Opinion Magazine
Number of visits: 9458294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થીઓની તો ન હોય, પણ યુનિવર્સિટીઓની પરીક્ષા લેવાની લાયકાત છે?

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|17 October 2022

નવી શિક્ષણ નીતિનાં સરકાર અને તેનાં સમર્થકો વખાણ કરે તેનો તો શો વાંધો હોય, પણ જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે, ત્યાં સુધી શિક્ષણનો સર્વનાશ થઈ રહ્યો છે ને દુ:ખદ એ છે કે સરકારનો અંધાપો કોઈ રીતે દૂર નથી થતો. નબળાઈઓ ન જોવી ને સરકારની આરતી ઉતાર્યા કરવી એ અહીંનાં શિક્ષણ જગતમાં કોઈ જીવલેણ રોગની જેમ લાગુ પડી ગયું છે. વધુને વધુ ફી વસૂલવાનું જેટલું ભાન શૈક્ષણિક સંસ્થાઓને છે એટલું શિક્ષણ અને પરીક્ષા લેવાની બાબતમાં નથી જ ! છબરડો ન વાળે એવી યુનિવર્સિટી હજી સ્થપાઈ નથી. યુનિવર્સિટી હોય તો, છબરડો તો વાળે જ ! સીધું સાદું ભણવાનું ને ભણાવવાનું હવે લોહીમાં જ રહ્યું નથી. બધે જ કોઈકને કોઈક પ્રકારની રમત રમાયાં કરતી હોય એવું લાગે છે. એટલું સારું છે કે વિદ્યાર્થીઓ ઘણું ખરું વર્ગખંડોની બહાર જ ભણતા હોય છે એટલે અધ્યાપકોને વગોવવાનો અર્થ નથી. એમ તો અધ્યાપકો વાંચે પણ છે, પણ વિદ્યાર્થીઓ ઓછું જ આવતા હોવાથી એમનાં વાંચનનો લાભ વર્ગખંડોને બહુ મળતો નથી. ટૂંકમાં, ભણતર સ્વૈચ્છિક થઈ ગયું છે ને પરીક્ષા અને ફી ફરજિયાત થઈ ગઈ છે. યુનિવર્સિટી કોઈ પણ હોય, તેનું પરીક્ષાતંત્ર સદંતર ખાડે ગયું હોય તેવી સ્થિતિ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ ન હોય કે પરીક્ષામાં કોપી કરતાં પકડાય તો તેની સામે શિક્ષાત્મક પગલાં લવાય છે, પણ યુનિવર્સિટી જ પરીક્ષા લેવામાં દાટ વાળે તો તેનું ક્યાં જઈને રડવું તે પ્રશ્ન જ છે. યુનિવર્સિટીનાં કામનો મહત્ત્વનો ભાગ છે – પરીક્ષા. તે લેવાનું જ તેને ભાન ન હોય એ કેવું?

એક સમય હતો જ્યારે શિક્ષણ સમિતિનું પણ પેપર લીક થતું નહીં ને હવે પેપર લીક ન થતું હોય એવી યુનિવર્સિટી જડવી મુશ્કેલ છે. પરીક્ષા નક્કી હોય, તે લેવાનો સમય, સ્થળ નક્કી હોય, કયા વિષયની પરીક્ષા છે તે મહિનાઓ અગાઉ નક્કી થયું હોય ને પરીક્ષાના એના મોકે જ એકને બદલે બીજા વિષયનું પેપર અપાઈ જાય ને એની કોઈને જ શરમ ન હોય એ અસહ્ય છે. બોર્ડની એકઝામમાં એવું બન્યું છે કે નજીકનાં જ કોઈ વર્ષનું પેપર બેઠું જ પુછાયું હોય, ત્યારે થાય કે પરીક્ષાની મહેનત વિદ્યાર્થીને ન ફાવે તો તેનો શું વાંક, જયાં પેપરસેટર જ હરામનું કોઈ પેપર ઉઠાવીને મૂકી દેતો હોય ને જરા જેટલી મહેનત કરવા રાજી ન હોય? કેમ થાય છે, આવું? જે ક્ષેત્ર સૌથી વધુ શુદ્ધ હોવું જોઈએ, તે શિક્ષણનું ક્ષેત્ર જ આટલું ભ્રષ્ટ કેમ? એનો એક જ જવાબ છે, રાજકારણ. રાજકારણમાં તો હરામીઓ પેદા થયા જ, પણ તેણે બીજાં ક્ષેત્રોમાં પણ હરામીઓ પેદા કર્યા ને કારભાર એવા લોકોના હાથમાં આવતા ન્યાય, રક્ષણ, શિક્ષણ જેવાં ક્ષેત્રો પણ ભ્રષ્ટ થયાં. દરેક ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર આજે રાજકારણી જ બિરાજે છે. તે શ્રેષ્ઠ હોય તો આનંદ જ થાય, પણ એવું બહુ ઓછું છે. કોઈ કુલપતિ કે કોઈ અધિકારી ઉત્તમ હશે જ, કોઈ યુનિવર્સિટી કે કોઈ તંત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં આવતાં, ત્યાં સારું થતું જ હશે, પણ એ બધું એટલું જ વ્યાપક હોત, તો, તો જોઈતું જ શું હતું? કમભાગ્યે માથે હાથ દેવા જેવું જ વધુ છે.

ક્યાંક શિક્ષણની રીતિ-નીતિઓ જ એવી રહી છે કે ભ્રષ્ટતા સામેથી દોડતી આવે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુ.જી.સી.) જ્યારથી યુનિવર્સિટી અધ્યાપકો માટે પીએચ.ડી. ફરજિયાત કર્યું ને તે ઉપરાંત પણ અન્ય સંબંધિત પરીક્ષાઓ પાસ કરવાનું ફરજિયાત કર્યું, ત્યારથી સંશોધન રસનો વિષય ન રહેતાં ફરજનો ભાગ બની ગયું. નોકરી મેળવી આપે એવાં સંશોધનનાં કારખાનાં શરૂ થયાં. થોડીક સામગ્રી નાખો ને પીએચ.ડી.નાં જુદા જુદા સર્ટિફિકેટો હાજર થઈ જાય. ફી ભરો ને પૈસા ખર્ચો તો ગાઈડ જ થીસિસ લખી આપે ને ઘરે સર્ટિફિકેટ આપી જાય એની નવાઈ ન રહી. આમ પરીક્ષાનાં ઠેકાણાં નહીં, પણ બધાંમાં જ એન્ટ્રન્સ ટેસ્ટ દાણચોરીના માલની જેમ ઘૂસી ગઈ. પરીક્ષાનું કોઈ મહત્ત્વ જ વધુ પડતી પરીક્ષાઓએ ન રહેવા દીધું. બાકી હતું તે સેમેસ્ટરને લીધે પરીક્ષાઓની સંખ્યા વધી ગઈ. પરીક્ષાનાં પેપરો ફૂટતાં રહેતાં હોય, એકને બદલે બીજી પરીક્ષાનું જ પેપર અપાઈ જતું હોય, બુદ્ધિની કસોટી કરનારા, બુદ્ધિ ધરાવતાં ન હોય, ત્યાં પરીક્ષા, પરીક્ષા લીધે રાખવાથી ફીની આવક સિવાય જ્ઞાન તો શું વધે? એવા સફળ થયેલાઓ શિક્ષણમાં જોડાય ને એમના હાથમાં કારભાર આવે તો ઓછામાં ઓછો શિક્ષણનો દાટ તો વળે જ ! વળ્યો.

આમ લખીને હું, શિક્ષણને જ્યાં ગંભીરતાથી લેવાયું છે ને જ્યાં ખરેખર જ્ઞાનની શોધનો હેતુ છે એ ક્ષત્રને ને એની વ્યક્તિઓને અન્યાય કરું છું. એ સૌનો સતત આભાર અને ઋણ સ્વીકાર જ હોય, પણ એવું બહુ ઓછું છે ને જે દૂષણો વ્યાપક અને ઊંડા છે તેને વિષે વાત ન કરું તો પણ એવા લોકોને ન્યાય ન થાય. એટલે એને વિષે પણ કહેવા જેવું કહેવું જ પડે.

આજકાલ સુરતની એમ.ટી.બી. કોલેજ ચર્ચામાં છે. બન્યું એવું કે શુક્રવારે બી.એ. સેમેસ્ટર-3ની પરીક્ષાનાં પેપરનું પેકેટ એક દિવસ વહેલું ખૂલી ગયું ને વાત વીર નર્મદ યુનિવર્સિટી સુધી પહોંચી. વિદ્યાર્થી સંગઠનોએ જવાબદારો સામે પગલાં ભરવાની તાકીદ કરી. યુનિવર્સિટીએ પેપર બદલીને પરીક્ષા લીધી, તપાસ સમિતિ પણ રચી. આચાર્ય, સુપ્રિન્ટેન્ડેન્ટનાં નિવેદનો લેવાયાં. ત્રણેક જવાબદારોને યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કર્યાં. એનું તો રાબેતા મુજબ જે થતું હશે તે થશે અથવા કૈં નહીં થાય એમ પણ બને, પણ એક તરફ નર્મદ યુનિવર્સિટીનાં ચાર ચાર વિદ્યાર્થીઓને તાઈવાનમાં સંશોધન માટે સ્કૉલરશિપની પ્રશંસનીય ઘટના બનતી હોય ને બીજી તરફ પેપર ખૂલવાની ઘટના બને ત્યારે ક્ષોભજનક પરિસ્થિતિ જ સર્જાય. એમ લાગે છે કે કોલેજે પોતાની અનુકૂળતા માટે એક દિવસ પેપર વહેલાં ખોલી નાખવાનું સ્વીકાર્યું છે. આ સાચું હોય તો તે શરમજનક છે. બીજે દિવસે નહીં પહોંચી વળાય એવું લાગતાં કોલેજ એક દિવસ વહેલું પેપર ખોલી નાખે એ બરાબર નથી. પરીક્ષાના પ્રશ્નપત્રોની ગોપનિયતા ગંભીર બાબત છે. એમાં ઢીલાશ દાખવવામાં આવે તો પરીક્ષાનો કોઈ અર્થ રહેતો નથી, એ શતાબ્દી વટાવી ચૂકેલી એમ.ટી.બી. જેવી કોલેજને કહેવાનું ન હોય. જો વર્તમાનપત્રો એક દિવસ વહેલાં પ્રગટ નથી થતાં તો પ્રશ્નપત્રો વહેલાં જાહેર ન જ કરાય, એટલી સાદી સમજ તો દરેક શૈક્ષણિક સંસ્થાએ દાખવવાની રહે જ છે.

પેપરલીકના મામલામાં તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પાછળ નથી. પેપર લીક થતાં, ત્યાં બી.કોમ-5ની પરીક્ષા રદ્દ કરવામાં આવી ને એ 18 ઓક્ટોબરે લેવાની વાત હતી. આવી પરિસ્થિતિમાં યુનિવર્સિટીના હોદ્દેદારો ચામડી બચાવવા રજા પર ઊતરી જવામાં પણ સંકોચ અનુભવતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ એમ જ રજા પર ઊતરી ગયા. જાત પર ન આવે એટલે જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ પણ, પરીક્ષાની વાત મહિનાઓ સુધી દબાવી રાખી. વાત એવી હતી કે 15 ફેબ્રુઆરી, 2022ને રોજ બી.એડ્ની હિન્દી વિષયની પહેલાં સેમેસ્ટરની પરીક્ષામાં સેકન્ડ સેમેસ્ટરના કોર્સનું પેપર અપાયું. પેપર હાથમાં આવ્યું એટલે વિદ્યાર્થીઓ ગૂંચવાયા ને વાત કુલપતિ સુધી પહોંચી. વાત વણસે નહીં એટલે વિદ્યાર્થીઓને જે લખવું હોય તે લખવાનું કહેવાયું અને તેમને ખાતરી આપવામાં આવી કે જે લખાશે તેને સાચું માનવામાં આવશે. વિદ્યાર્થીઓને કશું આવડતું ન હતું, તો ય જે લખ્યું તે પરથી બધાંને પાસ કરી દેવાયા. એટલું જ નહીં, 108 વિદ્યાર્થીઓમાંથી 80 ટકાને 35માંથી 35 માર્કસ આપવામાં આવ્યા. આ એટલે કરવામાં આવ્યું કે કુલપતિની ટર્મ પૂરી થતી હતી ને તેમને આંચ ન આવે એટલે વિદ્યાર્થીઓને એ સેમેસ્ટરનું લખવાનું કહેવામાં આવ્યું જે ભણાવાયું ન હતું. વિદ્યાર્થીઓ પણ માર્કસ મળવાની લાલચે ચૂપ રહ્યા ને પાપમાં ભાગીદાર થયા. જે કાળી ટીલી ચોંટવાનો ભય હતો, તે ટીલી તો પછી પણ કુલપતિને ચોંટી જ ! એ ખરું કે એ વાત જોડે એમને પછી કોઈ લેવાદેવા ન હતી, પણ નામ તો ચર્ચામાં આવ્યું જ !

કુલપતિ કક્ષાની વ્યક્તિ, જવાબદારો સામે પગલાં ભરવાને બદલે, વિદ્યાર્થીઓને ખોટુંખરું લખવાનું સામેથી કહે ને ખાતરી આપે કે જે લખાશે તેને સાચું માનવામાં આવશે ને એવું લખનારાઓમાંથી 80 ટકાને 35માંથી 35 એટલે કે 100 ટકા માર્કસ અપાય ને તે પણ નરસિંહ મહેતાનાં નામ પર, તે તો કોઈ રીતે દયાને પાત્ર પણ નથી. આ કેવળ ને કેવળ ગુનો છે ને એને એ રીતે જ ટ્રીટ કરવો જોઈએ. આવું કરવાનું જેમને કહેવામાં આવ્યું ને જેમણે તે કર્યું એ વિદ્યાર્થીઓ બી.એડ્.ના છે જે આગળ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવવાના છે. જે વિદ્યાર્થીઓ માર્ક્સની લાલચે ચૂપ રહે ને કોઈ આદર્શ, સિદ્ધાંત વગર કુલપતિના ગુનાહિત પગલાંમાં ભાગીદાર બને, તે ધૂળ ભણાવવાના હતા ! આ બધાં પરથી પણ શિક્ષણનો સ્તર કેટલો નીચે ગયો છે એ જોઈ શકાય એમ છે. કયા મોઢે એ, એવા વિદ્યાર્થીઓને ખોટું કરતાં રોકી શકશે? ગમે તે લખો ને માર્ક મેળવો-ની સ્કિમ કોઈ યુનિવર્સિટીએ શરૂ કરવી જોઈએ, કારણ, શિક્ષણ એટલે આંકડા, માર્કસ, એથી વિશેષ કૈં નથી. આંકડા વધુને વધુ મેળવવા હવે ભણવાની જરૂર પણ નથી. યુનિવર્સિટી કક્ષાએ ભણવું એટલે માર્કસ એટલું જ બચ્યું છે કે બીજું કૈં? તો, પછી સ્કૂલ, કોલેજમાં ન ભણનારને જ પંડિત ગણવામાં શું ખોટું છે? નથી લાગતું કે આખા ગુજરાતનું શિક્ષણ શતમુખી વિનિપાતની ધારે આવીને ઊભું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઑક્ટોબર 2022

Loading

નવા CJI ડી.વાય. ચંદ્રચુડ : લોખંડી હાથોની ઉદારતા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 October 2022

અલ્હાબાદ હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને મુંબઈ હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ ધનંજય યશવંત ચંદ્રચુડ, ભારતના નવા ચીફ જસ્ટિસ(સી.જે.આઈ.)નો કાર્યભાર સંભાળશે. હાલના 49મા સી.જે.આઈ. ઉદય ઉમેશ લલિત, 47 દિવસના કાર્યભાળ પછી, 8મી નવેમ્બરે નિવૃત્ત થાય છે. જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ સારો એવો લાંબો બે વર્ષનો રહેશે. (ટેકનિકલી, જસ્ટિસ લલિતે તેમના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ ચંદ્રચુડના નામની ભલામણ સરકારને મોકલી છે. તેમના નામ પર મત્તું મારવાનું બાકી છે.)

સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં એવું પહેલી વાર બનશે કે પિતા-પુત્ર બંને સી.જે.આઈ. બન્યા હોય. જસ્ટિસ ચંદ્રચુડના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ, સૌથી વધુ લાંબો સમય, એટલે કે સાત વર્ષ સુધી (1978-1985) સી.જે.આઈ. તરીકે રહ્યા હતા. પૂણેમાં જન્મેલા જસ્ટિસ વાય.વી. ચંદ્રચુડ ચમરબંધીને પણ નહીં છોડવા માટે જાણીતા હતા અને એટલે તેમનું નામ ‘લોખંડી હાથ’ પડ્યું હતું.

મોરારજીભાઈની સરકારમાં, તેમણે ભૂતપૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધીને, ‘કિસ્સા કુર્સી કા’ નામની ફિલ્મની પ્રિન્ટને બાળી નાખવાના કેસમાં જેલમાં પૂરી દીધો હતો. ઇન્દિરા ગાંધીએ સત્તામાં વાપસી કરી, તે પછી તેઓ સરકારના સખ્ત ટીકાકાર બની ગયા હતા અને ન્યાયતંત્રની સ્વયાયતત્તા બચાવી રાખવા બહુ પ્રયાસો કર્યા હતા.

નવેમ્બરની 11મી તારીખે 63 વર્ષ પૂરાં કરનારા તેમના પુત્ર જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ તેમના પિતાના બે જજમેન્ટની ઉલટાવી નાખવા માટે જાણીતા છે. 2017માં, સુપ્રીમ કોર્ટની નવ બેંચના એક સભ્ય તરીકે તેમણે નિજતાના અધિકાર(રાઈટ ટૂ પ્રાઈવસી)ને મૂળભૂત અધિકાર તરીકે બહાલ કરીને ઇન્દિરા ગાંધીની 1975ની કટોકટીનું સમર્થન કરતા એક આદેશને ખારીજ કરી નાખ્યો હતો. તેમના પિતા ઇન્દિરા ગાંધીની સરકારમાં કટોકટી લાદવાના રાષ્ટ્રપતિના અધ્યાદેશને તેમના પિતાએ વ્યાજબી ઠેરવ્યો હતો.

તે વખતે સિનિયર ચંદ્રચુડને સમાવતી પાંચ જજોની બેન્ચે મૂળભૂત અધિકારોને સસ્પેન્ડ કરવાનો આદેશ કરીને કહ્યું હતું કે લોકો તેમના અધિકારોની રક્ષા માટે અદાલતો પાસે પણ જઈ નહીં શકે. તે વખતે જસ્ટિસ એચ.આર. ખન્નાનો એક માત્ર અવાજ અલગ પડ્યો હતો. તેમણે કહ્યું હતું, “અત્યારે કાનૂનનું રાજ દાવ પર લાગ્યું છે … સવાલ એ છે કે કોર્ટની સત્તા મારફતે બોલતા કાનૂનને તદ્દન મૂંગો કરી દેવાય?”

41 વર્ષ પછી, તેમના પુત્રએ આ આદેશને ‘ગંભીર રીતે ત્રુટીપૂર્ણ’ ગણાવ્યો હતો અને જસ્ટિસ ખન્નાની સરાહના કરી હતી. જુનિયર ચંદ્રચુડે કહ્યું હતું, “જસ્ટિસ ખન્નાના મતનો તેની વૈચારિક તાકાત અને દૃઢતા માટે આદર કરવો જોઈએ.”

જસ્ટિસ ચંદ્રચુડ બીજીવાર તેમના પિતાથી અલગ પડ્યા હતા, વ્યભિચારના કેસમાં. 2018માં, તેમની એક બેન્ચે બહુમતીથી વ્યભિચારને એક પુરુષ દ્વારા બીજા પુરુષ પર થતા અપરાધના દાયરામાંથી મુક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વ્યભિચાર છૂટાછેડા માટેનું નક્કર કારણ બની શકે, પણ તે દંડને પાત્ર અપરાધ નથી. 1985માં, સિનિયર ચંદ્રચુડે વ્યભિચારના કાનૂનને બંધારણીય ગણાવ્યો હતો. તે મુજબ એક પુરુષ બીજા પુરુષની પત્ની સાથે સંભોગ કરે તો તે વ્યભિચારનો અપરાધ કહેવાય.

2017માં, એક પિટીશન પર તેમના પુત્રએ એ દલીલને માન્ય રાખી હતી કે મહિલાનો પતિ પર પુરુષ સામે વ્યભિચારનો અપરાધ દર્જ કરાવી શકે છે, પરંતુ એ ‘અપરાધ’માં તેની પત્ની સામે ફરિયાદની જોગવાઈ નથી. અરજીકર્તાએ કહ્યું હતું કાનૂનમાં સ્ત્રીને કેમ અલગથી જોવામાં આવે છે? તેમની બેન્ચે અપરાધની જોગવાઈને ગેરબંધારણીય ઠરાવી હતી.

સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ સૌથી વધુ વખત બંધારણીય બેંચોમાં રહી ચુક્યા છે, જેમાં મોટા ભાગે રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ કેસો આવે છે. આવા સામૂહિક જજમેન્ટમાં જસ્ટિસ ચંદ્રચુડ ભિન્ન મત માટે જાણીતા છે. ઇન ફેક્ટ, તેઓ ભિન્ન મત(ડિસેન્ટ)ને ‘લોકશાહીનો સેફટી વાલ્વ’ ગણે છે.

આધાર કાર્ડની નીતિ પર તેમણે આપેલા ઐતિહાસિક ભિન્ન મતમાં કહ્યું હતું કે આ યોજના મનુષ્યને 12 ડિજીટના એક આંકડામાં ફેરવી દેશે. ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ કાર્યકરોના અધિકારોનું રક્ષણ કરતા અભિપ્રાયમાં તેમણે ન્યાયિક વ્યવસ્થાને યાદ અપાવ્યું હતું કે અટકળોની વેદી પર ભિન્ન મતનું બલિદાન આપી ન દેવાય. તેમના લઘુમતી ફેંસલામાં તેમણે લખ્યું હતું, “ભિન્ન મત જીવંત લોકશાહીનું પ્રતિક છે. બીજાને પસંદ ન હોય એવા અંદોલન માટે સજા કરીને વિરોધી મતને કચડી ન નખાય.”

તાજેતરમાં તેમના ચર્ચાસ્પદ ફેંસલામાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે પરણેલી હોય કે કુંવારી, સ્ત્રીને ગર્ભપાતનો એક સમાન અધિકાર છે. એ જ ફેંસલામાં તેમણે એક આડવાત તરીકે ટિપ્પણી કરી હતી કે પતિની તેની પત્ની પર સેકસુઅલ જબરદસ્તી બળાત્કારનું રૂપ ધારણ કરી શકે છે. આ ટિપ્પણી, લગ્નમાં પણ બળાત્કાર થાય છે તેના માટે અપરાધિક જોગવાઈની માંગણી કરતાં કર્મશીલો માટે ભવિષ્યમાં કાનૂની લડાઈનો આધાર બની શકે છે.

તેમણે સમલૈંગિકતાને પણ અપરાધના દાયરામાંથી બહાર કાઢતો ફેંસલો આપ્યો હતો. તે ફેંસલામાં તેમણે કહ્યું હતું કે, “એક કાયદાના કારણે એલ.જી.બી.ટી. સમુદાય દોઢસો વર્ષ સુધી ભોગવતો રહે તે સારું ન કહેવાય. ઇતિહાસમાં થયેલા અન્યાયને તો ઠીક નથી કરી શકાતો પણ આપણે ભવિષ્યનો રસ્તો તો કંડારી શકીએ છીએ.”

સૈન્યમાં સ્ત્રીઓને કાયમી નોકરી (પર્મેનન્ટ કમિશન) આપવાના એક અન્ય ઐતિહાસિક ફેંસલામાં જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે સ્ત્રીઓને કમાન્ડની કામગીરીમાંથી તદ્દન બાકાત રાખવી તે અનુચિત છે અને બંધારણની વિરુદ્ધ છે. સ્ત્રીઓની ક્ષમતા પર જ્યારે શંકા કરવામાં આવે ત્યારે તે સ્ત્રીઓ ઉપરાંત સૈન્ય માટે પણ અપમાનજનક છે.

તેઓ નવા સી.જે.આઈ. બનવાના છે તેવી ‘ગંધ’ આવતાં, સુપ્રીમકોર્ટ એન્ડ હાઇકોર્ટ લિટિગન્ટ એસોસિયેશન નામના કોઈ સંગઠનના કથિત પ્રેસિડેન્ટ રશીદ ખાન પઠાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખીને (જે મીડિયામાં લીક કરવામાં આવ્યો હતો), જસ્ટિસ ચંદ્રચુડ સામે અનેક આરોપો કર્યા હતા. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને અને મુંબઈ બાર એસોસિયેશને જો કે આ પત્રની નિંદા કરી હતી અને તેને જસ્ટિસ ચંદ્રચુડની પ્રતિષ્ઠાને હાની પહોચાડવાનું કાવતરું ગણાવ્યું હતું. બાર એસોસિયેશને તેમને જસ્ટિસ ચંદ્રચુડમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાનું પણ કહ્યું હતું.

જસ્ટિસ ચંદ્રચુડની છબી એક ઉદાર અને પ્રગતિશીલ જજ તરીકેની છે. સુપ્રીમ કોર્ટના ન્યાયિક વર્તુળમાં તેઓ ક્રાંતિકારી જજ તરીકે જાણીતા છે. તેમના જજમેન્ટથી તો તેઓ ચર્ચામાં રહેતા જ આવ્યા છે. તેઓ પારદર્શકતામાં વિશ્વાસ રાખે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચોની સુનાવણીઓનું યુટ્યુબ મારફતે લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો તાજેતરમાં જ તેમણે આદેશ આપ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, “કોર્ટની કાર્યવાહીમાં શું થઇ રહ્યું છે તે જાણવાનો નાગરીકોને અધિકાર છે. તેનાથી ન્યાયતંત્રનું જ કલ્યાણ થશે.”

બે વર્ષની કોરોનાની મહામારી વખતે તેમણે સુપ્રીમ કોર્ટમાં ટેકનોલોજીનો ઉપયોગ દાખલ કર્યો હતો અને ઓનલાઈન સુનાવણીનો પ્રારંભ કર્યો હતો. તાજેતરમાં તેમણે તેમના વડપણ હેઠળની બંધારણીય બેંચને ‘પેપરલેસ’ જાહેર કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં કામ કરતાં વકીલો અનુસાર તેઓ બહુ મહેનતુ છે, દરેક કેસનો ઝીણવટથી અભ્યાસ કરે છે, સમયસર કોર્ટમાં આવી જાય છે, તેમનાં જજમેન્ટ અત્યંત રોચક અને સીધાંસટ હોય છે – જેથી મીડિયાને હેડલાઇન્સ મળી રહે છે અને વકીલોને વાંચવાની મજા આવે છે. તેઓ વાતચીતમાં ઉદાર છે અને યુવાન વકીલોને કોર્ટમાં પ્રેરણા આપતા રહે છે.

જસ્ટિસ ચંદ્રચુડ તેમના પિતાની જેમ ‘લોખંડી હાથે’ કામ કરશે કે તેમ એ તો ખબર નથી, પણ તેમના કેરિયર-ગ્રાફ પરથી એક વાત સમજાય છે કે તેઓ ન તો વ્યવસ્થાની સાવ ડાબી બાજુ કે સાવ જમણી બાજુ એકદમ ઢળી જતા નથી અને મધ્યમ અવસ્થા બનાવી રાખે છે. તેઓ દરેક પ્રકારના વિચારો અને સંજોગોની સાથે રહીને ચાલનારા છે. તાજેતરમાં જ, ઓડીસાની નેશનલ લો યુનિવર્સિટીના કોન્વોકેશન પ્રસંગે તેમણે કહ્યું હતું;

“સમાવેશી અને બહુતાવાદી કાનૂન આપણા સમાજના અસ્તિવ માટે અનિવાર્ય છે. આપણે જ્યારે લોકોમાં વિભિન્ન મત હોય છે તેવું સ્વીકારીએ છીએ ત્યારે આપણે તેનું સન્માન પણ કરવું જોઈએ. એક વિદ્યા તરીકે કાનૂન તેમાં વિવેકબુદ્ધિ લાવે છે. આપણે એકબીજા સાથે વિવેકબુદ્ધિથી પેશ આવીએ છીએ અને સંઘર્ષપૂર્ણ મુદ્દાઓમાં મારામારી નથી કરતા કે એક બીજા પર હથિયારો નથી ચલાવતા. આનો અર્થ સહિષ્ણુતા નથી. કોઈના પ્રત્યે સહિષ્ણુ હોવું એટલે તે આપણને પસંદ નથી અને આપણે તેને સહન કરી લઈએ છીએ. ઊલટાનું, સહિષ્ણુતા એટલે તમારા મત સાથે મળતા ન આવતા હોય તેવા મતનું સન્માન કરવું તે.”

લાસ્ટ લાઈન :

“રાજ્ય જેટલું વધુ ભ્રષ્ટ હોય, તેમાં તેટલા વધુ કાનૂન હોય.”

— ટેસિટસ, પ્રાચીન રોમનો ઈતિહાસકાર

પ્રગટ : ‘ક્રોસલાઈન’, “ગુજરાતી મિડ-ડે”, 16 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બુનિયાદી માણસાઈ કરતાં વધારે મૂલ્યવાન કોઈ ચીજ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|16 October 2022

આપણે પ્રગતિશીલ મુસલમાનોએ અપનાવવા જોઈતાં વલણ વિષે વાત કરી રહ્યા છીએ.

ઇસ્લામ મહાન ધર્મ છે, ઇસ્લામ શાંતિનો ધર્મ છે, ઇસ્લામ સમાનતામાં માને છે, ઇસ્લામમાં ખુદા અને બંદા વચ્ચેનો સંબંધ વચેટિયાઓ વિનાનો સીધો અને સરળ છે, વગેરે દલીલો કરવાનો કોઈ અર્થ નથી. અર્થ એટલા માટે નથી કે જગતના દરેક ધર્મ એકંદરે મહાન છે. દરેક ધર્મમાં અંદાજે ૯૦ ટકા ધર્મવચનો માનવતાનો મહિમા કરનારાં હોય છે, અને માટે, તે સ્થળ અને કાળને અતિક્રમીને પ્રાસંગિકતા ધરાવતાં હોય છે, પણ દસેક ટકા વચનો એવાં પણ હોય છે જે વર્તમાન યુગમાં અને જગતના કેટલાક પ્રદેશોમાં અપ્રાસંગિક હોય છે અને આજના સભ્યતાના માપદંડોથી માપતા અમાનવીય હોય છે. જેમ કે સવર્ણો હરિજનો સાથે દુર્વ્યવહાર કરે ત્યારે હું ઉપનિષદનાં મહાન વચનો ટાંકીને હિંદુ ધર્મનો અને એ દ્વારા હિંદુઓનો બચાવ કરું તો તેનો કોઈ અર્થ નથી. મારી ફરજ બને છે કે હું એ યુવકની નિંદા કરું. તેના આવા વ્યવહારને જો કોઈ ધર્મવચનોનો કે ધાર્મિક રૂઢિઓનો કે પરંપરાનો સહારો મળતો હોય, તો હું કહું કે એ ધર્મવચનો આજના યુગમાં અપ્રાસંગિક છે, ત્યાજ્ય છે. બુનિયાદી માણસાઈ કરતાં વધારે મૂલ્યવાન કોઈ ચીજ નથી.

અસ્પૃશ્યતાના પ્રશ્ને ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર વચ્ચે જ્યારે ચર્ચા થઈ, ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે અસ્પૃશ્યતા અને બીજા દરેક પ્રકારના ભેદભાવ માણસાઈની એરણે માપીએ તો અસ્વીકાર્ય છે અને જે અસ્વીકાર્ય છે એનો સ્વીકાર કરવાનો તો સવાલ જ નથી આવતો. ખુદ ઈશ્વર આવીને મને માણસ માણસ વચ્ચે ભેદભાવ કરવાની શીખ આપે તો હું ઈશ્વરને કહીશ કે મને એ સ્વીકાર્ય નથી. ડૉ. આંબેડકરનો આગ્રહ હતો કે તમે કબૂલ કરો કે તમારો ધર્મ જ અન્યાય શીખવાડનારો અધૂરો અને અમાનવીય છે, અને માટે નિંદનીય છે. તમે કબૂલાત અને નિંદા કરો તો સાચા મહાત્મા. ગાંધીજીએ વળતી દલીલ કરી હતી કે જે અસ્વીકાર્ય છે એનો અસ્વીકાર કરવાની હું સલાહ આપું એ પૂરતું નથી? આમાં ધર્મવચનો અને ધાર્મિક પરંપરાની મર્યાદાનો સ્વીકાર નથી આવી જતો? આમાં માણસાઈ વધારે મોટી જણસ તરીકે સ્થાપિત નથી થતી? નિંદા કરીને શું હાથમાં આવવાનું છે? ધર્મની નિંદા કરવાથી ભેદભાવનો અંત આવવાનો નથી, ભેદભાવ છોડવાથી ભેદભાવનો અંત આવી શકે. પણ ડૉ આંબેડકરને ભેદભાવનો અંત આવે એનાં કરતાં ગાંધીજીને આરોપીનાં પિંજરામાં ઊભા રાખવામાં અને એ દ્વારા તેમને નાના ચિતરવામાં વધુ રસ હતો.

ઇસ્લામ અને મુસલમાનોની બાબતમાં આજે એવું બની રહ્યું છે કે કોઈ પ્રગતિશીલ મુસલમાન ગાંધીજી જેવું વલણ લેતો નથી અને મુસ્લિમ વિરોધી હિંદુઓ ડૉ. આંબેડકરની માફક પ્રગતિશીલ મુસલમાનને લલકારે છે. બોલ, બોલ, ઇસ્લામ ધર્મ અધૂરો છે, એમ બોલ. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં આવું બની રહ્યું છે. તેમને મુસલમાનના કલ્યાણમાં કોઈ રસ નથી, ઇસ્લામ ધર્મ અધૂરો છે એમ કહેવડાવવામાં વધુ રસ છે. આપણી ફરજ છે કે આપણે ઇસ્લામ ધર્મને ખુલ્લા મનથી સમજીએ. ઇસ્લામ અધૂરો છે અને આપણો ધર્મ સંપૂર્ણ અને મહાન છે એવા ગુમાન સાથે નહીં. આપણો ધર્મ પણ અધૂરો છે એવા ભાન સાથે ઇસ્લામને સમજવાની કોશિશ કરીએ. પ્રગતિશીલ મુસલમાનોના ધર્મસંકટને સમજીએ જે સમજાવવાનો મેં પ્રયાસ કર્યો હતો. અને સૌથી મોટી વાત એ કે તેમને સલાહ સાથે મોકળાશ પણ આપીએ. છાતી પર ચડીને કસોટી ન કરાય.

માણસાઈનો અને મૂળભૂત આધુનિક માનવીય મૂલ્યોની વાત આવે ત્યારે જરૂર પડ્યે ઇસ્લામની ઉપરવટ જઇને પણ માણસાઈ અને મૂલ્યોના પક્ષે ઊભા રહેવાની નાનકડી પહેલ પ્રગતિશીલ મુસલમાનોએ કરવી જોઈએ. ગાંધીજીની માફક. ધર્મની નિંદા કરવાની એમાં કોઈ જરૂર નથી. લલકારનારાઓ લલકાર્યા કરે.

જ્યાં દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે અને મુસલમાનોને દૃષ્ટિકોણ બદલવાની સલાહ આપવી જોઈએ એવો એક પ્રશ્ન વિશ્વ મુસ્લિમબંધુતા છે. વિશ્વભરના મુસલમાનોની એક બિરાદરી છે, કારણ તેઓ પહેલા અને છેલ્લા મુસલમાન છે અને એ પછી તે બીજું કાંઈ પણ છે. અંગ્રેજીમાં આને પેન ઇસ્લામિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ચુસ્ત મુસલમાન પોતાને ભારતીય મુસલમાન તરીકે નહીં, પણ મુસ્લિમ ભારતીય તરીકે ઓળખવે છે. તે મુસ્લિમ છે એ મુખ્ય છે ભારતીય છે એ એક અકસ્માત છે. આ કલ્પના રોમહર્ષક છે કે મુસલમાનોની એક વૈશ્વિક બિરાદરી હોય અને સુખદુઃખમાં મુસલમાનો સાથે હોય. 

બીજા કેટલાક ચુસ્ત મુસલમાનો વૈશ્વિક મુસ્લિમબંધુતા સ્થાપવા માટે અલગઅલગ પરિવેશમાં ઉછરેલા મુસલમાનોને એક સરખા સંઘેડાઉતાર ઘડવાનો પ્રયાસ કરે છે. તેમણે તેમની સમજ મુજબ અને જરૂરિયાત મુજબ મુસલમાનની કલમ વિકસાવી છે, અને પ્રયાસરત છે કે જગતભરના મુસલમાનો કલમ કરેલાં વૃક્ષની માફક એક સરખાં ઊગે અને વિકસે. તબલિગી જમાત અને બીજાં મુસ્લિમ સંગઠનો આને મિશન તરીકે જુએ છે.

પણ આ કલ્પના અવ્યવહારુ છે અને જે તે દેશમાં રહેતા મુસલમાનો માટે અડચણરૂપ છે. આમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. વળી નુકસાન મુસલમાનોને વધુ થઈ રહ્યું છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ઑક્ટોબર 2022 

Loading

...102030...1,2211,2221,2231,224...1,2301,2401,250...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved