આધુનિક ટેકનોલોજી માટે કહેવાય છે કે જે પરિવર્તનને આવતાં એક દાયકો લાગતો હતો તે હવે, થેન્ક્સ ટુ ટેકનોલોજી, બે વર્ષમાં આવે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના ક્ષેત્રમાં ટેકનોલોજીએ તેની પ્રગતિમાં એટલી બધી સ્પીડ વધારી દીધી છે કે આ ક્ષેત્રના અગ્રણીઓમાં ચિંતા પેઠી છે કે એવું તો નહીં થાય ને કે ટેકનોલોજી માણસના કંટ્રોલની બહાર જતી રહેશે અને તે માણસને કંટ્રોલ કરવા લાગી જશે?
તાજેતરમાં ઓપન એ.આઈ.ના ચેટબોક્સ ‘ચેટ-જી.પી.ટી.’ અને અન્ય એ.આઈ. ટૂલ્સમાં જે ઝડપે ક્રાંતિ આવી છે, તેનાથી સફાળા બેઠા થયેલા ટેસ્લા અને ટ્વીટરના વડા ઈલોન મસ્ક સહિત 1,000 જેટલા ટેકનોલોજી નિષ્ણાતોએ ઓપન લેટર લખીને સાર્વજનિક અપીલ કરી છે કે છ મહિના સુધી એમાં વધુ ડેવલપમેન્ટ અટકાવી દેવામાં આવે.
તેમણે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આવી ડિઝાઇન્સમાં સુરક્ષાના પ્રોટોકોલ્સ વિકસાવામાં ન આવે અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા તેનું ઓડિટિંગ ન થાય ત્યાં સુધી કોઈ કંપનીએ તેમાં આગળ વધવું ન જોઈએ નહીં તો માનવતા અને સમાજ માટે એમાં જોખમ છે. “તાકાતવર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ ત્યારે જ વિકસાવી જોઈએ જ્યારે આપણને પૂરતો ભરોસો હોય કે તેનાં પરિણામ સકારાત્મક જ હશે અને તેનાં સંભવિત જોખમોનું નિયમન કરી શકાય તેમ હોય,” એમ આ પત્રમાં લખવામાં આવ્યું છે.
આ અગ્રણીઓને ડર છે કે પૂર ઝડપે વિકસી રહેલી નવી નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ માણસને હંફાવે તેવી છે અને સરવાળે તે આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં બધું ખેદાનમેદાન કરી નાખશે. સરકારો, નીતિ નિર્માતાઓ અને રેગ્યુલેટરી ઓથોરિટીઓને જો આમાં વિશ્વાસમાં લેવામાં નહીં આવે તો પછી એવી પરિસ્થિતિ સર્જાશે કે ટેકનોલોજી સ્વચ્છંદ બની જશે.
જેમ બીજા વિશ્વ યુદ્ધ પછી શીત-યુદ્ધના ગાળામાં પરમાણું હથિયારો બનાવવાની દેશો વચ્ચે હોડ લાગી હતી તેમ, ‘ચેટ-જી.પી.ટી.’ની સફળતા પછી અનેક ટેકનોલોજી કંપનીઓ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ટૂલ્સ બનાવાની હરીફાઈ શરૂ થઇ છે, જે માણસોનાં જાત-ભાતનાં કામ કરશે. આમ તો એ સુવિધા જ છે, પરંતુ નિષ્ણાતોને એ ડર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાત જ પોતાનો કંટ્રોલ લઇ લે તો શું?
તમને એવું થાય કે એમાં શું જોખમ હોય? તમે મેડિકલ સ્ટોરમાંથી જે નવી દવાઓ ખરીદો છો તે તેની સલામતીના સખત પરીક્ષણ પછી સ્ટોરમાં આવી હોય છે. ખાવા-પીવાની જે વસ્તુઓ બજારમાં મળે છે તે બારોબાર ફેકટરીમાંથી નથી આવતી. આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ‘પહેલું સંતાન’ છે. આપણે જોઈ રહ્યા છીએ કે એ સંતાન કેવું નપાવટ બનીને હવે પજવી રહ્યું છે. ચેટ-જી.પી.ટી. તેનું બીજું ‘સુધરેલું’ સંતાન છે અને બીજા અનેક ‘પાઈપ-લાઈન’માં છે. એ આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરશે તેની કોઈને ખબર નથી.
નિષ્ણાતો સાત પ્રકારનાં પ્રમુખ જોખમો જોઈ રહ્યા છે.
-
- ઓટોમેશન વધતાં નોકરીઓ ખતમ થઇ જશે.
- માણસોનીપ્રાઈવસીઉઘાડીપડીજશે.
- (ફોટોશોપની જેમ) માણસોના ફેક વીડિયો બનશે.
- ગલતડેટાનાંપગલેઅલગોરિધમપક્ષપાતપૂર્ણવર્તનકરશે.
- સામાજિક-આર્થિકઅસમાનતાવધશે.
- બજારોઅસ્થિરથઇજશે.
- ઘાતકહથિયારોનુંઓટોમેશનથશે.
2022માં, દુનિયાની તમામ ટેકનોલોજી કંપનીઓના એક સર્વેમાં અડધોઅડધ કંપનીઓએ કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માનવજાતના અસ્તિત્વ સામે ખતરો છે. તેમણે કહ્યું હતું કે ટેકનોલોજી માણસોનાં તમામ કામ કરતી થઇ જઈને તેમને નવરા બેસાડી દેશે એટલું જ નહીં, હોલિવૂડની ફ્યુચરિસ્ટિક ફિલ્મોમાં બને છે તેમ એ સિસ્ટમો ગેરવર્તન કરતી પણ થઇ જશે. 2017માં, ફેસબૂકે બોબ અને એલિસ નામના બે રોબોટ્સને નષ્ટ કરી દેવા પડ્યા હતા કારણ કે તેમણે અચાનક એવી ભાષામાં બોલવાનું શરૂ કર્યું હતું જે માણસો સમજી શકતા નહોતા.
એવી કોઈ ટેકનોલોજી બની નથી જેનો ગેરઉપયોગ થયો ન હોય. અત્યાર સુધી માણસ પોતે તેનો ગેરઉપયોગ કરતો હતો, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીઓમાં જોખમ એ છે કે તેને માણસના મગજની જરૂર નહીં પડે. એ પોતે જ ‘સ્વતંત્ર માણસ’ બની જશે. જેમ કે કોમ્પ્યુટરમાં જે વાઇરસ આવે છે તે આપણા શરીરમાં આવતા વાઇરસનું જ ડિજિટલ રૂપ છે. આવા ઘણા ઉદાહરણ કલ્પી શકાય.
ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગે એ.આઈ.ને ‘માનવ ઇતિહાસની સૌથી બદતર ઘટના’ ગણાવી છે, ટેસ્લા અને ટ્વિટરવાળા ઇલોન મસ્કે કહ્યું છે કે એ.આઈ.માંથી ‘સૌથી દુષ્ટ અને ક્યારે ય ન મરે તેવો સરમુખત્યાર’ પેદા થશે. 2020માં, મસ્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 21મી સદીમાં એ.આઈ. માણસ કરતાં વધુ સ્માર્ટ હશે અને માનવજાતિ પર સરસાઈ ભોગવતી હશે. એમાં ઘણી બાબતો અસ્થિર અને વિચિત્ર થઈ જશે.
2018માં, દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં તત્કાલીન ગૂગલ સી.એ.ઓ. સુંદર પિચઈએ કહ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાતે ક્યારે ય ન જોઈ હોય તેવી ટેકનોલોજી છે. તેનો પ્રભાવ ઇલેક્ટ્રિસિટી કે અગ્નિની શોધ કરતાં પણ ક્રાંતિકારી રહેવાની છે.” તે વખતે ત્યાં બેઠેલા લોકોને આ વાતમાં બહુ દમ લાગ્યો ન હતો, પરંતુ ચેટ-જી.પી.ટી.ના વિકાસ પછી સૌને સમજાઈ ગયું છે કે ટેકનોલોજી કેટલી હદે કઈ દિશામાં જઈ રહી છે.
‘હોમો સેપિયન્સ’ પુસ્તકના લેખક યુવલ નોઆ હરારીએ તેની સિકવલમાં ‘હોમો ડેયસ’ નામનું ભવિષ્યવાદી પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે વર્તમાનમાં જે ટેકનોલોજીઓ વિકસી રહી છે તેના દાખલા-દલીલો સાથે કહ્યું છે કે અત્યારે માણસ પ્રકૃતિના નિયમોને અધિન છે, પરંતુ ભવિષ્યમાં એ પાવર આપણે બનાવેલાં યંત્રોમાં હશે. સવાલ એ છે કે શું એ યંત્રો આપણા નિયંત્રણમાં હશે? યંત્રોમાં કોન્સિયસનેસ આવી જાય તો તે તેમની ઈચ્છા પ્રમાણે વર્તશે? આ ડર વ્યાજબી છે.
‘હોમો ડેયસ’માં હરારીએ તેની વાત કરી છે :
“આપણે બહુ ઝડપથી એક અજાણી દિશા તરફ દોડી રહ્યા છીએ અને એનાથી બચવા માટે આશા પણ રાખીએ છીએ કે કોઈક બ્રેક મારે અને આપણને ધીમા પાડે, પણ એ શક્ય નથી કારણ કે કોઈને ખબર નથી કે બ્રેક ક્યાં છે. અમુક લોકો AI, નેનો-ટેકનોલોજી, બિગ ડેટા કે જીનેટિક્સ જેવાં ક્ષેત્રોની ઘટનાઓથી પરિચિત હોઈ શકે, પણ એવી કોઈ વ્યક્તિ નથી જે તમામ ક્ષેત્રોને અરસપરસ જોડીને વ્યાપક ચિત્ર જોઈ શકે. અલગ અલગ ક્ષેત્રો એકબીજાને એવી પેચીદી રીતે અસર કરે છે કે સૌથી શ્રેષ્ઠ મગજ પણ એ ના સમજી શકે કે AIની નેનો-ટેકનોલોજી પર અને નેનો-ટેકનોલોજીની AI પર કેવી અસર પડશે. એવી કોઈ વ્યક્તિ નથી જે તમામ આધુનિક વૈજ્ઞાનિક શોધખોળોને સમજી શકે, જે ભવિષ્યવાણી કરી શકે કે આવતાં દસ વર્ષમાં અર્થવ્યવસ્થા કેવી હશે અને કોઈને ખબર નથી કે આપણે કઈ દિશામાં દોડી રહ્યા છીએ. એટલે આ આખી સિસ્ટમને સમજવાવાળું કોઈ નથી, એને રોકવાવાળું પણ કોઈ નથી.”
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 09 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર