Opinion Magazine
Number of visits: 9667540
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ ઘેટું બનીને જીવે એ આ યુગની શોકાંતિકા

રમેશ ઓઝા|Opinion - Opinion|20 April 2023

રમેશ ઓઝા

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ બનેલી પુલવામાંની ઘટના જેટલી આઘાતજનક હતી એટલી જ રહસ્યમય હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ(સી.આર.પી.એફ.)ના ૨,૫૦૦ જવાનો ૭૮ વાહનોના કાફલામાં સરહદની નજીકથી પસાર થતા હાઈવે પરથી એક સાથે અને પ્રમાણમાં ધીમી ગતિએ પસાર થાય એ પહેલી ઝટ ગળે ન ઉતરે એવી ઘટના હતી. એવી કઈ આફત આવી પડી હતી કે આટલી મોટી સંખ્યામાં અને એક સાથે સી.આર.પી.એફ.ની મુવમેન્ટ કરવી પડી? બીજી રહસ્યમય ઘટના એ હતી કે અચાનક ત્રાસવાદીઓની જીપ વિસ્ફોટક દારૂગોળો લઈને આવી જાય છે, અને કાફલામાંના વાહનો સાથે અથડાય છે જેમાં સી.આર.પી.એફ.ના ૪૦ જવાનો માર્યા જાય છે. ત્રાસવાદીઓની જીપ વાજતેગાજતે સરહદ ઓળંગીને અચૂક સમયે અને અચૂક નિશાને તો નહીં જ પહોંચી હોય! પણ જીભે તાળાં. કોઈ પણ શરમજનક અને દર્દનાક ઘટનાને રાજકીય ફાયદો થાય એવા અવસરમાં ફેરવી નાખવો એ અત્યારના શાસકોની નીતિ છે. પુલવામાં ઘટનાનું પણ એવું જ બન્યું. એનો રાજકીય લાભ લેવામાં આવ્યો પણ ખુલાસો કરવામાં ન આવ્યો. આજે પણ નથી કરવામાં આવતો.

સત્યપાલ મલિક એ સમયે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. પુલવામાં ઘટના બન્યા પછી તરત જ તેમણે એક બે પત્રકારોને કહ્યું હતું કે આ સરકારની બેજવાબદારીનું પરિણામ છે પણ પછી તેઓ ચૂપ થઈ ગયા હતા. ચૂપ એટલે સાવ ચૂપ. હવે અહીં પત્રકારો વચ્ચેના ભેદને સમજી લઈએ. સારો પત્રકાર એ કહેવાય જે મૌનની પાછળ છુપાયેલા અવાજને સાંભળવાનો પ્રયાસ કરે. શા માટે કોઈ માણસ બોલીને ચૂપ થઈ જાય? જરૂર કોઈક રહસ્ય છે. બેવકૂફ કે બીકાઉ પત્રકાર અપનાવેલા મૌનને અવાજના અભાવ સ્વરૂપ મૌન તરીકે સ્વીકારી લે છે. કાંઈ બન્યું નથી એટલે બોલવાનું રહેતું નથી. આમ જેને હાડોહાડ અને પ્રામાણિક પત્રકાર કહેવાય એવા પત્રકારો સત્યપાલ મલિકના કાન ફાડી નાખે એવા મૌન ઉપર નજર રાખતા હતા. અપનાવાયેલા મૌનને એક દિવસ કાન સાથે ભેટો થવો જ જોઈએ.

અને ગયે અઠવાડિયે ભેટો થઈ ગયો. ‘ધ વાયર’ નામનાં ન્યુઝપોર્ટલના કરણ થાપરને આપેલી મુલાકાતમાં સત્યપાલ મલિકે મૌન તોડ્યું અને વટાણા વેરી દીધા. તેમણે કહ્યું કે સી.આર.પી.એફે. તેમની મુવમેન્ટ માટે પાંચ વિમાનો માગ્યા હતાં, પરંતુ કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે તેને વિમાનો આપ્યાં નહોતાં. સી.આર.પી.એફ. ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.

તેમણે બીજી વાત એ કહી કે કાશ્મીરમાં જે વિસ્તારમાંથી કાફલો પસાર થવાનો હતો એ વિસ્તારમાં આઠથી દસ નાના માર્ગો મોટા માર્ગને મળે છે અને તેમાં કોઈ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં નહોતો આવ્યો. સામાન્ય રીતે જે માર્ગેથી વી.આઈ.પી. કે બીજી જોખમ ભરેલી મુવમેન્ટ થવાની હોય તે માર્ગને  જોડાતા બીજા તમામ માર્ગોને મુવમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવે છે. આઠથી દસ એન્ટ્રી પોઈન્ટ્સ પર કોઈ જ નહોતું.

તેમણે ત્રીજી વાત એ કહી કે ત્રાસવાદીઓની જીપ એ જ દિવસે સરહદ ઓળંગીને કાશ્મીરમાં નહોતી આવી. એ જીપ દુર્ઘટના બની તેનાં દસ દિવસથી એ વિસ્તારમાં ફરતી હતી અને ગુપ્તચર વિભાગે તેનાં વિષે ચેતવણી પણ આપી હતી. એ ચેતવણી ગુપ્તચર વિભાગે જમ્મુ અને કાશ્મીરની સરકારને તેમ જ કેન્દ્ર સરકારને મોકલી હતી અને તે રેકર્ડ પર ઉપલબ્ધ છે. વાચકોને યાદ અપાવી દઉં કે પુલવામાંની ઘટનાના બે વરસ પછી ‘ફ્રન્ટલાઈન’ નામના સામયિકમાં (૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૧) એ ચેતવણીઓની આખેઆખી ટેક્સ્ટ પ્રકાશિત થઈ હતી. ‘ફ્રન્ટલાઈન’ના અહેવાલ મુજબ પુલવામાંની ઘટના ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ બની હતી, પણ ગુપ્તચર વિભાગે સંભવિત ત્રાસવાદી હુમલાની તૈયારી ચાલી રહી છે એવી પહેલી ચેતવણી બીજી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આપી હતી અને છેલ્લી અને અગિયારમી ચેતવણી હુમલાના આગલા દિવસે એટલે કે ૧૩મી ફેબ્રુઆરીએ આપી હતી. ૪૨ દિવસમાં ૧૧ ચેતવણી! અને છતાં ય કોઈ તકેદારી નહીં! ન વિમાન આપવામાં આવ્યાં કે ન મુવમેન્ટના માર્ગને મળતી સડકોને બંધ કરવામાં આવી.

શા માટે? આ ભેદી રહસ્ય છે.

સત્યપાલ મલિક હવે હજુ વધારે ચોંકાવનારી વાત કહે છે. પુલવામાંની ઘટના પછી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકે વડા પ્રધાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વડા પ્રધાન કોઈ વિદેશી ચેનલના ફોટોગ્રાફરો સાથે કોર્બેટના જંગલમાં શૂટિંગમાં વ્યસ્ત હતા. ત્રણ ત્રણ કલાક સુધી ઈમરજન્સીમાં વડા પ્રધાનનો સંપર્ક કરવાની કોઈ વ્યવસ્થા નહોતી અને જો હતી તો એ જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યના રાજ્યપાલ માટે ઉપલબ્ધ નહોતી. ઘટનાના ત્રણ કલાક પછી વડા પ્રધાને રસ્તામાં કોઈ ધાબામાંથી રાજ્યપાલને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે શું થયું છે અને કેવી રીતે થયું? સત્યપાલ મલિકે ઘટનાની જાણકારી આપીને કહ્યું કે આ સરકારની નિષ્ફળતાનું પરિણામ છે અને એ પછી તેમણે એ બધું કહ્યું જે ઉપર કહેવામાં આવ્યું છે. વડા પ્રધાને રાજ્યપાલને કહ્યું કે તેમણે આ વિષે મોઢું ખોલવાનું નથી. તેઓ દિલ્હી પહોંચીને વાત કરશે. દિલ્હી પહોંચીને વડા પ્રધાનનો તો ક્યારે ય ફોન ન આવ્યો પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોબાલનો ફોન આવ્યો અને રાજ્યપાલને કહેવામાં આવ્યું કે તેમણે સરકારની લાપરવાહી વિષે હરફ ઉચ્ચારવાનો નથી. ડોબાલે એમ પણ કહ્યું કે આ બાબતે શું લાઈન લેવી એ વિષે સરકાર વિચારશે. લોકસભાની ચૂંટણી માથે હતી એટલે લાઈન પણ દેખીતી હતી. ગોધરાના શહીદોની માફક પુલવામાંના શહીદોને પણ શાસકોના ખભાનું માન મળ્યું હતું.

સત્યપાલ મલિકે કરણ થાપરને આપેલી મુલાકાતમાં વડા પ્રધાનની કાર્યશૈલી વિષે કહ્યું છે કે તેઓ કોઈ પ્રકારનું હોમવર્ક કરતા નથી અને કોઈ બાબતથી વાકેફ હોતા નથી. તેઓ પોતાની દુનિયામાં મસ્ત રહે છે. એ મુલાકાતમાં તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન ભષ્ટાચાર માટે કોઈ સુગ ધરાવતા નથી. એ પછી તેમણે રિલાયન્સ, રામ માધવ વગેરેનાં નામ લઈને ભષ્ટાચારની કથા કહી છે.

ખેર, પુલવામાંની તુલનામાં આ બધી ગૌણ બાબત છે. ૪૦ જવાનો માર્યા ગયા એની જવાબદારી કોની? નિવૃત્ત લશ્કરી વડા શંકર રાયચૌધરીએ કહ્યું છે કે ૭૮ વાહનોનો કાફલો સંવેદનશીલ રાજ્યમાં સરહદી વિસ્તારમાંથી પસાર થાય એ ઘટના જ અકલ્પ્ય છે અને એ પણ ધીમી રફતારે. આની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ.

પણ કરે કોણ? બંગાળના શહીદ થયેલા બે જવાનોના પરિવારે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.

દરમ્યાન ગોદી મીડિયાએ આ ઘટસ્ફોટ વિષે તમને કોઈ જાણકારી આપી? માણસ જેવો માણસ ઘેટું બનીને જીવે એ આ યુગની શોકાંતિકા છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ઍપ્રિલ 2023

https://thewire.in/politics/satya-pal-malik-full-interview-pulwama-modi

Loading

એક કુટુંબકથાના આયનામાં પલટાતું ગુજરાત 

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|19 April 2023

વિનોદિની નીલકંઠની નવલકથા ગુજરાતના સીમાડા વીંધીને બહાર જઈ રહી છે ત્યારે અનાયાસ એક જુદું જ સ્મરણ, સહેજે પાંચ દાયકા કરતાં પણ વધુ વરસ પરનું થઈ આવે છે. દ્વારકામાં સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર યોજાયું હતું. પ્રમુખસ્થાને જ્યોતીન્દ્ર દવે હતા ને સામેલ થયેલાઓમાં ઉમાશંકર જોશી ને સ્નેહરશ્મિ સહિતની એક નક્ષત્રમાળા આખી હતી. પણ બહેનોની સ્વાભાવિક જ અવરજવરવાળી બજારમાં અમે છાત્રયુવા મિત્રોએ જોયું તો રસ્તા પર આ નક્ષત્રમાળા કરતાં વધુ તો વિનોદિનીબહેનની નોંધ લેવાતી હતી! પરનારીઓ આ પેલાં વિનોદિનીબહેન, ‘ઘર ઘરની જ્યોત’ એ કોલમવાળાં, એવું કૌતુક માંહોમાંહે વહેંચતી હતી.

શરૂઆત નવલકથાથી કરી ન કરી અને હું સીધો કોલમકારી પર ચાલી ગયો અને આ નીલકંઠ પરિવાર તે શું અને ગુજરાતના અક્ષર-અને-જાહેર જીવનમાં એની હાજરી તે શું, એના ચપટીક ઈંગિત વાસ્તે. મારો રસ એમાંયે તવારીખની તેજછાયાની રીતે પરિવારકથા નિમિત્તે પલટાતા ગુજરાતના ચિત્રને ઉપસાવવાનો છે. આ વિનોદિની મારી સાંભરણમાં પિયરની અટકે સોહતાં, પિતાની ને પતિની, એમ બેઉ અટકની જરૂરત નહીં જોતાં પ્રથમ (અને કદાચ એકમાત્ર) સન્નારી હતાં. અધ્યાપિકા, લેખિકા, અખિલ હિંદ મહિલા પરિષદ સહિત ઘણી બધી સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં એ પહેલાં હતાં. મહાગુજરાત આંદોલન વખતે એમને અને રંજનબહેન જયન્તિ દલાલને સાંભળ્યાંનાં સંભારણાં આગલી પેઢીનાંને હશે પણ ખરાં.

હમણાં અખિલ હિંદ મહિલા પરિષદનો ઉલ્લેખ વિનોદિનીના જાહેર જીવન સંદર્ભે કર્યો, પણ આ પરિષદના આખા દેશના સંમેલનના અધ્યક્ષ છેક 1932માં, લખનૌ મુકામે એમનાં માતા વિદ્યાગૌરી નીલકંઠ હતાં. ગુજરાતના પ્રથમ બે મહિલા ગ્રેજ્યુએટો પૈકીનાં આ એક, વિદ્યાગૌરી લખનૌથી પાછાં ફરતાં બનારસમાં રોકાયાં ત્યારે યુનિવર્સિટીમાં એક અગ્રણી શિક્ષિત સન્નારી રૂપે એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. મેં કહેતાં શું એમને વિદ્યાગૌરી કહી દીધાં, પણ દાયકાઓ લગી એ લેડી વિદ્યાગૌરી તરીકે ઓળખાતાં, કેમ કે એ સર રમણભાઈ નીલકંઠ(1868-1928)નાં પત્ની હતાં. રહો, આ સર સાહેબની દાસ્તાંમાં જઉં તે પહેલાં વિદ્યાગૌરી ને શારદાબહેનની લગીર વિલક્ષણ તારીફ કરી લઉં? 1907માં સુરતની કાઁગ્રેસમાં સામેલ થયેલા મોતીલાલ નેહરુના મનમાં આ ગુજરાતણો એવી વસી ગયેલી કે એમની હેડીની બીજી નાગરકન્યાઓ હોય તો પોતાના પરિવાર માટે પણ વિચારી શકાય! આ વાત વિનાયક નંદશંકર મહેતાએ નોંધી છે. આપણા પહેલા નવલકથાકાર નંદશંકર મહેતાના એ પુત્ર, ને એ જમાનાના આઈ.સી.એસ. અલાહાબાદમાં ઊંચી પાયરીએ રહેલા, ને નેહરુ પરિવારના મિત્ર. આ જ પરિવારમાં પછી પુપુલ જયકર આવ્યાં, ઈંદિરા ગાંધીનાં સખી.

આ વિદ્યાગૌરી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)ના મંત્રી ને પછી પ્રમુખ પણ રહેલાં. 1943માં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાત યુનિવર્સિટી સ્થાપવા વિશે ઊહાપોહભેર જિકર કરી હતી. જોગાનુજોગ, ગુજરાતના અક્ષર જગતમાં કદાચ એક જ દંપતી, નીલકંઠ દંપતી છે, જેમાં પતિ-પત્ની બેઉ પરિષદ-પ્રમુખ બન્યાં હોય.

સરનો ખિતાબ સૂચવે છે તેમ નીલકંઠ દંપતી એકંદરે ત્યારના મવાળ સંઘાડાનાં – લિબરલ સ્કૂલનાં હતાં. સીધા રાજકીય ક્ષેત્રે નહીં એટલાં તે શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રોમાં ને સુધારાની ચળવળમાં સક્રિય હતા. ‘ભદ્રંભદ્રં’ એ કેવળ હાસ્યનવલ નથી, પણ સુધારાની ચળવળનું એક અક્ષરઓજાર પણ છે. અમદાવાદની ત્યારની સુધરાઈમાં પણ રમણભાઈની સેવા બોલે છે. આ કુટુંબમાં ગાંધીપ્રવેશ થયો, પણ રમણભાઈ 1928માં ગયા ત્યાં સુધી એ લિબરલ સ્કૂલના જ રહ્યા. જો કે, 1930માં પોલીસ દમનનું જે સ્વરૂપ, ખાસ કરીને વિરમગામમાં મહિલાઓ સાથેના વ્યવહારનું, સામે આવ્યું એણે વિદ્યાગૌરીની નાગરિક ચેતના ને સંવેદનાને એવી ઝંઝેડી જરૂર કે એમણે ‘કૈસરે હિંદ’નું માન પરત કરવાપણું જોયું. પણ, એકંદર લિબરલ વલણો છતાં, નાગરિક અધિકાર બાબતે એ એવી ભૂમિકાએ ચોક્કસ પહોંચ્યાં હતાં કે 1942માં પોલીસે વિદ્યાસભાનો (પ્રેમાભાઈ હોલનો) કબજો લીધો ત્યારે ર.છો. પરીખ આદિ વરિષ્ઠ કાર્યકરોએ પોતાની રાજકીય સક્રિયતાથી વિદ્યાબહેનને મૂંઝવણમાં નહીં મૂકવા રાજીનામું આપવા વિચાર્યું પણ એમણે એમને ચાલુ રહેવા કહી કલેક્ટર સાથે વાતચીત મારફત કબજો છોડાવ્યો હતો.

મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ એ નામ સૂચવે છે તેમ રમણભાઈના પિતા મહીપતરામ (1829-1891) સુધારક પ્રવૃત્તિમાં હતા. વિદેશગમનથી નાત બહાર મૂકાયા હતા. શિક્ષણ ખાતામાંયે સક્રિય હતા. પરિવાર ને સમાજમાં સ્ત્રીઓનાં સ્થાનમાન વિશેનો નીલકંઠ સંસ્કાર એમણે પોતાનાં પત્નીને જે રીતે ‘પાર્વતીકુંવર આખ્યાન’માં નિરૂપ્યાં છે એનાથી સમજાઈ રહે છે. થેલીને ધોરણસર ટિંગાડવા વાસ્તે આપણે વિનોદિની નીલકંઠરૂપ ખીંટીનો આરંભે ઉપયોગ કીધો પણ એમને મિશે તેમ એમને વિશે પણ ચાંગળુંક વાત કરવી લાજિમ છે. મિશિગન યુનિવર્સિટીમાં એમણે સમાજશાસ્ત્ર-શિક્ષણશાસ્ત્રનો અનુસ્નાતક અભ્યાસ કરેલો. અહીં વનિતાવિશ્રામમાં જવાબદારી નભાવેલી તો ગાંધીયુગમાં હોવું ને પિકેટિંગમાં ન પડવું એ તો બને કેમ. ‘કદલીવન’ તો એમની નવલ. પણ એમણે કોલમકારી ઉપરાંત વાર્તાદિ પ્રકારોમાંયે હાથ અજમાવેલો – અને ‘કાશીનો દીકરો’ એ ફિલ્મ પણ એમની વાર્તા પરથી જ. ‘કાર્પાસી’ સરખી એમની અણુકથામાં કપાસના ઉદ્ભવની, ગાંધીઘટનાને શોભીતી હૃદ્ય કલ્પના છે.

બે શબ્દો ‘કદલીવન’ નિમિત્તે, ને મારી વાત પૂરી. અહીં એની વાર્તાવિગતમાં નહીં જતાં એની બીજી આવૃત્તિ પ્રસંગે નિરંજન ભગતે કહેલી નુક્તેચીનીનો એક અંશ માત્ર જોઈશું : ‘કદલીવન’ એ ગુજરાતી ભાષામાં દલિત ચેતના અને નારી ચેતનાના સાહિત્યની નાંદી છે. આ નવલકથા 1946માં આવી હતી તે લક્ષમાં લઈએ તો ભોં ભાંગતાં રહેવાની નીલકંઠ અગ્રયાયીતા સમજાઈ રહે છે … સ્વરાજ આવવામાં છે અને લિબરલ ધારા સમતા-સ્વતંત્રતા સારુ કેવુંક સુવાણં સરજે છે એ ઇતિહાસગતિનો આ સ્વલ્પ નિર્દેશ!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 ઍપ્રિલ 2023

Loading

આંખમાં આજકાલ 

ઉમેશ સોલંકી|Poetry|19 April 2023

જામ થયેલી ગટરમાં કોઈ નાખે પથ્થર

તર્ત ઊડે મચ્છર

કાલ પર હું નજર નાખું

ઊડતા મચ્છર ભાળું.

શું બાળશે?

શું અજવાળશે?

નથી ખબર

ખબર બસ

આંખમાં આજકાલ

સળગ્યા કરે મશાલ સળગ્યા કરે મશાલ.

e.mail : umlomjs@gmail.com

Loading

...102030...1,1701,1711,1721,173...1,1801,1901,200...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved