Opinion Magazine
Number of visits: 9566625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહન રાકેશની વિભાજનની વાર્તાઓ

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|11 March 2023

ભારત વિભાજનના સાહિત્યની વાત કરીએ તો તરત મંટો, ઈન્તઝાર હુસૈન, રાજેન્દરસિંહ બેદી કે કમલેશ્વરના નામ યાદ આવે. મોહન રાકેશનું નામ વિભાજનની વાત કરતી વખતે મનમાં તરત આવતું નથી. હિન્દીમાં આધુનિક વાર્તાનો ૧૯૬૦ પછી જે પ્રવાહ ચાલ્યો, જેને “નયી કહાની” નો પ્રવાહ કહેવાય છે, એ પ્રવાહ સાથે પારંપારિક રીતે મોહન રાકેશનું નામ જોડાયેલું છે. નાટ્યલેખક તરીકે પણ તેઓ જાણીતા છે. દરેક ભાષામાં (ગુજરાતીમાં પણ) આધુનિકતા વિદ્રોહ રૂપે આવી છે. નયી કહાનીના પ્રવાહના લેખકોએ પ્રેમચંદના સામાજિક વાસ્તવવાદ સામે, તેમ જ અજ્ઞેય અને જૈનેન્દ્રકુમારના વ્યક્તિવાદ અને મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ સામે બંડ પોકારેલો, અને ‘આંતરિક વાસ્તવ’ને ઝીલવા રચના-રીતિના નવા પ્રયોગો તરફ વળેલા.

મોહન રાકેશ

‘નયી કહાની’ પ્રવાહના લેખકોમાં મોહન રાકેશનું સ્થાન મને હંમેશાં થોડું વધારે સંકુલ લાગ્યું છે, કારણ કે એ પ્રવાહ સાથે એમનું નામ ભલે જોડાયેલું હોય પણ આખા ગ્રુપમાં એ થોડા ‘મિસફીટ’ હતા. જ્યાં નિર્મલ વર્મા યુરોપિયન આધુનિકતાના પ્રવાહો હિન્દીમાં ઝીલી રહ્યા હતા, જ્યારે ફણીશ્વરનાથ રેણુ પ્રાદેશિકતાની સંકુલતા ઉઘાડી રહ્યા હતા, ત્યારે મોહન રાકેશ પ્રેમચંદની સામાજિક વાસ્તવની પરંપરા અને પશ્ચિમના આધુનિક સાહિત્યમાં જેનો ખૂબ મહિમા થયો છે એવા ‘એલિયેનેશન’ના થીમનો સમન્વય કરવામાં રત હતા. રાકેશ માટે વૈયક્તિક આંતરિકતા તેમ જ બાહ્ય વાસ્તવ, બંને સરખું મહત્ત્વ ધરાવે છે. અંદર અને બહારની વાસ્તવિકતાને રાકેશ પોતાની વિભાજનની વાર્તાઓમાં બખૂબી મૂર્ત કરી શક્યા છે. તેમનું નામ આપણે વિભાજન વિશે લખનારા સાહિત્યકારોમાં નથી લેતા કારણ કે તેમણે વિભાજનના વિષયવસ્તુને લઈને માત્ર ત્રણ જ વાર્તાઓ આપી છે – “મલબે કા માલિક”, “કલેઈમ” અને “પરમાત્મા કા કુત્તા”. આજે અહીં પહેલી બે વાર્તાઓની વાત કરવી છે, ખાસ તો આંતર-બાહ્ય બંને સૃષ્ટિને રાકેશ કેવી રીતે વર્ણવે છે એ સંદર્ભમાં. 

“મલબે કા માલિક”નો વિષય, વિભાજનની વાર્તાઓ પૂરતો, જાણીતો લાગે. વર્ષોથી કુટુંબીઓ તરીકે રહેતા પાડોશી જ્યારે એકબીજાના દુશ્મન થઈ જાય, અને વર્ષો પછી એ ક્ષણને ફરી જીવવાનું થાય ત્યારે નજર સામે બસ સળગેલું ઘર હોય, એમાં ઢેર થઈ ગયેલી સ્મૃતિઓ હોય. માલિકી બસ આ ઢેરની જ રહે, બીજા કશાની નહિ. ગની મિયાં વર્ષો પછી લાહોરથી અમૃતસર આવ્યા છે, તેમના પાડોશી રખા પહેલવાનને મળવા. થોડા સમય માટે ગની મિયાંને બહારગામ જવાનું થયેલું, એ જ વખતે વિભાજનના હુલ્લડો ફાટી નીકળેલા. એ હિંસામાં રખા પહેલવાને ગની મિયાંના આખા પરિવારને મારી નાખેલો અને ગની મિયાંનું ઘર કબજે કરી લીધેલું. ગની મિયાં આ બધાથી અજાણ કારણ કે હુલ્લડો વખતે તેઓ બારોબાર પાકિસ્તાન જતા રહેલા.

વર્ષો પછી તેઓ આવ્યા છે અને તેમના વહાલા અમૃતસરને માણે છે, નોંધે છે શું શું બદલાયું. ઘણું બધું બદલાઈ ગયું છે. જ્યાં ખાલી મેદાન હતા ત્યાં નવી ઈમારતો બંધાઈ ગઈ છે, જાણે શહેર નવા બાંધકામ થકી જૂની પીડાઓ ભૂલવા મથતું હોય. ઘણું બદલાયું તો છે, પણ અમુક વસ્તુઓ એવી ય છે જે નથી બદલાઈ. ગની મિયાં નોંધે છે કે અમૃતસરની ભાષા હજી એની એ જ છે, એમાં એવી જ મીઠાશ છે. ઘણા જૂના લોકોને મળે છે જેઓ ગની મિયાંને પ્રેમથી આવકારે છે. જાણે વિભાજન વખતે થયેલી હિંસાનું કોઈ નામોનિશાન જ નથી. ગની મિયાં છેવટે રખા પહેલવાન પાસે પહોંચે છે, પ્રેમથી વાતો કર્યે જાય છે. અને રખો પહેલવાન આખા સંવાદ દરમિયાન ગ્લાનિ અનુભવે છે, હા એ હા કર્યે જાય છે. મોહન રાકેશ આ સંવાદ દરમિયાન રખા પહેલવાનના શરીર સંચલનોનું, બોડી લેન્ગવેજનું, જે વર્ણન કરે છે એ લેખકોએ ધ્યાનથી વાંચવા જેવું છે. વાર્તાને ખુલ્લી કર્યા વગર ઘણુંબધું કેવી રીતે કહી દેવું એ વાતનો આદર્શ નમૂનો અહીં મળે છે.

ગની મિયાં જુએ છે કે તેઓ જ્યાં રહેતા હતા તે ઘર તો સળગી ગયું છે. રખો પહેલવાન ગની મિયાંનું ઘર હડપવા માંગતો હતો, પણ છેવટે તેના હાથમાં ય સળગેલું ઘર જ આવે છે. ઢેર થયેલું એક ઘર. આ ઢેરનો માલિક કોણ?

વિભાજનના સંદર્ભમાં પ્રોપર્ટીને લગતી વાત મોહન રાકેશની “કલેઈમ” વાર્તામાં પણ આવે છે, જેમાં ફ્રાન્ઝ કાફકાની દુ:સ્વપ્ન જેવી આધુનિક સૃષ્ટિ તેમ જ પ્રેમચંદના સામાજિક વાસ્તવનો સમન્વય થતો દેખાય છે.

“કલેઈમ” વાર્તા સરકારી ઓફિસની બહાર ઘોડાગાડી ચલાવનાર સાધુસિંહ નામના માણસની છે. વિભાજન પછીનો સમય છે, સાધુસિંહ વિભાજન બાદ જે પ્રદેશ પાકિસ્તાન ગણવામાં આવ્યો ત્યાંથી ભારત આવ્યો છે. વાર્તા આમ તો સાવ નાની છે, છતાં ધ્યાનથી વાંચતા જણાય કે બે ચોક્કસ ભાગમાં વહેચાયેલી છે. વાર્તાનો પૂર્વાર્ધ બાહ્ય વાસ્તવને ઉજાગર કરે છે. સાધુસિંહ ઘોડાગાડી ચલાવે છે, અને આખો દિવસ સરકારી ઓફિસમાં પોતાની વિભાજનને લીધે ખોવાયેલી પ્રોપર્ટી ‘કલેઈમ’ કરવા આવતા લોકોની વાતો સાંભળે છે. આ પહેલા ભાગમાં મોહન રાકેશને સરકારી ઓફિસોમાં ચાલતી ‘બ્યુરોક્રસી’(અમલદારશાહી)ની ટીકા કરવાનો અવસર મળે છે. લોકો બેઘર થઈ ગયા છે, સરકારે સહાય કરવાની વાત તો કરી છે પણ લોકોના ઘણા ‘કલેઈમ’ કરવા છતાં તેમને પ્રોપર્ટી મળી નથી. વળી, સરકારે મૃતકોના કુટુંબીઓ માટે રકમ જાહેર કરી છે અને ઘણા કુટુંબીઓ એ કલેઈમ કરવા જાય છે, પણ બીજી તરફ ઘણા લોકો એવા ય છે જે મરવાના વાંકે જીવે છે. જેમના હાથ-પગ વિભાજનની હિંસામાં કપાઈ ગયા છે, સરખું જીવન તેઓ જીવી શકે એમ નથી. પણ હિંસાનો ભોગ બનેલા અને શરીરના અંગો ગુમાવી ચૂકેલા લોકો માટે સરકારે કોઈ સગવડ કરી નથી. તેમના કુટુંબીઓ શું કલેઈમ કરી શકે? આવા સવાલો પૂછતી વાર્તા તેના વધુ કાવ્યાત્મક એવા ઉત્તરાર્ધમાં પહોંચે છે. પૂર્વાર્ધમાં સાધુસિંહ લોકોની વાતો સાંભળે છે અને કલેઈમની આખી વાત સમજે છે, ઉત્તરાર્ધમાં તે વિચારે છે કે જો તેને કલેઈમ કરવું હોય તો તે શું કલેઈમ કરી શકે?

સાધુસિંહને યાદ આવે છે તેની પ્રેમિકા હીરા, જે વિભાજન વખતે તેની સાથે ભારત નહોતી આવી શકી. સાધુસિંહે એક આંબો વાવેલો, અને સ્વપ્ન સેવેલું કે તે હીરા સાથે પરણશે, અને આંબાની છાયામાં નિરાંતે જીવન વીતાવશે. ન આંબો રહ્યો, ન હીરા રહી, રહી બસ શેષ સ્મૃતિઓ. એ કલેઈમ થઈ શકે? એ સ્પર્શ, એ કંપન, એ સ્વપ્ન, એ ભવિષ્ય? આ બધું કેવી રીતે કલેઈમ કરવું? આવા કરુણ અને કાવ્યાત્મક વળાંક પર વાર્તા પૂરી થાય છે. કાફકાએ જે અમલદારશાહીની ટીકા કરતી ભયાનક સૃષ્ટિ ‘ધ ટ્રાયલ’ નવલકથામાં રચેલી, એ સૃષ્ટિની અહીં ઝલક મળે છે. તો સાથે જ ઉત્તરાર્ધમાં સાધુસિંહની આંતરિક સૃષ્ટિના વર્ણન થકી વૈયક્તિક વેદનાનું ચિત્રણ પણ મળે છે.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ખાનગી શાળાઓ સરકારી શાળાઓથી ચઢિયાતી છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 March 2023

ચંદુ મહેરિયા

બિનસરકારી સંસ્થા ‘પ્રથમ’ ૨૦૦૫થી ગ્રામીણ ભારતની પ્રાથમિક શાળાઓના બાળકોની શૈક્ષણિક યોગ્યતા માપતો સર્વે કરે છે. ‘પ્રથમ’નો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (અસર) ૨૦૨૨ તાજેતરમાં પ્રગટ થયો છે. દેશના ૬૧૬ જિલ્લા અને ૧૯ હજાર ગામોના ૭ લાખ ગ્રામીણ બાળકોને આવરી લેતા આ સર્વેનું એક તારણ છે કે ૨૦૧૯થી ૨૦૨૨ના ચાર વરસોમાં ખાનગી શાળામાં ભણતાં બાળકો ઓછાં થયાં છે. ૨૦૧૮માં ગ્રામીણ ભારતના ૩૫ ટકા બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હતા. પરંતુ હવે તે ઘટીને ૨૭ ટકા થતાં ૮ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું તાત્કાલિક કારણ તો કોરોના મહામારીની બાળકોના વાલીઓ પરની આર્થિક અસર ગણાવાય છે, પરંતુ તે ઉપરાંતના પણ ઘણાં કારણો છે.

હરિયાણાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૦૨૦-૨૧માં ૨૯.૮૩ લાખ બાળકો અભ્યાસ કરતાં હતાં. પરંતુ ૨૦૨૧-૨૨માં ૧૭.૩૧ લાખ જ છે એટલે ૧૨.૫૧ લાખ બાળકો હવે ખાનગી શાળાઓમાં ભણતા નથી. ગુજરાતમાં ૨૦૨૦-૨૧માં ૨.૮૫ લાખ અને ૨૦૨૧-૨૨માં ૩.૫ લાખ બાળકોએ ખાનગી શાળા છોડી હતી. આખરે ખાનગી શાળા છોડી જતાં બાળકો જાય છે ક્યાં ? તેનો સ્વાભાવિક જવાબ તો સરકારી શાળા જ છે. આંકડાઓ પણ આ વાતની ગવાહી પૂરે છે. ‘અસર’નો રિપોર્ટ જણાવે છે કે દેશમાં ૨૦૧૮માં ૬૫.૬ ટકા બાળકો સરકારી શાળાઓમાં હતા. ૨૦૨૨માં તે વધીને ૭૨.૯ ટકા થયા છે. છેલ્લાં પાંચ વરસોમાં મહાનગર અમદાવાદની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ખાનગી શાળાઓના ૨.૧૪ લાખ બાળકો જોડાયાં છે.

જો ખાનગી શાળાઓ છોડીને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે તો તેના માટે જવાબદાર પરિબળો ક્યા છે ? મહામારીમાં બેકારીને કારણે આર્થિક હાલાકી વેઠવાની આવી તેને કારણે નિમ્ન મધ્યમવર્ગના લોકોએ પોતાના બાળકોને ખાનગીમાંથી ઉઠાવીને સરકારી શાળાઓમાં દાખલ કરી દીધા છે. આર્થિક ઉપરાંત ખાનગી શાળાઓએ મહામારીમાં વાલીઓનો ગુમાવેલો ભરોસો પણ કારણભૂત છે. ઓનલાઈન શિક્ષણના બહાને ખાનગી શાળાઓને બાળકોના ભણતરને બદલે તેમની ફીની વધુ ચિંતા હતી. આ બાબત વાલીઓ સમજી ગયા. બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષકોએ કોરોનાકાળમાં તેમના વિધ્યાર્થીઓના અભ્યાસની સવિશેષ કાળજી લીધી. ગરીબ માતાપિતાની પહોંચ ઓનલાઈન શિક્ષણ સુધી નથી તે પારખીને તેઓ વિદ્યાર્થીઓના ગામે કે ઘરે ગયા અને તેમને ભણાવ્યા. ખાનગી શિક્ષણનો મોહ રાખતા લોકોની નજરે આ બાબત ચડતાં તેઓ સરકારી શાળાઓ તરફ વળ્યા છે. એટલે સરકારી શાળાઓને તેની ઝંખવાયેલી પ્રતિષ્ઠા પાછી મળી છે.

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં તે ચઢિયાતી સાબિત થઈ છે, તેનું શિક્ષણ ઉત્તમ સાબિત થયું છે કે તેની શૈક્ષણિક ગુણવતા વધારે છે તેમ કહી શકાય તેમ નથી. કેમ કે જેમ બધી સરકારી શાળાઓ નકામી નથી તેમ બધી ખાનગી શાળાઓ પણ સારી નથી. સરકારી અને ખાનગી શાળાઓની તુલના કરતાં જણાય છે કે સરકારી શાળાઓનું સંચાલન સરકાર કે તેનું તંત્ર કરે છે જ્યારે ખાનગી શાળાઓનું સંચાલન વ્યક્તિ કે કોઈ ટ્રસ્ટ કરે છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી સરકારી ધારાધોરણો મુજબ થાય છે એટલે સરકારી શાળાના શિક્ષકો નિયત શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને નિયત પગારધોરણ મેળવતા હોય છે. જ્યારે ખાનગી શાળાના સંચાલકોને આવા બંધનો નથી. સરકારી શાળામાં મફત કે નજીવી ફી લઈને ભણાવાય છે જ્યારે ખાનગી શાળાઓ સેવાભાવથી નહીં ધંધા તરીકે ચાલતી હોઈ મનમાની ફી લે છે. ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષણ અપાય છે જેનો ગરીબ વર્ગના વાલીઓને વાજબી કારણોસર બહુ મોહ હોય છે જ્યારે સરકારી શાળામાં સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે. 

ખાનગી અને સરકારી શાળાઓ ઘણી બાબતોમાં અસમાન છે. એટલે તેમની મૂલવણી તેના આધારે કરવી જોઈએ. ખાનગી શાળાઓ પણ જાતભાતની હોય છે. તે કોઈ સમરૂપ એકમ નથી. ધનાઢ્ય વર્ગના બાળકો માટેની મોંઘી મહાનગરીય ખાનગી શાળાઓ, નાના અને મધ્યમ નગરોની ઉચ્ચ મધ્યમવર્ગના વાલીઓને પોસાય તેવી ફી લેતી ખાનગી શાળાઓ, ગ્રામીણ ક્ષેત્રોની ઓછી ફીની ખાનગી શાળાઓ જેમ અસ્તિત્વમાં છે તેમ મહાનગરોની સરકારી સ્માર્ટ સ્કૂલ્સ અને અંતરિયાળ ગામડાઓની કશી જ સાધન-સુવિધા વગરની અતિ ગરીબ વર્ગના બાળકો ભણતા હોય તેવી સરકારી શાળાઓ પણ છે. ગવર્નમેન્ટ કે પ્રાઈવેટ શાળાઓમાં ભણતા બાળકોની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂ ને ધ્યાનમાં રાખીને  પણ તુલના કરવી પડે.

૨૦૧૯-૨૦માં દેશની કુલ શાળાઓ પૈકી ૬૮.૪૮ ટકા સરકારી હતી. પરંતુ તેમાં મંજૂર થયેલા શિક્ષકોમાંથી ૫૦.૧ ટકા જ જગ્યાઓ ભરાયેલી હતી. આજે ગુજરાતની ૧,૬૫૭ શાળાઓ એક જ શિક્ષક પર નભે છે. દેશમાં ૧.૨૦ લાખ સરકારી શાળાઓ એકલ શિક્ષકની છે. જો આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે નહીં. કમ્પ્યૂટર શિક્ષણ હવે જરૂરી બન્યું છે ત્યારે એ હકીકત આઘાતજનક છે કે ૨૦૧૯-૨૦માં દેશની ૧૫.૦૭ લાખ સરકારી શાળાઓમાંથી ૪.૫૧ લાખ શાળાઓમાં જ અને તે પણ માત્ર એક જ શિક્ષક કમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા હતા. આ હકીકતોથી સરકારી શાળાનું શિક્ષણ ઉતરતું લાગે છે.

નવી આર્થિક નીતિને પગલે આવેલા ખાનગીકરણથી શિક્ષણ પણ બાકાત નથી. હવે શિક્ષણનું ખાનગીકરણ એ હદે વકર્યું છે કે તે વેપલો બની ગયું છે. ખાનગી શાળાઓ ઉપરાંત ખાનગી ટ્યુશનનો બોજ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વેઠવો પડે છે. ૨૦૨૨માં ધોરણ ૫થી ૮ના ખાનગી ટ્યુશન લેતા બાળકોની રાષ્ટ્રીય ટકાવારી  ૩૦.૫ ટકા હતી. ખાનગી શાળાઓથી છૂટકારો મેળવીને ખાનગી ટ્યુશનનો રાહ લેવા મજબૂર થવું પડે તેવી આ કરુણ વાસ્તવિકતા છે. એકાદ દાયકા જૂની ઓનલાઈન ટ્યુટોરિયલ કંપની બાયજુ(BYJU)ના ચાળીસેક લાખ ગ્રાહકો છે. દેશનું ૨૦૨૧-૨૨નું શાળા શિક્ષણનું બજેટ રૂ. ૫૪,૮૭૩ કરોડનું હતું, પરંતુ આ એક જ કંપનીનું બજાર મૂલ્ય રૂ. ૧,૨૨,૦૦૦ કરોડનું છે. આ હાલતમાં દેશના વંચિત વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા કરવાની છે.

‘અસર’ના સર્વે રિપોર્ટ પ્રમાણે ધોરણ ૫ના ૫૧ ટકા કે દર દસમાંથી છ વિદ્યાર્થીઓ તેમનાથી ત્રણ ધોરણ નીચા, બીજા ધોરણના સામાન્ય પુસ્તકનો એકાદ સરળ ફકરો પણ વાંચી શકતા નથી. આવી સાવ તળિયાની વાચનયોગ્યતા ધરાવતા બાળકો દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં પણ છે અને સરકારી જેટલા જ ખાનગી શાળાઓમાં પણ છે. ગરીબ અને મધ્યમ આવકના માબાપ પેટે પાટા બાંધીને પોતાના બાળકોને સારા અને સરકારી કરતાં ચઢિયાતા શિક્ષણ માટે મોંઘી ફી ભરીને ખાનગી શાળામાં ભણાવે છે પણ તેમને નિરાશા જ સાંપડે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

આપણે સજીવને નિર્જીવ અને નિર્જીવને સજીવ કરવા મથી રહ્યા છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 March 2023

રવીન્દ્ર પારેખ

મેં એક વાર્તા લખેલી, ‘જીવ’ કરીને. તેમાં એક કોમ્યુટર સાયન્ટિસ્ટ તેની આસિસ્ટન્ટને એવો ફિમેલ રોબોટ વિકસાવવા કહે છે જે એટલો બધો ‘સ્ત્રી’ હોય કે સાચી સ્ત્રી પણ તેની સામે ફિક્કી લાગે. એવો સ્ત્રી-રોબોટ વિકસાવવામાં આસિસ્ટન્ટ એટલી બધી સ્ત્રી મટતી જાય છે કે સાયન્ટિસ્ટ સ્ત્રીમાં મશીનત્વ અને રોબોટમાં સ્ત્રીત્વ અનુભવવા લાગે છે. આસિસ્ટન્ટની સ્ત્રી તરીકે એટલી ઉપેક્ષા થાય છે કે તે ત્રાસીને સાયન્ટિસ્ટને કહે છે કે એ સજીવને નિર્જીવ અને નિર્જીવને સજીવ કરવા મથી રહ્યો છે.

આ વાર્તા સાચી પાડવી હોય તેમ આપણે એટલાં ઉપકરણો વિકસાવી રહ્યાં છીએ કે જીવતો માણસ ફાજલ પડવાનો ભય ઊભો થયો છે. ભારતમાં ફાજલ માણસની નવાઈ નથી. અહીં કામ વગરનાં, સાવ નવરા માણસોની ધારો ત્યારે ભીડ ઊભી કરી શકાય તેમ છે. અહીં અશક્ત વૃદ્ધો કે માંદા માણસોની નહીં, પણ સશક્ત અને કામ વગરનાં માણસોની વાત છે. અહીં ધાર્મિક વરઘોડો કાઢવો છે, તો ભીડ હાજર છે. ડી.જે. પર નાચવા યુવાનો જોઈએ છે, તો જોઈએ એટલા હાજર છે. સરઘસો કાઢવાં છે, કથામાં ભક્તો જોઈએ છે, નેતાની સભામાં મતદારો જોઈએ છે, સરકાર વિરુદ્ધ રેલી કાઢવી છે, નો પ્રોબ્લેમ, બસો ભરીને લોકો જે તે સ્થાન પર ખડકાવા તૈયાર છે. ભારતમાં આવી નવરાશનો વાવર વધુ છે.

આ નવરાશ શિક્ષિતોમાં આપઘાત સુધી વિસ્તરે છે. એમણે નવરા બેસવું નથી, પણ પૂરતું શિક્ષણ છતાં એમની પાસે નોકરી કે કોઈ કામ નથી. ઓછી લાયકાતવાળા તેમના કરતાં વધુ ઝડપથી ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજે છે, એ વાત તેમને હતાશ કરે છે. આ હતાશા તેમને આપઘાત કે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલે છે. ઓછી લાયકાતવાળો, નેતા કે મંત્રી બને છે ને વધુ યોગ્યતા ધરાવતો અધિકારી તેના હુકમો ઉઠાવે છે. આ સ્થિતિ કોઈ પણ યોગ્યતા ધરાવતી વ્યક્તિને ખટકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગરીબ કે તવંગર, શિક્ષિત કે અશિક્ષિત, વૃદ્ધ કે યુવાનમાંથી ઘણાં એવા છે જે નવરા છે, કામકાજ વગરના છે. એવું નથી કે કોઈ કામ કરવા માંગતું નથી. કામ કરવું છે, પણ કોઈ કામ કે કમાણી આપતું નથી. સરકાર દર વર્ષે નવું કામ આપવાની, નોકરીઓ ઊભી કરવાની વાતો બજેટમાં કરે છે, પણ બેકારીમાં બહુ ફરક પડતો નથી. થોડા બેકારોને કામ મળે પણ છે, પણ તે દરમિયાન નવા શિક્ષિત બેકારો ઊભા થઈ જાય છે. આ ઉપરાંત શિક્ષિતો પાસે ડિગ્રી હોય છે, પણ જે તે પ્રોજેક્ટ પર કામ કરવાની આવડત હોતી નથી એટલે તેમને પ્રોપર ટ્રેનિંગ આપવી પડે છે ને એનો મોટો ખર્ચ સરકારે કે કંપનીઓએ ઉઠાવવાનો આવે છે. એ હવે કોઈને પરવડતું નથી. આવું ભારતમાં જ છે એવું નથી.

ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌથી ધનિક સંસ્થાઓમાંની એક છે, આ સંસ્થા પાસે 6.4 અબજ પાઉન્ડની રકમ જમા છે, 2020-‘21માં 80 કરોડ પાઉન્ડની રિસર્ચ ગ્રાન્ટ મળી છે, પણ અહીં ફેકલ્ટી કોન્ટ્રાક્ટ પર રખાય છે અને વર્ષો સુધી આ રીતે કામ કર્યાં પછી પણ તેની નોકરી નિયમિત થતી નથી. ઓક્સફર્ડનો લગભગ 65 ટકા સ્ટાફ કામના કલાક દીઠ મહેનતાણું મેળવે છે. આ શિક્ષકોને એક કલાકના શિક્ષણના 25 પાઉન્ડ મળે છે ને એ એક કલાકના લેકચર માટે સરેરાશ ચાર કલાકની તૈયારી તેણે કરવી પડે છે, જેનો મહેનતાણામાં સમાવેશ નથી, એટલે કલાકના લઘુત્તમ વેતન દર 10.42 પાઉન્ડ કરતાં પણ આ શિક્ષકોને ઓછું મળે છે. ઓક્સફર્ડની આ સ્થિતિ હોય ને શિક્ષકની આ કદર હોય તો સમજી શકાય એવું છે કે મનુષ્યની બુદ્ધિનું કેટલું મૂલ્ય છે !

હવે માણસોને બદલે મશીનો ને રોબોટ્સ પાસેથી કામ લેવાનું ચાલ્યું છે. જેથી લઘુત્તમ વેતનની જવાબદારી પણ ઘટે. મશીનથી કામની ગુણવત્તા સુધરી છે ને કામની ઝડપ પણ વધી છે. કેટલી ય કંપનીઓ હવે માણસો કરતાં મશીન રાખવામાં વધુ નફો જુએ છે. એને લીધે સ્થિતિ એવી થઈ છે કે વધતાં શિક્ષણે વધુ સ્નાતકો અને અનુસ્નાતકો બહાર પાડવા માંડ્યા છે ને બીજી તરફ ઓફિસોમાં ને ફેક્ટરીઓમાં મશીનોએ, રોબોટ્સે કામ કરવાં માંડ્યાં છે, પરિણામે શિક્ષિતો વધુને વધુ ફાજલ પડવા માંડ્યા છે. આવનારા સમયમાં શિક્ષિત બેકારોની ટકાવારી ઘટે એવી શક્યતાઓ નહિવત્‌ છે. બીજી તરફ સંસ્થાઓની ટેન્ડન્સી, વધુને વધુ કામ, મશીનો અને રોબોટ્સ પાસેથી લેવાની રહી છે. તે એટલે પણ કે એથી કામ કે ઉત્પાદન વધુ ઝડપથી ને ઓછા ખર્ચે થાય છે. બીજું, કે કર્મચારીઓને પગાર, પેન્શન અને અન્ય લાભો આપવામાંથી બચી જવાય છે જે સરવાળે તો વધુ નફો જ જે તે સંસ્થાને રળી આપે છે.

ભારત સંદર્ભે અત્યારની સ્થિતિ વિચારીએ તો મશીનોનું આક્રમણ શિક્ષિતોની સ્થિતિ ઉત્તરોત્તર બગાડે એમ બને. મશીનોનો કોઈ જ વાંધો નથી. મશીનોને કારણે સમય બચે છે, ઉત્પાદન વધે છે ને ઓછા ખર્ચમાં ગંજાવર કામ થઈ શકે છે એ ખરું, પણ ભારત સંદર્ભે વિચારીએ તો માણસો ગધેડે ગવાતાં હોય ત્યારે મશીનો માણસોને ફાજલ જ પાડતાં રહે એ ઈચ્છવા જેવું ખરું? એ ખરું કે મશીનો ચલાવવા માણસો જોઈશે, પણ તે મશીન કરતાં તો ઓછા જ હશે. એ સ્થિતિમાં જે માણસો ફાજલ પડે છે એને કયાં ગોઠવવા એ પ્રશ્ન રહે જ છે. ભારતમાં એનો પ્રભાવ કદાચ ઓછો હશે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહિમા વધે તો ભારતમાં માણસોની સ્થિતિ વધુ દયનીય બની શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) મનુષ્યની બુદ્ધિનું સ્થાન લઈ રહી છે. એ ખરું કે એ.આઈ.ને લીધે કોમ્પ્યુટર સિસ્ટમ વધુ વિકસી છે, એને લીધે એવાં મશીનો તૈયાર થઈ રહ્યાં છે જે મનુષ્યની જેમ વિચારીને સમસ્યાઓનો ઉકેલ લાવે. અહીં સવાલ એ આવે કે મશીનો મનુષ્યની જેમ વિચારીને ઉકેલ આપતાં હોય તો મનુષ્યને જ સમસ્યાઓ ઉકેલવા દેવામાં શું મુશ્કેલી છે? માણસનું સ્થાન મશીનને સોંપવાનું સલાહ ભરેલું ખરું? આમ પણ મશીનની મેમરીમાં માણસના ઉકેલ જ ફીડ કરવાના હોય તો માણસને જ એ નિર્ણયો લેવા દેવામાં શું જોખમ છે?

ટૂંકમાં, કોમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવનું જ્ઞાન, તેના વિચારો, લાગણીઓ લોડ કરવાં અને તે ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. મોટે ભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ રોબોટ બનાવવા માટે થાય છે. કાર, ટ્રેન, પ્લેન ઉપરાંત કોમ્પ્યુટરમાં ને બીજાં અનેક આધુનિક ઉપકરણમાં એ.આઈ.નો ઉપયોગ થાય છે. આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્ય કરતાં વધુ ઝડપથી ને વધુ ચોકસાઈથી પરિણામો આપે છે. એ રીતે તે ઉપયોગી પણ છે, પણ તેનો ગેરલાભ એ છે કે તે મનુષ્યને વિકલ્પે છે જે નવી પેઢી માટે જોખમી બની શકે. થોડું દૂરનું વિચારીએ તો મશીનો કે રોબોટ્સ જ જગતનું સંચાલન હાથમાં લઈ લે તો મનુષ્ય અનવોન્ટેડ બની જાય. એમ થવા દેવા જેવું ખરું? મનુષ્યનું સ્થાન મશીન લેવાનું હોય ને મનુષ્યે બનાવેલું મશીન, મનુષ્ય પર જ રાજ કરે એ ઠીક છે? માણસે મશીન બનાવ્યું છે, નહિ કે મશીને માણસને બનાવ્યો છે. તો મનુષ્યને મશીનનો ગુલામ થવા દેવા જેવો ખરો? મનુષ્ય ક્યારેકને ક્યારેક કોઈક પ્રકારની ગુલામી વેઠવા ટેવાયેલો છે, પણ તે લાંબો સમય ગુલામ રહી શકતો નથી. તે મશીનને પોતાનાં પર હાવિ થવા નહીં દે, પણ એ પણ મનુષ્ય જ છે જેણે એકથી વધુ વખત પૃથ્વીનો નાશ થાય એટલાં શસ્ત્રો વિકસાવ્યાં છે. તેણે વિનાશની જેટલી સગવડ ઊભી કરી છે એટલી તકો વિકાસ માટે રાખી નથી. એટલે જ ભય રહે છે કે પોતાનું જ ખૂન કરવા માણસ મશીનને તો છરી નહીં આપે ને !

આખી પૃથ્વીમાંથી માણસનો છેદ ઉડાડવાનું કાવતરું મશીન કરે તો એમ થવા દેવાનું છે? પૃથ્વી મનુષ્યહીન  થાય અને મશીન પૃથ્વીનું સંચાલન કરે એને માટે આ પૃથ્વી હજારો હજારો વર્ષથી ફરી રહી છે? જેને લીધે પૃથ્વીને તેનાં હોવાનો અર્થ મળ્યો, તે મનુષ્ય હવે મશીનને, પોતાને બદલે મૂકશે? એ યોગ્ય છે? આમ તો આ બધું જ મનુષ્યે કર્યું છે. મશીનને પોતાને બદલે પ્રમોટ કરવાનું તેને કઇ રીતે હિતકારક લાગ્યું તે નથી સમજાતું. મશીનને કેટલી હદે પ્રમોટ કરવાં એનો વિવેક દાખવવાનું મનુષ્યને સૂઝ્યું જ નહીં હોય, શું? માણસની જગ્યાએ ઠેર ઠેર રોબોટ્સ ગોઠવાઈ રહ્યાં છે, એ જ્યાં જરૂરી હોય ત્યાં ભલે હોય, પણ તે મનુષ્યને જ નામશેષ કરી દે તો તેટલી છૂટ મશીનને આપવા જેવી ખરી? વારુ, જ્યાં કરોડો શિક્ષિત બેકારો ભારતમાં વસતા હોય, ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મશીનો વધારવાનો ઉદ્યમ કરવા જેવો ખરો? આમ તો સમસ્યાઓના ઉકેલ માટે જ મનુષ્યે મશીનોનાં ઉપયોગનું પ્રમાણ વધાર્યું. હવે મશીનોનાં વધવાથી મનુષ્યનું જ અસ્તિત્વ જોખમમાં મુકાય એવી સ્થિતિ સર્જાતી હોય તો ક્યાંક અટકવું કે વિકાસની આંધળી દોટ ચાલુ રાખવી એ પ્રશ્ન છે. કોઈ પણ સંજોગોમાં મશીનોને માણસ પર હાવિ થવા ન દેવાય. એ ખરું કે આ સ્થિતિ પણ માણસે જ સર્જી છે, પણ માણસ હશે તો જીવંતતાની અનુભૂતિય હશે, બાકી, મશીનો જ પૃથ્વી પર છવાયેલાં રહેવાનાં હોય તો પૃથ્વીને ટકવાનું કયું કારણ હશે તે વિચારવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 માર્ચ 2023

Loading

...102030...1,1701,1711,1721,173...1,1801,1901,200...

Search by

Opinion

  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved