Opinion Magazine
Number of visits: 9667575
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત મારો દેશ છે કે ભાર તમારો દેશ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 February 2023

રવીન્દ્ર પારેખ

આ દેશ વિષે મંત્રીઓ બોલે છે તો એટલું બધું ભવ્ય કાને પડતું રહે છે કે આટલું ગ્લેમર બીજે ક્યાં ય નહીં હોય એમ લાગે. કોઈ વિપક્ષ બોલે છે તો ક્યાં ય કશું સારું નથી એવી વાતો જ કાન કોતરતી રહે છે. સાચું બંનેમાં ખૂટે છે. સાચું એ છે કે કોઈ સાચું સ્વીકારવા તૈયાર નથી ને ભ્રષ્ટતા એટલી વ્યાપક અને ઊંડી છે કે સચ્ચાઈ સુધી નથી તો સાધારણ માણસ પહોંચતો કે નથી તો કોઈ નેતાની ઈચ્છા હોતી ત્યાં સુધી પહોંચવાની. આમ જોવા જઈએ તો આ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. એકમાં ભક્તો છે ને એકમાં વિરોધીઓ છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે આ બધાંમાં સાચું કહેનારા અને માનનારાની સંખ્યા નગણ્ય છે.

એક તરફ જી.એસ.ટી. ને પેટ્રોલ વગેરેમાંથી કરવેરા ઉપરાંત સરકાર જ લાખો કરોડોની કમાણીની જાહેરાત કરતી રહે છે, અનેક રીતે બજેટમાં લાખો કરોડો ફાળવાતા રહે છે, બીજી તરફ જરૂરી ચીજવસ્તુઓ કે વ્યક્તિઓ બાબતે આ દેશ ભયંકર અછત કે દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. ગરીબો માટેની અનેક મફત યોજનાઓ છતાં આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જ આવે છે. નોકરીમાં ઘણી બધી જગ્યાઓ તો ભરાતી જ નથી ને સૌને એડહોકથી જ કામ લેવાની ટેવ પડી ગઈ છે. એથી પૈસાની બચત થતી હશે, પણ જે તે જગ્યા પર બજાવાતી ફરજ ઓછી જ વિશ્વસનીય રહે છે. જ્યાં વ્યક્તિની જરૂર છે ત્યાં વિકલ્પોથી કામ લેવાય છે, એક તરફ શિક્ષિત બેકારોની સંખ્યા વધતી જ જાય છે ને બીજી તરફ હજારોની સંખ્યામાં છટણીનો ઉપક્રમ ચાલે છે, તે ત્યાં સુધી કે હવે તો રોબોટ્સને પણ છૂટા કરવામાં આવે છે. આમાં સાચું શું તે સમજાતું નથી. એ શરમજનક છે કે કેટલા ય શિક્ષિતોને નોકરી આપી શકાતી નથી ને કેટલાયને નોકરીએથી છૂટા કરવામાં આવે છે. શિક્ષણની જ વાત કરીએ તો જરૂરી શિક્ષકોની ભરતી થતી નથી ને બીજી તરફ પ્રવાસી શિક્ષકો અને વિદ્યા સહાયકોની હજારોની સંખ્યામાં ભરતી કરવાનો વાંધો નથી આવતો. એ સનાતન સત્ય સરકાર પોતે કબૂલે છે કે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ પૂરવા સરકારે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા માંડી છે. પહેલાં એ નિમણૂક ગ્રેજ્યુએટ ઉમેદવારથી થતી હતી. એ પછી એવું જ્ઞાન લાધ્યું કે એમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાય છે, તો હવે ઉચ્ચ લાયકાતવાળા શિક્ષકો નિમાશે. મતલબ કે અત્યાર સુધી લાયકાત વગરના શિક્ષકોથી કામ કાઢીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું શિક્ષણ તો દાવ પર લગાવ્યું જ. વધારે કમાલ એ છે કે હવે ‘લાયકાતવાળા’ અધિકારીઓ લાયકાતવાળા પ્રવાસી શિક્ષકો નીમશે. અહીં સવાલ એ થાય કે એવા લાયકાતવાળા શિક્ષકોને પ્રવાસી શિક્ષકો તરીકે નીમવાને બદલે શિક્ષકોની જે ઘટ છે એમાં જ સમાવાય તો એટલી ઘટ પૂરી થાય એવું નહીં? પૂરી લાયકાતવાળા શિક્ષકોને નિમણૂક આપ્યા પછી પણ જો એ પ્રવાસી શિક્ષક જ ગણાવાનો હોય તો જેની ઘટ છે એવા શિક્ષકો ક્યાંથી ને ક્યારે આવવાના છે ને તે આ પ્રવાસી શિક્ષકો કરતાં કઇ રીતે વિશિષ્ટ હશે એનો ફોડ શિક્ષણ વિભાગે પાડવો જોઈએ. વારુ, બધી રીતે લાયક હોય તે શિક્ષકને પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક આપીને શિક્ષણ વિભાગ શોષણના જ નવા પાઠ ભણાવશે કે બીજું કૈં? કારણ, ગરજનો માર્યો શિક્ષક તો પ્રવાસી શું, સ્વર્ગવાસી થવા પણ તૈયાર થશે, પણ એવી રીતે નિમણૂક કરીને શિક્ષણ વિભાગ પોતાની કેવીક શોભા વધારશે તે વિચારવા જેવું છે. લાગે છે તો એવું કે શિક્ષકોની ખરી ઘટ સરકાર પૂરવા જ નથી માંગતી. એમ ઘટ પૂરે તો શિક્ષકોને મળવાપાત્ર લાભો આપવા પડે, પણ એ લાભોની બચત કરીને શિક્ષણ વિભાગ ઓછો પગાર આપીને પ્રવાસી શિક્ષક કે વિદ્યા કે શિક્ષણ સહાયકોથી જ કામ કાઢવા માંગે છે. પ્રવાસી શિક્ષકોથી જ કામ કાઢવા સરકારે 300 કરોડનું બજેટ વધારીને 2023-‘24 માટે 531 કરોડ ફાળવ્યા છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 38,867 કરોડ ફાળવ્યા છે ને શિક્ષણનું કુલ બજેટ તો 43,651 કરોડ છે જે આ વખતનાં બજેટની સૌથી વધુ ફાળવણી છે. આટલું બજેટ ફાળવવા છતાં શિક્ષકોની ઘટ પુરાતી ન હોય ત્યારે પ્રશ્ન થાય કે એવી તે કેવીક ઘટ છે કે વર્ષોથી પુરાતી જ નથી? પુરાતી નથી કે પૂરવી નથી એનો ખુલાસો થવો જોઈએ. ખરેખર તો દર વર્ષે શિક્ષણ વિભાગે શિક્ષકોની ઘટ કેટલી પૂરી તેના વિગતવાર આંકડા બહાર પાડવા જોઈએ. વહેમ તો એવો પડે છે કે સાચી નિમણૂક કરવાને બદલે પ્રવાસી શિક્ષકોથી જ વિભાગ કામ કરવા માંગે છે, પણ એમ આંગળાં ચાટે પેટ ભરવાનો અર્થ નથી. જો આપણે પ્રવાસી રાષ્ટ્રપતિ, પ્રવાસી વડા પ્રધાન, પ્રવાસી જજ, પ્રવાસી રાજ્યપાલોથી ન ચલાવતા હોઈએ તો શિક્ષણ જેવાં સૌથી મહત્ત્વનાં ક્ષેત્રમાં પ્રવાસી શિક્ષકો કે વિદ્યાસહાયકો જેવી તકલાદી શૈક્ષણિક વ્યવસ્થાઓથી શું કામ ચલાવવું જોઈએ? એ શરમજનક છે કે આવી કામચલાઉ વ્યવસ્થાઓને કાયમી કરવાની માનસિકતાથી શિક્ષણ વિભાગ પીડાય છે.

આ અવદશા શિક્ષણની જ છે એવું નથી. ન્યાયની પણ આ જ હાલત છે. શનિવારે જ સુપ્રીમકોર્ટે એ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે કે જુલાઇ, 2022 સુધીમાં ઘરેલુ હિંસાના 4.71 લાખ કેસો પેન્ડિંગ છે. સુપ્રીમે સરકારનું ધ્યાન એ મુદ્દે દોર્યું છે કે મામલાઓના નિરાકરણમાં અને મહિલા સુરક્ષાના કાયદાના અમલમાં નડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે રાજ્યોના સચિવોની ત્રણ અઠવાડિયામાં બેઠક બોલાવવામાં આવે ને પડતર કેસોના નિકાલ અંગે નિર્ણય કરવામાં આવે. એ નોંધનીય છે કે ઘરેલુ હિંસા કાયદા અંતર્ગત થતી સંરક્ષણ અધિકારીઓની નિમણૂક ન્યાયિક કરકસરની ચાડી ખાય છે. એક જિલ્લામાં એક જ સુરક્ષા અધિકારીથી ચલાવાય છે ને તેની પાસે સરેરાશ 500થી 600 કેસ આવતા હોય છે. આ સ્થિતિ હોય તો કાયદાનો અસરકારક અમલ કરવાનું મુશ્કેલ જ છે. સુપ્રીમ ભલે કેન્દ્ર કે રાજ્યને આદેશ આપે, પણ 2001થી 2018 સુધીમાં ઘરેલુ હિંસામાં 53 ટકાનો વધારો થયો હોય તો ઓછી નિમણૂકોથી પણ આંગળાં ચાટીને પેટ ભરવા જેવું જ થશે કે બીજું કૈં? બીજે બધે જ ભવ્યતા ને ભરચકતાનો વાંધો ન આવતો હોય તો શિક્ષણ કે ન્યાયનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં નિમણૂકની કરકસર અક્ષમ્ય છે.

‘વી ધ વુમન ઑફ ઇન્ડિયા’ એ મહિલાઓ પરના ઘરેલુ હિંસાના નિરાકરણ સંદર્ભે સુપ્રીમમાં અરજી કરી ત્યારે એની સુનાવણીમાં પડતર કેસોની વિગતો બહાર આવી હતી. કોઈ પણ કોર્ટના પડતર કેસો ન્યાયનાં મૂળ તત્ત્વની અવગણનાનું જ પરિણામ છે એવું ખરું કે કેમ?

આ તો ઘરેલુ હિંસાના પડતર કેસોની વાત થઈ, પણ કોર્ટના કુલ પડતર કેસોની સંખ્યા 4.90 કરોડથી વધુ છે એવી જાહેરાત સ્વયં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ શનિવારે જ કરી છે. આટલી મોટી સંખ્યા માટે કાયદા મંત્રીશ્રીએ ન્યાયાધીશને નહીં, પણ સિસ્ટમને જવાબદાર ઠેરવી છે. સરકાર પગલાં લઈ રહી છે એવું રાબેતા મુજબનું વિધાન કરીને તેમણે બિનજરૂરી કાયદાઓ રદ્દ કરવાની વાત પણ કરી છે. કોર્ટને ટેક્નોલોજીથી સજ્જ કરવાની જરૂર પણ તેમને વર્તાઇ છે. એ જે હોય તે, પણ આટલા પેન્ડિંગ કેસો રાતોરાત થયા નથી. એક જ દિવસમાં ન્યાયાધીશ 50થી 60 કેસો સાંભળતા હોય, તો પણ કેસોની સંખ્યા વધે જ છે. તેનું સાદું કારણ એ કે નિકાલ થતાં કેસો કરતાં નવા આવનારા કેસોની સંખ્યા બમણી હોય છે. ટેક્નોલોજીથી કોર્ટો સજ્જ થાય તેનો તો વાંધો જ નથી, પણ કોર્ટની ને ન્યાયાધીશોની અછત પણ એક મહત્ત્વનું કારણ છે. કોર્ટો પાળીઓમાં ચલાવવી પડે એ સ્થિતિ હોય ત્યારે કોઈ પણ પ્રકારની રજા કોર્ટમાં ન પાળવામાં આવે એ પણ એક ઉપાય તરીકે વિચારવા જેવું છે. કોર્ટોએ સ્વતંત્રતા પછી વર્ષો સુધી વેકેશન ભોગવ્યું છે. અંગ્રેજોની એ વ્યવસ્થા એટલે ચાલુ રાખવાની જરૂર ન હતી, કારણ એસી કેબિનમાં કેસો ચાલતા હોય ત્યાં આવાં વેકેશન લકઝરી ગણાય ને કરોડો કેસો પેન્ડિંગ હોય ત્યારે આવી સગવડ ગુનાહિત ગણાવી જોઈએ. એસી ન હોય ત્યાં એવી સગવડ ઊભી કરીને પણ કેસોનો નિકાલ થાય એ અંગે વિચારાવું જોઈએ. હજી કેટલીક કોર્ટો વેકેશન પાળે છે, તો ત્યાં કેસો પડતર નથી એમ માનવાનું છે? ખરેખર તો ખૂટતી વ્યવસ્થાઓ ઊભી કરીને રાતદિવસ કોર્ટો ચાલુ રહેવી જોઈએ. એવું નહીં થાય તો પડતર કેસોની સંખ્યામાં વધારો જ થવાનો છે એ કહેવાની જરૂર નથી. આમ પણ કોર્ટમાં કોઈ બહુ જવા નથી કરતું. તેનું એક કારણ એ પણ ખરું કે ન્યાયમાં અસહ્ય વિલંબ હવે સહજ બાબત થઈ ગઈ છે. લોકો માણસો રોકીને કોર્ટની બહાર જ ન્યાય મેળવી લેતા થયા છે. આ રીતે ન્યાય મેળવવો પડે એ સ્થિતિ જ સૂચવે છે કે કોર્ટનો ન્યાય તેમને આશ્વસ્ત કરી શકે એવી સ્થિતિ રહી નથી.

એ અત્યંત દુ:ખદ છે કે પૂરતી કમાણી છતાં સરકારો જરૂરી જગ્યાઓ ન ભરીને, તેનાં સસ્તા વિકલ્પો સ્વીકારીને, ગુણવત્તાને ભોગે જે ધંધો કરે છે એનાથી નફો થતો હશે, પણ આમ કરીને તેણે શિક્ષણ અને ન્યાયનાં મહત્ત્વનાં ક્ષેત્રોની ગુનાહિત ઉપેક્ષા કરી છે ને એના પડઘા આવનારા સમયમાં દૂર દૂર સુધી પડવાના છે. જે સત્તા જ સ્વાર્થનો પર્યાય છે તે વર્તમાનને તો અસર કરે જ છે, પણ ભવિષ્ય પર પણ ચોકડી મારે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ફેબ્રુઆરી 2023

Loading

પ્રેમભંગ પામેલા મિત્રને રિલ્કેનો એક પત્ર

સુમન શાહ|Opinion - Opinion|26 February 2023

રિલ્કેનાં કાવ્યો અને તેમનું નિરાળુ સર્જનશીલ ચિન્તન બન્ને એકરૂપ છે, એકરસ છે. એવી કાવ્યસૃષ્ટિની જેમ એમની ગદ્ય-સૃષ્ટિ પણ એટલી જ મહિમાવન્ત છે.

અસ્તિત્ત્વવાદી ફિલસૂફો પ્રેમને અશક્યતા ગણે છે, કેમ કે શરણાગતિ હોય તો જ પ્રેમ સંભવે છે. પ્રેમના ઉગમકાળે વ્યક્તિ શરણે જાય પણ પોતાના સ્વાતન્ત્ર્યને ઝાઝા સમય લગી જતું ન કરી શકે, ક્યારેક તો પાછું મેળવીને જ રહે.

સાચું છે, પ્રેમના પ્રારમ્ભે તો નર-નારીને સ્વર્ગીય સુખનો અનુભવ થાય છે, પણ ક્રમે ક્રમે એ અંતરંગતાનો ક્ષય થવા માંડે છે. કોઇ કમનસીબ ઘડીએ બધું તૂટી પડે છે.

પ્રેમ વિશે રિલ્કે લગભગ એ જ પ્રકારની વાત કરે છે. તેમ છતાં, પોતે કોરા ફિલસૂફ ન્હૉતા એટલે પ્રેમને શક્યતાભરી આશા પણ ગણે છે. પ્રેમમાં સાયુજ્યનું સુખ તેમ જ વિચ્છેદ અને અલગાવનું દર્દ શું હોઈ શકે, તે માટે બન્ને પક્ષનાં દાયિત્વ શું હોઈ શકે, એ પણ કહે છે.

આ લેખમાં, એમણે પોતાના જર્મન ચિત્રકારમિત્ર રેઇનહોલ્ડ રુડોલ્ફને લખેલા પત્રની વાત છે, પ્રેમમાં વિચ્છેદ અને અલગાવની વાત છે.

રિલ્કેના કેટલાક પત્રો એમના મરણોત્તર પ્રકાશન “લેટર્સ ઑન લાઈફ”-માં સંઘરાયા છે. 

૧૯૨૧ની ક્રિસ્ટમસને બીજે દિવસે, લગભગ બે દાયકા પછી, રિલ્કે પ્રતિપાદિત કરે છે કે ‘એક મનુષ્ય બીજાને પ્રેમ કરી શકે એ કઠિનમાં કઠિન કામ છે, એની આગળ બીજાં કામો તો મામૂલી શરૂઆતો લાગે.’ ચાર વર્ષ પછી કવિ એડ્ના સૅન્ટ વિન્સૅન્ટ એવા સ્વરૂપની કલાનો નમૂનો રજૂ કરે છે, જેને ‘ક્લીન બ્રેકઅપ’ કહી શકાય. ત્યારે રિલ્કે પ્રેમમાં નિષ્ફળ નીવડેલા વિચ્છેદ અને અલગાવનું દર્દ અનુભવતા એ ભગ્નહૃદયી મિત્રને પત્ર લખે છે : 

વાત જો અલગાવની છે, તો એ બીજા જીવન સાથે દર્દ એની પૂર્ણ માત્રામાં રસાયેલું હોવું જોઈશે. એને બદલે, બન્ને વ્યક્તિ એકબીજા જોડે નિરન્તર જો મૃદુ રહેશે, ઢીલાંપોચાં, તો કશા જ ફળલાભ વિનાની લાચાર પીડા જનમશે. તેમ છતાં, અલગ થવાના દૃઢ નિર્ધારની પ્રક્રિયામાં દર્દ પોતે જ તાજપભરી એક નવી શરૂઆતનાં બીજ રોપી દેતું હોય છે, જો કે, એને માટે બન્ને પક્ષેથી પ્રયાસ થવા જોઇશે. 

સમજી શકાશે કે વિચ્છેદને રિલ્કે કિંચિત્ શુભ લેખે છે. અલગાવની એ ક્ષણે કે એ દિવસોમાં આમ તો લોહીલુહાણ થઈ જવાતું હોય છે પણ રિલ્કે એમાં સુખનું ભવિષ્ય ભાળે છે.

ક્રમશ: 

(Feb 26, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તમને તમારી ઈચ્છા જેવું કૈં છે કે પછી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 February 2023

રવીન્દ્ર પારેખ

હા, હું તો સીધું જ પૂછું છું કે તમને તમારી ઈચ્છા જેવું કૈં છે કે પછી, બીજા જીવાડે છે એમ જ તમે જીવો છો? આ સવાલ તમે તમને પણ પૂછો ને વિચારો કે કેટલી બાબતોમાં તમે તમારી ઈચ્છા મુજબ જીવી શકો છો, વર્તી શકો છો? પહેલે તબક્કે તો તમને એમ જ લાગશે કે હું મારી ઈચ્છા મુજબ જ તો જીવું છું, વર્તું છું? મારી ઈચ્છા મુજબ ભણ્યો, પરણ્યો, નોકરી કરી તો આ કેમ એમ પૂછે છે કે મને મારી ઈચ્છા જેવું કૈં છે કે નહીં? તમે પૂરેપૂરા ગુલામ છો એવું કહેવાનું નથી, તમે તમારી રીતે જ રહો છો એ ય માની લઉં, પણ જરા આજુબાજુ જુઓ, જે ચાલે છે તે જુઓ ને વિચારો કે કોઈ તમારી જાણ બહાર તમારી ઉપર વર્ચસ્વ તો નથી જમાવતું ને? તમારી જાણ બહાર કોઈ તમારા પર હાવિ તો નથી થઈ રહ્યું ને? સવારથી ઊઠો છો ને રાત્રે પથારીમાં પડો છો ત્યાં સુધીમાં એમ જ જરા પોતાને પૂછજો કે કઇ કઇ બાબતમાં તમારો કક્કો ખરો થયો છે ને કઇ વાતમાં તમે બીજાની વાતમાં આવી જઈને તે પ્રમાણે કર્યું છે? જે જવાબ આવશે તેમાં થોડું એવું પણ હશે કે તમે બીજાની સૂચના કે ઈચ્છા પ્રમાણે વર્ત્યા હો. આમ થવું સ્વાભાવિક છે. આટલી મોટી દુનિયામાં અનેક બાબતોની અસર આપણા પર મોડી વહેલી ને ઓછી વત્તી થતી જ રહે છે, એટલે કોઈ પ્રભાવ વગર જ જીવી જવાય એ શક્ય નથી.

આપણે છાપાં વાંચીએ છીએ, મેગેઝિન્સ જોઈએ છીએ, ટી.વી. પર ફિલ્મો, સિરિયલો જોઈએ છીએ. એમાં અનેક ફેશન જોઈએ છીએ, રીત-રિવાજો જોઈએ છીએ, ખાવા-પીવાનું જોઈએ છીએ, એમાંનું ઘણું આપણને નથી ગમતું તો ઘણું ગમે પણ છે. એવું કૈં જોવા-કરવાનું, ખરીદવા-વેચવાનું ગમે છે. આ બધું, જાણ્યે -અજાણ્યે થાય છે. માણસ જન્મથી એકલો હોય ને તેને કોઈના સંપર્કમાં આવવાનું ન થાય તો તે કશા ય વૈવિધ્ય વગરનો, જંગલી જેવો જ રહે, પણ એવું બહુ બનતું નથી. માણસને આપણે સામાજિક પ્રાણી કહ્યો છે એટલે તે સમાજમાં તો ભળવાનો જ. ભળે એટલે અન્યની અસરમાં આવવાનો ને સારુંનરસું બધું જ શીખવાનો. બલકે, આવું કશું શીખવા-જાણવાનું થાય એટલે તો સમાજ અસ્તિત્વમાં આવ્યો. માણસ બીજાની અસરમાં ન આવે એવું તો ઈચ્છવા જેવું પણ નથી. મુદ્દો એ છે કે કોઇકની કે કશાકની અસરમાં કેટલું આવવું? કોઈ અસરથી જાતને રોકવી કે કોઈ ખેંચે તો તે પ્રવાહમાં તણાયા કરવું?

અત્યારે સમૂહ માધ્યમો, બજારો અને ટેક્નોલોજીનો જે પ્રભાવ માનવ સમાજ પર પડી રહ્યો છે તે પરથી તો માણસ એટલી ખરાબ રીતે ફસાઈ રહ્યો છે કે તેમાંથી તે છૂટે એ અશકયવત છે. આવી ફસામણીમાંથી એ છૂટી શકે એ પણ મુશ્કેલ છે. મુશ્કેલ એટલે કે એ ફસાયો છે એવી ખબર પણ એને શરૂઆતમાં તો પડતી જ નથી. ખબર પડે તો છૂટે ને ! જરા વિચારીએ કે ટૂથબ્રશ કે પેસ્ટ કઇ વાપરવી ત્યાંથી માંડીને રાત્રે મચ્છરથી બચવા કઇ કોઈલ વાપરવી ને તે ય તમારી પસંદગીની જ હોય એવું ઓછું જ બનવાનું. તમારે પેસ્ટ, કોલગેટ વાપરવી નથી એવું નક્કી કરો ત્યાં સુધીમાં તો ડાબર, સેન્સોડાઈન, વિકોથી માંડીને અનેક વિકલ્પો તમારી સામે હાજર થઈ જાય છે. આમ તો એ બધી પેસ્ટમાંથી કોઈનો પણ વિચાર તમારા મનમાં નથી, પણ એટલી બધી પેસ્ટ અનેક પ્રકારનાં માધ્યમોમાં તમારી સામે અથડાતી રહે છે કે કશુંક જુદું વિચારી શકો એટલી જગ્યા જ તમને મળતી નથી ને છેવટે જે સતત દેખાયા કરે છે તેમાંથી જ કોઈ એક પર તમારી પસંદગી ઊતરે છે. આવું બીજી ચીજ વસ્તુઓની બાબતમાં પણ બને છે. દરેક વખતે આ બધું ઇરાદાપૂર્વક થાય છે એવું પણ નથી. કેટલુંક અજાણતાં થતું હશે તો કેટલુંક ઇરાદાપૂર્વક પણ થતું હશે, પણ એ બધાંની વત્તીઓછી અસર આપણા પર થાય છે તેની ના પાડી શકાશે નહીં.

સ્ત્રીઓની વાત કરીએ તો એમણે શું પહેરવું. કેવાં સેન્ડલ પહેરવાં, કેવી વાનગીઓથી પતિને રાજી રાખી શકાય, સારો પતિ મેળવવા કયું વ્રત કરવું, ચોમાસામાં છત્રીનો કલર કયો સારો કે ઉનાળામાં લિપસ્ટિકનો કયો શેડ વધુ સારો કે આઇબ્રો કેવી હોય તો બોય ફ્રેન્ડને આકર્ષી શકે કે લગ્ન પછી હનીમૂન પર કયું હિલસ્ટેશન સારું કે અથાણાં, પાપડ, વડીની જાળવણી કેવી રીતે કરી શકાય કે બર્થડે પર પાર્ટનરને કઇ ગિફ્ટ આપવી કે ડેટ પર કયા પ્રકારની સુરક્ષા રાખવી, પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા કેવો મેકઅપ કરવો કે  ઇન્ફેક્શનમાં કઈ ટ્રીટમેન્ટ વધુ સારી કે ડિલિવરી વખતે પેટ પર પડેલા સ્ક્રેચ કેવી રીતે દૂર કરી શકાય, શું કરવાથી બેડ પર પાર્ટનર એકદમ એક્સાઇટ થઈ જાય, હેરસ્ટાઇલ કેવી કરવાથી પ્રેમી ઓવારી જાય જેવી એટલી બધી ટિપ્સ અપાતી રહે છે કે તમ્મર આવી જાય. આવી ટિપ્સ પાછાં માધ્યમો પોતપોતાની રીતે આપતાં હોય ને તે સાવ સામા છેડાની હોય એમ પણ બને. ઘણીવાર તો સમજ જ ન પડે કે કોનું માનવું ને એમ માનવામાં પોતાનું માનવું તો કૈં જુદું જ હોય. મોટા ભાગની સ્ત્રીઓને તો માર્ગદર્શન પણ મળતું હશે, પણ જે સેન્સિટિવ છે, પોતાની રીતે વિચારે છે એને તો આવાં ટિપ્પણી-મારથી અકળામણ પણ થાય. આવું સ્ત્રીઓ માટે જ છે એવું નથી, પુરુષોને પણ ઘણી બધી રીતે માધ્યમો ખેંચે જ છે. કઈ બ્લેડ વાપરવી, શેવિંગ ક્રીમ કયું સારું, શર્ટિંગ, પરફ્યુમ કયું સારું જેવી અનેક બાબતે પુરુષોને પણ મીડિયા ખેંચે જ છે.

ઘણીવાર તો સ્ત્રી કે પુરુષને પસંદગી કે ટિપ્સને મામલે એવા સવાલો થાય છે કે મને મારા જેવું કૈં છે કે નહીં? મને મારી પસંદગી જેવું કૈં ખરું કે કેમ? મારે કયું શેમ્પૂ વાપરવું કે કયા બૂટ પહેરવા એ બીજા નક્કી કરી આપે? મારે શું ખરીદવું કે શું ન ખરીદવું એ બીજા નક્કી કરી આપે? કેમ, મને એટલી પણ સમજ કે પક્વતા નથી કે હું મારે માટે છોકરી કે નોકરી શોધી શકું? એવું કેમ લાગે છે કે કોઈ મારું બ્રેઇન વોશ કરે છે? મને મદદની જરૂર હશે તો હું જરૂર પ્હોંચીશ મીડિયા પાસે, પણ મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કંપની તેની પ્રોડક્ટ લઈને મારાં બેડરૂમ સુધી આવી જાય એ તો બરાબર નથી ને ! ઘણીવાર તો એવો વહેમ પડે કે મારું મગજ હવે મારું રહ્યું નથી, મારા મગજનું સંચાલન બહારનાં તત્ત્વો કરે છે. એ ઈંજેક્ટ કરે છે, મારે કેમ વર્તવું, કેમ રહેવું, શું ખરીદવું, ક્યાંથી, કઈ બ્રાન્ડ લેવી, વગેરે પર મારું કોઈ નિયંત્રણ નથી. કોઈ મારામાં રહીને મારે બદલે વિચારે છે ને હું એવા વહેમમાં છું કે આ બધું હું કરું છું. કોઈ વાર તો એમ લાગે છે કે હું કોઈ કમાન્ડ ઉઠાવનાર રોબોટથી વિશેષ કૈં નથી. ઘણીવાર તો એવી ગૂંગળામણ પણ થાય છે કે એક ટાંકણી ખરીદવા જેટલી મોકળાશ પણ મારાંમાં કેમ નથી? ઘણાંને આવાં સવાલો થાય છે ને ઘણાંને એમાં કશું જ અજુગતું લાગતું નથી. ‘એ તો એમ જ હોય ને !’ – જેવું રાષ્ટ્રીય આશ્વાસન એમને હાથવગું હોય છે. આમાં થોડી અતિશયોક્તિ કોઈને લાગે એમ બને, પણ આવી અસરોમાંથી સંવેદનશીલ વ્યક્તિ મુક્ત છે એવું લાગતું નથી. રાજકારણ, ધર્મ, શિક્ષણ, બજાર .. વગેરેની ઘણી વાતો આપણાં મનનો, આપણાં જ્ઞાનતંતુઓનો કબજો લઈ લે છે ને અમુક સમય સુધી તો બધું સહન પણ થાય છે, પણ પછી અસહ્ય થતાં મન બળવો પોકારે છે. જો કે, એથી બહુ ફેર પડતો નથી. મોડા વહેલાં નિયતિ તો આપણી, શરણાગતિની જ હોય છે. કોઈ આપણે બદલે તો આપણામાં નથી જીવતુંને એ આજનાં સંવેદનશીલોનો સજીવ પ્રશ્ન છે. એ સમસ્યા તો છે જ, પણ એનો ઉકેલ દેખાતો નથી. વધારે તો શું કહું?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,2211,2221,2231,224...1,2301,2401,250...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved