Opinion Magazine
Number of visits: 9459019
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સત્યકથા’ અને ‘સચ્ચાઈનું કાલ્પનિક સ્વરૂપ’ વચ્ચે આટલો મોટો અવકાશ?

અમૃતા શાહ|Opinion - Opinion|14 May 2022

કોઈ પણ નાટ્યાત્મક સિરીઝ નજીકના ભૂતકાળના એક મહત્ત્વના પાત્રનો મહિમા કરવાનું કહીને, મૌલિક જૂઠાણાં વડે તે પાત્રનું ચરિત્રખંડન શા માટે કરે? હું ‘સોની લાઇવ’ પર આવેલી વેબ સિરીઝ ‘રૉકેટ બોય્ઝ’ની વાત કરું છું. તેમાં આધુનિક ભારતમાં પરમાણુ ઊર્જા અને અવકાશ જેવાં ક્ષેત્રોનો પાયો શી રીતે નંખાયો તેની વાત, એ કામગીરી પાર પાડનારી હસ્તીઓના જીવનપ્રસંગો થકી કરવામાં આવી છે. પ્રચાર સામગ્રીમાં તે વેબસિરીઝને ‘દંતકથા સમા’ વિજ્ઞાનીઓ હોમી જે. ભાભા અને વિક્રમ સારાભાઈની ‘સત્યકથા’ તરીકે ઓળખાવવામાં આવી છે, પરંતુ સિરીઝમાં મુકાયેલા ખુલાસામાં તે કથા ‘સચ્ચાઈનું કાલ્પનિક સ્વરૂપ’ હોવાનું જણાવાયું છે.

રિવ્યુ લખનારાએ તે સિરીઝને નવો ચીલો પાડનારી અને કેળવણીપ્રદ તરીકે વખાણી છે, પરંતુ સિરીઝમાં જે હદે ‘સર્જનાત્મક છૂટછાટો’ લેવામાં આવી છે (વિજ્ઞાની મેઘનાદ સહાના વાસ્તવિક પાત્રનું કાલ્પનિક નિરૂપણ, ખોટી તારીખો અને ઘટનાઓ, વાહિયાત વૈજ્ઞાનિક દાવા) તે જોતાં સિરીઝમાં રહેલી વધારે ગંભીર વિકૃતિઓ તરફ ધ્યાન દોરવાનું કામ વિશેષ અભ્યાસ કરનારાના ભાગે આવે છે.

અવકાશ યુગના આરંભકર્તા વિક્રમ સારાભાઈના પૂરા કદના એક માત્ર જીવનચરિત્ર ‘વિક્રમ સારાભાઈ-અ લાઇફ’(પેંગ્વિન, ૨૦૦૭)ના લખનાર તરીકે મારી નિસબત નાનામોટા ફેરફારો કરતાં વધારે, તેમના ચરિત્ર અને તેમના એકંદર મહત્ત્વની ખોટી રજૂઆત અંગે છે.

શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સ્વામિનાથન્‌ સાથે લગ્ન કરનાર વિક્રમ સારાભાઈને આ સિરીઝમાં પુરુષપ્રધાન માનસિકતા ધરાવતા એવા અસંસ્કારી જણ તરીકે દર્શાવાય છે, જે પત્નીને તેનાં સપનાં સાકાર કરવામાં હતોત્સાહ કરે છે, પત્નીને સબડતી મૂકીને પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પાછળ મચ્યા રહે છે અને એક સહકર્મી સાથે લગ્નેતર સંબંધ બાંધે છે.

સિરીઝના આરંભે વિક્રમભાઈની મહત્તા દર્શાવતા એક કાલ્પનિક પ્રસંગમાં હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ વચ્ચે દલીલબાજી થાય છે. ભાભા અણુબોમ્બ બનાવવા અથવા બોમ્બ બનાવતા હોય એવું દેખાડવા ઇચ્છે છે. તેમના આક્રમક વલણનો વિરોધ કરીને વિક્રમભાઈ અણુયુદ્ધના ખતરા તેમ જ વૈશ્વિક મહાસત્તાઓના સંભવિત વિરોધની વાત કરે છે. બંને વચ્ચેની દલીલના અંતે ભાભા વિક્રમભાઈને નૈતિક માર્ગદર્શક (કોન્શન્સ) બની રહેવા જણાવે છે.

આખી સિરીઝમાં કાલ્પનિક વિક્રમભાઈની આ સૌથી મહત્ત્વની, ઊજળી અને એવી દુર્લભ ક્ષણો છે, જે સિરીઝમાં અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. બાકીની સિરીઝમાં તે અવાસ્તવિકતાની દુનિયામાં ખોવાયેલા સ્વપ્નિલ અને સારી ભાવનાથી પણ પૂરા વિચાર વિના આરંભેલાં સાહસોમાં અટવાતા માણસ તરીકે દર્શાવાયા છે. દાખલા તરીકે, કાપડની મિલોમાં ઉત્પાદનની પ્રક્રિયા આધુનિક બનાવવાના તેમના પ્રયાસને કારણે કામદારોમાં વિદ્રોહ જાગે છે, જે તેમના ઉદ્યોગપતિ પિતાએ વચ્ચે પડીને શમાવવો પડે છે.

નોકરી માટે અરજી કરનાર યુવાન એ.પી.જે. અબ્દુલ કલામનું કાલ્પનિક પાત્ર વિક્રમભાઈની ઑફિસમાં કોરે પડેલા રૉકેટનું મોડેલ જુએ છે અને વિક્રમભાઈને યાદ કરાવે છે કે તેમણે તેમના સ્વપ્નની કેવી અવગણના કરી છે. ત્યાર પછી વિક્રમભાઈ ધ્યાનચલિત મનોદશામાંથી બહાર આવીને પહેલા રૉકેટના લોન્ચિંગની તૈયારી કરે છે. (નવેમ્બર ૧૯૬૩માં કેરળના થુમ્બામાં પહેલા રોકેટના લોન્ચિંગથી ભારતના અવકાશી કાર્યક્રમનો આરંભ થયો હતો.) પરંતુ છેલ્લી ઘડીએ સમસ્યાઓ આવે છે. લૉન્ચર ઊંચું કરવા માટેની રિમોટ સિસ્ટમ ખોટકાય છે. વિક્રમભાઈ હતાશ થઈને લૉન્ચિંગ મોકૂફ રાખવાનું વિચારે છે. પણ આવડતના ભંડાર સમા ભાભા દાખલ થાય છે, તે વિક્રમભાઈને હિંમત આપે છે અને આતુરતાથી થનગનતા કલામની મદદથી લૉન્ચિંગ પાર પાડીને વિક્રમભાઈની આબરૂ બચાવે છે. અંતે સૌ સારા વાનાં થાય છે. અગાઉ અણુબૉમ્બના મુદ્દે ભાભા સાથે અસંમત વિક્રમભાઈ કોઈ કારણ આપ્યા વિના તેમના વિચાર ઓચિંતા બદલે છે અને ભાભાને હાશ થાય છે.

આ છે વેબ સિરીઝમાં આલેખાયેલા વિક્રમ સારાભાઈ. તેની સરખામણીમાં અસલી જીવનમાં વિક્રમ સારાભાઈ કેવા હતા? તેમણે પૂરા જોશથી પત્નીની કારકિર્દીને ટેકો આપ્યો હતો, મૃણાલિની નૃત્યના કાર્યક્રમો માટે વારંવાર વિદેશ જતાં ત્યારે વિક્રમભાઈ બાળકોની સંભાળ રાખતા, તેમના સ્ટેજ કાર્યક્રમોમાં વિક્રમભાઈ લાઇટિંગ સંભાળતા હતા અને મૃણાલિની સારાભાઈની નૃત્ય સંસ્થા ‘દર્પણ’ના તે સહસ્થાપક હતા. બી.બી.સી.ને આપેલા ઇન્ટરવ્યૂમાં વિક્રમભાઈએ દક્ષિણ ભારતીય નૃત્યો દ્વારા ‘ઉત્તર ભારતના કળાકીય અને સાંસ્કૃતિક જીવન’ને સમૃદ્ધ બનાવવાની વાત કરી હતી. (નવાઈની વાત છે કે વેબસિરીઝમાં આ ઉદાત્ત ભાવના બીજા શબ્દોમાં મૃણાલિની સારાભાઈના મોઢે મુકાઈ છે.)

વિક્રમભાઈએ કૌટુંબિક કંપનીઓનું સફળતાપૂર્વક સંચાલન કર્યું, અમદાવાદ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (અટિરા) સહિતની સંસ્થાઓ સ્થાપી, જે વેબસિરીઝમાં દર્શાવ્યા પ્રમાણે કેવળ તેમની મોટાઈ માટે ન હતી. ‘અટિરા’ સ્થાનિક ઔદ્યોગિક સંશોધન માટે નમૂનેદાર સંસ્થા બની રહી. તેમણે સાથી વિજ્ઞાની એમ.જી.કે. મેનનને કહ્યું હતું, ‘મોટા થયા પછી બાળકની જેમ એક એક ડગલું ચાલવાનું ન હોય. પછી તો કૂદકા મારવાના હોય અને દોડવાનું હોય … તમારે કોઈ જુગારીની જેમ નહીં, પણ પરિણામોની પરવા કર્યા વિના, નિષ્ફળ જઈ જ ન શકે એવી ચીવટ ધરાવતા પયગંબરની જેમ પ્રક્રિયા શરૂ કરવાની હોય.’

તેમાં એકાગ્રતા, શિસ્ત કે માનસિક ક્ષમતાનો કોઈ પ્રશ્ન ન હતો. ભાભા જેવા શાનદાર માણસને વેબસિરીઝમાં મર્દાના સુપરહીરોમાં રૂપાંતરિત કરી નાખ્યા છે, પણ અસલી જીવનમાં અઘરાં યુદ્ધો વિક્રમભાઈ લડ્યા હતા.

ભાભાના અકાળે મૃત્યુ પછી ૧૯૬૬માં વિક્રમભાઈએ ભારતના અણુશક્તિ પંચનો હવાલો સંભાળ્યો ત્યારે બારીકીઓ ધ્યાનમાં લેવાના અને ભારતની અન્નસુરક્ષા તથા ખર્ચ જેવી બાબતો સાથે સમતુલા જાળવવાના તેમના વલણ સાથે અણુશક્તિ પંચના ઉભરાતા દેશાભિમાનનો મેળ ખાતો ન હતો. દેશમાં પણ શક્તિપ્રદર્શનની માનસિકતા વ્યાપક હતી. એ પ્રકારનાં વાતાવરણમાં પોતાની જુદી દૃષ્ટિને વળગી રહેવા માટે તેમને જે પીડાદાયક લડત આપવી પડી, તે પણ તેમના મૃત્યુને વહેલું નોતરનારું એક સંભવિત કારણ હોઈ શકે.

તેમને કમલા ચૌધરી સાથે લગ્નેતર સંબંધ હતા. બંનેએ સાથે મળીને ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ’ની સ્થાપના કરી હતી. સંકળાયેલા સૌ લોકો માટે મનદુઃખનું કારણ બનેલા આ સંબંધ કોઈ પણ પ્રકારનાં છાનગપાતિયાં વગરના, અસાધારણ રીતે ખુલ્લા હતા.

વૈશ્વિક મહાસત્તાઓ જ્યારે ચિમ્પાન્ઝી અને અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલી રહી હતી, ત્યારે ભારત જેવા ગરીબ દેશમાં વિક્રમભાઈએ સુસજ્જ અવકાશી કાર્યક્રમનો આરંભ કર્યો. ચમકદમક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતી છબિ ઊભી કરવાની લાલચ બાજુ પર રાખીને તેમણે અવકાશી કાર્યક્રમને મક્કમપણે વિકાસની દિશામાં આગળ વધાર્યો. આવું ગજું ધરાવતો માણસ ‘રોકેટ બોય્ઝ’માં ગુંચવાયેલો અને નૈતિક રીતે સમાધાનકારી શી રીતે બની ગયો હશે? તેમના જેવો જાગ્રત માણસ દરેક વખતે પત્નીએ, પપ્પાએ, મિત્રે કે પછી શિખાઉ સહકાર્યકરે, કોઈકે ને કોઈકે ઠપકારવો પડે કે ઊગારવો પડે એવો અવાસ્તવિક સ્વપ્નદૃષ્ટા કેમ બન્યો હશે?

દેશના સફળતમ ટેકનોલોજિકલ કાર્યક્રમના સ્થાપકનું આવું વિચિત્ર બાળબોધી સ્વરૂપ રજૂ થયું તેની પાછળ કોઈ વધારે ઊંડું કારણ હશે? કે પછી ફક્ત વેચાય એવી કથા નીપજાવવાના હેતુથી દિમાગને કોરાણે મૂકીને કરાયેલી રજૂઆત? જે હોય તે, પણ ઇતિહાસના આ પ્રકારની પુનઃલેખનથી દેશના એક મહાન વિજ્ઞાની-સંશોધકનું અવમૂલ્યન થાય તે હળવાશથી લઈ શકાય નહીં.

અનુવાદ : ઉર્વીશ કોઠારી

(સૌજન્યઃ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, માર્ચ ૨, ૨૦૨૨)

https://indianexpress.com/article/opinion/columns/rocket-boys-vikram-sarabhai-sony-liv-7796604/

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 03-04 

Loading

રાજદ્રોહનો કાયદો જેણે લાગુ કર્યો તે અંગ્રેજોના દેશમાંથી પણ નાબૂદ થયો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 May 2022

અંગ્રેજી સલ્તનતનો ભારતમાં પાયો નખાયો ત્યારે થોડાં વર્ષ સુધી તો પ્રજાએ ગુલામી વેઠી લીધી, પણ પછી જુલમો વધવા માંડ્યા તેમ તેમ અહીંની પ્રજાએ પણ માથું ઊંચકવા માંડ્યું. દેખીતું છે કે તે અંગ્રેજી વાઇસરોયોને માફક ન જ આવે. એ માથાં કચડવા તે વખતના જજ જેમ્સ સ્ટીફને 1870માં ઇંડિયન પિનલ કોડ(આઇ.પી.સી.)ની કલમમાં 124-એ નામની એક કલમ રાજદ્રોહને નામે ઉમેરી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતના નેતાઓ સામે એ કલમનો ઉપયોગ થયો. આ કલમ હેઠળ ભગત સિંહ, લોકમાન્ય તિલક, ગાંધી, નહેરુ જેવાઓ સામે કામ ચલાવવામાં આવ્યું. જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખે કે બોલે ને એ દ્વારા સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરે કે એમ કરવાનો પ્રયત્ન કરે તો તે આ કલમ હેઠળ દોષિત ઠરે છે. આ બિનજામીન પાત્ર ગુનો છે ને તેને માટે 3 વર્ષની જેલથી તે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આમાં દંડની જોગવાઈ પણ છે. આ કાયદો અંગ્રેજોના વખતમાં હતો ને સરકારનો કોઈ વિરોધ ન કરે એટલે અમલમાં આવ્યો હતો.

એ પછી દેશ સ્વતંત્ર થયો ને લોકશાહી શાસન શરૂ થયું. અંગ્રેજોનાં શાસનમાં વિરોધ ન થાય એટલે રાજદ્રોહનો કાયદો લવાયો, પણ લોકશાહીમાં તો વિરોધનું પણ એટલું જ મહત્ત્વ હતું. વિપક્ષનું અલગથી સ્થાન સ્વીકારાયું હતું. હવે જો એ સરકારનો વિરોધ કરે તો 124 એ મુજબ રાજદ્રોહ ગણાય, પણ લોકશાહીમાં એવું નથી. એવું નથી તો રાજદ્રોહનો કાયદો પણ ન હોવો જોઈએ, પણ એ છે ને સ્વતંત્રતાનું અમૃતપર્વ ચાલે છે ત્યાં સુધી તો તે છે જ ! રાજદ્રોહ તો જે સરકારની વિરુદ્ધ પડે તેને સજા કરતો કાયદો છે ને સરકાર લોકશાહીમાં માનતી હોય ને વિરોધ તેનું મહત્ત્વનું લક્ષણ હોય તો પ્રશ્ન એ છે કે રાજદ્રોહ થાય કેવી રીતે? એટલે લોકશાહીમાં રાજદ્રોહ શક્ય જ નથી. જો એ શક્ય ન હોય તો રાજદ્રોહનો કાયદો પણ ન હોય. ન જ હોય. એટલે સુપ્રીમ કોર્ટ ભલે અત્યારે રાજદ્રોહનો કાયદો સ્થગિત કરે, પણ ખરેખર તો તેણે એ નાબૂદ કરવાની દિશામાં જ સક્રિય થવાનું રહે.

સુપ્રીમ કોર્ટે દેશદ્રોહના કાયદા પર રોક લગાવી છે ને તે જુલાઈના ત્રીજા સપ્તાહમાં સુનાવણી થાય ત્યાં સુધી રહેશે. નવી સુનાવણી ન થાય ત્યાં સુધી રાજ્ય કે કેન્દ્ર નવા કોઈ કેસ લઈ શકશે નહીં. જેના પર કેસ ચાલે છે તે કોર્ટમાં જઈ શકે છે ને જામીન મેળવી શકે છે. રાજદ્રોહની કલમ હોવી જોઈએ કે જવી જોઈએ તે અંગે સરકાર અને સુપ્રીમ વચ્ચે ચાલતો જંગ જૂનો છે. જે અંગ્રેજ સરકારે રાજદ્રોહની કલમ દાખલ કરી એ અંગ્રેજોએ પણ તેમના દેશમાંથી આ કલમ 2010માં દૂર કરી છે, પણ ભારતમાંથી એ કલમ કાઁગ્રેસનાં કે ભા.જ.પ.નાં વર્ષોનાં શાસન છતાં દૂર થઈ નથી. બંધારણમાંથી કનૈયાલાલ મુનશીએ રાજદ્રોહ શબ્દ જ દૂર કરેલો, પણ આઇ.પી.સી.માં એ શબ્દ ને કલમ હજી અકબંધ છે, તેમાં જે તે સરકારની મેલી મુરાદ કામ કરી રહી છે. કહેવાય ભલે લોકશાહી, પણ સરકારો તેની સામેનો વિરોધ લાંબો સમય સુધી સહન કરી શકતી નથી એટલે જો કોઈ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેને રાજદ્રોહને નામે સપડાવીને પજવી શકાય એટલે પણ, આ કલમ દૂર કરવા સરકાર રાજી થતી નથી. તેમાં તે સુધારો કરવા તૈયાર છે, પણ 124-એને કાઢવાની તરફેણમાં તે નથી જ.

અંગ્રેજોના વખતમાં ન થયા હોય એટલા કેસ સ્વતંત્ર થયા પછી ભારતમાં થયા હોય તો નવાઈ નહીં. 2010 પછી 806 કેસ 10,938 લોકો સામે નોંધાયા છે. રાજ્યોની વાત કરીએ તો 2010થી 2020 સુધીમાં સૌથી વધુ કેસ-168 બિહારમાં જ નોંધાયા છે. આ ઉપરાંત તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવાં ઘણાં રાજ્યોમાં રાજદ્રોહના કેસ નોંધાયા છે. આમ તો કાઁગ્રેસના વખતમાં પણ રાજદ્રોહના કેસ થયા છે, પણ 2014 પછી કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર આવી ને ઉત્તર પ્રદેશમાં પણ યોગીની ભા.જ.પી. સરકાર આ વર્ષે બની. આ સરકારો પણ સહિષ્ણુ નથી. પોતાની સામેનો વિરોધ આ સરકારો સહી શકતી નથી. વડા પ્રધાન મોદી સામે ટિપ્પણી કરવા બદલ 149 લોકો સામે અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ટિપ્પણી કરવા બદલ 144 લોકો સામે રાજદ્રોહના કેસ થયેલા છે. આ કેસમાં તથ્ય કેટલું છે તે તો કોર્ટ નક્કી કરશે, પણ કોઈ નેતાની ટીકા કરવા બદલ આટલા કેસ થાય તેવું ભારતમાં પહેલીવાર બન્યું છે. લોકશાહીમાં નેતાની ટીકા તો સામાન્ય બાબત છે, તો ટીકાને રાજદ્રોહમાં ન જ ખપાવાય, પણ ભારતમાં એ શક્ય છે. અહીં ટીકા પણ રાજદ્રોહ ગણાય છે.

2019ની લોકસભા ચૂંટણી વખતે કાઁગ્રેસે રાજદ્રોહની કલમ નાબૂદ કરવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપેલું, પણ પછી એ વાત તેને યાદ આવી નથી. ન જ આવે, કારણ રાજસ્થાનની ગેહલોત સરકારે પણ 2020માં ભા.જ.પ.ના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સામે રાજદ્રોહનો કેસ કરતી વખતે સંકોચ અનુભવ્યો નથી. સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા સામે તાજેતરમાં જ, મહારાષ્ટ્ર સરકારે રાજદ્રોહનો કેસ કર્યો છે. દંપતીએ મુખ્ય મંત્રીના ઘર સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ રાખ્યો તો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લાગ્યું કે રાણા દંપતી સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરવા માંગે છે એટલે દંપતીને ઘરની બહાર જ ન નીકળવાં દીધા કે મુખ્ય મંત્રી ઠાકરેના નિવાસસ્થાને પહોંચી શકે. હનુમાન ચાલીસાનો પાઠ એ હિન્દુ વિરોધી કે સરકાર વિરોધી વાત નથી જ, છતાં રાજદ્રોહની કલમ લગાવાઈ. દંપતીને જામીન મળ્યાં છે એટલે અત્યારે તો પતિ, પત્ની બહાર છે, પણ આ અને આવા ઘણા કેસમાં સરકારોએ રાજદ્રોહના કાયદાનો ઘણો દુરુપયોગ કર્યો છે. દુરુપયોગ થયો છે એવું એટલે પણ ખરું કે જેટલા કેસ સરકારોએ કર્યા તેમાંના મોટે ભાગના પુરવાર થયા નથી ને આરોપીની નિર્દોષ છૂટવાની ટકાવારી મોટી છે. 2015થી 2020 સુધીમાં રાજદ્રોહના કાયદા હેઠળ 548 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાંથી 12 જણાંને જ સજા થઈ છે. એનો અર્થ એ થયો કે 536 જણાંને ખોટી રીતે જ આ કેસમાં સંડોવી દેવામાં આવ્યા હતા. આમ હોય તો કેવી રીતે કહેવાય કે રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થતો જ નથી? જો છેલ્લાં આઠેક વર્ષમાં 1,500થી વધુ કાયદાઓ રદ્દ કરાયા હોય તો 152 વર્ષ જૂના રાજદ્રોહના કાયદાનો એવો તે શું મોહ છે કે સરકાર તે બદલવા તૈયાર નથી? સુપ્રીમે રાજદ્રોહનો કાયદો સ્થગિત કર્યો તો કેન્દ્રીય કાનૂન મંત્રીએ સુપ્રીમને સલાહ પણ આપી દીધી કે સરકાર કોર્ટને માન આપીને તેનાં ક્ષેત્રમાં હસ્તક્ષેપ ન કરતી હોય તો કોર્ટે પણ લક્ષ્મણરેખા ન ઓળંગવી જોઈએ. કાનૂન મંત્રી અસહિષ્ણુની જેમ એ પણ સૂચવી રહ્યા છે કે કોર્ટે લક્ષ્મણરેખા ઓળંગી છે ને સરકારની સરહદમાં દખલ કરી છે. ખરેખર તો કાનૂન મંત્રીનું વલણ ગરિમાપૂર્ણ હોય તે અપેક્ષિત છે.

એ પણ છે કે રાજકીય ઉશ્કેરણીના કિસ્સામાં રાજદ્રોહ સિવાયની બીજી કડક કલમો કાયદામાં છે જ, તેનો ઉપયોગ થઈ જ શકે, આતંકવાદ અને મની લોન્ડરિંગ જેવી બાબતો માટે રાજદ્રોહની કલમ જરૂરી છે એવું સરકારને લાગે છે, પણ તેની આડ લઈને સરકાર ગમે તેની સામે આ કલમનો દુરુપયોગ નહીં જ કરે એની કશી ખાતરી નથી. સરકાર સામે ઉશ્કેરણીનો કોઈ મુદ્દો જ ન હોય ને સરકારને એમ લાગે કે જે તે ઉશ્કેરણી સરકારની સામેની છે ને તે રાજદ્રોહની કલમ લગાવી દે, તે વખતે સરકારનો હેતુ તો જળવાઈ રહે, પણ કોઈ નિર્દોષનો મરો થયા વગર રહે નહીં તે નક્કી છે. વળી, આતંકવાદ કે મની લોન્ડરિંગ જેવી બાબતે બીજી કલમો છે જ ને તે હેઠળ કામ ચલાવી જ શકાય, પણ સરકાર આ કલમ રાખવાની તરફેણમાં એટલે છે કે એમાં આરોપીને ખરો કે ખોટો, એકવાર તો સળિયા પાછળ ધકેલી જ દેવાય છે. કોઈક રીતનું વેર વાળવું હોય તો આ કલમ સરકારની ઘણી ઈચ્છાઓ પૂરી કરી શકે એમ છે. વિપક્ષ જેવું ખાસ રહ્યું નથી એટલે તેને તો સરકાર શું સપડાવે, પણ વિપક્ષ માતબર હોય એવી સ્થિતિમાં સરકાર આ કલમથી એકવાર તો કોઈને પણ ધંધે લગાડી શકે એમ છે. બીજું એ કે આ બિન-જમીનપાત્ર અપરાધ છે એટલે આરોપી બહાર આવી શકતો નથી. એકવાર દેશદ્રોહનો આરોપ લાગે તો વ્યક્તિ સરકારી નોકરી કરી શકતી નથી ને એ ઉપરાંત તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવે છે. આરોપી નિર્દોષ હોય કે દોષિત, તે લાંબો સમય જેલમાં જ સડતો રહે છે. એટલે કોઈ વાતે સરકારે બદલો લેવો હોય તો આ કલમ જેવી બીજી કલમ તેને કદાચ નહીં મળે.

એ જે હોય તે, પણ આ કલમ દેશમાંથી જવી જોઈએ. તે એટલે કે એ વિરોધને રોકનારી જુલમી કલમ છે. જો વિરોધ જુલમ હોય તો આ કલમથી પણ જુલમ સિવાય બીજું કૈં જ થતું નથી ને લોકશાહીમાં વિરોધનો મહિમા હોય તો તેને રોકવા રાજદ્રોહનો કાયદો શું કામ? સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદાને જુલાઇ સુધી ભલે રોક્યો હોય, પણ ખરેખર તો તેની ગતિ આ કાયદાની નાબૂદી તરફની હોય તે અપેક્ષિત છે. જો, બંધારણમાં વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય કોઈ મહત્ત્વ ધરાવે છે, તો રાજદ્રોહનો કાયદો એના પરની સીધી તરાપ છે. રાજદ્રોહનો કાયદો ખરેખર જ મહત્ત્વનો લાગતો હોય તો સરકારે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કલમો બંધારણમાંથી દૂર કરવી જોઈએ ને ભારત લોકશાહી દેશ છે એ કહેવાનું બંધ કરવું જોઈએ.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 મે 2022

Loading

પત્ર

બીજલ જગડ|Poetry|13 May 2022

અમે દસ દસ મણ અગ્નિ લખી કાઢ્યું છે કાગળમાં જી,
છાતીના ઝગડામાં લાગણી ડૂબતી અતલ સાગરમાં જી.

હું પ્રથમ અમસ્તો માત્ર જોતો રહ્યો વાત કંઈ પણ ન હતી,
કોરો કાગળ ફાટી આંખ, સળગી ઉઠ્યા હાથ મુઠ્ઠીમાં જી.

મીરાં નામની નદી ઉપડી પાંપણે; લોચન મારાં ઝાલી,
જીવન જ્વાળા મહીં ઈંધણ, નિર્દોષ અબોલા આંખોમાં જી

પત્ર હું લાખ લખું એવા, હૃદયની ઉર્મિઓ ખાલી કરી નાખું,
નિહાળું ઝલક પ્રણય ગોઠડીની, જીવનની કહાણીમાં જી.

પ્રેમની વાતો, હૃદયની લાગણીઓ એકાંતમાં દિલ ડંખે છે,
લાગણીના ભારથી લચકાતી શાયરી પત્રના પાલવમાં જી.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,3961,3971,3981,399...1,4101,4201,430...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved