Opinion Magazine
Number of visits: 9456355
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લક્ષ્ય : સીમા પરના નહીં, નિરુદ્દેશે ભટકતા યુવાનના આંતરિક યુદ્ધની વાર્તા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 May 2025

રાજ ગોસ્વામી

તાજેતરમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂંખાર લડાઈ થઇ અને પછી અમેરિકાની મધ્યસ્થીથી શસ્ત્ર-વિરામ થયો, તે દિવસે એક અનપેક્ષિત ઘટના બની હતી. ભારત અને પાકિસ્તાનના સેના અધિકારીઓ વચ્ચે સમજૂતી મુજબ તે દિવસે સાંજે પાંચ વાગ્યા પછી શસ્ત્રો મૌન થઇ જવાનાં હતાં. અર્થાત, બંને દેશો નિર્ધારિત સમય પછી સીમા પર એકબીજા વિરુદ્ધની તમામ કારવાઈ રોકી દેવાના હતા. 

પરંતુ તે જ રાતે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં તેની કારવાઈ ચાલુ રાખીને ભારતને આશ્ચર્ય અને આઘાતમાં નાખી દીધું હતું. લોકોમાં અને સરકારમાં બેઠેલા અમુક લોકોમાં ચિંતાની સાથે આક્રોશ પણ ફેલાઈ ગયો હતો. અચનાક એવું લાગવા માંડ્યું કે પાકિસ્તાન તેના વચનમાંથી ફરી ગયું છે. પરિસ્થિતિ ફરીથી અસ્થિર અને જોખમી થઇ ગઈ.

તે વખતે, સોશિયલ મીડિયા પર હિન્દી ફિલ્મ ‘લક્ષ્ય’નો એક સંવાદ બહુ વાઈરલ થયો હતો. જાણે કે એ કોઈ ભવિષ્યવાણી હતી. તેમાં સૂબેદાર મેજર પ્રિતમ સિંહનો કિરદાર નિભાવતા સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પૂરી ફિલ્મના નાયક કરણ શેરગીલ(રિતિક રોશન)ને એક સલાહ આપે છે;

“મુજે ઉન લોગો કા તજુરબા હૈ. પાકિસ્તાની હારે તો પલટ કે એક બાર ફિર વાપસ આતા હૈ.  અગર જીત જાઓ તો ફૌરન લાપરવાહ મત હો જાના. મેરી બાત યાદ રખના.” કરણ કહે છે, “યાદ રખૂંગા.”

સોશિયલ મીડિયા પર આ ક્લિપ પોસ્ટ કરીને લોકોએ લખ્યું હતું કે લક્ષ્યમાં ઓમ પૂરીએ સાચું જ કહ્યું હતું, પાકિસ્તાનીઓનો ભરોસો કરવા જેવો નથી. એક યુઝર્સે લખ્યું હતું, “કેવું કહેવાય? ઓમ પૂરીએ વર્ષો પહેલાં આ દુષ્ટ લોકોના વ્યવહારની ભવિષ્યવાણી કરી હતી.”

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષો પર બનેલી ફિલ્મોમાં ‘લક્ષ્ય’ (2004) એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. યુદ્ધ પર બનેલી બીજી ફિલ્મોમાં ‘લક્ષ્ય’ અલગ પડે છે. તે 1991ના આર્થિક સુધારા પછી જન્મેલી પેઢીની વાર્તા કહે છે. તમે એ ફિલ્મના મુખ્ય કિરદાર કરણ અને રોમિલા દત્તા(પ્રીતિ ઝિન્ટા)ને તે સમયના સોળથી વીસ વર્ષના યુવાનો સાથે સરળતાથી જોડી શકો છો. 

1991 પછી ભારતે દુનિયા માટે તેના દરવાજા ખુલ્લા મુક્યા તેના પગલે નોકરી, ધંધા અને શિક્ષણમાં ધરખમ ફેરફારો આવ્યા હતા, રોજગારી માટે નવાં ક્ષેત્રો ખુલ્લાં હતાં અને યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની નવી તકો સામે આવી હતી.

તે સાથે જ યુવાનોમાં એક મૂંઝવણ પણ પેદા થઇ હતી; કેવી કેરિયર પસંદ કરવી? તેમના માટે શું બહેતર હશે? શેમાં ભવિષ્ય બનશે? એ મૂંઝવણમાં અનેક યુવાનો તેમના જીવન પથ અંગે નિર્ણય લઇ શક્યા નહોતા. 

દિલ્હીમાં ખાતા-પિતા સુખી ઘરના ફરજંદ કરણ પણ એવો જ યુવાન હતો. તેનું કોઈ લક્ષ્ય નહોતું. તે રખડી ખાતો હતો. તેની ગર્લફ્રેન્ડ રોમિલા, જે પત્રકાર બનવા માંગતી હતી (તેનું પાત્ર ટેલિવિઝન પત્રકાર બરખા દત્ત પરથી પ્રેરિત હતું), તેને જીવનનો ધ્યેય નક્કી કરવા સલાહ આપતી હોય છે.

અંતત: કરણ તેનાં માતા-પિતાની નારાજગી વચ્ચે કમ્બાઈન ડિફેન્સ સર્વિસ મારફતે ઇન્ડિયન મિલિટરી એકેડમી માટે પસંદ થાય છે. પરંતુ ત્યાંની શિસ્ત અને કઠોર ટ્રેનિંગથી તે હતાશ થઇ જાય છે અને ત્યાંથી નાસી આવે છે. 

તેનાં માતા-પિતા તેને પરિવારના ધંધામાં જોડાઈ જવાની સલાહ આપે છે, પરંતુ મહત્ત્વાકાંક્ષી રોમિલા તેની નાહિંમતથી નારાજ થઈને બ્રેક-અપ કરી નાખે છે. કરણ માટે તો હવે ના ઘરનો કે ન ઘાટનો જેવી સ્થિતિ સર્જાય છે. 

તે તેની ગર્લફ્રેન્ડને પછી લાવવા માટે કમર કસે છે. તે પાછો એકેડમીમાં જાય છે. ત્યાં તે હસતા મોઢે નાસી જવાની સજા સ્વીકારે છે. તે મન દઈને ભણે છે, તાલીમ મેળવે છે અને અંતે ગ્રેજ્યુએટ થઈને લેફ્ટનન્ટ તરીકે સેનામાં દાખલ થાય છે. એ જ વખતે કારગિલ યુદ્ધ આવી પડે છે. રોમિલા પત્રકાર તરીકે એ જ યુદ્ધ કવર કરવા આવે છે. કરણને તેનું લક્ષ્ય મળી ગયું હતું. તે એ યુદ્ધમાં જાનના જોખમે શુરવીરતાનું પ્રદર્શન કરે છે અને દેશનું, પરિવારનું અને રોમિલાનું માથું ગર્વથી ઊંચું કરે છે.

ફરહાન અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ત્રણ દોસ્તોના જીવનની આંટીઘૂંટીઓની વાર્તા કહેતી ‘દિલ ચાહતા હૈ’ની અપાર સફળતા પછી ફરહાન પર એક એવી જ સાર્થક ફિલ્મ આપવાનો ભાર હતો. ‘દિલ ચાહતા હૈ’માં બાહ્ય જીવનની વાત હતી. એટલે ફરહાને ‘લક્ષ્ય’ના મધ્યમથી એવા જ એક યુવાનના ભીતરી સંઘર્ષની વાત કહેવાનું નક્કી કર્યું હતું.

એક ઇન્ટરવ્યુમાં ફરહાન કહે છે, “મોટા થવાનો અર્થ એ પણ થતો હોય છે કે જીવનમાં શું કરવું તેની સમજ ન હોય. હું એવા ઘણા લોકોને જાણું છું હું પોતે એમાંથી પસાર થયો છું – તમારા જીવનનું લક્ષ્ય શોધવાનું હોય, ખુદને શોધવાના હોય. લક્ષ્યની સ્ક્રિપ્ટમાં મને એ જ વાત ગમી હતી – તે ખુદને તલાશવાની વાર્તા હતી.”

ફરહાનના પિતા જાવેદ અખ્તરે 18 વર્ષ પછી પટકથા લેખનમાં વાપસી કરી હતી. તેમણે કારગિલ યુદ્ધમ ભાગ લેનારા સૈનિક અધિકારીઓ સાથેની ચર્ચાના આધારે આ વાર્તા લખી હતી. અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે સેનાને કારકિર્દી તરીકે પસંદ કરતા શિક્ષિત યુવાનોની સંખ્યા ઘટી રહી છે. જાવેદે તે વખતે ખાતરી આપી હતી કે તેઓ યુવાનો પ્રોત્સાહિત થાય તેવી એક ફિલ્મ લખશે.

તેમણે વિચાર કર્યો હતો કે યુવાનો સેનાને એક પસંદ નથી કરતા અને નવી પેઢીના છોકરાઓની જીવનના લક્ષ્યને લઈને શું સમસ્યા છે. તેમણે એક વાર્તા વિચારી હતી જેમાં એક યુવાન છોકરો સેનામાં એટલા માટે જોડાય છે કારણ કે તેના જીવનમાં કોઈ લક્ષ્ય નથી. અને એ પછી જ તેને તેનો અસલી મકસદ મળે છે, જેમાં તે હીરો તરીકે બહાર આવે છે.

ફરહાન કહે છે, “આ એક આઈડિયા હતો, પણ મને તેનું હાર્દ સ્પર્શી ગયું હતું. હું જ્યાં સુધી ફિલ્મો બનાવતો થયો ન હતો ત્યાં સુધી મને પણ એ ખબર નહોતી કે મારે જીવનમાં શું કરવું જોઈએ. અમે વાતચીત કરી અને પછી તેમણે (જાવેદે) આખો સ્ક્રિનપ્લે લખ્યો.”

‘લક્ષ્ય’ યુદ્ધની ફિલ્મ નથી. કારગિલનું યુદ્ધ તો ખાલી બેકગ્રાઉન્ડ છે. આ ફિલ્મ ખુદની તલાશ કરવા માટેનો, મહત્ત્વાકાંક્ષાને ઓળખવાનો અને જવાબદારીની ભાવનાને કેળવવાનો પ્રયાસ છે. ઘણા ખરા અંશે નવી પેઢીને આ ફિલ્મમાં ખુદનું પ્રતિબિંબ નજર આવ્યું હતું. જાવેદ અખ્તરે ફિલ્મના એક ગીતમાં આ વાતને ખૂબસુરતીથી પેશ કરી હતી :

અબ મુજકો યે કરના હૈ, અબ મુજે વો કરના હૈ

આખિર ક્યૂં મૈં ના જાનૂં, ક્યા હૈ કિ જો કરના હૈ

લગતા હૈ અબ જો સીધા કલ મુજે લગેગા ઊલટા

દેખો ના મૈં હું જૈસે બિલકુલ ઊલટા – પુલટા

બદલૂંગા મૈં અભી ક્યા 

મૈં એસા ક્યૂં હૂં, મૈં વેસા ક્યૂં હૂં

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”;  28 મે 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અન્ડરવેરને ખીસું

સુરેશ જાની|Opinion - Opinion|29 May 2025

તે દિવસે કપડાંના એક સ્ટોરમાં હું બેઠો હતો. મારી પત્ની ખરીદીમાં મશગૂલ હતી; અને મારે એની ખરીદી પતે એની રાહ જોવાની હતી. તે દિવસે સાથે વાંચવાની ચોપડી લાવવાનું ભુલી ગયો હતો; એટલે મારે નવરા બેઠા માખીઓ જ મારવાની હતી! અને આ અત્યંત ચોખ્ખાઈવાળા દેશમાં તો માખીઓ ય ક્યાં રેઢી પડેલી હોય છે? પ્રેક્ષાધ્યાન કરવા કોશિશ કરી; પણ કાંઈ ખાસ જામ્યું નહીં; એટલે હું આમતેમ ડાફોળિયાં મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

સ્પોર્ટ્સવેરના એ વિભાગમાં અન્ડરવેર લટકાવેલાં હતાં અને આકર્ષણ માટેની આ વિશેષતા ઊડીને આંખે વળગે તેવી હતી. ત્યાં મારી નજર એની ઉપર ગઈ.

 અન્ડરવેરને ખીસું.

મારા પિતાજી હમ્મેશ દરજી પાસે ખાસ અન્ડરવેર સિવડાવતા હતા; તે યાદ આવી ગયું. કોઈ ખિસ્સાકાતરૂ કારીગરી કરી ન જાય; એ માટે સાથેની રોકડ રકમ એ ખિસ્સામાં તેઓ રાખતા હતા.

પણ અહીં આ ફેશનેબલ દુકાનમાં અને તે ય સ્પોર્ટ્સના કપડાંમાં એની શી જરૂર? – આ ક્રેડિટ કાર્ડના જમાનામાં?

 હું ઊભો થયો, અને ધ્યાનથી એ માલનો અભ્યાસ કર્યો. ત્યારે કેવળજ્ઞાન લાધ્યું કે, જિમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા જોગિંગ કરતી વખતે મોંઘાદાટ આઈફોન કે આઈપોડ રાખવા આ ખાસ સવલત બનાવનારે આપી હતી.

અને કોણ જાણે કેમ; તરત એ બાઈ યાદ આવી ગઈ.

દેશમાં એસ.ટી.ની બસમાં એ મારી બાજુની સીટ પર આવીને બેઠી હતી. કન્ડક્ટરે ટિકીટના પૈસા માંગ્યા; ત્યારે એણે સાલ્લાના છેડે વાળેલી ગાંઠ છોડીને નોટ કાઢી. ટિકીટ મળ્યા બાદ, વધારાની રકમ તેણે પાછી સાલ્લાના છેડે બાંધી દીધી.

કાળી મજૂરી કરીને કમાયેલી રકમ રાખવા એ બાઈ માટે પર્સ રાખવું એ લક્ઝરી હતી!

અને ઓલ્યા અન્ડરવેર પહેરીને જિમમાં વર્ક આઉટ કરનાર પાસે કેટલી બધી લક્ઝરી? શી જાહોજલાલી?

માનવતાના બે સામસામા ધ્રુવ પરનાં બે અંતિમ બિંદુઓ. એક પાસે રોજનો રોટલો મળે એની જ પેરવીઓ; અને બીજા પાસે એટલી સમ્પત્તિ કે, જિમ, જોગિંગ, આઈફોન, આઈપોડ અને એવું બધું.

કેટલી વિષમતા? બેની તુલના કરતાં આંખે ઝળઝળિયાં આવી ગયાં.

એનાથી વધારે હું શું કરી શકું તેમ પણ હતો?!

……

બે  સાવ સામસામે આવેલા ધ્રુવોના આ વર્ણપટ( spectrum)માં આપણે ક્યાંક હોઈએ છીએ. અને સૌને ધખારો ખિસ્સાવાળું અન્ડરવેર ધરાવવાનો હોય છે. સમગ્ર જિંદગીની મુસાફરી – એ ધ્રુવ પર પહોંચવા માટેનો વલોપાત. અથવા તો ત્યાં પહોંચી શકાય તેમ નથી; તે સત્ય સમજાતાં મોક્ષ મેળવી આ બધા ધખારાથી મુક્તિ મેળવવાનો ધખારો! પણ એ બન્ને વૃત્તિઓના વવળાટમાં ક્યાં ય ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ.’ – એમ માની, એ ઘડીમાં જીવવાના આનંદનો છાંટો માત્ર નહીં.

કદાચ એમ બને; અને મોટે ભાગે એમ બનતું પણ હોય છે કે, સાલ્લાના છેડે કાવડિયાં બાંધનાર વ્યક્તિ વર્તમાનમાં વધારે જીવતી હોય છે.

અને બીજી એક વાત ખીસાં બાબત – “માનવી જન્મે છે ત્યારે ઝભલું અને મૃત્યુ પામે ત્યારે કફન એ બન્ને અંતિમ છેડા ટાણે દેહના આવરણોને ખીસુ (ગજવું) નથી હોતું.” કશું લીધા વગર આવ્યા હતા; અને કશું લીધા વગર જવાનું છે. વાત તો એક જ છે. ખિસ્સાના ખેલ! એ અર્થહીન છે; તે જાણ્યા છતાં એના વગર આપણે જીવી નથી શકતા. બાળ અને કિશોર વયથી શરૂ થયેલી એ આદત – સોગાત ભેગી કરવાની – કફન ઓઢાડાય ત્યાં સુધી નથી જ જવાની! ખીસ્સું ભરેલું હોય કે ખાલી; બેન્ક એકાઉન્ટ તરબતર હોય કે, લઘુત્તમની નજીક – એ તો રહેવાના જ. લાખ ઉપદેશો ભલે ને મળ્યા કરે – બે કાન ભગવાને નિરર્થક નથી આપ્યા!

આને માનવ જીવનની લાક્ષણિકતા ગણીએ કે વિડંબના – એ જ તો માનવ જીવન છે. માટે આ બધી તરખડમાં પડ્યા વિના, ‘આ ઘડી’નું ખીસ્સું ખાલી ન રહી જાય, આનંદવિહોણું ન રહે – એનો હિસાબ રાખતા રહીએ તો?

e.mail : surpad2017@gmail.com

Loading

સર્વોચ્ચ અદાલતની સાફ વાત: ઈ.ડી. એ કંઈ કેન્દ્રનો હાથો નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 May 2025

સુપ્રીમ ટકોર

સહયોગી સમવાયતંત્ર ક્યાં ખોવાઈ ગયું?

2014માં સહયોગી સમવાયતંત્રની રંગદર્શી વાતો કર્યા પછી વિપક્ષી રાજ્ય સરકારોની સ્વાયત્તતા પર ધોંસ ને ભીંસના રાજકારણ સામે સર્વોચ્ચ અદાલતે ધરેલ લાલબત્તી ન જોવી હોય તો જ ન જોવાય એવી છે. આશા છે તાજેતરના ચુકાદા કેન્દ્ર સરકારના ધોરણોમાં બંધારણીય મર્યાદા અને વિવેકનો સંસ્કાર જાગ્રત કરે.

પ્રકાશ ન. શાહ

સત્તા માત્રની પ્રકૃતિ કેન્દ્રીકરણની હોય છે એટલે સ્વાભાવિક જ લોકશાહી બંધારણમાં અંકુશ અને સમતુલાની તરેહવાર જોગવાઈ થકી આ એકહથ્થુ શક્યતા સામે નાગરિકની અને નાગરિક સંસ્થાઓની સ્વાયત્તતાની બાલાશ જાણવાની કોશિશ રહેતી હોય છે. 

આપણા જેવા વિશાળ દેશમાં કાયદા ઘડનારી સંસ્થા, કાયદા પળાવનારી સંસ્થા અને નાગરિકના સંદર્ભમાં એ બંનેની ભાળસંભા રાખનાર ન્યાયપાલિકા, આ ત્રણ – લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી – તો હોય જ. પણ તે સાથે દેશભરનાં જે રાજ્ય એકમો, એમનાં ક્ષેત્ર પરત્વે સમાદરની દૃષ્ટિએ સમવાયી વ્યવસ્થા પણ હોય જ. 

રાષ્ટ્રીય ધોરણે રાજ્યકર્તા પક્ષ અને જે તે રાજ્યના સત્તાપક્ષ જ્યારે અલગ અલગ છાવણીના હોય ત્યારે, ખાસ કરીને રાજ્યોના અધિકારક્ષેત્રની જાળવણીમાં સમવાયી અભિગમ ને આગ્રહ જરૂર બની રહે છે. 

લગભગ પાઠ્યપુસ્તકિયા કહી શકાય એવો આ મુખડો બાંધવા પાછળનો ધક્કો દેશની સર્વોચ્ચ અદાલતના બે તાજેતરના ચુકાદાઓથી લાગેલો છે, અને તે સાથે એ પણ સમજવાને સમજાવવાનો સ્વાભાવિક ખયાલ છે કે બંધારણ એ કોઈ સૂફિયાણી સલાહ આપતી ડાહી ડોશી માત્ર નથીઃ નિયમસરની કારવાઈ માટે ફરજ પાડી શકે એવી એક યંત્રણા (મિકેનિઝમ) એ ચોક્કસ છે.

સંખ્યાબંધ ગેરભા.જ.પી. રાજ્યોમાં, વિધાનસભાએ પસાર કરેલ ખરડા પર રાજ્યપાલો ચપ્પટ બેસી રહે એ હમણેનાં વારસોનો ધરાર રવૈયો રહેલ છે. ખરું જોતાં, સામાન્યપણે, રાજ્યપાલ એમને જરૂરી લાગે તો જે તે ખરડાને પુનર્વિચાર માટે મોકલી જરૂર શકે છે. પણ ધારાગૃહ એ ફરીને મોકલે તો રાજ્યપાલે એના પર હસ્તખત કરી પ્રક્રિયા પૂરી કરવી રહે. છેલ્લા દસકામાં કેન્દ્રનીમ્યા રાજ્યપાલો ગેરભા.જ.પી. રાજ્યોના ચોક્કસ ખરડાઓ પર લાંબા ગાળા લગી ચપ્પટ બેસી રહ્યાનો જે સિલસિલો ચાલ્યો તેમાં સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા પછી એક મુક્તિદ્વાર ચોક્કસ જ ખૂલ્યું છે અને સમવાયતંત્રનાં ધારાધોરણ તેમ જ ભાવનાનો ભંગ કરી કેન્દ્રની ધોરાજી ચલાવવા સામેની બંધારણીય જોગવાઈએ પોતાનું શહુર ને શક્યતા દાખવ્યાં છે. 

તામિલનાડુ સરકાર અને બીજાઓએ સર્વોચ્ચ અદાલત સમક્ષ કરેલી એક યાચિકાના સંદર્ભમાં જે ચુકાદો આ દિવસોમાં સાધ્યો છે એમાં પણ સમવાયતંત્ર સહજ સ્વાયત્તતાનો સ્વીકારપુરસ્કાર માલૂમ પડે છે. કેન્દ્રનીમ્યા રાજ્યપાલો દિલ્હીના પક્ષીય દબાણથી રાજ્યવિધાનસભામાં પારિત ખરડા દાબી રાખે એ જેમ ખોટું હતું અને છે તેમ રાજ્ય અંતર્ગત અપેક્ષિત કારવાઈમાં કેન્દ્રીય સંસ્થાઓ ભીંસ ને ભરડાનું રાજકારણ ખેલવા માટે હાથાની ગરજ સારે તે બિલકુલ દુરસ્ત નથી. પણ છેલ્લાં વર્ષોમાં કેન્દ્ર સરકાર હસ્તકના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) થકી આવી ચેષ્ટા ખાસી વધી ગઈ છે. કેન્દ્ર સરકારને ઇશારે હાથ ધરાતી આવી કામગીરીમાં વાજબીપણું કેટલું ઓછું હશે અને મનમુરાદશાહી કેટલી બધી હશે એનો અંદાજ એ એક સાદી પણ બુનિયાદી વિગત પરથી સરળતાથી મળી રહે છે કે ઇ.ડી.એ સહસા ખાબકી અને ત્રાટકી ચક્રવ્યૂહ રચ્યો હોય, તપાસને નામે બરાબર ભીંસ ને ભરડાની જમાવટ કરી હોય, એવી ઘટનાઓમાં તપાસને અંતે વાસ્તવિક સજાનું પ્રમાણ એક ટકાથી વધુ કિસ્સામાં નથી. છેલ્લાં દસ વરસની ઈ.ડી. કારવાઈનું આ સરવૈયું કેન્દ્ર સરકારની મનમુરાદશાહીનું એટલું બોલતું ઉદાહરણ છે કે એને વિશે કદાચ કશું જ વધુ કહેવાની જરૂરત ન હોવી જોઈએ. 

2014માં સત્તારૂઢ થયા પછી વડા પ્રધાન મોદીએ સંસદમાં અને બહાર એક શબ્દ જોડકું ઉત્સાહભેર રમતું મેલ્યું હતું – કો ઓપરેટિવ ફેડરલિઝમ, સહયોગી સમવાયતંત્ર. જો કે, કમનસીબે આ દસકાનો અનુભવ સતત એથી વિપરીત તરેહનો રહ્યો છે. અગાઉની કેન્દ્ર સરકારો પરત્વે પણ આવા પ્રશ્નો નહીં થતા હોય એમ કહેવાનો આશય અલબત્ત નથી. પણ, આ દસકો સમવાયતંત્રના સતત ભંગનો રહ્યો છે અને વિધાનગૃહોમાં પક્ષીય બલાબલ બદલા વાસ્તવિક લોકચુકાદો બચાડો માર્યો ફરે એવી હીન અવસ્થા બલકે અનવસ્થા સરજવાની રાજનીતિનો રહ્યો છે. 

આશા અને ઉમેદ એટલી જ રહે કે સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા કેન્દ્ર સરકારના ધુરીણોમાં બંધારણીય મર્યાદા અને વિવેકનો સંસ્કાર જાગ્રત કરે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 મે 2025

Loading

...102030...134135136137...140150160...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved