Opinion Magazine
Number of visits: 9672126
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તીસ્તા સેતલવાડ વડાપ્રધાનને આંખના કણાની જેમ કેમ ખટકે છે?

રમેશ સવાણી|Opinion - Opinion|17 July 2022

[પાર્ટ-2]

કોઈ પણ સત્તાધીશને સવાલ કરો તો તેને ન ગમે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં 58 રામસેવકોને જીવતાં સળગાવી દીધાં તે ઘટના પાશવી હતી. એ ઘટના બાદ ગુજરાતમાં મુસ્લિમો પ્રત્યે રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. માની લઈએ કે ગોધરાની ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું, પરંતુ આ કાવતરું સરકાર પકડી શકી ન હતી; તેથી 58 નિર્દોષ લોકો ભોગ બની ગયાં ! સરકાર માટે આ શરમજનક ઘટના હતી; કેમ કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ ઘટના અગાઉ બની ન હતી. મુખ્ય મંત્રી હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હતા; તેથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા ભોગ બનનારની ડેડ-બોડીઓ અમદાવાદ મંગાવીને સામૂહિક સ્મશાનયાત્રા કઢાવી ! તેથી  લોકો વધુ ઉશ્કેરાયા; અમદાવાદ શહેર અને અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી સામૂહિક હિંસા ફાટી નીકળી ! સરકારની પક્ષપાતની કાર્યવાહી અંગે આક્ષેપો થયા. તે વખતે વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈ હતા; તેમણે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાડીઝને અમદાવાદ મોકલ્યા. ફર્નાડીઝ અનેક લોકોને મળ્યા. ફર્નાડીઝે બાજપાઈને રિપોર્ટ કર્યો. તેથી બાજપાઈ ગુજરાતની મુલાકાતે આવ્યા. તે સમયે બાજપાઈએ તત્કાલિન મુખ્ય મંત્રીને કહ્યું હતું-‘રાજધર્મ નીભાવો !’ બાજપાઈ; સત્તાપક્ષના અન્ય નેતાઓ તથા ગુપ્તચર એજન્સીના રિપોર્ટથી જાણતા હતા કે ગુજરાતમાં સરકાર લઘુમતીઓની દરકાર કરતી નથી ! બાજપાઈને આ બે શબ્દો ન છૂટકે પોતાના મુખ્ય મંત્રીને કહેવા પડ્યા હતા ! આ બે શબ્દોને કારણે વિપક્ષ અને ન્યાય ઈચ્છી રહેલ લોકોને જબરજસ્ત બળ મળ્યું હતું !

આ તોફાનોમાં સરકારી આંકડા મુજબ 790 મુસ્લિમો, 254 હિન્દુઓ અને અન્ય આંકડાઓ મુજબ 1,926થી 2,000થી વધુ નિર્દોષ બાળકો / મહિલાઓ / વૃદ્ધોની ઘાતકી હત્યાઓ થઈ ! બળાત્કાર થયાં ! 2,500થી વધુ લોકોને ઈજા પહોંચી. 273 દરગાહો, 241 મસ્જિદો, 19 મંદિરો, 3 ચર્ચને તોડી નાખવામાં આવ્યા કે તેમને નુકશાન કરવામાં આવ્યું ! મુસ્લિમોના 1 લાખ ઘર / 1,100 હોટલ / 15,000 ધંધાઓ / 3, 000 ગૃહઉદ્યોગ / 5,000 વાહનોને નુકશાન પહોંચ્યું ! 2 લાખ મુસ્લિમોને ઘર છોડવું પડ્યું ! કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો ! કરોડો રુપિયા રાહતમાં ખર્ચાયા. 27,780 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા. 11,167 લોકોને ગુનાહિત વર્તણૂક માટે એરેસ્ટ કર્યા; તેમાં 3,269 મુસ્લિમ અને 7,896 હિન્દુઓ હતા. 16,615 લોકોને અટકાયતી પગલાં માટે એરેસ્ટ કરવામાં આવ્યા; જેમાં 2,811 મુસ્લિમો અને 13,804 હિન્દુઓ હતા ! Concerned Citizens Tribunal, તથા Crimes Against Humanityના જણાવ્યા મુજબ એરેસ્ટ કરેલ આરોપીઓમાંથી 90% આરોપીઓને ત્વરિત બેઈલ ઉપર મુક્ત થઈ ગયા હતા ! હત્યા અને આગ ચાંપવાના આરોપીઓ પણ જામીન ઉપર છૂટી ગયેલ ! આ બધી ઘટનાઓના કારણે અમેરિકાએ તત્કાલિન મુખ્ય મંત્રીને અમેરિકાના વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો ! ગોધરા-હિંસા અને પછીની હિંસાથી વિશ્વમાં ગુજરાતનું નામ ખરડાયું હતું; સ્વાભાવિક છે કે સત્તામાં હોય તેનો વાંક જોવામાં આવે. SIT તથા સુપ્રિમકોર્ટની ક્લિન-ચિટથી આ હત્યાઓ થઈ નથી તેવું સાબિત થઈ જતું નથી ! સત્તામાં ફરી-ફરી ચૂંટાઈ જાય, તેથી આ હત્યાનો ઇતિહાસ ભૂંસાઈ જતો નથી ! હા, ‘સત્તા’ હોય તો ચૂકાદા તરફેણમાં જરૂર આવે છે !

સવાલ એ છે કે ન્યાય માંગવો તે ગુનો છે? 24 જૂને 2022ના રોજ સુપ્રિમકોર્ટનો ચૂકાદો આવે છે અને બીજે જ દિવસે તીસ્તાની મુંબઈથી ધરપકડ કેમ? શું તીસ્તા આતંકવાદી છે? તીસ્તા સેતલવાડ વડા પ્રધાનને આંખના કણાની જેમ કેમ ખટકે છે? આ છે કારણો : [1] તીસ્તાએ પોતાની NGO મારફતે 2002ની હિંસાની સચ્ચાઈ ઉજાગર કરી; અને સરકારને જવાબદાર ઠેરવી. [2] ન્યાય માટે જુદી જુદી કોર્ટમાં લડાઈ લડી. તેમના પ્રયાસના કારણે જ સુપ્રિમકોર્ટે 2008માં SITની રચના કરી. આ SIT સાથે ‘કામ પાડવા’માં ‘સત્તા’નો દમ નીકળી ગયો ! [3] તત્કાલિન મુખ્ય મંત્રીને અમેરિકાએ વિઝા આપવાનો ઈન્કાર કર્યો તે સહન થઈ શકે તેમ ન હતું. [4] મુખ્ય મંત્રીમાંથી 2014માં વડા પ્રધાન બન્યા; 2919માં ફરી વડા પ્રધાન બન્યા છતાં 2002ની નામોશીથી છૂટકારો ન મળ્યો ! [5] તીસ્તાએ સુપ્રિમકોર્ટમાં જઈને ‘બેસ્ટ બેકારી કેસ’ / ‘બિલ્કીસ બાનો કેસ’ મુંબઈમાં ટ્રાન્સફર કરાવ્યો; જેથી ગુજરાતની ‘સત્તા’ને નીચાજોણું થયું ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ. ‘બિલ્કીસ બાનો કેસ’માં IPS અધિકારી આર.એસ. ભગોરાને 30 મે 2019ના રોજ ડિસમિસ કરવા પડ્યા ! બિલ્કીસ ઉપર ગેંગરેપ થયો હતો. તેની અઢી વર્ષની દીકરી સહિત પરિવારના 7 વ્યક્તિઓની 3 માર્ચ 2002ના રોજ હત્યા થઈ હતી. સુપ્રિમકોર્ટે તેને 50 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો. ‘સત્તા’ માટે નીચાજોણું થયું હતું. [5] રાષ્ટ્રીય /આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ કિસ્સાઓ ગાજતા હોવાથી વડા પ્રધાનની ‘ઈમેજ’ને ધક્કો પહોંચતો હતો. 2002ની હિંસા અંગે સ્ટિંગ ઓપરેશનો થયા. જેના કારણે નામોશી સતત થતી રહી હતી. પુસ્તકો લખાયાં – ‘Gujarat files-Anatomy of a cover up’ લેખક – રાણા અય્યુબ, 25 માર્ચ 2026 / ‘The anatomy of hate’ લેખક-રેવતી લૌલ, 10 ડિસેમ્બર  2018 / ‘Fear and Forgiveness : The Aftermath of Massacre’ લેખક-હર્ષ મંદર, 1 જાન્યુઆરી 2015 / ‘Between Memory and Forgetting : Massacre and the Modi years in Gujarat’ લેખક-હર્ષ મંદર / ‘Scarred : Experiments with Violence in Gujarat’ લેખક-ડિઓને બુન્શા, 1 જાન્યુઆરી 2006 / ‘Communal Violence, Forced Migration and the State : Gujarat since 2002’ લેખક – સંજીવની બાડીગર લોખંડે, 13 ઓક્ટોબર 2016 / ‘Under cover : My journey into the darkness of Hindutva’ લેખક-આશિષ ખેતાન, 11 જાન્યુઆરી 2021 / ‘Gujarat Behind the Curtain’ લેખક – આર.બી. શ્રીકુમાર, 17 ડિસેમ્બર 2015 / ‘Gujarat : The Making of a Tragedy’ લેખક-તીસ્તા સેતલવાડ / સિદ્ધાર્થ વરદરાજન, 25 નવેમ્બર 2003. તીસ્તાની ઝૂંબેશના કારણે સત્યશોધકો આગળ વધતા હતા અને પુસ્તકોમાં પર્દાફાશ કરતા હતા; જેથી ‘અવતારી-દિવ્યશક્ત’ની ઈમેજમાં ગોબો પડતો હતો ! ખાસ તો વિદેશોમાં ‘વિશ્વગુરુ’ની છબિ વધુ ખરડાઈ રહી હતી; એટલે જ તીસ્તા સેતલવાડને જેલમાં પૂરવામાં આવ્યાં !

રાણા અય્યુબ તથા આશિષ ખેતાનનાં પુસ્તકો સાબિત કરે છે કે હિંસામાં ‘સતા’ કઈ રીતે સંડોવાયેલ હતી. બેસ્ટ બેકરી કેસમાં ઝહિરા શેખને ફરી જવા બચાવ પક્ષે લાંચ આપી હતી ! તેમના સ્ટિંગ ઓપરેશનની કારણે બાબુ બજરંગી અને માયા કોડનાનીને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. 2002ની હિંસા પછી ‘સત્તા’એ એક જબરજસ્ત વિજય હાંસલ કર્યો છે – તેણે નાગરિકોને ભીડમાં ફેરવી નાખ્યા છે ! જે ભીડ હવે સત્યશોધકો ઉપર હુમલાઓ કરે છે; ગાળો આપે છે; અવાજ દબાવે છે. એક તરફ ભીડ; બીજી તરફ સત્તાનો જુલમ ! જે સત્યશોધકો હિમ્મત કરે છે તેમને ‘સત્તા’ જેલમાં પૂરે છે !

17 જુલાઈ 2022

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘લાઈફ ઇઝ ડલ વિધાઉટ ટ્રુથ’ : પર્લ બક

સોનલ પરીખ|Opinion - Opinion|16 July 2022

·       હું મૂડની રાહ જોતી નથી. મૂડની રાહ જુઓ તો કંઈ થાય નહીં. મગજને ખબર હોવી જોઈએ કે એણે જમીન પર રહેવાનું છે.

·       એક વાર “શું” સમજાઈ જાય તો  “કેવી રીતે” હંમેશાં એને અનુસરે છે. પણ આપણે “શુંને સ્વીકારવા ને એનો સામનો કરવા તૈયાર નથી હોતા, પછી “કેવી રીતે”નો બહાના તરીકે ઉપયોગ કરીએ છીએ.

·       એ લગ્ન સારાં નીવડે છે જે વ્યક્તિઓ, સંબંધો અને અભિવ્યક્તિમાં પરિવર્તન અને વિકાસને પૂરતો અવકાશ આપતાં હોય.

·       સેવા સુંદર બાબત છે, પણ ત્યારે જ જ્યારે એ પૂરા મનથી અને સ્વતંત્ર બુદ્ધિપૂર્વક થતી હોય.

·       ટ્રુથ ઈઝ ઑલ્વેઝ એક્સાઈટિંગ. સ્પીક ઈટ, ધેન. લાઈફ ઈઝ ડલ વિધાઉટ ઈટ.

—   પર્લ બક

(જન્મ – 26 જૂન 1892)

1929માં, એક અમેરિકન સ્ત્રી, તેના ચીનના ઘરેથી, તેની અત્યંત નબળી દીકરીને ન્યૂ જર્સી ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવા આવી. આમ તેમથી ઉધાર લઈ ફીની રકમ તેણે ભેગી કરી હતી. વિયોગ દુ:ખદાયક હતો. પાછા આવ્યા પછી લાગતું, ઘર જાણે સન્નાટામાં ડૂબી ગયું છે. તેણે નક્કી કરી લીધું, ‘સમય આવી ગયો છે – હું લખીશ.’ તેણે લખ્યું અને એવું લખ્યું કે તેને માત્ર પુલિત્ઝર જ નહીં, નોબેલ ઈનામ પણ મળ્યું.

કોણ હતી આ લેખિકા ? તેણે એક ભારતીય ફિલ્મની પટકથા લખી હતી એમ કોઈ કહે તો માનવામાં આવે ખરું ? યાદ કરો 1965ની ફિલ્મ ‘ગાઈડ’ – તેના ‘ન સુખ હૈ, ન દુ:ખ હૈ, ન દીન હૈ, ન દુનિયા, ન ઈન્સાન, ન ભગવાન – સિર્ફ મૈં હૂં, મૈં હૂં; મૈં હૂં, સિર્ફ મૈં …’ આ સંવાદ સાથે અનેક સ્મૃતિઓ તાજી થયા વગર રહે નહીં, ખરું ને? ‘ગાઈડ’ની અમેરિકન આવૃત્તિ પણ બની હતી, જેનું દિગ્દર્શન પોલિશ-અમેરિકન ફિલ્મસર્જક ટેડ ડેનિયલેવસ્કીએ કર્યું હતું. એની પટકથા આ લેખિકાએ લખી હતી.

આ વિશ્વવિખ્યાત અમેરિકન લેખિકાનું નામ પર્લ બક. એમની સિદ્ધિઓ, એમની જિંદગી, એમની કારકિર્દીમાં ભરપૂરતા છે, અનોખાપણું છે, રોમાંચ છે. આજે એમના વિશે થોડી વાતો કરીશું કેમ કે આજથી 130 વર્ષ પહેલાં, 1892ની 26મી જૂને એમનો જન્મ થયો હતો.

પર્લ બક રસપ્રદ સમયમાં અને રસપ્રદ સ્થળોમાં જીવ્યાં. જન્મ તો વર્જિનિયામાં, પણ માતાપિતા ચીનના ઝેનઝિંગમાં મિશનરી હોવાને કારણે પર્લનો ઉછેર ચીની રિવાજો વચ્ચે ને ચીની આયા પાસે થયો. ચીનની સંસ્કૃતિ અને ચીનનું ગ્રામજીવન તેના અસ્તિત્વમાં વણાતાં ગયાં. અંગ્રેજી પહેલાં એ ચીની ભાષા શીખી. પુખ્ત વયે પણ એ ચીની ભાષામાં વિચારતી.

પિતાના મિશનરી તરીકેના કામને લીધે ચોરો, ભિખારીઓ, રોગીઓ, વ્યસનીઓ અને કુદરતી આફતોથી પીડાયેલાઓને નજીકથી જોયા. પરીકથાઓમાં આવતું હોય એવું, કંઈક કરુણતા અને કરુણાથી વીંટાયેલું એમનું બાળપણ હતું. એની પહેલાં જન્મેલાં બાળકો મરડો, કોલેરા, મલેરિયા વગેરેથી મૃત્યુ પામેલાં. ઘરની પાછળના બગીચામાં માટી ખોદતી પર્લને ઘણીવાર નાનકડાં હાડકાં મળી આવતાં.

પિતા એબ્સાલોમ સિડેન્સ્ટ્રિકર શહીદ મિજાજના મિશનરી હતા. આત્માઓનો ઉદ્ધાર કરવાની એમની ઊર્જા એટલી પ્રબળ હતી કે લોકોના ફિટકાર કે પથ્થરમારાની પરવા કર્યા વિના ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા રહેતા. માનું મન પીડા અને ગુસ્સાની ધાર પર લટકતું. ઘરમાં પૈસાની તાણ રહેતી અને પતિને આવી ક્ષુલ્લક વાતમાં રસ પડતો નહીં. જેમ એ માનતો કે ચીનના ગામડિયા લોકો ‘માણસ’ નથી, તેમ એ એમ પણ માનતો કે સ્ત્રીઓને આત્મા હોતો નથી. આ બધા વચ્ચે ઉછરતી પર્લ, ચાર્લ્સ ડિકિન્સની નવલકથાઓનો આશ્રય લેતી. એંગ્લો-સેક્સન વિશ્વ સાથે આમ એનું જોડાણ બંધાયું અને મજબૂત થતું ગયું. 10 વર્ષની ઉંમરે એણે નક્કી કરી લીધું હતું, ‘હું નવલકથાઓ લખીશ.’ ચીની મહાકાવ્યો અને પશ્ચિમી માપદંડો આ સોનેરી વાળ અને ભૂરી આંખોવાળી છોકરીને ઘડતાં હતાં.

16ની ઉંમરે એ અમેરિકા ભણવા ગઈ અને વર્જિનિયાની વિમેન્સ કૉલેજમાં દાખલ થઈ. વાળ ઓળવાની એશિયન શૈલીથી માંડી પીઠ પરથી લબડતા જેકેટ સુધીની તેની દરેક ચીજ મજાકને પાત્ર બનતી. ભણવા કરતાં સ્વયંસેવક તરીકે નિવૃત્ત વેશ્યાઓને ભણાવવામાં એને રાહત મળતી.

1917માં એ ચીન પાછી ફરી. અમેરિકન એગ્રીકલ્ચરલ ઈકોનોમિસ્ટ જહોન લોસિંગ બક સાથે તેનાં લગ્ન થયાં. પતિ સાથે એ ચીનના અંતરિયાળ વિસ્તારોમાં ફરી. ત્યાંના લોકોએ શ્વેત સ્ત્રી પહેલીવાર જોઈ હતી. તેઓ ટોળે વળતાં. તેના કમરામાં ડોકાં કાઢતાં. આ અનુભવોએ જ ‘ધ ગૂડ અર્થ’ની પશ્ચાદભૂમિકા આપી.

1927માં ચીનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો એ પહેલા પર્લ બકે એક નવલકથા લખી નાખી હતી. કૉમ્યુનિસ્ટોએ એમના ઘર પર છાપો માર્યો એની દસ મિનિટ પહેલાં જ પર્લ એ ઘર છોડી નીકળી ગયેલાં. નવલકથાની પ્રત અન્ય ચીજો સાથે બળી ગઈ. અમેરિકાના એક યુદ્ધજહાજમાં તેઓ જાપાન ચાલ્યાં ગયાં. એક વર્ષ બાદ પાછા ચીન આવી શક્યાં.

‘ધ ગૂડ અર્થ’ અમેરિકામાં પ્રગટ થઈ, પણ ચીનમાં એના પર પ્રતિબંધ મુકાયો. અમેરિકાએ પર્લ બક પર કોમ્યુનિસ્ટ હોવાનો આરોપ મૂક્યો ને કૉમ્યુનિસ્ટ ચીને તેને ઈમ્પિરિયાલિસ્ટ ઠરાવી. ‘ટાઈમ’ મેગેઝીને એનો બહિષ્કાર કર્યો. ચીને તેના પાછા આવવા પર રોક લગાવી. પર્લે આ બધાનો સામનો કેવી રીતે કર્યો હશે? એ કહે છે, ‘જે યાદ રાખવા જેવું ન હોય એ ભૂલી જવાની ટેવ મેં પાડી છે.’

1932માં ‘ધ ગૂડ અર્થ’ને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ એનાયત થયું. આ નવલકથામાં વાંગલંગ નામના ચીની ખેડૂતના જીવનનું આલેખન છે. ધરતીની મમતાના કારણે એ અને એની માયાળુ પત્ની અનેક વર્ષો સુધી સંઘર્ષ તથા કષ્ટ વેઠતાં રહે છે અને પછી શ્રીમંત બને છે. એમાં ચીનની કઠોર અને કપરી વાસ્તવિકતાઓનું સચોટ નિરુપણ હતું. ચીનને એની રહસ્યમયતા માટે રસપ્રદ માનનાર અમેરિકા માટે આ દૃષ્ટિકોણ નવો હતો. ‘ધ ગૂડ અર્થ’ ત્રણ નવલકથાઓની શ્રેણીમાંની પ્રથમ નવલકથા છે. તેનો ગુજરાતીમાં અનુવાદ ‘ધરતી’ નામે 1937માં નીરુભાઈ દેસાઈએ કર્યો છે.

શ્રેણીની બીજી નવલકથા ‘સન્સ’ 1933માં અને ત્રીજી નવલકથા ‘હાઉસ ડિવાઇડેડ’ 1935માં પ્રસિદ્ધ થઈ. 1938માં પર્લ બક નોબેલ પ્રાઇઝનાં વિજેતા બન્યાં. ચીનનાં લોકજીવનને સહાનુભૂતિપૂર્વક વર્ણવતાં એમનાં પુસ્તકોએ એમને ઘણો મોટો યશ અપાવ્યો. એશિયા અને પશ્ચિમની પ્રજાઓ એકમેકને વધારે સારી રીતે સમજી શકે એ પ્રકારનો અનુરોધ તથા એને પ્રેરતું આલેખન એમની કૃતિઓમાં મહદંશે જોવા મળે છે. 1935માં બકનાં લગ્ન તૂટ્યાં. એ જ વર્ષે તે એના પ્રકાશક રિચાર્ડ જૉન વૉલ્શના પ્રેમમાં પડી એને પરણી ગઈ.

1930માં પ્રગટ થયેલી પ્રથમ નવલકથા ‘ઈસ્ટ વિન્ડ ઍન્ડ વેસ્ટ વિન્ડ’થી માંડીને પર્લ બકે અન્ય 82 પુસ્તકો, સેંકડો નવલિકાઓ, નિબંધો અને માતાપિતાનાં જીવનચરિત્રો લખ્યાં છે. એમનાં લખાણોમાં સ્ત્રીઓના અધિકારોથી માંડી એશિયાની પરંપરાઓ, બાળકોને દત્તક લેવાં, મિશનરી કામ, યુદ્ધ અને હિંસા જેવા વિષયો છે. દૂર પૂર્વના પ્રદેશની ભૂમિકામાં છવાયેલી એમની અન્ય કૃતિઓ ‘ડ્રૅગન સીડ’ (1942), ‘ઇમ્પીરિયલ વુમન’ (1956) અને ‘લિવિંગ રીડ’ (1963) છે જ્યારે અમેરિકન પાર્શ્વભૂમિકામાં એમણે ‘જૉન સેજિઝ’ના નામે કેટલીક નવલકથાઓ લખી છે. આત્મકથનાત્મક સાહિત્યકૃતિઓમાં 1954માં પ્રસિદ્ધ થયેલી ‘માય સેવરલ વલ્ડર્ઝ’ અને 1964માં ‘એ બ્રિજ ફૉર પાસિંગ’ ગણનાત્મક સ્થાન ધરાવે છે.

તેના જીવનચરિત્રમાં વર્ણવાયું છે તેમ પર્લ બકને પોતાનું વજનદાર અને કંઈક વિષમય એવું ‘બેગેજ’ હતું, પણ એને ‘અનપેક’ કરવાનું તેણે વાચકોને સોંપી દીધેલું છે. ઉદ્ધત પતિ અને એની વાર્તાઓમાં આવતી વૈવાહિક બળાત્કારની ઘટનાઓ વચ્ચેનાં ટપકાં જોડવાં મુશ્કેલ નથી. બકનો રંગભેદ અને પિતૃસત્તાકતા પ્રત્યેનો વિદ્રોહ, કઠોર મિશનરી પિતા સામેના વિરોધની જ અભિવ્યક્તિ હતો. પોતાની અંદર ચાલેલા અજ્ઞાન અને વહેમો સામેના જંગે જ તેને બે એકબીજાને સમજી ન શકે તેવી સંસ્કૃતિઓ વચ્ચેનો પુલ બનવાની પ્રેરણા આપી હતી. જીવનનાં છેલ્લાં થોડાં વર્ષોમાં તેઓ અમેરિકામાં સ્ત્રીમુક્તિ અને રંગભેદમુક્ત દત્તક એજન્સીમાં ઘણાં સક્રિય હતાં.

‘હું મૂડની રાહ જોતી નથી.’ પર્લ બક કહેતાં, ‘મૂડની રાહ જુઓ તો કંઈ થાય નહીં. મગજને ખબર હોવી જોઈએ કે એણે જમીન પર રહેવાનું છે.’ ‘એક વાર “શું” સમજાઈ જાય તો “કેવી રીતે” હંમેશાં એને અનુસરે છે. પણ આપણે “શું”ને સ્વીકારવા ને એનો સામનો કરવા તૈયાર નથી હોતા, પછી “કેવી રીતે”નો બહાના તરીકે ઉપયોગ કરીએ છીએ.’ ‘એ લગ્ન સારાં નીવડે છે જે વ્યક્તિઓ, સંબંધો અને અભિવ્યક્તિમાં પરિવર્તન અને વિકાસને પૂરતો અવકાશ આપતાં હોય.’ ‘સેવા સુંદર બાબત છે, પણ ત્યારે જ જ્યારે એ પૂરા મનથી અને સ્વતંત્ર બુદ્ધિથી થતી હોય.’

ઘણું બધું સુંદર કહ્યું છે પર્લ બકે, પણ મને જે સૌથી વધુ ગમ્યું તે આ : ‘ટ્રુથ ઈઝ ઑલ્વેઝ એક્સાઈટિંગ. સ્પીક ઈટ, ધેન. લાઈફ ઈઝ ડલ વિધાઉટ ઈટ.’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જૂન 2022 

Loading

કૂતરાંઓનું પિયર

રીતિ શાહ|Opinion - Opinion|16 July 2022

જન્મની સાથે જડી આવેલા ઘર “પ્રકાશ”ની બાજુમાં આવેલા મામીના બંગલે ગોપાલ મહારાજ અને ઘરઘાટી ભીમજીભાઈના પ્રેમભર્યા હાથે ઓવર ઇટિંગ કર્યા પછી, કૂતરાઓનું વિરામસ્થળ તે તસ્વીરમાં દેખાતી ઘરની બારીઓ, જે આઈસ-પાઈસ રમતાં છૂપાવાની અમારી બાળમંડળીની એંશીના દાયકાની જગ્યા.

આખો દિવસ ખાઈ પીને પડ્યા રહેતા કૂતરાઓને જોઈ ઘરના નોકર રણવીરને કૂતરાઓની ભારે ઈર્ષા થતી. સવારના અમારા ઘરનું બધું કામ પતાવીને દસ વાગે રણુ (રણવીર) ગુજરાત કૉલેજ પાસે હૉટલ કનકમાં પહોંચી જતો. સાંજે છ વાગે હૉટલ કનકની નોકરીમાંથી છૂટીને સાત વાગતામાં તો ચોઈસ રેસ્ટોરન્ટની નોકરીમાં હાજર. તે છેક રાતના બાર –સાડાબાર સુધી ચાલે એની રોટલાની દોડાદોડ. થાકીને લોથ રણવીર ઓટલા માટે ઘરે પાછો ફરે ત્યારે તેના ગાદલાંમાં ત્રીજી ચોથી પેઢીનાં કૂતરાં આળોટતાં હોય. બિચારો અડધી રાત્રે ગુસ્સો પણ કોની પર કાઢે?

ચોઈસમાં આવતાં ઘણાં કૉલેજિયનોની વર્તણૂકથી અકળાઈને તે ક્યારેક તેમને કૂતરાની ઉપમા પણ આપી બેસતો, તો ક્યારેક હાથમાં સાવરણી રમાડતો રમાડતો બબડતો બિલ ચૂકવ્યા વગર કાર દોડાવતા લોકો પાછળ તો કૂતરાની જેમ પડવું પડે. મચ્છરને મારતી વખતે પણ તેની જીભે મજાનાં સુવાક્યો રમતા હોય ! રણવીરના એક અવલોકન પ્રમાણે આ પ્રકાશભાઈને જ્યારે પણ કોઈ મળવા આવે છે (પપ્પા મોટે ભાગે સવારના મિત્રો સાથે ઘરના ઓટલે જ બેઠક માંડતા) ત્યારે અચૂક લાલ કૂતરું બારીની તેની કાયમી બેઠક છોડીને ઓટલે આવીને ગોઠવાઈ જાય છે અને ધ્યાનથી બધી વાતો સાંભળે છે. બહુ હોશિયાર થશે.

નવરા દેખાતા કૂતરાઓ ધીરે ધીરે પ્રગતિ કરી બિલાડીની પેઠે બારીમાથી અંદર આવવાની કળા શીખી  ગયેલા. ઉનાળાની ગરમીથી બચવા કેટલાંક કૂતરાંઓ ક્યારામાં ખાડા ખોદીને સંતોષ મેળવે તો કેટલાંક ઠંડકની શોધમાં છાના–માના દાદરો ચઢી ઉપરના રૂમમાં છૂપાઈ જાય.

એક વખત દીકરી અમૃતા ભાંખોડિયા ભરતી–ભરતી બરાબર દાદરાની વચ્ચોવચ આવેલા પગથિયે પહોંચી તે જ વખતે બપોર આખી ઉપરના રૂમમાં છૂપાઈને બેઠેલું કૂતરું પગથિયાં કૂદતું –કૂદતું નીચે આવી રહ્યું હતું, બરાબર મધ્યના પગથિયે બંને સામસામા. રસોડામાંથી કામ કરતાં–કરતાં મારી નજર ત્યાં પડી, કંઈક ખ્યાલ આવે તે પહેલાં જ પેલી સમજુ બકરીઓની જેમ દીકરીએ અને કૂતરાએ બંનેએ પોતપોતાનો રસ્તો કરી લીધો હતો. કૂતરું ચૂપચાપ સીડી ઊતરીને પાછળના દરવાજેથી બહાર જતું રહ્યું અને દીકરી ઘૂંટણીયે ઘૂંટણીયે દાદરો ચઢી ગયેલી.

1995માં બહેન ઋતા અમેરિકા સ્થાયી થઈ ત્યારે ઈમેલ, ફેક્સ જેવા શબ્દોથી પરિચિત લોકો ઘણા ઓછા. 1-2 મિત્રોને મોઢે ગૌરવપૂર્વક સાંભળેલું કે તે ઈમેલ ઓપરેટરની નોકરી કરે છે. મિનિટના 110 રૂપિયાના આઇ.એસ.ડી.  કોલનો એ જમાનો. ઈમેલ આવતાં-જતાં પણ સહેજે સાત-આઠ કલાક થતાં તે વર્ષોમાં. લોકલ ફોન વખતે અચૂક પોતાની હાજરી પૂરાવતાં કૂતરાઓની એસ.ટી.ડી. – આઈ.એસ.ડી. કોલ વખતે સક્રિયતા વિશેષ હોય. આ કૂતરાઓ ઋતા જ્યારે અમદાવાદ આવે ત્યારે તેને ઘરમાં  પેસવા જ ના દે. ટી.વી.માં અગત્યના સમાચાર કે સિરિયલના સંવાદ વખતે ચૂપ રહે તે કૂતરાં જ શાના કહેવાય? પોલિટિકલ ડિબેટ વખતે મને પણ સાંભળોનો તેમનો અભિગમ અવશ્ય જોવા મળે. શિયાળામાં તાર પર  સૂક્વેલાં કપડાં ખેંચી કાઢી તેમાથી હૂંફ  શોધતા હોય. એક-બે વખત કૂતરાં પકડવાની ગાડી પણ આવી હતી, તે જ કૂતરાઓ બે-ચાર દિવસમાં ગલી શોધતાં પિયર પાછા ફરેલાં.

સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,4571,4581,4591,460...1,4701,4801,490...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved