Opinion Magazine
Number of visits: 9569363
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—153

દીપક મહેતા|Opinion - Opinion|9 July 2022

સી. પી. ટેન્ક નામમાંના ‘સી.પી.’ તે કોણ?

પિરોજાબાઈ અને રુસ્તમજી પરણ્યા કઈ રીતે?

દરિયા પાસે આવેલો ભીખા બહેરામનો કૂવો

એનું સત્તાવાર નામ ભલે ગમે તે હોય, લોકો તો આજે પણ એ વિસ્તારને સી.પી. ટેન્ક તરીકે જ ઓળખે છે. ત્યાં ટેન્ક કહેતાં તળાવનું નામનિશાન રહ્યું નથી, છતાં. પણ એ વિસ્તારના રહેવાસીઓમાંથી પણ બહુ ઓછાને ખબર હશે કે ‘સી.પી.’ એટલે કોણ? ’સી’ કાવસજી અને ‘પી’ એટલે પટેલ. આખું નામ કાવસજી પટેલ ટેન્ક. જો કે આજે હવે ત્યાં ટેન્ક કહેતાં તળાવનું નામોનિશાન ત્યાં રહ્યું નથી. આ કાવસજીનું ખાનદાન તે મુંબઈમાં વસવાટ કરનારું પહેલવહેલું પારસી ખાનદાન. સુરતના મોગલાઈ રાજ્યના તાબા હેઠલનું એક નાનકડું ગામ. નામ સુમારી. પારસીઓની ઠીક ઠીક વસતી. તેમાંના એક દોરાબજી નાનાભાઈ. એવણે માદરે વતન શા સબબે છોડવાનું નક્કી કરેલું એ અંગે તો કશું જાણવા મળતું નથી. પણ પોતાના કુટુંબકબીલાને લઈને ઈ.સ. ૧૬૪૦માં મુંબઈ આવી વસ્યા. ત્યારે અંગ્રેજોએ તો મુંબઈની ધરતી પર પગ પણ મૂક્યો નહોતો. રાજ હતું પોર્ટુગીઝ સરકારનું. એ વખતે મુંબઈ સાત ટાપુનું શહેર પણ બન્યું નહોતું. સાતે સાત ટાપુ એકબીજાથી અલગ હતા. મુંબઈ એટલે એક જ ટાપુ. અને પોર્ટુગીઝ સરકારને મુંબઈના અને તેના લોકોના વિકાસમાં મુદ્દલ રસ નહિ. એમને રસ હતો જાતજાતના વેરા નાખીને પોતાની તિજોરી ભરવામાં. અને સરકારી નોકરોને સરકારની તિજોરી ભરવા કરતાં પોતાના ઘરની તિજોરી ભરવામાં વધુ રસ. એટલે અહીંના લોકોની ભાષા, તેમના રીતરિવાજ, ગમાઅણગમા વિષે ભાગ્યે જ કશું જાણતા. દોરાબજી ગુજરાતી ઉપરાંત થોડુંઘણું મરાઠી અને પોર્ટુગીઝ પણ જાણતા. પોર્ટુગીઝ કઈ રીતે શીખ્યા હશે તે તો ખોદાયજી જાણે. એટલે પોર્ટુગીઝ સરકારને આ માણસ કામનો જણાયો. એટલે રાખી લીધા દોરાબજીને સરકારી નોકરીમાં. પછી કાળચક્ર ફર્યું. પોર્ટુગીઝ શાસન ગયું અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ આવ્યું. પોર્ટુગીઝ અમલદારો દોરાબજીના કામથી એટલા તો ખુશ, કે મુંબઈ છોડતી વખતે તેમણે દોરાબજીને નોકરીમાં રાખી લેવા અંગ્રેજ અમલદારોને સિફારિશ કરી. અને એટલે દોરાબજી બન્યા અંગ્રેજ સરકારના ચાકર.

એ વખતે તો અંગ્રેજ સરકારને પણ ફક્ત કરવેરા ઉઘરાવવામાં રસ. પણ એ વખતના મુંબઈમાં નહોતા કોઈ ધંધાધાપા, નહોતા કોઈ વેપારવણજ. હતા તો ફક્ત મચ્છીમારી કરતા કોળીઓ. આવામાં સરકારની આવક તો કેમની વધે? પણ કોળીઓ તો છે ને! નાખો એમના પર ટેક્સ! ૧૬૬૮માં અંગ્રેજ સરકારે બધા માછીમારો પર નાખ્યો ‘બોડી ટેક્સ.’ એ વખતે તો રૂપિયા-આના-પાઈનું ચલણ પણ નહોતું. પણ આજની ગણતરીએ દરેક માછીમારે દર વરસે છ રૂપિયા તેત્રીસ પૈસાનો ટેક્સ ભરવાનો. અને આ ટેક્સ ઉઘરાવવાનું કામ સરકારે સોંપ્યું દોરાબજીને. બસ, એવણ વિષે આટલી જ બાબત જાણવા મળે છે. તેઓ ક્યારે ગુજરિયા તે બી જાણવા મળતું નથી.

દોરાબજીને બે બેટા. મોટા માકુજી તો ઈ.સ. ૧૭૪૦માં વગર વારસે આ ફાની દુનિયામાંથી કૂચકદમ કરી ગિયા. પણ નાલ્લા બેટા રુસ્તમજીએ બાપનું નામ રોશન કર્યું. ઈ.સ. ૧૬૬૭માં જન્મ. દોરાબજીની કામગીરીથી ખુશ થયેલી અંગ્રેજ સરકારે તેમના બેટા રૂસ્તમજીને પણ નોકરીમાં રાખી લીધા. કામ તો એ જ – કોળીઓ પાસેથી ટેક્સની વસૂલી કરવાનું. પણ ચાણક બુદ્ધિના રૂસ્તમજીએ જોયું કે મુંબઈના ટાપુનું બહારના આક્રમણથી રક્ષણ કરવા માટે અંગ્રેજ સરકારે ઝાઝી સગવડ ઊભી જ નહોતી કરી. રુસ્તમજીને ખબર કે કોળીઓ હોય ગરમ દિમાગના. વખત આવ્યે લડી જાણે. એટલે તેમણે કોળીઓને તેમના ફાજલ વખતમાં ‘લશ્કરી તાલીમ’ આપવાનું શરૂ કર્યું. હા, અંગ્રેજ સૈનિકોની બનેલી નાનકડી ફોજ હતી ખરી, મુંબઈનું રક્ષણ કરવા માટે. પણ બન્યું એવું કે થોડા વખત પછી મુંબઈમાં મરકીનો રોગ ફેલાયો જેમાં મોટા ભાગના અંગ્રેજ સૈનિકો મરી ગયા. આ તકનો લાભ લઈને ઈ.સ. ૧૬૯૨માં જંજીરાના સીદીઓએ મુંબઈ પર ચડાઈ કરી. એ વખતે ગવર્નર તો સુરતમાં રહેતો. બીજો કોઈ મોટો અંગ્રેજ ઉપરી પણ હાજર નહિ. એટલે રૂસ્તમજીએ આગેવાની લઈને કોળી સેનાની મદદથી સીદીઓને હરાવીને તગેડી મૂક્યા. અને પછી તરત આ ખબર કાસદ દ્વારા મોકલ્યા સુરતની અંગ્રેજ સરકારની કોઠીએ. તેમની મુખ્ય માંગણી હતી મુંબઈનો કારભાર સંભાળવા માટે કોઈ અંગ્રેજ અમલદારની નિમણૂક કરવાની.

સુરતથી હાકેમ આવ્યો પણ ખરો. રુસ્તમજીની બહાદુરીની તારીફ કીધી. એક અંગ્રેજ અમલદારની નિમણૂક કરી. અને રૂસ્તમજીની બહાદૂરી અને વફાદારીની કદર રૂપે તેમની નિમણૂંક મુંબઈના ‘પટેલ’ તરીકે કરી, અને એ પણ વંશપરંપરાગત! અને ત્યારથી રૂસ્તમજી અને તેના વંશવારસો ‘પટેલ’ તરીકે ઓળખાવા લાગ્યા. એટલું જ નહિ, માછીમારો પાસેથી રૂસ્તમજી જે ‘બોડી ટેક્સ’ ઉઘરાવે તેનો અમુક ભાગ તેમને મળે એવી જોગવાઈ પણ કરી. અને હા, કોળીઓમાં અંદરોઅંદર જે કાંઈ નાના-મોટા ટંટાફિસાદ થાય તેનો ઇન્સાફ કરવાનું કામ પણ એવણને જ સોંપ્યું. હવે, તે વખતે મુંબઈ આવવાજવા માટે જમીન રસ્તા તો હતા જ નહિ. બધી આવનજાવન દરિયાઈ માર્ગે નાનાંમોટાં વહાણો દ્વારા. એટલે કંપની સરકાર કાયમ માટે જરૂર પ્રમાણે વહાણો ભાડે રાખે. આ રીતે વહાણો ભાડે રાખવાનું કામ પણ રૂસ્તમજીને સોંપાયું. અને તે પણ વંશપરંપરાગત ધોરણે! આ વહાણોને જે જરૂરી માલસામાન જોઈએ તે પૂરો પાડવાનો ‘કન્ટરાક’ પણ રુસ્તમજી પાસે! વળી બીજી બી એક તજવીજ કીધી. મુંબઈના બારામાં માછીમારોની જે બી હોડી કે વહાણ નાંગરે તેની પાસેથી વહાણ દીઠ એક માછલી ઉઘરાવવાનો હક્ક રુસ્તમજીને આપ્યો! અને આ બધા ઉપરાંત દર મહિને આજના ૬૯ રૂપિયા જેટલો માતબર પગાર પણ બાંધી આપ્યો!

મચ્છીમારી પછી મુંબઈના રહેવાસીઓનો બીજો મુખ્ય ધંધો હતો ખેતીનો! હવે તો ખેતવાડી, ફણસ વાડી, કાંદા વાડી, ફોફળ વાડી, તાડ વાડી, મુગભાટ લેન જેવાં લોકજીભે ટકી રહેલાં નામોમાં જ એ ખેતરો જોવા મળે. એ વખતે મુખ્ય પાક ડાંગરનો. અને ખેતરમાંના પાકની લણણી કરતાં પહેલાં ખેડૂતો સરકારી વેરો ભરી, રૂસ્તમજી પાસેથી લિખિત પરવાનો લઈ, પછી જ લણણી કરી શકતા.

રૂસ્તમજી પટેલ એક પછી એક ત્રણ વાર અદરાયા. તેમાં ત્રીજી વખત અદરાયા તેની હકીકત તો બડી ગમ્મત ભરેલી છે. એવણનું નામ પિરોજાબાઈ. જનમ ઈરાનમાં. એ વખતે દેખાવડી છોકરીઓને ઉપાડી જતા એટલે તેમનાથી બચાવવા મા-બાપે એક જર્મન મુસાફરને સોંપી અને કહ્યું કે આ છોકરીને હિન્દુસ્તાન લઈ જજો અને બને તો કોઈ સારા જરથોસ્તી વેરે અદરાવજો. પિરોજાબાઈ હિન્દુસ્તાન આવ્યાં ત્યારે એમની ઉંમર ૧૩-૧૪ વરસની. મુંબઈ આવીને પેલા મુસાફરે ભીખા બહેરામને એ છોકરી સોંપીને કહ્યું કે કોઈ સારો પારસી છોકરો જોઈ એની વેરે આ છોકરીને પરણાવજો.

આ ભીખા બહેરામ તે આજના ચર્ચ ગેટ સ્ટેશનથી થોડે દૂર આવેલો પ્રખ્યાત કૂવો બંધાવનાર શેઠ. તેમની અટક તો હતી ‘પાંડે’ પણ વધુ જાણીતા ભીખા બહેરામ તરીકે. એવણનો જનમ ક્યારે થયેલો તે તો જાણવા મળતું નથી. પણ બેહસ્તનશીન થયા તે ઈ.સ. ૧૭૮૩ના ઓગસ્ટની ૨૩મી તારીખે. છેક ૧૭૨૫માં તેમણે ‘અંગ્રેજ બજાર’(આજનું હોર્નિમેન સર્કલ)માં દુકાન ખોલી હતી. તેમાં ગ્રેટ બ્રિટનથી આયાત કરેલો સામાન વેચતા. મોટા ભાગના ઘરાક અંગ્રેજ, જે ભીખાશેઠને એક પ્રામાણિક દુકાનદાર તરીકે ઓળખતા. તેમણે કૂવો બંધાવ્યો ત્યારે નહોતું ચર્ચગેટ સ્ટેશન, નહોતી ચર્ચ ગેટ સ્ટ્રીટ. કિલ્લાની બહારની જગ્યા ‘પવન ચક્કીના મેદાન તરીકે ઓળખાતી કારણ ચર્ચ ગેટની બહાર મોટી પવન ચક્કી હતી. તેનાથી થોડે દૂર ભીખાશેઠે બંધાવ્યો કૂવો. અને એ કૂવાથી થોડે દૂર હતો દરિયા કિનારો.

ભીખાજીના વડવા ખરશેદજી પહોંચાજી પાંડે ઈ.સ. ૧૬૬૫માં ભરૂચ છોડી મુંબઈ આવેલા. એ વખતે ગુજરાતમાં મરાઠા અને મુસલમાનો વચ્ચે લડાઈ ચાલતી હતી. કોણ જાણે કેમ પણ ખરશેદજી જાસૂસ હોવાનો વહેમ પડ્યો એટલે તેમને કર્યા કેદ. વલસાડ પાસેના પારનેરાના કિલ્લામાં બનાવ્યા બંદીવાન. પણ પછી ત્યાંથી છૂટીને આવ્યા મુંબઈ. એ વખતે તો હજી મુંબઈનો કિલ્લો બંધાતો હતો. એટલે અહીં આવીને મજૂરો અને બાંધકામ માટેનો સામાન પૂરો પાડવાનો કોન્ટ્રેક્ટ લીધો.

એ વખતે કેટલાક પારસી જુવાનો કોટ વિસ્તારમાં આવેલા તળાવની પાળે ભેગા બેસી ગપ્પાં મારતા. (ત્યારે મુંબઈમાં ઘણી જગ્યાએ આવાં નાનાં-મોટાં તળાવ હતાં.) ભીખા બહેરામ પિરોજાબાઈને એક સાંજે ત્યાં લઈ ગયા. અને પેલા છોકરાઓની ઓળખાણ કરાવીને કહ્યું કે આમાંથી કોઈ પણ એકને પસંદ કરી લે. પણ તેમાંના કોઈની સામે પણ જોયા વગર છોકરીએ તો અજાણ્યા રૂસ્તમજી પાસે જઈને એમનો હાથ પકડી લીધો! આ જોઈને ભીખા બહેરામ શેઠ તો ડઘાઈ જ ગયા. પણ કોઈ કશું બોલે એ પહેલાં હાથ છોડાવીને રૂસ્તમજી તો ત્યાંથી ચાલતા જ થયા! બીજે દિવસે પિરોજાબાઈને લઈને ભીખાશેઠ એ જ જગ્યાએ ગયા. પણ તે દિવસે તો રુસ્તમશેઠ બીકના માર્યા ત્યાં આવેલા જ નહિ! એટલે ભીખાશેઠે કહ્યું : ‘હવે તો તમુ બીજા કોઈ માટીડાને પસંદ કરી લો.’ ફરી એ જ જવાબ : ‘અદરાઉં તો રૂસ્તમજી શેઠ સાથે. બીજા કોઈ સાથે નહિ.’ છેવટે પીરોજાને સાથે લઈને ભીખાશેઠ અને બીજા બે-ચાર મોવડીઓ રુસ્તમજીને ઘરે ગયા. અને તેમને પિરોજાબાઈ સાથે લગ્ન કરવા મનાવ્યા. આગલી બે ધણિયાણીથી સંતાન થયું નહોતું એ ખોટ પણ પછી પિરોજાબાઈએ પૂરી કરી, ચાર ચાર દીકરા આપીને. એ ચાર તે કાવસજી, દોરાબજી, કેખુશરો, અને તેહમૂલજી. ઘણી જાહોજલાલી ભોગવીને 96 વરની પાકટ વયે રુસ્તમજીશેઠ પરવરદિગારની ખિદમતમાં પહોંચી ગયા.

ત્યારે ‘પટેલ’નો હોદ્દો તેમના ૧૯ વરસની વયના કાવસજીને મળ્યો. એમનો મુખ્ય વ્યવસાય નાના મોટા વાહન સરકારને પૂરા પાડવાનો. ઈ.સ. ૧૭૭૪મા મરાઠા સરદાર રઘુનાથ દાદાસાહેબ પાસેથી ઠાણે અને વસઈની હકૂમત અંગ્રેજ સરકારે લઇ લીધી ત્યારે એ બંને જગ્યાનો વહીવટ સરકારે કાવસજી શેઠને સોંપ્યો. કારણ હવે માછીમારો પરનો ‘બોડી ટેક્સ’ અહીં પણ લાગુ કરવાનો હતો. કહેવાય છે કે થાણેનો તાલુકો અંગ્રેજ હકૂમત નીચે આવ્યો ત્યાર ત્યાં પારસીઓની વસ્તિ મુદ્દલ હતી જ નહીં. પણ ત્યાં જરૂરી સગવડો ઊભી કરીને એવાને ઘણા પારસીઓને વસાવ્યા. અને હા, પેલું સી.પી. ટેંક નામનું તળાવ ઈ.સ. ૧૭૮૦ના અરસામાં બંધાવ્યું તે પણ આ કાવાસજી પટેલ શેઠે જ. ૧૮૩૪ સુધી તો એ તળાવ અંગેનો નાનોમોટો બધો ખર્ચ આ પટેલ કુટુંબ જ કરતુ હતું. પણ પછી સરકારે આ તળાવ પોતાને હસ્તક લઇ લીધું અને ત્યારથી એની પાછળનો બધો ખરચ પણ સરકાર કરવા લાગી. સખાવતનાં બીજા કામ બી કર્યા પછી ૫૪ વરસની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા.

કહે છે કે કાવસજી એકદમ ફૂટડા, દેખાવડા હતા, અને એટલે માતાએ તેમણે પહેલેથી જ ઈરાની પોશાક જ પહેરાવ્યો હતો. કાવસજીએ પણ આખી જિંદગી એ જ પોશાક અપનાવ્યો હતો. પટેલ ખાનદાનનાં કાવસજી પછેના નબીરાઓ વિશેની વાતો હવે પછી.

જો કે બે-ત્રણ પેઢી પછી રૂસ્તમજી પટેલના પોતારાઓ આમાંની કોઈ જવાબદારી સંભાળી શક્યા નહિ. એટલે તેમની પાસે રહી ફક્ત ‘પટેલ’ની અટક.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2022

Loading

હિન્દુઓ રામ ભરોસે તો નથી છોડી દેવાયાને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 July 2022

આપણા વડા પ્રધાન ‘વાતોનાં વડાં’ પ્રધાન પણ છે. એ એટલા વ્યસ્ત છે કે ભગવાનની જેમ અત્ર તત્ર સર્વત્ર પ્રગટ થાય છે. ઘડીકમાં એ અમેરિકી પ્રમુખ સાથે હાથ મેળવતા દેખાય છે તો ઘડીકમાં, ભા.જ.પ.ની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં – તુષ્ટિકરણ નહીં, પણ તૃપ્તિકરણનો મહિમા કરતા દેખાય છે. એક દિવસ એ 7 ડિજિટલ સેવાઓ દેશને સમર્પિત કરે છે, તો એક દિવસ એ દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પોસ્ટરમાં આવકારે છે. એ જુદી વાત છે કે ત્યાં પણ દ્રૌપદીજીને બદલે ફોટામાં દર્શન તો સાહેબનાં જ થાય છે. અનેક જગ્યાએ સાહેબ દર્શન દે છે. કદીક જો અંતર્ધ્યાન થયેલા જણાય તો માનવું કે એ દિવસે વર્તમાનપત્રો બંધ રહ્યાં હશે. સગવડો હોય ને માણસ પહોંચી વળે એ જુદી વાત છે, પણ વડા પ્રધાનને બધું જ આવડે એ સાહેબે નોટબંધી, કૃષિકાનૂન, અગ્નિપથ જેવાં પ્રકરણોમાં વખતોવખત સાબિત કરી આપ્યું છે. દેશમાં ઓછું રહેતા હોય તો પણ તેમણે વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કર્યું નથી એ જ સ્વદેશીનો મહિમા કરવા પૂરતું છે. મહત્ત્વના પદ પર આવ્યા પછી માણસને થોડો પ્રમાદ ઘેરી વળતો હોય છે, પણ વડા પ્રધાન થાકતા નથી. દરેક મુદ્દે એમણે કૈં ને કૈં કહેવાનું હોય છે ને રોજ કહેવાનું હોય છે. એમણે જ મનની વાતો એટલી કહેવાની હોય છે કે લોકોને પણ મન છે ને એમણે ય કૈં કહેવાનું હશે એવું તો યાદ જ નથી આવતું. આ એ જ પ્રજા છે જેણે સાહેબના એક અવાજ પર ગેસની સબસિડી જતી કરેલી. એ પ્રજા રાંધણ ગેસ પર વર્ષમાં 244 રૂપિયાનો બોજ કેવી રીતે વેંઢારે છે એ સવાલ સાહેબને થતો નથી તેનું આશ્ચર્ય છે.

હજી સુધી તો ભારત લોકશાહી દેશ છે ને સમ ખાવા પૂરતો વિપક્ષ પણ છે જ, એ કેટલો રહેશે તે નથી ખબર, પણ સાહેબે ભક્તોનો વિશાળ સમુદાય અંકે કર્યો છે ને એ જતે દિવસે વિપક્ષ મુક્ત ભારત કરે તો નવાઈ નહીં ! સાહેબે શું ભણાવ્યું હશે તે નથી ખબર, પણ કોઈ મંત્રી, કોઈ પ્રદેશ પ્રમુખ, કોઈ સાંસદ, કોઈ  વિધાનસભ્ય કે કોઈ કોર્પોરેટર ટી.વી. પર સાહેબના નામના મણકા ન ફેરવતા હોય એવું બનતું નથી. આટલો ભક્તિભાવ દેશ આખામાં ઊભો કરવો એ રમત વાત નથી. આટલો પ્રભાવ પાથર્યા પછી એટલું સહેલાઈથી કહી શકાય કે દેશે હાલવું હોય તો ભલે હાલે, પણ સાહેબની ઈચ્છા વગર પાંદડું ય હાલે એમ નથી. સમજી શકાય એવું છે કે આદર્શો, સિદ્ધાન્તો, સ્થાપન, ઉત્થાપન આ બધું જ સાહેબને ઇશારે થતું હશે. જો આ સાચું હોય તો પૂરા આદર સાથે એ વાત ઉમેરવાની થાય કે દેશમાં હિન્દુઓનો અવાજ સંભળાતો થયો હોય તો એ સાહેબની ઇચ્છાનો જ પડઘો છે, બાકી હિન્દુઓને તો પૂછતું જ કોણ હતું? એક વાત સ્પષ્ટ છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી. નથી જ ! પણ, હિન્દુ પ્રજાને મગમાંથી પગ તો ફૂટ્યા જ છે. એમ હોય ને હિન્દુ પ્રજા હિન્દુત્વનો સ્વર બુલંદ કરે ને એનો સરકારને વાંધો ન હોય તો એ આ અવાજનું સમર્થન કરે છે એમ માનવું પડે. પ્રજા એવો અવાજ બુલંદ કરે ત્યારે તેને ઊંડે ઊંડે એવી આશા હોવાની કે કૈં થશે તો સરકાર તેની સાથે છે. એ આશા ઠગારી નીવડી રહી હોય એવું છેલ્લા થોડા દિવસોમાં લાગવા માંડ્યું છે.

આમાં એક પળ માટે પણ વિધર્મીઓની અવગણનાની વાત નથી, પણ કોઈક કારણસર જો થોડા વિધર્મીઓ આક્રમક થાય તો સરકારની ભૂમિકા કેવીક હશે એ પ્રશ્ન મૂંઝવે છે. એમ લાગે છે કે હિન્દુઓનો અવાજ વધવાનું શરૂ થયું ત્યારથી મુસ્લિમોને અસલામતી વધતી લાગી છે. એ ખરું કે હિન્દુઓએ માઇક પરથી થતી અજાનનો વાંધો ઉઠાવ્યો છે છતાં તે બંધ નથી કરાવી, પણ હનુમાન ચાલીસા માઇક પરથી શરૂ કરાઇ છે. જો અજાનથી પ્રદૂષણ વધતું હોય તો ચાલીસાથી કઇ રીતે ઘટે તે સમજવાનું મુશ્કેલ છે. બનવું તો એવું જોઈએ કે દરેક ધર્મના વડા પોતે જ સમજીને અવાજ ન થાય એવો પ્રબંધ કરે. આમ તો સ્વતંત્રતા પહેલાં ને પછી પણ માઇક પરથી અજાન પોકારાતી જ હતી, પણ ત્યારે હિન્દુઓ વિરોધ કરી શકે એમ ન હતું, કારણ ત્યારે ધાક લાગતો. કાઁગ્રેસી સરકારો મત મેળવવા લઘુમતીઓને પંપાળતી રહી ને એમાં લઘુમતીનો અવાજ બુલંદ રહ્યો. આ સ્થિતિ ભા.જ.પ.ની સરકાર કેન્દ્રમાં બની ત્યારે સુધરી. હિન્દુઓ બોલતા થયા. હિન્દુ ધર્મનાં વિધિવિધાનોનું જાહેર વર્ચસ્વ વધતું આવ્યું. હિન્દુ મતોનું મહત્ત્વ સમજાયું ને તેમને પ્રોત્સાહન વધ્યું. હિન્દુઓ પણ મિજાજ ધરાવતા થયા, છતાં એ હકીકત છે કે આખા ઇતિહાસમાં કોઈ હિંદુએ તલવારને જોરે કોઈ મુસ્લિમને હિન્દુ બનાવવાની કોશિશ નથી કરી કે ન તો બાબરી અગાઉ કોઈ મસ્જિદ તોડી છે. બાબરી પહેલાં તો હિન્દુઓ જ માર ખાતા આવ્યા છે. આ પ્રજા સહિષ્ણુ ને ધર્મભીરુ હતી. છે. એવું ન હોત તો મોગલો બહારથી આવીને મંદિરો તોડવામાં ને ઉપર મસ્જિદ સ્થાપવામાં સફળ થયા ન હોત.

બધું પોતાના ધર્મમાં જ છે એવી માન્યતાઓ હિન્દુઓમાં પણ ઘર કરવા માંડી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં એવું બન્યું છે કે વ્યક્તિગત અનુભવો આખી કોમ તરફના તિરસ્કારનું કારણ બન્યા છે. થોડાક વિધર્મીઓ કે થોડાક હિન્દુઓને કારણે આખી કોમ ખરાબ ગણાવા લાગી છે ને નફરત પણ આખી કોમ માટે ફેલાવા લાગી છે. એમાં સોશિયલ મીડિયાએ ને કેટલાંક ગ્રૂપે ઉમેરો કર્યો છે. એક વાત સમજી લેવાની રહે કે ન તો હિન્દુની કે ન તો વિધર્મીની આખી કોમ ખરાબ છે, પણ કમનસીબે નફરત આખી કોમ માટે વધી છે. કાશ્મીરી પંડિતો પરના અત્યાચારે ને પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિઓએ મુસ્લિમો તરફનો અણગમો વધારવાનું કામ કર્યું છે. એ સારું થયું કે ખરાબ, પણ ધાર્મિક શિક્ષણે પણ નફરત વધારવાનું જ કામ કર્યું છે. બાકી હતું તે ટી.વી. ચેનલોએ ધાર્મિક વિવાદ વકરે એની કાળજી લીધી છે. આ બધું સરકારની જાણ બહાર થયું હોય એમ માનવાનું મુશ્કેલ છે. ભા.જ.પ.ની સરકારોમાં હિન્દુઓ વધારે બોલકા થયા છે ને એમાં મંત્રીથી માંડીને પ્રવક્તા કે સાધારણ માણસ પણ બાકાત નથી. એટલા બધા લવારા ધર્મને નામે થયા છે કે એમાંથી જ્ઞાન શોધવાનું મુર્ખાઈ ભરેલું લાગે. એમાં વાત જો સરકાર સુધી આવી તો તે બે કામ કરે છે, કયાં તો તે બુલડોઝર ફેરવી દે છે અથવા તો પક્ષમાંથી તગેડી મૂકે છે, પણ એથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.

નુપૂર શર્માએ ધાર્મિક ટિપ્પણી કરી ને જે સંજોગોમાં કરી તેની તપાસમાં નથી સરકાર પડી કે નથી સુપ્રીમ કોર્ટ પડી. એણે આખા દેશમાં એક પ્રકારની અશાંતિ ને અકળામણ ઊભી કરી છે. એનું પરિણામ એ આવ્યું કે પોતે નુપૂર શર્માનાં સમર્થનમાં છે એવું કોઈ કહે તો તેને માથે મોત ઊભું થઈ જાય. એ જ મુદ્દે અમરાવતીના એક કેમિસ્ટનું અને ઉદેપુરના એક દરજીનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી દેવાઈ છે. એના તાર આતંકી પ્રવૃત્તિ સુધી લંબાયા છે. એ ઉપરાંત જેમણે પણ શર્માના સમર્થનમાં હોવાની વાત કરી છે એમને હત્યાની ધમકીઓ મળી છે. કાયદો, કાયદાનું કામ કરશે એવું આશ્વાસન અપાય છે. એ તો કરશે ત્યારે કરશે, પણ આમ, નિર્દોષોનાં ઘાતકી રીતે મોત થતાં રહે તો એ અટકાવવા કૈં થઈ શકે એમ છે કે ખૂન થયા પછી કાયદો, કાયદાનું કામ કરે એની રાહ જોવાની છે તે સમજાતું નથી.

કાયદો પણ કાયદાથી કેટલુંક કામ કરશે એ પણ પ્રશ્ન જ છે. નુપૂર શર્માએ સુપ્રીમમાં માંગ કરી કે તેનાં પર થયેલા કેસો સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે, પણ તે ચલાવવા પહેલાં જ સુપ્રીમની બેન્ચે તેને એમ કહીને ચુકાદો આપી દીધો કે દેશમાં જે કૈં બની રહ્યું છે એને માટે એ જ જવાબદાર છે ને તેણે ટી.વી. ચેનલ પર આવીને જાહેરમાં માફી માંગવી જોઈએ. આમ થતાં શર્માને ન્યાય મેળવવાથી જ વંચિત કરી દેવા જેવું થયું છે. સુપ્રીમના જજ સૂર્યકાંત અને જજ પારડીવાળાએ જે રીતે શર્માને જવાબદાર ઠેરવી એમાં કાયદા કરતાં અંગત અણગમો જાહેર થઈ ગયો હોય એવું વધારે લાગ્યું. એને કારણે ઘણાં હિન્દુઓ નારાજ થયા ને સુપ્રીમની ટિપ્પણીઓ સામે લગભગ 117 ગણમાન્ય ભારતીયોએ સી.જે.આઈ. રમણાને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. આ ભારતીયોમાં હાઈકોર્ટના પૂર્વ જજ, અમલદારો, સૈન્યના અધિકારીઓ … વગેરે છે. પત્રમાં એ પુછાયું છે કે બેન્ચની ટિપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા અને સિદ્ધાન્તો અનુસાર હતી તો એનો આદેશમાં ઉલ્લેખ કેમ નથી?

માથાં કાપવાની બે ઘટનાથી આખો દેશ ખળભળી ઊઠ્યો છે અને ભય અને આઘાતનું વાતાવરણ છે, ત્યારે દેશનો કોઈ મંત્રી આ બાબતે બોલવા તૈયાર નથી એ વધારે આઘાતજનક છે. આમ તો રાજ્યમાં હિન્દુ ધર્મના પાઠ ભણાવવાની વાતો ચાલતી હોય, ગીતાનો રાજકીય સ્તરે મહિમા વધારાતો હોય ત્યારે રાજ્યસરકાર કે કેન્દ્ર સરકાર એ રીતે ચૂપ છે, કેમ જાણે આ હત્યાઓ ભારતની બહાર બની છે. આ ઠીક નથી. વડા પ્રધાન છાશવારે અનેક મુદ્દે બોલતા રહેતા હોય કે કેન્દ્રીય ગૃહ મંત્રી હિન્દુત્વની વાતો ફેલાવતા રહેતા હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ધાર્મિક વિધિવિધાનોનો આગ્રહ રાખતા હોય એ સાહેબો, નિર્દોષ દરજી અને કેમિસ્ટનું ગળું કાપી નાખવાને મુદ્દે ચૂપકીદી સેવે ત્યારે એમ માનવાનું છે કે જે ધાર્મિક વાતોનો તેઓ પુરસ્કાર કરે છે એમાં તેમને મત મેળવવા સિવાય બીજો કોઈ રસ નથી? એક તરફ ધાર્મિક તીવ્રતા જગવવાની પ્રવૃત્તિઓનો પુરસ્કાર થતો હોય ને એનાં પરિણામ સ્વરૂપ કોઈ ધાર્મિક સ્ટેન્ડ લે તો તેની સાથે સરકાર નથી એમ માનવાનું છે? વિદેશી રાષ્ટ્રોની બીકે સરકારે/પક્ષે જેમ પ્રવક્તાથી હાથ ખંખેરી લીધા એમ એ જનતાથી પણ હાથ ખંખેરી લેશે, એવું? જેણે પણ હિન્દુત્વનો ઝંડો ઊંચકવો હોય તેણે પોતાને ખર્ચે ને જોખમે તેમ કરવું એવું તો સરકારનું કહેવું નથીને? એમ લાગે છે કે સરકારે હિન્દુઓને ફરી એક વાર રામ ભરોસે છોડી દીધા છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જુલાઈ 2022

Loading

ધર્મનાં મૂળ તત્ત્વો અને એનાં આવરણો

મનસુખ સલ્લા|Opinion - Opinion|8 July 2022

અત્યારે દેશમાં જે માહોલ છે તેમાં લાગણીઓ વધુ સક્રિય છે. અંગત સંબંધોમાં લાગણી બળ પૂરું પાડે, પરંતુ રાષ્ટૃ કે તમામ નાગરિકો વિશે વિચારીએ ત્યારે નિરપેક્ષ વિચારને કેન્દ્રમાં મૂકવો જોઈએ. અત્યારનો મુખ્ય પ્રશ્ન ‘ધર્મ’ના સ્વરૂપ વિશેનો છે. તમામ ધર્મોના પ્રવર્તકો કોઈ વ્યક્તિ હોય છે. તેઓનાં મહાન કાર્યો અને વિચારોને કારણે લોકોએ તેમને ભગવાન, ખુદા, ઈશ, ગોડ તરીકે સ્વીકાર્યા હોય છે.

ધર્મ માટે એક સાદી વાત એ છે કે તેમાં અન્ય ધર્મ માટે આદર હોય, સન્માન હોય. કોઈ પણ ધર્મને ઊંચો કે નીચો ગણવાની જરૂર નથી. વળી ધર્મક્ષેત્રમાં બળજબરી, લાલચ કે ભયને સ્થાન નથી. એવું કરનારા ધાર્મિક તો નથી જ.

હવે એ વિશે સ્પષ્ટ થવું જરૂરી છે કે તમામ ધર્મોનાં મૂળ તત્ત્વો લગભગ સમાન હોય છે. માણસાઈને પોષણ આપનારા હોય છે. કોઈ પણ ધર્મ મનુષ્યનાં શુભ તત્ત્વોનો જ પુરસ્કાર કરે છે. સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સાદગી, નિરહંકાર, વિશ્વાસ વગેરેને જે ધર્મો પુરસ્કારતા હોય છે, કારણ કે એ મૂળ તત્ત્વો છે.

સાથે જ ધર્મ સાથે વ્યવહાર, રીતરિવાજ, ઉપાસના પદ્ધતિ પણ જોડાયેલાં હોય છે. એમાં તફાવત હોય તે સહજ છે. એ તફાવત માટે ન પક્ષપાત હોય, ન નફરત હોય. કારણ કે ધર્મ આખરે તો વ્યક્તિની અંગત બાબત છે, પસંદગી છે. જેને જે રુચે તે ધર્મ પાળે. એ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. હિન્દુધર્મ તો નાસ્તિકનો પણ સ્વીકાર કરે છે. માણસ સ્વભાવ અને વલણ મુજબ જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ પસંદ કરતો હોય છે. એ વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. એમાં બીજા કોઈએ વચ્ચે નહીં આવવું જોઈએ. સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની બળજબરી એ ધર્મથી વિરોધી બાબત છે. બળજબરી હોય ત્યાં ધર્મ હોઈ શકતો નથી.

છેલ્લી ત્રણ સદીમાં એક નવો વ્યાપક સંદર્ભ, પણ ઊભો થયો છે − તે લોકશાહી રાજ્યરચનાનો. રાજાશાહી, બાદશાહી કે કોઈ પણ પ્રકારના એકહથ્થુ શાસનની જગ્યાએ લોકશાહી રાજ્યરચના વધુ માનવતાવાદી હોઈ શકે છે. કારણ કે તેમાં બંધારણ અને કાયદાનું શાસન નિર્ણાયક હોય છે.

ધર્મક્ષેત્રમાં પણ મૂળતત્ત્વો સિવાયની બાબતોમાં બંધારણ અને કાયદાનું શાસન જ મહત્ત્વનું રહેવું જોઈએ. બંધારણ માનવ અધિકારોના રક્ષણ માટે હોય છે. લગ્નપ્રથા અને લગ્નસંસ્થા, કાયદાભંગની સ્થિતિ, સ્ત્રીઓ સાથે કે નીચલી ગણાતી જાતિ-જ્ઞાતિ સાથેના વ્યવહારોમાં ધર્મના રીતરિવાજોને બદલે બંધારણના નિયમો જ લાગુ પડી શકે, એ ધર્મની બાબતો નથી, માનવઅધિકારની બાબતો છે, દા.ત. અસ્પૃશ્યતા. આ બાબતોમાં ધર્મને વચ્ચે નહીં લાવવો જોઈએ.

ઈસ્લામમાં વ્યાજ ન લેવું એવી ભલામણ છે. દોઢ હજાર વર્ષ પહેલાં સમાજને જાળવી રાખવા એ જરૂરી હતું. વ્યાજ ન લેવા પાછળ ખ્યાલ એ હતો કે બીજાને મુશ્કેલીમાં મદદરૂપ થવું જોઈએ, એનું વળતર ન લેવાય. આજે બેકીંગ પદ્ધતિ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રવેશી છે. બધા ધર્મના લોકો વ્યાજ લે છે કે આપે છે. પરિસ્થિતિ બદલાતા આ બદલાયું છે. એમાં ધર્મતત્ત્વનો ભંગ નથી. આજે શિક્ષણ, માંદગી, રોજ-બ-રોજની સુવિધાઓ અને સેવાઓ સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ નિ:શૂલ્ક આપે છે. એમાં નબળાને મદદરૂપ થવાની ભાવના જળવાય છે.

ધર્મના ક્ષેત્રમાં શબ્દોને નહીં વળગવું જોઈએ, એની પાછળનાં ભાવના, આદર્શ કે ધ્યેયને સ્વીકારવાં, સમજવાં જોઈએ. છૂટાછેડાનો કાયદો પિતૃપ્રધાન સમાજમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને ઘડાવો જોઈએ. એમાં ધર્મ વચ્ચે આવતો નથી. દરેક ધર્મ સૌ પ્રત્યે કરુણા અને માનવીય ગૌરવની વાત કરે છે તો તેમાં મહિલાઓના ગૌરવની બાદબાકી કેવી રીતે હોઈ શકે ? સતીપ્રથા, બહુપત્નીત્વ, સ્ત્રીઓના હકો એ ધાર્મિક મુદ્દો નથી સમાજવ્યવસ્થાનો, માનવીય ગૌરવનો મુદ્દો, તમામ નાગરિકને સ્પર્શતો મુદ્દો છે.

કોઈ પણ વિષય, તત્ત્વ કે રચનામાં અમુક પરિસ્થિતિમાં ખાસ હેતુથી અમુક બાબતો ગોઠવાયેલી હોય છે. તેમાં ચિરકાલીન તત્ત્વો હોય છે એમ જ તત્કાલીન જરૂરિયાત હોય છે. પરંતુ સમય જતાં મૂળ (ચિરકાલીન) તત્ત્વોને બદલે વ્યવહારો, પરંપરાઓ, રીતરિવાજો મુખ્ય બની જાય છે. એને જ ધર્મ ગણવાનું પણ શરૂ થઈ જાય છે. એમાંથી એને જાળવવાનું ઝનૂન ઊભું થાય છે.

ધર્મ અને ઝનૂન તદ્દન વિરોધી શબ્દો છે. તમામ ધર્મો તો ઉદાર, સહિષ્ણુ અને કરુણાળુ થવાનું શીખવે છે. પણ થાય છે એથી ઊલટું. તમામ ધર્મોમાં આ માટે સંઘર્ષો થયા છે. એ ધર્મવાળાએ જ એ ધર્મના લોકોને પજવ્યા કે પીડ્યા હોય છે. કોઈ વાર તત્કાલીન જરૂરિયાત માટે સદીઓ પહેલાં કહેવાયું હોય એને નવા સંદર્ભમાં બદલવાની મોકળાશ પણ હોવી જોઈએ. માનવતા મુખ્ય છે, રીતરિવાજ કે ઉપાસના પદ્ધતિ નહીં.

કોઈ પણ ધર્મમાં પૂજારી, પાદરી, મૌલવી કે ધર્મગુરુઓ રચાય છે. કારણ કે તેઓ અમુક ધારા-ધોરણો, વ્યવહારો, રીતરિવાજોને જાળવવાનું કામ કરે છે. પરંતુ તેમના શબ્દોને આખરી નહીં ગણવા જોઈએ. તેઓ પણ માનવીય મર્યાદાઓથી, અહંકાર, સ્વાર્થ કે ઈર્ષાથી ભરેલા હોઈ શકે છે. તેઓ પોતાનું સ્થાન મજબૂત રાખવા ધર્મતત્ત્વોને ગૌણ પણ ગણતા હોઈ શકે છે. એટલે વીસમી સદીના મહાન સાધક રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, ‘દાણો બંધાય માટે ફોતરાં જરૂરી હોય છે, પણ આપણે ફોતરાં નહીં, દાણા ખાઈએ છીએ.’ આ વિવેક ધર્મક્ષેત્રમાં જાળવવા જેવો છે.

લોકશાહીના નાગરિક તરીકે આપણે ધર્મનાં મૂળ તત્ત્વો(સત્ય-પ્રેમ-કરુણા)ને પારખવા અને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂજારી, પાદરી કે મૌલવીઓએ જો ધર્મનાં મૂળતત્ત્વો આડે પડદો ઊભો કર્યો હોય તો એને પારખીને હટાવવો જોઈએ. જે કોઈ આપણે સત્ય-પ્રેમ-કરુણા સુધી લઈ જાય તેનો આદર કરીએ, પરંતુ જેઓ આપણને સંકુચિત, અભિમાની કે વિદ્વેષી બનાવે તેનાથી વેગળા થવું જોઈએ.

ધર્મતત્ત્વો અને એની ઉપાસના-પદ્ધતિ અને રીતરિવાજો એક નથી. રીતરિવાજો અને ઉપાસના પદ્ધતિઓનું મહત્ત્વ ત્યાં સુધી જ છે કે એ આપણને ધર્મતત્ત્વ સુધી લઈ જાય.

આજે માસમીડિયાનું ગાંડું પૂર આવ્યું છે. તેથી અસ્પષ્ટતા, ગેરસમજ, સંદર્ભરહિત હકીકતો, આખી વાતમાંથી ઉતરડીને અમુક જ બાબતને ઉપસાવવી આ બધું શક્ય બન્યું છે. કરુણતા એ છે કે લોકો વગર વિચાર્યે એને સ્વીકારે છે.

ધર્મક્ષેત્ર એવું શ્રદ્ધાક્ષેત્ર છે કે લોકો તપાસવા કે વિચારવાને બદલે માનીને બધું સ્વીકારી લે છે. રામકૃષ્ણ પરમહંસે બહુ વાજબી કહ્યું છે કે, ‘જેમ રૂપિયો સાચો છે કે બોદો એ ખખડાવીને લો છો એમ ગુરુને ખખડાવીને પસંદ કરવો જોઈએ.’ નહીં તો પૂજારી, પાદરી, મૌલવી આપણી આંખે પાટા બંધાવી દે એવું પણ બની શકે છે.

રાજકીય પક્ષો પણ જીતવાના સ્વાર્થમાં ગમે તેવાં વિધાનો, અવલોકનો કે અભિપ્રાયો રજૂ કરતા હોય છે. એના કેન્દ્રમાં સત્તા અને સ્વાર્થ હોય છે. પણ આપણે કાળજુ ઠેકાણે રાખીને એમને સાંભળવા જોઈએ. જે વિચાર કે અભિપ્રાય રાષ્ટૃને અને સમાન્ય જનને સમૃદ્ધિ, સ્વસ્થતા અને શાંતિ આપી શકે તેવો હોય તેનો જ સ્વીકાર કરવો જોઈએ. ધર્મનાં વાઘાં પહેરાવીને વહેંચાતા વિચારોને પારખતાં અને છોડતાં શીખવું એ આજની ગંભીર આવશ્યક્તા છે.

બહુ સાદી રીતે કહીએ તો જે જોડે, વિરોધને શમાવે અને સંવાદિતા વધારે એ જ ખરો ધર્મ છે. એ સિવાયનું ધર્મતત્ત્વ સિવાયનું છે. આપણે આવા કાળમાં દાખલ થઈ ચૂક્યા છીએ એ ધર્મના ભેદ વિના તમામ નાગરિકોએ સમજવું પડે તેમ છે.

06 જુલાઈ 2022

e.mail : mansukhsalla@gmail.com

C/403, Surel Apartment, Judges’ Bunglows area, AHMEDABAD – 380 015, India

Loading

...102030...1,4261,4271,4281,429...1,4401,4501,460...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved