Opinion Magazine
Number of visits: 9671826
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદર રળવાનો હોય આગ્રહ કરીને માગવાનો ન હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|9 September 2022

આદર રળવાનો હોય કે બીજાએ આપવો જ જોઈએ એવો આગ્રહ રાખવાનો હોય. આ એક મુદ્દો થયો. બીજો મુદ્દો એ છે કે કેટલીક સંસ્થાઓની પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં તેની અવમાનના કરવા દેવામાં ન આવે એવું રક્ષાકવચ કોને અને કોની સામે આપવામાં આવ્યું છે? ફોડ પાડીને કહીએ તો લોકશાહી દેશોમાં ન્યાયતંત્રને જે રક્ષાકવચ આપવામાં આવ્યું છે એ કોની સામે આપવામાં આવ્યું છે?

બીજા મુદ્દાની ચર્ચા પહેલાં કરીએ.

લોકશાહી દેશોમાં ન્યાયતંત્રને જે રક્ષાકવચ આપવામાં આવ્યું છે એ સત્તાધારીઓ સામે આપવામાં આવ્યું છે જેઓ પોતાની સત્તા છોડવા માગતા નથી અને કોઈ પણ ભોગે તેનો ઉપયોગ કરવા માગે છે. એ ચૂંટાયેલા શાસકો હોઈ શકે છે, ધર્મગુરુઓ હોઈ શકે છે, જ્ઞાતિઓની પંચાયતોના વડીલો હોઈ શકે છે, કબીલાઓના સરદાર હોઈ શકે છે, પુરુષપ્રધાન સમાજમાં પુરુષ હોઈ શકે છે વગેરે. આ લોકોને અદના નાગરિકને તેની સ્વતંત્રતાનું રક્ષણ કરનારા કાયદાનાં રાજની સામે અને તે રક્ષણ જળવાઈ રહે એ માટે ચોકિયાતનું કામ કરનારા ન્યાયતંત્ર સામે વાંધો છે. એ લોકો પ્રજાસમૂહોને કેદ કરીને, પોતાના જ સમાજનાં નબળાઓને અન્યાય કરીને અથવા બીજાઓને અન્યાય કરીને પોતાની આણ જળવાઈ રહે એમાં રસ ધરાવે છે અને તેમનો સ્વાર્થ કાયદાના રાજ અને તેની રખેવાળી કરનારી ન્યાયસંસ્થાઓ સામે ટકરાય છે. તેઓ અર્થાત્‌ અલગ અલગ પ્રકારના સત્તાધારીઓ કાયદાના રાજની અને તેની રખેવાળી કરનારાં ન્યાયતંત્રની ઐસીતૈસી ન કરે અને પોતાની મર્યાદામાં રહે એ માટે ન્યાયતંત્રને રક્ષાકવચ પૂરું પાડવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ન્યાયતંત્રને જે રક્ષાકવચ આપવામાં આવ્યું છે એ અદના નાગરિકના હિતમાં આપવામાં આવ્યું છે, અદના નાગરિકનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે એ સારુ આપવામાં આવ્યું છે, ન્યાયતંત્રના સ્વયંના હિતમાં નથી આપવામાં આવ્યું. આ આધુનિક રાજ્યનું બ્રહ્મવાક્ય છે.

હવે ન્યાયતંત્ર કાયદાના રાજનું રક્ષણ કરવાનું અને અદના નાગરિકની સ્વતંત્રતા જળવાઈ રહે એ જોવાનું તેને જે કામ સોંપવામાં આવ્યું છે એ ન કરે, તેની સામે આંખ આડા કાન કરે, સત્તાધારીઓ સામે કોઈને કોઈ કારણસર શરણે થઈ જાય, જજો પોતાનો સ્વાર્થ જુએ, ગોળગોળ ચુકાદાઓ આપે, સત્તાધારીઓને ન ગમે એવા અકળાવનારા કેસો વરસોનાં વરસો સુધી હાથ ન ધરે, કેટલાક જરૂરી સુધારાઓ ન કરે, ટાળાટાળ કરે તો? તો ન્યાયતંત્રની ટીકા થવાની જ છે અને થવી પણ જોઈએ. અહીં પહેલો મુદ્દો ઉપસ્થિત થાય છે. આદર રળવાનો હોય આગ્રહ કરીને માગવાનો ન હોય. જો ન્યાયતંત્ર તેને સોપવામાં આવેલું કામ ઈમાનદારીપૂર્વક કરે તો નાગરિકોનો આદર આપોઆપ મળવાનો છે અને જો તે ન કરે તો ટીકા થવાની જ છે. ન્યાયતંત્રની અવમાનના કરવામાં નાગરિકોનો કોઈ સ્વાર્થ હોતો નથી, સ્વાર્થ તો સત્તાધારીઓનો હોય છે. માં સંતાનનું રક્ષણ ન કરે, સંતાનના પક્ષે ઊભી ન રહે, મોઢું ફેરવી લે તો માની પણ ટીકા થવાની છે તો ન્યાયતંત્રની શા માટે ન થાય? જજોના કામકાજનું મૂલ્યાંકન થવું જ જોઈએ. એ નાગરિકનો ધર્મ છે અને અધિકાર પણ છે. જજો કોઈ ફરિશ્તા નથી. સર્વોચ્ચ અદાલત માટે અંગ્રેજીમાં એક વાક્યપ્રયોગ હંમેશાં થતો રહે છે; Supreme, but not infallible. સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ છે પણ સર્વગુણ સંપન્ન સંપૂર્ણ નથી.

આ દેશમાં લોકતંત્રનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. આનું સૌથી મોટું પ્રમાણ એ છે કે હવે સર્વોચ્ચ અદાલત સત્તાધારીઓ સામે જેનું રક્ષણ કરવાનું છે એ નાગરિકો પાસે પોતાનો આદર જાળવવાનો આગ્રહ રાખી રહ્યું છે. જજો કાંઈ પણ કરે, સત્તાધારીઓ સમક્ષ લોટાંગણ લે, પણ નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ જળવાઈ રહેવો જ જોઈએ અને આદર આપવો જ જોઈએ. જો કોઈ ટીકા કરે તો અદાલતની અવમાનના કરવાના કાયદાનો નાગરિક સામે ઉપયોગ કરવામાં આવે છે. સ્વાર્થવશ કાયદાના રાજનું ઉલ્લંઘન કરનારાઓનું રક્ષણ અને કાયદાનું રાજ જળવાઈ રહે એ માટે મથનારા પારકી છઠ્ઠીના જાગતલોને સજા. ઊંધું થઈ રહ્યું છે. જેનાથી રક્ષણ કરવાનું છે તેનું રક્ષણ કરવામાં આવે છે અને જેનું રક્ષણ કરવાનું છે એનું રક્ષણ કરવામાં આવતું નથી અને ઉપરથી એને જ ડરાવવામાં આવે છે.

ન્યાયતંત્રની ટીકા દાયકાઓથી કરવામાં આવી રહી છે, કારણ કે ભારતનાં ન્યાયતંત્રમાં કેટલીક ગંભીર ક્ષતિઓ છે. ત્રણ દાયકા દરમ્યાન મેં મારાં લખાણોમાં અનેક વાર ન્યાયતંત્રની સ્થિતિ વિષે ઊહાપોહ કર્યો છે. એમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી અને જો કોઈ સ્વાર્થ છે તો એ દેશમાં કાયદાનું રાજ જળવાઈ રહે, બંધારણીય મૂલ્યો જળવાઈ રહે, અદના નાગરિકને સામર્થ્યવાનો સામે રક્ષણ મળે એવો વ્યાપક સ્વાર્થ છે. ન્યાયતંત્ર ફરજ ચૂકે તો તેની ટીકા કરવી એને હું મારો નાગરિક તરીકેનો ધર્મ સમજું છું. મારી કાયદાની સમજ મર્યાદિત છે, પણ જેઓ ઊંડી સમજ ધરાવે છે એવા બંધારણવિદોએ ન્યાયતંત્રની સ્થિતિ વિષે ઊહાપોહ કર્યો છે. દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ બી.એન. ક્રીપાલે જાણીતા કાયદાવિદ અશોક દેસાઈ, ગોપાલ સુબ્રમણ્યમ્‌, રાજીવ ધવન અને રાજુ રામચન્દ્રન્‌ સાથે મળીને એક પુસ્તકનું સંપાદન કર્યું છે જેનું શીર્ષક જ બોલકું છે; Supreme, but not infallible: Essays in honour of the Supreme Court of India. ઈરાદો સર્વોચ્ચ અદાલતની શક્તિ અને મર્યાદાઓ બતાવીને તેનો આદર (in honour of the Supreme Court of India) કરવાનો છે. જો મર્યાદાઓનો સ્વીકાર કરવામાં ન આવે તો શક્તિ ક્ષીણ થવા લાગે છે. નિંદક નીઅરે રાખીએ એમ કબીરે અમસ્તુ નથી કહ્યું.

પણ કોઈને કોઈ કારણસર ન્યાયતંત્રમાં જે સુધારાઓ થવા જોઈતા હતા એ ન થયા. દાયકાઓથી ઊહાપોહ થઈ રહ્યો છે, પણ પરિણામ નથી આવતું. આજથી ૪૨ વરસ પહેલાં, ૧૫મી જાન્યુઆરી ૧૯૮૦ના રોજ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પી.એન. ભગવતીએ વડા પ્રધાન તરીકે સત્તામાં પાછાં ફરેલાં ઇન્દિરા ગાંધીને અભિનંદનનો પત્ર લખેલો. દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જેની સામે નાગરિકના હિતોનું રક્ષણ કરવાનું છે એવી સત્તાધારી વ્યક્તિને આવકારે અને અભિનંદન આપે! આવું લોકશાહી દેશમાં બને? બને. જો ન્યાયપ્રણાલી તંદુરસ્ત ન હોય તો બને. ન્યાયમૂર્તિ ભગવતીને મુખ્ય ન્યાયમૂર્તિ બનવું હતું અને કદાચ સુપરસીડ કરવામાં આવે એવો તેમને ડર હતો. ભગવતીનો એ પત્ર બીજી રીતે પણ ઐતિહાસિક છે. ન્યાયમૂર્તિ પી.એન. ભગવતીએ તેમના પત્રમાં તેના પહેલા ફકરામાં ઇન્દિરા ગાંધીને અભિનંદન આપ્યા પછી અને ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાન તરીકેની તેમની પહેલી મુદ્દત દરમ્યાન તેમના (ભગવતી) ઉપર કેવો ભરોસો રાખ્યો હતો તેની યાદ અપાવ્યા પછી તેમના લાંબા પત્રમાં દેશના ન્યાયતંત્રની સ્થિતિ વિષે આખો ચિતાર આપ્યો હતો અને અરજ કરી હતી કે ન્યાયતંત્રને ઉગારી લેવામાં આવે.

આ ઘટના ૪૨ વરસ જૂની છે અને ત્યારથી તેમાં કોઈ સુધારો થયો નથી, ઊલટી સ્થિતિ વણસી છે. ન્યાયમૂર્તિ ભગવતીએ ૪૨ વરસ પહેલાં ન્યાયતંત્ર વિષે જે ઊહાપોહ કર્યો હતો એ એ સમયની કોઈ ઓચિંતી ઘટના નહોતી, બગાડની શરૂઆત તેના દોઢ-બે દાયકા પહેલાં થઈ હતી. આમ પાંચ દાયકાથી દેશના ન્યાયતંત્રની સ્થિતિ ઠીક નથી. પાંચ દાયકાથી સ્થિતિ એવી છે કે મોટી સંખ્યામાં ન્યાયમૂર્તિઓ સત્તાધારીઓ સામે લાળા ચાવે છે, લાભ જોઇને લાળ પાડે છે અને વળી પાછા ન્યાયતંત્રની હાલત વિષે અને તેની પ્રતિષ્ઠા વિષે ઊહાપોહ કરે છે. આ જે કાયદાના રાજ માટેની નિસ્બત છે એ નકલી છે. ભગવતીવારસો વિકૃતિની ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા પાંચ દશક દરમ્યાન દેશને ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાની કક્ષાના ન્યાયમૂર્તિઓ આંગળીને વેઢે ગણી શકાય એટલા જ મળ્યા છે. ખરા અર્થમાં ન્યાયની મૂર્તિ.

પણ સર્વોચ્ચ અદાલતનો આગ્રહ છે કે અમે ગમે એટલા ભૂંડા કામ કરીએ અને ભૂંડા લાગીએ નાગરિકોનો અમારામાં વિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ અને આદર તો આપવો જ રહ્યો. સર્વોચ્ચ અદાલતે જેનું રક્ષણ કરવાનું છે એવા અદના નાગરિક પાસેથી પોતાના રક્ષણની અભિલાષા રાખે છે. આવું તો ક્યાં ય બનતું હશે! આદર રળો અને મેળવો. આજે આટલાં વર્ષે પણ દેશ ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાને, ન્યાયમૂર્તિ વી.આર. કૃષ્ણા ઐયરને કે ન્યાયમૂર્તિ કે. સુબ્બારાવને ભૂલ્યો નથી. આદર રળશો તો આદર આપોઆપ મળવાનો છે. મને નામ યાદ નથી આવતું પણ કોઈકે સૂચન કયું હતું કે સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાનું પૂતળું મુકવામાં આવે. સુદ્રઢ ન્યાયતંત્રમાં આદના નાગરિકનો સ્વાર્થ છે એટલે આદરપાત્રને આદર આપવામાં એ ક્યારે ય કૃપણતા નહીં બતાવે.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ હવે દીવાલ પરના લખાણ જેવું સત્ય સ્વીકારી લેવું જોઈએ કે જો આદર રળશો તો જ આદર મળવાનો છે. જો તેનાથી વિપરીત પ્રવૃત્તિ નજરે પડશે તો લોકો બોલવાના છે. કોઈ મૂલ્યાંકનરૂપે ટીકા કરશે, કોઈ મૂલ્યાંકનરૂપે પણ આકરી ટીકા કરશે, કોઈ ન્યાયતંત્રને ન શોભે એવી સ્થિતિ કે ઘટના તરફ ધ્યાન ખેંચશે, કોઈ સર્વોચ્ચ અદાલતમાં જ ન્યાયતંત્રના ઈલાજ માટેની અરજી કરશે અને કોઈ ઠેકડી ઉડાડશે. ભારતના ન્યાયતંત્રની છેલ્લા પાંચ દાયકાની યાત્રા ઉપર નજર કરશો તો ટીકા લગભગ આ જ ક્રમમાં થતી આવી છે. પહેલાં સંયમ સાથે ટીકા કરવામાં આવતી હતી. પરિણામ નહીં મળ્યું તો આકરી ટીકા થવા લાગી. એ પછી પણ પરિણામ હાથ ન લાગ્યું તો અનર્થ તરફ ધ્યાન દોરવામાં આવ્યું અને છેવટે સર્વોચ્ચ અદાલતના ઈલાજ માટે સર્વોચ્ચ અદાલતમાં જ અરજીઓ થવા લાગી. એનું પણ જ્યારે પરિણામ નહીં આવ્યું અને આજે જજો જે રીતે લાળા ચાવતા અને લાળ પાડતા નજરે પડી રહ્યા છે ત્યારે ઠેકડી સ્વાભાવિક ક્રમમાં થવાની છે અને થઈ રહી છે. જો પરીસ્થિતિમાં સુધારો ન થયો તો હજુ વધારે પ્રમાણમાં અને વધારે સોંસરવી ઠેકડી ઉડાડવામાં આવશે અને ખબર નહીં બીજું શું શું થશે જે પાકિસ્તાનમાં અને એવા બીજા દેશોમાં જોવા મળ્યું હતું. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ સમજી લેવું જોઈએ કે અત્યારે જે ઠેકડી ઉડાડવામાં આવી રહી છે એ વિકૃત આનંદ નથી, એમાં પીડા છે.

સર્વોચ્ચ અદાલતમાં હમણાં આવી જ એક પીડાજનક ઘટના બની. જાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ સામેનો અદાલતના અપમાન કરવાનો ખટલો સર્વોચ્ચ અદાલતે ૧૩ વરસ પછી સંકેલી લીધો. પ્રશાંત ભૂષણે ૨૦૦૯ની સાલમાં ‘તહેલકા’ નામના સામયિકને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, “મને એમ લાગે છે કે સર્વોચ્ચ અદાલતના છેલ્લા ૧૭-૧૮ મુખ્ય ન્યાયમૂર્તિઓમાંથી અરધોઅરધ ભ્રષ્ટ હતા.” સર્વોચ્ચ અદાલતે પ્રશાંત ભૂષણને અદાલતનું અપમાન કરવાની નોટિસ આપી અને ખટલો દાખલ કર્યો. પ્રશાંત ભૂષણે કહ્યું કે ભ્રષ્ટાચારનો અર્થ પૈસાની લેતીદેતી જ નથી થતો, ન્યાય તોળવામાં દેખીતો પક્ષપાત કરવામાં આવે અથવા ખાસ કોઈને ફાયદો થાય એ રીતની કાયદાકીય જોગવાઈઓનો પસંદગીના ધોરણે ઉપયોગ કરવામાં કે ન કરવામાં આવે એવી ન્યાયદાનમાં નજરે પડતી શિથિલતા પણ ભ્રષ્ટ આચાર કહેવાય. દરેક પક્ષપાત કે શિથિલતા પાછળ કોઈ લાભની ગણતરી હોય છે જેની નોંધ લેવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. એ પછી પ્રશાંત ભૂષણે આઠ મુખ્ય ન્યાયમૂર્તિઓનાં ચુકાદાઓની વિગતો તેમાં રહેલા પક્ષપાત અને શિથિલતાની વિગતો સહિત આપી હતી. અલબત્ત બંધ કવરમાં, માત્ર ખટલો સાંભળનારા ન્યાયમૂર્તિઓ જોઈ શકે એ રીતે. (આ સીલ્ડ કવરનું કલ્ચર આજકાલ સર્વોચ્ચ અદાલતમાં ફૂલ્યુંફાલ્યું છે એ બંધ થવાની જરૂર છે. ઓપન કોર્ટનો અર્થ જ થાય છે ઓપન પ્રોસીડીંગ.) ખેર, ન્યાયમૂર્તિઓએ બંધ કવર એકાંતમાં ખોલ્યું હશે અને તેને પાછું બંધ કરી દીધું અને ખટલો અભેરાઈ પર ચડાવી દીધો.

શા માટે? જો પ્રશાંત ભૂષણે ખોટા આરોપ કર્યા હતા તો તેમને સજા થવી જોઈતી હતી અને જો તેમના આરોપમાં તથ્ય હતું તો તેની તપાસ થવી જોઈતી હતી. આની જગ્યાએ ખટલો તેર વરસ સુધી અભેરાઈએ ચડાવી દીધો અને તેર વરસ પછી પડતો મુક્યો તો શા માટે? પ્રશાંત ભૂષણે જ્યારે માફી માગવાની ના પાડી દીધી ત્યારે અદાલત પાસે ખટલો ચલાવવા સિવાય કોઈ વિકલ્પ બચતો નહોતો અને ખટલો ચલાવવામાં જોખમ હતું. ખુલ્લી અદાલતમાં સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિઓના ધજાગરા ઊડે અને હાડપિંજરો બહાર આવે. કચરાને કાર્પેટ તળે ક્યાં સુધી છુપાવશો! દેશના ન્યાયતંત્રમાં મોટા પ્રમાણમાં કચરો જમા થયો છે એનો આજે નહીં તો કાલે સ્વીકાર કરવો જ પડશે. અને એનો જ્યાં સુધી સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાયતંત્રની ટીકા થતી રહેવાની છે અને એમાં જનોઈવઢ ઘા જેવી ઠેકડી પણ હોઈ શકે છે જે કુણાલ કામરાએ કરી હતી. કુણાલ કામરાએ કહ્યું હતું કે હું જેલ જવા તૈયાર છું, માફી નહીં માગું, દંડ નહીં ભરું, કરો સજા. અદાલતે ખટલો પડતો મુક્યો હતો.

ભારતના ન્યાયતંત્ર માટે આવી અનેક વસમી પળો ઢુકડી છે. કાં આદર રળો અને કાં ઠેકડીનો ભોગ બનો. ડરાવવાથી હવે ચાલવાનું નથી. 

Loading

રાજકીય પક્ષો ભારતના હોય તો આતંકવાદીનું સ્મારક ન થવા દે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 September 2022

એક બાબત સ્પષ્ટ છે કે દરેક રાજકીય પક્ષને તેના ખરાખોટા આદર્શો હોય છે, હિત અને હેતુઓ હોય છે. દરેકનું અંતિમ લક્ષ્ય ક્યાંક ને ક્યાંક, કોઈકને કોઈક સત્તા પ્રાપ્ત કરી ત્યાં ટકી જવાનું હોય છે. એ જુદી વાત છે કે ગમે તેટલું ટકવા છતાં, ક્યારેક તો સત્તા દરેકે છોડવી જ પડે છે અથવા તો કોઈ તે છોડાવે જ છે. કોઈ સરમુખત્યાર પણ કાયમ એકહથ્થુ સત્તા લાંબો સમય ભોગવી શક્યો નથી ને જ્યાં લોકશાહી છે ત્યાં તો સત્તા પરિવર્તન ક્યારેક તો અનિવાર્ય પણ થઈ પડે છે. ભારત સ્વતંત્ર થયું ત્યારથી મુખ્યત્વે કાઁગ્રેસ દાયકાઓ સુધી સત્તામાં રહી, પછી ભા.જ.પ.નું શાસન આવ્યું. તેને ય બે ટર્મ મળી છે. જો કાઁગ્રેસ અસ્તાચળે હોય તો ભા.જ.પ.ને પણ તેની ગતિ છે જ. તેનાં વિકલ્પો જડશે તો પ્રજા તે તરફ જોશે ને ઠીક લાગશે તો તે દિશામાં વળશે પણ ખરી, એટલે સાચું તો એ છે કે સમયનો સ્વભાવ જ પરિવર્તનનો છે ને તે સ્વીકાર્યે જ છૂટકો છે. અંગ્રેજોને વહેમ હતો કે તેમને સૂર્યાસ્ત જ નથી, પણ તે પછી ઘણા સૂર્યાસ્ત તેમણે જોવાના થયા. કાઁગ્રેસને પણ એવો સમય આવ્યો જ્યારે લાગતું હતું કે નહેરુ પછી કોણ? તે પછી પણ ઘણાં વંશીય પરિવર્તનો, બીજાએ તો ઠીક, ખુદ કાઁગ્રેસે જ જોયાં. ભા.જ.પે. પણ બાજપેયી ને મોદીની સત્તા જોઈ, પરખી છે, એમાં પણ પરિવર્તન આવશે. ધારો કે વિપક્ષો પરિવર્તન નહીં લાવે તો ભા.જ.પ.માંથી જ પરિવર્તનનો સૂર ઊઠે એમ બને. ભા.જ.પ.ને એટલી ધીરજ નથી કે પ્રજા સરકાર બદલે તેની રાહ જુએ, એટલે એના જ મોવડીઓ સરકાર બદલી કાઢે છે ને વચ્ચે વચ્ચે મંત્રીઓ પણ બદલતા રહે છે. એટલે બીજાને તો ઠીક, પરિવર્તન તો ભા.જ.પ.ને પણ સ્વીકાર્ય છે, તેની ના પાડી શકાય એમ નથી.

સત્તા મેળવવા કોઈને જોડવા-તોડવાનું થાય, ખરીદવા-વેચવાનું થાય, મિત્ર-શત્રુ બનાવવાનું ય ચાલે તે સમજી શકાય, કરોડોના ખરીદ-વેચાણના સોદા થાય તે ય સમજાય, કારણ સિદ્ધાન્ત કે આદર્શ તો ક્યારના ય આઉટડેટેડ થઈ ગયા હોય ત્યાં સારા-સાચાની વાત તો ક્યાં કરવા બેસીએ? એટલે એ સિવાયનું જે હોય તેનું જ રડવાનું રહે. રાજકારણમાં કશું કાયમી નથી. ન શત્રુ, ન મૈત્રી ! આજે જે સાથે છે તે કાલે સામે હોય એની નવાઈ રાજકારણમાં નથી, ચૂંટણી જીતવા થઈ શકે તે બધાં જ પાપ કોઈ પણ પક્ષને કરવાની નાનમ નથી, પણ એ બધા પછી પણ આ બધા જ પક્ષો ભારતના છે ને ભારતમાં છે તેનો ઇન્‌કાર થઈ શકે એમ નથી. આ બધાંને જોડી રાખનારું એક માત્ર પરિબળ ત્રણ અક્ષરનું ‘ભારત’ જ છે. આ બાબત દરેકે દરેક પક્ષે શ્વાસમાં ઉતારી લેવાની રહે. એ જો જાણ્યે-અજાણ્યે શત્રુ દેશનો હાથો બને તો તે કોઈ રીતે ચલાવી શકાય નહીં. એની માફી નથી. ન જ હોવી ઘટે. દુનિયા જાણે છે કે પાકિસ્તાને વિશ્વમાં આતંકી હુમલાઓ કરાવ્યા. આતંકી શિબિરો ચલાવ્યા, આતંકવાદીઓને આશ્રય આપ્યો. એ આતંકીઓનો કોઈ રીતે કોઈ પક્ષ કોઇથી જ ન લેવાય. ધારો કે કોઈ રાજકીય પક્ષ એ કરે છે કે કોઈ પ્રજા એ કરે છે તો તે દેશદ્રોહ જ છે. એક તરફ અમેરિકા છે, જે આતંકવાદીઓને તેમના નિવાસે જઈને ખતમ કરે છે ને બીજી તરફ ભારતમાં એ બાબતે રહેમદિલી દાખવાતી હોય તો તે બધી રીતે ઘાતક ને નિંદનીય ને તેથી જ અક્ષમ્ય છે. કોઈ પણ આતંકવાદી, જો આ દેશમાં હુમલો કરતો હોય તો તેનો પ્રજાએ, વિપક્ષોએ કે સરકારોએ કેવળને કેવળ વિરોધ જ કરવાનો રહે. એમાં જો ઢીલાશ દાખવાય તો તે દુખદ છે. આતંકવાદી કોઈ પણ કોમનો હોય તેથી તે કોઈ પણ કોમની સહાનુભૂતિને પાત્ર ઠરી ન શકે. છતાં એ દુખદ છે કે કોઈ કોમને એની દયા આવે છે. એ બધી રીતે ધિક્કારને પાત્ર છે. વાત કોમની જ નથી, રાજકીય પક્ષની પણ એવી માનસિકતા હોય તો તે પણ નકારી કાઢવા યોગ્ય જ છે. આવું રાજકીય પક્ષો, સત્તા મેળવવા કરે છે કે સત્તાધારી પક્ષને ગબડાવવા પણ આવી રમતો થતી હોય છે કે સત્તાધારી પક્ષ એને ન્યાયી ઠેરવવા ક્યારેક બચાવમાં પણ લાગે છે, પણ કોઈએ એ ભૂલવા જેવું નથી કે આવા વિરોધ કે બચાવનો લાભ જાણ્યે-અજાણ્યે શત્રુ દેશો જ ઉઠાવતા હોય છે.

મુંબઇમાં 12 માર્ચ, 1993ને રોજ ગીચ વસ્તીવાળા 12 વિસ્તારોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોએ જીવ ગુમાવેલા ને 700થી વધુ લોકો ઘવાયેલા. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જની 28 મજલી ઈમારતનાં બેઝમેન્ટમાં પણ બ્લાસ્ટ થયેલો અને એમાં 50 લોકોનાં મોત થયેલાં. આ બ્લાસ્ટના એક આરોપી યાકૂબ મેમણની આ ષડયંત્રમાં ભાગીદારી જણાતાં સી.બી.આઈ.એ 1994માં તેની ધરપકડ દિલ્હી રેલવે સ્ટેશનથી કરેલી ને 2013માં સુપ્રીમ કોર્ટે તેને દોષી ઠેરવીને ફાંસીની સજા પણ ફરમાવેલી. 2015માં નાગપુર જેલમાં તેને ફાંસી અપાયેલી. ફાંસી પછી યાકૂબને સાઉથ મુંબઈના એક કબ્રસ્તાનમાં દફનાવાયો હતો. આમ તો આ વાત ત્યારે પૂરી થઈ ગયેલી, પણ ભા.જ.પે. તાજો આરોપ એ મૂક્યો છે કે ઉદ્ધવ ઠાકરેના કાળમાં યાકૂબની કબરને સજાવવામાં આવી છે, એટલું જ નહીં, તેની આસપાસ આરસ લગાવવામાં આવ્યો છે અને ફરતે એલ.ઈ.ડી. લાઇટ્સ લગાવવામાં આવી છે. ભા.જ.પી. નેતાએ તેની તસ્વીરો પણ મીડિયામાં વહેતી કરી છે. આમ તો અત્યારે ભા.જ.પ.-શિવસેના સરકાર કાર્યરત છે ત્યારે ભા.જ.પ. તરફથી જ આ વાત સામે લાવવાનું ગણિત કળાતું નથી. તે વખતે કાઁગ્રેસ-એન.સી.પી.ની યુતિવાળી સરકાર અમલમાં હતી એટલે કાઁગ્રેસ બચાવમાં આગળ ન આવે એવું તો કેમ બને? તેનાં પ્રવક્તાએ વળતો સવાલ કર્યો છે કે આતંકીઓને ફાંસી આપ્યા પછી, તેનાં પરિવારને શબ અપાતું નથી, પણ ભા.જ.પ. સરકારે તે પરિવારને સોંપી દીધું ને કમાલ એ છે કે અત્યારે ભા.જ.પ. આ મુદ્દે રાજનીતિ કરે છે. જો કે, આ વાત કાઁગ્રેસ પણ તો આજે જ કરે છે. શબ સોંપવાની વાત કાઁગ્રેસ ત્યારે પણ ઉઠાવી શકી હોત, પણ ત્યારે ચૂપ રહી. કોઈ જૂનો મુદ્દો રાજકીય પક્ષો એકાએક સપાટી પર લાવે તો મુદ્દો તે જ હોય એમ પ્રજા પણ હવે માનતી નથી. તે જાણે છે કે ચાવવાના ને બતાવવાના જુદા છે.

વાત તો એવી પણ છે કે કબ્રસ્તાનની બહાર નોટિસ છે કે કોઈ પણ કબર ફરતે આરસનું કે કોઈ પ્રકારનું પાકું બાંધકામ ન કરવું. છતાં આ આતંકવાદીની કબર ફરતે આરસ જડેલો છે તે હકીકત છે. વારુ, સાધારણ રીતે કબર 18 મહિના પછી ખોદી કાઢવામાં આવતી હોય છે, પણ આ કબરને 5 વર્ષથી વધુ સમય વીતવા છતાં હાથ લગાડાયો નથી. વધારામાં યાકૂબના કાકાના દીકરાએ પોલીસ ફરિયાદ એવી પણ કરી છે કે ટ્રસ્ટીઓએ યાકૂબની કબ્રગાહને 5 લાખમાં વેચી દીધી છે.

આમ તો આ બધી વાત અત્યારે બહાર ઉછાળવાનું કારણ પકડાતું નથી, બને કે ગયા માર્ચમાં કબર પર રોશની કરવામાં આવી એ વાત ધ્યાને લવાઈ હોય. એ વાતનેય છ એક મહિના થયા. આ ઘટના ઉદ્ધવ ઠાકરેની નબળાઈ બહાર લાવવાનું નિમિત્ત હોય, પણ અત્યારે તો ઉદ્ધવ સત્તામાં ય નથી, તો આ વાત ઉખેળવાનું કારણ શું હોઈ શકે તે સમજાતું નથી. બીજું, કબ્રસ્તાનની વાત કરીએ તો કબ્રગાહ વેચવા બાબતે જે ફરિયાદ છે તે અંગે કે કબર ફરતે બાંધકામની મનાઈ હોવા છતાં કબર સજાવાઈ તેમાં કોની મહેરબાની કામ કરી ગઈ છે તેનો પણ કોઈ ખુલાસો મળતો નથી. કારણો ગમે તે હોય, પણ એક આતંકવાદીની કબરને આટલાં માન સન્માન અસહ્ય છે.

એ દુખદ છે કે આપણાં સત્તાધીશો પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યા, પણ જે આતંકવાદી સેંકડો માણસોનાં મોત માટે જવાબદાર હોય, તેની કબરને ભારતમાં આટલાં માન-સન્માન મળે એ આપણી દેશભક્તિ માટે ઘણી શંકાઓ ઉપજાવે એમ છે. દુશ્મન દેશનો એક આતંકવાદી આપણાં તંત્રોની શિથિલતાનો લાભ લઈને અનેક સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવામાં સફળ થાય ને તેને પરિણામે સેંકડો નિર્દોષોનાં મોત થાય, આતંકી પર કેસ ચાલે ને સુપ્રીમ કોર્ટ તેને ફાંસીની સજા ફરમાવે ને મુંબઇમાં તેની કબરને અછોવાનાં થાય ને તેનાં પર રાજનીતિ ચાલે ને આક્ષેપો, પ્રતિઆક્ષેપો ચાલે એ કેવળ ને કેવળ શરમજનક છે.

સો વાતની એક વાત એ કે આપણે કોઈ પણ કોમનાં હોઈએ, કોઈ પણ પક્ષની સરકાર કેન્દ્રમાં કે રાજ્યમાં હોય, આતંકવાદી માત્રનો એકી અવાજે સાર્વત્રિક બહિષ્કાર જ હોય. એમાં કોઈ દાવા-દલીલને અવકાશ જ નથી. જે આ નથી સ્વીકારતા તે બીજું કૈં પણ હોય, ભારતીય નથી. કમસે કમ ભારતીય તો નથી જ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 સપ્ટેમ્બર 2022

Loading

સારવાર

બીજલ જગડ|Opinion - Opinion|8 September 2022

ઝંખું છું સમયથી સમયની સારવાર,

લોહીલુહાણ હાલત થયું મન તારતાર.

રહેવા દે એ મન અહિંસાની વાત ન કર,

શકના ઘેરામાં પડ્યા છે ગાંધીના વિચાર.

હાંસિયામાં મૂક્યા છે જો ઘાવ હવે તો,

એકાદ વિચાર નીકળે ટોળાંની આરપાર.

તૂટી રહ્યા શ્વાસ કોઈ તો સાંધવા આવે,

છોડી દે તું ચિંતા સાગર ઈશ્વરને દરબાર.

સમયનાં વર્તુળમાં રહી થાય કદી ના બેર,

ખુદને હૂંફ આપી કાયમી કરી સારવાર.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,3961,3971,3981,399...1,4101,4201,430...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved