Opinion Magazine
Number of visits: 9456315
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂજ્ય બાપુને પત્ર

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|5 June 2025

પૂજ્ય બાપુ,

કુશળ હશો. જો કે ત્યાં સ્વર્ગમાં અકુશળતાનું કોઈ કારણ હોઈ શકે નહિ, એવું અમ પૃથ્વીવાસીઓનું માનવું છે. અહીંની અમારી કુશળતાનું તો પૂછશો જ મા. અમારે અહીં શાંતિ ખરી, પણ આંખ-કાન બંધ રાખીએ તો જ! અન્યથા ચારેકોર અશાંતિના ચાહકો કંઈક ને કંઈક પલીતા ચાંપ્યા જ કરતા હોય છે. 

બાપુ, આ પૃથ્વી પરથી તમારી વિદાયને વર્ષોનાં વહાણાં વહી ગયાં તેમ છતાં હજી આજે પણ અમે તમને એટલા જ યાદ કરીએ છીએ. જો કે એમાં પણ અમારો નર્યો સ્વાર્થ હોય છે એ કહેવાની જરૂર ખરી? સ્વ-અર્થ વગર તો અમે પૃથ્વીવાસીઓ ડગલુંયે ક્યાં માંડીએ છીએ! ભણતા ત્યારે ગણિત ને ગણતરીથી ભલે ભલે બહુ ડર લાગતો પણ સંસાર વસાવ્યા પછી ડગલે ને પગલે ગણતરી કરવાની અમને આદત પડી ગઈ છે. અમે વ્યવહારમાં કાચા હોઈ શકીએ, સંબંધો નિભાવવામાં કાચા પડી શકીએ પણ ગણતરીમાં કદિ ગોથું ન ખવાય એનું ધ્યાન તો અમે સપનાંમાં પણ રાખીએ છીએ! 

બાપુ, તમે અહીં પૃથ્વી પર હયાત હતા ત્યારે તમારો જેટલો લાભ નથી લેવાયો, એટલો લાભ તમારા અહીંથી ગયા પછી અત્યારે અમારા ‘મહાન’ નેતાઓ આજે લઈ રહ્યા છે. પ્રસંગોપાત તમારા જન્મ અને નિર્વાણ દિને તેમ જ સ્વાર્થના અન્ય પ્રસંગોએ અમારા નેતાઓ તમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું હજી ચૂકતા નથી! એમાં ય કેટલાક ખાટસવાદિયાઓ તો વળી તમારા હત્યારાના ગુણગાન ગાઈને એને તમારા કરતાં પણ વધુ મહાન ચિતરવામાં સતત રચ્યાપચ્યા રહે છે. એમને મન તમારો હત્યારો તમારા કરતાં વધારે મહાન છે. એમને એ સાદું ગણિત કોણ સમજાવે કે હત્યારો કોઈનો પણ હોય એ કેવી રીતે મહાન હોઈ શકે!! કદાચિત એ તમારા જેવા મહાત્માનો હત્યારો હોય એ દૃષ્ટિએ મહાન ગણતા હોય તો ખબર નહીં! નજીકના ભવિષ્યમાં તમારા હત્યારાની જયંતી ઉજવાય તો પણ નવાઈ નહીં! 

બાપુ, તમારા આપેલા એ અગિયાર મહાવ્રતો (સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા) અમે પોથીમાં સાચવીને મૂકી દીધા છે (કોઈ ચોરી ન જાય એટલા માટે જ તો)! આઝાદી મળી ગયા પછી આ મહાવ્રતોનો અમને હવે કોઈ ખપ રહ્યો નથી. આ મહાવ્રતોમાંથી એકાદનો પણ ઉપયોગ કરવાની ન તો અમારી ત્રેવડ છે કે ના ગજું. 

બાપુ, તમારી આત્મકથા ‘સત્યના પ્રયોગો’ અમે જરા ય ભૂલ્યા નથી હોં કે! “સત્યના પ્રયોગો”નું શબ્દશ: પાલન કરતા અમે શીખી લીધું છે. સત્ય હવે ફક્ત પ્રયોગો કરવા ખાતર જ અમે બોલીએ છીએ. ચારેકોર જૂઠડાઓ અને જૂઠાણાઓની બોલબાલા વધતી જઈ રહી છે ત્યારે રોજિંદા વ્યવહારમાં સત્ય હવે અમને બહુ માફક આવતું નથી. ગોખવું પડે તો ભલે ગોખવું પડે પણ જૂઠ હવે અમને સૌને કોઠે પડી ગયું છે. વારે ઘડીએ આપના નામને વટાવી ખાતા લોકો પણ જૂઠ અને જૂઠાણાનો સહારો લઈ કહેવાતી “પ્રગતિ”ના સોપાનો સર કરતા જઈ રહ્યા છે. આજની અમારી કહેવાતી સ્માર્ટ પેઢી સત્યને વળગી રહેનાર અને સત્યનું પાલન કરનારને વેદિયા ગણી ધુત્કારી કાઢતા લગીરે ય ખચકાતી નથી. અત્ર તત્ર સર્વત્ર જૂઠડાઓની બોલબાલા છે. આજના સમયના ‘સ્માર્ટ’ લોકો ૧૦૦ વખત જૂઠાણું રટીને સત્યને હંફાવવામાં વ્યસ્ત છે. જો કે એમ કરતા એ પોતે જ હાંફી જાય છે એ વળી અલગ વાત થઈ. 

બાપુ, તમારા સમયમાં ભારતની અવદશા નિહાળી તમે પોતડી પહેરી ફકીરીવેશ ધારણ કરી ‘સંસારી-સાધુ’ની એક નવી પરિભાષા અમને આપી હતી. સાદગી અને અપરિગ્રહ કોને કહેવાય એ તમે અમને શીખવ્યું હતું. આજે તો કોઈપણ ભોગે ઉપભોગ અને અકરાંતિયા ભોગવટાએ જાણે કે દેશને ભરડો લીધો છે. તમે ઉપર બેઠા બેઠા એ જોઈ રહ્યા હશો કે આજના અમારા કહેવાતા ‘મહાત્માઓ’ સાદગીના નામે સંસારીઓને પણ શરમાવે એવી સાહ્યબી ભોગવી રહ્યા છે. એ જોઈને તમારું દિલ દ્દૃવી ઉઠતું હશે નહી! 

બાપુ, આપના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક વખત કહ્યું હતું કે આવનારી પેઢીઓ એવું માની શકશે નહિ કે લોહી-માંસનો બનેલો આવો કોઈ માનવ આ પૃથ્વી પર પેદા થયો હતો! એ પેઢીઓનો ફાલ આવવાનું હવે શરૂ થઈ ગયું છે. આજના ઊગતા અને કહેવાતા બુદ્ધિજીવીઓને તમારો અવતાર હવે ખૂંચવા લાગ્યો છે. તમારો વિરોધ કરવાની કે તમને વામણા ચિતરવાની જાણે કે હોડ લાગી છે. બાપુ, તમારા વિશે કંઈ ન જાણતા પોથી-પંડિતો પોતાના આછકલા “જ્ઞાન”નું પ્રદર્શન કરી તમે હવે અપ્રસ્તુત થઈ ગયા છો એવું કહી પોતાને રેશનાલિસ્ટ ગણાવતા ફરે છે. 

બાપુ, આપની પ્રિય એવી પાર્થના હવે શાળા પૂરતી, અને એ પણ સાંભળવા પૂરતી સીમિત થઈ ગઈ છે. બાકીની શૈક્ષણિક સંસ્થાઓને પ્રાર્થના સાથે ભાગ્યે જ કોઈ લેવાદેવા છે. પ્રાર્થનાનો એક અર્થ અરજ કે વિનંતી પણ થાય છે. પણ વિનંતીઓ કે અરજો આજકાલ કોઈ કાને ધરતું નથી. કહેવાય છે તો પ્રજાનું શાસન પણ શાસનમાં પ્રજા કે પ્રજાનો અવાજ ક્યાં ય દેખાતા નથી. મત લેવા ઘરને આંગણે હાથ જોડી મતની ભીખ માગતા સત્તા-લોલુપો સત્તાના સિંહાસને બિરાજ્યા પછી પ્રજાનું સાંભળતા નથી. માત્ર એટલું જ નહિ પ્રજા પોતાની આસપાસ પણ ફરકી શકે નહિ એ માટે પૂરતો ‘બંદોબસ્ત’ ગોઠવી દેવામાં આવે છે. એમને ડર એ વાતનો હોય છે કે મત મેળવી લીધા પછી પ્રજા પ્રશ્ન કરશે અને એ પ્રશ્નનો એમની પાસે જવાબ નહિ હોય તો! રામરાજ્ય હવે નરી કલ્પનાનો વિષય રહી ગયો છે. ભગવાનના બનાવેલા જીવતા માનવીઓ કરતાં માણસના પોતાના બનાવેલા ભગવાનનું મૂલ્ય અહીં વધારે અંકાય છે. એ ભગવાન આલિશાન મંદિરોમાં પોઢે છે અને જીવતા માનવીને સૂવા માટે ફૂટપાથ પણ ઉપલબ્ધ નથી. મંદિરો બાંધવા કરોડો દાનમાં ઠલવાય છે ને વંચિતો ફદિયા માટે ટળવળે છે!! 

બાપુ, ગ્રામીણ રોજગારી માટે હાથવગું સાધન અને શરીર માટે સાનુકૂળ ગણાતી ખાદી હવે ગરીબો માટે દોહ્યલી બની છે. આપને અત્યંત પ્રિય એવી આ ખાદી હવે ‘ખાસ’ વર્ગની ‘ફેશનેબલ’ ખાદી બની ગઈ છે. જેની તરફ તમારો વિશેષ લગાવ રહ્યો હતો એવાં ગામડાંઓ આજે રોજગારી માટે ટટળી રહ્યાં છે. કહેવાતા વિકાસની વિનાશક દોટમાં દદળતા શહેરો આસપાસનાં ગામડાંઓ અને તેની કુદરતી સુંદરતાને ભરખી રહ્યા છે. એક સમયે ઉત્તમ ગણાતી ખેતી હવે ખેડૂતોને ખુવાર અને પાયમાલ કરી રહી છે. ખેતીનો કોઈ લેવાલ નથી. ખેડૂત ખેતી છોડવા મજબૂર બન્યો છે. વિકાસની ગુલબાંગો વચ્ચે આજના શિક્ષિત યુવાનો રોજગારી માટે જ્યાં ત્યાં વલખાં મારે છે. 

બાપુ, કરુણા તો એ વાતની છે કે આ બધું જોઈને શાસકોનું દિલ દૃવી ઊઠતું નથી. પ્રજાના નામે ખુદના ‘વિકાસ’માં મસ્ત શાસકોના પેટનું પાણી યે હલતું નથી. નેતાઓની સંવેદનાઓ ટ્વિટના બે-ચાર શબ્દો સુધી સીમિત થઈ ગઈ છે. 

બાપુ, ઉપર રહ્યે રહ્યે આ બધો તમાશો જોઈને તમારો જીવ જરૂર કકળતો હશે, કદાચ ફરીથી આ પૃથ્વી પર અવતાર લેવાનો પણ વિચાર તમને સૂઝે, પણ રખે એવું કરતા કેમ કે આજના ભારતમાં બાપુ હવે અપ્રસ્તુત થઈ ગયા છે! આ જ તો છે અમારા આજના પ્રજાતંત્રની તાસીર! 

તમે વધુ દ્રવિત ન થાઓ એટલા માટે અહીં જ વિરમુ છું. 

લિ. આજનો ભારતવાસી …

સરગાસણ
e.mail : h79.hitesh@gmail.com

Loading

અહિંસા, ગાંધીજી અને બાદશાહ ખાન

ખાન અબ્દુલ ગફાર ખાન|Gandhiana|5 June 2025

ફ્રન્ટિયર પ્રોવિન્સ(વાયવ્ય સરહદી પ્રાંત)માં પહેલાં બહુ હિંસા આચરવામાં આવતી. અહિંસા તો ત્યાં પાછળથી આવી. અમારે ત્યાં એવી ભયંકર હિંસા આચરવામાં આવતી, જેને કારણે બ્રિટિશરોને અસહ્ય દમનનો કોરડો વીંઝવાનું નિમિત્ત મળતું; અને તેને કારણે અમારા લોકોમાં કાયરતા આવી ગયેલી. પણ જેવો અમે અહિંસક માર્ગ અખત્યાર કર્યો કે કાયર બની ગયેલા પઠાણોમાં અભૂતપૂર્વ હિંમત અને જોસ્સો આવ્યાં. અગાઉ પઠાણોમાં સૈનિકો અને જેલના સળિયાનો એટલો બધો ડર પેસી ગયેલો કે તેઓ સિપાઈઓ સાથે વાત કરતાં ય ડરતા. પણ અહિંસાએ તેમને બહાદુરી, હિંમત અને ભાઈચાર શીખવ્યાં. હસતાં હસતાં બાળકો-કિશોરો જેલમાં જવા લાગ્યા. 

પઠાણ જો સામો હુમલો કરે તો જ તે બહાદુર કહેવાય, મને કોઈ મારે અને હું વળતો ફટકો મારું તો જ બહાદુર કહેવાઉં, એમ કદાચ તમે વિચારતા હશો. પણ હકીકતમાં આ તો કાયરતા થઈ કહેવાય! મુક્કાનો જવાબ મુક્કાથી આપવાને જે ઈનકાર કરે એ જ સાચો બહાદુર ! બહાદુરી જ મનુષ્યનો મોટામાં મોટો સદ્ગુણ છે! અમારી હિંસા તો બ્રિટિશરો ઝડપથી અને અસરકારકતાથી દબાવી દેતા; પણ બાપુએ શીખવેલી અમારી અહિંસાને દબાવી દેવાની દેન ન તો બ્રિટિશરોમાં હતી કે નથી પાકિસ્તાનના શાસકોમાં ! 

હું તો અહિંસાનો વરેલો માણસ છું. હિંસાથી જ બધું થઈ શકે, એવું માનનારા અને આચારનારાઓની વચ્ચે હું જીવ્યો છું; અને તો પણ સેવાથી, અહિંસાથી માણસથી જીતી શકાય છે, એ મારો આપ અનુભવ છે. 

અહિંસાનું બીજું નામ તે પ્રેમ; હિંસાનું બીજું નામ તે ધિક્કાર. હિંસાથી કદાપિ પ્રશ્નોનો ઉકેલ આવે જ નહિ, હિંસાથી કદીય વિશ્વશાંતિ સ્થપાય જ નહિ. હિંસાનો સ્વભાવ જ એવો છે જે વધુ ને વધુ તીવ્ર માત્રામાં વધુ હિંસાને જન્મ આપે. જો દુનિયા શાંતિ ઝંખતી હશે તો તે અહિંસાથી જ આવશે, એ બાબતમાં હું બિલકુલ સાફ છું.

ગાંધીજીનો સૌથી મોટામાં મોટો ફાળો શો ? કહેવું ઘણું મુશ્કેલ છે. પણ મને લાગે છે કે તેમનો સૌથી મહત્ત્વનો ફાળો એ કે સામાન્ય માણસમાં કાયરતાની જગાએ તેમણે બહાદુરીનું સિંચન કર્યું; સ્વાતંત્ર્યની માંગણી કરવાની હિંમત પેદા કરી. માત્ર ભારતને નહિ, આખી દુનિયાને તેમણે અહિંસાની જે શીખ આપી, તે તેમની મોટામાં મોટી દેન કહેવાય. 

ઘણા લોકો ગાંધીજીની ટીકા કરે છે, તેમનું મહત્ત્વ ઓછું આંકે છે. ભલે એમ કરે, બધા જ મહાન માણસોનું આવું જ બને છે. ભારત અને દુનિયામાં તેમનું સ્થાન નિશ્ચિત થઈ ચૂકયું છે, તેમની સ્તુતિથી આપણે તેમાં વધારો કરી શકવાના નથી, કે તેમની ટીકાથી તેમાં ઘટાડો કરી શકવાના નથી.

આવા માણસને સાચી અંજલિ કેવી રીતે અપાય, વારુ, આપણા કરોડો-અબજો માનવબંધુઓને જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડીને, ગૌરવભેર જીવન જીવતાં કરીને ! 

એક અદનો, સામાન્ય મનુષ્ય (દુનિયાના ગમે તે દેશનો, ગમે તે ધર્મનો, ગમે તે રંગનો) કહે છે, “હું ભૂખ્યો છું, પ્રથમ મને ખાવાનું આપો! હું નગ્ન છું, મને દેહ ઢાંકવા વસ્ત્ર આપો! મારાં સંતાનો શિક્ષણ વિના રઝળે છે, તેમને શિક્ષણ આપો! હું બીમાર છું, મને દવા કે તબીબી સારવાર આપો! મને બસ આટલું આપો તો હું મનુષ્ય તરીકે પહેલાં જીવી તો શકું!

05 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 334

Loading

બંગાળ  પોલીસ અને ગુરુગ્રામની શર્મિષ્ઠા : વાણી સ્વાતંત્ર્ય વિ. રાજકીય આટાપાટા  

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 June 2025

વાણી સ્વતંત્રતા

સોશિયલ મીડિયા અને સરકારી કાર્યવાહી

ઓપરેશન સિંદૂર પછીના ગાળામાં ન્યાય સંહિતાના સેક્શન 152નો હવાલો આપીને પોલીસે જે પકડાપકડી શરૂ  કરી છે એમાં આછીપાતળી ટીકા કે લગાર ભિન્નમત જોયો ન જોયો અને દેશની એકતા,અખંડિતતા તેમ જ સાર્વભૌમત્વ પરના “જોખમ“ની અતિરેકી જિકર કરવામાં આવે છે.

પ્રકાશ ન. શાહ

વાત જો કે હમણેના દિવસોની કરવી છે, પણ શરૂઆત સારુ દસેક વરસ પાછળ જવાનો. ખયાલ છે. ખબર નથી, કેટલા વાચકોને શ્રેયા સિંઘલ કેસનું સ્મરણ હશે. અહીં કેસની વિગત આપવાની ગણતરી અલબત્ત નથી. પણ એણે ત્યારે ડિજિટલ ક્ષેત્રે (સોશિયલ મીડિયામાં) વ્યક્ત થતા વિચારોને મુદ્દો બનાવી ધરાર કેસ ઊભો કરવાની સરકારી / પોલીસ માનસિકતાને અદાલતી રાહે પડકાર આપ્યો હતો. શ્રેયા સિંઘલ વિ.યુનિયન ઓફ ઇન્ડિયા નામે જાણીતા આ કેસનો ચુકાદો 2015માં આવ્યો તે સાથે સર્વોચ્ચ અદાલતે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000માંથી સેક્શન 66 એ ને રદ્દ બાતલ જાહેર કરી હતી. ડિજિટલ ક્ષેત્રે, કહો કે ઓનલાઈન થતાં ટીકાટિપ્પણને ધોરણે લાગેલી જ શિક્ષાત્મક કહેતાં ક્રિમિનલ કારવાઈ કરવાનું વલણ બંધારણની મૂળભૂત અધિકારોને લગતી કલમ 19(2) મુજબ દુરસ્ત નથી એવી ભૂમિકા આ ચુકાદા પાછળ હતી. બંધારણે વાણી સ્વાતંત્ર્ય પર વાજબી મર્યાદા (રીઝનેબલ રિસ્ટ્રિક્શન) હોઈ શકે તે સ્વીકાર્યું છે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર, સોશિયલ મીડિયામાં અગર ઓનલાઈન થતી વાતો ને રજૂઆતમાં પોલીસ હરકતનું વલણ ભાગ્યે જ આવી કોઈ ‘વાજબી મર્યાદા’માં હોય છે. તેથી સર્વોચ્ચ અદાલતે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000માંથી સેકશન 66 એ ને રદ્દ કરવાપણું જોયું હતું. 

વ્યાપક ઓનલાઈન ગતિવિધિના સંદર્ભમાં જોતાં આ ચોક્કસ જ એક જળથાળ ઘટના હતી.

ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કર્યાને તરતમાં પચાસ વરસ થવામાં છે ત્યારે એ યાદ કરવું રસપ્રદ થઈ પડશે કે શ્રેયા સિંઘલ ઇંદિરાજીના તત્કાલીન સાથીદારો પૈકી એક એવા હરિભાઉ ગોખલેનાં પ્રપૌત્રી છે. ‘વાજબી મર્યાદા’નો મલાજો ઓળાંડી જઈને જે સરિયામ શેન્સરશાહી ત્યારે ચાલી હતી એના એક સાથી ને સાક્ષીના પરિવારમાંથી આવો લડતમુદ્દો આવે તે આલંકારિક રીતે જેને અઘોષિત કટોકટી કહીએ છીએ એવા આજના દિવસોમાં જરૂર એક સારા સમાચાર છે. 

પ્રાસ્તાવિક વચનો કંઈક લંબાઈ ગયાં પણ છેલ્લા પાંચ સાત દિવસ પર કોલકાતા પોલીસે જે ચીલઝડપે હરિયાણાની શર્મિષ્ઠાને ગુડગાંવથી ઊંચકી અને અલીપોર કોર્ટમાં રજૂ કરી શનિવારે તો કસ્ટડી પણ મેળવી લીધી એ આપણે કેવા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ એનું બોલકું નિદર્શન છે. શર્મિષ્ઠાએ ઓપરેશન સિંદૂરના સમર્થનમાં બોલીવુડ કેમ મૌન પેશ આવ્યું એ મતલબની ટીકા કરી હશે તે પરથી બંગાળની પોલીસે એને પકડી હતી. 

છેલ્લા દિવસોમાં સોશિયલ મીડિયાનો હવાલો આપીને પકડવાના બનાવો ઉપરાછાપરી નોંધાતા રહ્યા છે. સરકાર / પોલીસ આવી અટકાયતો સબબ ઘણું ખરું ભારતીય ન્યાય સંહિતાના સેકશન 152નો હવાલો આપતી હોય છે – એટલે કે આ ‘ચેષ્ટા’ને કારણે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમ સત્તા જોખમમાં મુકાયાં હોઈ પકડવામાં આવે છે!

શર્મિષ્ઠા પ્રકરણ નિમિત્તે એક વિશેષ મુદ્દો કરું તે પૂર્વ સંભારી લઉં કે ઓપરેશન સિંદૂર પછી દેશભરમાં કુડીબંધ અટકાયતોનો ને જેલ ભેગા કરવાનો અંધાધૂધ દોર ચાલ્યો છે. લગારે અતિશયોક્તિ વગર કહી શકાય કે આવી અટકાયતો બહુધા લઘુમતી પૈકી હોય છે અને તે માટે અપાયેલાં કારણો રાષ્ટ્રવિરોધી, પાકિસ્તાન તરફી, રાજદ્રોહી પ્રકારનાં પરબારાં ઝીંકાતાં હોય છે અને આ માટે અપાતો હવાલો સોશિયલ મીડિયામાંની જે તે પોસ્ટનો હોય છે. મુંબઈ હાઇકોર્ટે તાજેતરમાં જ આ પ્રક્રિયાને આઘાતજનક (‘શોકિંગ’) કહી છે. 

વળી શર્મિષ્ઠા નિમિત્તેઃ આવી અટકાયત કરવા સામે દેશમાં વગદાર અવાજો ઊઠ્યા છે તે એક રીતે જરૂર આનંદના સમાચાર લાગે. પણ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાઁગ્રેસના મમતાનું શાસન છે તે યાદ કરીએ એટલે ભા.જ.પ.ના સુવેન્દ અધિકારીને કે કાઁગ્રેસના કાર્તિ ચિદમ્બરમને અગર આંધ્રના નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણને એકદમ શર્મિષ્ઠની સખાતનો ને બંગાળ પોલીસની ટીકાનો મુદ્દો કેમ સૂઝ્યો હશે તે સમજાઈ રહે છે. 

કટોકટીની જાહેરાતનાં પચાસ વરસ નિમિત્તે ખાસ કરીને કાઁગ્રેસમુક્ત ભારત (અને કાઁગ્રેસ યુક્ત ભા.જ.પ.)ની રણનીતિ ઇંદિરા અને કાઁગ્રેસને ઝૂડવાની હશે. જો કે, હવે એ દિવસોને સંભારતી વેળાએ ખાસ કરીને વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાને પોતે જે દોર ચલાવ્યો છે એને અંગે જાતતપાસને ધોરણે હિસાબ આપવો રહે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 જૂન 2025

Loading

...102030...124125126127...130140150...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved