Opinion Magazine
Number of visits: 9569859
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્ય-જ્યોત—10

સુમન શાહ|Opinion - Opinion|2 June 2022

જ્યોત ૧૦ : કાવ્યપ્રકાર :

કાવ્યના સર્જકો ભાવકો વિવેચકો અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓએ અને આપણે સૌએ ૩ વસ્તુ બરાબર સમજી રાખવી જોઈશે : કાવ્યપ્રકાર. કાવ્યમાધ્યમ. કાવ્યબાની.

આ જ્યોતમાં, વાત કરું કાવ્યપ્રકારની :

કોઈ કાવ્યપ્રકાર પૂર્વકાલીન સર્જકો વડે પ્રયોજાયો હોય અને નવી પેઢી લગી પ્હૉંચ્યો હોય એ ઘટના એ કાવ્યપ્રકારની પ્રસિદ્ધિ બતાવે છે – દાખલા તરીકે, સૉનેટ; ઈટાલિમાં જન્મ્યું અને ફરતું ફરતું ગુજરાતી સાહિત્યક્ષેત્રે આવી બેઠું અને આપણા કવિને હાથ ચડ્યું.

હું કહું કે કોઈપણ પ્રકાર પૂર્વકાલીનો તરફથી મળેલો સાહિત્યપરક વારસો છે. એમાં એ વ્યક્તિઓની સર્જકતા ઠરી હોય છે. સર્જનનો એ નીવડેલો તરીકો હોય છે.

પ્રકાર સ્થિર થાય એટલે એનું સ્વરૂપ બંધાય, એની પરમ્પરા ઊભી થાય. સ્વરૂપ કેટલાક નિયમોથી બંધાયું હોય. બંધારણ અનુસારના નિયમોને દરેક સર્જક વશ રહેતો હોય. રાગ બાગેશ્રી ગાવા ઇચ્છે એ ગાયક બાગેશ્રીના બંધારણને વળગી રહે તેમ સૉનેટ લખવા માગનાર ૧૪ પંક્તિ આદિ નિયમોનું પાલન કરે. ટૂંકમાં, કોઈપણ કાવ્યપ્રકારમાં કે સાહિત્યપ્રકારમાં લખવા માગનારે બંધારણને ચુસ્તપણે અપનાવવું પડે. આ એક પાયાની શરત છે.

પણ એ શરત એટલે? શું એ નિયમોથી બંધાયેલા-જકડાયેલા રહેવું? શું એ પરમ્પરાને આંખો મીંચીને સ્વીકારી લેવી? શું એ વારસાને વાસણ, ભાજન કે બીબું સમજીને ચાલવું? ના. જો એવી જડતા-સજ્જડતા આચરવામાં આવે તો બંધારણ મુજબનું બધું રૂડુંરૂપાળું દેખાય ખરું, પણ એ કોઈ મોટી સિદ્ધિ ન પણ હોય.

કેમ કે પરમ્પરા નબળી પડી ગઈ હોય અને કાવ્યપ્રકારો વપરાઈ-ઘસાઈને મન્દપ્રાણ થઈ ગયા હોય. જરા વિચારો કે શું સૉનેટની બધી જ શક્યતાઓ ખરચાઈ ચૂકી નથી? કેટકેટલા કવિઓએ એને કેટકેટલી વાર ખેડ્યું છે ! એ કેટલું લપટું પડી ગયું છે, તેનો કોઈ હિસાબ નથી.

વાત એમ છે કે મન્દપ્રાણ થઈ ગયેલા પ્રકાર પાસેથી સર્જકો ધાર્યું કામ લઈ શકતા નથી. જેની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય એ તલવારથી લડી નથી શકાતું, દાવપેચ તો કરી શકાતા જ નથી. એ તલવારને સજાવવી પડે છે, એમ એ સાહિત્યપ્રકારને કે કાવ્યપ્રકારને પ્રયોગોથી સજીવન કરવો પડે છે.

એવો એક પ્રયોગ તે પરમ્પરાનો વિદ્રોહ. રૂઢ નિયમોનો અસ્વીકાર. નાટકના સંદર્ભે ઍરિસ્ટોટલે વર્ણવેલા અને નીયોક્લાસિઝમ લગી વિસ્તરેલા, સ્થળ કાળ અને ક્રિયાની યુનિટીઝના નિયમો શેક્સપીયરે ફગાવી દીધા છે. જોકે, “ધ ટૅમ્પેસ્ટ”-માં સ્થળ કાળ અને ક્રિયા સાચવ્યાં છે, પણ એ તો અપવાદ.

બીજો પ્રયોગ છે, બંધારણને ફગાવી દેવાનું સાહસ. જેમ કે, એવા સાહસને પરિણામે, ગ્રીક અને લૅટિનમાં ખૂબ જ વપરાઈ ચૂકેલા પૅન્ટામીટરનું સ્થાન લીધું, બ્લૅન્ક વર્સે અને તે પછી ફ્રી વર્સે. વૉલ્ટ વ્હિટમૅનનું ‘સૉન્ગ ઑફ માયસૅલ્ફ’ કે ટી.ઍસ. એલિયટનું ‘સૉન્ગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રોક’ ફ્રી પ્લેનાં અચ્છાં નિદર્શનો ગણાય છે. આપણે ત્યાં સંસ્કૃત અક્ષરમેળમાંથી આપણે માત્રામેળમાં ગયા ને તે પછી અછાન્દસમાં; અધ્યેતાઓને એનાં દૃષ્ટાન્તો યાદ કરાવવાની જરૂર નથી.

છેલ્લે તો, સર્જકે સમજી રાખવું કે કાવ્યપ્રકાર કે કોઇ પણ સાહિત્યપ્રકાર નિયમોથી આબદ્ધ એક ‘ગેમ’ છે, નિયમોમાં રહીને ‘ગેમ’ ચલાવવી તે સારી વાત છે, પરન્તુ એ જ નિયમોમાં રહીને ‘પ્લે’ કરવો તે વધારે સારી વાત છે. સામાન્ય સર્જકો ‘ગેમ’ કરી જાણે છે પણ અ-સામાન્ય સર્જકો ‘પ્લે’ કરી બતાવે છે. ‘ગેમ’-માં એના નિયમો સચવાયાની મજા લેવાય છે, જેમ કે, ધ્યાનથી રમાતી ક્રિકેટમાં; પણ ‘પ્લે' તો ત્યાં નિયમોસહિતની લીલા હોય છે, એમાં, ચૉગ્ગા-છગ્ગાની રમઝટ બોલતી હોય અથવા તો ક્લીન બોલ્ડ્સનો આનન્દ જ આનન્દ.

કાવ્યપ્રકારના બારામાં મહત્ત્વનો મુદ્દો સર્જકની વૈયક્તિક સર્જકતા છે, તેમ છતાં, સર્જક પોતાની સર્જકતાનો યોગ-વિનિયોગ કેવોક કરે છે એ મુદ્દો વધારે મહત્ત્વનો છે. એ મુદ્દા વિશે આવા પ્રશ્નો કરીને વિચારવું જોઈશે :

૧ : કોઈ કવિને છંદોબદ્ધ કાવ્ય રચવાની ફાવટ આવી ગઈ હોય, બીજો એકેય કવિ છન્દમાં લખતો જ ન હોય, તો પણ શું એણે મન્દાક્રાન્તા વગેરેના લઘુ-ગુરુમાં બધું બેસાડ્યા કરવું કેટલું હિતાવહ છે?

૨ : બધા કવિઓ અછાન્દસ કરે છે માટે કશી ગતાગમ ન હોય તો પણ કવિયશપ્રાર્થી અછાન્દસમાં ઝંપલાવે તો શું થાય?

૩ : કોઇ અછાન્દસકાર મહાન ગણાઈ ગયો હોય, એને પણ એથી જરા ય જુદું ન લાગતું હોય, અને એ જુએ કે ગુજરાતી કવિતામાં ઋતુ અનુ-આધુનિકતાની બેઠી છે, તો લાવ ને, બે-ચાર લાંબીટૂંકી લીટીઓમાં વિચારો લખી પાડું, તો શું એની એ તકવાદી ચેષ્ટાને એની સર્જકતાનો વિકાસ ગણવી જોઈએ?

૪ : કોઇ નવોદિતને ગેરસમજ થઈ હોય કે ગઝલમાં તો ઝાઝો સમય નથી આપવો પડતો ને વાહવાહી ઝટ મળે છે, અને એ રદીફ-કાફિયાના મેળ બેસાડતો થઈ જાય, તો શું એને તુરન્ત ગઝલકાર ગણી લેવાનો? :

યુગસ્પન્દન – ટાઇમસ્પિરિટ – ગદ્યાળુ અનુભવાતું હોય તે છતાં અલંકાર પ્રાસ વગેરેની કાવ્યાત્મક કસરતો કવિઓ બસ કર્યા જ કરે ને સર્જનાત્મક પરિવર્તન દાખવે જ નહીં તે પ્રવૃત્તિને કેટલી સમીચીન ગણી શકાય?

આ પ્રશ્નોના સરળ ઉત્તર બે છે : ૧ : કવિઓ નિરંકુશ હોય છે, આપણે કોણ એને પૂછવાવાળા? જેને જેમાં ફાવે એમાં સરજે : ર : કાવ્યપ્રકારની પસંદગી સ્વયંભૂ છે. સર્જનસંકલ્પ અનુસાર તે આપોઆપ નક્કી થઈ જાય છે – શોકમાંથી શ્લોક પ્રસવે છે.

બન્ને ઉત્તર સાચા છે, તેમ છતાં, ઉપર્યુક્ત પ્રશ્નો પૂછવાલાયક નથી એમ નથી, કેમ કે એથી, છેલ્લે તો કયા કવિની સર્જકતા કેટલી મૌલિક છે તેનાં માપ મળી આવે છે. સમજાઇ જાય છે કે દેખાદેખીથી લખનારો કયો છે, કયો અનુકરણિયો છે, કયો ફૅશનિયો છે, કયો તકસાધુ છે, કયો અ-કવિ છે, તો વળી, કયો સ્વકીય છે, કયો સ્વાયત્ત છે.

વિચારો કે આવા પ્રશ્નો કરીએ જ નહીં તો શું થાય? બધા જ સુ-કવિ કે કવિ લાગે, કોઇ કોઇ તો, મહાન !

= = =

(June 2, 2022 : U.S.A.)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

‘સ્ક્રૅપયાર્ડ’ – Scrapyardમાં બાળકોનાં બે નાટકો

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 June 2022

રવિવાર, 29 મેએ રાત્રે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલાં, બિનવ્યવસાયિક નાટ્યપ્રવૃત્તિના કેન્દ્ર એવા ખુલ્લાં રંગમંચ  ‘સ્ક્રૅપયાર્ડ’ –  Scrapyardમાં બે બાળનાટકો જોયાં. એકનું નામ હતું ‘અપના ટાઇમ લાયેગા’ અને બીજાનું ‘યમલોક’.

*****

સત્તરેક બાળકોએ ભજવેલું પહેલું નાટક ‘અપના ટાઇમ લાયેગા’ સ્ક્રૅપયાર્ડના નેજા હેઠળ ઊગતા રંગકર્મી ભવ્ય દોશી અને ‘સ્ક્રૅપયાર્ડ’ના સ્થાપક-સંચાલક કબીર ઠાકોરે કિશોર-કિશોરીઓ સાથે કરેલી બે અઠવાડિયાની નાટ્યશિબિરમાંથી તૈયાર થયું હતું.

દસેક કલાકારોનું બીજું નાટક ‘યમલોક’ પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક પરા વસ્ત્રાલની ‘ધ નાચ સ્ટૂડિયો’ નામના નૃત્યવર્ગના બાળકોએ કર્યું હતું.

*****

બંને નાટકો બાળકોના થનગનાટથી ઊભરાતાં હતાં, એક પણ નીરસ પળ ન હતી, લગભગ દરેક કલાકારને તેની ક્ષમતા મુજબનું કામ મળ્યું હતું. ‘ટાઇમ’ નાટકની સતત બદલાતી દૃશ્યરચનાને જાળવી રાખવામાં બાળકોએ ભાગ્યે જ ગફલત કરી હતી. સંવાદો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં હતા. માઇક ન હતા અને બાળકોએ અવાજ પહોંચાડવા જહેમત ઊઠાવી હતી. જીવંત અને રેકૉર્ડેડ બંને પ્રકારનું સંગીત હતું, ગ્રુપ ડાન્સ હતો, સૂત્રધાર હતો, ચમચમાટ લાઇટો હતી. બાળકોને બિલકુલ માફક આવે તેવાં સન્નિવેશ અને મંચસજ્જા હતાં.

*****

‘સ્ક્રૅપયાર્ડ’ના ફેઇસ બુક પેઇજ પર કબીરભાઈએ આ નાટકના પોસ્ટરમાં લખ્યું છે : ‘બાળકો કહે એ વાર્તામાંથી નાટકનો આઈડિયા મળે …. એક બાળક પોસ્ટર બનાવે …. બધા ભેગા થઈ ને નાટક માટે જરૂરી પ્રોપર્ટી બનાવે …’ આ નાટકની શિબિરની પ્રોસેસ હતી. તેમાંથી સારા દહાડા-ખરાબ દહાડા, હાર-જીત, આશા-નિરાશા જેવા વિષય પરનું આ રમતિયાળ નાટક થયું.

તેના માટેની શિબિર બળબળતા ઉનાળાના સવારના ભાગમાં ત્રણ કલાક માટે કૂલર અને ઠંડા પાણીની સગવડ સાથે ‘સ્ક્રૅપયાર્ડ’ના પરિસરમાં આઠથી પંદર વર્ષની ઉંમરના બાળકો સાથે હતી.

મહામારીથી લગભગ બધે જ આવેલી નિષ્ક્રિયતાની અસર હેઠળના સાધનસંપન્ન પરિવારનાં બાળકો સાથે કરેલી આ શિબિરના કબીરભાઈના અનુભવો પણ રસપ્રદ હતા. નાટકમાં મયંક ઓઝા અને પરેશ વ્યાસનાં ગીતોને નિસર્ગ ત્રિવેદીએ સંગીત આપ્યું હતું.

*****

‘યમલોક’ નાટક ગુજરાત કૉલેજમાંથી નાટ્યવિદ્યાની પદવી ધરાવનાર જયેશ કોષ્ટીએ દિગ્દર્શીત કર્યું હતું. નાટકના લેખનમાં તેમની સાથે જિનય પટેલ હતા. નાટક વસ્ત્રાલની સંસ્થાના પરિસરમાં તૈયાર થયું હતું. પણ તેના અનેક ગ્રાન્ડ રિહર્સલ બાળકોએ ભર ઉનાળામાં ખૂબ મહેનતથી ‘સ્ક્રૅપયાર્ડ’માં કર્યાં હતાં. નાટકમાં યમલોકમાં પૃથ્વી પરના નેતા અને યમરાજ વચ્ચે થયેલી ચૂંટણીની વાત હતી. યમરાજ અને ચિત્રગુપ્ત ઉપરાંત જાતજાતની ઇચ્છા-એષણાઓ ધરાવતાં દુન્યવી પાત્રો હતા. આ નાટકમાં બાળકોના વ્યક્તિગત અભિનય માટે ઘણી તક  હતી જેનો કલાકરોએ ઠીક લાભ  લીધો હતો.

અલબત્ત, બંને નાટકોમાં વત્તાઓછા પ્રમાણમાં સ્ત્રી-પુરુષ ભૂમિકા (gender), જીવનશૈલી (life style) અને સમાજ (society) જેવી બાબતોનો સૂક્ષ્મ ખ્યાલ તેમ જ એકંદર સુઘડતા અપેક્ષિત હતાં.

અલબત્ત, આ કહેવું ખૂબ સહેલું છે અને કરવું ખૂબ અઘરું છે. કબીર – નેહા અને તેમની આખી ટીમ  અમદાવાદ જેવા શહેરમાં નાટક કરવાનું આ અઘરું કામ કરતાં રહે છે.

01 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

દિલ્હીમાં આગની ઘટના : ‘ડોલ ભરીને વળતર’ નહીં ‘કાયદા રૂપી સેફ્ટી’ જરૂરી

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 June 2022

દિલ્હીમાં લાગેલી આગમાં ૨૭ કામદારો બળી મર્યા એમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી, જેને અસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે. એમાં કામદારોમાં રહેલી અસલામતી બધી રીતે પ્રગટ થાય છે. મકાન ધારાધોરણ પ્રમાણે બનાવ્યું ન હતું, એમાં આગ સામે જે સલામતી જોઈએ, તે માટેની સગવડો નહતી. કામદારોને, ખાસ કરીને સ્ત્રી-કામદારોને મહિને ૭,૫૦૦નું વેતન ચૂકવવામાં આવતું હતું. ૨૧ વર્ષની એ છોકરી કુટુંબનો આધાર હતી. કુટુંબમાં મા-બાપ ઉપરાંત, છ બાળકો હતાં. એ બધાંનો આધાર આ છોકરીના પગાર ઉપર હતો. કારણ કે પિતા છેલ્લા દસકાથી કંઈ કામ કરતો નહોતો. છોકરાં બધાં ભૂખ્યા રહેતાં હતાં, એમને પૂરતો ખોરાક મળતો નહોતો.

આ વર્ણન એટલા માટે કર્યું છે કે અસંગઠિત ક્ષેત્રમાં કેવી સ્થિતિ પ્રવર્તે છે, તેનો ખ્યાલ આપણને આવે. આ ક્ષેત્રમાં કામદારોને સ્પર્શતા કોઈ કાયદાનો અમલ થતો નથી. કામના કલાકો નિશ્ચિત હોતા નથી. કામદારોને વેતન ઘણું ઓછું આપવામાં આવે છે. એમાં પણ સ્ત્રી કામદારોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે. એમને એવાં કામો સોંપવામાં આવે છે જેમાં કુશળતાની જરૂર ના હોય. એમ માની લેવામાં આવે છે કે સ્ત્રી-કામદારો પૂરક આવક માટે જ કામ કરતાં હોય છે. એમનું શોષણ કરવામાં આવે છે. દિલ્હી જેવા શહેરમાં રૂપિયા ૭,૫૦૦નો પગાર હોય એમાં કુટુંબ સારી રીતે ના જ જીવી શકે એ સમજી શકાય એવી વાત છે. પણ દિલ્હીની બહારથી આવેલા કામદારોને રોજગારીની ગરજ હોય છે. એનો લાભ કારખાનાના માલિકો લે છે.

ઘણાં વર્ષો પહેલાં સ્વીડિશ અર્થશાસ્ત્રી – Gunnar Myrdalએ એક પુસ્તક ‘એશિયન ડ્રામા’ એન ઈન્કવાયરી ઈન ટુ ધ પોવર્ટી ઑફ નાોમ્સ’ નામે લખ્યું હતું, એમાં મુખ્યત્વે ભારતના વિકાસની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી. એમાં એમણે ભારતના રાજ્યને ‘Soft State’ તરીકે વર્ણવ્યું હતું તેનો અર્થ એ થતો હતો કે ભારતમાં કાયદાના અમલની બાબતમાં શિથિલતા પ્રવર્તતે છે. એને કારણે બાંધકામના નિયમોનું પાલન થતું નથી; ફૅક્ટરી કરવા માટે જે મકાન જોઈએ એનો આગ્રહ રાખવામાં આવતો નથી. દિલ્હીમાં જે ફૅક્ટરીમાં આગ લાગી તેમાં એક જ સીડી હતી, એને કારણે કામદારો બહાર જઈ શક્યા નહીં આવા મકાનમાં આગની સામે સલામતી માટે બે સીડીઓ હોવી જોઈએ. આનો અર્થ એ થાય કે ફૅક્ટરી માટે અનુકૂળ મકાન ન હતું, છતાં ય એમાં ફૅક્ટરી કરવામાં આવી હતી અને તે ચલાવી લેવામાં આવ્યું હતું. ૨૭ કામદારોનાં અવસાન પછી બે ભાગીદારોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાને માર્યા ગયેલા કામદારો માટે રૂપિયા દસ લાખના વળતરની જાહેરાત કરી છે, પણ આવી ઘટનાઓ ઓછી બને એ દિશામાં વિચાર્યું નથી. દેશમાં ૯૦ ટકાથી અધિક કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. એટલે કે કામદારોની મોટી બહુમતીનો પ્રશ્ન છે. એના પ્રત્યે દુર્લક્ષ કરીને આપણે કામદારોનું કલ્યાણ ના કરી શકીએ. આવી ઘટનાઓ બને, ત્યારે સરકાર વળતર આપીને લોકલાગણીને સંતોષે છે. પણ વહીવટ સુધારીને કાયદાના અમલનો આગ્રહ રાખતી નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 05

Loading

...102030...1,4651,4661,4671,468...1,4801,4901,500...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved