Opinion Magazine
Number of visits: 9566894
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણનીતિમાં શિક્ષણ હશે, નીતિ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 January 2023

રવીન્દ્ર પારેખ

2023નું નવું વર્ષ સખત ઠંડી લઈને આવ્યું છે. જાન્યુઆરીના પહેલા જ નવ દિવસમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઠંડીથી એક જ હોસ્પિટલમાં 131 લોકોનાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાં. એ પછી આખા દેશમાં ઠંડી વધવાના સમાચારો આવ્યે જ જાય છે. ગુજરાતમાં નલિયામાં તાપમાન એટલું ઘટ્યું કે તેની પાણીની પાઈપમાં બરફ જામી ગયો. આખા ગુજરાતમાં ઠંડી, ઠંડી પડવાનું નામ જ નથી દેતી ! આવી ઠંડીમાં રાજકોટમાં ગયા મંગળવારે સવારે આઠના સુમારે 8માં ધોરણની એક વિદ્યાર્થિની રિયા સાગર પ્રાર્થના પછી, વર્ગખંડમાં એકાએક ઢળી પડે છે ને હોસ્પિટલમાં સારવાર મળે ત્યાં સુધીમાં, દસ જ મિનિટમાં મૃત્યુ પામે છે. તેની માતાના કહેવા મુજબ તેને કોઈ બીમારી ન હતી. આ મામલો ટાઢો પડે ત્યાં તો વલસાડની કોલેજનો એસ.વાય.બી.એ.નો આકાશ પટેલ કોલેજ પરિસરમાં જ સવારે ચાલતાં ચાલતાં ઢળી પડે છે ને તેને હોસ્પિટલે ખસેડાય છે, પણ તબીબો તેને મૃત જાહેર કરે છે. આ ઘટનાઓમાં ઠંડીએ ભાગ ભજવ્યો હોવાનું લાગે છે. વિદ્યાર્થીઓનાં મોતનું સાચું કારણ તો આવતાં આવશે, પણ રિયાની માતાનું સ્પષ્ટ કહેવું છે કે તે ઠંડીને કારણે મૃત્યુ પામી છે. ડોક્ટરનું પણ માનવું છે કે ઠંડી વધારે હોય તો કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધી જાય છે. સ્કૂલો યુનિફોર્મની સાથે સાથે સ્વેટર પણ સ્કૂલનું જ પહેરવાનો આગ્રહ, વિદ્યાર્થીઓ પાસેથી રાખે છે ને એમાં ઠંડીથી પૂરતું રક્ષણ મળતું નથી. એ સ્થિતિમાં ઉપર બીજું કોઈ ગરમ વસ્ત્ર પહેરવાની છૂટ પણ શાળા આપતી નથી. સંસ્થાઓ જડતા નથી જ છોડી શકતી તેનું આ વધુ એક વરવું ઉદાહરણ છે.

જો કે, એ પછી રાજકોટના અને સુરતના જિલ્લા શિક્ષણાધિકારીઓ પરિપત્ર બહાર પાડે છે કે પોતાનું જ નક્કી કરાયેલું સ્વેટર વિદ્યાર્થીઓને પહેરાવવાનો આગ્રહ સ્કૂલો રાખી શકશે નહીં ને બીજાં કોઈ ગરમ કપડાં વિદ્યાર્થીઓ પહેરીને આવે તો તેને રોકી શકાશે નહીં. શાળાનો સવારનો સમય પણ સ્કૂલોને 8 વાગ્યાનો કરવાના આદેશો અપાયા છે. એમાં કસૂર થશે તો તંત્રોએ શિક્ષાત્મક પગલાં ભરવાની ચેતવણી પણ આપી છે, પણ આ બધું રાંડયાં પછીનાં ડહાપણ જેવું છે. દુ:ખની વાત એ છે કે ‘અગમચેતી’ જેવો શબ્દ જ આખાયે શિક્ષણ વિભાગના કોર્સમાં નથી. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનો કહેર ચાલે છે. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં 131 માણસો ઠંડીથી ઓલરેડી ગુજરી ગયા છે ને તે વાત દુનિયા જાણે છે, આબુમાં  – 6 ડિગ્રી કે નલિયામાં – 1.4 ડિગ્રી તાપમાન નોંધાયાનું મીડિયામાં દિવસોથી ગાજી ચૂક્યું છે, તો ય સ્કૂલનો સમય બે વિદ્યાર્થીઓનાં મોત ન થાય ત્યાં સુધી સાતથી આઠ કરાતો નથી. શિક્ષણ વિભાગને આની જાણ જ ન હોય તેમ તે તો ટાઢોબોળ જ છે અને વાલીઓને પણ બહુ પડેલી ન હોય તેમ તેઓ પણ મગનું નામ મરી પાડતાં નથી. એને તો છોકરું ભણવા જાય એટલે ભયો ભયો. પછી એ સ્કૂલમાં શું કરે છે કે એની સાથે સ્કૂલમાં શું થાય છે તે વાત જ સિલેબસમાં નથી આવતી. સ્કૂલનાં યુનિફોર્મ સાથેનાં સ્વેટરોમાં ઠંડી રહેતી ન હોય તો ય, બીજાં ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ વિદ્યાર્થીઓને અપાતી જ નથી. એ છૂટ માટેનો પરિપત્ર પણ તો વિદ્યાર્થિનીનાં મોત પછી કરાય છે. કોઈ ન મરે ત્યાં સુધી શિક્ષણ વિભાગને ઠંડી વધારે છે એની ખબર જ પડતી નથી. આ રીઢાપણું અધમ પ્રકારની નિર્લજ્જતાની ચાડી ખાય છે. આ એવી જાડી ચામડીઓ છે કે એને ટાઢ, તડકો કે વરસાદ, કૈં સ્પર્શતું નથી. આમ તો નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે, પણ એમાં શિક્ષણ હોય તો હોય, નીતિનો તો છાંટો સરખો ય નથી. જ્યાં માનવતા જ બાજુએ મુકાતી હોય ત્યાં શિક્ષણ હોય તો ય શું ને ન હોય તો ય શું? ઓછું ભણેલો મંત્રી જો વધુ ભણેલા કલેકટર કે કમિશનરની મંતરતો હોય, તો ભણીગણીને વિદ્વાન થવાની વાત પર ભરોસો રાખવાનું કોઈ કારણ ખરું? ટૂંકમાં, શિક્ષણનું આટલું મૂલ્ય આઝાદી પછી આપણે કમાયા છીએ ! આમ જોઈએ તો ભ્રષ્ટાચારના આખાને આખા હાથી પસાર થઈ જાય છે ને બીજી તરફ નાની અમથી વાતમાં પણ આપણે સિદ્ધાંત, આદર્શ ને નીતિની મેથી મારતા રહીએ છીએ. જ્યાં માનવીય ધોરણે વ્યવહારુ બનવાનું હોય ત્યાં જડ અને જ્યાં સખત હાથે કામ લેવાનું હોય ત્યાં ‘વ્યવહાર’ સાચવવાનું વલણ આપણા આ કહેવાતા વિકાસનાં મૂળમાં છે.

*

આ વાતને થોડી હળવાશથીયે જોવી જોઈએ. બાળક નાનેથી જ સમાનતાનો પાઠ શીખે એ માટે આપણે સ્કૂલોમાં યુનિફોર્મ દાખલ કર્યા. હવે તો પ્રિ-નર્સરીમાં પણ યુનિફોર્મ છે. સારું છે કે બાળક ગણવેશ પહેરીને જ જનમતું નથી. એક સમયે લગભગ બધે જ સફેદ શર્ટ અને ખાખી પેન્ટનો યુનિફોર્મ હતો. એ પછી સ્કૂલોને ફેશનેબલ થવાનું મન થયું. દરેક સ્કૂલે પોતાનો યુનિફોર્મ વિદ્યાર્થીઓ માટે નક્કી કર્યો. યુનિફોર્મ આમ તો વિદ્યાર્થીઓમાં સમાનતાનો ભાવ જાગે એ માટે હતો, પણ સ્કૂલો યુનિફોર્મને લઈને જુદી પડી. યુનિફોર્મથી રંગીન સમાનતા આવી. યુનિફોર્મ પરથી સ્કૂલ કેટલી મોંઘી છે એનો ખ્યાલ પણ આવે એ રંગીન સમાનતાનો હેતુ હશે. આવું એટલે થયું કે વિદ્યાર્થી કઇ સ્કૂલનો છે તે દૂરથી જ યુનિફોર્મ પરથી ખબર પડે, કેમ જાણે જોનાર પાસે બધી સ્કૂલના યુનિફોર્મની યાદી ને સરનામાં ગજવામાં પડ્યાં છે ! કોઈ બાળક રખડતો જણાય કે કોઈ અકસ્માતનો ભોગ બને તો યુનિફોર્મ પરથી જે તે સ્કૂલનો સંપર્ક સરળ બને એ હેતુ જુદા જુદા યુનિફોર્મનો હોય એમ બને, પણ વિદ્યાર્થીના ગળામાં જ તેનું ઓળખકાર્ડ લટકતું હોય તો તે પરથી પણ ઓળખ શક્ય બને ને ! એ ખરું કે સમાનતા શીખવવા અસમાન યુનિફોર્મથી, વિદ્યાર્થીઓને જુદા પાડવા આટલું તો કરવું જ પડે ! વારુ, એ તો વિદ્યાર્થી છે, એ કૈં છાપાં, ચેનલ તો જોતો નથી, એને મોબાઈલ પર એવા મેસેજ તો મળતા નથી કે ખબર પડે કે ચૂંટણીમાં કઇ જાતિ, જ્ઞાતિ, ધર્મનો ઉમેદવાર જે તે કોમ્યુનિટીને જોઈને ઊભો રખાય છે? એ તો એટલું જ બંધારણ ભણ્યો છે કે સૌને સમાન રીતે રહેવા-જીવવાનો અધિકાર છે. એ જાણે છે કે સમાનતા સ્કૂલમાં જ હોય છે ને તે યુનિફોર્મથી જ આવે છે. જોયું ને, વિદ્યાર્થી સમાનતાના પાઠ શીખે એ માટે શિક્ષણ ખાતું સ્કૂલોને કેવી કેવી સ્વતંત્રતા યુનિફોર્મથી જ આપવા લાગે છે …

શિક્ષણ વિભાગ કેટલું જાણે છે તે તો નથી ખબર, પણ આ સ્કૂલોનું ય પોતાનું શાસન હોય છે. બધી સ્કૂલો આમ જ કરે છે કે બધી સ્કૂલોનો ઇરાદો એક જ હોય છે, એવું કહેવાનું નથી, પણ સ્કૂલો વિદ્યાર્થીઓ પાસે કરાવે તેથી વધુ ઇતરપ્રવૃત્તિઓ હવે પોતે કરે છે. એક સમયે મેદાન વગરની સ્કૂલ દેખાતી ન હતી. હવે મેદાન તો રેલીઓ, સભાઓ માટે જ રહી ગયાં છે. એ હવે સ્કૂલની ઓળખ લગભગ નથી ને વ્યાયામ માટે તો જિમ પણ છે જ ને !

એક સમય હતો જ્યારે વાલીઓ અનુકૂળ લાગે તે દુકાનેથી સંતાનો માટે પુસ્તકો, નોટબુકો, બૂટમોજાં, સ્વેટર, સ્કાર્ફ વગેરે ખરીદતાં ને સ્કૂલ ચાલુ થાય એટલે વિદ્યાર્થી યુનિફોર્મમાં સજ્જ થઈને સ્કૂલે પહોંચતો. સ્કૂલો બિચારી ભલી બહુ ! જીવદયામાં માને. તેને વાલીઓની દયા આવી. તેણે પોતે એવી વ્યવસ્થા ઊભી કરી કે ગણવેશનું કપડું, સિલાઈ, પુસ્તકો, નોટબુકો, બૂટમોજાં, સ્કૂલ બેગ વગેરે .. સ્કૂલમાંથી જ મળી રહે. વાલીઓને તો ભાવતું હતું ને વૈદે કીધા જેવું થયું. સ્કૂલોમાં ભણવાયું હશે જ, પણ વાલીઓની શૈક્ષણિક ખરીદીનું મુખ્ય મથક પછી તો સ્કૂલો જ બની રહી. સ્કૂલો દૂર દૂર એટલે રખાઇ કે તેની બસમાં વિદ્યાર્થીઓ આવ-જા કરી શકે ને સ્કૂલને ફી ઉપરાંતનો લાભ પણ મળે. આમે ય વાલીએ વાહનની તો કોઈ વ્યવસ્થા કરવાની જ હતી ને પૈસા બીજાને ખટાવવાના હતા, તો થોડું સ્કૂલ કમાય તેમાં વાલીઓને શું કામ દુખવું જોઈએ? સ્કૂલનું ચાલે તો યુનિફોર્મની જેમ બસ પણ સ્કૂલમાં જ બનાવે. ભવિષ્યમાં એવું કૈં થાય તો નવાઈ નહીં !

કેટલીક સ્કૂલો ડાયરેક્ટ મિલોમાંથી કાપડ ખરીદતી થઈ. આ સ્વવલંબનથી થયું એવું કે સ્કૂલો કાપડ મિલમાંથી ખરીદે ને વાલીઓને વેચે ને એમ વિદ્યાર્થીઓ વગર ભણાવ્યે જ નફાના દાખલા શીખે. કેટલાક વાલીઓને નફાની ગંધ આવી ને તેને લાગ્યું કે તે પણ પુસ્તકો, નોટબુકો, યુનિફોર્મ વગેરે ખરીદી શકે એમ છે. તેણે સ્કૂલ પાસેથી તે અંગેની રજા માંગી, પણ સ્કૂલો એમ ઇતર પ્રવૃત્તિઓમાંથી થતો નફો જતો કરે તો તેની શાખ અને શાખાઓને બટ્ટો લાગે ! એટલે તેણે ફરમાન કાઢ્યું કે વાલીઓએ બાળકો માટેની બધી ખરીદી સ્કૂલમાંથી કરવાનું ફરજિયાત છે. છેતરાવા માટે બીજે શું કામ જવાનું? સ્કૂલો નથી? વિદ્યાર્થીએ સ્વેટર પહેરવાનું થાય તો તે પણ સ્કૂલમાંથી જ ખરીદવાનું ફરજિયાત થયું. એવું નથી કે પૈસા લઈને સ્કૂલો સ્વેટર આપતી નથી, આપે છે. એ જુદી વાત છે કે એ પહેરવાથી ટાઢ વિદ્યાર્થીને વાય છે ને ગરમી વાલીને ચડે છે.

એ અક્કલનો ઇસ્કોતરો તો એ વિચારે અધમૂઓ થઈ જાય છે કે વેપારને બહાને અંગ્રેજો આવ્યા ને દેશને ગુલામ કરીને રહ્યા – એના જેવું તો આ કૈં નથી ને? વાલી બિચારો એ વાતે મૂંઝાય છે કે થોડાં થોડાં નાણાં ખર્ચીને તેણે સ્કૂલ જેવાંમાંથી કેવી નાની નાની ગુલામી વેચાતી લીધી છે ! સાલું, સમજાતું જ નથી કે છેલ્લાં 75 વર્ષથી એ એવી તે કેવી સ્વતંત્રતા ભોગવી રહ્યો છે કે અટકવાનું નામ જ નથી દેતી? અમિતાભ બચ્ચને કોઈ કરોડપતિ વિજેતાને ન પૂછેલો સવાલ વાલીઓને ને વ્હાલીઓને રહી રહીને એ થયા કરે છે કે વિદેશીઓ તો વિદેશના હતા એટલે ગયા, પણ આ દેશીઓ તો આ જ દેશના છે ને એ જવાના નથી, તો એનાથી મુક્તિ મેળવવા છેવટે કરવાનું શું? છે કોઈ જવાબ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જાન્યુઆરી 2023

Loading

મન્તવ્યજ્યોત (૨૮) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ 

સુમન શાહ|Opinion - Literature|22 January 2023

સુમન શાહ

‘ઑલ આઉટ ફૉર અમૂલ’-ના મારા પેલા મૅસેજની રચનાપદ્ધતિને ઍન્કોડિન્ગ કહેવાય. ‘એ બિલ્લી છે’ કહેનારનો એ પ્રયોગ coded છે અને એ એક code પણ છે. એટલે કે, એનો એ પ્રયોગ કશુંક ગુપ્તપણે કહેવા માટે એણે ઊભી કરેલી મામૂલી પણ એક પદ્ધતિ છે, સિસ્ટમ છે, જેને ઍન્કોડિન્ગ કહી શકાય.

મારી સૅમિયોસિસ પ્રવૃત્તિ વડે મેં એની એ પદ્ધતિને ખુલ્લી કરી. પણ એટલે શું કર્યું? કોડેડને ડીકોડ ! વીગતે જણાવું કે ડીકોડિન્ગ વખતે હું શું કરું છું :

‘એ બિલ્લી છે’ પ્રયોગને સમગ્રમાં નીરખું છું. એ પ્રયોગના પ્રત્યેક ભાગને નીરખું છું. એ ભાગમાં સંડોવાયેલી સંજ્ઞાની અંદર પ્રવેશું છું. એની નજીકની સંજ્ઞાને નીરખું છું ને તેની અંદર પણ પ્રવેશું છું. તે પછી એ બન્ને સંજ્ઞાઓએ મને સૂચવેલા અર્થોને જોડું છું. એમ હું જવાય એટલો આગળ જઉં છું.

ગણિત મને આવડતું નથી પણ એનો રૂપક તરીકે ઉપયોગ તો કરી શકું છું. કહું કે જેમ હું પહેલી રકમને સમજું વિચારું ને એમાં બીજી ત્રીજી એમ પછીની રકમોને સમજી સમજીને ઉમેરતો ચાલુ અને છેલ્લે સરવાળો સિદ્ધ કરું એ જ રીતેભાતે હું ડીકોડેડ સંજ્ઞાઓ સાથે વરતું છું.

હું મૅસેજ મોકલું છું એટલે શું કરું છું? કોઈને ઍડ્રેસ કરું છું, સમ્બોધું છું. હું ઍડ્રેસર અને જેને મૅસેજ કરું છું તે ઍડ્રેસી. મારા મૅસેજને ઍડ્રેસી ઉકેલી લે છે – એણે ડીકોડિન્ગ કર્યું કહેવાય. સામે એ પણ મને વળતો મૅસેજ મોકલે છે – અમૂલબટર ક્યાં મળે છે? એ ત્યારે ઍડ્રેસર હોય છે અને હું ઍડ્રેસી.

સંક્રમણ મૅસેજીસના આવા ચૉકક્સ વિનિમયો વડે સધાતું હોય છે તેથી ઉત્તમ મનાય છે. એવાં સંક્રમણને પ્રતાપે સૅમિયોસિસ પ્રવૃત્તિમાં વેગ પણ આવે છે. 

વર્તમાનમાં સોશ્યલ મીડિયામાં જીવતી વ્યક્તિઓ માટે ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ રોજિન્દી ઘટના છે, જેને ચૅટિન્ગ અથવા મૅસેજિન્ગ કહેવાય છે. હું મૅસેજ મોકલું કે આવતીકાલે દસ વાગે મળીશું. તો એ મને સામો મૅસેજ મોકલે છે – સવારના દસ કે રાતના? અને હું વળતો મૅસેજ મોકલું કે – રાતના.

જો કે આ વાત મેં શાબ્દી સંજ્ઞાઓના – વર્બલ સાઈન્સના – મૅસેજિન્ગની કરી. પણ સૅમિયોસિસ તો શબ્દ ઉપરાન્તની આપણી આસપાસની તમામ બિનશાબ્દી – નૉનવર્બલ – સંજ્ઞાઓને ઊંડણમાં લે છે. એટલે, નૉનવર્બલનાં પણ મૅસેજિન્ગ થતાં હોય છે.

જેમ કે, કોઈ ભાઈ કે બહેન મને જો નમસ્કારનું ઇમોજી મોકલે તો એનો અર્થ છે – પ્રણામ; નહીં મળી શકાય. ઇમોજી શબ્દ નથી ચિત્ર છે પણ મને સ-પ્રણામ ‘નહીં આવી શકાય’ એવી અશક્યતાનો સંકેત કરે છે. જો કે એણે ભલે ઇમોજી વડે ઍન્કોડિન્ગ કર્યું પણ પ્રણામના ઇમોજીને હું હકાર ગણી લઉં, સ્વીકૃતિ ગણી લઉં, તો મારું એ ડીકોડિન્ગ મને મુશ્કેલીમાં મૂકી દેશે – દસના અગિયાર વાગ્યા હશે તો પણ એ વ્યક્તિ નહીં પધારી હોય !

(હું એમ માનું છું કે ઇમોજીસ બાલાવબોધી છે, સર્જક મિજાજની વ્યક્તિઓની દુનિયા ઇમેજીસની છે. એમણે ઇમોજીસથી આઘા રહેવું જોઈએ).

અનેક લોકો ‘લાઇક’-ને લખતા નથી, માત્ર ક્લિક કરે છે, એ ચેષ્ટા પણ મૅસેજિન્ગ છે. એ ડીકોડ થતાં, સંકેત મળે છે – મેં જોયું, મેં વાંચ્યું, મને ગમ્યું. એ સંકેત દરેક વખતે – મેં વાંચ્યું એમ નથી હોતો ! જો ઍડ્રેસર મોટી સંખ્યામાં મળેલાં લાઈક્સનું એવું ડીકોડિન્ગ કરે કે – હું કેટલો વંચાઉ છું ને કેવો અઢળક સ્વીકાર પામું છું, તો છેતરાઈ જશે. 

મેં ફેસબુક પરનાં લાઇક્સનો અભ્યાસ કરીને મારા માટે હળવાશથી એક સૅમિયોસિસ રચ્યું છે : લાઇકનો એક સંકેત – હું તમારી સભામાં હાજર છું, એમ થાય છે. (મને એમનો એ સાક્ષીભાવ ગમે છે.) લાઇક્સરૂપી ડીકોડિન્ગ દેખાદેખીથી અને વાટકી-વ્યવહારથી કરાતાં હોય છે. બધા લાઇક કરે છે અને હું નહીં કરું તો કેવો / કેવી લાગીશ – એવા સામાજિક મનોભાવથી કરાતાં હોય છે. હું ફેસબુક-ફ્રૅન્ડ છું તો એમની તેમ જ અન્ય મિત્રો સાથે જોડાવાની આ તક છે – એવા પ્રેમભાવથી કરાતાં હોય છે. કોઈ તો, કોઈ ઓળખીતાંને જોઈને લાઇક કરે છે – એને ગમતાં કોઈ બહેનનું લાઇક જોવા મળ્યું હોય તો તો, ખાસ.

પેલો કદી કશો જ પ્રતિભાવ નહીં આપનારો ફેસબુક ફ્રૅન્ડ – હું તમારું ધ્યાન રાખું છું, જેવા મોટાઈના ભાવથી લાઇક કરતો હોય છે. કેટલાક તો ફ્રૅન્ડ બન્યા પછી લપાઈને બેઠા રહે છે અને બગલાની જેમ માત્ર મૌનનું સેવન કરે છે. એ મૌનને સૅમિયોસિસમાં આમેજ કરતાં હું ખચકાઉં છું કેમ કે ત્યારે વર્બલ કે નૉનવર્બલ એકેય સંજ્ઞા નથી પ્રગટી હોતી, સિવાય કે હું મૌનને સંજ્ઞા ગણી લઉં.

કેટલાક તો શોકાંજલિને પણ લાઇક કરતા હોય છે, કેટલાક ટ્રૉલ કરતા હોય છે, ગાળો પણ લખતા હોય છે. એવી તમામ કુચેષ્ટાઓને ઍન્કોડિન્ગ તો કહેવાશે જ, એ અર્થ તો આપશે જ, પણ એ અર્થ ઍડ્રેસી માટે વ્યર્થ હશે. ત્યારે ઍડ્રેસી ચૂપ રહે તો એ ચુપકીદી ડીકોડિન્ગ ગણાય કે કેમ તે પ્રશ્ન છે, સિવાય કે ઍડ્રેસી ચુપકીદીને સંજ્ઞા ગણી લે; પણ એની એ ક્રિયાથી કૉમ્યુનિકેશન સાર્થક ઠરશે.

ઘણા લોકો પોતાનો ફોટોગ્રાફ મૂકે છે એ ફોટો પણ ઍન્કોડિન્ગ છે અને મૅસેજનું કામ કરે છે. ઍડ્રેસી એને ડીકોડ કરે છે કેમ કે ફોટો રૂપાળી યુવતીનો હોય છે, એને રસ પડી જાય છે અને એ લવારાછાપ વળતા મૅસેજીસ મોકલવા માંડે છે – જેને કાવ્યશાસ્ત્રીઓ પ્રેમાલાપ કહે છે. પણ પરિણામ, વિલાપમાં આવે છે.

“ઍન્કોડિન્ગ ઍન્ડ ડીકોડિન્ગ ઇન ધ ટેલિવિઝન ડિસકોર્સ” શીર્ષક હેઠળ ૧૯૭૩માં સ્ટુઅર્ટ હૉલે મીડિયા મૅસેજ (મારું “મીડયા મૅસેજ” નામનું પુસ્તક છે) વિશે ઉપકારક અધ્યયન પીરસ્યું છે. એમાં એક મહત્ત્વનો મુદ્દો એ કર્યો છે કે દર્શકો પોતાના સામાજિક સંદર્ભો અંગેની પોતાની શ્રદ્ધા અનુસાર મૅસેજીસને ડીકોડ કરતા હોય છે. સાચું, ’સાસ ભી કભી બહુ થી’ -ને યુરપઅમેરિકાની પ્રજાઓ કેમની ડીકોડ કરવાની’તી? વળી, હૉલ અનુસાર, સંઘબળે દર્શકો મૅસેજીસને બદલી શકતા હોય છે. દર્શકો ઍગ્રીમૅન્ટ, નૅગોશિયેશન કે ઑપોઝિશનનો આશ્રય કરતા હોય છે – સમ્મતિ – ચર્ચા કે વિરોધ.

હૉલની આ વાત જૂની છતાં એકદમ સાચી એ રીતે છે કે આજે તે પ્રેસ ન્યૂઝચેનલ્સ અને ફિલ્મ જેવાં સમૂહમાધ્યમોને એટલી જ લાગુ પડે છે. તાજેતરમાં આપણે ‘કાશ્મીર ફાઇલ્સ’ કે ‘પઠાણ’ વિશેના વિવાદોમાં દર્શકો વડે થતા ડીકોડિન્ગ્સનાં પરિણામોને જાણી ચૂક્યા છીએ.

જોવા બેસીએ તો હરેક સાઈન-પ્રોડક્ટ જોડે માણસો સમ્મતિ, ચર્ચા કે વિરોધની રીતે જ વર્તે છે. સંકેતવિજ્ઞાનીઓનું મન્તવ્ય છે કે મનુષ્યજાતિ બીજા જીવોની સરખામણીમાં વધારે તો ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગના નિયન્ત્રણ હેઠળ જીવે છે, કૉમ્યુનિકેશન્સ સાધે છે.

પણ રોલાં બાર્થ  એમાં ઉમેરણ કરે છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે સંભવતાં કૉમ્યુનિકેશન્સ મોટેભાગે અભાનપણે જ થતાં હોય છે. એ કારણે મનુષ્યોને જોડનારી કડીઓને તેમ જ તેમણે ઊભાં કરેલાં અર્થઘટન-માળખાંઓને રોલાં બાર્થ ‘મિથ’ કહે છે. બાર્થ એટલે લગી કહે છે કે મિથ્સ સંસ્કૃતિના પ્રત્યેક સંવિભાગમાં પ્રસરીને જામી હોય છે. આ હકીકત વૈયક્તિક વાતચીતોમાં તેમ જ જાહરખબરો અને સમૂહમાધ્યમોની પ્રોડક્ટ્સમાં પણ સ્થિર થયેલી છે.

સામાન્યપણે, મિથમાં ઇતિહાસ પુરાણગાથા કલ્પના માન્યતા ભ્રાન્ત માન્યતા વગેરે તત્ત્વો રસાયાં હોય છે. પણ બાર્થ અર્વાચીન કે આધુનિક મિથ્સની વાત કરે છે. એમની એ પુસ્તિકા “માયથોલોજીસ”-ની વાત હવે પછી.

= = =

(Jan 21, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પર્યાવરણને નાખો વખારે!! વિકાસ કોના અને શેના ભોગે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 January 2023

ક્યાંક દરિયો પુરાય છે તો ક્યાંક પહાડો ખોદાય છે તો ક્યાંક જંગલોનું નિકંદન નિકળે છે અને પોતે સચવાય એ માટે પ્રકૃતિ કોઇ શરતો મૂકી નથી શકતી અને લાલસાની દોટમાં હાંફતા માણસને પગ તળેથી ખસી રહેલી ધરતીની પરવા નથી. 

ચિરંતના ભટ્ટ

હિમાલયના ઢાળ પર 1874 મીટર ઊંચાઇ પર આવેલા જોશીમઠની વલે થવા બેઠી છે. આ શહેર ડૂબી રહ્યું છે, ફસડાઇ રહ્યું છે અને વાત માત્ર આ શહેરની નથી, પણ આસપાસની બીજી વસ્તીઓ પણ જોખમમાં છે. રોજે રોજ લોકોને ખસેડવાની ખબરો અને લોકોને માટે સલામત સ્થળ શોધવાની સરકારી ભાંજગડની વાતો સામે આવતી રહે છે. આ આફત માનવ સર્જિત છે અને હજી તો તેની શરૂઆત થઇ છે. પહેલાં આપણે જંગલોનો દાટ વાળ્યો, હજી પણ એ તો ચાલી જ રહ્યું છે અને એને આપણે રૂપકડું નામ આપ્યું વિકાસ –  “ડેવલપમેન્ટ” – આ કારણે માણસો અને વન્ય સૃષ્ટિ વચ્ચે સંઘર્ષના બનાવો થતા રહે છે. આપણને – માણસ જાતને, બસ, બધું જોઇએ છે, માલિકી કરી લેવી છે જે મળે ત્યાં, જગ્યા જોઇએ છે. મહાનગર મુંબઈ પણ દર વર્ષે 2 મિલીમીટર જેટલું દરિયામાં ડૂબી રહ્યું છે એવું સંશોધન થઇ ચૂક્યું છે. 2050 સુધીમાં મુંબઇ આખે આખું ડૂબી જાય તેવી વકી છે, ગ્લોબલ વૉર્મિંગના પરિણામે વિશ્વના જે 12 શહેરો ડૂબી જાય તેવી શક્યતા છે, તેમાં દક્ષિણ મુંબઈના હિસ્સાઓ પણ છે જે અરબી સમુદ્રમાં ગરકાવ થઇ જશે. વિકાસને નામે આપણે જંગલો, દરિયા, નદીઓ અને પહાડો પર વર્ચસ્વ જમાવ્યું, એમ માનીને કે આપણને વળી કોણ સવાલ કરશે? આજે માણસો જ હેરાન થઇ રહ્યા છે પણ જે માણસો થકી જ થઇ છે એ ભૂલ પર નજર કરી તેને સ્વીકારીને ધરમૂળથી પરિવર્તન કરવાની દિશામાં હજી કોઇ નક્કર પગલાં લેવાતાં હોય એવું લાગતું નથી. પ્રકૃતિ હવે જવાબ માગે છે – ક્યાંક દરિયો પુરાય છે તો ક્યાંક પહાડો ખોદાય છે તો ક્યાંક જંગલોનું નિકંદન નિકળે છે અને પોતે સચવાય એ માટે પ્રકૃતિ કોઇ શરતો મૂકી નથી શકતી અને લાલસાની દોટમાં હાંફતા માણસને પગ તળેથી ખસી રહેલી ધરતીની પરવા નથી.

જોશીમઠમાં જે હાલ થયા એની પાછળ અવગણના એક મોટું કારણ છે. અવગણના આ હકીકતોની – હિમાલય વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા છે એટલે તેના ઢાળમાં સ્થિરતા ન હોય, તે ઢીલી માટી પર ઘડાયેલા હોય એટલે ત્યાં ભેખડો ધસી પડવાની ઘટના સામાન્ય છે. વળી આ પ્રદેશને જ્યાં ધરતીકંપ વારંવાર થઇ શકે તેવો સંવેદનશીલ જાહેર કરાયો છે. આ તો નજર સામેની હકીકતો છે પણ પછી પર્યાવરણમાં આવતા નકારાત્મક પરિવર્તનો જેવા કે કમોસમી વરસાદ વગેરે પણ અણધારી બનતી ઘટનાઓ છે. મૂળે આ એવો પ્રદેશ છે જે બહુ સંવેદનશીલ છે – અને આ વાત જગજાહેર છે પણ છતાં પણ વિકાસને નામે અંધાધૂંધ બાંધકામ આપણને ચાલે છે. હા આ પ્રદેશમાં પણ રસ્તા, ગટર વ્યવસ્થા, રહેઠાણો હોવા જોઇએ પણ તેમાં પ્લાનિંગને નામે બિનશરતી કામ થાય છે તે શા માટે થવું જોઇએ? શું બંધ બાંધવામાં બાહોશ એન્જિનિયર્સને એ દેખાશે જ નહીં કે 520 મેગાવોટ તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટ પણ જોશીમઠની આ હાલતનું કારણ છે? 2021થી આજ સુધી આ જ વિસ્તારમાં ફ્લેશ ફ્લડ્ઝ આવ્યાં, ભેખડો ધસી પડવાના બનાવો થયા જેને કારણે ઋષિગંગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ ધોવાઇ ગયો અને 200 જણનાં જીવ પણ ગયાં. જેટલી પણ કુદરતી આફતો આવે છે તેમાં સીધો સંદેશ છે કે પ્રકૃતિનો – દરિયા, પહાડો, નદીઓ, જંગલો – તમામનો આદર કરતાં શીખો. તમે બોગદાં બાંધો, રોડ બાંધો અને ઘર ખડા કરી દો તે પહેલાં પ્રકૃતિની ક્ષમતા, તેની સગવડ, તેને થનારા નુકસાનની પણ ગણતરી કરો. આ વિસ્તારની નદીઓમાં એટલી તાકત છે કે તે એનર્જી પેદા કરી શકે, એની ના જ નથી પણ આપણે પેલી કહેવત પણ તો યાદ રાખવી પડે, “મીઠાં ઝાડનાં મૂળિયાં ન કપાય”, કેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનો બોજ આ નદી પર નાખવો જોઇએ – આ પ્રોજેક્ટ ખડા કરવાથી થતું નુકસાન ઓછામાં ઓછું હોય એવી રીતે પ્લાનિંગ થઇ શકશે ખરું? કોઇપણ પ્રદેશની સંવેદનશીલતા પ્રત્યે વિકાસ લક્ષી નેતૃત્વ અને કામ કરનારા એન્જિનિયરિંગ કોર્પોરેશન ક્યાં સુધી આંખ આડા કાન કરશે? વસાહતો અને શહેરો ધસી જવા માંડે, ડૂબી જવા માંડે ત્યાં સુધી?

સરકારી સમિતિમાં ગંગા અને એના પ્રવાહોને કાબૂમાં કરવાની વાતો થઇ હોવાનું તે સમિતિનો હિસ્સો રહી ચૂકેલા પર્યાવરણવાદીઓએ નોંધ્યું છે. નદીના વહેણ પ્રમાણે પ્રોજેક્ટ ન બને પણ પ્રોજેક્ટ માટે નદીનું વહેણ બદલી નાખવાની વાત થાય – આ કેટલું તાર્કિક છે? ક્લીન એનર્જીની લ્હાયમાં આપણે કુદરતી મર્યાદાઓ ભૂલી જઇને તે પ્રદેશની બાયોડાઇવર્સિટીને જોખમમાં મૂકી રહ્યા છીએ. ઉત્તરાખંડે 2021 અને 2022માં તારાજી જોઇ છે, હજી કેટલી એવી દુર્ઘટનાઓ આપણે થવા દેવી જોઇએ? વળી આપણે આ નુકસાન હમણાં જ વેઠ્યાં છે એમ નથી, 2013માં કેદારનાથની ઘટનામાં ગ્લેશિયર ડિઝાસ્ટરમાં ૧૦૦૦એ જીવ ગુમાવ્યો હતો.

આ તો જોશીમઠની વાત છે પણ મુંબઈ પર થયેલું સંશોધન પણ એક નકારી ન શકાય હકીકત છે તો ઝારખંડના ઝારિયામાં કોલસાની ખાણોમાં જે રીતે આડેધડ કામ થાય છે તેના કારણે પણ જંગલનો સફાયો, ભૂગર્ભ જળની ગુણવત્તા પર અસર – હવા અને જમીનના પ્રદૂષણના પ્રશ્નો, મહાકાય ઢગલાઓને કારણે જમીનનું ધોવાણ, કોલસાની રાખના થર, કોલસાના ઢગલા જેવી સમસ્યાઓ થાય છે જે માણસજાત અને પ્રાણી જીવનની સુરક્ષા ખોરવી રહી છે. જ્યાં અધધધ કોલસો છે એવા ઝારખંડમાં સ્કૂલ કે હૉસ્પિટલમાં વીજળીના વાંધા છે. આપણો આધાર કોલસાથી મળતી ઊર્જા પર જ છે અને રિન્યુએબલ એનર્જીની વાતો કરનારા કોલસાની કામગીરીને બંધ કરી દેવા માટે હજી માનસિક રીતે તૈયાર નથી. બીજી તરફ દર વર્ષે પૂરમાં હેરાન થનારું આસામ છે જ્યાં સાથે પ્રાણી અને માનવ જાત વચ્ચેનો સંઘર્ષ પણ સપાટી પર તરી આવે છે.

રિન્યુએબલ એનર્જીની વાત થાય ત્યારે એ પણ ગણતરીમાં લેવું પડે કે જ્યારથી ભા.જ.પા.ની સત્તા આવી છે ત્યારથી સમાજવાદી રાષ્ટ્ર ગણાતા આપણા દેશમાં રિન્યુએબલ એનર્જીમાં રોકાણો બમણાં થયાં છે પણ આ બધાં રોકાણ ખાનગી કંપનીઓએ કરેલાં છે. રિન્યુએબલ એનર્જીનું ખાનગીકરણ જે રીતે થઇ રહ્યું છે એ જોતાં આમ જનતાના ગજવા પર એનો ઝટકો કેવો હશે એની તો કલ્પના જ કરવી રહી.

બાય ધી વેઃ

વિકાસની વાતો પર્યાવરણને ગણતરીમાં લઇને કરવાની આપણી અણઆવડત વિનાશ નોતરશે. અત્યારે પણ એ થઇ જ રહ્યું છે પણ આપણામાં એ સ્વીકારવાની દાનત કે હિંમત બન્ને ય નથી. આપણા દેશમાં ઊર્જાની જે રીતે માગ છે એ જોતાં આપણે એક રાષ્ટ્ર તરીકે ક્લાઇમેટ ચેન્જની દિશામાં ઝડપથી ચાલવું પડશે અને નક્કર પગલાં લેવાં પડશે. વૈશ્વિક સ્તરે ભારત ગ્લોબલ વોર્મિંગમાં ભાગ ભજવતા હોય તેવા 7 ટકા તત્ત્વો ઓકે છે અને વિકાસની સાથે આ આંકડો પણ વિકસશે. આવનારી પેઢીઓનું અને આ પૃથ્વીનું ભવિષ્ય સુધ્ધા વૈશ્વિક નેતૃત્વના અભિગમ પર આધારિત છે. આપણે અશ્મિગત ઇંધણ પરનો આધાર ઘટાડીશું તો કદાચ કંઈ મેળ પડે, બાકી જોશીમઠ વાળી જુદાં જુદાં ભૌગિલક સ્થળો પર સમયાંતરે થતી રહેશે અને આપણે પર્યાવરણની હાયપીટ કર્યા કરીશું પણ કોઇ નક્કર રસ્તો નહીં મળે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2211,2221,2231,224...1,2301,2401,250...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved