Opinion Magazine
Number of visits: 9669853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય અને શતરંજ 

અભિમન્યુ આચાર્ય|Opinion - Opinion|21 October 2022

‘એતદ્’ ના તાજેતરના અંકમાં (સપ્ટેમ્બર ૨૦૨૨) રમણીક અગ્રાવતની શતરંજ વિશેની સરસ કવિતા છપાઈ છે. એ કવિતા વાંચતા એકસાથે મનમાં શતરંજને વિષય બનાવતું સાહિત્ય ઘૂમરાયું.

મને શતરંજનો ઘણો શોખ, નાનો હતો ત્યારથી. વચ્ચે થોડાં વર્ષ રમત છૂટી ગઈ, પણ છેલ્લાં પાંચ-છ વર્ષથી ફરી ગંભીરતાપૂર્વક રમવું શરૂ કર્યું છે. કર્ણાટકમાં મારું એમ.એ.નું ભણી રહ્યો હતો, ત્યારે મારી જેમ જ સાહિત્યના થોથા વાંચતા અને શતરંજ રમતા અમુક મિત્રો મળ્યા. તેમાંના એક મિત્રએ એક પુસ્તક વાંચવા આપ્યું—ઓસ્ટ્રિયાના લેખક સ્ટેફન ઝ્વેઈગ(Stefan Zweig)ની લઘુનવલ ‘ધ રોયલ ગેઈમ’. પુસ્તક એવું દિલધડક કે એક જ બેઠકે વાંચી ગયો.

બે સાવ ભિન્ન પ્રકૃતિના ખેલાડીઓની વાત. એક નાનપણથી જ ચેસ જીનિયસ. સાદા સ્પેલીંગ એને ન આવડે, પણ શતરંજ રમવા બેસે ત્યારે કોઈક રીતે ભલભલા ખેરખાંઓને ય હરાવી દે. શતરંજ સિવાય કશામાં ન રસ, ન આવડત. આગળ જતા એ વર્લ્ડ ચેમ્પિયન બને છે. એનો મુકાબલો થાય છે એક સાવ અલગ જ પ્રકૃતિના ખેલાડી સાથે, જેને આધેડ ઉમર સુધી શતરંજ સાથે કોઈ લેવા-દેવા જ નથી. પણ યહૂદી હોવાને કારણે હિટલરના ગેસ્તાપો (Gestapo- નાઝીઓની સ્પેશિયલ પોલીસ, જેનું મુખ્ય કામ યહૂદીઓને શોધી તેમનો ખાત્મો બોલાવવાનું રહેતું) તેને પકડી લે છે, અને કોઈ રૂમમાં બંધ કરીને રાખે છે. એ રૂમમાં કોઈ જ નથી, કશું જ નથી, બારી સુદ્ધા નહિ. આ માણસ ત્યાં એકલો છે, અને યોગાનુયોગ તેને ત્યાં એક નાની ચોપડી મળે છે જેમાં શતરંજની રમત સમજાવેલી હોય છે અને શતરંજના અમુક કોયડા ઉકેલવા આપેલા હોય છે. ક્યારે છુટાશે એની જાણ ન હોવાથી આ માણસ કોઈક રીતે સમય પસાર કરવા માટે મરણિયો થયો છે, અને તેને ખાવા માટે અપાતી બ્રેડના ટુકડા કરી તેનો શતરંજની કૂકરીઓ તરીકે ઉપયોગ કરે છે. એ રીતે એકલા એકલા રમત શીખે છે, એકલો એકલો જ જાત સાથે રમતો રહે છે. ખૂબ જ પારંગત થઈ જાય છે, અને વર્લ્ડ ચેમ્પિયનને ય ટક્કર આપે છે.

શતરંજના ખેલાડીઓની વિચિત્ર પ્રકૃતિ, વળી એ રમતનો પ્રતીકાત્મક ઉપયોગ, વિશ્વયુદ્ધનો માનસિક રીતે હલાવી દેતો સંદર્ભ, અને શીરા જેવું રસાળ ગદ્ય. પુસ્તક વાંચી હું ન્યાલ તો થયો જ, પણ સાથે અનાયાસ જ એક નવી મથામણ મનમાં ચાલી—શતરંજ સાથે એક યા બીજી રીતે પનારો પાડતું સાહિત્ય શોધવું અને વાંચવું. વળી અહીં કેનેડામાં પીએચ.ડી.ના ભાગરૂપે મારે સ્નાતક કક્ષાનો એક કોર્સ ડિઝાઈન કરવાનો આવ્યો. મેં વિષય પસંદ કર્યો—લિટરેચર એન્ડ ચેસ. એ રીતે ય મારે આ વિષયમાં ઊંડા ઉતરવાનું બન્યું.

ઊંડા ઉતરતા સમજાયું કે શતરંજનો સાહિત્યમાં અનેક રીતે ઉપયોગ થયો છે—ક્યાંક એ પ્રતીક તરીકે આવે છે, ક્યાંક વસ્તુના ભાગરૂપે, ક્યાંક કથાનકના માળખા રૂપે, તો ક્યાંક ખળભળતા સામાજિક-રાજકીય પ્રશ્નોને ઊભા કરતા ઉદ્દીપક રૂપે. ઘરઆંગણનો જ જાણીતો દાખલો છે પ્રેમચંદની ટૂંકી વાર્તા ‘શતરંજ કે ખેલાડી’, જેના પરથી સત્યજીત રાયે એ જ નામની ફિલ્મ પણ બનાવી. ઉમરાવ વર્ગના બે પુરુષો શતરંજની લતને કારણે અલગ અલગ મુશ્કેલીઓમાં ફસાય છે. રાજા, વજીર અને પ્યાદાઓની એમને લત છે પણ ખરેખરા રાજપાટ તો પૃષ્ઠભૂમાં અંગ્રેજો દ્વારા છીનવી લેવામાં આવ્યા છે એવો સામાજિક સંદર્ભ વાર્તા તેમ જ ફિલ્મ બંનેમાં હાજર છે જેનાથી કથામાં એક નવું પરિમાણ ઉમેરાય છે.

પશ્ચિમમાં પોતાની કૃતિઓમાં શતરંજનો ઉપયોગ કરનારા સાહિત્યકારોમાં બે મોટાં નામ છે સેમ્યુઅલ બેકેટ અને વ્લાદીમીર નાબોકોવ. બેકેટ આપણે ત્યાં જાણીતા છે, તેમની કૃતિઓના ઘણાં ગુજરાતી લેખકોએ અનુવાદ ય કર્યા છે, અને ‘વેઈટીંગ ફોર ગોદો’ એ તેમનું અમર નાટક ગણાય છે. બેકેટનું એવું જ એક બીજું જાણીતું નાટક છે, ‘એન્ડગેઈમ’, જેમાં શતરંજનો ઉપયોગ થયો છે. શીર્ષક પણ શતરંજના અંતિમ તબક્કા પરથી લેવામાં આવ્યું છે. બે પાત્રોની મૃત્યુ સાથેની શતરંજ—એવો દાર્શનિક અર્થ નાટકમાંથી પમાય છે. આવા જ કંઈક થીમ લઈને આર્જેન્ટિનાના લેખક હોર્હે લુઈ બોર્હેસે (Jorge Luis Borges) બે કાવ્યો લખ્યા છે. તેમાંના એક કાવ્યમાં બોર્હેસ લખે છે કે જેમ શતરંજની કૂકરીઓ કાળા-ધોળા ચોકઠાંની કેદી છે, એમ ખેલાડીઓ પણ રાત્રિ અને દિવસ જેવા કાળા-ધોળા ચોકઠાંના કેદી છે.

બોર્હેસે બે કાવ્યો જ લખ્યા, પણ રશિયાના મહાન લેખક અને તેમની ‘લોલિતા’ નવલકથાથી વિશ્વભરમાં જાણીતા થયેલા વ્લાદીમીર નાબોકોવે તો એક કાવ્ય-સંગ્રહ પ્રગટ કરેલો જેનું નામ છે ‘પોએમ્સ એન્ડ પ્રોબ્લેમ્સ’. સંગ્રહમાં કવિતાઓ તો છે જ, પણ સાથે જ શતરંજના કોયડાં પણ આપેલા છે જે વાચકે ઉકેલવાના છે. જ્યારે કોઈએ તેમને આ કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે નાબોકોવે સમજાવ્યું – “કવિતા અને શતરંજ બંને માટે એક જ પ્રકારના કસબની જરૂર પડતી હોય છે—મૌલિકતા, સંવાદિતા, સંક્ષિપ્તતા, સંકુલતા”, પછી રમૂજ કરતા નાબોકોવે ઉમેર્યું, “અને ઘોર અપ્રામાણિકતા!”.

નાબોકોવે શતરંજને ધ્યાનમાં રાખીને ‘ધ ડિફેન્સ’ નામની એક નવલકથા ય લખેલી, જેમાં એક ચેસ જીનિયસ રમતની લતને કારણે ગાંડપણમાં ધકેલાઈ જાય છે એની વાત છે. શતરંજની રમતને કારણે ગાંડો થઈ જતો નાયક વૈયક્તિક કીર્તિ અને બજારવાદનો મહિમા કરતી પશ્ચિમની સંસ્કૃતિને મૂર્ત કરે છે. ત્યારે સામા છેડે ચાઈનીઝ લેખક આહ ચેંગની નવલકથા ‘ધ ચેસ માસ્ટર્સ’માં પૂર્વની દાર્શનિક ભૂમિકા જોવા મળે છે, જેમાં રમતને વૈયક્તિક હાર-જીતના માધ્યમ તરીકે નહિ, પણ સાથે મળીને બે ખેલાડીઓ દ્વારા રચાતી એક કળાકૃતિ તરીકે જોવામાં આવે છે. આમ શતરંજ તરફના અભિગમ થકી બે અલગ નવલકથાઓ પૂર્વ-પશ્ચિમની અલગ સંસ્કૃતિઓ ઉજાગર કરી આપે છે.

શતરંજની લત દારૂ-સિગારેટની લત જેવી જ છે, જલદી છૂટે નહિ. મહાન ફ્રેંચ ચિત્રકાર અને શિલ્પકાર માર્શેલ દુશેમ્પ(Marcel Duchamp)ને પણ આવી જ લત લાગેલી. નાનપણથી જ ચિત્રકળા અને શતરંજ બંનેમાં એક સરખો રસ. તેમનાં શરૂઆતનાં ચિત્રો તો તેમણે શતરંજ રમતા ખેલાડીઓના જ બનાવ્યાં છે. દુશેમ્પના જીવનમાં એક સમય એવો આવેલો જ્યારે તેમને શતરંજનો રીતસરનો નશો લાગેલો. એક મિત્રને લખેલ પત્રમાં દુશેમ્પ કહે છે, “મારું મન શતરંજમાં ઓળઘોળ થયેલું છે. હું રાત-દિવસ બસ રમ્યા જ કરું છું, અને આગળની ચાલ વિશે વિચાર્યા કરું છું. ચિત્રકળામાં મારો રસ રોજ સૂકાતો જાય છે.” દુશેમ્પનું એક શતરંજ અને કળા વિશેનું વિધાન ખૂબ જાણીતું છે – “દરેક કલાકાર શતરંજનો ખેલાડી નથી હોતો, પણ શતરંજનો દરેક ખેલાડી કલાકાર હોય છે.”

આ સંદર્ભમાં મને અમેરિકાના ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બોબી ફિશરનું એક વિધાન યાદ આવે છે. ફિશર કહે છે કે જ્યારે તમે રમત રમી રહ્યા હો ત્યારે તમારી સામે અનેક વિકલ્પો હોય છે—ઘોડો ચાલવો કે હાથી, પ્યાદું એક ડગલું આગળ વધારવું કે બે, કયા ક્રમમાં ચાલ ચાલવી, વગેરે. પણ ધ્યાનથી જોશો તો આ અનેક વિકલ્પોમાંથી માત્ર એક વિકલ્પ જ સૌથી શ્રેષ્ઠ હોય છે જે તમારી સ્થિતિ સુધારે છે. ચેલેન્જ છે કે અનેક વિકલ્પોમાંથી એ એક શ્રેષ્ઠ વિકલ્પ શોધી કાઢવો—ફાઈન્ડીંગ ધ બેસ્ટ મૂવ.

કોઈ પણ કલાકાર—લેખક, સંગીતકાર, ચિત્રકાર, ફિલ્મમેકર — પાસે પણ અનેક વિકલ્પો હોય છે. દાખલા તરીકે, કોઈ વાર્તાકાર હોય તો વાર્તા પ્રથમ વ્યક્તિ એકવચનમાં લખવી કે ત્રીજી વ્યક્તિ એકવચનમાં, કયો કાળ પસંદ કરવો, પાત્રોનું વર્ણન કેટલું કરવું, સંવાદ કેટલા કરવા, કથકની ભાષા કેવી રાખવી વગેરે વિકલ્પો હોવાના. આટઆટલા વિકલ્પો છે, અને છતાં દરેક વાર્તા કહેવાની કોઈ એક રીત બીજી બધી રીતો કરતાં ચઢિયાતી હોવાની જ. પણ એ રીત શોધવી કેવી રીતે? વિકલ્પોના ઢગલામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ? શતરંજના ખેલાડીની જેમ કલાકારની પણ એ જ મૂંઝવણ છે—ફાઈન્ડીંગ ધ બેસ્ટ મૂવ.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દુર્ગાશ્રય* 

રમણીક અગ્રાવત|Poetry|21 October 2022

શતરંજ પર આવતી આવતી કવિતા

અટકીને પડી છે

ઘોડાથી માંડ અઢી ડગલાં છેટે.

ચોસઠ યોજનના ઘેરાવામાં

ઊતરી આવી છે કશાક માતમની કાલિમા. 

કાળા ઘોડાની ત્રાંસમાં

પહેલેથી જ ગોઠવાયેલું છે ધોળું ઊંટ. 

ધોળા હાથીને કાળા વજીરની ધાક છે

નહીં તો ક્યારનું ચગદી નાખ્યું હોત કાળા ટટ્ટુને. 

કાળા ઘોડાની આજુબાજુ આસ્તેથી

ગોઠવાઈ ગયાં ધોળાં પ્યાદાં. 

ફિકરમાં ને ફિકરમાં ભૂલી બેઠો છે કાળો ઘોડો

એની ખદડુક ચાલ. 

વજીરની આડમાંથી આ બધું

જોયું ન જોયું કરતો રાજા

હમણાં તો સલામત છે.

____________

*શતરંજનો રાજા જ્યારે સંકટમાં ઘેરાઈ જાય છે ત્યારે ‘દુર્ગાશ્રય’ (કેસલિંગ) નામની એક ચાલ ખેલાડી ચાલે છે. શેતરંજની ડાબી કે જમણી બાજુએ ખૂણામાં રાજાને ગોઠવી તેને હાથી અને ઊંટની આડશમાં વજીરના સંરક્ષણમાં મુકવામાં આવે છે. આ કાવ્ય કેસલિંગ ચાલની એક છબી છે.

____________________

‘ એતદ્’ : 235 : સપ્ટેમ્બર 2022માં પ્રગટ.
સૌજન્ય : રમણીકભાઈ અગ્રાવતની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આચાર્ય દેવવ્રત, ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીનું હે રામ!

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|21 October 2022

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિન તા.18-10-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવા જઈ રહેલા આચાર્ય દેવવ્રતની એક લાંબી મુલાકાત છપાઈ છે. આ આખી મુલાકાત મોટે ભાગે પ્રાકૃતિક ખેતી, ગાય અને પર્યાવરણના મુદ્દા પર કેન્દ્રિત છે. જો કે, આ મુલાકાતમાં ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી વિષે પણ થોડાક મુદ્દા છે. તેમણે આ બંને વિષે જે કંઈ કહ્યું છે તેને વિષે સહેજ ટિપ્પણ :

(1) “ગાંધીજીને ગાયો પ્રત્યે બહુ આદર હતો અને હું ગોપાલક છું” અને “હું ગાય, ખેતી અને ઝેર-મુક્ત ખેતી વિષે વાત કરું છું” એમ કહીને આચાર્ય દેવવ્રત એમ કહે છે કે “ગાંધીજી જો આજે હયાત હોત તો તેઓ મને સૌથી વધુ આશીર્વાદ આપત.” ગાંધીજી જીવતા હોત તો તેઓ દેવવ્રતને આશીર્વાદ આપત એમ કહેવું એ તો માત્ર કલ્પના થઈ. અને તે જાતે જાતે પોતાની પ્રશંસા કરવા જેવી વાત થઈ. એને આત્મશ્લાઘા કહેવાય. વળી, બિલકુલ એવી વાત થઈ કે જ્યારે નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણી સમયે “મા ગંગાએ મને બોલાવ્યો છે” એમ કહેતા હતા. કોણ જોવા જાય છે કે ક્યારે મા ગંગાએ સાદ દીધેલો? એમ ગાંધીજી શું કરત એ તો ધારણા થઈ. સવાલ એ જ છે કે ગાંધીજી માત્ર એટલા માટે જ મહત્ત્વના છે કે તેમણે ગાયને આદર આપેલો? ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવા માટે પોતાની આ લાયકાત છે એમ આચાર્ય દેવવ્રત કહેવા માગે છે. ગાંધીજીના કોઈ એક રચનાત્મક કાર્યક્રમને પણ આગળ ધરાવનાર વ્યક્તિ સારી વ્યક્તિ જ કહેવાય એમાં કોઈ શંકા નથી. પણ ગાંધીજી પોતાને સૌથી વધુ આશીર્વાદ આપત એમ કહેવું વધારે પડતું છે. જો કે, એ વાત સાચી કે, પોતાના હત્યારા નથુરામ ગોડસેના સમર્થકોના ખોળામાં બેસી જનારા પ્રાકૃતિક ખેતીના ચાહક અને ગોપાલક એવા ગુજરાતના રાજ્યપાલને “હે રામ” બોલીને મહાત્મા ગાંધી માફ તો કરે જ. એટલે અત્યારે ગૂજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ તેમના આકાઓના કહેવાથી પ્રાપ્ત કરવા બદલ મહાત્મા ગાંધી આચાર્ય દેવવ્રતને માફી બક્ષતા હશે એવી ધારણા અવશ્ય કરી શકાય. જો ગાંધી એમને માફ ના કરે તો મહાત્મા શાના?

(2) આચાર્ય દેવવ્રત દાવો કરે છે કે, “ગાંધી અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોધ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણીધાનને અનુસર્યા હતા. હું સંપૂર્ણપણે તેમને અનુસરું છું (I follow this in totality).” અહીં “સંપૂર્ણપણે”(in totality) શબ્દ જરા વધારે પડતો લાગે છે. શું કદાચ દુનિયાના ઇતિહાસના સૌથી જુઠ્ઠા રાજકારણી નરેન્દ્ર મોદી દ્વારા થયેલી પોતાની રાજ્યપાલ તરીકેની નિમણૂકને આચાર્ય દેવવ્રત આ રીતે વાજબી ઠેરવે છે? જો દેવવ્રત સત્યના આટલા બધા આગ્રહી જ હોય તો પછી અસત્યના કિલ્લા ચણનાર નરેન્દ્ર મોદી દ્વારા થયેલી પોતાની નિમણૂક તેમણે સ્વીકારી કેમ? શું એમને નરેન્દ્ર મોદીની જુઠ્ઠાણાં ફેલાવવાની રીતરસમની જાણકારી નહોતી? શું એનો અર્થ એવો કરવાનો કે નરેન્દ્ર મોદીનાં અનેક જુઠ્ઠાણાં સાથે તેઓ સંમત છે? અથવા તો તેમને એ જુઠ્ઠાણાંની સામે કશો વાંધો જ નથી?

(3) “હું ગાંધીજીના સિદ્ધાંતોથી પ્રભાવિત છું અને મારા ગુરુકુળમાં તેમને અનુસરું છું” એવો દાવો આચાર્ય  દેવવ્રત કરે છે. “મારું જીવનદર્શન એ જ છે” એવો પણ એમનો દાવો છે. એટલે માત્ર ગાય, પર્યાવરણનું રક્ષણ અને પ્રાકૃતિક ખેતી વગેરેમાં મહાત્મા ગાંધી સમાઈ જાય છે એમ આચાર્ય દેવવ્રતનું માનવું છે. ગાંધી એટલે અન્યાય સામેનો અવાજ, ગાંધી એટલે સામાજિક, આર્થિક અને રાજકીય ગુલામી તેમ જ શોષણ સામેનો સત્યાગ્રહ અને ગાંધી એટલે શોષણમુક્ત અહિંસક સમાજની રચનાની દિશામાં લોકશાહી અને વ્યક્તિની સ્વતંત્રતા સાથે પ્રગતિ એવું કશું આચાર્ય દેવવ્રતને યાદ આવતું જ નથી એનું આશ્ચર્ય થાય છે. ગાંધીનું ‘હિંદ સ્વરાજ’ પુસ્તક આચાર્ય દેવવ્રતે વાંચ્યું છે ખરું? તેમાં સ્વરાજ ફક્ત ગાય, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ એવી બાબતોમાં સમાઈ જતું નથી. એમાં તો “જણે જણે ભોગવવાનું સ્વરાજ” એટલે ખરું સ્વરાજ એવું ગાંધીએ લખ્યું છે. એમાં બેફામ અને નિરંકુશ રાજકીય સત્તા સામેની લડાઈ પણ આવે. એવી લડાઈ શું આચાર્ય દેવવ્રતને મંજૂર છે? આ મુલાકાતમાં એનો સહેજ પણ ફોડ પાડવામાં આવ્યો નથી.

(4) દેવવ્રતનું સપનું એ જ છે કે જે નરેન્દ્ર મોદીનું સપનું છે. “પ્રાકૃતિક ખેતી એક એવો વિકલ્પ છે કે જે ખેડૂતોની આવક બમણી કરવાનું વડા પ્રધાનનું સપનું સાકાર કરવામાં સહાય કરી શકે છે” એમ તેઓ આ મુલાકાતમાં કહે છે. વડા પ્રધાનનું સપનું સાકાર કરવાની આચાર્ય દેવવ્રતની ચિંતા સ્વાભાવિક છે કારણ કે તેમની પસંદગીથી જ તેઓ રાજ્યપાલ બન્યા છે. પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત નરેન્દ્ર મોદીએ 2016માં કરી હતી અને તેનું પાંચ વર્ષે શું થયું એના વિષેનું તેમનું સ્વમૂલ્યાંકન પણ આચાર્ય દેવવ્રત દ્વારા રજૂ કરવામાં આવ્યું નથી. એમ લાગે છે કે નરેન્દ્ર મોદીએ જેમ ગાંધીનાં ચશ્માં ઊંધા કરીને એમાં એક આંખે “સ્વચ્છ” અને બીજી આંખે “ભારત” લખીને ગાંધીની “સ્વચ્છ” “ભારત”માં ઇતિશ્રી કરી નાખી એમ આચાર્ય દેવવ્રત ગાય અને પ્રાકૃતિક ખેતીમાં ગાંધીને પૂરા કરી દે છે. આચાર્ય દેવવ્રતનું દિમાગ ચાલે તો તેઓ ગાંધીના ઊંધાં ચશ્માંમાં એક આંખમાં ગાય લખે અને બીજી આંખમાં પ્રાકૃતિક ખેતી! ઇતિ સિદ્ધમ્!

(5) “કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે કોઈ રાજકીય મંચનો ઉપયોગ કરવાની મારી કદી ઈચ્છા નહોતી. એ મારી ઈચ્છા પણ નહોતી કે મારો એમાં રસ પણ નહોતો” એમ કહીને આ મુલાકાતમાં તેઓ વડા પ્રધાનનું નામ બે વાર તો લે જ છે. જો રાજકીય મંચનો ઉપયોગ કરવાની ઈચ્છા નહોતી તો રાજ્યપાલ બન્યા જ શું કરવા? રાજ્યપાલનો હોદ્દો એ રાજકીય મંચ જ છે. 

અને હા, દેવવ્રત એ મહાભારતના ભીષ્મનું એક બીજું નામ છે. દાદા ભીષ્મ ભરી સભામાં થયેલા પુત્રવધૂ દ્રૌપદીના ચીરહરણ સમયે હાથ જોડીને અને મૌન ધારણ કરીને બેસી રહેલા અને યુદ્ધમાં કૌરવોને સાથ આપેલો એમ મહર્ષિ વ્યાસ લખે છે અને એ સૌ જાણે છે. આચાર્ય દેવવ્રતનું મૂળ નામ તો કંઈક બીજું જ છે પણ તેમણે પોતે જ પોતાનું નામ ભીષ્મના નામ પરથી પાડેલું છે. દેશમાં લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે અને ગાંધી મૂલ્યો સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયનું ચીરહરણ છડેચોક થઈ રહ્યું છે તેને વિષે દેવવ્રત નામધારી આ આધુનિક ભીષ્મને કશું કહેવાપણું નથી એનાથી તો ખરેખર આશ્ચર્ય થાય છે! જો કે, આ તો તદ્દન જુદી જ વાત થઈ. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ કદાચ એમ કહેશે કે આવા બધાં ગાંધી મૂલ્યોના મુદ્દાને અને આચાર્ય દેવવ્રત સાહેબની વિદ્યાપીઠના કુલપતિ તરીકેની નિમણૂકને શી લેવાદેવા?    

તા.21-10-2022
સૌજન્ય : હેમન્તકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3511,3521,3531,354...1,3601,3701,380...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved