
સાહિત્યત્વ – સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016); સંપાદક : અદમ ટંકારવી – પંચમ શુક્લ; સંવર્ધક : કેતન રુપેરા; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી – યુનાઇટેડ કિંગ્ડમ; પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022; પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”; પૃ. 432 (30 + 402); રૂ. 675 • £ 8 • $ 10
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્કા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.”
આના અનુસંધાને, આ પરિષદે ઠરાવેલું કે સાહિત્ય ક્ષેત્રે ચુનંદા નૉબેલ પારિતોષિક વિજેતાઓનાં પ્રવચનોના ગુજરાતી અનુવાદોનો એક સંચય તૈયાર કરવો; આ કામનું સંપાદન અદમ ટંકારવી અને પંચમ શુક્લને સોંપવું; તેમ જ અકાદમીના ચાર-સાડા ચાર દાયકાના પડાવે આ સંચયને સાંપ્રત અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીના ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયાસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદર રૂપે પ્રગટ કરવો.
આ પુસ્તક માટે સંપાદકોએ સહસ્રાબ્દીના સંધિકાળની આસપાસના વર્ષો(૧૯૯૧થી ર૦૧૬)ની પસંદગી કરી હતી. નૉબેલ પ્રવચનોના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ માટે યોગ્ય અનુવાદકોની પસંદગી અનૌપચારિક રીતે સંપાદકો અને અકાદમીના સંપર્કો દ્વારા સર્વસમાવેશક અભિગમને અનુસરીને કરવામાં આવી હતી. અલબત્ત, વૈશ્વિક સાહિત્યથી પરિચિત હોય; સંપાદકો અને અકાદમી સાથે નિર્વ્યાજ સ્નેહના સેતુથી જોડાઈને કામ કરી શકે એવી દેશ-પરદેશની (બ્રિટન, નૉર્થ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારત) વ્યક્તિઓને નિમંત્રણ મોકલવામાં આવ્યા હતા. મોટાભાગના સ્વીકૃત નિમંત્રણો સમયાંતરે અનુવાદ મેળવવામાં સફળ થયાં હતાં. સાથોસાથ કેટલાક અનુવાદક મિત્રોએ એકથી વધુ અનુવાદો કરી આપી, ન મેળવી શકાયેલા અનુવાદોની ખોટ પડવા દીધી ન હતી. ર૧ અનુવાદકો પાસેથી મળેલા ર૬ અનુવાદોમાં ભાષાની વિવિધ લઢણો, વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરિવેશ અને ડાયાસ્પોરિક અનુભવોની ઝાંય ઝીલતું આ પુસ્તક એટલે અમારી આ દરિયાપારની ગુજરાતી સંસ્થાની આગવી મથામણનો એક અનોખો પ્રયત્ન.
આ બધા અનુવાદો The Nobel Prizeની સત્તાવાર વેબસાઈટ nobelprize.org પરથી વક્તવ્યો ઉતારીને કરવામાં આવ્યા છે. જ્યાં ખપ પડ્યો ત્યાં છબીઓ પણ મોટે ભાગે એમાંથી જ વાપરવામાં આવી છે. એ રીતે વર્તમાન અને આવનારી પેઢી માટે આ ઉજ્જવળ અને ઉમદા ખજાનો ખુલ્લો મૂકનાર નૉબેલ ફાઉન્ડેશન માટે સાભાર સૌજન્યની લાગણી અને ફરજ બની રહે છે.
આ પુસ્તકના પ્રકાશનની યોજનાને, આરંભથી અંત સુધી નાણાકીય અને આયોજનની તમામ ગતિવિધિઓમાં, ગુજરાતી સાહિત્ય અકાદમીના અધિકારીગણ અને કાર્યવાહી સમિતિ દ્વારા સાંપડેલા સંપૂર્ણ પીઠબળને સહર્ષ વધાવું છું. અક્ષરે અક્ષરે પાનાંઓ પ્રગટાવી, પ્રકાશન પ્રકલ્પને સાકાર કરી આપવા માટે તમામે તમામ અનુવાદકોનો અંતરમનથી આભાર માનું છું. અકાદમી વતી સંપાદકોના સમય, શક્તિ, ધીરજ અને અનુવાદકો સાથેના સુચારુ પત્રવ્યવહારની કદર કરું છું. ‘Enhancer Only’ના અધિપતિ કેતન રુપેરાએ સાબરમતીના તીરેથી આ પુસ્તકને આખરી ઓપ આપ્યો છે. ઉપરાંત, સજાવટ, મુદ્રણ અને વિતરણ સહિતની તમામ જવાબદારી સંભાળી સંસ્થા અને સંપાદકોને જે ગોવર્ધન-ટેકો કરી આપ્યો છે તેની ઓશિંગણ ભાવે નોંધ લઉં છું. આખરે, આ પ્રકલ્પના દરેક ચરણે જેમણે સતત માર્ગદર્શન અને હૂંફ આપી છે એ અકાદમીના પ્રમુખ અને ગુજરાતી ડાયાસ્પોરાની દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણીને સ્નેહવંદન કરી આ પુસ્તક સંપાદકો અને સંસ્થા વતી એમને અર્પણ કરતાં ગૌરવ અનુભવું છું.
— પંચમ શુક્લ
મહામંત્રી, ગુજરાતી સાહિત્ય અકાદમી (યુનાઇટેડ કિંગ્ડમ)
હેરો, ર૮ ડિસેમ્બર, ર૦ર૧
![]()



૧૯૦૧થી ૧૯૧રના ગાળામાં આદર્શ એટલે ‘ઉદ્દાત્ત અને અણીશુદ્ધ આદર્શવાદ’ એવી સમજ રહી – એવો સનાતની આદર્શવાદ જેમાં દેવળ, રાજ્ય અને કુટુંબની પવિત્રતાનો સ્વીકાર હોય. પ્રથમ વિશ્વયુદ્ધના આરંભે આ દૃષ્ટિબિંદુ બદલાયું અને ‘સાહિત્યિક તાટસ્થ્યની નીતિ’ અપનાવાઈ. યુદ્ધખોર મહાસત્તાઓને કોરે મૂકી નાનાં રાષ્ટ્રો તરફ ધ્યાન ગયું. ૧૯ર૦થી ત્રીજો ગાળો શરૂ થયો જેને ‘ઉત્કૃષ્ટ શૈલી’નો ગાળો કહી શકાય. આના પાયામાં હતાં પ્રશિષ્ટનાં લક્ષણો. પછીથી આ અર્થઘટનનો વ્યાપ વધારી એમાં ‘ઉદાર દિલનું માનવ્ય’નો સમાવેશ કરાયો. ૧૯૩૦ના ગાળામાં ‘માનવજાત માટે મહત્તમ લાભકર્તા’ સંદર્ભે અકૅડમીએ નૂતન અભિગમ અપનાવ્યો. ‘માનવજાત’ એટલે જે તે કૃતિના ભાવકો, એવું અર્થઘટના સ્વીકારાયું. આમાં દરેકની પહોંચમાં હોય એવા સર્વદેશીય સાહિત્યનો સમાવેશ થયો. આને કારણે પર્લ બૅક અને સિન્કલૅર લૂઇસ જેવાં સર્જકો પોંખાયાં અને પૉલ વાલૅરિ જેવા કવિ બાકાત રહ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૪૬માં લોકભોગ્યનો મહિમા ઘટ્યો અને ‘અગ્રિમો’ પર લક્ષ કેન્દ્રિત થયું. આ ‘અગ્રિમો’ એટલે નવી પ્રણાલી માટે કેડી તૈયાર કરનારા સર્જકો. એવા અગ્રગામી સર્જક જે સાહિત્યમાં વિશ્વદર્શન અને નિરૂપણશૈલીની નવી શક્યતાઓ ઉઘાડી આપે. ૧૯૭૮થી આ નીતિમાં ‘વ્યવહારુ વિચારણા’નું નવું પરિમાણ ઉમેરાયું. ‘મહત્ત્વના પણ અજાણ્યા સર્જકો અને સાહિત્યો’ને ધ્યાનમાં લેવાયાં. ૧૯૮૦ પછી તો આમાં વિશ્વસાહિત્યને આવરી લેવાયું. નૉબેલના વસિયતનામાનો નિર્દેશ પણ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજોનો જ હતો. લાંબા ગાળા સુધી આ પારિતોષિક મહદંશે ‘યુરોપીય ઘટના’ હતી, તે સ્થિતિ હવે બદલાઈ અને બિનયુરોપીય સર્જકો તરફ પણ ધ્યાન ગયું. ૧૯૯૦ના દાયકામાં ‘આદર્શ દિશામાં’ના શાબ્દિક અર્થને બદલે, ‘એવું સાહિત્ય જે માનવ અને માનવનિયતિ વિશેની સભાનતા વધારે, અને માનવજીવનને સમૃદ્ધ કરવા મથે’, એવું ઉદાર અર્થઘટન થયું. આ પ્રક્રિયાને અંતે આજે એમ કહી શકાય કે, સાહિત્યનું નૉબેલ ઇનામ ‘સાહિત્યિક પારિતોષિક’ છે. ૧૯૭૦ના ગાળામાં પ્રયોગશીલતાના ભોગે નૈતિક મૂલ્યોનો જે મહિમા થતો હતો તે હવે નથી. સાહિત્યનું નૉબેલ પારિતોષિક આજે એના નામને ચરિતાર્થ કરતું ઇનામ છે.


‘તમે શા માટે લખો છો?’ એવો પ્રશ્ન સાહિત્યકારોને વારંવાર પૂછાય છે. આના ઉત્તરમાં પામુક કહે છે : “હું લખું છું, કેમ કે એ મારી આંતરિક જરૂરિયાત છે! હું લખું છું, કેમ કે હું બીજા લોકોની જેમ સામાન્ય કામ કરી શકતો નથી. હું લખું છું, કેમ કે મારે હું લખું છું એવાં પુસ્તકો વાંચવાં છે. હું લખું છું, કેમ કે મને તમારા બધા પ્રત્યે ગુસ્સો ઊપજે છે. હું લખું છું, કેમ કે આખો દિવસ ઓરડામાં પૂરાઈ લખલખ કરવાનું મને ગમે છે. હું લખું છું, કેમ કે હું વાસ્તવિક જીવનને બદલીને જ એમાં સહભાગી થઈ શકું. હું લખું છું, જેથી અન્યો, આપણે સૌ, આખું જગત જાણે કે આપણે કેવા પ્રકારનું જીવન જીવીએ છીએ. હું લખું છું, કેમ કે મને કાગળ, પેન અને શાહીની સુવાસ ગમે છે. હું લખું છું, કેમ કે મને સાહિત્યમાં, નવલકથાસર્જનમાં સૌથી વધુ શ્રદ્ધા છે. હું લખું છું, કેમ કે એ ટેવ છે, ધખના છે. હું લખું છું, કેમ કે મને ભુલાઈ જવાનો ડર છે. હું લખું છું, કેમ કે લખાણથી જે કીર્તિ મળે છે તે મને ગમે છે. હું એકાકી રહેવા લખું છું. તમારા પ્રત્યે, દરેક પ્રત્યે મને આટલો બધો ગુસ્સો કેમ છે એ સમજવાની આશાએ હું લખું છું. હું લખું છું, કેમ કે મને વંચાવું ગમે છે. હું લખું છું, કેમ કે એકવાર મેં નવલકથા, નિબંધ, પૃષ્ઠ લખવાનું શરૂ કર્યું તો મારે એને પૂરું કરવું છે. હું લખું છું, કેમ કે બધા હું લખું છું એવી અપેક્ષા રાખે છે. હું લખું છું, કેમ કે મને પુસ્તકાલયો અને જે છાજલી પર મારાં પુસ્તકો છે તેમના અમર્ત્ય હોવામાં છોકરવાદી શ્રદ્ધા છે. હું લખું છું, કેમ કે જીવનનાં સૌંદર્ય અને સમૃદ્ધિને શબ્દસ્થ કરવામાં રોમાંચ છે. હું વાર્તા કહેવા નહીં પણ વાર્તા સર્જવા લખું છું. હું એવા અનિષ્ટ અણસારથી છટકવા લખું છું કે, એવી કો’ક જગ્યા છે જ્યાં મારે જવું જોઈએ પણ – સ્વપ્નમાં થાય છે તેમ – હું ત્યાં પહોંચી શકતો નથી. હું લખું છું, કેમ કે હું કદી સુખી થઈ શક્યો નથી. હું સુખી થવા લખું છું.” આ પ્રલંબ જવાબમાં આપણને સાહિત્યના પ્રયોજન વિશેના સંકેતો સુપેરે મળી રહે છે.
રાજકીય સ્વતંત્રતાનો અર્થ ત્યાં સુધી નથી સરતો જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતાને મામલે આપણે એક રાષ્ટ્ર તરીકે સધ્ધર હોઇએ. ખાધ્ય અનાજને મામલે આપણે એક દેશ તરીકે, તે પણ ખાસ કરીને આપણે જ્યારે એક ખેતીપ્રધાન દેશ હોઇએ ત્યારે – આત્મનિર્ભર હોઇએ તે સૌથી અનિવાર્ય બાબત છે. સ્વતંત્રતા હાથમાં આવી, પણ ત્યારે આપણે ખાદ્યની તંગીમા જીવનારો દેશ હતા અને સાંઇઠના દાયકામાં આ પરિસ્થિતિ વધુ આકરી બની. આ એ દિવસો હતા જ્યારે આયાત કરાયેલું ધાન – ખાદ્ય સામગ્રી બને એટલી જલદી લોકોના ઘર સુધી પહોંચે તેની સગવડ કરવી એક માત્ર ઉકેલ હતો. અંગ્રેજીમાં હેન્ડ ટુ માઉથના વાક્યપ્રયોગનો ઉપયોગ થાય છે, ત્યારે ‘શિપ ટુ માઉથ’ એવો વાક્યપ્રયોગ થતો – જહાજો મારફતે ધાન ભારત પહોંચતું. પણ એ ત્યારની વાત છે. આજે એવા સંજોગો છે કે ફુડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ગોડાઉન્સ અનાજના ભંડારોથી ઉભરાઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમતો ચુકવવાને મામલે કોઇ ખાતરી નથી આપી શકતી.