Opinion Magazine
Number of visits: 9458352
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાહેરખબરોની માયાવી દુનિયા પર લગામ જરૂરી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 September 2022

મોટા ભાગના ગ્રાહકો વસ્તુ અને સેવાની પસંદગી તેની જાહેરખબરોના આધારે કરે છે. તેના કારણે તે ઘણીવાર છેતરાય છે. જાહેરખબરોની માયાવી દુનિયામાં ગ્રાહક હિતનો સવાલ અગ્રસ્થાને નથી પણ કોઈ પણ રીતે પોતાના ઉત્પાદનનું વેચાણ અગત્યનું છે. એટલે ઘણીવાર ભ્રામક અને જુઠ્ઠી જાહેરખબરો પણ આપવામાં આવે છે. આવી ભ્રામક જાહેરખબરોને સાચી માની વસ્તુ કે સેવા મેળવનાર ગ્રાહકો છેતરાય છે .. અતિરંજિત વાયદા, નિરાધાર દાવા, ખોટી માહિતી અને જુઠ્ઠી જાણકારી ધરાવતી જાહેરખબરોથી છેતરાયેલા ગ્રાહકોની સંખ્યા અને ગ્રાહક અદાલતોમાં તેમની ફરિયાદો સતત વધતી રહી છે. એટલે કેન્દ્ર સરકારના ગ્રાહકો બાબતના મંત્રાલય હસ્તકની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટીએ ભ્રામક જાહેરખબરો પર લગામ લગાવતી કડક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે.

આજે જમાનો જાહેરખબરોનો છે. સોયથી સાબુ, ટાંકણીથી ટી.વી. અને મુરબ્બાથી મુંબઈની જાહેરખબરો જોવા મળે છે. જાહેરખબરો વેચાણ કલાનું માધ્યમ છે. ઉત્પાદકો તેમના ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવા તેનો આશરો લે છે. તેના થકી તેઓ વસ્તુ અને સેવાની જરૂરિયાત સમજાવે છે અને તેને લોકપ્રિય બનાવે છે. અખબારો, સામયિકો, ટી.વી. ચેનલ્સ, રેડિયો, ફિલ્મો, હોર્ડિંગ્સ, યુ ટ્યૂબ, બ્લોગ, વેબસાઈટસ જેવા અનેક માધ્યમોમાં જાહેરખબરો આવે છે. ઉત્પાદકો જાહેરાતો દ્વારા ગ્રાહકોમાં તેમના ઉત્પાદનમાં રસ-રુચિ પેદા કરે છે. બજારમાં નવી આવેલી પ્રોડકટની માહિતી આપે છે. તેની ઉપયોગિતા અને વિશેષતા જણાવે છે. તેને કારણે તેમના ઉત્પાદનોનું વેચાણ વધારવા ચાહે છે.

જાહેરખબરો આધુનિક વેપાર-વણજનો આધારસ્તંભ છે. બજાર તેના પર ટક્યું છે. ભારે સ્પર્ધાના યુગમાં પોતાના ઉત્પાદનને ટકાવી રાખવા, બીજા કરતાં ચડિયાતું બતાવવા અને તેની માંગ વધારવા તેની વિશેષતાઓ બઢાવી-ચઢાવીને દર્શાવવામાં આવતી હોય છે. આખી દુનિયા તેનાથી ગ્રસ્ત છે અને પ્રભાવિત છે. ભારતમાં ૨૦૨૧માં રૂ.૮૦,૧૨૩ કરોડનું જાહેરખબરોનું બજાર હતું. વિશ્વમાં ૨૦૧૫માં ૫૩૦ બિલિયન અમેરિકી ડોલર જાહેરખબરો પાછળ ખર્ચાયા હતા. આજે તો તેમાં અનેક ગણો વધારો થયો છે.

ગ્રાહકો જાહેરખબરોથી આકર્ષાઈને તે ખરીદે છે. તેને આ વસ્તુ કે સેવાની વિશેષતાઓની તો માહિતી છે પરંતુ તેની ગુણવત્તાનો ખ્યાલ તો ખરીદીને ઉપયોગ કર્યા પછી જ આવે છે .જ્યારે તેને છેતરાયા કે લૂંટાયાની લાગણી થાય છે ત્યારે તે લાચાર હોય છે. જુઠ્ઠી અને ભ્રામક જાહેરખબરો સામે તેને કાયદાનું સંરક્ષણ નથી. તેથી તે તેની વિરુદ્ધ ખાસ કંઈ કરી શકતો નથી. ગ્રાહક અદાલતોમાં તે ફરિયાદ કરે છે પણ તે અદાલતો ફરિયાદોથી ઉભરાય છે એટલે તેને ન્યાય મળવામાં બહુ વિલંબ થાય છે અને ત્યાં સુધી તે બીજી કોઈ ભ્રામક જાહેરખબરનો ભોગ પણ બની બેસે છે.

નવમી જૂન ૨૦૨૨ના સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણના નોટિફીકેશનથી હવે ગ્રાહકોને છેતરનારી જાહેરખબરો સામે રક્ષણ મળવાની શક્યતા ઊભી થઈ છે. જૂઠ્ઠી અને ભ્રામક જાહેરખબરો પર લગામ કસવાના અને ગ્રાહકોના અધિકારોના રક્ષણના ઉદ્દેશથી સરકારે આ માર્ગદર્શિકા ઘડી છે. તેને ૨૦૧૯ના ગ્રાહક સંરક્ષણ અધિનિયમની ધારા ૧૦ મુજબ સત્તાઓ પણ મળી છે.

જે કંપનીઓ કે ઉત્પાદકો પોતાના ઉત્પાદનની જાહેરખબરમાં વળી નૈતિક શું અને અનૈતિક શું તેમ માને છે તેના પર સરકારની ગાઈડલાઈન્સ નિયંત્રણ મૂકે છે. ભ્રામક જાહેરખબર આપનાર ઉત્પાદક, પ્રોડ્યુસર, પ્રચારક અને પ્રસારક દંડ અને સજાને પાત્ર થશે. પહેલીવારના ગુના માટે રૂ. દસ લાખ અને બીજીવારના ગુના માટે રૂ. પચાસ લાખના અર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. વળી આવી જાહેરખબરો પર એક વરસથી ત્રણ વરસના પ્રતિબંધની પણ સજા કરવામાં આવશે. ભ્રામક જાહેરખબરમાં કામ કરતા ફિલ્મ, રમતજગત કે અન્ય ક્ષેત્રના જાણીતા મહાનુભાવો પણ દંડને પાત્ર ઠરશે. 

સરકારી માર્ગદર્શિકામાં બાળકોને અસરકર્તા જાહેરખબરો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે જાહેરખબરોમાં કાયદા હેઠળ આરોગ્ય સંબંધી ચેતવણી આવશ્યક છે અને તે વસ્તુઓ બાળકો દ્વારા ખરીદી શકાતી નથી તેવી વસ્તુઓની જાહેરખબરો સિનેમા, રમત કે સંગીત ક્ષેત્રની હસ્તીઓને દર્શાવતી પ્રતિબંધિત કરી છે. દારુ, સિગારેટ, તમાકુ, જંકફૂડ, ગોરા દેખાવાની ક્રીમ અને કેટલાંક ઠંડાંપીણાંની જાહેરખબરો બાળકો અને કિશોરોના કુમળા માનસ પર અસર કરે છે. મધ્યમ વર્ગના બાળકો તેની ખરીદી માટે લલચાય છે. તેથી આવી જાહેરખબરો પર પણ પ્રતિબંધ આવશ્યક જણાય છે. તે જ પ્રમાણે કેટલીક આર્થિક રોકાણો  કે લોન વગેરેની જાહેરખબરો પણ ગ્રાહકોને ભરમાવે છે.

ખાટલે મોટી ખોટ ભ્રામક જાહેરખબરોની ઓળખ કરવાની છે. ૨૦૨૦માં ગઠિત સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેકશન ઓથોરિટી પાસે ઓળખ અને અમલીકરણનું મસમોટું તંત્ર છે કે કેમ તે સવાલ છે. ૮૫૦થી વધુ બહુભાષી ટી.વી. ચેનલો અને ૧૦,૦૦૦ મુદ્રિત માધ્યમોમાંથી ભ્રામક જાહેરખબરો તારવવી અને તેને સજા કરવી તે બહુ મુશ્કેલ કામ છે. વળી હાલ સરકારે માત્ર માર્ગદર્શિકા જ જાહેર કરી છે. તેને કાયદાનું કેટલું પીઠબળ છે તે પણ પ્રશ્ન છે. ગાઈડલાઈન્સમાં મીડિયાની પણ જવાબદારી નક્કી કરી તેને પણ દંડ કરવાની જોગવાઈ કરી છે. પૂર્વે જાહેરખબર ઉદ્યોગે પોતે સ્વનિયમન માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે ઝાઝા સફળ થયા નથી. દીર્ઘ પ્રતીક્ષા પછીનો વર્તમાન પ્રયત્ન ગ્રાહકોને છેતરતી જાહેરખબરો પર લગામ મૂકવાનો હોવાનો સરકારનો દાવો છે, પરંતુ અનેક રીતે વિચારતાં તે ભ્રામક લાગે છે અને ગ્રાહકોના લમણે છેતરાવાનું લખાયેલું જારી રહેશે તેમ લાગે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ પાક વિરોધી પ્રવૃત્તિઓ ન કરી શકે એમ જ ભારતમાં રહેતા મુસ્લિમો પણ ભારત વિરોધી પ્રવૃત્તિઓ ન જ કરી શકે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 September 2022

કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બર ને બુધવારે સવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પી.એફ.આઈ.) પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકતાં જ, પી.એફ.આઈ. સંગઠનને વિખેરી નાખવાની જાહેરાત કરવામાં આવી છે. પી.એફ.આઈ.ના સ્ટેટ જનરલ સેક્રેટરી અબ્દુલ સત્તારે એમ જણાવ્યું છે કે પ્રતિબંધ મુકાયાના થોડા કલાકમાં જ અમે આ સંગઠન વિખેરી નાખ્યું છે. સેક્રેટરીએ એવો ખુલાસો પણ કર્યો કે અમે ત્રણ દાયકાથી સમાજના વિકાસનું કામ કરી રહ્યા હતા, પણ કાયદા સાથે બંધાયેલા હોવાથી આ સંગઠન વિખેરી નાખીએ છીએ. જો કે, સમાજના વિકાસનું એવું કયું કામ આ સંસ્થા કરતી હતી તેની ખબર પડી નથી, પણ પ્રતિબંધ સમાજના વિકાસને કારણે નથી મુકાયો તે કહેવાની જરૂર નથી. એ પણ છે કે સંગઠન, પ્રતિબંધને કાનૂની રીતે પડકારવાના મૂડમાં નથી એટલે પ્રતિબંધ ન મુકાવો જોઈતો હતો ને મુકાયો છે, એવું લાગતું નથી, નહીં તો સંગઠન વિરોધ ન કરવા જેટલું વિવેકી તો ક્યારે ય રહ્યું નથી. પી.એફ.આઈ. પ્રતિબંધિત થાય કે વિખેરાય, તે, તે સંસ્થા પૂરતું સ્વીકારવાનો વાંધો નથી, પણ તેથી નવું સંગઠન સ્થાપવાના માર્ગો બંધ થઈ જતાં નથી એ પણ ખરું.

પી.એફ.આઈ. પણ એ જ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું. બાબરી ધ્વંસ પછી આતંકી ઈરાદાઓ પાર પાડવા 1994માં કેરળમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ(એન.ડી.એફ.)ની સ્થાપના થઈ. એ સંસ્થા બીજા રાજ્યોમાં પણ ફેલાઇ. 2003માં કોઝિકોડમાં આઠ હિન્દુઓની હત્યા થઈ. એમાં એન.ડી.એફ.નું નામ ચર્ચામાં આવ્યું હતું. વધારામાં એનો એક છેડો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. સુધી લંબાયાની વાત પણ હતી. એમાં વધુ સંડોવણી બહાર આવે તે પહેલાં 2006માં, દિલ્હીમાં, એન.ડી.એફ. અને દક્ષિણની બીજી ત્રણેક સંસ્થાઓની મીટિંગ મળી અને મૂળ સંસ્થાને વિકલ્પે નવી સંસ્થા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનો વિચાર વહેતો થયો. પી.એફ.આઈ. ઉપરાંત સરકારે બીજા આઠ સંગઠનો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એન.આઈ.એ.) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)ની સઘન તપાસમાં એ બહાર આવ્યું છે કે પી.એફ.આઇ. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન સાથે પણ તેનાં તાર જોડાયેલા છે ને પી.એફ.આઇ.ના ઘણા સભ્યો અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાકના આતંકવાદીઓના સંપર્કમાં છે. આ ઉપરાંત દેશમાં કેટલીક પ્રવૃત્તિઓ પાકિસ્તાની આતંકવાદી સંગઠનોની દોરવણી હેઠળ આ સંગઠનનાં નેજા હેઠળ ચાલે છે, જેનો હેતુ ભારતમાં રહેતા મુસ્લિમોને દેશ વિરુદ્ધ ઉશ્કેરવાનો છે. એને માટે મુસ્લિમ યુવકોનો દુરુપયોગ થાય છે, એવું કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ માને છે. એ ઉપરાંત પી.એફ.આઈ.ના સંસ્થાપક સભ્ય સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી)ના નેતા રહ્યા છે. વિદેશી સ્રોતો પાસેથી પૈસા મેળવી આતંકી પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ આ સંસ્થા દ્વારા થતો હતો એવી વાત પણ છે. સૌથી વધારે આઘાતજનક તો એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સંસ્થાના નિશાના પર હતા ને 12 જુલાઈએ તેમની હત્યા કરવાનો આ સંગઠનનો મનસૂબો હતો. ઇ ડી એ કોર્ટમાં કહ્યું છે કે બિહારની રેલીમાં હુમલો કરવાનું કાવતરું હતું. એને માટે કેરળમાં હુમલાની ટ્રેનિંગનો કેમ્પ પણ કરવામાં આવ્યો હતો. આવું હોય તો શિક્ષાત્મક પગલાં સરકારે ભરવાં જ જોઈએ ને તે તેણે ભર્યાં છે.

આ બધું થતાં 22 સપ્ટેમ્બરે એન.એફ.આઈ. અને ઇ.ડી.એ 15 રાજ્યોમાં પી.એફ.આઈ.ના 93 સ્થળે ‘ઓપરેશન ઓકટોપસ’ હેઠળ દરોડા પાડયા. દરોડા દરમિયાન પી.એફ.આઈ.ની વિરુદ્ધ પુરાવાઓ મળ્યા. રાજસ્થાન સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં તે ફેલાયેલું સંગઠન છે. તેની પાસે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સમિતિઓ છે. તેનાં સભ્યો ચૂંટણીઓ દ્વારા ચૂંટાય છે. તપાસ દરમિયાન સેંકડોની ધરપકડ પણ થઈ છે. પી.એફ.આઈ. પર પ્રતિબંધ મુકાતાં કાઁગ્રેસ સહિત વિપક્ષોએ આર.એસ.એસ. પર પણ પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. ખરેખર તો પી.એફ.આઈ. અને અન્ય સંસ્થાઓની સ્થાપના કાઁગ્રેસી શાસન કેન્દ્રમાં હતું તે દરમિયાન થઈ હતી. એ વખતે કાઁગ્રેસે આવી સંસ્થાઓ પર રોક ન લગાવી, પરિણામે દેશમાં અનેક સ્થળોએ આતંકવાદી હુમલાઓ થયા ને અનેક નિર્દોષોનાં લોહી રેડાયાં. કેટલાંક મુસ્લિમો આ વાત જાણે છે ને કહે છે કે આવી પ્રવૃત્તિઓને લીધે યુવકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. પી.એફ.આઈ.એ ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે યુવાનોને લશ્કર અને આઈ.એસ.આઈ.એસ. જેવાં આતંકી સંગઠનોમાં જોડાવા પ્રોત્સાહિત પણ કર્યાં છે. એ જ કારણ છે કે અજમેર દરગાહના દીવાન ઉપરાંત ઘણાં મુસ્લિમોએ અને રાજ્યોએ પી.એફ.આઈ. પર મુકાયેલ પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો છે. પી.એફ.આઈ. પર પ્રતિબંધ મૂકવાની વાત તો આસામ, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત ઘણાં રાજ્યોએ કરી હતી.

એમ લાગે છે કે બાબરી ધ્વંસ પછીની મુસ્લિમોની આ પ્રતિક્રિયાઓ ત્રીસ વર્ષ પછી પણ શમતી નથી. કાઁગ્રેસી શાસનની કહેવાતી બિનસાંપ્રદાયિક રીતિ-નીતિઓની આડમાં કટ્ટરતા ઉછરતી આવી છે. આ ઉછેર દક્ષિણનાં રાજ્યોમાં વિશેષ થયો છે. પી.એફ.આઈ.નો જન્મ અને વિકાસ પણ કેરળમાં જ થયો છે. એને લીધે દક્ષિણી રાજ્યોમાં કટ્ટરવાદ કદાચ વધારે વકર્યો છે. બધા મુસ્લિમો કટ્ટર છે એવું નથી, પણ જે નથી એમને કટ્ટર બનાવવાનું કામ આવી સંસ્થાઓ કરતી રહે છે ને તેનું માર્ગદર્શન પાકિસ્તાની સંગઠનો પૂરું પાડે છે. કેટલા ય હિન્દુઓ ભા.જ.પ. સરકારની રીતિનીતિઓથી સંતુષ્ટ નથી, છતાં તેમને વિદેશી શત્રુઓને શત્રુતા વધારવામાં આમંત્રણ આપવાનું કદી નહીં સૂઝે, પણ કેટલાંક સંગઠનોને વિદેશી સહાય મેળવીને અહીં જ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ વિકસાવવાનું ફાવે છે એ શરમજનક છે. પાકિસ્તાન જેવું અધમ રાષ્ટ્ર આ ધરતી પર બીજું નથી. તેનું અસ્તિત્વ પોતાને માટે તેમ જ અન્ય રાષ્ટ્રો માટે કદી ઉપકારક રહ્યું નથી. તે માંદું અને વિકૃત રાષ્ટ્ર છે. પોતે પોતાનું પૂરું કરી શકે એમ નથી એટલે ભારત સાથે તે શત્રુતા વધારીને ટકવા મથે છે. તેની મૈત્રી હંમેશાં દગાખોરીનું જ બીજું નામ રહી છે. વિશ્વમાં આતંક ફેલાવનાર તે એક માત્ર કાયર રાષ્ટ્ર છે. ભારતમાં જેટલા પણ આતંકી હુમલા થયા છે તેમાં તે સીધું સંડોવાયેલું છે. માત્ર ભાગલા વખતે થયેલા નરસંહારમાં  જેટલા હિન્દુઓ મર્યા તેટલા યુદ્ધ વગર સ્વતંત્રતાને નામે મર્યા નથી. પાકિસ્તાન હરામનું જ શોધતું પરોપજીવી રાષ્ટ્ર છે. તે અમેરિકા કે રશિયા કે ચીનના ખોળા બદલતું મતલબી રાષ્ટ્ર છે ને એને માટે તે ભારતની સરહદે સતત ઉપદ્રવ કરતું રહ્યું છે. પી.ઓ.કે. એ ભારતની ઉદારનીતિનું પરિણામ છે. ખરેખર તો તે આંચકી લેવાની જરૂર છે. તેને નક્શા પરથી દૂર કરી શકાય તો બને કે ભારતના મુસ્લિમો ભારત સંદર્ભે વિચારતા થાય. ઘણા મુસ્લિમોએ ભારતને પોતાનું રાષ્ટ્ર માન્યું છે, પણ કેટલાક મુસ્લિમો ભારતની ભૂમિ પર વસીને પાકિસ્તાનની વફાદારી દાખવે છે. એમણે ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું છે. એ બધાં એમાં શું ખાટી જવાના છે તે તો તેઓ જાણે, પણ એ દેશહિતમાં નથી વિચારી રહ્યા એટલું નક્કી છે. 75થી વધુ વર્ષથી એઓ અહીં રહે છે, અહીંનું ખાય છે, પણ અહીંના થઈ શક્યા નથી. એ કેટલાં વર્ષો પછી અહીંના થશે તે નથી ખબર. આ બેવડી જિંદગી, નથી એમને અહીંના કરી શકતી કે નથી તો એ બીજે વસી શકતા. એને લીધે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. બીજી કોઈ લઘુમતી કોમને હિન્દુઓ જોડે પ્રશ્નો નથી. માત્ર કેટલાંક મુસ્લિમો નથી ઇચ્છતાં કે અહીંની પ્રજા સંપીને રહે. એમ કરવાથી એમના હાથમાં શું આવતું હશે, તે નથી ખબર, પણ અહીંની પ્રજા આતંકી ઓથાર વચ્ચે જીવે છે તેની ના પાડી શકાશે નહીં.

એ અત્યંત શરમજનક છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓ આ દેશમાં વિકસીને અહીં જ એની ઘોર ખોદે છે. આવું તો ભારતમાં જ બને. કોઈ દેશ લોકશાહીને નામે રાષ્ટ્ર વિરોધી આટલી હિંસક પ્રવૃત્તિઓ ન જ ચાલવા દે. પાકિસ્તાનમાં ત્યાંના હિન્દુઓ ભારતનું હિત ઇચ્છતી કોઈ સંસ્થા સ્થાપે તો પાકિસ્તાન તે ચાલવા દેશે? તો, અહીંના મુસ્લિમો ભારત વિરોધી, પાક પ્રેરી કોઈ સંસ્થા સ્થાપી જ કેવી રીતે શકે? લોકશાહી દેશમાં એવું ચાલે એવું ઘણા કહે છે, પણ લોકશાહીને નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરનારી સંસ્થાઓ સ્થપાય તો તેને નિર્મૂળ કરવાનું કર્તવ્ય પણ લોકશાહી સરકારે બજાવવાનું રહે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ  ઈન્ડિયા પર પ્રતિબંધ મુકાયાની વાત હજી ચાલે જ છે ત્યાં પાકિસ્તાનને સૈન્યની માહિતી પૂરી પાડનારો જાસૂસ અમદાવાદથી પકડાય છે. કાલુપુરથી પકડાયેલા જાસૂસ અબ્દુલ વહાબ પઠાણની, પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓફિસરને સીમકાર્ડ પૂરા પાડવા બદલ ધરપકડ થઈ છે. એ અત્યંત દુ:ખદ છે કે 75 વર્ષથી વધુ સમય ભારતને સ્વતંત્ર થવાને થયો છતાં કેટલાક મુસ્લિમો આ દેશના થઈ શક્યા નથી ને દુશ્મન દેશની વફાદારી દાખવે છે. એમને શું કામ બક્ષવા જોઈએ તે કોઈ કહેશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 સપ્ટેમ્બર 2022

Loading

ટૂંકમાં (૧૨) : સહૃદયો કે તકવાદીઓ?

સુમન શાહ|Opinion - Literature|29 September 2022

દરેક સજીવ, ખાસ તો માણસ, પોતાના પગ પર ઊભો રહીને જીવે છે. એટલી જમીન તત્કાળ પૂરતી એની હોય છે. એમાં એ ઉપકારક કેન્દ્ર ઊભું કરે છે, ત્યાંથી એના હેતુ પ્રમાણેની ત્રિજયાઓ અને ત્રિજ્યાઓ પ્રમાણેનાં વર્તુળો રચાય છે. ત્રિજ્યા અને તેથી રચાયેલા કોઈપણ વર્તુળનું ચાલક-નિયામક બળ, હેતુ છે.

લગભગ એ જ પ્રમાણે, સર્જક સાહિત્યકાર પોતાના પગ પર ઊભો હોય છે. એ જો સાહિત્યશાસ્ત્રીઓની, ધંધાદારી વિવેચકોની કે અધકચરા અધ્યાપકોની મનઘડંત માન્યતાઓના ટેકે ઊભો હશે તો એક દિવસે ગબડી પડશે. કેમ કે એઓ બધા વ્યવસાયમજબૂર હોય છે ને એમની માન્યતાઓ માન્યતાઓ હોવાથી એમાંથી તેઓ ગમે ત્યારે ખસી જઈ શકે એવા યુક્તિબાજ હોય છે. ન તો તેઓ વિશ્વસનીય, ન તો એમની માન્યતાઓ.

સર્જકને કાખઘોડી ન પાલવે. પડી ગયા પછીયે એ જાતે ઊભો થઈ શકવો જોઈએ, થાક્યા પછીયે દોડી શકવો જોઈએ.

સર્જનને સર્જન સિવાયનો કોઈ હેતુ હોતો નથી. ઇમાન્યુએલ કાન્ટની વાતને સમજનારા સૌ સુજ્ઞો જણાવે છે કે સર્જનમાં તો હેતુ વિનાની હેતુતા હોય છે – પર્પઝલેસ પર્પઝિવનેસ.

વાહવાહીગ્રસ્ત.

Pic courtesy : Depositphotos

હેતુ કીર્તિનો હશે તો ત્રિજ્યા એટલી જ લંબાશે, વર્તુળ એટલું જ રચાશે. કીર્તિના બે પ્રકાર છે : એક પ્રકાર ચન્દ્રક ઇનામ ઍવૉર્ડનો છે અને બીજો સહૃદયોના આહ્લાદજન્ય સ્વીકાર અને આવકારનો છે.

પહેલો પ્રકાર રાજકારણથી રંજિત છે. એ માટેની શરત એ છે કે સર્જકને લાગવગ, લાગવગ-વિસ્તાર, જીહજૂરી અને શરણાગતિનાં લેખાંજોખાં આવડતાં હોવાં જોઈએ.

કીર્તિનો બીજો પ્રકાર સ્વયંભૂ છે, એ માટે સર્જકે કલા સરજ્યા પછી કંઈ જ કરવાપણું હોતું નથી.

કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ કાફ્કા કે ગોવર્ધનરામ લખતા થયા તે દિવસે મહાન ન્હૉતા, કાળક્રમે વધતા રહેલા સહૃદયસ્વીકારે એમને મહાન ઠેરવ્યા છે.

રવીન્દ્રનાથને નોબેલ અપાયું ત્યારે કેટલાક લોકો એમને અભિનન્દન આપવા ગયેલા પણ એમણે બારણાં બંધ કરી દીધેલાં. કેમ કે એ લોકો સહૃદય ન્હૉતા, લાગ જોઈને વાહવાહી કરનારા તકવાદી હતા, રવીન્દ્રસૃષ્ટિમાં કદી પ્રવેશ્યા જ ન્હૉતા.

દરેક સાહિત્યકારે જાતને પૂછી લેવું કે – હું સહૃદયોથી વીંટળાયેલો છું કે તકવાદીઓની વાહવાહીથી ગ્રસ્ત છું.

(September 29, 2022 : USA
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2401,2411,2421,243...1,2501,2601,270...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved