટો જશ આ એક વાક્ય થકી રેકૉર્ડ પર મૂકીને આપ્યો ન હોત તો કદાચ કોઈને ય ક્યારે ય દિલીપભાઈના મોટા ફાળાની ખબર ન પડી હોત. પણ પવિત્ર વિદ્યાક્ષેત્રે બૌદ્ધિક ઇમાનદારી (intellectual integrity) જેનું નામ!

ઉર્વીશભાઈએ વક્તવ્યમાં જલદી પકડાય નહીં તે રીતે બહુ આછા ઉલ્લેખ તરીકે એક વાત કહી, અને તે પુસ્તકમાં મિતાક્ષરે નોંધી છે : દિલીપભાઈએ અનુવાદિત કરેલા મોટા હિસ્સામાં ‘જરૂરી ફેરફાર – સુધારાવધારા કરવાનું કામ’ તેમણે પાર પાડ્યું. 

આ ભારોભાર અલ્પોક્તિ એટલા માટે છે કેમ કે આ ‘જરૂરી ફેરફાર-સુધારાવધારા કરવાનું કામ’ ક્યારેક અરધો અનુવાદ ફરીથી કરવા જેવું હોય છે, ખાસ કરીને બે અનુવાદકોના અનુવાદ-લય rhythmનો સંવાદ સાધવાનો હોય ત્યારે! 

જો કે ઉર્વીશે ‘બિલકુલ નમ્રતા વિના’ એ મતલબનું પણ કહ્યું કે અનુવાદને ગુજરાતી ‘દાળભાતની સુગંધ આપતા અમને બરાબર આવડે છે’ અને એ અમે કર્યું છે. 

આપણા સમયમાં ગુજરાતી ભાષા સાથે તેનું પોત જાળવીને કામ કરનારા બે પત્રકારોનું પુસ્તક – મનુભાઈ પંચોળી દર્શકના શબ્દોને યાદ કરીને કહું તો – ‘હૃદ્ય ગદ્ય’માં આવ્યું છે. અનુવાદની ભાષા સ્વચ્છ, મંજાયેલી, સહજ અને પ્રવાહી છે, એવું પ્રથમ દર્શને જણાય છે.  

રામચન્દ્ર ગુહાએ પોતાના પુસ્તકની મર્યાદા જણાવી કે તે રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ છે, પણ તેમાં અર્થશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યની ઉણપ છે.   

ગુહા જેવા વિવાદ (polemics) માટે જાણીતા આંતરરાષ્ટ્રીય સ્તરના વિદ્વાનો જાહેરમાં આવું કહેતા નથી હોતા,  અને બીજા કહે તો સ્વીકારતા નથી હોતા. 

ગુહાએ એમ પણ માહિતી આપી કે પુસ્તકની આ કચાશ તરફ ધ્યાન દોરનાર અને તે પૂરી કરનારા બે અભ્યાસીઓનું પુસ્તક ચારેક મહિનામાં આવી રહ્યું છે.   

પ્રકાશ ન.શાહે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું અને મંચ પરથી ઊતરીને પહેલી હરોળમાં જઈને બેઠા. હવે મંચ પર વ્યાખ્યાન માટે એકલા રામભાઈ જ રહ્યા. એટલે તેમણે પ્રકાશભાઈને મંચ પર બિરાજવા વિનંતી કરી, એ મતલબનું કહીને કે એમને પોતાને હિમ્મત રહેશે! પ્રકાશભાઈએ એ વિનંતીને માન આપ્યું. વાત ઝીણી હતી. પણ ઘણું કહી જાય. એક જ્ઞાનીએ એક જ્ઞાનવૃદ્ધનો સૂક્ષ્મ રીતે પણ અનાદર ન થવા દીધો. 

* * * * * 

રાત્રે ઉજાગરાએ સાથ આપ્યો તેટલી વાર પુસ્તક જોયું. નિર્માણમાં કોઈ કસર નહીં. આવા પ્રકારનો આકર ગ્રંથ વાંચવા માટે જરૂરી એવી બાબતોની કાળજી — 

પાનાંનોરંગ, અનુકૂળ ફૉન્ટ સાઇઝ, વાચક માટે breathing space મળે એવો પેઇજ લેઆઉટ, દરેક ખંડમાં સિત્તેરેક પાનાંની સંદર્ભ નોંધોનો યુવા અભ્યાસી સુજાતે કરેલો સ્વચ્છ અનુવાદ, સમાવેશક સૂચિ, પાકા પૂંઠાના પુસ્તકોનું કદ-વજન, અને આર્ટ મણિએ તૈયાર કરેલાં બંને આવરણો. 

આ અનુવાદનાં પાનાં ફેરવતાં અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં આવેલા કેટલાંક જંગમ અનુવાદકાર્ય પણ યાદ આવ્યાં : જયંતિ દલાલ – ‘યુદ્ધ અને શાંતિ’(War and Peace)ના ચાર દળદાર ખંડ, ત્રણ યુરોપિય મહાકાવ્યોના સાદ્યંત છાંદસ અનુવાદ : દુષ્યંત પંડ્યા – ‘સ્વર્ગમાંથી પતન’(Paradise Lost), જયંત પંડ્યા – ‘ઇલિયડ’(Iliad), રાજેન્દ્ર શાહ – ‘દિવ્ય આનંદ’(Divine Comedy), અશ્વિન ચંદારણા Dr. Zivago. 

અલબત્ત, મને વ્યક્તિગત રીતે સાહિત્યેતર વિષયો પરના, પ્રગતિશીલ વિચારનો ફેલાવો કરનાર જ્ઞાનવિજ્ઞાન ક્ષેત્રોના મહાન પુસ્તકોનો અનુવાદ (ભાષાંતર નિધિ પ્રકાશને કેટલાક અનુવાદ આપ્યા છે) મહત્ત્વનો લાગ્યો છે અને એ ગુજરાતીમાં વધુ થાય એ ખૂબ જરૂરી છે. તે હરોળનો અનુવાદ દિલીપભાઈ અને ઉર્વીશભાઈએ આપ્યો છે. 

* * * * *

અનુવાદની સહેજ ઝલક મેળવવા માટે કેટલાક પ્રકરણોનાં મથાળાં જોઈએ : Freedom and Parricide આઝાદી અને રાષ્ટ્રપિતાની હત્યા, A Valley Bloody and Beautiful રક્તરંજિત અને રળિયામણો ખીણપ્રદેશ, Home and the World ઘરેબાહિરે, 

Securing Kashmir કાશ્મીર અંકે કરવાની કશ્મકશ, Minding the Minorities લઘુમતિની સંભાળ, The Rise of Populism લોકરંજનીનો ચઢતો સૂરજ, This Son Also Rises દહાડા આવ્યા દીકરાના, A Multi-polar Polity બહુધ્રુવિય રાજકારણ, 

The Rise of the ‘BJP-Systems’ ‘ભા.જ.પ. પ્રણાલિ’નો ઉદય, The Republic’s Rocky Road ગણતંત્રનો ઉબડખાબડ માર્ગ. આ શીર્ષક ધરાવતાં પ્રકરણોમાંથી છેલ્લાં ત્રણ 2022ની અદ્યતન આવૃત્તિ(પ્રસ્તુત પુસ્તક તેનો અનુવાદ છે)માં ઉમેરાયેલાં પ્રકરણોમાં છે. એ પ્રકરણો 2008ના વર્ષની મારી પાસે જે પહેલી આવૃત્તિ છે તેમાં નથી. 

એ પુસ્તક મને મારા અઠંગ પુસ્તક સંગ્રાહક મિત્ર શ્રીરામ દેહાડરાયે મારા 2009ની સાલના જન્મદિવસે ભેટ આપ્યું હતું. તેમાં મને બહુ ગમેલાં જે બે પ્રકરણો 2022ની આવૃત્તિમાં નથી તે A People’s Entertainment; અને, ભારતીય લોકશાહી માટે આશા સાથે તેનું ગૌરવ કરતું Epilogue : Why India Survives, ખાસ તો એપિલોગનો છેલ્લો ફકરો. 

એટલે અનુવાદ જોવા બેસતાં, સહુથી પહેલાં એ જ ફકરો ખોળવા લાગ્યો, કારણ કે એનાથી આ નોંધનો ઉપાડ કરવાનું સપનું જોતો હતો !

ડૅમૉક્રસી માટે આશાસ્પદ ગુહાને પહેલી અવૃત્તિમાં ભારતીય લોકશાહી fifty fifty democracy એટલે કે અરધી સફળ અને અરધી નિષ્ફળ લોકશાહી લાગી. પછી નક્ષલવાદીઓના વિસ્તારમાં લાદવામાં આવેલ સાલવા જુડુમ સામેના વિરોધના વર્ષોમાં તેમણે  election only democracy એમ કહ્યું. અને 2022 બેસતે તેઓ  ઉપસંહારના પ્રકરણનું નામ a republic’s rocky road એમ આપે છે. 

તેમાં પણ પુસ્તકના છેલ્લા ફકરામાં ગુહા ભારતીય લોકશાહીને ‘માનવઇતિહાસમાં કદાચ સૌથી દુ:સાહસભર્યો અને સામાન્ય સમજથી વિપરિત એવો રાજકીય પ્રયોગ’ ગણે છે.

અંતે તેઓ લખે છે : ‘આ અસાધારણ પ્રયોગના વ્યાપવિસ્તારને ધ્યાનમાં રાખતાં, એક ઇતિહાસકાર તરીકે ભારતીય ગણતંત્રની સફરનું આલેખન કરવાનું શક્ય બન્યું તે વિશેષ આનંદની બાબત છે – ભલે નાગરિક તરીકે તેમાંથી પસાર થવું ઘણીવાર હતાશા કે ગભરામણ પ્રેરનારું રહ્યું હોય.’  

મને ગમતા હિસ્સામાંનો એક :

As a laboratory of social conflict the India of twentieth century is – for the historian – at least as interesting as the Europe of the nineteenth. In both, the conflicts were produced by the conjunction of two transformative processes of social change: industrialization and the making of the modern nation-states. In India, the scope of contention has been even greater, given the diversity of competing groups across religion, caste, class and language. Conflicts are also more visible in the subcontinent since, unlike nineteenth century Europe, contemporary India is a democracy based on adult suffrage, with a free press and a largely independent judiciary. At no other time and place in human history have social conflicts been so richly diverse, so vigorously articulated, so eloquently manifest in art and literature and addressed with such directness by the political system and the media. 

પુસ્તકમાં અનુવાદ :

સામાજિક સંઘર્ષોની પ્રયોગશાળા તરીકે વીસમી સદીનું ભારત, વિશેષ કરીને ઇતિહાસકારો માટે, ઓગણીસમી સદીના યુરોપ જેટલું જ રસપ્રદ છે. બંને સ્થળે બે મહત્ત્વનાં સામાજિક પરિવર્તનો – ઔદ્યોગિકરણ અને આધુનિક રાષ્ટ્રની રચના–ની યુતિને લીધે સંઘર્ષો ઊભા થયા હતા. ભારતમાં સંઘર્ષ થાય તેવા સંજોગો વધારે હતા, કેમ કે ધર્મ, જ્ઞાતિ, વર્ગ અને ભાષાનું વૈવિધ્ય વધારે હતું. ભારતમાં સંઘર્ષો તરત નજરે ચડતા હતા, કેમ ઓગણીસમી સદીના યુરોપથી વિપરિત ભારતમાં લોકશાહી આવી તે સાથે જ સાર્વત્રિક મતાધિકાર આપી દેવાયો, અખબારી સ્વાતંત્ર્ય હતું તેની સાથે મહદ્દ અંશે સ્વતંત્ર ન્યાયતંત્ર ઊભું થયું હતું. દુનિયાના ઇતિહાસમાં ક્યારે ય, કોઈ પણ સ્થળે આટલા વૈવિધ્યપૂર્ણ સંઘર્ષ, આટલી તીવ્રતાથી વ્યક્ત થયા ન હતા, કલા-સાહિત્યમાં આટલી ખૂબીપૂર્વક વ્યક્ત થયા ન હતા અને રાજકારણ તથા પ્રસાર માધ્યમોમાં સીધેસીધા છેડાયા ન હતા. (ખંડ 1, પાનું xxx)    

[કોલાજ સૌજન્ય : પરીક્ષિત]
19 મે 2025 
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઋણબદ્ધ

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|19 May 2025

પપ્પાને ગુજરી ગયાને એક વર્ષ થવા આવ્યું હતું. એમના શ્રાદ્ધની બધી તૈયારી થઈ ગઈ હતી. સુનિલની પત્ની દિશાએ પૂરી શ્રદ્ધાથી પંડિતજીએ આપેલી દરેક સૂચનાનો અમલ કર્યો હતો. સુનિલને જો કે, આ બધાં વિધિ-વિધાનમાં જરા ય રસ નહોતો પણ મા અને પત્નીની લાગણીને ખાતર કમને એમાં જોડાયો હતો. એક વખત તો એનાથી માને પુછાઈ ગયું હતું,

“મા, આપણા ઘરમાં નીલુનું શ્રાદ્ધ કેમ ક્યારે ય નથી કર્યું?”

આ સવાલનો જવાબ આપવો એ મા માટે મોટી મૂંઝવણ હતી. જેમતેમ કરતાં ગોઠવીને એ બોલી, “તારા પપ્પાને… એટલે કે, નીલુને ગયાને તો કેટલાં બધાં વર્ષો થઈ ગયાં. હવે …”

નાનો હતો ત્યારે સુનિલને ઘણું બધું નહોતું સમજાયું પણ હવે તો બધું સ્પષ્ટ હતું કે, પપ્પા માટે નીલુ વણજોઈતી હતી. આશ્રમમાંથી એના ગુજરી ગયાના સમાચાર આવ્યા ત્યારે મા ચોધાર આંસુએ રડેલી પણ પપ્પા બહુ ખુશ હતા. દીકરીના અવસાનનો શોક વ્યક્ત કરવા આવેલા એમના એક મિત્ર પાસે એ બોલી પડેલા, “એક જ્યોતિષીએ મને કહેલું કે, આ વખતના હોલિકા દહનમાં તમારી બધી મુશ્કેલીઓ ભસ્મ થઈ જશે ને ખરેખર એવું જ થયું.” પછી મા અને સુનિલ પર નજર પડતાં વાત ફેરવતાં બોલેલા, “જો ને, મારા ઉઘરાણીના પૈસા આવી ગયા.”

સાવ નાનો હતો તો ય સુનિલ સમજી શકતો હતો કે, પપ્પાને માનસિક વિકલાંગ દીકરી દીઠી ગમતી નહોતી. એમની ઑફિસમાંથી થોડા સાથીદારો મળવા આવેલા ને નીલુ પગ પછાડીને રડવા લાગી ને એના મોંમાંથી લાળ પડવા લાગી ત્યારે એમણે જોરથી ઘાંટો પાડીને માને કહેલું, “આને બહાર કેમ રાખી છે? અંદર લઈ જા.”

માને ભલે એમનું દીકરી સાથેનું વર્તન ગમતું નહીં પણ એણે કદી પોતાની નારાજગી ન બતાવી. એનું તો જાણે આખું જીવન પપ્પાની મહેરબાની પર જ અવલંબિત હોય એમ એ બધી વાતમાં હા જી હા કર્યા કરતી. પપ્પા ભલે માનતા કે, નીલુને કશું ભાન નથી એટલે એનામાં કોઈ પ્રકારની લાગણી નથી પણ એને ગમતું થાય ત્યારે એ જે રીતે હાથ-પગ હલાવવા લાગતી કે, દુ:ખી થાય ત્યારે ઉં ઉં કરીને ગળામાંથી રડવા જેવો અવાજ કાઢતી એના પરથી સુનિલને પાક્કી ખાતરી હતી કે, એ બધું જ અનુભવી શકે છે.

નાનપણનો એક પ્રસંગ તો સુનિલ જિંદગીભર નહીં ભૂલી શકે. રક્ષાબંધનને દિવસે ફોઈ આવેલાં. એમણે પર્સમાંથી કેડબરી કાઢીને સુનિલના હાથમાં મૂકી. પપ્પાને જ નીલુ માટે લાગણી નહોતી તેથી આવનારાંઓ માટે પણ જાણે નીલુનું અસ્તિત્વ જ નહોતું. કેડબરી ખરીદતી વખતે ફોઈને નીલુ યાદ નહીં આવી હોય? સુનિલનું મન ખાટું થઈ ગયેલું. એટલામાં તો નીલુએ રિસાઈને રડવા માંડેલું. ફોઈ ભોંઠાં પડીને નીલુને મનાવવા લાગેલાં. “સોરી, હું તને ભૂલી ગઈ, પણ ભાઈ કરતાં ય મોટ્ટી કેડબરી તારે માટે લઈ આવીશ હોં!”

સુનિલની કેડબરીમાંથી કટકો કરીને ફોઈ એને ખવડાવવા ગયાં તો નીલુએ મોં ફેરવી લીધેલું. ગમે તેટલું સમજાવવા છતાં એણે તે દિવસે ચોકલેટ ન ખાધી તે ન જ ખાધી. તો પછી બધાંએ શી રીતે માની લીધું કે, એ કંઈ સમજતી નથી?

એક દિવસ અચાનક પપ્પાના દોસ્ત ડેવિડ અંકલે આવીને પૂછેલું, “થઈ ગઈ બધી તૈયારી?” માએ ફક્ત ડોકું હલાવીને રડતી આંખે હા પાડેલી. ગાડીમાં નીલુની બેગ મૂકીને મમ્મી, પપ્પા અને અંકલ નીલુને લઈને કશે ચાલ્યાં ગયેલાં. પાછાં આવ્યાં ત્યારે સાથે નીલુ નહોતી.

“નીલુ ક્યાં ગઈ?” એવા સુનિલના સવાલના જવાબમાં મા દિવસો સુધી માત્ર રડતી જ રહી. પપ્પા ગુસ્સે થઈને કહેતા, “એમ વેવલાં નહીં થવાનું. બી પ્રેક્ટીકલ. ત્યાં એના જેવાં છોકરાંઓ સાથે એને મજા પડશે.”

સુનિલ વિચારતો કે, આમ તો તમે કહો છો કે, એનામાં કંઈ સમજ નથી તો પછી મજા કેવી રીતે પડશે? ધીમે સાદે થતી મમ્મી-પપ્પાની વાતો પરથી સુનિલને સમજાયું હતું કે, નીલુને અનાથ બાળકી પુરવાર કરવામાં ડેવિડ અંકલે મદદ કરેલી અને ખોટું બોલીને એને મધર ટેરેસાના અનાથ આશ્રમમાં મૂકી આવેલાં – ફરી કદી એને ન મળવાની શરતે.

પછી તો સુનિલના દિશા સાથે લગ્ન થયાં. દિશા મમ્મી-પપ્પાની દીકરીની જેમ કાળજી રાખતી, પણ સુનિલને કદી એવો ઉમળકો જાગ્યો નહીં. પપ્પાને પાર્કીંસંસ થયો ત્યારે દિશા કહેતી, થોડી વાર તો એમની પાસે બેસો! એમને સારું લાગશે, પણ સુનિલનું મન હંમેશાં બળવો પોકારતું- ‘એમણે કોઈ દિવસ મારી અબોલ બહેનને સારું લગાડ્યું? છતે મા-બાપે બિચારીએ અનાથ હોવાના સિક્કા સાથે જગતમાંથી વિદાય લીધી.’ જો કે, દિશાને એણે કદી પણ આ બધી ખબર નહોતી પડવા દીધી.

એ જાણતો હતો કે, માનું હૃદય તો હંમેશાં નીલુ માટે ઝૂરતું રહેલું, છતાં મૂંગા પશુ જેવી દીકરીની મમતા કરતાં એણે પતિના ગમા-અણગમાને મહત્ત્વ આપ્યું એ માટે એ માને પણ માફ નહોતો કરી શકતો. તો ય ભલે અનિચ્છાએ પણ આજે એ પિતૃતર્પણ કરી રહ્યો હતો. પૂજા વિધિ સમાપ્ત થઈ ગઈ હતી. પંડિતજી અંતમાં સંતાનની માતા-પિતા પ્રત્યેની ફરજ સમજાવી રહ્યા હતા. એમણે કહ્યું, “મા-બાપ દેવતા સમાન ગણાય છે. એમના આપણી ઉપર એટલા ઉપકારો હોય છે જેમાંથી કેટલા ય જન્મો સુધી આપણે ઋણમુક્ત થઈ નથી શકતા. હવે હું તમને સમજાવું કે, આપણાં જન્મદાતા પ્રત્યે આપણી શું શું ફરજ છે?”

આટલું કહીને એમણે સંતાનોની ફરજની યાદી રજૂ કરવા માંડી. સુનિલ નિર્વિકારપણે આંખો મીંચીને સાંભળતો હતો. એને થયું, શું કોઈ ધર્મગ્રંથમાં માતા-પિતાની ફરજો નહીં લખવામાં આવી હોય? શું દોષ હતો મારી બહેનનો જેને બધાંએ મળીને હડસેલી દીધી? અચાનક એની બંધ આંખો સામે નીલુ આવીને ઊભી રહી ગઈ. એનો પોતાની જાત સાથે સંવાદ ચાલુ થયો.

“મને માફ કરજે મારી બહેન, હું પણ ક્યાં તારે માટે કશું કરી શક્યો? ભગવાન તારા આત્માને શાંતિ બક્ષે.” એની આંખોમાંથી ટપ ટપ આંસું વહેવા લાગ્યાં અને દિશા એની પીઠ પસવારી રહી.

(સુમતિ સક્સેના લાલની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 માર્ચ 2025; પૃ. 24  

Loading

વાણી વિલાસ, કરશે ખલાસ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 May 2025

રવીન્દ્ર પારેખ

ઘણીવાર ઘણાંને બોલવાનું ભાન નથી રહેતું, તો આજુબાજુનાઓ ટોકતાં હોય છે, પણ રાજનેતાઓ  બકવાસ કરે છે, ત્યારે તેમને ટોકનારાઓનું કૈં ઉપજતું નથી. એમાં આ પક્ષ કે તે પક્ષ એવું નથી, કાગડા બધે જ કાળા છે. પહેલગામમાં 26 હિન્દુઓનો આતંકવાદીઓએ સર્વનાશ કર્યો, તેનો એક હેતુ દેશમાં હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય વકરાવવાનો હતો. તેની પ્રતિક્રિયા રૂપે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ નવ આતંકી થાણાંઓનો ભુક્કો બોલાવીને પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે ઘૂંટણીએ પાડ્યું ને તેની જગત આખાએ નોંધ લીધી. એ હુમલાનું નેતૃત્વ બે મહિલાઓએ સંભાળ્યું. એ મહિલાઓ હતી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ! એર સ્ટ્રાઈક પહેલાં એ નામો જાહેરમાં ન હતાં, પણ ભારતના આક્રમક મિજાજનો જગતને પરચો મળ્યો એ પછી તે ઠીક ઠીક ચર્ચામાં આવ્યાં. દેશ આખો આ બે મહિલા સેનાધિકારીઓની પ્રશંસામાં વ્યસ્ત હતો, ત્યારે મધ્ય પ્રદેશના ભા.જ.પ.ના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા વિષે વાહિયાત ટિપ્પણી કરી. ઇન્દોરનાં એક ગામમાં મંત્રીએ કહ્યું કે આતંકવાદીઓએ આપણા હિન્દુઓને માર્યા એટલે મોદીજીએ તેમની ઐસી તૈસી કરવા, તેમના જ સમુદાયની એક બહેનને મોકલી. હેતુ ગમે તે હોય પણ, મંત્રી વિજય શાહે સોફિયાને આતંકવાદીઓની બહેન કહીને ધરાર અપમાન કર્યું. દેખીતું છે કે આ ટિપ્પણીથી હોબાળો થાય ને થયો.

મંત્રી વિજય શાહને માથે ઘણાં માછલાં ધોવાયાં. મંત્રીને બોલતી વખતે ભાન ન રહ્યું, પણ પછી ભાન આવ્યું ત્યારે મોડું થઈ ગયું હતું. માફીબાફીથી પણ કામ ન થયું. ખુદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે તાબડતોબ FIR નોંધવાનો આદેશ આપતા કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 152 હેઠળ મંત્રી વિજય શાહ સામે ગુનો નોંધો. કર્નલ સોફિયા કુરેશીને આતંકીઓની બહેન કહીને તેમનું અપમાન કરવું ગુનાહિત કૃત્ય છે. હાઇકોર્ટે આદેશ આપ્યો છતાં ડબલ બેન્ચની એ ફરિયાદ તો રહી જ કે મંત્રી સામેની FIR નરી ઔપચારિકતા જ હતી. બને કે પોલીસ પણ મંત્રી વિજય શાહને બચાવવાની ફિરાકમાં હોય. બાકી, હતું તે મંત્રીએ રાજીનામું આપવાને બદલે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. એક તબક્કે તો સુપ્રીમે શાહની અરજી પર સુનાવણીની ના પાડતાં કહ્યું કે તમે હાઇકોર્ટમાં કેમ ન ગયા? સુપ્રીમમાં રાહતની વાત તો દૂર રહી, મંત્રીનો વરઘોડો તો નીકળ્યો જ ! નવા CJI બી.આર. ગવઇનો ગયા બુધવારે પહેલો જ દિવસ હતો ને વિજય શાહનો કેસ સામે આવ્યો, તો સુપ્રીમ કોર્ટે બરાબરનો ઊધડો લેતા કહ્યું કે મંત્રી થઈને તમે આવી ભાષા બોલી જ કઈ રીતે શકો? તમે જવાબદાર પદ પર રહીને કેવાં નિવેદનો આપો છો? દેખીતું છે કે વિપક્ષ પણ લાગ જ શોધતો હોય. કાઁગ્રેસની માંગ છે કે ભા.જ.પ., શાહને પાર્ટીમાંથી હાંકી કાઢે, પણ ગમ્મત એ છે કે પાર્ટી માત્ર ઠપકો આપીને રહી ગઈ છે.

એટલું છે કે પાંચ પાંચ વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા પછી પણ, વિજય શાહ, નવોદિત હોય તેમ લૂલીને લગામમાં રાખી શક્યા નથી. 2023માં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં પત્ની સાધના સિંહ પર સસ્તી ટિપ્પણી કરવા બદલ તેમણે રાજીનામું આપવું પડેલું. 2023માં ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન બાલાઘાટમાં શૂટિંગ માટે આવેલી, ત્યારે શાહે તેને રાત્રે મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં વિદ્યા બાલને ના પાડી, તો શાહે શૂટિંગ અટકાવી દીધેલું. આવી ભદ્દી ટિપ્પણી શાહે, અપરિણીત રહેવા સંદર્ભે રાહુલ ગાંધી માટે પણ કરેલી, પણ સમરથ કો નહીં દોષ ગુંસાઈ- એ ન્યાયે આજ સુધી તેમનો વાળ વાંકો થયો નથી, વધારામાં ભા.જ.પે. જ મંત્રી વિજય શાહને ચારેક મહિના પછી ફરી મંત્રી બનાવી દીધેલાં. 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાનું પણ તેઓ ચૂક્યા નથી.

એ ખરું કે વિજય શાહની કોર્ટ મામલે મુશ્કેલીઓ વધી રહી છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટ તરફથી અધિવક્તા જયા ઠાકુરે સુપ્રીમમાં કેવિએટ દાખલ કરીને અનુરોધ કર્યો છે કે તેમનો પક્ષ સાંભળ્યા વગર નિર્ણય ન લેવાય. એનું આશ્ચર્ય જ છે કે આટલું થયું હોય, હાઇકોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હોય કે સુપ્રીમે તેમને પાણીથી પાતળા કર્યા હોય, કાઁગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢવાનું કહેતી હોય, પણ ભા.જ.પ.ના વરિષ્ઠો એટલા ઠાવકા છે કે જરા તરા ઠપકો આપીને ફરજ બજાવી લે છે. એમ લાગે છે કે વિજય શાહનું રાજકીય ભવિષ્ય સુપ્રીમના નિર્ણય પર અવલંબિત છે. એટલું છે કે ભા.જ.પ.ની કોઇ ટીકા કરે તો ભંવા ચડી જાય છે, પણ ભા.જ.પ. કોઇની ટીકા કરે તો રૂંવાડું ય ફરકતું નથી.

ભા.જ.પ.ના નેતા તો ઠીક, પણ રાજકોટના ચેતન સુરેજા જેવા કોર્પોરેટર પણ એર સ્ટ્રાઈકને લાઇટલી લેતા ગમ્મત કરે છે કે 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે. ભારત-પાકિસ્તાન વચ્ચેની તનાવ ભરી સ્થિતિમાં આવી મજાક પણ થાય છે ! યુદ્ધવિરામ થતાં આરપારની લડાઈ જોવાની ધારણા હતી, એવા લોકોને સંભળાવાયું કે આખું યુદ્ધ એટલે ન થયું, કારણ પ્રજાએ 240 સીટ જ આપી. 400 આપી હોત, તો પૂરું યુદ્ધ જોવા મળતે. યુદ્ધની લંબાઈ-પહોળાઈ ભા.જ.પ.ની સીટ પર આધારિત છે, એવી માનસિકતા ધરાવતા કોર્પોરેટર પક્ષનું અહિત જ કરી રહ્યા છે, પણ તેનો ય કોઈ ફેર ભા.જ.પ.ને પડતો નથી, કારણ એ કોર્પોરેટરને તો સાદા ઠપકાનો લાભ પણ પક્ષે આપ્યો નથી.

આનું ઠેકાણું પડ્યું નથી, ત્યાં ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રાજગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અંગે કહ્યું કે મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા પર એટલે ટિપ્પણી કરી કે તે મુસ્લિમ છે, પણ વ્યોમિકા સિંહ માટે કૈં ન કહ્યું, કારણ કે તે રાજપૂત છે. એર માર્શલ ભારતીની જાતિની ખબર ન હતી, તેને યાદવ કહી. આ જાતિ પુરાણ પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીએ કહ્યું કે સેનાનો પ્રત્યેક સૈનિક રાષ્ટ્રધર્મ નિભાવે છે ને તે કોઈ જાતિ કે ધર્મનો પ્રતિનિધિ નથી. આ સારી વાત છે, પણ જે સૈનિક માટે છે, તે નાગરિક માટે પણ હોય ને ! યોગી પોતે પણ બુલડોઝર ન્યાય એ રીતે જ કરતાં હશે એમ ધારવાનું ગમે. સેનાનો ધર્મ દેશની સુરક્ષાનો જ હોય, તેને જાતિ, ધર્મથી મૂલવવાનું ઠીક નથી ને સેના માટે જે સાચું છે, તે દેશના દરેક નાગરિક માટે કેમ ન હોય? પણ કમનસીબે એમ નથી. આ જ રાજકારણીઓ સગવડ પ્રમાણે ધર્મ-જાતિનો ઉપયોગ કરતા રહ્યા છે. ભા.જ.પ.ના એક મંત્રી વિજય શાહે એક મહિલા સેનાધિકારીની મુસ્લિમ હોવાથી અભદ્ર ટિપ્પણી કરી, તો રામગોપાલ યાદવે બીજી મહિલા સેનાધિકારીની, મંત્રીને જાતિ ખબર ન હતી એટલે ચૂપ રહ્યા, પણ એમ કહીને ય તેમણે મહિમા તો જાતિનો જ કર્યો.

આ ઓછું હોય તેમ મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી જગદીશ દેવડાએ કહ્યું કે યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમે આભાર માનવા માંગીએ છીએ કે આખો દેશ, દેશની સેના, દેશના સૈનિકો તેમનાં ચરણોમાં નતમસ્તક છે. તેમણે જે જવાબ (એર સ્ટ્રાઇકનો) આપ્યો છે, તેની થાય એટલી પ્રશંસા ઓછી છે. એમ લાગે છે કે એક એર સ્ટ્રાઈક (કે અન્ય ઘટનાઓ) કેટલા નેતાઓ માટે લવારા કરવાનું નિમિત્ત બની રહે છે. આમાં તો તેમની વૈચારિક ક્ષમતા કેવી દયાજનક છે તેનો જ પડઘો પડે છે. આ બધું આટલી હળવાશથી કે રમતમાં લેવા જેવું છે ખરું? અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અનિવાર્ય છે, પણ લવારાનું નથી જ ! વળી આવા લવારા કોઈ નાગરિક કરે તો તે ક્ષમ્ય છે? જો, નહીં, તો નેતાઓ માટે પણ તે અક્ષમ્ય કેમ ન હોય?

દેખીતું છે કે કાઁગ્રેસને આવી બાબતો વિરોધનું કારણ પૂરું પાડે. કાઁગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીએ તો કહ્યું પણ ખરું કે ભા.જ.પ.ના નેતાઓ આવી ટિપ્પણી દ્વારા સૈન્યનું અપમાન કરી રહ્યા છે. કાઁગ્રેસ રાજીનામું માંગે કે ભા.જ.પી. નેતાઓને હાંકી કાઢવાનું કહે તેથી ભા.જ.પ.ને કે તેનાં મોટાં માથાંને બહુ ફરક પડતો નથી, બહુ થાય તો તે જવાબદારને ઠપકો આપી છૂટે છે. ઠપકો પણ થાબડવા જેવો જ હોય છે. વળી જે વાણી વિલાસ કરે છે તે એટલા ‘સ્માર્ટ’ છે કે નામુકર જઈ શકે. ભા.જ.પ.ના નેતાઓ બોલ્યા પછી આવું કહ્યું જ નથી કે કહ્યું તેને ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે કે કાવતરું કરીને ખોટો વિવાદ વધારાઈ રહ્યો છે – જેવો બચાવ કરતા રહે છે ને એનો તેમને સંકોચ ભાગ્યે જ હોય છે.

એક બાબત બહુ સ્પષ્ટ છે કે દેશહિતમાં ન હોય એવો વાણી વિલાસ નાગરિક માટે અક્ષમ્ય હોય તો કોઈ પણ મંત્રી કે નેતા માટે પણ તે અક્ષમ્ય જ હોવો ઘટે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 મે 2025

Loading

...102030...147148149150...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved