Opinion Magazine
Number of visits: 9458606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેલદિલીના રમત મેદાનો કે ભેદભાવના ભારખાના ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 August 2022

કોઈપણ પ્રકારની રમતની પ્રાથમિક શરત ખેલદિલી છે. પરંતુ ખેલદિલીની આ ભાવના માત્ર હારજીત સુધી જ મર્યાદિત છે. રમતના મેદાનો પર કે તેની બહાર દેશ, પ્રદેશ, રંગ, ધર્મ, જ્ઞાતિ અને બીજા અનેક પ્રકારના ભેદભાવ ભારોભાર જોવા મળે છે. ભેદભાવના આચરણની બાબતમાં કોઈ દેશ કે કોઈ રમત બાકાત નથી.

ઈ.સ. ૧૯૯૮માં ઈંગ્લેન્ડ અને વેલ્સના ક્રિકેટ બોર્ડે ’રેસિઝમ સ્ટડી ગ્રુપ’ની રચના કરી હતી. રંગભેદના બનાવો અને કોઈ જ ભેદ વિના સૌને રમવાની સરખી તક મળે છે કે નહીં તેની તપાસ તેણે કરી હતી. “હિટ રેસિઝમ ફોર એ સિક્સ” (રંગભેદને છગ્ગો ફટકારો અર્થાત્‌ તેને મેદાનની બહાર ફેંકી દો) એવા બહુ સૂચક શીર્ષક સાથે જૂન,૧૯૯૯માં તેનો અહેવાલ પ્રગટ થયો હતો. હવે સવા બે દાયકે ફૂટબોલની વર્લ્ડ ગવર્નિંગ બોડી ,’ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિયેશન ફૂટબોલ’ (ફીફા) અને ફૂટબોલ પ્લેયર્સના યુનિયન ‘ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ પ્રોફેશનલ ફૂટબોલર્સ’(ફિફપ્રો)એ મળીને ફૂટબોલના ખેલાડીઓને ઓનલાઈન ટાર્ગેટ કરતી કોમેન્ટ્સનો તાજેતરમાં અભ્યાસ કર્યો છે. યુરો કપ ૨૦૨૦ અને આફ્રિકા કપની સેમિફાઈનલ – ફાઈનલની ચાર લાખ સોશ્યલ મીડિયા પોસ્ટના અભ્યાસ પરથી જણાયું છે કે પચાસ ટકા કરતાં વધુ ખેલાડીઓને ઓનલાઈન દુર્વ્યવહાર સહેવો પડ્યો છે. કોમેન્ટ્સ કરનારાના નિશાના પર મોટા ભાગે શ્યામવર્ણી ફૂટબોલર્સ જ હોય છે. એટલે રંગભેદ અને બીજા ભેદ ક્રિકેટ કે ફૂટબોલના મેદાન પર અને બહાર હજુ ય હયાત છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની એજબેસ્ટન સ્ટેડિયમની મેચ દરમિયાન ભારતીય ટીમના ચાહક દર્શકો ઇંગ્લિશ દર્શકોની રંગભેદી ટિપ્પણીનો ભોગ બન્યાની ઘટના હજુ હમણાંની જ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૨૧માં સિડનીમાં રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડીંગ કરતા ભારતીય પ્લેયર્સ મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને ઓસ્ટ્રેલિયન દર્શકોની સતત રંગભેદી ટિપ્પણીઓ સાંભળવી પડી હતી. એક તબક્કે સિરાજ મેદાન પર રડી પડ્યા અને તેમણે ભારતીય કેપ્ટન રહાણેને અને કેપ્ટને એમ્પાયરને ફરિયાદ કરી હતી. આ કારણે રમત દસ મિનિટ બંધ રહી અને પોલીસે આઠ લોકોને શોધીને મેદાનની બહાર તગેડી મૂક્યા હતા.

માત્ર ધોળી ચામડીના દર્શકો જ રંગભેદ આચરે છે એવું નથી. ઘઉંવર્ણા ભારતીયો પણ કાળી ચામડીના દેશી-વિદેશી ખેલાડીઓ સાથે આવું કરે છે. વેસ્ટ ઈન્ડીઝના પ્રસિદ્ધ ઓલરાઉન્ડર ડેરેન સૈમીની કેપ્ટનશીપમાં વેસ્ટ ઈન્ડીઝ બે વખત ટી-૨૦ વિશ્વ કપ જીત્યું હતું. ડેરેન સૈમી આઈ.પી.એલ.ની મેચોમાં ૨૦૧૩ અને ૨૦૧૪માં સનરાઈઝ હૈદરાબાદની ટીમમાં હતા. તે સમયે તેમના સાથી ઘઉવર્ણા ભારતીય ખેલાડીઓ તેમને સામૂહિક રીતે ‘કાલુ’ કહીને જ બોલાવતા. હતા. સૈમીએ આ અપમાનજનક શબ્દનો ફોડ ‘બ્લેક લાઈવ્સ મેટર’ અભિયાન દરમિયાન પાડ્યો હતો. દક્ષિણ ભારતના અને શ્યામ વર્ણના પૂર્વ ભારતીય ક્રિકેટરો એલ. બાલાજી અને શિવરામકૃષ્ણન્‌ પોતાના જ દેશમાં રમતાં રંગભેદ સહેતા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અમે આખી જિંદગી અમારા જ દેશમાં ચામડીના કાળા રંગને કારણે ભેદભાવ અને ટીકાઓ સહેતા રહ્યા છીએ.” હોકી ખેલાડીઓ વિજય અમૃતરાજ, જયકુમાર રોયપ્પા અને વાસુદેવન ભાસ્કરનને ચેન્નઈની લોયાલા કોલેજના તેમના ધોળી ચામડીના પ્રોફેસર ડાર્ક, ડાર્કર અને ડાર્કેસ્ટ તરીકે ઓળખતા હતા.

માત્ર રંગ જ નહીં, દેખાવ પણ ભેદનું કારણ બને છે. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી ત્યારે ભારતના જાણીતા સ્પિનર હરભજન સિંઘે ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યુ સાયમંડ્સને ‘મંકી’ કહેતા તેમને ત્રણ મેચના પ્રતિબંધની સજા કરાઈ હતી. પૂર્વોત્તરના લોકોનો ચહેરો થોડો અલગ હોઈ શેષ ભારતના લોકો તેમને ચિંકી કે મોમા કહે છે. આંતરરાષ્ટ્રીય બોક્સર સરિતા દેવીને આવા શબ્દોથી તો ઠીક તેમના એક કોચ તો જંગલી જ કહેતા હતા. ૨૦૧૯માં ભારતીય અભિનેત્રી ઈશા ગુપ્તાએ નાઈજિરિયાના ફૂટબોલર એલેકઝાન્ડર ઈબોબીને ‘ગોરિલ્લો’ કહ્યા હતા. એટલે આ કેવું વિષચક્ર છે તે જણાય છે.

ઇંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અલીએ મિહિર બોઝના સહલેખનમાં લખેલી તેમની આત્મકથા “મોઈનમાં લખ્યા મુજબ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં તેમને દર્શકો ‘ઓસામા’ કહેતા હતા. ધર્મ અને રંગને કારણે ઓસ્ટ્રેલિયન દર્શકો પજવતા હોવાની ફરિયાદ ભારતના હરભજન સિંઘની પણ હતી. એશિયન ખેલાડીઓને પશ્ચિમના કેટલાક દેશોમાં ‘પાકી’ એટલે કે પાકિસ્તાની તરીકે ઓળખવામાં આવતા હોવાનો ઘણાંનો અનુભવ છે.

ભારતના સ્ટાર બેટ્સમેન ગણાયેલા યુવરાજ સિંહે એક કાર્યક્રમમાં સાથી ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ માટે અપમાનજનક જાતિસૂચક શબ્દ વાપર્યો હતો. બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં જ્યારે ધર્મ આધારિત ક્રિકેટ ટીમો રચાતી હતી. ત્યારે કથિત અસ્પૃશ્ય સમાજમાંથી આવતા મહારાષ્ટ્રના પી. બાલુ અને તેમના ત્રણ ભાઈઓ ‘હિંદુ ટીમ’ના ખેલાડીઓ હતા. પી. બાલુ એક ઊંચા ગજાના બોલર હતા અને હિંદુ ટીમના વિજ્યમાં તેમનું સવિશેષ યોગદાન રહેતું છતાં તેમને કદી ટીમના કેપ્ટન બનાવાયા નહોતા. આજે પણ ભારતીય ક્રિકેટ ટીમ અને તેના વહીવટમાં કહેવાતી નિમ્ન જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ ખાસ જોવા મળતું નથી. બહુ વાજબી રીતે દેશ હોકીના જાદુગર તરીકે ધ્યાન ચંદને આજે પણ યાદ રાખે છે. પરંતુ ૧૯૨૮ની જે ઓલમ્પિકમાં ભારતને હોકીમાં ગોલ્ડ મળ્યો હતો તે ટીમના કેપ્ટન આદિવાસી સમાજના જયપાલ સિંહ મુંડાને સાવ વિસારે પાડી દેવાયા છે.

ખેલદિલીની રમતો અને રમતના મેદાનો ભેદભાવના ભારખાના હોવાના બનાવો અલ્પ કે છૂટાછવાયા નથી વળી આ કોઈ પૂર્ણ ભૂતકાળની નહીં, ચાલુ વર્તમાનકાળની વાતો છે. એટલે તેનો ઉકેલ શોધવો રહ્યો. મોટાભાગની રમતો અમીરો અને કથિત ઉચ્ચવર્ણના લોકો માટે છે. તે સ્થિતિ બદલાવી જોઈએ. 

સૌરવ ગાંગુલીએ તેમની કપ્તાની દરમિયાન મેદાન પરની સ્લેજિંગ (ઉશ્કેરણી) માટે કુખ્યાત ઓસ્ટ્રેલિયાને તેનાથી બમણી ઉશ્કેરણીથી માત આપી હતી ! પાકિસ્તાનના કેપ્ટન ઈમરાન ખાને હરીફ ટીમના પ્લેયરને કોઈ પાકિસ્તાની પ્લેયર ’સર’ કહીને ના બોલાવે તેની ફરજ પાડેલી. યુ.ઈ.એ.માં રમાયેલા ૨૦૨૧ના વલ્ડ કપ વખતે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે બ્લેક લાઈવ્સ મેટરના સમર્થનમાં બધા ખેલાડી માટે મેચના આરંભે મેદાન પર ઘૂંટણભેર ઊભા રહેવાનું ફરજિયાત કર્યું હતું. તેના વિરોધમાં ટીમના શ્વેતવર્ણી ખેલાડી ક્વિંટંન ડિકાર્કે મેચની બહાર રહેવાનું પસંદ કર્યું હતું. તેથી આ પ્રકારના ઉકેલ કેટલે અંશે ભેદભાવ ડામી શકશે તે પ્રશ્ન છે.

સાઉથ આફ્રિકી ટીમના કોચ માર્ક બાઉચર પર ખેલાડી પ્રત્યેના રંગભેદી આચરણનો આરોપ તપાસ પછી જુઠ્ઠો ઠર્યો ત્યારે પણ બાઉચરે માફી માંગી હતી અને તેમનું આચરણ અધિક સંવેદનશીલ હોવું જોઈતું હતું તેમ જણાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં એજબેસ્ટન સ્ટેડિયમ પર ભારતીય દર્શકો સાથેના તાજેતરના ગેરવર્તન પછી ટીમના કોચ ક્રિસ સિલ્વાવુડે કહ્યું હતું તેમ સૌનો સમાવેશ અને નહીં કોઈ પ્રત્યે ભેદ એ જ રમતને ખેલદિલ તથા શાનદાર બનાવી શકે.છે.   

(તા.૦૩.૦૮.૨૦૨૨)
e.mail : maheriyachandu@gmail.com

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૩) 

સુમન શાહ|Opinion - Literature|17 August 2022

વાચકને પ્રશ્ન થઈ શકે છે કે હોસે આર્કાદિયો અને ઉર્સુલા કઝિન્સ હોવા છતાં લગ્ન સુધીનો અને હોસે-તરનેરા તેમ જ હવે પછી જેની વાત આવશે એ યુવતીઓ રેબેકા રેમેડિયોસ અને એ બન્ને જેના પ્રેમમાં પડે છે તે પિએત્રો ક્રિસ્પી, તેમ જ એ પછી પણ કથામાં પ્રવેશનારાં લગભગ બધાં, સમ્ભોગ સુધીનો સ્વૈર મુક્ત જાતીય વ્યવહાર શી રીતે કરી શકે છે.

ઉત્તર સીધો છે : કેમ કે તે સમયે એમને ત્યાં સભ્ય સમાજની સંસ્કૃતિનો ઉદય ન્હૉતો થયો. તેઓ બંધિયાર જીવન જીવતાં’તાં. ખાસ કારણ એ હતું કે તેઓ incestuously વર્તતાં’તાં – મતલબ, નજીકનાં સગાં હોવા છતાં જાતીય પ્રવૃત્તિઓમાં રત રહેતાં હતાં.

માર્ક્વેઝનો કથક કૃતિના અન્તમાં એ જ કહે છે : ગામ વળી પાછું એકલ અને અલગ છે. બ્વેન્દ્યા-પરિવારના રહ્યાંસહ્યાં જન એકલવાયાં છે. તેઓ નજીકનાં સગાંઓ વચ્ચેના સમ્ભોગથી જનમેલાં છે. તેઓ બહારની દુનિયાથી કપાઇ ગયેલાં છે. એમનો એકાકી અન્ત નિશ્ચિત છે. 

પ્રકરણ : ૩ : (આ નવલની મારી પાસેની ઑનલાઈન નકલમાં આ પ્રકરણનાં ૨૦ પેજીસ છે. ટૂંકાવતાં જીવ નથી ચાલતો, પણ શું કરું?)

ઉર્સુલાએ માકોન્ડો અને સભ્ય સમાજને જોડતો માર્ગ શોધી કાઢ્યો. એટલે પછી ગામમાં પરિવર્તનનો દૉર શરૂ થઈ ગયેલો. બ્વેન્દ્યા-પરિવાર અને ગામ સાથે સાથે વિકસી રહ્યાં’તાં, એમાં હોસે આર્કાદિયો બ્વેન્દ્યાની ચાવીરૂપ ભૂમિકાનો ઘણો મોટો હિસ્સો હતો.

પિલાર તરનેરા ગૂમનામ આર્કાદિયોના પુત્રને જન્મ આપે છે. એ હમેશાં ‘આર્કાદિયો’ નામથી ઓળખાય છે.

પરિવારમાં એક દિવસ એક અનાથ છોકરી રેબેકા આવી ચડેલી, એ માત્ર ૧૩ વર્ષની હતી. એનાં મૂળ અંગે કોઈને કશી જાણ હતી નહીં. પરિવાર એને પરિવારજન ગણીને અપનાવી લે છે. રેબેકાને ભીંતના પોપડા અને માટી ખાવાની આદત હતી, એ આદત બ્વેન્દ્યાઓએ છોડાવી. બ્વેન્દ્યાઓએ એ પણ જોયું કે રેબેકાને અનિદ્રાનો રોગ છે જેને કારણે એ સ્મૃતિભ્રંશનો ભોગ બની છે.

એના એ બન્ને રોગ ગામ આખામાં ફેલાઇ ગયા. સ્મૃતિ પાછી આવે, બધું યાદ આવે, એ માટે લોકો વસ્તુઓ પર નામોનાં લેબલ ચૉંટાડવા માંડ્યા. સૌ પહેલાં GOD EXISTS ચૉંટાડ્યું. પણ પછી બીવા લાગ્યાં કેમ કે સવાલ થયો – ગામવાસીઓને કેવી રીતે વંચાતું’તું તે જો યાદ જ નહીં આવે તો? તો એ દિવસે એ સઘળાં લેબલ નકામાં થઈ જશે.

તરનેરા કાર્ડ વાંચીને લોકોનું ભવિષ્ય ભાખતી’તી. હમણાંની લોકોનો ભૂતકાળ કહી બતાવે છે.

મેલ્ક્વીઆદેસ, જાણે મૃત્યુલોકમાંથી પાછો આવ્યો છે. પોતાની સાથે એ વિષનાશક ઔષધ લાવેલો જેના પ્રતાપે ગામવાસીઓનો અનિદ્રા-રોગ મટી જાય છે. માકોન્ડોવાસીઓએ કદી નહીં જોયેલું એવું એક સાધન પણ એ લાવેલો, ડેરોટાઇપ. આગળના જમાનામાં ડેરોટાઇપથી ચાંદીની પ્લેટ પર અથવા ચાંદી ચડાવેલી તાંબાની પ્લેટ પર ફોટોગ્રાફ પાડી શકાતા’તા.

એ પર હોસે આર્કાદિયો બ્વેન્દ્યાએ ગૉડનો, ઈશ્વરનો, ફોટો પાડવાની મથામણ કરી જોયેલી. એને ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરવું’તું.

હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો બીજો દીકરો ઔરેલિયાનો ચાંદીના દાગીનાનો કારીગર બન્યો હોય છે – સિલ્વરસ્મિથ. એ આખો વખત લૅબોરેટરીમાં પુરાયેલો રહે છે, એટલા માટે કે મેલ્ક્વીઆદેસ જોડે પોતે જ્ઞાનવાર્તાઓ કરી શકે. જો કે એ બન્ને જણા પોતપોતાની ધૂનમાં ગળાડૂબ રહેતા હોય છે. 

ઔરેલિયાનો મોટો થયો છે, એકલો અલગ રહેવા માંડે છે, અને સ્ત્રીઓ બાબતે પ્રગટપણે તો સૌને નીરસ લાગતો હોય છે.

પરિવાર અને ગામ જેમ જેમ વિસ્તરે છે તેમ તેમ ઉર્સુલા, બ્વેન્દ્યા-હાઉસને પણ વિસ્તારતી હોય છે. ગામમાં પ્રવૃત્તિઓની રફતાર અને ઘરમાં એટલી બધી ધમાલ કે બાળકોની સંભાળ તો ગૌણ બની ગયેલી.

એક જાતિમાં કેટલાં ય વરસોથી અનિદ્રારોગનો વાવર ચાલતો’તો. ત્યાંથી ગ્વાતિરો ઇન્ડિયન બાઈ વિસિતાફ્યુઅમ અને તેનો ભાઈ વખાના માર્યાં માકોન્ડોમાં આવી ચડેલાં. એવાં સાલસ અને મદદ કરવાને આતુર કે ઉર્સુલાએ એમને ઘરનાં કામકાજ માટે રાખી લીધાં. એઓ બાળકોની સંભાળ પણ રાખતાં.

એટલે જ આર્કાદિયો અને અમરન્તાને સ્પૅનિશ આવડે એ પહેલાં ગ્વાતિરો ભાષા આવડી ગયેલી. અરે, ઉર્સુલાની જાણ બહાર તેઓ એટલે જ ગરોળીનો સૂપ અને કરોળિયાનાં ઇંડાં ખાતાં શીખી ગયેલાં.

ઉર્સુલા પણ કૅન્ડી ઍનિમલ્સના એના આશાસ્પદ ધંધામાંથી ઊંચી ન્હૉતી આવતી.

ભરોસાપાત્ર તો નહીં જ પણ યુક્તિબાજ અને કોઇપણ ભોગે પોતાનો મતલબ પાર પાડે એવા શઠને ‘સ્નેક-મૅન’ કહેવાય છે. ઉર્સુલાએ માનેલું કે જિપ્સીઓ સાથે એક છે એવો. જિપ્સીઓને એ હોસે આર્કાદિયો બ્વેન્દ્યાની બાતમી આપી શકે એમ છે. જિપ્સીઓ પાછા તો આવે છે પણ સાથે હોસે નથી હોતો, પેલો સ્નેક-મૅન પણ નથી હોતો. એટલે જિપ્સીઓને હાંકી કાઢવામાં આવે છે, એમ કહીને કે – ખબરદાર હવે પછી ગામમાં પગ મૂક્યો છે તો .. જિપ્સીઓ સૌને દગાબાજ, વાસનાભૂખ્યા, ભ્રષ્ટ અને વિકૃત લાગેલા.

પહેલેથી સ્વાયત્ત ગામ માકોન્ડોમાં કેન્દ્ર સરકારનો સૂબો મૅજિસ્ટ્રેટ ડૉન અપોલિનર મોસ્કોતે પધારે છે. હુકમ કરે છે કે મકાનને આ નહીં પણ ભૂરા રંગે રંગો. હોસે આર્કાદિયો બ્વેન્દ્યા એને એમ કહે છે કે ગામમાં જો તમારે રંગની બાબતે લોકોને ભડકાવવા હોય, ધાંધલ મચાવવી હોય, તો જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા ચાલી જાવ; સામાન્ય નાગરિકની જેમ રહેવું હોય તો આવજો; બાકી, મારું ઘર તો સફેદ થઈ જવાનું છે – સફેદ કબૂતરના રંગનું …

તો પણ મોસ્કોતે ઘણા બધા સૈનિકો અને પોતાનું કુટુમ્બ લઇને પાછો આવે છે. ત્યારે હોસે, મોસ્કોતેને ફરજ પાડે છે કે એની સત્તા જતી કરે, બલકે ગામને સૉંપી દે. દુશ્મનાવટ ઊભી થાય છે.

બાપને એવી દુશ્મનાવટ હતી તેમ છતાં દીકરો ઔરેલિયાનો મૅજિસ્ટ્રેટની સૌથી નાની દીકરી રેમેડિયોસ મોસ્કોતેના પ્રેમમાં પડે છે.

(હવે પછી, પ્રકરણ -૪)
(Aug 17, 2022 : USA)
Almost all characters : 
Pic Courtesy : Annenberg Leaner
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ડાયસ્પોરાને નામે ભળતું જ લખાય છે 

પ્રીતમ લખલાણી|Diaspora - Features|16 August 2022

આજે મોટા ભાગના સર્જકો અને પ્રાઘ્યાપક મિત્રોને ખબર નથી કે ડાયસ્પોરા એટલે શું? ડાયસ્પોરાનો અર્થ સમજ્યા વગર આપણે ડાયસ્પોરાના નામે ઢોલ નગારા જોર જોરથી પીટ્યે રાખીએ છીએ તે ખરેખર કેટલું યોગ્ય છે?

અમેરિકામાં વસતાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીને આપણે ડાયસ્પોરા પ્રજા ક‌ઈ રીતે કહી શકીએ? તે પણ એક મોટો સમજવા જેવો સવાલ છે. અમેરિકામાં મોટાભાગના ભારતીયો /ગુજરાતીઓએ સ્વેચ્છાએ પોતાનું વતન છોડી દેશવટો લીઘો છે. અમેરિકામાં સ્થાયી થયેલાં આપણા ઘણાં ખરાં ભારતીયો અંગત સ્વાર્થ અને ઉત્કર્ષ માટે પોતાનું વતન – દેશ છોડીને અમેરિકામાં આવીને વસ્યાં છે.

ડાયસ્પોરા મૂળ આપણને તેમ જ વિશ્વને યહૂદી શબ્દકોશમાંથી પ્રાપ્ત થયેલો શબ્દ છે. કોઈ કાળે “યહૂદી પ્રજાને પોતાના વતનમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલ. પોતાનું પ્યારું વતન છૂટી જવાને કારણ સ્થળાંતર કરીને હજારો માઈલ દૂર અજાણ્યા બીજા પ્રદેશમા જઈને વસેલ યહૂદી પ્રજાનાં હ્રદયમાં પેદા થયેલો વતન ઝૂરાપો, પ્રત્યેક ક્ષણે હ્રદય મનને સતાવતો અતિત રાગને કારણે તેમની કલમથી સરજાયેલું સાહિત્ય એટલે ડાયસ્પોરા સાહિત્ય. આ વાત ફકત યહૂદી પ્રજા માટે લાગુ નથી પડતી, પણ કોઈ પણ વ્યક્તિને કે પ્રજાને ઘર્મ, ભાષા, સંસ્કૃતિ કે રાજકીય એવા કોઈ પણ કારણ કે બહાના હેઠળ પોતાનું વતન/દેશ છોડી સ્થળાંતર કરવું પડે, ત્યારે તે પ્રજાના કે વ્યક્તિના હ્રદય મનમાં જે વતન ઝૂરાપો હોય અને તે પીડા દર્દ કાગળ પર ઉતરે તેને ડાયસ્પોરા સાહિત્ય કહેવાય.

અમેરિકા, વિલાયતમાં વસેલ ભારતીયોનો ગુજરાતીના નવ વસાહતમાં ડોલર રળવા સિવાયનો બીજી કોઈ પારાવાર વેદના અને ગૌરવ-ગાથાનો સંઘર્ષ કેટલો? વતનથી દૂર થઈ જવું અને પરાયા દેશમાં પોતાના વતન અને સંસ્કૃતિનાં મૂળ રોપી રાખવાં, કોઈ એક દિવસ વતન પાછા ફરવાની ઝંખના, બીજા દેશમાં મનની વેદના સાથે પ્રત્યેક ક્ષણે જીવવું, આ બઘો ઝૂરાપો એટએ ડાયસ્પોરા! વર્તમાનમાં પોતાનું વતન છોડી બીજા દેશમાં સ્થાયી થવા સંઘર્ષ કરતી અફઘાની પ્રજા જે કોઈ દેશમાં સ્થાયી થશે અને બે પાંચ વરસે તેમનાં હ્રદય મનમાંથી વતન/પરિવારના ઝૂરાપામાંથી જે સાહિત્ય રચાશે તેને ડાયસ્પોરા સાહિત્ય કહેવાશે.

ભારતમાં વરસો પહેલાં, સંજાણ બંદરે ઘર્મ અને પોતાની સંસ્કૃતિને બચાવવા આવેલ ઈરાની પ્રજા તેમ જ દેશના વિભાજન વખતે એટલે ૧૯૪૭માં સીંઘ/પંજાબ છોડી ભારત આવેલ સીંઘી/પંજાબી પ્રજા ડાયસ્પોરા પ્રજા કહેવાય. .. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યાં ત્યારે ઘણાં હિંદુ પરિવારો સ્થળાતર કરી ભારત આવ્યાં અને ઘણાં મુસ્લિમ પરિવારો ભારતથી પાકિસ્તાન ચાલ્યાં ગયાં. આ ગાળામાં આદિલ મન્સૂરીનો પરિવાર પણ ભારત છોડીને પાકિસ્તાનમાં કાયમ માટે કરાંચીમાં સ્થાયી થવા ચાલ્યો ગયો હતો, પરંતુ બે પાંચ વરસ આદિલભાઈનો પરિવાર પાકિસ્તાન રહ્યો, પણ તેમને પાકિસ્તાનની આબોહવા કે વાતાવરણ માફક ન આવતાં, તેમનો પરિવાર પાછો હિંદુસ્તાનમાં અમદાવાદ આવી ગયો અને ભારતમાં બીજા ભારતીય મુસ્લિમ પરિવારની જેમ ખુશી સાથે રહેવાં લાગ્યો. તે ગાળામાં નાગરિકતાની કે પાસપોર્ટ જેવી કોઈ માથાઝીક હતી નહીં. ૧૯૬૫માં ભારત પાકિસ્તાનનું ફરી એકવાર યુદ્ધ થયું, અને બને દેશની પ્રજા વચ્ચે તણાવ વઘવા માંડયો. ભારતમાં બિન કાયદેસર વસતા પાકિસ્તાની પરિવારોને તાત્કાલિક ભારત છોડવાનું ફરમાન થયું. તેમાં આદિલ મન્સૂરી તેમ જ તેના પરિવારને ભારત છોડવો પડે તેવી હાલતનું નિર્માણ થયું. આદિલ અને તેના પરિવારને ભારત છોડી બીજા પરાયા દેશમાં જવું પડશે તેનું દુઃખ દર્દ આદિલ તેમ જ તેના પરિવારને રાત દિવસ સતાવતું હતું. આદિલને ભારત દેશ રાખવા તૈયાર નહોતો, કારણ કે તેઓ ભારતના કાયદેસરના નાગરિક નહોતા, અને સરહદ પારનો દેશ આદિલને તેમ જ તેનાં પરિવારને સંઘરવા તૈયાર નહોતો કારણ કે આદિલ અને તેનો પરિવાર ભારત પાછા આવ્યા ત્યારે પાકિસ્તાનનું નાગરિકત્વ મેળવ્યા વિના પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા હતા. હવે કરવુ શું? આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે જે દેશ તેમને રાખવા તૈયાર થાય તે દેશમાં તેમને જવું પડે તેવી હાલત તેમના માટે કારણ વિના સર્જાણી, અને તેઓ બીજું કશું કરી શકે તેમ પણ નહોતા.

રોજની જેમ એક સાંજે આદિલ ભઠ્ઠિયારી ગલીમાંથી ચીનુ મોદી, લાભશંકર ઠાકર અને મનહર મોદીને મળીને દુઃખી મને ઘરે પાછા ફરતા હતા, ત્યારે આદિલને ઘર તરફ જતા જોઈ રોજનો પરિચિત શેરીનો એક કૂતરો આદિલની આગળ પાછળ ફરવા માંડયો. આ કૂતરા સાથે આદિલને ઘણાં વરસોથી લગાવ હતો. રોજ શેરીમાંથી આવતા જતા આદિલ આ કૂતરાને બે ચાર ગ્લુકોસઝ બિસ્કીટ નાંખે. આજે મોડી સાંજે શેરીમાં આદિલને આવતા જોઈને આ કૂતરાને થયું કે આદિલમિયાં, દોસ્તીનાતે મને કૈક આપશે, પણ કમભાગ્યે તે સાંજે આદિલ પાસે તેને નાંખવા જેવું કશું નહોતું, એટલે દુઃખી મને શેરીના એક બત્તીના થાંભલા નીચેના મોટા પથ્થર નીચે આદિલે તેને પોતાની પાસે બોલાવી તેની સાથે રમતા આદિલનું મન ભરાય આવ્યું, અને મુખમાંથી શબ્દો સરી પડયા,” અરે દોસ્ત, અહીંયા તો તું છે, આખું નગર મારું પોતાનું છે, ખબર નથી કાલે સવારે ક્યા દેશમાં જવું પડશે? જયાં મારું કોઈ નથી, દોસ્ત, ખેર ! જેવી અલ્લાહની મરજી હશે, ત્યાં અંજળપાણી મને અને પરિવારને લઈ જશે, દોસ્ત … આંખે આવેલાં આંસું લૂછતાં, કૂતરાને માથે ગાલે પ્રેમથી હાથ ફેરવી આદિલ ઘર તરફ ચાલી નીકળ્યા. તે સાંજે આદિલનું મન હ્રદય બહુ જ દુઃખી હતું. પથ્થારીમાં જઈશ તો પણ નીંદર કયાં આવે તેમ હતી? આદિલ ઘરની ખુલ્લી બારીમાંથી અમદાવાદને નીરખતા અમદાવાદને છોડીને ચાલ્યા જવું પડશે, તેવા અંજપામાં બેઠા હતા અને આ અંજંપામાંથી તે મોડી રાતે આંખના છલકતા આંસુ સાથે બે પાંચ દિવસમાં વતન છોડી ચાલ્યા જવાના ઝૂરાપામાંથી તેમને એક ગઝલ સ્ફૂરી …. તે ગઝલ આ હતી, “મળે ન મળે” :

 નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, 

ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

 ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, 

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

 પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, 

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

 ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

 પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

 પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

 વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં, 

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

 વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,

 અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

— ‘આદિલ’ મન્સૂરી 

આજે વર્તમાનમાં ડાયસ્પોરાને નામે અમેરિકા, વિલાયત તેમ જ બીજા દેશોમાં આડેઘડ બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલાં સાહિત્યકારો, ડાયસ્પોરા સાહિત્ય લખવાં માંડયાં છે; ડાયસ્પોરાને નામે લખાતું મોટા ભાગનું તો નહીં પણ ઘણું ખરું સાહિત્ય કચરા જેવું હોય છે. આ કચરો ભારતથી પરદેશ/વિલાયત આવતા લેભાગુ સાહિત્યકારો, ડોલર રળવા / ભેગા કરવા ખાલી પછેડી લઈને આવી ચડતાં પ્રાઘ્યાપકો દ્વારા ગુજરાતથી સાહિત્યમાં ઠલવાય છે.

આ સાહિત્યકારોએ તેમ જ પ્રાઘ્યાપકોએ ગુજરાતી સાહિત્યને અંગત સ્વાર્થ માટે ઊકરડો બનાવી દીધું છે, એમ કહું તો મારી દૃષ્ટિએ કંઈ ખોટું નથી! ભવિષ્યમાં તેનું કોઈ સાચું વિવેચન/અવલોકન કરશે, ત્યારે ખબર પડશે કે કચરો કેટલો ગુજરાતી ભાષામાં ઠલવાયો છે. આ લખનાર જિંદગીના લગભગ સાત દાયકા વિતાવવાની નજદિકમાં છે. અમેરિકામાં છેલ્લા સાડાચાર દાયકાથી રહે છે. ડાયસ્પોરાને નામે રચાતું અઢળક સાહિત્ય ગુજરાતી સામયિકો તેમ જ અખબારોમાં વાંચ્યું છે / વાચું છું, કવિતા, અને વાર્તા તો ડાયસ્પોરાને નામે પ્રગટ થતાં હતાં પણ હવે આ ફાલતું સાહિત્યકારો અને પ્રાઘ્યાપકો, વિદેશમાં વસતા ઘનવાનો અને વગવાળા વ્યક્તિનાં વ્યક્તિ ચિત્રોને ડોલર રળવાને ખાતર લખવા માંડયા છે. તે ખરેખર સાહિત્ય માટે ભયરૂપ છે! 

અમેરિકામાં કવિ મિત્ર ચંદ્રકાન્ત શાહનાં કાવ્યો ‘બ્લૂ જીન્સ”, પન્ના નાયકનાં મૂઠી એક ડાયસ્પોરા કાવ્યોમાં “ઘર ઝુરાપો” તેમ જ બીજા કવિઓની બે પાંચ કવિતા સાથે ડૉ. રજનીકાન્ત શાહની વાર્તા તેમ જ નાટકોને બાદ કરી નાંખો, તો ડાયસ્પોરાને નામે કચરાથી વિશેષ ગુજરાતી સાહિત્યને કંઈ પ્રાપ્ત થયું નથી, કંઈ મળ્યું નથી. મારે દુઃખી મને લખવું પડે છે કે ભાગ્યે જ કોઈ કૃતિમાં મને ડાયસ્પોરા સાહિત્યનાં દર્શન થયાં હોય, તેવું મને યાદ પણ નથી. ડાયસ્પોરાને નામે લખાયેલ અઢળક સાહિત્યને (કચરાને) તમે ત્રાજવાના એક પલ્લાંમાં મૂકો અને ‘આદિલ’ મનસૂરીની એક ગઝલને ત્રાજવાના બીજા પલ્લામાં મૂકો તો ‘આદિલ’નું પલ્લું જ નીચું જશે. કારણ કે ‘આદિલ’ની ગઝલમાં વતન છૂટી જવાની ભારોભાર વેદના છે. સાથો સાથ ઘર, શેરી, અને નગરનો પ્રત્યેક શેરમાં ઝૂરાપો દેખાય છે. ‘આદિલ’ મનસૂરીની ગઝલ તો વતન છૂટી જશે તેના અંજપામાં લખાયેલ છે નહિ કે અમેરિકામાં જઈને ડોલરના પોટલા બાંઘવાના પ્રેમમાં! આ જ ‘આદિલે’ અમેરિકામાં વરસો વિતાવ્યાં બાદ એક ગઝલ લખી કે, “ગુજરાતીમાં ગઝલો લખતાં જર્સીમાં વરસો કાઢ્યાં” છતાં ‘આદિલ’ને “મળે ન મળે” ગઝલ જેટલી સફળતા પ્રાપ્ત થઈ છે તે જર્સીમાં વરસો કાઢ્યામાં નથી મળી. તેનું કારણ છે ‘આદિલ’ મન્સૂરી અમેરિકા સુખચેન માટે સ્થાયી થયા હતા.

સૌજન્ય : પ્રીતમભાઈ લખલાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2871,2881,2891,290...1,3001,3101,320...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved