Opinion Magazine
Number of visits: 9458694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—154

દીપક મહેતા|Opinion - Opinion|16 July 2022

મુંબઈના પહેલવહેલા ઘડિયાળી કોણ હતા?

જંતર બનાવીને જેલમાંથી છૂટેલા ફરદુનજી શેઠ

ભીખા બહેરામના સખાવતી વંશજો

માનશો? એક જમાનો એવો પણ હતો કે જ્યારે મુંબઈના થોડા માલેતુજારો પાસે ઘડિયાળ તો હતાં, પણ તે બગડી જાય તો તેન રિપેર કરનાર કોઈ નહોતું! અને એ વખતે ઘડિયાળ એટલે રિસ્ટ વોચ નહિ હોં. એ તો પછીથી આવી. ત્યારે તો વોચ એટલે પોકેટ વોચ. આપણા દેશમાં જ નહિ, યુરોપના દેશોમાં પણ એ વાપરે ફક્ત પુરુષો જ. કારણ મહિલાઓનાં ડ્રેસમાં પોકેટ હોય જ નહિ, તો પોકેટ વોચ રાખે ક્યાં? અને આમ પણ આખો દિવસ ઘરમાં જ રહીને, ઘરકામમાં અને ઢગલો છોકરાં ઉછેરવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને તે વળી ટાઈમ જાણવાની, તે માટે ઘડિયાળ રાખવાની શી જરૂર?  પણ પછી થયું કે બૈરાંઓ માટે પણ ટાઈમ જાણવાનું કોઈક સાધન તો હોવું જોઈએ. એટલે ૧૬મી સદીમાં આવી રિસ્ટ વોચ. પણ પુરુષો તે પહેરે જ નહિ! પહેરે ફક્ત બૈરાંઓ. એટલે ઓળખાતી બ્રેસલેટ વોચ તરીકે. રોબર્ટ ડડલી નામે ગ્રેટ બ્રિટનનો એક ઉમરાવ. બીજા કોઈ સાથે નહિ, પણ ખુદ રાણી એલિઝાબેથને પરણવાના ધખારા. રાણીને રીઝવવા ખાસ બનાવડાવી ‘આર્મ્ડવોચ’ અને ૧૫૭૧માં તેમને ભેટ ધરી.

એ જમાનામાં વિલાયતમાં જે આવે તે વહેલું મોડું હિન્દુસ્તાનમાં પણ આવે. એટલે ઘડિયાળ તો આવી, પણ બગડે તો રિપેર કરનાર કોઈ નહિ! એ હુન્નર શીખીને મુંબઈના પહેલવહેલા ઘડિયાળી બન્યા જમશેદજી મંચેરજી લકબે ચીકા, જે પછી લકબે ચીકામાંથી બની ગયા જમશેદજી મંચેરજી ઘડિયાળી. એમનું ખાનદાન એ મુંબઈ આવીને વસેલું પટેલ પરિવાર પછીનું બીજું ખાનદાન. નસીબ અજમાવવા સોરાબજી કડવાજી ૧૬૬૪માં મુંબઈ આવ્યા, પોતાની ગરીબી દૂર કરવા. મુંબઈ આવીને તેવણે શું કામકાજ કીધું તે તો જાણવા મળતું નથી. પણ તેમના ખાનદાનમાં પેદા થયા જોગાજી. ઈ.સ. ૧૭૨૭ કે ૧૭૨૮માં એક ફ્રેંચ ઘડિયાળી મુંબઈ આવેલો. કોઈક રીતે તેની સાથે ઘરોબો બાંધીને, આજીજી કરીને તેમની પાસેથી જોગાજી ઘડિયાળ દુરુસ્ત કરવાનો હુન્નર શીખ્યા. અને ૧૭૩૦માં શરૂ કરી મુંબઈની પહેલવહેલી ઘડિયાળીની દુકાન. અને પછી તો એ તેમના ખાનદાનનો ધંધો બને ગયો. તે પહેલાં મુંબઈના અંગ્રેજ અમલદારોની ઘડિયાળ બગડી જાય તો રાખી મૂકતા, અને રજા લઈને માદરે વતન જાય ત્યારે ત્યાં સમારાવી લેતા. તેમાં કેટલાક હવે જોગાજી પાસે આવવા લાગ્યા. અને પછી આ લાટસાહેબોની પાછળ આવવા લાગ્યા ‘દેશીઓ.’

વીતેલા જમાનાની પોકેટ વોચ

જોગાજી પછી ફરદુનજી બન્યા ઘડિયાળી. મનસૂબો કર્યો ધંધો વિકસાવવાનો, અને ગયા પૂણે. ત્યારે પૂણે એ પેશવા રાજવટની રાજધાની. આજે આપણે ભલે અંગ્રેજ શાસનને ભાંડીએ. પણ કાયદો અને વ્યવસ્થાનું શાસન તેમણે સ્થાપ્યું, દેશી રજવાડાંઓની અંધાધૂની દૂર કરીને. ફરદુનજીનો વાંકગનો શો હતો એ તો ખબર નથી. પણ પેશવાના સિપાઈઓએ પકડીને પૂર્યા કેદખાને. હવે ફરદુનજી ઘડિયાળ સમી-નમી કરવા ઉપરાંત નાનાં મોટાં વાજિંત્ર પણ બનાવતા. કેદખાનાના કેટલાક અધિકારીઓની રહેમ નજરને પ્રતાપે એક અજબશું જંતર બનાવી રાજાને ભેટ મોકલ્યું. રાજા તો ખુશ ખુશ. કર્યો હુકમ : છોડી મૂકો કેદખાનામાંથી, અને હા, રાજ તરફથી સરપાવ આપીને જ જવા દેજો.

ધંધો વિકસાવવાની ખ્વાહેશ છોડીને ફરદુનજીએ પકડી સીધી મુંબઈની વાટ. અને પછી બાકીની જિંદગી સુખચેનમાં મુંબઈમાં ગુજારી. એવણ જ્યારે બેહસ્તનશીન થયા ત્યારે પાછળ મૂકતા ગયા બે બેટાઓ, મંચેરજી અને કાવસજી. અને એ બંનેએ બાપીકા ધંધાને ઓર વિકસાવ્યો. એમના વારસોમાં જમશેદજી ઘડિયાળી એવા તો કુશળ, મિલનસાર, સાચકલા, કે ઘરાકો પોતાનાં મોંઘાદાટ ઘડિયાળ પણ વગર રસીદે તેમની પાસે છોડી જતા. અને જલદીમાં જલદી તેને દુરુસ્ત કરી એવણ ઘડિયાળ ઘરાકને ઘરે પહોચાંડી દેતા. પછી તો બીજા પારસીઓ પણ આ હુન્નર શીખ્યા, દુકાન કાઢી બે પાંદડે થયા. એક જમાનામાં મુંબઈમાં ઘડિયાળી એટલે પારસી.

અગાઉ આપણે ભીખાજી બહેરામ વિષે વાત કરેલી. એમની મૂળ અટક પાંડે. ત્રણ બેટા : લીમજી ભીખાજી, પેસ્તનજી ભીખાજી, ફરામજી ભીખાજી. તેમાં લીમજીશેઠની વિલાયતી સામાનની ભરચક દુકાન, અંગ્રેજ બજારમાં. જ્યારે ફરદુનજીએ બાપીકી દુકાન તો ચાલુ રાખી જ, પણ સાથોસાથ રીચી સ્ટુઅર્ટની કંપનીના આડતિયા પણ બન્યા. એટલું જ નહિ અરદેસર નામના દીકરાને ચીન મોકલી ત્યાં પણ વેપાર વધાર્યો. મેરી ગોર્ડન નામનું, અને રૂપારેલ નામનું, એમ બે વહાણ મેળવી ચીન સાથે આયાત-નિકાસનો ધીકતો ધંધો જમાવ્યો. અહીં એક આડવાત કરી લઈએ. ૧૯મી સદીમાં જ્યારે ચીન સાથેના વેપારની વાત આવે ત્યારે મોટે ભાગે એ હોય અફીણનો વેપાર. અહીનું અફીણ ચીન જાય. ત્યાંની જણસો બદલામાં અહીં આવે. ફરદુનજીએ પોતાના એક બેટા દીનશાહને હજારો રૂપિયા ખરચીને ભણવા માટે છેક વિલાયત મોકલેલા. જો કે ત્યાં ચાર વરસ ભણીને પાછા આવ્યા પછી તેઓ પણ ચીન જઈ ખાનદાની વેપારમાં જોડાયા.

મેરી ગોર્ડન નામનું વહાણ

ભીખા બહેરામના એક વંશજ તે શેઠ મેરવાનજી ફરામજી પાંડેના. ઈ.સ. ૧૮૧૩માં જન્મ. સખાવતી જીવ. પારસી જમાતમાં સખાવતની તો નવાઈ નહિ. પણ મેરવાનજીએ પોતાના જમાનાની જરૂરિયાતો જાણી-સમજીને કેટલાંક અલાયદાં કામ કર્યાં. ૧૯મી સદીમાં તો ગુજરાતના ગામેગામથી પારસીઓનો ગાડરિયો પ્રવાહ મુંબઈ તરફ વહેતો થયો હતો. મોટા ભાગના આવે ત્યારે ગાંઠે ઝાઝો ગરથ હોય નહિ. એ વખતે પણ મુંબઈ એટલે મસ મોટું શહેર. બહારગામથી આવતા પારસીઓએ આવીને પહેલો આશરો લેવો ક્યાં? તે વખતનું નામ કરેલ વાડી. (આજે પણ એક નાનકડી ગલ્લીનું એ નામ છે.) પછીનું નામ ચર્ની રોડ. આજનું નામ રાજા રામમોહન રોય રોડ. કાવસજી બહેરામજી બનાજીવાલા આતશ બહેરામની સામ્ભે મેરવાનજી શેઠની ખાસ્સી મોટી જમીન. તેમાંથી તે વખતના ૩૬ હજાર રૂપિયાની કિંમતનો જમીનનો એક ટુકડો અલગ કરી તેના પર પોતાને ખરચે મોટી ઈમારત બંધાવી, એક લાખ રૂપિયાના ખર્ચે. આજે પણ એ ઇમારત ‘પાંડેની ધરમશાળા’ તરીકે ઓળખાય છે. પણ બીજે ક્યાં ય નહિ ને ચર્ની રોડ નજીક જ કેમ બંધાવી આ ધરમશાળા? કારણ એ વખતે ગુજરાત આવતી-જતી ટ્રેનો ચર્ની રોડ સ્ટેશને પણ થોભતી. એટલે ગુજરાતથી આવતા પારસીઓ માટે અહીંથી આવવું-જવું સહેલું પડે.

પાંડે ધરમશાળા – આજે

આ શેઠની ઝીણી નજરે એક બીજી વાત પણ નોંધી. એ વખતના મુંબઈમાં અવારનવાર કોઈને કોઈ રોગચાળો ફેલાય. દવાદારૂ માટે તો પારસીઓનાં ધર્માદા દવાખાનાં હતાં. પણ માંદગી પછી થોડો વખત જ્યાં રહીને ચોખ્ખાં હવાપાણીથી પાછા તાજામાજા થઈ શકાય એવી કોઈ જગ્યા નહિ. હા, તવંગર પારસીઓએ પરાંઓમાં બંગલા બંધાવેલા, એટલે ત્યાં જઈને રહે. પણ આમઆદમીનું શું? એટલે આ શેઠે કોલાબા વિસ્તારમાં દરિયા કિનારે મોટું ‘હવાખાનું’ કહેતાં સેનેટોરિયમ બંધાવ્યું જેને નામ આપ્યું ‘મહેરવાન બાગ.’ એક સાથે પોણો સો જણ રહીને દરિયાની ખુલ્લી હવા માણી શકે એવી સગવડ. સાથે એક ડોક્ટર પણ ખરા. જરૂરી સારવાર કરે. બહુ ઓછી કિંમતે દવાઓ પણ ત્યાંથી જ મળી રહે. આ સગવડ ઊભી કરવા પાછળ શેઠે એ જમાનામાં ચાર લાખ રૂપિયા ખર્ચેલા.

મેડિકલ પ્રોફેશનમાં આજે પણ ‘લાન્સેટ’ અઠવાડિકનું ભારે માન છે. ૧૮૨૩માં શરૂ થયેલું. તબીબી દૃષ્ટિએ આ મહેરવાન બાગની સગવડો એટલી તો અફલાતુન કે ૨૦ જાન્યુઆરી અને ૧૩ એપ્રિલ, ૧૮૭૨, એમ બે-બે અંકમાં તેને વિષે વિસ્તારથી લેખ લખીને પ્રગટ કીધેલા.

આજના મુંબઈમાં જુદી જુદી જગ્યાએ ‘પારસી કોલોની’ જોવા મળે – ક્યાંક મોટી, ક્યાંક નાની. અમેરિકાના આંતરવિગ્રહને કારણે હિન્દુસ્તાનના કપાસના ભાવ અસાધારણ ઊંચકાયા અને ફકીર હતા તે રાતોરાત અમીર બની ગયા. સાથોસાથ મકાનનાં ભાડાં પણ પુષ્કળ વધી ગયાં. કારણ અંતરિયાળ ગામોમાંથી પણ લોકોએ સટ્ટાના તાપણામાં તાપીને રાતોરાત માલેતુજાર થવા મુંબઈ તરફ દોટ મૂકી. મુંબઈ આવતા પારસીઓ માટે રહેણાકનાં મકાન બાંધી તેમણે વાજબી ભાડે આપવાં જોઈએ એવો વિચાર આવ્યો. ચર્ની રોડ પર ધરમશાળા બંધાવ્યા પછી પણ ઘણી જગ્યા ફાજલ પડી હતી. એ જગ્યા પર મકાનો બાંધવાનું કામ શરૂ પણ થયું. પણ પછી આંતરવિગ્રહ પૂરો થતાં રૂ બજાર, શેર બજાર, ખાનગી બેંકો, બધું કડડ ભૂસ. તેમાં આ શેઠ પણ ઘવાયા. હવે પારસીઓ માટે ફ્લેટનાં મકાનો બાંધવાનો તો સવાલ જ નહોતો. છતાં કોમની ભલાઈ કરવાનો આગ્રહ પણ ગયો નહિ. જે જગ્યા પર ફ્લેટ બાંધવા હતા તે જગ્યાનો આખો મોખરાનો ભાગ તો તેમણે વેચી નાખ્યો, બલકે વેચી નાખવો પડ્યો. પણ પછી એ વેચતાં જે રકમ આવી તેનું એવણે શું કર્યું? વ્યાજ ખાધું? ના. પહેલાં માથા પરનું દેવું ચૂકવી દીધું. પછી જેટલી જમીન વધી હતી તેના પર ફ્લેટ્સ નહિ તો ડબલ રૂમની ચાલ બાંધી. અને એ ખોલીઓ વાજબી ભાડે નબળી આર્થિક સ્થિતિવાળા પારસીઓને ભાડે આપી! હા, એમ કરીને પોતાને માટે થોડીક નિયમિત આવક ઊભી કરી. પણ સાથોસાથ કોમના થોડા લોકોનું પણ ભલું કર્યું. એ વખતે એ ચાલમાં લગભગ પાંચ સો પારસીઓ વસતા થયા. અને આ બધું કર્યા પછી બાવાજીના હાથમાં કેટલા પૈસા વધ્યા? પચીસ હજાર. ખરચ્યા સાત લાખ એકત્રીસ હજાર!

અને હા, જે જે સખાવતો કરી તેનો વહીવટ સુવાંગ પોતાના હાથમાં ન રાખ્યો, પણ દરેક મિલકત માટે અલગ અલગ ટ્રસ્ટ બનાવ્યાં. અને એવનની સખાવત પહોંચી હતી છેક વેલાત સુધી. અમેરિકન આંતરવિગ્રહ વખતે શરૂઅતમાં લેન્કેશાયરના કેટલાયે વણકરો બેકાર બની ગયેલા. તેમને મદદ કરવા માટે જ્યારે મુંબઈમાં ફંડફાળો ઉઘરાવવામાં આવ્યો ત્યારે તેમાં પણ ૧૨ હજાર રૂપિયા આપ્યા.

પાંડેના ખાનદાન જેવા બીજા કોઈ ખાનદાન વિષે વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx  

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 જુલાઈ 2022

Loading

‘લાઈફ ઇઝ ડલ વિધાઉટ ટ્રુથ’ : પર્લ બક

સોનલ પરીખ|Opinion - Opinion|16 July 2022

·       હું મૂડની રાહ જોતી નથી. મૂડની રાહ જુઓ તો કંઈ થાય નહીં. મગજને ખબર હોવી જોઈએ કે એણે જમીન પર રહેવાનું છે.

·       એક વાર “શું” સમજાઈ જાય તો  “કેવી રીતે” હંમેશાં એને અનુસરે છે. પણ આપણે “શુંને સ્વીકારવા ને એનો સામનો કરવા તૈયાર નથી હોતા, પછી “કેવી રીતે”નો બહાના તરીકે ઉપયોગ કરીએ છીએ.

·       એ લગ્ન સારાં નીવડે છે જે વ્યક્તિઓ, સંબંધો અને અભિવ્યક્તિમાં પરિવર્તન અને વિકાસને પૂરતો અવકાશ આપતાં હોય.

·       સેવા સુંદર બાબત છે, પણ ત્યારે જ જ્યારે એ પૂરા મનથી અને સ્વતંત્ર બુદ્ધિપૂર્વક થતી હોય.

·       ટ્રુથ ઈઝ ઑલ્વેઝ એક્સાઈટિંગ. સ્પીક ઈટ, ધેન. લાઈફ ઈઝ ડલ વિધાઉટ ઈટ.

—   પર્લ બક

(જન્મ – 26 જૂન 1892)

1929માં, એક અમેરિકન સ્ત્રી, તેના ચીનના ઘરેથી, તેની અત્યંત નબળી દીકરીને ન્યૂ જર્સી ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવા આવી. આમ તેમથી ઉધાર લઈ ફીની રકમ તેણે ભેગી કરી હતી. વિયોગ દુ:ખદાયક હતો. પાછા આવ્યા પછી લાગતું, ઘર જાણે સન્નાટામાં ડૂબી ગયું છે. તેણે નક્કી કરી લીધું, ‘સમય આવી ગયો છે – હું લખીશ.’ તેણે લખ્યું અને એવું લખ્યું કે તેને માત્ર પુલિત્ઝર જ નહીં, નોબેલ ઈનામ પણ મળ્યું.

કોણ હતી આ લેખિકા ? તેણે એક ભારતીય ફિલ્મની પટકથા લખી હતી એમ કોઈ કહે તો માનવામાં આવે ખરું ? યાદ કરો 1965ની ફિલ્મ ‘ગાઈડ’ – તેના ‘ન સુખ હૈ, ન દુ:ખ હૈ, ન દીન હૈ, ન દુનિયા, ન ઈન્સાન, ન ભગવાન – સિર્ફ મૈં હૂં, મૈં હૂં; મૈં હૂં, સિર્ફ મૈં …’ આ સંવાદ સાથે અનેક સ્મૃતિઓ તાજી થયા વગર રહે નહીં, ખરું ને? ‘ગાઈડ’ની અમેરિકન આવૃત્તિ પણ બની હતી, જેનું દિગ્દર્શન પોલિશ-અમેરિકન ફિલ્મસર્જક ટેડ ડેનિયલેવસ્કીએ કર્યું હતું. એની પટકથા આ લેખિકાએ લખી હતી.

આ વિશ્વવિખ્યાત અમેરિકન લેખિકાનું નામ પર્લ બક. એમની સિદ્ધિઓ, એમની જિંદગી, એમની કારકિર્દીમાં ભરપૂરતા છે, અનોખાપણું છે, રોમાંચ છે. આજે એમના વિશે થોડી વાતો કરીશું કેમ કે આજથી 130 વર્ષ પહેલાં, 1892ની 26મી જૂને એમનો જન્મ થયો હતો.

પર્લ બક રસપ્રદ સમયમાં અને રસપ્રદ સ્થળોમાં જીવ્યાં. જન્મ તો વર્જિનિયામાં, પણ માતાપિતા ચીનના ઝેનઝિંગમાં મિશનરી હોવાને કારણે પર્લનો ઉછેર ચીની રિવાજો વચ્ચે ને ચીની આયા પાસે થયો. ચીનની સંસ્કૃતિ અને ચીનનું ગ્રામજીવન તેના અસ્તિત્વમાં વણાતાં ગયાં. અંગ્રેજી પહેલાં એ ચીની ભાષા શીખી. પુખ્ત વયે પણ એ ચીની ભાષામાં વિચારતી.

પિતાના મિશનરી તરીકેના કામને લીધે ચોરો, ભિખારીઓ, રોગીઓ, વ્યસનીઓ અને કુદરતી આફતોથી પીડાયેલાઓને નજીકથી જોયા. પરીકથાઓમાં આવતું હોય એવું, કંઈક કરુણતા અને કરુણાથી વીંટાયેલું એમનું બાળપણ હતું. એની પહેલાં જન્મેલાં બાળકો મરડો, કોલેરા, મલેરિયા વગેરેથી મૃત્યુ પામેલાં. ઘરની પાછળના બગીચામાં માટી ખોદતી પર્લને ઘણીવાર નાનકડાં હાડકાં મળી આવતાં.

પિતા એબ્સાલોમ સિડેન્સ્ટ્રિકર શહીદ મિજાજના મિશનરી હતા. આત્માઓનો ઉદ્ધાર કરવાની એમની ઊર્જા એટલી પ્રબળ હતી કે લોકોના ફિટકાર કે પથ્થરમારાની પરવા કર્યા વિના ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા રહેતા. માનું મન પીડા અને ગુસ્સાની ધાર પર લટકતું. ઘરમાં પૈસાની તાણ રહેતી અને પતિને આવી ક્ષુલ્લક વાતમાં રસ પડતો નહીં. જેમ એ માનતો કે ચીનના ગામડિયા લોકો ‘માણસ’ નથી, તેમ એ એમ પણ માનતો કે સ્ત્રીઓને આત્મા હોતો નથી. આ બધા વચ્ચે ઉછરતી પર્લ, ચાર્લ્સ ડિકિન્સની નવલકથાઓનો આશ્રય લેતી. એંગ્લો-સેક્સન વિશ્વ સાથે આમ એનું જોડાણ બંધાયું અને મજબૂત થતું ગયું. 10 વર્ષની ઉંમરે એણે નક્કી કરી લીધું હતું, ‘હું નવલકથાઓ લખીશ.’ ચીની મહાકાવ્યો અને પશ્ચિમી માપદંડો આ સોનેરી વાળ અને ભૂરી આંખોવાળી છોકરીને ઘડતાં હતાં.

16ની ઉંમરે એ અમેરિકા ભણવા ગઈ અને વર્જિનિયાની વિમેન્સ કૉલેજમાં દાખલ થઈ. વાળ ઓળવાની એશિયન શૈલીથી માંડી પીઠ પરથી લબડતા જેકેટ સુધીની તેની દરેક ચીજ મજાકને પાત્ર બનતી. ભણવા કરતાં સ્વયંસેવક તરીકે નિવૃત્ત વેશ્યાઓને ભણાવવામાં એને રાહત મળતી.

1917માં એ ચીન પાછી ફરી. અમેરિકન એગ્રીકલ્ચરલ ઈકોનોમિસ્ટ જહોન લોસિંગ બક સાથે તેનાં લગ્ન થયાં. પતિ સાથે એ ચીનના અંતરિયાળ વિસ્તારોમાં ફરી. ત્યાંના લોકોએ શ્વેત સ્ત્રી પહેલીવાર જોઈ હતી. તેઓ ટોળે વળતાં. તેના કમરામાં ડોકાં કાઢતાં. આ અનુભવોએ જ ‘ધ ગૂડ અર્થ’ની પશ્ચાદભૂમિકા આપી.

1927માં ચીનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો એ પહેલા પર્લ બકે એક નવલકથા લખી નાખી હતી. કૉમ્યુનિસ્ટોએ એમના ઘર પર છાપો માર્યો એની દસ મિનિટ પહેલાં જ પર્લ એ ઘર છોડી નીકળી ગયેલાં. નવલકથાની પ્રત અન્ય ચીજો સાથે બળી ગઈ. અમેરિકાના એક યુદ્ધજહાજમાં તેઓ જાપાન ચાલ્યાં ગયાં. એક વર્ષ બાદ પાછા ચીન આવી શક્યાં.

‘ધ ગૂડ અર્થ’ અમેરિકામાં પ્રગટ થઈ, પણ ચીનમાં એના પર પ્રતિબંધ મુકાયો. અમેરિકાએ પર્લ બક પર કોમ્યુનિસ્ટ હોવાનો આરોપ મૂક્યો ને કૉમ્યુનિસ્ટ ચીને તેને ઈમ્પિરિયાલિસ્ટ ઠરાવી. ‘ટાઈમ’ મેગેઝીને એનો બહિષ્કાર કર્યો. ચીને તેના પાછા આવવા પર રોક લગાવી. પર્લે આ બધાનો સામનો કેવી રીતે કર્યો હશે? એ કહે છે, ‘જે યાદ રાખવા જેવું ન હોય એ ભૂલી જવાની ટેવ મેં પાડી છે.’

1932માં ‘ધ ગૂડ અર્થ’ને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ એનાયત થયું. આ નવલકથામાં વાંગલંગ નામના ચીની ખેડૂતના જીવનનું આલેખન છે. ધરતીની મમતાના કારણે એ અને એની માયાળુ પત્ની અનેક વર્ષો સુધી સંઘર્ષ તથા કષ્ટ વેઠતાં રહે છે અને પછી શ્રીમંત બને છે. એમાં ચીનની કઠોર અને કપરી વાસ્તવિકતાઓનું સચોટ નિરુપણ હતું. ચીનને એની રહસ્યમયતા માટે રસપ્રદ માનનાર અમેરિકા માટે આ દૃષ્ટિકોણ નવો હતો. ‘ધ ગૂડ અર્થ’ ત્રણ નવલકથાઓની શ્રેણીમાંની પ્રથમ નવલકથા છે. તેનો ગુજરાતીમાં અનુવાદ ‘ધરતી’ નામે 1937માં નીરુભાઈ દેસાઈએ કર્યો છે.

શ્રેણીની બીજી નવલકથા ‘સન્સ’ 1933માં અને ત્રીજી નવલકથા ‘હાઉસ ડિવાઇડેડ’ 1935માં પ્રસિદ્ધ થઈ. 1938માં પર્લ બક નોબેલ પ્રાઇઝનાં વિજેતા બન્યાં. ચીનનાં લોકજીવનને સહાનુભૂતિપૂર્વક વર્ણવતાં એમનાં પુસ્તકોએ એમને ઘણો મોટો યશ અપાવ્યો. એશિયા અને પશ્ચિમની પ્રજાઓ એકમેકને વધારે સારી રીતે સમજી શકે એ પ્રકારનો અનુરોધ તથા એને પ્રેરતું આલેખન એમની કૃતિઓમાં મહદંશે જોવા મળે છે. 1935માં બકનાં લગ્ન તૂટ્યાં. એ જ વર્ષે તે એના પ્રકાશક રિચાર્ડ જૉન વૉલ્શના પ્રેમમાં પડી એને પરણી ગઈ.

1930માં પ્રગટ થયેલી પ્રથમ નવલકથા ‘ઈસ્ટ વિન્ડ ઍન્ડ વેસ્ટ વિન્ડ’થી માંડીને પર્લ બકે અન્ય 82 પુસ્તકો, સેંકડો નવલિકાઓ, નિબંધો અને માતાપિતાનાં જીવનચરિત્રો લખ્યાં છે. એમનાં લખાણોમાં સ્ત્રીઓના અધિકારોથી માંડી એશિયાની પરંપરાઓ, બાળકોને દત્તક લેવાં, મિશનરી કામ, યુદ્ધ અને હિંસા જેવા વિષયો છે. દૂર પૂર્વના પ્રદેશની ભૂમિકામાં છવાયેલી એમની અન્ય કૃતિઓ ‘ડ્રૅગન સીડ’ (1942), ‘ઇમ્પીરિયલ વુમન’ (1956) અને ‘લિવિંગ રીડ’ (1963) છે જ્યારે અમેરિકન પાર્શ્વભૂમિકામાં એમણે ‘જૉન સેજિઝ’ના નામે કેટલીક નવલકથાઓ લખી છે. આત્મકથનાત્મક સાહિત્યકૃતિઓમાં 1954માં પ્રસિદ્ધ થયેલી ‘માય સેવરલ વલ્ડર્ઝ’ અને 1964માં ‘એ બ્રિજ ફૉર પાસિંગ’ ગણનાત્મક સ્થાન ધરાવે છે.

તેના જીવનચરિત્રમાં વર્ણવાયું છે તેમ પર્લ બકને પોતાનું વજનદાર અને કંઈક વિષમય એવું ‘બેગેજ’ હતું, પણ એને ‘અનપેક’ કરવાનું તેણે વાચકોને સોંપી દીધેલું છે. ઉદ્ધત પતિ અને એની વાર્તાઓમાં આવતી વૈવાહિક બળાત્કારની ઘટનાઓ વચ્ચેનાં ટપકાં જોડવાં મુશ્કેલ નથી. બકનો રંગભેદ અને પિતૃસત્તાકતા પ્રત્યેનો વિદ્રોહ, કઠોર મિશનરી પિતા સામેના વિરોધની જ અભિવ્યક્તિ હતો. પોતાની અંદર ચાલેલા અજ્ઞાન અને વહેમો સામેના જંગે જ તેને બે એકબીજાને સમજી ન શકે તેવી સંસ્કૃતિઓ વચ્ચેનો પુલ બનવાની પ્રેરણા આપી હતી. જીવનનાં છેલ્લાં થોડાં વર્ષોમાં તેઓ અમેરિકામાં સ્ત્રીમુક્તિ અને રંગભેદમુક્ત દત્તક એજન્સીમાં ઘણાં સક્રિય હતાં.

‘હું મૂડની રાહ જોતી નથી.’ પર્લ બક કહેતાં, ‘મૂડની રાહ જુઓ તો કંઈ થાય નહીં. મગજને ખબર હોવી જોઈએ કે એણે જમીન પર રહેવાનું છે.’ ‘એક વાર “શું” સમજાઈ જાય તો “કેવી રીતે” હંમેશાં એને અનુસરે છે. પણ આપણે “શું”ને સ્વીકારવા ને એનો સામનો કરવા તૈયાર નથી હોતા, પછી “કેવી રીતે”નો બહાના તરીકે ઉપયોગ કરીએ છીએ.’ ‘એ લગ્ન સારાં નીવડે છે જે વ્યક્તિઓ, સંબંધો અને અભિવ્યક્તિમાં પરિવર્તન અને વિકાસને પૂરતો અવકાશ આપતાં હોય.’ ‘સેવા સુંદર બાબત છે, પણ ત્યારે જ જ્યારે એ પૂરા મનથી અને સ્વતંત્ર બુદ્ધિથી થતી હોય.’

ઘણું બધું સુંદર કહ્યું છે પર્લ બકે, પણ મને જે સૌથી વધુ ગમ્યું તે આ : ‘ટ્રુથ ઈઝ ઑલ્વેઝ એક્સાઈટિંગ. સ્પીક ઈટ, ધેન. લાઈફ ઈઝ ડલ વિધાઉટ ઈટ.’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જૂન 2022 

Loading

કૂતરાંઓનું પિયર

રીતિ શાહ|Opinion - Opinion|16 July 2022

જન્મની સાથે જડી આવેલા ઘર “પ્રકાશ”ની બાજુમાં આવેલા મામીના બંગલે ગોપાલ મહારાજ અને ઘરઘાટી ભીમજીભાઈના પ્રેમભર્યા હાથે ઓવર ઇટિંગ કર્યા પછી, કૂતરાઓનું વિરામસ્થળ તે તસ્વીરમાં દેખાતી ઘરની બારીઓ, જે આઈસ-પાઈસ રમતાં છૂપાવાની અમારી બાળમંડળીની એંશીના દાયકાની જગ્યા.

આખો દિવસ ખાઈ પીને પડ્યા રહેતા કૂતરાઓને જોઈ ઘરના નોકર રણવીરને કૂતરાઓની ભારે ઈર્ષા થતી. સવારના અમારા ઘરનું બધું કામ પતાવીને દસ વાગે રણુ (રણવીર) ગુજરાત કૉલેજ પાસે હૉટલ કનકમાં પહોંચી જતો. સાંજે છ વાગે હૉટલ કનકની નોકરીમાંથી છૂટીને સાત વાગતામાં તો ચોઈસ રેસ્ટોરન્ટની નોકરીમાં હાજર. તે છેક રાતના બાર –સાડાબાર સુધી ચાલે એની રોટલાની દોડાદોડ. થાકીને લોથ રણવીર ઓટલા માટે ઘરે પાછો ફરે ત્યારે તેના ગાદલાંમાં ત્રીજી ચોથી પેઢીનાં કૂતરાં આળોટતાં હોય. બિચારો અડધી રાત્રે ગુસ્સો પણ કોની પર કાઢે?

ચોઈસમાં આવતાં ઘણાં કૉલેજિયનોની વર્તણૂકથી અકળાઈને તે ક્યારેક તેમને કૂતરાની ઉપમા પણ આપી બેસતો, તો ક્યારેક હાથમાં સાવરણી રમાડતો રમાડતો બબડતો બિલ ચૂકવ્યા વગર કાર દોડાવતા લોકો પાછળ તો કૂતરાની જેમ પડવું પડે. મચ્છરને મારતી વખતે પણ તેની જીભે મજાનાં સુવાક્યો રમતા હોય ! રણવીરના એક અવલોકન પ્રમાણે આ પ્રકાશભાઈને જ્યારે પણ કોઈ મળવા આવે છે (પપ્પા મોટે ભાગે સવારના મિત્રો સાથે ઘરના ઓટલે જ બેઠક માંડતા) ત્યારે અચૂક લાલ કૂતરું બારીની તેની કાયમી બેઠક છોડીને ઓટલે આવીને ગોઠવાઈ જાય છે અને ધ્યાનથી બધી વાતો સાંભળે છે. બહુ હોશિયાર થશે.

નવરા દેખાતા કૂતરાઓ ધીરે ધીરે પ્રગતિ કરી બિલાડીની પેઠે બારીમાથી અંદર આવવાની કળા શીખી  ગયેલા. ઉનાળાની ગરમીથી બચવા કેટલાંક કૂતરાંઓ ક્યારામાં ખાડા ખોદીને સંતોષ મેળવે તો કેટલાંક ઠંડકની શોધમાં છાના–માના દાદરો ચઢી ઉપરના રૂમમાં છૂપાઈ જાય.

એક વખત દીકરી અમૃતા ભાંખોડિયા ભરતી–ભરતી બરાબર દાદરાની વચ્ચોવચ આવેલા પગથિયે પહોંચી તે જ વખતે બપોર આખી ઉપરના રૂમમાં છૂપાઈને બેઠેલું કૂતરું પગથિયાં કૂદતું –કૂદતું નીચે આવી રહ્યું હતું, બરાબર મધ્યના પગથિયે બંને સામસામા. રસોડામાંથી કામ કરતાં–કરતાં મારી નજર ત્યાં પડી, કંઈક ખ્યાલ આવે તે પહેલાં જ પેલી સમજુ બકરીઓની જેમ દીકરીએ અને કૂતરાએ બંનેએ પોતપોતાનો રસ્તો કરી લીધો હતો. કૂતરું ચૂપચાપ સીડી ઊતરીને પાછળના દરવાજેથી બહાર જતું રહ્યું અને દીકરી ઘૂંટણીયે ઘૂંટણીયે દાદરો ચઢી ગયેલી.

1995માં બહેન ઋતા અમેરિકા સ્થાયી થઈ ત્યારે ઈમેલ, ફેક્સ જેવા શબ્દોથી પરિચિત લોકો ઘણા ઓછા. 1-2 મિત્રોને મોઢે ગૌરવપૂર્વક સાંભળેલું કે તે ઈમેલ ઓપરેટરની નોકરી કરે છે. મિનિટના 110 રૂપિયાના આઇ.એસ.ડી.  કોલનો એ જમાનો. ઈમેલ આવતાં-જતાં પણ સહેજે સાત-આઠ કલાક થતાં તે વર્ષોમાં. લોકલ ફોન વખતે અચૂક પોતાની હાજરી પૂરાવતાં કૂતરાઓની એસ.ટી.ડી. – આઈ.એસ.ડી. કોલ વખતે સક્રિયતા વિશેષ હોય. આ કૂતરાઓ ઋતા જ્યારે અમદાવાદ આવે ત્યારે તેને ઘરમાં  પેસવા જ ના દે. ટી.વી.માં અગત્યના સમાચાર કે સિરિયલના સંવાદ વખતે ચૂપ રહે તે કૂતરાં જ શાના કહેવાય? પોલિટિકલ ડિબેટ વખતે મને પણ સાંભળોનો તેમનો અભિગમ અવશ્ય જોવા મળે. શિયાળામાં તાર પર  સૂક્વેલાં કપડાં ખેંચી કાઢી તેમાથી હૂંફ  શોધતા હોય. એક-બે વખત કૂતરાં પકડવાની ગાડી પણ આવી હતી, તે જ કૂતરાઓ બે-ચાર દિવસમાં ગલી શોધતાં પિયર પાછા ફરેલાં.

સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3231,3241,3251,326...1,3301,3401,350...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved