અખંડ ધારા વરસાવે જ્યાં અમૃત પાણી,
કરું ત્યાં હું શૂન્ય ધૂનની સચેત વાણી.
સમરસ થઈ સગુણ તુજમાં થઈ ભળું,
કાલકૂટ ઝેર નીકળે પીધું મેં જાણી જાણી.
ખોડ્યા પહાડ, ઝરણાં દરિયાઓ વટાવી,
અહિરાજનાં ડમરૂ વાગે, મુજ કંઠે સંતવાણી.
તર ભીતર ચિતરમાં આતમરૂપ અરૂપ,
પંચતત્વનું પૂતળું ઘડિયું ત્રણલોક ને જાણી.
જળમાં સકળમાં કણ કણમાં દે છે સાદ,
સત્યનાં ગાંઠે બાંધું પ્રેમધૂનની અનંત વાણી.
અખંડ ધારા વરસાવે અમૃત પાણી,
કરું ત્યાં શૂન્ય ધૂનની સચેત વાણી,
છાબું ભરી છંદની, ગીતડાંની ગરમાળ,
અનહદ ઝરૂખે અડધું મૌન અડધી વાણી.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


અરુણ ગોયલની ભારત સરકારે નિર્વાચન આયુક્ત (ઈલેકશન કમિશ્નર – ઇ.સી.) તરીકે જે દિવસે નિયુક્તિ કરી, એ દિવસ લોકતંત્ર અને બંધારણીય ભારત માટે ઐતિહાસિક હતો. ભારતનું બધારણ ઘડાઈ ગયું હતું અને તેને ૨૬મી નવમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભા મંજૂરી આપવાની હતી, તેના અઠવાડિયા પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે બંધારણ સભામાં આખરી પ્રવચન આપ્યું હતું. એ પ્રવચનમાં તેમણે બે વાત કહી હતી. એક તો એ કે જો આવનારા શાસકો ખૂટેલ હશે તો દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ પણ લોકતંત્રને ન બચાવી શકે અને જો શાસકો પ્રામાણિક હોય તો નબળું બંધારણ પણ દેશને ઊગારી શકે. એટલે બંધારણની શ્રેષ્ઠતા લોકતંત્રની અને કાયદાના રાજની ગેરંટી નથી. તેમણે બીજી વાત એ કહી હતી કે લોકોને રસ્તા ઉપર ઊતરીને આંદોલન ન કરવું પડે એ જગતના કોઈ પણ પ્રજાલક્ષી લોકશાહી દેશની કસોટી છે. આ વાત સમજવા જેવી છે. રસ્તા પર ઊતરીને આંદોલન કરવું એ પ્રજાનો મૂળભૂત અધિકાર છે પણ એ અધિકાર વાપરવાની પ્રજાને જરૂર ન પડે એમાં લોકતાંત્રિક રાજ્યની કસોટી છે. જેમ કે બે વરસ પહેલાં સરકાર કૃષિકાનૂન લાવી હતી જે ખેડૂતોને સ્વીકાર્ય નહોતા. હવે જો દેશમાં સંવેદનશીલ લોકતંત્ર હોત અને સંસદ અને ન્યાયતંત્ર જેવી લોકશાહી સંસ્થાઓ જાનદાર ધબકતી હોત તો ખેડૂતોની ફરિયાદોને સાંભળવામાં આવી હોત. તેના વિષે સાંગોપાંગ ચર્ચા થઈ હોત, જરૂરી સુધારા થયા હોત અથવા અદાલતમાં ન્યાય મળ્યો હોત. લોકોને પોતાની વાત કહેવા માટે અને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઊતરવું પડે એનો અર્થ જ એ કે લોકતંત્ર જેવું હોવું જોઈએ એવું તંદુરસ્ત નથી.