Opinion Magazine
Number of visits: 9669266
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈશ્વિક મંદીઃ સ્થાનિક બજાર ભારતને બચાવશે, પણ વૈશ્વિક તેજીમાં આપણો નંબર આવે એ જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 November 2022

અર્થતંત્રના એક્સપર્ટ્સ એવી આશા સેવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે ફુગાવો ટોચે પહોંચશે, વ્યાજના દર જરા હળવા થશે અને રોકાણકારો વિશ્વના ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્ર તરફ મોટી સંખ્યામાં ધસી આવશે

આ દુનિયામાં બે ઘટનાઓ એવી ઘટી જેણે માનવજાતિ પર બહુ ઘેરો પ્રભાવ પાડ્યો. સારો ઓછો, નરસો વધારે. પહેલી ઘટના હતી બીજું વિશ્વ યુદ્ધ અને બીજી ઘટના એટલે કે કોરોનાવાઇરસ રોગચાળો. થંભી ગયેલી દુનિયા, મૃત્યુના આંકડા, બેવડ વળી ગયેલા અર્થતંત્રને બેઠા કરવા માટે થતી જહેમત જેવું કેટલું ય આ બન્ને ઘટનાને પગલે દુનિયાએ જોયું. યુદ્ધ થંભે અને દુનિયાના રાજકારણના સમીકરણો બદલાઇ જાય. રોગચાળાની અસરો પણ એટલી જ વ્યાપક રહી – વેક્સિન ડિપ્લોમસીથી માંડીને વાઇરસ એક શસ્ત્ર છે જે ચીનની લેબમાં બન્યું છે જેવી થિયરીઓને પગલે રાજકારણના સમીકરણો બદલાય તે સ્વાભાવિક છે. વળી કોવિડ-19ના પેન્ડેમિકે કંઇ પાછી પાની નથી કરી, તેના તિખારા, તણખા અને ભડકા ક્યાંક ક્યાંક ગમે ત્યારે દેખાઇ જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જે રીતે સરકારની તિજોરીનાં તળિયાં દેખાઇ ગયાં અને અર્થતંત્રનું મિટર સડસડાટ નીચે ઉતરી ગયું અને જી.ડી.પી. પર અસર થઇ. આવી જ અસરો રોગચાળા પછી પણ થઇ છે. કોરોના વાઇરસ રોગચાળાને યુદ્ધ સાથે પહેલાં પણ સરખાવાઇ ચૂક્યો છે – ખાસ કરીને રાષ્ટ્રોના પ્રમુખોએ પોતાના નાગરિકોને સંબોધતા ઘણીવાર યુદ્ધ સાથે રોગચાળાની સરખામણી કરી છે.

બન્નેમાં મૃત્યુ આંક બહુ મોટો હતો, રોજે રોજના આંકડા નોંધવામાં આવ્યા છે, રોજિંદી જિંદગીમાં આવેલા અવરોધો, અમુક સેવાઓનું બંધ થવું વગેરે બન્ને ઘટનાઓની સામાન્ય બાબતો છે. ફ્રાંસ અને જર્મની જેવા યુરોપિયન દેશોમાં હવે જે મંદીના ડંકા વાગી રહ્યા છે તેની સરખામણી બીજા વિશ્વ યુદ્ધ પછીના સંજોગો સાથે જ કરવી પડે એમ છે. જો કે આ બન્નેમાં ભેદ પણ છે – એ ભેદ એ કે યુદ્ધમાં સામાવાળાનો ખાત્મો બોલાવવો, સ્થળાંતર થવા, ઉત્પાદન ક્ષમતાને નીચે લાવવી વગેરે પર ધ્યાન અપાતું પણ હવે રોગચાળા પછી જે જરૂરી નથી તે બંધ કરવું, સ્થળાંતર ટાળવા, આત્મનિર્ભરતા પર ધ્યાન આપવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધમાં 60 મિલિયન લોકોનાં મોત થયા અને રોગચાળાએ 6,00,000થી વધુ લોકોના જીવ લીધા છે –  એ સરખાણીની દૃષ્ટિએ બન્નેમાં તફાવત છે. વળી કમનસીબે રોગચાળાની પીડા સાથે આપણા માથે રશિયા અને યુક્રેનનો સંઘર્ષ પણ ઝિંકાયો છે. આ સંઘર્ષને કારણે ખાધા-ખોરાકીની કિંમતો, ઇંધણની કિંમતો, ફુગાવો, સપ્લાય ચેઇન્સ અને કનેક્ટિવિટી બધા પર અસર પડી છે.

ટેક જાયન્ટ્સ હવે વૈશ્વિક સ્તરે માથે તોળાઇ રહેલી મંદીની વાત કરી ચૂક્યા છે. વૈશ્વિક મંદીની અસર ભારત પર નહીં જ પડે એવું માની લેવું ખોટાં ફીફાં ખાંડવાં જેવું છે. હા, પણ ભારત પર વૈશ્વિક મંદીની એટલી ઘેરી અસર નહીં હોય જેટલી બીજા દેશો પર હશે. આપણે ત્યાં તો ડોમેસ્ટિક માર્કેટની માંગ જ એટલી મોટી છે કે એ જ આપણા જી.ડી.પી.નો આધાર બને છે. અર્થતંત્રના એક્સપર્ટ્સ એવી આશા સેવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે ફુગાવો ટોચે પહોંચશે, વ્યાજના દર જરા હળવા થશે અને રોકાણકારો વિશ્વના ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્ર તરફ મોટી સંખ્યામાં ધસી આવશે. પરંતુ ટેક જાયન્ટ્સ જે રીતે છટણી કરી રહ્યા છે તેની અસરો હવે દેખાવાની શરૂ થશે – આર્થિક હતાશાની અસર ઉપભોક્તાવાદ પર પણ પડે અને પડી રહી છે. 2022નું વર્ષ હવે પતવા આવ્યું અને આગામી ફાનિન્શિયલ યરનું જે બજેટ હશે તેની પર અત્યારના વૈશ્વિક સંજોગોની સીધી અસર પડશે. ખાસ કરીને યુ.એસ.ની મંદીની અસર આપણા બજેટ પર વર્તાશે. આ પહેલાંની મંદીઓમાં દેખાયેલા ટ્રેન્ડ અનુસાર ઑટો, એન્સિલરીઝ, ધાતુ, ટેક્સ્ટાઇલ વગેરે પર અસર થઇ પરંતુ જેમ્સ – જ્વેલરી, કેમિકલ્સ, ફાર્માસ્યૂટિકલ્સ પર અસર નહોતી પડી અને તે ધંધો ધીકતો જ રહ્યો. ઓછી નિકાસ અને મજબૂત ડૉમેસ્ટિક ગ્રોથ – જેમાં વધુ આયાતનો પણ સમાવેશ કરાય તે આખા અર્થતંત્રનું ઓવરઓલ બેલેન્સ ખોરવી નાખે એમ બને. નિકાસને કારણે આપણો જી.ડી.પી. – રોગચાળા પહેલાંની સ્થિતિએ પહોંચ્યો છે. કોમોડિટીના ભાવમાં જે કડાકો આવશે તેનાથી ભારતને ફાયદો થઇ શકે છે. માંગ ઘટવાને કારણે ભાવ ઘટશે અને આ આખી ત્રિરાશી મંદીનું પરિણામ હશે. વૈશ્વિક મંદીની અસર કોમોડિટીના ભાવ પર પડે જ. બીજી તરફ નિકાસ ઘટશે તો ઉત્પાદન વિકાસ પર અસર પડશે, નિકાસ પર આધાર ઓછો હશે તો વિદેશી ભંડોળ માટે ભારત અન્ય રાષ્ટ્રોની પસંદગી બને તે પણ સ્વભાવિક છે.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એવી ચેતવણી આપી છે કે વૈશ્વિક અર્થતંત્ર સાપેક્ષ અનુમાનોની દુનિયામાંથી એક મોટી અનિશ્ચિતતાઓ તરફ આગળ વધી રહ્યું છે. યુરોપિયન અને અમેરિકન અર્થતંત્રમાં જે થોડોઘણો વિકાસ છે તે એટલે છે કે સરકાર એનર્જી સબસિડીઝ અને નીતિઓમાં પૈસા ખર્ચી રહી છે – પરંતુ આવું ક્યાં સુધી સંભાળી શકાશે એ પણ એક પ્રશ્ન છે. એક સારી બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય આર્થિક વિશેષજ્ઞોના મતે એશિયાના મોટા અર્થતંત્રો પર વૈશ્વિક વિકાસનો આધાર છે.

આગામી ફાઇનાન્શિયલ વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્ર જો છથી સાત ટકા વિકાસ કરીને તે આંકડો જાળવી શકે તો ભારત વૈશ્વિક મંદીનો ભાર ખમી શકે. થોડા વખત પહેલાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે યુ.એસ.એ., યુરોપ, જાપાન અને ચીનમાં એક ચોક્કસ રિધમમાં ડાઉન ટર્ન થઇ રહ્યું છે જે વૈશ્વિક મંદીનું કારણ બનશે. તેમના મતે ભારતમાં કોઇ સ્લોડાઉનના એંધાણ નથી.

બાય ધી વેઃ

સંજોગો વધુ બગડી શકે તેમ છે પણ ભારતીય અર્થતંત્રના વિભાગીય લક્ષણોને કારણે ગ્લોબલ સપ્લાય ચેનમાં જે અવરોધો આવ્યા તેમાં આપણે સલામત રહી શક્યા છીએ. આજે પણ ભારતીય અર્થતંત્રમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો મોટો છે. ભારત ઓઇલ શોક્સને મામલે સંવેદનશીલ અર્થતંત્ર છે કારણ કે આપણે આપણી ઉર્જાની જરૂરિયાત માટે ત્રણ ચતુર્થાંશ જેટલી આયાત કરીએ છીએ પણ રશિયા સાથેના જોડાણથી એ મોરચો અત્યારે સચવાયેલો છે. અત્યારે ભારત ખુશ થઇ શકે છે કે એક રીતે આપણા સ્થાનિક સંજોગો આપણને વૈશ્વિક મંદીથી દૂર રાખે છે અને અર્થતંત્ર ડોમેસ્ટિક એલિમેન્ટ્સ પર ટકી જાય છે પણ જ્યારે વૈશ્વિક તેજી આવશે ત્યારે આ માત્ર સ્થાનિક બજારને મજબૂત રાખવાનું વલણ આપણને પાછા પાડી શકે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 નવેમ્બર 2022

Loading

શૂન્ય ધૂનની વાણી

બીજલ જગડ|Opinion - Opinion|27 November 2022

અખંડ ધારા વરસાવે જ્યાં અમૃત પાણી,

કરું ત્યાં હું શૂન્ય ધૂનની સચેત વાણી.

સમરસ થઈ સગુણ તુજમાં થઈ ભળું,

કાલકૂટ ઝેર નીકળે પીધું મેં જાણી જાણી.

ખોડ્યા પહાડ, ઝરણાં દરિયાઓ વટાવી,

અહિરાજનાં ડમરૂ વાગે, મુજ કંઠે સંતવાણી.

તર ભીતર ચિતરમાં આતમરૂપ અરૂપ,

પંચતત્વનું પૂતળું ઘડિયું ત્રણલોક ને જાણી.

જળમાં સકળમાં કણ કણમાં દે છે સાદ,

સત્યનાં ગાંઠે બાંધું પ્રેમધૂનની અનંત વાણી.

અખંડ ધારા વરસાવે અમૃત પાણી,

કરું ત્યાં શૂન્ય ધૂનની સચેત વાણી,

છાબું ભરી છંદની, ગીતડાંની ગરમાળ,

અનહદ ઝરૂખે અડધું મૌન અડધી વાણી.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

અપ્રમાણિક શાસકો જગતના શ્રેષ્ઠ બંધારણને પણ નિષ્ફળ બનાવી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 November 2022

અરુણ ગોયલની ભારત સરકારે નિર્વાચન આયુક્ત (ઈલેકશન કમિશ્નર – ઇ.સી.) તરીકે જે દિવસે નિયુક્તિ કરી, એ દિવસ લોકતંત્ર અને બંધારણીય ભારત માટે ઐતિહાસિક હતો. ભારતનું બધારણ ઘડાઈ ગયું હતું અને તેને ૨૬મી નવમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભા મંજૂરી આપવાની હતી, તેના અઠવાડિયા પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે બંધારણ સભામાં આખરી પ્રવચન આપ્યું હતું. એ પ્રવચનમાં તેમણે બે વાત કહી હતી. એક તો એ કે જો આવનારા શાસકો ખૂટેલ હશે તો દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ પણ લોકતંત્રને ન બચાવી શકે અને જો શાસકો પ્રામાણિક હોય તો નબળું બંધારણ પણ દેશને ઊગારી શકે. એટલે બંધારણની શ્રેષ્ઠતા લોકતંત્રની અને કાયદાના રાજની ગેરંટી નથી. તેમણે બીજી વાત એ કહી હતી કે લોકોને રસ્તા ઉપર ઊતરીને આંદોલન ન કરવું પડે એ જગતના કોઈ પણ પ્રજાલક્ષી લોકશાહી દેશની કસોટી છે. આ વાત સમજવા જેવી છે. રસ્તા પર ઊતરીને આંદોલન કરવું એ પ્રજાનો મૂળભૂત અધિકાર છે પણ એ અધિકાર વાપરવાની પ્રજાને જરૂર ન પડે એમાં લોકતાંત્રિક રાજ્યની કસોટી છે. જેમ કે બે વરસ પહેલાં સરકાર કૃષિકાનૂન લાવી હતી જે ખેડૂતોને સ્વીકાર્ય નહોતા. હવે જો દેશમાં સંવેદનશીલ લોકતંત્ર હોત અને સંસદ અને ન્યાયતંત્ર જેવી લોકશાહી સંસ્થાઓ જાનદાર ધબકતી હોત તો ખેડૂતોની ફરિયાદોને સાંભળવામાં આવી હોત. તેના વિષે સાંગોપાંગ ચર્ચા થઈ હોત, જરૂરી સુધારા થયા હોત અથવા અદાલતમાં ન્યાય મળ્યો હોત. લોકોને પોતાની વાત કહેવા માટે અને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઊતરવું પડે એનો અર્થ જ એ કે લોકતંત્ર જેવું હોવું જોઈએ એવું તંદુરસ્ત નથી.

આ વાત અને લોકતંત્રની કસોટીનો માપદંડ બંધારણ ઘડવામાં જેણે સિંહફાળો આપ્યો હતો એ ડૉ. આંબેડકરે બંધારણસભામાં વિદાય લેતા પ્રવચનમાં કહી હતી અને એ જ દિવસે, ૭૩ વરસ પછી, ભારત સરકારે ગેર બંધારણીય અને અનૈતિક રીતે અરુણ ગોયલની ચૂંટણી પંચમાં આયુક્ત તરીકે નિયક્તિ કરીને સાબિત કરી આપ્યું હતું કે અપ્રામાણિક શાસકો જગતના શ્રેષ્ઠ બંધારણને પણ નિષ્ફળ બનાવી શકે છે અને લોકતંત્રનો પ્રાણ હરી શકે છે. એ ભાઈ આગલા દિવસે સરકારી નોકરીમાંથી મુદ્દત પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે અને બીજા દિવસે તેમની દેશની લોકશાહી સંસ્થામાં નિયુક્તિ થાય છે. ગુજરાતની વિધનસભાની ચૂંટણી નજીક છે, એ પછી ઉત્તર ભારતનાં બીજાં મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને દોઢ ત્યારે એ ભાઈ પાસેથી કોઈ કામ લેવાનું હશે અને એ ભાઈએ કામ કરી આપવાનું વચન આપ્યું હશે. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો. સર્વોચ્ચ અદાલતે પાંચ જજોની બંધારણીય બેન્ચ રચીને સુનાવણી હાથ ધરી. અદાલતે કેન્દ્ર સરકારના એટર્ની જનરલને કહ્યું છે કે જો નિયુકિતમાં કોઈ રમત રમાઈ નથી એમ જ્યારે તમે કહો છો તો નિયુક્તિ કઈ રીતે કરવામાં આવી એની ફાઈલ અદાલતમાં રજૂ કરો.

વાત એમ છે કે આપણું બંધારણ કેટલીક બાબતે ચૂપ છે અને તેનો શાસકો દ્વારા લાભ લેવામાં આવે છે. અદાલતોમાં જજોની નિયુકિત, ચૂંટણી પંચમાં તેના આયુકતની નિયુકિત અને કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલની નિયુકિત કઈ રીતે કરવી એ બાબતે બંધારણમાં કોઈ નિર્દેશ નથી. નિયુક્તિનો સ્પષ્ટ નિર્દેશ નથી એટલે નિયુકિત કરવાનો અધિકાર શાસકોને મળે છે. બંધારણ ઘડનારાઓએ કદાચ એમ ધાર્યું હશે કે દેશને વિવેકી શાસકો મળતા રહેશે.

સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો માટે જજોની પસંદગી સર્વોચ્ચ અદાલતના જજોનું બનેલું કોલેજિયમ કરે છે અને નિયુકિત સરકાર કરે છે. બંધારણ તો જજોની નિયુકિતની બાબતે પણ ચૂપ છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે આપસમાં વિચાર વિનિમય કરીને જજોની પસંદગી કરવાનો અને ભલામણ કરવાનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો હતો. આ પછી પણ નિયુક્તિનો અધિકાર તો સરકાર જ ધરાવે છે અને સરકાર જજોની નિયુકિત નહીં કરીને અથવા ભલામણની અવગણના કરીને પોતાનું ધાર્યું કરે છે. જો કોલેજિયમની ભલામણ મુજબ વીતેલાં વરસોમાં જજોની નિયુકિત કરવામાં આવી હોત તો અદાલતોમાં કેસના ભારણમાં ખાસ્સો ઘટાડો થયો હોત. શાસકો જાણે છે કે જો ન્યાયતંત્ર ચૂસ્તદુરસ્ત હોય તો જેલમાં જવું પડે.

સર્વોચ્ચ અદાલતે સૂચવ્યું છે કે ચૂંટણી પંચના આયુક્તની નિમણૂક વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ મળીને કરવી જોઈએ. આવી ભલામણ કાયદા પંચે પણ કરી હતી. સવાલ એ છે કે આ પણ કોઈ અકસીર ઈલાજ નથી. સી.બી.આઇ.ના વડાની નિમણૂક આ રીતે જ થાય છે અને પરિણામ આપણી સામે છે. દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ આર.એન. લોઢાએ સી.બી.આઇ.ને સરકારી પોપટ તરીકે ઓળખાવી હતી.

તો પછી ઉપાય શું? ઉપાય છે ભારતના લોકતંત્રને નિર્બળ બનાવતી નબળાઈઓને ઓળખવામાં આવે, તેના ઉપાય વિષે રાષ્ટ્રીય ચર્ચા થવી જોઇએ, બને ત્યાં સુધી સર્વસંમતિ સાધવામાં આવે અને બંધારણમાં જરૂરી સુધારા કરવામાં આવે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 નવેમ્બર 2022

Loading

...102030...1,3181,3191,3201,321...1,3301,3401,350...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved