Opinion Magazine
Number of visits: 9458281
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—168

દીપક મહેતા|Opinion - Opinion|29 October 2022

ઠંડા ઠંડા કૂલ કૂલ આઈસ ક્રીમ અને મુંબઈ 

૧૮૩૪ની એક સવારે મુંબઈનાં અંગ્રેજી અખબારોમાં એક સમાચાર છપાયેલા :

‘ગઈ કાલે સર જમશેદજી જીજીભાઈએ પોતાના નવા બંગલામાં આપેલી મિજબાનીમાં શહેરના અનેક આગેવાનોએ હાજરી આપી હતી. પણ અમેરિકાથી ખાસ મગાવેલી એક વાનગી ખાધા પછી તેમાંના ઘણા મહેમાનો માંદા પડી ગયા હતા. એ વાનગી સ્વાદિષ્ટ તો ઘણી હતી પણ એટલી ઠંડી હતી કે એ ખાનાર ઘણા મહેમાનો શરદી-ઉધરસનો ભોગ બન્યા હતા.’ જ્યારે મુંબઈના એકમાત્ર ગુજરાતી અખબારે દોષનો ટોપલો મહેમાનોને માથે ઢોળી દીધેલો : ‘માંદા પડેલા મહેમાનો પોતાની જ ભૂલનો ભોગ બન્યા હતા. આવી અજાણી, પરદેશી વાનગી ખાવાની ભૂલ ન કરી હોત, તો તેઓ માંદા પડ્યા ન હોત.’ હા, જી. એ વાનગીને આપણે આઈસ ક્રીમ તરીકે ઓળખીએ છીએ. સરસાહેબે પાર્ટીમાં પીરસવા માટે ખાસ અમેરિકાથી આઈસ ક્રીમ મગાવેલું! (‘આઈસ ક્રીમ’ કેવું કે કેવો? પ્રમાણભૂત ગણાતો ‘સાર્થ ગુજરાતી શબ્દકોશ બંને સ્વીકારે છે. જ્યારે ભગવદ્ગોમંડળ કોશ માટે ‘કેવો’ જ સાચું, ‘કેવું’ નહિ. જ્યારે ‘ગુજરાતી લેક્સિકન’ બંને જાતિ સ્વીકારે છે: નર જાતિ અને નાન્યતર. અને અ લખનાર હંમેશાં ‘કેવું’ જ બોલે, કેવો નહિ જ.)

આ સર જેજે સાહેબ તે મુંબઈના મોટા દાનવીર. આજે જે ચર્ની રોડ તરીકે ઓળખાય છે ત્યાં આવેલી પોતાની જમીન તેમણે ગાય-ભેંસ વગેરે ચરી શકે તે માટે એક પાઈ પણ લીધા વિના સૌ કોઈ માટે ખુલ્લી મૂકી દીધી હતી. જે.જે. હોસ્પિટલ, તેમના દાનમાંથી બની. જે.જે. સ્કૂલ ઓફ આર્ટસ્, તેમની સખાવતમાંથી. લેડી જમશેદજી રોડ બંધાયેલો તેમનાં પત્નીના દાનમાંથી.

આઈસ ક્રીમની વડદાદી કુલ્ફી

પણ અંગ્રેજો અને તેમની રાજવટના વિરોધીઓને ગમે તેવી એક વાત એ છે કે આ અંગ્રેજી આઈસ ક્રીમનો વડદાદો હિન્દુસ્તાની હતો. જો કે એ હતો મોગલ. એટલે ઘણાનો હરખ થોડો ઓછો ય થઈ જાય! ‘આઈને અકબરી’માં જણાવ્યું છે કે મોગલ બાદશાહ અકબર માટે અવારનવાર આઈસ ક્રીમ તો નહિ પણ તેની વડદાદી જેવી કુલ્ફી બનાવવામાં આવતી. ખોયા કહેતાં માવામાં એલચી, બદામ, પિસ્તાં વગેરે નાખવામાં આવતાં. પછી તેમાં કેસરી દૂધ ઉમેરાતું. એ મિશ્રણને ધાતુના શંકુ આકારનાં બીબાંમાં ભરીને ઠારવા માટે બરફની વચ્ચે મૂકતા. એ બીબાંનાં ઢાકણાં બંધ કરવા માટે ઘઉંના લોટની કણક વપરાતી. પણ વેઇટ અ મિનિટ! હિન્દુસ્તાનમાં પહેલી વાર બરફ તો પેલા બરફના બેતાજ બાદશાહ ફ્રેડરિકભાઈ લાવેલા, અને એ તો બાદશાહ અકબર પછી થોડી સદી વિત્યા પછી. તો અકબરના જમાનામાં બરફ આવ્યો ક્યાંથી? દિલ્હીની અસહ્ય ગરમી બાદશાહ સલામતથી સહન ન થતી. એટલે ઉનાળામાં ખાસ ખેપિયાની ફોજ ઊભી કરવામાં આવતી. હિમાલયના પર્વતો પરથી ઉસેટી આ ખેપિયા દિલ્હી દરબારમાં બરફ હાજર કરતા. એ બરફ વાપરીને બાદશાહ માટે અને તેમના કબીલા માટે ઠંડાંગાર શરબત, દૂધ, કુલ્ફી વગેરે બનાવતા.

પણ એ વખતે આમ આદમીને તો કુલ્ફીનો ‘ક’ પણ અજાણ્યો હતો. અને દિલ્હી કરતાં મુંબઈ તો હિમાલયથી ઘણું વધુ દૂર. એટલે હિમાલયથી બરફ લાવવાનું તો બની શકે જ નહિ. પણ હા. આ લખનારે નાનપણમાં આવી ‘માટલાની કુલ્ફી’ ખાધેલી એ બરાબર યાદ છે. મોટે ભાગે ઉત્તર પ્રદેશના ભૈયાઓ એ બનાવીને વેચતા. વખત જતાં ઢાકણાં બંધ કરવા માટે કણકને બદલે જાડા કાળા રબર બેન્ડનો ઉપયોગ થવા લાગ્યો. એલ્યુમિનિયમને બદલે પ્લાસ્ટિકનાં ઘરાં આવ્યાં. પછી માટલાની કુલ્ફી ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. તેનું સ્થાન ગોળ ચાકીની કુલ્ફીએ લીધું. તેમાં જાતભાતના રંગ-સ્વાદ ઉમેરાયા. એક જમાનામાં ‘કુલ્ફી તો પારસી ડેરીની’ એમ મનાતું. તો ગિરગામ ચોપાટી અને જૂહુ ચોપાટીની કુલ્ફીના ચાહકો પણ ખરા, આજે ય તે.

પણ હવે કુલ્ફીની પ્લેટ જરા બાજુએ મૂકીને આપણે ફરી આઈસ ક્રીમ તરફ વળીએ. આઈસ ક્રીમ શબ્દ પહેલવહેલો વપરાયો છે ૧૭૭૭ના મે મહિનામાં, અમેરિકામાં. ન્યૂ યોર્ક ગેઝેટમાં ફિલિપ લેન્ઝીએ તેનો ઉપયોગ કરેલો. જો કે તેણે પોતાની ઓળખ લંડનના કનફેક્શનર તરીકે આપી છે. એ પછી વીસ વરસે બાલ્ટીમોર શહેરમાં આઈસ ક્રીમ વેચવાની જાહેર ખબર છપાયેલી જોવા મળે છે. પ્રેસિડન્ટ જેમ્સ મેડિસનનાં પત્ની ડોલી મેડિસને ૧૮૦૯માં એક રાજકીય સમારંભના મહેમાનોને આઈસ ક્રીમ પીરસ્યું હતું અને મહેમાનોએ તેના ભારોભાર વખાણ કર્યાં હતાં. ૧૮૧૦માં ફ્રેડરિક ટ્યૂડરે વેસ્ટ ઇન્ડીઝમાં આઈસ ક્રીમ બનાવીને તે અમેરિકા, ઈરાન અને હિન્દુસ્તાન મોકલવાનો વેપાર શરૂ કર્યો હતો.

આઈસ ક્રીમ બનાવવાનો સંચો

એક વાર બરફ છૂટથી મળતો થયો પછી આઈસ ક્રીમ બનાવવાનું અઘરું ન રહ્યું. ફેરિયાથી માંડીને નાની-મોટી દુકાનો આઈસ ક્રીમ વેચવા લાગી. તે બનાવવાના સંચા પણ બજારમાં મળતા થયા. ઘણાં ઘરો વાર-તહેવારે આવા સંચામાં ઘરે આઈસ્ક્રીમ બનાવતાં. ધાતુના લાંબા ડબ્બામાં ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ ભરવાનું – મોટે ભાગે કેસર-બદામ-પિસ્તા કે વેનિલા કે સ્ટ્રોબેરીનાં એસન્સ અને ખાંડ નાખેલું. ઢાંકણું સજ્જડ બંધ કરીને લાકડાના પીપમાં એ ગોઠવવાનું. એ બેની વચ્ચેની જગ્યામાં બઝાર આઈસનાં ગચિયાં મૂકી ઉપર દેશી મીઠું ભભરાવવાનું. આ સંચા બે જાતના. કોઈકમાં ઉપર હેન્ડલ હોય, કોઈકમાં સાઈડમાં. તેના વડે દૂધ ભરેલો ડબ્બો ગોળ ગોળ ફેરવવાનો. થોડી થોડી વારે ઢાંકણ ખોલીને ડબ્બાની અંદરની દિવાલ પર જામેલું આઈસ ક્રીમ તવેથાથી ઊખેડવાનું. ફરી ડબ્બો બંધ, ફરી ગોળ ગોળ ઘુમાવવાનો. હા, બરફ પીગળે તેનું ખારું પાણી દૂધ ભરેલા ડબ્બામાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે. લાકડાના પીપમાં નીચેના ભાગમાં એક કાણું. તેમાં બૂચ મારેલો હોય. તે થોડી થોડી વારે કાઢીને બરફનું પાણી બહાર. અંદર ઉમેરવાનો નવો બરફ, નવું મીઠું. અડધા-પોણા કલાકમાં હોમ મેડ આઈસ ક્રીમ તૈયાર. આ આખી પ્રક્રિયા દરમ્યાન ઘરનાં છોકરાંની બાજ નજર પેલા સંચા પર જ હોય.

આ લખનારને ઘરે આ રીતે સંચામાં આઈસ ક્રીમ તૈયાર થતું. ઉનાળામાં હાફૂસ કેરીનું. તે સિવાય બદામ-પિસ્તાં કે કેસર-બદામનું. કેટલીક વાર એક-બે મિનિટ માટે સંચો ફેરવવાની ‘તક’ મળતી તો બેટમજી રાજીના રેડ. પણ તેના કરતાં ય વધુ યાદ છે તે તો બેસતા વરસના દિવસે બપોરે આવતો અડધા મણ (આજના લગભગ વીસ કિલો) આઈસ્ક્રીમનો સંચો. ફક્ત વીસ રૂપિયામાં, હોમ ડિલીવરી સાથે. વજન માટે ‘મણ’નો ઉપયોગ કંઈ નહિ તો મોગલ સામ્રાજ્ય જેટલો જૂનો તો છે જ. હિન્દુસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, અરબસ્તાન, વગેરે દેશોમાં પણ તેનો ઉપયોગ થતો. બ્રિટિશ રાજવટ દરમ્યાન સૌથી પહેલાં બંગાળ ઇલાકામાં ૧૮૩૩માં ‘મણ’નું માપ સ્વીકારાયું. ચાલીસ શેરનો એક મણ. પણ મુંબઈ ઇલાકામાં જૂદી જુદી જગ્યાએ તેમાં થોડો ફરક રહેતો. વડોદરામાં ૪૨ શેરનો એક મણ, તો માળવાના દેવાસમાં ૬૪ શેરનો. માળવાના જ ઇન્દોરમાં અનાજ માટે ૨૦ શેરનો એક મણ, પણ અફીણ માટે ૪૦ શેરનો. તો ભરૂચમાં કપાસ માટે ૪૨ શેરનો મણ ગણાતો. બેળગાંવમાં ૪૪ અને કારવારમાં ૪૨ શેરનો મણ. “પીઠે બાંધ્યા મણ મણ તણા બોજ ને ચાલવાનું” જેવી કાવ્ય પંક્તિમાં પણ મણનું માપ જોવા મળે. તો બોલચાલમાં ‘મણ મણનો નિસાસો’ જેવા પ્રયોગ સામાન્ય હતા.

આઝાદી પછી ૧૯૫૮માં દેશે ‘મેટ્રિક સિસ્ટમ’ અપનાવી ત્યારથી મણનો ઉપયોગ ઘટ્યો અને ૧૯૬૦માં વજન માટે મેટ્રિક સિસ્ટમ ફરજિયાત બનાવાઈ. આજની પેઢીના ઘણા લોકોને તો મણ એટલે શું એની પણ ખબર ન હોય એમ બને. કેમ એ તો ખબર નથી, પણ ત્યારે ‘સાલ મુબારક’ માટે અમારે ત્યાં બધા મહેમાનો સાંજે જ આવતા. સવારે આવે માત્ર અડોશી-પડોશી. સાંજે આવતા બધા મહેમાનોને આઈસ ક્રીમ સાથે મારા માએ બનાવેલી લીલા વટાણાની પેટીસ ધરાય. પહેલેથી વાળી રાખેલી પેટીસ થોડી થોડી વારે મા પ્રાઈમસ પર તળતા જાય. ગરમ પેટીસ અને ઠંડા આઈસ ક્રીમનું કોમ્બિનેશન બધાં મહેમાનો પસંદ કરતાં. 

તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે આઈસ ક્રીમ

ઘરે દર વરસે આઈસ ક્રીમ આવે એક જ દુકાનેથી. મોહમદ અલી રોડ પર આવેલ તાજ આઈસ ક્રીમમાંથી. ત્યારે ટેલિફોનનું ચલણ બહુ ઓછું. એટલે બે દિવસ પહેલાં જાતે જઈને વરદી આપવી પડે. ઠરાવેલા ટાઈમે સાઈકલ પર સંચો લઈને દુકાનનો માણસ આવે. બીજે દિવસે ખાલી સંચો પાછો લઈ જાય. આ તાજ આઈસ ક્રીમ તે મુંબઈની જૂનામાં જૂની દુકાન. કચ્છથી આવેલા વાલીલજી જાલાજીએ છેક ૧૮૮૭માં શરૂ કરેલી. અલબત્ત, તે વખતે આઈસ્ક્રીમ બનાવવાનું તો શક્ય નહોતું. કારણ હજી બરફ તો લક્ઝરી ગણાતો – મળવો મુશ્કેલ. એટલે શરૂઆતમાં જુદાં જુદાં ફળોનો રસ અને દૂધ માટીના વાસણમાં મિક્સ કરીને ‘દૂધ કોલ્ડડ્રિંક’ વેચતા. પછી જ્યારે બરફ સહેલાઇથી મળવા લાગ્યો ત્યારે ફળો દૂધમાં મેળવીને આઈસ ક્રીમ બનાવવાનું શરૂ કર્યું. બસ, આજના દિવસ સુધી વારસદારો પણ એ જ રીતે આઈસ ક્રીમ બનાવે છે. શરૂઆતમાં તો આ દુકાનનું કોઈ નામ નહોતું. પણ તાજુદ્દીન નામના વાલીલજીના એક ખાસ દોસ્ત અવારનવાર આ દુકાનનું આઈસ ક્રીમ ખાવા છેક કચ્છથી આવે! એટલે એમના માનમાં દુકાનનું નામ પાડ્યું ‘તાજ આઈસ ક્રીમ.’ તો લોકોએ એ કુટુંબને નવી અટક આપી : ‘આઈસ ક્રીમવાલા.’

મુંબઈની આઈસ ક્રીમની સૌથી જૂની દુકાન

પછી ધીમે ધીમે જુદી જુદી જાતનાં આઈસ ક્રીમ આવતાં ગયાં. કંપનીઓ જથ્થાબંધ આઈસ ક્રીમ બનાવીને દુકાનો મારફત વેચવા લાગી. કપ આઈસ ક્રીમ, કોન આઈસ ક્રીમ, આઈસ ક્રીમ સ્ટિક, આઈસ ક્રીમ સ્લેબ. આ રીતે આઈસ ક્રીમ બનાવનારી કંપનીઓમાં કદાચ સૌથી જૂની તે ‘દિનશોઝ આઈસ ક્રીમ’. છેક ૧૯૩૨માં શરૂ થઈ. આજે પણ ચાલુ છે. શરૂ થઈ ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે હજી આઈસ ક્રીમ ‘લક્ઝરી’ હતું. બીજી તે ‘જોય આઈસ ક્રીમ.’ ૧૯૬૭ના ડિસેમ્બરની આઠમીએ તેની શરૂઆત થઈ. કેટલાંક વર્ષો બોલબાલા રહી. પણ પછી વખત જતાં કંપની બંધ. મુંબઈનું બજાર મોટું ને મોટું થવા લાગ્યું. ગુજરાતની કંપનીઓ મુંબઈમાં પણ આવી. કેટલીક મલ્ટી નેશનલ બ્રાંડ પણ આવી. તો આઠ દાયકા પહેલાં શરૂ થયેલી કે. રુસ્તમ જેવી કંપનીઓ પણ લોકોની જીભે વળગી ગઈ. બ્રેબોર્ન સ્ટેડિયમના પરિસરમાં આવેલી આ કંપની તેની આઈસ ક્રીમ સેન્ડવિચ માટે પંકાય. તો ‘અમૂલ’ જેવી સહકારી મંડળીએ પણ આઈસ ક્રીમના ક્ષેત્રે ઝંપલાવ્યું. શરૂઆત પ્રમાણમાં મોડી અને તે ય ગુજરાતમાં. ૧૯૯૬ના માર્ચની ૧૦મી તારીખે શરૂઆત કર્યા પછી ૧૯૯૭માં તેનાં આઈસ ક્રીમ મુંબઈમાં વેચાવા લાગ્યાં. આજે તે ૨૨૦ જાતનાં આઈસ ક્રીમ અને બીજી બનાવટો વેચે છે!

અરે! પણ આઈસ ક્રીમ એ કાંઈ લખવા-વાંચવાની વાત છે? અને મુંબઈની ઓક્ટોબર હીટમાં તો આઈસ ક્રીમ આરોગ્યા વગર ચાલે જ કેમ?

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 ઑક્ટોબર 2022

Loading

‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 October 2022

મારી સ્ત્રીને પરણ્યો તે પછી, ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ તેવું અનેક વખત પૂછતો રહેતો હતો એટલે તેને તો એ પ્રશ્ન કોઠે પડી ગયેલો ને તેણે એમ મન વાળી લીધેલું કે જેને આ એક જ સવાલ આવડે છે તેનું ભેજું પણ ખાસ કૈં ચાલતું નહીં હોય. એ તો ત્યારે મારું ચાલતું ન હતું, નહિતર એની કૌમાર્ય અવસ્થામાં પણ એને ત્યાં જઈને પૂછી આવ્યો હોત, ફ્લેશબેકમાં, ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ પણ, એ કામ મારા ભાવિ સસરાએ કર્યું જ હશે એમ માનીને મેં ફ્લેશબેકમાં જવાનું માંડી વાળેલું. જો કે, હું પરણી ચૂક્યો છું, છતાં મારા પિતાજી આ સવાલ પૂછવાનું ભાગ્યે જ ચૂકે છે ને તેમના પિતાજી પણ તેઓ હતા ત્યાં સુધી એ પ્રશ્ન પૂછવાની એક પણ તક પિતાજીના લાભાર્થે જતી કરી શક્યા ન હતા. આ એવો પ્રશ્ન છે જે શિક્ષક તેનાં વિદ્યાર્થીને, પરીક્ષા ન હોય તો પણ, વખતોવખત પૂછતો રહે છે. આપણે ભણી પરવારીએ ને નોકરીએ લાગીએ ત્યારે આપણો બોસ અખરોટ ફોડતો હોય તેમ આપણું જ ભેજું ખાતાં જઈને આપણને પૂછતો હોય છે, ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ ને આપણે છતે ભેજે, ભેજા વગરના જ હોઈએ તેમ બબૂચકની જેમ જોઈ રહીએ છીએ.

જ્યાં સુધી લગ્ન નથી થતાં ત્યાં સુધી આ પ્રશ્ન બીજા આપણને પૂછતાં હોય છે, પણ જેવાં લગ્ન થાય છે કે પતિને, આ પ્રશ્ન, પત્નીને પૂછવાનો અબાધિત અધિકાર કાયમી ધોરણે મળી જતો હોય છે. એ પછી સંતાનો પણ એ પ્રશ્ન સાંભળવા જ જલદી જલદી મોટાં થઈ જતાં હોય છે. એમણે ય પરણીને કોઈને ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ એવું પૂછવું હોય ને !

‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ આ પ્રશ્નનો સમાનાર્થી પ્રશ્ન દુનિયાની તમામ ભાષાઓ, બોલીઓ, લોકબોલીઓમાં મળી રહે એવો ભય છે. મને એવું છે કે આ પ્રશ્ન ગુજરાતીમાં જ વધારે પ્રસ્તુત છે, પણ પૃથ્વી પર જન્મેલી આખી માનવ જાત કદી મગજ વગર જન્મી નથી. માણસ જન્મ્યો ત્યારથી તે મગજ અથવા તમે જેને ભેજું કહો છો તે ધરાવે છે, ભલે પછી તે કોઈ પણ ભાષા કે બોલી બોલતો હોય, તે ભેજું ધરાવે છે એમ માનવામાં મને નથી લાગતું કે કોઈને કૈં મુશ્કેલી હોય. વારુ, જ્યારથી માણસ અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી તેને ભેજું મળેલું છે, એ જુદી વાત છે કે એનો વપરાશ મોડો શરૂ થયો હોય ને એવું તો આજે ય ક્યાં નથી થતું? ભેજું વાપરવાનું પણ હોય છે એવું તમે યાદ ન અપાવો ત્યાં સુધી સામેવાળો ભેજું વાપરવા બહુ ઉત્સુક હોતો નથી. એને એવું હશે કે ભેજું એ ઇન્વેસ્ટમેન્ટ છે, સારો ભાવ ઉપજે ત્યારે કાઢી નાખવાનું. જો કે, ભેજાને લગતો આ પ્રશ્ન પરાપૂર્વથી પુછાતો આવતો હોય તો નવાઈ નહીં? બહુ દૂર ના જઈએ તો પણ નજીકના ભૂતકાળમાં પણ આ પ્રશ્ન પુછાતો રહ્યો હોવાનું હું માનું છું. તે એટલે માનું છું કે મને ભેજું છે. કોઈ ન માને તો પણ હું એટલે માનું છું, કારણ, આ વાત હું કરી રહ્યો છું ને તમે સાંભળી રહ્યાં છો એટલે તમારા ભેજા વિષે પણ હું કોઈ અવઢવમાં નથી. જે નથી સાંભળતા એમને વિષે મને એટલે શંકા છે, કારણ તેઓ સાંભળી રહ્યા નથી. એટલે એમને કાનનો પ્રશ્ન છે એવું નથી, ધ્યાનનો છે.

તમે નહીં માનો, પણ હું એક સનાતન પ્રશ્ન ચર્ચી રહ્યો છું.

‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ આ પ્રશ્ન મારા બાપે મને ને તેના બાપે તેને ન પૂછ્યો હોય એવું બન્યું નથી. આ પૃથ્વી પરના પહેલા બાપે તેના પુત્રને કે પુત્રીને આ પ્રશ્ન પૂછેલો ને તે પછી તે દરેક યુગમાં ને દરેક પેઢીમાં પુછાતો રહ્યો છે ને જ્યાં સુધી મનુષ્ય અવતરતો રહેશે, પુછાતો રહેવાનો છે. શબ્દો આમ તેમ થશે, પણ ‘ભાવ’ આમ તેમ નહીં થાય તેની ગળા સુધીની ખાતરી છે. કહેવાનું એ છે કે જગતના પહેલા પિતાને ભેજું હતું, પણ તેને શંકા હતી કે તેનાં સંતાનને કદાચ ભેજું નથી. સંતાન પણ કંતાન જેવું જ હોય તો તેને પણ હોય તો ય કેટલુંક ભેજું હોય? ઓછું હોય, તો પણ હોય તો ખરું જ. જો કે, આ પ્રશ્નમાં ભેજું હોય એ વિષે પૂછનારને શંકા નથી. તે એટલું તો સ્વીકારે જ છે કે ભેજું તો છે જ, પણ તેનાં ચાલવા વિષે તેને શંકા છે. આ શંકા હજારો વર્ષ જૂની છે. આમાં પણ પૂછનારને પોતાનાં ભજા વિષે કે તેનાં ચાલવા વિષે કોઈ શંકા નથી. તેને શંકા જેને પૂછે છે તેનાં ભેજા વિષે જ છે. એ પણ છે કે આ પ્રશ્ન કોઈ જાતિ કે કોમને જ ટાર્ગેટ કરે છે એવું નથી. તે બધી જાતિ કે કોમમાં પુછાય છે. એટલે આ પ્રશ્નથી કોઈ મુક્ત નથી. દાદા, દાદીને – દાદા તેના પુત્ર કે પુત્રીને – પિતા તેનાં પુત્ર કે  પુત્રીને – માતા – તેની માસીને કે તેનાં પુત્રને પૂછતી આવી છે. ટૂંકમાં, જેમ મોજાં ફ્રી સાઈઝના આવે તેમ આ પ્રશ્ન પણ ફ્રી સાઇઝનો છે ને તે કોઈનાં પણ ભેજામાં ફિટ થઈ જાય તેમ છે, ભલે પછી કોઈ તેને ભેજાગેપ માનતું હોય તો તે તેનો પ્રશ્ન છે.

આ પ્રશ્ન વૈશ્વિક અને સાર્વત્રિક છે. દરેક સમયમાં દરેક મોટી વ્યક્તિએ દરેક નાની વ્યક્તિને દબડાવવા ‘તારું ભેજું ચાલે’છ કે નહીં?’ એવું ક્યારેકને ક્યારેક તો પૂછ્યું જ હોય છે. આવું પૂછનારનું ભેજું સવાલ પૂછવા જેટલું તો ચાલે જ છે ને એનો જવાબ માન જાળવવા કોઈ ચૂપ રહીને ન આપતું હોય તો તેનું ભેજું નથી જ ચાલતું એવું માની લેવામાં આવે છે. આ પ્રશ્નની વિશેષતા એ છે કે જેમાં ભેજાનો સૌથી વધુ ઉપયોગ થતો હોય ત્યાં પણ, તે સરકારી, અર્ધ સરકારી કે અ-સરકારી ઓફિસોમાં પુછાતો હોય છે. પટાવાળાને ક્લાર્ક, ક્લાર્કને  તેનો ઓફિસર, ઓફિસરને તેનો મેનેજરને ને એમ મેનેજિંગ ડિરેક્ટર સુધીના તમામ તેની હાથ નીચેના સૌને સારી કે નઠારી ભાષામાં એમ પૂછતાં હોય છે, ‘ભેજું ચાલે’છ કે નહીં?’ અહીં એ મૂંઝવણ તમને થશે કે મેનેજિંગ ડિરેક્ટરને કોણ પૂછતું હશે, ‘ભેજું ચાલે’છ કે નઈં?’ તો એનો એક જ સનાતન જવાબ છે, ‘પત્ની.’ પત્નીની ઉપરવટ તો ભગવાન પણ જઈ શકતાં નથી, જ્યારે આ તો સિમ્પલી મેનેજિંગ ડિરેક્ટર છે. એને તો પત્ની જ પહોંચે.

એવું નથી કે ભેજું હોતું જ નથી. ભેજું તો હોય જ છે, પણ આશ્ચર્ય એ વાતે થાય છે કે એક જ ભેજું, એકમાં ચાલે છે ને એકમાં નથી જ ચાલતું. જેમ કે કોઈનું ભેજું, ભાષામાં ચાલે છે તો કોઈનું ગણિતમાં નથી જ ચાલતું. કોઈનું ઓછું ચાલે, તો કોઈનું વધારે. કોઈનું જેમાં ચાલે તેમાં બીજાનું ન જ ચાલે. જેમ કે ન્યૂટને ઝાડ પરથી સફરજન પડતું જોયું તો એને ગુરુત્વાકર્ષણનો નિયમ જડ્યો, એવાં કૈં સફરજન એની અગાઉ ને પછી પણ પડ્યાં, ક્યાંક તો ઝાડનાં ઝાડ પડ્યાં, પણ નિયમ કોઈને ન સૂઝ્યો. તેને તો જીરૂમીઠું નાખીને સફરજન ખાવાનું જ યાદ આવ્યું. એ પણ જવા દો, ‘તારું ભેજું ચાલે’છ કે નૈં?’ જેવું પતિ વારંવાર પૂછતો રહ્યો હોય ને પત્ની પણ અનેક વાર ભેજું પુરવાર કરી ચૂકી હોય તો પણ, બંને એ તીવ્ર અથડામણો વહોરી હોવા છતાં, આઘાત ને પ્રત્યાઘાત સરખા ને સામસામે હોય છે એ નિયમ કોઈ પતિ-પત્નીએ ન શોધ્યો, પણ અપરિણીત ન્યૂટને જ શોધ્યો. અથડાય પરિણીતો ને નિયમ અપરિણીત શોધે એ પણ કમાલ જ છે ને ! એટલે ભેજું બધાંમાં હોવા છતાં તે બધાંમાં બધી જ દિશાએ એક સરખું સક્રિય હોતું નથી, તો સવાલ એ થાય કે ભેજું બધાંમાં હોવા છતાં તે કયાં, કેટલું એક્ટિવ રહેશે એ જેમાં ભેજું છે તે વ્યક્તિ પોતે પણ નક્કી કરી શકતી નથી અને બહારની વ્યક્તિ એનું સંચાલન કરતી નથી, તો એ તો ક્યાંથી કરે? ભેજાની આ સક્રિયતા કોને આભારી છે તેની ગુજરી જવા પહેલાં કે પછી પણ ખબર પડતી નથી.

એવું નથી કે ભેજું હોદ્દા કે શિક્ષણનું મહોતાજ છે. નબળાં ભેજાંવાળા અને પ્રચંડ સંપત્તિવાળા વિદ્યાર્થીઓ એટલું જાણે છે કે કોને પટાવવાથી ને ખટાવવાથી સાહેબ પીએચ.ડી.નો થીસિસ લખીને સર્ટિફિકેટ ઘરે આપવા આવી શકે એમ છે. એટલે નબળું ભેજું પણ એટલું તો ચાલે જ છે કે સબળું ભેજું પગ પકડીને કામ કરી આપે. એવું નથી કે ઉચ્ચ હોદ્દે બેસનારનું ભેજું ઉચ્ચ જ હોય. કેટલાક રાજાઓ ખરેખર વિલક્ષણ હતા, તો કેટલાકના મંત્રીઓ વધારે વિચક્ષણ હતા ને મોટે ભાગે કારભાર તો તેઓ જ કરતા. મંત્રીઓ ત્યારે રાજા પછીનું મહત્ત્વ ધરાવતા. હવે રાજાઓ તો રહ્યા નહીં, એટલે મંત્રીઓ બધા અપગ્રેડ થઈ ગયા છે. એમાં જરૂરી નથી કે અપગ્રેડ થયેલા કે ડિગ્રેડ થયેલા મંત્રીનાં ભેજાં ચાલે જ. હવે જ્યાં ભેજાં નથી ચાલતા ત્યાં પૈસા ચાલે છે ને જ્યાં પૈસા દેખાય છે ત્યાં ભેજાં આપોઆપ ચાલવા લાગે છે. હવે મંત્રીઓનું ભેજું કોઈ ચકાસતું નથી, પણ તેની હાથ નીચેના અધિકારીઓનું ભેજું યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી. ચકાસે છે. એમાં જેમનાં ભેજાં ચાલે છે એ મંત્રીના હાથ નીચે ફરજ બજાવે છે ને મંત્રીઓ આખો દેશ બજાવે કે ગજાવે તો પણ ભેજાં ન ચાલે એમ બને. ઘણી વાર તો ઘણાને એવી શંકા થાય છે કે ભેજું ન ચાલે તો સારું, કારણ હોય તો પણ તે કામ લાગતું નથી. ઉત્તમ ભેજું હોય ને તેની પાસે કામ જ ન હોય તો એ ભેજાનો કોઈ મતલબ છે? કારણ ભેજાંવાળા, સાહેબોની ગુલામી કરે છે ને દેશ તો ભેજું નથી ચાલતું એવા નમૂનાઓ જ ચલાવે છે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “કુમાર”, ઑક્ટોબર 2022

Loading

હાદઝા

સુરેશ જાની|Opinion - Opinion|29 October 2022

મને બહુ જ ગમતું આ એક વાચનમાંથી ટાંચણ —

વિશ્વ ઇતિહાસનું પુસ્તક વાંચવાની શરૂઆત કરતાં, પહેલાં જ પ્રકરણમાં આદિમ માનવ – ખાસ કરીને પથ્થરયુગના માણસ વિશે જાણીને મને અત્યંત આશ્ચર્ય થયું હતું. લગભગ પશુ કહી શકાય તેવી અવસ્થામાંથી માનવજાતે આ એકવીસમી સદી સુધીની યાત્રામાં કેટલી બધી હરણફાળો ભરી છે? તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે? અને પહોંચવા છતાં, બરાબર પહોંચ્યો છે ખરો?

આ એકવીસમી સદીમાં પણ પથ્થરયુગના માનવીની જેમ જ, હજુ પણ શિકારી / ફળાહારી (Hunter getherer) રીતથી જીવતી, જાતિના જીવન વિશે એક લેખ નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિનમાં વાંચવા મળ્યો હતો. ( ડિસેમ્બર – 2009 નો અંક ) વાંચવામાં આવ્યો હતો અને ગમી ગયો હતો. એની લિન્ક આ રહી –

https://www.nationalgeographic.com/magazine/2009/12/hadza/

આફ્રિકાના ટાન્ઝાનિયા દેશની હાદઝા જાતિના ‘ઓનવાસ’ નામના વડીલના કબીલા સાથે ન્યુયોર્કના જાણીતા પત્રકાર અને લેખક માઈકલ ફિન્કલે પંદર દિવસ ગાળ્યા હતા. તેનો વિગતવાર અહેવાલ ઉપરના લેખમાં છે. આપણને વિચારતા કરી દે તેવા, એ લેખમાંથી મળેલી માહિતી ગુજરાતી વાચકો સમક્ષ મુકવાની ઈચ્છા થઈ; એના પરિપાક રૂપે એક આંખે દેખ્યું વૃત્તાન્ત આ સાથે રૂપાંતરિત કરીને રજૂ કરું છું.

ટાન્ઝાનિયાના ઉત્તર ભાગમાં આવેલા, વિશ્વવિખ્યાત, સરંગેટીની દક્ષિણે એયાસી તળાવના કાંઠે વસેલી આ જાતિ ૧૦,૦૦૦ વર્ષ પૂર્વેના પથ્થરયુગમાં સ્થગિત થઈને, કશો વિકાસ કર્યા વિના થંભી ગયેલી છે. અહીંથી ઘણી નજીક, જગતમાં સૌથી પ્રાચીન માનવ હાડપિંજરો, (લ્યુસી – ૩૨ લાખ વર્ષ પહેલાંનું માનવ હાડપિંજર) – અશ્મિઓ અને પથ્થરનાં સૌથી પ્રાચીન હથિયારો મળી આવ્યાં છે. ફ્લોરિડા રાજ્યની યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રેન્ક માર્લો પંદર વર્ષથી એમના જીવનનો અભ્યાસ કરતા રહ્યા છે. માનવવંશ શાસ્ત્રના અભ્યાસુ તજજ્ઞો આવી જાતિઓને જીવતાં અશ્મિ (Living fossils) તરીકે ઓળખાવે છે. આજુબાજુ વસેલી, પશુપાલન અને ખેતી કરતી બીજી જાતિઓ સાથે સમ્પર્ક હોવા છતાં, તેમણે પોતાની જીવન પદ્ધતિમાં ખાસ કશો ફરક કર્યો નથી.

તેમના જીવન વિશે આપણને વિચારતા કરી મૂકે તેવી ઉપરછલ્લી વિગતો હવે વાંચો –

  1. એમની વસ્તી આશરે ૧,૦૦૦ વ્યક્તિઓ પૂરતી મર્યાદિત છે. દરેક કબીલામાં ત્રીસેકથી વધારે સભ્યો હોતાં નથી.
  2. એમના પ્રદેશની બહારની દુનિયાની કશી માહિતી એમને નથી – મેળવવા માંગતા પણ નથી. એમના ઘણા સભ્યો એમનો સમાજ છોડીને, બહારની દુનિયામાં જતા રહ્યા છે. પણ એનો એમને કશો ખેદ નથી.
  3. એમનું રહેણાંક પણ સ્થાયી નથી. કોઈ ઝૂંપડી, તંબુ કે ઘર પણ નહીં. સાવ ખુલ્લા મેદાનમાં જ આખી જિંદગી પસાર થઈ જાય છે. વરસાદ આવવાની વકી હોય ત્યારે, ત્યારે ઝાડની ડાળીઓ, પાંદડાં અને ઘાસથી કામચલાઉ આશરો એક કલાકમાં બનાવી લે છે.
  4. શિકાર કરવો અને ફળો વીણીને ખાવાં, આ સિવાય કશી પ્રવૃત્તિ એ લોકો કરતા નથી – કરવા માંગતા પણ નથી.
  5. અને છતાં, તેમનો ખોરાક વિશ્વના ઘણા લોકોની સરખામણીમાં વૈવિધ્યવાળો છે.
  6. જંગલી ગુલાબને પીસીને મળતું ઝેર તીરની અણી પર ચોપડવામાં આવે છે. આથી આ તીર વાગે તે જાનવર છટકી શકતું નથી. જિરાફ જેવા મોટાં પ્રાણીને પણ ધરાશાયી કરવા તે સક્ષમ હોય છે.
  7. અત્યંત ચપળ અને લાંબી છલાંગ ભરી શકતા, બબૂન નામના વાંદરાનો શિકાર કરી શકે તેની પ્રતિષ્ઠા ઘણી વધી જાય છે. પાંચ બબૂનનો શિકાર કર્યો હોય તેને જ  સ્ત્રીના સંગનો લ્હાવો મળી શકે છે.
  8. પુરુષો શિકાર કરી લાવે અને મધ લઈ આવે; ત્યાં સુધીમાં સ્ત્રીઓ ફળો વીણી, તોડી લાવે અને પાણી માટે વીરડો ખોદી તૈયાર રાખે.
  9. બબૂન કે જિરાફ જેવા પ્રાણીનો શિકાર જ સામૂહિક પ્રવૃત્તિ હોય છે. બાકી દરેક જણ પોતાના કુટુમ્બ પૂરતો નાનકડો શિકાર મળી રહે, તેનાથી સંતોષ માની લે છે. આવતીકાલે શું મળશે તેની કશી ચિંતા તેમને કદી રહેતી નથી.
  10. મોટો શિકાર કર્યો હોય તો આખી વસ્તી તે જગ્યાએ પડાવ નાંખી દે છે. કોઈ એક વ્યક્તિએ મોટો શિકાર કર્યો હોય, તો પોતાનો અંગત પ્રયત્ન છોડી, બધા એમાં જોડાઈ જાય છે. અલબત્ત ખાણનો મોટો ભાગ શિકાર કરનારનો રહે છે.
  11. કોઈ પણ જાનવર કે પક્ષી એમનો ભક્ષ્ય તરીકે ચાલે છે – સિવાય કે, સાપ, જેનાથી એ લોકો દૂર રહેવાનું પસંદ કરે છે.
  12. ઝાડની ડાળીને અનુકૂળ રીતે છોલીને, અડધાથી ઓછી મિનિટમાં, હથેળીમાં જોરથી ઘુમાવી, આગ પેદા કરી શકે છે. એમને હજુ દીવાસળીની જરૂર જણાઈ નથી. એવી કશી ઉતાવળ પણ એમને નથી હોતી. 
  13. એમને ખેતી, પશુપાલન, કોઈ જાતની ચીજ વસ્તુ કે વાહનના ઉપયોગમાં લગીરે રસ નથી કારણ કે, એમના જીવનમાં એ કશાની જરૂર જ નથી!
  14. એમને કોઈ અગત મિલકત હોતી નથી. કોઈની પાસે વધારે ચીજો હોય, એમ હોતું નથી. એમની ઘરવખરી, ચામડાના એક ચોરસામાં સમેટી લેવાય એટલી જ હોય છે – રાંધવાનું એક પાત્ર, પાણી માટે એક પાત્ર, એક કુહાડી અને એક છરો. કપડાંની માત્ર બે જ જોડ.
  15. આ હથિયારો અને કપડાં બાજુમાં વસેલાં ગામવાસીઓ પાસેથી મધના બદલામાં એ લોકો મેળવી લે છે. આ માટે જરૂર પૂરતા સ્વાહિલી ભાષાના શબ્દો જ એ શીખ્યા છે.
  16. ગંદા તળાવમાં પુરુષો નગ્નાવસ્થામાં સાથે નાહી લે છે અને કપડાં, ધોઈ, સુકાવી ફરીથી પહેરી લે છે.
  17. આશ્રર્યજનક રીતે સ્ત્રીઓ મહિનાઓ સુધી નહાતી નથી. પુરુષોને પણ સ્ત્રીઓ આમ ગંદી રહે, તે વધારે ગમે છે!
  18. એમની પોતાની ભાષામાં પણ, એમના સીમિત જીવન વ્યવહાર પૂરતા, બહુ જ મર્યાદિત શબ્દો છે.
  19. ત્રણ કે ચાર થી વધારે આંકડા એમની ભાષામાં નથી. વધારે ગણવાનો દિવસ હજુ સુધી આવ્યો જ નથી. 
  20. સમયના માપમાં કલાક કે મિનિટ તો શું – દિવસો પણ અગત્યના નથી. કોઈની રાહ જોવાની હોય તો; તે ન આવે ત્યાં સુધી રાહ જોવામાં એમને કશો કંટાળો નથી હોતો.
  21. તેમને કશો ડર હોય તો તે છે – ઠંડા પાણીનો.  ઠંડા પાણીમાં ખાબકી શકે; તે ખરો વીર એમ તે લોકો માને છે.
  22. લડાઈ અને ટંટાથી તેઓ દૂર ભાગે છે. એમણે કદી બીજી જાતિઓ પર આક્રમણ કર્યું નથી. એમની ૯૦ ટકા જમીન બીજી જાતિઓએ હડપ કરી લીધી હોવા છતાં; તેઓએ જાતે જ ખસી જવાનું પસંદ કર્યું છે. શેષ વિસ્તાર હવે બીજાઓ માટે સાવ અનાકર્ષક છે.
  23. એમના પ્રદેશમાં કદી દુષ્કાળ પડ્યો નથી; કે રોગચાળો ફાટી નીકળ્યો નથી – જેથી સ્થળાંતર કરવા તેઓ લાલાયિત બને. આની વિરુદ્ધ બાજુની જાતિઓ તેમના દુષ્કાળના વખતમાં તેમની સાથે આવીને રહેલી છે; અને તેમનો તેમણે અતિથિ સત્કાર કરેલો છે.
  24. તેમના જીવનની શૈલી બારે મહિના અને સૈકાઓથી એકધારી રહેલી છે. તેમના દિવસનો માત્ર ચાર કે છ કલાકનો સમય જ ખોરાક શોધવામાં જાય છે. બાકીનો સમય એ લોકો આરામ અને આનંદ પ્રમોદમાં ગાળે છે. કંટાળા જેવી કોઈ અવસ્થાની તેમને ખબર જ નથી. વધારાનો સમય તીર બનાવવાનું કે કામઠાંની તુટેલી દોરીની જગ્યાએ શિકારના આંતરડાંમાંથી બનાવેલી દોરી બાંધવામાં કે એક્બીજાનાં શરીરમાંથી કાંટા કાઢી આપવામાં જાય છે.
  25. કદીક બાજુની વસ્તીમાં જઈ, મધની અવેજીમાં કપડાં, ચંપલ કે પ્લાસ્ટિકના મણકા ખરીદી લાવતા હોય છે.
  26. આજુબાજુની જાતિઓ (ડટોગા, ઈર્ક્વા, ઈસાઝુ, સુકુમા, ઈરામ્બ્વા વિ.) એમને પછાત, અછૂત અને હલકા ગણે છે. કદીક કોઈ હાદઝા તેમના તળાવમાંથી પાણી પીવા માંગે, તો પોતાનાં ઢોર પી લે, પછી જ આવી વ્યક્તિને પાણી પીવા દેવાની છૂટ આપવામાં આવે છે.
  27. હજારો વર્ષોમાં એમણે કોઈ સ્મારક કે યાદગીરી સર્જી નથી. એમને એવી ફાલતુ ચીજની કશી જરૂર લાગી નથી. રહેવાની જગ્યા પણ સ્થાયી નથી હોતી. રાત્રે જ્યાં પડાવ નાંખે, તે ખુલ્લી જગ્યા, એ એમનું ઘર!
  28. દરેક કબીલો તેના સૌથી વૃદ્ધ માણસના નામથી જાણીતો હોય છે. એમાં ભાઈઓ, બહેનો, જમાઈઓ પણ સામેલ હોય છે. વડીલને માન આપવા છતાં, એની કે કોઈ નેતાની જોહુકમી હોતી નથી.
  29. સ્ત્રીઓનું સ્થાન પૂર્ણ રીતે પુરુષની સમકક્ષ હોય છે. બીજી જાતિના પુરુષ સાથે લગ્ન કરેલી સ્ત્રી મોટે ભાગે એ સમાજની પુરુષ પ્રધાનતાથી વાજ આવી જઈ, થોડા જ વખતમાં પાછી આવી જવાના ઘણા દાખલા છે. 
  30. એક જ સ્ત્રી અને પુરુષ સહજીવન કરતાં હોવાં છતાં; એકેબીજાને છોડી દેવા સ્વતંત્ર હોય છે. આમ છતાં બહુપત્નીત્વ કે બહુપતિત્વનો ચાલ કદી રહ્યો નથી. જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી બન્ને એકમેકને જાતીય રીતે વફાદાર રહે છે. મોટે ભાગે ન ફાવવાના કારણે છૂટાછેડાની પહેલ સ્ત્રી જ કરતી હોય છે!
  31. વીસેક કબીલાઓમાં વહેંચાયેલા સમાજમાં સભ્યો સતત બદલાતાં રહે છે. જ્યાં સુધી મનમેળ રહે ત્યાં સુધી કોઈ વ્યક્તિ કબીલામાં રહે છે; નહીં તો બીજા જાણીતા કબીલામાં સ્થળાંતર કરે છે. આમ ભળનાર નવી વ્યક્તિને મોટે ભાગે પ્રેમપૂર્વક આવકારવામાં આવે છે.
  32. બાળકો દૂધ પીતાં હોય, ત્યાં સુધી જ માને વળગેલાં રહે છે. બાકી મોટાં થયેલાં બાળકો અલગ જૂથમાં રમ્યાં કરતાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો ખોરાકની શોધમાં દૂર ગયાં હોય ત્યારે કબીલાની ઘરડી સ્ત્રીઓ બાળકો પર ધ્યાન રાખે છે.
  33. જન્મ, લગ્ન કે મરણની ખાસ કશી વિધિ હોતી નથી. પહેલાં તો મરેલી વ્યક્તિને ઝાડીઓમાં જ છોડી દેવાતી. પણ હવે દાટી દેવાય છે. એની યાદગીરીનું કોઈ ચિહ્ન પણ કબર પર છોડવામાં આવતું નથી. ગમે તેટલી પ્રિય તે વ્યક્તિ ન હોય; તેને વિના સંકોચ વિસારી દેવામાં આવે છે.
  34. ઈશ્વર જેવી કોઈ માન્યતા તેઓ ધરાવતા નથી. કોઈ પણ ધાર્મિક વિધિ કે પ્રાર્થના તેઓ કરતા નથી. માત્ર સૂર્ય માટે તેમને ઘણું માન હોય છે.
  35. બીજા લોકોને એમના ભવિષ્યની વધારે ચિંતા રહે છે – ખાસ કરીને તાન્ઝાનિયાની સરકાર! એમને વિકસિત કરવા, શિક્ષિત કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમનાં ઘણાં બાળકો શિક્ષણ લઈ, બહારની દુનિયામાં સ્થાયી થયાં છે; પણ ભેદભાવની બીજી જાતિઓની નીતિને કારણે આવી વ્યક્તિઓ સાવ હલકાં કામો જ કરી શકે છે અને નવા સમાજમાં દલિત જ બની રહે છે. આથી મોટા ભાગે હાદઝા પોતે જ આવો કોઈ અનર્થકારી વિકાસ કરવા માંગતા નથી! એમને માટે તો પ્રાકૃતિક જીવન જ પૂર્ણ સુખ અને આનંદથી ભરેલું  છે.
  36. રિચાર્ડ બાલો નામનો એક સાઠ વર્ષનો હાદઝા આગળ પડતો, વિકસિત સમાજમાં ભળેલો નેતા છે અને હાદઝાને બદલાવા માટે, અને વિકાસશીલ કરવા માટે આંદોલન, અભિયાન ચલાવે છે. પણ હાદઝા સમાજની બહુ ઓછી વ્યક્તિઓ આ માટે તૈયાર છે.
  37. મંગોલા નામના હાદઝાનો કબીલો થોડો જુદો પડીને, આ પ્રદેશની મૂલાકાત લેતાં સહેલાણીઓને હાદઝાના જીવન, શિકાર પદ્ધતિ વિગેરેની માહિતી આપવામાં અને પ્રવાસન ઉદ્યોગમાં જોટાયો છે. પણ એમનામાં વિકસિત સમાજની બદીઓ – મદ્યપાન, જુગાર, ગુનાખોરી, ખૂન, સમ્પત્તિ માટેની લાલસા, ચોરી, છેતરપીંડી, ચેપી રોગો, માંદગી, વેશ્યાપ્રથા વિગેરે પ્રવેશી ગયાં છે.
  38. આ દાખલો જોઈ, બીજા હાદઝા કબીલા આવા પરિવર્તનથી દૂર રહેવાનું પસંદ કરે છે. પણ કદાચ થોડાક જ દાયકાઓમાં હાદઝા સમાજ બહારની દુનિયાની ચમકધમક જોઈ, આ નીતિનાશમાં જોડાઈ જાય અને તેમની જીવન પદ્ધતિનો અંત આણે, તેવી પૂરી સંભાવના છે.
  39. માઇકલના કહેવા પ્રમાણે આમ હમ્મેશ જીવવાનું તે પસંદ તો ન જ કરે. એમના જીવનની હાલાકીઓ, પ્રાથમિક સગવડોનો અભાવ વિગેરે બહારની દુનિયામાં રહેવા ટેવાયેલાને કદાપી અનુકૂળ ન જ આવે. પણ હાદઝાના જીવનની સરળતા, તાણ, ચિંતા, માનસિક વ્યથાઓનો સદંતર અભાવ – આ બધાં પાસાં તેને સ્પર્શી ગયાં હતાં. આ પંદર દિવસ તેણે અપ્રતીમ સુખમાં ગાળ્યા હતા; અને જીવનને બને તેટલી સરળતાથી જીવવાના ફાયદા સમજાયા હતા.

એક વિદ્વાનના અભિપ્રાય મુજબ ….

‘ખેતીની શોધ  એ માનવ સમાજની સૌથી મોટી અને વિનાશકારી ભૂલ હતી.’

—————

સાભાર – નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિન

ગુજરાતી સાહિત્યમાં પથ્થરયુગની પાર્શ્વભૂમાં લખાયેલી કદાચ એકમાત્ર નવલકથા ‘પહેલો ગોવાળિયો’ વાંચવા વાચકોને ઈજન છે.

https://gadyasoor.files.wordpress.com/2008/07/govaliyo_-101.pdf

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,2101,2111,2121,213...1,2201,2301,240...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved