Opinion Magazine
Number of visits: 9554014
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિભીષિકા કરતાં વધુ તો કારુણિકા : 14મી ઓગસ્ટનું થોડું સહચિંતન 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 August 2025

વિભાજન

ઇતિહાસનો બોધને ચાલુ બોજ તરીકે શા સારુ પલવીએ?

નક્કી કરો – તમારે ઇતિહાસનો બોધ લઈને આગળ વધવું છે કે પછી એનો બોજ ટાંકાટેભાતોડ જખ્મેદૂઝ સાથે પલવી પલવી પીડા વહોરવી છે.

પ્રકાશ ન. શાહ

આજે ઓર એક વિભાજન વિભીષિકા દિવસ મનાવાશે. વિભીષિકા એ અવશ્ય હતી, પણ લાંબા સંઘર્ષ અને લાંબી પ્રયાસકોશિશનો ગાળો જ્યારે સ્વાતંત્ર્ય લઈને આવ્યો ત્યારે એ એક વિશેષ અવસર પણ અવશ્ય હતો. ગુલામીમાંથી નવઉઘાડનો ખયાલ જ્યારે સામે આવે છે ત્યારે વિભાજન એક વિભીષિકા કરતાં વધુ તો કેમ જાણે એક કારુણિકા રૂપે સમજાય છે. 

ઇતિહાસનો બોધ અવશ્ય માથે ચડાવીએ પણ એને ચાલુ બોજ તરીકે શા સારુ પલવીએ? શાણા વાજપેયીના પક્ષે એ એક સાહસનું એટલું જ સમજદારીનું પગલું હતું કે ભારતના વડા પ્રધાન તરીકે એમણે લાહોરની સત્તાવાર મુલાકાત દરમિયાન, પાકિસ્તાનના ઠરાવની સ્મૃતિરૂપે ઊભા કરાયેલ મિનારે પાકિસ્તાન જવું ચહીને પસંદ કર્યું હતું. સમજવાનું એ છે કે ભા.જ.પ., ગાધી-નેહરુ-પટેલની અદ્વિતીય સ્વરાજત્રિપુટીમાંથી જે એણે ચહીને જુદા તારવે છે અને ફૂલેકે ચડાવે છે તે સરદાર પટેલને પાકિસ્તાનનો સ્વીકાર એક તબક્કે અનિવાર્ય જણાયો હતો – અને એ એમના લોહપુરુષપણાની એક આગવી ઓળખ હતી કે આ અપ્રિય જણાતા નિર્ણયમાં એમણે આગેવાની લીધી હતી. બીજી પાસ, એ જુઓ તમે કે જે એક રાજકીય એકમ નેહરુ-પટેલના શાસકીય નેતૃત્વમાં બની આવ્યું તેવો ને તેટલો વ્યાપ ભારતીય રાજ્યનો ઇતિહાસમાં કદાચ કદાપિ નહોતો. પૂર્વ બંગાળમાં ઉર્દૂ લાદવાની કોશિશ કરી નવા વિભાજનનો પાયો નાખનાર ઝીણા અને આકાશવાણીમાં ઉર્દૂ સર્વિસ દાખલ કરી – એક, ન તો કેવળ મુસલમાનોની કે ન તો બધા મુસલમાનોની ભાષા મારફતે, દેશને અને સીમાપારના સાથીઓને હૂંફમાં લઈ જાણતા સરદાર, ભેદ સમજાય છે આ બે વચ્ચેનો?

વાત સાચી કે કાઁગ્રેસે શાસનના એક પટ પર સરદારને વિસારે પાડ્યા હતા, તો સાથે એ પણ સાચું કે એના ‘ડિસ યુઝ’ સામે સંઘ પરિવારે સરદારનો ‘મિસ યુઝ’ પણ માપ બહારનો કીધો છે. ગાંધીને બાજુએ રાખી પટેલ અને નેહરુએ કચવાતે મને બલકે કકળતી આંતરડીએ વિભાજનનો નિર્ણય લીધો તે પછી પરસ્પર ઝોકફેરે અને છાયાભેદે પણ આ મળતાં મળે એવી સ્વરાજત્રિપુટીની ગરવીનરવી ભૂમિકા એ મુદ્દે હતી કે એમણે એક બિનસાંપ્રદાયિક ભૂમિકા લીધી. આ ભૂમિકાએ એમણે એકતા મજબૂત કીધી ને સંભવિત નવા વિભાજન સામે કિલ્લેબંધી કીધી.

કમનસીબે ઝીણાને પક્ષે ઓગસ્ટ 1947 પછી ભૂલસુધારવાની કિંચિત કોશિશ છતાં પાકિસ્તાન ન તો આવી નરવી ભૂમિકાએ પહોંચી શક્યું, ન તો નાગરિકને બદલે લશ્કરી રાહની એને કળ વળી. પ્રજાકીય અવાજના અગ્રદૂત તરીકે, કહો કે અંતરાત્માના રખેવાળ તરીકે ફૈઝ અહમદ ફૈઝથી માંડી ફહમિદા રિયાઝ સહિતના અવાજો પાકિસ્તાનમાં ઉભરતા રહ્યા છે, જેમ બાંગલા દેશને તસલીમાં નસરીન શી પ્રતિભા મલી તે પણ આપણે જોયું છે. પણ સરમુખત્યારી સામે ખરી દૂંટીના નિર્ભીકનક્કુર અવાજ તરીકે ફૈઝનું ‘હમ દેખેંગે’ પાકિસ્તાનમાં ઉચકાય છે અને ઉપખંડ આખામાં બગાવતી યુવા મિજાજના નાગરિક ગાન તરીકે ઉભરે છે ત્યારે કાનપુર આઈ.આઈ.ટી.ના હુકમરાનો અહીં એના ઉપયોગ અંગે ‘તપાસ’ નીમે છે! ફહમિદાએ પાક હુકમશાહીને પડકારી હતી અને આપણે ત્યાં એમણે નિર્વાસનનો કેટલોક સમય ગાળ્યો હતો. હુકમશાહી સામેના અવાજ તરીકે એને સંભારીએ છીએ પણ ભારતવાસે ફહમિદાને એક તબક્કે જે લાગણી થઈ કે ‘તુમ ભી હમ જૈસે નિકલે’, તે આપણને કેમ સમજાતી નથી? તસલીમાએ બાંગલાદેશમાં હિંદુ લઘુમતી પરના મુસ્લિમ જુલમને પડકાર્યો, પણ આપણે ત્યાંના નિવાસમાં આ જ તસલીમાને હિંદુત્વ રાજનીતિથી થયેલ અસુખ ને અમૂઝણ બાબતે આપણે કેમ મૂકબધિર બની જઈએ છીએ?

વિભાજનની વિભીષિકા પરત્વે ટાંકાટેભાતોડ જખમે દૂઝ અભિગમથી જેવું બેમતલબ ને બેમાની છે. એક કારુણિકા તરીકે એનો લિહાજ કરીએ અને એમાંથી બોધપાઠ લઈ આગળ વધીએ તે ઇતિહાસનો કોલ છે – ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની કાશ. હાલના રાજકીય-શાસકીય અગ્રવર્ગને આ સકારાત્મક વાનું પકડાય!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 ઑગસ્ટ 2025

Loading

શ્રદ્ધા પોતે જ હવે અશ્રદ્ધેય ! 

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|14 August 2025

મનને બહુ આગ્રહ કરી કરીને શ્રેયસાધક બની રહેવાનું કહું છું. અંદરથી એવું ય અનુભવાય છે કે શ્રેયસાધક કહેવાય તેઓનું જગતમાં સંખ્યાબળ પણ કેટલું ? પણ આમ્રવૃક્ષ બાવળ શી રીતે બની શકે ?

આસપાસ મોટા ભાગના જીવો પ્રેયસાધક જ જોવા મળે છે . બાહ્ય દેખાવ શ્રેયસાધકનો; પણ અંદરથી તો પ્રેયના જ પૂજારી – વધારે યોગ્ય શબ્દ વાપરવો હોય તો પાપના પૂજારી પણ પ્રયોજી શકાય ! મોટા ભાગનાનું મન એવું કે અનૈતિકતા, અપ્રામાણિકતા, ગમે તે માર્ગે – ગમે તે રસ્તે જેટલું ધન મેળવી શકાય, રળી શકાય એટલું ઉસેડી લેવાનું; આ રોગ ઊગીને ઊભા થાતા નાનકડાં છોકરાંઓમાં ય નરી આંખે જોઈ શકાય છે; જેને મળીએં એ શખ્સ “નીરજ” કહે છે તેમ “सब का तेरी जेब से नाता, तेरी जरुरत कोई नहीं ।”ની મનોવૃત્તિવાળો જ જોવા મળશે !

આશ્ચર્યની વાત તો એ છે કે આમ તો  positive thinking – એટલે કે હકારાત્મક વિચારણાનો મહીમા ચારે તરફ જોવામાં આવશે; પણ મોટા ભાગના આધેડો અને ખાસ કરીને યુવાનો પાસે નૈતિકતાની અને પ્રામાણિકતાની વાત કરીએ એટલે એ આક્રમક રીતે દલીલોથી ઉદાહરણ સહિત વિરોધ કરવા રીતસરના તૂટી જ પડે છે; એમનો બિલકુલ દોષ નથી રોજિંદા જીવનમાં તેઓ જે જૂએ છે – જાણે છે – જીવે છે એ જ અણગમતી બાબતની પ્રતિક્રિયા તો એ આપે જ ને !

આમ તો પૃથ્વી પર મનુષ્ય જનમ્યો અને એનું મન વિચારતું થયું હોય ત્યારથી જ શુભની સાથે જ અશુભની પણ વિચારણા શરૂ થઈ હશે. “રામાયણ”, “મહાભારત” પણ શુભ-અશુભની જ સંમિશ્રિત કથા છે ને ? પણ પાછલે પગલે જેમ જઈએ એમ શુભનું – શ્રેયનું બળ વધુ જોવા મળશે. એથી જ એ કાળે લોકો પર ધર્મનો પ્રભાવ અને ડર પણ વિશેષ જોઈ શકાશે. કિન્તુ, કહેવાય છે કે જગતમાં બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે જગતમાં નૈતિક મૂલ્યોનો તમામ ક્ષેત્રમાં હ્રાસ થયો ! સંઘરાખોરી, કાળાબજાર, અઢળક ધન રાતોરાત મેળવી લેવાની લાલસા, ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત વગેરે અનિષ્ટો આ બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન વિશેષ જોવા મળ્યા. હવે આધુનિક યુગના મશીનછાપ માનવીનો ચહેરો નજરે આવ્યો. ઉમાશંકર જોશીના નિબંધસંગ્રહ “ગોષ્ઠિ”ના એક નિબંધમાં પણ આ બીજા વિશ્વ યુદ્ધ પછી અમદાવાદની યુવાન પેઢીમાં આવેલ આ પરિવર્તનની નોંધ લેવાઈ છે .

આ શ્રેયમાર્ગથી બીજા વિશ્વ યુદ્ધની આબોહવાએ આપણને ઘણાં દૂર લાવી મૂક્યા છે. આપણે અનૈતિકતા, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર અને લાંચ-રૂશ્વતને નામશેષ કરવાની મહેચ્છા રાખીએ છીએ, પણ એ તો `રક્તબીજʼની જેમ વધારે ને વધારે ફાલતાફૂલતા જાય છે !

હજુ ધરતી સાવ વાંઝણી તો નથી જ થઈ; શ્રેયાર્થીઓ પણ નથી જ એવું તો નથી; પણ આપણે આપણા રોજિન્દા અનુભવોને આધારે એટલી હદે શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ કે કોઈ વ્યક્તિને આપણે શ્રદ્ધેય તરીકે સ્વીકારી શકતા નથી. આ અશ્રદ્ધાની વચ્ચે – સાથે જીવવું એ નાનીસૂની સજા નથી!

તા. ૧૪-૦૮-૨૦૨૨

Loading

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૬ (સાહિત્યવિશેષ : પ્લેટો) 

સુમન શાહ|Opinion - Literature|14 August 2025

જાક્સ દેરિદા

મારી પાસે માત્ર એક જ ભાષા છે, અને એ મારી નથી – I have only one language; it is not mine — દેરિદા કહે છે. ભાષા સાથેનો એમનો સમ્બન્ધ ગહન છે. એની પ્રતીતિ માટે પ્રારમ્ભ પૅરીસથી નહીં પણ એમના અલ-બિયારના વતનથી કરવો પડે, જ્યાં એમને એક અલ્જીરિયન યહૂદી શિશુ તરીકે શાસકોની ભાષા ફ્રૅન્ચ શીખવી પડેલી. એ પારકી ભાષામાં પૅરીસમાં ભણ્યા-ભણાવ્યું-લખ્યું, પુસ્તકો થયાં, અંગ્રેજીમાં અનુવાદો થયા, અમેરિકન યુનિવર્સિટીઓ સાથે વિદ્યાકીય અનુબન્ધ સ્થપાયો; એ બધી ઘટનાઓને કારણે બીજી પારકી ભાષા અંગ્રેજી સાથે જોડાવાનું પણ થયું. તેમ છતાં, કારકિર્દી દરમ્યાન દેરિદા ભાષાનાં જ સત્ત્વ / તત્ત્વ શોધતા રહ્યા. ભાષા જ એમના જીવનનું પ્રેરકબળ બની રહી અને એથી જ એમનું સમગ્ર જીવનકાર્ય ઘડાયું. 

મને એમ થયેલું કે દેરિદા અને વિઘટનશીલ ફીલસૂફીના વિષયમાં ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક વગેરે એમના અનુવાદકો / અર્થઘટનકારોએ અર્થસભર વાતો કરી છે એ વિશે લખું; પણ એ પહેલાં, એમ નક્કી થયું કે ના, દેરિદાના સાહિત્યકલાવિષયક વિચારો અને સંલગ્ન ભાવવિશ્વ વિશે વીગતે લખું, કેમ કે મારી / આપણી અપેક્ષાના અગ્ર ક્રમે સાહિત્ય છે.

દેરિદાનાં ફિલસૂફીવિષયક પુસ્તકો પ્રકાશિત થયાં, તેઓ ફિલસૂફ તરીકે સ્થિર થયા, એથી બહુ પહેલાં, એમનો સાહિત્યસૃષ્ટિમાં વિહાર શરૂ થઈ ગયેલો. એમનું બૌદ્ધિક ઘડતર શરૂ થઈ ગયેલું કેમ કે એમણે રૂસો કામૂ બર્ગસૉં સાર્ત્ર નિત્શે જેવા મનીષીઓને વાંચ્યા હતા. કશું દર્શન શરૂ થાય એ પહેલાં એમને સમજાઈ ગયેલું કે સાહિત્ય તો પોતાના ઋતથી જીવે છે; સાહિત્યને ધરવ નથી, એ નથી ઇચ્છતું કે માણસ બધું પામી જાય ને વાતનો છેડો આવે, પૂર્ણ વિરામની એ ના પાડે છે. પરન્તુ સત્તાવિષયક તન્ત્રો ભાષાને તોતડી-બોબડી કરી શકે છે, જ્યાં એ પોતાના જ ભારથી ધ્રૂજવા લાગે છે. એને પરિણામે, અર્થ વિશે જ અવઢવ થવાની. માણસ વિરોધોમાં અટવાયા કરે, એને પોતાની ઓળખ ન પડે, એને થાય કે પોતે છિન્નભિન્ન છે, એવી એક દુ:સાધ્ય સ્થિતિ ઊભી થવાની. દેરિદાએ સાહિત્યના એ વિલક્ષણ સ્વરૂપ સાથે પાનું પાડ્યું છે. 

સાહિત્ય રૂપકો વક્રોક્તિઓ અલંકારો સંદિગ્ધ અર્થો અને અર્થઘટનોની શક્યતાઓથી ખીલ્યું હોય છે. આપણે જાણીએ છીએ કે સાહિત્ય સવિશેષે લક્ષણા અને વ્યંજનાથી સૂચવાતા અર્થોની સૃષ્ટિ છે. તત્ત્વદૃષ્ટિ અને સાહિત્યના યોગનું પરિણામ એ આવે છે કે દેરિદા સાહિત્યકૃતિઓમાં રહેલી સંદિગ્ધતાઓ અને લેખકોની શૈલીના ગૂંચવાડા તેમ જ આન્તરવિરોધોને તરત પારખી લે છે. સાહિત્યકૃતિઓમાં ય તેઓને અર્થની તફાવતપરક અને વિલમ્બનને વરેલી પ્રકૃતિ જોવા મળે છે. (અધ્યેતાઓને યાદ આવશે કે આધુનિક ગુજરાતી કવિતા-સાહિત્ય સંદર્ભે અર્થવિલમ્બનના મુદ્દાની સાધકબાધક ચર્ચા થઈ હતી.)

મુખ્ય વાત એ કે વિઘટન માટે તેઓ વિજ્ઞાન કે કાયદાશાસ્ત્રની તુલનામાં સાહિત્યને વિશિષ્ટ મહત્તા ધરાવતી ભૂમિ – site – ગણે છે. વિશિષ્ટ મહત્તા એ કારણે કે સાહિત્ય ઊંડી સૂઝ અને વિશદ સમજ માટેનો દૃષ્ટિદોર પૂરો પાડે છે. આપણે જોઈ શકીએ છીએ કે દેરિદાને મન સાહિત્ય માત્ર ફિલસૂફીવિષયક વિશ્લેષણનું વસ્તુ નથી બલકે સાહિત્યને એમણે ફિલસૂફીની વિભાવનાઓના અનોખી ઢબના પ્રાગટ્ય માટે તેમ જ લાક્ષણિક પ્રકારના સમર્થન માટેની ભૂમિકા રૂપે ઘટાવ્યું છે, અને એ ભૂમિકાનો કારકિર્દી દરમ્યાન ભરપૂર વિનિયોગ કર્યો છે. 

જાણીતું છે કે ભાષા અમુક સાહિત્યકૃતિઓમાં એકમેવ નિશ્ચિત અર્થનો કેવો તો પ્રતિકાર કરતી હોય છે. એથી અનિર્ણયનીયતા, દેરિદા જેને ભાષામાત્રનું પાયાનું લક્ષણ ગણે છે, તે undecidability, પ્રકાશિત થાય છે. દેરિદા માને છે કે ‘અનિર્ણયનીય’ આપણને હમેશાં ડરાવી દેતું હોય છે. સાહિત્યમાં કે જીવનમાં કંઈપણ અનિર્ણયનીય વરતાય એ દેરિદા માટે શોધખોળનો મામલો બની જતો જણાય છે. તેઓ સૂચવે છે કે અનિર્ણયનીયને વિશે પ્રતિભાવાત્મક રહીએ, તે નૈતિક કહેવાશે. એમનું મન્તવ્ય રહ્યું છે કે સાહિત્યેતર ક્ષેત્રોમાં અનિર્ણયનીયને કાં તો દબાવી અથવા છુપાવી દેવાય છે. તેઓ માને છે કે એ વર્તનના ‘પ્રકાશન’ માટે સાહિત્ય વડે થતા રહેતા વિચારવિમર્શ ઘણા ઉપકારક નીવડતા હોય છે.

દેરિદાનું સુખ્યાત વિધાન there is nothing outside the text, ટૅક્સ્ટ બહાર કશું નથી; તાત્પર્ય, આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે. એ વિધાનથી તેઓ પુસ્તકો બહારના વિશ્વને નકારતા નથી, ઊલટું, એમણે દર્શાવ્યું છે કે વિશ્વની તમામ વાસ્તવિકતાઓ વ્યાપક અર્થમાં textual છે. એમાં ભાષા અને અર્થઘટનની મધ્યસ્થી અથવા દરમ્યાનગીરીએ ખાસ્સો ભાગ ભજવ્યો હોય છે. કેમ કે ભાષા સત્યનું પારદર્શક વાહન (હું ‘પારણું’ કહીશ) નથી પણ જીવન્ત કહી શકાય એવું સંરચના-બળ છે. સાહિત્ય સંદર્ભે આ મુદ્દો વધારે સ્પષ્ટ થાય છે કેમ કે સાહિત્ય પોતે જ પોતાની textual પ્રકૃતિ દર્શાવી દેતું હોય છે. સાહિત્યકૃતિ ચોખ્ખું સૂચવે છે કે અર્થ પૂર્વવર્તી વાસ્તવિકતાનું પ્રતિબિમ્બ નથી, અર્થ હમેશાં સાહિત્યમાં ય સંજ્ઞાઓની લીલાથી સંઘટ્ટિત થયા હોય છે. એટલે દેરિદા માને છે કે સાહિત્ય સમેતની તમામ માનવ-સંઘટ્ટનાઓને texts ગણવી જોઈએ અને દરેકનું વિઘટનની સિદ્ધાન્તસરણીએ વિશ્લેષણ કરવું જોઈએ. 

આ કારણે દેરિદાએ ફિલસૂફી અને સાહિત્ય વચ્ચેના લોક-ખ્યાત ભેદને પડકાર્યો છે. એમણે કહ્યું છે કે ફિલસૂફી વિશેનાં લેખનો પણ સાહિત્યિક હોય છે, એમાં પણ અલંકારો હોય છે અને તે પણ બહુવિધ અર્થઘટનો માટે ખુલ્લાં હોય છે. તેઓએ એ પણ બતાવ્યું છે કે સાહિત્યકૃતિઓ પણ ફિલસૂફીપરક ગમ્ભીર પ્રશ્નો ઊભા કરતી હોય છે. એમનું મન્તવ્ય છે કે ફિલસૂફી અને સાહિત્યની સરહદો કેટલીયે વાર એકમેકમાં ભળી જતી હોય છે. એમનું સૂચન છે કે અધ્યેતાએ એ સીમાલોપને હમેશાં ધ્યાનમાં લેવો જોઈશે. 

આ વાતોના અનુસન્ધાનમાં મને થયું કે સાહિત્યકૃતિઓનાં દેરિદાએ પોતે કરેલાં વિઘટનશીલ વિશ્લેષણોને આપણે જાણવાં જોઈએ. એ હેતુથી આ અને અનુવર્તી લેખોમાં હું વિઘટનકાર દેરિદાને રજૂ કરીશ. 

દેરિદાને પશ્ચિમની પરમ્પરામાં લેખનની તુલનામાં વાણીને વિશેષ મહત્તા અને વિશેષાધિકાર આપતું મન્તવ્ય સૌથી વધુ ચર્ચાસ્પદ લાગ્યું છે. સૉક્રેટિસ અને પ્લેટોથી માંડીને કહો કે speech act theoryના પુરસ્કારક જે.એલ. ઑસ્ટિન સુધીના ચિન્તકો વડે એ મન્તવ્ય સુદૃઢ થયું છે. એ ભિન્ન દીસતા છતાં એક-ના-એક મન્તવ્યનું દેરિદાએ વિઘટન કર્યું છે. હું સૉક્રેટિસ-પ્લેટો વિષયમાં વિસ્તારથી કહું એ પહેલાં એક નૉંધ કરી લઉં કે આ મહામનાઓ શું કહે છે :

ઍરિસ્ટોટલ વાણીને તર્કશુદ્ધ અને લેખનને સાધિત ગણે છે. રૂસો લેખનને કુદરતી વાણીની પૂર્તિ ગણે છે, અને સૂચવે છે કે લેખનથી વિકૃતિઓ સરજાય છે. સૉસ્યૂર વાણીની તુલનામાં લેખનને દ્વૈતીયિક અથવા ગૌણ ગણે છે. લેવિ-સ્ટ્રૌસ મિથ અને વાણીને પરથમ-પહેલી સાંસ્કૃતિક અભિવ્યક્તિનો દરજ્જો આપે છે. હ્યુસેર્લ અંદરના અવાજને શુદ્ધ ઉપસ્થિતિ ગણે છે. ઑસ્ટિન વાક્-ક્રિયાઓમાં જ કોઈપણ રજૂઆતને આકારિત થતી જુએ છે.

આ મુદ્દા અનુષંગે દેરિદાએ Of Grammatologyના Part I: Writing Before the Letterમાં સૉસૂરના ભાષાવિજ્ઞાનની સમીક્ષા કરી છે અને Part II: Nature, Culture, Writingમાં રૂસોના કેટલાક સિદ્ધાન્તોની ચર્ચા કરી છે, એ વિશે વધારે કહેવું મને જરૂરી લાગ્યું છે. 

સૉસ્યૂર સંરચનાવાદી ભાષાવિજ્ઞાનના પિતા કહેવાય છે. તેમ છતાં, માને છે કે વાણી વિશેષાધિકાર ધરાવે છે અને કહે છે કે અર્થ માટે વાણી સદા હાજર હોય છે, જ્યારે લેખન તો વાણીની માત્ર પૂર્તિ છે, માત્ર રજૂઆત કે માત્ર ચિત્ર. ખરી ભાષાથી લેખન એક ડગલું દૂર છે. વાણીને વિશેષઅધિકૃત ગણનારા આ મન્તવ્યને દેરિદા phonocentrism – ધ્વનિકેન્દ્રી – કહે છે. એમાં માન્યતા પ્રવર્તે છે કે અર્થ બોલનારના અવાજથી અથવા દૈવી શબ્દથી કે પરમ સત્યથી શરૂ થાય છે. લેખનને વાણીની પૂર્તિ ગણતા સૉસ્યૂરના વિચારનું વિઘટન કરતાં દેરિદા જણાવે છે કે પૂર્તિ ઉમેરણ નથી પણ વાણીની અધૂરપને દૂર કરનારું પરિબળ છે; સૉસ્યૂર કહે છે એમ લિખિત શબ્દો ચિત્રો નથી પણ પોતાની રીતે સંકેતાર્થો આપતાં પ્રતીકો છે; સૉસ્યૂરે સંકેતક-સંકેતિત વચ્ચેના સમ્બન્ધને યાદૃચ્છિક લેખ્યો છે – ગાય શબ્દ = ગાય પ્રાણી, એમ માનવીય યદૃચ્છાથી, મરજીથી, નક્કી થયું છે. દેરિદા ઉમેરે છે કે આ યદૃચ્છા અને તેથી ઊભી થયેલી રૂઢિ એ જ સૂચવે છે કે વાણીને ચડિયાતી ગણીએ છીએ એ વિચાર ઉચિત નથી. 

દેરિદા ઉમેરે છે કે ભાષામાં લેખન હમેશાં કાર્યકર હોય છે, વાણીગત વ્યવહાર હોય ત્યારે પણ. દેરિદાને મન ભાષાની કોઈપણ શક્યતા archi-writing પર આધારિત હોય છે. ગુજરાતીમાં એને આદિ-લિપિ કહેવાશે; લેખનની યે પહેલાંનું લેખન, એટલે કે, મૂળેરું નિશાન, ભાષાના ઉદ્ભવ પહેલાંના સંકેતો; વાણી અને લેખન બેયની પૂર્વેના différanceની સંરચના. 

દેરિદાએ રૂસોના Essay on the Origin of Languages and Confessionsની ચર્ચા માટે ઘણાં પૃષ્ઠ ફાળવ્યાં છે. રૂસો માને છે કે ભાષાનું કુદરતી મૂળ વાણી છે. વાણી પારદર્શક છે તેમ જ વિચારો અને ભાવો સાથે સીધી જોડાઈ જાય છે. વાણી પૂર્ણતયા ઉપસ્થિત હોય છે, એને લીધે અર્થ તુરન્ત ગ્રાહ્ય બને છે. લેખન એથી ઊલટું છે. લેખન કૃત્રિમ છે, વાણીની સાધિત રજૂઆત છે. લેખન વાણીની ભયાવહ પૂર્તિ પણ છે કેમ કે એથી માણસની ખરી સ્થિતિ નબળી પડી જાય છે.  

દેરિદા દર્શાવે છે કે રૂસોની પોતાની કૃતિએ પૂર્તિનો આધાર લીધો છે! વાણી પૂર્ણ હોત તો લખવાની જરૂરત ન પડી હોત. એ અધૂરી છે એ કારણે લેખન વડે એની પૂર્તિ થઈ છે. પૂર્તિ થઈ એથી સૂચવાયું કે વાણી સ્વયંપર્યાપ્ત નથી. રૂસોની કૃતિ Confessions પોતે ખરેખર શું છે એ વિશ્વને દર્શાવવા માટેનું આત્મકથન છે. પરન્તુ દેરિદા જણાવે છે કે આત્મકથનાત્મક લેખન કર્તાની ઉપસ્થિતિ વિનાનું નથી હોતું, જ્યારે લખાયેલો શબ્દ પોતાની પ્રકૃતિએ કરીને કર્તાની અનુપસ્થિતિ સૂચવતો હોય છે – રૂસો ક્યાં વાચક સમક્ષ હોય છે? હકીકત એ છે કે જે કંઈ અર્થ રૂપે અવગત થાય છે એ તફાવતોની પદ્ધતિને આધારે હોય છે. 

આમ, રૂસોની Confessions સહિતની કૃતિઓને વિઘટનશીલ વિશ્લેષણ માટેના case studies ગણી શકાય. એમાં વાણી / લેખનના વિરોધી દ્વૈતની માની લીધેલી નિશ્ચિતિ તૂટે છે; એમ પણ સૂચવાય છે કે લેખન ભયાવહ પૂર્તિ નથી, એથી વિકૃતિઓ નથી સરજાતી, પણ ભાષા અને અર્થની અન્તર્નિહિત સ્થિતિ પ્રકાશિત થાય છે. દેરિદા સૂચવે છે કે એ બધાં ગર્ભિત વાનાં રૂસો ભાળી શક્યા નથી, કહે છે કે, Rousseau says without saying, sees without seeing; these implications.

સૉક્રેટિસ-પ્લેટોનાં મન્તવ્યોની ચર્ચા માટે દેરિદાના Dissemination પુસ્તક પાસે પ્હૉંચી જવું મને વધારે જરૂરી લાગ્યું છે. મેં Disseminationને પુસ્તક કહ્યું એ તો ઠીક પરન્તુ હું એને લેખોનો સંગ્રહ કે સળંગસૂત્ર ગ્રન્થ નથી કહી શકતો. કેમ કે એમાં Plato’s Pharmacy એક ખણ્ડ છે, અન્ય વિષયમુદ્દાઓ વિશે જુદા જુદા ખણ્ડોમાં વિવિધ લેખનો છે. એ જુદી વાત છે કે સગવડ ખાતર એ દરેક ખણ્ડને પ્રકરણ કહેવાય છે.  

Plato’s Pharmacy: 

370 BCE આસપાસ લખાયેલા પ્લેટોના Phaedrusમાં સૉક્રેટિસ અને ઍથેન્સવાસી યુવક ફીડ્રસ વચ્ચે થયેલા સંવાદનું નિરૂપણ છે. બન્ને જણા નગર બહાર ફરતા ફરતા વાતો કરતા હોય છે. પ્રેમ વાગ્કલા આત્મા ગાંડપણ સત્ય અને લેખનપરક નીતિ વગેરે વગેરે વિષયો, બદલાતા રહે છે. સવાલ ઊભો થાય છે કે વાણી સુગમ શી રીતે બનતી હોય છે. સૉક્રેટિસનો જવાબ હોય છે કે ચતુરાઇથી નહીં પણ આત્માના જ્ઞાનને પ્રતાપે સુગમતા સંભવે છે. 

આ વિષયમાં સૉક્રેટિસ ઇજિપ્તની એક પુરાણકથા સંભળાવે છે : દેવ થિયુથ રાજા થામુસને ‘લેખન’ નામની ભેટ આપે છે, કહે છે કે એથી તારી અને તારી પ્રજાની સ્મૃતિ અને ડહાપણ બન્ને ખીલશે. થામુસ નથી સ્વીકારતો, કહે છે કે લોકો પોતાની યાદદાસ્ત પર ભરોસો રાખવાને બદલે લેખન પર એટલે કે લખાયેલા સંકેતો પર ભરોસો કરવા માંડે, એને પરિણામે ભૂલકણા થઈ જાય. પણ દેવ થિયુથ તો લેખનને સ્મૃતિ અને ડહાપણ બન્ને માટે ઉપકારક ગણે છે. સૉક્રેટિસ આ કથા વડે લેખનની સમીક્ષા કરતાં જણાવે છે કે વાણી જ બરાબર કહેવાય કેમ કે પરસ્પરના સંવાદથી વિકસે, લિખિત તો વ્યર્થ નીવડે. 

થિયુથ માટે લેખન ઉપકારક અને થામુસ માટે અનુપકારક – એક માટે ભેટ, બીજા માટે જોખમ. દેરિદા ચર્ચા માટે ગ્રીક શબ્દ pharmakonનો વિનિયોગ કરે છે. એ શબ્દના એક સાથે બે વિરુદ્ધ અર્થ થાય છે, remedy અને poision – ઔષધ અને વિષ. આ શબ્દનો પ્લેટો વિષ એવો એક જ અર્થ નક્કી કરે છે, દેરિદા ઉમેરે છે કે એ રીતે પ્લેટો અર્થની અનિર્ણયનીયતા અને ભાષાની અસ્થિરતાને છુપાવવા જાય છે, પણ એ ચેષ્ટા પોતે જ બધું પ્રકાશિત કરી દે છે; કારણ કે પ્લેટો લેખનનો વિરોધ કરે છે પણ એ વિરોધ તો લખીને કરે છે!

પ્લેટોએ વાણીથી થતા વિચારવિમર્શનું હમેશાં સમર્થન કર્યું છે. એટલે સુધી કે વાણીને સત્યની શોધ માટેનો ચડિયાતો માર્ગ ગણ્યો છે. પ્લેટો કહે છે કે ઉચ્ચારાયેલા શબ્દો વક્તા અને શ્રોતા વચ્ચે જીવન્ત થઈ જતા હોય છે, ‘આત્મામાં ઉત્કીર્ણ’ થઈ જતા હોય છે, જ્યારે, લેખન તો જીવન્ત વાણીની નકલ છે, એક મૃત ચીજ છે. પ્લેટો કહે છે કે ‘બાપ વિનાના સન્તાન જેવું’ લેખન પોતાની રક્ષા નથી કરી શકતું, પ્રશ્નોના ઉત્તરો નથી આપી શકતું તેમ જ યોગ્ય અને અયોગ્ય વાચકો કયા, તે પારખી નથી શકતું. પ્લેટો લેખનને ભયાવહ કહે છે કેમ કે એથી સ્મૃતિ અને સત્ય નબળાં પડી જાય છે. 

દેરિદા જુદું કહે છે કે લેખન વાણી માટે આવશ્યક પૂર્તિ છે. તેઓ દર્શાવે છે કે પૂર્ણમાં ઉમેરણ તે પૂર્તિ. પણ પૂર્તિ થવા માંડે એ દરમ્યાન સમજાય કે જે પૂર્ણ દીસતું હતું તે પૂર્ણ નથી, એમાં તો તિરાડો છે, ખાલી જગ્યાઓ છે, બલકે કેટલાંક સ્થાનો તો ટેકો માગી રહ્યાં છે. એ કારણે પૂર્તિની ભૂમિકા બદલાય – એ માત્રઉમેરો ન રહે અથવા ઉમેરો કરતાં કરતાં બધું બદલવા માંડે. બદલાવ એટલો બધો થાય કે પહેલાં શું હતું તેની યાદ પણ ન રહે. સાર એ કે સ્મૃતિ લપસણી વસ્તુ છે અને પૂર્ણ રૂપે કદીયે હોતી નથી. સ્મૃતિમાં લેખનથી ઉમેરણ ન થયું પણ સ્મૃતિમાં જે અભાવ હતો તે લેખનને કારણે ન રહ્યો. પૂર્તિ સ્મૃતિની બીજી આવૃત્તિ બની ગઈ. એટલે, સ્મૃતિ નહીં, પણ આ બીજી આવૃત્તિ મહત્ત્વની છે. દેરિદા ઉમેરે છે કે આપણને ફરજ પડે છે કે આપણે એને ધ્યાનમાં લઈએ. 

તેઓ કહે છે કે જેને લેખન ગણીએ છીએ એ કક્કો-બારાખડી નથી પણ ભાષાનો પાયો છે. ભાષા વાણીરૂપે હોય કે લેખનરૂપે, એમાં અર્થ હમેશાં તફાવત વિલમ્બન અને નિશાનોની આન્તરલીલાથી જ પ્રગટે છે. એટલે લેખન દ્વૈતીયિક નથી કેમ કે જે લક્ષણોને આપણે મહત્તા અર્પીએ છીએ, અને પ્લેટો જેની ટીકા કરે છે, એ લક્ષણોથી તો ભાષા કાર્યકર થઈ શકે છે.

એ કારણે દેરિદા પણ પૂર્તિને ભયાવહ કહે છે. કેમ કે પૂર્ણ સ્વયંપર્યાપ્ત અને સ્થિર છે એ પરમ્પરાગત વિચાર પૂર્તિથી હચમચી જાય છે. તેઓ એમ પણ દર્શાવે છે કે સ્મૃતિ કે સત્ય જેવી વિભાવનાઓનું સંઘટ્ટન પણ ભાષા દ્વારા થયેલું છે. તેઓ એટલે લગી કહે છે કે લેખન, પૂર્તિરૂપ લેખન પણ, ભાષા અને સ્મૃતિમાં સદાસર્વદા હાજર એવી પતનશીલતાને – fallennessને – પ્રતિબિમ્બિત કરે છે. 

એ ભૂમિકાએ સત્ય અને સ્મૃતિ વિશેના પ્લેટોના ખયાલને દેરિદાએ પડકાર્યો છે. એમણે દર્શાવ્યું છે કે લેખન સત્યને નથી જાળવતું બલકે લેખનમાત્ર જિવાતી સ્મૃતિનો પર્યાય બની રહે છે. ભાષા અને લેખન જેવા બાહ્ય સંકેતો પરનો ભરોસો શું સૂચવે છે? એ જ કે સત્ય કદી છેવટ લગી સ્વનિર્ભર નથી રહી શકતું, એને હમેશાં મધ્યસ્થીની જરૂર પડે છે, કેમ કે એ અસ્થિર છે. 

વાણીય સંવાદો દ્વારા સત્ય શોધવાની પ્લેટોની રીત મધ્યસ્થીના સકંજાથી છટકી શકે શી રીતે? કેમ કે સંવાદને ય ભાષાની જરૂર પડે છે, અને ભાષા સંદિગ્ધતાઓ અને વિલમ્બનોથી જ સ્વનામધન્ય થતી હોય છે. દેરિદા સરસ કહે છે કે જે ઉપકરણોથી આપણે સત્યની અભિવ્યક્તિ કરીએ છીએ એનાથી જ એ હમેશાં સરકી જતું હોય છે.

= = = 

વિશેષ વાચન માટે સૂચિ:

Derrida, Jacques. Dissemination. Translated by Barbara Johnson, University of Chicago Press, 1981.

[ગુજરાતી સાહિત્ય પરિષદ : “પરબ” : ઑગસ્ટ ૨૦૨૫માં પ્રકાશિત લેખ —]
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...128129130131...140150160...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved