Opinion Magazine
Number of visits: 9458690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પિતૃત્વ દોષિત નથી, પણ માતૃત્વ દોષિત હોઈ શકે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 June 2022

સ્ત્રી-પુરુષના સંયોગથી બાળક જન્મે છે ને સ્ત્રી માતા બને છે ને પુરુષ પિતા બને છે. આમ તો આ સહજ ને સરળ લાગે છે, પણ દરેક કિસ્સામાં એવું નથી. ઘણીવાર બાળક જન્મવાનું સહેલું નથી પણ હોતું. કેટલાક કિસ્સાઓમાં પુરુષની ક્ષમતા પિતા બનવામાં ઓછી પડે છે અથવા તો સ્ત્રી માતા બનવામાં ઓછી પડે છે. ઘણીવાર બધાં પ્રયત્નો છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી તો તબીબી સલાહ લેવામાં આવે છે. એ સારવાર પછી કેટલાંક યુગલો બાળક મેળવવામાં સફળ થાય છે, તો તબીબી સારવાર પછી પણ એવું બને છે કે બાળક પ્રાપ્ત ન જ થાય. ટૂંકમાં, માતા બનવું દરેક વખતે સહેલું નથી. એટલે જ આપણે માતૃત્વને પવિત્ર વરદાન ગણ્યું છે. કેટલાંકને એમાં કૈં નવું લાગતું નથી. બચ્ચાં તો પશુપંખી પણ પેદાં કરે છે, એમાં પવિત્ર શું ને વરદાન શું? પણ બાળક ન થવાની ચિંતા મનુષ્યોની છે. પશુપંખીમાં બચ્ચું જન્મશે કે નહીં એવી ચિંતા હોય છે કે કેમ તેની આપણને ખબર નથી, પણ મનુષ્યને અભિવ્યક્તિની અનુકૂળતા કુદરતે આપેલી છે એટલે આનંદ કે ચિંતાની ખબર પણ તેને જ વધારે પડે છે.

જો કોઈ સંજોગોમાં ઉપચાર પછી પણ બાળક શક્ય નથી બનતું તો કેટલાંક યુગલો અનાથ બાળકને દત્તક લે છે ને એને પોતાનાં બાળકની જેમ જ મોટું કરે છે. ઘણાં યુગલોનો એવો આગ્રહ હોય છે કે બાળક પોતાનું જ હોય. પોતાનું જ બીજ વિકસે ને એને મોટું કરવાની ઈચ્છા પણ, પતિ-પત્નીની, બાળક માટેની ઝંખના વધારે એમ બને. એના એક ઉપાય તરીકે હવે સરોગસીનો આશરો પણ લેવાય છે. એમ લાગે કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે એમ જ નથી, તો ભાવિ માતા-પિતાનું બીજ, બીજી સ્ત્રીની કૂખમાં ઉછેરવામાં આવે છે. એ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ને પૂરા સમયે બાળકને જન્મ આપે છે. એ પછી મૂળ માતાપિતાને તે બાળક પરત કરે છે. ખરેખર તો મા, કૂખ ભાડે આપનાર સ્ત્રી બને છે, પણ અગાઉથી ઠરાવ્યા મુજબ માબાપ બીજા જ બને છે. એ યુગલ બને છે જેનું બીજ આ ભાડૂતી કૂખે ઉછેર્યું છે. આ સ્ત્રી પણ માતા થઈ છે, ખરેખર તો તે જ થઈ છે, કારણ બાળકને જન્મ તો આ સ્ત્રીએ જ આપ્યો છે, પણ તે ભાડૂતી માતા પણ ગણાતી નથી. ઇન ફેક્ટ તે માતા જ ગણાતી નથી. માતાપિતા તો બીજા જ બને છે. બાળક પર કાનૂની અધિકારો પણ તેમના જ રહે છે. જન્મ આપનાર સ્ત્રી આ કામ આર્થિક વળતરની અપેક્ષાએ કરે છે. આમ તો હમણાં હમણાં આવી સ્ત્રીને રક્ષણ મળે એવા કાયદાઓ બન્યા છે, પણ માતૃત્વનો અધિકાર તેને નથી જ મળતો, કારણ કરાર જ એવો થયો હોય છે, પતિપત્ની અને કૂખ ભાડે આપનાર સ્ત્રી વચ્ચે. એટલે કોઈ વિશેષ અધિકાર એ ભાડૂતી સ્ત્રી આગળ કરી શકતી નથી. હા, આર્થિક વળતર આપવામાં મૂળ માબાપ ગલ્લાંતલ્લાં કરે તો તેની સામે ફરિયાદ થઈ શકે છે અથવા તો બાળક ખામીવાળું જન્મે તો પેલી ભાડૂતી સ્ત્રી દાદ માંગી શકે છે, પણ નાજુક મુદ્દો ક્યારેક સંવેદનાનો ઊઠે છે ને તેનું કોઈ વળતર તેને મળતું નથી. ખરેખર તો એ વાત જ વળતરની હોતી નથી. 

બને છે એવું કે જે સ્ત્રી કૂખ ભાડે આપે છે તે બરાબર જાણે છે કે તેનો હક વળતર પૂરતો જ છે, પણ જે બીજ તે ધારણ કરે છે, તે જો બહાર રહ્યું હોત તો મોટે ભાગે તે વેડફાયું જ હોત. એને ભાડૂતી સ્ત્રી ધારણ કરે છે. તેને લોહીમાંસ સીંચે છે. આકાર આપે છે. એમાં જીવ રેડે છે એટલે જીવ પ્રગટે પણ છે. મહિનાઓ સુધી આ ભાડૂતી સ્ત્રી પોતાની છાયામાં જીવંત, નાજુક શરીર વિકસાવે છે. છોડ પર આવેલાં ગુલાબનું ખેંચાણ થતું હોય તો આ તો પેટમાં ખિલવેલું સંતાન છે, એને માટે લાગણી ન થાય? ન થાય ત્યાં સુધી તો વાંધો જ નથી, પણ થાય તો, શું? આમ તો ભાડૂતી મા બરાબર જાણતી હોય છે કે જે જન્મ્યું છે તે બાળક મૂળ સ્ત્રી પુરુષને સોંપી જ દેવાનું છે, પણ હકીકત તો એ છે કે મૂળ સ્ત્રી કરતાં માતૃત્વનો પહેલો અને સઘન રક્તજીવી અનુભવ તો આ ભાડૂતી માનો છે. તે તેણે થોડા પૈસાની લાલચમાં, લોહીમાંથી કાઢીને બાળક સીધું સોંપી જ દેવાનું? એના પર એનો કોઈ અધિકાર જ નહીં? એ બાળક ફરી ક્યારે ય જોવા ન મળે તો પેલી નોટોની થોકડી પર આંસુ સારીને જ તેણે રહી જવાનું? એ મા છે કે મશીન? એને કૈં થાય જ નહીં એવું તો કેમ બને?

પણ એના વલોપાતનો કોઈ અર્થ રહેતો નથી. કૈં પણ થાય, એણે બાળક તો છોડવું જ પડે છે. આવી ભાડૂતી માતાનું માતૃત્વ પણ સ્વાર્થ ગણાય છે. તે એ કારણે વગોવાય છે કે તેણે પૈસા માટે કૂખ ભાડે આપી છે. એનાં કારણોમાં ગરીબી મુખ્ય હોય, તો પણ તેને માટે તેણે સાંભળવાનું થાય છે. જ્યારે મૂળ પતિ-પત્ની દોષી નથી. એમને સંતાન નથી ને સંતાન વગર તેઓ તો ઝૂરે છે. બાળક માટે કોઈ કૈં પણ કરે તેમ તેઓ પૈસા આપીને જીવતી કૂખ થોડા સમય માટે ખરીદે છે. એ નિસ્વાર્થ ભાવે સંતાન મેળવે છે ને પેલી સ્ત્રી સ્વાર્થી છે, કારણ પૈસા માટે એ પેટ ઉછીનું આપે છે !

સાચું તો એ છે કે આપણે ત્યાં માતૃત્વ બાબતે બેવડાં ધોરણો છે. બેવડી નીતિ છે ને કમાલ એ છે કે  માતૃત્વની પ્રક્રિયા તો કોઈ પણ સ્ત્રી માટે એક જ છે, પણ સંજોગો પ્રમાણે માતૃત્વ વખણાય છે તો વગોવાય પણ છે. દીકરી પરણે ને માતા બને તો તે બાળકને અને તેની માતાને ફૂલડે વધાવાય છે. બાળકનાં જન્મોત્સવો થાય છે, પણ જો તે કુંવારી માતા બનવાની હોય તો? તો, એ પાપ થઈ જાય છે. એ દીકરીને કોઈ સંઘરવા રાજી નથી થતું. તેણે અપમૃત્યુ વહોર્યે જ છૂટકો થાય છે. એ ખરું કે સમાજે નક્કી કરેલાં ધોરણોનો એમાં ભંગ થાય છે એટલે કુંવારું માતૃત્વ સ્વીકાર્ય નથી બનતું, પણ એને માટે જે જવાબદાર છે તે પુરુષનું સમાજ કૈં બગાડી શકતો નથી, તે પણ એટલું જ સાચું કે નહીં? સગીરવયની કન્યાઓ પ્રેમમાં પડે છે કે કોઈ તેનાં પ્રેમમાં પડે છે ને જો પ્રેમીની દાનત માત્ર પ્રેમનાં નાટકની જ હોય તો ભોગવવાનું સગીરાએ થાય છે. કહેવાતા પ્રેમીની એ ચિંતા હોતી નથી કે લગ્ન વગર તે માતા બનવા તરફ ગઈ તો તેની શી વલે થશે?

હવે તો જો કે, સ્ત્રીઓ પણ માતૃત્વથી બચવાના માર્ગો જાણે છે, એટલે પ્રેમી દગો કરે તો તે એવી સ્થિતિથી બચે છે જેમાં બાળકનો સીધો સામનો કરવાનો આવે. તેમ છતાં કેટલાક બનાવો એવા બને છે કે ગર્ભપાત સુધી સ્ત્રીએ જવું પડે કે ગર્ભ ત્યજી દેવો પડે છે. આજની તારીખમાં પણ ભ્રૂણ કે નવજાત શિશુ કચરામાંથી મળી આવે છે એ બતાવે છે કે કોઈ સગીરા કે સ્ત્રીને ન જોઈતું માતૃત્વ માથે પડ્યું છે ને બદનામીના ડરે ગર્ભ કે બાળકથી છુટકારો તેણે મેળવવો પડે છે. આ તો થઈ એવી મહિલાઓની વાત જે ખરી કે ખોટી રીતે થોડી ઘણી જવાબદાર છે ને એણે પરાણે માતૃત્વ સ્વીકારવું પડે છે, પણ જ્યાં મહિલાઓ બળાત્કારનો કે શારીરિક શોષણનો ભોગ બને છે તેમાં તેની સીધી કોઈ ભાગીદારી પણ હોતી નથી ને તેનો પરાણે ભોગ લેવાય છે. અહીં પણ બળાત્કાર કરનાર એ વિચારતો નથી કે ભોગ બનનાર સ્ત્રી ગર્ભવતી થઈ તો તેની સમાજમાં શી દશા થશે? તે તો શિકાર કરીને ચાલતો થાય છે. પછી ભોગ બનનાર ગર્ભ ધારણ કરે તો તેણે તેનાથી છુટકારો મેળવવો પડે કે બાળકને જન્મ આપીને ક્યાંક ત્યજી દેવુ પડે કે અનાથાશ્રમને આંગણે છોડવું પડે છે. બહુ ઓછી સ્ત્રીઓ એ સંજોગોમાં સ્વસ્થ માતૃત્વ ધારણ કરી શકતી હોય છે.

કહેવાનું એ છે કે આ બધાં જ માતૃત્વના પ્રકારો છે. એમાં લગ્નને બાદ કરતાં એક પણ માતૃત્વ એવું નથી જે ઇચ્છિત હોય. એ ખરું કે લગ્નથી મળતાં માતૃત્વમાં જે માન સ્ત્રીને મળે છે તે અન્ય કોઈ રીતે પ્રાપ્ત થતાં માતૃત્વમાં મળતું નથી. માતા તો આ બધી પણ છે. એ પણ એ જ રીતે ગર્ભવતી થઈ છે જે રીતે લગ્ન પછી કોઈ સ્ત્રી થઈ હોય ને છતાં તે અપમાનિત થાય છે કે તેણે જીવન બહુ મુશ્કેલીથી વિતાવવું પડતું હોય છે. આ માતૃત્વ તેણે ઇચ્છયું નથી, તે આવી પડેલું છે, પણ જવાબદાર તો તે સ્ત્રીને એકલીને જ ઠેરવાય છે. આવાં અનિચ્છનીય માતૃત્વની લહાણી કોણ કરે છે? આવું એ સ્ત્રીઓએ ઇચ્છયું નથી, પણ માતૃત્વ સાચી ખોટી રીતે તેનાં પર થોપ્યું છે, પુરુષે. એને માટે જવાબદાર પુરુષ છે, પણ તેને સમાજ કે કાયદો ભાગ્યે જ કોઈ પાઠ ભણાવે છે. તે સહેલાઈથી બીજો શિકાર કરી શકે છે, લગ્ન કરી શકે છે, છૂટો થઈ શકે છે, બીજે ગોઠવાઈ શકે છે. ક્યાં ય તેનું પુરુષત્વ કે પિતૃત્વ ચર્ચામાં નથી આવતું, જ્યારે માતૃત્વ ડગલે ને પગલે દંડાય છે. સીધું પૂછવું એ છે કે આ યોગ્ય છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

સાંસદો-ધારાસભ્યોનાં પેન્શનનું ઔચિત્ય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 June 2022

દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જેના ધારાસભ્યોને પેન્શન મળતું નથી. કારણ કે ગુજરાતમાં હજુ ગાંધીની આણ પ્રવર્તે છે કે ગાંધીનું તપ સાબૂત છે. ગાંધીજી માનતા હતા કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકસેવાને વરેલા હોઈ તે ‘મતદારોની પરિસ્થિતિમાં અને તેમના જ વાતાવરણમાં તેમની સેવા કરશે’. પ્રધાનો કે ધારાસભ્યો ‘સાહેબ લોકોની જેમ ન રહી શકે સરકારી સાધનોનો ઉપયોગ પણ ખાનગી ઘરકામ માટે ન કરી શકે’.

પણ આજે તો સાંસદો અને ધારાસભ્યો તગડા પગાર-ભથ્થાં તો મેળવે જ છે. સાંસદ કે  ધારાસભ્ય મટી ગયા પછી પેન્શન અને તેમના મરણ પછી તેમના વારસદારોને કુટુંબ પેન્શન પણ મળે છે! ગુજરાત તેમાં અપવાદ છે. ગુજરાતના સાંસદોને પેન્શન મળે છે પણ ધારાસભ્યોને મળતું નથી! તે મેળવવાના પ્રયાસો જરૂર થયા છે, પરંતુ ગાંધીમાર્ગી લોક આંદોલનોને કારણે સફળ થઈ શક્યા નથી.

થોડા દિવસો પહેલાં ગુજરાત એક્સ એમ.એલ.એ. કાઉન્સિલે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની તેમની પુરાણી માંગ દોહરાવી છે. તો ગુજરાતના સરકારી કર્મચારીઓએ નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમ લાગુ પાડવા સંગઠિત તાકાત સાથેનું અસરકારક આંદોલન ઉપાડ્યું છે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્ય મંત્રી ભગવંત માને રાજ્યમાં ‘એક ટર્મ એક પેન્શન’ની નીતિ જાહેર કરી છે તેને કારણે પણ ધારાસભ્યો-સાંસદોના પેન્શનનો પ્રશ્ન ચર્ચામાં છે.

સરકારી કે અન્ય સેવામાં કામ કરતા અધિકારી-કર્મચારીને પાંત્રીસ-ચાલીસ વરસની નોકરી પછી પેન્શન મળે છે. પરંતુ આપણા માનનીય સાંસદો અને ધારાસભ્યોને એક દિવસ (રિપિટ એક દિવસ) માટે પણ જો તે સાંસદ કે ધારાસભ્ય બને તો પેન્શન મળે છે! પેન્શનપાત્ર નોકરી ધરાવતી વ્યક્તિ નિવૃત્તિ કે રાજીનામા પછી એમ.પી., એમ.એલ.એ. બને તો તેને તેની અગાઉની નોકરીનું પેન્શન યથાવત મળતું રહે છે તે ઉપરાંત એમ.પી.એમ.એલ.એ.નું પેન્શન મળે છે. જો કોઈ ધારાસભ્ય, લોકસભા કે રાજ્યસભાનો સભ્ય બને તો તેને  ધારાસભ્યના પેન્શન ઉપરાંત લોકસભા-રાજ્યસભાના સભ્યનું પેન્શન પણ મળે છે. જો ધારાસભામાં કે સંસદમાં એકથી વધુ ટર્મ ચૂંટાયા હોય તો ટર્મદીઠ પેન્શન મળે છે.

ઘણા માનનીય પૂર્વ જનસેવકોને મળતું પેન્શન રાષ્ટ્રપતિના કે ટોચના સનદી અધિકારીઓના પગાર કરતાં પણ વધુ હોય છે. પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી પ્રતાપસિંહ બાદલ શાયદ દેશમાં સર્વાધિક વાર ધારાસભ્ય હોવાનો વિક્રમ ધરાવે છે. જેટલીવાર ચૂંટાવ તેટલીવારના પેન્શનના હિસાબે અગિયાર વારના ધારાસભ્ય બાદલસાહેબને મહિને ૫.૭૬ લાખ રૂપિયાનું પેન્શન મળે છે. પંજાબના બીજા પૂર્વ મુખ્ય મંત્રી રાજિંદર કૌર ભટ્ટલને માસિક રૂ. ૩.૨૫ લાખ પેન્શન મળે છે. હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ઓમપ્રકાશ ચૌટાલાને ૨ લાખ, પૂર્વ ધારાસભ્ય અજય યાદવને રૂ. ૨.૩૮ લાખ બિહારના રમઈ રામને રૂ.૧.૪૬ લાખ માસિક પેન્શન મળે છે. હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભજનલાલના પત્ની જસમાદેવીને તેમનું ખુદનું પૂર્વ ધારાસભ્યનું માસિક રૂ.૬૧,૮૦૦ અને ભજનલાલના વિધવા તરીકે કુટુંબ પેન્શન રૂ. ૯૯,૬૧૯ મળે છે.

ધારાસભ્યોના પેન્શન રાજ્યેરાજ્યે અલગ અલગ હોય છે. પંજાબમાં મહિને રૂ. ૭૫,૦૦૦; મણિપુરમાં ૭૦,૦૦૦; મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦; ઝારખંડમાં ૪૦,૦૦૦; હિમાચલમાં ૩૬,૦૦૦; રાજસ્થાનમાં ૩૫,૦૦૦; ઉત્ત રપ્રદેશમાં ૩૦,૦૦૦ અને મધ્ય પ્રદેશમાં ૨૫,૦૦૦ પેન્શન મળે છે. જો કે આ તો મૂળભૂત પેન્શનની રકમ છે તેના પર મોંઘવારી અને અન્ય ભથ્થા ઉમેરાય છે. એક અંદાજ મુજબ દેશમાં એક સાંસદને માસિક સરેરાશ રૂ.૨.૬૮ લાખ અને ધારાસભ્યને એકાદ લાખ પેન્શન મળે છે.

દુનિયાના અન્ય દેશોમાં જનપ્રતિનિધિઓના પગાર-ભથ્થા નિર્ધારિત કરવા માટે આયોગ કે સમિતિ જેવી અલગ વ્યવસ્થા હોય છે, પરંતુ ભારતમાં દલા તરવાડીપણું ચાલે છે એટલે સાંસદો કે ધારાસભ્યો પોતે જ પોતાના પગાર અને પેન્શન નિર્ધારિત કરે છે અને વધારે છે. ‘સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ, ૧૯૫૪’માં અત્યાર સુધીમાં ત્રીસ કરતાં વધુ સુધારા થયા છે. સત્તાપક્ષ અને વિપક્ષ આ એક બાબતમાં એક મત હોય છે એટલે વગર ચર્ચાએ, સર્વાનુમતે, ભારે નફફટાઈથી પોતાના જ પગાર અને પેન્શનમાં પોતે જ વધારો કરતું બિલ પસાર કરી દે છે. સાંસદોને ૧૯૭૬માં રૂ. ૩૦૦ માસિક પેન્શન મળતું હતું જે ૨૦૧૮માં વધારીને ૨૫,૦૦૦ થયું છે. જો કે દેશના ૨૧ રાજ્યોના ધારાસભ્યો કરતાં સાંસદોને મળતું પેન્શન ઓછું છે. 

ચૂંટાયેલા જનપ્રતિનિધિને આપવામાં આવતું પેન્શન કેટલું ઉચિત છે તે ચર્ચાનો વિષય છે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જનપ્રતિનિધિનો હવાલો આપીને તેનું ઔચિત્ય સમજાવી શકાય તેમ નથી. કેમ કે દેશમાં ૮૨ ટકા સાંસદો અને ધારાસભ્યો કરોડપતિ છે. વળી તમામને પેન્શન તો જરા ય વાજબી નથી. મોટા રાજનેતા, ઉદ્યોગપતિ, ફિલ્મકાર, ધારાશાસ્ત્રી, અખબાર કે મીડિયા સમૂહના માલિક પણ હાલના માપદંડે પેન્શનને પાત્ર છે કે પેન્શન મેળવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પૂર્વ રાષ્ટ્રપતિ તરીકેનું પેન્શન અને સવલતો ભોગવે છે સાથે ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકેનું પેન્શન પણ મેળવે છે. હિંદી ફિલ્મોના એક જમાના સુપરસ્ટાર ધર્મેન્દ્ર, ઉદ્યોગપતિ રાહુલ બજાજ, નવીન જિન્દાલ અને સાવિત્રી જિન્દાલ એવાં કેટલાંક નામ છે જેમને પેન્શન મળતું હતું કે મેળવે છે.

હરદમ રાગ સેવા આલાપતા રહેતા પ્રજાના સેવકો પ્રજાના પૈસે નિવૃત્તિ પછી પણ પેન્શન રૂપી મેવા મેળવતા રહે તે જરા ય ઉચિત નથી. ધારાસભ્યોના પગાર અને પેન્શન પાછળ ૨૦૧૮માં દેશમાં રૂ. ૧૧૦૦ કરોડ અને સાંસદોના પગાર-પેન્શન પાછળ રૂ.૩૦૦ કરોડ ખર્ચાયા હતા. બેવડા કે ત્રેવડા પેન્શન પર પણ જો લગામ મુકાય તો મોટી બચત થઈ શકે તેમ છે. પંજાબમાં વરસે રૂ. ૮૦ કરોડની બચત થવાની છે.

વળી પંજાબના તમામ રાજકીય પક્ષોએ એક કાર્યકાળ માટે એક જ પેન્શનના સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. પ્રકાશસિંહ બાદલે હવેથી પેન્શન નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૮માં જ્યારે સાંસદોના પેન્શનમાં વૃદ્ધિ અંગે તત્કાલીન લોકસભા સભ્ય અને હાલના યુ.પી.ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના વડપણ હેઠળની સંસદીય સમિતિએ પેન્શનની મૂળભૂત રકમ રૂ. ૩૫,૦૦૦ રાખવા ભલામણ કરી હતી. પણ સરકારે તેના બદલે રૂ.૨૫,૦૦૦ જ પેન્શન માન્ય રાખ્યું હતું.

જન સેવકો કર્મચારીઓ જેવી પગાર-ભથ્થાની અપેક્ષા ન રાખી શકે જ્યારે કેન્દ્ર અને રાજ્યોના બજેટમાં સરકારી કર્મચારી-અધિકારીના પગાર કરતાં પેન્શનની રકમ વધુ હોય અને કેન્દ્ર સરકારે ૨૦૦૪થી સરકારી કર્મીઓ માટે પેન્શન યોજના બંધ કરી દીધી હોય ત્યારે તો સાંસદો-ધારાસભ્યોનું પેન્શન જરા ય ઉચિત ઠરતું નથી. વડા પ્રધાનની એક હાકલે હજારો લોકોએ રેલવે અને ગેસની સબસિડી જતી કરી હતી. વડા પ્રધાન ખમતીધર સાંસદો અને ધારાસભ્યોને પણ પેન્શન જતું કરવા અપીલ કરે તો કેવું સારું .                         

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 11 

Loading

મન્તવ્ય-જ્યોત—14

સુમન શાહ|Opinion - Opinion|16 June 2022

જ્યોત ૧૪ : પાત્ર નહીં, ચરિત્ર :

કાવ્ય, કથા કે નાટકમાં પાત્રો હોય છે.

પાત્ર લેખકે સરજેલું માનવી છે, એ શબ્દાવતારે હોય છે, તેમ છતાં, જીવતાજાગતા મનુષ્યની જેમ વિચારે છે, બોલે છે, વર્તે છે.

એટલે મને તો શકુન્તલા, ગોરા, અમૃતા, ઍના કૅરેનિના, રાસ્કોલનિકોવ, “ધી ઓલ્ડ મૅન એન્ડ ધ સી’-નો ઓલ્ડ મૅન સાન્તિયાગો, “આઉટસાઈડર”-નો મ્યરસૉં, “વેઇટિન્ગ ફૉર ગોદો”-ના વ્લાદિમીર-ઍસ્ટ્રેગોન અને પોત્ઝો-લકી તેમ જ “વન હન્ડ્રડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-નાં હોસે આર્કાદિયો બ્વેન્દિયા કે ઉર્સુલા મારી આસાપાસમાં હરતાંફરતાં લાગે છે – જાણે ઘરનાં સભ્યો કે સ્વજનો. ક્યારેક મ્યરસૉં સાથે મનોમન વાતો પણ થાય છે.

જો કે અંદરખાને લેખક એને પોતાના સર્જનનું પાત્ર એટલે કે ભાજન અથવા વાસણ સમજીને જ ચાલતો હોય છે. એમાં એ ભાવનાઓ વિચારો અને સર્જન પાછળના આશયને ભરતો-સંભરતો હોય છે.

આપણે સાંભળ્યું છે કે પાત્રમાં પ્રાણ ફુંકાવો જોઈએ. પણ વાસણ સમજો તો એમાં કેમ કરીને પ્રાણ પ્રગટે? આપણે સાંભળ્યું છે કે લેખકે પરચિત્તકાયાપ્રવેશ કરવો જોઇએ. પણ વાસણ ગણો તો એમાં કઈ રીતે પ્રવેશી શકાય? વિચારીએ.

આ મામલામાં લેખકની કસોટી થતી હોય છે : પાત્રનું માનવી રૂપે આલેખન કરવું કે હાથવગા વાસણ તરીકે? સામાન્ય લેખકો પાત્રને વાસણ કે કઠપૂતળી ગણીને વર્તે અને માની લે કે કસોટીમાંથી પોતે પાર ઊતરી ગયા. પરન્તુ સમર્થ લેખકો પાત્રનો મનુષ્યાવતાર સરજે છે, પાત્રો જીવન્ત લાગે છે.

જો કે એમ કરવા જતાં સમર્થોને એક ડાયલેમાનો – શૃંગાપત્તિનો – સામનો કરવો પડે છે : પાત્રોને જીવન્ત રાખવા જાય છે, તો સર્જનાત્મક આશયને અસર થાય છે. અને જો આશયને ચરિતાર્થ કરવા જાય છે, તો પાત્રોની જીવન્તતા જોખમાય છે.

પણ સમર્થો પાસે બે એવી ચીજો છે જેથી શૃંગાપત્તિનું નિવારણ આપોઆપ થઈ જાય છે :

પહેલી ચીજ એ કે સમર્થોની એક જુદા જ પ્રકારની સાહિત્યિક વ્યક્તિતા હોય છે. એમને પોતાની સર્ગશક્તિનો ગર્વ હોય છે. સ્વતન્ત્રે જીવતા હોય છે, સ્વાયત્ત હોય છે, આત્મશ્રદ્ધાળુ હોય છે. ઉપરાન્ત, તેઓ તત્સમ વૃતિને વરેલા નથી હોતા – સ્થિતસ્ય સમર્થનમ્ કદી ન કરે. જરૂર પડ્યે ધર્મ, સમાજ અને સંસ્કૃતિ સામે સર્જનાત્મક વિદ્રોહ કરતા હોય છે. પરિણામે, સંસારને તેની મૂળ ભાતમાં અને તેમાં જીવતા મનુષ્યને તેની અસલિયતમાં પામી શકે છે.

મૂળ ભાત અને અસલિયત સાથે સંકળાયેલી બીજી ચીજ એ કે મનુષ્યજીવનને તેઓ સપાટીથી તળ લગી પામવા મથતા હોય છે. દર્શાવે છે કે માણસનાં સપનાં તેની ચોપાસ વિસ્તરેલી સિસ્ટમ્સમાં કેવાં તો સપડાયાં હોય છે. ધાર્મિક, રાષ્ટ્રીય કે સામાજિક સંઘર્ષોના નિરૂપણમાં વ્યક્તિના પછડાટ કે આછેરા સુખની વાત કર્યા પછી, કે તેની સાથે, તેઓ પાત્રને એક વ્યક્તિ રૂપે સવિશેષે જુએ છે. વ્યક્તિના ભાવજગત અને જ્ઞાનજગત વચ્ચેના સંવાદ કે વિ-સંવાદને દર્શાવ્યા પછી છેલ્લે તેને એક અસ્તિત્વ રૂપે – ઍક્ઝિસ્ટન્સ રૂપે – પ્રમાણે છે. તેને તેના સત્ત્વની – ઇસૅન્સની – પ્રામાણિક શોધમાં જોતરે છે.

તાત્પર્ય, તેઓ પાત્રને નથી ભરતા, ચરિત્ર ગૂંથે છે. અંગ્રેજીમાં એક જ શબ્દ છે, ‘કૅરેક્ટર’ – ‘ચરિત્ર’. પાત્ર જીવતું-જાગતું મનુષ્ય એ કારણે અનુભવાય છે કે તે એક ચરિત્ર હોય છે. એટલે, પ્રાણ ફૂંકવા જવાની કે એના ચિત્તમાં કે કાયામાં પ્રવેશ કરવાની જરૂરત નથી રહેતી.

સર્જક વ્યક્તિ પોતાનું પાત્ર સ્વાયત્ત રહી શકે તે માટે એનાથી રીસ્પૅક્ટેબલ ડિસ્ટન્સ જાળવે છે; પોતાનો આશય ચરિત્ર પર થોપતો નથી; આશયને ચરિત્રમાં મૂકીને કળાએ કળાએ મૉડિફાય કરતો રહે છે. નહિતર એ “સરસ્વતીચન્દ્ર”-ના ત્રીજા-ચૉથા ભાગનો ચિન્તક બની જાય. ચરિત્ર પણ સ્વાયત્ત હોવાથી સર્જનાત્મક આશયને આત્મસાત્ કરી શકે છે, અને તેથી, પોતાના સત્ત્વને ડૅવલપ કરતો રહે છે. “સરસ્વતીચન્દ્ર”-ના પહેલા-બીજા ભાગનાં ચરિત્રો એ મુજબ જીવે છે.

સમર્થો જરૂર પડ્યે પેલું ડિસ્ટન્સ ઘટાડી શકે છે, વધારી શકે છે. કહેવું જોઈએ કે એ ડિસ્ટન્સ રીસ્પૅક્ટેબલ છે એટલું જ ઇલાસ્ટિક પણ છે.

યાદ રહે કે ચરિત્રોને ‘મુખ્ય’ / ‘ગૌણ’ ગણીએ છીએ એ કોટિકરણ ઉચ્ચાવચતાના ધોરણે થયું છે. એથી એમ સૂચવાય છે જાણે સર્જકે અમુક પાત્રો વિશે ગૌણ ભાવ કેળવેલો છે અને તેમનાં સર્જન અંગે ખાસ ધ્યાન નથી આપ્યું. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે. સમજી શકાય છે કે મોટાં અને વધારે કામ સૉંપાયાં હોય એટલે ચરિત્ર ‘મુખ્ય’, નાનાં અને ઓછાં સૉંપાયાં હોય એટલે ‘ગૌણ’.

પણ ચરિત્રો સર્જકનાં સન્તાન હોય છે. એને મન ચરિત્ર ચરિત્ર વચ્ચે કે તેમનાં કામો વચ્ચે મુખ્ય-ગૌણના ભેદ નથી હોતા. આખ્યાનકારે કૃષ્ણ અને સુદામાને સરજ્યા પછી સુદામાની પત્નીને પણ એટલી જ કાળજીથી સરજી હોય છે. અને એને જે કામ સૉંપ્યું હોય છે તેનું કળાપરક મૂલ્ય જરા પણ ઓછું નથી હોતું. મુનશીએ કાક કે મંજરીને તેમ જ તેમનાં કામોને જેટલું મહત્ત્વ આપ્યું હોય છે એટલું ઉદો મહેતાને કે રાણકને અને તેમનાં કામોને આપ્યું જ હોય છે.

હા, કોઇ કોઇ નવલકથાકારો પક્ષપાત કરીને નાયિકાને ‘અતિ મુખ્ય’ ચીતરતા હોય છે; એના લાલનપાલનમાંથી ઊંચા જ નથી આવતા; જાણે એ એમની પ્રિયતમા હોય … ભલે …

= = =

(June 16, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3511,3521,3531,354...1,3601,3701,380...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved