Opinion Magazine
Number of visits: 9568915
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દો આંખે બારહ હાથ અને એક યહૂદીનો કર્મયોગ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 September 2022

તમારામાંથી ઘણા લોકોએ વી. શાંતારામની “દો આંખે બારહ હાથ” ફિલ્મ જોઈ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. 1957માં આવેલી આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનું લતા મંગેશકરના સ્વરમાં એક ગીત “અયે માલિક તેરે બંદે હમ” આજે પણ પ્રેમ અને કરુણાના ભાવ માટે લોકપ્રિય છે. એક વખતે ભારતની શાળાઓમાં આ ગીત પ્રાર્થનામાં ગવાતું હતું.

શાંતારામ રાજારામ વણકુદ્રે એ જમાનાના ફિલ્મ નિર્માતા હતા, જેમને સમાજિક પરિવર્તનના માધ્યમ તરીકે સિનેમાનું મહત્ત્વ સમજાયું હતું. અન્નાસાહેબ તરીકે ઓળખાતા શાંતારામે, માનવતાવાદને પ્રોત્સાહન મળે તેવી ફિલ્મો બનાવી હતી. જેમ કે – ડો. કોટનિસ કી અમર કહાની, અમર ભૂપાલી, ઝનક ઝનક પાયલ બાજે, નવરંગ, દુનિયા ના માને, ગીત ગાયા પથ્થરો ને, પિંજરા, બૂંદ જો બન ગઈ મછલી અને જલ બિન મછલી નૃત્ય બિન બિજલી.

“દો આંખે બારહ હાથ” તેમની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી. 57 વર્ષની વયે, શાંતારામે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કર્યું હતું એટલું જ નહીં, પોતે એમાં ઉદારવાદી જેલર આદિનાથની મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. આ ફિલ્મ મહાત્મા ગાંધીના “હૃદય પરિવર્તન”ના ચિંતનથી પ્રેરિત હતી, પણ તેનો આધાર એક અસલી ઘટના હતી.

ગાંધી દંડ કે સજાના પક્ષમાં નહોતા. તે માનતા કે પ્રત્યેક વ્યક્તિ બુનિયાદી રૂપે સારો જ હોય છે અને તેને સુધરવાનો મોકો મળવો જોઈએ. માનવતાવાદી દૃષ્ટિકોણ હંમેશાં માણસમાં સંભાવનાઓને જુવે છે. એટલા માટે ગાંધીજી કહેતા હતા કે પાપની ઘૃણા કરો, પાપીની નહીં. નવેમ્બર 1947માં “હરિજન” પત્રિકામાં તેમણે લખ્યું હતું, “દરેક અપરાધીને દરદી ગણવા જોઈએ અને જેલોને હોસ્પિટલ, જેમાં દરદીઓની સારવાર કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિ મજા આવે છે એટલે અપરાધ નથી કરતી, એ બીમાર મનનો સંકેત છે.”

“દો આંખે બારહ હાથ”માં શાંતારામે એવા જેલરની ભૂમિકા કરી હતી, જે ખૂનની સજા  ભોગવી રહેલા છ ખૂંખાર કેદીઓને સુધારવા માટે જેલની બહાર એક ખેતરમાં લઇ જાય છે. ત્યાં આ પશુ જેવા અડિયલ કેદીઓ કેવી રીતે આદિનાથની ધીરજ અને આશાની કસોટી લે છે, તેનો ઘટનાક્રમ બને છે. ફિલ્મમાં તેમણે રોચકતા અને રસ ઊભો કરવા માટે તેમની પત્ની સંધ્યાને પણ રમકડાં વેચનારી (ચંપા) તરીકે લીધી હતી. આ ચંપા જ્યારે પણ વાડીમાંથી પસાર થતી, ત્યારે તેનું ધ્યાન ખેંચવા માટે કેદીઓમાં હરીફાઈ થતી.

આગળ કહ્યું તેમ, આ ફિલ્મનો આધાર એક અસલી ઘટના છે. ઘટના બહુ દિલચસ્પ છે.

વીસમી સદીના તેજસ્વી ચિંતક ગણાતા જે. કૃષ્ણમૂર્તિ, 1920ની આસપાસ થિયોસોફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા વતીથી યુરોપમાં પ્રવચનો આપતા હતા, ત્યારે મૂળ વોર્સો(પોલેન્ડ)નો એક યહૂદી એન્જિનિયર છોકરો, મૌરિસ ફ્રાઈડમેન, તેમના પ્રતિ આકર્ષાયો હતો અને પછી તેને હિન્દુવાદમાં રસ પડ્યો હતો. તેણે કૃષ્ણમૂર્તિનાં ભાષણો ગોઠવવાનું અને તેમનાં પુસ્તકોને ફ્રેંચમાં અનુવાદિત કરવાનું કામ પણ કર્યું હતું. 1928માં તે પેરિસમાં તે ઇલેક્ટ્રિક ફેક્ટરીમાં કામ કરતો હતો, ત્યારે રમણ મહર્ષિના નામથી પરિચિત થયો.

તે વખતે જર્મનીમાં હિટલર અને તેની યહૂદી વિરોધી નાઝી વિચારધારાનો ઉદય થઇ રહ્યો હતો. 1933 સુધીમાં તો તે સત્તામાં હતો અને યુરોપમાં યહૂદીઓ પર તવાઈ શરૂ કરી હતી. તેમાંથી ઘણાં યહૂદીઓ ભારતમાં શરણ લેવા આવ્યાં હતાં. મૌરિસ પણ તેમાંથી એક. 1935માં તેને મૈસુરમાં એક એન્જિનિયર પેઢીમાં નોકરી મળી હતી. રમણ મહર્ષિએ તેને કહેલું, “તું વિદેશમાં જન્મ્યો છું, પણ મૂળ ભારતનો છું.” મૌરિસ ભારતમાં આવીને હિંદુ આધ્યાત્મમાં ઊંડો ઉતરી ગયો.

તે મુંબઈના ખેતવાડીમાં રહેતા અને બીડીની દુકાન ચલાવતા મરાઠી સંત સ્વામી નિસર્ગદત્તા મહારાજ(મારુતિ શિવરામપંત કાંબલી)ના પરિચયમાં આવ્યો હતો, અને સ્વામી જે બોલતા હતા તે દુભાષિયાની મદદથી અંગ્રેજીમાં ઉતારી લેતો હતો. એ લખાણ છેવટે “આઈ એમ ધેટ” નામના આજે પણ અત્યંત લોકપ્રિય પુસ્તક મારફતે દુનિયા સમક્ષ આવ્યું હતું. સ્વામી રામદાસે મૌરિસને સન્યાસ આપીને સ્વામી ભરતાનંદ નામકરણ કર્યું હતું.

ભારત આવ્યાં પછી મૌરિસ મહાત્મા ગાંધી અને તેમની આઝાદીની લડાઈથી આકર્ષાયો હતો. 1938માં તે મરાઠા સામ્રાજ્યના ઔંધ સ્ટેટના રાજા ભાવનરાવ શ્રીનિવાસરાવ પંત પ્રતિનિધિના પરિચયમાં આવ્યો હતો. તેણે ગાંધીજીની લડાઈના સમર્થનમાં રાજાને 70 ગામોની સંપત્તિને મુકત કરવા સમજાવ્યા. ગુલામ ભારતમાં એક પ્રાંતમાં જનશાસન સ્થાપિત કરવાનો આ અનોખો પ્રયોગ હતો. મૌરિસ ઉર્ફે સ્વામી ભરતાનંદે તેનું બંધારણ પણ તૈયાર કર્યું હતું. આ જ સમય દરમિયાન, મૌરિસે એન્જિનિયર હોવાના નાતે ગાંધીજીના ચરખાની બનાવટમાં સુધારો કર્યો હતો.

મૌરિસ ભારતમાં વ્યસ્ત હતો, ત્યારે જ પોલેન્ડમાં તેનો પરિવાર યુદ્ધમાં નષ્ટ થઇ ગયો હતો. મૌરિસ માટે હવે પાછા જવાનું કારણ નહોતું.

ઔંધમાં ભારતના પહેલાં “ગ્રામ રાજ્ય”માં ત્રણ સ્તરની સરકાર હતી. દરેક ગામમાં પાંચ સભ્યોની પંચાયત હોય, જે અધ્યક્ષને ચૂંટે. ગ્રામ અધ્યક્ષ ચાર તાલુકા પ્રમુખને ચૂંટે અને તેવા 12 પ્રતિનિધિઓ ધારાસભામાં જાય, જે રાજ્યના વડા પ્રધાનને ચૂંટે. જાન્યુઆરી 1939માં, ઔંધ બંધારણીય ગણરાજ્ય બની ગયું હતું.

મૌરિસે તેમાં ગાંધીજીથી પ્રેરાઈને બીજો એક પ્રયોગ કર્યો હતો. ત્યાં દેશની પહેલી મુક્ત જેલ સ્થાપવામાં આવી હતી, જ્યાં કેદીઓ તેમના પરિવાર સાથે પેરોલ પર રહેતાં અને પ્રદેશની પાણીની સમસ્યા ઉકેલવા માટે કૂવા ખોદવાનું કામ કરતાં હતા. જેલનું નામ સ્વતંત્રપુર રાખવામાં આવ્યું હતું. 40ના દાયકામાં મહારાષ્ટ્રના ઘણા કાઁગ્રેસી નેતાઓ ઔંધમાં સક્રિય હતા.

ઔંધનો આ પ્રયોગ આમ તો ગુપ્ત હતો. 1947માં જ્યારે રજવાડાંનું ભારતમાં વિલીનીકરણ થયું, ત્યારે ઔંધ પણ ભૂંસાઈ ગયું હતું. મુંબઈમાં વી. શાંતારામને આ પ્રયોગની ખબર પડી હતી. તેમાં તેમને ‘મુક્ત જેલ’નો વિચાર ક્રાંતિકારી લાગ્યો હતો. તેના પરથી તેમણે “દો આંખે બારહ હાથ”ની વાર્તા બનાવી હતી. તેમને એ બતાવવું હતું કે, કેદી હોય કે જલ્લાદ, અંતે તો બધા માણસ જ હોય છે. એક રીતે તે એક ઊંડો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હતો કે દરેક માણસ બુનિયાદી રૂપે ભલો હોય છે, તેના હૃદયમાં એક કોમળતા હોય છે અને તેને વ્યક્ત થવાનો અવસર મળવો જોઈએ.

એક દાયકા પછી, અપરાધીને પણ સુધરવાનો અધિકાર છે તેવા ભાવ સાથે, રાજેશ ખન્નાની “દુશ્મન,” ધર્મેદ્ર-વિનોદ ખન્નાની “મેરા ગાંવ મેરા દેશ” અને ધર્મેન્દ્ર-અમિતાભની “શોલે” બનાવવામાં આવી હતી.

‘સુપરહીટ’, “સંદેશ”, 14 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમરસનું અદ્વૈતપણું

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar|15 September 2022

સમરસનો અર્થ અહીં શું કરવો? જવાબમાં સુદર્શન આયંગાર કહેતા હતા : ‘મારા માટે પણ આ એક મૂંઝવણ તરીકે જ આવે છે. ‘સમરસ સમાજ’ એવો અર્થ બરાબર લાગ્યો છે. પરસ્પર પ્રેમ હોય તો સમાજમાં સમરસતા આવે. ઈર્ષ્યા, દ્વેષ, અને ઘૃણા આવે ત્યાં સમરસતામાં ખલેલ પડે.’

અને પછી, શબ્દકોશ, જોડણીકોશ ફંફોળવાની જરૂર પડી. કેમ કે માથું ખંજવાળવાનું ટાળવું હતું ! તેમાં ભગવદ્ગોમંડળ મદદે આવ્યું. તે અનુસાર, સમરસ માટે અર્થ અપાયો છે : એક સરખા રસવાળું. જ્યારે સમરસતા માટે ત્રણ : [1] એકરસતા; સંગતિ; મેળ. [૨] બધા તરફ સરખી લાગણી રાખવાપણું; રાગદ્વેષ રહિત હોવું. અને [3] સ્વરમાધુર્ય; સુસ્વરતા; સ્વરમેળ.

લાગલા, સુદર્શનભાઈ પડકાર જાણે કે ફેંકતા ન હોય તેમ વિશ્વાસપૂર્વક સવાલતા રહ્યા : ‘ડાયસ્પોરા સમાજમાં આ સ્તરે શું અનુભવો રહ્યા, સમરસતા છે? બની રહે છે? ખલેલ પડી છે? હિન્દુસ્તાનમાં બનતા બનાવોની અસર પડે છે? પડી છે? ઉપરોક્ત મુદ્દાઓ પર જૂનાં/નવાં લખાણો હોય તો ફરી પ્રસિદ્ધ કરવા જેવાં કરવા, એવો વિચાર.’

ડાયસ્પોરા સમાજનો આછોપાતળો અનુભવ હોઈ, યુનાઇટેડ કિંગ્ડમને કેન્દ્રમાં રાખી મગજને કસતા કસતા દેખાયું કે ચોતરફ સમરસ સમાજનો અભાવ વકરતો રહ્યો છે. જગતની આજે હાલત છે તેમાં નકરી ખાઈ ભાસે છે. પશ્ચિમના જે દેશો સમૃદ્ધ છે અને બાકીની દુનિયાના જે દેશો અ-સમૃદ્ધ છે તેમની વચ્ચે ક્યાં ય સમાનતા જડતી જ નથી. ચોમેર વળી વેપારવાણિજ્યનું જોર વધી રહ્યું છે અને તેની ચડસાચડસીમાં પર્યાવરણ, પ્રદૂષણના સવાલો ખડકાતા રહ્યા છે. તેની અસર નીચે કેટલાક દેશોમાં વળી સુકાળનો અભાવ છે જ છે. ક્યાંક દુકાળ છે તો ક્યાંક આંતરકલહ. તેને કારણે સ્થળાન્તર, દેશાન્તર સ્વાભાવિક જોર કરે છે અને જે તે મુલકમાં આ શરણાર્થીઓ ઠલવાય છે ત્યાં હમદર્દી તો ઠીક ન જ હોય, બલકે પૂર્વગ્રંથિ જ રાસડા લે છે !

અંગ્રેજો જે દહાડે જગતને ચોક ત્રણ ભાગે પથરાયેલા રહેતા તે દિવસોમાં વિધવિધ ખેતીકામને પહોંચી વળવાને સારુ દક્ષિણ આફ્રિકા ઉપરાંત કેટલાક સુદૂરના ટાપુદેશોમાં પણ ગિરમીટિયા પદ્ધતિ દાખલ કરાયેલી. કેરેબિયન ટાપુ વિસ્તારમાં ગુયાના, ત્રિનિદાદ ને ટોબેગો, હિંદી સમુદ્રમાંના મોરેશિયસ, તો પ્રશાન્ત મહાસાગરના ફીજી ટાપુ આના મજબૂત દાખલાઓ છે. આ ગિરમીટિયા પદ્ધતિ અનુસાર જે કરારનામા થયેલા તેમાં મોટે ભાગે પોતાના તાબા હેઠળના હિન્દુસ્તાનમાંથી હજારો લોકોની ભરતી કરવામાં આવેલી. જે તે મુલકોમાં ગયેલી આ વસ્તીમાં આરંભે બહુધા સમરસતા જોવા મળતી હતી. હા, મોટા ભાગના લોકો પોતાની સમજણ અનુસાર  કર્મકાંડને બોટતા નહીં. પહેરવેશ અને ખોરાકમાં ય ક્વચિત ફેરફારને ય સ્વીકારતા નહીં. સમાજિક સ્તરે, ગાંધીભાઈ જેને ‘કોમ’ કહેતા તે ડાયરામાં, સમરસ સમાજની પેઠે જીવન વ્યસ્ત કરતાં, કેમ કે દરેકને સારુ સ્વભાષાનું ચલણ પ્રધાન હતું, જૂજ લોકોને સારુ અંગ્રેજી ભાષા ઉપરાંત સ્થાનિક ભાષાથી અંતર હોય તેમ વર્તાયું છે.

આફ્રિકા ખંડેથી જોઈએ તો દક્ષિણ આફ્રિકાને નામ બેચાર મજબૂત ચોપડીઓ છે : મો.ક. ગાંધીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રનો ઇતિહાસ’, પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’, ઉમા ધૂપેલિયા-મિસ્ત્રીકૃત Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal Gandhi તેમ જ રામચન્દ્ર ગુહાકૃત Gandhi Before India. તદુપરાંત, અમીના કાછલિયા, અહમદ કથરાડા, ફાતીમા મીર તેમ જ ઈસ્માઈલ મીરનાં આત્મકથાનક પુસ્તકો ય સાખ પૂરે છે. હવે તો બીજું ખૂબ સંશોધન આધારિત અને અભ્યાસુ સાહિત્ય પણ ઊમેરણમાં જોવાં પામીએ. વળી, મો.ક. ગાંધીમાંથી ગાંધીભાઈ બનેલા આ લોકનેતાને નાડ પણ પાકી પકડાઈ ગયેલી. અને પરિણામે તે પૂરેવચ્ચ કામે લાગી રહ્યા હતા. એમણે મણિલાલ ડૉક્ટર, પારસી રુસ્તમજી, સોન્જા શ્લેશિન, આલ્બર્ટ વેસ્ટ, જોસેફ ડોક, અહમદ મહમ્મદ કાછલિયા, હર્માન કેલનબૅક, હેન્રી પોલાક, થામ્બી નાયડુ સરીખાં સરીખાંઓને પણ જોતરી જાણેલા. હિન્દવી જમાતના વસવાટીઓમાં, તે આરંભના ગાળામાં, સમરસતા મહદ્દ અંશે મજબૂત જોવા મળી છે. લોકો કોમને નામે હળતાંભળતાં, એકબીજાના ટેકેટેકે જીવન વ્યસ્ત કરતાં રહેતાં. ગાંધીભાઈએ 1914માં દક્ષિણ આફ્રિકાથી વિદાય લીધી અને 1915માં હિન્દ પરત થયા તે પહેલાં, 15 ઑક્ટોબર 1913ના દિવસે ફિનિક્સ સેટલમેન્ટથી પોતાનો છેલ્લો સત્યાગ્રહ આદર કર્યો તે વેળા સમરસતાનું મજબૂત ચિત્ર તો ‘જીવનનું પરોઢ’માં જોવા પામીએ છીએ. એ કૂચ. હજારોની સંખ્યાને જે તે ગામે સાંચવણ-વ્યવસ્થાનાં કામો થયાં તેની દાસ્તાઁ અનુભવાય જ છે. તેનો જોટો, ભલા, ક્યાં મળે ?

અને આવું છતાં, ઉમાબહેનનું એક તારણ ઊડીને આંખે વળગે છે. ગાંધી પરિવારે ડરબનમાં ગુજરાતીઓ જોડે બહુ નજીકનો તાલમેળ રાખ્યો હતો. તેમ છતાં, શહેરના ગુજરાતી સમાજ સાથેનો એમનો વહેવાર જૂથ બહાર બરાબરના હોય તેમ રહેતો. ડરબનમાં સુરતીઓ તેમ જ કાઠિવાડીઓની અલગ અલગ સંસ્થાઓ હતી. હિન્દુસ્તાનના જ નહીં, બલકે ગુજરાતના જુદા જુદા પ્રાન્તવિસ્તારની અહીં આ છાપ હતી. સુશીલાબહેન ગાંધી તો જાણીતા મશરૂવાળા પરિવારનું સંતાન. એમનાં મૂળ સુરતમાં નીકળે. જ્યારે મણિલાલ ગાંધીનાં મૂળ કાઠિયાવાડમાં. આથી દેખીતી રીતે બન્નેની નાતજાત જુદી લેખાતી. કાઠિયાવાડ હિન્દુ સેવા સમાજ એમને આવકારવા ઠંડોબોળ રહેતો ! એમનાં ત્રીજાં સંતાન ઇલાબહેનને ટાંકીને ઉમાબહેન લખે છે : એમને કોઈકે એકાદી વાર ‘વર્ણસંકર’ [half-caste] છો તેમ કહ્યું તેથી ઇલાબહેનને ઊંડી વેદના થયેલી. વળી, જ્યારે ત્યારે આ અંગે ગાંધી પરિવારને તે જણ ટોણો ય માર્યા કરતા. બીજી તરફ, સુરતી સમાજ પરિવાર અંગે થોડોઘણો કૂણો વર્તાતો. આ ભેદભાવથી પર રહી ગાંધી પરિવાર ગુજરાતી ઓળખને સતત જાળવવી રાખવા પ્રયત્નશીલ રહ્યું છે, તેવું લેખિકા લખે છે.

વારુ, જેમ દક્ષિણ આફ્રિકે, તેમ પૂર્વ આફ્રિકે પણ. ઉછરંગરાય ઓઝાનાં લખાણો, મણિલાલ દેસાઈથી માંડીને અલીભાઈ મુલ્લા જીવણજીને સાંકળતાં સાંકળતાં પિયો ગામા પિન્ટો, મોહમ્મદઅલી રતનસી ને પરિવાર, રણધીર ઠાકર, વી.આર. બોલ, પંડ્યા બંધુઓ, ગિરધારીલાલ વિદ્યાર્થી, હારૂન અહમદ, પ્રાણલાલ શેઠ, તેમ જ બીજાં અનેકોએ સમરસતાના પાઠો ભણાવ્યા કરેલા.

આવાં આ આગેવાનોએ અહીંતહીં  કેટકેટલી સર્વસમાવેશક સંસ્થાઓ આદરેલી, ને ચલાવી જાણેલી. કમ્પાલા માંહેનો ‘યુવક સંઘ’, નાઇરોબી માંહે ‘કલાનિકેતન’, દારેસલ્લામ ખાતે ‘શિશુ કુંજ’ આના નક્કર દાખલાઓ છે. આવી બીજી નાનનીમોટી આંદોલિત સંસ્થાઓ પણ તે દહાડે સક્રિય જોવા મળતી.

અને તેમ છતાં, આપણે તો ઠેરના ઠેર જ છીએ !

ગઈ સદીના આશરે છઠ્ઠે દાયકે, યુગાન્ડાની ‘યુવક સંઘ’ સંસ્થાના મહેમાન તરીકે ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે હતા, ત્યારે કેનિયાના બંદરી નગર મોમ્બાસામાંની એક જાહેર સભામાં આ ઉચ્ચારણ એમણે કરેલું તેમ નોંધાયું વાંચવા મળે છે : ‘મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

વિલાયતમાં તો બેએક સદીઓથી આવનજાવન હતી, અને તેને ઇતિહાસનું બહાનું ય મળે છે. યુરોપના ફ્રાન્સ સમેતના બીજા દેશો, કેનેડા – યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકા તેમ જ, સિંગાપુર, ન્યુઝિલૅન્ડ, ઑસ્ટૃાલિયામાં પણ આજે આપણી વસાહતો વિસ્તરી છે. આમ ચોમેર નજર કરીએ છીએ ત્યારે આપણી જમાતના એક શિરમોર સાહિત્યકાર, વિચારક બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે દાયકાઓ પહેલાં કહેલું તેમાં મીનમેખ ફેર પડ્યો હોય તેમ લગીર દેખાતું નથી.

’આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી. આપણાંમાં પ્રજાપણાનું ઐક્ય નથી. પ્રજાપણાનો ટેક નથી. પ્રજાપણાનાં સતત આગ્રહી ઊજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્રભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતિ આપણે ત્યાં જ થાય છે એમ નથી; સર્વત્ર થાય છે. પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતાં આવે તેમ ઓગળતાં પણ જાય છે, અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે, ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતાં વધુ મોટી બનીને ગમે તેવાં કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે, અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડિરયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી નથી, આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર તો નાગર, બ્રાહ્મણ કે વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કંઈ વિશેષ છે.’

બીજી પાસ, સુરત વસતા જાણીતા સાહિત્યકાર પત્રકાર રવીન્દ્ર પારેખ તાજેતરમાં લખતા હતા, ‘સામાન્ય માણસ સ્વતંત્ર થઈને કૈં બહુ પામી ગયો નથી, બલકે, તેને નામે બીજા ઘણું પામી ગયા છે. આમ જોવા જઈએ તો આખો દેશ અનેક વર્ગોમાં વહેંચાઈ ગયો છે. એક વર્ગ છે તે જાતિ-વર્ગના દાખલા જ ગણ્યા કરે છે, બીજો એક, પક્ષીય રાજકારણ અને પ્રચાર, પ્રસારમાં જ જીવનની ઇતિશ્રી જુએ છે, તો એક વર્ગ ધર્મ-અધર્મ, હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદમાં જ વ્યસ્ત છે. એક વર્ગ સૌથી વધુ ધન ભેગું કરવામાં પડ્યો છે. વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય લોકોમાં પોતાનો નંબર કયો છે ને તેનાથી ય વધુ ઊંચાઈએ, એટલે કે પહેલાની ય ઉપર જવાય એમ છે કે કેમ એટલું જ લક્ષ્ય એનું હોય છે. એક વર્ગ છે જે ઓછી મહેનતે વધુને વધુ પૈસા કઇ રીતે બનાવી શકાય એની જ કોશિશમાં છે. એ ઘણુંખરું નોકરિયાત વર્ગ છે. એ સરકારી નોકરીઓમાં છે, પોલીસમાં છે, કોર્પોરેશનમાં છે, શિક્ષણમાં છે … લગભગ બધે જ છે. એ કોઈનો હક મારે છે અથવા તો કોઈનો હક દબાવે છે. ભ્રષ્ટાચાર એ જ એને માટે શિષ્ટાચાર છે. …’

જ્યાં કેન્દ્ર નબળું હોય ત્યાં પરીઘે માણસ કેટલું બળ કરી શકે ? તળ ગુજરાતે જ્યાં વકરેલી હાલત હોય તો બૃહદ્દે વિસ્તરેલા ગુજરાતમાં સ્વાભાવિકપણે તળના પડછાયા અને ઓછાયા ડોકાયા કરે. અહીં પણ કોમવાદ વકરેલો છે, તેમ જ્ઞાતિવાદનો મુરબ્બો ચોમેર મધમાખની પેઠે વળગેલો જ ભાસે છે. ઉચ્ચનીચના ભેદ, સામંતવાદી માનસ, અસહિષ્ણુ વાણી – વર્તન, સ્વકેન્દ્રી પ્રકૃતિનું આજકાલ જોર છે અને તેમને રાષ્ટૃપ્રેમ અને રાષ્ટૃવાદનો કોઈ ભેદ કળાતો જ નથી !

આવી પરિસ્થિતિમાં આ સમરસતાને ક્યાં ભાળવી ? ધોળે દહાડે દીવો લઈને શોધવા નીકળીએ તો એકલદોકલ દાખલાઓ સિવાય ચોમેર, કમનસીબે, અંધારું ઘોર દીસે છે.

પાનબીડું :

‘ગીતાની યોજના મહાભારતમાં છે. મહાભારત ને રામાયણ આપણા રાષ્ટૃીય ગ્રંથો છે. તે મહાકાવ્યો છે, અદ્દભુત ગ્રંથ છે. રામાયણ મધુર નીતિકાવ્ય છે. જ્યારે મહાભારત સમાજશાસ્ત્ર છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસજીએ ભગવદ્દગીતામાં ભર્યું છે. ગીતા ઉપનિષદોની ઉપનિષદ છે. ગીતા ધર્મજ્ઞાનનો એક કોષ છે. અર્જુનને શિષ્યભાવે સમરસ થવાથી તેમ જ વ્યાસજીને ગ્રંથકાર ભાવે એક રસ થવાથી કૃષ્ણ સંજ્ઞાઓ મળેલ છે − એટલે કહેવાવાળા કૃષ્ણ, સાંભળનાર કૃષ્ણ અને રચનાર પણ કૃષ્ણ – એટલે એ ત્રણની સમાધિ રૂપે – અદ્વૈતરૂપે – ગીતાજી સ્વયંસિદ્ધ છે.

− આચાર્ય વિનોબાજી

(ભગવદ્દગોમંડળ ભાગ – ૯)
હેરૉ, 15-18 મે 2022
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : “કોડિયું”, 15 સપ્ટેમ્બર – ઑક્ટોબર 2022; પૃ. 53-55

Loading

‘સર્વેશુભોપમા-યોગ્ય’ અને ‘શુક્રતારક સમા’ મહાદેવભાઈ દેસાઈ

સોનલ પરીખ|Gandhiana|15 September 2022

ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપત્તિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …

—     સ્વામી આનંદ

સ્વામી આનંદે મહાદેવભાઈ દેસાઈ વિશેના લેખનું શીર્ષક આપ્યું છે ‘શુક્રતારક સમા’. એમાં તેઓ લખે છે, ‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં સંસારના કવિઓ થાક્યા નથી. આમ છતાં આ તેજસ્વી તારાને દુનિયા સમીસાંજે કે વહેલી સવારે કલાક-બે કલાકથી વધુ દુનિયા દેખી શકતી નથી. ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભાથી આપણા આકાશને ઝળાંઝળાં કરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા.’

કિશોરલાલ મશરુવાળા જેવા ગાંધીયુગના સર્વતોશ્રેષ્ઠ સમતોલ વિચારવંતે જેમને ‘સર્વેશુભોપમા-યોગ્ય’ કહ્યા છે, એ મહાદેવભાઈ દેસાઈને માટે ગાંધીજી ખુદ કહેતા કે ‘મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે.’ 15 ઑગસ્ટ 1942 એ મહાદેવભાઈની પુણ્યતિથિ હતી. એ નિમિત્તે એમને સ્મરીએ અને ભાવવંદન પાઠવીએ.

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવભાઈના દીકરા નારાયણ દેસાઈએ લખેલું એમના પિતાનું જીવનચરિત્ર. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ આ શબ્દો મહાદેવભાઈ માટે પહેલવહેલા ઝવેરચંદ મેઘાણીએ વાપર્યા હતા. આ પુસ્તક 1992માં લખાયું. એનાં ઘણાં વર્ષ પહેલાં 1950માં મહાદેવભાઈના મિત્ર, સાથી અને મહાત્મા ગાંધીના અંતેવાસી નરહરિ પરીખે ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ આપ્યું છે. મહાદેવભાઈ અને નરહરિભાઈ પરીખ કૉલેજના અભ્યાસ સમયે એકબીજાના પરિચયમાં આવ્યા, સાથે રહ્યા, સાથે જરા જેટલી વકીલાત કરી, સાથે ગાંધીજી પાસે ગયા અને એમના આજીવન અનુયાયી અને સેવક બન્યા. અંત સુધી મૈત્રીની ગાંઠ એવી ને એવી અતૂટ રહી.

નરહરિભાઈ પોતાના પુસ્તકમાં લખે છે, ‘મહાદેવભાઈ બાપુજી પાસે કેવી અને કેટલી સંપત—ચારિત્ર્યબળની, ભક્તિપૂર્ણ હૃદયની, બુદ્ધિની, વિદ્યાકળાની અને હોશિયારીની—લઈને આવ્યા હતા એ જ મારે તો બતાવવું હતું … એવી સંપત લઈને મહાદેવ બાપુજી પાસે આવ્યા અને તેમાંથી કિશોરલાલભાઇએ લખ્યું છે તેમ, “એક વિદ્વાન ફિલસૂફ, સાહિત્યિક, કવિ, મધુર ગાયક અને કલારસિક હોવા છતાં પરિચર્યા કરનાર નર્સ; કપડાં ધોનાર ધોબી, રાંધીને ખવડાવનાર રસોઈયા; સાફ નકલ કરી આપનાર કારકુન; લખેલું સુધારી આપનાર શિક્ષક, અધૂરું કામ પૂરું કરી આપનાર સહયોગી; મંત્રી; નાજુક કામને કુનેહથી પાર પાડી આપનાર એલચી; પોતાના સ્વામી અને આપણી વચ્ચે ગેરસમજૂતી ઊભી થઈ હોય તો તેને દૂર કરાવનાર વિષ્ટિકાર; પિતૃભક્તિ, સ્વામીભક્તિ, મિત્રભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ એવા સર્વે સંબંધોને યથાયેગ્યપણે સંભાળવામાં પરાકાષ્ઠાનો પ્રયત્ન કરનાર તુલાધાર; અને આ બધું છતાં માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાવધ સાધક;” —એવા એ બન્યા.

ગાંધીજી કહેતા, ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ’ તેઓ મહાદેવભાઈને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહેતા. મહાદેવભાઈએ ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી તેમને ‘હૃદય દ્વિતીયમ્’ કહેતા. અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની લેખનશૈલીમાં એવું સામ્ય હતું કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે. નારાયણભાઈ વર્ણવે છે કે ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરેલી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવો.

આ મહાદેવભાઈનો જન્મ જાન્યુઆરી 1892માં. શિક્ષક પિતા હરિભાઈ અને ઊંડી ધર્મભાવનાવાળાં માતા જમનાબહેન ઉપરાંત એમના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ તેમ જ ગોધરાના પુરુષોત્તમ સેવકરામ ભગતનો મહત્ત્વનો ફાળો હતો.

તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1910માં તેઓ તત્ત્વજ્ઞાન તથા તર્કશાસ્ત્ર સાથે બી.એ. થયા અને 1913માં એલએલ.બી. થયા. ગાંધીજી ભારત આવ્યા એ વર્ષે મહાદેવભાઈ મુંબઈમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા. 1915ના જુલાઈ મહિનામાં તેમની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ ને 1917માં તેઓ બધું છોડી ગાંધીજી પાસે આવી ગયા. જો કે કૌટુંબિક પાશમાંથી મુક્ત થવું સહેલું નહોતું. એ મંથનનું ચિત્રણ નરહરિભાઈના લખેલા ‘મહાદેવનું પૂર્વચરિત’માં જોવા મળે છે.

1919ની શરૂઆતમાં મહાદેવભાઈએ થોરોના ‘ઓન સિવિલ ડિસઓબિડિયન્સ’નો રાતોરાત સંક્ષેપ કર્યો – ‘કાયદાની સામે થવાની ફરજ’. પ્રેસ કાયદાનો ભંગ કરી એની નાનકડી પુસ્તિકા મુંબઈના હજારો લોકોએ ખુલ્લેઆમ વેચી સવિનય કાનૂનભંગ કર્યો. 1919ના જલિયાંવાલાં હત્યાકાંડ સમયે પંજાબ જતાં પલવલ સ્ટેશને ગાંધીજી પકડાયા, ત્યારે તેમણે મહાદેવભાઈને પોતાના વારસ કહ્યા.

19૦5માં તેમનું લગ્ન દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ સાથે થયું. પત્ની સાથે સુંદર મનમેળ, છતાં મહાદેવભાઈ પત્ની પાસે રહ્યા તે કરતાં ગાંધીજી પાસે વધારે રહ્યા હતા! તેઓ ઘણી વાર કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ ગાતાં: ‘પાનાં પ્રારબ્ધનાં ફેરવું રે. માંહી આવે વિયોગની વાત જો. સ્નેહધામ સૂનાં સૂનાં રે.’ જો કે વિયોગ છતાં નારાયણભાઈએ લખ્યું છે તેમ મહાદેવ–દુર્ગાનાં સ્નેહધામ ભર્યાં ભર્યાં હતાં, સૂનાં સૂનાં નહીં.

19૦9ના ‘નવજીવન’ના પહેલા અંકથી મહાદેવભાઈ તેની સાથે જોડાયેલા રહ્યા અને પ્રસંગોપાત તંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી. 1921માં મોતીલાલ નેહરુના આમંત્રણથી ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી થયા. 1931માં ઇંગ્લૅન્ડથી ‘યંગ ઇન્ડિયા’નું સફળ રીતે સંપાદન કરેલું. ‘નવજીવન’ની જેમ ‘હરિજનબંધુ’, ‘હરિજન’, ‘હરિજનસેવક’ને પણ તેમની કલમનો લાભ મળ્યો હતો. 1936માં બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ-વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ તેમની પત્રકાર તરીકેની નિષ્ઠા, પ્રતિભા ને સજ્જતાનો પ્રેરણાદાયી નમૂનો છે. તેમને 1927માં ‘નવજીવન’માંના લેખો માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું.

ગાંધીસેવા પૂર્વે મહાદેવભાઈએ સાહિત્યસેવામાં પગરણ માંડેલાં. 1915માં કરેલા લૉર્ડ મૉર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ’ના ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે અનુવાદે ફાર્બસ ગુજરાતી સભાનું પારિતોષિક મેળવ્યું. 1915થી 1925ના ગાળામાં રવીન્દ્રનાથના ‘ચિત્રાંગદા’, ‘પ્રાચીન સાહિત્ય’, ‘વિદાય અભિશાપ’ ઉપરાંત શરદબાબુની ‘ત્રણ વાર્તાઓ’ ને ‘વિરાજવહુ’નો અનુવાદ કર્યો. જવાહરલાલ નેહરુની તેમ જ ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદ આપ્યા. કૉંગ્રેસ કમિટીના પંજાબનાં રમખાણોના અંગ્રેજી અહેવાલનો અનુવાદ પણ કરેલો. ‘એકલો જાને રે’ કે ‘ચિંતા કર્યે ચાલશે ના’ જેવા અનુવાદો આજે પણ મન મોહી લે. 

ઉપરાંત એમણે ‘અંત્યજ સાધુ નંદ’, ‘વીર વલ્લભભાઈ’, ‘સંત ફ્રાન્સિસ’, ‘બે ખુદાઈ ખિદમતગાર’ તથા ‘મૌલાના અબુલ કલામ આઝાદ’ જેવા ચરિત્રગ્રંથો, ‘એક ધર્મયુદ્ધ’માં અમદાવાદની અહિંસક મજૂર-ચળવળનો તો ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’માં બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ, નરહરિ પરીખ સાથે રહીને ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’, માર્તણ્ડ પંડ્યા સાથે ‘ખેતીની જમીન’ તેમ જ અંગ્રેજીમાં ‘ધી એપિક ઑવ્ ત્રાવણકોર’, ‘ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજિઝ’, ‘વિથ ગાંધીજી ઇન સિલોન’, ‘ધ સ્ટોરી ઑવ્ બારડોલી’, ‘ધ નૅશન્સ વૉઇસ’, ‘અનવર્ધી ઑવ્ વર્ધા’, ‘ધી ઇક્લિપ્સ ઑવ્ ફેથ’ અને ‘એ રાઇચ્યસ સ્ટ્રગલ’ એ પુસ્તકો આપ્યાં છે.

પણ ગુજરાતી તેમ જ ગાંધીસાહિત્યને મહાદેવભાઈનું સર્વોપરી અર્પણ તે ડાયરીઓ. ડાયરીઓનો પહેલો ભાગ 1948માં તો વીસમો ભાગ 1991માં પ્રગટ થયો છે. ગાંધીજીના સત્યના પ્રયોગોનો રોજ બ રોજનો પુરુષાર્થ, ગાંધીજીના સંપર્કમાં આવતી અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, અનેક અંગત-જાહેર ઘટનાઓનાં તથા ગાંધીજીપ્રેરિત રાષ્ટ્રીય જીવનની અનેકવિધ પરિસ્થિતિઓનાં ટાંચણથી માંડી સુરેખ વર્ણનો ભરેલી આ ડાયરીઓ ગાંધીકોશની ગરજ સારે એવી છે. 1955માં એમને આ ડાયરી-સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

ગાંધીજીના ‘અનાસક્તિયોગ’ના પોતે કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનારૂપે લખેલા ‘માય સબમિશન’ લેખમાં મહાદેવભાઈએ ભગવદગીતાની સૂક્ષ્મ છણાવટ કરી શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જેવા સાઠ ઉપરાંત પરદેશી ચિંતકોને ટાંક્યા છે! ભારતીય ચિંતકો તો જુદા. 

ગાંધીજી ૧૯૩૫માં વર્ધા રહેવા ગયા એ પછીનો સમય મહાદેવભાઈ માટે શારીરિક તેમ જ માનસિક કસોટીઓનો હતો. ૧૯૪૨ના ઑગસ્ટની ૯મીથી ૧૫મી તારીખના અઠવાડિયા દરમિયાન ગાંધીજી ઉપવાસ કરશે એ વિચારે મહાદેવભાઈના મનમાં ખૂબ ફડક પેસી ગઈ હતી. એ ફડક જ તેમના અકાળ મૃત્યુનું કારણ બની. આ મૃત્યુનો જખમ છેક સુધી ગાંધીજીને હૈયે રહ્યો. પછીનાં વર્ષોમાં પ્યારેલાલજીને કશુંક કહેવું હોય તો ગાંધીજીના મોંએથી અનાયાસ ‘મહાદેવ !’ સંબોધન સરી જતું.

અંતે ફરી સ્વામી આનંદે લખેલા શબ્દો યાદ કરીએ : ‘ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ઑગસ્ટ 2022

Loading

...102030...1,3511,3521,3531,354...1,3601,3701,380...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved