Opinion Magazine
Number of visits: 9568928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હે ભગવાન ! અમે ગુજરાતીઓ આટલા બધા બુદ્ધુ છીએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|31 October 2022

અમે ગુજરાતીઓ છીએ. ગુજરાતની કરોડોમાં ગણાતી ને ખેલતી પ્રજા છીએ. વડાપ્રધાનો અને કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતે આપ્યા છે, પણ પ્રજા તરીકે અમે ગુજ્જુઓ સ્વમાન વગરનાં નકલખોર ને નફાખોર લોકો છીએ. અમને કોઈ પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ શકે છે. અમે કોઈને પણ ઉલ્લુ બનાવી શકીએ છીએ એવા વહેમમાં ઉલ્લુ બનનારી પ્રજા છીએ. અમે, અમારે માટે નથી, અમે જાણે બીજાના ઉપયોગ માટે છીએ. અમે મત આપનારા જંતુઓ છીએ. અમે મતદાતાઓ, વિધાનસભામાં સરકાર બેસાડીએ છીએ અને પછી બેસી પડીએ છીએ. પછી નથી તો અમે સરકારની ચિંતા કરતા કે નથી સરકાર અમારી ચિંતા કરતી. નવી ચૂંટણી સુધી ભાગ્યે જ કોઈ એકબીજાનું સાંભળે છે. અમે જીતાડીને હારનારી પ્રજા છીએ. અમે બહુ ધાર્મિક નથી, પણ કોઈ પક્ષ ધાર્મિક બનાવવા ઈચ્છે તો અમે ધાર્મિક થઇ જઈએ છીએ. અમને કોઈ વિધર્મી વિરુદ્ધ ઉશ્કેરે છે, તો લાંબુ વિચાર્યા વગર તેમાં પણ ઝંપલાવી દઈએ છીએ. અમે રોબોટ્સ જેવાં છીએ. અમને ફીડ કરવામાં આવે છે. અમે યંત્રો છીએ. અમારા જેવું અમને કૈં નથી. અમને બધું જ બીજાના જેવું છે. બીજાઓ માટે જ છીએ અમે. કોઈ દાળભાત ખાઉ ન કહે એટલે પિઝા, પાસ્તા કે ચાઈનીઝ, પંજાબી કે ઇટાલિયન, મેક્સિકન ડિશિઝથી રાજી રહીએ છીએ. અમને ગુજરાતીની નાનમ લાગે છે એટલે અંગ્રેજી મીડિયમની મેથી મારીને કેનેડા કે યુ.એસ. ભાગીને ત્યાં જ ઠરીઠામ થવાની દાનત રાખીએ છીએ. આમ તો અમને અહીં સંઘરવા કોઈ રાજી નથી, પણ અહીંનું કોઈ  વિદેશમાં મંત્રી કે પ્રમુખ થાય છે તો તેને ભારતીય મૂળની વ્યક્તિ કહીને તેની આરતી ઉતારીએ છીએ, ભલે પછી એ વ્યક્તિએ ભારતનું નાહી નાખ્યું હોય !

રાજકારણીઓ અમને ગમે ત્યારે ઊઠાં ભણાવી શકે છે. એમાં ભા.જ.પ. હોય કે કાઁગ્રેસ કે આપ, ફરક પડતો નથી. જો ચૂંટણી નજીક હોય તો બધાં જ ભૂરાયાં થાય છે. દુનિયા જાણે છે કે ભા.જ.પ.નાં શાસન પહેલાં ‘વિધર્મી’ શબ્દ આજના જેટલો પ્રચારમાં ન હતો. કૉંગ્રેસી શાસનમાં જે અર્થમાં ‘લઘુમતી’ શબ્દ પ્રચારમાં હતો, એથી વધુ ઘેરાશ કોમ સંદર્ભે ‘વિધર્મી’એ પકડી છે. ‘હિન્દુત્વ’નો અર્થ પણ વધુ ઝનૂન પકડતો જાય છે. હાલમાં ગુજરાતની ચૂંટણી માથા પર છે, ત્યારે ‘હિન્દુત્વ’ના કાર્ડ પર એકથી વધુ વખત ભા.જ.પે. ગુજરાત ચૂંટણીમાં જીત મેળવી છે ને ભારે બહુમતીથી સરકાર બનાવી છે. અત્યારે પણ ધાર્મિક વાયરાઓ વાય તો છે જ ને હિન્દુત્વનાં કાર્ડ, પર પણ ખેલ ચાલે એમ છે, એટલે ભા.જ.પ.ના મંત્રીઓ પૂજન અર્ચન, આરતી દ્વારા મતદાતાઓને આકર્ષવાનો રાબેતા મુજબ પ્રયત્ન કરે છે. એનું જોઈને કૉંગ્રેસ પણ ફાંફાં મારી લે છે. આમ તો  હિંદુઓ પ્રતિ કૉંગ્રેસને કદી પણ સોફ્ટ કોર્નર રહ્યો નથી. તે તો લઘુમતીના મત પર જ રાજનીતિ કરતી આવી છે. કૉંગ્રેસનો છેલ્લી બે ચૂંટણીમાં પૂરતો સફાયો થઇ ચૂક્યો છે. આજ સુધી પરિવારની વ્યક્તિ સિવાય કોઈ કૉંગ્રેસ પ્રમુખ થઇ શકતું ન હતું. એ સ્થિતિ છેક હમણાં બદલાઈ છે અને ખડગે કૉંગ્રેસના પ્રમુખ થયા છે. કૉંગ્રેસની પોતાની સ્થિતિ દયાજનક છે ત્યારે ખડગે ભા.જ.પ.ની વિપક્ષ મુક્ત ભારતની નીતિ ને પડકારે છે. તેઓ વિપક્ષ મુક્ત ભારત નહીં થવા દેવાય – એવું કહે તો છે, પણ તે કેવી રીતે શક્ય છે એ કહી શકતા નથી. આમ છતાં રાહુલ ગાંધી ભારત ભ્રમણ કરીને કૉંગ્રેસને બેઠી કરવાના શક્ય તેટલા પ્રયત્નો કરે છે. પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન હિંદુત્વના પાઠ પણ ભણી-ભણાવી લે છે. એ પણ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં સંકોચ અનુભવતા નથી. એમ કરવાથી ગુજરાતીઓના મત મળતા હોય તો એમને કોઈ વાંધો નથી. આ બધું પોતે માને છે એટલે કરે છે એવું નથી, પણ આ બધું કરવાથી મત મળે એમ છે, એટલે કરે છે. ભા.જ.પ.ના પ્રચારકોને તો હિન્દુત્વ ચૂંટણી જીતાડી ચૂક્યું છે એટલે એ તો તેનો મહિમા કરે એમાં નવાઈ નથી, પણ વિધર્મીઓને ટપારવાથી હિંદુ મતો વધે એમ હોય તો તેવું કરવાનો પણ કોઈ સંકોચ ન હોય એ સ્પષ્ટ છે. વાત એટલી જ નથી, કયો કૉંગ્રેસી પૂર્વનેતા ભા.જ.પ.ની નીતિરીતિને માફક આવે એમ છે, તો તે વીણી લઈને બાકીના વિષે ટીકા કરીને કે તેમને વિષે મૌન પાળીને પણ પોતાનું કામ કાઢી-કઢાવી લેવાય છે. લગભગ બધા જ રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી સુધી અનેક રીતે પક્ષની પુન: પુન: સ્થાપના કરતા રહે છે ને ચૂંટણી આવે ત્યારે જીતવાના કારસા કરતા રહે છે. રાજ્કારણમાં બે જ નીતિ અત્યારે સક્રિય છે. સત્તાધારી પક્ષ સત્તા ન છૂટે તેની પેરવીમાં રહે છે ને વિપક્ષો સત્તા હાંસલ કરવાની ગણતરીમાં મચ્યા રહે છે. એમાં નહેરુને નીચા દેખાડવાથી કે સરદારને ગાંધીથી ઊંચા બતાવવાથી કામ નીકળી જતું હોય તો તેમ કરવાનું પણ સૌને સહજ છે. એમાં બધી વખતે એમ માની લેવાયું છે કે અમને ગુજરાતીઓને તો કોઈ અક્કલ જ નથી. જો કે અમે એટલા મૂર્ખ તો છીએ જ કે ફાલતુ વાતો પક્ષો કરે તો પણ મત તો તેને જ આપીએ છીએ. એ મતોથી પક્ષો જીતે પણ છે એટલે એ માની લે છે કે જે તે જીત મતદાતાઓને ઉલ્લુ બનાવવાનું જ પરિણામ છે.

એનું તાજું ઉદાહરણ આપ પાર્ટીના સર્વેસર્વાં અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પૂરું પાડ્યું છે. આમ તો એ બધું ફ્રીમાં આપવામાં માને છે. એટલે એ ‘ફ્રી’ મંત્રી પણ કહેવાય છે. દિલ્હીમાં એમણે ફ્રીનો પ્રયોગ કર્યો છે ને એ પત્તું ગુજરાતમાં પણ એમણે ઊતર્યું છે. એનું જોઈને રાહુલ ગાંધીએ પણ વગર દિવાળીએ બોણી વહેંચવાની વાત પણ કરી છે, પણ એટલાથી કોઈને સંતોષ નથી. એમને જ એમ લાગે છે કે અમે ગુજરાતીઓ એટલાથી પૂરેપૂરા મૂરખ બનીએ એમ નથી, એટલે એમણે વધુ લાલચ આપવા ધારી છે. આમ આદમી પાર્ટીના કેજરીવાલ સોફ્ટ હિંદુત્વને સ્વીકારતા હતા, પછી જોયું કે અહીં ગુજરાતીઓને તો પૂર્ણ હિન્દુત્વનો કાર્ડ ખેલીને શીશામાં ઉતારી શકાય એમ છે એટલે એમણે ઇન્ડોનેશિયાના મુસ્લિમ રાષ્ટ્રનો દાખલો આપીને એમ ભણાવ્યું કે ત્યાં તો હિંદુઓ બે ટકા જ છે છતાં, ત્યાંની ચલણી નોટો પર ગણેશની મૂર્તિ છે. જો ત્યાં ગણેશ ચાલી જતા હોય તો ગણેશ અને લક્ષ્મી ભારતની ચલણી નોટો પર કેમ ન ચાલે? એમને હિંદુ દેવી દેવતાઓને ચલણી બનાવવાની ચાનક ચડી છે. તેમને ચલણી નોટો પર ગાંધીજી છે તેમ રહે તેનો વાંધો નથી, પણ તેની પાછલી બાજુ પર ગણેશ અને લક્ષ્મીને છાપવાનું મન થયું છે. સરસ્વતીનો તો વિચાર એમને ન આવે, કારણ, એ જો ચલણી થાય તો લોકો જાગૃત થાય ને એ કોઈ પણ પક્ષ ન ઈચ્છે. એના અભાવમાં લક્ષ્મી જેટલી કલેક્ટ થાય એ જ એક માત્ર હેતુ પ્રજા કે પક્ષનો હોય તે સમજી શકાય એમ છે. વળી હિંદુઓનાં તો કરોડો દેવી દેવતાઓ છે, એ બધાં તો છપાય એમ નથી, વળી કોઈ શિવાજી કે આંબેડકરને નોટ પર લાવવા માંગે તો તે દાવાઓ પણ ખારિજ તો કેમ થઇ શકે ને એવા દાવાઓ તો શરૂ થઇ પણ ગયા છે. ટૂંકમાં, કેજરીવાલનું સૂચન વ્યવહારુ ન રહે એવા પ્રયત્નો થવાના. છતાં, કેજરીવાલે તો પ્રધાન મંત્રીને પત્ર લખીને નોટો પર ગણેશ, લક્ષ્મી છાપવાની વાત કરી જ છે. અમને ગુજરાતીઓને તો ગણેશ ને લક્ષ્મી છપાય તે કરતાં નોટ આવે એમાં રસ હોય, પણ કેજરીવાલને કઈ રીતે એવું લાગ્યું કે પી.એમ. એમની નોટ પર લક્ષ્મી-ગણેશ છાપવાની વાત માની જશે, તે તો નથી ખબર, પણ લોકોમાં એક ગતકડું તો એમણે કર્યું જ છે. એ વાત સાંભળીને ભા.જ.પ.ના પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષનો વિરોધ કરવાની ટેવ ચાલુ રાખતાં એટલું તો કહ્યું જ કે કેજરીવાલનું આ ગતકડું રાજરમતનો જ એક ભાગ છે, કેમ જાણે એ તો રાજનીતિનો વૈરાગ્ય ધારણ કરીને બેઠા છે ! ભા.જ.પ. કેજરીવાલની વાતે શાંત રહે એવું તો બને નહીં, એટલે એણે કોમન સિવિલ કોડ દાખલ કરવાની વાત વહેતી મૂકી છે.

ભા.જ.પ.ને ખબર છે કે વિધર્મીના મતથી ચૂંટણી જીતાવાની નથી એટલે એણે બહુમતી હિંદુ વોટ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વાત વિપક્ષો પણ સમજી ચૂક્યા છે એટલે આપ હોય કે કૉંગ્રેસ, ગુજરાતમાં હિંદુ મતો ઉઘરાવવાની ને બને તો ભા.જ.પ.ના મતો તોડવાની સસ્તી રમતો આદરી રહી છે. જે મતોથી ભા.જ.પ. જીતે છે, એ જ મતો પડાવીને સત્તા હાંસલ કરવાની વ્યૂહ રચના બધાએ જ અપનાવી છે, એમાં સફળતા મળે એવું એમને લાગે છે, પણ આપ અને કૉંગ્રેસ આ રમત સાથે રહીને નહીં, પણ એકબીજાની સામે રહીને રમે છે એટલે એમાં બંને કેટલા સફળ રહેશે એ તો સમય જ કહેશે. પણ, એટલું દેખાય છે કે બધા જ પક્ષો ગુજરાતમાં સામેવાળાના મતો તોડીને જીતવા માંગે છે ને એમાં એમ માની લેવાયું છે કે ગુજરાતીઓમાં અક્કલ નથી ને હિન્દુત્વની રમત કોઈ પણ પક્ષ રમે, આ ગુજ્જુઓ તો મત આપવાના જ છે એવી એ પક્ષોને ખાતરી છે. સાચું તો એ છે કે જે ભગવાનને છોડતા નથી, તે લોકોને છોડે એવી આશા કઈ રીતે રખાય? પક્ષોનું કામ છે મત પડાવવાનું ને અમારું કામ છે એમને જીતાડવાનું, એ સિવાય કોઈ કામનું નથી ને કૈં કામનું નથી, નથી એમને માટે, નથી અમારે માટે, તે કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ઑક્ટોબર 2022

Loading

ગિનિસ રેકોર્ડ્ઝે સોમવારે ઠેરવ્યો અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ, સોમવારના કાળમુખાપણા અંગે પિષ્ટપેષણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 October 2022

શું તમે પણ એ લોકોમાંના એક છો જે રવિવારની બપોરથી સોમવાર સવારની ચિંતામાં પડી જાવ છો? જો એમ હોય તો વાંધો નથી કારણ કે એવું અનુભવનારા તમે એકલા નથી

‘મંડે બ્લૂઝ’ – આ શબ્દથી આપણે બધા બહુ સારી પેઠે પરિચીત છીએ. ભલેને આપણે હકારાત્મકતાના બણગાં ફૂંકીએ, પણ સોમવારની સવાર, માળી, અઘરી તો હોય જ છે. દિવાળીની રજાઓ પૂરી થઇ ગઇ. આપણે કંઇ ગિજુભાઇ બધેકાની વાર્તાના પાત્રની માફક નવે નાકે દિવાળી નથી કરવાની. છતાં ય કહેવાતી રજાઓનો જે થોડોઘણો હરખ, લોકોને મળ્યાનો ઉત્સાહ, વજન વધ્યાની ચિંતા એ બધાનું જ સરવૈયું કાઢી આપણે હોંશે હોશે કામે પાછા ચઢવા ‘રિચાર્જ’ થઇ ગયા છીએ એવું માનીએ ને રૂટિન ચાલુ કરીશું એટલે ગણતરીના કલાકોમાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ આવવાના છીએ.

ના ના, જરીકે એમ ન માનતા કે તમારા ઉત્સવની ઉજવણીના ઉત્સાહ પર આપણી નોકરિયાત અને કામઢી લાચારીનું ગાર્નિશિંગ થઇ રહ્યું છે. આ વાત તો એ સંદર્ભે કરી રહ્યા છીએ કે અઠવાડિયા પહેલાં ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડે એક મોટી જાહેરાત કરી – આ જાહેરાત હતી કે આખા અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ છે સોમવાર. આ જાહેરાત સાથે જ મંડે બ્લૂઝની વાસ્તવિકતાઓ પર ચર્ચાઓ છેડાઇ. શું તમે પણ એ લોકોમાંના એક છો જે રવિવારની બપોરથી સોમવાર સવારની ચિંતામાં પડી જાવ છો? જો એમ હોય તો વાંધો નથી કારણ કે એવું અનુભવનારા તમે એકલા નથી. વળી ગિનિસ વર્લ્ડ રેકોર્ડે આ અધિકૃત જાહેરાત કરી એમાં નેટિઝન્સે તેમના ટ્વિટ નીચે એમ લખી પાડ્યું, કે લે તમને આ બહુ મોડા ખબર પડી નહીં કે સોમવાર અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ છે? વીકેન્ડ વાઇબ્સમાંથી વર્ક વાઇબ્સમાં પાછા ફરવા માટે આપણને ધક્કા મારતો દિવસ એટલે સોમવાર – મંડે – અને એટલે જ તો, માળું, એમાં બધી મજા મરી જાય છે.

સોમવાર આપણને મળ્યો છે ગ્રેગોરિયન કેલેન્ડરને કારણે જેની શરૂઆત રોમન કેથલિક કેલેન્ડર તરીકે થઇ હતી. આ કેલેન્ડર કોઇ પુરાણો પર આધારિત નથી, પણ પેગોન કેલેન્ડર અને ગણતરીઓ પર આધારિત છે – આ વાત આપણે ઘણાં વખત પહેલાં પણ અહીં કરી છે. સામ્રાજ્યવાદીઓએ આ કેલેન્ડર જ્યાં ગયા ત્યાં લાગુ કર્યું, જેથી ધંધો-ધાપો કરવામાં સરળતા રહે અને મોટાભાગની સંસ્કૃતિઓએ આ સ્વીકારી લીધું. જો કે આ સ્વીકૃતિઓ પણ ભાંજગડ બાદ જ થઇ હતી – અમુક સંસ્કૃતિઓએ આ બદલવાનો પ્રયાસ પણ કર્યો પણ કોઇ કારી ફાવી નહીં.

આપણું કેલેન્ડર એટલે કે પંચાંગ ગુપ્ત યગ દરમિયાન શોધાયેલું. આર્ય ભટ્ટ અને વરાહ મિહીરની ગણતરીઓને આધારે એ બન્યું હતું અને વિક્રમ સંવત રાજા વિક્રમાદિત્યને પગલે શરૂ થયું. આપણે ચંદ્રને આધારે ગણતરી કરીએ છીએ તો ગ્રોગેરિયન કેલેન્ડરમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે. ચાલો આપણે આ ઇતિહાસની ચર્ચા બાજુમાં મૂકીને આ સોમવારની મેથી મારીએ.

આપણે ભલે ચંદ્રને જોઇને કવિતાઓ કરીએ પણ સોમવાર – ચંદ્રનો વાર ભલભલી કવિતાઓ ભૂલાવી દે તેવો છે. વીકેન્ડને ગમે એટલો જોરદાર બનાવવાનું નક્કી કરીએ, રવિવારની સાંજથી જો તમે એ જોરદાર મુડમાં જ રહેતા હો તો, બૉસ, ડૉક્ટરને બતાડી આવો. ભલેને આપણે બધાએ કોરોનાકાળમાં ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હોય પણ આપણો એ સોમવાર માટેનો ડર તો, માળો, ઘટવાને બદલે વધ્યો. કારણે એટલું જ કે ઑફિસથી તો છ વાગે નીકળી જઇએ પણ વર્ક ફ્રોમ હોમમાં લાંબા કલાકો પણ કામ ખેંચાયું છે અને આ અનુભવ બહુમતી કર્મચારીઓએ અનુભવ્યો છે. મંડે બ્લૂઝને તમે ભલેને કોઇ ‘ક્લિનિકલ ઇલનેસ’ ન માનતા હો પણ આ એક વાસ્તવિક અનુભૂતિ છે. કૉર્પોરેટના માલિકનો એવો દાવો હોઇ શકે કે તમે શનિ-રવિ આરામ કરીને આવ્યા તો પછી સોમવારે તમને તો રિચાર્જ્ડ લાગવું જોઇએ એને બદલે આવું કેમ લાગે છે. સોમવારે ઑફિસનાં પગથિયાં ચઢનારને બે લાગણી મનમાં હોય – એક તો એ કે હાય આખો દિવસ કાઢવાનો ફરી અને અઠવાડિયાનો એક દિવસ તો ગયો હાથમાંથી. એક રિસર્ચ અનુસાર કર્મચારીઓને હંમેશાં અઠવાડિયાનો પહેલો દિવસ ભારે જ લાગે કારણ કે નજર સામે કામનો ખડકલો હોય. નોકરી સામે લોકોને વાંધો નથી હોતો પણ સોમવારની શરૂઆતે પગે પાણાં બાંધ્યા હોય એવું તો લાગે જ છે. મંડે બ્લૂઝના ત્રાસ અને કામનાં સ્ટ્રેસને કારણે જ્યારે કર્મચારીઓ વર્ક-લાઇફ બેલેન્સ કરવામાં પાછા પડે છે એવું લાગ્યું તો આઇસલેન્ડ જેવા દેશે તો ચાર દિવસ વર્કની સિસ્મટ લાગુ કરી દીધી. આમાં નથી કામ ઘટતું, નથી કામના કલાકો ઘટતા કે ન તો પગાર ધોરણો પર ફરક પડે છે. કર્મચારીઓની પ્રોડક્ટીવિટી પર આનાથી સારી અસર પડે છે તેવું આનો અમલ કરનારા દેશોનું કહેવું છે. યુરોપમાં અમુક દેશોએ આની જાહેરાત કરી છે પણ હજી પૂરો અમલ નથી કર્યો તો યુ.કે.ની અમુક કંપનીઓએ આની ટ્રાયલ કરી અને ભારે સફળતા મેળવી. સ્કોટલેન્ડ અને વેલ્શ જેવા દેશોએ પણ આ પરિવર્તનોને લાગુ કરવા કવાયત કરી છે.

તમને લાગે છે કે ભારતમાં આ ચાર દિવસ વાળી વાત અમલમાં મુકાય તો કામને મામલે બધું સચવાઇ જાય? આ સવાલ કરવો પડે છે એ જ કદાચ બતાડે છે કે આપણે એવું જોખમ લેવાની જરૂર નથી. સોમવારની ચિંતામાં શુક્રવાર સાંજથી વીકેન્ડ મોડમાં આવી જનારા કર્મચારીઓની સંખ્યા મોટી છે.

સોમવાર આપણને એક રૂરિન – એક ઘટમાળ આપે છે. ભલે તમે તમારી ઘટમાળને ઘડિયાળના કાંટાની માફક અનુસરતા ન હો, પણ નકરી અચોક્કસતા અને અણધાર્યાપણાની લાગણીની તાણ કરતાં ઘટમાળ બહેતર છે. સોમવાર પણ આપણી ઘટમાળનો જ એક ભાગ છે. ગમે કે ન ગમે, હિંદુ પંચાગમાં હોય કે ગ્રેગોરિયન કેલેન્ડર – આપણે રોટલો રળવા તો જવું જ પડશે. સોમવારને ધિક્કારવાને બદલે કમને સ્વીકારી લઇએ તો બહેતર છે કારણ કે બદલી ન શકાય તો સ્વીકારી લેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે એવું કોઇકે તો ક્યાંકને ક્યાંક કીધું જ હશે.

બાય ધી વેઃ

કંટાળો, રૂટિન, થાક આ બધું જ આપણા મનની ઊપજ છે. સતત ઉત્સાહમાં નથી રહી શકાતું તેમ સતત ચિઢાયેલા રહેવાનો ય કોઇ અર્થ નથી. સોમવારનો થાક લગાડવાને બદલે એવી ચીજો પર ફૉકસ કરી શકાય કે જે આપણા કાબૂમાં હોય, જે આપણને મજા આપતી હોય અને એ સોમવાર હોય કે શુક્રવાર – કોઇ પણ વારે આપણા તાબામાં હોય. સોમવાર બહુ ધીમો, કંટાળાજનક અને લાંબો લાગી શકે છે પણ જો શુક્વારને આપણે અઠવાડિયાનો પહેલો દિવસ માનવાનું ચાલુ કરીશું તો એનો ય કંટાળો આવો જ હશે. તમારો અભિગમ જ આ બધા માનસિક મેનેજમેન્ટમાં કામ લાગશે. દિવાળીની રજાઓએ તમને રિચાર્જ કર્યા હોય તો આવો કોઇ અભિગમ વિકસાવવા પર કામ કરો તો મંડે બ્લુઝનો બોજ ઉપાડનારા કોર્પોરેટ મજૂરોને પ્રેરણા મળે એવું કંઇ કરજો, બાકી તો બ્લૂ હૈ પાની પાની પાનીની માફક બ્લુ હૈ મંડે મંડે … હેપ્પી ન્યુ યર … સોમવારે ઑફિસે જઇએ પછી વાત કરીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑક્ટોબર 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—168

દીપક મહેતા|Opinion - Opinion|29 October 2022

ઠંડા ઠંડા કૂલ કૂલ આઈસ ક્રીમ અને મુંબઈ 

૧૮૩૪ની એક સવારે મુંબઈનાં અંગ્રેજી અખબારોમાં એક સમાચાર છપાયેલા :

‘ગઈ કાલે સર જમશેદજી જીજીભાઈએ પોતાના નવા બંગલામાં આપેલી મિજબાનીમાં શહેરના અનેક આગેવાનોએ હાજરી આપી હતી. પણ અમેરિકાથી ખાસ મગાવેલી એક વાનગી ખાધા પછી તેમાંના ઘણા મહેમાનો માંદા પડી ગયા હતા. એ વાનગી સ્વાદિષ્ટ તો ઘણી હતી પણ એટલી ઠંડી હતી કે એ ખાનાર ઘણા મહેમાનો શરદી-ઉધરસનો ભોગ બન્યા હતા.’ જ્યારે મુંબઈના એકમાત્ર ગુજરાતી અખબારે દોષનો ટોપલો મહેમાનોને માથે ઢોળી દીધેલો : ‘માંદા પડેલા મહેમાનો પોતાની જ ભૂલનો ભોગ બન્યા હતા. આવી અજાણી, પરદેશી વાનગી ખાવાની ભૂલ ન કરી હોત, તો તેઓ માંદા પડ્યા ન હોત.’ હા, જી. એ વાનગીને આપણે આઈસ ક્રીમ તરીકે ઓળખીએ છીએ. સરસાહેબે પાર્ટીમાં પીરસવા માટે ખાસ અમેરિકાથી આઈસ ક્રીમ મગાવેલું! (‘આઈસ ક્રીમ’ કેવું કે કેવો? પ્રમાણભૂત ગણાતો ‘સાર્થ ગુજરાતી શબ્દકોશ બંને સ્વીકારે છે. જ્યારે ભગવદ્ગોમંડળ કોશ માટે ‘કેવો’ જ સાચું, ‘કેવું’ નહિ. જ્યારે ‘ગુજરાતી લેક્સિકન’ બંને જાતિ સ્વીકારે છે: નર જાતિ અને નાન્યતર. અને અ લખનાર હંમેશાં ‘કેવું’ જ બોલે, કેવો નહિ જ.)

આ સર જેજે સાહેબ તે મુંબઈના મોટા દાનવીર. આજે જે ચર્ની રોડ તરીકે ઓળખાય છે ત્યાં આવેલી પોતાની જમીન તેમણે ગાય-ભેંસ વગેરે ચરી શકે તે માટે એક પાઈ પણ લીધા વિના સૌ કોઈ માટે ખુલ્લી મૂકી દીધી હતી. જે.જે. હોસ્પિટલ, તેમના દાનમાંથી બની. જે.જે. સ્કૂલ ઓફ આર્ટસ્, તેમની સખાવતમાંથી. લેડી જમશેદજી રોડ બંધાયેલો તેમનાં પત્નીના દાનમાંથી.

આઈસ ક્રીમની વડદાદી કુલ્ફી

પણ અંગ્રેજો અને તેમની રાજવટના વિરોધીઓને ગમે તેવી એક વાત એ છે કે આ અંગ્રેજી આઈસ ક્રીમનો વડદાદો હિન્દુસ્તાની હતો. જો કે એ હતો મોગલ. એટલે ઘણાનો હરખ થોડો ઓછો ય થઈ જાય! ‘આઈને અકબરી’માં જણાવ્યું છે કે મોગલ બાદશાહ અકબર માટે અવારનવાર આઈસ ક્રીમ તો નહિ પણ તેની વડદાદી જેવી કુલ્ફી બનાવવામાં આવતી. ખોયા કહેતાં માવામાં એલચી, બદામ, પિસ્તાં વગેરે નાખવામાં આવતાં. પછી તેમાં કેસરી દૂધ ઉમેરાતું. એ મિશ્રણને ધાતુના શંકુ આકારનાં બીબાંમાં ભરીને ઠારવા માટે બરફની વચ્ચે મૂકતા. એ બીબાંનાં ઢાકણાં બંધ કરવા માટે ઘઉંના લોટની કણક વપરાતી. પણ વેઇટ અ મિનિટ! હિન્દુસ્તાનમાં પહેલી વાર બરફ તો પેલા બરફના બેતાજ બાદશાહ ફ્રેડરિકભાઈ લાવેલા, અને એ તો બાદશાહ અકબર પછી થોડી સદી વિત્યા પછી. તો અકબરના જમાનામાં બરફ આવ્યો ક્યાંથી? દિલ્હીની અસહ્ય ગરમી બાદશાહ સલામતથી સહન ન થતી. એટલે ઉનાળામાં ખાસ ખેપિયાની ફોજ ઊભી કરવામાં આવતી. હિમાલયના પર્વતો પરથી ઉસેટી આ ખેપિયા દિલ્હી દરબારમાં બરફ હાજર કરતા. એ બરફ વાપરીને બાદશાહ માટે અને તેમના કબીલા માટે ઠંડાંગાર શરબત, દૂધ, કુલ્ફી વગેરે બનાવતા.

પણ એ વખતે આમ આદમીને તો કુલ્ફીનો ‘ક’ પણ અજાણ્યો હતો. અને દિલ્હી કરતાં મુંબઈ તો હિમાલયથી ઘણું વધુ દૂર. એટલે હિમાલયથી બરફ લાવવાનું તો બની શકે જ નહિ. પણ હા. આ લખનારે નાનપણમાં આવી ‘માટલાની કુલ્ફી’ ખાધેલી એ બરાબર યાદ છે. મોટે ભાગે ઉત્તર પ્રદેશના ભૈયાઓ એ બનાવીને વેચતા. વખત જતાં ઢાકણાં બંધ કરવા માટે કણકને બદલે જાડા કાળા રબર બેન્ડનો ઉપયોગ થવા લાગ્યો. એલ્યુમિનિયમને બદલે પ્લાસ્ટિકનાં ઘરાં આવ્યાં. પછી માટલાની કુલ્ફી ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. તેનું સ્થાન ગોળ ચાકીની કુલ્ફીએ લીધું. તેમાં જાતભાતના રંગ-સ્વાદ ઉમેરાયા. એક જમાનામાં ‘કુલ્ફી તો પારસી ડેરીની’ એમ મનાતું. તો ગિરગામ ચોપાટી અને જૂહુ ચોપાટીની કુલ્ફીના ચાહકો પણ ખરા, આજે ય તે.

પણ હવે કુલ્ફીની પ્લેટ જરા બાજુએ મૂકીને આપણે ફરી આઈસ ક્રીમ તરફ વળીએ. આઈસ ક્રીમ શબ્દ પહેલવહેલો વપરાયો છે ૧૭૭૭ના મે મહિનામાં, અમેરિકામાં. ન્યૂ યોર્ક ગેઝેટમાં ફિલિપ લેન્ઝીએ તેનો ઉપયોગ કરેલો. જો કે તેણે પોતાની ઓળખ લંડનના કનફેક્શનર તરીકે આપી છે. એ પછી વીસ વરસે બાલ્ટીમોર શહેરમાં આઈસ ક્રીમ વેચવાની જાહેર ખબર છપાયેલી જોવા મળે છે. પ્રેસિડન્ટ જેમ્સ મેડિસનનાં પત્ની ડોલી મેડિસને ૧૮૦૯માં એક રાજકીય સમારંભના મહેમાનોને આઈસ ક્રીમ પીરસ્યું હતું અને મહેમાનોએ તેના ભારોભાર વખાણ કર્યાં હતાં. ૧૮૧૦માં ફ્રેડરિક ટ્યૂડરે વેસ્ટ ઇન્ડીઝમાં આઈસ ક્રીમ બનાવીને તે અમેરિકા, ઈરાન અને હિન્દુસ્તાન મોકલવાનો વેપાર શરૂ કર્યો હતો.

આઈસ ક્રીમ બનાવવાનો સંચો

એક વાર બરફ છૂટથી મળતો થયો પછી આઈસ ક્રીમ બનાવવાનું અઘરું ન રહ્યું. ફેરિયાથી માંડીને નાની-મોટી દુકાનો આઈસ ક્રીમ વેચવા લાગી. તે બનાવવાના સંચા પણ બજારમાં મળતા થયા. ઘણાં ઘરો વાર-તહેવારે આવા સંચામાં ઘરે આઈસ્ક્રીમ બનાવતાં. ધાતુના લાંબા ડબ્બામાં ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ ભરવાનું – મોટે ભાગે કેસર-બદામ-પિસ્તા કે વેનિલા કે સ્ટ્રોબેરીનાં એસન્સ અને ખાંડ નાખેલું. ઢાંકણું સજ્જડ બંધ કરીને લાકડાના પીપમાં એ ગોઠવવાનું. એ બેની વચ્ચેની જગ્યામાં બઝાર આઈસનાં ગચિયાં મૂકી ઉપર દેશી મીઠું ભભરાવવાનું. આ સંચા બે જાતના. કોઈકમાં ઉપર હેન્ડલ હોય, કોઈકમાં સાઈડમાં. તેના વડે દૂધ ભરેલો ડબ્બો ગોળ ગોળ ફેરવવાનો. થોડી થોડી વારે ઢાંકણ ખોલીને ડબ્બાની અંદરની દિવાલ પર જામેલું આઈસ ક્રીમ તવેથાથી ઊખેડવાનું. ફરી ડબ્બો બંધ, ફરી ગોળ ગોળ ઘુમાવવાનો. હા, બરફ પીગળે તેનું ખારું પાણી દૂધ ભરેલા ડબ્બામાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે. લાકડાના પીપમાં નીચેના ભાગમાં એક કાણું. તેમાં બૂચ મારેલો હોય. તે થોડી થોડી વારે કાઢીને બરફનું પાણી બહાર. અંદર ઉમેરવાનો નવો બરફ, નવું મીઠું. અડધા-પોણા કલાકમાં હોમ મેડ આઈસ ક્રીમ તૈયાર. આ આખી પ્રક્રિયા દરમ્યાન ઘરનાં છોકરાંની બાજ નજર પેલા સંચા પર જ હોય.

આ લખનારને ઘરે આ રીતે સંચામાં આઈસ ક્રીમ તૈયાર થતું. ઉનાળામાં હાફૂસ કેરીનું. તે સિવાય બદામ-પિસ્તાં કે કેસર-બદામનું. કેટલીક વાર એક-બે મિનિટ માટે સંચો ફેરવવાની ‘તક’ મળતી તો બેટમજી રાજીના રેડ. પણ તેના કરતાં ય વધુ યાદ છે તે તો બેસતા વરસના દિવસે બપોરે આવતો અડધા મણ (આજના લગભગ વીસ કિલો) આઈસ્ક્રીમનો સંચો. ફક્ત વીસ રૂપિયામાં, હોમ ડિલીવરી સાથે. વજન માટે ‘મણ’નો ઉપયોગ કંઈ નહિ તો મોગલ સામ્રાજ્ય જેટલો જૂનો તો છે જ. હિન્દુસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, અરબસ્તાન, વગેરે દેશોમાં પણ તેનો ઉપયોગ થતો. બ્રિટિશ રાજવટ દરમ્યાન સૌથી પહેલાં બંગાળ ઇલાકામાં ૧૮૩૩માં ‘મણ’નું માપ સ્વીકારાયું. ચાલીસ શેરનો એક મણ. પણ મુંબઈ ઇલાકામાં જૂદી જુદી જગ્યાએ તેમાં થોડો ફરક રહેતો. વડોદરામાં ૪૨ શેરનો એક મણ, તો માળવાના દેવાસમાં ૬૪ શેરનો. માળવાના જ ઇન્દોરમાં અનાજ માટે ૨૦ શેરનો એક મણ, પણ અફીણ માટે ૪૦ શેરનો. તો ભરૂચમાં કપાસ માટે ૪૨ શેરનો મણ ગણાતો. બેળગાંવમાં ૪૪ અને કારવારમાં ૪૨ શેરનો મણ. “પીઠે બાંધ્યા મણ મણ તણા બોજ ને ચાલવાનું” જેવી કાવ્ય પંક્તિમાં પણ મણનું માપ જોવા મળે. તો બોલચાલમાં ‘મણ મણનો નિસાસો’ જેવા પ્રયોગ સામાન્ય હતા.

આઝાદી પછી ૧૯૫૮માં દેશે ‘મેટ્રિક સિસ્ટમ’ અપનાવી ત્યારથી મણનો ઉપયોગ ઘટ્યો અને ૧૯૬૦માં વજન માટે મેટ્રિક સિસ્ટમ ફરજિયાત બનાવાઈ. આજની પેઢીના ઘણા લોકોને તો મણ એટલે શું એની પણ ખબર ન હોય એમ બને. કેમ એ તો ખબર નથી, પણ ત્યારે ‘સાલ મુબારક’ માટે અમારે ત્યાં બધા મહેમાનો સાંજે જ આવતા. સવારે આવે માત્ર અડોશી-પડોશી. સાંજે આવતા બધા મહેમાનોને આઈસ ક્રીમ સાથે મારા માએ બનાવેલી લીલા વટાણાની પેટીસ ધરાય. પહેલેથી વાળી રાખેલી પેટીસ થોડી થોડી વારે મા પ્રાઈમસ પર તળતા જાય. ગરમ પેટીસ અને ઠંડા આઈસ ક્રીમનું કોમ્બિનેશન બધાં મહેમાનો પસંદ કરતાં. 

તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે આઈસ ક્રીમ

ઘરે દર વરસે આઈસ ક્રીમ આવે એક જ દુકાનેથી. મોહમદ અલી રોડ પર આવેલ તાજ આઈસ ક્રીમમાંથી. ત્યારે ટેલિફોનનું ચલણ બહુ ઓછું. એટલે બે દિવસ પહેલાં જાતે જઈને વરદી આપવી પડે. ઠરાવેલા ટાઈમે સાઈકલ પર સંચો લઈને દુકાનનો માણસ આવે. બીજે દિવસે ખાલી સંચો પાછો લઈ જાય. આ તાજ આઈસ ક્રીમ તે મુંબઈની જૂનામાં જૂની દુકાન. કચ્છથી આવેલા વાલીલજી જાલાજીએ છેક ૧૮૮૭માં શરૂ કરેલી. અલબત્ત, તે વખતે આઈસ્ક્રીમ બનાવવાનું તો શક્ય નહોતું. કારણ હજી બરફ તો લક્ઝરી ગણાતો – મળવો મુશ્કેલ. એટલે શરૂઆતમાં જુદાં જુદાં ફળોનો રસ અને દૂધ માટીના વાસણમાં મિક્સ કરીને ‘દૂધ કોલ્ડડ્રિંક’ વેચતા. પછી જ્યારે બરફ સહેલાઇથી મળવા લાગ્યો ત્યારે ફળો દૂધમાં મેળવીને આઈસ ક્રીમ બનાવવાનું શરૂ કર્યું. બસ, આજના દિવસ સુધી વારસદારો પણ એ જ રીતે આઈસ ક્રીમ બનાવે છે. શરૂઆતમાં તો આ દુકાનનું કોઈ નામ નહોતું. પણ તાજુદ્દીન નામના વાલીલજીના એક ખાસ દોસ્ત અવારનવાર આ દુકાનનું આઈસ ક્રીમ ખાવા છેક કચ્છથી આવે! એટલે એમના માનમાં દુકાનનું નામ પાડ્યું ‘તાજ આઈસ ક્રીમ.’ તો લોકોએ એ કુટુંબને નવી અટક આપી : ‘આઈસ ક્રીમવાલા.’

મુંબઈની આઈસ ક્રીમની સૌથી જૂની દુકાન

પછી ધીમે ધીમે જુદી જુદી જાતનાં આઈસ ક્રીમ આવતાં ગયાં. કંપનીઓ જથ્થાબંધ આઈસ ક્રીમ બનાવીને દુકાનો મારફત વેચવા લાગી. કપ આઈસ ક્રીમ, કોન આઈસ ક્રીમ, આઈસ ક્રીમ સ્ટિક, આઈસ ક્રીમ સ્લેબ. આ રીતે આઈસ ક્રીમ બનાવનારી કંપનીઓમાં કદાચ સૌથી જૂની તે ‘દિનશોઝ આઈસ ક્રીમ’. છેક ૧૯૩૨માં શરૂ થઈ. આજે પણ ચાલુ છે. શરૂ થઈ ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે હજી આઈસ ક્રીમ ‘લક્ઝરી’ હતું. બીજી તે ‘જોય આઈસ ક્રીમ.’ ૧૯૬૭ના ડિસેમ્બરની આઠમીએ તેની શરૂઆત થઈ. કેટલાંક વર્ષો બોલબાલા રહી. પણ પછી વખત જતાં કંપની બંધ. મુંબઈનું બજાર મોટું ને મોટું થવા લાગ્યું. ગુજરાતની કંપનીઓ મુંબઈમાં પણ આવી. કેટલીક મલ્ટી નેશનલ બ્રાંડ પણ આવી. તો આઠ દાયકા પહેલાં શરૂ થયેલી કે. રુસ્તમ જેવી કંપનીઓ પણ લોકોની જીભે વળગી ગઈ. બ્રેબોર્ન સ્ટેડિયમના પરિસરમાં આવેલી આ કંપની તેની આઈસ ક્રીમ સેન્ડવિચ માટે પંકાય. તો ‘અમૂલ’ જેવી સહકારી મંડળીએ પણ આઈસ ક્રીમના ક્ષેત્રે ઝંપલાવ્યું. શરૂઆત પ્રમાણમાં મોડી અને તે ય ગુજરાતમાં. ૧૯૯૬ના માર્ચની ૧૦મી તારીખે શરૂઆત કર્યા પછી ૧૯૯૭માં તેનાં આઈસ ક્રીમ મુંબઈમાં વેચાવા લાગ્યાં. આજે તે ૨૨૦ જાતનાં આઈસ ક્રીમ અને બીજી બનાવટો વેચે છે!

અરે! પણ આઈસ ક્રીમ એ કાંઈ લખવા-વાંચવાની વાત છે? અને મુંબઈની ઓક્ટોબર હીટમાં તો આઈસ ક્રીમ આરોગ્યા વગર ચાલે જ કેમ?

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 ઑક્ટોબર 2022

Loading

...102030...1,3061,3071,3081,309...1,3201,3301,340...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved