Opinion Magazine
Number of visits: 9744559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવનિર્માણ માટે વિનાશ જરૂરી હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2022

અનુભવ એવો છે કે સરકારી અધિકારીઓ અને ન્યાયમૂર્તિઓ નિવૃત્ત થયા પછી ડાહીડાહી વાતો કરવા માંડે છે, પણ જો પાછા વળીને તેમની કારકિર્દી પર નજર કરશો તો જોવા મળશે કે તેમણે ફરજ સાથે કાં તો સ્વેચ્છાએ સમાધાનો કર્યાં હતાં અથવા ડરીને કામ કરતા હતા. જે ઊઘાડી રીતે વેચાઈ ગયા હતા તેમની તો આપણે વાત જ નથી કરતા. તેઓ મોટે ભાગે સૂફિયાણી વાતો કરતા પણ નથી, સિવાય કે માણસ સાવ બેશરમ હોય.

સર્વોચ્ચ અદાલતમાંથી તાજા નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ઉદય લલિત આમાં અપવાદ છે. તેમને મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કામ કરવાનો માત્ર ૭૪ દિવસ માટે મોકો મળ્યો હતો અને તેમાં તેમણે સપાટો બોલાવ્યો હતો. ખાસ કરીને અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની બાબતે સરકાર ગંભીર નથી એમ તેમણે સ્પષ્ટ સંભળાવ્યું હતું. માટે નિવૃત્તિ પછી તેમણે બે દિવસ પહેલાં દેશમાં ન્યાયતંત્રની સ્થિતિ વિશે આપેલું વક્તવ્ય પ્રાસંગિક છે. પ્રાસંગિક એટલા માટે પણ છે કે દેશના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે પણ લગભગ આ જ વાત એ જ દિવસે અન્યત્ર બોલતા કહી હતી. બે આજી અને માજી ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રનું એક જ સરખું નિદાન કરે અને ચેતવણી આપે તો તેને વિશેષ કરીને ગંભીરતાથી લેવી જોઈએ.

નિવૃત્ત ન્યાયમૂર્તિ ઉદય લલિત અને ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે પોતપોતાની રીતે પણ એક જ વાત કહેતા કહ્યું છે કે નીચલી અદાલતોમાં કેટલાક જજો કાયદાનું જરૂરી જ્ઞાન નથી ધરાવતા, કેટલાકમાં સંવેદનશીલતા અને દક્ષતાનો અભાવ હોય છે, કેટલાક સરકારી વકીલને અને તપાસકર્તાઓને પ્રશ્ન પૂછતા ડરે છે અને કેટલાક ભ્રષ્ટ છે. લોકોની ધરપકડ તો જાણે એવી રીતે થાય છે કે મંદિરમાં પ્રવેશ આપતા હોય. જજો એક પણ સવાલ કર્યા વિના કસ્ટડી આપે છે અને કસ્ટડની મુદ્દત લંબાવવા રહે છે. કેટલીકવાર તો વરસોનાં વરસ સુઘી. લગભગ ૮૦ ટકા કેસોમાં ફરિયાદી કે બચાવપક્ષ સરકાર હોય છે અને જજો સરકારની વિરુદ્ધ જતા કે પ્રશ્ન પૂછતા પણ ડરે છે. આને કારણે કેસોનો ભરાવો થાય છે. કાચા કેદીઓની સંખ્યામાં વધારો થાય છે. નિર્દોષ લોકોએ વર્ષો સુધી જામીનની અને ચૂકાદાની રાહ જોતા જેલમાં સબડવું પડે છે. ખટલો ચલાવીને સજા કરવામાં આવી હોય એવા કેસોનું પ્રમાણ માત્ર ૨૭ ટકા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક જજો દીવાની અને ફોજદારી કેસ વચ્ચેનો ફરક સમજતા નથી અને દીવાની કેસને ફોજદારી તરીકે ચલાવે છે. કદાચ જાણીબૂઝીને પણ કોઈને હેરાન કરવા આમ કરતા હશે. ટૂંકમાં લગભગ ૮૦ ટકા આરોપી વગર સજાએ સજા ભોગવે છે.

આજી અને માજી ન્યાયમૂર્તિઓએ જે ચેતવણી આપી છે કે ઊહાપોહ કર્યો છે એ પહેલીવારનો નથી. અનેક ન્યાયમૂર્તિઓએ, કાયદાવિદોએ, વખતો વખત કાયદાપંચે, કાયદાના રાજ માટે ખેવના ધરાવતી દેશ-વિદેશની સંસ્થાઓએ આ પહેલાં અનેકવાર ઊહાપોહ કર્યો છે. મેં મારી કૉલમમાં બે ત્રણ દાયકામાં ચાલીસ પચાસવાર લખ્યું હશે. કેમ આમાં કોઈ સુધારો નથી થતો? સરકાર ગમે તે પક્ષની હોય, વડા પ્રધાન લોકશાહીનિષ્ઠ હોય કે તાનાશાહ, ન્યાયતંત્રમાં સુધારો કરવામાં નથી આવતો.

આનાં મુખ્ય બે કારણ છે. એક તો એ કે ન્યાયતત્ર પાંગળું હોય, જજો ડરીને રહેતા હોય કે શાસકોને સાથ આપતા હોય, બને એટલા અભણ કે કાર્યદક્ષતાનો અભાવ ધરાવતા હોય એટલો સ્થાપિત હિતોને લાભ છે અને સૌથી મોટું સ્થાપિત હિત શાસકો ધરાવે છે. જો ન્યાયતંત્ર આજે છે એવું ન હોય અને જેવું હોવું જોઇએ તેવું હોય તો અડધાથી વધુ રાજકારણીઓ શાસકો જેલમાં હોય. બીજું કારણ આપણા બાપનું શું જાય એવી સરકારી અમલદારોની માનસિકતા. જ્યારે પણ કોઈ પ્રશ્ન કરે કે તરત કેસ અદાલતમાં ઘૂસાડી દો. તારીખ અને અપીલ વગેરે મળીને કમ સે કમ બે દાયકા સુધી ચુકાદો આપવાનો નથી અને ત્યાં સુધીમાં નિવૃત્ત થઈને બધા જ નિવૃત્તિ પછીનાં લાભો લઈને ઘરે અને કદાચ ઉપર જતા રહ્યા હઈશું. જરૂરી નિર્ણય ટાળવાને કારણે લોકોને કેટલું હેરાન થવું પડે છે તેની તેઓ ચિંતા કરતા નથી.

આજકાલ તો વળી સ્થિતિ એવી છે કે સર્વોચ્ચ સ્થાને બેઠેલા ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રને ડૂબાડી રહ્યા છે. પત્રકારો પત્રકારત્વને ડૂબાડી રહ્યા છે. રાજકારણીઓ રાજ્યતંત્રને ડૂબાડી રહ્યા છે અને ધર્મગુરુઓ ધર્મને ડૂબાડી રહ્યા છે. એક રીતે જે બની રહ્યું છે એ સારા માટે બની રહ્યું છે. નવનિર્માણ માટે કેટલીકવાર વિનાશ જરૂરી હોય છે. કાળચક્રમાં સુધારાઓ (કરેકશન) જરૂરી હોય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2022

Loading

કસ્તૂર, મારી બાની ખોવાયેલી ડાયરી 

આશા બૂચ|Gandhiana|23 November 2022

The Lost Diary of Kastur, My Ba : Tushar Gandhi : પ્રાપ્તિ સ્થાન — Harper Collins publication, India : 2022 : Rs. 599.00

બે એક વર્ષ પહેલા કસ્તૂરબા આશ્રમ, ઇન્દોર સ્થિત ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના કર્મચારીઓને ફાટી તૂટી અવસ્થામાં એક ડાયરી હાથ લાગી. એ જાન્યુઆરી 1933થી સપ્ટેમ્બર 1933 દરમ્યાન કસ્તૂરબાએ જાતે લખેલ ડાયરી હતી, તેમ માલૂમ પડ્યું. કસ્તૂરબાની જેમ આ ડાયરી પણ આટલાં વર્ષો ભુલાઈ ગયેલી, અવગણના પામેલી એક માળિયામાં પડી રહી.

ગાંધીજીના પ્રપૌત્ર તુષારભાઈ ગાંધીએ જ્યારે આ ડાયરીની ભાળ મળ્યાની વાત પરિવારજનોને કહી ત્યારે, “તેઓ તો અશિક્ષિત હતાં, તેઓ લખી ન શકતાં” એમ કહીને આવી કોઈ ડાયરી હોય તે માનવા જ કોઈ તૈયાર ન થયા. તુષારભાઈએ તે ડાયરી વાંચી, તેમની આશંકાનું સમાધાન થયું.

આ પુસ્તકના શરૂઆતના 95 પૃષ્ઠ કસ્તૂરબા અને ગાંધીજીના જીવનની મુખ્ય ઘટનાઓનો કાળ ક્રમ દર્શાવે છે. તેમાંની મોટા ભાગની વિગતો ‘સત્યના પ્રયોગો’થી માંડીને અનેક પુસ્તકો અને લેખો દ્વારા વાંચવા મળે, પણ આ પુસ્તકમાં કસ્તૂરબા કેન્દ્રસ્થાને છે, જેથી એમના જીવનને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. અત્યાર સુધીમાં જ્યારે જ્યારે ગાંધીજીનાં લખાણો અને તેમના વિષે લખાયેલ બહોળા સાહિત્યનું પાન કર્યું, ત્યારે તેમના પ્રત્યેના અહોભાવથી નતમસ્તક થવાયું છે, પરંતુ કસ્તૂરબા વિષે જ્યારે કઇં વાંચીએ કે સાંભળીએ ત્યારે આંખો સજળ થયા વિના ન રહે. કારણ અકળ છે.

પોરબંદર ખાતે કસ્તૂરબાનો, એપ્રિલ 1869માં, ખાધે પીધે સુખી પરિવારમાં જન્મ થયો, ત્યારથી માંડીને મોહન સાથેના વિવાહ, મોહનના અભ્યાસનાં વર્ષો, પરિવારના વડીલ અને પોતાના પ્રથમ સંતાનને ગુમાવવાનો લાગેલ ધક્કો, અભ્યાસાર્થે અને ત્યાર બાદ વ્યવસાય અર્થે મોહનનું વિદેશ ગમન, દક્ષિણ આફ્રિકાના રહેવાસ દરમિયાન આવેલ ચડાવ ઉતાર, સ્વદેશાગમન બાદ ત્રણ દાયકાની જેલ, આશ્રમ અને બેઘર બન્યાની સ્થિતિની મજલનું વર્ણન વાચકને જકડી રાખે. દરેક પડાવ સમયે કસ્તૂરબા શું વિચારતાં, અનુભવતાં અને કહેતાં એ બખૂબીથી દર્શાવેલું છે. યુવાવસ્થામાં એ દંપતીની અત્યંત અંગત પળોનું આલેખન તુષારભાઈએ નિઃસંકોચપણે કર્યું છે કેમ કે તેઓ બા અને બાપુને સામાન્ય વ્યક્તિ અને દંપતી તરીકે દર્શાવવા માગે છે, અને બાપુએ ખુદ આત્મકથામાં એ બંને ઐહિક વાસનાના કેવા ગુલામ હતા એનો ઉલ્લેખ કર્યો છે, એથી આ પુસ્તકના લેખક પણ તેને વિકૃતિ નહીં પણ સ્વાભાવિક મનોભાવ તરીકે ચિત્રિત કરે છે, જે ખરેખર સરાહનીય છે.

વિવાહ કરીને આવેલી એક નમ્ર પરંતુ પોતાના અધિકારોથી જાગૃત અને મક્ક્મ નિર્ધાર વાળી કન્યા કઈ રીતે એક પુત્રવધૂ, માતા અને જવાબદાર પત્ની તરીકે વિકસતી, ખીલતી ગઈ અને દક્ષિણ આફ્રિકામાં ધીરે ધીરે ભારતીય કોમની સેવામાં, આશ્રમના સંચાલનમાં, સત્યાગ્રહમાં ભાગીદારી કરવામાં અને જેલવાસને બહાદુરીથી સહન કરવામાં કેવો આગેવાની ભર્યો ભાગ ભજવ્યો એ જાણ્યા બાદ વાચકને કસ્તૂરબા એક સબળ, ધીર અને સ્વતંત્ર માનસ ધરાવનાર રાષ્ટ્રમાતા કઈ રીતે બન્યાં એ પ્રતીત થયા વિના ન રહે.

2જી જાન્યુઆરી 1933થી આ ડાયરી લખવાનો પ્રારંભ થયો. પૃષ્ઠના મથાળે કસ્તૂરબાના હસ્તાક્ષરમાં લખેલ નોંધ, તેની નીચે તેનું અક્ષરશઃ ગુજરાતી લખાણ અને ત્યાર બાદ તેનું ઇંગ્લિશમાં ભાષાંતર આપીને તુષારભાઈએ આપણને કસ્તૂરબાના અક્ષરદેહ સાથે મેળાપ કરાવી આપ્યો અને ગુજરાતી ભાષા ન જાણનાર વાચકોને ઇંગ્લિશ દ્વારા તે નોંધ સુલભ કરી આપી. એક વાત અહીં નોંધનીય છે કે તેઓએ કસ્તૂરબાની જોડણી કે વ્યાકરણની ભૂલો મઠારી નથી. બા જેવા હતાં તેવાં જ આપણી સમક્ષ રજૂ કર્યાં છે. કસ્તૂરબા પોતે જ લખે છે તેમ ડાયરીમાં એકની એક વાત લખવાની હોય છે (કેમ કે મોટા ભાગનો સમય તેઓ જેલમાં હતાં) છતાં મને થયું, હું કેમ એકેએક પાનું આટલા રસથી વાંચું છું? કેમ કે હું મારાં જ વડ દાદીની ડાયરી વાંચતી હોઉં તેટલી આત્મીયતા લાગી, અને તે એ લખાણને જેમનું તેમ રજૂ કરવાને કારણે.

કસ્તૂરબા જેવાં મૃદુ સ્વભાવનાં અને મિતભાષી તેવાં જ થોડા શબ્દોમાં ઝાઝું લખનાર તરીકે ઉભરી આવે છે આ ડાયરીનાં પાનાંઓ ઉપર. બે લાઈન તો શું, બે શબ્દો વચ્ચે પણ તેમનો બાપુ પ્રત્યેનો અનર્ગળ પ્રેમ, શ્રદ્ધા, તેમનાં સ્વાસ્થ્ય વિષેની ચિંતા જેવી અંગત લાગણીઓથી લઈને તેમના સાથીદારો અને પરિવારજનો માટેની કાળજી અને દેશ આખાને આઝાદ કરવા સત્યાગ્રહ કરવા વિશેનું તેમનું ચિંતન બાને કેટકેલટલી ભૂમિકાઓ સહજ પણે બજાવતાં દર્શાવે છે! આ ડાયરીના લખાણમાં કસ્તૂરબા પોતાના એક અલગ અંદાજમાં એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવનાર, અડીખમ સાથીદાર અને સત્યાગ્રહી તરીકે ઉભરી આવે છે; અલ્પશિક્ષિત, પણ વિચક્ષણ.

એક બીજી હકીકત મારું ધ્યાન ખેંચી ગઈ, અને તે તુષારભાઈએ કરેલ ‘કસ્તૂર, કાપડિયા ગાંધી’ શબ્દ પ્રયોગ. છેલ્લાં કેટલાંક વર્ષોથી આધુનિક મહિલાઓ લગ્ન બાદ પોતાના પિતા અને પતિની બંને અટક રાખીને પુરુષ સમોવડી હોવાની ચેષ્ટા કરવા લાગી છે. જ્યારે તુષારભાઈ કસ્તૂરબાની પોતાની ઓળખ બતાવવા માટે કસ્તૂર કાપડિયા ગાંધી તરીકે સંબોધ્યાં છે, જે ખરેખર આવકાર્ય જ ગણાય.

ડાયરીને અંતે ગાંધીજીએ ત્રણ અલગ અલગ સમયે આપેલી અંજલિ બા અને બાપુ વચ્ચેના અગાધ પ્રેમ અને વિશ્વાસનું આલેખન કરે છે, વાચકને બંને એકબીજા થકી કેવાં ધન્ય હતાં તેનો અહેસાસ થાય. ગાંધીજીના ગજથી કસ્તૂરબાની ઊંચાઈ મપાય તેનાથી વધુ મોટો પુરસ્કાર બાને ન જ મળે. તે ઉપરાંત સુભાષચંદ્ર બોઝની અંજલિ વાચકને અંતરથી હલબલાવી જાય. તેમણે કસ્તૂરબાને એક અજોડ નારીશક્તિ, સ્વતંત્ર સત્યાગ્રહી તરીકે વીરતાથી અંગ્રેજ સલ્તનતના કરેલ સામના થકી ભારતની અને વિશ્વની કન્યાઓ તેમ જ મહિલાઓ માટેના આદર્શ તરીકે ઓળખ્યાં. કસ્તૂરબાના નિધનથી ગાંધીજી અને તેમના પરિવારને આશ્વસ્ત કર્યા બાદ બ્રિટિશ હકુમતને સીમા પાર કરવાની તેમની પ્રતિજ્ઞાનું જોશ કદાચ કસ્તૂરબાના શૌર્ય ભર્યા જીવનમાંથી સાંપડ્યું હોય તેમ લાગે. અદ્દભુત રીતે આ પુસ્તકનું સમાપન થયું.

કસ્તૂરબા વિષે આજ સુધીમાં જે કઇં થોડુંઘણું સાહિત્ય ઉપલબ્ધ હોય તે જરૂર વાંચી જવું, પરંતુ જો કસ્તૂરબા, તુષારભાઈનાં બાને ખરા સ્વરૂપમાં ઓળખવાં હોય તો તેમના જ શબ્દોમાં લખાયેલી ડાયરી જેવું ઉત્તમ પુસ્તક જરૂર વાંચવું રહ્યું.

E.mail : 71abuch@gmail.com

Loading

જી-20 : નવી વિશ્વ વ્યવસ્થાને ભારત આકાર આપી શકશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 November 2022

ભારતે 2023ના જી-20 શિખર સંમેલનનું યજમાનપદુ સ્વીકાર્યું છે. બાલી-ઇન્ડોનેશિયામાં આ અઠવાડિયે યોજાયેલા તેના 17માં સંમેલનમાં, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 2023નું અધ્યક્ષપદ સુપરત કર્યું હતું. ભારતે, 2002માં જી-20ના નાણાં મંત્રીઓ અને બેંક ગવર્નરોની બેઠક યોજી હતી, પરંતુ 2008માં વૈશ્વિક નાણાંકીય અને આર્થિક કટોકટી પછી જી-20ને શિખર વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું, તે પછી ભારત પહેલીવાર 19 રાષ્ટ્રો વત્તા યુરોપિયન યુનિયનના આ આંતરરાષ્ટ્રીય ફોરમને ભારતની ઝાંખી કરાવશે. ભારત માટે આ તાજેતરનાં વર્ષોનો સૌથી મોટો વૈશ્વિક કાર્યક્રમ છે. તેના માટે સંભવતઃ ઓકટોબર-નવેમ્બર વચ્ચે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તા જેવા મોટાં શહેરોને સમાવતા 200 જેટલાં કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

2023ના આ 18માં શિખર સંમેલનના સંદર્ભમાં, ભારત માટે બાલીનું 17મું સંમેલન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. એ સિવાય, વિશ્વ માટે તેની અગત્યતા બે કારણોથી છે; એક તો, કોરોના મહામારીમાંથી વિશ્વ બેઠું થઇ રહ્યું છે ત્યારે આ સંમેલન મળ્યું છે અને બીજું, તે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખોરવાયેલા એનર્જી અને ફૂડ સપ્લાયના બેકગ્રાઉન્ડ વચ્ચે યોજાઈ રહ્યું હતું. એટલા માટે જ આ વખતના સંમેલનની થીમ ‘રીકવર ટૂગેધર, રીકવર સ્ટ્રોંગર’ (સાથે ઊભા થઈએ, મજબૂતીથી ઊભા થઈએ) હતી.

જી-20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. આ સમૂહ કેટલો તાકતવર છે અને કેમ વિશ્વ માટે મહત્ત્વનો છે તે એ હકીકત પરથી ફલિત થાય છે કે તેનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જી.ડી.પી.માં 85%, વૈશ્વિક વેપારમાં 75% અને વૈશ્વિક વસ્તીમાં 66% યોગદાન છે. મૂળ આ જી-7 સમૂહ હતો, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી 1999માં તેનું કદ વધારીને 20 કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, તેમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવાં અન્ય વિષયો પણ સામેલ થતાં ગયા છે અને એ રીતે જી-20 કુટનીતિનું એક સમાવેશી મંચ બની ગયું છે.

સંમેલનનાં અધિકૃત સત્રોમાં જે ભાષણો અને જાહેરાતો થાય છે તે કોઈને બંધનકર્તા હોતા નથી એટલે આ સંમેલનની ઉપયોગીતાને લઈને પ્રશ્નો થતા રહે છે, પરંતુ તેની અસલી ફલશ્રુતિ સંબંધિત દેશો મંચથી દૂર એકબીજાને મળીને ગિલે-શિકવે દૂર કરતાં હોય છે તેમાં છે. એવું ધારો ને કે કોકનાં લગ્ન થતાં હોય, ત્યારે દૂર મહેમાનગણમાં બીજા કોક છોકરા-છોકરીઓનું જોવાનું ચાલતું હોય, કોઈકે જોઈ રાખ્યા હોય તો વાત આગળ વધતી હોય, કોકનું ક્યાંક અટક્યું હોય તો રસ્તાઓ નીકળતા હોય, કોકના અબોલા તૂટતા હોય, કોકના નવા સંબંધો અને સંવાદો શરૂ થતાં હોય, વગેરે.

એ દૃષ્ટિએ, ભારત માટે વર્તમાન અને આગામી એમ બંને સંમેલનો વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો દુનિયા સામે મુકવાનો અવસર બની ગયાં છે. બાલીમાં વડા પ્રધાને ત્રણ મહત્ત્વનાં સત્રોમાં ભારતના દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા – ફૂડ અને એનર્જી સુરક્ષા, ડિજીટલ ટ્રાન્સફર્મેશન અને સ્વાસ્થ્ય. આગામી સંમેલન માટે ભારત એજન્ડા નક્કી કરવાનું છે.

ભારત અત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને દુનિયાની સૌથી તેજીથી આગળ વધી રહેલા દેશોમાં તે સામેલ છે. એ રીતે ભારતને બીજી મોટી અને વિકસિત અર્થવ્યવસ્થાઓ સાથે હાથ મિલાવીને તેનાં રાષ્ટૃ હિતોને સાધવાનો મોકો મળ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે જે પ્રમાણે શીત યુદ્ધ શરૂ થયું છે અને વિશ્વ જે રીતે ફરી એકવાર (અમેરિકા-સોવિયત સંઘની જેમ) બે છાવણીઓમાં વહેચાવા જઈ રહ્યું છે, તે જોતાં વડા પ્રધાને નહેરુના બિન-જોડાણવાદને ફરી જીવતો કરવો પડશે.

ઇન ફેક્ટ, 2020ની નોન-અલાઇન્મેટ મૂવમેન્ટ(નામ)માં પહેલીવાર મોદીએ ભાગ લીધો હતો. 2014માં સત્તા પર આવ્યા પછી 2016ની અને 2019ની “નામ” બેઠકમાં તેમણે હાજર રહેવાનું ટાળ્યું હતું, પરંતુ 2020માં તેમણે તેમાં હાજરી પુરાવીને નહેરુના વખતના આ મહત્ત્વના ગઠબંધનને ફરીથી જીવંત કરવાનો તેમનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. ભારત જ્યારે અમેરિકા કે સોવિયત સંઘ બંનેમાંથી એકેયની છત્રી નીચે શરણ લેવા માગતું નહોતું, ત્યારે 1961માં ભારતે જ બિન-જોડાણવાદી અભિયાન શરૂ કરીને દુનિયાના દેશો માટે ત્રીજી છત્રીનો વિકલ્પ ઊભો કર્યો હતો.

સોવિયત સંઘના વિભાજન પછી વિશ્વમાં જ્યારે અમેરિકા એક માત્ર છાવણી રહી ગઈ હતી તે પછી ક્રમશઃ આ અભિયાન મૃતપાય: થવા લાગ્યું હતું અને 1991માં આર્થિક ઉદારીકરણની સાથે ભારત ખુદ કે મજબૂત આત્મનિર્ભર અર્થવ્યવસ્થા બનવા લાગ્યું હતું એટલે તેની બીજી કોઈ એક છાવણીમાં જવાની વિવશતા ઘટતી ગઈ હતી. મોદીનો રાષ્ટ્રવાદ આમ જુઓ તો એ આત્મનિર્ભરતાનું જ આધુનિક સ્વરૂપ છે અને એ રાષ્ટ્રવાદી હિતોને પોષવા માટે તેઓ બિન-જોડાણવાદને જીવંત કરે તેમાં નવાઈ નથી. ભારત કોઈ એક છાવણીમાં બંધાઈ જવાને બદલે તેનાં હિતોની જરૂરિયાત મુજબ કોઈની પણ સાથે હાથ મિલાવવા તૈયાર છે, એ આ રાષ્ટ્રવાદી બિન-જોડાણવાદની વ્યાખ્યા કહેવાય.

એમાં તાકડે અમેરિકા-ચીન વચ્ચે ખાઈ પહોળી થઇ છે તે ભારત માટે ‘આફતમાં અવસર’ જેવું છે. ભારત નહેરુના સમયનું વિવશ રાષ્ટ્ર નથી, જેણે પગભર થવા માટે વિશ્વની સત્તાનો સહારો લેવો પડે તેમ હતો. આજે સ્થિતિ એવી છે કે અમેરિકા-ચીન વચ્ચે ફૂટ પડી છે તેના કારણે જે અસ્થિરતા ઊભી થવાની છે તેમાં ભારત “સ્ટેબિલાઈઝર” તરીકે ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. 2020માં “નામ” બેઠકમાં ભારતની હાજરી અને 2023માં જી-20ના અધ્યક્ષપદનો સ્વીકાર એ બંને બાબતને ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા તરીકે જોવી જોઈએ.

ઇન ફેક્ટ, 2020 પછી ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધોના મોરચે બંને એટલી બેઠકોમાં ભાગ લેવાનું, બીજા દેશોને મદદ કરવાનું, ભારતીય મૂળના નાગરિકોની વહારે જવાનું, વૈશ્વિક એકતા માટે સૌને એકજૂથ કરવાનું શરૂ કર્યું છે. “નામ”ની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, “વર્તમાનમાં જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા છે, તેની અમુક મર્યાદાઓ છે એટલે ન્યાયોચિત, સમાનતા અને માનવીયતાના ધોરણે કામ કરતા નવા વૈશ્વિકરણની હવે જરૂર છે.” આ શબ્દોમાં સંકેત છે કે દુનિયા બદલાઈ રહી છે.

દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે અને એમાં ભારતે શું કરવું જોઈએ તેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના તાજેતરમાં જ પ્રગટ થયેલાં પુસ્તક “ધ ઇન્ડિયા વે”માં સરસ સમજાવે છે. તેમના જ શબ્દોમાં :

“ભારતની આત્મલીનતા કેવી રીતે તેની વૈશ્વિક દૃષ્ટિને આકાર આપે છે તે બાબતને દાયકાઓ અગાઉ સત્યજીત રેની એક ફિલ્મમાં સટીક રીતે બતાવવામાં આવી હતી. તેમાં બે એવા નવાબોની વાત હતી, જેઓ એકતરફ ચેસની રમતમાં મશગૂલ હતા, ત્યારે બીજી તરફ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થિર ગતિએ તેમના સમૃદ્ધ રજવાડા અવધ પર વર્ચસ્વ જમાવી રહી હતી. આજે, જ્યારે એક અન્ય વૈશ્વિક તાકાતનો ઉદય થઇ રહ્યો છે – અને તે પણ ભારતની એકદમ પડખે – ત્યારે આ દેશ ફરી એકવાર તેનાં પરિણામો પ્રત્યે બેખબર રહી ન શકે. આદર્શ રીતે જોવા જઈએ તો, ચીનનું ઉત્થાન ભારતની સ્પર્ધાત્મક વૃત્તિઓને તેજ કરવા માટે પ્રેરણારૂપ બનવું જોઈએ, પરંતુ કમ સે કમ તેનાથી એ ગંભીર ચર્ચા તો છેડાવી જ જોઈએ કે આમાં વૈશ્વિક રાજનીતિ કઈ દિશામાં જશે અને આપણા માટે તેમાં શું સુચિતાર્થ છે.

આ વાત મહત્ત્વની છે કારણ કે તેની સમકક્ષ અન્ય નિર્ણાયક પરિવર્તનો આગળ વધી રહ્યાં છે. એક વ્યાપક સંતુલન પુનઃ સ્થાપિત થતું તો દેખાઈ જ રહ્યું હતું, તેના પર હવે વિસ્તૃત પ્રાદેશિક અસ્થિરતા, જોખમી વ્યવહાર, મજબૂત રાષ્ટ્રવાદ અને વૈશ્વિકરણનો ઇન્કાર છવાઈ ગયો છે. ચીનના ઉત્થાન સામે અમેરિકા કેવો પ્રતિભાવ આપે છે, તેના પરથી સમકાલીન રાજનીતિની દિશા નક્કી થશે. વૈશ્વિક ફેરફારો આંતરિક બાબતોને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનો આપણે ત્યાં પૂરો વિચાર કરવામાં આવતો નથી, પરિણામે ભારત ઘણીવાર એ ફેરફારોને નજરઅંદાજ કરે છે. આપણે ત્યાં ચોક્કસ પોલિટીકલ નેરેટિવ્સની ગેરહાજરી હોવાથી, આ ફેરફારો ભારતની વૈચારિકતાને કેવી રીતે પ્રભાવિત કરે છે તે પણ સ્પષ્ટ નથી. એટલે, ભારત જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં ઉપર ઊઠી રહ્યું છે ત્યારે, તે પોતાનાં હિતોને સાફ દૃષ્ટિએ જુએ એટલું જ નહીં, તેને અસરકારક રીતે વ્યક્ત કરે તે પણ જરૂરી છે. “

લાસ્ટ લાઈન :

“ડિપ્લોમસી એટલે લોકો ભાડમાં જાઓ કહેવાની એવી કળા કે એ લોકો ત્યાં જવાનો રસ્તો પૂછે.”

— વિન્સ્ટન ચર્ચીલ

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 22 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3511,3521,3531,354...1,3601,3701,380...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved