Opinion Magazine
Number of visits: 9456254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજા અંધારામાં ન રહેવી જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 June 2025

રવીન્દ્ર પારેખ

પ્રજા અત્યારે તો ઓપરેશન સિંદૂરના કેફમાં છે ને સરકાર વિજયી ઉન્માદમાં બિહારની ચૂંટણી જીતવાની પેરવીમાં છે. વિજયી ઉન્માદે એટલું તો સિદ્ધ કરી દીધું છે કે દેશમાં વિપક્ષ તરીકે કાઁગ્રેસ જ સક્રિય છે, બાકીનાને, પોતાની જ ન પડી હોય, ત્યાં દેશની કેટલી પડી હોય તે સમજી શકાય એવું છે. કાઁગ્રેસના વિરોધમાં તથ્ય હોય તો પણ, કેવળ વિરોધ જ તેનું લક્ષ્ય હોય, એ પણ બરાબર નથી. એ સારી વાત છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન વિપક્ષો સહિત સૌ સરકારની સાથે છે, પણ સરકાર પણ પ્રજાની સાથે હોય એય જરૂરી છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરની પાકિસ્તાનને આગોતરી જાણ કરી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કર્યો, તો એનો એમ કહીને બચાવ થયો કે એર સ્ટ્રાઈક પછી હુમલાની જાણ પાકિસ્તાનને કરવામાં આવી હતી, નહીં કે તે પહેલાં ! સવાલ તો એ પણ છે કે પહેલાં કે પછી, દુ:શ્મનને એર સ્ટ્રાઇકની જાણકારી આપવાની જરૂર જ શી હતી? એવો કોઈ કરાર હતો કે દુ:શ્મનને ઓપરેશન સિંદૂરની જાણ કરવી જ પડે? પહેલગામમાં આતંકી હુમલો વરદી આપીને કરવામાં ન આવ્યો હોય તો ભારતે ઓપરેશન સિંદૂરની પહેલાં કે પછી જાણકારી આપવાની જરૂર ન હતી.

એ ખરું કે રાહુલ ગાંધીને સરકારના કોઈ ખુલાસા ગળે ઊતર્યા નથી. તેમણે તો એ રટણ ચાલુ જ રાખ્યું છે કે આગોતરી જાણકારી આપવાને લીધે દુ:શ્મનને સાવધ કરવા જેવું થયું છે ને ભારતે વધુ નુકસાન વેઠવાનું આવ્યું છે. રાહુલ ગાંધીએ એ પણ પૂછ્યું છે કે જાણકારી મળી જવાને કારણે પાકિસ્તાને ભારતના કેટલાં જેટ તોડી પાડ્યાં? જો કે, ચર્ચામાં તો 6 જેટ તોડી પાડ્યાની વાત છે. આટલી ચર્ચા કાઁગ્રેસ કરે છે, પણ તેનાં સમર્થનમાં કે વિરોધમાં અન્ય વિપક્ષોએ કૈં કહેવાનું નથી તેનું આશ્ચર્ય જ છે. એ ખરું કે કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વાત કરે છે, પણ એ તો થાય ત્યારે ખરું.

વારુ, જેટ સંદર્ભે જે વિવાદ ઊભો થયો, તેનો ખુલાસો પણ આવ્યો છે. સિંગાપોરમાં બ્લૂમ બર્ગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ-CDS-અનિલ ચૌહાણને સોંસરું પૂછ્યું છે કે પાકિસ્તાને ભારતીય જેટ તોડી પાડ્યાં છે, એ સાચું છે? એનો જવાબ આપતા CDS ચૌહાણે કહ્યું કે સવાલ એ નથી કે કેટલાં જેટ તૂટ્યાં, સવાલ એ છે કે એ શા માટે તૂટ્યાં ને એમાંથી આપણે શું શીખ્યા? જેટ શા માટે તૂટ્યાં એ મહત્ત્વનું હોય, તો કેટલાં તૂટ્યાં એ પણ મહત્ત્વનું છે જ ! બને કે CDSના હાથ-મોં બંધાયેલાં હોય, પણ સાહેબે એટલું તો સ્વીકાર્યું જ કે ભારતે પોતાની ભૂલો પ્રમાણી છે અને બે જ દિવસમાં તેને સુધારીને લાંબા અંતરથી શત્રુઓનાં મથકો પર નિશાન સાધ્યાં છે. એની પણ કમાલ જ છે કે ચાલુ હુમલાએ આપણે શીખી શકીએ છીએ અને સુધરી પણ શકીએ છીએ, બાકી, યુદ્ધની સ્થિતિ હોય ત્યારે શીખવા-સુધરવાનો અવકાશ કેટલો હોય એ પ્રશ્ન જ છે. CDS ચૌહાણે એટલું તો સ્પષ્ટ કર્યું કે 6 જેટ તોડવાનો પાકિસ્તાનનો દાવો સદંતર ખોટો છે, પણ ખરેખર કેટલાં જેટ તૂટ્યાં તે અંગે સાહેબે ખુલાસો નથી કર્યો, એ પરથી પણ સાહેબ મોકળાશ અનુભવતા નહીં હોય એમ માનવું પડે.

CDS જનરલ અનિલ ચૌહાણે સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી ને ત્યાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે પાકિસ્તાન સાથેના સંબંધો પૂરા થયા છે. પહેલગામમાં થયેલ આતંકી હુમલાએ કેટલીક વાતો વધુ સ્પષ્ટ કરી આપી છે. જેમ કે, 1. કાશ્મીર પર્યટન સ્થળ તરીકે નિર્ભય છે, એ ભ્રમ ભાંગી ગયો. 2. પાકિસ્તાન આતંકીઓને હજી પોષે છે. 3. આતંકવાદી માર્યો જાય છે તો તેની વિધિમાં પાકિસ્તાની નેતાઓ હાજરી આપે છે. 4. પાકિસ્તાનને શસ્ત્રો ચીન પૂરાં પાડે છે. 5. એ જાણવા છતાં કે પાકિસ્તાન એનો ઉપયોગ આતંકીઓને પોષવામાં કરશે, IMF પાકિસ્તાનને મોટી આર્થિક મદદ કરે છે અને 6. ભારતની અનેક મદદ ચાટીને નિર્લજ્જ તુર્કી પાકિસ્તાનને ખોળે જઈ બેઠું છે.

જગત આખું જાણે છે કે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો છે ને તેનો દુનિયામાં ફેલાવો કર્યો છે, છતાં ચીન  જેવા કેટલાક દેશો પાકિસ્તાનને પડખે ઊભા છે અને એ રીતે તેઓ આતંકવાદનું પણ સમર્થન કરે છે. પાકિસ્તાન પોતે પણ જાણે છે કે આજના ભારત સાથે ટકરાવું અનેક રીતે જોખમી છે, એટલે એક યા બીજા દેશને ટેકે તે ભારતને શિંગડા ભરાવે છે. તેની પાસે ભારતને ડરાવવા અણુ ધમકી અને આતંકી પ્રવૃત્તિ છે. એ પણ લાચારી છે કે ભારત તેનો સફાયો કરી શકતું નથી. થોડા આતંકી મથકો તે જરૂર ઉડાવે છે, પણ બીજો હુમલો થાય ત્યાં સુધીમાં બીજા મથકો ને આતંકીઓ તૈયાર થઈ જાય છે. આ યુદ્ધ નથી, પણ યુદ્ધની સ્થિતિ ઊભી કરી આતંકીઓ બાજુ પર ખસી જાય છે અને ભારત-પાક સામસામે આવી જાય છે. વળી યુદ્ધ વિરામ થાય છે ને વળી થોડા વખતમાં આતંકી હુમલાઓ થાય છે ને એમ ચાલ્યા કરે છે. નથી એમાં આતંકી પ્રવૃત્તિઓ અટકતી કે નથી POK (પાકિસ્તાન ઓકયૂપાઈડ કાશ્મીર) હાથમાં આવતું. એમાં પાકિસ્તાન થોડી તોડફોડ સિવાય બહુ ખોટમાં નથી, પણ ભારતનો POK પરત લેવાનો વાયદો વર્ષો પછી પણ પૂરો થતો નથી તે હકીકત છે. આતંકી પ્રવૃત્તિ રોકવાની જાણે પોતાની ફરજ હોય તેમ ભારત તેમાંથી જ ઊંચે નથી આવતું. પાકિસ્તાનને પણ એ મામલે નિરાંત છે કે યુદ્ધ થવાનું નથી ને એર સ્ટ્રાઈકથી આગળ ભારત જવાનું નથી ને જાય તો યુદ્ધ વિરામ કરી-કરાવીને મામલો થાળે પાડી દેવાશે તેની તેને ખાતરી છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે પાકિસ્તાન જેવા નાપાક રાષ્ટ્રને ખતમ કરવા સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ ન હોવો જોઈએ. એ ખરું કે યુદ્ધ કદી ઇચ્છનીય નથી, પણ યુદ્ધ જેટલી ખુવારી ભારતે યુદ્ધ વગર ભોગવી હોય ત્યારે યુદ્ધવિરામ કર્યા કરવાનો અર્થ શો છે? સરહદી સૈનિકો યુદ્ધ વગર શહીદ થવા માટે જ છે? આપણી કાયરગતિ સૈનિકોની વીરગતિનું કારણ શું કામ બનવી જોઈએ?

એ રણનીતિનો ભાગ ન હોય તો, આપણા સેનાધિકારીઓ કે CDS સાચું ન કહી શકે એવાં દબાણ હેઠળ ન હોવા જોઈએ. એ હકીકત છે કે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની માહિતી વહેલી કે મોડી મળ્યા પછી, જમ્મુ-કાશ્મીરમાં 8,000 ઘરોને અને શાળાઓને નિશાન બનાવાયાં છે, જેટ 6 નહીં તૂટ્યાં હોય, પણ તૂટ્યાં જ નથી, એવું ખોંખારીને CDS અનિલ ચૌહાણ કહી શક્યા નથી. 12 મેના રોજ એર માર્શલ અવધેશ કુમાર ભારતીને ઓપરેશન સિંદૂર સંદર્ભે પૂછવામાં આવેલું કે રાફેલ પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું કે તોડી પાડવામાં આવ્યું હતું, તો ભારતીએ જવાબ ટાળતાં કહ્યું કે હજી યુદ્ધની સ્થિતિ ચાલુ જ છે, ત્યારે હું આ અંગે કોઈ ટિપ્પણી નહીં કરું. હું કૈં કહીશ તો એની વિપરીત અસર થશે. હું એટલું જ કહી શકું કે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે ને અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત પાછા ફર્યા છે. એનો આનંદ જ હોય કે લક્ષ્ય પ્રાપ્ત થયું ને બધા પાઈલટ્સ પાછા ફર્યા, પણ યુદ્ધની સ્થિતિ સંદર્ભે થતા સવાલો તો ત્યારે જ પુછાય ને ! યુદ્ધની સ્થિતિ ન હોય ત્યારે તો કોણ પૂછવાનું હતું? જો કે, સાહેબની વિપરીત અસરવાળી વાતોમાંથી જવાબ મેળવવાનું બહુ અઘરું નથી.

એ વાતે ભારત જરૂર ગૌરવ લઈ શકે કે સાઇબર અને અવકાશી યુદ્ધમાં સ્વદેશી ટેકનોલોજીએ, વિદેશી કંપનીઓ પર આધાર રાખ્યા વિના ઉત્તમ પરિણામો આપ્યાં છે. ભારતે જરૂરી નેટવર્ક અને રડાર સિસ્ટમ્સ પોતાની ક્ષમતા પર બનાવી ને એ સફળ રહી. CDS ચૌહાણે એ પણ સ્પષ્ટ કર્યું કે ખોટી માહિતી ને અફવાઓ પણ પડકાર બની રહે છે. એ ખરું કે બંને દેશોએ એકબીજા પર સાઇબર હુમલાઓ કર્યા, પરંતુ ભારતની લશ્કરી પદ્ધતિ ઈન્ટરનેટ સાથે જોડાયેલી નથી, તેથી તેઓ સુરક્ષિત રહ્યા. પણ, પરિસ્થિતિ એ છે કે એક તરફ ભારતના લશ્કરી અધિકારીઓ ખૂલીને વાત નથી કરી શકતા અને બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 દિવસમાં આઠ વખત યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કરે છે, તો તેને રોકી શકાતા નથી. તેમના આ દાવાથી છાપ એ ઊભી થાય છે કે ભારત અને પાકિસ્તાનને અમેરિકાના દબાણ હેઠળ યુદ્ધવિરામની ફરજ પડી છે. જો કે, ભારતે સોય ઝાટકીને કહ્યું છે કે યુદ્ધવિરામ બંને દેશોના DGMOની સંમતિથી થયું છે ને તેમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી, તો ટ્રમ્પ શું કામ છાશવારે યુદ્ધવિરામનું શ્રેય લીધે રાખે છે? અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યું હોય તો કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપસે એમ બને. એ અમેરિકાની ચાલ હોઈ શકે છે કે કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન પૂરતો સીમિત ન રાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવો ને જે નિર્ણય આવે તે સ્વીકારવાની ભારતને ફરજ પાડવી. ભારતે, કાશ્મીર મુદ્દે ત્રીજા કોઈ હસ્તક્ષેપને નકારવાની વાત કરી હતી, તેની આ પ્રતિક્રિયા હોઈ શકે છે. ઈચ્છીએ કે ભારતને અમેરિકી મૈત્રી મોંઘી ન પડે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જૂન 2025

Loading

‘ટૉલ્સ્ટૉય જેવી રીતે યુદ્ધ કોઈ લખી ન શકે’ – હેમિંગ્વે 

સોનલ પરીખ|Opinion - Opinion|1 June 2025

મુક્ત વિચારકો એ છે જે તેમની બુદ્ધિને પૂર્વગ્રહો કે ભય વગર કામ કરવા દે છે અને પોતાની પરંપરા, સંસ્કૃતિ, માન્યતા, વિશેષાધિકાર વગેરે સાથે અથડામણ ઊભી કરતી બાબતોનું વાસ્તવ સમજવા ઈચ્છે છે. આવી માનસિકતા દુર્લભ છે, પણ યોગ્ય રીતે વિચાર કરવા માટે એ જરૂરી છે

— ટૉલ્સ્ટૉય 

‘મારી બુદ્ધિથી કે હૃદયથી નહીં પણ મારા પરમાણુથી હું સમજ્યો કે મોસ્કોમાં હજારો ગરીબ માણસો હોય અને હું માલમલીદા ઉડાવતો રહું એ ગુનો છે. એ ગુનો હું કેવળ સાંખી લઉં છું એમ નથી, પણ મારા મોજશોખો વડે તેમાં હું સીધો ભાગ ભજવું છું. જ્યાં સુધી મારી પાસે વધારાનું ખાવાનું છે અને બીજા કોઈક પાસે જરાયે નથી, જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે ને બીજા કોઈક પાસે એકેય નથી ત્યાં સુધી નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર છું.’ આ વિધાન છે રશિયન દાર્શનિક લિયો ટૉલ્સ્ટૉયનું. 

છેલ્લા દિવસોમાં આપણે યુદ્ધનાં પડઘમ સાંભળી ચિંતાતુર થયા અને ત્યાર પછી શાંતિનો હાશકારો પણ અનુભવ્યો. ત્યારે યાદ આવે છે ટૉલ્સ્ટૉયની દોઢ સદી પહેલા લખાયેલી, વિશ્વની મહાન નવલકથાઓમાંની એક ‘વૉર એન્ડ પીસ’. મૂળ રશિયન ભાષામાં 1865થી 1869ના ગાળામાં ‘વોયના આઈ મીર’ નામે એ પ્રગટ થઈ હતી. 

અહીં વૉર શબ્દ નેપોલિયનિક વોર્સ એટલે કે નેપોલિયનકાલીન યુદ્ધોના સંદર્ભે યોજાયો છે. જગતના ઇતિહાસમાં આ યુદ્ધો ખૂબ મહત્ત્વના છે. 1800થી 1815 સુધી ચાલેલાં આ યુદ્ધો 1792થી 1799 સુધી ચાલેલા ફ્રેંચ ક્રાંતિ-યુદ્ધોના અનુગામી, તેના જ વિસ્તાર જેવાં હતાં. કુલ 23 વર્ષ સુધી યુરોપમાં સતત ચાલેલાં યુદ્ધો દરમિયાન મોટાભાગનું યુરોપ ટૂંકા ગાળા માટે ફ્રેંચ આધિપત્ય હેઠળ આવ્યું હતું જેનો સમ્રાટ હતો નેપોલિયન. તેના સામ્રાજ્યની સીમાઓ રશિયાને અડતી હતી. રશિયા પર ફ્રેંચ સંસ્કૃતિનો એટલો પ્રભાવ હતો કે ત્યાંના રાજવી પરિવારો અને ઉમરાવો ફ્રેંચ ભાષા બોલતા. 

1810માં ફ્રાંસ અને રશિયાના સંબંધો બગડ્યા. 1812માં નેપોલિયને યુરોપમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાય એવી સેના લઇ એવી જ અભૂતપૂર્વ તૈયારીઓ સાથે રશિયા પર આક્રમણ કર્યું. શરૂઆત જીતથી થઈ. ફ્રાન્સના એક લાખ સૈનિકોએ ઝડપથી મોસ્કો કબજે કર્યું; પણ હિમવર્ષા, કડકડતી ઠંડી, પુરવઠાની અછત અને રાજકીય ગતિવિધિઓને કારણે નેપોલિયનને પીછેહઠ કરવી પડી. ‘વૉર એન્ડ પીસ’માં આ યુદ્ધની વાસ્તવિક વિગતો, તેનું પરિણામ, ઝારયુગીન સમાજની જીવનશૈલી અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ અજબ નિપુણતાથી ગૂંથાયેલાં છે. 

‘વૉર એન્ડ પીસ’ એક દળદાર ગ્રંથ છે જેમાં પાંચ પુસ્તકો, 1,500થી વધારે પાનાં, 559 પાત્રો અને 365 પ્રકરણો છે. કૌટુંબિક આંટીઘૂંટીઓ, રાજકીય કાવાદાવાઓ, રશિયન કલા, ફ્રેંચ સંસ્કૃતિની રશિયા પર અસર, ગૂંચવાયેલા પ્રેમસંબંધો, દિલચસ્પ કહાણીઓ અને લાંબા ચિંતનાત્મક લખાણો આ બધું રસપ્રદ હોવા છતાં એનું વાંચન એક પડકાર છે. ટૉલ્સ્ટૉય પોતે એને ‘નવલકથા’ જેવા પ્રકારવાચક શબ્દમાં બાંધવા રાજી ન હતા. તેઓ ત્યાર પછી લખાયેલી ‘અન્ના કેરોનિના’ને પોતાની પ્રથમ નવલકથા કહેતા. ઉમરાવ પરિવારની એક સ્ત્રીના લગ્નબાહ્ય સંબંધ, સમાજમાં પડતા એના પ્રત્યાઘાત અને સંબંધમાં પુરુષ-સ્ત્રી બંને જોડાયાં હોવા છતાં પુરુષ એનું સામાજિક મહત્ત્વ ન ગુમાવે અને સ્ત્રીનો એને આત્મહત્યા કરવી પડે એ હદે બહિષ્કાર થાય એ વાસ્તવિકતા ‘અન્ના કેરોનિના’ના કેન્દ્રમાં હતી. ટૉલ્સ્ટૉયને અમરત્વ પ્રદાન કરનારી આ બંને કૃતિઓ એક શાશ્વત સત્ય બતાવે છે કે માણસ અનેક અદૃશ્ય આંતરબાહ્ય બંધનોમાં એટલો જકડાયેલો હોય છે કે તેની પાસે સ્વતંત્રતા અને પસંદગીનો નહીંવત અવકાશ બચે છે. 

‘વૉર એન્ડ પીસ’ની શરૂઆત સમારંભથી થાય છે. 19મી સદીની શરૂઆતના ઝાર એલેક્ઝાન્ડર-1 શાસિત રશિયન સમાજના ઉમરાવોનો એ સમારંભ છે. પાંચ ઉમરાવ પરિવારો – ખાસ કરીને બેઝુખોવ, બોલ્કોન્સકી અને રોસ્ટોવ – ના સભ્યો નેપોલિયનિક યુદ્ધો સાથે સંકળાયેલા છે. વાર્તા તેમના અંગત અને કૌટુંબિક જીવનથી નેપોલિયનના મુખ્ય મથક સુધી, રશિયાના એલેક્ઝાન્ડર-1ના દરબારથી યુદ્ધભૂમિ સુધી ફેલાયેલી છે. નવલકથામાં લગભગ 160 વાસ્તવિક વ્યક્તિઓનો ઉલ્લેખ છે. લશ્કરી ઇતિહાસ પર ટૉલ્સ્ટૉયને વિશ્વાસ ઓછો હતો. નવલકથાના ત્રીજા ખંડની શરૂઆતમાં તેઓ ઇતિહાસ કેવી રીતે લખવો જોઈએ તે અંગેના પોતાના વિચારો સમજાવે છે. 24 દાર્શનિક પ્રકરણો છે જેમાં લેખકની ટિપ્પણીઓ અને મંતવ્યો છે, કથા નહીં. વિશાળ રંગભૂમિ પર જીવન-નાટક ખેલાતું હોય એવું લાગે છે.

નવલકથા લખતા પહેલા ટૉલ્સ્ટૉયે ફ્રેન્ચ આક્રમણ સમયે હયાત હોય એવા લોકો સાથે વાત કરી હતી. નેપોલિયનિક યુદ્ધો વિશે ઉપલબ્ધ તમામ પ્રમાણભૂત સામગ્રી – પત્રો, જર્નલો, જીવનચરિત્રો, આત્મકથાઓ, ઇતિહાસ વાંચવા ઉપરાંત ક્રિમિઅન યુદ્ધના પોતાના અનુભવનો ઉપયોગ શાહી રશિયન સૈન્યની રચના કેવી રીતે કરવામાં આવી હતી તેની આબેહૂબ વિગતો અને પ્રત્યક્ષ અહેવાલો લાવવા માટે કર્યો હતો. હેમિંગ્વે કહે છે કે ‘ટૉલ્સ્ટૉય જેવું યુદ્ધ કોઈ લખી શકે નહીં.’ સાથે તેમણે શાંતિ પણ ખોજી છે. શાંતિ યુદ્ધની ગેરહાજરી માત્ર છે કે પછી તેનું ફલક સંવાદિતા અને સમજદારી સુધી વિસ્તરે છે? આ પ્રશ્નનો જવાબ છે અને નથી. 

લિયો ટૉલ્સટૉય, 1868

1962માં તેમનાં લગ્ન થયાં, 1963માં તેમણે ‘વૉર એન્ડ પીસ’ લખવાનું શરૂ કર્યું. ત્યારે તેઓ પોતાના ગામડાંની જાગીરમાં રહેતા હતા. 1865 અને 1869 વચ્ચે તેમણે વચ્ચે આખી નવલકથા ફરીથી લખી. પત્ની સોફિયાએ ભારે જહેમત લઇ સાત જેટલી અલગ સંપૂર્ણ હસ્તપ્રતોની નકલ કરી હતી. સોફિયા તેમની સચિવ, સંપાદક અને નાણાકીય વ્યવસ્થાપક હતી. પછીથી ટૉલ્સ્ટૉય મિલકતો છોડવા માંડ્યા એટલે લગ્નજીવન ખરાબે ચડ્યું, જેનો અંત ટૉલ્સ્ટૉયના ગૃહત્યાગમાં આવ્યો.  

‘વૉર એન્ડ પીસ’ પ્રગટ થઈ, તરત જ વેચાઈ ગઈ અને ઝડપથી અન્ય ભાષાઓમાં અનુવાદિત થઈ.  ગુજરાતીમાં તેનો અનુવાદ ‘યુદ્ધ અને શાંતિ’ નામથી જયંતિ દલાલે કર્યો છે, જે 1955માં પ્રગટ થયો હતો. ચાર ભાગમાં આ અનુવાદ કરતાં તેમને ત્રણચાર વર્ષ લાગ્યા હતાં. એ પ્રગટ થયો ત્યારે વિજયરાય વૈદ્યે કહ્યું હતું કે ‘આ અનુવાદ સાબિત કરે છે કે ગુજરાતી ભાષા જગતસાહિત્યને પચાવી શકે તેવી ગૌરવશાળી છે.’ ગુજરાતમાં ટૉલ્સ્ટૉયના ગ્રંથોના અનુવાદો ઘણા છે. ગાંધીજીથી માંડીને જિતેન્દ્ર દેસાઈ સુધી અનેકનું એમાં પ્રદાન છે. ટૉલ્સ્ટૉયના પુસ્તક ‘કિંગ્ડમ ઑફ ગોડ ઈઝ વિધીન યુ’માં પ્રગટ થયેલા અહિંસક પ્રતિકારના વિચારોએ ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. બંને વચ્ચે પત્રવ્યવહાર પણ થયો હતો. 

‘વૉર એન્ડ પીસ’નો ધ્વનિ એવો છે કે નેપોલિયનો, રાજ્યસત્તાઓ, આંદોલનો, વિચારો અને આદર્શો તો જશે પણ માનવપ્રેમ, શ્રદ્ધા અને રોજિંદા ગૃહજીવનનું મૂલ્ય સ્થાયી ટકશે. ‘યુદ્ધ ને શાંતિ’ નવલકથાનું એક પાત્ર પિએર યુદ્ધકેદી હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે જીવતાં તેને ભાન થયું કે માનવ મૂળે તો સુખી થવા સર્જાયો છે. સુખ પોતાના અંતરમાં અનુભવાય છે અને તે પણ સાવ સાધારણ મૂળભૂત જરૂરિયાતોના સંતોષાવાથી. અને દુઃખ એ જરૂરિયાતોના અભાવથી નહીં પણ તેની અત્યાધિકતાથી પેદા થતું હોય છે. 

ટૉલ્સ્ટૉય કહે છે, ‘મુક્ત વિચારકો એ છે જે તેમની બુદ્ધિને પૂર્વગ્રહો કે ભય વગર કામ કરવા દે છે અને પોતાની પરંપરા, સંસ્કૃતિ, માન્યતા, વિશેષાધિકાર વગેરે સાથે અથડામણ ઊભી કરતી બાબતોનું વાસ્તવ સમજવા ઈચ્છે છે. આવી માનસિકતા દુર્લભ છે, પણ યોગ્ય રીતે વિચાર કરવા માટે એ જરૂરી છે.’ ‘જો મને કોઈ પૂછે કે આપણી સદીના લોકો માટે સૌથી વધારે જરૂરી અને સૌથી સારી હોય એવી સલાહ કઈ – તો હું એટલું જ કહું, ‘ઈશ્વરને ખાતર, એક ક્ષણ થોભો, તમારું કામ અટકાવો અને આસપાસ જુઓ.’ ‘હું કોણ છું અને અહીં શા માટે છું એ જાણ્યા વગર જીવન અશક્ય છે.’ અને ‘બધા ઈચ્છે છે કે વિશ્વ બદલાય. પણ કોઈ પોતાને બદલવા માગતું નથી.’ દોઢ સદી પહેલાના આ વિચારો આજે પણ પ્રસ્તુત છે કેમ કે તેમાં શાશ્વત સત્યનો રણકાર છે.  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 મે  2025

Loading

આ યુદ્ધ છે !

વસુધા ઇનામદાર|Poetry|1 June 2025

          યુદ્ધ એટલે યુદ્ધ !
        સામ્રાજ્યનાં વિસ્તારનું, કે
        હિંસા, દ્વેષ, અહંના સંધર્ષનું ?
       એ સર્વનાશી યુદ્ધ પણ હોઈ શકે ! !
               અંત વગરનું યુદ્ધ !
                આ ધર્મ યુદ્ધ નથી !
               અહીં કૃષ્ણ જેવો દૂત નથી.
   બધા જ દ્યુતમાં મસ્ત થઈ,
   સોગઠાં બાજી રમી રહ્યાં છે !
          બાજી, કોઈનાય હાથમાં નથી,
          પણ પાસાં પડતાં રહે છે !
         અહીં કોઈ શકુની નથી,
          ખુદ, શકુની રમી રહ્યા છે.
          અહીં અંધ ધૃતરાષ્ટ્ર નથી,
પણ, બધા ગાંધારી રૂપે,
 વિહરી રહ્યા છે ! તેઓ,
આંખે પાટા બાંધી જોઈ શકે છે !
એક હાથમાં બૉમ્બ મૂકી,
બીજો હાથ શાંતિ મંત્રણા માટે
                લંબાવે છે !
             આ શાંતિ ચાહકો !
            ભયાનક તીવ્રતાથી,
            યુદ્ધના નગારાં વગાડી રહ્યાં છે !
             જેની દરેક સમ પર છે,
                શાંતિ, શાંતિ, શાંતિ !!

 બોસ્ટન, અમેરિકા
e.mail : inamdarvasudha@gmail.com

Loading

...102030...128129130131...140150160...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved