Opinion Magazine
Number of visits: 9663808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જુબિન ગર્ગ, ઈશ્વરનો અવાજ;  ઈશ્ક પે હાં, મિટા દૂં, લૂટા દૂં, મૈં અપની ખુદી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 October 2025

રાજ ગોસ્વામી

નવી પેઢીના ફિલ્મ રસિકો જ્યારે અંતાક્ષરી રમતા હોય અને તેમાં તેમના ભાગે ‘ય’ અક્ષર આવે, તો તેમના મોઢે એક જ ગીત આવતું : યા અલી રહમ અલી, યા અલી … યાર પે કુર્બાન હૈ સભી, યા અલી મદદ અલી. હિન્દી સિનેમામાં દર દાયકાઓમાં એક એવું ગીત આવે છે, જે સદાબહાર બની જાય છે. 2006માં આવેલી ‘ગેંગસ્ટર : અ લવ સ્ટોરી’ ફિલ્મનું આ ‘યા અલી’ ગીત એવું જ એક શાનદાર ગીત હતું. 

તેને સ્વર આપનારો અસમિયા ગાયક જુબિન ગર્ગ રાતોરાત ભારતની યુવા પેઢીનો ગમતો સિંગર બની ગયો હતો. 19મી સપ્ટેમ્બરના રોજ, 52 વર્ષીય ગર્ગનું સિંગાપોરમાં અચાનક અવસાન થઇ ગયું.  જુબિન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલ માટે સિંગાપોર ગયો હતો. તે સ્વીમિંગ પૂલમાં તરવા ગયો હતો ત્યાં તેને શ્વાસની તકલીફ થઇ હતી. તેને સિંગાપોર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં સુધીમાં તેણે શ્વાસ છોડી દીધા હતા.

જુબિન આસામમાં સુપરસ્ટાર હતો. તે એક બહુમુખી કલાકાર હતો અને આસામી ઉપરાંત, હિન્દી અને અન્ય ઘણી ભાષાઓમાં ઉત્તમ ગીતો ગાયાં હતાં. તેણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને તેની ગાયકીના જોરે યુવાનીમાં તે પૂરા દેશમાં મશહૂર થઇ ગયો હતો. તેની લોકપ્રિયતા એ હકીકત પરથી જાણી શકાય છે કે તેના અવસાનથી વડા પ્રધાન મોદી, વિપક્ષી નેતા રાહુલ ગાંધી, આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા અને અનેક રાજકીય આગેવાનોએ શોક વ્યક્ત કર્યો હતો. 

‘ગેંગસ્ટર’ ફિલ્મથી તેને બહુ નામના મળી હતી. મહેશ ભટ્ટ નિર્મિત અને અનુરાગ બસુ નિર્દેશિત ‘ગેંગસ્ટર’ ફિલ્મ તેની કહાની, કિરદાર અને સંગીત એમ ત્રણે બાબતો માટે જાણીતી છે. આ ફિલ્મે બોલીવુડને બે કલાકારોની ભેટ આપી; કંગના રાણાવત અને જુબિન ગર્ગ. 

તે વખતે મુંબઈના ગેંગસ્ટર અબુ સાલેમ અને બોલીવુડ સ્ટાર મોનિકા બેદીની પ્રેમ કહાની બહુ ચર્ચામાં હતી. મોનિકાએ ‘ફિલ્મફેર’ સામાયિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં સાલેમ સાથે વિતાવેલા રોમેન્ટિક સમય, પોર્ટુગલમાં તેની ધરપકડ અને પછી ભારતમાં તેના પ્રત્યાર્પણ અંગે વિસ્તારથી વાતો કરી હતી.

મહેશ ભટ્ટે તેના પરથી એક એવી બાર ડાન્સર સિમરન(કંગના)ની કહાની લખી હતી, જે તેના જીવનમાં મસીહા બનીને આવેલા ડોન દયા (શાઈની આહુઝા) સાથે સંસાર વસાવાનાં સપનાં જુવે છે, પરંતુ દયાનો આપરાધિક ભૂતકાળ તેનો પીછો નથી છોડતો એટલે તે ભાગતો ફરે છે અને સિમરન સિઓલમાં શરણ લે છે.

સિમરન સિઓલમાં શરાબમાં ડૂબી જઈને દિવસો પસાર કરે છે અને અચાનક તેના જીવનમાં આકાશ (ઇમરાન હાશમી) નામનો બાર સિંગર આવે છે. આકાશ સિમરનની સંભાળ લે છે અને ધીમે ધીમે ધીમે તેનું દિલ જીતી લે છે. એ જ વખતે દયા પાછો સિમરનના જીવનમાં આવે છે અને બધું ખેદાનમેદાન કરી નાખે છે. દયા આકાશ સાથે લડાઈ કરે છે એટલું જ નહીં, સિમરન માટે થઈને અપરાધની દુનિયા છોડવા પણ તૈયાર થાય છે. 

પણ બંનેના નસીબમાં બીજું જ લખાયેલું હતું : આકાશ વાસ્તવમાં ભારતીય સુરક્ષા એજન્સીનો એજન્ટ છે અને ઓળખ બદલીને સિમરનના જીવનમાં પ્રવેશ કરે છે જેથી ડોન દયા સુધી પહોંચી શકાય. તેના આ ઓપરેશનના પગલે દયાની ધરપકડ થાય છે. સિમરનને જ્યારે આ નાટકની ખબર પડે છે ત્યારે તે આકાશના ઘરમાં ઘુસીને તેને ગોળી મારે છે. બચાવમાં આકાશ પણ તેને ગોળી મારે છે. આકાશનું મોત થાય છે, જ્યારે સિમરનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અંતે, જે સમયે દયાને ફાંસી પર લટકાવામાં આવે છે, તે જ વખતે સિમરન હોસ્પિટલની છત પરથી કૂદીને જીવ આપી દે છે.

પ્રેમ અને પારિવારિક જીવન માટે તડપતી પણ સંજોગોની મારી વાઘણ બની ગયેલી સિમરનની ભૂમિકામાં કંગનાએ દિલ નીચોવી દીધું હતું. તે નવોદિત એક્ટ્રેસના મોટા ભાગમાં એવોડર્સ જીતી ગઈ હતી. સિમરનની ભૂમિકા માટે ચિત્રાંગદા સિંહનું નામ નક્કી હતું, પરંતુ કોઈ કારણસર તેને એમાં રસ નહોતો રહ્યો એટલે અનુરાગ બસુએ કંગનાને આ ભૂમિકા ઓફર કરી હતી.

જુબિન ગર્ગ સંગીતકાર પ્રીતમની શોધ હતો. ‘યા અલી રહમ અલી’ ગીત એ વખતે આવે છે જ્યારે સિમરન સાથે ભારત જતા રહેવા માટે દયા બનાવટી પાસપોર્ટ લેવા જાય છે અને ત્યાં તેના ક્રાઈમ બોસ ખાન(ગુલશન ગ્રોવર)નો સામનો થાય છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં દરગાહ પર જે યુવાન આ ગીત ગાય છે તે ખુદ જુબિન ગર્ગ જ છે. 

ગર્ગ ત્યારે કંગનાની જેમ જ મુંબઈમાં કામ માટે સંઘર્ષ કરતો હતો. તે પ્રીતમને પણ ત્યારથી ઓળખતો હતો જ્યારથી તે પણ સંગીતના ક્ષેત્રે સંઘર્ષ કરતો હતો. ગર્ગે પ્રીતમ માટે જાહેરખબરો માટે અમુક જિંગલ્સ ગાયાં હતાં. એટલે પ્રીતમ જ્યારે ‘ગેંગસ્ટર’નું સંગીત તૈયાર કરતા હતા, ત્યારે તેમણે આ સૂફી ગીત માટે ગર્ગની પસંદગી કરી હતી. ફિલ્મમાં અન્ય બે ગીતો ‘ભીગી ભીગી’ અને ‘તું હી મેરી શબ હૈ’ પણ એટલાં જ સુંદર અને લોકપ્રિય થયાં હતાં.

ફિલ્મ રોમેન્ટિક થ્રિલર હતી, પરંતુ તેની વાર્તાનો મુખ્ય સાર એ હતો કે અપરાધથી કોઈનું કલ્યાણ થતું નથી. આ ફિલ્મના ત્રણે મુખ્ય પાત્રો, સિમરન, દયા અને આકાશ, તેમના સમય-સંજોગોનાં એવા શિકાર બની ગયા હતા કે અંતે જીવનથી હાથ ધોઈ બેસે છે. મહેશ ભટ્ટે બહુ રસપ્રદ રીતે વાર્તાના તાણાવાણા ગૂંથ્યા હતા અને અનુરાગ બસુએ પૂરી સંવેદના સાથે તેને પડદા પર ઉતારી હતી.

માણસનો અતીત તેને ક્યારે ય છોડતો નથી. જીવન એક ચક્ર છે અને તે પૂરું ફરે છે. જે માણસ, દયા, જીવનથી હાર્યો નહોતો તે એક સ્ત્રીના વિશ્વાસઘાતથી તૂટી ગયો હતો. એક સ્ત્રી, સિમરન, જેણે દયા માટે દુનિયા છોડી દીધી, પરંતુ તેની સાથે ઘર વસાવી શકી નહોતી અને એક વિશ્વાસઘાતી પુરુષ, આકાશનો શિકાર બની હતી. 

આ ફિલ્મ પ્રેમ, વિશ્વાસઘાત અને મુક્તિમાં ગૂંચવાયેલા ત્રણ જીવનની વાર્તા કહે છે. મહેશ ભટ્ટમાં પ્રેમ અને બેવફાઈની વાર્તાઓ ખૂબ જ સુંદર રીતે કહેવાની આવડત છે. અને તેમાં ય સ્ત્રીઓની નજરે તે બંને ભાવને જોવાની તેમની ક્ષમતા એટલી વિશેષ છે કે પુરુષ દર્શકોને પણ એક નવો ભાવનાત્મક દૃષ્ટિકોણ મળે છે. અને કંગના તેની આ પહેલી હિન્દી ફિલ્મમાં અદ્ભુત રીતે આ જવાબદારી નિભાવી હતી.

જુબિન ગર્ગના પેલા ગીતમાં મયૂર પુરીએ ઉચિત રીતે જ લખ્યું હતું :

ઈશ્ક પે હાં, મિટા દૂં, લૂટા દૂં, મૈં અપની ખુદી

યાર પે હાં, લૂટા દૂં, મિટા દૂં, મૈં યે હસ્તી

મહેશ ભટ્ટે કંગનાને શોધવા બદલ અનુરાગ બસુની પ્રશંસા કરતાં એકવાર કહ્યું હતું, “ફિલ્મનો સૌથી મોટો ચમત્કાર કંગના હતી – તે પ્રકૃતિની જંગલી, અદમ્ય શક્તિ જેવી હતી. પહેલી જ ફિલ્મમાં તે ફીનિક્ષ પક્ષીની જેમ ઉભરી હતી અને ગેંગસ્ટરને ઉડવા માટે પાંખો આપી હતી.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 01 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીજીની ગુજરાતીને અનન્ય ભેટ

દીપક મહેતા|Opinion - Literature|1 October 2025

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી

મળી માતૃભાષા મને ગૂજરાતી.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી,

નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.

આપણા મોટા ગજાના કવિ ઉમાશંકર જોશીએ ઉપરની પંક્તિઓમાં આપણી માતૃભાષા ગુજરાતીને ‘ગાંધીગિરા’ તરીકે ઓળખાવી છે. સ્થળ અને સંસ્થાના નામ જેટલી સહેલાઈથી બદલી શકાય છે તેટલી સહેલાઈથી કોઈ ભાષાનું નામ બદલી શકાતું નથી. પણ જો બદલી શકાતું હોત તો આપણી માતૃભાષાને ‘ગાંધીગિરા’ નામ આપવું યોગ્ય ગણાત. ગાંધીજી જેવા મહામનાની માતૃભાષા હોવાનું માન ગુજરાતી ભાષાને મળ્યું છે, એ આપણા સૌનું સદ્ભાગ્ય છે.

જેના સૌથી વધુ ભાષામાં અનુવાદ થયા હોય તેવું ગુજરાતી પુસ્તક કયું? આખી દુનિયામાં જેનું સૌથી વધુ વેચાણ અને વાચન થયું હોય તેવું ગુજરાતી પુસ્તક કયું? જવાબ છે, ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો.’ ગાંધીજી જેના તંત્રી હતા તે સાપ્તાહિક ‘નવજીવન’માં ૨૯ નવેમ્બર ૧૯૨૫ના અંકથી તેનું ધારાવાહિક પ્રકાશન શરૂ થયું. અને છેલ્લો હપતો ૩ ફેબ્રુઆરી ૧૯૨૯ના અંકમાં છપાયો. બે ભાગમાં પુસ્તક રૂપે આ આત્મકથા ૧૯૨૭ અને ૧૯૨૯માં પ્રગટ થઇ. ત્યારે પ્રત્યેક ભાગની કિંમત એક રૂપિયો હતી. સૌથી પહેલાં તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૪૦માં પ્રગટ થયો જે ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈએ કર્યો હતો. એ અનુવાદ પ્રગટ થયો ત્યાં સુધીમાં મૂળ ગુજરાતી પુસ્તકની ૫૦ હજાર નકલ વેચાઈ ગઈ હતી. ત્યાર બાદ હિન્દી, ઉર્દૂ, બંગાળી, મરાઠી, મલયાલમ, કન્નડ, તેલુગુ, અસમિયા, તમિળ, ઓડિયા, કશ્મીરી, અને પંજાબી જેવી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાના અનુવાદ પ્રગટ થયા છે. અંગ્રેજી ઉપરાંત ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, ઇટાલિયન, કોરિયન, અને જાપાની જેવી વિદેશી ભાષામાં પણ અનુવાદ પ્રગટ થયા છે. એક અંદાજ પ્રમાણે માત્ર નવજીવન ટ્રસ્ટે આજ સુધીમાં જુદી જુદી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાની એક કરોડ કરતાં વધુ નકલ વેચી છે. વિદેશી ભાષાઓના અનુવાદને શરૂઆતમાં બહુ સારો આવકાર મળ્યો નહોતો, પણ ૧૯૮૪માં એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ આવી તે પછી આજ સુધી તેની માગ સતત વધતી રહી છે. માત્ર આ આત્મકથા મૂળમાં વાંચવા ખાતર જ ગુજરાતી ભાષા શીખ્યા હોય તેવા ઘણા દાખલા વિદેશોમાં જોવા મળે છે. આમ, પોતાની આત્મકથા દ્વારા ગાંધીજી ગુજરાતી ભાષાના ફરતા રાજદૂત (રોવિંગ એમ્બેસડર) બની રહ્યા છે.

ગાંધીજીએ બીજી એક રીતે પણ ગુજરાતી ભાષાને દેશ અને વિદેશમાં અનેક સ્થળે ગુંજતી કરી છે. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાનું પદ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાંધીજીનું અત્યંત પ્રિય ભજન હતું. સાબરમતી આશ્રમની સવારની પ્રાર્થનામાં તે નિયમિત રીતે ગવાતું. તેનું પહેલવહેલું રેકોર્ડિંગ ૧૯૦૭માં બહાર પડ્યું હતું. તે પછી આજ સુધીમાં એમ.એસ. શુભલક્ષ્મી અને લતા મંગેશકર, પંડિત જસરાજ, કૌશિકી ચક્રવર્તી, અનુપ જલોટા, બોમ્બે જયશ્રી, શ્રેયા ઘોષાલથી માંડીને અનેક અજાણ્યા, ઓછા જાણીતા, જાણીતા, અને વિખ્યાત ગાયક-ગાયિકાએ આ ભજન ગાયું છે. વિદેશના પણ અનેક કલાકારો આ ગીત ગાઈ ચૂક્યા છે. અનેક સભા, સમારંભ, કાર્યક્રમમાં તે ગવાતું રહે છે. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જુદા જુદા ૧૨૪ દેશના કલાકારોએ ભેગા મળીને આ ગીત ગાઈને રેકોર્ડ કર્યું છે. ગાંધીજીને કારણે આ ગીત લોકપ્રિય થયું તે પહેલાં ગુજરાતમાં – ખાસ કરીને કાઠિયાવાડમાં – નરસિંહનાં બીજાં પદોની સાથે તે પણ ગવાતું. પણ ગાંધીજીએ આ ગુજરાતી ગીતને અને નરસિંહ મહેતાને એક અનન્ય ઓળખ આપી. તેમણે ગુજરાતી ભાષાના શબ્દોને આ ગીત દ્વારા અનેક દેશોમાં ગુંજતા કર્યા.

પણ ગાંધીજીની પ્રેરણાથી, તેમના આગ્રહથી, તેમની દેખરેખ નીચે ગુજરાતી ભાષા અંગે જે એક મોટું કામ થયું તે તો જોડણીની એકવાક્યતા સિદ્ધ કરવા માટે તૈયાર થયેલ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ.’ ૭ એપ્રિલ ૧૯૨૯ના ‘નવજીવન’માં ગાંધીજીએ લખ્યું હતું : “નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ, તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું”. આ અર્થમાં ગાંધીજીએ આપણી ભાષાનું નાક રાખ્યું. અલબત્ત, ગુજરાતી જોડણીમાં એકવાક્યતા લાવવા માટેનો તેમનો પ્રયત્ન પહેલો નહોતો. ૧૯મી સદીમાં મુદ્રણ અને છાપેલાં પુસ્તકો, સામયિકો, અખબાર, આવ્યાં ત્યારથી એ દિશામાં વખતોવખત પ્રયત્નો થયા હતા. પણ તેમાંના કોઈ પ્રયત્નને ઝાઝી સફળતા મળી નહોતી. પરિણામે કેપ્ટન જર્વિસ, સર થિયોડોર હોપ, રેવરન્ડ જે.એસ.વી. ટેલર, કવિ નર્મદાશંકર, વગેરેના પ્રયત્નો અમુક નાનકડા વર્ગ પૂરતા જ મર્યાદિત રહ્યા હતા. જ્યારે ગાંધીજી પ્રેરિત ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશને ધીમે ધીમે વ્યાપક માન્યતા મળી. ૧૯૨૯માં તેની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે તે માત્ર ‘જોડણીકોશ’ હતો, ‘શબ્દકોશ’ નહિ. એટલે કે તેમાં શબ્દોના અર્થ આપ્યા નહોતા, માત્ર સાચી-જોડણી જાણવા માટે જ તેનો ઉપયોગ થઇ શકે તેમ હતું. પછી જ્યારે ૧૯૩૧માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે તેમાં શબ્દોના અર્થ ઉમેરવામાં આવ્યા, અને એટલે તે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ બન્યો. પણ વિદ્યાપીઠના આ કોશને વ્યાપક માન્યતા મળી તે તો ૧૯૪૦માં તે વખતની મુંબઈ સરકારે લીધેલા એક નિર્ણયને પ્રતાપે. એ નિર્ણય અનુસાર સરકારે એવો હુકમ બહાર પાડ્યો કે ભવિષ્યમાં ‘જોડણીકોશ’માં નક્કી કરાયેલી જોડણીને અનુસરે એવાં જ પુસ્તકોને પાઠ્યપુસ્તકોની મંજૂર થયેલી યાદીમાં મૂકવામાં આવશે.” એ વખતે સરકારે પાઠ્યપુસ્તકો તૈયાર અને પ્રગટ કરવાનું અવિચારી સાહસ કર્યું નહોતું. ખાનગી પ્રકાશકોનાં મંજૂર થયેલાં પુસ્તકો શાળાઓમાં વપરાતાં. કોઈ પણ પુસ્તક પાઠ્યપુસ્તક બને તો તેનું વેચાણ ઘણું વધી જાય. એટલે કોઈ પ્રકાશકને આ હુકમની અવગણના કરવી પાલવે તેમ નહોતું. એટલે ‘જોડણીકોશ’ની જોડણી અપનાવ્યા સિવાય તેમનો છૂટકો નહોતો. અંગ્રેજીમાં જેને રિપલ ઈફેક્ટ કહે છે તેની કારણે પછી અખબારો, સામયિકો, વગેરેએ પણ જોડણીકોશની જોડણી અપનાવી.

પણ જોડણી કરતાં પણ ગાંધીજીનો વધુ ઊંડો પ્રભાવ પડ્યો તે તો આપણી ભાષાની શૈલી (સ્ટાઈલ) પર પડ્યો. ૧૯મી સદીનાં પહેલાં પચાસ-સાઠ વર્ષ ઘણાખરા લેખકો લોકોમાં બોલાતી ભાષાની નાજીકની ભાષા-શૈલીમાં લખતા. નર્મદ, દલપતરામ, નંદશંકર મહેતા, નવલરામ વગેરેની ભાષામાં બોલચાલના શબ્દપ્રયોગો, ઉચ્ચારો, લઢણો મોટા પ્રમાણમાં જોવા મળે છે. પણ પછી જેને પંડિતયુગ કે સાક્ષર યુગ કહેવામાં આવે છે તે સમયમાં ઘણા બધા લેખકોની ભાષા-શૈલી સંસ્કૃતપ્રધાન, અટપટી, આડંબરી, અને આમ આદમીને ભાગ્યે જ સમજાય એવી બની ગઈ. ગાંધીજીએ પોતાનાં લખાણો અને વિચારો દ્વારા ગુજરાતી ભાષાને ફરી પોતીકાપણું અપાવ્યું. કોશિયો પણ સમજી શકે એવું લખવાનો તેમનો આગ્રહ ભલે ન અપનાવાયો હોય, પણ સરેરાશ ભણેલા વાચકને નજર સામે રાખીને લખ્યા વગર ચાલે તેમ નથી એ વાત ઘણાખરા લેખકોને સમજાઈ ગઈ. પછી અગાઉની આડંબરી સંસ્કૃતપ્રચુર ભાષામાં લખવાનું ન યોગ્ય રહું, ન શક્ય. ગુજરાતી ભાષાના ચહેરા ઉપરથી આ રીતે તેમણે સંસ્કૃતનું મહોરું દૂર કર્યું અને તેનો પોતીકો ચહેરો બતાવ્યો.

ગાંધીજીના તંત્રીપણા નીચે બે ગુજરાતી સામયિકો પ્રગટ થયાં – નવજીવન અને હરિજનબંધુ. એ બેમાંથી એકે આજે આપણે જેને ‘સાહિત્યનું સામયિક’ કહીએ તેવું નહોતું. ગાંધીજીની વિચારણામાં સાહિત્યનો નિષેધ નહોતો જ, પણ તે સાહિત્ય પૂરતી મર્યાદિત નહોતી. એ જીવનલક્ષી હતી. અને છતાં આજે આપણે જે લેખકોનાં નામ આપણા સાહિત્યની પહેલી હરોળમાં મૂકીએ છીએ તેવા કેટલા બધા લેખકો આ બે સામયિકોમાં નિયમિત રીતે લખતા હતા! થોડાંક જ નામ : મહાદેવ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ, નરહરિ પરીખ. ગાંધીજીનાં જે પુસ્તકો (સંચયો, ભાષણો વગેરે નહિ) પ્રગટ થયાં છે તે પણ પહેલાં ‘નવજીવન’ કે ‘હરિજનબંધુ’માં હપ્તાવાર પ્રગટ થયાં હતાં. ‘આત્મકથા’ ઉપરાંત તેમનાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ગીતાવિચાર, મંગલપ્રભાત, જેવાં પુસ્તકો પહેલાં આ રીતે પ્રગટ થયાં હતાં.

પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથેના ગાંધીજીના એક અનોખા સંબંધ તરફ બહુ ઓછાનું ધ્યાન ગયું છે. ગાંધીજી તેમના જીવન દરમ્યાન માત્ર એક જ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને એ ચૂંટણી હારી ગયા હતા! એ ચૂંટણી હતી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી. ૧૯૨૦માં ગુજરાતી સાહિત્યનું છઠ્ઠું અધિવેશન અમદાવાદમાં ભરાવાનું હતું તે પહેલાં થયેલી પ્રમુખપદની ચૂટણીમાં ગાંધીજીને હરગોવિંદદાસ કાંટાવાળા નામના એક ‘સાક્ષરે’ હરાવ્યા હતા. આજે તો સાહિત્યના ઘણાખરા અભ્યાસીઓ માટે પણ આ કાંટાવાળાનું નામ પણ અજાણ્યું બની ગયું છે. એ વખતે બીજા એક સાક્ષરે ગાંધીજી ચૂંટણીમાં ઊભા રહે તેનો પણ વિરોધ કરતાં લખ્યું હતું કે ‘આ માણસને ગુજરાતી લખતાં જ આવડતું નથી. એમનું એક અનુવાદિત પુસ્તક મેં જોયું છે, અને તે જોતાં મને લાગ્યું છે કે એમના કરતાં તો આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ વધુ સારું ગુજરાતી લખી શકતો હોય છે.’ જો કે તે પછી ૧૯૩૬માં અમદાવાદ ખાતે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખસ્થાને ગાંધીજી બિરાજ્યા હતા અને પોતાના ભાષણમાં ‘કોશિયો પણ સમજી શકે’ એવું સાહિત્ય રચવાની લેખકોને હિમાયત કરી હતી. કહ્યું હતું : “હું તો ગામડામાં પડેલો, એટલે ગામડિયાની દૃષ્ટિએ મારી ભૂખ રજૂ કરું. મને તો ગામડામાં રહેનાર માટે અનેક જાતનાં પુસ્તકો જોઈએ છે. મારી એ ભૂખ તમે સાહિત્યકારો પૂરી પાડો. એવાં કોઈ પુસ્તકો લખાયાં હોય તો મને મોકલજો.”

જો કે આ બારમા અધિવેશન વખતે ગાંધીજી પ્રમુખ થાય તેનો પણ વિરોધ નહોતો થયો એવું નથી. આજે આપણે જેમને ગાંધીયુગના અગ્રણી સાહિત્યકાર ગણીએ છીએ તે ઉમાશંકર જોશીએ બે પત્રો લખીને પ્રમુખપદ ન સ્વીકારવા માટે ગાંધીજીને આગ્રહભરી વિનંતી કરી હતી. ૨૮ ઓક્ટોબર ૧૯૩૫ના દિવસે ગાંધીજીને લખેલા પત્રમાં ઉમાશંકરે લખ્યું હતું : “આટલાં વરસ સુધી અમે સાક્ષરો નહિ એમ અસહાકારી લેખકો કહેતા, પણ હવે તો ‘ના, ના આપ સૌ પણ સાક્ષરો છો’ એવાં મનામણાંને સ્વીકારતા હો એવું જ આ પ્રમુખપદના બનાવ પરથી સમજાય છે. કદાચ એ અનિવાર્ય હશે. ભદ્રવર્ગીય સાક્ષરો સાથે જ આપને વિશેષ સામ્ય હશે. નહિ તો કુદરતી રીતે મોત પામતી પરિષદને પ્રાણવાયુ આપવા આપ સમય કાઢો નહિ … આપને સાહિત્યકાર તરીકે નવાજવા એ ખોટું નથી પણ એ એક જાતની વિડમ્બના તો છે જ.” ઉમાશંકરના લાંબા પત્રના જવાબમાં ૧૦ નવેમ્બર ૧૯૩૫ના રોજ લખેલા પત્રમાં ગાંધીજીએ લખ્યું કે તમારા પત્રમાં તમે ખરેખર શું કહેવા માગો છો તે જ હું સમજી શક્યો નથી. તે માટે મેં મહાદેવ(દેસાઈ)ની મદદ લીધી પણ તેઓ પણ મને મદદ કરી શક્યા નહિ. લાંબી લાંબી વાતો લખવા કરતાં તમારે જે કહેવાનું હોય તે એક પોસ્ટકાર્ડમાં લખીને કેમ મોકલી ન શકો? ગાંધીજીના આ પત્રના જવાબમાં આખી વાતનો ઉલાળિયો કરતાં ઉમાશંકરે લખ્યું : “આપને મદદ હું શું કરવાનો હતો? મને સૂઝ્યું તે નિખાલસપણે માત્ર આપની જાણ ખાતર લખ્યું હતું. વિશેષ કંઈ સૂઝતું નથી. આપને હાથે સંમેલન વ.માં સારું જ કામ થશે એવી આશા સાથે, ઉ.નાં પ્રણામ.” જો કે પોતે જેને ‘કુદરતી રીતે મોત પામતી’ પરિષદ તરીકે ઓળખાવી હતી તે જ પરિષદના ૧૯૬૮માં દિલ્હી ખાતે મળેલા ૨૪મા અધિવેશનના પ્રમુખસ્થાને ઉમાશંકર જોશી પોતે બિરાજ્યા હતા.

ગાંધીજીને સાહિત્યકાર કહેવાય કે નહિ એવી ચર્ચા એક જમાનામાં આપણે ત્યાં જોરશોરથી ચાલી હતી અને બંને પક્ષે જાતજાતની વાતો થઇ હતી. ગાંધીજીએ જેવું અને જેટલું લખ્યું છે તેવું અને તેટલું બહુ ઓછા ગુજરાતી લેખકોએ લખ્યું છે. પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય ઉપરનો ગાંધીજીનો પ્રભાવ પ્રત્યક્ષ કરતાં પણ વધુ તો પરોક્ષ છે. છેક ૧૯૪૪માં ‘ફૂલછાબ’ પત્રમાં ઝવેરચંદ મેઘાણીએ લખ્ય હતું : “ગાંધીજી તો સૂર્ય સમા છે, તેઓ પોતે બધા પ્રયત્નો કરવા નથી બેસતા. પરંતુ તેમની ઉષ્ણતાથી ગુજરાતની-હિન્દભરની થીજી ગયેલ સંસ્કૃતિનાં વહેણો પાછાં વહેતાં થયાં છે. આજે આપણે ગૌરવ લેવા જેવું ઘણું ય આપણી વચ્ચેથી જ મળી આવે છે. આપણો અભ્યાસ વધ્યો છે, જીવનનાં વિશાળ ક્ષેત્રોને આપણે સ્પર્શતા થયા છીએ. ગાંધીયુગે સ્વતંત્ર પ્રવૃત્તિને કચડી નથી – પંપાળી છે, બહેલાવી છે, તેને અનુકૂળતાઓ કરી આપી છે.”

કોઈ પણ વ્યક્તિ પોતાનાં ભાષા-સાહિત્ય માટે આનાથી વધુ શું કરી શકે? માટે જ ‘નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.’

xxx xxx xxx

01 ઑક્ટોબર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

બધા ધર્મોના લોકોને ગાંધીનો અહિંસક તમાચો! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|1 October 2025

વાયબ્રન્ટ ગુજરાતનું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનું અંકલેશ્વરથી આશરે ૭૦ કિલોમીટર દૂરનું થવા ગામ. થવા અને આજુબાજુનાં ચાલીસેક ગામોમાં વીજળી ગમે ત્યારે કલાકો સુધી અને અનેક વાર ડૂલ થઈ જાય. આ રોજનો ક્રમ. સરકારની બસ તો દિવસમાં બેત્રણ વખત જ આવે છે! 

આવા થવા ગામમાં  BRS, BEd અને MSW એમ ત્રણ કોલેજોમાં અને એક શાળામાં આશરે ૧,૧૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકો સમક્ષ ગઈ કાલે અને આજે આપેલાં ત્રણ વ્યાખ્યાનોમાં જણાવેલા મુખ્ય મુદ્દા :

(૧) ગાંધીનો અર્થ સરકારે ઊંધા ચશ્માં કર્યો છે, માત્ર ઝાડૂ અને સફાઈ કરી નાખ્યો છે. ઊંધી સરકારનો આ ઊંધો અર્થ છે. ખરેખર તો, ગાંધી એટલે અન્યાય સામેનો અહિંસક પ્રતિકાર, એટલે કે સત્યાગ્રહ. 

(૨) ગાંધીએ હિંસાને સ્થાને અહિંસાને પરિવર્તનનું સાધન બનાવવાની કોશિશ કરી. એના પ્રયોગો કરનારા તરીકે ગાંધી માનવજાતના પહેલા માણસ હતા. 

(૩) ગાંધીએ તોપબળ નહીં પણ તપબળને, અને દ્વેષધર્મને બદલે પ્રેમધર્મને પ્રયોજ્યાં. ગાંધી કહે છે કે હિંસા અસ્વાભાવિક ઘટના છે, અહિંસા જ સ્વાભાવિક ઘટના છે. જો એવું ન હોત તો માણસજાત ક્યારની ય મરી ગઈ હોત. અહિંસાને સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન માટે પ્રયોજવાની જરૂર છે. દુનિયામાં અત્યારે યુદ્ધો ચાલે છે ત્યારે ગાંધીની અહિંસા જ મહત્ત્વની બને છે. 

(૪) ગાંધી ભારે શ્રદ્ધાળુ હતા, રોજ સવારસાંજ પ્રાર્થના કરતા હતા. પણ કોઈ મંદિરમાં ગયા હોય એવું જાણમાં નથી આવતું. ગાંધીને ઇશ્વરમાં રસ હતો, ઈશ્વરનાં સ્થાનકોમાં નહીં, કર્મકાંડમાં નહીં. 

(૫) ગાંધીએ ઈશ્વરની વ્યાખ્યા બદલી નાખી. બધા ધર્મોવાળા તેમના ઇશ્વર, અલ્લાહ, ગોડ વગેરેને ભગવાન સમજીને લડતા રહ્યા છે. દરેકનો ભગવાન જુદો જુદો છે. બધા એને નામે લડે છે. ગાંધીએ કહ્યું કે ઇશ્વર સત્ય છે એમ નહીં, “સત્ય જ ઇશ્વર છે.” જો આ વ્યાખ્યા સ્વીકારવામાં આવે તો ધર્મો વચ્ચેના બધા ઝઘડા મટી જાય. પોતાના જ ભગવાનનો અને પોતાના જ ધર્મનો કક્કો ખરો કરવા માગતા લોકોને ગાંધીએ મારેલો આ અહિંસક ઈશ્વરીય તમાચો છે. ગાંધીનો કોઈ ધર્મ નથી; સત્ય, અહિંસા અને અન્યાય સામેનો અહિંસક પ્રતિકાર એટલે કે સત્યાગ્રહ એ જ ગાંધીધર્મ છે.

(૬) ગાંધીએ છેક ૧૯૦૯માં લખેલા પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં માત્ર દેશના સ્વરાજની વાત નથી કરી, માણસના સ્વરાજની વાત કરી છે. તેઓ કહે છે કે, “મુખ્ય મુદ્દો વ્યક્તિના સ્વરાજનો છે.” આવું સ્વરાજ એટલે ખરી લોકશાહી અને સત્તાનું વિકેન્દ્રીકરણ. એટલે તેઓ કહેતા હતા કે એકેએક ગામ પ્રજાસત્તાક બને. 

(૭) ગાંધી રાજ્યની, સમાજની, ધર્મની અને અર્થતંત્રની સત્તા સામે વિદ્રોહ પોકારે છે. તેઓ દરેક મનુષ્યને સત્તા આપવા માગે છે. તેઓ એવું પ્રજાસત્તાક ઇચ્છે છે કે જેમાં બધા જ મનુષ્યો સ્વતંત્ર હોય. દેશ આઝાદ હોય અને લોકો ગુલામ, એવી આઝાદી ગાંધીને નથી જોઈતી. ગાંધીને મન એ સ્વરાજ નથી. 

(૮) ગાંધીનું સ્વદેશી એ મનુષ્યના સ્વરાજ માટેનું સ્વદેશી છે, માત્ર વસ્તુઓના ઉત્પાદન અને રોજગારી માટેનું નહીં, અત્યારની આત્મનિર્ભરતા માટે નહીં. જો અત્યારે ૫,૪૦૦ વિદેશી કંપનીઓ દેશમાં ઉત્પાદન કરતી હોય અને ૧૧,૨૦૦ જેટલી વિદેશી કંપનીઓ શેરબજારમાં રોકાણ કરતી હોય તો એવું આત્મનિર્ભર ભારત ગાંધીના સ્વદેશીનું ભારત નથી.

(૯) ગાંધી સમાનતાનો, અહિંસાનો, ન્યાયનો અને સત્યનો, લોકશાહીનો માણસ છે. અને એટલે જ દુનિયાનાં ૮૦ દેશોમાં એનાં પૂતળાં છે. ભારતની દુનિયાને સૌથી મોટી કોઈ દેણ હોય તો તે મહાત્મા ગાંધી છે; રામ, કૃષ્ણ કે શંકર જેવા દેવ કે દેવાધિદેવ નહીં. એ બધાના હાથમાં બીજાને મારવાનું શસ્ત્ર છે. ગાંધીના હાથમાં રેંટિયો એટલે કે ઉત્પાદનનું શસ્ત્ર છે. ઉત્પાદન એટલે રોજગારી, આવક અને શાંતિ. એનો અહિંસક શસ્ત્ર તરીકે તેમણે આઝાદીના આંદોલનમાં વિનિયોગ કર્યો. શાશ્વત શાંતિનું નિર્માણ હિંસાથી ન થઈ શકે. અહિંસા જ એનું સાધન બની શકે. 

(૧૦) ૫૬૫ જેટલાં રજવાડાં એટલે કે દેશો ભેગા કરીને ભારતનો જે નકશો ૧૯૫૦માં બન્યો તે પણ ગાંધીની સર્વસમાવેશક અહિંસક વિચારધારાનું પરિણામ છે. એ નકશામાં નવું ઉમેરવાની વાત છોડો, જે છે તે બચી રહે તો પણ ભયો ભયો. 

તા.૩૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...124125126127...130140150...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved