‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિન તા.18-10-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવા જઈ રહેલા આચાર્ય દેવવ્રતની એક લાંબી મુલાકાત છપાઈ છે. આ આખી મુલાકાત મોટે ભાગે પ્રાકૃતિક ખેતી, ગાય અને પર્યાવરણના મુદ્દા પર કેન્દ્રિત છે. જો કે, આ મુલાકાતમાં ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી વિષે પણ થોડાક મુદ્દા છે. તેમણે આ બંને વિષે જે કંઈ કહ્યું છે તેને વિષે સહેજ ટિપ્પણ :
(1) “ગાંધીજીને ગાયો પ્રત્યે બહુ આદર હતો અને હું ગોપાલક છું” અને “હું ગાય, ખેતી અને ઝેર-મુક્ત ખેતી વિષે વાત કરું છું” એમ કહીને આચાર્ય દેવવ્રત એમ કહે છે કે “ગાંધીજી જો આજે હયાત હોત તો તેઓ મને સૌથી વધુ આશીર્વાદ આપત.” ગાંધીજી જીવતા હોત તો તેઓ દેવવ્રતને આશીર્વાદ આપત એમ કહેવું એ તો માત્ર કલ્પના થઈ. અને તે જાતે જાતે પોતાની પ્રશંસા કરવા જેવી વાત થઈ. એને આત્મશ્લાઘા કહેવાય. વળી, બિલકુલ એવી વાત થઈ કે જ્યારે નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણી સમયે “મા ગંગાએ મને બોલાવ્યો છે” એમ કહેતા હતા. કોણ જોવા જાય છે કે ક્યારે મા ગંગાએ સાદ દીધેલો? એમ ગાંધીજી શું કરત એ તો ધારણા થઈ. સવાલ એ જ છે કે ગાંધીજી માત્ર એટલા માટે જ મહત્ત્વના છે કે તેમણે ગાયને આદર આપેલો? ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવા માટે પોતાની આ લાયકાત છે એમ આચાર્ય દેવવ્રત કહેવા માગે છે. ગાંધીજીના કોઈ એક રચનાત્મક કાર્યક્રમને પણ આગળ ધરાવનાર વ્યક્તિ સારી વ્યક્તિ જ કહેવાય એમાં કોઈ શંકા નથી. પણ ગાંધીજી પોતાને સૌથી વધુ આશીર્વાદ આપત એમ કહેવું વધારે પડતું છે. જો કે, એ વાત સાચી કે, પોતાના હત્યારા નથુરામ ગોડસેના સમર્થકોના ખોળામાં બેસી જનારા પ્રાકૃતિક ખેતીના ચાહક અને ગોપાલક એવા ગુજરાતના રાજ્યપાલને “હે રામ” બોલીને મહાત્મા ગાંધી માફ તો કરે જ. એટલે અત્યારે ગૂજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ તેમના આકાઓના કહેવાથી પ્રાપ્ત કરવા બદલ મહાત્મા ગાંધી આચાર્ય દેવવ્રતને માફી બક્ષતા હશે એવી ધારણા અવશ્ય કરી શકાય. જો ગાંધી એમને માફ ના કરે તો મહાત્મા શાના?
(2) આચાર્ય દેવવ્રત દાવો કરે છે કે, “ગાંધી અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોધ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણીધાનને અનુસર્યા હતા. હું સંપૂર્ણપણે તેમને અનુસરું છું (I follow this in totality).” અહીં “સંપૂર્ણપણે”(in totality) શબ્દ જરા વધારે પડતો લાગે છે. શું કદાચ દુનિયાના ઇતિહાસના સૌથી જુઠ્ઠા રાજકારણી નરેન્દ્ર મોદી દ્વારા થયેલી પોતાની રાજ્યપાલ તરીકેની નિમણૂકને આચાર્ય દેવવ્રત આ રીતે વાજબી ઠેરવે છે? જો દેવવ્રત સત્યના આટલા બધા આગ્રહી જ હોય તો પછી અસત્યના કિલ્લા ચણનાર નરેન્દ્ર મોદી દ્વારા થયેલી પોતાની નિમણૂક તેમણે સ્વીકારી કેમ? શું એમને નરેન્દ્ર મોદીની જુઠ્ઠાણાં ફેલાવવાની રીતરસમની જાણકારી નહોતી? શું એનો અર્થ એવો કરવાનો કે નરેન્દ્ર મોદીનાં અનેક જુઠ્ઠાણાં સાથે તેઓ સંમત છે? અથવા તો તેમને એ જુઠ્ઠાણાંની સામે કશો વાંધો જ નથી?
(3) “હું ગાંધીજીના સિદ્ધાંતોથી પ્રભાવિત છું અને મારા ગુરુકુળમાં તેમને અનુસરું છું” એવો દાવો આચાર્ય દેવવ્રત કરે છે. “મારું જીવનદર્શન એ જ છે” એવો પણ એમનો દાવો છે. એટલે માત્ર ગાય, પર્યાવરણનું રક્ષણ અને પ્રાકૃતિક ખેતી વગેરેમાં મહાત્મા ગાંધી સમાઈ જાય છે એમ આચાર્ય દેવવ્રતનું માનવું છે. ગાંધી એટલે અન્યાય સામેનો અવાજ, ગાંધી એટલે સામાજિક, આર્થિક અને રાજકીય ગુલામી તેમ જ શોષણ સામેનો સત્યાગ્રહ અને ગાંધી એટલે શોષણમુક્ત અહિંસક સમાજની રચનાની દિશામાં લોકશાહી અને વ્યક્તિની સ્વતંત્રતા સાથે પ્રગતિ એવું કશું આચાર્ય દેવવ્રતને યાદ આવતું જ નથી એનું આશ્ચર્ય થાય છે. ગાંધીનું ‘હિંદ સ્વરાજ’ પુસ્તક આચાર્ય દેવવ્રતે વાંચ્યું છે ખરું? તેમાં સ્વરાજ ફક્ત ગાય, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ એવી બાબતોમાં સમાઈ જતું નથી. એમાં તો “જણે જણે ભોગવવાનું સ્વરાજ” એટલે ખરું સ્વરાજ એવું ગાંધીએ લખ્યું છે. એમાં બેફામ અને નિરંકુશ રાજકીય સત્તા સામેની લડાઈ પણ આવે. એવી લડાઈ શું આચાર્ય દેવવ્રતને મંજૂર છે? આ મુલાકાતમાં એનો સહેજ પણ ફોડ પાડવામાં આવ્યો નથી.
(4) દેવવ્રતનું સપનું એ જ છે કે જે નરેન્દ્ર મોદીનું સપનું છે. “પ્રાકૃતિક ખેતી એક એવો વિકલ્પ છે કે જે ખેડૂતોની આવક બમણી કરવાનું વડા પ્રધાનનું સપનું સાકાર કરવામાં સહાય કરી શકે છે” એમ તેઓ આ મુલાકાતમાં કહે છે. વડા પ્રધાનનું સપનું સાકાર કરવાની આચાર્ય દેવવ્રતની ચિંતા સ્વાભાવિક છે કારણ કે તેમની પસંદગીથી જ તેઓ રાજ્યપાલ બન્યા છે. પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત નરેન્દ્ર મોદીએ 2016માં કરી હતી અને તેનું પાંચ વર્ષે શું થયું એના વિષેનું તેમનું સ્વમૂલ્યાંકન પણ આચાર્ય દેવવ્રત દ્વારા રજૂ કરવામાં આવ્યું નથી. એમ લાગે છે કે નરેન્દ્ર મોદીએ જેમ ગાંધીનાં ચશ્માં ઊંધા કરીને એમાં એક આંખે “સ્વચ્છ” અને બીજી આંખે “ભારત” લખીને ગાંધીની “સ્વચ્છ” “ભારત”માં ઇતિશ્રી કરી નાખી એમ આચાર્ય દેવવ્રત ગાય અને પ્રાકૃતિક ખેતીમાં ગાંધીને પૂરા કરી દે છે. આચાર્ય દેવવ્રતનું દિમાગ ચાલે તો તેઓ ગાંધીના ઊંધાં ચશ્માંમાં એક આંખમાં ગાય લખે અને બીજી આંખમાં પ્રાકૃતિક ખેતી! ઇતિ સિદ્ધમ્!
(5) “કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે કોઈ રાજકીય મંચનો ઉપયોગ કરવાની મારી કદી ઈચ્છા નહોતી. એ મારી ઈચ્છા પણ નહોતી કે મારો એમાં રસ પણ નહોતો” એમ કહીને આ મુલાકાતમાં તેઓ વડા પ્રધાનનું નામ બે વાર તો લે જ છે. જો રાજકીય મંચનો ઉપયોગ કરવાની ઈચ્છા નહોતી તો રાજ્યપાલ બન્યા જ શું કરવા? રાજ્યપાલનો હોદ્દો એ રાજકીય મંચ જ છે.
અને હા, દેવવ્રત એ મહાભારતના ભીષ્મનું એક બીજું નામ છે. દાદા ભીષ્મ ભરી સભામાં થયેલા પુત્રવધૂ દ્રૌપદીના ચીરહરણ સમયે હાથ જોડીને અને મૌન ધારણ કરીને બેસી રહેલા અને યુદ્ધમાં કૌરવોને સાથ આપેલો એમ મહર્ષિ વ્યાસ લખે છે અને એ સૌ જાણે છે. આચાર્ય દેવવ્રતનું મૂળ નામ તો કંઈક બીજું જ છે પણ તેમણે પોતે જ પોતાનું નામ ભીષ્મના નામ પરથી પાડેલું છે. દેશમાં લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે અને ગાંધી મૂલ્યો સત્ય, અહિંસા, સમાનતા અને ન્યાયનું ચીરહરણ છડેચોક થઈ રહ્યું છે તેને વિષે દેવવ્રત નામધારી આ આધુનિક ભીષ્મને કશું કહેવાપણું નથી એનાથી તો ખરેખર આશ્ચર્ય થાય છે! જો કે, આ તો તદ્દન જુદી જ વાત થઈ. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ કદાચ એમ કહેશે કે આવા બધાં ગાંધી મૂલ્યોના મુદ્દાને અને આચાર્ય દેવવ્રત સાહેબની વિદ્યાપીઠના કુલપતિ તરીકેની નિમણૂકને શી લેવાદેવા?
તા.21-10-2022
સૌજન્ય : હેમન્તકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર