Opinion Magazine
Number of visits: 9744411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં !

રમેશ સવાણી|Opinion - Opinion|29 December 2022

જ્યાં સુધી વ્યક્તિએ સેક્યુલર વલણ આત્મસાત્ કર્યું ન હોય, સમાજની પ્રથાઓ સેક્યુલર ન હોય; તો રાજ્ય ક્યાં સુધી, કેટલાં અંશે અને કેવી રીતે સેક્યુલર રહી શકે? હકીકતમાં જ્યાં સુધી સમાજમાં તથા એકંદર માનવીના વૈયક્તિક જીવનમાં ધર્મ ગૌણ ન બન્યો હોય, તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા પાતળી પડી ન હોય, ધર્મ સમાજજીવનમાં માર્જિનલાઈઝ્ડ બન્યો ન હોય અથવા સમાજના મુખ્ય પ્રવાહ પરથી તેનો પ્રભાવ દૂર થયો ન હોય ત્યાં સુધી સેક્યુલર રાજ્ય પણ સંભવિત નથી. યુરોપીય દેશોમાં બધી વ્યક્તિઓએ ધર્મ ત્યજ્યો છે તેવું નથી, પણ ધર્મ તથા ધાર્મિક માન્યતાઓ, મુખ્ય પ્રવાહના અંગરૂપ નથી, ધાર્મિક રિવાજો પણ ઔપચારિક ઉજવણી – તે પણ વર્ષમાં માંડ બે–એક પ્રસંગે જોવા મળે. ધર્મ તથા ધર્મની વાતોને ગંભીરતાથી લેનારી વ્યક્તિઓ ત્યાં પણ છે, પરન્તુ તેમની સંખ્યા જૂજ છે અને તેઓ ભાગ્યે જ ધાર્મિક આદેશો અનુસાર કાયદા ઘડવા જોઈએ તેવો આગ્રહ કરી શકે છે. ટૂંકમાં, ત્યાં ધાર્મિક વ્યક્તિઓ અને ધર્મ માર્જિનલાઈઝ્ડ થઈ ગયાં છે.

અહીં, પ્રથમ એ સવાલ થાય કે ધર્મને આવી રીતે દેશનિકાલ કરવાની શી જરૂર પડી? ધર્મની વાતોમાં એવું શું છે કે સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજ રચવા માટે તેને બાજુએ રાખવાનું મુનાસીબ ગણવામાં આવ્યું? ધર્મના કારણે એવી તો કેવી પરિસ્થિતિ પેદા થઈ કે તેને કોરાણે મૂકવાનું આવશ્યક બન્યું? અને સેક્યુલર વ્યવસ્થાની હિમાયત કરવાની જરૂર કેમ પડી? માનવજાતના ઇતિહાસ પર નજર કરતાં આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી રહે છે; ઉપરાંત, ધર્મના કારણે વૈચારિક ક્ષેત્રે તેમ જ, જ્ઞાનપ્રાપ્તિના ક્ષેત્રો જે બંધિયાર તથા અવરોધક સ્થિતિ સર્જાઈ હતી, તેમાં આ ધાર્મિક વર્ચસ્વ સામેના વિદ્રોહનો પાયો જોઈ શકાય છે. ધાર્મિક વાડાઓને કારણે માનવસમૂહોમાં ફાલેલી જૂથબંધી, વેર–ઝેર, દમન અને અન્યાય (વર્ણવ્યવસ્થા, સ્ત્રી–પુરુષ સમાનતા) તથા માનવએકતા, અરે, એક રાષ્ટ્રનિર્માણના કાર્યમાં પણ જે મુસીબતો પડતી હતી તેને કારણે ધર્મને જાકારો આપવો જરૂરી બન્યું હતું. અલબત્ત, ધર્મે બધું ખોટું જ કર્યું છે એમ ના કહી શકાય. એક સમયે તેણે માનવસમાજને આવશ્યક સ્થિરતા, નિયમપાલન વગેરેમાં ફાળો આપ્યો હતો, પરન્તુ ધીરે ધીરે તેણે જે સ્વરૂપ અખત્યાર કર્યું તથા તેની કામગીરી વધુ કાર્યક્ષમ રીતે ઉપાડી લે તેવાં તંત્ર રચાતાં તેની ઉપયોગિતા ઘટી અને હાનિકારક પાસું જ તેમની પાસે રહ્યું.

પ્રથમ તો આપણે કેવો સમાજ નિર્માણ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ. આ સમાજનાં લક્ષ્યો, આદર્શો અને સંબંધો તથા વ્યવહારો વિશેનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. ત્યાર બાદ તે કેટલે અંશે સેક્યુલર વ્યવસ્થા અને સંસ્કારો સાથે સુસંગત છે તે જોવું જોઈએ. તદુપરાંત, આવા સમાજ માટે માનવીમાં કેવાં સંસ્કારો અને વલણ દૃઢ કરવાં જોઈએ તે સમજી લેવું જોઈએ; કારણ કે, છેવટે વ્યક્તિનાં વલણો અને સંસ્કારો તેના વર્તન અને વ્યવહારને ઘડે છે. વ્યક્તિના વર્તન દ્વારા સમાજનાં વ્યવહારો, તંત્ર અને પ્રથાઓ સંચાલિત થાય છે. એટલે કે, વ્યક્તિમાં આપણે એવાં સંસ્કાર અને વલણ સિંચવાં જોઈએ, પ્રેરવાં જોઈએ, જે આપણી કલ્પના અનુસારના સમાજને સમર્થક હોય. જો આપણે એવા સમાજની કલ્પના કરતાં હોઈએ કે જેમાં વ્યક્તિ માત્રની શક્તિઓને મુખરીત થવાની મોકળાશ હોય; વ્યક્તિમાત્રનું ગૌરવ થતું હોય; સૌ સમાન હોય; દરેક વૈચારિક મુક્તિ ધરાવતો હોય; કોઈનું શોષણ કે દમન ન થતું હોય; દરેક વ્યક્તિને પોતાની આવશ્યકતાઓ સંતોષવા માટે માર્ગો સુલભ હોય; ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, પ્રદેશ, રાષ્ટ્ર જેવાં જન્મજાત બંધનોથી ઊભા થતા સંકીર્ણ વાડાઓમાં માનવીનું વિભાગીકરણ થયું ન હોય; વ્યક્તિનું મૂલ્યાંકન જન્મજાત લક્ષણોથી નહીં, પરન્તુ તેણે પ્રાપ્ત કરેલા ગુણો દ્વારા થતું હોય. જૂથવાદના પૂર્વગ્રહો કે વેરઝેર ન હોય. માનવી પરસ્પર સહયોગ અને ભાઈચારાથી જીવતો હોય. મતભેદ હોય પણ મનભેદ ન હોય. માનવી માનવી વચ્ચે, તેના હાથ બહારનાં કે જન્મગત લક્ષણોને કારણે વેરો–આંતરો ન હોય. આ એક વિશ્વસમાજનું કલ્પન છે, વિશ્વમાનવનું કલ્પન છે. આ કલ્પનમાં સેક્યુલર સમાજ વ્યવસ્થાના, સેક્યુલર વલણ ધરાવતાં માનવીનાં, લક્ષણો સૂચિત છે. સેક્યુલર રચનાનું આપણું કલ્પન આ ચિત્ર સાથે સુસંગત હોય તો આપણે એવી તંત્રરચનાઓ (સ્ટ્રક્ટર્સ), પ્રથાઓ (ઈન્સ્ટિટ્યુશન્સ) અને વલણ તથા સંસ્કારોને (કલ્ચર) દ્રઢ કરવાં જોઈએ, પ્રેરવા જોઈએ, જે આ ચિત્રને યથાર્થ બનાવે. સમાજની તંત્રત્રરચના અને પ્રથાઓ તથા વ્યક્તિનાં વલણ અને સંસ્કારો એકબીજાને પ્રભાવિત કરતાં હોય છે. આ ત્રણેની ગુંથણીમાંથી સમાજનું પોત રચાય છે, સામાજિક સ્થિરતા સર્જાય છે; પરન્તુ આ ગુંથણીથી રચાતી વ્યવસ્થા માનવપ્રગતિ માટે આવશ્યક પાયાનાં મૂલ્યો સાથે સુસંગત ન હોય ત્યારે વ્યક્તિ વિદ્રોહ કરી નવાં મૂલ્યો અને તેને અનુરૂપ તંત્ર અને પ્રથાઓ સ્થાપવા સંઘર્ષ કરે છે. તેમ જ બાહ્ય પરિબળો કે નવી અપેક્ષાઓ તથા ઉપરથી આવતા તંત્રગત પરિવર્તનને કારણે પણ પરિવર્તનનાં ચક્રો ગતિશીલ બને છે. ક્યારેક આ બન્ને એક સાથે પણ આવે છે, પરન્તુ છેવટે સમાજની રચના કે પ્રથાઓ પાછળનાં મૂલ્યો અને વ્યક્તિનાં વલણ તથા સંસ્કારો માનવ પ્રગતિને પ્રેરક હોય; સ્વતંત્રત્રતા, સમાનતા અને બંધુત્વને સમર્થક હોય તો જ સ્થિર અને ન્યાયી સમાજ રચી શકાય.

સેક્યુલર સમાજ કે માનવીને આકાર આપવા માગતી વ્યક્તિઓએ એવાં તંત્ર કે પ્રથાઓનું સમર્થન કે નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર મૂલ્યોની નિકટ હોય; વ્યક્તિમાં એવાં વલણો કે સંસ્કારોનું સમર્થન નિર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર હોય, તેમ જ સેક્યુલર લક્ષ્યથી વિરોધી કે તેને અવરોધક પરિબળોને નાબૂદ કરવા મથવું જોઈએ. તંત્રની રચના અને તેનું સંચાલન કરતી પ્રથાઓ માનવ નિર્મિત છે. વ્યક્તિનાં વલણો અને સંસ્કારો પણ માનવી દ્વારા ઘડાય છે, આમ બન્નેમાં કેન્દ્રસ્થાને માનવી છે. આથી, વ્યક્તિનાં વલણો અને સંસ્કારોમાં પરિવર્તન લાવવામાં આવે તો ક્રાંતિકારી પરિવર્તન માટેનાં દ્વાર ખૂલી જાય છે. તંત્ર અને પ્રથાઓ મહત્ત્વનાં છે, તેમની શક્તી ઓછી આંકવી જોઈએ નહીં…

ઉપરના વિચારો પ્રોફેસર જયંતી પટેલના છે. રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિશારદ. વૈજ્ઞાનિક અભિગમને અપનાવી ભણતર અને ગણતર બન્નેનું કાર્ય રાજ્યશાસ્ત્ર અને રેશનાલીઝમ વિષયક પંદરેક પુસ્તકોના લેખન દ્વારા તેમણે કર્યું છે. તેમની આત્મકથા ‘ઝૂમવું ને ઝઝૂમવું તે જીવવું’ યુવાનોએ વાંચવા જેવી છે. તેમનું એક પુસ્તક ‘સામુદાયિક રાજકીય હિંસા : પ્રક્રિયા-વિશ્લેષણ’ 1986માં પ્રસિદ્ધ થયેલ જે 2022માં વધુ પ્રસંગિક બન્યું છે. માત્ર લેખનકાર્ય જ નહીં; પણ જ્યાં મનુષ્યનું શોષણ હોય, અન્યાય હોય, અસમાનતા હોય, અંધશ્રદ્ધા હોય ત્યાં લડતોમાં એ અગ્રણી રહ્યા છે / પડખે ઊભા રહ્યા છે. તેમના વિચારોનો નિચોડ એ છે કે તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં ! સાદા / સરળ / સહેજ પણ દંભ-દેખાડો નહીં; માનવવાદી / રેશનાલિસ્ટ / વિદ્વાન એવા જયંતિભાઈ 29 ડિસેમ્બરે 90 વર્ષ પૂરાં કરી 91માં પ્રવેશ કરે છે. અઢળક શુભેચ્છાઓ આપીએ. વિશેષ આનંદ એ છે કે આવા વિરલ વ્યક્તિત્વની સાથે યોગાનુયોગ મારો પણ જન્મદિવસ છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શાકભાજીની લારી  

મયૂર ખાવડુ|Opinion - Opinion|29 December 2022

શાકભાજી લેવા જવાનું હું મોટાભાગે ટાળું છું. ભૂતકાળમાં સડેલું શાકભાજી લાવવાના કારણે પરિવારજનોના ઉદરને અને મારા ગાલને જે તીવ્ર સંકટ સાંપડ્યું હતું, તેના કારણે મેં શાકભાજી લેવા જવાનું રદ્દ કર્યું છે. તો પણ જ્યારે કોઈ અતિથિ પધારવાના હોય ત્યારે ફરજિયાતપણે મને જ શાકભાજી લેવા મોકલવાનો પરિવારજનોનો અતિ આગ્રહ હું આજે ય કળી શક્યો નથી. એટલે જ મને થાય છે કે શા માટે તે અતિથિઓ અમારા ઘરની મુલાકાતે પરત આવતા નથી અને શા માટે તેઓ કોઈ શુભ પ્રસંગે મળી જાય ત્યારે અમારા ઘરની કે અમારી ઓળખાણ સુદ્ધાં કાઢતા ડરે છે.

ત્યારે મોબાઈલ વગેરેની સુવિધા નહોતી એટલે કેટલાક શાકભાજીઓમાં હું ગોથું ખાઈ જતો હતો. નહીં તો ત્યારે હું તસ્વીર પાડી લેત અને શાકભાજી વિક્રેતાને બતાવી મનની સમસ્યાનું સમાધાન કરી લેત. આજે મોબાઈલ જેવી સુખની ઓછી અને દુ:ખમાં વધારે લેખાતી યાંત્રિક સગવડ આવી ગઈ હોવા છતાં મને તેની આવશ્યકતા જણાતી નથી, કારણ કે મારું વેવિશાળ થઈ ગયું છે!

બાળપણમાં ઓછું ભણતા વિદ્યાર્થીઓ બાદમાં શાકભાજીની રેંકડી ચલાવતા થઈ ગયેલા તેવું મેં મારી સગ્ગી આંખે જોયું હતું. પિતાજી ઠપકો આપતા કે ભણીશું નહીં તો શાકભાજી વેચવાના ધંધે લાગવું પડશે. આજે અમદાવાદની શાકભાજી વેચનારી સ્ત્રીઓ અને પુરુષોને ત્યાં મબલખ ભીડ જામી હોવાનું જોતાં ચિત્તને થાય છે કે મેં ભણીને પણ કશો કાંદો કાઢી લીધો નથી. હું આ લખી રહ્યો છું એ સમયમાં ક્યાંક શાકભાજી વેચવાનું કાર્ય કર્યું હોત તો અચૂકથી મને તેનાં પૈસા મળત.

મને યાદ આવે છે. મેં એક લેખ લખ્યો હતો અને તેના પુરસ્કાર પેટે મને ત્રણસો રૂપિયા જેટલી માતબર રકમ મળી હતી. આ ખાનગી વાત પછીથી મેં અમારા શાકભાજી વેચવા આવનારા એક મિત્રને કહી ત્યારે તેણે પોતે આજે કેટલી ડુંગળી અને બટાટા વેચ્યા તે અંગેના ઉપાર્જનની વિગત જણાવી મને ઉતારી પાડ્યો હતો. જો કે હું તેની મતિ પર અતિ વારી ગયો હતો. એ કંઈ ખોટો તો નહોતો જ. એ મિત્રનું સગપણ જે કન્યા સાથે થયું તે જોઈ મારી અંદર અહોભાવ ઉત્પન્ન થયો હતો. આખરે આ શાકભાજીવાળાને આટલી સુંદર કન્યા કેવી રીતે મળી ગઈ?

આ વાતને મેં દૃઢ સંકલ્પ તરીકે લઈ, શાકભાજી વિક્રેતાઓ તો ઉમરાવ હોય છે તેવી મનમાં જડ ગ્રંથિ બાંધી લીધી. જેનું ભવિષ્યમાં મારે ભયાવહ પરિણામ પણ ભોગવવું પડ્યું હતું. ક્યાંકથી એક કન્યાનું ઉડતું ઉડતું માગુ આવેલું અને મને મારી તસ્વીર મોકલવાનું કહ્યું હતું. મેં આપેલ નંબર ઉપર શાકભાજીની લારી સાથેની મારી તસ્વીર મોકલી આપી હતી. સામેથી કેટલાક પ્રશ્નો પૂછાયા હતા ત્યારે મેં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોથી વિપરિત જવાબ આપતા કહ્યું હતું કે હું શાકભાજીની લારી ચલાવું છું. એ કન્યાને તો મેં જોઈ પણ નહોતી. બાદમાં કોણ પિતા પોતાની કન્યાને કોઈ શાકભાજી વિક્રેતાને ત્યાં આપે? ત્યાં જ મારું પત્તુ કપાઈ ગયું અને હું એ કન્યાના હાથે દુ:ખી થતા રહી ગયો.

થોડાં વર્ષો પશ્ચાત એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું ત્યારે મારા દૂરના મામાના પુત્રએ મને આંગળી ચીંધી એ કન્યા બતાવી હતી. અને ત્યારે પ્રથમ વખત ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચી હોવા છતાં તેનું પાલન શા કારણે ન કર્યું તે માટે મેં મારા મનની અને શાકભાજીની રેંકડીની આકરી ઝાટકણી કાઢી હતી.

હવે અઠવાડિયામાં એક વખત તો મારે શાકભાજી લેવા જવા માટેનું નિમિત્ત બને જ છે. શાકભાજી વિક્રેતાઓ મને મનભરીને લૂંટે છે. ખરાબ રીંગણાં અને ખરાબ બટાટા જ્યારે મારા ગયા જન્મની ધણિયાણી હોય એમ મારી થેલીમાં ઢોળી આપે છે. ધીમેધીમે હું સમજતો થયો અને પછી મારી જાતે વીણીવીણીને શાકભાજી થેલીમાં નાખવા લાગ્યો. જો કે મારી અને એની પસંદગીમાં કંઈ ઝાઝો ફર્ક પડ્યો હોય એવું મને આજે ય લાગતું નથી.

શ્રીમતીજી આ અંગેનું રોદણું રોતાં કહે છે કે આના કરતાં તો એ પોતે નાખી દેતાં હતાં એ સારું હતું. આ સિવાયનું એક બીજું પ્રવચન પણ મારે સાંભળવું પડે છે કે, “તમારે ઘરની જગ્યાએ લખવા અને વાંચવામાં ધ્યાન આપવું છે એટલે આ બધા કારસ્તાન ઘડો છો.” આ સિવાયનું એક ત્રીજું પ્રવચન પણ મારે સાંભળવું પડે છે, “નક્કી તમારી કોઈ સગલી ત્યાં શાકભાજી લેવા આવતી હશે એટલે જ ઘરમાં શાકભાજી પૂરું થાય એની રાહ જોતાં બેઠાં હોવ છો.” જો કે આ વાંચનારા પુરુષ વાચકો (જો હોય તો) અને એ પણ લેખકો (જો હોય તો) એમને ખ્યાલ જ હશે કે આમાં મારો કોઈ જાતનો દોષ નથી.

એક વખતની વાત છે. અમદાવાદમાં જ્યાં હું શાકભાજી લેવા માટે જાઉં છું ત્યાં કેટલીક રેંકડીઓ ગેરકાયદેસર ઊભી રહે છે, એવું ગેરકાયદેસર કમાણી કરનારા લોકોનું માનવું છે, એવું હું કાયદેસર લખું છું. હું ગયો ત્યાં શાકભાજી વિક્રેતાઓ પોતપોતાની રેંકડીઓ સંકેલવાના ભગીરથ કાર્યમાં લાગ્યા હતા. મને જોઈ એક ભાઈએ કમાણી કરવાના આશયથી શું શું જોઈએ છે તેવું પૂછ્યું. હું આ પહેલાં પણ તેમને ત્યાંથી શાકભાજી ખરીદી ચૂક્યો હતો અને ગાજરની જેમ બટકાઈ ગયો હતો. જો કે ડૂબતાને તરણું કાફી કહેવતને અનુસરતા આજે આ ભાઈ ચાલ્યા ગયા તો હું કોને ત્યાંથી શાકભાજી ખરીદીશ એ વ્યાકુળતાએ મને તેમના તરફ દોર્યો.

હજું હું કંઈ બોલું એ પૂર્વે તો તેમણે કાકલૂદી કરતાં કહ્યું, “જરાક રેંકડીને ધક્કો મારોને, નહીંતર મ્યુનિસિપાલિટીવાળા લઈ જશે.” મને એ પુરુષની મદદ કરવી ઉચિત લાગી. રેંકડીને હાથ લગાવતા મને થયું કે આને રેંકડી તો ન જ કહી શકાય. એ સાંઢિયા ગાડી પાછળ બાંધવાનું વિશાળ વાહન હતું. એ ભાઈ આગળથી ખેંચતા જાય અને હું પાછળથી ધક્કો મારું. કોઈ કોઈ વખત તો મને ધાસ્તી થાય કે ક્યાંક મેં વધારે પડતું બળ લગાવ્યું અને ભાઈશ્રીની ઉપર લારી ચડી ગઈ તો? એકના વિનાની બે થશે!

ધીમે ધીમે મારી તીવ્રતા વધતી ગઈ. હું શાકભાજીની લારીને થાય એટલો જોરથી ધક્કો મારવા લાગ્યો. મારા આ પ્રયાસ વિશે તેમણે કશું કહ્યું નહીં. ભાઈને એવું લાગતું હશે કે લારી ઉઠાવનારાઓ નજીક આવતા જતા હશે એવું માની સજ્જન કંઈક વધારે જ શક્તિપ્રદર્શન કરી રહ્યાં છે. આમ કરતાં કરતાં અમે એક કિલોમીટર દૂર આવી ગયા. ભયસૂચક રેખા ઓળંગી ગયાની જાણ થતાં એ ભાઈ ઊભા રહી ગયા. પણ હું એમ ઊભું તેમ નહોતો. મેં મારી પૂરી શક્તિથી પેલી શાકભાજીની લારીને ધક્કો માર્યો અને પેલા ભાઈ ‘ઓઈ મારી મા’ કરતા ગબડી પડ્યા. ભૂતકાળમાં આવો શબ્દ તો મેં ત્યારે જ સાંભળ્યો હતો જ્યારે શાકભાજીવાળાઓનાં રીંગણાં કે બટાટા રેલમછેલ થઈ ગયાં હોય. પણ જ્યારે મારી નજર ગઈ કે આગળ તો કોઈ છે જ નહીં ત્યારે ખ્યાલ આવ્યો કે અદોદળા અને શ્યામવર્ણાં પેલા શાકભાજી વિક્રેતા ક્યાંક અલોપ થઈ ગયા છે. અને હું ફરી કોઈ રઝડતી રેંકડીનો માલિક બન્યો છું.

હું એ ક્યાં છે તે આસપાસ કૂકડાની જેમ માથું ઘુમાવતો દૃષ્ટિપાત કરતો હતો એટલામાં તેણે મારા બે પગ વચ્ચેથી ત્રાડ પાડી. મને થયું કે બાળકોની કાલ્પનિક કથાઓમાં આવે છે એ રીતે મારા પગને પણ વાંચા ફૂટી હશે, પરંતુ નીચે જોતાં દુર્દર્શ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો કે પેલા ભાઈ મારા પગ પાસે હતા. મેં તેમને મહામુસીબતે પાછળના બે ટાયર વચ્ચેથી ઊભા કર્યાં ત્યારે તે રઘવાયા થઈ મારા પર તાડુક્યા કે શા માટે મેં લારીને આટલો જોરથી ધક્કો માર્યો.

રીંગણાંના ઓળા જેવી એમની કાયા પર જ્યાં ત્યાં ધૂળના થર જામ્યા હતા. તેને હાથ વડે ફંગોળતા તે મારી પ્રશંસા કરવાની જગ્યાએ મને ભાંડી રહ્યા હતા. હું અવાચક બની સાંભળી રહ્યો હતો. તેનો વિષાદ પૂર્ણ થતાં મેં તેમને મારા ભયરસ વિશે કહ્યું, “પાછળ બળદ આવતો હતો. તેનાં શિંગડા જોઈ મને બીક લાગતી હતી એટલે મેં ઝડપ વધારી.” એ ભાઈએ પોતાની હૈયાવરાળમાં એ વરાળ પણ ઠાલવી કે એ બળદ પણ તેનો જ હતો. પછી હું એ લપમાં ન પડ્યો કે શા કારણે તેણે પેલા બળદને આટલા વિશાળ રથની આગળ બાંધી ભગાડવાનું યોગ્ય ન માન્યું. અને શા કારણે બળદનો બીજો અર્થ મૂર્ખ થાય છે તેવું ગુજરાતી શબ્દકોશનું ભાષણ પણ તેને મેં ન આપ્યું, કારણ કે અહીં મૂર્ખ બળદ ઠરતો નહોતો એટલે ફરી મારે જ ખરીખોટી સાંભળવી પડત.

મેં એમની પાસેથી શાકભાજી ખરીદ્યાં. પૈસા ચૂકવ્યા. હું મારા ઘર તરફ ચાલીને જતો હતો. એવામાં મને એક બીજું દૃશ્ય દેખાયું કે પેલા શાકભાજી વેચનારા ભાઈનો બળદ રખડતું ઢોર સમજી મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ લઈ જતાં હતા. થોડી ક્ષણોમાં એ ભાઈને પણ મેં દોડતા આવતા જોયા. મારી નજીક આવી શ્વાસ ખાતા તે મારા વદન ભણી જોવા લાગ્યા. મેં તેમને સાંત્વના પાઠવતા કહ્યું, ‘તમારો એ બળદ આમ પણ કંઈ કામનો નહોતો, એ બહાને તમારી લારી તો બચી ગઈ.’ બીજા અઠવાડિયે મને કોઈ શાકભાજીવાળા પાસેથી જ એ વિશેની વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થઈ કે બળદને બચાવવા દોડતા એકલી અટૂલી એમની લારી પણ હાથમાંથી ગઈ!

[‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ફેઇસબૂક દીવાલેથી સાદર]

Loading

મૃગજળ

આશિષ મકવાણા|Poetry|29 December 2022

મને મનની વાતો બધીયે કહી દે,

હથેળીમાં મારી, કશું તું લખી દે,

અધૂરી છે આ હસ્તરેખાઓ મારી,

પ્રણયની રસમ આજે પૂરી કરી દે,

જીવનના સફરનો નથી અંત કોઈ,

વિસામો આ દિલને ઘડી બે ઘડી દે.

બધી મુશ્કેલીઓનો ઉપચાર છે આ,

વજનદાર વાતોમાં હળવું હસી દે.

મધુવનમાં હું તું ને સાહેદ ફૂલો,

નસિયત જરા એને મારા વતી દે,

અષાઢી છે વાદળ ને પ્યાસા છે હોઠો,

મને આજ મૃગજળનો પ્યાલો ભરી દે.

e.mail : ashishmakwana@live.com

Loading

...102030...1,3181,3191,3201,321...1,3301,3401,350...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved