Opinion Magazine
Number of visits: 9458738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અજાણ્યા શહેરમાં ‘એ’ લોકો વચ્ચે રહેવાના અનુભવ …

સુજાત પ્રજાપતિ|Opinion - Opinion|29 July 2022

મને આ વરસના ફેબ્રુઆરી મહિનામાં નોકરી મળી, અને પોસ્ટિંગ મારા વતનથી બસો કિલોમીટર દૂર નવસારીમાં આવ્યું. મારે એ પહેલાં કદી ત્યાં જવાનું બન્યું નહોતું. નોકરીમાં હાજર થયો ત્યારે ત્યાં રોકાણની કશી આગોતરી તૈયારી કરીને ગયો નહોતો, કારણ કે હોદ્દાને લઈને હું સર્કિટ હાઉસમાં રહી શકવાને પાત્ર થઈ ગયો હતો, અને ત્યાં રહેવાનો અભરખો પણ હતો.

વિચાર એવો કે થોડા દિવસ ત્યાં રોકાઈને પછી ભાડેથી રહેવા કોઇ ઘર શોધી લઈશ. ત્યાં ગયા પછી ખબર પડી કે સમારકામ ચાલતું હોવાથી સર્કિટ હાઉસમાં રહેવાની મંજૂરી આપતા નહોતા. સરકારી મકાન માટે તપાસ કરતા માલૂમ પડ્યું કે નવા મકાનો બનીને તૈયાર છે, અને ઉદ્દઘાટન થયા પછી ફાળવણી થતાં જ મને મળી જશે.

મેં જોયું કે બહુ તો એકાદ મહિનામાં મકાન મળી જાય એમ છે. હું વિચારતો હતો કે થોડા દિવસ હોટલમાં રહીને કાઢી નાખું, એટલામાં ઓફિસના એક ભાઈએ પ્રસ્તાવ મૂક્યો : “હું ઘરે એકલા જ રહું છું. હોટલનો નકામો ખર્ચ ટાળવો હોય તો મારા ઘરે જ આવી જાવ.” મને એમની વાત ગમી, અને થોડા દિવસ એમને ત્યાં રોકાવાનું નક્કી કર્યું. એ ભાઈનું નામ નૌશાદ હતું.

એ મને એમના ફ્લેટ પર લઈ ગયા. એમનો રૂમ ત્રીજા માળે હતો. બિલ્ડિંગમાં નીચે ફ્લેટ નંબર પ્રમાણે નેમ પ્લેટ લગાવેલી હતી. મેં એ વાંચી, ત્યાં નામ આ મુજબના હતા : યાકૂબ, અકબર, સાદિક, અસલમ, વગેરે. આજુબાજુમાં સોસાયટીનાં મકાનો, હોટલ્સ, દુકાનો બધું મુસ્લિમ લોકોની માલિકીનું હતું. પહેલી વાર મારે આ પ્રકારના અજાણ્યા વિસ્તારમાં રહેવાનું હતું. ૧૯૪૭માં કોલકત્તામાં કોમી રમખાણો વખતે ગાંધીજી સુહરાવર્દી સાહેબને ત્યાં ઊતરેલા એવું વાંચેલું તે મને યાદ આવ્યું. અહીં તો એવો કોઇ માહોલ પણ નહોતો. મને સંકોચ ઓછો, ને રોમાંચ વધુ થયો.

નૌશાદભાઈ પોતે મારી ઉંમરના, પણ પરિણીત હતા. એમનો પરિવાર પાલનપુર રહે, અને એ પોતે પણ ત્યાં બદલી થાય એની આશામાં પરિવારને અહીં લઈ આવવાને બદલે પોતે એકલા દિવસો કાઢતા હતા. તેઓ જમવાનું બહાર ગુજરાતી લોજમાં જમતા. હું તેમની સાથે જોડાતો થયો એટલે તેમણે યજમાન તરીકે નજીકની કેટલીક ફેન્સી હોટલ્સમાં મને લઈને જવાનું શરૂ કર્યું. પણ રોજેરોજ તો એવું જમવાની મજા આવે નહિ અને મોંઘું પણ પડે. થોડા જ દિવસોમાં હું તેમની સાથે લોજ પર જતો થઈ ગયો. જમતી વખતે ઓફિસના કેટલાક કિસ્સાઓ, કર્મચારીઓની લાક્ષણિકતાઓ, વગેરેને લગતી વાતો થતી. રાતે જમ્યા પછી તે એમનું એક્ટિવા થોડું ફેરવીને મને એકાદ નવા વિસ્તારની સહેલ કરાવતા. એ રીતે હું શહેરને પણ થોડું એક્સપ્લોર કરવા લાગ્યો. રાત્રે ઘરે આવીને ક્યારેક પારિવારિક તો ક્યારેક એમના બાળપણના મિત્રોની નિરાંતે વાતો થતી. હું આમ એટલો પોચો માણસ કે ઘર છોડીને એકલા રહેવાનું આવ્યું એટલે આંખના ખૂણાં જાણે કે ભીનાં જ રહેતાં … બસ કોઇ ખભે હાથ મૂકે કે આંખો દદડી પડશે. તો ય એમની સાથે રહીને મને મજા આવવા લાગી, એકલતા ભૂલાતી ચાલી.

ફ્લેટમાં નીચેના માળે નૌશાદભાઈનાં સગાં પણ રહેતાં. શરૂઆતમાં તેઓ મારી સાથે બહુ વાત કરતા નહિ. મારું ત્યાં રહેવા આવવું તેમને ન ગમ્યું હોય, અને મને શંકાની નજરે જોતા હોય તેમ મને લાગતું. પણ થોડા દિવસો પછી એ નજરો પણ બદલાઈ ગયેલી અનુભવી. દરમ્યાન મારા સરકારી મકાનની રાહ જોતા-જોતા મહિનાઓ નીકળ્યા અને ચોમાસું આવી ગયું. આ વર્ષે નવસારીમાં પહેલાં કદી ન થયો હોય એટલો વરસાદ થયો. અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને અવરજવર બંધ થઈ ગઈ. એ સમયે તેઓ મનમાં કશા ભાર વિના સહજ રીતે જ મને જમવાનું બનાવીને આપી જતાં. પૂરની તકલીફો વિશે અમારે થોડી વાત થતી. એમની સામાન્ય ફરિયાદો ઉપરાંતની નિરાશા એ વાતે રહેતી કે તંત્ર અમારા વિસ્તારને નજરઅંદાજ કરે છે અને જરૂર મુજબ સહાય પહોંચતી નથી.

મારા ફ્લેટની આસપાસના વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં મહિલાઓ બુરખો પહેરતી. ફ્લેટના થોડાક પુરુષો સાથે માંડ થોડું બોલવા-ચાલવાનું શરૂ થઈ શકેલું, ત્યાં કોઇ સ્ત્રી સાથે કોઇ અભિવાદનની આપ-લે કે સંવાદ મારા માટે કલ્પના બહારની વાત હતી. પડોશીઓ યુગલમાં મળી જતાં ત્યારે પણ હું એ રીતે વર્તતો જાણે બહેન ત્યાં છે જ નહિ. પણ એક દિવસ એક બહેન સામેથી પૂછતાં આવ્યાં : “સુજાતભાઈ છે? એમને કહેજો કે વડોદરાથી પેંડા લેતા આવે.” એ નૌશાદભાઈના ભાભી હતાં. મને લઈ આવવા ફાવશે કે કેમ એવું પૂછ્યા વિના એમણે જે હકથી વાત કહી હતી, મને આશ્ચર્યની સાથે આનંદનો આંચકો લાગ્યો. ફરી વાર વડોદરા આવવાનું થયું ત્યારે યાદ રાખીને મેં દુલીરામના પેંડાનું બોક્સ લાવીને એમને આપ્યું.

આ મહિનાઓમાં વચ્ચે નૂપુર શર્માના ભડકાઉ બયાન અને એ પછી ઉદયપુરમાં હત્યાનો તંગદિલીવાળો માહોલ પણ આવ્યો. મેં સમાચાર વાંચવાનું તદ્દન ઓછું કરી દીધું હોવાથી દેશમાં એ મુદ્દે કેટલી ગંભીર ચર્ચાઓ થઈ રહી છે એ વિશે મને ખ્યાલ નહોતો. હું અહીં રહેતો હતો એને લઈને મારાં કેટલાંક સગાંઓએ મારી સલામતી વિશે ચિંતા પણ રજૂ કરી. પણ હું ત્યાં સુધીમાં પડોશીઓ સાથે એટલો સહજ થઈ ગયેલો કે મને ક્યારે ય એ દિવસોમાં દેશમાં કંઈ બન્યું હોવાની ગંધ જ ન આવે. અમારા સંબંધોમાં લગીરે ખારાશ ન આવી.

હું આમ તદ્દન બિનધાર્મિક છું, પણ ત્યાં હું હતો, મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ લોકો વચ્ચે રહેતો એક હિન્દુ. મારા કરતાં અલગ લોકો સાથે પહેલી વાર રહેતો હોવાથી મને ઘણાં બધાં અવલોકનો થવા જોઇતા હતાં, પણ મારા મનમાં એવું કશું નોંધાયું જ નહિ. એક દિવસ તો મને પોતાના માટે એ વાતે લઘુતાગ્રંથિ થવા લાગી કે આ દિવસોએ મને બદલ્યો નથી, કે આ લોકો વિશે મારો કોઇ નવો અભિપ્રાય નથી – મારામાં ઓબ્ઝર્વેશન પાવર જ નથી. જો કે પછી મને સમજાયું કે પોશાક-ખોરાક અને રીતરિવાજોના કેટલાક દેખીતા ફરક સિવાય તેઓ આપણાથી અલગ છે જ નહિ, તો ઓબ્ઝર્વેશન ક્યાંથી હોય! જેમ આપણી હોય છે, એવી જ જદ્દોજિહાદ એમની પણ હોય છે, કે બે છેડા મળે એ રીતે શક્ય એટલી મજાથી જીવન જીવવું. ક્યારેક બહાર જમવા જવું, ફિલ્મ જોવા જવું, ફરવા જવું, અને એ બધું પરવડશે કે નહિ એની ગણતરીઓ કરવી. રોજબરોજના સંઘર્ષોમાં ધર્મની ભૂમિકા નહીંવત હોય છે. મેં બે ધર્મો વચ્ચે કેટલીક બાબતોમાં જુદાપણું છે તે જોયું, પણ એના કરતાં બાકીની અનેક બાબતોમાં સામ્ય વધુ છે તેમ અનુભવ્યું. મેં ફક્ત થોડું કુતૂહલ જગાવવાના હેતુથી જ શીર્ષકમાં ‘એ’ શબ્દનો પ્રયોગ કર્યો છે, બાકી તમે જોશો કે આ લેખમાં કશું વક્રતા, નાટકીય કરુણાંત, રોમાંચ કે સનસનાટી પેદા કરનારું છે નહિ. આમાં કોઇ ‘સ્ટોરી’ જ નથી, અને એ જ તો હિન્દુ-મુસ્લિમની સ્ટોરી છે!

સૌજન્ય : સુજાતભાઈ પ્રજાપતિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લઠ્ઠાકાંડમાં રાંડ્યા પછીનું ડહાપણ …

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|29 July 2022

ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠો કે કેમિકલ પીવાને કારણે પચાસથી વધુ માણસોનાં મોત થયાં છે ને સોથી વધુ માણસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંના કેટલાંક ગંભીર છે. આમ તો લઠ્ઠાકાંડની ગુજરાતને નવાઈ નથી. માત્ર સ્થળ ને માણસો બદલાય છે એટલું જ ! 2009માં અમદાવાદમાં જ લઠ્ઠાકાંડ થયેલો ને એમાં 123 લોકોએ જીવ ગુમાવેલા તે ય ઘણાં ભૂલ્યાં નહીં હોય. ગુજરાત રાજ્ય બન્યું એ વાતને 62 વર્ષ થયાં, એ પછી સેંકડો માણસો લઠ્ઠો પીવાથી મૃત્યુ પામ્યાં છે, પણ એનો છેડો આવતો નથી ને આવે એમ લાગતું નથી. અમદાવાદ, બોટાદની ઘટના પછી પણ ફરી આવો કાંડ ન જ થાય એવું કોઈ કહી શકે એમ નથી. બીજા કોઈ રાજ્યમાં કે દેશમાં આવા શરાબ પીવાને કારણે ‘દેશી’ મોત થયાનું બહુ જાણમાં નથી. એમાં કદાચ ગુજરાત મોખરે હશે. એનું એક કારણ એવું અપાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે છાનેછપને સારો, ખરાબ દારૂ પીવાય છે. જ્યાં છૂટ છે ત્યાં લઠ્ઠો પીવાતો નથી એટલે ત્યાં આવાં કમોત પણ આટલાં મોટાં પ્રમાણમાં થતાં નથી. આ દલીલો ગળે ઊતરે એવી નથી. દારૂ પીવાથી થતાં મોતનો આંકડો અન્ય રાજયમાં શૂન્ય હોય એવું બહાર આવ્યું નથી. શરાબ પીવાથી આરોગ્ય કથળે જ છે ને કૌટુંબિક જીવનની દશા બેઠી હોય એવાં સેંકડો ઉદાહરણો અન્ય રાજયોમાંથી પણ મળી રહે એમ છે. સારો કે ખરાબ, દારૂ મોડીવહેલી હાનિ કરે જ છે, તો એની વકીલાત કરવાની જરૂર નથી. તમાકુ અને દારૂ પર પૂરા દેશમાં કડક પ્રતિબંધો લાદવા જ જોઈએ, પણ સરકાર એમાંથી થતી કમાણી ગુમાવવા રાજી નથી. લોકોનાં સ્વાસ્થ્ય કરતાં પણ આવક વધુ મહત્ત્વની છે, એ સરકારથી વધારે સારી રીતે તો બીજું કોણ સમજાવી શકે? એટલે તમાકુ, દારૂ બાબતે તે ભીનું સંકેલે એમાં નવાઈ નથી. એ જ કારણ છે કે થોડાં થોડાં મોત વટાવીને બધાં નવા કાંડની રાહ જોવામાં વ્યસ્ત થઈ જાય છે. મદિરા, સોમરસને નામે શરાબને સ્વર્ગીય પીણું માનનારો વર્ગ પણ છે. એ જો સ્વર્ગીય પીણું જ છે, તો એનો લાભ સ્વર્ગમાં જ લેવાનું વધુ ડહાપણ ભરેલું છે, એવું નહીં?

ગુજરાતમાં દારૂબંધી છે ને ઘણાં એવું માને છે કે ગાંધી ગુજરાતના હતા, તો અહીં તો દારૂબંધી હોવી જ જોઈએ, તો ઘણાંને એવું પણ છે કે ગાંધી હવે ચલણી નોટ સિવાય ચલણમાં ન રહે એવી સ્થિતિ છે, તો દારૂબંધીનો આગ્રહ શું કામ? ઘણાંને એમ લાગે છે કે ગાંધીજી આખા દેશના રાષ્ટ્રપિતા હતા, તે કેવળ ગુજરાત પૂરતા સીમિત ન હતા, તો દારૂબંધી દેશ આખામાં હોય, માત્ર ગુજરાતમાં જ શું કામ? જો દેશમાં બધે દારૂની છૂટ હોય તો ગુજરાતમાં પણ હોવી જોઈએ એવું ઘણાં માને છે. ગાંધીને નામે ગુજરાતને જ દારૂબંધીનો ભોગ બનાવવાનું ઠીક નથી. કેટલાંક એમ પણ માને છે કે ગાંધી ગુજરાતમાં જન્મ્યા હતા એટલે, બીજે હોય કે ન હોય, ગુજરાતમાં તો દારૂબંધી હોવી જ જોઈએ. ગાંધી ગુજરાતના ખરા, પણ તેનું કેટલું મૂલ્ય ગુજરાતે રહેવા દીધું છે તે સૌ જાણે છે. સ્કૂલોમાંથી ગાંધીને હટાવીને બીજી સ્થાપનાઓ થઈ રહી છે તે પણ કોઇથી અજાણ્યું નથી, એટલે ગાંધીને વટાવવાનું રહેવા દઇએ તો કમ સે કમ એ વિભૂતિ પર તો ઉપકાર જ થશે.

સાચું તો એ છે કે દારૂબંધી ન હટે તેવું તંત્રો પણ ઈચ્છે છે. ચોરીછૂપીથી દારૂ ઘૂસાડવામાં જે ઉપરની કમાણી થાય છે તે કોઈ જતી કરવા તૈયાર નથી. ગેરકાયદે દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, ખાનગીમાં દારૂનું વેચાણ થાય છે, તેનાં પર દરોડા પાડવામાં કે રહેમ રાહે વેચાણ ચાલુ રહેવા દેવામાં જે કમાણી થાય છે એમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા બધાંનો જ ધંધો ચાલે છે. એક તરફ દરોડા પડે ને બીજી તરફ ખરીદ વેચાણ પણ ચાલુ રહે ને એના નિયમિત હપ્તાઓ તંત્રોને મળી રહે એવી વ્યવસ્થા ઊભી થઈ છે. હવે જો દારૂબંધી હટી જાય તો આમાંથી કમાણી કરતાં લોકોએ માથે હાથ દેવાનો વારો આવે. આ કમાણી જતી કરવાનું તંત્રોનું ગજું નથી. અંદરખાનેથી તંત્રો જ એવું ઈચ્છે છે કે દારૂબંધી હટે નહીં. હટે તો ઘણા પતે એમ બને. એટલે જ કોઈ લઠ્ઠાકાંડ સર્જાય છે કે તરત તંત્રો ને સરકાર એકાએક જાગે છે, ઝડપથી કામે લાગે છે ને થોડા વખત પછી કૈં ન બન્યું હોય તેમ ઘોરવા માંડે છે. બોટાદ, અમદાવાદ લઠ્ઠાકાંડ પછી સરકાર ગોખેલું બોલવા લાગી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે, કોઈને બક્ષવામાં નહીં આવે … વગરે વગેરે. રાતોરાત સમિતિઓ નીમાય છે, તપાસ શરૂ થાય છે, રિપોર્ટ આવે છે, કેસ ચાલે છે, સજા થાય છે ને નવા કાંડની રાહ જોવા ફરી સૌ ઠરીને ઠીકરું થઈ જાય છે. બહુ થાય તો કોઈને વળતર બળતર આપીને મદદ-મદદ પણ રમી લેવાય છે. આ બધું યંત્રવત ચાલે છે. એમાં જીવ નથી ને એટલે જ ઘણાંના જીવ જાય છે.

જીવ જાય કે પોલીસ એક્ટિવ થઈ જાય છે. લાગતા વળગતા ને ખબર પહોંચી જાય છે કે મામલો ટાઢો ન પડે ત્યાં સુધી ભઠ્ઠીબઠ્ઠી બંધ રાખો. ધડાધડ દરોડા પડે છે. આ વખતે પણ મહેસાણા, અરવલ્લી જેવામાં દરોડા પડે છે, ધરપકડો થાય છે, ડ્રાઈવના આદેશો અપાય છે, જ્યાં કૈં નથી થયું ત્યાં પણ દરોડા પડે છે. આ અગાઉ નાછૂટકે કેસો કરીને પોલીસ ગૃહખાતાને જાણ કરીને કામ કર્યાનો સંતોષ લેતી હતી, તે કોઈ કાંડ થાય છે કે એકાએક સજીવ થઈ જાય છે ને ઠેર ઠેર તાંડવ કરી વળે છે. આ જે કૈં દુર્ઘટના પછી થાય છે તે પહેલાં પણ થઈ શકે ને ! એ ઓછું જ થાય છે. એવું નથી કે ઘટના થઈ એ જ દિવસે વધુ પીવાયો. એ તો પીવાતો જ હોય છે, પણ કાર્યવાહી થતી નથી એટલે બધું ઠીકઠાક છે એમ લાગે છે, બાકી, ધંધો બંધ થઈ ગયો એવું તો સપનું ય પડે એમ નથી.

કોઈ પણ ઘટના હવે કોઈને વખોડવાની અને કોઈને બચાવવાની તકો માટે જ બનતી હોય તેમ બધાં જ તેનો લાભ ઉઠાવવા રસ્તે આવી જતાં હોય છે. કોઈ દુર્ઘટના બને છે કે વિપક્ષોની મંત્રીઓનાં રાજીનામાંની માંગ શરૂ થઈ જાય છે તો એ જ વખતે સરકાર પણ બચાવનાં સાધનો સાથે મેદાને પડે છે. એમાં અત્યારે તો  ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ છે, ત્યારે રાજકારણ ન ખેલાય એવું તો બને જ કેમ? મરવાવાળા મરે એમાં રાજકારણ તો બંધ ન રખાય ને ! વિપક્ષો ગૃહ મંત્રીનું રાજીનામું માંગે છે તો ગૃહ મંત્રી પણ કામગીરીની યાદી આપીને સરકાર ઊંઘતી નથી એની ખાતરી આપવા મથે છે. એ વખતે વિપક્ષ તથા મંત્રી પોતે બરાબર જાણતા હોય છે કે બંનેનો હેતુ અંતે તો રાજકીય લાભ ખાટવાનો જ છે. એમને દુર્ઘટનાનું બહુ લાગી આવ્યું છે એવું જરા ય નથી. આંસુ બંને સારે છે. એમ લાગે છે જાણે મગર, મગરનાં આંસુ સારે છે.

દેશના નેતાઓ અને તંત્રો એવી રીતે વર્તતાં આવ્યાં છે કે લોકો પર તેની સારી છાપ પડે જ નહીં. રાજ્યના ગૃહ મંત્રી પોતે કબૂલી ચૂક્યા હોય કે 2021માં 123 કરોડનો દારૂ પકડાયો હોય પછી પણ એમ કહે કે આ તો કેમિકલકાંડ છે ને તે સરકારને અને પોલીસને બદનામ કરવાનું કાવતરું છે ત્યારે હસવું એ વાતે આવે છે કે  નાદાન સરકાર છે ને એમ સમજે છે કે પ્રજા નાદાન છે. આમ પણ રાજકીય નેતાઓ ઊજવણામાં જે આછકલાઈથી તલવારથી કેક કાપે છે કે હવામાં ગોળીબાર કરે છે તે લોકો જુએ છે ને તેની નકલ કરવામાં પડે છે. લોકોમાં નેતાઓનો સારો મેસેજ જવો જોઈએ, પણ તેવું બહુ ઓછું થાય છે. લઠ્ઠાકાંડની સમાંતરે જ વલસાડમાં પી.એસ.આઈ. અને કોન્સ્ટેબલ દારૂની મહેફિલ માણતા ઝડપાય તો સામાન્ય માણસ પર એની શું ને કેવી અસર પડે તે કહેવાની જરૂર છે? કયે મોઢે પોલીસ પછી દારૂ પીતાં માણસને પકડી શકે જ્યાં પોલીસ પોતે જ વગોવાયેલી હોય? 57 લાશો લઠ્ઠાકાંડમાં પડી ગઈ હોય ત્યારે પણ દારૂની ભઠ્ઠીઓ ચાલુ હોય ને એક્ટિવા પર દારૂ વેચાતો હોય કે રાજકોટના શાપર વેરાવળમાં, હિંમતનગર- બાયડ તેમ જ ગામટ પંથકમાં સોથી વધુ હાટડીઓ દારૂની ચાલતી હોય, ચોટીલાના સુખસર ગામની સીમમાં 1.17 લાખનો દારૂ પકડાતો હોય તો પ્રશ્ન થાય કે દારૂબંધી ગુજરાતમાં છે એવું કઈ રીતે માનવું?

બોટાદ-અમદાવાદ જેવી ઘટનાઓ એટલું સૂચવે છે કે સરકારને કે પોલીસને જીવતી રાખવી હોય તો પ્રજાએ થોડા થોડા વખતે મરવું પડે. તેમ નહીં થાય તો આ બંને ચૂંટણી વખતે જ જાગે એમ બને …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જુલાઈ 2022

Loading

શરીરમાં લખલખું પસાર થઈ જાય તેવી સ્થિતિ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2022

આ વસ્તીમહિમાનો યુગ છે. ઉપભોગ કરનારાઓની સંખ્યા જેટલી વધુ એટલો ધંધો બહોળો. એમાં પણ ૧૯૯૦ પછી બે ચીજ ધંધામાં ઉમેરાઈ. એક છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માહિતીનું અર્થતંત્ર. એના દ્વારા ચીજવસ્તુ તો ઠીક, હાસ્યથી લઈને હિંસા (જી હાં, હિંસા) સુધી કાંઈ પણ વેચી શકાય છે. મનોભાવ પણ વ્યાપાર માટેની જણસ છે. વપરાશકારને તેની જરૂર ન હોય તો પણ તેને જરૂરતનો અહેસાસ કરાવી શકાય છે અને વાપરતો કરી શકાય છે. બીજી ચીજ છે સેવાઓનું વ્યવસાયીકરણ અર્થાત્ ખાનગીકરણ. જગત આખામાં કલ્યાણરાજ્યનો અંત આવી રહ્યો છે. સરકારોએ લોકોનું કલ્યાણ કરવાની જવાબદારી છોડી દીધી છે અને તેને ખાનગી હાથોમાં આપવામાં આવી રહી છે. કેળવણી, આરોગ્ય, તાર-ટપાલ, ટ્રાન્સપોર્ટ, સસ્તા અનાજનો પુરવઠો એમ દરેક સેવા હવે સેવા નથી રહી; ખાનગી હાથોમાં સોંપવામાં આવેલો ધંધો છે. આ જ્યાં સુધી સેવા હતી અને શાસકો સેવા કરવાનો ધર્મ સમજતા હતા ત્યાં સુધી એ જવાબદારી હતી. એ જ્યાં સુધી જવાબદારી હતી ત્યાં સુધી શાસકો તેને એક પ્રકારનો બોજો સમજતા હતા,  અને માટે વસ્તી ઘટાડવાની વકીલાત કરતા હતા. હવે આ બધી સેવાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે એટલે શાસકો જવાબદારીમુક્ત થઈ ગયા છે. ખાનગી માલિકી માટે પ્રત્યેક માણસ ગ્રાહક છે. જેટલા ગ્રાહકો વધુ એટલો ધંધો બહોળો.

હમણાં કહ્યું એમ અ-સરકારી અસરકારીનો મહિમા કરીને શાસકોએ લોકોનાં કલ્યાણની જવાબદારી છોડી દીધી છે એટલે શાસકો માટે પ્રજા હવે જેનું કલ્યાણ કરવું જ રહ્યું એવો બોજો મટીને સત્તા સુધી પહોંચાડનારી અને સત્તામાં ટકાવી રાખનારી સંખ્યા અર્થાત્ સાધન બની ગઈ છે. પ્રજાને કોઈને કોઈ ઓળખ પકડાવીને સમૂહમાં ફેરવો એટલે એ સંખ્યા બની જાય અને સંખ્યા સાધન બની જાય. ટૂંકમાં કોર્પોરેટ કંપનીઓ ગ્રાહક(કસ્ટમર – જે પોતાની જરૂરતોને કસ્ટમાઈઝ્ડ કરે તે કસ્ટમર)ને ઉપભોક્તા(કન્ઝ્યુમર – જે જરૂર હોય કે ન હોય કન્ઝયુમ કરે તે કન્ઝયુમર)માં ફેરવી રહ્યા છે અને શાસકો નાગરિકને સમૂહમાં ફેરવી રહ્યા છે. ગ્રાહક પોતાની જરૂરિયાત પોતે નક્કી કરે છે, જ્યારે ઉપભોક્તાની જરૂરિયાત કોઈ બીજા નક્કી કરે છે. માટે આજકાલ કસ્ટમરની જગ્યાએ કન્ઝ્યુમર શબ્દ વધારે પ્રચલિત છે. આવું જ નાગરિકનું. નાગરિક પાસે અપેક્ષા છે કે તે પોતે સારાસાર વિવેક કરે, જ્યારે સમૂહ અનિવાર્યપણે બીજા દ્વારા દોરવાય છે. આનો અર્થ એ થયો કે પૂંજીપતિઓ અને શાસકો એમ બંને માટે પ્રજા એક સંખ્યા માત્ર છે અને પોતાને અનુકૂળ આવે એવા લોકોની જેટલી સંખ્યા વધુ એટલો ફાયદો વધુ.

પણ આમાં કેટલાંક જોખમ છે અને જોખમ ખૂબ મોટાં છે. બે જોખમની વાત અહીં કરવી રહી અને એનાં તરફ આંખ આડા કાન કરી શકાય એમ નથી. જો કરવામાં આવશે તો વિસ્ફોટ થવાની શક્યતા છે. યુનોના જાગતિક વસ્તીનાં આંકડા બહાર પડ્યા એનાં બે વરસ પહેલાં ૨૦૨૦ના જુલાઈ મહિનામાં ભારત સરકારના વસ્તીગણતરી વિભાગે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં ૨૦૧૧-૨૦૩૬ એમ પચીસ વરસ દરમિયાન ભારતની વસ્તીમાં થનારા ફેરબદલના આંકડા જોવા મળે છે. એનો અભ્યાસ કરતાં જે જોખમ નજરે પડે છે એ તરફ ધ્યાન દોરવું જરૂરી છે.

ભારત સરકારના પોતાના આંકડા મુજબ કમાવાની વયના (૧૫થી ૫૯ વરસ) લોકોમાં મોટો વધારો થવાનો છે. ૨૦૧૧થી ૨૦૩૬નાં પચીસ વરસ દરમિયાન ભારતની વસ્તીમાં જે ૩૧ કરોડ લોકોનો વધારો થવાનો છે એમાં કમાવાની વયના લોકોનું પ્રમાણ ૮૧.૪ ટકાનું હશે. આ તો વધનારી વસ્તીની વાત થઈ, ભારતની ૨૦૩૬ની કુલ વસ્તીમાં કમાવાની વયના લોકોનું પ્રમાણ ૬૦.૭ ટકાથી વધીને ૬૪.૯ ટકા થશે. આનો અર્થ એ થયો કે ૨૦૩૬ની સાલમાં ભારતની દોઢ અબજની વસ્તીમાં કમાઈ શકવાની ઉમરના અને કામ માંગનારા લોકોની કુલ સંખ્યા ૯૭થી ૯૮ કરોડ હશે. એક અબજ માણસો પકડો ને! ત્રણમાંથી બે માણસને રોજગારી આપવી પડશે અને રોજગારી છે ક્યાં? બીજું ૬૦ વરસની વયે હવે કોઈ નિવૃત્ત થતું નથી અને ગરીબ પ્રજાનાં બાળકોને આજે પણ ૧૫ વરસનો થાય એ પહેલાં બાળપણમાં કમાવું પડે છે. આમ સોમાંથી અંદાજે ૭૫ જણને અર્થાત્ સવા અબજ લોકોને કામ આપવું પડશે. જો કામ આપવામાં નહીં આવે તો વિસ્ફોટ થવાની પૂરી શક્યતા છે.

બીજું એટલું જ મોટું અને કદાચ વધારે મોટું જોખમ રાજ્યોમાં વસ્તીના અસમાન પ્રમાણનું છે. ૨૦૩૬માં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એમ આ ચાર રાજ્યોની વસ્તી ભારતની કુલ વસ્તીમાં અડધોઅડધ હશે. ભારતની કુલ વસ્તીમાં ઉત્તર પ્રદેશની વસ્તીનું પ્રમાણ ૧૯.૨ ટકા હશે. બિહારની વસ્તીનું પ્રમાણ ૧૪.૫ ટકા હશે, મધ્ય પ્રદેશની વસ્તીનું પ્રમાણ ૮.૨ ટકા હશે અને રાજસ્થાનની વસ્તીનું પ્રમાણ ૭.૨ ટકા હશે. માત્ર આ ચાર રાજ્યોની વસ્તી હશે ૪૯.૧ ટકા. આની સામે ભારતનાં દક્ષિણનાં પાંચ રાજ્યોની વસ્તીનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં માત્ર ૯.૬ ટકા હશે. રાજ્યવાર જોઈએ તો તામીલનાડુ ૧.૯ ટકા, કેરળ ૧.૨ ટકા, કર્ણાટક ૩.૫ ટકા, તેલંગાણા ૧.૫ ટકા અને આંધ્ર પ્રદેશ ૧.૫ ટકા. આવી જ રીતે ઓડીસા, પશ્ચિમ બંગાળ, આસામ અને ઇશાન ભારતનાં તમામ રાજ્યોની વસ્તીનો સરવાળો કરો તો એ પણ ભારતની કુલ વસ્તીમાં દસ ટકાથી વધુ નહીં હોય. એ પછી જમ્મુ, કાશ્મીર, લડાખ, પંજાબ, દેશનાં આદિવાસીબહુલ રાજ્યોની વસ્તી પણ પાંચ ટકાની અંદર હશે.

વસ્તીની રાજ્યવાર વહેંચણી જોતાં સવાલ ઉપસ્થિત થાય છે કે શું સમગ્ર ભારત ઉપર એક જ ભાષા બોલનારી અને ચોક્કસ સાંસ્કૃતિક ઓળખ ધરાવનારી પ્રજા રાજ કરશે? ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળતી ભાષા સિવાયની બીજી ચોક્કસ સાંસ્કૃતિક ઓળખને ઘણે અંશે સ્વીકારનારાં ગુજરાત (૬.૮ ટકા) અને મહારાષ્ટ્ર(૭.૯ ટકા)ની વસ્તી ઉમેરો તો ભારતની કુલ વસ્તીમાં આ છ રાજ્યોની વસ્તીનું પ્રમાણ ૬૩.૮ ટકા થવા જાય છે.

જેને હિન્દુત્વવાદીઓ ગર્વથી આર્યાવર્ત કહે છે, જેને અંગ્રેજીમાં કાઉ બેલ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે, જેને વિકાસની પરિભાષામાં બીમારુ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેની વધતી વસ્તી અને પછાતપણું ચિંતાનો વિષય માનવામાં આવતો હતો, જેને વિકાસના મોરચે દક્ષિણનાં રાજ્યોની પ્રજાની સમકક્ષ લઈ જવાનો એક જમાનામાં શાસકો મનસૂબો ધરાવતા હતા અને પડકાર ઉઠાવતા હતા એ રાજ્યોની પ્રજા માત્ર સંખ્યાના જોરે ભારતનાં બાકીનાં રાજ્યોની પ્રજા ઉપર શાસન કરશે? (લોક-પ્રતિનિધિત્વમાં સત્તાકીય અસમાનતા પેદા ન થાય એ માટે આ ચાર રાજ્યોનું લોકસભામાંનું પ્રતિનિધિત્વ બહોળી વસ્તીવાળાં મતદારક્ષેત્રો રચીને નિયંત્રિત રાખવામાં આવે છે પણ એ ક્યાં સુધી રાખી શકાશે?)

આ જે હકીકત આકાર લઈ રહી છે એની ગંભીરતા સમજાય છે કે પછી નશામાં જ રહેવું છે? વળી ૨૦૩૬ની સાલ કોઈ દૂર પણ નથી. આવતા પાંચેક વરસમાં આનો તાપ નજરે પડવા લાગશે અને સાચું પૂછો તો ઉત્તર ભારતની આર્યાવર્તીય દાદાગીરી સામે દક્ષિણમાં અત્યારે જ અસંતોષ નજરે પડવા લાગ્યો છે. આ સિવાય દક્ષિણ ભારતમાં વસ્તી વધારાનું પ્રમાણ નિયંત્રિત હોવાને કારણે અને આરોગ્ય સહિત વિકાસના મોરચે અગ્રેસર હોવાના કારણે એ રાજ્યોમાં નહીં કમાઈ શકનારા વૃદ્ધોનું પ્રમાણ ઉત્તર ભારત કરતાં વધુ હશે. દક્ષિણમાં પેદા થનારા અસંતોષનું આ પણ એક વધારાનું કારણ હશે.

અને પૂર્વ ભારત (પશ્ચિમ બંગાળ અને ઓડીસા), ઇશાન ભારત (આસામ અને આજુબાજુનાં સિક્કિમ સહિત સાત રાજ્યો), આદિવાસી ભારત (મુખ્યત્વે ઝારખંડ અને છત્તીસગઢ), પહાડી ભારત (ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ), વિધર્મી ભારત(કાશ્મીર, લડાખ અને પંજાબ)માં પણ અસંતોષ પેદા થશે. એક વાત નોંધી લે જો; કોઈ પ્રજા કોઈનું આધિપત્ય લાંબો સમય ચલાવી લેતી નથી અને એ પણ આ યુગમાં તો અસંભવ છે.

અત્યારે વસ્તીને સંખ્યામાં પરિવર્તિત કરવામાં આવી રહી છે અને નાગરિકને સમૂહમાં-ટોળાંમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે એ ખતરનાક ખેલ છે. એમાં ઉપર કહ્યું એમ કોર્પોરેટ કંપનીઓનો અને શાસકોનો સ્વાર્થ છે. પ્રજાને ઓળખ પકડાવીને સંખ્યામાં પરિવર્તિત કરવામાં આવે એમાં ધર્મગુરુઓનો બાવાઓનો પણ સ્વાર્થ છે. માટે તમે જોયું હશે કે આ ત્રણેયની ધરી રચાઈ છે.

વિચાર કરતાં શરીરમાં લખલખું પસાર થઈ જાય એવી સ્થિતિ નજરે પડી રહી છે.

પણ તો પછી આનો ઉપાય શું? ઉપાય એક જ છે, વિવેક. વિવેક કેળવો. રાંડ્યા પછી ડહાપણ આવે એનાં કરતાં પહેલાં ડહાપણ અપનાવી લઈએ તો રંડાપો ટાળી શકાય. એક દિવસ ડહાપણ તો આવવાનું જ છે અને છેલ્લો વિજય ડહાપણનો જ થવાનો છે એ નક્કી વાત છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2022

Loading

...102030...1,3061,3071,3081,309...1,3201,3301,340...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved