Opinion Magazine
Number of visits: 9568917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેમિકન્ડક્ટર્સઃ વિશ્વની મહાસત્તાઓ વચ્ચેના ખટરાગનું સૌથી મોટું કારણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 September 2022

ચીન, તાઇવાન અને યુ.એસ.એ.ને એ માઇક્રોચિપ્સ પર નિયંત્રણ કરવું છે, જે તમારાં કૉમ્પ્યુટર્સ અને કાર્સ ચલાવે છે

ગયા અઠવાડિયે આપણાં બધાંની રૂટિન જિંદગીના સંઘર્ષો અને આનંદ ચાલતા હતા, તેની સાથે ફોક્સકોન અને વેદાંતા ગ્રૂપના 1 લાખ 54 હજાર કરોડના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટની જાહેરાત થઇ. મહારાષ્ટ્રના પૂણેના તાલેગાંવમાં આવનારો આ પ્રોજેક્ટ આખરે ગુજરાતને મળ્યો અને એક લાખ યુવાનોને સીધો રોજગાર આપનારા આ પ્રોજેક્ટને કારણે મહારાષ્ટ્રના રાજકારણના નવા જૂના ખેલાડીઓ વચ્ચે મ્હેણાંનો ખેલ પણ ખેલાઇ ગયો. તમને ચોક્કસ એમ થશે કે આપણે આ આખી ય ઘટના સાથે શું લેવા દેવા? રાજકારણ સાથે નહીં પણ સેમિકન્ડક્ટર માઇક્રોચિપ સાથે આપણને ચોક્કસ લેવાદેવા છે, અને આ નાનકડી ચિપને લેવાદેવા છે સુપર પાવર બનેલા અથવા તો સુપર પાવર બની શકવાની ક્ષમતા ધરાવતા દેશો સાથે.

શરૂઆતથી શરૂ કરીએ તો શું તમે જાણો છો કે આખા વિશ્વમાં ભલે બે-ચાર દેશો દેશો વચ્ચે પોતે મહાસત્તા છેની ખેંચા-ખેંચી ચાલતી હોય, પણ ખરેખર તો કોઇ એક દેશ નહીં પણ એક કંપની જ આખા વિશ્વ પર રાજ કરે છે. તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની(TSMC)નું નામ તમારે કાને નહીં પડ્યું હોય. પણ તેમણે બનાવેલી ચિપ તમારા આઇ-ફોનથી માંડીને એરકન્ડિશનિંગ યુનિટ્સ, સ્માર્ટ લૉક્સ, સ્માર્ટ ડૉરબેલ્સ, રમકડાં, ડિશવૉશર્સ, વૉશિંગ મશીન્સ, કૉમ્પ્યુટર્સ, આધુનિક શસ્ત્રો, F-3 ફાઇટર જેટ્સ અને હજી કંઇ બાકી રહી ગયું હોય તો નાસાએ મંગળ પર મોકલેલા પરસિવિયરન્સ રોવરમાં પણ હોય છે. ‘ડેટા ઇઝ ધી ન્યુ ઓઈલ’નું ધ્રુવવાક્ય હવે બદલાયું છે કારણ કે ‘સેમિકન્ડક્ટર ચિપ્સ આર ધી ન્યુ ‘ઓઇલ’’ – કારણ કે આ ચિપ્સ પર આપણી આધિનતા.

આ વાતમાં TSMCના મહત્ત્વ પર નજર કરીએ તો, તાઇવાનના નોર્થ-વેસ્ટ કિનારે આવેલી આ કંપની વિશ્વ આખામાં મળતી-વપરાતી 92 ટકા અત્યાધુનિક ચિપ્સનું ઉત્પાદન કરે છે. માઇક્રોચિપ જેટલી માઇક્રો હોય તેટલી તેની મહત્તા મોટી હોય – અને તાઇવાનની આ કંપની 10 નેનોમિટર્સથી ઓછા નેનોમિટર્સમાં ચિપ્સ બનાવતી વિશ્વની બે કંપનીઓમાંની એક છે, બીજી કંપની જે આવી ચિપ્સ બનાવે છે તે છે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ. નેમોમિટર્સ એટલે શું? બહુ તકનિકી વિગતોમાં ન પડીએ પણ ટૂંકમાં સમજીએ તો નેનેમિટર્સ એટલે સૂક્ષ્મ સ્વિચીઝ, એટલી સુક્ષ્મ જે વાળ કરતાં ય 10,000 ગણી પાતળી હોય અને તેમાંથી વિજ પ્રવાહ પસાર થાય. જેટલી વધુ સૂક્ષ્મ ચિપ એટલો વધુ પાવર, એટલી વધુ ક્ષમતા.

ટૂંકમાં આ માઇક્રોચિપ્સ બધી જ મોડર્ન હાઇટેક સવલતોનું મગજ છે.

રાજકારણમાં આ ચિપનું મહત્ત્વ સમજવું હોય તો યાદ કરી લેવું પડે કે વ્હાઇટ હાઉસના પ્રવક્તા નેન્સી પેલોસી જ્યારે ઑગસ્ટ 2022માં તાઇવાન ગયાં, ત્યારે TSMCના ચેરમેનને મળ્યાં. બેઇજિંગ એટલે કે ચીનના રાજકીય માથાઓને આની સામે સખત વાંધો હતો, પણ છતાં ય પેલોસીએ જે કરવાનું હતું તે કર્યું જ. વાંકું પડ્યું એમાં બેઇજિંગે, તાઇવનમાંથી સાઇટ્રસ ફળો અને માછલીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો. વળી કુદરતી રેતી જેનો માઇક્રોચિપના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે અને ચીનથી તેની તાઇવાનમાં નિકાસ થાય છે તેની પર પણ પ્રતિબંધ મુકાયો જેથી તાઇવાન હેરાન થાય. આમ તો આ દુઃખે પેટ અને કૂટે માથું જેવી વાત હતી કારણ કે સેમિકન્ડક્ટર્સ પર પ્રતિબંધ મુકવાનું તો બેઇજિંગને પણ પોસાય તેમ નહોતું કારણ કે આખી દુનિયાની જેમ તેમની ટૅક્નોલૉજી પણ તેની પર જ નભેલી છે. ચીન અને યુ.એસ.એ. વચ્ચેના ખટરાગમાં આ ટચુકડી ચિપ સૌથી મોટું કારણ બની ચૂકી છે.

આવામાં જો ચીન, તાઇવાન પર ચઢાઇ કરે તો આ સેમિકન્ડક્ટર્સનો પુરવઠો આખી દુનિયાને મળતો ખોટકાઇ જાય. એમાં ય જો બેઇજિંગ (ચીન) તાઇવાનને તાબામાં લઇ લે તો માત્ર સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનકર્તા હોવાને નાતે જ આપોઆપ ચીન બીજા રાષ્ટ્રો કરતાં મજબૂત બની જાય. અત્યારે તો તાઇવાનમાં બનતા સેમિકન્ડક્ટર્સમાંથી 50 ટકા જેટલા ચીનમાં નિકાસ થાય છે, અંદાજે 104 બિલિયન ડૉલર્સની માઇક્રોચિપ્સ ચીન તાઇવાનથી ચીન પહોંચે છે. વળી તાઇવાનમાં એક માત્ર TSMC નથી પણ ASE ટેક્નોલૉજી, AU ઑપ્ટ્રોનિક્સ, મીડિયા ટેક, લાઇટ-ઓન ટેક્નોલૉજી જેવી બીજે કંપનીઝ પણ છે જે સેમિકન્ડક્ટર્સ બનાવે છે.

ત્રણ નેનો મિટરની માઇક્રોચીપ સામે ટ્રિલિયન ડૉલર્સના અર્થતંત્ર ધરાવતી મહાસત્તાઓને મુજરો કરવો પડે છે. ગળે ન ઊતરે એવી આ વાત સો ટચના સોના જેવી સાચી છે. ચીને કરોડો ડૉલર્સ રોકીને માઇક્રોચિપ પ્રોડક્શન ફેસિલિટીનો વિકાસ કરવાનું 2014થી શરૂ તો કરી દીધું પણ હજી તેમને તેમાં ધારી સફળતા નથી મળી – વળી ભ્રષ્ટાચારના ગોટાળા તો થયા જ, જેને કારણે આ પ્રોજેક્ટ્સના ચાવીરૂપ માથાઓ પર તપાસ આદરાઇ છે. ચીન પાછો હખણો રહે એવો દેશ નથી એટલે તાઇવાનમાં સાઇબર અટેક્સના કિસ્સા પણ બન્યા છે – કારણ કે ચીનને આ ટેક્નોલૉજીની ચોરી કરવામાં રસ છે.

આ તરફ યુ.એસ.એ. દ્વારા પણ ચિપ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી વિકસાવવાની તૈયારી થઇ ચૂકી છે જેથી તાઇવાન પરનો આધાર ઘટી શકે. પોટસ બિડેને ‘ચિપ્સ અને સાયન્સ એક્ટ’ 2022 પર કામગીરી કરી છે જેથી આગામી પાંચ વર્ષ માટે યુ.એસ.એ.ના ચિપ ઉત્પાદકોને 53 બિલિયન ડૉલર્સ જેટલી આર્થિક મદદ મળી શકે. વળી આ ધારા અનુસાર યુ.એસ.ની ટેક કંપનીઝને ચિપ કરવા પડતા અધધધ ખર્ચામાં પણ રાહત મળશે. યુ.એસ.એ. માટે આ ટેક્નોલૉજી વિકસાવવી અહમ્‌નો મુદ્દો બની ચૂક્યો છે કારણ કે ભૂતકાળમાં જ્યારે ચિપનું શિપમેન્ટ અટકાવાયું હતું ત્યારે યુ.એસ.એ.માં ઑટોમોબાઇલ મેકર્સે કાર ઉત્પાદનના પ્લાન્ટ્સ બંધ કરવાનો વારો આવ્યો હતો.

આ તો ચીન અને યુ.એસ.એ.ના પ્રયત્નોની વાત થઇ, પણ જાપાન પણ લાંબા સમયથી TSMCને ટોક્યોમાં પોતાની કંપનીની શાખા સ્થાપવા માટે આકર્ષવાના પ્રયાસ કરે છે.

આ તો અન્ય રાષ્ટ્રોની વાત થઇ. ઘર તરફ નજર કરીએ મોટા પ્રોજેક્ટ માટે ગુજરાત સવલતો કરી આપવામાં પાવરધું રાજ્ય છે. વેદાન્તાના અનિલ અગ્રવાલે જ્યારે તાઇવાનની કંપની સાથે હાથ મેળવ્યા ત્યારે જરૂરી બધી જ મંજૂરી ગુજરાતમાંથી ફટાફટ મળી ગઇ અને મહારાષ્ટ્ર હાથ ઘસતું રહી ગયું.

હૈદરાબાદની સિલિકોન લેબ્ઝનાં સોફ્ટવેર એન્જિનિયર રિષભ હરદાસનું કહેવું છે કે, ‘સેમિકન્ડક્ટર્સ વર્તમાન સમયમાં કોઇ પણ ઉદ્યોગની કરોડરજ્જુ હોઇ શકે છે પછી તે થર્મોમિટર બનાવતી હોય કે ક્લાઉડ કમ્પ્યુટિંગનું કામ કરતી હોય. ટ્રાન્ઝિસ્ટર્સથી માંડીને માઇક્રોપ્રોસેસર સુધીનું કંઇ પણ ઉત્પાદિત કરતી કંપની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોઇ શકે છે. Internet of Things – IOTના યુગમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી કેન્દ્રમાં છે. IOTમાં દરેક ચીજ ઇન્ટરનેટ માટેનો ડેટા બને છે અને આવા અઢળક ઉપકરણો આપણે હાલમાં વાપરી રહ્યા છીએ અને વધુ વાપરીશું – આ તમામનું મગજ અને હ્રદય છે સેમિકન્ડક્ટર્સ. માપી કે નાણી ન શકાય તેટલો અને તેવો ડેટા આ તમામમાંથી જનરેટ થશે, આ તમામનું કોમ્પ્યુટિંગ ચિપ્સ દ્વારા થશે અને માટે જ સેમિકન્ડક્ટરનો પાવર જેની પાસે હશે તે જ સુપર પાવર સાબિત થશે.’

બાય ધી વેઃ

જો ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ થતું થશે તો આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હબ બની શકીશું. ચીન, તાઇવાન અને યુ.એસ.એ. હોય કે મહારાષ્ટ્ર અને ગુજરાત હોય – સેમિકન્ડક્ટરને મામલે ભૌગોલિક રાજકારણ બહુ મોટો ભાગ ભજવે છે. હાલમાં વૈશ્વિક સ્તરે તાઇવાનની ચિપ બિલ્ડિંગ સવલતો પર હુમલો કરી ચીની ડ્રેગનની આગ ભડકે ન બાળે તે સૌથી જરૂરી છે નહીંતર વૈશ્વિક સ્તરે સમસ્યાઓ ખડી થવાની પૂરી શક્યતાઓ છે. વળી ચીન અને યુ.એસ.એ. જેવા રાષ્ટ્રો એકબીજા પર આધાર રાખવાને બદલે આંતરિક ઉત્પાદન પર ભાર મૂકી રહ્યા છે ત્યારે વૈશ્વિકરણની પરિભાષા પણ ધીમી ગતિએ બદલાઇ રહી છે. ગ્લોબલાઇઝેશન તરફથી આપણે લોકલાઇઝેશન તરફ તો ગતિ નથી કરી રહ્યા ને!

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 સપ્ટેમ્બર 2022

Loading

ટૂંકમાં (૯) : લિટરરી કૅનન અને ગ્રાન્ડ નૅરેટિવ : 

સુમન શાહ|Opinion - Literature|18 September 2022

(This episode is thought by me in somewhat a seriously new way and hence it is at a rudimentary level.)

સાહિત્યના સર્વોત્તમ વાચકો મોટે ભાગે સાહિત્યકારો જ હોય છે. તેઓ સહૃદય હોય છે, તેઓએ ઉત્તમ કૃતિઓનું વાચન અને પરિશીલન કર્યું હોય છે. તેઓ ઊંચા અધિકારી દરજ્જાના વાચક ગણાય છે.

તેઓ વાંચીને બેસી નથી રહેતા. પોતાના વાચન વિશે પોતાના જેવા બીજા જોડે વાત કરે, બીજો પોતાના વાચન વિશે વાત કરે. ઘણી વાર તેઓ અન્યોનાં વાચનની પણ વાત કરતા હોય છે.

તેઓ વાત કરીને બેસી નથી રહેતા, સાહિત્યપદાર્થના આવિર્ભાવનું તન્ત્ર શોધી કાઢે છે. કયા તત્ત્વને કારણે રચના રસપ્રદ બની તેની ચર્ચા માંડે છે. તેવાં તત્ત્વોનાં વર્ગીકરણ કરે છે. ચર્ચામાંથી ધોરણો ઊભાં કરે છે. નિયમો બનાવે છે. નિયમોના આગ્રહો રાખે છે. પોતે બનાવેલા નિયમોની સાર્થકતા બતાવવા માટે કેટલુંક તેઓ જાતે પણ સરજી કાઢે છે -એવું સરજેલું ભલે કૃતક લાગે !

અને તેથી, ભવિષ્યમાં આવનારી કોઈપણ કૃતિ એમણે નક્કી કરેલાં ધોરણસરની કે નિયમસરની ન લાગે તો નાપાસ કરે છે. એમના મહાનુભાવી બહુમતને કારણે કેટલાક સર્જકોને ‘મહાકવિ’, ‘સદીના શ્રેષ્ઠ વાર્તાકાર’ ‘મહાન નવલકથાકાર’ જેવાં બિરુદ પ્રાપ્ત થાય છે.

કોઈ કોઈ બિચારા એમના દૃષ્ટિપાત માત્રથી ભૂમિસાત થઈ જાય છે.

આ સર્વોત્તમોમાંના કેટલાક સહૃદય તો હોય છે જ, પણ રચનાને રસપ્રદ બનાવનારા કોઈ એક મહત્ તત્ત્વનાં સ્વરૂપ અને કાર્યનો વિચારપૂર્વક નિર્ણય લે છે, મત બાંધે છે અને પછી તેને વળગી રહે છે.

સંસ્કૃત કાવ્યમીમાંસામાં એવા અનેક મત જોવા મળે છે, જેમ કે, અલંકાર. અલંકારને એ વિચારકે, રુય્યકે, ‘સર્વસ્વ’ ગણ્યો. જેમ કે, રીતિ. રીતિને એ વિચારકે, વામને, કાવ્યનો ‘આત્મા’ ગણ્યો. જેમ કે, વક્રોક્તિ. વક્રોક્તિને એ વિચારકે, કુન્તકે, રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણી. જેમ કે, રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ. એને એ વિચારકે, જગન્નાથે, ‘કાવ્ય’ ગણ્યો. વગેરે.

સર્વોત્તમ વાચકમાંથી તેઓની એક સ્વરૂપે ઉત્ક્રાન્તિ થાય છે – કોઇ ‘કાવ્યશાસ્ત્રી’ કહેવાય છે – કોઈ ‘ટીકાકાર’ કહેવાય છે – કોઈ ‘આચાર્ય’ – કોઈ ‘મહા વિવેચક’ – કોઈ ‘સાહિત્યજ્ઞ’ – કોઈ ‘સાહિત્યસમીક્ષક’.

આવાઓની જમાતને લિટરરી કૉમ્યુનિટી કહેવાય છે.

આવા ઉત્ક્રાન્ત જીવો નિયમો અને સિદ્ધાન્તોના તો આગ્રહી તો ખરા જ પણ તદુપરાન્ત પોતાની ભાષાની, દેશની તેમજ વિશ્વની ઉત્તમ કૃતિઓના વાચન-મનનના પણ આગ્રહી બની જાય છે. અવારનવાર તેઓ પોતાના આગ્રહોને દોહરાવતા હોય છે.

“આ ૫૦ કૃતિઓ તમારે મૃત્યુ પહેલાં વાંચવી અનિવાર્ય છે” એવી ધમકીભરી જાહેરાતો પણ કરતા હોય છે.

પરિણામે, ધીંગું સાહિત્યશાસ્ત્ર રચાય છે. આપણી પરમ્પરામાં ભરત મુનિનું “નાટ્યશાસ્ત્ર” અને પશ્ચિમમાં ઍરિસ્ટોટલનું “પોએટિક્સ” સાહિત્યશાસ્ત્રના મૂળાધારો ગણાય છે.

ચુસ્તતાથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે લિટરરી કૅનન રચાય છે – સર્વકાલીન સર્વોત્તમ કૃતિઓ, સામાન્ય નિયમો, સિદ્ધાન્તો, ધોરણો અને માપદણ્ડોનો સમવાય.

લિટરરી કૅનનનાં ચુસ્ત પાલનને પ્રતાપે આખી પરમ્પરા ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે. એને મૅટાનૅરેટિવ પણ કહેવાય છે. સાહિત્યની એ કેટલીયે બાબતો તર્કસંગત, સિદ્ધાન્તસંગત અને સ્વીકાર્ય લાગે એ પ્રકારનું લૅજિટિમેશન કરી આપે છે, અને એ પોતે તો સૅલ્ફલૅજિટિમેટેડ હોય છે !

ઉદાહરણ તરીકે, ફૂટપટ્ટી કોઈપણ વસ્તુનું માપ કાઢી આપે છે, અને તે માપ હમેશાં સર્વસ્વીકાર્ય હોય છે. મોનિયર વિલિયમ્સ લૅજિટિમેશનને ‘ઔરસસમીકરણમ્’ કહે છે. સાદું એટલું સમજવાનું છે કે વસ્તુઓ કાયદેસરની છે એમ મહોર મારીને બધું જડબેસલાક નક્કી કરી આપે છે.

ગ્રાન્ડ નૅરેટિવ્ઝના અવસાનને ફ્રૅન્ચ ફિલસૂફ લ્યોતાર્-આધુનિકતાનું મહત્ લક્ષણ કહે છે.

Pic courtesy : SlidePlayer

વૈચિત્ર્ય તો એ છે કે ફૂટપટ્ટી કાયદાથી પર મનાય છે, અને તેથી એના માપ વિશે કોઈને પ્રશ્ન થતો જ નથી. જેમ ફૂટપટ્ટી સ્વયંસિદ્ધ હોય છે તેમ ગ્રાન્ડ કે મૅટાનૅરેટિવ પણ સ્વયંસિદ્ધ હોય છે.

સૌના વિચારવિમર્શ માટે ૪ પ્રશ્નો :

પ્રશ્ન : ૧ :

કોઈ મનુષ્ય આવા લિટરરી કૅનનને કે ગ્રાન્ડ નૅરેટિવને જાણતો જ ન હોય, એવો અજ્ઞાની હોય, સહૃદય ન હોય, પણ સંવેદનશીલ મનુષ્ય હોય, અને એને સાહિત્યકૃતિ જો આનન્દ આપી શકતી હોય, ભલે એને રસાનુભૂતિ ન કહેવાય, એવા દૃષ્ટાન્તમાં, એ કૅનન, એ નૅરેટિવ, ફેરવિચાર માગે કે કેમ? કે પછી પેલાને એમ જ કહ્યા કરે કે અમારું કથ્યું જેને સૌ અનુસર્યા, તે જાણીને આવ, એમ હઠ પકડે?

પ્રશ્ન : ૨ :

લિટરરી કૅનનના કે ગ્રાન્ડ નૅરેટિવના નકશામાં કે વાતાવરણમાં ન બેસે એવી સાવ જ નૂતન કે પ્રયોગશીલ સર્જનાત્મક કૃતિની ગુણસમૃદ્ધિનો નિર્ણય કેવી રીતે થાય? કોણ કરે?

પ્રશ્ન : ૩ : 

કૅનનનું ‘વિઘટન’ કરી આપે, ડિકન્સ્ટ્રક્શન, અને ગ્રાન્ડમાંથી ‘લિટલ’ નૅરેટિવ રચાય તે શું સાહિત્યપદાર્થના જીવનસાતત્ય માટે જરૂરી બલકે અનિવાર્ય નથી?

પ્રશ્ન : ૪ :

ગુજરાતી સાહિત્યક્ષેત્રે સમાજસુધારો, પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિઓનો સમન્વય, ગ્રામ-વાસ્તવિકતા અને કલાસૌન્દર્યને માટે એના એ પ્રત્યેક યુગમાં જે માંગ ઊઠી એ દરેકને ‘લિટલ’ નૅરેટિવને માટેનો ધખારો કે પ્રારમ્ભ ગણી શકાય કે કેમ?

કોશિયાને સમજાય એવું સાહિત્ય એઓશ્રીએ માગ્યું તે ‘લિટલ’ નૅરેટિવને માટેની જિકર હતી કે કેમ?

(Sep 18, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માનવી હોવાપણું હિંદુ હોવાપણા કરતાં અદકેરું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 September 2022

સર સૈયદ અહમદ ખાનને મુસલમાનોના રાજા રામ મોહન રોય તરીકે ઓળખાવવામાં આવે છે અને મહમ્મદ અલી ઝીણાના મનોરથ મુસલમાનોના ગોપાલકૃષ્ણ ગોખલે થવાનો હતી. જો સર સૈયદ ખરેખર મુસલમાનોના રાજા રામ મોહન રોય નીવડ્યા હોત તો મહમ્મદ અલી ઝીણા ખરેખર મુસલમાનોના ગોખલે થઈ શક્યા હોત અને ભારતનું કોમી વિભાજન ટાળી શકાયું હોત. પણ એવું બન્યું નહીં. મુક્ત વિમર્શ માટે ઇસ્લામ્મમાં જોઈએ એવી મોકળાશ નથી.

રાજા રામ મોહન રોયનો જન્મ ૧૭૭૨માં થયો હતો અને ૧૮૩૩માં અવસાન થયું હતું. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ૧૮૧૭માં થયો હતો અને અવસાન ૧૮૯૮માં થયું હતું. બન્નેના જન્મ વચ્ચે ૪૫ વરસનું અંતર હતું અને મૃત્યુ વચ્ચે ૬૫ વરસનું અંતર હતું. આ બન્ને અંતર વચ્ચેનો સમયગાળો નિર્ણાયક હતો. પહેલા ૪૫ વરસના બે મહાપુરુષોના જન્મના અંતરના સમયગાળામાં ભારતમાં અંગ્રેજિયત લાગુ કરવામાં આવતી હતી અને એ પછીના ૬૫ વરસના મૃત્યુ વચ્ચેના અંતરના સમયગાળામાં અંગ્રેજિયત અને અંગ્રેજી રાજ સાથે ભારતીય પ્રજાએ કેમ કામ પાડવું એનો વિમર્શ ચાલી રહ્યો હતો. એક રીતે જોશો તો સર સૈયદ બન્ને છેડે રાજા રામ મોહન રોય કરતાં ફાયદામાં હતા. સર સૈયદ અહમદ ખાને જ્યારે જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારે અંગ્રેજિયત લાગુ થઈ ચૂકી હતી અને અંગ્રેજી રાજ અંગ્રેજિયત સાથે તેની પૂર્ણકળાએ ખીલી ચુક્યું હતું.

રાજા રામ મોહન રાયના સમયમાં દેશમાં જ્યારે અંગ્રેજિયત લાગુ કરવામાં આવતી હતી ત્યારે ભારતીય પ્રજાએ અંગ્રેજિયત અર્થાત્ અંગ્રેજી શિક્ષણ, પાશ્ચાત્ય દૃષ્ટિકોણ અને પાશ્ચાત્ય જીવનમૂલ્યો સાથે કેમ કામ પાડવું એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. રાજા રામ મોહન રાયે ત્યારે સલાહ આપી હતી કે આમાંથી જે આપણા માટે હિતકારી છે એ અપનાવવું જોઈએ પછી ભલે એ આપણી પરંપરાનો હિસ્સો હોય કે ન હોય. કોઈ ચીજ આપણી નથી એટલે એ અનિવાર્યપણે પરાઈ ન બનવી જોઈએ. તેમણે એવી પણ સલાહ આપી હતી કે આપણી પરંપરામાં જે સાચવી રાખવા જેવું છે એ ધરાર સાચવવું જોઈએ, અંગ્રેજિયતની આણના પ્રભાવ હેઠળ આવીને તે છોડવાની જરૂર નથી. તેમણે શું છોડવું જોઈએ અને શા માટે છોડવું જોઈએ અને શું પકડી રાખવું જોઈએ અને શા માટે પકડી રાખવું જોઈએ એની પણ વાત કરી હતી. આનો અર્થ થયો પરંપરાઓ વચ્ચેનો વિવેક.

વિવેકમાં સ્વીકાર અને અસ્વીકાર બન્ને રહેલા છે. એ વિના વિવેક કરવો શક્ય નથી. અને એ તો દેખીતી વાત છે કે કોઈ પણ ચીજના સ્વીકાર કે અસ્વીકાર માટે મનને તૈયાર કરવું પડે છે. ખાસ કરીને કોઈ ચીજ પરંપરાનો હિસ્સો હોય તો તેને છોડવામાં તફલીફ પડતી હોય છે અને કોઈ ચીજ પરંપરાનો હિસ્સો ન હોય, બલકે તેનાથી વિરુદ્ધ હોય તો તેને અપનાવવામાં તકલીફ પડતી હોય છે. આ મનની કેળવણી લોક-ભાગીદારીવાળા વ્યાપક સંવાદ વિના શક્ય નથી. એમાં નિંદા, બદનામી, શારીરિક હુમલા કે હત્યાના જોખમ રહેલાં છે; પણ જોખમ ઉઠાવ્યા વિના ચાલવાનું નથી. આ પરંપરાઓ અને માન્યતાઓ વચ્ચે સારાસાર વિવેક કરવો એ સુધારો. એનું નામ જ આધુનિકતા. માનવીય હિત જેમાં રહેલું છે એ અપનાવવું જોઈએ પછી એ આપણું હોય કે પરાયાનું.

રાજા રામ મોહન રાય આ રીતે સારાસારવિવેક કરનારી મનની કેળવણી કરનારા અને મનની મોકળાશ વધે એ માટે આંદોલન કરનારા ભારતના આધુનિક યુગના આદ્ય સુધારક હતા. એ પછી કુડીબંધ સુધારકો થયા હતા જેમણે પોતપોતાની રીતે સુધારાનું આંદોલન આગળ ચાલાવ્યું હતું. દરેક પડકારને, દરેક પ્રશ્નને, દરેક અવસરને તેઓ અલગ અલગ દૃષ્ટિકોણથી તપાસતા હતા. એમાં હિંદુ ધર્મ અને ધર્મવચનોની પણ ચિકિત્સા કરવામાં આવતી હતી. સનાતન ધર્મ ભલે સનાતન હોય, પણ તે ઊણપોથી મુક્ત નથી એ સ્પષ્ટ રીતે કહેવામાં આવતું હતું. એ આંદોલનને ભારતનાં નવજાગરણનાં આંદોલન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. નવજાગરણ માટેનું આંદોલન રાજા રામ મોહન રાયે ઘડી આપ્યું હતું એવું સંઘેડાઉતાર નહોતું. સુધારકો વચ્ચે વ્યાપક વિમર્શ થયો હતો.

વિમર્શનો કેન્દ્રવર્તી વિષય હતો શું અપનાવવું અને શું છોડવું. અલબત્ત એ નવજાગરણનું આંદોલન ખામી વિનાનું નહોતું. બહુ મોટી ખામી હતી. સુધારાની હિમાયત કરનારાઓએ અને તેના ફાયદા ગણાવનારાઓએ માત્ર સવર્ણ હિંદુઓની જ ચિંતા કરી હતી. તેના જ ફાયદાઓ જોયા હતા. દલિતોની અને બહુજન સમાજની તેમણે ચિંતા નહોતી કરી. માટે મહાત્મા ફૂલેએ આધુનિકતાના આંદોલનમાં ન્યાય નામનો માનવીય મૂલ્યોનો એક નવો ખૂણો ઉમેર્યો હતો જેની ઉપેક્ષા થઈ શકે એમ નહોતી.

સર સૈયદ અહમદ ખાન રાજા રામ મોહન રાય પછી ૪૫ વરસે થયા હતા અને તેમણે જ્યારે જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારે હિંદુઓમાં સુધારાનું આંદોલન તેની સર્વોચ્ચ ઊંચાઈએ હતું. હકીકતમાં અંગ્રેજી માધ્યમમાં આધુનિક શિક્ષણ મેળવેલી અને નવા દૃષ્ટિકોણ સાથેની હિંદુઓની એક પેઢી અસ્તિત્વમાં પણ આવી ગઈ હતી. એની વચ્ચે ૧૮૫૭ના વિપ્લવમાં મળેલી નિષ્ફળતાએ હિંદુ અને મુસલમાનોના અંગ્રેજો પરત્વેના અભિગમને પ્રભાવિત કર્યો હતો. બન્ને કોમને એમ લાગવા માંડ્યું હતું કે કમ સે કમ સો-દોઢસો વરસ ભારતમાં અંગ્રેજો રાજ કરવાના છે એટલે ડહાપણ એમાં છે કે અંગ્રેજોના રાજ્યનો સ્વીકાર કરી લેવામાં આવે અને તેને અનુકૂળ બનવામાં આવે.

હવે એ સમયે સર સૈયદ સામે બે કફોડી વાસ્તવિકતા હતી. એક તો એ કે ત્રણ દાયકા પહેલાં રાજા રામ મોહન રાયે હિંદુઓને અંગ્રેજિયત અથવા તો પાશ્ચાત્ય દૃષ્ટિકોણ, પાશ્ચાત્ય જીવનમૂલ્યોની બાબતે વિચારતા કરી મુક્યા હતા અને સારાસાર વિવેક આધારિત આપ-લેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. બીજી બાજુ મુસલમાનો તેનો પ્રતિકાર કરતા હતા. ૧૮૫૭ના વિદ્રોહમાં વસ્તીના પ્રમાણની દૃષ્ટિએ જુઓ તો મુસલમાનોએ હિંદુઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં હિસ્સો લીધો હતો. એનું કારણ એ હતું કે મુસલમાનો અંગ્રેજીરાજને ઇસ્લામ પરના આક્રમણ તરીકે જોતા હતા. વિદ્રોહમાં મુસલમાનોએ વધુ મોટા પ્રમાણમાં હિસ્સો લીધો હતો અને મૌલવીઓ અંગ્રેજિયતના અસ્વીકારના ફતવાઓ કાઢતા હતા અને મસ્જિદોમાં અંગ્રેજવિરોધી તકરીર કરતા હતા એટલે અંગ્રેજોનો ગુસ્સો મુસલમાનો ઉપર ઉતર્યો હતો એ સર સૈયદ સામે બીજી કફોડી વાસ્તવિકતા હતી.

ટૂંકમાં ભારત કંપની સરકારથી મુક્ત થઈને સીધું અંગ્રેજી સંસ્થાન બન્યું ત્યારે રાજા રામ મોહન રાય અને તેમની પછીના સુધારકોના કારણે હિંદુઓ એક ડગલું આગળ હતા અને આગળ જઈ રહ્યા હતા અને મુસલમાનો એક ડગલું પાછળ હતા અને જો અંગ્રેજિયત અને અંગ્રેજી રાજનો સ્વીકાર કરવામાં ન આવે તો હજુ પાછળ જવાના હતા. ઉપરથી અંગ્રેજો તેમના ઉપર ખફા હતા. સર સૈયદ આ જાણતા હતા.

સર સૈયદની અહીં કસોટી થઈ હતી. રાજા રામ મોહન રાય અને તેમની પછીના હિંદુ સુધારકોની માફક વિવેકપુર:સર આધુનિકતાનો વ્યાપક પરિઘ અપનાવે તો ઇસ્લામની સર્વકાલીન પ્રાસંગિકતા કે અપ્રાસંગિકતા વિષે વિમર્શ કરવો પડે જેમાં તેમને જોખમ લાગ્યું હતું. માટે તેમણે આધુનિકતા એટલે પાશ્ચાત્ય અંગ્રેજી શિક્ષણ એવો સાંકડો અર્થ કર્યો હતો. અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુઓની સમકક્ષ બનો અને અંગ્રેજી શાસકોનો વિશ્વાસ રળીને જીવનમાં આગળ વધો. આખું આંદોલન અંગ્રેજી શિક્ષણ અપનાવવા માટેનું અને હિંદુઓની બરાબરી કરવા માટેનું હતું. હિંદુ સામે હરીફાઈનું હતું. તે ખરા અર્થમાં જેને આધુનિકતા કહેવાય તે માટેનું નહોતું. વળી સર સૈયદને આટલું પણ મનાવવા માટે નાકે દમ આવી ગયો હતો.

અહીં વાચકના મનમાં સવાલ થઈ શકે કે સર સૈયદ કોમની અંદરના પ્રતિકારને કારણે વ્યાપક અર્થમાં જેને આધુનિકતા કહેવાય તેની વકીલાત કરી શક્યા નહોતા કે તેમને પોતાને તેમાં રસ નહોતો? બીજા શબ્દોમાં કહીએ તો તેમણે પોતે સુધારાનો પરિઘ ટૂંકો રાખ્યો હતો કે રાખવો પડ્યો હતો? મને એમ લાગે છે કે તેમને પોતાને પરિઘ વિસ્તારવામાં કોઈ રસ નહોતો. માટે રાજા રામ મોહન રાય સાથેની તેમની સરખામણી ખોટી છે. કદાચ તે તેમને અસંભવ અને બિનજરૂરી બન્ને લાગ્યાં હોય. તેમનો ઉદ્દેશ માત્ર અને માત્ર મુસલમાન અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુ સાથે હરિફાઈમાં ઊભો રહે એટલો જ હતો. વળી મુસલમાનોએ પાશ્ચાત્ય અંગ્રેજી શિક્ષણ લેવું જોઈએ એની વકીલાત કરવા માટે પણ તેમને કુરાન અને હદીસનો આશરો લેવો પડતો હતો અને તેમાં પણ સામેથી વળતાં પ્રમાણોનાં તીર ફેંકાતા હતાં. તેમણે હાથ જોડીને વિરોધીઓને કહેવું પડ્યું હતું કે જો હદીસનો હવાલો આપવો હોય તો માત્ર બુખારીની હદીસનો હવાલો આપવામાં આવે જે પ્રમાણમાં પ્રામાણિક છે. શબ્દ પર ધ્યાન આપવામાં આવે; પ્રમાણમાં પ્રામાણિક છે.

આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે પ્રત્યેક હદીસ ભેળસેળ વિનાની પ્રામાણિક નથી અને ૧૪૦૦ વરસ દરમ્યાન ઉત્તરોત્તર જરૂરિયાત મુજબ તેમાં વધારો થતો ગયો છે. વિશ્વના સંપૂર્ણ અને માનવકલ્યાણ માટેના આખારી ધર્મમાં પ્રક્ષેપણ થયાં છે. માટે ઈરાની વિદ્વાન મહમ્મદ ઈબ્ન બુખારીએ નવમી સદીમાં હદીસોની પ્રામાણિકતાનો અભ્યાસ કરીને તેનું સંકલન કર્યું હતું જે બુખારીની હદીસ તરીકે ઓળખાય છે. અને બુખારીની હદીસ પણ ક્યાં આજે એક સરખી છે! તેમાં પણ પ્રક્ષેપણો અને પાઠાંતરો મળે છે. શા માટે મુસલમાનો આ બધી વાસ્તવિકતાઓનો સ્વીકાર નથી કરતા? અને અસ્વીકાર કરવાથી વાસ્તવિકતા મટી જવાની છે? ક્યાંકથી તો નાનકડી શરૂઆત થવી જોઈએ. રોજ સરેરાશ સો મુસલમાન ઇસ્લામના નામે રહેંસાઈ જતા હોય ત્યારે એક નાનકડી બારી ખોલવાનો પણ કોઈ પ્રયાસ ન કરે! મુસલમાનો ઇસ્લામની બહારની વાસ્તવિકતાના સ્વીકાર માટે તૈયાર થાય એ માટે પ્રયાસ થવો જરૂરી છે અને હવે એ જરૂરિયાત તેની પરાકાષ્ટાએ છે.

જો સર સૈયદે આવો નાનકડો પણ પ્રયાસ કર્યો હોત તો તેમની સરખામણી રાજા રામ મોહન રાય સાથે થઈ શકત. તેમનું આધુનિકતા માટેનું આંદોલન મુસ્લિમ અંગ્રેજી શિક્ષણ મેળવીને હિંદુની બરાબરી કરતો થાય એટલું સાંકડું હતું. જો નાનકડી પણ બારી ખોલી હોત તો અંગ્રેજી શિક્ષણ મેળવેલી મુસલમાનોની પહેલી-બીજી પેઢી આધુનિકતાના આંદોલનના બીજા ચરણરૂપે તેને હજુ વધુ આગળ લઈ ગયા હોત. શિક્ષિત મુસલમાનોની પછીની પેઢીએ પરિઘ વિસ્તાર્યો હોત. પણ એવું બન્યું નથી. આનું પરિણામ એ આવ્યું કે ઈ. સ. ૧૯૦૦થી લઈને ૧૯૪૭ સુધીના નિર્ણાયક સમયગાળામાં મુસલમાનોનું નેતૃત્વ કરનારા મુસ્લિમ નેતાઓ અંગ્રેજી શિક્ષણ મેળવેલા સાંકડા અર્થમાં આધુનિક હતા, વ્યાપક અર્થમાં આધુનિક નહોતા. કેટલાક વ્યાપક અર્થમાં આધુનિક હતા તો અંગત જીવનમાં હતા, જાહેરજીવનમાં નહોતા.

માટે નવયુવાન મહમ્મદ અલી ઝીણાનું મુસલમાનોના ગોખલે બનવાનું સપનું પૂરું થયું નહોતું અને તેઓ પણ આગળ જતા હિંદુઓના પ્રતિસ્પર્ધી બની ગયા હતા. ગોખલે બનવા માટેની સર સૈયદ જગ્યા બનાવીને નહોતા ગયા અને એવી જગ્યા બનાવવાની ઝીણામાં હિંમત નહોતી અને ભારતનું વિભાજન થયું હતું.

માનવી હોવાપણું મુસલમાન હોવાપણા કરતાં અદકેરું છે એનો સ્વીકાર કરવાનો સમય આવી ગયો છે. હિન્દુત્વવાદીઓએ પણ સમજવાની જરૂર છે કે માનવી હોવાપણું હિંદુ હોવાપણા કરતાં અદકેરું છે. જે હિંદુ આ વાત સ્વીકારતો હોય તેને જે મુસલમાનની અને ઇસ્લામની ટીકા કરવાનો અધિકાર છે. ટીકામાં સભ્યતા અને નિસ્બત એની મેળે આવી જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 સપ્ટેમ્બર 2022 

Loading

...102030...1,3481,3491,3501,351...1,3601,3701,380...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved