Opinion Magazine
Number of visits: 9670978
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિહારની ઘટના પ્રજામાનસમાં ચાલતી ચહલપલનું પરિણામ

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2022

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ચોથીવાર પલટી મારવાથી દેશના સેક્યુલર રાજકારણની તાકાતમાં વધારો થવાનો નથી કે દેશના વિરોધ પક્ષોની સંયુક્ત તાકાતમાં પણ વધારો થવાનો નથી. ઊલટું કદાચ એ વધારે ક્ષીણ થશે. આમાં સેક્યુલર ભારતની ચિંતા કરનારાઓએ રાજી થવાની જરૂર નથી, ઊલટું શ્રદ્ધેય રાજકીય વિકલ્પ ક્યાં છે એવા પ્રશ્નનો જવાબ આપવો તેમના માટે મુશ્કેલ બનશે.

ગયા અઠવાડિયે મેં મારી કોલમ માટે લેખની શરૂઆત જ ઉપર મુજબનાં કથન દ્વારા કરી હતી અને એ માટેનાં મારાં કારણો આપ્યાં હતાં. પણ એ પછીના એક અઠવાડિયામાં સામેના છેડાનો પણ એક દૃષ્ટિકોણ સામે આવી રહ્યો છે અને એ કંઈક અંશે સમજાય એવો છે એ એટલે એ તમારી સમક્ષ રજૂ કરું છું.

કોઈ સ્થિતિ કાયમ માટે જળવાતી નથી, એમાં પરિવર્તન થતાં હોય છે, તેની સામે પડકારો પેદા થતા હોય છે અને એક દિવસ તેનો અંત આવતો હોય છે. આ સનાતન સત્ય છે. વર્તમાન શાસકો સામે અથવા હિંદુ રાષ્ટ્ર સામે ત્રણ સંભવિત પડકાર નજરે પડી રહ્યા છે. એક પડકાર આર્થિક મોરચે, બેરોજગારી અને મોંઘવારી. ગળા સુધી આવી જાય ત્યારે દીકરો પણ બાપ સામે વિફરતો હોય છે તો આ તો પ્રજા છે. શ્રીલંકા આનું તાજું ઉદાહરણ છે. બીજો સંભવિત પડકાર નજરે પડે છે, સમવાય ભારત તરફથી સમવાય ભારત બચાવી રાખવા માટેનો. અને ત્રીજો પડકાર સરહદે નજરે પડી રહ્યો છે. ખાસ કરીને ચીન તરફથી.

આ ત્રણમાંથી કયો પડકાર પેદા થશે એ આપણે જાણતા નથી. કદાચ ન પણ થાય, ઘણા લાંબા સમય સુધી ન થાય અને આપણે કલ્પના પણ ન કરી હોય એવો કોઈ અજાણ્યો પડકાર પેદા થાય. સમાજકારણ અને રાજકારણ કોઈ જ્યોતિષશાસ્ત્રનો વિષય નથી. સપાટીની નીચે અનેક પરિબળો કામ કરતાં હોય છે. કેટલાંકના સંકેત મળે છે અને કેટલાંકના સંકેત સહેજે મળતા નથી. આ ત્રણમાં પહેલો પડકાર મુખ્યત્વે પ્રજાકીય હશે. બીજો પડકાર પ્રજાકીય-રાજકીય કે રાજકીય-પ્રજાકીય હશે અને ત્રીજો પડકાર વિદેશી હશે. પહેલો પડકાર પ્રજાકીય હોવાને કારણે ઉસ્ફૂર્ત હશે. બીજો રાજકીય-પ્રજાકીય ભાગીદારી સાથે પેદા કરી શકાય છે અને ત્રીજા વિષે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે.

નીતીશકુમારે રાજકીય પલટી મારી એ ઘટનાને કેટલાક રાજકીય નિરીક્ષકો ફેડરલ ઇન્ડિયાના ફેડરલ ઇન્ડિયાને બચાવવા માટેના શ્રીગણેશ તરીકે જોઈ રહ્યા છે. હવે ઘણું થયું. ઇનફ ઈઝ ઇનફનું ટાણું આવી ગયું છે એમ રાજકીય પક્ષોને લાગી રહ્યું છે અને પ્રજાને પણ હવે એ સમજાવા લાગ્યું છે. જ્યારે એક સ્પર્ધક શામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને પ્રતિસ્પર્ધીની બે પગે ઊભા રહેવા માટેની જગ્યા જ આંચકવા માંડે અને તેની સામે અસ્તિત્વનું જ સંકટ પેદા કરે ત્યારે દર્શકોની સહાનુભૂતિ નિર્બળ પ્રતિસ્પર્ધી માટે પેદા થવા લાગે છે. એમાં આ તો અસ્મિતાઓનું રાજકારણ છે. તમને ખબર છે? ભારતમાં ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ અને સામ્યવાદી પક્ષોને છોડીને બાકીના તમામ રાજકીય પક્ષો અસ્મિતાઓ(ઓળખ)નું રાજકારણ કરે છે અને એના ઉપર એ નભે છે. કોઈ જ્ઞાતિની, કોઈ ધર્મની, કોઈ ભાષાની તો કોઈ પ્રાંતની. ભારતીય જનતા પક્ષ પણ હિંદુ અસ્મિતાનું રાજકારણ કરે છે.

દેશમાં કૉન્ગ્રેસ એક માત્ર રાજકીય પક્ષ હતો જે કોઈ પણ પ્રકારની ઓળખોને આગળ કરીને સમાજ-વિભાજન કરનારું પૃથક રાજકારણ નહોતો કરતો. એ જ તો તેની તાકાત હતી. પણ પછીનાં વર્ષોમાં કૉન્ગ્રેસના નેતાઓએ જે તે સમાજના મત મેળવવા માટે તેમને રાજી કરનારું રાજકારણ કરીને સર્વસમાવેશકતા સાથે ચેડાં કરવા માંડ્યા અને ધીરેધીરે કૉન્ગ્રેસની સ્થિતિ ધોબીના કૂતરા જેવી થવા લાગી. ન ઘરનો ન ઘાટનો. એક સમયે દરેક પ્રજાને એમ લાગતું હતું કે આ આપણો પક્ષ છે, પણ પછી દરેક પ્રજાને એમ લાગવા માંડ્યું કે આ ફલાણાઓ માટેનો પક્ષ છે આપણો નથી. કૉન્ગ્રેસની ક્ષીણતાનું આ કારણ છે. સામ્યવાદીઓ ઓળખનું ટૂંકું રાજકારણ નહોતા કરતા, પણ તેઓ દેશને રહિતો અને સહિતોમાં વિભાજીત કરીને જે રાજકારણ કરતા હતા તે ભારત માટે વિદેશથી આયાત કરેલું અવ્યવહારુ પોથીનિષ્ટ હતું. આમ આદમી પાર્ટી? કોઈ સવાલ કરી શકે. આમ આદમી પાર્ટીનું રાજકારણ ‘ભારતીય’ હોવા વિષે મને શંકા છે. અરવિંદ કેજરીવાલ ભારતીયતાના પક્ષે બોલતા કે ઊભા રહેતા જોવા મળતા નથી. આમ આદમી પાર્ટી હિંદુભારત માટેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પેદા કરેલી બી ટીમ છે એમ મને લાગે છે.

કૉન્ગ્રેસ ક્ષીણ છે અને રાહુલ ગાંધી લોકો સુધી પહોંચી શકતા નથી એ હકીકત હોવા છતાં ય તમે જોયું હશે કે બી.જે.પી.ના સર્વોચ્ચ નેતાઓ કૉન્ગ્રેસ ઉપર અને રાહુલ ગાંધી ઉપર સતત પ્રહાર કરી રહ્યા છે. કારણ એ છે કે કૉન્ગ્રેસનો વૈચારિક પનો ઘણો મોટો છે અને જો પ્રજાની અંદર એક દિવસ સહિયારી ભારતીયતાનો ભાવ પેદા થાય તો તેનો લાભ માત્ર અને માત્ર કૉન્ગ્રેસને મળે એમ છે. આવું બની શકે છે. હિંદુ અને હિન્દુરાષ્ટ્રને નામે મૂર્ખ બન્યા પછી કોઈને કોઈ દિવસ પ્રજાની આંખ ખુલવાની છે અને ત્યારે મતદાતાઓ સમક્ષ કોઈ વિકલ્પ ન રહેવો જોઈએ. માટે તેઓ નિર્બળ રાહુલ ગાંધીને ગંભીરતાથી લે છે.

પણ આ યુગ અસ્મિતાઓનો છે. ભારતીય પ્રજાની અંદર અસ્મિતાભાવ પ્રબળ બન્યો છે એટલે તો આટલા બધા રાજકીય પક્ષો તેનો લાભ લેવા અસ્તિત્વમાં આવ્યા છે. આ બધા પક્ષો પ્રાદેશિક છે અને દરેકની પોતાની અલાયદી ઓળખ છે. બી.જે.પી. પણ આમાંનો એક પક્ષ છે, ફરક એટલો છે કે તે હિંદુ ઓળખનું રાજકારણ કરે છે અને આજકાલ હિંદુ ઓળખ બીજી ઓળખો ઉપર સરસાઈ ધરાવતી હોવાના કારણે તેની ઘરાકી વધુ છે. યાદ રહે, જનસંઘ(ભારતીય જનતા પક્ષ)ની સ્થાપના ૧૯૫૧ની સાલમાં થઈ હતી અને ત્યારથી તે હિંદુ ઓળખનું રાજકારણ કરે છે, પણ હજુ હમણાં સુધી બીજી ઓળખોની સામે હિંદુ ઓળખ પરાજીત થતી હતી. વાંશિક, ભાષાકીય, પ્રાદેશિક, ધાર્મિક કે જ્ઞાતિકીય ઓળખ સામે જનસંઘ/બી.જે.પી.નો હિંદુ સતત હારતો હતો. આ તો નજીકના ઇતિહાસ છે જે તમને યાદ હશે.

૧૯૯૦ પછી હિંદુ ઓળખ પ્રબળ થવા માંડી એ ખરું, પણ એ સાથે બીજી ઓળખની અપીલ સાવ ખતમ થઈ ગઈ છે એવું નથી. બી.જે.પી.ના નેતાઓને આની જાણ છે. આજે હાથમાં આવેલો હિંદુ આવતીકાલે હિંદુ ઓળખ ફગાવી દઈને અન્યત્ર જઈ શકે છે. આ દેશ ઓળખોનો દેશ છે એટલે ઓળખોની અપીલ બદલાઈ શકે છે. જે ગઈકાલે સાથે નહોતો એ આવતીકાલે સાથે ન હોય એવું બની શકે. જેની પાસે ગઈકાલે સાથ નહીં આપવા માટેનાં કારણો હતાં તેની પાસે એ કારણો આવતીકાલે સાથ નહીં આપવા માટે ઉપલબ્ધ હોવાનાં જ. માટે વ્યાપક સર્વસમાવેશક ભારતીયતાની ઓળખ ધરાવનાર કૉન્ગ્રેસને ખતમ કરો અને એની સાથે નાની વૈકલ્પિક ઓળખ ધરાવનારા પ્રાદેશિક પક્ષોને પણ ખતમ કરો. એ પછી હિંદુ ઓળખ સામે કોઈ પડકાર પેદા થશે તો પણ મતદાતા પાસે કોઈ વિકલ્પ જ નહીં હોય. લોકતંત્રની ઈમારત ટકાવી રાખવાની પણ પ્રાણ હરી લેવાના.

બી.જે.પી.ની આ નીતિ છે અને બી.જે.પી.ના નેતાઓ તે આક્રમકપણે અને ખૂબ ઉતાવળે લાગુ કરી રહી છે. ઉતાવળે લાગુ કરવાનું કારણ એ છે કે આજે જેટલી અનુકૂળતા છે એટલી આવતી કાલે મળશે કે કેમ તેની શંકા છે. આર્થિક અને વિદેશી સંકટ ક્ષિતિજે ઝળુંબી રહ્યાં છે અને સ્થિતિ પ્રવાહી છે. આજના શાસકો પાસે માત્ર સંખ્યાકીય સંસદીય અનુકૂળતા છે, બાકી પ્રતિકૂળતાઓનો પાર નથી. આજે નહીં તો ક્યારે ય નહીં એવી સ્થિતિ છે અને માટે ઉતાવળે અને કોઈ પણ માર્ગે રાજકીય પ્રતિસ્પર્ધીઓના પગ તળેથી જમીન આંચકવામાં આવી રહી છે. ઊભા રહેવા માટે જગ્યા જ ન રહેવી જોઈએ. મહારાષ્ટ્રમાં જે બન્યું એ પરાકાષ્ટા હતી. આ દેશમાં હવે કોઈ રાજકીય પક્ષ સલામત નથી એવો તેનો મેસેજ હતો.

ઉપર કહ્યું એમ ભારતમાં કૉન્ગ્રેસને છોડીને દરેક રાજકીય પક્ષ એક કે બીજી ઓળખનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકીય પક્ષોને અને તે જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે એ પ્રજાને સમજાઈ ગયું છે કે હિંદુ ઓળખ તેમના ઉપર હાવી થઈ રહી છે. બી.જે.પી.ની ઓળખ મિટાવવાની આક્રમકતાને કારણે આજે સરેરાશ હિંદુના માનસમાં ઓળખના દ્વન્દ્વ પેદા થવા લાગ્યા છે. જેટલું અભિમાન હિંદુ હોવા માટેનું છે એટલું જ અભિમાન મરાઠી હોવા માટેનું પણ છે. મરાઠી હોવાની ભાષાકીય ઓળખ એક રીતે નિર્દોષ છે, જ્યારે હિંદુ ઓળખ હિંદુ સમાજમાં ઊંચનીચના અને અધિકારના ભેદ હોવાના કારણે સદોષ છે. અલબત્ત સમગ્રતામાં જુઓ તો કોઈ ઓળખ નિર્દોષ હોતી નથી. આમ મહર્ષિ પતંજલિએ કહ્યું છે.

મહારાષ્ટ્રની ઘટના પછી બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારને સમજાઈ ગયું કે હવે પછી તેમનો વારો આવવાનો છે. એનાથી વધુ તેમને એમ સમજાઈ ગયું કે પ્રજાની અંદર પ્રાદેશિક ચેતના જાગૃત થઈ રહી છે. સહાનુભૂતિ પેદા થઈ રહી છે જે મહારાષ્ટ્રમાં જોવા મળી હતી. દેશના અન્ય રાજકીય પક્ષોને સમજાવા લાગ્યું છે કે બી.જે.પી.નો એજન્ડા હિંદુ ઓળખ સિવાયની બાકીની દરેક ઓળખ મિટાવી દેવાનો છે અને જો મિટાવી ન શકે તો દબાવી દેવાનો છે. કાઁગ્રેસે કોઈ નાની ઓળખને વિકસિત થતા ક્યારે ય રોકી નહોતી, કોઈ પ્રકારના અવરોધ પેદા નહોતા કર્યા. બીજી બાજુ બી.જે.પી. એક એવો રાજકીય પક્ષ છે જે રાજકીય – સંસદીય જ નહીં, સાંસ્કૃતિક પ્રતિસ્પર્ધીને પણ મિટાવી દેવા માગે છે. હિંદુ રાષ્ટ્રીયતાને નામે પ્રાદેશિક રાષ્ટ્રીયતા (જેને અંગ્રેજીમાં સબ-નેશનલિઝમ કહેવામાં આવે છે) સામે જોખમ છે. હિન્દી ભાષાની રાષ્ટ્રીયતાના નામે ઉર્દૂ અને પ્રાદેશિક ભાષાઓ સામે જોખમ છે. હિંદુ બ્રાહ્મણીય સ્વરૂપને કારણે બહુજન સમાજની અસંમતીના અધિકાર સામે જોખમ છે. હિંદુ એકતાના નામે દલિતો અને સ્ત્રીઓના અધિકારો માટેના ઊહાપોહ સામે જોખમ છે. વળી આમાંના મોટાભાગના અધિકારો અને ઓળખો બંધારણમાં સુરક્ષિત કરવામાં આવ્યા છે અને દુર્ભાગ્યે આની રખેવાળી કરવાનું જેનું દાયિત્વ છે એ દેશનું ન્યાયતંત્ર પાણીમાં બેસી ગયેલું જોવા મળી રહ્યું છે.

હિન્દુત્વવાદીઓની અધીરાઈ અને આક્રમકતાને કારણે પ્રજામાનસમાં એક પ્રકારની ચહલ-પહલ શરૂ થઈ ગઈ હે અને હવે તેનાં સંકેત મળવા લાગ્યા છે. બિહારની ઘટના પ્રજામાનસમાં જોવા મળતી આવી ચહલ-પહલનું પરિણામ છે. ઇનફ ઈઝ ઇનફ. ફેડરલ ઇન્ડિયા ફેડરલ ઇન્ડિયાને બચાવવા માટે આક્રમક મોરચો રચી શકે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2022

Loading

બંકિમ ઉજાસમાં રવિ ભણી જતાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 August 2022

પ્રમુખીય

આઝાદીના અમૃત મહોત્સવના માહોલમાં પ્રાયોજિત ને સ્વતઃ સ્ફૂર્ત ઉપક્રમો વચાળે સ્વરાજચિંતન અને રાષ્ટ્રવિચાર આસપાસ ઊહ ને અપોહનાં નિમિત્તો સ્વાભાવિક જ મળતાં રહે છે.

હમણેનાં વરસોમાં આપણે સાહિત્ય પરિષદના ગ્રંથાલયમાં પ્રતિમાસ કોઈ ને કોઈ વિષય લઈને નાનું તો નાનું પણ પ્રદર્શન યોજવાનો ચાલ પાડેલો છે. એને અન્વયે ગયે મહિને તેવીસમી જૂને બંકિમ જયંતીનું આલંબન લઈને સ્વાતંત્ર્યલક્ષી સાહિત્યનું પ્રદર્શન યોજાઈ ગયું. સહજ રીતે જ એમાં બંકિમકૃત નવલકથા ‘આનંદમઠ’ને અગ્રસ્થાન અપાયું હતું. આ નવલકથામાં રાષ્ટ્રનિર્મિતિ, રાષ્ટ્રભક્તિ ને રાષ્ટ્રધર્મ સારુ ખાસું ખાણદાણ પડેલું છે. ખાસ તો ‘વંદેમાતરમ્’ સરખી કહો કે કાલજયી રચના એમાં અંગભૂત શી છે તે આ નવલકથાનો નેજો ફરકાવતી ઇતિહાસઘટના છે. જો કે ઇતિહાસવસ્તુ તરીકે નોંધવું જોઈએ કે ‘વંદેમાતરમ્’ રચાયું તો વહેલાં હતું, સ્વતંત્રપણે, પણ બંકિમચંદ્રે એને આ નવલકથામાં ખપમાં લીધું એથી જનમાનસમાં એને ચોક્કસ સંદર્ભ મળ્યો : એ રાષ્ટ્રગીતવત્‌ બની રહ્યું, અને કંઈક યુદ્ધઘોષ પણ.

બંગાળના પ્રથમ બે ગ્રેજ્યુએટો પૈકી એક એવા બંકિમચંદ્ર સરકારી અમલમાં ઊંચી પાયરીએ પહોંચ્યા હતા અને દેશભરમાં અંગ્રેજીમાં પહેલી નવલકથા લખવાનો વિક્રમ એમને નામે જમે બોલે છે. પણ એમના અક્ષરજીવનનો શકવર્તી વળાંક એમણે બંગાળી ભાષામાં સર્જનસંમાર્જનને અગ્રતા આપી તે છે. અરવિંદના શબ્દોમાં બંકિમચંદ્રે બંગાળને ભાષા આપી, સાહિત્ય આપ્યું – અને ભાવનાત્મક રીતે રાષ્ટ્ર પણ.

વચ્ચે મેં લખ્યું હતું કે બંગાળમાં જેમ બંકિમથી રવીન્દ્ર તેમ આપણે ત્યાં મુનશીથી દર્શક સરખા આલેખ પર કામ કરવા જેવું છે. તમે જુઓ કે મુનશી ‘સ્વપ્નદૃષ્ટા’ નવલકથા લઈને આવ્યા. એનો નાયક સુદર્શન સંભવિત વિવાહપૂર્વ મુલાકાતમાં સુલોચનાને કહે છે – લગભગ સંભળાવે છે કે – તમે જેને ઇન્ડિયા કહો છો તે તો મા છે. વડોદરા કૉલેજમાં અરવિંદના છાત્રને સારુ આ સહજોદ્‌ગાર હતો, બલકે ધર્મબોલ હતો; કેમ કે અરવિંદ ‘વંદેમાતરમ્’ના કાયલ હતા. ‘આનંદમઠ’ના સંન્યાસીઓ અને એમનો સંતાનધર્મ એમને રૂંવે રૂંવે સ્પર્શેલ હતો. આગળ ચાલતાં એમણે જે પત્ર પ્રગટ કર્યું એનુંયે નામ એમણે રાખ્યું‘તું તો ‘વંદેમાતરમ્’ જ ને.

અંગ્રેજી શિક્ષાદીક્ષા વાટે યુરોપના સીધા સંપર્કે એમને રાષ્ટ્ર માટેની ઉગ્રોત્કટ જે અપીલ જગવી હશે એને આપણી પરંપરા સાથે સાંકળીને બંકિમ કેવુંક રસાયણ નિપજાવવા ઇચ્છતા હશે એનો અંદાજેહિસાબ ‘આનંદમઠ’ આપી રહે છે. ગમે તેમ પણ, ભારતમાતા રૂપે આ જે વિભાવના વિકસી, ખાસી ઝિલાઈ ને ઊંચકાઈ તે ૧૯૦૫ના બંગભંગ માહોલમાં : ‘વંદેમાતરમ્’ની પોતીકી તરજ બાંધી કોલકાતાના રાજમાર્ગો પર તે ગાતા નીકળી પડેલા રવીન્દ્રનીયે તરુણ બંગાળને એક મોહની હતી.

મુશ્કેલી શું છે કે ઇતિહાસકાર ૧૮૫૭નું જે સીમાચિહ્‌ ન વર્ષ સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં અંકે કરે છે તેની સામે બંકિમચંદ્રે નિરૂપેલ સંન્યાસી વિદ્રોહ કાળગણનામાં જુદો પડે છે. કહેવું હોય તો કહી શકાય કે જેમ નવલકથા તેમ આ ઇતિહાસ પણ ઠીકઠીક કલ્પનોત્થ છે. ‘આનંદમઠ’નું સ્થાન સાહિત્યના ઇતિહાસમાં સુનિશ્ચિત હશે, પણ તે ઇતિહાસ-સાહિત્ય નથી, જેમ મુનશીકૃત ‘જય સોમનાથ’ પણ. ર. વ. દેસાઈ ૧૮૫૭નું વસ્તુ લઈને આવ્યા અને એમાં રુદ્રદત્તનું પાત્ર દાખલ કીધું ત્યારે ગુજરાતી વિવેચનાએ ગોથું નહીં ખાતાં એટલી એક નોંધ ખસૂસ લીધી છે કે રુદ્રદત્તમાં એક તબક્કે ગાંધી દેખાડવાની કોશિશમાં કાલવ્યુત્ક્રમ છે. આ વાનું પકડાય છે એટલી સરળતાથી એ નથી પકડાતું કે બંકિમે  સાહિત્યસર્જન વાટે ભારતમાતાનું, સંતાનધર્મનું, રાષ્ટ્રરાજ્યની વિભાવનાનું અને એને મૂર્ત કરતું જે ચિત્ર રમતું મૂક્યું તે કલ્પનોત્થ છે અને એમાં જેમ કાલીપૂજાને ધર્મસંપ્રદાયના કુંડાળામાંથી બહાર કાઢી ભારતમાતાના વ્યાપક અર્થમાં સંક્રાન્ત કરવાની તેમ વ્યાપક અર્થની સંભાવનાને સાંકડા સંઘાડામાં સીમિત કરવાની એમ બેઉ શક્યતાઓ પડેલી છે.

આ મુદ્દાની કંઈક અનુદાર સમજૂત ટીકાકારો એ રીતે આપતા રહ્યા છે કે સાંસ્થાનિક શાસનના નોકરિયાતને માટે એમની સીધી ટીકાને બદલે મુસ્લિમોની ટીકા કદાચ એક સલામત રવૈયો હશે. વસ્તુતઃ આ અવલોકનને નહીં નકારતે છતે બંકિમની પ્રતિભાને આટલી સપાટ સમજૂતમાં ખતવી નાખવું સલાહભર્યું નથી; કેમ કે અંગ્રેજી કેળવણી સાથે નવી શક્યતાઓને વધાવવાની તેમ જાતને જાળવવાની એવી એક દ્વિધાવિભક્ત કશ્મકશમાં હોવું એ ગાળાની એકાધિક પેઢીઓ સારુ દુર્નિવાર હતું.

સંસ્કૃત પાઠશાળાને બદલે નવી કૉલેજ પર અગ્રતાપસંદગી ઢોળતા રાજા રામમોહન રાય કે ૧૮૫૭ને ફિતૂર લેખી પરોપકારી ઇંગ્રેજોએ રોપેલ સુધારાનાં ઝાડને નષ્ટ કરતી બીના તરીકે જોતા દલપતરામ સ્વદેશવત્સલ નહોતા એવું તો કહી શકાતું નથી. ૧૮૫૭નું વરસ જેમ સંગ્રામનું વરસ છે તેમ આપણે ત્યાં યુનિવર્સિટી શિક્ષણના ઉદયનુંયે વરસ છે. સાંસ્થાનિક છેડેથી જેને ‘સિપાઇઓનો બળવો’ કહેવાયો એને આપણે છેડેથી પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાયો એ ઠીક જ થયું. છતાં, આ સંગ્રામ બહુધા એક સંકેલાતા સામંતી યુગનો સપાટો હતો અને યુનિવર્સિટી શિક્ષણ નવયુગનો અરુણોદય હતો એ ઇતિહાસવિગત એની સઘળી મર્યાદાઓ સાથે આપણે નકારી શકતા નથી.

એક કાળે ખાસા ઊંચકાયેલા અને આજે ય અપીલવંતા ‘વંદેમાતરમ્’ વિશે સ્વાતંત્ર્ય આંદોલનમાં એક તબક્કે જે વિવાદ થયો એને જોવાસમજવા વાસ્તે ઉતાવળે પણ આટલો એક પૃષ્ઠભૂ-લસરકો જરૂરી છે. બંકિમને પોતાની સંક્રાન્તિકાળગત અને અન્ય મર્યાદાઓની ખબર ન હોય એવું તો ન બની શકે – નહીં તો, પોતાના પછીની પેઢીના રવીન્દ્રને, અને તે પણ નોબેલપૂર્વ વર્ષોમાં, એ ‘વિશ્વકવિ’ તરીકે કેમ ઓળખાવે.

[પ્રગટ : “પરબ”, જુલાઈ 2022]

—————

: ૨ :

નવલરામની નરવી સોબતમાં ખરા દેશાભિમાન વિશે વિચારવાવાગોળવાનું થયું, અને બંકિમ ઉજાસમાં થોડાએક રવિસંકેતો પકડવાનું પણ. એના જ અનુસંધાન ને પુરસ્સંધાનમાં વિચારદોર જારી રાખવાના ખયાલે બે અક્ષર પાડવા બેઠો ન બેઠો ત્યાં આગ્રા ઘટના વિશે જાણ્યું : બુકરવિજેતા ગીતાંજલિ શ્રીનું લગભગ વતનઆંગણે કહી શકાય એવું સન્માનઆયોજન યોજકોએ સંકેલી લેવું પડ્યું; કેમ કે ’રેતસમાધિ’ નવલકથામાં કોઈક ઠેકાણે શિવ-પાર્વતી વિશે વાંધાજનક ને અશ્લીલ ભાષા પ્રયોજાયાની ફરિયાદ કરાઈ છે. પોલીસે જો કે આ લખી રહ્યો છું ત્યાં સુધી કોઈ એફ.આઈ.આર. દર્જ કરવાપણું જોયું નથી. કારણ, સ્થળ પરના પોલીસ અધિકારીના ઠાવકા શબ્દોમાં, ’અમે આ ફરિયાદ અંગે પુસ્તક વાંચ્યા પછી આગળ વધીશું.’ પણ લેખિકા, ગીતાંજલિ શ્રી તો ફરિયાદમાત્રથી આહત છે. એમને લાગે છે કે મારી નવલકથાને ’વિનાકારણ રાજકારણમાં ઢસડવામાં આવી છે.’ એકંદર સમાચાર પરથી જે સમજાય છે તે એ કે યોજકોએ લેખિકાના સૂચનથી સંકેલો કર્યો. બાકી, એમના પ્રવક્તાએ સરસ કહ્યું છે કે આખી વાતને આપણી પુરાકથાના સંદર્ભમાં જોવી રહે છે.

’રેતસમાધિ’ની વિશ્વસ્વીકૃતિ કોઈ શ્લીલ-અશ્લીલ કુંડાળામાં રમતમાંડણીની ચીલેચલુ પેમલાપેમલી સ્કૂલની મોહતાજ બેલાશક ન જ હોય. વાચક પક્ષે મુદ્દો પરિપ્રેક્ષ્યનો અને સહૃદયતાનો છે. ઉત્તમ સાહિત્યકૃતિનું સેવન તીવ્રોત્કટ ભાવાનુભવ સાથે તમને એક કે બીજા અંતિમે લઈ જતે છતે કોઈક રીતે કશીક ભાવશુદ્ધિની સવડ પણ આપી રહે છે. આ સવડ અને સગડ પકડવા સારુ વાચકને પક્ષે સહૃદયતાની ઇન્દ્રિય જરૂરી છે. આરંભે તે ઓછીવત્તી હોય તોપણ ધોરણસર સાહિત્ય સેવતે સેવતે એની કેળવણી મળી રહે તે અસંભવ નથી.

રાષ્ટ્રચર્ચાનો દોર આગળ ચલાવું તે પહેલા (બલકે, એની પિછવાઈ રૂપે) મને આ નિમિત્ત પકડીને થોડીક પણ વાત કરવાનું દુરસ્ત લાગે છે. ’રેતસમાધિ’ બાબતે સદરહુ ફરિયાદને હિંદુ ઓળખકારણના એક ચિહ્ન તરીકે જરૂર જોઈ શકાય. ઓળખકારણ એના અંતિમે ’લાગણીદુભાઉ’ પ્રતિક્રિયારૂપે પ્રગટ થાય એવું પણ બને. ઓળખ અને એને અંગેની સભાનતા સ્વતઃ કોઈ ખોટી વાત છે એમ કહેવાનો આશય અલબત્ત નથી. પણ ઓળખનો અતિ ’માણસ’ હોવા પર છવાઈ જાય અગર તો ’નાગરિક’ અભિજ્ઞતા અને અગ્રતાને ગ્રસી જાય તે દેશજનતાના સ્વાસ્થ્ય સારુ સુચિહ્ન નથી એટલું નિઃશંક.

શરીફા વીજળીવાળાએ ’જુલાઈ’ના ’પરબ’માં આરિફ મોહમ્મદની ’તાર’ વાર્તાને છેડે કરેલી ટિપ્પણી આ સંદર્ભમાં જોવાસમજવા જોગ છે : ’અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણેલા રહેમાનભાઈ પોતાનાં બાળકોને મદરેસામાં ભણાવી મૌલાના કેમ બનાવવા માગે છે? હિંદુસ્તાની મુસ્લિમ કેમ વધારે ને વધારે મુસ્લિમ ઓળખ તરફ જઈ રહ્યા છે? Identity crisis કેમ ઊભી થઈ એ સમજવાની દેશને ચાહનારા દરેકની ગરજ હોવી જોઈએ.’ આ ટિપ્પણી ઉતારું છું ત્યારે છેલ્લાં અઠવાડિયાંમાં મુસ્લિમ માલિકીના એક અખબારમાંની એ મતલબની ટિપ્પણી સાંભરે છે કે ઓવેસીનું Identity politcs  દેશને અને ખુદ મુસ્લિમોને ક્યાં લઈ જશે. અસગર અલી ઍન્જિનિયરે સૈયદ શહાબુદ્દીનને સરસ કહેલું કે તમે મુસ્લિમ ઇન્ડિયન છો કે ઇન્ડિયન મુસ્લિમ, કહો.

પંદરમી ઑગસ્ટને આઝાદી દિવસ કરતાં વિશેષે કરીને વિભાજન દિવસ તરીકે જોવાનો જે એક રવૈયો ઉપાડો લઈ રહ્યો છે એમાં સમગ્ર ચિત્રની કાં તો ગમ નથી કે પછી પરવા નથી. જે તે ઘટનાક્રમમાં આ અગર તે પક્ષનો વાંક નિઃશંક કાઢી શકાય, પછી ભલે વાંક જોવાની એ પ્રક્રિયા વસ્તુલક્ષી હોય કે આત્મલક્ષી – ઘણું કરીને જો કે બેઉ છેડે સંમિશ્ર હોવાની; પણ સમગ્ર ચિત્ર સરવાળે તો પરસ્પરસ્પર્ધી કોમવાદનું હોવાનું. કમળાબહેન પટેલની ’મૂળસોતાં ઉખડેલાં’ વાંચીએ ત્યારે અપહૃતાઓને પ્રશ્ને સરહદની બંને બાજુના દુર્દૈવ વાસ્તવનો ખયાલ આવ્યા વગર રહેતો નથી. આ પુસ્તક પ્રત્યક્ષ કાર્યાનુભવના માનવીય દસ્તાવેજના ખાનામાં પડે છે. પણ કોઈ પણ ઉત્તમ સાહિત્યકૃતિની જેમ એમાં સહૃદયતાની કેળવણીની ખાસી ગુંજાશ અનુભવાશે.

આઝાદીનો અમૃત મહોત્સવ તરતમાં પૂરો થવામાં છે ત્યારે નવા વિભાજનથી કિનારો કરવાના મનોવૈજ્ઞાનિક ઉપચાર તરીકે સહૃદયતાની કેળવણી કરતાં કારગત કીમિયો બીજો એકે દેખાતો નથી. બંકિમથી રવીન્દ્ર તરફ જવાનું જે વલણ, એમાં એની ભારોભાર ગુંજાશ ભરેલી ને ભારેલી છે. સાહિત્યના ઇતિહાસમાં ’આનંદમઠ’નું સ્થાન હતું, છે અને રહેશે. પણ રાષ્ટ્રચેતનાની એ જે મનઃસ્થિતિ, એને કોઈ કથિત શત્રુદ્વેષગત ઝનૂનની સંભાવનાને બદલે સહજ સ્વદેશવત્સલતામાં ઢાળવાને સારુ ’ગોરા’ ને ’ઘરેબાહિરે’માં જે ખાણદાણ પડેલ છે એની સુધબુધ સ્વરાજપંચોતેરું સંકેલાતે નહીં પડે તો પંચોતેરું વર્ષાવિહીન ગાજવીજ બની રહેશે, કે પછી પ્રકાશવિહીન ગરમી.

’ગોરા’ તો બિલકુલ ટ્રીક-સીન શી કવિકમાલ છે. હિંદુ/આર્ય હોવાનું જેને અતિ ગૌરવ છે અને આ ઓળખકસોટીએ જે બીજાને કેમ જાણે દુય્યમ કોટિમાં લેખે છે એનો કડડભૂસ ગ્રંથિમોક્ષ ત્યારે થાય છે જ્યારે એને ખબર પડે છે કે પોતે યુરોપીય-ભારતીય સંતાન છે. (કવિના ભાવજગતની ઊંચાઈએ નહીં તો પણ એક મજબૂત નવલ, એમ તો, આચાર્ય ચતુરસેન શાસ્ત્રીની ’ધર્મપુત્ર’ ક્યાં નથી?)

’ઘરેબાહિરે’ને સવિશેષ તો એક વિશેષ સંદર્ભમાં જોવાપણું છે. ’વંદે માતરમ્’ ગાતા કવિ રાખીબંધન મિશે બંગભંગ દિવસોમાં કોલકાતાના રાજમાર્ગો પર નીકળી પડ્યા હતા. એમની સહભાગિતા આ આંદોલનમાં નિઃશેષ હતી. પણ રાષ્ટ્રીય ઉછાળાની જે મર્યાદાઓ એમણે જોઈ એમાંથી ’ઘરેબાહિરે’ ઊતરી આવી. સ્વદેશને ચાહવો – પણ સત્યને ભોગે નહીં. (પાછળથી, ૧૯૨૧માં, બંગાળના કોમી દંગામાં હિંદુઓને પક્ષે ’વંદે માતરમ્’નો ઉપયોગ મુસ્લિમવિરોધી યુદ્ધઘોષ તરીકે થયો હતો, એનો પૂર્વાભાસ જાણે!)

સ્વરાજસંગ્રામનાં આખરી વરસોમાં મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ અને નરેન્દ્ર દેવની સમિતિએ રવીન્દ્રનાથની સલાહ લઈને ’વંદે માતરમ્’ વિશે કોઈક તારણ પર આવવાનું નક્કી કર્યું હતું. ચર્ચાવિચારણાને અંતે નેહરુઘડ્યા ઠરાવનો એક અંશઃ

’છેલ્લા ત્રણ દાયકામાં દેશસમસ્તમાં આત્મસમર્પણ અને કષ્ટસહનની અસંખ્ય ઘટનાઓ ’વંદે માતરમ્’ સાથે સંકળાયેલી છે. આ દેશનાં સ્ત્રીપુરુષ ’વંદે માતરમ્’ના ઉદ્‌ઘોષ સાથે મોતને ભેટતાં રહ્યાં છે. શરૂ શરૂમાં બંગાળમાં, પછી દેશભરમાં ’વંદેમાતરમ્’ આપણા રાષ્ટ્રને જગવતો શક્તિમંત્ર બની રહેલ છે … આ ગીતની પહેલી બે કડીઓનો ઉપયોગ જેમ જેમ દેશના વિવિધ ભાગોમાં પ્રસાર પામતો ગયો તેમ તેમ તેની સાથે કોઈક પ્રકારે રાષ્ટ્રીય ગૌરવની લાગણી જોડાવા લાગી. બાકીનું ગીત ખાસ વપરાતું નથી અને ઘણા લોકોને એની ખબર પણ નથી. આ ગીતની આરંભની બે કડીઓ આપણી માતૃભૂમિની સમૃદ્ધિ અને સુંદરતાને મૃદુમંજુલ ભાષામાં વર્ણવે છે અને તેમાં ધાર્મિક દૃષ્ટિએ કે અન્યથા કોઈ બીજી રીતે વાંધો લઈ શકાય એવું કંઈ નથી.’

’આનંદમઠ’ના સીમિત સંદર્ભથી બહાર કાઢી સુજલાસુફલાસુખદાવરદા એવી કલ્યાણવત્સલ માતૃભૂમિનું આ એક હૃદ્ય અને અનવદ્ય ચિત્ર હતું.

બંકિમની આ આરંભિક પંક્તિઓ સાથે રવીન્દ્રનું ’સોનાર બાંગલા’ મૂકો – બાંગલાદેશનું રાષ્ટ્રગીત. છેલ્લા થોડાક સૈકામાં જે યુરોપીય રાષ્ટ્રવાદ વિકસ્યો અને વકર્યો એની સામે રાષ્ટ્રવાદની એક આક્રમક છબિને બદલે વત્સલ ભાવછબિ, એ ભારતવર્ષની સાધનાપરંપરાને શોભીતી છે, ને નવી દુનિયા સારુ નિરામયકારી પણ.

’વંદે માતરમ્’ પણ જુઓ તમે. સમયબદ્ધ સ્વરૂપમાં એ (કદાચ દુર્ગાના સમુત્ક્રાન્ત સ્વરૂપમાં) ભારતમાતાનું ગાન હશે પણ સમયાતીત સ્વરૂપે (આરંભની કડીઓ દર્શાવે છે તેમ) તે ધરતીમાતાનું ગાન છે. એ રીતે બંકિમચંદ્ર ’આનંદમઠ’કાર છતાં કેમ જાણે કોઈક તબક્કે દેશને પણ અતિક્રમી જાય છે. પછી એ રવીન્દ્રમાં ’વિશ્વકવિ’ને પ્રીછી જ શકે ને.

ઓળખના અતિવાદને અને સંકુચિત રાષ્ટ્રવાદને સહૃદયતાની કેળવણી વાટે નાગરિક પ્રફુલ્લન ભણી વાળવા વાસ્તે નવા જમાનાનાં આ નાન્દીવચનો.

તા.ક.

પ્રૂફ વાંચતે વાંચતે સહજ જ તસલિમા નસરીનનું સ્મરણ થઈ આવ્યું. અયોધ્યા ઘટનાની પ્રતિક્રિયારૂપે બાંગલાદેશમાં હિંદુઓ સાથે જે હિંસ્ર વ્યવહાર થયો એને અંગે દો ટૂક આલોચનાને ધોરણે તસલિમા ‘લજ્જા’ નવલકથા લઈને આવ્યાં હતાં. બાંગલા જીર્ણમતે એને વિશે ઝનૂનભેર નારાજગી પ્રગટ કરી હતી, તો આપણે ત્યાં સ્વાભાવિક જ લેખિકાનાં ઉદાત્ત માનવીય અભિગમ પર સૌ ઓવારી ગયાં હતાં. આ જ તસલિમાએ તે પછીનાં ભારતવર્ષોમાં ‘લજ્જા’ની જે અનુનવલ લખી એના તરફ આપણું ખાસ ધ્યાન ગયું નથી. બાંગલાદેશના પેલા આહત ને આક્રાન્ત હિંદુ પરિવારે ભારતમાં આશ્રય લીધો. એ પરિવારના ફરજંદે અહીં કથિત જમણેરી સંધાનમાં નિજનું મોચન લહ્યું. પણ ચિત્તને એ સમાધાન ન મળ્યું જે બાંગલાદેશમાં ખોયું હતું. વાત એમ છે કે ‘લજ્જા’ અને એની અનુનવલ હિંદુતરફે મુસ્લિમ કે મુસ્લિમતરફે હિંદુ એવા સાંકડા ખાનાની બંદી નથી. ઓળખના અતિકારણને અતિક્રમતા નાગરિક ર્નિવહણની કથા માટેની ખોજ આપણાં લેખિકાની છે. સહૃદયતાની કેળવણીની કશ્મકશ ને કોશિશ, બીજું. શું.

ઑગસ્ટ ૧, ૨૦૨૨
[પ્રગટ : “પરબ”, ઑગસ્ટ 2022]
e.mail : prakash.nireekshak@gmail.com           

Loading

Personal reflection on India’s 75th independence anniversary

Prateek Buch|English Bazaar Patrika - Features, English Bazaar Patrika - Sketches|17 August 2022

75 years ago, India was granted independence from the British empire. More astute commentators will offer their observations, but here is a personal reflection as to what today means to this British born Indian, and to my family.

75 years feels like a long time ago, but my father was two, and my grandmother who lives with my parents was 17. The former experienced partition, the latter campaigned with Gandhi for the moment we mark today. So it’s very much not ancient history, it’s our story.

I am British born and raised. But my cultural, familial and spiritual roots are Indian. I see no conflict in these facts, only complexity and beauty. Yes I’ve experienced overt and implicit racism here, but the UK has given me a largely good life to build on my rich heritage.

Empire was largely a dark time for almost all Indians. And yet this country has broadly speaking embraced the Indian diaspora. This doesn’t mean British Indians are always and everywhere equal, but many of us are fortunate to be living fulfilling lives in the UK.

Aspects of Indian culture (mainly food and long colourful weddings!) feel so quintessentially British, and yet so much remains a mystery to many people around me. Then I remember: it’s only 75 years since independence, sixty or so since Indians came to the UK in numbers.

What about India itself since independence? This is a PhD subject matter, too nuanced for a brief article, but to me it is home from home, it’s where my family is, and yet despite dozens of trips there, I am always a visitor. At times bizarre, complex, beautiful, infuriating and uplifting.

My thoughts on the legacy of empire, partition and independence remain private, but one thing is for sure: India’s past is inextricably interwoven with British history, as is much of our future. We should seek to learn more about what we share in common.

I both pass and fail the Tebbit test, backing England against all but my first sporting love, India. I enjoy Indian music, often at iconic British cultural venues. I don’t take it lightly that I can enjoy temples, clothes, music and food of India here, with joy.

Who knows what India or anywhere will look like 75 years from now. But I hope that my son grows up in the UK even more accepted than I feel, even more proud of his heritage and still with more of a sense of belonging here.

Jai Hind, Vande Mataram, may india’s light shine on.

–

This article was adapted from a Twitter thread. Prateek is a British Indian writing in a personal capacity.

Loading

...102030...1,4201,4211,4221,423...1,4301,4401,450...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved